ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/‘દેવકીજીના છ પુત્રોનો રાસ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘દેવકીજીના છ પુત્રોનો રાસ’ : અજ્ઞાત જૈન કવિ દ્વારા રચિત ૧૯ ઢાળની દુહા-દેશીબદ્ધ આ કૃતિ (લે.ઈ.૧૮૨૩; મુ.) મુખ્યત્વે હેમચન્દ્રાચાર્યના ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ-ચરિત્ર’ને આધારે દેવકીના છ પુત્રોનું જૈન પરંપરા અનુસારનું કથાનક વર્ણવે છે. બબ્બેની જોડમાં ભિક્ષા લેવા આવેલા સાધુઓ એમના સમાન રૂપને કારણે જાણે ફરીને આવ્યા હોય એવો ભાસ થતાં દેવકી પૂછે છે ત્યારે એ છયે ભાઈઓ હોવાનું જાણવા મળે છે. પોતાને આઠ પુત્રો થવાનું વરદાન હતું તે નિષ્ફળ ગયાની વેદના અનુભવતાં દેવકીને નેમિનાથ ભગવાન પાસેથી આ છયે પુત્રો પોતાના હોવાની માહિતી મળે છે. સુલસાને ત્યાં એ ઊછર્યા ને એમને સ્થાને મુકાયેલાં સુલસાનાં મૃત બાળકોની કંસે પોતે હત્યા કરેલી હોવાનું માન્યું તેથી એ બચી ગયા. સાતમા પુત્ર તે કૃષ્ણ. આ પછી દેવકીને આઠમા પુત્ર ગજસુકુમાળ જન્મે છે પણ એ પણ અંતે દીક્ષા લઈ તપસ્વીનું જીવન ગાળે છે. અવારનવાર અંકાતી દેવકીના આર્દ્ર વાત્સલ્યભાવની રેખાઓ, નેમિનાથના દર્શને જતી દેવકીના રથનું છટાયુક્ત વર્ણન તથા વૈરાગ્યબોધક રૂપકશ્રેણિથી ને સુંદર ગાનછટાથી મનોરમ બનતો દેવકી-ગજસુકુમાળનો સંવાદ એ પરંપરાનિષ્ઠ આ કૃતિનાં ધ્યાન ખેંચતાં તત્ત્વો છે. કૃતિ : ૧. * છ ભાઈનો રાસ, પ્ર. નારાયણ ભીકશેટ ખાતુ, ઈ.૧૮૮૫; ૨. દેવકીજી છ ભાયારો રાસ, સં. બિપિનચંદ્ર જી. ઝવેરી, ઈ.૧૯૫૮ (+ સં.). ૩. દેવકીજીના ષટપુત્રનો રાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૯. [જ.કો.]