ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/મફત ઓઝા

Revision as of 03:22, 26 December 2024 by Meghdhanu (talk | contribs) (+ Text)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
‘કાચના મહેલની રાણી’ :
મફત ઓઝા

મનીષ સોલંકી

Anil Waghela.jpg

વાર્તાકારનો પરિચય :

‘માણસ ઘેલા માનવી એટલે મફત ઓઝા’ એવી નામના મેળવનાર ડૉ. મફત ઓઝાનું નામ ગુજરાતી સાહિત્યનાં ભાવકના હૈયે અને હોઠે છે અને રહેશે. ઉત્તર ગુજરાતના કલોલ તાલુકાના જામળા ગામે ૧ માર્ચ ૧૯૪૪માં જન્મ, પ્રાથમિક શિક્ષણ પોતાના જ ગામમાં, માધ્યમિક શિક્ષણ શેઢા પાડોશી ગામ સોજાની એચ.એમ. હાઈસ્કૂલમાં, તેઓએ ઈ. સ. ૧૯૬૨માં મેટ્રિક, ૧૯૬૭માં ગુજરાતી-હિન્દી વિષય સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ, ૧૯૬૯માં એ જ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષય સાથે એમ.એ., ૧૯૭૮માં ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા’ વિષય સાથે પીએચ.ડી.નો અભ્યાસ કરી વિદ્યાવાચસ્પતિની ઉપાધિ અમદાવાદની સરસપુર આટ્‌ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાંથી મેળવી. તેમજ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં અધ્યાપક, પછીથી ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્યભવનમાં અધ્યાપક. મફતભાઈ સાહિત્ય, સાહિત્યકાર અને અધિકારી ભાવકને સાંકળવા માટે ૧૯૮૬ના ઑગસ્ટ માસથી ‘તદર્થ્ય’ નામનું સામયિક શરૂ કર્યું. પછીથી ‘તદર્થ્ય’નું નામ બદલી ‘તાદર્થ્ય’ શીર્ષક આપ્યું. વડોદરામાં ‘અક્ષરા’ નામની સાહિત્યિક સંસ્થા શરૂ કરી. ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી બોર્ડના સલાહકાર અને સભ્ય પણ રહી ચૂક્યા. ઈ. સ. ૧૯૯૧થી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં (GPSC)ના સભ્ય તરીકે સ્થાન મેળવ્યું. ૧૯૯૬ સુધી એ જ સમયગાળા દરમિયાન એઓ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરના ગુજરાતી વિષયના સલાહકાર રહ્યા. ગુજરાત સાહિત્ય અકાદમીના બંધારણના સભ્ય તરીકે કાર્યરત રહ્યા, ગુજરાતી સાહિત્ય પરિષદમાં મધ્યસ્થ સમિતિના કન્વીનર તેમજ ‘જનસત્તા’, ‘લોકસત્તા’, ‘સંદેશ’માં શિક્ષણ, સમાજ અને સાહિત્યને સ્પર્શતી કોલમો દ્વારા સમાજઘડતર અને શિક્ષણઘડતરનું કાર્ય કર્યું. ‘ગુજરાત સમાચાર’માં તેઓએ ‘ક્ષિતિજનાં મૃગજળ’ અને ‘શ્રી’ નામના સ્ત્રીવિષયક સામયિકમાં ‘અશ્રુવન’ નામે કોલમ લખતા. તા. ૨૮ ડિસેમ્બર ૧૯૯૭ના રોજ તેમનું દેહાવસાન થયું.

સાહિત્યસર્જન :

