પ્રતિપદા/ચાર કવિઓ – થોડીક રેખાઓ – રમણ સોની: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 59: Line 59:
દલપત પઢિયારનું આ અનુભવવિશ્વ એમની કવિતામાં બહુ જ પારદર્શક રીતે, માર્મિકતાથી છતાં ખાસ્સી મુખરતાથી આલેખાયું છે જ્યારે કાનજી પટેલમાં એ સંગોપનથી, ક્યારેક અતિસંગોપનથી આલેખાયું છે.{{Poem2Close}}
દલપત પઢિયારનું આ અનુભવવિશ્વ એમની કવિતામાં બહુ જ પારદર્શક રીતે, માર્મિકતાથી છતાં ખાસ્સી મુખરતાથી આલેખાયું છે જ્યારે કાનજી પટેલમાં એ સંગોપનથી, ક્યારેક અતિસંગોપનથી આલેખાયું છે.{{Poem2Close}}
'''કાનજી પટેલ'''
{{poem2Open}}કાનજી પટેલ અંગ્રેજીના પ્રોફેસર છે, કૉલેજમાં રક્ષક આચાર્ય છે, તેજગઢમાં આદિવાસી અકાદમીના નિયામક છે.
પ્રોફેસર પરદેશ પણ જઈ આવેલા છે – પણ ટાઈને ભાગ્યે જ એકાદવાર અડ્યા હશે. એમ ખુલ્લા ગળાવાળા છે પણ એમની કવિતા બહુ જ ટાઈટ છે. આ કવિ કર્મશીલ છે એટલા જ ચુસ્ત કવિકર્મશીલ છે. આધુનિકતાનો ઈડિયમ અને આદિવાસી લોકભાષા અને લોકસંવેદનનો ઈડિયમ એ બંનેનું સંયોજન છે એમની કવિતા. અને એ પીણું એકદમ નીટ છે – ઉત્તેજિત કરે એ પહેલાં ગળું બાળી નાખે એવું.
તો, કાનજીની કવિતા.
કાનજીની કવિતા નિતાન્ત જનપદની છે. પહેલા સંગ્રહનું નામ જ ‘જનપદ’(૧૯૯૧). પણ એમાંય તરત પછીની ક્ષણે એમનું સંવેદન વનપદમાં વળી જાય છે. પછીનો સંગ્રહ ‘ડુંગરદેવ’(૨૦૦૬) – ડુંગર એ જ દેવ. અને પછી વન સાથે પૂરેપૂરું, અસલી કમીટમૅન્ટ, વચનબદ્ધતા છે – એ ત્રીજા કાવ્યપુસ્તકનું નામ છે ‘ધરતીનાં વચન’(૨૦૧૨). અમે શિક્ષકો એટલે અહીં બે મધ્યમપદો મૂકીએ, અને કદાય બંને સાચાં પડે – એક, ‘ધરતીનાં વચન’ એટલે ધરતીનાં પોતાનાં વચન, ઉદ્ગારો; અને બીજું, ધરતીને કવિએ આપેલાં વચન – વચનબદ્ધતા. કાનજીનો ટૅમ્પરામૅન્ટ – કવિમિજાજ બિલકુલ વનવાસીનો. પણ અહીં વનવાસીનાં ગીતોમાં કે કાવ્યોમાં હોય એવી રંગદર્શિતા નથી. રંગો છે ખરા – પણ ગુલાબીગુલાબી કે જાંબલીજાંબલી કે લાલપીળા નથી; પણ રાતાપીળા, ઘેરા રાતા, ‘કાળાનીલપીલ લબકતા’ રંગો છે. એમની કવિતામાં, અલબત્ત મહદંશે, સળગાવી મૂકનારી વેદના છે ને વિદ્રોહીનો હોય એવો આક્રોશ છે. પણ એ પહેલાં,  ક્યાંક ક્યાંક પશ્ચાદ્ભૂમિકારૂપે વનના-પર્વતના-પંખીના-નદીના હોવાનો અંદર ઘુંટાતો હર્ષ પણ છે – એ જોઈ લઈએઃ
::::‘ચોમાસે મોળે વાદળ ફર્યાં
::::::::પૂરણ પાણી પાણી પીધાં
::::::::::::ને પ્હાણા ય બોલવા લાગ્યા
::::::::::::::::ઝાડ ઊડવા લાગ્યાં
::::::::::::::::::::ઝરણાં ભેગા નાગ સરક્યા મેદાને
::::::::::::::::::::::::પંખી અલકમલક ઊડ્યાં
::::::::::::::::::::::::::::[...]
