zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/વસંતઋતુનું વર્ણન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વસંતઋતુનું વર્ણન

લેખક : દલપતરામ
(1820-1898)

(તા. 10મી ફેબ્રુઆરીથી તા. 9મી એપ્રિલ સુધી)
ઉપજાતિ વૃત્ત

રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો,
મુકામ તેણે વનમાં જમાવ્યો;
તરુવરોએ શણગાર કીધો,
જાણે વસંતે શિરપાવ દીધો.
જૂનાં જૂનાં પત્ર ગયાં ખરીને,
શોભે તરુ પત્ર નવાં ધરીને;
જાણે નવાં વસ્ત્ર ધર્યાં ઉજાળી,
સમીપમાં લગ્નસરા નિહાળી.
આંબે જુઓ મ્હોર અપાર આવ્યો,
જાણે ખજાનો ભરી મ્હોર લાવ્યો;
જો કોકિલા ગાન રૂડું કરે છે,
વસંતના શું જશ ઉચ્ચરે છે ?
બોલે મીઠું કોકિલ એક જ્યારે,
વાદે બીજા એથી મીઠું ઉચારે,
વિવાદ જાણે કવિઓ કરે છે,
વખાણ લેવા સ્પરધા ધરે છે.
ચોપાનિયાં પુસ્તક જો પ્રકાશે,
ભલું જ તેથી નૃપરાજ્ય ભાસે;
તથા*[1] તરુ શોભિત પુષ્પ ભારે,
તો કેમ આંબા નહિ પુષ્પ તારે ?
સુશોભિતો થા હરિને પ્રતાપે,
પ્રભુ તને ઉત્તમ પુષ્પ આપે;
સ્તુતિ કરી ભાગ્ય પ્રભુ સમીપે,
સુપુષ્પથી સુંદર દેહ દીપે.


  1. (* જે રાજાના રાજ્યમાં ચોપાનિયાં કે પુસ્તક પ્રગટ થતાં નથી તેને ઉદ્દેશીને આંબા પ્રતિ અન્યોક્તિ કહે છે.)