મફતભાઈ ઓઝાની સાધના યોગી જેવી સ્થિતિની ગણી શકાય. સાહિત્યનો શબ્દ સાધના માગી લે છે. સાહિત્યકાર શબ્દબ્રહ્મને પામવા માટે ધૂની બની અવિરત વહેતી માનવગંગામાં પોતાની જાતને ઓતપ્રોત કરી વહેવડાવી દે છે. તેમનો શબ્દપ્રેમ અંત સુધી અવિરતરૂપે વહ્યો. એમની શબ્દયાત્રા, સાહિત્યયાત્રાનો પરિચય મેળવીએ : ટૂંકીવાર્તા : ‘કાચના મહેલની રાણી’ (૧૯૭૪), ‘તડકામાં ઓગળતો સૂર્ય’ (૧૯૮૬), ‘આસમાની રંગનો ટુકડો’ (૧૯૮૮), ‘અશ્રુવન-૧’ (૧૯૯૧), ‘ક્ષિતિજનાં મૃગજળ’ (૧૯૯૫). કાવ્યસર્જન : ‘ધુમ્મસનું આ નગર’ (૧૯૭૪), ‘પડઘાનું ચકરાતું આકાશ’ (૧૯૭૫), ‘અશુભ’ (૧૯૭૬), ‘શ્વાસ ભીતરથી ફોરે’ (૧૯૭૮), ‘અપડાઉન’ (૧૯૮૪), ‘અકબંધ’ (૧૯૯૧), ‘ફૂલોનો પવનરથ’ (૧૯૯૫), ‘ઝાકળ ઝીલ્યું આભ’ (૧૯૯૬). નવલકથા : ‘ઘૂઘવતા સાગરનાં મૌન’ (૧૯૭૩), ‘પીળું કરેણનું ફૂલ’, ‘ચિતા જલે ચિતવનમાં’ (૧૯૭૫), ‘પથ્થરની કાયા, આંસુનાં દર્પણ’ (૧૯૭૬), ‘સપના બધાં મજાનાં’ (૧૯૭૭), ‘સૂરજ ડૂબે મૃગજળમાં’ (૧૯૮૧), ‘સાતમો પુરુષ’ (૧૯૮૨), ‘આંસુનો ઊગ્યો ગુલમહોર’ (૧૯૮૪), ‘સોનેરી સપનાંની રાખ’ (૧૯૮૪), ‘મૃગજળ તો દૂરનાં દૂર’ (૧૯૮૫), ‘શહેર વચ્ચે લોહીની નદી’ (૧૯૮૫), ‘જાતર’ (૧૯૮૭), ‘આસો સુદ આઠમ’ (૧૯૯૧), ‘અમે તો પાનખરનાં ફૂલ’ (૧૯૯૫), ‘અમે તો તરસ્યા સાજન’ (૧૯૯૫), ‘દ્વીપકલ્પ’ (૧૯૯૬). નાટક (એકાંકી સર્જન) : ‘લીલા પીળાં જ્વાળામુખી’ (૧૯૭૮), ‘મુખ્યમંત્રીનો માણસ’ (૧૯૭૬). નિબંધ સર્જન-ચિંતન : ‘પળપળનાં પ્રતિબિંબ’ (૧૯૭૮), ‘જાનામિ ધર્મમ્‌’ (૧૯૯૦). લલિત : ‘માટીમાં ખીલેલાં મેઘધનુષ્ય’ (૧૯૯૨), ‘પળનાં પ્રતિબિંબ પળમાં’ (૧૯૯૬), ‘પ્રતિબિંબ અને પડઘા’ (૧૯૯૬), ‘તેજરેખાના તણખા’ (૧૯૯૭). વિવેચન : ‘ઉન્નતભ્રૂ’ (૧૯૭૫), ‘કાવ્યનું શિલ્પ’ (૧૯૭૬), ‘ઉદ્‌ઘોષ’ (૧૯૭૭), ‘ઉન્મિતિ’ (૧૯૭૮), ‘રાવજી પટેલ’ (૧૯૮૧), ‘સંવૃત્તિ’ (૧૯૮૫), ‘પર્યાય’ (૧૯૮૯), ‘કૃતિનિષ્ઠ વિવેચન’ (૧૯૯૦), ‘વિવેચનનો પડકાર’ (૧૯૯૩). સંપાદન-સહસંપાદન : ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્ય’ (કવિતા, ટૂંકીવાર્તા, એકાંકી, નિબંધ અને વિવેચન), ‘ભારતીય પ્રતિનિધિવાર્તાઓ’, ‘વિશ્વની આધુનિક વાર્તાઓ’, ‘નોબેલ નવલ વિશેષ’, ‘વિશ્વ સર્જક સંવાદ’, ‘સર્જનને પચાસમે પુષ્કર ચંદરવાકર’, ‘પ્રેમાનંદકૃત આખ્યાનોનું સંપાદન (નળાખ્યાન, ઓખાહરણ, સુદામાચરિત્ર, કુંવરબાઈનું મામેરું)’. સહસંપાદન : ‘ધૂમકેતુની ભાવસૃષ્ટિ અને શબ્દયોગ’ (૧૯૭૩), ‘પ્રયોગશીલ ટૂંકીવાર્તા’ (૧૯૮૬), ‘એકોક્તિ સંચય’ (૧૯૮૬), ‘નાટ્યચર્ચા’, ‘ઉમાશંકર જોશીની સર્જકપ્રતિભા’, ‘સુન્દરમ્‌ સર્જકપ્રતિભા’, ‘ચંદ્રવદન મહેતા સર્જકપ્રતિભા’. મફત ઓઝા દ્વારા સર્જાયેલું સાહિત્ય વિશાળ સંદર્ભો ધરાવે છે. કોઈપણ સર્જક દ્વારા રચાયેલા શબ્દ સમયના પ્રવાહમાં કદીયે લુપ્ત થતા નથી. જો સર્જકમાં સત્ત્વ હોય તો એ હજારો વર્ષો પછી પણ તેના પર કાળનો કાટ ચડતો નથી. એ શબ્દ ઝળહળી ઊઠે છે. આથી તેમનું સાહિત્ય વિશ્વવિદ્યાલયોના અભ્યાસક્રમોમાં માનભેર સ્થાન પામેલું છે.

