ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/જીવાભાઇ રેવાભાઈ પટેલ
એઓ જાતે લેઉઆ પાટીદાર; અને મૂળ વતની કરમસદના છે. હમણાં તેઓ ઉમરેઠમાં વકીલાત કરે છે. એમના પિતાનું નામ રેવાભાઇ અને માતાનું નામ કસનબા છે. એમનો જન્મ સં. ૧૯૩૨ માં ભાદરણમાં થયો હતો; અને લગ્ન સં. ૧૯૪૪માં આણંદ તાલુકાના ચીખેદ્રા ગામમાં સૌ. હીરાબ્હેન સાથે થયું હતું. પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ એમણે કરમસદમાં લીધેલું; અને ઉંચી કેળવણી વડોદરામાં લીધેલી. તેઓએ સન ૧૮૯૬ માં બી. એ. ની પરીક્ષા વડોદરા કૉલેજમાંથી પાસ કરી હતી. એ પરીક્ષામાં સંસ્કૃતમાં ઉંચા માર્કસ મળવાથી તેમને ભાઉ દાજી પ્રાઇઝ મળ્યું હતું, જે માન મેળવનાર ગુજરાતીઓ બહુ થોડી સંખ્યામાં મળી આવશે. સન ૧૮૯૮માં એલ એલ. બી થયા; અને તે પછી ઉમરેઠમાં વકીલાત કરવા માંડી. સન ૧૯૧૩ માં ડાકોરના રણછોડરાયના મંદિરના મેનેજરની જગા મળતાં વકીલાત છોડી. પણ દશ વર્ષ પછી એ જગાનું રાજીનામું આપી ફરીથી વકીલાત શરૂ કરી છે. અસહકારની ચળવળ વખતે તેમણે ઠાસરા તાલુકા સમિતિના સર નસિન તરીકે સારૂં કામ કર્યું હતું. મુંબાઈની કાઉન્સિલમાં પણ લોકનિયુક્ત સભાસદ તરીકે સન ૧૯૨૬-૨૯ માં જઈ આવ્યા હતા. લેખનવાચનનો શોખ શરૂઆતથી; અને તેમાં શ્રીયુત મોતીલાલ અમીન જેવા તરફથી એમને પ્રેત્સાહન મળતું રહેતું તેથી તેમણે નવરાશનો સમય સારા ગ્રંથોનાં ગુજરાતીમાં અનુવાદ કરવામાં ગાળેલો છે અને એ અનુવાદો, જેને તરજુમીઆ-શુષ્ક કહીએ એવાં નહિ; પણ જે વાંચતાં આનંદ પડે એવાં થયલાં છે; અને તે ઉપયોગી કૃતિઓ છે.
: : એમના ગ્રંથો : :
| ૧. | હેન્રી ફોસેટનું જીવનચરિત્ર | સન ૧૯૦૨ |
| ૨. | ઇલિઝાબેથ રાણીનો સમય | ” ૧૯૦૬ |
| ૩. | જીવનનો આદર્શ | ” ૧૯૦૭ |
| ૪. | સ્ત્રીઓની પરાધીનતા | ” ૧૯૦૮ |
| ૫. | સુખ અને શાન્તિ | ” ૧૯૧૬ |
| ૬. | ઇંગ્રેજી રાજ્યબંધારણ | ” ૧૯૨૧ |
| ૭. | દાનવીર એન્ડ્રુ કાર્નેગી | ” ૧૯૨૬ |