ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ

From Ekatra Wiki
Revision as of 09:14, 9 August 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search




ચઇઉ [ઈ.૧૫૧૩ સુધીમાં] : જૈન. ‘ચઉઆ’ને નામે નોંધાયેલી ૩૪ કડીની ‘પાર્શ્વનાથ-વિનતિ’ (લે.ઈ.૧૫૧૩)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧).[શ્ર.ત્રિ.)

ચઉહથ/ચોથો [ઈ.૧૫૩૧માં હયાત] : સાંડેરગચ્છના જૈન સાધુ. યશોભદ્રસૂરિની પંરપરામાં ઉપાધ્યાય ધર્મસાગરના શિષ્ય. ૩૯૬ કડીની ‘આરામનંદન-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૧)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧).[શ્ર.ત્રિ.]

ચતુર-૧ [ઈ.૧૭૧૫માં હયાત] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. જસરાજની પરંપરામાં ભાઉજીના શિષ્ય. ‘ચંદનમલયાગીરી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૨.[શ્ર.ત્રિ.]

ચતુર-૨ [               ]: જૈન. ફત્તેસાગરશિષ્ય. ૭ ઢાળના ‘દેવલોક-સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન, સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, સં. ૧૯૭૬.[શ્ર.ત્રિ.]

ચતુર-ચાલીસી : ૪ કડીથી માંડીને ૨૧ કડી જેટલો વિસ્તાર દર્શાવતાં ૪૦ પદો અને આશરે ૩૭૫ કડીઓના આ કાવ્ય(મુ.)માં વિશ્વનાથ જાનીએ જયદેવના ‘ગીતગોવિન્દ’નો કાવ્યવિષય સ્વીકાર્યો છે. કૃષ્ણ-ગોપીનો શૃંગાર, ગોપીના ચિત્તમાં જન્મતી અસૂયા અને કૃષ્ણના પ્રણયચાતુર્યથી ગોપીનું રીઝવું - આ પ્રસંગો પ્રયોજીને રચાયેલી નરસિંહની ‘ચાતુરીઓ’  નામક પદમાળા પણ મળે છે, પરંતુ નરસિંહના આ પદોમાં વિશૃંખલતા ને ભાવનિરૂપણની એકવિધતા છે, ત્યારે વિશ્વનાથ જાની વિષયને સુશ્લિષ્ટતાથી ને સુરેખ ક્રમિતાથી ભાવવૈવિધ્યપૂર્વક આલેખે છે. ઉપરાંત, નરસિંહમાં સ્થૂળ ભોગચિત્રોની જે પ્રચુરતા છે તે ‘ચતુર-ચાલીસી’માં નથી. એનો શૃંગાર સંયત, સુરુચિપૂર્ણ અને સંસ્કારી છે. નરસિંહનાં પદોમાં મુખબંધ, ઢાળ અને વલણ ધરાવતો પદ્યબંધ જોવા મળે છે, ત્યારે અહીં મુખબંધ પણ માત્ર ૧ જ પદમાં છે એ નોંધપાત્ર છે. ‘ચતુર-ચાલીસી’નો પ્રારંભ કૃષ્ણવિરહમાં ઝૂરતી ગોપીના નાટ્યાત્મક ચિત્રથી થાય છે. સાથેસાથે ગોપીવિરહથી દુ:ખી થતા કૃષ્ણનું વર્ણન પણ એમાં થાય છે. દૂતીની સહાયથી બંને મળે છે, એ પછી કવિ કૃષ્ણે કરેલા ગોપીના પ્રેમભર્યા અનુનયનાં સુંદર ચિત્રો ઊપસાવે છે. રતિક્રીડા દરમ્યાન કૃષ્ણ ભૂલથી રાધાનો નામોચ્ચાર કરી દે છે અને ગોપી રિસાઈને કૃષ્ણથી વિમુખ બનીને ચાલી જાય છે. પુન: દૂતીની મદદથી બંને મળે છે ને કૃષ્ણના પ્રણયચાતુર્યથી પ્રસન્ન થયેલી ગોપી સવાર પડતાં સ્વગૃહે જવા વિદાય લે છે. કવિએ ગોપી અને કૃષ્ણની લાગણીઓની કાળજીભરી સંભાળ લેતી ને બંનેને ડહાપણભરી શિખામણ આપી એમને પરસ્પર ગાઢ અનુરાગભર્યા મિલન તરફ દોરી જતી દૂતીની વિદગ્ધતાની પણ રસપ્રદ રેખાઓ આંકી છે. ગોપીનો કૃષ્ણ માટેનો ઉત્કટ અનુરાગ સામાન્ય સંસારી અનુરાગ નથી પણ પ્રેમલક્ષણા ભક્તિ છે, એનાં સૂચનો પણ કવિના કાવ્યમાંથી મળ્યાં કરે છે. આ કવિની અન્ય કૃતિ ‘પ્રેમ-પચીસી’ની જેમ આ કૃતિના પ્રારંભમાં પણ ઇષ્ટદેવની સ્તુતિ નથી અને અંતે ફલશ્રુતિ છે. કાવ્યમાં પુષ્ટિમાર્ગનો પટ સ્પષ્ટ હોવા છતાં કાવ્ય સાદ્યંત રસાત્મક રહ્યું છે. કવિની નજર પ્રસંગાલેખન કરતાં ભાવનિરૂપણ તરફ વિશેષ છે અને તેથી અલ્પ કથાતત્ત્વવાળી આ કૃતિનાં ચાલીસે પદો નાટ્યાત્મક ઊર્મિકાવ્ય સમો રસાસ્વાદ કરાવે છે. ગોપીકૃષ્ણના મિલનની ધન્ય ક્ષણોના વર્ણનમાં “આપ ટલી હરિ થઈ ગોપી” કે “નિશા વિષે પ્રગટ થયું વહાણું” જેવી અભિવ્યક્તિ જાનીના કવિત્વનો હૃદ્ય પરિચય કરાવે છે. [મ.દ.]

ચતુરવિજય : આ નામે કોશાએ સ્થૂલિભદ્રને પોપટ દ્વારા મોકલાવેલ સંદેશ રૂપે રચાયેલ ૧૮ કડીની ‘સ્થૂલિભદ્ર-બારમાસ’ (લે.ઈ.૧૬૯૬; અંશત: મુ.) એ જૈન કૃતિ મળે છે. તેના કર્તા કયા ચતુરવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. પંડિત ચતુરવિજયને નામે મળતો ‘ધન્નાનો રાસ’ (ર.ઈ.૧૮૨૭/સં. ૧૮૮૩, માગશર સુદ ૫) સમયદૃષ્ટિએ વિચારતાં ચતુરવિજય-૩નો હોવા સંભવ છે, પરંતુ એ વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : જૈનયુગ, ફાગણ-ચૈત્ર ૧૯૮૩ - ‘પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન’. સંદર્ભ : દેસુરાસમાળા.[શ્ર.ત્રિ.]

