ભરત વિંઝુડાની ગઝલસંપદા/સહેજે નહીં
Jump to navigation
Jump to search
૪૬
સહેજે નહીં
સહેજે નહીં
જીવું છું એમ સળવળવાનું, ટળવળવાનું સહેજે નહીં,
કવિતાઓ જ લખવાની બીજું કરવાનું સહેજે નહીં!
ભીતરમાં ને ભીતરમાં નાહી ધોઈ સૂઈ જાવાનું,
ઉઘાડી દ્વાર ઘરની બહાર નીકળવાનું સહેજે નહીં!
મહોબતનો કરી સ્વીકાર એવી શર્ત રાખે છે,
નજર સામે જ રહેવાનું અને મળવાનું સહેજે નહીં!
તમે એ બે જણાં વચ્ચેનું સંપર્કસૂત્ર સમજાવો,
કહેવાનું બધું ને સામે સાંભળવાનું સહેજે નહીં!
અગર આંખોમાં આવે આંસુ તો એકાંતમાં જઈને,
વહાવી નાખવાના એને પણ રડવાનું સહેજે નહીં!
બધાં એ રોશનીમાં શોભી ઊઠે એવું કરવાનું,
દીવાએ માત્ર બળવાનું છે, ઝળહળવાનું સહેજે નહીં!
(તમે કવિતા છો)