::::::::::::::::::::::::::::::::ખીણોમાં ગીત મંડાયાં
::::::::::::::::::::::::::::::::::::ટોચ રણકી ઊઠી
::::::::::::::::::::::::::::::::::::::::મલક ખલ્લાટા કરે.    (ધરતીનાં વચન, ૨૨)
કલ્પનોની ગૂંજ પણ અહીં તો આપણો કાન પકડી શકે નરવી એવી છે. પરંતુ આપણું વધુ ધ્યાન ખેંચે છે આ પંક્તિ :
::::::::ઝરણાં ભેગા નાગ સરક્યા મેદાને
અલબત્ત, બાલમુકુંદના ‘પરણ પરની કીડીયે શી ધરે કમનીયતા!’ કરતાં આ જુદું છે, અરે, ઉશનસ્ની ‘બની અળસિયું ચપટી માટી સરે..’ એવા રૂપાન્તરણ જાદુથી પણ આ જુદું છે – પરંતુ આ સંવાદી ગતિમાં આલોકિત થાય છે તો એ જ સૌંદર્યરેખા.
વારુ. પડકારના ઉદ્ઘોષમાં પણ, એક બીજો હર્ષોલ્લાસ અહીં સાંભળવા જેવો છે. વન અને ડુંગરા અહીં થર્ડ પર્સન રહેતા નથી, ફર્સ્ટ પર્સન થઈ જાય ને એ પણ ‘અમે કવિઓ, અર્ધ આરણ્યકો–’(ઉશનસ્) એવા અર્ધ-વિનીત મિજાજમાં નહીં, પૂર્ણ આરણ્યક  મિજાજમાં :
::::અમે હજુ છીએ
::::::::અહીં જમીન પર છીએ
::::::::::::ધરતીના ગોળાથી અડધી ઉંમરમાં
::::::::::::::::અમે લીલા છાંયાનાં ઉછેરનારાં
::::::::::::::::::::પહેલ પરથમનાં
::::::::::::::::::::::::નામ પાડનારાં
::::::::::::::::::::::::::::[...]
::::::::::::::::::::::::::::::::અમે હજી છીએ.
::::::::::::::::::::::::::::::::::::[...]
::::::::::::::::::::::::::::::::::::::::પાણી મરશે
::::::::::::::::::::::::::::::::::::::::::::ત્યારે મરીશું.’ (ધરતીનાં વચન, પૃ. ૬)
‘છીએ’ પરનો ઉદ્ગાર-ભાર અને ‘ત્યારે’માં વરતાતો દૃઢ વિશ્વાસ વન વતીથી કરેલા પડકાર-હર્ષને સાક્ષાત્ કરે છે.
હવે વેદનાનું સંવેદન. ઝાડ કપાયાની, દલપતભાઈની કવિતામાં છે એવી અપરાધ-વેદનાનું અહીં એક બીજું રૂપ આલેખાયું છે : ‘ડચૂરો’ કાવ્યમાં સાંજની પલટાતી સ્થિતિ સૂચવતાં બે કલ્પનો જુઓ :
‘ઊડતી ધૂળ કિરણોમાં સોનું’ પણ પછી તરત, ‘સૂરજ કાળા ઘડામાં પુરાય.’
આ વિભિષિકા પછી –
::::લબકારા લે કુહાડો જંગલ પર
::::::::ઢળી પડે સીમ.
::::::::::::ગાડાવાળાની છાતીમાં ડચૂરો.
ડચૂરાને કવિ વધુ મૂર્તિમંત કરે છે – બળતરા રૂપે.
::::::નસોનું તાપણું તતડે.
આમ કલ્પનો મૂકીને કવિ બાજુએ ખસી જાય છે તો ક્યારેક ધ્વન્યાર્થને સૂચવવા-પૂરતી થોડીક ખુલ્લાશમાં પણ લઈ જાય છે. વન પર જનનું, ખરેખર તો નગરનું આક્રમણ કેવું બિહામણું છે એ ઠાવકી કથનરીતિએ સૂચવતું એક ટૂંકું કાવ્ય જુઓ :
::::મગરા પર
::::::::ડગરા ફરતે જનજનાવર ટોળે વળ્યાં
::::::::::::દુનિયા પૂછે,
::::::::::::::::તારો બાહ અહીં રહેતો હતો એનો પુરાવો આપ.
::::::::::::::::::::ઝાડપાન પર નામ તો હશે ને તારા બાહનું?
::::::::::::::::::::::::પણ ઝાડપાન તો ગયાં
::::::::::::::::::::::::::::હવે પથરે ચોંટી રહેવું હોય તો રહે
::::::::::::::::::::::::::::::::થોડી વેળા પછી એય જશે!