ચતુરવિજય-૧ [ઈ.૧૭૨૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં રવિવિજયના શિષ્ય. ૨૦૬ કડીના ‘નેમિનાથરાજિમતી-વેલ’ (ર.ઈ.૧૭૨૦/સં. ૧૭૭૬, પોષ સુદ ૧૪, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : મુપૂગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

ચતુરવિજય-૨ [ઈ.૧૭૯૮માં હયાત] : જૈન સાધુ. નેમવિજય-ન્યાયવિજયના શિષ્ય. મૂળ હેમપ્રભસૂરિની ‘વિવેકમંજરીપ્રકરણવૃત્તિ’ના સ્તબક (ર.ઈ.૧૭૯૮/સં. ૧૮૫૪, કારતક સુદ ૨, શનિવાર)ના કર્તા. આ સ્તબક પૂરો કરવામાં ભક્તિવિજય અને મોતીવિજય એ ગુરુબંધુઓનો પણ સહકાર હતો. આ સ્તબક ભૂલથી હેમપ્રભસૂરિને નામે નોંધાયેલ છે. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

ચતુરવિજય-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં નવલવિજયના શિષ્ય. એમની ‘ચોવીસી’ (મુ.) ભાવાવિષ્ટતા, અલંકારયુક્ત રસાળ અભિવ્યક્તિ અને દેશીવૈવિધ્યથી નોંધપાત્ર બને છે. આ ઉપરાંત, આ કવિએ ઈ.૧૮૪૪માં મેત્રાણામાં પ્રગટ થયેલ ને પ્રતિષ્ઠા પામેલ જિનપ્રતિમાઓવિષયક ૪ ઢાળનું ‘મેત્રાણાતીર્થની ઉત્પત્તિનું સ્તવન/(મેત્રાણામંડન) ઋષભ-જિન-સ્તવન’ (મુ.), ૩૦ કડીનું ‘બીજનું સ્તવન’ (ર.ઈ.૧૮૨૨/સં. ૧૮૭૮, અસાડ સુદ ૧૦; મુ.), ‘કુમતિવારક સુમતિને ઉપદેશ-સઝાય’, ‘આત્મશિખામણ-સઝાય’, ‘અષ્ટમીનું સ્તવન’, ‘વર્ધમાન-સ્તુતિ’ અને ‘સીમંધરજિન-વિનતિ’ એ કૃતિઓ રચેલ છે. ‘(મેત્રાણામંડન) ઋષભજિન-સ્તવન’ ‘જૈન ગૂર્જર કવિઓ’એ ભૂલથી નવલવિજયને નામે નોંધેલ છે. કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. ચૈસ્તસંગ્રહ:૩; ૩. જિસ્તસંગ્રહ; ૪. જિભપ્રકાશ;  જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૩ - ‘મેત્રાણા તીર્થની ઉત્પત્તિનું સ્તવન’, સં. જેશિંગલાલ ન. શાહ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧).[શ્ર.ત્રિ.]

ચતુરસાગર [ઈ.૧૭૧૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગરની પરંપરામાં ઉત્તમસાગરના શિષ્ય. ૩૬૦ ગ્રંથાગ્રના ‘મદનકુમારનો રાસ’ (ર.ઈ.૧૭૧૬/સં. ૧૭૭૨, માગશર સુદ ૩; મંગળવાર)ના કર્તા. આ નામે મળતી, મૂળ રત્નાકરસૂરિની સંસ્કૃત રચના ‘રત્નાકર-પંચવિંશતિકા’ ઉપરના સ્તબક (ર.ઈ.૧૭૦૦)ના કર્તા પણ પ્રસ્તુત ચતુરસાગર હોવા સંભવ છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ:૧.[શ્ર.ત્રિ.]

ચતુર્ભુજ : આ નામે ૧૨ કડવાંનું ‘એકાદશી-રુકમાંગદ-આખ્યાન’ તથા કૃષ્ણચરિતનાં પદો નોંધાયેલાં છે એ કયા ચતુર્ભુજ છે તે નક્કી થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ:૨;[કા.શા.]

ચતુર્ભુજ-૧ [સંભવત: ઈ.૧૫૨૦માં હયાત] : ક્વચિત્ આંતરયમકનો ઉપયોગ કરતા દુહા અને છંદની ૯૯ કડીના ‘ભ્રમરગીતા-ફાગ/શ્રીકૃષ્ણગોપીવિરહમેલાપક ભ્રમરગીતા’ (સંભવત: ર.ઈ.૧૫૨૦; મુ.)ના કર્તા. કૃષ્ણના મથુરાગમનના વૃત્તાંતને પણ આવરી લેતી, ભાગવતાધારિત ઉદ્ધવસંદેશવિષયક આ રચના એમાંનાં ભાવવાહી આલેખનોથી નોંધપાત્ર બને છે. કૃતિ : ૧. પ્રાફાગુસંગ્રહ(+સં.); ૨. ભ્રમરગીતા(+સં.). સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ:૩(૨); ૪. મુપુગૂહસૂચી.[કા.શા.]

ચરણકુમાર : આ નામે સઝાય (લે.ઈ.૧૬૫૫) તેમ જ ‘નવકારવાલી-ગીત’ (લે.સં. ૧૭મી સદી અનુ.) નોંધાયેલ છે તે કયા ચરણકુમાર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસિચિ:૧.[શ્ર.ત્રિ.]

ચરણકુમાર-૧ [ઈ.૧૬૭૮ સુધીમાં) : જૈન સાધુ. દેવવિજયના શિષ્ય. ૬૮ કડીના ‘સમકિતસારવિચાર-સ્યાદવાદ-સ્વરૂપવર્ણન’ (લે.ઈ.૧૬૭૮)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

ચરણકુમાર-૨ [               ]: જૈન સાધુ. પાઠક કમલલાભની પરંપરામાં દેવવિમલના શિષ્ય. ૩૭ કડીની ‘સમ્યક્ત્વપ્રાપ્તિની સઝાય/સમકિત-ભાસ’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. ખરતરગચ્છના કમલલાભ-ઉપાધ્યાયના આ પ્રશિષ્ય હોય તો તેમનો સમય ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ ગણાય. કૃતિ : વિવિધ પુષ્પવાટિકા:૨, સં. પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨ (સાતમી આ.). સંદર્ભ : ૧ મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

ચરણપ્રમોદ/ચરણપ્રમોદશિષ્ય[ઈ.૧૭૧૦ સુધીમાં] : જૈન સાધુ. આ બંને નામથી મળતી ૧૦ કડીની ‘મધુબિંદુની સઝાય’ (લે.ઈ.૧૭૧૦; મુ.)માં “ચરણપ્રમોદ સુશિષ્ય જંપે” એવી પંક્તિને કારણે કર્તા ચરણપ્રમોદ કે એના શિષ્ય છે તે વિશે અસ્પષ્ટતા રહે છે. આ ઉપરાંત ચરણપ્રમોદશિષ્યને નામે ૧૪ કડીની ‘વ્યવહારસ્થાપન-સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.), ૩ કડીની ‘પાર્શ્વનાથ-સ્તોત્ર’ તથા ‘પાર્શ્વનાથ-છંદ’ એ કૃતિઓ નોંધાયેલી છે. કૃતિ : ૧. જૈપ્રાસ્તસંગ્રહ; ૨. જૈસસંગ્રહ(ન.). સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧.[કી.જો.]

