કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૨૫. શ્રાવણ નીતર્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૫. શ્રાવણ નીતર્યો

બાલમુકુન્દ દવે

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી.

આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલો જી
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલો જી.

આ જલધારામાં ઝૂલતી કોઈ ઝીલો જી
પેલી તૂટી મોતનમાળ હો કોઈ ઝીલો જી.

આ લટ લહેરાતી લળી લળી કોઈ ઝીલો જી
પેલું કોણ હસે મરમાળ? હો કોઈ ઝીલો જી.

આ નથી ટપકતાં નેવલાં કોઈ ઝીલો જી
આ વરસે અમરત-મેહ હો કોઈ ઝીલો જી.

આ સમણાં કેરા કરા પડે કોઈ ઝીલો જી
આ નરદમ વરસે નેહ હો કોઈ ઝીલો જી.

આ ચળકે વાદળ-તલાવડી કોઈ ઝીલો જી
એની તડકે બાંધી પાળ હો કોઈ ઝીલો જી.

આ દિન વહી ચાલ્યો સુહામણો કોઈ ઝીલો જી
આ રાત ચલી રઢિયાળ હો કોઈ ઝીલો જી.

આ દૂધે ધોયા ડુંગરા કોઈ ઝીલો જી
પેલી ઝરણાંની વણજાર હો કોઈ ઝીલો જી.

આ જતિસતીનાં તપ રેલે કોઈ ઝીલો જી
પેલા શિવલોચન-અંબાર હો કોઈ ઝીલો જી.

૩૦-૭-’૫૦
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૭૯)