વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો



‘વત્સલનાં નયનો’ અને બીજા વિવેચનલેખો

મધુસૂદન કાપડિયા



અનુક્રમ


પરિશિષ્ટ-૧ કાન્ત શતાબ્દી


પરિશિષ્ટ-ર મધુસૂદન કાપડિયા : વ્યક્તિત્વ


પરિશિષ્ટ-૩ અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો – અવલોકનો


શતાબ્દીનું વર્ષ હતું. મુંબઈમાં ભારતીય વિદ્યાભવનના સભાગૃહમાં કાન્તની જન્મશતાબ્દીને દિવસે, નવેમ્બરની ૨૦મીએ એનો ઉત્સવ ઉજવાયેલો. પ્રમુખસ્થાને મુનશીજી હતા અને વક્તાઓમાં ગગનવિહારી મહેતા, જિતુભાઈ મહેતા, અમૃતલાલ યાજ્ઞિક અને રવિશંકર ભટ્ટ હતા. તે જમાનામાં એવો એક ચાલ હતો કે આવા પ્રસંગોએ એકાદ જુવાનડાને તક આપવી. આમાં મારો નંબર લાગ્યો હતો. હું ત્યારે નવોસવો અધ્યાપક થયો હતો. મારી ગંભીર મુશ્કેલી હતી કે કાન્ત ઉપર બોલવું શું? મને ખાત્રી હતી કે બોલવામાં મારો નંબર છેલ્લો જ હશે. હવે કાન્ત ઉત્તમ કવિ તે નિર્વિવાદ પણ એમણે ખૂબ જ થોડાં કાવ્યો લખ્યાં છે, એટલે કે ઉત્તમ કાવ્યો બહુ થોડાં લખ્યાં છે. મારા વિદ્યાગુરુ મનસુખલાલ ઝવેરીના શબ્દોમાં કહું તો ‘થોડાં પણ અતીવ સુંદર’. ખંડકાવ્યોમાં ગણીને ચાર : ‘અતિજ્ઞાન’, ‘ચક્રવાકમિથુન’, ‘વસંતવિજય’ અને ‘દેવયાની’. આવાં જ ઉત્કૃષ્ટ થોડાંક ટૂંકાં ઊર્મિકાવ્યો: ‘સાગર અને શશી’, ‘ઉદ્ગાર’, ‘ઉપહાર’, ‘મત્ત મયૂર’, ‘મનોહર પૂર્તિ’, ‘આપણી રાત’ અને અલબત્ત, ‘વત્સલનાં નયનો’. ઊર્મિકાવ્યોમાં ‘સાગર અને શશી’ સુપ્રસિદ્ધ પણ બીજાં ઓછાં જાણીતાં અને ‘વત્સલનાં નયનો’ સાવ જ અજાણ્યું અને દુર્બોધ. હવે મારી આગળના વક્તાઓ એકથી વધુ વાર ‘વસંતવિજય’ અને ‘સાગર અને શશી’ની વાત કરી ગયા હોય પછી એકની એક વાત હું કેટલામી વાર દોહરાવું? એટલે મેં ‘વત્સલનાં નયનો’ની પસંદગી કરી. ‘વત્સલનાં નયનો’નો મારો ઊંડો અભ્યાસ તમે અહીં પ્રકટ થયેલા લેખમાં જોઈ શકશો. વાક્છટાની તો મને કોઈ દહાડો ખોટ નથી પડી. બીજે દિવસે મુંબઈનાં એકેએક છાપામાં મારા નામનો જયજયકાર! અરે, અંગ્રેજી ‘ટાઈમ્સ ઑવ ઇન્ડિયા’એ પણ આ કાર્યક્રમની ટૂંકી નોંધ આપેલી.