ચંદ : આ નામે કેટલાંક ગુજરાતી-હિંદી પદ (મુ.) મળે છે તે કયા ચંદ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. જૈકાપ્રકાશ:૧; ૨. જૈસમાલા(શા.):૧.[ચ.શે.]

ચંદ-૧ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો[કી.જો.]

ચંદ-૨ [               ]: જૈન સાધુ. રૂપચંદગણિશિષ્ય. ‘ગૌતમસ્વામીનો છંદ’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ:૩; ૨. જૈકાપ્રકાશ:૧; ૩. જૈસમાલા (શા.):૧.[ચ.શે.]

‘ચંદ-ચરિત’[ર.ઈ.૧૬૩૩/સં. ૧૬૮૯, કારતક સુદ ૫/૧૦, ગુરુવાર] : ‘ચંદ્રાયણ’ અને ‘ચંદમુનિપ્રેમલાલક્ષ્મી-રાસ’ એવાં અપરનામો ધરાવતી મુનિવિજયશિષ્ય દર્શનવિજયકૃત આ દુહાદેશીબદ્ધ રાસકૃતિ(મુ.) ૯ અધિકાર, ૫૮ ઢાળ અને ૧૪૫૪ કડીમાં વિસ્તરેલી છે. શીલવિષયક લેખાવાયેલો આ રાસ એના અદ્ભુતરસિક વૃત્તાંતથી વધુ ધ્યાન ખેંચે છે. ચંદરાજાની મંત્રતંત્રની જાણકાર અપરમાતા વીરમતી રાણી ગુણાવલીને ભોળવીને વિમલપુરીની રાજપુત્રી પ્રેમલાલક્ષ્મીનાં લગ્ન જોવા માટે લઈ જાય છે. ચંદરાજાને નિદ્રાવશ કરી દેવાની વીરમતીની યોજનાને રાજા નિષ્ફળ બનાવે છે અને એમનાથી છાની રીતે વૃક્ષની બખોલમાં પેસી જાય છે. વીરમતીના મંત્રબળે એ વૃક્ષ એમને લઈને વિમલપુરી પહોંચે છે. ચંદરાજાને પૂર્વસંકેત અનુસાર કોઢિયા રાજકુંવર કનકધ્વજને સ્થાને પ્રેમલાલક્ષ્મી સાથે લગ્ન કરવાનું બને છે અને એ પછી સાસુવહુની સાથે છુપાઈને એ પાછો આવે છે. અપરમાતાને બીજે દિવસે રાજાના હાથના મીંઢળ જોઈ એના આ કૃત્યની જાણ થતાં એ એને કૂકડો બનાવી દે છે ને પોતે રાજ્યશાસન સંભાળે છે. કેટલાંક વર્ષો પછી શિવકુમાર નાટકિયો દરબારમાં આવી ચંદ્રની કીર્તિ ગાય છે ત્યારે કૂકડો પિંજરમાંથી સુવર્ણકચોળું નીચે પાડી એની કદર કરે છે અને પોતાને એની સાથે લઈ જવા સૂચવે છે. વીરમતી પાસેથી માગી લઈને નાટકિયો એને લઈ જાય છે અને ફરતાંફરતાં વિમલપુરી જાય છે. ત્યાં પ્રેમલાલક્ષ્મી કોઢિયા રાજકુમારને બળપૂર્વક તરછોડીને પોતે લગ્નમંડપમાં જેને જોયો હતો એ ચંદની સ્મૃતિમાં ઝૂરતી હોય છે. ચંદની આભાનગરીમાંથી મળેલા આ કૂકડા પર એને મોહ થાય છે ને એને લઈને એ સિદ્ધાચલ જાય છે.ત્યાં કુંડમાં ડૂબવા પડેલા કૂકડાને બચાવતાં ને એની પાંખ વગેરે સાફ કરતાં વીરમતીએ એના પગે બાંધેલો દોરો તૂટી જાય છે અને ચંદ મનુષ્યરૂપ ધારણ કરે છે. આ હકીકતની જાણ વીરમતીને થતાં એ ચંદરાજાને મારવા આવે છે પણ પોતે જ મરી જાય છે. પ્રેમલાલક્ષ્મી પોતાને ત્યાં કેદ રાખેલા કોઢિયા રાજકુમારનો કોઢ દૂર કરી પોતાના સતીત્વની ખાતરી કરાવી ચંદરાજા સાથે પરણે છે અને આભાપુરી આવે છે. ઘણાં વર્ષો પછી મુનિ સુવ્રતસ્વામીની પાસેથી પોતાનો પૂર્વભવ જાણવા મળતાં ચંદરાજા રાણીઓ સાથે દીક્ષા લઈ ચંદમુનિ બને છે. આ કૃતિમાં કથારસનું પ્રાધાન્ય છે. તેમ છતાં કવિના કાવ્યકૌશલની પ્રતીતિ કરાવતા અંશો આપણને મળ્યા કરે છે. પ્રેમલાલક્ષ્મીના સૌંદર્યનું સવિસ્તાર આલંકારિક વર્ણન ઉપરાંત વરઘોડા, પ્રભાતસમયની લોકચર્યા આદિનાં વર્ણનો, ગુણાવલીના વિરહદુ:ખના અને યોદ્ધાઓના યુદ્ધોત્સાહના ઉદ્ગારો, દૃષ્ટાંતવિનિયોગ, આંતરપ્રાસ ને કુંડળિયાપ્રકારનું રચનાચાતુર્ય, સમસ્યાદિવિનોદ વગેરે એનાં દૃષ્ટાંતો છે. આ કૃતિનો રચનાસમય પહેલા ૮ અધિકારની પ્રશસ્તિમાં સં. ૧૬૮૯ આસો સુદ ૧૦ દર્શાવાયો છે, જ્યારે નવમા અધિકારની પ્રશસ્તિમાં સં. ૧૬૮૯ કારતક સુદ ૫ કે ૧૦ દર્શાવાયો છે. [જ.કો.]

