ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કમલસોમ ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કમલસોમ (ગણિ) [ઈ.૧૫૬૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. વાચનાચાર્ય ધર્મસુંદરગણિના શિષ્ય. ૨૦ કડીના ‘બારવ્રત-રાસ’ (સ્વલિખિત પ્રત, લે.ઈ.૧૫૬૪/સં. ૧૬૨૦, માગશર વદ ૫)ના કર્તા. ‘બારવ્રત-રાસ’ કૃતિ આ કર્તાની ગણી છે, પરંતુ ધર્મસુંદરશિષ્ય કમલસોમ જ કૃતિના કર્તા હોય તો કૃતિની હસ્તપ્રત એમણે ઈ.૧૫૬૪/સં.૧૬૨૦, માગશર વદ ૫ના દિવસે લખી છે, એટલે કૃતિની લેખનમિતિ એ કૃતિની રચનામિતિ માનવી પડે. પરંતુ ‘જૈન ગૂર્જર કવિઓ’ એને કૃતિની લેખનમિતિ જ માને છે. તો પછી કમલસોમને કૃતિના લહિયા અને ધર્મસુંદરશિષ્યને કૃતિના કર્તા માનવા પડે. કૃતિના અંતમાં કમલસોમનું નામ નથી એ પણ સૂચક છે. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧,૨).[ચ.શે.; જ.ગા.]