સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/જયંત કોઠારીનું વિવેચન


(૫) જયંત કોઠારીનું વિવેચન : આગવું પદ્ધતિશાસ્ત્ર અને વૈચારિક વિશદતા

‘ગુજરાતીનો અધ્યાપકસંઘે’ જયંત કોઠારીના કાર્ય અને પ્રદાન વિશે આ એક આખી ચર્ચાબેઠક રાખીને મહત્ત્વના ઋણસ્વીકારનું કામ કર્યું છે. કેમ કે સાહિત્યશિક્ષણ ને વિવેચન-સંશોધનમાં જયંતભાઈનું મોટું ને મહત્ત્વનું કામ છે એ તો ખરું જ, પણ અધ્યાપકસંઘને વિશેષ પ્રાણવાન ને ક્રિયાશીલ કરવામાં પણ એમનો મોટો ફાળો રહેલો. સંઘની કોઈપણ પ્રવૃત્તિમાં એમનું સ્મરણ રહ્યા કરે એટલાં સૂઝ ને નિસબતથી એ સંકળાયેલા રહ્યા હતા. વિવેચન-સંશોધન-સંપાદનનાં ક્ષેત્રોમાં એમની લગભગ ચાર દાયકાની સાધના હતી ને એ નાનાં-મોટાં પચાસેક પુસ્તકોમાં પ્રતિફલિત થયેલી છે. એમનું પ્રત્યેક કામ સંગીન અને નક્કર છે એ તો સાચું જ, પણ એ ઉપરાંત એનું ફલક પણ ઘણા વ્યાપ ને વૈવિધ્યવાળું છે. સિદ્ધાન્તવિચાર અને સ્વરૂપચર્ચા; મૂલ્યાંકનો અને સમીક્ષાઓ; પ્રવાહદર્શન અને સર્જક-અભ્યાસો, સંશોધનો અને ઝીણવટભર્યાં પરીક્ષણો; તુલનાલક્ષી કૃતિસંપાદનો અને કોશ-સૂચિ-ગ્રંથોનાં સંપાદનો તેમ વિદ્યાર્થીઓ માટેની દૃષ્ટિપૂર્ણ પાઠ્યસામગ્રીસંદર્ભે સાહિત્યવિચારની સાથેસાથે જ ભાષાવિચાર અને વ્યાકરણના ક્ષેત્ર સુધી એમની વિદ્યાકીય કામગીરી વિસ્તરી છે. એ બધાની તપાસ માટે એક વક્તવ્ય તો ઘણું અપર્યાપ્ત લેખાય. એટલે અહીં એમની વિવેચનદૃષ્ટિ-પદ્ધતિ વિશે ને એમના પ્રદાન વિશે થોડાંક વ્યાપક નિરીક્ષણો આપવા ધારું છું. જયંતભાઈએ સાહિત્ય પરિષદના પૂના-અધિવેશનમાં વિવેચનવિભાગના અધ્યક્ષીય વકતવ્યમાં વિવેચક માટેની એમની અપેક્ષા રજૂ કરતાં કહેલું કે ‘હું સંસ્કૃત કે પાશ્ચાત્ય સાહિત્યવિચારણાનો અભ્યાસ કરું છું ત્યારે વિવેચક એટલે કે સાહિત્યવિચારકની એક મોટી મૂર્તિ મારી સમક્ષ ખડી થાય છે. સૂક્ષ્મ પર્યેષક બુદ્ધિથી અને મૌલિક દૃષ્ટિથી સાહિત્યવિચારનાં નૂતન પરિમાણો પ્રગટ કરે તે વિવેચક. આવો વિવેચક આપણે ત્યાં ક્યાં છે ? મન એવા વિવેચનના શાસ્ત્રકારને ઝંખે છે, જેનાં મૂળિયાં આપણી ધરતીમાં જ હોય અને જે વર્તમાનને અનુલક્ષીને પોતાનો સાહિત્યવિચાર રચી આપે’.(સાહિત્યિક તથ્યોની માવજત (૧૯૮૯), પૃ. ૧-૨) આ એકરાર પાછળ રહેલી એક ઇચ્છા બલકે એક સંકલ્પ તરીકે એમણે, જે કામ હાથમાં લીધું એમાં પોતાનું એક પદ્ધતિશાસ્ત્ર ઊભું કરી લીધું. કોઈ તૈયાર મૉડેલને અનુસરીને એમની વિવેચના કે એમનાં સંશોધન-સંપાદન ચાલ્યાં નથી - પછી એ શાળાકક્ષાનું વ્યાકરણ હોય કે સિદ્ધાન્તવિચારને ચકાસીને રજૂ કરતો લેખ કે ગ્રંથ હોય; મધ્યકાલીન કૃતિસંપાદન હોય કે કોશરરચના હોય. એ બધાં જ વિદ્યાકાર્યોમાં એમણે આપણી પરિસ્થિતિને સંગત રહે ને પોતાની વાતને સરળતાથી ને અસરકારકતાથી સંક્રમિત કરી શકે એવી વ્યવહારુ ને વૈજ્ઞાનિક પદ્ધતિ નીપજાવી લીધી હતી. વિષયને સ્પષ્ટરેખ રાખતી શિક્ષકદૃષ્ટિને તેમજ વિષયના મૂળમાં ઊતરતી ને એને અજવાળી આપતી પર્યેષક બુદ્ધિને એમણે હંમેશાં સાથે પ્રવર્તવા દીધાં છે. આવી નરવી ને આગવી શાસ્ત્રીય સૂઝે વિવેચક- સંશોધક-સંપાદક તરીકેની એમની તેજસ્વી મુદ્રા રચી આપી છે. જયંત કોઠારીના સમગ્ર વિદ્યાકાર્ય પાછળનો દૃષ્ટિકોણ તપાસીશું તો લાગશે કે વિષયના ઊંડાણમાં ખૂંપી જતું વિશ્લેષણ-તત્પર પાંડિત્ય એમનામાં હોવા છતાં એમણે માત્ર વિવેચન ખાતર વિવેચન કર્યું નથી – એક વ્યાપક સામાજિક ઉત્તરદાયિત્વ પણ એનું મહત્ત્વનું ચાલકબળ રહ્યું છે. ભારતીય કાવ્યસિદ્ધાન્ત કે ભાષાવિજ્ઞાન જેવા મોટા વિષયો સાથે કામ પાડતી વખતે પણ વિદ્યાર્થીહિતચિંતા એમના લેખનના કેન્દ્રમાં રહી છે. વિદ્યાર્થીઓને સાચી માર્ગદર્શક પાઠ્યસામગ્રી સંપડાવી આપવા માટે એમણે પરિશ્રમમૂલક સંપાદનો પણ આપ્યાં છે. કરવા ધારેલા મોટા પ્રકલ્પો (projects)ને પણ એ આ પ્રાપ્ત-કર્તવ્યને લીધે ઠેલતા રહ્યા. પ્લેટો-એરિસ્ટોટલની કાવ્યવિચારણા-(૧૯૬૯)ના નિવેદનમાં એમણે લખ્યું છે કે, ‘૧૯૬૩માં પ્લેટોવિષયક પહેલું લખાણ આરંભ્યું ત્યારે મનમાં વિચાર હતો પશ્ચિમની આજ સુધીની કાવ્યવિચારણાનું ઐતિહાસિક ક્રમે અને તાત્ત્વિક દૃષ્ટિએ નિરૂપણ કરવાનો’.