સોરઠી સંતવાણી/વચનનો વિવેક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વચનનો વિવેક

વચન વિવેકી જે નરનારી, પાનબાઈ,
તેને બ્રહ્માદિક લાગે પાય;
તથારથ વચનની સાન જેણે જાણી, પાનબાઈ!
તેને કરવું હોય તેમ થાય. — વચન વિવેકી.
વચનમાં સમજે તેને મહાસુખ થાય રે
ઈ તો ગત ગંગાજી કહેવાય,
એકમના થૈને આરાધ કરે તો તો
નકળંગ પરસન થાય. — વચન વિવેકી.
વચને થાપ ને વચને ઉથાપ. પાનબાઈ!
વચને મંડાય જોને પાઠ,
વચનના પૂરા તે તો નહીં રે અધૂરા
વચનનો લાવો જોને ઠાઠ. — વચન વિવેકી.
વસ્તુ વચનમાં છે પરિપૂરણ, પાનબાઈ!
વચન છે ભક્તિનું જોને અંગ;
ગંગા રે સતી એમ બોલિયાં રે,
કરવો વચનવાળાનો સંગ. — વચન વિવેકી.

[ગંગાસતી]