zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/કૂકડાનું ગીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કૂકડાનું ગીત

લેખક : કૃષ્ણલાલ શ્રીધરાણી
(1911-1960)

અમે તો સૂરજના છડીદાર,
અમે તો પ્રભાતના પોકાર !... ધ્રુવ.

સૂરજ આવશે સાત ઘોડલે,
અરુણ રથ વ્હાનાર !
આગે ચાલું બંદી બાંકો,
પ્રકાશ-ગીત ગાનાર !...અમે૦

નીંદરને પારણિયે ઝૂલે,
ધરા પડી સૂનકાર !
ચાર દિશાના કાન ગજાવી,
જગને જગાડનાર !...અમે૦

પ્રભાતનાયે પ્રથમ પ્હોરમાં
ગાન અમે ગાનાર !
ઊંઘ ભરેલાં સર્વ પોપચે
જાગૃતિ-રસ પાનાર !..અમે૦

જાગો, ઊઠો ભોર થઈ છે,
શૂરા બનો તૈયાર !
સંજીવનનો મંત્ર અમારો,
સકલ વેદનો સાર !...અમે૦

જાગે જગના પ્રાણ સહુ પણ,
વ્યર્થ બધો પોકાર !
આભ ચીરું હું તોય ન પહોંચે,
નાદ મૃત્યુને પાર !... અમે૦

મૃત્યુ કેરી નીંદ ચિરંતન,
ક્યાં છે જગાડનાર ?
સૂર્યકિરણ જે પાર ન પહોંચે,
શા ખપનો છડીદાર ?
અમે તો સૂરજના છડીદાર,
અમે તો પ્રભાતના પોકાર !