(પ્લેટો-એરિસ્ટોટલની કાવ્યવિચારણા (૧૯૬૯), નિવેદન, પૃ. ૧) પણ એવી મોટી યોજના પાર પાડવામાં તો ઘણો વિલંબ થાય એટલે ‘આટલા લેખોને પણ એક પુસ્તિકા રૂપે પ્રગટ કર્યા હોય તો એનાથી વિદ્યાર્થીઓ અને અભ્યાસીઓની અનુકૂળતા સચવાય!( એ જ, પૃ.૧) એ ખ્યાલને એમણે નિર્ણાયક બનવા દીધો. પાછળથી એમણે કોશ આદિ મોટા પ્રકલ્પો હાથ ધર્યા ત્યારે પણ, ‘કેટલીક પાઠયસામગ્રીઓ તૈયાર કરવાની ઘણા વખતથી મનમાં પડેલી ઇચ્છાઓ ફરી સળવળી રહી છે’(વાંકદેખાં વિવેચનો (૧૯૯૩), કેફિયત, પૃ. ૮)એવું એ નોંધે છે એમાં પેલું ઉત્તરદાયિત્વ જ પ્રેરક બનેલું જણાશે. આવું જ ઉત્તરદાયિત્વ એમના ચિકિત્સાભર્યા સાહિત્યવિવેચન પાછળ પણ જોવા મળશે. પોતાના સ્વતંત્ર અભ્યાસો આપવા ઉપરાંત એ વળીવળીને નબળાં, ડોળઘાલુ, શિથિલ, બેજવાબદાર લાગેલાં સાહિત્યકાર્યો ને કૃતિઓની ઝીણી આકરી ટીકા કરવા ઉદ્યુક્ત થતા રહ્યા છે એની પાછળ એક વ્યાપક સાહિત્યહિતચિંતા પ્રવર્તતી જણાશે. એમણે જરાક હળવાશથી પોતાની આ લાક્ષણિકતા અંગે લખ્યું છે કે, ‘ખોટું થતું દેખાય ત્યારે મેં પુણ્યપ્રકોપ અનુભવ્યો છે અને સાહિત્યના ક્ષેત્રની રખેવાળી જાણે મારે શિરે હોય, હું જાણે મસીહા (ઉદ્ધારક) હોઉં એવો નૈતિક જુસ્સો પણ મારા પર સવાર થઈ બેઠો છે’.( એ જ, પૃ. ૧૮-૧૯) ગુજરાતી વિવેચનની વાગ્મિતાગ્રસ્ત કે પરિભાષાજટિલ અપારદર્શક ભાષા પરત્વેનો એમનો રોષ પણ આવા વ્યયને સંદર્ભે પ્રગટેલો છે. સાહિત્યહિતની સાથે એક વ્યાપક પ્રજાહિત પણ એમના મનમાં વસેલું છે. પુષ્કળ ભૂલોવાળાં ને ગેરમાર્ગે દોરતાં કેટલાંક પુસ્તકો રદ કરવાં જોઈએ એ હદ સુધીનો તંત એમણે પકડેલો એની પાછળ પણ એ જ દૃષ્ટિકોણ હતો કે ‘પ્રજાને સાચું જ્ઞાન, સાચી માહિતી ન આપી શકીએ પણ ખોટું જ્ઞાન, ખોટી માહિતી તો કેમ અપાય ?’ અને એ માટે દૃષ્ટાન્ત આપેલું કે ગાંધીજી જેવા ઝીણી કરકસર કરનારે પણ ગોખલેના લેખોના નબળા અનુવાદની છપાયેલી નકલો પસ્તીમાં પણ ન કાઢતાંબળાવી મૂકી હતી.(જુઓ : સાહિત્યિક તથ્યોની માવજત, પૃ.૨૩) એક સંવેદનશીલ વિચારક તરીકેની આ નિસબત એમનાં વિવેચન- સંશોધનોના આંતરિક વિશ્વ સુધી પ્રસરતી રહી છે. એમણે વિદ્યાર્થીઓ માટે પુસ્તકો તૈયાર કર્યાં પણ એમાં પરીક્ષા-સહાય-પ્રયોજન ન હતું. સરળ સામગ્રી આપવી એમ નહીં, પણ ઉત્તમ સામગ્રી સરળ પદ્ધતિએ આપવી ને એમ સાહિત્યના સમગ્ર વિશ્વમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ કરાવવો એ એમનો આશય હતો.(આ સમજપ્રેર્યું શિક્ષણ-વિવેચક-કર્તવ્ય એમણે નિસબત અને શ્રમપૂર્વક બજાવ્યું છે. પશ્ચિમના વિદ્યાજગતમાં તો વરિષ્ઠ વિદ્વાનો પણ પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં શક્તિ-શ્રમ પ્રોજે છે એ એમનેસ્પૃહણીય આદર્શ લાગ્યો છે.) એટલે તો ભારતીય કાવ્યસિદ્ધાંત એમની વિદ્યાર્થી તરીકેની નોંધોને આધારે લખાયું હોવા છતાં, તથા પ્લેટો એરિસ્ટોટલ લોન્જાઈનસની કાવ્યવિચારણા પાઠયસામગ્રી તરીકે પ્રકરણવાર સામાયિકોમાં પ્રગટ થયું હોવા છતાં એમાં સિદ્ધાન્તવિચારને ચકાસી-તપાસીને મૂકનાર વિવેચકની સજ્જતા પણ પ્રવર્તતી જ રહી છે. જયંતભાઈને એક સંગીન વિવેચક તરીકે ઉપસાવવામાં આ શિક્ષક-પ્રવૃત્તિનો પણ મોટો ફાળો રહ્યો છે. પણ એમણે કહ્યું છે એમ ‘પાઠયપુસ્તક રચવાનું એક વિશિષ્ટ કૌશલ હોય છે.’ (વાંકદેખાં વિવેચનો, કેફિયત, પૃ.