બાળ કાવ્ય સંપદા/પ્રભુ પ્રાર્થના વિશે
લેખક : ન્હાનાલાલ
(1877-1946)
(શિખરિણી)
પ્રભુ અંતર્યામી, જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના;
નમું છું વંદું છું વિમલમુખ સ્વામી જગતના. ૧
સઉ અદ્ભુતોમાં, તુજ સ્વરૂપ અદ્ભુત નીરખું,
મહાજ્યોતિ જેવું, નયન શશી ને સૂર્ય સરખું;
દિશાની ગુફાઓ પૃથિવી ઊંડું આકાશ ભરતો,
પ્રભાતે સૌથી એ, પર પરમ તું દૂર ઊડતો. ૨
પ્રભો તું આદિ છે, શુચિ પુરુષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પ્રલયે નાથ તું જ છે;
અમારા ધર્મોનો, અહરનિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું, શિવસદન કલ્યાણ તું જ છે. ૩
પિતા છે એકાકી, જળ સકળ ને ચેતન તણો,
ગુરુ છે મોટો છે, જનકુલ તણો પૂજ્ય તું ઘણો;
ત્રણે લોકે દેવા, નથી તુજ સમો અન્ય ન થશે,
વિભુ રાયા તુંથી, અધિક પછી તો કોણ જ હશે ? ૪
વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આધેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો;
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટી વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો. ૫
અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા;
ઊંડા અંધારેથી, પ્રભુ પરમ તેજે તું લઈ જા,
મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા,
તું હીણો હું છું તો, તુજ દરસનાં દાન દઈ જા. ૬
પિતા પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી, સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે, મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ મહાસાગર ભણી. ૭
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇન્દ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ અશુભ જે કાંઈક કરું,
ક્ષમા દૃષ્ટે જો જો, તુજ ચરણમાં નાથજી ધરું. ૮