ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી બાળસાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાતી બાળસાહિત્ય: બાળકો માટેનું, બાળકોને આનંદ અને સંતોષ આપે તેવું, બાળમાનસની રુચિ, વૃત્તિ અને સમજની કક્ષા ધ્યાનમાં રાખીને બાલભોગ્ય ભાષામાં લખાયેલું સાહિત્ય એટલે બાલસાહિત્ય. માનવસંસ્કૃતિના કેન્દ્રમાં રહેલું બાળક આમ તો શ્રાવ્ય સ્વરૂપે આનંદ અને કેળવણી પામતું જ રહ્યું હતું પણ આજે જેને આપણે બાલસાહિત્ય કહીએ છીએ તેની શરૂઆત ગુજરાતીમાં ક્યારથી થઈ તે ચોક્કસ રીતે કહી શકાય તેમ નથી પણ અર્વાચીન કેળવણીની આંગળીએ ચાલતાં ચાલતાં ગુજરાતી બાલસાહિત્ય પ્રગતિ સાધતું આવ્યું છે વીસમી સદીના બીજા-ત્રીજા દાયકાથી એ વિશેષ રીતે સ્વીકારાયું અને પ્રસાર પામ્યું છે. આથી, તે પૂર્વેનાં બાળકો સાહિત્ય વગર રહ્યાં હશે એમ માનવાને કારણ નથી. તેમની પાસે બાલોપયોગી સાહિત્યની મૌખિક પરંપરા તો હતી જ – જે લોકસાહિત્ય, પૌરાણિક સાહિત્ય, પંચતંત્ર, હિતોપદેશ વગેરેની સામગ્રી પર આધારિત હતી. છતાંય એટલું જરૂર કહી શકાય કે મિશનરી શાળાઓમાં બાળકોના અભ્યાસ માટેનાં પાઠ્યપુસ્તકોની જરૂરિયાતમાંથી બાળસાહિત્યનો પ્રારંભ થયો. ટૂંકમાં, બાલસાહિત્ય એ અર્વાચીનયુગની નીપજ છે. અને તેના પ્રચાર-પ્રસારમાં શિક્ષણપ્રણાલિકા, માતાપિતાની વધેલી સૂઝ-સમજ-સજ્જતા, માનસશાસ્ત્રનો અભ્યાસ, પત્રકારત્વનો વિકાસ અને દૃશ્યશ્રાવ્ય માધ્યમોનો પ્રસાર આદિ અનેક પરિબળોનો ફાળો છે. ગિજુભાઈના વિચારોએ બાળકેળવણી અને બાળસાહિત્યના ક્ષેત્રની દશા-દિશામાં પરિવર્તન આણ્યું. બાળક સંપૂર્ણ અને સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે અને તેથી તેના માટે, તેને જ કેન્દ્રમાં રાખીને સાહિત્ય સર્જાવું જોઈએ એવો વિચાર ગુજરાતમાં એમણે ભારપૂર્વક પ્રચારમાં મૂક્યો. આ પરિબળને ધ્યાનમાં રાખી ગુજરાતી બાળસાહિત્યને કુલ ત્રણ તબક્કામાં વહેંચી શકાય: ૧, ગિજુભાઈ પૂર્વેનું ૨, ગિજુભાઈ અને તેમના સમકાલીનોનું; અને ૩, સ્વાતંત્ર્યોત્તરકાળનું. ગિજુભાઈ પૂર્વેના સમયમાં સભાનપણે અને રસ-સૂઝ-સમજપૂર્વક બાળસાહિત્ય અંગે ખાસ કોઈએ કામ કર્યું નથી. જોકે બાળસાહિત્યનાં લગભગ બધાં જ સ્વરૂપોમાં અને વિષયોમાં આ તબક્કા દરમ્યાન યત્કિંચિત્ ખેડાણ જરૂર થયું છે. જેણે અનુગામીઓ માટે એક નક્કર ભૂમિકા તૈયાર કરી. પણ હજુ એ સાહિત્યના કેન્દ્રમાં બાળકનું જે રીતે સ્થાન હોવું ઘટે એવું સ્થાન નહોતું. વળી, આ બાળસાહિત્યનો પ્રારંભ ભાષાંતર, રૂપાન્તર, અનુવાદથી થયો છે. ૧૮૩૧માં મોન્સ્યોર બર્કલીનના ફ્રેન્ચ પુસ્તકના ‘Children’s Friend’ નામના અંગ્રેજી અનુવાદ પરથી થયેલા મરાઠી ભાષાંતરનું ગુજરાતીમાં ‘બાલમિત્ર’ નામે થયેલું ભાષાંતર આ સંદર્ભમાં ઉલ્લેખનીય છે. અલબત્ત, એ પહેલાં અને તે પછીના નજીકના સમયમાં જ આપણા કેટલાક રસાત્મક ને કથાત્મક, બોધાત્મક ને પ્રેરણાદાયી પ્રાચીન ગ્રંથોના અને પશ્ચિમના ગ્રંથોના અનુવાદ થયા હતા. અલબત્ત, તે માત્ર બાળકોને જ અનુલક્ષીને કરાયેલા નહોતા, પરંતુ તેમાંનું કેટલુંક બાળકોએ માણ્યું છે અવશ્ય. રામાયણ-મહાભારત-પંચતંત્ર-હિતોપદેશમાંથી, તો, બીજી બાજુ ઇસપની વાતો, ગુલિવરની મુસાફરીની કે સિંદબાદની સફરોની વાતો, અરેબિયન નાઇટ્સની કથાઓ આદિનાં ભાષાંતરો થયાં. આમ બાળસાહિત્યની જરૂરિયાતના પ્રશ્નને મોટાંઓ માટેના સાહિત્યમાંથી બાળકોને રસ પડે તેવાં કથાનકોના સરળ અનુવાદ – ચયનો કરીને કેટલેક અંશે ઉકેલવાનો પ્રયાસ થયો. વળી, આ દરમ્યાન લોકકંઠેથી ઊતરી આવેલા કથાત્મક – રસાત્મક સાહિત્યને બાલભોગ્ય રીતે ઢાળીને રજૂ કરવામાં આવ્યું. આમ શરૂઆતનું આપણું બાળસાહિત્ય વિશે, પ્રમાણમાં પરોપજીવી રહેલું જણાય છે. અંગ્રેજો દ્વારા શરૂ થયેલી નવી ‘શિક્ષણપ્રણાલીને કારણે સૌપ્રથમ ‘હોપવાચનમાળા’ આવી તેમાં બાળકોને ઉપયોગી ઘણું સાહિત્ય પ્રગટ થયું હતું. ઈ.