ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગણપતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગણપતિ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : નરસાસુત. કાયસ્થ વાલ્મીક જ્ઞાતિ. આમોદના વતની. ૮ અંગ અને ૨૫૦૦ દુહામાં વિસ્તરતો એમનો ‘માધવાનલકામકંદલાદોગ્ધક-પ્રબંધ ’  (ર.ઈ.૧૫૧૮ કે ૧૫૨૮/સં. ૧૫૭૪ કે ૧૫૮૪ શ્રાવણ સુદ ૭, મંગળવાર; મુ.) માધવ અને કામકંદલાના સંયોગ-વિયોગ-શૃંગારના અત્યંત રસિકતાભર્યા કલ્પનાસમૃદ્ધ વિસ્તારી આલેખનથી ને મહાકાવ્યોચિત વિવિધ પદાર્થવર્ણનઠાઠથી મધ્યકાલીન પદ્યવાર્તાઓમાં જુદી ભાત પાડે છે. સંસ્કૃત સાહિત્યપરંપરાથી પ્રભાવિત કવિનું આ કવિત્વ તેમ સમસ્યાવિનોદ વગેરેમાં પ્રગટ થતી એમની વિદગ્ધતા ઘણી ઊંચી કોટિનાં પ્રતીત થાય છે. કૃતિ : માધવાનલકામકંદલાપ્રબંધ:૧(અં.), સં. એમ. આર. મજમુદાર, ઈ.૧૯૪૨ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુલિટરેચર; ૩. ગુસાસ્વરૂપો; ૪. મસાપ્રવાહ;  ૫. આલિસ્ટઑઇ:૨. [જ.કો.]