८)નેએ કૌશલ પાઠયપુસ્તકો અને પાઠયસામગ્રી-સંપાદનોના આયોજનમાં(આ પાઠચસામગ્રીરૂપ ‘નિબંધ અને ગુજરાતી નિબંધ’- વગેરે સંપાદનોમાં એમણે ગ્રંથો-સામયિકોમાં વિખરાયેલી સંદર્ભસામગ્રીને એકત્રિત જ નહીં, સુયોજિત કરીને આપી તો બીજી તરફ ‘સરસ્વતીચંદ્ર વીસરાયેલાં વિવેચનો’ (૧૯૮૭)તથા ‘મેઘાણી વિવેચનાસંદોહ ખંડ ૧-૨’ (૨૦૦૨, મરણોત્તર પ્રકાશન) - જેવામાં એક વિદ્વાનની સૂઝનું પ્રવર્તન દેખાશે. ‘સરસ્વતીચંદ્ર પરના તત્કાલીન, મહત્વના પણ ભુલાવા આવેલા ને કેટલાક તો દુષ્પ્રાપ્ય બનેલા લેખોને શોધીને જાળવી લેવાનું તો એમને જ સૂઝે. મેઘાણી- સાહિત્ય વિશે લખાયેલાં, લગભગ ૧૫૦૦ પાનાંનાં વિવેચનોને, મેળવીને ને સંપાદિત કરીને, વર્ગીકૃતરૂપે એકસાથે મૂકી આપવાનું એમનું કામ એક ભગીરથ કાર્ય ગણાય. સંપાદનના આ બંને પરસ્પરપૂરક એવા નમૂના છે ને અભ્યાસીઓને પ્રેરી શકે એમ છે.)અભ્યાસસામગ્રીની વ્યવસ્થામાં, વિશદ અને પારદર્શક અભિવ્યક્તિમાં ને સાદ્યંત શાસ્ત્રીયતાની જાળવણીમાં દેખાયા કરે છે. શાસ્ત્રીયતાને એમણે સરળતા ને સુગમતા માટે પ્રયોજી બતાવી એ એમનું મહત્ત્વનું પ્રદાન ગણાશે. જયંત કોઠારીનું વિવેચન એમણે કરેલા સિદ્ધાન્તવિચારના બે મુખ્ય વિશેષો ઊપસી રહે છે. એક તે એમની પરીક્ષણબુદ્ધિ. કોઈના પણ વિચાર કે અભિપ્રાયને એ ચકાસીને જ આગળ ચાલવાના, ચન્દ્રકાન્ત ટોપીવાળાએ યોગ્ય કહ્યું છે કે ‘પોતાની કસોટી પર ચડાવ્યા વિના ક્યારેય કોઈ વસ્તુનો એમણે સ્વીકાર કર્યો નથી’. ( વિદ્યાપર્વ (સંપા. રમણ સોની, કીર્તિદા જોશી, ૨૦૦૨)માં ‘જયંત કોઠારીનું સિદ્ધાંતવિવેચન’, પૃ.૧૧૭)અને એટલે એમના સિદ્ધાન્તલક્ષી વિવેચનમાં સાહિત્યવિચાર હંમેશાં મંજાઈને ને સ્પષ્ટરેખ બનીને રજૂ થયો છે. બીજો વિશેષ એ છે કે, કોઈ પણ સ્થળકાળના કોઈ પણ વિચારની પ્રસ્તુતતા એ હંમેશાં તપાસતા રહ્યા છે. પ્લેટો-એરિસ્ટોટલની કાવ્યવિચારણા ચર્ચતાં એમણે સ્પષ્ટ લખ્યું છે કે આ વિચારકોને આજના સંદર્ભમાં મૂલવવાનું જોખમ ખેડવું જોઈએ, નહીં તો ‘એમનો અભ્યાસ કેવળ પુરાતત્ત્વનો અભ્યાસ’ બની રહે. ( પ્લેટો-એરિસ્ટોટલની કાવ્યવિચારણા, નિવેદન, પૃ.૧)સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા એમણે, કશાય અભિગ્રહ કે અહોભાવ વિના, વિનિયોગની શક્યતા તપાસતા એક સન્નિષ્ઠ પ્રયોગ લેખે બતાવી છે. આ બધામાં એમનાં કેટલાંક મંતવ્યો ચર્ચાસ્પદ જરૂર રહ્યાં છે, પરંતુ એમનાં પદ્ધતિ ને પ્રયોજન હંમેશા સ્પષ્ટ ને નરવાં રહ્યાં છે. વિભિન્ન નિમિત્તોએ એમણે આપેલા સર્જક-અભ્યાસોમાં પણ પ્રસ્તુતતાની તપાસ એમના ધ્યાનવર્તુળમાં રહી છે. આ પ્રકારના પહેલા જ દીર્ઘ લેખ ‘પ્રેમાનંદ-તત્કાળે અને આજે’માં એમનું આ વલણ વધારે સ્ફુટરૂપે રહ્યું છે ને પ્રેમાનંદની કૃતિઓમાં આજના ભાવક-અભ્યાસી માટે લઘુતમ આસ્વાદ્યતાનાં સ્થાનો ક્યાં પડેલાં છે એ એમણે બતાવ્યું છે. વસ્તુતઃ એમના કર્તા-અભ્યાસ પુનર્મૂલ્યાંકનો રૂપે ઊપસ્યા છે. કૃતિઓના – આધારસામગ્રીના - વિશ્લેષણની સાથે એમણે એ કર્તાઓ વિશે લખાયેલાં વિવેચનોનું - સંદર્ભસામગ્રીનું પણ ઝીણું પરીક્ષણ હંમેશાં આપ્યું છે ને મધ્યકાલીન સર્જકોના અભ્યાસની પ્રસ્તુતતા પણ એમણે ચીંધી છે. નરસિંહ મહેતા. એ એમનો લઘુગ્રંથ (ને એ પછી નરસિંહ પદમાલાનું સંપાદન) એ રીતે વિશેષ નોંધપાત્ર છે કે નરસિંહના સમય વિશેની ચર્ચા તો જાણીતી હતી પણ જયંતભાઈએ એના કર્તૃત્વના પ્રશ્નોની પણ ઘણી શ્રમ-સૂઝ-ભરી ચર્ચા કરી છે ને નરસિંહના આસ્વાદકોને ચોંકાવે એવા પ્રતિપાદનો કર્યાં છે. આમ છતાં જે નિર્વિવાદપણે નરસિંહની જ કૃતિઓ છે એની ઉત્કૃષ્ટતા બતાવવાનું પણ એ ચૂક્યા નથી. કાન્ત વિશેનુંએમનું,ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકાશિત ગુજરાતી સાહિત્યનો ઇતિહાસના ખંડ-૪માં મુકાયેલું પ્રકરણ અર્વાચીન સર્જક વિશેના ઇતિહાસલેખનનો એક નમૂનારૂપ અભ્યાસ છે. સર્જન અને વિવેચનના પ્રવાહોનું દિગ્દર્શન કરાવતા, સાહિત્યસ્વરૂપોનાવિશેષો ને ગતિવિધિ વિશેના, સંશોધનનાં પ્રયોજન-પદ્ધતિને તપાસતા કેટલાક દીર્ઘ અભ્યાસલેખોમાં (જયંત કોઠારીના ગ્રંથસ્થ સર્વ વિવેચન લેખોની વર્ગીકૃત સૂચિ (સંપા. કીર્તિદા જોશી) વિદ્યાપર્વમાં પ્રગટ થઈ છે એ અભ્યાસીઓને ઘણી ઉપયોગી નીવડે એમ છે.)