સ. ૧૮૫૮માં પ્રગટ થયેલી આ વાચનમાળામાં નીતિનો ઉપદેશ અને ચારિત્ર્યઘડતર પર વિશેષ ભાર મુકાયો હતો. આ વાચનમાળાના નિર્માણમાં દલપતરામ, મહીપતરામ વગેરેનો ફાળો નોંધપાત્ર હતો. ૧૯૨૧થી ૧૯૪૦ સુધીનો બીજો તબક્કો ગુજરાતી બાળસાહિત્યનો સુવર્ણયુગ લેખાય. ‘દક્ષિણામૂર્તિ’, ‘ગાંડીવ’, ‘બાલજીવન’ અને ‘બાલવિનોદ’ જેવી સંસ્થાઓ નિમિત્તે ગિજુભાઈ, તારાબહેન મોડક, જુગતરામ દવે, નટવરલાલ માળવી, હરિપ્રસાદ વ્યાસ, રમણલાલ ના. શાહ, નાગરદાસ ઈ. પટેલ વગેરેએ સત્ત્વશીલ કાર્ય કર્યું. આ ઉપરાંત હંસાબહેન મહેતા, કેશવપ્રસાદ છો. દેસાઈ, ચંદ્રશંકર મ. ભટ્ટ, મનુભાઈ જોધાણી, ભીખાભાઈ વ્યાસ, ધૂમકેતુ, વેણીભાઈ પુરોહિત, વસંત નાયક, ત્રિભુવન વ્યાસ, સોમાભાઈ ભાવસાર, રમણલાલ સોની, જીવરામ જોષી, ધનંજય શાહ, પ્રાગજી ડોસા, ધીરજલાલ ટો. શાહ, પુરાતન બૂચ, શારદાપ્રસાદ વર્મા, દિનુભાઈ જોશી અને મુકુલભાઈ કલાર્થી જેવા અનેક કવિઓ – લેખકોએ પણ બાળસાહિત્યનાં જુદાં જુદાં સ્વરૂપોને સમૃદ્ધ કરવામાં ધ્યાનાર્હ પ્રદાન કર્યું છે. પરિણામે આ ગાળા દરમ્યાન બાળસાહિત્યનો અનેકદેશીય વિકાસ સધાયો છે. એ પછી બીજું વિશ્વયુદ્ધ થયું. ભારતના સ્વાતંત્ર્યની ચળવળ પણ પુરજોશમાં ચાલતી હતી. તેથી ઈ. સ. ૧૯૪૧થી લગભગ ૧૯૫૦ સુધીના સમયગાળા દરમિયાન ગુજરાતી બાળસાહિત્યનો પ્રવાહ કંઈક ક્ષીણ થયેલો જોવા મળે છે. જોકે એ દાયકામાં રમણલાલ સોની અને જીવરામ જોષીનું કામ તો ચાલતું જ હતું. એમણે બાળસાહિત્યને સતત ધબકતું રાખ્યું હતું. ૧૯૫૧માં બાળકો માટેનું પ્રથમ સાપ્તાહિક ‘ઝગમગ’ શરૂ થયું. ૧૯૫૩ પછીનાં વર્ષોમાં ખૂબ જ લોકપ્રિય થયેલું ‘રમકડું’ માસિક શરૂ થયું. બાળકોને અત્યંત પ્રિય તેવી ચિત્રવાર્તાઓ પ્રગટ થવા માંડી, જે પાછળથી બાળસાહિત્યનું અનિવાર્ય અંગ બની ગઈ. તે જ ગાળામાં ‘બાલસંદેશ’ અને ‘રસરંજન’ સાપ્તાહિકો પણ શરૂ થયાં. ૧૯૫૦ પછી એક નવી હવા બંધાઈ. એ પછીના સ્વાતંત્ર્યોત્તરકાળના તેના ત્રીજા તબક્કામાં માતાપિતાની સજ્જતા, મુદ્રણકળાનો વિકાસ, રાજ્ય તથા ભારત સરકારની ઉદાર સહાય વગેરે અનેક કારણો – પરિબળોને લઈને બાળસાહિત્ય પુન:સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. આમ, ગુજરાતી બાળસાહિત્ય ત્રીજા-ચોથા દાયકામાં અને છઠ્ઠાથી આઠમા દાયકામાં તેની ગુણવત્તા અને વિપુલતાનાં ઊંચાં શિખરો સર કરે છે. અલબત્ત, આ બંને તબક્કાઓમાં પ્રાપ્ત બાળસાહિત્યના અંતરબાહ્ય રૂપમાં કેટલોક ભેદ જરૂર છે. જે વિશુદ્ધ બાલપ્રીતિ અને ભાવના-ભક્તિ ત્રીજા-ચોથા દાયકાના લેખકોમાં હતી તેનું સ્થાન પછી કંઈક અંશે વેપારીવૃત્તિ અને પ્રસિદ્ધિનો લોભ લે છે. જો સત્ત્વશીલતા ત્રીજા-ચોથા દાયકાના બાળસાહિત્યનો સદ્ય સ્પર્શી જાય તેવો ગુણ છે તો બાહ્ય પરિવેશની આકર્ષકતા અને સચિત્રતા સ્વાતંત્ર્યોત્તરકાળના બાળસાહિત્યનો તરત નજરે પડે એવો ગુણ છે. આ ત્રણેય તબક્કાઓમાં કવિતા, વાર્તા (કથા), નાટક, ચરિત્ર જેવાં મુખ્ય બાળભોગ્ય સાહિત્યસ્વરૂપોમાં કેવું કામ થયું છે તે જોઈએ. બાળકાવ્યોના સંદર્ભમાં જોઈએ તો નરસિંહ, પ્રેમાનંદ કે શામળની કૃતિઓ કે કૃતિઅંશો તેમજ દલપતરામની કેટલીક કૃતિઓ બાળકોએ માણી છે. ન્હાનાલાલ, નરસિંહરાવ, ખબરદાર કે લલિત વગેરેએ પણ કેટલાંક સુંદર બાળકાવ્યો આપ્યાં છે. ત્રિભુવન ગૌ. વ્યાસ બાલભોગ્ય વિષય, બાલસહજ ભાવશબ્દોની પસંદગી, રમતિયાળ અને ચિત્રાત્મક શૈલીથી બાળસાહિત્યના એક ઉત્તમ કવિ સાબિત થાય છે. લોકસાહિત્યનો વારસો ઝીલી, હૂંફાળા શબ્દો દ્વારા વિનોદ સાથે વીરરસ પીરસતા ઝવેરચંદ મેઘાણી; લયહિલ્લોળવાળાં, ગેયતાપૂર્ણ અને બાલભોગ્ય કલ્પનાઓથી રમણીય બનેલાં બાળકાવ્યો આપનાર ‘સુન્દરમ્’; અર્થ કરતાં શબ્દલયમાંથી ચિત્ર દોરનાર અને શિશુના ચિત્તની મન:સ્થિતિઓનું સુંદર આલેખન કરનાર દેશળજી પરમાર અને વસંત નાયક; ભરપૂર વિનોદ, કથાત્મકતા વગેરેનો અનુભવ કરાવતાં ગીતો-કથાગીતો આપનાર રમણલાલ પી. સોની; લયના હિલ્લોળથી બાળકોને કંઠસ્થ થાય તેવાં કાવ્યો આપનાર સોમાભાઈ તેમજ ઉપેન્દ્રાચાર્ય વગેરે બાળપ્રિય કવિઓ છે. આ ઉપરાંત મકરન્દ દવે, બાલમુકુન્દ દવે, કૃષ્ણલાલ શ્રીધરાણી, રમણીક અરાલવાળા, હસિત બૂચ, પિનાકિન ઠાકોર, ‘સ્નેહરશ્મિ’, ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ જેવા આપણા અનેક કવિઓએ પણ સુંદર બાળકાવ્યો આપ્યાં છે. આમ ૧૯૬૦ સુધીમાં કેટલુંક સારું કામ થયેલું જોવા મળે છે. એ પછીના સમયગાળાના અનેક કવિઓએ અર્વાચીન રહેણીકરણીની તથા પર્યાવરણ અને નગરસંસ્કૃતિની અસર ઝીલીને આધુનિક બાળમાનસને વ્યક્ત કરતા બાળકાવ્યસંગ્રહો આપ્યા છે. જેમ કે, ચંદ્રવદન મહેતાએ આપેલાં ‘ચાંદરણાં’, ‘ચાંદાપોળી’ કે ‘દૂધના દાણા’નો સ્વાદ પણ માણવા જેવો છે. તેમનાં ભાઈ-બહેનો કાવ્યો — ‘ઇલા કાવ્યો’ — લોકપ્રિય થયેલાં. ‘ઇટ્ટાકિટ્ટા’, ‘થારમથવ્વો’ વગેરે સંગ્રહોમાં સુરેશ દલાલે આધુનિક જીવનસંદર્ભની છબી ઝીલી છે તેમજ તેમની પ્રયોગશીલતા વ્યક્ત કરી છે. ઈ.