‘ચંદરાજાનો રાસ’ [ર.ઈ.૧૭૨૭/સં. ૧૭૮૩, પોષ સુદ ૫, શનિવાર] : રૂપવિજયશિષ્ય મોહનવિજયકૃત આ દુહાદેશીબદ્ધ રાસ (મુ.) ૪ ઉલ્લાસ, ૧૦૮ ઢાળ અને ૨૬૮૫ કડીમાં રચાયેલો છે. દર્શનવિજયના ‘ચંદ-ચરિત’થી વધુ વિસ્તાર બતાવતા આ રાસમાં ચંદરાજાના પિતા વીરસેન અશ્વપરીક્ષા નિમિત્તે જંગલમાં જઈ ચડતાં ચંદ્રાવતીને બચાવી તેની સાથે પરણે છે ને એને પુત્ર જન્મતાં દુ:ખદગ્ધ અપુત્ર વીરમતીને પોપટની સૂચનાથી અપ્સરાઓ પાસેથી મંત્રવિદ્યા પ્રાપ્ત થાય છે એ પૂર્વકથા કહેવાયેલી છે. વીરસેન અને ચંદ્રાવતી વય પ્રાપ્ત થતાં સંસારત્યાગ કરે છે ને વીરમતી રાજમાતા તરીકે રહે છે. કવિએ, આ ઉપરાંત, પોતાની કૃતિમાં ઘોડાઓ વગેરેનાં ઘણાં વર્ણનો - જે લક્ષણયાદી સમાં છે - ને સ્ફુટ પ્રસ્તારી ભાવલેખનની તક લીધી છે. એથી ગુણાવલી અને પ્રેમલાની ચંદરાજા પ્રત્યેની અચળ નિષ્ઠાનું નિરૂપણ થતાં શીલમહિમાના વિષયને વિશેષ ન્યાય મળ્યો છે. કવિની ભાષાપ્રૌઢિ ને તેમણે પ્રયોજેલું દેશીવૈવિધ્ય ધ્યાન ખેંચે છે.[જ.કો.]

ચંદો [               ]: જૈન સાધુ. ૪ કડીના ‘ગોડીપાર્શ્વનાથસ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ચ.શે.]

ચંદ્ર-૧ [ઈ.૧૬૭૬માં હયાત] : જૈન શ્રાવક. જ્ઞાતિએ ચોરાસી વીસા શ્રીમાળી વાણિયા. સુરતના નિવાસી. “લાધુ સુખ નિરધાર” એવી પંક્તિને લીધે ‘લઘુ’ અને ‘સુખ’ની મનાયેલી પણ ચંદ્ર અને ઉદે (=ઉદય) એ ૨ બંધુનામનો સ્પષ્ટ નિર્દેશ ધરાવતી દુહા, ચોપાઈ અને છપ્પાબદ્ધ ૧૧૫૪ ડીની ‘વિનેચટની વાર્તા’ (ર.ઈ.૧૬૭૬/સં. ૧૭૩૨, કારતક સુદ ૧૧) મળે છે, જોકે, કાવ્યના અંતભાગની કેટલીક પંક્તિઓ, જૈન અસરનો સદંતર અભાવ, ફલશ્રુતિમાં પણ “બોલો જે જે શ્રીહરિ” એવી પંક્તિ અને કાવ્યમાં “કવેસર કહે”, “કવિજન કહે”, “ગુરુદેવ કહે” એવા આવતા ઉલ્લેખો ઉપર્યુક્ત જૈન બંધુઓની વિનંતીથી કોઈ અજ્ઞાતનામા જૈનેતર કવિએ આ કૃતિ રચેલી હોય એવો વહેમ પણ જગાવે છે. આ કૃતિ સ્વલ્પ ફેરફારો સાથે શામળની ‘વિદ્યાવિલાસિનીની વાર્તા’ તરીકે મુદ્રિત થયેલી છે પણ શામળની નામછાપવાળી કોઈ હસ્તપ્રત મળતી નથી. કૃતિ : બૃકાદોહન:૩. સંદર્ભ : ૧. અક્ષરલોકની યાત્રા, તખ્તસિંહ પરમાર, ઈ.૧૯૮૦-‘વિનેચટની વાર્તાનું કર્તૃત્વ’;  ૨. બુદ્ધિપ્રકાશ, નવે. ૧૯૨૭ - ‘કવિ સામળકૃત વિદ્યાવિલાસિનીની વાર્તાનું મૂળ’;  ૩. કદહસૂચિ.[જ.કો.]

ચંદ્ર(મુનિ)-૨ [               ]: જૈન સાધુ. રત્નમુનિના શિષ્ય. ૧૨ કડીના ‘અષ્ટમીનું ચૈત્યવંદન’ (મુ.)ના કર્તા. આ કદાચ ચંદ્રવિજય-૨ હોઈ શકે. કૃતિ : ચૈસ્તસંગ્રહ:૧,૩. [ચ.શે.]

ચન્દ્રકીર્તિ : આ નામે ‘બાર અનુપ્રેક્ષા’ (લે.ઈ.૧૮૨૧), ‘વિજયશેઠ-વિજયાશેઠાણી-ચોઢાળિયાં’ (લે.સં. ૨૦ સદી અનુ.) મળે છે. તેના કર્તા ચંદ્રકીર્તિ-૧ છે કે અન્ય તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : ૧. રાપુહસૂચી:૧; ૨. રાહસૂચી:૧.[શ્ર.ત્રિ.]

ચંદ્રકીર્તિ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ-અવ.ઈ.૧૬૫૧/સં. ૧૭૦૭, પોષ વદ ૧] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં હર્ષકલ્લોલના શિષ્ય. ૨ ખંડ, ૪૬ ઢાળ અને ૬૨૫ કડીની ‘ધર્મબુદ્ધિપાપબુદ્ધિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, ભાદરવા સુદ ૯, મંગળવાર), ૧૬ ઢાળ અને ૨૮૧ કડીની ‘યામિનીભાનુ-મૃગાવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૩/સં. ૧૬૮૯, આસો સુદ ૭, બુધવાર) અને ૧૨ કડીના ‘કીર્તિરત્નસૂરિ-ગીત’ (મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧,૩(૧); ૨. મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