જયંત કોઠારીની વિચક્ષણ પ્રતિભાનો પરિચય મળે છે. એમના પહેલા વિવેચનલેખસંગ્રહ ઉપક્રમ(૧૯૯૯)થી એમની આ શક્તિનો પરિચય મળતો રહ્યો. સંદર્ભોને નિઃશેષપણે ને ઝીણવટથી ચકાસતો અભ્યાસ અને પૃથક્કરણ-પ્રવણ દૃષ્ટિથી તેમજ પૂરી વિશદતાથી થતું એનું નિરૂપણ - આ પ્રકારના વિવેચનની મુખ્ય લાક્ષણિકતાઓ છે. જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી માટે લખાયેલો દીર્ઘ અભ્યાસલેખ ‘ગુજરાતી સાહિત્યવિવેચન : વળાંકો અને સીમાચિહ્નો’ પણ એમની વિવેચનનાનું એક તેજસ્વી પ્રકરણ છે. અને થોડોક વધુ સમય આપીને વિસ્તારી શકાયો હોત તો એક અભ્યાસગ્રંથના બરનું એ કામ હતું. આવા અભ્યાસલેખોમાં ક્યાંય એમણે અછડતા નિર્દેશોથી કે નોંધોથી ચલાવ્યું નથી કે ક્યાંય વિષયાંતર કરીને એ ફંટાયા નથી. સોંસરી ગતિ, લાઘવથી આવતી સઘનતા, પર્યાપ્ત ચર્ચાને અંતે મુકાતાં નક્કર પ્રતિપાદનો એમના દીર્ઘ લેખોને સંગીન બનાવે છે, ને નવા અભ્યાસીઓ માટે એ માર્ગદર્શક દૃષ્ટાંતરૂપ બને એમ છે. સમીક્ષક તરીકે એમની એક નોખી જ મુદ્રા ઊપસે છે. જયંતભાઈ ગંભીર અભ્યાસી છે પણ ઠાવકા નથી. એ ઉત્તમની પ્રશંસા કરી શકે છે બલકે સર્જન/ વિવેચનના ગ્રંથના માર્મિક વિશેષોને એ કુશાગ્ર બુદ્ધિથી પ્રકાશવર્તુળમાં મૂકી આપે છે. પૂર્વપક્ષની વ્યવસ્થિત માંડણી પણ કરે છે પરંતુ જે કોઈનું જે કંઈપણ નબળું હોય એને અસંદિગ્ધપણે સૌની સામે ધરે છે-પૂરી જવાબદારીથી તથા પૂરી તીવ્રતાથી પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. એ કારણે એમનાં વિધાનોમાં ને એમનાં સમીક્ષા- શીર્ષકો સુધ્ધાંમાં તીક્ષ્ણતા આવે છે : જેમ કે ‘વિવેકહીન મુગ્ધતા અને ઠાલો વાગ્વિલાસ’ (ન્હાનાલાલનો કાવ્યપ્રપાત - રમણ કોઠારી), કે ‘શું સાચવીશું - જ્ઞાનકોશ કે વિત્તકોશ (વાંકદેખાં વિવેચનો, પૃ. ૭૩) (ગુજરાતી લોકકથાઓ - સંપા. જોરાવરસિંહ જાદવ). યશવંત ત્રિવેદીના કવિતાનો આનંદકોશની સમીક્ષાનો આરંભ આ રીતે થાય છે : ‘આનંદ શ્રી યશવંત ત્રિવેદીના ચિત્તના આકાશમાં ભરાઈ રહ્યો છે અને આપણને સોંપડ્યો છે માત્ર કોશ’( એ જ, પૃ. ૧૦૬)તો સુરેશ જોષી સંપાદિત જાનન્તિ યે કિમપિની સમીક્ષા આ રીતે શરૂ થાય છે : ‘પુસ્તક હાથમાં આવતાં જ બે વસ્તુ તરત આંખે ચડે છે, એક, એનું લાક્ષણિક સુરેશ-શૈલીનું પાંડિત્યભર્યું સંસ્કૃત શીર્ષક અને બીજી એની રેઢિયાળ છપાઈ,’ ( એ જ, પૃ. ૧૧૧) અલબત, જયંતભાઈ શૈલીકાર નથી. શૈલીકાર થવાનું એમને ફાવે એમ પણ નહોતું ને એમને પાલવે એમ પણ નહોતું. જરાક મુદ્દાથી ફંટાઈને એક વાત અહીં જ કહેવી જરૂરી સમજું છું : આસ્વાદ અષ્ટાદશીમાં કેટલીક મધ્યકાલીન- અર્વાચીન કાવ્યકૃતિઓના આસ્વાદો છે. સુરેશ જોષીએ ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’માં કાવ્યાસ્વાદનું એક પ્રતિમાન સંપડાવ્યું તો જયંત કોઠારીના આ આસ્વાદો, એનાથી જુદું જ પરિમાણ દેખાડતું, લગભગ બીજા છેડાનું પ્રતિમાન છે. સુરેશ જોષી પછીની આપણી કાવ્યાસ્વાદ પ્રવૃત્તિ મહદંશે યદચ્છાવિહારથી કૃતિની બહાર ફંટાઈ ગયેલી હતી એને આ આસ્વાદો નિયંત્રિત કરીને ફરીથી, જરા જુદી રીતે, કૃતિકેન્દ્રી-કૃતિનિષ્ઠ કરે છે એ એનું એક નોંધપાત્ર પ્રદાન ગણાય, સુરેશ જોષીમાં કલ્પનાને પ્રવર્તન આપતી પ્રતિભાવાત્મકતા છે તો જયંત કોઠારીમાં તર્કપ્રવર્તનવાળી પૃથક્કરણશીલતા છે. જયંતભાઈનો કવિતારસ કાવ્યનાં વસ્તુ-ભાવ- રચનાની સરસો ચાલે છે ને એનાં દલેદલને ખોલે છે ને કાવ્ય-અંતર્ગત રહેલી