ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/પ્રભુદાસ લાધાભાઈ મોદી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પ્રભુદાસ લાધાભાઈ મોદી

એઓ જ્ઞાતે કપોળ વણિક છે; વતની ભાવનગર તાબે સાવર કુંડલાના અને જન્મ પણ એ જ સ્થળે સને ૧૮૮૨માં થયો હતો. એમના પિતાશ્રીનું નામ લાધાભાઈ વહાલજી મોદી અને માતાનું નામ કડવીબાઈ હતું. એમનું પ્રથમ લગ્ન ૨૨ મે વર્ષે ઝીંઝુડા ગામે સંતોકબાઈ સાથે થયું હતું. બીજું લગ્ન ૨૯ મા વર્ષે ધોકડવા સંતોકબાઈ સાથે અને ત્રીજું લગ્ન ૪૦ મા વર્ષે હરિપરમાં ગોકુળબાઈ સાથે થયું હતું. એમણે મેટ્રિક્યુલેશન સુધી અભ્યાસ કરેલો છે અને તે અભ્યાસ દરમિયાન એમણે ઇનામ અને ભાવનગરના મહારાજાની સ્કોલરશીપો મેળવી હતી. હાલમાં તેઓ ‘સાંજ વર્ત્તમાન’ના સહતંત્રી છે. સ્વ. મણિલાલ નભુભાઈના સિદ્ધાન્તસાર તેમજ સ્વ. ગોવર્ધનરામ રચિત સરસ્વતીચંદ્ર એમનાં પ્રિય પુસ્તકો છે; અને સાહિત્ય માટે પક્ષપાત છે. એક પત્રકાર તરીકે મુંબાઈમાં એમણે સારી કીર્તિ સંપાદન કરેલી છે; તેમ કપોળ કેલેન્ડર, કપોળ ડિરેક્ટરી, કપોળ અગ્રેસરમાળા રચીને એમણે જ્ઞાતિની ઉપયુક્ત સેવા બજોવેલી છે. કેટલોક સમય એમણે જ્ઞાતિપત્ર “કપોળ” એડિટ કર્યું હતું.

: : એમની કૃતિઓ : :

કપોળ કેલેન્ડર સન ૧૯૦૫
કપોળ ડિરેક્ટરી  ”  ૧૯૦૭
વિનોદ વાર્તામાળા  ”  ૧૯૧૨
કપોળ અગ્રેસરમાળા, ભા. ૧  ”  ૧૯૧૫
ભા. ૨  ”  ૧૯૧૭
આપ્ત વચનો  ”  ૧૯૧૮