વાર્તાકારનો યુગસંદર્ભ : વાર્તાકાર મફત ઓઝા આધુનિકયુગના સર્જક છે. સન ૧૯૭૪માં પ્રગટ થયેલા પ્રથમ વાર્તાસંગ્રહથી લઈને સન ૧૯૯૫નાં અંતિમ વાર્તાસંગ્રહ સુધીનો વાર્તાસર્જનકાળ જોઈએ તો ૨૦ જેટલાં વર્ષો થાય. સુરેશ જોષી દ્વારા અસ્તિત્વમાં આવેલા આધુનિક વાર્તાકારોમાં મધુ રાય, ઘનશ્યામ દેસાઈ, રાવજી પટેલ, ભૂપેશ અધ્વર્યું, જ્યોતિષ જાની, સુમન શાહ વગેરે સર્જકોએ વાર્તાલેખન કર્યું, એમાંના એક હતા મફત ઓઝા. તેમની મોટાભાગની વાર્તાઓ આધુનિક કળા સ્વરૂપમાં લખાઈ છે. તેઓ વાર્તાસર્જન માટે એક ઘટના પસંદ કરે છે, પરંતુ આધુનિક વાર્તાલેખનનો સ્પર્શ પામ્યા હોવાથી આછેરી ઘટનાને સહારે જ નિરૂપણ કરે છે. મનોવૈજ્ઞાનિક કથન-વર્ણન દ્વારા વિવિધ ભાવસંદર્ભો રચી આપે છે. વિવિધ પાત્રો દ્વારા સમાજનું આલેખન કરતાં તેઓ વ્યંગ અને ઉપહાસભરી રીતિનો આશરો લે છે. શીર્ષક પરથી પ્રયોગશીલતા નજરે પડે છે. એક બાજુ ધૂમકેતુની ભાવનાશીલતા તો બીજી બાજુ સુરેશ જોષી પરંપરાની કલાત્મકતા એમની વાર્તાઓનાં મુખ્ય લક્ષણો રહ્યાં છે. માનવ સંયોગોની વિષમતાના આલેખનમાં પાત્રોના આંતરિક વિશ્વને તેમજ તેની આસપાસની બાહ્ય વાસ્તવિકતાને જુદા જુદા સ્તરેથી અને જુદા જુદા દૃષ્ટિકોણથી રજૂ કર્યાં છે. ‘કાચના મહેલની રાણી’ વાર્તાસંગ્રહનો પરિચય :