સંઘટન-વ્યવસ્થાને પકડે છે. અહીં કૃતિના વસ્તુ-સંવેદનના પરિઘમાંથી બહાર નીકળી જતી ઉડાઉ છાપગ્રાહિતા કે રંગદર્શિતા નથી. જોકે, આ લખાણોને આસ્વાદો કરતાં વધુ તો વિવરણો કહેવાં જોઈએ. વિવરણો હોવું એ એનો ગુણ પણ છે ને દોષ પણ. સુરેશભાઈના આસ્વાદો આપણી રસવૃત્તિને ઉત્તેજીને આપણને પ્રસન્ન કરે છે, જયંતભાઈનાં આ વિવરણો આપણને કાવ્યની સ્પષ્ટ સમજૂતી આપે છે, આપણી કાવ્યસમજને વિસ્તારે છે પરંતુ આસ્વાદનાં સ્વાદ અને સુગંધથી એ આપણને કંઈક છેટા તો રાખે જ છે. ફરી આપણે જયંતભાઈની સમીક્ષાપ્રવૃત્તિ પર આવીએ તો, જયંત કોઠારીની સમીક્ષાઓ વિવિધ સ્તરની કે પ્રકારની છે. કેટલીક સમીક્ષાઓ સમીક્ષા-લેખ (રિવ્યૂ આર્ટિકલ) પ્રકારની છે : જેમ કે ઉપરવાસ કથાત્રયીની સમીક્ષા (બૃહન્નવલ : સમીક્ષા અને સિદ્ધિ); વિશ્વનાથ જાની કૃત પ્રેમપચીશીની સમીક્ષા; ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો (સુમન શાહ)ની સમીક્ષા વગેરે. પુસ્તકોનું એમાં ઝીણવટભર્યું પૃથક્કરણ છે ને વિગતપૂર્ણ આલોચના છે. બીજા પ્રકારની, પ્રસંગોપાત્ત કરેલી, મોટાભાગની સમીક્ષાઓ કૃતિનો ગુણદોષપૂર્વકનો સધન-સ્પષ્ટ પરિચય આપનારી છે. એમાં પણ અલબત્ત, જયંતભાઈની તેજસ્વી તર્કશક્તિનું પ્રવર્તન જોવા મળે છે. કેટલીક કૃતિઓની તેમજ અર્થઘટનાત્મક લેખો ને ગ્રંથોની સમીક્ષાઓ કંઈક પ્રતિવાદ-કેન્દ્રી છે ને એમાં જયંતભાઈનું આકરું પરીક્ષણ હોવા ઉપરાંત કૃતિ વિશેની, એની પદ્ધતિ વિશેની તથા સાહિત્યની મૂલ્યવત્તા વિશેની એમની અપેક્ષાઓ પણ એમાં પ્રગટ થતી રહી છે ને એથી એ સમીક્ષાઓ કે પ્રતિવાદ-લેખો સવિશેષનોંધપાત્ર છે. વિવેચનની આધુનિક વિચારસરણીઓ વિશે અધિકૃત માહિતી આપવાના પ્રયોજનથી સુરેશ જોષીએ સંપાદિત કરેલો લેખસંચય જાનન્તિ યે કિમપિ એમાંનાકેટલાક લેખો આયોજન અને રજૂઆતથી દૃષ્ટિએ નબળા ને સંદિગ્ધ બનવાથી એનીમૂલ્યવત્તા ને ઉપયોગિતા ગુમાવે છે એની ખૂબ જ અસંદિગ્ધ ભાષામાં આકરી ટીકાકરીને જયંત કોઠારીએ પશ્ચિમી સાહિત્યવિચારને રજૂ કરવાની આપણી વિલક્ષણનબળાઈ અંગે પાયાના પ્રશ્નો ઊભા કર્યા છે. એમણે લખ્યું છે કે, ‘અરુણ અડાલજાનાઅને સુરેશ જોષીના (લેખો)... સંક્રમણક્ષમતાના ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. એમલાગે છે કે આપણે જાણે આત્મસાત્ કરીને નહીં પણ ઉછીનું-ઉછીનું લખ્યા કરીએછીએ. એમાં સઘળું અનુવાદિયું રહે છે ને આપણી સમજ ને આપણી ભાષાનુંપ્રવર્તન એમાં થતું નથી.’ ( એ જ, પૃ. ૧૧૧) મૂળ અંગ્રેજી લખાણો, ઝીણવટ ને સંકુલતાનો ભોગઆપ્યા વિના પણ વિશદ-પ્રવાહી ભાષાભિવ્યક્તિ સાધી શકતાં હોય છે તો આપણેએ લખાણોને અનુવાદ-દોહન-લેખ રૂપે મૂકીએ તે શા માટે ક્લિષ્ટ થવાં જોઈએ?જયંતભાઈએ લખ્યું છે કે, ‘મને થાય છે કે ગુજરાતીમાં આધુનિક વિચારપ્રવાહોવિશેના પ્રસન્નકર લેખો ક્યારે મળશે ? આપણી સમજ કાચી પડે છે કે આપણનેવિવેચનવિચારની શિસ્ત હાથમાં નથી આવી કે આપણે આપણી જીવતી ભાષાનેઆવા વિષયોમાં પલોટી શક્યા નથી - કોણ જાણે !’( એ જ, પૃ. ૧૧૧)આ ચિકિત્સા અને આનિદાન વિવેચનની ભાષા વિશેની જયંત કોઠારીની અપેક્ષાઓને પણ તીક્ષ્ણતાથીનિર્દેશી જાય છે. ( જુઓ: ‘ગુજરાતી વિવેચનની ભાષા-પરિભાષા વિશે મને ઘણા પ્રશ્નો થાય છે. ગુજરાતી વિવેચન શબ્દાળુતામાં રાચતું દેખાય છે. કહેવાનું ઓછું હોય ને ઘટાટોપ વધારે હોય. અર્થહીન પોલા શબ્દો ખખડતા લાગે. વિવેચનની ચીલાચાલુ ભાષાથી ગાડું ગબડ્યા કરે. નક્કર નિરીક્ષણોને સ્થાને વ્યાપક વિધાનો ફેંકાયા કરે.’, વાંકદેખાં વિવેચનો કેફિયત, પૃ. ૧૧) બેન્ડર સંપાદિત ધ સાલિભદ્ર-ધન્નાચરિતની એમણે કરેલી ૨૦ પાનાંની સમીક્ષા ચીવટ અને સજ્જતાપૂર્વકના વિશ્લેષણ-વિવરણનો ઉત્તમ નમૂનો છે. એક વિદેશી વિદ્વાન વિદ્યાપ્રીતિથી પ્રેરાઈને શાસ્ત્રીય પદ્ધતિથી પરભાષી-ગુજરાતી કૃતિનું સંપાદન કરે છે એનું ગૌરવ કરીને પણ મૂળ સામગ્રીની પૂરેપૂરી તપાસ કરવાના અભાવે બેન્ડરે જે અપાર ભૂલો ને ગોટાળા કર્યા છે (કૃતિના સર્જકનું પણ ભળતું જ નામ લખ્યું છે !) એની, એક એક વિગત લઈને, એમણે સમીક્ષા કરી છે. નબળાં કામ રદ કરીને ફરી કરવાં જોઈએ એ આગ્રહ આ કૃતિ-સંપાદન વિશે પણ એમણે સેવ્યો છે. એમણે કહ્યું છે કે, ‘હું તો ઇચ્છું કે આ જ કૃતિનું બેન્ડર નવેસરથી સંપાદન કરી પશ્ચિમી જગત પાસે કૃતિને એના સાચા સ્વરૂપમાં મૂકી આપવાનું ધર્મકાર્ય કરે.’ ( સંશોધન અને પરીક્ષણ (૧૯૯૮), પૃ. ૧૦૦)અને પશ્ચિમના સાહિત્યજગતનું બધું ઉત્તમ - એવા અહોભાવથી કે સહજ સ્વીકારથી ચાલતા આપણા અભ્યાસીઓ-વાચકોને કહે છે કે, ‘પશ્ચિમના દેશોની શિસ્ત પાસેથી શીખવા જેવું, પણ બધું અદોષ, આધારભૂત છે એમ માની લેવાનું ન હોય.’( એ જ, પૃ. ૧૦૦)રમેશ શુક્લના કલાપી અને સંચિત્ શોધનિબંધના કેટલાક મુદ્દાઓનો કોઠારીએ કરેલો પ્રતિવાદ રમેશભાઈનાં એમને અસંગત અને અશાસ્ત્રીય લાગેલાં પ્રતિપાદનો અને સ્થાપનાઓના સ્પષ્ટ અસ્વીકારને તથા કલાપીને અકારણ થયેલા અન્યાય અંગેના તીવ્ર વિરોધોને અનેક આધારપૂર્વકની તાર્કિક ભૂમિકાઓ મૂકી આપે છે. એટલું જ નહીં, સંશોધન-વિવેચનની પરંપરા ને પદ્ધતિ અંગેની એમની અપેક્ષાઓને અને એમનાં ધોરણોને સ્પષ્ટપણે આંકી બતાવે છે એ, એક-બે દૃષ્ટાંતોથી પણ સૂચવી શકાશે. (આ ચર્ચા, પત્રરૂપે થયેલી) : ૧. ‘તમે હકીકતોનો ઢગલો કર્યો છે પણ એની પાછળનું તર્કનું માળખું તકલાદી છે’.(વાંકદેખાં વિવેચનો, પૃ.૨)૨. ‘રમેશભાઈ, મને આ ‘ખેલપટુતા’ શબ્દ જ કોઈ સંશોધનપ્રબંધમાં શોભે એવો લાગતો નથી.... વૈજ્ઞાનિક સંશોધનમાં ન ચાલી શકે એવી રીતે તમે હકીકતોને વિકૃત કરીને મૂકી છે. અથવા કશોક પૂર્વનિર્ણય કરીને તમે એને સાબિત કરવા નીકળ્યા છો. ( એ જ, પૃ. ૯)કોઈને આમાં આત્યંતિકતા ને કટુતા પણ લાગે. સુરેશ જોષીમાં નબળો અનુવાદ ને શિથિલ રજૂઆત થયેલી લાગતાં ‘સુરેશભાઈ હવે થાક્યા તો નથી ને !( એ જ, પૃ. ૧૧)એમ કહી દેવામાં કે ઉમાશંકર જોશીએ નરસિંહના સુદામાચરિતમાં મૈત્રીભાવનો મહિમા જોયો એ આક્ષિપ્ત અર્થઘટન લાગવાથી, એ ‘ઉમાશંકરનું કવિશાઈ આરોપણ’ છે અને આ ‘સર્જન પરનો વિવેચનનો અત્યાચાર પણ કોઈને લાગે તો નવાઈ નહીં’(એ જ, પૃ. ૪૫, ૪૮) – એવું કહેવા સુધી પણ જયંત કોઠારી જાય છે એમાં, સાચી વાત કહેતાં વરિષ્ઠો ને પ્રતિષ્ઠિતોની શહેશરમ પણ એમને નડી નથી એમ કહી શકાય પરંતુ સ્પષ્ટ કથન પણ આત્યંતિકતાનો ને કટુતાનો પરિહાર કરીને ન થઈ શકે ? - એવું પણ કોઈને લાગવાનું. એમ લાગે કે ‘કવિશાઈ’ વગેરે શબ્દો જવા દઈને, આ ખોટી દિશામાં દોરી જતું સ્વૈર અર્થઘટન છે એવું કહેવાથી પણ સાચી વાત ભારપૂર્વક કહી શકાઈ હોત - કવિશાઈનો કાકુ ટાળી શકાયો હોત. પરંતુ, એકંદરે તો જયંત કોઠારીનું વલણ નરવું હોય છે ને ક્યાંક તીવ્રતા હશે તો પણ એ પૂર્વગ્રહ સંઘરીને ચાલ્યા હોવાનું ક્યાંય દેખાતું નથી. ઉમાશંકર જોશીનાં ને સુરેશ જોષીનાં ઉત્તમ કાર્યોની એમણે આધારો આપી આપીને, સજ્જતાપૂર્વકની સમજથી, અકુંઠિત પ્રશંસા પણ કરી છે. સાહિત્યિક વિવાદોને ઝટ સામાજિક સંબંધોનો રંગ લાગી જતો હોય છે એવી આપણા સમયની તાસીરનો જયંત કોઠારીને અનુભવ થયો જ હોય ને એથી જ, એક સ્થાને એમણે કંઈક નિઃશ્વાસપૂર્વક કહ્યું છે કે, ‘વીતેલા યુગોમાં આપણે ત્યાં ઉગ્ર સાહિત્યિક વાદવિવાદોથયા છે અને કઠોર પરીક્ષાઓ પણ થઈ છે પણ એ દિવસો તો ગયા જાણે !’