‘ચંદ્રકેવલીનો રાસ’ [ર.ઈ.૧૭૧૪/સં. ૧૭૭૦, મહા સુદ ૧૩] : ‘આનંદમંદિર-રાસ’ એવા અપરનામથી પણ ઓળખાવાયેલો ૪ ખંડ, ૧૧૧ ઢાળ અને ૭૬૪૯ કડીઓમાં વિસ્તરેલો, મુખ્યત્વે દુહા-દેશીબદ્ધ જ્ઞાનવિમલકૃત આ રાસ (મુ.) પૂર્વભવના આયંબીલતપને કારણે કેવલીપદને પામનાર ચંદ્રકુમારનું પ્રભાવક ચરિત્ર આલેખે છે. ખટપટને કારણે છોડી દેવાયેલો અને લક્ષ્મીદત્ત શેઠના પુત્ર તરીકે ઊછરેલો રાજકુમાર ચંદ્રકુમાર સત્યનિષ્ઠા આદિ પોતાના નિર્મળ ચરિત્રગુણોથી સૌનાં હૃદય જીતી લે છે, પોતાની બુદ્ધિની તેજસ્વિતાથી અને સાધનાથી ૭૨ કળાઓમાં પારંગત થાય છે અને કેટલીક સિદ્ધિઓ પણ મેળવે છે, દેશાટન કરી પરાક્રમપૂર્વક રાજ્યો, સંપત્તિ અને સ્ત્રીઓ પ્રાપ્ત કરે છે, દાન અને પરોપકારનાં યશસ્વી કાર્યો કરે છે અને અનેક અદ્ભુત અનુભવોમાંથી પસાર થાય છે. છેવટે પોતાના જન્મદાતા માતાપિતાને મળી એમના રાજ્યનો સ્વામી પણ બને છે. અત્યંત કૌતુકરસિક અને ઘટનાપ્રચુર આ કથામાં દૃષ્ટાંત રૂપે અન્ય ધર્મકથાઓ પણ ગૂંથવામાં આવી છે. કથારસની સાથે જ્ઞાનોપદેશ પણ આ કૃતિનું મહત્ત્વનું પાસું છે. જૈન ધર્મના નિયમો અને સિદ્ધાંતોનું વિવરણ, જૈન માન્યતા મુજબની ભૌગોલિક રચનાનું આલેખન, નાયકનાયિકાભેદ આદિ વિષયોનું નિરૂપણ, સુભાષિત-સમસ્યા-હરિયાળીની ગૂંથણી અને સંસ્કૃત શ્લોકો તથા પ્રાકૃત ગાથાઓનું ઉદ્ધરણ - આ બધામાં પ્રગટ થતી કવિની વ્યુત્પન્નતા ઘણી નોંધપાત્ર છે. તાંબૂલ અને અંતરંગ તાંબૂલ, સ્નાન અને અંતરંગ સ્નાન, ભાવખીચડી વગેરેનાં લક્ષણોનું વર્ણન રસપ્રદ પણ બને છે. વિવિધ પ્રકારની ધ્રુવાઓ પ્રયોજતી સુગેય દેશીઓ, કવિત, જકડી, ચંદ્રાવળા આદિ કાવ્યબંધો અને ઝડઝમકવાળી ચારણી શૈલી કવિની કાવ્યનિપુણતાનો મનોરમ પરિચય કરાવે છે. [જ.કો.]

ચંદ્રખુશાલ : જુઓ ખુશાલચંદ (ઈ.૧૭૪૨માં હયાત).

'‘ચંદ્ર-ચંદ્રાવતી’ : ‘મદનમોહના’ની માફક નાયિકા-નાયિકાનાં નામના શીર્ષકવાળી, ચોપાઈ-દોહરા-છપ્પાની ૭૪૬ કડીમાં રચાયેલી શામળની સાધારણ સારી વારતા (મુ.) ભાગવતના કથાશ્રવણથી પ્રેરાઈ પ્રધાનપુત્રને સાથે લઈ અડસઢ તીરથની જાત્રાએ નીકળેલો શ્રીહઠના રાજાનો કુંવર ચંદ્રસેન ૨ જુદાંજુદાં સ્થળની રાજકુંવરીઓ ચંદ્રાવતી અને નિધિનંદનીને પરણી એ બેઉ પત્નીઓ સાથે ૧૨ વર્ષે નગરીમાં પાછો ફરે, એવું એનું વસ્તુ જાત્રાનિમિત્તે દેશાટન, પ્રથમ દર્શને નાયક-નાયિકાનો પરસ્પરાનુરાગ, સમસ્યાબાજીથી એનું લગ્નમાં થતું પરિણમન, ગાંધર્વવિવાહ જેવું ગુપ્ત સ્નેહલગ્ન, માલણ જેવા પાત્રની એમાં સહાય, નાયક-નાયિકાને વેઠવાં પડતાં વીતકો, નાયકને નાયિકા ઉપરાંત અન્ય સુંદરીની પણ પત્ની તરીકે થતી પ્રાપ્તિ, વગેરે શામળે ‘પદ્માવતી’માં ને અન્ય વારતાઓમાં પ્રયોજેલાં કથાઘટકોનો ઉપયોગ દેખાડે છે. એમાંની સમસ્યાઓ, નાયકનાયિકાનાં રૂપ-ગુણનાં વર્ણન વગેરે શામળની અન્ય વારતાઓમાં દેખાય છે તેનાથી કોઈ રીતે વિશિષ્ટ નથી.[અ.રા.]

ચંદ્રધર્મ(ગણિ)  [ઈ.૧૫૭૭ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. ‘યુગાદિદેવસ્તોત્રપદ-બાલાવબોધ’ (લે.ઈ.૧૫૭૭)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨).[શ્ર.ત્રિ.]

ચંદ્રનાથ [               ]: જૈન સાધુ. ‘હિતોપદેશ-પચીશી’(મુ.)ના કર્તા. કૃતિમાં ધર્મદત્ત તથા ચંદ્રનાથ બંને નામ એ રીતે ગૂંથાયા છે કે કૃતિના કર્તૃત્વ વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી. કૃતિ : લોંપ્રપ્રકરણ. [કી.જો.]

ચંદ્રભાણ (ઋષિ) [ઈ.૧૭૮૨માં હયાત] : જૈન સાધુ. રાજસ્થાનીમિશ્ર ગુજરાતીમાં ૩૫ ઢાળની ‘જંબૂકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૮૨) તથા સવૈયામાં ‘ચતુર્વિંશતિજિન-પચીસી’ (મુ.), ‘જિન-લાવણી’, ઋષભદેવ તથા મહાવીરસ્વામી વિશેના છંદ (મુ.) એ હિંદી કૃતિઓના કર્તા. કૃતિ : ૧. જૈન વિવિધ ઢાલ સંગ્રહ, પ્ર. જેઠમલ ભ. શેઠિયા, ઈ.૧૯૨૩; ૨. જૈન સ્વાધ્યાય મંગળમાલા:૧, સં. મુનિશ્રી શામજી, ૧૯૬૨. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧,૨); ૨. લીંહસૂચી.[શ્ર.ત્રિ.]

ચંદ્રલાભ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધમાં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ૨૪૩ કડીના ‘ચતુષ્પર્વી-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૫૧૬/૧૫૧૮), ૩૩ કડીના ‘(વરકાણા)પાર્શ્વનાથ-સ્તવન’ અને ૧૧ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]

ચંદ્રવિજય : આ નામે ૧૦ કડીની ‘ચંદનમલયાગીરી-સઝાય’ (લે.ઈ.૧૮૧૩)તથા રાજુલના નેમિનાથ માટેના વિરહનું હિંદી સ્તવન (મુ.) મળે છે પરંતુ આ ચંદ્રવિજય કયા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : જૈકાપ્રકાશ:૧. સંદર્ભ : લીંહસૂચી. [ચ.શે.]

ચંદ્રવિજય-૧ [ઈ.૧૬૬૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયરાજસૂરિની પરંપરામાં ઉપાધ્યાય ઋદ્વિવિજયના શિષ્ય. ૧૧ કડીના ‘શાશ્વતજિનબિંબ-સ્તવન’ (ર.ઈ.૧૬૬૯)ના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧.[ચ.શે.]