સ. ૧૯૭૯નું વર્ષ ‘આંતરરાષ્ટ્રીય શિશુવર્ષ’ તરીકે ઊજવાયેલું. આ વર્ષે ‘કવિલોક’, ‘નવનીત સમર્પણ’, ‘ગ્રંથ’ વગેરેના ખાસ વિશેષાંકો પ્રગટ થયેલા. આ જ અરસામાં ‘ચાંદલિયાની ગાડી’ દ્વારા ચંદ્રકાન્ત શેઠે બાળકોને ભાષા-લયનો સ્વાદ આપતાં, તેમનો જિજ્ઞાસારસ અને ક્રીડારસ સંતોષે તેવાં કાવ્યો આપ્યાં. રમેશ પારેખના કાવ્યોને બાળકોએ ખૂબ હેતથી ગાયાં છે ને તેમાંના ભાવરસને માણ્યો છે. ‘એકડો સાવ સળેકડો’ કે ‘હું ને ચંદુ છાનામાના’ જેવી જેમની રચનાઓ તો બાળકોને કંઠસ્થ થઈ ગઈ છે. એ પછીના ગાળાઓમાં અનેક કવિઓએ બાળસંવેદનાને વ્યક્ત કરતી રચનાઓ આપી છે. રક્ષા દવે, ધીરુબહેન પટેલ, પ્રીતમ મજુમદાર, કરસનદાસ લુહાર, માણેકલાલ પટેલ, બલદેવ પરમાર, જયંતીલાલ દવે, નટવર પટેલ, ફિલિપ ક્લાર્ક, જગદીશ ધ. ભટ્ટ, ધનસુખલાલ પારેખ, યૉસેફ મેકવાન, હરિકૃષ્ણ પાઠક, રઘુવીર ચૌધરી, કિરીટ પુરોહિત, સુધીર દેસાઈ, રમણલાલ વ્યાસ, નરોત્તમ વાળંદ, જયંત જી. ગાંધી, અરવિંદ જોશી વગેરેએ ઠીક ઠીક સંખ્યામાં સત્ત્વશીલ બાળકાવ્યો આપ્યાં છે. છેલ્લાં થોડાં વર્ષોમાં જોઈએ તો રમેશ ત્રિવેદીનું કાર્ય ખાસ ઉલ્લેખપાત્ર છે. અનેક કાવ્યસંગ્રહો આપી તેમણે સાંપ્રત બાળકોની કલ્પનાઓને તાદૃશ કરવા પ્રયત્ન કર્યો છે. વળી ધીરેન્દ્ર મહેતા, સુશીલા ઝવેરી, એની સરૈયા, અમૃતલાલ પારેખ, પ્રભુલાલ દોશી વગેરેનું પ્રદાન પણ નોંધપાત્ર છે. નિર્મિશ ઠાકર, કૃષ્ણ દવે, વિરંચિ ત્રિવેદી, ગોવિંદ દરજી, ગિરા ભટ્ટ વગેરેએ પણ આ ક્ષેત્રે સારું પ્રદાન કર્યું છે. વળી આજે બાળકાવ્યોમાં પણ વ્યવહારમાં વપરાતા અંગ્રેજી શબ્દો પ્રયોજવામાં આવે છે. તેમાં સાંપ્રત સમાજની સમસ્યાઓ કે વીજાણુ ઉપકરણોનો પ્રભાવ પણ જોઈ શકાય છે. સારાં બાળકાવ્યો દ્વારા ભાષાશિક્ષણ-અંકશિક્ષણનું કાર્ય પણ થતું રહ્યું છે. રમણલાલ સોની, સુન્દરમ્, ચંદ્રકાન્ત શેઠ, રમેશ પારેખ વગેરેએ બાળકાવ્યો દ્વારા આ કાર્ય સરસ રીતે, આનંદમય રીતે કર્યું છે. ગુજરાતી બાળકાવ્ય જેવું જ સમૃદ્ધ ક્ષેત્રછે બાળવાર્તાનું. બાળવાર્તા શિક્ષણનું મહત્ત્વનું સાધન હોઈ તેનો ઉપયોગ પ્રાચીનકાળથી થતો જોવા મળે છે. ગિજુભાઈના આગમન પહેલાં ઘણાં રૂપાન્તરો – અનુવાદો થયાં હતાં. આપણા પ્રાચીનગ્રંથોના અનુવાદો ઉપરાંત જે મહત્ત્વના પ્રયત્નો આ દિશામાં થયા છે તેમાંનો એક છે શૃંગાર અનુભાઈ નીલકંઠે આપેલ જે ‘ચેમ્બર્સ શોર્ટ સ્ટોરીઝ’માંની ૧૧૮ વાર્તાઓનો ‘ટૂંકી કહાણીઓ’(૧૮૮૧)નામક સંગ્રહ છે. ઇચ્છારામ સૂ. દેસાઈ પાસેથી ‘ઇવનિંગ ઍટ હોમ’નું ‘બાળકોનો આનંદ’ નામે ભાષાંતર મળે છે, તો જયસુખલાલ જોષીપુરા પાસેથી લુઈસ કેરોલના ‘Alice in the wonderland’નું ‘અલકાનો અદ્ભુત પ્રવાસ’ નામે રૂપાન્તર મળે છે. હરગોવિંદદાસ કાંટાવાળા ‘ટચૂકડી સો વાતો’ના ૬ ભાગ દ્વારા ગુજરાતી બાળકથાસાહિત્યને માતબર બનાવે છે. મંછારામ ઘેલાભાઈ કેટલીક પ્રચલિત વાર્તાઓનું ‘મૂરખો’માં સંપાદન કરી આપે છે. શારદા મહેતા પૌરાણિક કથાઓ અને કલ્યાણરાય જોશી ‘વિજ્ઞાનની વાતો’ આપે છે. ગિજુભાઈએ બાળકેળવણી અને બાળસાહિત્યની અનિવાર્યતા પારખી, લોકપ્રચલિત કે લોકભોગ્ય સાહિત્યમાંથી – લોકસાહિત્યમાંથી વીણી વીણીને બાળભોગ્ય કથાઓની પાંચ નમૂનેદાર ચોપડીઓ ઈ.સ. ૧૯૨૧માં આપી. તેમણે વાર્તાનું શાસ્ત્ર રચી આપ્યું. નાનાભાઈ ભટ્ટે મહાભારત-રામાયણનાં પાત્રો અને હિંદુ ધર્મની આખ્યાયિકાઓ આપી. તારાબહેન મોડક, હરભાઈ ત્રિવેદી, જુગતરામ દવે, મોંઘીબહેન, રા.ના. પાઠક, કમળાબહેન, હેમુભાઈ, ગિરીશભાઈ વગેરેએ પણ બાળસાહિત્યમાં પ્રદાન કર્યું. આમ એક બાજુથી ભાવનગરની આ ‘દક્ષિણામૂર્તિ’ દ્વારા લગભગ ૧૫૦ જેટલાં પુસ્તકો ગુજરાતી બાળસાહિત્યને પ્રાપ્ત થયાં તો સુરતમાં સ્થપાયેલ ‘ગાંડીવ’ સંસ્થા દ્વારા નટવરલાલ માળવી અને ઈશ્વરલાલ વીમાવાળા તરફથી પણ શુદ્ધ બાળસાહિત્ય પ્રાપ્ત થવા માંડ્યું. ઈશ્વરલાલ વીમાવાળાએ સાહસ અને વિજ્ઞાનની, નટવરલાલે દેશપરદેશની કથાઓને આધારે રૂપાંતરિત અને હરિપ્રસાદ વ્યાસે ‘બકોર પટેલના ૩૦ ભાગ’ નિમિત્તે ગુજરાતી બાળજગતને મનોરંજનની ચિરંજીવકથાઓ આપી. ‘ગાંડીવ’ દ્વારા બાળકોને અનુલક્ષીને થયેલાં વિષયવૈવિધ્ય ધરાવતાં આ સચિત્ર પ્રકાશનો ગુજરાતી બાળસાહિત્યનું એક સુવર્ણપૃષ્ઠ છે. આ જ અરસામાં ‘બાલજીવન’ અને ‘બાલવિનોદ’ નિમિત્તે રમણલાલ ના. શાહ, નાગરદાસ ઈ. પટેલ, સુમતિ ના. પટેલે દેશવિદેશની તથા પૌરાણિક કથાઓને રોચક શૈલીમાં બાળકો આગળ મૂકી. આ ઉપરાંત મેઘાણીએ જીવંત પાત્રાલેખન અને લોકવાણીની સમૃદ્ધિનું દર્શન કરાવતી વાર્તાઓ આપી. હંસાબહેન મહેતાએ ‘બાળવાર્તાવલિ’, ‘અરુણનું અદ્ભુત સ્વપ્ન’, ‘બાવલાનાં પરાક્રમો’, જેવાં પુસ્તકો આપ્યાં. ‘બાળમિત્ર’ના તંત્રીપદે રહી ચંદ્રશંકર મ. ભટ્ટે ‘બાળમિત્રની વાતો’, ‘સિન્દબાદ શેઠ’ ‘કુમાર વીરસેન’ અને અનેક સંગ્રહો આપ્યા. ભીખાભાઈ પુ. વ્યાસ, ‘જયભિખ્ખુ’, બચુભાઈ રાવત, હિંમતલાલ ચૂ. શાહ, નિરંજન વર્મા, જયમલ્લ પરમાર આ સમયના ઉલ્લેખપાત્ર સર્જકો છે. જયમલ્લ પરમારે તો ‘શેખચલ્લી’નું સુંદર પાત્ર આપી બાળકોને હસાવ્યાં છે. જયવતી કાજી, વિનોદિની નીલકંઠ, સુભદ્રા ગાંધી વગેરેએ પણ બાળકોને સત્વશીલ વાંચન પૂરું પાડ્યું છે. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા ધૂમકેતુનું બાળસાહિત્ય ઠીકઠીક પ્રમાણમાં પ્રકાશિત થયું હતું. રમણલાલ સોની અને જીવરામ જોશીનું ચોથા-પાંચમા દાયકાથી પ્રારંભાયેલું કામ આજે તેમના જીવનના છેલ્લા દિવસ સુધી ચાલ્યું હતું. વિપુલ બાલસાહિત્ય આપનારા આ બંને સર્જકો પાસેથી કેટલાંક વિશિષ્ટ પાત્રો પણ મળ્યાં છે. ‘ગલબો શિયાળ’ નિમિત્તે રમણલાલ સોનીએ એક વિશાળ પ્રાણીસૃષ્ટિ ઊભી કરી છે, તો બીજે છેડે વિશ્વની લોકકથાઓ પણ બાળકો સુધી પહોંચાડી છે. જીવરામ જોશીએ છકોમકો, છેલ-છબો, અડુકિયો-દડુકિયો જેવી પાત્રપ્રધાન લાંબી કથાઓ આપી છે. તેમની ‘મિયાં ફૂસકી’ની કથામાળા પણ બાળજગતમાં તેમનું નામ તરતું રાખી શકે તેમ છે. વિજયગુપ્ત મૌર્યે સુંદર પ્રાણીકથાઓ નિમિત્તે સાહસકથાઓ આપી છે તો, મૂળશંકર ભટ્ટે જુલે વર્નની વિજ્ઞાનમૂલક સાહસકથાઓનાં અનુવાદો – રૂપાન્તરો દ્વારા કિશોર માનસની જ્ઞાન અને સાહસવૃત્તિ સંતોષવાનું કામ કર્યું છે. ભારતની સ્વતંત્રતા બાદ તેમ જ ઈ. સ. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તે બાદ બાળકિશોરસાહિત્યમાં નવો જુવાળ આવ્યો લાગે છે. આગળના દાયકાઓમાં બાળકિશોર-સાહિત્યના ક્ષેત્રે જે નહોતું તેવું નવું અને જુદું પણ ઘણું ઉમેરાયું છે; જેમકે રહસ્યગર્ભ, ડિટેક્ટિવકથાઓ, વૈજ્ઞાનિક શોધો પર આધારિત દરિયાઈ-અવકાશી સાહસોની કથાઓ, સાંપ્રત જીવન સાથે સંબંધિત વિજ્ઞાનકથાઓ, પર્યાવરણવિષયક કથાઓ, બાળકો અને કિશોરોની બદલાતી માનસિકતા અને સામાજિક ભૂમિકાને સ્પર્શતી વાસ્તવનિષ્ઠ કથાઓ, રાષ્ટ્રીય ભૂમિકાએ નોંધપાત્ર સાહસ કે પરાક્રમ કરનાર વીર અને અપંગ બાળકોને બિરદાવતી કથાઓ, આધુનિક મુદ્રણકલાનો લાભ લઈ તૈયાર થયેલી ચિત્રકથાવલિઓ અને અલ્પ પ્રમાણમાં ડાયરીના સ્વરૂપે રજૂ થયેલી બાળસંવેદનાની કથાઓ — આ બધું છેલ્લા પાંચેક દાયકાની ઉપલબ્ધિ છે. બીજી નોંધપાત્ર ઘટના તે મૌલિક બાળકથાસાહિત્ય તરફનો ઝોક વધ્યો તે છે. આ સંદર્ભે નવનીત સેવક, વસંત નાયક, હરીશ નાયક, રતિલાલ નાયક, યશવંત મહેતા, રક્ષા દવે, ઈશ્વર પરમાર, નટવર પટેલ, રમેશ ત્રિવેદી, અરુણિકા દરૂ, હુંદરાજ બલવાણી, પ્રભુલાલ દોશી, જગતમિત્ર, ગિરીશ ગણાત્રા, નગેન્દ્ર વિજય, કિશોર પંડ્યા, નગીન મોદી, સાંકળચંદ પટેલ, ધીરુબહેન પટેલ, કનૈયાલાલ જોશી, સત્યમ, શિવમ્ સુંદરમ્, લાભુબહેન મહેતા, શ્રીકાંત ત્રિવેદી, ધીરજલાલ ગજ્જર, કનૈયાલાલ રામાનુજ, યશવંત કડીકર, રમેશ પારેખ વગેરેનું કામ ધ્યાનપાત્ર છે. વસંત નાયકના ‘મુરબ્બાનો ચોર’ કે ‘પેટમાં બોરડી’ને કોણ ભૂલી શકે? આ ઉપરાંત છેલ્લા ત્રણ દાયકામાં જોઈએ તો ઘનશ્યામ દેસાઈ, લાભશંકર ઠાકર, ચંદ્રકાન્ત શેઠ, હિમાંશી શેલત, શ્રદ્ધા ત્રિવેદી, પુષ્પા અંતાણી, હંસાબહેન ભટ્ટ, હંસાબહેન પટેલ, જાગૃતિ રામાનુજ, મીનાક્ષી ઠાકર, પ્રજ્ઞા પટેલ, સુધા ભટ્ટ, જગદીશ ભટ્ટ, વિનોદ ગાંધી, વિરંચિ ત્રિવેદી, સ્મિતા પારેખ, મૃદુલા માત્રાવડિયા, હેમલ ભટ્ટ, ગિરા ભટ્ટ, અંજના ભગવતી વગેરેનું પ્રદાન સત્ત્વશીલ અને નવા અભિગમો ધરાવતું રહ્યું છે. આ અરસામાં પાત્રપ્રધાન કથાઓ પણ ઠીક ઠીક પ્રમાણમાં મળી છે. જીવરામ જોષીની ‘છેલ-છબો’ની જેમ ‘બુધિયો’, ‘અડવો’, ‘માખણલાલ’, ‘મિયાં અકડુ’ જેવાં બાળકોને મનોરંજન આપતાં અનેક પાત્રો મધુસૂદન પારેખ પાસેથી મળ્યાં છે. હરીશ નાયકે એક કે તેથી વધુ પાત્રોને કેન્દ્રમાં રાખી અનેક કથાઓ અને કથામાળાઓ આપી છે. તેમની ‘અંગૂઠા વગરનો એકલવ્ય’ કે ‘નારદજીની નવી દુનિયામાં’ જેવી કથાઓમાં પૌરાણિક પાત્રોને નવી નજરે જોવાનો પ્રયાસ છે. કુમારપાળ દેસાઈ ઐતિહાસિક પાત્ર દામોદર મહેતાને ‘ડાહ્યો ડમરો’માં ચતુર બીરબલની રીતે રજૂ કરે છે અને એ રીતે ગુજરાતના એ બુદ્ધિશાળી પાત્રથી બાળકોને વાકેફ કરે છે. ગિરીશ ગણાત્રા, નગીન મોદી અને યશવંત મહેતા તેમની વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુવાળી સાહસકથાઓથી બાળપ્રિય બન્યા છે. યશવંત મહેતાની ‘જીવસટોસટ સાહસકથામાળા’, ‘બાળઆનંદ વાર્તામાળા’, ‘વિશ્વની શ્રેષ્ઠ સાહસકથાઓ’ વગેરે અનેક કથામાળાઓ બાળપ્રિય થઈ છે. પન્નાલાલ પટેલ રામ અને કૃષ્ણનો કલાત્મક રીતે પરિચય કરાવે છે. નવનીત સેવક સાહસકથાઓથી અને શ્રીકાંત ત્રિવેદી લાંબી રૂપાંતરિત કથાઓથી ખ્યાતિ પામ્યા છે. ધનંજય શાહે સોટી-પોઠીના પાત્રની શ્રેણી આપી છે. સત્યમે રોબિન્સન ક્રૂઝો અને ટારઝનનાં પરાક્રમોથી બાળકોને આકર્ષ્યાં છે. આગળ ઉલ્લેખાયેલ લેખિકાઓએ તથા અન્ય લેખિકાઓ, જેમ કે તારિણી દેસાઈ, સુશીલા ઝવેરી, નિરંજનાબહેન કલાર્થી, બેપ્સી એન્જિનિયર, મંજુ ચોકસી, શાંતા ગાંધી, રક્ષા દવે, વંદના સોલંકી વગેરેએ કૌટુંબિક-સામાજિક સંદર્ભવાળી પર્યાવરણને વિષય બનાવતી કે બાળભાવોના સૂક્ષ્મ આલેખનવાળી મૌલિક-રૂપાંતરિત વાર્તાઓ આપી છે. આઠમા-નવમા દાયકામાં રમેશ પારેખ, ઈશ્વર પરમાર, ઘનશ્યામ દેસાઈ વગેરેએ ઊંડા રસ અને પૂરી સૂઝ-સમજથી બાળસાહિત્ય સર્જ્યું છે. વળી છેલ્લા બે દાયકામાં જોઈએ તો રવીન્દ્ર અંધારિયા, કિરીટ ગોસ્વામી, દીના પંડ્યા, કાલિંદી પરીખ વગેરેનું પ્રદાન ઉલ્લેખપાત્ર છે. થોડી મોટી વયનાં બાળકો માણી શકે તેવી બાળનવલો પણ મળી છે. જેવી કે, ‘કુમાર વીરસેન’ (ચંદ્રશંકર ભટ્ટ), ‘બાવલાનાં પરાક્રમો’ (હંસા મહેતા), ‘ભોળી જમના’ (ઇન્દુપ્રસાદ ભટ્ટ અને મણિલાલ ઠાકર), ‘બાળબટુક’ (કેશવપ્રસાદ છ. દેસાઈ), ‘દેવનો દીધેલ’ (પન્નાલાલ પટેલ), ‘ગુલાબી આરસની લગ્ગી’ (હરિકૃષ્ણ પાઠક), ‘ટિલ્લી’ (મનોહર ત્રિવેદી), ‘દુર્ગાનો દીપક’ (શ્રદ્ધા ત્રિવેદી), ‘એકલવ્ય’ (કિરીટ ગોસ્વામી), ‘લાવણ્યા મોટી થાય છે’ (ગિરીશ ભટ્ટ) ‘તનુની ટોળી’ (નયના મહેતા) વગેરે. આ બધી જ રચનાઓ બાળ-કિશોરમાનસનાં વિવિધ દૃષ્ટિબિંદુઓને સ્પર્શે છે. વળી છેલ્લા ત્રણેક દાયકાઓની કથાઓમાં વિજ્ઞાનની શોધોના દુરુપયોગનાં માઠાં પરિણામોની વાત તો કેટલીક કથાઓમાં વૈજ્ઞાનિક ઉપકરણોના સદુપયોગની વાત પણ કરાઈ છે. પર્યાવરણની શુદ્ધિ માટેની જાગરૂકતા દર્શાવતી વાર્તાઓમાં શુદ્ધ હવા-પાણીની સાચવણી પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો હોય, પાણીના બગાડને અટકાવવા માટેની હિમાયત હોય એવું જોવા મળે છે. વળી કેટલીક જૂની અને જાણીતી કથાઓનું પુનર્કથન કે પુનર્લેખન પણ થતું રહ્યું છે. યોગેશ જોષી, રતિલાલ બોરીસાગર વગેરેએ ‘પંચતંત્ર’, ‘હિતોપદેશ’ કે ‘મહાભારત’ની કથાઓનું પુનર્લેખન કર્યું છે. તો શ્રદ્ધા ત્રિવેદીએ ‘૩૬૫ વાર્તાઓનો મજાનો ખજાનો’માં મોટા ભાગની પ્રચલિત કથાઓનું પુનર્લેખન કર્યું છે. રજની વ્યાસનું પ્રદાન પણ ખાસ ઉલ્લેખપાત્ર છે. તેમની ઘણી પુસ્તિકાઓ પુરસ્કૃત થઈ છે. પ્રાણીકથા નિમિત્તે બાળકોને બોધ આપવાનું વલણ ‘પંચતંત્ર’થી ચાલતું આવ્યું છે. આજે પણ પ્રાણીઓ નિમિત્તે સાંપ્રત જીવનની વાતો રજૂ થાય છે. વળી મૂળ કથાનકમાં જરાતરા ફેરફાર કરી, નવાં અર્થઘટનો પણ થાય છે. એ સાથે બાળકો માટે કેટલીક શુદ્ધ પ્રાણીકથાઓ પણ મળી છે. જેમાં પ્રાણીઓની લાગણીઓને, તેમનાં કાર્યોને અને તેમની આવડતોને લગતી વાતો મળી છે. મનુભાઈ જોધાણી, વિજય ગુપ્ત મૌર્ય, નાનુભાઈ સુરતી, કનૈયાલાલ રામાનુજ, હરજીવન સૌમેયા, વસંતલાલ પરમાર વગેરેનું કાર્ય આ સંદર્ભમાં નોંધપાત્ર છે. તેમાંય વિજયગુપ્ત મૌર્ય પાસેથી મળેલી ‘સરકસ ડૉક્ટરનાં રોમાંચક સાહસો’, ‘શેરખાન’ તથા ‘હાથીના ટોળામાં’ જેવી પ્રાણીકથાઓ વિશિષ્ટ છે. પૌરાણિક કથાઓ, પંચતંત્ર-હિતોપદેશની કથાઓ, અકબર-બીરબલની ચાતુરીકથાઓ, દેશવિદેશની પ્રચલિત કથાઓ વગેરેનું અનેક બાળસાહિત્યકારો દ્વારા પુનઃ પુનઃ લેખન થતું રહ્યું છે. મોહનભાઈ શં. પટેલ, રમણલાલ સોની, રતિલાલ નાયક, યશવંત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી, યોગેશ જોષી વગેરેનું આ ક્ષેત્રે ધ્યાનપાત્ર પ્રદાન છે. આ કથાઓ દ્વારા ગુજરાતનાં બાળકો તેમજ કિશોરોનું સરસ રીતે મનોઘડતર અને મનોરંજન થતું રહ્યું છે. બીજી એક નોંધપાત્ર બાબત એ છે કે બાળકથાઓ નિમિત્તે બાળકોને કથારસ સાથે જીવંત ભાષાનો પરિચય કરાવવાનો પ્રયત્ન પણ થાય છે. શબ્દભંડોળ, રૂઢિપ્રયોગો, કહેવતો, વાક્યોના વિવિધ લયવળોટો અને શબ્દસંગીત આ બધી બાબતોમાં તેજસ્વી બાળસાહિત્ય-સર્જકોએ સારી સભાનતા દાખવી છે. ગિજુભાઈએ આવી સભાનતા દાખવી જ હતી. તેમણે તો એક આખી પુસ્તિકા શબ્દ અને અર્થને કેન્દ્રમાં રાખી તૈયાર કરી આપી છે. ઉમિયાશંકર ઠાકરે ‘કલ્પવૃક્ષ’માં આખી વર્ણમાલાની કથાઓ આપી છે. ‘ચકલી બોલે ચીં... ચીં...’