(વાંકદેખાં વિવેચનો, કેફિયત, પૃ. ૧૬)મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અંગે જયંત કોઠારીએ એમના પરિપક્વ ઉત્તરકાળમાં ત્રણ મોટાં કામ - મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પોરૂપે કર્યાં: ગુજરાતી સાહિત્યકોશખંડ : ૧ મધ્યકાળનું સંપાદન, જૈન ગૂર્જર કવિઓનું ૧૦ ખંડોમાં પુનઃસંપાદન તથા મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ. આ પહેલાં પણ એમણે જે લખ્યું છે એમાં મધ્યકાલીન સાહિત્યના વિવેચન-સંપાદનમાં પ્રદાન નિર્વિવાદપણે ઉત્તમ ને નમૂનારૂપ છે. એમનાં કૃતિસંપાદનો, સર્જકઅભ્યાસો તથા મધ્યકાલીન સાહિત્ય વિશેના વિવેચનલેખોમાં, પરંપરાગત અધ્યયનને બદલે કૃતિ અને કૃતિઅભ્યાસ બન્નેની પ્રસ્તુતતાને તપાસતી નવી દૃષ્ટિ અને પદ્ધતિનો વિનિયોગ થવા પામ્યો છે એ એમનું મહત્ત્વનું અર્પણ છે. કૃતિસંપાદનમાં આરામશોભા રાસમાળા નું સંપાદન એકજ વિષયની છ કૃતિઓનાં કથાનકો અને કથાઘટકોના તુલનાત્મક અધ્યયનને કેન્દ્રમાં લાવે છે અને નરસિંહ પદમાલાનું સંપાદન કર્તૃત્વની અધિકૃતતાને ચકાસવાનો સંશોધનાત્મક અભિગમ આગળ કરે છે. મધ્યકાલીન સાહિત્યના વ્યાપ અને વૈવિધ્યને અનેકવિધ દૃષ્ટાંતોથી દર્શાવી આપતા, મધ્યકાલીન સાહિત્યના અભ્યાસની પ્રસ્તુતતા ને મહત્ત્વ ચીંધતા તથા મધ્યકાલીન કવિતાના આસ્વાદ અને અર્થઘટનની સમસ્યાઓ ચર્ચીને એનો માર્ગ બતાવતા સમૃદ્ધ લેખોથી એમણે મધ્યકાલીન સાહિત્ય તરફ જોવાની એક વિશિષ્ટ દૃષ્ટિનો પરિચય કરાવ્યો છે. મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશની આગળ મૂકેલો લેખ ‘ન વીસરવા જેવો વારસો’ મધ્યકાલીન સાહિત્યસમૃદ્ધિના સાંસ્કૃતિક ને સાહિત્યિક મૂલ્યને ઉપસાવી આપતો, એમનામાંના સંશોધક અને શિક્ષક બંનેની શક્તિઓનો ને એમની અપેક્ષાઓનો, ખ્યાલ આપતો લાક્ષણિક અભ્યાસલેખ છે. ગુજરાતી સાહિત્યકોશના સંપાદન દરમ્યાન મધ્યકાલીન સાહિત્યની એમની જાણકારી તેમજ એમની અધ્યયન-સંશોધનપદ્ધતિ વધુ સમૃદ્ધ થતાં ગયાં. એમાં પણ વિશેષ કરીને જૈન સાહિત્યના એ બહોળા પરિચયમાં આવતા ગયા. એમાં જૈન કૃતિઓનાં અનેક પ્રકાશનો, મોહનલાલ દલીચંદ દેશાઈના ગ્રંથો જૈનગૂર્જર કવિઓ તથા મધ્યકાલીન જૈન સાહિત્યનો ઇતિહાસના અભ્યાસે એમને વધુ પ્રોત્સાહિત કર્યા. એમ પણ લાગવા માંડયું કે જયંત કોઠારી જૈન સાહિત્ય પરત્વે વધારે ઝૂકેલા રહે છે. અલબત્ત, જૈન સાહિત્યમાંથી એમણે ઘણું ઉઘાડી આપ્યું - એના વ્યાપનો જે અંદાજ આપણને ન હતો એનો પણ પ્રતીતિકર પરિચય એમણે કરાવ્યો. જયંતભાઇએ વિગતોના દરવાજા ખોલી આપ્યા. કેટલીક નોંધપાત્ર જૈન કૃતિઓને એમણે આસ્વાદવિવરણ સાથે આપણી સામે મૂકી આપી. તો એની સાથેસાથે જ, દસ્તાવેજી મૂલ્યની જાળવણી માટે થઈને એમણે સરેરાશ જૈનસાહિત્ય જયંત કોઠારીનું વિવેચનમાટે પણ ઘણાં વધારે શક્તિ-શ્રમ યોજયાં - કાવ્યમૂલ્ય અંગે કંઈક વધુ ઉદારતા દાખવી. વાગ્મિતાભરી અભિવ્યક્તિ અને અહોભાવયુક્ત ઉદ્ગારોથી દૂર રહેનાર જયંતભાઈ શૃંગારમંજરી જેવી, એના કવિના પાંડિત્યને લીધે ધ્યાનપાત્ર પણ કાવ્યગુણે મધ્યશક્તિવાળી કૃતિની મહત્તા દર્શાવવા ‘પાંડિત્યની પવનલહરી અને કવિતાની હરિયાળી’ જેવું શીર્ષક અને ક્યાંક ‘મનોભાવવર્ણનનો ધૂધવતો સાગર’ જેવું ઉપશીર્ષક યોજે ત્યારે વિસ્મય થાય છે. કહેવું જોઈએ કે આખું મધ્યકાલીન જૈન સાહિત્ય એમનો અધ્યયન-અભિષેક પામવાની સાથેસાથે ક્યારેક એમના પ્રીતિપક્ષપાતનો અભિષેક પણ પામ્યું છે. ઉપર ગણાવ્યાં એ એમનાં ત્રણ મહત્ત્વાકાંક્ષી કાર્યો- ગુજરાતી સાહિત્યકોશનો મધ્યકાળ-ખંડ, જૈન ગૂર્જર કવિઓના ૧૦ ભાગનું પુનઃસંપાદન અને મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ – જયંતભાઈનાં ઉત્કૃષ્ટ કાર્યો છે ને ગુજરાતી ભાષાસાહિત્યને એમણે કરેલા એક સમૃદ્ધ પ્રદાનરૂપ છે. ગુજરાતી સાહિત્યકોશનું આયોજન-સંકલન અને એની સામગ્રીનું રૂપ અન્ય ભારતીય ને વિદેશી સાહિત્યકોશો વચ્ચે ગૌરવભેર બેસી શકે એવું છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. એ પ્રમાણભૂત ને વિશ્વસનીય કોશગ્રંથ બન્યો છે એટલું જ નહીં, સાહિત્યના ઇતિહાસને સંશુદ્ધ ને સમૃદ્ધ કરનારી મૂલ્યવત્તા એ ધરાવે