ચંદ્રવિજય-૨ [ઈ.૧૬૭૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં રત્નવિજયના શિષ્ય. ૮૫૨ ગ્રંથાગ્રના ‘જંબૂસ્વામી-રાસ’ (ર.ઈ.૧૬૭૮/સં.૧૭૩૪, પોષ સુદ ૫, મગળવાર)ના કર્તા. જુઓ ચંદ્ર-૨. સંદર્ભ : જૈગૂકવિઓ:૨.[ચ.શે.]

ચંદ્રવિજય(ગણિ)-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયની પરંપરામાં પંડિત જીવવિજયના શિષ્ય. વિજયપ્રભસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)માં રચાયેલ આશરે ૫૦૫ કડીની ‘ધન્નાશાલિભદ્ર-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨).[ચ.શે.]

ચંદ્રવિજય(ગણિ)-૪ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવની પરંપરામાં નિત્યવિજયગણિ (ઈ.૧૬૭૮માં હયાત)ના શિષ્ય. તેમના, વિવિધ દેશીઓની ૧૩ ઢાળ અને ૭૧ કડીના ‘સ્થૂલિભદ્રકોશાના બારમાસ’ (મુ.) કોશાના વિરહભાવને પ્રાસાદિક ને રસાળ રીતે આલેખે છે. આસોથી આરંભાતી આ કૃતિ અસાડમાં સ્થૂલભદ્રના આગમન પછી એમણે આપેલા પ્રતિબોધ સાથે ભાદરવા માસ આગળ પૂરી થાય છે. કૃતિ : ૧. જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ.૧૯૩૬-‘ચંદ્રવિજયકૃત સ્થૂલિભદ્રકોશાના બારમાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ; ૨. પ્રામબાસંગ્રહ:૧ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ચ.શે.]

ચંદ્રસાગર [ઈ.૧૬૬૯માં હયાત] : જૈન સાધુ. ‘ધર્મપરીક્ષા’ (ર.ઈ.૧૬૬૯)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો.[કી.જો.]

‘ચંદ્રહાસાખ્યાન’ [ઈ.૧૬૭૧/સં.૧૭૨૭, જેઠ સુદ ૭, સોમવાર] : ૨૮ કડવાંનું પ્રમાનંદકૃત આ આખ્યાન (મુ.) જૈમિનીય અશ્વમેઘપર્વમાંની ચંદ્રહાસકથાને થોેડાક ફેરફારો સાથે આલેખે છે ને તેમાં નાકરની આ વિષયની કૃતિનું અનુસરણ પણ થયેલું જણાય છે. જેમ કે, નામાદિના ૨-૩ ગોટાળા અને પ્રેમાનંદમાં સામાન્ય રીતે જોવા ન મળતું કક્કાનું આયોજન નાકરને આભારી છે, તેમ વિષયા ચંદ્રહાસને વાડીમાં મળે છે એ પ્રસંગના આલેખનમાં પણ પ્રેમાનંદને નાકરની થોડીક મદદ મળી છે. કાવ્યનો વસ્તુબંધ ચુસ્ત ને સુરેખ નથી, ને ક્યાંક તાલમેલિયાપણું છે પણ પ્રેમાનંદને જેની ફાવટ છે એવી નાટ્યાત્મક વક્રોક્તિઓથી કાવ્યનું કેટલુંક પ્રસંગનિર્વહણ ચમત્કારક બન્યું છે, જેમ કે, ચંદ્રહાસ પ્રત્યેની “તમને રાખજો અશરણ-શરણ, સાટે મુને આવજો મરણ” એ મદનની સાચી પડતી ઉક્તિ. આ આખ્યાનમાં ચરિત્રનિરૂપણની પ્રેમાનંદની આગવી કલાનાં દર્શન થતાં નથી. ધૃષ્ટબુદ્ધિ એના નામને સાર્થક કરતું પાત્ર છે, પણ ચંદ્રહાસના પાલકપિતા કુલિંદમાં રાજતેજનો અભાવ ખૂંચે છે ને ચંદ્રહાસના ભક્તિભાવમાં પણ એના મોભાને અણછાજતી થોડી વ્યવહારવિમુખતા દેખાય છે. જનમનરંજક પ્રેમાનંદ પાત્રોમાં પ્રાકૃત ભાવના આરોપણમાંથી બચી શક્યા નથી. તોપણ આ આખ્યાનમાં મદનની ભાવનામયતા, ગાલવઋષિનું બ્રહ્મતેજયુક્ત સ્વાભિમાન અને વિષયાના ઋજુ ઉજ્જવલ પ્રણયભાવોનું નિરૂપણ પ્રેમાનંદની ચરિત્રચિત્રણકલાની ઝાંખી કરાવે છે. અનાથ શિશુ ચંદ્રહાસ પ્રત્યેનું પડોશણોનું વાત્સલ્યપૂર્ણ વર્તન ને મારાઓના મનોવ્યાપારોમાં પ્રગટ થતું માનવતાદર્શન પણ આકર્ષક નીવડે છે. આ આખ્યાનના પ્રસંગોમાં અદ્ભુત, ભાવાલેખનમાં કરુણ અને શૃંગાર તેમ જ કૃતિના તાત્પર્યની દૃષ્ટિએ ભક્તિ - એ રસોને અવકાશ મળ્યો હોવા છતાં પ્રેમાનંદની લાક્ષણિક રસજમાવટ અહીં દેખાતી નથી. વનની ભયંકરતાનું ને ચંદ્રહાસના રૂપનું વર્ણન આસ્વાદ્ય છે ને આખ્યાનને અંતે ચંદ્રહાસ અને કૃષ્ણ-ભગવાનના મિલનપ્રસંગનું નિરૂપણ આર્દ્ર હૃદયભાવોથી ધબકતું છે : પોતે સવ્યસાચીની સાથે ભક્ત ચંદ્રહાસનું દર્શન કરવા આવ્યા છે એ ભગવાનનું “ભારે” વાક્ય સાંભળીને રડી પડતા ભક્તનાં આંસુ “અવિનાશી પટકુળ પોતાને લોહ્ય.” પણ આ આખ્યાનમાં પ્રેમાનંદની કવિત્વશક્તિ ઉત્તમ રીતે પ્રગટ થઈ છે વિષયા ચંદ્રહાસને મળે છે એ પ્રસંગના નિરૂપણમાં. શબ્દૌચિત્ય, વક્રોક્તિ ને અશ્વ પ્રત્યેની ચાટૂક્તિઓથી પ્રેમાનંદ વિષયાની ભાવભંગિમાને સૂક્ષ્મતાથી મૂર્ત કરી બતાવે છે અને નાકર-આધારિત પ્રસંગને પોતાના અભિવ્યક્તિ-સામર્થ્યથી નવું રૂપ આપે છે. [ર.ર.દ.]