મફત ઓઝાનો પ્રથમ વાર્તાસંગ્રહ છે. અહીં ‘સો...૯૯, ઝીરો’થી લઈને ‘અવસાન’ સુધી કુલ તેત્રીસ વાર્તાઓ સમાવિષ્ટ છે. આમાંની મોટાભાગની વાર્તાઓ ગુજરાતી સાહિત્યનાં લબ્ધપ્રતિષ્ઠ સામયિકોમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે. આ બધી વાર્તાઓમાં ફેન્ટસી છે. સ્વપ્નમાં ફૂટેલી, ફૂલોમાં ગૂંથેલીને માના ખોળામાં સૂઈને સાંભળેલી વાતોનો નિષ્કર્ષ છે. કલ્પનાની દુનિયામાં વાસ્તવનો પડછાયો કેવો ભાસે છે એની વાતો છે. સર્જકને વાર્તા સંસ્કાર તો શૈશવમાં માના ખોળામાંથી સાંપડ્યા છે, એ એમની વાર્તાઓ વાંચતાં જણાઈ આવે છે. ‘લાલા બંગલો અને પ્રો. કાદરીવાલા’માં પત્ની ચંદા અને પુત્રી ચાંદનીની વેદના અહીં ડોકાય છે. જ્યારે ‘ચુંદડી’ વાર્તા ‘હે ભગવાન! પ્રદીપનું બધું દુઃખ મને આપ’માં સમાય જાય છે. ‘એક છોકરીની મુલાકાત’માં સ્વપ્નમાં છોકરી આવે છે તેની આજુબાજુ વાર્તા રચાય છે. ‘રઘો ભૂત થયો’ વિશિષ્ટ વાર્તા છે, રઘાનું પાત્ર ચરિત્ર બનીને વિદ્રોહનું પ્રતીક થઈને વિસ્તર્યું છે. ‘ખેતરે બાંધ્યા કૂબા’માં બાપ સામે વિદ્રોહ કરી મેઘાને પરણતી રમઝુની કરુણ કથની રજૂ થઈ છે. જ્યારે ‘તીને જોયા કરીશ’ વાર્તામાં બાળપણની વીસ વર્ષ પહેલાંની સ્મરણ કથા રજૂ થઈ છે. જેમાં શૈશવના સ્મરણો ‘ફ્લેશબૅક’ રૂપે રજૂ થાય છે. ‘ગામને પાદર’ પરભાની કથા છે. મૂઆ બાપને ગાળ દેતાં ઉશ્કેરાયેલો પરભો શેઠાણીને બચકું ભરે છે. અંતે પોતાના જ માથામાં ઈંટ મારી શેઠનું ઘર, ગામ ત્યજી દે છે. ‘બસસ્ટેન્ડ’ વાર્તામાં મમ્મી વગરની શોભા અને પપ્પા વગરની હીરા... બસસ્ટેન્ડ પાસે ઊભા રહી વાતો કરે છે. ત્યારે તેમની નિર્દોષ વાણીમાંથી વાર્તા ગૂંથાતી જાય છે. ‘રાત એક વાતની’ શૈશવનાં સ્મરણોની કથા છે. એમાં કુટેવોના રસ્તે ગયેલા પૌત્રની સ્વગતોક્તિ છે. ‘અદ્વૈત શમણાંની કૂંપળો’ એક યુવતીના સપનાની વાત છે. જેમાં ભૂતકાળમાં જોયેલી કન્યા પ્રત્યે તરંગમાળા રજૂ કરી છે. ‘રતન નાસી ગઈ’ વાર્તા એક પતિની વ્યથા-કથા છે. રતન કેમ નાસી ગઈ? એ પાછળ પતિની ક્રૂરતા જવાબદાર છે. ‘જુમ્મા બેટી’માં માણસ એકલો જીવી શકતો નથી. જુમ્મા બેટીને સાસરે વળાવ્યા પછી અકબરઅલી સાવ એકલો પડી જાય છે. ઉદાસ અકબરઅલીએ એક બકરી પાળી, નામ રાખ્યું ‘જુમ્મા બેટી’. અકબરઅલીનો જુમ્માબેટી પ્રત્યેનો પ્રેમ સ્ફટિક થઈને વહે છે. સ્વાર્થી જમાઈનો સ્વાર્થ સધાતો નથી. ‘એક કપ કૉફી’ વિશિષ્ટ વાર્તા પ્રકારની વાર્તા છે. તેમાં કીડી પાડાની પોળમાં ત્રીજા માળની બારીમાં ડોકાતી યુવતીને જોઈ લેખકને શું થાય છે? તેની કથા છે. ‘ભૂતિયો આરો’ વાર્તામાં નાનજી ડોસાના દમજીની વાત છે. સમુના પ્રેમમાં પડીને તે અવળા માર્ગે ગયો એમ ગામ લોક સમજ્યા. પરંતુ વાત જુદી હતી. દમજી જેને પ્રેમ માનતો ગયો એ તો સમુ તરફથી વહાલ હતું. દમજી અવળું સમજી પાગલ થયો. ‘અલકા બકરી અને ચહેરો’ વાર્તામાં અલકાની વાત છે. રેલવેના વાયરમેન કિશોરને પરણ્યા પછી કોઈ કારણસર જતો રહ્યો. તેથી રાહ જોતી અલકાની વ્યથાકથા અહીં મુકાઈ છે. ‘પ્લેટફોર્મ નંબર સાત’ વિશિષ્ટ વાર્તા છે. પૃથ્વી એક વિશાળ પ્લેટફોર્મ છે. જીવનનું સત્ય અને સત્યનો ભ્રમ જ વાર્તાના કેન્દ્રમાં નિહિત છે. ‘હું પપ્પુ ટકોરાનો બાપ’ વાર્તામાં પપ્પુના વિચારો કરતા નાયક દેવો પપ્પુમય થઈ જાય છે, એની ઝાંખી કરાવી છે. સાયકોલોજીકલ વાર્તામાં લેખકે પ્રવાહી ગતિએ કથન કર્યું છે. ‘કંકુના થાપા’ વાર્તા એક બાપની હૈયાવરાળ છે. ‘ઘરમાં સરુ છે’ની માન્યતાથી ગામવાળા મનોરદા પાસેથી ઘર આંચકી લેવા માગે છે. મનોરદા પોતાની પુત્રીના થાપાવાળું ઘર વેચતા નથી. ‘કાળા નાગના લીલા લીસોટા’માં વાસનાના ખેલનું દૃશ્યાંકન છે. આ વાર્તામાં નાગ વાસનાના પ્રતીક બનીને આવે છે. ‘અતીત’ વાર્તામાં ‘ફ્લેશબૅક’માં કથા ચાલે છે. ‘સો મણનો રૂપિયો’ કંડક્ટર અને પેસેન્જરની એક ઘટનાની વાર્તા છે. ‘હું વીલા અને વાવ’ વાર્તામાં પ્રોફેસર અને શિક્ષિકા વીલા વચ્ચેની પ્રેમકહાણી આલેખી છે. પ્રોફેસરથી ગર્ભવતી થયેલી વીલા વાવમાં ભૂસકો મારે છે. જેમાં કરુણ વાર્તારસ કેન્દ્રમાં છે. ‘મને ઝેર આપો’ વાર્તામાં નાયકની પત્ની અલકા યુવરાજ સાથે નાસી જાય છે. ત્યારે નાયક કહે છે ‘મને ઝેર આપો પ્રગતિ આવવાની નથી’ ‘એન ઘેન દીવાઘેન’ વાર્તા શૈશવસ્મરણ કથા છે. ચંદનનાં લગ્ન થતાં તખુભાના જીવનમાં અંધકાર છવાયો તેનું આલેખન કરે છે. ‘સ્લો ફાસ્ટ સીલીંગ ફેન’ તરંગમાળા રચાયેલી વાર્તા છે. તેમાં વાર્તાનાયક પંખાને જોઈ સ્મરણમાં સરી પડે છે. જ્યારે ‘કાચના મહેલની રાણી’ વાર્તામાં નગરના ભાર નીચે ચગદાઈ ગયેલા નાયકનું કથન છે. કથાનકને ખાસ વળાંકો આપવામાં આવ્યા નથી. માત્ર આધુનિકતાનો પડછાયો અહીં રમી રહે છે. ‘તતઃપ્રવિશતિ’માં કૃષ્ણનો ભાસ થતો લાગે છે. આ વાર્તાસંગ્રહની છેલ્લી વાર્તા ‘અવસાન’માં સ્વકેન્દ્રી