માં અનિલ જોશીએ પણ આવો જ પ્રયોગ કર્યો છે. રમણલાલ સોની, મોહનભાઈ શં. પટેલ, સુન્દરમ્, લાભશંકર ઠાકર, રમેશ પારેખ, ચંદ્રકાન્ત શેઠ, ઘનશ્યામ દેસાઈ, ઈશ્વર પરમાર, રક્ષા દવે, રતિલાલ નાયક, શ્રદ્ધા ત્રિવેદી, ઉદયન ઠક્કર વગેરેના પ્રયત્નો આ સંદર્ભે મહત્ત્વના છે. ‘લાઠાદાદાની બાળવાર્તાઓ’ (૧૯૯૪)ના પાંચ ભાગમાં બાળકોને ગુજરાતી ભાષાનું રમતિયાળ રૂપ માણવા મળે છે. તેમની વાર્તાઓમાં તરેહ-તરેહના વાક્યવિન્યાસો જાણવા મળે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં બાળસાહિત્યમાં ‘થૅન્ક યૂ’, ‘સૉરી’, ‘ગૂડ’, ‘બૅડ’, ‘મોમ’, ‘ડૅડ’, ‘મોબાઇલ’, ‘ફાઇન’, ‘બાય’ જેવા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ પણ છૂટથી થતો રહ્યો છે. બાળસાહિત્યને બાળપ્રિય બનાવવામાં ચિત્રકારોનો ફાળો ઘણો મોટો હોય છે. રવિશંકર રાવળથી માંડી કલાકાન્ત, જગમોહન મિસ્ત્રી, સોમાલાલ શાહ, ‘ચકોર’, રવિશંકર પંડિત, ‘ચંદ્ર’ ત્રિવેદી, ‘શિવ’, રજની વ્યાસ, આબિદ સુરતી, શનિ, વી. રામાનુજ, નટુ મિસ્ત્રી, રમેશ કોઠારી, સુરેશ ઓઝા, નિર્મલ સરતેજા, ફરીદ શેખ, બિપિન સથવારા, અંકુર સૂચક, દીપક ઠાકોર, મયૂર મિસ્ત્રી વગેરે ચિત્રકારોએ બાળસાહિત્યને પોતાની કલાનો લાભ આપ્યો છે. ‘ચંદ્ર ત્રિવેદી’, સુરેશ ઓઝા, રજની વ્યાસ જેવા તો ચિત્ર અને કથન બંનેમાં સરખું પ્રભુત્વ ધરાવે છે. શ્રી રવિશંકર પંડિત, ‘ચંદ્ર’ ત્રિવેદી અને ‘શિવ’ જેવા ચિત્રકારોએ જીવરામ જોષીનાં મિયાં ફુસકી, તભા ભટ્ટ, અડુકિયો-દડુકિયો જેવાં પાત્રોનું સુંદર ચિત્રાંકન કરીને તેમને લોકપ્રિયતા અપાવી છે. બાળવાર્તામાં ચિત્રો તો ખરાં જ; સાથે જ ચિત્રકથાઓનો પ્રવાહ પણ ‘ઝગમગ’ અને ‘રમકડું’થી આજ સુધી વહેતો રહેલો જોવા મળે છે. મુંબઈના સુપ્રસિદ્ધ પ્રકાશક ‘ઇન્ડિયા બુક હાઉસ’ થકી અનંત પાઈ દ્વારા સંપાદિત ‘અમર ચિત્રકથા’ની સેંકડો ચિત્રવાર્તાઓ પંદરેક ભાષાઓમાં પ્રકાશિત થઈ છે. આજે પણ નવાં નવાં પાત્રોવાળી, ઐતિહાસિક કે કાલ્પનિક, સામાજિક કે વૈજ્ઞાનિક ચિત્રકથાઓ સાપ્તાહિકોમાં આવે છે તેમજ તે ચિત્રકથાનાં પુસ્તકો પણ પ્રકટ થાય છે. અક્ષરા પ્રકાશનનું કાર્ય આ સંદર્ભે ધ્યાનપાત્ર છે. બાળકાવ્ય અને બાળવાર્તાની સરખામણીમાં બાળનાટકના ક્ષેત્રે પ્રમાણમાં ઓછું કાર્ય થયું છે. ગિજુભાઈ પહેલાં કોઈ નોંધપાત્ર બાળનાટક ક્યાંય ઉલ્લેખાયું નથી. ‘દક્ષિણામૂર્તિ’ નિમિત્તે એમણે બાળકો ભજવી શકે તેવાં નાટકો બે ભાગમાં પ્રકાશિત કર્યાં. જુગતરામ દવેએ ‘આંધળાનું ગાડું’, ‘ગાલ્લી મારી ઘરર જાય’ – જેવાં નાટકો આપી આ ક્ષેત્રમાં સુંદર ભૂમિકા ઊભી કરી. એ જ અરસામાં ‘ગાંડીવ’ તરફથી બાળકો માટેની નાટ્ય શ્રેણી ‘ચાલો ભજવીએ’ પ્રકટ થઈ. આજ સુધી પ્રકાશિત થયેલાં સારાં બાળનાટકોનો વિચાર કરીએ તો તેમાં જયંતિ દલાલનાં ‘રંગતોરણ’, ‘રંગદ્વાર’ આદિ, કિસ્મત કુરેશીનું ‘ઈશ્વરનું મંદિર’, ગૌરીશંકર ચતુર્વેદીનાં ‘બાળકોનો બાંધવ’, ‘બાળકોનો બેલી કોણ?’, જેઠાલાલ ચૌધરીનાં ‘અંતરનાં અજવાળાં’, ‘બાળકોનું બલિદાન’, ‘ભોળી સુભદ્રા’ વગેરે નોંધપાત્ર છે. મુંબઈ ખાતે પ્રાગજી ડોસાએ છેલ્લા શ્વાસ સુધી બાળનાટકોની સેવા કરેલી. તેમનો ‘એકલવ્ય અને બીજી બાલનાટિકાઓ’ નોંધપાત્ર સંગ્રહ છે. બાળકોને ભજવવાનું મન થાય તેવાં નાટકો ચં. ચી. મહેતા (‘રમકડાંની દુકાન’, ‘સંતાકૂકડી’ વગેરે), કૃષ્ણલાલ શ્રીધરાણી (‘બાળરાજા’, ‘સોનપરી’ વગેરે), દુર્ગેશ શુક્લ (‘ઉત્સવિકા’, ‘કીડીબાઈનો શાપ’ વગેરે) યશવંત પંડ્યા (‘બાળનાટકો’), વનલીલા મહેતા વગેરેએ આપીને બાળરંગભૂમિના વિકાસ માટે ઉલ્લેખનીય પ્રયાસ કર્યો છે. શ્રીપાલ થિયેટર દ્વારા પોતાની વાર્તાઓનાં નાટ્યરૂપાંતરો ભજવીને જીવરામ જોષીએ બાળકોનો પ્રેમ પ્રાપ્ત કર્યો છે, શાંતા ગાંધીનાં ‘આ રોટલી કોણ ખાશે?’ ‘એકલવ્ય’, ‘જીવ અને સજીવ’ તથા ‘પુસ્તકરાજ’ નાટકો બાળપ્રિય થયાં હતાં. લીના મંગલદાસે આપેલાં ‘આસમાની ચકલી’, ‘બાલભારત’, ‘ઈસુ જીવનદર્શન’ વગેરે સારી રીતે ભજવાયેલાં નાટકો છે. આ ઉપરાંત પ્રકાશ લાલા, જ્યોતિર્ રાવળ, ઇન્દુ પુવાર, ચંદ્રકાન્ત અમીન, ધીરુબહેન પટેલ, નટવર પટેલ, નિરંજના વોરા, નીલમ દોશી વગેરેનાં કેટલાંક નાટકો રેડિયો, ટી.