ચંપ [               ]: સંભવત: શ્રાવક. ૨૪૩ કડીએ અધૂરા પ્રાપ્ત થતા ‘નલચરિત્ર/નલદવદંતી-રાસ’ના કર્તા. આ કૃતિ સં. ૧૫મી સદીની મનાઈ છે. એ સાચું હોય તો એ આ વિષયની ગુજરાતી ભાષાની પહેલી કૃતિ ઠરે. સંદર્ભ : ૧. નળ-દમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦;  ૨. જૈગૂકવિઓ : ૩(૧).[શ્ર.ત્રિ.]

ચાતુરીઓ : સંભવત: શૃંગારચાતુરીના વિષયને કારણે આ નામથી ઓળખાયેલી નરસિંહ મહેતાકૃત પદમાળા (મુ.). આ પદોમાં ‘ચાતુરી’ ઉપરાંત ‘વિહારચિત્ર’ ‘વિનોદલીલા’ એ શબ્દપ્રયોગો પણ મળે છે. ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’માં ‘ચાતુરી-છત્રીસી’ અને ‘ચાતુરી-ષોડશી’ એવી ૨ અલગ પદમાળા રૂપે મુદ્રિત ચાતુરીઓ હસ્તપ્રતોમાં તેમ જ પછીનાં સંપાદનોમાં સળંગ ક્રમમાં અને ઓછીવત્તી સંખ્યામાં મળે છે, જો કે એમાં પણ ‘ચાતુરી-ષોડશી’નાં ૧૬ પદો તો સર્વસમાન છે અને એ ક્રમમાં પહેલાં જ આવે છે. આ ૧૬ પદોની માળા મુખબંધ ને ઢાળ અને પ્રકારના કાવ્યબંધથી તેમ એના નક્કર વસ્તુથી જુદી તરી આવે છે. એમાં જયદેવના ‘ગીતગોવિંદ’ને મળતું વિરહી કૃષ્ણ અને વિરહિણી રાધાના લલિતા સખીના દૂતીકાર્ય દ્વારા સધાયેલા મિલનનું આલેખન છે. આઠમા પદમાં સંયોગશૃંગારનું ચિત્ર આલેખાય છે અને નવમા પદમાં નરસિંહ પોતાના સાક્ષિત્વનો આનંદાનુભવ ગાય છે. આ પછી સખીના પ્રશ્નના ઉત્તર રૂપે રાધા કૃષ્ણ સાથેનો પોતાનો કામવિહાર વર્ણવે છે. છેલ્લાં ૨ પદ કૃષ્ણને સંબોધાયેલાં છે, ૧ પદમાં અન્યત્ર રમી આવેલા કૃષ્ણને ઉપાલંભો છે ને બીજામાં પ્રભાત થતાં, આલિંગનમાંથી છોડવા કૃષ્ણને વિનંતી છે. જોઈ શકાય છે કે થોડીક વિશૃંખલતા છતાં આ પદમાળા સ્પષ્ટ આકાર ધારણ કરે છે. ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’માં ‘ચાતુરી-છત્રીસી’ના નામથી અને અન્યત્ર ઉપર્યુક્ત પદોના અનુસંધાનમાં જ મુકાયેલાં બાકીનાં પદોમાં મુખબંધ, ઢાળ, વલણ એવો કાવ્યબંધ છે એટલું જ નહીં, ઢાળ ૪-૬ પંક્તિની હોય ને ૧ જ પદમાં ૧થી વધુ વાર ઢાળ કે વલણ આવતાં હોય એવું પણ બને છે. આ પદસમૂહ આરંભાય છે દાણી રૂપે ગોપીને રોકતા કૃષ્ણના ઉલ્લેખથી, પરંતુ પછી તો એમાં શૃંગારવર્ણન જ ચાલે છે. દેખીતી રીતે જ, ઉપર્યુક્ત પદોને મુકાબલે આ પદોની અધિકૃતતા ઊણી ઊતરે છે. કૃષ્ણ લલિતા અને રાધાના મનોભાવોનું આલેખન સ્વચ્છ-સુરેખ થયેલું છે ને ક્વચિત્ નર્મ-મર્મભર્યા ઉદ્ગારો સાંપડે છે, રાધાનું પરંપરાગત શૈલીનું રૂપવર્ણન પણ મનોહર થયું છે, પણ આ પદોનું કેલિવર્ણન વધુ પડતું ઘેરું ને પ્રગલ્ભ તેમ વાચ્યાર્થની કોટિએ પહોંચતું હોઈ ચમત્કૃતિરહિત લાગવા સંભવ છે. આ છાપ ઊભી થવામાં ‘ષોડશી’ સિવાયનાં પદોમાં પુનરાવર્તનથી ને એકવિધતાથી થયેલા શૃંગારલેખનનો ફાળો વિશેષ છે.[ચ.શે.]

ચાબખા : ભોજાકૃત. જુઓ પદો.

ચારિત્ર(ગણિ) [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. ૯ કડીમાં જિનચંદ્રસૂરિ (આચાર્યકાળ ઈ.૧૨૮૫-ઈ.૧૩૨૦)ની પ્રશસ્તિનું ગાન કરતા ‘જિનચંદ્રસૂરિ-રેલુયા’ના કર્તા. આ કવિને નામે ૯ કડીની ‘જિનચંદ્રસૂરિ-પહા’ નોંધાયેલ છે તે ઉપર્યુક્ત કૃતિ જ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. ઉત્તર-અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬;  ૨. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૫૪ - ‘રેલુઆ’ સંજ્ઞક પાંચ રચનાએં’, અગરચંદ નાહટા;  ૩. જૈમગૂકરચનાએં:૧. [શ્ર.ત્રિ.]

ચારિત્રકલશ [ઈ.૧૫૨૫ સુધીમાં] જૈન સાધુ. ચારણી શૈલીના પંક્તિઅંતર્ગત તેમ જ પંક્ત્યંત પ્રાસ ધરાવતા ૨૨ કડીના ‘નેમિનાથરાજિમતી-બારમાસ’ (લે.ઈ.૧૫૨૫)ના કર્તા. સંદર્ભ : ગુસાસ્વરૂપો.[શ્ર.ત્રિ.]

ચારિત્રકીર્તિ [ઈ.૧૭૧૧માં હયાત] : જૈન સાધુ. ૯ કડીના ‘(શંખેશ્વર) પાર્શ્વલઘુ-સ્તવન’ (ર.ઈ.૧૭૧૧/સં. ૧૭૬૭, પોષ વદ ૯)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭ - ‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]

ચારિત્રકુશલ [ઈ. ૧૬૭૫માં હયાત] : જૈન સાધુ. કરણકુશલજીના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૭૫; અંશત: મુ.)ના કર્તા. કૃતિ : જૈગૂસારત્નોં : ૧(+સં.).[શ્ર.ત્રિ.]

