ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોપાળ-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગોપાળ-૪ [               ]: અવટંકે ભટ્ટ. પિતા રામ. બાલાપોરના વતની. સંભવત : સોમપૂજક સોમપુરા બ્રાહ્મણ. એમની કૃતિ ‘ફૂલાં-ચરિત્ર/સ્ત્રીશિક્ષાપ્રકરણ’ (મુ.) માધવકૃત ‘રૂપસુંદરકથા’ જેવી અક્ષરમેળ વૃત્તોની રચના હોવાને લીધે ને એના ભાષાસ્વરૂપને આધારે અભ્યાસીઓ આ કવિને માધવ (ઈ.૧૬૫૦માં હયાત)નો સમકાલીન ગણે છે. ૪૧ કડીનું આ ‘ફૂલાં-ચરિત્ર’ એના મોટા ભાગમાં સાસરે જતી ફૂલાંને એની માએ આપેલી શિખામણ વર્ણવે છે અને છેલ્લી કેટલીક કડીઓમાં ફૂલાંનાં સંયોગશૃંગારનું પ્રગલ્ભ નિરૂપણ કરે છે. “કીધોે ગ્રંથ ભાષાવિચિત્ર” એવી પંક્તિ મળે છે તેમ જ હસ્તપ્રતની પુષ્પિકામાં “ભાષાવૈચિત્ર્યે સ્ત્રીશિક્ષાપ્રકરણં સમાપ્તં” એવો ઉલ્લેખ મળે છે એથી આ કાવ્ય કવિના ‘ભાષાવિચિત્ર’ નામના ગ્રંથનું કોઈ પ્રકરણ હોવાનું અનુમાન થયું છે. કૃતિ : ૧. રૂપસુંદરકથા, સં. ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૭૩ (બીજી આ.);  ૨. *સાહિત્ય, એપ્રિલ ૧૯૨૦ - ‘ફૂલાં ચરિત્ર’, સં. છોટાલાલ ન. ભટ્ટ. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસામધ્ય;  ૩. ગૂહાયાદી.[ર.સો.]