શેક્સ્પિયર
પ્રારંભિક
અનુક્રમ
- પ્રકાશક-સંસ્થાનું નિવેદન
- શેક્સ્પિયર : પ્રતિભા-છબી (‘સંસ્કૃતિ’ના તંત્રીના બે બોલ)
- મૃત્યુંજયની ચતુર્થ શતાબ્દી
- 1. કીર્તિમંદિરમાં શેક્સ્પિયર
- 2. સ્ટ્રેટફર્ડના શેક્સ્પિયર
- 3. ‘પારકે પીંછે?’
- 4. સૉનેટમાં શેક્સ્પિયર
- 5. અલ્પ લૅટિન, નહિવત્ ગ્રીક
- 6. આત્મોપલબ્ધિ : 1594-1599
- 7. મનોભૂમિ અને રંગભૂમિ
- 8. તવારીખી નાટક
- 9. તવારીખી નાટક : બાસ્ટાર્ડ અને ફૉલસ્ટાફ
- 10. કુટુંબકથા
- 11. નવું નટઘર
- 12. રાજભૃત્યો
- 13. આયુષ્યમાન સિદ્ધિ અને –
- 14. સ્વસ્થ મનનાં સંભારણાં
આચાર્યશ્રી ભટ્ટે શેસ્પિયર-સાહિત્યનો ગંજ ઠીકઠીક ઉથામ્યો છે. અનેક દૃષ્ટિબિંદુઓ એમની નજર સામે તરવરે છે, બીજાઓનો અભિપ્રાયતંતુ ગૂંથી લે ત્યારે પણ એ વળ એવો આપે છે કે ચિંતનરજ્જુ પોતાનું આગવું ગૂંથાતું આવે. અભિવ્યકિતની મૌલિકતા, ઊડીને આંખે વળગે એ પ્રકારની છે. બહુશ્રુતપણું લોહીમાં એવું ભળી ગયું છે કે ત્વચાની ચમકની જેમ એક નિજી તત્ત્વ રૂપે એ પ્રકાશે છે... આચાર્યશ્રી ભટ્ટ એકસાથે અનેકાવધાની છે, શેક્સ્પિયરના જીવનની, એલિઝાબેથયુગની, સમગ્ર યુરોપીય સંસ્કૃતિની નાની-નાની વિગતોમાંથી ખપ પૂરતી તે તે પ્રસંગે તેઓ ઊંચકી લે છે, પણ સારોય વખત એમની નજર તો ઠરી હોય છે શેક્સ્પિયર પ્રતિભાની અખિલાઈ ઉપર. એ અખિલાઈ આખી તો કેમ કરી આલેખાય, પણ એનો આલેખ સરખો આંકી શકાય – અરે ઇંગિત પણ આપી શકાય તોય એ નાની વાત નથી. કવિના માનવી તરીકેના જીવનની કે એના લેખન અંગેની ઐતિહાસિક વિગતો કડીબદ્ધ રજૂ કરવી એ આચાર્યશ્રી સંતપ્રસાદનો આશય છે જ નહીં, એમણે તો અત્યાર સુધી સુલભ થયેલી કવિજીવનની વિગતોને અને કવિનાં કાવ્યો-નાટકોને એકસાથે નજરમાં રાખીને શેક્સ્પિયરની પ્રતિભા-છબી આપવાનું બીડું ઝડપ્યું છે. અંગ્રેજી—સંસ્કૃત—ગુજરાતી ભાષાની જીવનભરની આત્મીયતાભરી સાધના, ત્રણે ભાષાનો સંદર્ભવૈભવ લેખકને આ આશય પૂરો પાડવામાં મદદરૂપ નીવડે છે. ભાષાત્રિવેણીના અભિષેકથી એ કવિપ્રતિભાની પ્રભાવના કરે છે. ઉમાશંકર જોશી |