ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી પદ્યકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાતી પદ્યકથા : કથાવાર્તાનું સવિશેષ સાહજિક અને કથ્ય હોવાને કારણે અનુકૂળ માધ્યમ ગદ્ય છે, તેમ છતાં મોટા ભાગની મધ્યકાલીન ગુજરાતીકથાઓએ માધ્યમ તરીકે પદ્ય સ્વીકાર્યું છે. સંસ્કૃત-પ્રાકૃતાદિમાં પણ કથા ક્વચિત્ ગદ્યમાં પરંતુ બહુધા પદ્યમાં કહેવાઈ છે. આમ છતાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે કથાનું અંગભૂત સાહજિક માધ્યમ એ કથ્યરૂપમાં જન્મે–વિકસે–વિહરે ત્યારે જ ગદ્ય છે, પદ્ય તો તેનું લિખિત પ્રવાહનું સંપાદન–માધ્યમ છે. ઋગ્વેદથી શરૂ કરીને રામાયણ, મહાભારત અને અનેક પુરાણોમાં મુખ્યકથા અને અન્ય ઉપાખ્યાનો આવ્યાં તે મૂળભૂત કથ્ય વાર્તાઓના પદ્યરૂપ પામેલાં સંપાદનો છે, સમાવેશો છે. બૃહત્કથા શ્લોકસંગ્રહ, બૃહત્કથા મંજરી, કથાસરિત્સાગર, વસુદેવહિંડી અને અન્ય અનેક કથાના આકરગ્રન્થો છે તે પણ મુખપરંપરાનાં લિખિત પરંપરાએ કરેલાં સંપાદનો છે. દુહા સાંકળીને પદ્ય રૂપે કહેવાતી કથાઓ આદિથી અસ્તિત્વ ધરાવતી પરંપરા છે. પદ્યો તે કથા કહેનારની સ્મૃતિના સહાયકો બનતા – દુહાઓ, આર્યાઓ યાદ હોય ને વચ્ચેની કડી કહેનાર પૂરી કરે. આવી હરતી-ફરતી કંઠેકાને વિહરતી કથાઓ લિખિત પ્રવાહમાં પદ્ય રૂપે સંપાદન પામતી રહી. આ પરિપાટીમાં જ ગુજરાતી પદ્યવાર્તાઓ રચાઈ છે. ‘સમરારાસુ’(૧૩૧૫)ના કર્તા અંબદેવસૂરિ અને અન્ય નામીઅનામી અનેક જૈન કવિઓએ રાસા-પ્રબંધ-ચરિત-ચોપાઈ જેવા નામાભિધાને જે વિપુલસંખ્ય કથાઓ ગુજરાતીમાં આપી, બ્રાહ્મણ કે વૈદિક પરંપરાના ગુજરાતી વાર્તાકારોએ જે કથાઓ આપી, ચંદબરદાઈની પૃથ્વીરાજરાસો, કેદાર ભટ્ટની ‘જયચંદ્ર પ્રકાશ’, જવનીકની ‘હમ્મીરરાસો’, અંબદેવની ‘સમરારાસુ’, પ્રફુલ્લ જાનીની ‘સદયવત્સ, વીરપ્રબંધ’(૧૪૫૬), ગણપતિની ‘માધવાનલકામકંદલા’(૧૫૧૮) અમૃત કલશની ‘હમ્મીર પ્રબંધ’(૧૫૭૫), વગેરેની અનેક કૃતિઓ પ્રબંધ નામાભિધાને રચાયેલી છે, છતાં વાસ્તવિક રૂપે પદ્યવાર્તાઓ છે, પદ્યાત્મક લોકકથાઓ છે જે આખ્યાનથી સ્પષ્ટ રીતે જુદી છે. કથાવસ્તુના રૂપે-રંગે-સંસ્કાર-સ્વરૂપે-ઉદ્ભવ અને વિકાસે તેમજ હેતુપ્રયોજને આખ્યાન અને પદ્યકથા/પદ્યવાર્તા કે પદ્યાત્મક લોકકથા ભિન્ન છે. ગુજરાતી પદ્યકથાની આરંભની રચનાઓ છે તે ભાષાની દૃષ્ટિએ મારુગુર્જર ભાષાની છે. એથી એ જેમ રાજસ્થાની તેમજ હિન્દી ભાષાના સાહિત્યની રચનાઓ છે, તેટલે જ અંશે મધ્યકાલીન ગુજરાતી ભાષાની પણ છે. ખાસ નોંધવું જોઈએ કે દક્ષિણ ગુજરાતના ભરુચ જિલ્લાના આમોદ ગામના કાયસ્થ કવિ ગણપતિની ‘માધવાનલકામકંદલા દોગ્ધકપ્રબંધ’, ભૂમિભાગે એનો કોઈ સંબંધ રાજસ્થાન-મારવાડ-માળવા સાથે જ ન હોવા છતાં, મારુ ગુર્જરના ભૌગોલિકક્ષેત્ર બહારની કૃતિને હિંદી સાહિત્યના ઇતિહાસમાં પ્રેમાખ્યાનની કૃતિઓના ઇતિહાસમાં પ્રારંભે મુકાય છે. પંદરમી સદીના ઉત્તરાર્ધ પછી તો મારવાડી– રાજસ્થાની–માળવી-હિંદી અને ગુજરાતી સુસ્પષ્ટ એવાં લક્ષણો સાથે વિકાસ પામે છે ત્યારે પણ પદ્યાત્મક લોકવાર્તાઓનો ધીંગો પ્રવાહ ગુજરાત ને ગુજરાતીમાં વહેતો રહ્યો છે. ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં, એટલેકે ૧૩૭૧માં શુદ્ધ સ્વરૂપે જૂની ગુજરાતીની ગણાય એવી પદ્યકથા અસાઈત નાયકકૃત ‘હંસાઉલી’ છે. સ્વપ્નદર્શને પ્રેમ, પુરુષદ્વેષી નાયિકા અને પૂર્વભવમાં રહેલા દ્વેષના કારણ જેવા ઔત્સુક્યસભર વાર્તાક્ષમ ઘટકો ધરાવતી આ પ્રેમકથા અસાઈત, પછી ઉદયભાનુ દ્વારા ‘વિક્રમ ચરિતરાસ’ રૂપે (૧૪૦૯), મતિસાર દ્વારા ‘હંસાઉલી પૂર્વભવ સાથે’(૧૫૬૫) અને શિવદાસની ‘હંસાચારખંડી’(૧૬૧૪)માં રચાતી રહી, તે પુરવાર કરે છે કે આ લોકકથા ચૌદમીથી સત્તરમી સદી સુધીનાં ત્રણસો-ચારસો વર્ષ સુધી રહી છે. કથાની લોકપ્રિયતાનો આ ઇતિહાસનિર્દેશ તો કેટલીક ઉત્તમ ઠરેલી કૃતિઓ આજ સુધી સુરક્ષિત રહી, તેને આધારે કરીએ છીએ. આ ઉપરાંત પણ અનેક વાર્તાકારોએ આ કથા પોતપોતાની રીતે રચી હશે, જે કાળક્રમે લુપ્ત થઈ હશે, એ સંભાવના પણ હોઈ શકે. આવી જ લોકપ્રિય કથા પદ્યવાર્તાના ગુજરાતી પ્રવાહમાં ‘માધવાનલકામકંદલા’, ‘ઉષાઅનિરુદ્ધ’, ‘નંદબત્રીસી’, ‘ચંદનમલયાગિરિ’, ‘સદેવંત-સાવલિંગા’, ‘ઢોલામારુ’ જેવી કથાઓની રહી છે. ‘માધવાનલકામકંદલા’ની કથાનું ઉત્તમ નિરૂપણ ૧૫૧૮ની ગણપતિની રચનામાં થયું છે. એના પહેલાં ચૌદમા શતકમાં આનંદધર સંસ્કૃતમાં અને પછી ૧૫૬૦માં કુશલલાભ, સત્તર-અઢારમી સદીમાં દામોદર અને એક અજ્ઞાતકર્તા ઉપરાંત શામળ ભટ્ટ પણ આ કથા પદ્યમાં આપે છે. આમ, ‘માધવાનલકામકંદલા’ની કથા પણ પંદરથી અઢારના ત્રણ શતકોમાં લોકપ્રિય રહી છે, આવી જ, આથી પણ વિશેષ પ્રચલિત લોકકથા ‘નંદબત્રીસી’ અને ‘ઉષાકથા’ છે, જે શતકે-શતકે નવાવતાર પામતી રહી છે. સ્ટિથ થોમ્પ્સનના સ્ટોરી ટાઇપ ક્રમાંક ૫૧૬માં ‘ફેઈથફૂલ જ્હોન’નું જે કથામાનક છે અને વિશ્વની વિવિધ ભાષાઓમાં જેના અનેક અવતારો થયા છે તે આંતરરાષ્ટ્રીયકથા સંસ્કૃત ‘કથાસરિતસાગર’ના મદનમંચુકા લંબકના છઠ્ઠા ખંડના અઠ્ઠયાવીસમા તરંગની બ્રહ્મદત્તની કથામાંથી કાળક્રમે પદ્માવતી અને ચિત્રસેનની કથા રૂપે અનેક ગુજરાતી રાજસ્થાની જૈન અને જૈનેતર વાર્તાકારો દ્વારા ગુજરાતી પદ્યવાર્તામાં ૧૫૪૯માં મતિસાર અને ૧૬૦૬માં કનકસુંદરના હાથે ઘાતથી ઉગારતા વફાદાર મિત્રની કથા રૂપે કર્પૂરમંજરીની કથામાં વિકસતી આવી છે. લોકકથાની મુખપરંપરામાં