કથનોથી શરૂ થતી, આ વાર્તામાં વસિયતનામાની ઝલક દેખાય છે. મફત ઓઝાની વાર્તાકલા : મફત ઓઝાના આ પ્રથમ વાર્તાસંગ્રહના કથાનકોમાં સ્પષ્ટ રીતે સુરેશ જોષીની છાપ વર્તાય છે. કથાનકોની દૃષ્ટિએ વિવિધતા નજરે પડે છે. કથાનકમાં સંવેદનને ઘૂંટવાની કે વિચારને ઘટ્ટ બનાવવાની સહજ વૃત્તિ તરત જણાઈ આવે છે. કથાનકને તરંગમાળમાં વહાવીને કથાના પ્રવાહને ફેન્ટસીની કક્ષાએ વિકસાવે છે. પાત્રનિરૂપણ કરવામાં લેખકે બાહ્યસ્તર કરતાં સૂક્ષ્મ સ્તરને વધુ ધ્યાનમાં લીધું છે અને એમાંથી જ વાર્તાને ઘડી છે. વાર્તાસંગ્રહનું નિદર્શન કરતાં અહીં ઘણી બધી વાર્તાઓમાં વર્ણનકલા, સંવાદકલા અને વાતાવરણ નિર્મિતિની સફળતા નજરે પડે છે. સર્જનાત્મક વર્ણનો દ્વારા પાત્રપ્રવેશ, કથાપ્રવેશ કે લક્ષ્યવેદ્ય થતો દેખાય છે. કાવ્યાત્મક વર્ણનોને કારણે વાર્તાઓમાં લાલિત્યનો અનુભવ થાય છે. તિર્યકતા, સૂચકતા અને વ્યંજકતા અહીં ભારોભાર પડેલી જણાય છે. તીવ્ર સંવેદના અને ઊંડી વેદનાનો અનુભવ ભાવકને વાર્તાના અંત સુધી લઈ આવે છે. એમની વાર્તાઓમાં દામ્પત્યજીવનનું, શોષણનું, શૈશવનું, ક્રૂરતાનું, જિજીવિષાનું, મૃત્યુનું વાતાવરણ ઊભું કરવા સંવાદોને લેખે લગાડ્યા છે. તેમની વાર્તાઓમાં ઘ્રાણકલ્પન, શ્રુતકલ્પન અને સ્પર્શકલ્પન કથાનકને સુપેરે પરિણામવાચક બનાવે છે. રૉમેન્ટિક શૈલીનું ગદ્ય નિપજાવવામાં તેમની સર્જકતા સોળે કળાએ ખીલી ઊઠે છે. ગદ્યશૈલીનું ઘડતર કરવા માટે સર્જકે મોટેભાગે ટૂંકા વાક્યો પસંદ કર્યાં છે. તેમની ભાષાશૈલી આક્રમક છે, જોસ્સાવાળી છે. પ્રતીકવાદી વાર્તાની પરંપરામાં સુરેશ જોષી પછી અનેક વાર્તાકારોએ જે પગરણ માંડ્યાં તેમાં આ સર્જકે પૂરી નિસ્બતથી કાર્ય કર્યું છે. આ સંગ્રહની ઘણી વાર્તાઓ પ્રતીકાત્મક છે. આમ, મફત ઓઝાનો ‘કાચના મહેલની રાણી’ વાર્તાસંગ્રહ એક સાથે અનેક સર્જકતાનો પ્રતિનિધિરૂપ વાર્તાસંગ્રહ છે. મફત ઓઝાની વાર્તા વિશે વિવેચક : ‘શ્રી મફતભાઈએ સાતમા, આઠમા દાયકામાં પ્રતિષ્ઠિત હતી તે અને નવી વાર્તારચનાકળાને પોતાની કૃતિઓમાં સફળતાપૂર્વક આકાર આપ્યો છે.’ – મોહનલાલ પટેલ.

સંદર્ભસૂચિ :

(૧) ‘તાર્દથ્ય’, મોહનલાલ પટેલ, ડિસે. ૯૮
(૨) ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા’ (આધુનિક અને અનુઆધુનિક પ્રવાહો), ધીરુભાઈ ઠાકર, ગુર્જર પ્રકાશન, ૨૦૧૯.

મનીષ સોલંકી
શોધછાત્ર,
ભાવનગર
મો. ૮૨૬૪૧ ૮૬૨૧૩