વી. તેમજ રંગભૂમિ પર ભજવાતાં રહ્યાં છે. હુંદરાજ બલવાણી, શ્રદ્ધા ત્રિવેદી, કિરીટ પુરોહિત વગેરેએ પણ નાટક ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. ઇન્દુ પુવારે તો બાળકો માટે થિયેટર-પ્રવૃત્તિ પણ ચલાવેલી. ચંદ્રકાન્ત ઠક્કરનું કાર્ય પણ આ સંદર્ભે ખૂબ મૂલ્યવાન છે. રમણલાલ સોનીનું પણ આ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન છે. ‘વંદે માતરમ્’ તેમનું ખૂબ ભજવાયેલું નાટક છે. ‘બાળનાટકો’માં તેમનાં અનેક નાટકો સંગ્રહીત થયાં છે. જનક દવેનું ‘રંગલો ચાલ્યો ફરવા’ સરળ રજૂઆત અને મંચનક્ષમતાને લીધે ધ્યાનપાત્ર છે. તેમણે ગિજુભાઈના ‘મા-બાપ થવું આકરું છે’માંના લેખોનું ‘નાટક ખેલે બાલગોપાલા’માં કરેલું ભવાઈશૈલીનું નાટ્યરૂપાંતર ખાસ ઉલ્લેખનીય છે. તો તેમણે ‘બાળનાટ્ય-દિગ્દર્શનકલા’ નામની પુસ્તિકામાં બાળનાટકની સિદ્ધાંતલક્ષી ચર્ચા કરી છે. રાજકોટમાં શ્રી અમૂલખ ભટ્ટ ‘કલરવ’ સંસ્થા દ્વારા બાળકોને અભિનયની તાલીમ અને લેખકોને બાળનાટ્યલેખનની તક આપે છે. તેમણે ૨૦૧૮માં બાળનાટકોનું સરસ સંપાદન કરી આપ્યું છે. બાળનાટકની સરખામણીમાં બાળચરિત્રોનો પ્રવાહ વધુ સમૃદ્ધ છે. બાળકથાની જેમ તેનો પ્રારંભ પણ ભાષાંતરથી થયો છે. પ્રાણલાલ મથુરદાસ અને આનંદરાવ ચાંપાજીએ રૉબર્ટસનના અંગ્રેજી પુસ્તકના તરજુમા રૂપે આપેલું ‘કોલંબસનો વૃત્તાંત’(૧૮૩૯) પહેલું ભાષાંતરિત જીવનચરિત્ર ગણાય છે. એ પછી કેટલાંક બાળોપયોગી ચરિત્રો મળ્યાં છે પણ તે બાળભોગ્ય રીતે લખાયેલાં નથી. છેક ગિજુભાઈ પાસેથી ‘કથાનાટ્ય ગ્રન્થમાળા’ નિમિત્તે ‘શિવાજી મહારાજ’, ‘હરિશ્ચંદ્ર’ ‘બુદ્ધચરિત્ર’, ‘ગોપીચંદ’ – જેવાં નવી ભાત પાડતાં ખરેખરાં બાળભોગ્ય ચરિત્રો મળ્યાં છે. એ જ રીતે જુગતરામ દવેએ આપેલું ‘બાળકોના ગાંધીજી’ ભાષા અને રજૂઆતરીતિથી બાળકોને આકર્ષે તેવું બન્યું છે. ‘આદર્શ ચરિત્રાવલિ’ નિમિત્તે બાળકોને મહાપુરુષોનાં ચરિત્રો આપવાનો પ્રયત્ન ધીરજલાલ ભટ્ટ દ્વારા થયો છે પણ તે માત્ર બાળકોને જ કેન્દ્રમાં રાખી લખાયાં નથી. ધીરજલાલ ટો. શાહે ચારિત્ર્યઘડતરના હેતુથી ‘બાલગ્રન્થાવલિ’ અને ‘કુમારગ્રન્થમાળા’ નિમિત્તે ઘણાં ચરિત્રો આપ્યાં છે. નાગરદાસ ઈ. પટેલ (‘મીરાંબાઈ’, નરસૈયો’ વગેરે) અને પુરાતન બૂચ (‘આપણા સરદાર’, ‘આપણા જવાહર’ વગેરે) તેમની રસિક રજૂઆતથી અને મનુભાઈ જોધાણી લુપ્ત થતાં જતાં ગ્રામ વ્યવસાયો અને વ્યવસાયીઓનાં સુંદર શબ્દચિત્રોથી (‘જનપદ’, ૧-૩) ધ્યાનપાત્ર છે. કેટલાકે વૈજ્ઞાનિકોનાં જીવનચરિત્રો આપ્યાં છે. ભાષા થોડી અઘરી પડે છતાં ડુંગરસી ધરમસી સંપટનો ‘બાલસંસ્કારમાળા’ નિમિત્તે આ ક્ષેત્રનો પ્રયાસ પણ ઉલ્લેખનીય છે. ‘સયાજી બાલજ્ઞાનમાળા’ નિમિત્તે દેશભક્તો અને ઐતિહાસિક વ્યક્તિઓના અધિકારી લેખકો દ્વારા થયેલાં ચરિત્રનિરૂપણો એક સબળ પ્રકાશન છે. ‘બાલભારતી પુસ્તકશ્રેણી’ (૧૯૭૫)માં જુદા જુદા લેખકો પાસેથી જુદા જુદા ક્ષેત્રનાં મહાન નરનારીઓનો સુભગ પરિચય કરાવવામાં આવ્યો છે, ધનવંત ઓઝાએ ૧૨૦ જેટલાં ચરિત્રો આપ્યાં છે. આ બધામાં વલ્લભદાસ અક્કડ પાસેથી મળેલી ‘કવિઓ અને વિદ્વાનો’(૧૯૬૨) તેમાંના વર્ણ્યવિષયને કારણે અલગ તરી આવે છે. આણંદની ચરોતર એજ્યુકેશન સોસાયટીને ઉપક્રમે રસૂલભાઈ વોરાનાં ૪૦ ઉપરાંત ચરિત્રો પ્રકટ થયાં હતાં. સોમાભાઈ ભાવસાર, ‘જયભિખ્ખુ’, ભોગીલાલ ગાંધી, મનુબહેન ગાંધી, રમણલાલ પી. સોની, સત્યમ્, રમણલાલ ના. શાહ, ઈન્દ્ર વસાવડા, અશોક હર્ષ, મનુ પંડિત, ધીરજલાલ ગજ્જર, મનુભાઈ ભટ્ટ, વીણા શાહ, ઉપેન્દ્ર ભટ્ટ, ચંદ્રભાઈ કા. ભટ્ટ, ગોપાળદાસ પટેલ, મુકુલભાઈ કલાર્થી વગેરેનું પ્રદાન ઉલ્લેખનીય છે. વળી રોચક શૈલી, માહિતીપ્રદતા અને ચિત્રાત્મક રજૂઆતથી ઉષા જોશી, યશવંત મહેતા અને વસંત નાયકનાં ચરિત્રાત્મક પુસ્તકો ઠીક ઠીક આકર્ષક બન્યાં છે. ઉષાબહેને પિતા ધૂમકેતુના જીવનઘડતરની વાતોના ૧૧ ભાગ તો આપ્યા છે, તે ઉપરાંત ઇન્દિરા ગાંધી, વિક્રમ સારાભાઈ, સરદાર, રાજા રામન્ના વગેરેનાં ચરિત્રો પણ આપ્યાં છે. ભારતની પહેલી સ્ત્રી પાઇલટ પ્રેમ માથુરનું વસંત નાયકે ‘પહેલી પાઇલટ’માં સુંદર ચિત્રણ કર્યું છે. યશવંત મહેતાએ ‘ભગિની નિવેદિતા’, ‘વિજ્ઞાનના મરજીવા’, ‘મહાન મુસાફરો’ વગેરેમાં રસાળ ચરિત્રો આપ્યાં છે. લાલબહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, લલિતાબહેન શાસ્ત્રી તથા સમકાલીનો વિશે પણ તેમણે લખ્યું છે. તેમણે તો કલ્પના ચાવલા, બિલ ગેટ્સ, બરાક ઓબામા વગેરેની ચરિત્રકથાઓ પણ આપી છે. ગૂર્જર પ્રકાશિત શ્રેણી ‘વિદ્યાર્થી વાચનમાળા’ના અન્વયે જયભિખ્ખુએ પચાસેક ચરિત્રો આપ્યાં છે. કુમારપાળ દેસાઈએ જવાહરલાલ નહેરુ, શાસ્ત્રીજી, વીર રામમૂર્તિ, સી. કે. નાયડુ વગેરેનાં ચરિત્રો આપ્યાં છે તેમ જ અપંગ હોવા છતાં રમતગમતના ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનારાની વાતો ‘અપંગના ઓજસ’માં આપી છે. પોપટલાલ મંડલીએ વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવોનાં ચરિત્રો આપ્યાં છે. આ ક્ષેત્રે ધારણા શેઠે આપેલી ચરિત્રમાળા ખાસ ઉલ્લેખપાત્ર છે. લતા હિરાણીએ કિરણ બેદી અને અશ્વિન ચંદારાણાએ બિલ ગેટ્સનાં ચરિત્રો આપ્યાં છે તે ખૂબ પ્રિય થયાં છે. આ ક્ષેત્રે અનેક સંસ્થાઓનું કાર્ય પણ સતત ચાલતું રહ્યું છે. આ મુખ્ય સ્વરૂપો ઉપરાંત અન્ય રીતે પણ બાળસાહિત્યમાં કામ થતું રહ્યું છે. બાળભોગ્ય નિબંધોમાં જોઈએ તો ગિજુભાઈએ બાળકની આસપાસના પરિસરમાં આવતા અને તેમણે જાણવું જરૂરી હોય તેવા વિષયો પર ટૂંકા સરસ નિબંધો આપ્યાં છે. એ પછી એવા રસપ્રદ નિબંધો ઝાઝા જોવા મળ્યા નથી. ઈ.સ. ૧૯૮૯માં યોગેશ જોશી ‘પતંગની પાંખે’માં તેનું અનુસંધાન જોવા મળે છે. પાઠ્યપુસ્તક નિમિત્તે ચંદ્રકાન્ત સેઠ અને અન્ય દ્વારા સારા પ્રયત્નો થયા છે. સ્વરૂપ-દૃષ્ટિએ નવીનતા ધરાવતી ‘પરાગની નોંધપોથી’ (લે. મોહનભાઈ શં. પટેલ) તેમાંની સામગ્રી, સચિત્રતા, રસાળતા અને ગદ્યના બાળભોગ્ય લયલહેકાઓને કારણે આસ્વાદ્ય બને છે. ગુજરાતી બાળસાહિત્યના વિકાસ-પ્રચારમાં પ્રારંભથી અનેક સંસ્થાઓનું યોગદાન રહ્યું છે. ‘દક્ષિણામૂર્તિ’થી આરંભી ગૂજરાત વિદ્યાપીઠ, ચરોતર એજ્યુકેશન સોસાયટી, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, ચિલ્ડ્રન યુનિવર્સિટી જેવી અનેક સંસ્થાઓ અને અનેક ખાનગી પ્રકાશનસંસ્થાઓ આ ક્ષેત્રે સક્રિય છે. વળી ગુજરાતી બાળસાહિત્ય એ બીજી રીતે પણ સદ્ભાગી છે કે તેને પ્રારંભથી સામયિકો તરફથી પીઠબળ મળતું રહ્યું છે. ૧૮૬૨થી શરૂ થયેલા ‘સત્યોદય’થી આજસુધી અનેક સામયિકો-સાપ્તાહિકો અને સાથે સાથે દૈનિકોમાં પણ સ્થાન મળતું રહ્યું છે. અને તે રીતે બાળકોનાં મનોરંજન અને મનોઘડતરનું કામ થતું રહ્યું છે. ચિલ્ડ્રન્સ બુક ટ્રસ્ટ (CBT) અને નૅશનલ બુક ટ્રસ્ટ (NBT) જેવી સંસ્થાઓ તથા પ્રકાશકો દ્વારા અવારનવાર પુસ્તકોના મેળા ભરાય છે. વળી બાળસાહિત્યના વિકાસ માટે અનેક સંસ્થાઓ દ્વારા અનુદાન અને પુરસ્કારોની યોજનાઓ પણ અમલમાં છે. આ સંદર્ભે ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદનું કાર્ય ઘણું મૂલ્યવાન છે. દિલ્હીની NCERT તરફથી થોડાં વર્ષો સુધી દર બે વર્ષે વયજૂથ પ્રમાણે પુરસ્કાર અપાતો હતો. ઈ.સ. ૨૦૧૦થી દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી ભારતની દરેક ભાષામાં રૂ. ૫૦,૦૦૦/-નો ‘બાળસાહિત્ય પુરસ્કાર’ અપાય છે. બાળસાહિત્ય અકાદમી છેલ્લા બે દાયકાથી પરિસંવાદો યોજે છે, બાળસાહિત્યકારોનું સન્માન કરે છે અને પુસ્તિકાઓ પ્રકાશિત કરે છે. છેલ્લાં થોડાં વર્ષોથી બાળકો માટે કોશપ્રવૃત્તિ શરૂ થઈ છે. તેમજ બાળસાહિત્યની જુદી જુદી બાબતો, સિદ્ધાંત, સ્વરૂપો આદિ વિશે સંશોધનો પણ થાય છે. રજની વ્યાસ દ્વારા ૧૯૯૪ના ૧૦ ભાગ દ્વારા બંસીધર શુક્લે બાળકોને અનેક વિષયોની સચિત્ર માહિતી આપી છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે ‘ગુજરાતી બાળવિશ્વકોશ’નું વ્યવસ્થિત કાર્ય શરૂ થયું છે અને ઈ.સ. ૨૦૦૯થી ૨૦૧૮ સુધીમાં તેના આઠ ભાગ પ્રકાશિત થઈ ગયા છે. સંશોધનના સંદર્ભમાં જોઈએ તો લગભગ ૬થી આઠ સંશોધકોએ બાળસાહિત્યના જુદાજુદા વિષયોને કેન્દ્રમાં રાખીને પીએચ.ડી. કર્યું છે. વળી ગિજુભાઈ, મૂળશંકર ભટ્ટ, મોહનભાઈ શં. પટેલ, ભારતીબહેન ઝવેરી, રતિલાલ નાયક, શ્રદ્ધા ત્રિવેદી, કુમારપાળ દેસાઈ, ચંદ્રકાન્ત શેઠ વગેરે તજ્જ્ઞો દ્વારા પાયાના સિદ્ધાંતોની ચર્ચાવિચારણા થઈ છે અને સંદર્ભગ્રંથો પણ તૈયાર થયા છે. આમ હવે બાળસાહિત્યમાં સર્જન-સંપાદન-વિવેચન-સંશોધન — એમ વિવિધ આયામોથી કાર્ય થઈ રહ્યું છે. આમ રૂપાન્તરથી પ્રારંભાયેલા ગુજરાતી બાળસાહિત્યે આજે ઠીક ઠીક ગજું કાઢ્યું છે અને અનેક સ્વરૂપે મહોર્યું છે. તેના વિષયોનો વ્યાપ પણ વધતો રહ્યો છે. કુટુંબ, સમાજ, ઇતિહાસ-ભૂગોળ, વિજ્ઞાન, પર્યાવરણ, વનસંસ્કૃતિ અને નગરસંસ્કૃતિ કે ભૂતકાળ કે વર્તમાન — આ સર્વને તેણે પોતાનામાં ઝીલ્યાં છે. એટલું જ નહીં, તે ભાવિના સંકેતો પણ સમજી શકે છે. સાથે જ મૌલિકતા અને બાળમાનસની અભિવ્યક્તિનો આગ્રહ રાખ્યો છે. આ બધાંને કારણે તેનું ભવિષ્ય ઉજ્જ્વળ છે. શ્ર.ત્રિ.