વીરવરોની વાર્તા અને બોટાદ વિસ્તારમાં પ્રચલિત બોલતી પૂતળી (શિલ્પમૂર્તિ) રૂપે પણ આ કથા આજ સુધી વહેતી રહી છે. પાત્ર, સ્થળ, પ્રસંગના નામફેરે રાજપુત્રીનો પ્રેમી શિરચ્છેદની સજા થતાં અંતિમ ઇચ્છા પૂર્ણ કરતાં અનુરાગની ઉત્કટતા પ્રગટ કરતાં પદ્યો જાહેરમાં ગાય એ બિલ્હણ અને શશિકલાની કથા પણ ગુજરાતી અવતારમાં પંદરમા-સોળમા સૈકામાં જ્ઞાનાચાર્યાદિથી આરંભાતી શામળ સુધી રસપ્રદ બની. આ ગાળાની આવી જ રાજસ્થાન મારવાડની દુહાબદ્ધ અદ્ભુતકથા ‘મારુઢોલાની ચોપાઈ’ છે. જેને કુશળલાભે લિખિત પ્રવાહમાં સંપાદિત કરી. આ પ્રવાહની ગુજરાતી પદ્યવાર્તાઓમાં ૧૫૫૮ની મધુસૂદન વ્યાસની ‘હંસાવતીવિક્રમચરિત્રકથા’, ૧૬૧૭ની શિવદાસની ‘કામાવતીકથા’, અજ્ઞાતકર્તાની ‘પદ્માવતી’ જે એ જ નામે શામળે ૧૭૧૮માં આલેખી. ‘રસમંજરીની કથા’, ભદ્રાભામિની અને વિદ્યાવિલાસની કથા નોંધપાત્ર છે. આ તો થઈ પ્રેમકથાના પ્રવાહની, વિવિધ અવતારની વાત ને એનો ઇતિહાસ-આલેખ. આ ઉપરાંત પણ સાહસશૌર્ય, ચાતુર્ય, છળ, ચમત્કારની અનેક કથાઓ દોહા-ચોપાઈના પદબંધમાં અને ગેય ઢાળ ધરાવતા મુખ્ય પદ્યાત્મક લોકવાર્તાના જ પ્રવાહના ગણાય તેવા જૈન વાર્તાકારોના રાસાઓમાં રચાયેલી છે, જેની વિગતો કે માત્ર યાદી પૃષ્ઠોનાં પૃષ્ઠો માગી લે. આ પ્રવાહમાં મુખ્ય સ્થાન ‘વિક્રમકથાચક્ર’ની વાર્તાઓનું છે, જે સ્વતંત્ર કથા રૂપે કે બત્રીસી, પચ્ચીસીના સંપાદને પદ્યકથા રૂપે પ્રસ્તુત થાય છે. ૧૪૬૩ની કથા રૂપે મલયચંદ્રકૃત ‘સિંહાસનબત્રીસી’, ‘સિંધલસીચરિત્ર’, વીરસિંહકૃત ‘ઉષાકથા’ (૧૪૬૪), નરપતિની ‘નંદબત્રીસી’(૧૪૮૯), ‘પંચદંડની વાર્તા’(૧૫૦૪), સંસ્કૃતગદ્યકૃતિ કાદંબરીનું ભાલણકૃત ૧૪૮૯નું કડવાબદ્ધ પદ્ય ભાષાન્તર–રૂપાન્તર વગેરે મહત્ત્વની પદ્યવાર્તાઓ છે. આ ઉપરાંત ‘શીલવતી’, ‘શગાળશાચરિત્ર’, ‘ચંદન મલયાગિરિ’, ‘અંજનાસુંદરી’ની અનેક રચનાઓ સત્તરમી સદીમાં અને ‘ઇલાપુત્ર’, ‘ઉત્તમકુમાર’, ‘ગજસિંહ કુમાર’, ‘મલયસુંદરી’, ‘રત્નસાર’, ‘આરામશોભા’, ‘માનતુંગ–માનવતી’, ‘સદેવંતસાવલિંગા’ તથા ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં ‘હરિશ્ચંદ્ર રાજા’, ‘રૂપચંદ’, ‘અંબડ મદનલેખા’ ઇત્યાદિ અનેક રચનાઓ રાસા કે કથાને નામે મળે છે. આમ ગુજરાતી પદ્યકથાના આ પ્રકારપ્રવાહમાં ગણપતિ, જ્ઞાનાચાર્ય, શિવદાસ, મધુસૂદન વ્યાસ, માધવ અને શામળ મુખ્ય વાર્તાકારો છે. એ સાથે જ વિવિધ જૈનસૂરિઓએ વિપુલસંખ્ય વાર્તાત્મક રચનાઓ પદ્યમાં આપી છે. આથી સ્પષ્ટ થશે જ કે મધ્યકાલીન પદ્યાત્મક લોકકથાઓ અને શુદ્ધ પદ્યકથાનો પ્રવાહ વિપુલ અને વૈવિધ્યસભર છે. વિશ્વની લોકવાર્તાઓના અધ્યયનની દૃષ્ટિએ આ વિશેષ મૂલ્ય ધરાવતો વૈભવી વારસો છે. હ.યા.