છે. કોશ કરતાં કરતાં પણ પ્રાપ્ત સામગ્રીમાં જે શોધન-વર્ધન થયાં એ જયંતભાઈએ ‘શુદ્ધિ-વૃદ્ધિ લેખશ્રેણીરૂપે પ્રકાશિત કરેલાં છે. આ ‘શુદ્ધિ-વૃદ્ધિ’ શબ્દ જયંતભાઈની વિવેચન-સંશોધનની સમગ્ર કામગીરીની એક મહત્ત્વની ઓળખ બની શકે એમ છે. મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ આમ તો વિવિધ કોશોનું સંકલન-સંપાદન છે પણ જયંતભાઈની શોધક દૃષ્ટિને અને લાક્ષણિક પદ્ધતિને લીધે એ સર્વ શબ્દકોશોની સામગ્રી ફેરચકાસણી પામીને ચોખ્ખી થઈ ! એક રીતે સંશોધનનું પણ શોધન થયું. ને પરિણામે મધ્યકાલીન કૃતિના વાચનને શબ્દાર્થની દૃષ્ટિએ સુગમ બનાવનારો એક સૌથી વધુ પ્રમાણભૂત કોશ આપણને પ્રાપ્ત થયો. જૈન ગૂર્જર કવિઓના ૪ ભાગનું ૧૦ ભાગોમાં એક દાયકાના સંશોધન- પરિશ્રમને અંતે થયેલું પુન:સંપાદન એમનું એક એવું વિદ્વત્કાર્ય છે જેની સીધી ઉપયોગિતા એક નાના અભ્યાસી વર્ગને હોય. પણ લગભગ ૯૦૦ પાનાં ધરાવતો એનો સૂચિ-ખંડ વૈજ્ઞાનિક સૂચિકરણ શું છે એનો પ્રભાવક ને આશ્ચર્યકારક પરિચય કરાવનાર કામ છે. સૂચિકાર્યની ઉપયોગિતાને આટલી ક્ષમતાથી બતાવી આપી એ પણ જયંતભાઈનું મહત્ત્વનું પ્રદાન લેખાશે. એક અધ્યાપક-વિવેચકની તર્કનિષ્ઠાથી આરંભીને સંશોધન-સંપાદનનાં પરિશ્રમ-નિષ્ઠ, સંકુલ ને માતબર કાર્યો સુધીની જયંતભાઈની આ વિવેચનસાધના કઠોર સાધના રહી, પણ એનો કોઈ થાક કે ભાર એમણે અનુભવ્યો નથી. મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશના નિવેદનમાં એમનો એક આનંદઉદ્ગાર સાંભળી શકાય છે : ‘કેટલીકવાર તો દિવસના આઠદસ કલાક પણ કોશના કામ પાછળ મંડ્યો રહ્યો છું પણ મને એનો થાક કદી વરતાયો નથી. ઊલટું, મધ્યકાલીન શબ્દોની દુનિયાને મેં આશ્ચર્યવત્ જોઈ છે ને એની ગલીકૂંચીઓમાં ભટકવાનો આનંદ માણ્યો છે.’(વાંકદેખાં વિવેચનો, કેફિયત, પૃ. ૨૮) જયંતભાઈએ કહ્યું છે કે, ‘વસ્તુતઃ મારી વિવેચનની ગાડી ઘણા પાટા બદલતી રહી છે.’ વિવેચન ઉપરાંત ભાષા-વ્યાકરણનાં પાઠયપુસ્તકો કરવા તરફ, કાવ્યાસ્વાદો-વિવરણો તરફ, લેખ-સંપાદનો તરફ એ વળતા ગયા - ખેંચાતા ગયા એના પરિણામે, એમણે ઇચ્છેલું એ, પાશ્ચાત્ય સાહિત્યવિવેચનાનો ઇતિહાસ આપવા માટે કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો સળંગ ગ્રંથ આપવા અંગે એકાગ્ર ન થઈ શક્યા. સાહિત્યકોશના સંપાદનમાં જોડાયા પછી એમની સઘળી એકાગ્રતા ને શક્તિ કોશગ્રંથો ને સૂચિગ્રંથશોધન તરફ વળી ગઈ. એમની વૈચારિક વિશદતા અને અભિવ્યક્તિની પારદર્શકતાનો તેમજ સંશોધન-પરીક્ષણ-બુદ્ધિનો લાભ સાહિત્યશાસ્ત્રનાં કેટલાંક મોટાં કામોને મળતો રહી ગયો. એમની શિક્ષકવૃત્તિએ એમનામાંના વિવેચકને સતત સક્રિય રાખ્યો તો એ જ શિક્ષકવૃત્તિએ એમનામાંના વિવેચકને હજુ વધુ ઊંચે ચડવા દેવાને બદલે વ્યાપમાં પ્રસ્તાર્યો - અલબત્ત, નક્કર ભૂમિકાએ. તેમ છતાં વિવેચક-સંશોધક તરીકે એમનું પ્રદાન ઘણા ઊંચા મૂલ્યવાળું છે એ તો તરત સમજાય એવું છે. સંકુલ વિષયને સુગમ કરી આપી શકતી વિશદતા અને લખાવટની સ્વચ્છતા; નરી વિદ્યાપ્રીતિ ને સાહિત્યપ્રીતિથી પ્રેરાઈને એમણે સાહિત્યની કૃતિઓ અને પ્રવૃત્તિઓ વિશે કરેલાં અધિકૃત સ્પષ્ટવેધક વિધાનો; એમની તર્કનિષ્ઠ ને તર્કચુસ્ત વિશ્લેષણમૂલક પર્યેપણા; વ્યાપક સાહિત્યિક પીઠિકા સાથેની હકીકતલક્ષી શુદ્ધિ-વૃદ્ધિ દ્વારા એમણે કરેલી ઇતિહાસસામગ્રીની સંશુદ્ધિ અને એ બધામાં સતત કાળજી ને સંગતિથી ગૂંથાતી રહેલી એમની આયોજન-લેખન-પદ્ધતિ એવા વિશેષોથી જયંત કોઠારી ગુજરાતી સાહિત્યમાં એક નિરાળી વિવેચકમુદ્રા સાથે આગવું સ્થાન ધરાવે છે. સંદર્ભનોંધ :

ગુજરાતીનો અધ્યાપકસંઘના મુંબઈ સંમેલન (૪, જાન્યુ. ૨૦૦૩)માં કરેલું વક્તવ્ય
‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’, જાન્યુઆરી-માર્ચ ૨૦૦૩
‘મથવું – ન મિથ્યા’ પૃ. ૩૯ થી ૫૦