:::::::::::::::::::::::::::::::::::::::::<small>[બાહ=બાપ]</small>    (ધરતીનાં વચન, પૃ. ૮૦)
પણ મને કાનજીની જે સૌથી વધુ પ્રભાવક રચના લાગી છે એ છે : ‘દવ’ (જનપદ, પૃ. ૫) દાહકતાનો આવો કાવ્યાનુભવ બહુ વિરલ છે – કવિ એક વ્યક્તિલેખે પણ વનનો અભિન્ન અંશ ન હોય તો આવું કાવ્ય મળે નહીં. વનના દવમાં એક એક વૃક્ષ-વેલાં-જંતુ સાથે કવિ પણ જાણે દાઝતા જાય છે – અને દાઝવાનો અનુભવ આપણને સંપડાવતા જાય છે. જુઓ : બળતા ‘ખાખરાનો રસ છાલ પર આવે ચરુંણ ચરુંણ’ આ ‘ચરુંણ ચરુંણ’માં જાણે જીવતી ચામડી બળ્યાનો અવાજ સાક્ષાત્ થાય છે ને દૃશ્યનો નહીં પણ સ્પર્શનો દારુણ અનુભવ સંક્રાન્ત કરે છે. લીલાછમ વેલા પર પરપોટા થઈને ‘ફોલ્લા ફાટે’ છે ને તપી ગયેલા ‘પ્હાણ પર કીડી ધાણી’ની જેમ ફૂટે છે. (આ પંક્તિ વાંચતાં મને વાચક તરીકે કમકમાં આવી જાય છે.) કેવી કમનસીબ વિડંબના છે કે અહીં સાથે હોવું તેમાં વેદનાનો પણ ગુણાકાર થતો જાય છે!–
:::::ઝાડવાં..., ભેગાં થઈને ઝાઝું બળતાં.
દવ ઊંડે સુધી વ્યાપેલો દેખાડતું એક ઉત્પ્રેક્ષા જેવું કલ્પન આ છે : ‘ઠેરઠેર મૂળિયાંમાં ભઠ્ઠા.’ પણ પેલો, અગાઉના કાવ્યમાં હતો એ વિશ્વાસ તો છે જ – ‘પાણી મરશે ત્યારે મરશું.’ (–એ પહેલાં નહીં જ!) એટલે વિનાશ છતાં અહીં સર્વ-નાશની હતાશા નથી – છેલ્લી પંક્તિ આપણને આશ્વસ્ત કરે છે :
:::::‘વચમાં થથરે તળાવડી / ને તળિયે ફરકે ફણગો.’
હા, જંગલ ફરી ઊગવાનાં.
પણ કાનજીનાં આટલાં કાવ્યો – ને બીજાં પણ થોડાંક – આપણને હેમખેમ સાદ્યંત પસાર થવા દે છે. બાકી તો, કાનજીની કલ્પનચુસ્ત, સંકેતચુસ્ત, તળભાષાચુસ્ત કવિતા વાચકને એનું પૂરેપૂરું આકલન કરતાં રોકે છે, અટકાવે છે. વનના પ્રતિનિધિ લેખે જેને કશો વ્યામોહ નથી એને આધુનિકતાનો વ્યામોહ?! ક્યાંક ક્યાંક, તળપદ શબ્દો અને સંદર્ભોમાં ઝબકી ઊઠતાં કલ્પનોમાંથી, ક્યાંક તીવ્ર થઈ ઊઠતી અભિવ્યક્તિમાંથી, વળી ક્યાંક ફૂટનોટના વીજઝબકારમાં દૃશ્યમાન થતી અર્થ-કેડીમાંથી — એમ આપણે થોડાક કાચા હીરા વીણી લઈ શકીએ છીએ. પણ સાદ્યંત આનંદ સુધી પહોંચાતું નથી. કવિ જ્યારે આવી અંગત-તમ કલ્પન-રચના તરફ વળેલા રહે છે ત્યારે એવું લાગે છે કે આપણી અને એ કલ્પનોની વચ્ચે પારદર્શક કાચ નથી પણ કવિએ જાણે પોતા તરફી અરીસો ધરી રાખ્યો છે!
કાનજીની કવિતાને પૂરા પ્રેમથી ને ક્ષમતાથી જોનાર અવલોકનકારોને પણ કાવ્યપ્રવેશના અઘરાપણાની મૂંઝવણ થઈ છે. કાનજી આમ ઘણે ઠેકાણે આવા અરીસાધારક બન્યા છે એને બદલે થોડાક સન્મુખરાય પણ બન્યા હોત ...{{Poem2Close}}
<center>૦
26,604

edits

Navigation menu