ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પેથડ-પેથો મંત્રી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પેથડ/પેથો(મંત્રી) [ઈ.૧૫મી સદી] : અંચલગચ્છના શ્રાવકકવિ. જ્ઞાતિએ શ્રીમાળી. જાંબૂગામના વાસી. જયકેસરસૂરિ (આચાર્યપદ ઈ.૧૪૩૮)ના શિષ્ય. ૨૦૬ કડીની ‘(જીરાઉલા) પાર્શ્વનાથ દશભવ-વિવાહલો’ (ર.ઈ.૧૪૩૮ પછી - ઈ.૧૪૮૬ પહેલાં)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. પ્રાકારૂપરંપરા;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી. [કી.જો.] ‘પેથડરાસ’ : અજ્ઞાતકર્તૃક આ અપૂર્ણ રાસ(મુ.)નો રચયિતા ‘મંડલિક’ નામનો કોઈ કવિ છે એમ એના અંતભાગની પંક્તિઓમાં મળતા ઉલ્લેખ પરથી મનાયું છે. વાસ્તવમાં ‘મંડલિક’ નામ કર્તાનું નહીં પરંતુ જૂનાગઢના રાજા રા’મંડલિકનું કે અન્ય કોઈ વ્યક્તિનું સૂચક હોવાથી સંભાવના છે. પાટણની બાજુના સંડેર ગામનો પેથડશાહ પોતાના ભાઈઓ સાથે સંઘ કાઢી સૌરાષ્ટ્ર જાય છે એ પ્રસંગનું આલેખન કરતો આ રાસ કાવ્યત્વની દૃષ્ટિએ નહીં, પરંતુ સંઘ નીકળ્યો તે વખતે પાટણમાં કર્ણ વાઘેલાનું રાજ્ય હતું, સંઘ પાટણથી પાલીતાણા અને પાલીતાણાથી જૂનાગઢ આવ્યો ત્યારે જે ગામોમાંથી પસાર થયો તે ગામના નિર્દેશ, જૂનાગઢમાં મંડલિકે સંઘને ઊતરવા માટે કરી આપેલી સગવડ ઇત્યાદિ ઐતિહાસિક-ભૌગોલિક સંદર્ભો અને રોળા, દુહા, ચોપાઈ, સવૈયા અને ગેય દેશીઓવાળા વિશિષ્ટ કાવ્યબંધને લીધે ધ્યાનપાત્ર બને છે. કૃતિ : પ્રાગૂકાસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧;  ૩. જૈગૂકવિઓ : ૧.[જ.ગા.]