ચારિત્રધર્મ [ઈ.૧૭૩૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ‘રામાયણ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૫/સં. ૧૭૯૧, આસો સુદ ૧૦)ની રચના તેમણે વિદ્યાકુશલની સાથે કરી છે. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]

ચારિત્રનંદી : આ નામે ૪ કડીની ‘સ્તુતિ’ (લે.ઈ.૧૮૮૬) મળે છે તેના કર્તા ચારિત્રનંદી-૧ છે કે જુદા તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]

ચારિત્રનંદી-૧ [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. મહિમાતિલકની પરંપરામાં નિધિઉદયના શિષ્ય. ‘પંચકલ્યાણકપૂજા’ (ર.ઈ.૧૮૩૩/સં. ૧૮૮૯, ફાગણ વદ ૮) ‘એકવીસપ્રકારી પૂજા’ અને ‘નવપદ-પૂજા’ના કર્તા. કવિએ પોતાના ‘રત્નસાર્ધશતક’ (ઈ.૧૮૫૩) નામના, સંભવત: સંસ્કૃત ગ્રંથમાં ગુરુનામ નવનિધિ-ઉદય-વાચક આપ્યું છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧,૨). ૨. હેજૈજ્ઞાસૂચિ:૧.[શ્ર.ત્રિ.]

ચારિત્રમેરુ [               ]: જૈન સાધુ. ૭ કડીના ‘(રાવણિ) પાર્શ્વનાથ-સ્તોત્ર’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

ચારિત્રસાર [               ]: જૈન સાધુ. ૧૧ કડીની ‘પંચપરમેષ્ઠી-વિનતિ’(મુ.)ના કર્તા. એ ખરતરગચ્છના ઉપાધ્યાય જયસાગરની પરંપરામાં ભક્તિલાભ (ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય હોય તો ઈ.૧૬મી સદી પૂર્વાર્ધમાં હયાત ગણાય. કૃતિ : નસ્વાધ્યાય:૩(+સં.). સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧.[શ્ર.ત્રિ.]

ચારિત્રસિંહ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. મતિભદ્રના શિષ્ય. ૩ ઢાળ અને ૩૭ કડીમાં મુનિવરોનું નામસ્મરણ કરતી ‘મુનિમાલિકા’ (ર.ઈ.૧૫૮૦/સં. ૧૬૩૬, મહા સુદ ૪; મુ.), ૨૧ કડીમાં ખરતરગચ્છની પાટપરંપરા રજૂ કરતી ‘ગુર્વાવલી-ફાગ’(મુ.), ૯૧ કડીની ‘ચતુ:શરણપ્રકીર્ણક-સન્ધિ’ (ર.ઈ.૧૫૭૫), ૩૮ કડીની ‘શાશ્વતચૈત્ય-સ્તવન’, ‘સમ્યક્ત્વ-વિચારસ્તવ-બાલાવબોધ’ (ર.ઈ.૧૫૭૭) તથા અન્ય સ્તવનાદિ પ્રકારની કૃતિઓના કર્તા. આ કવિએ સંસ્કૃતમાં ‘કાતંત્રવિભ્રમાવચૂર્ણિ’ તથા ‘રૂપકમાલાવૃત્તિ’ રચ્યાની માહિતી મળે છે. કૃતિ : ૧. અરત્નસાર; ૨. ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. યુનિચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ:૧, ૩(૧,૨); ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]

ચારિત્રસુંદર : આ નામે ૧૪ કડીની ‘વિંશતિસ્થાનક-વિધિગર્ભિત-સઝાય’ મળે છે. તેના કર્તા ચારિત્રસુંદર-૧ છે કે અન્ય તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]

ચારિત્રસુંદર-૧ [ઈ ૧૭૬૮માં હયાત] : ખરતરગચ્છની કીર્તિરત્નશાખાના જૈન સાધુ. ‘સ્થૂલિભદ્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૮/સં. ૧૮૨૪, શ્રાવણ સુદ ૫), ‘દામનક-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૮) અન ે‘સંપ્રતિ-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. રાપુહસૂચી:૧.[શ્ર.ત્રિ.]

ચારિત્રોદય [               ]: જૈન સાધુ. મુનિરાજ  ધનરાજ વિશેના ૬ કડીના ગીતના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ - ‘કતિપય ઐતિહાસિક ગીતોકાં સાર’, અગરચંદ નાહટા.[શ્ર.ત્રિ.]

ચારુકીર્તિ [ઈ.૧૬૧૬માં હયાત] : જૈન સાધુ. ‘વચ્છરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૬)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧).[શ્ર.ત્રિ.]

ચારુચંદ્ર(ગણિ) [ઈ ૧૬મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જયસાગરની પરંપરામાં ભક્તિલાભ-ચારિત્રસારના શિષ્ય. ‘હરિબલ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૨૫/સં. ૧૫૮૧, આસો સુદ ૩), ૫૧૫ કડીના ‘મહાબલમલયસુંદરી-રાસ’, ૨૦૫ કડીની ‘રતિસારકેવલી-ચોપાઈ’, ૪૦ કડીની ‘નંદનમણિયાર-સંધિ’ (ર.ઈ.૧૫૩૧/સં. ૧૫૮૭, ફાગણ -), ૨૯ કડીના ‘પંચતીર્થી-સ્તવ’ (ર.ઈ.૧૫૪૨/સં. ૧૫૯૮, આસો -) તથા ૧૧ કડીના ‘યુગમંધર-ગીત’ના કર્તા. એમણે ૪૧ કડીનું ‘ભાષાવિચારપ્રકરણ -સાવચૂરિ’ રચેલ છે તે અવચૂરિ તથા ૫૭૫ કડીનું ‘ઉત્તમકુમાર-ચરિત્ર’ (લે.ઈ.૧૫૧૬, સ્વલિખિત; *મુ.) સંસ્કૃત ભાષાની કૃતિઓ હોય તેમ જણાય છે. સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૫૪ - ‘ભક્તિલાભોપાધ્યાયકા સમય ઔર ઉનકે ગ્રંથ’, અગરચંદ નાહટા;  ૪. જૈગૂકવિઓ:૩(૧,૨). [શ્ર.ત્રિ.]

ચારુદત્ત-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં ઉપાધ્યાય હંસપ્રમોદના શિષ્ય. ‘સેત્રાવા-સ્તવન’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, શ્રાવણ સુદ ૧), ‘કુશલસૂરિ-સ્તવન’ (ર.ઈ.૧૬૪૦/સં. ૧૬૯૬, માગશર વદ ૭) અને ‘મુનિસુવ્રત-સ્તવન’ (ર.ઈ.૧૬૪૦)ના કર્તા. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ.[શ્ર.ત્રિ.]

ચારુદત્ત(વાચક)-૨[ઈ.૧૮૬૨ સુધીમાં) : જૈન સાધુ. ૨૩ કડીની ‘આત્મશિક્ષા-સ્તોત્ર/ધર્મી અને પાપીની સઝાય’ (લે.ઈ.૧૮૬૨; મુ.)ના કર્તા. ભાષાભિવ્યક્તિ બહુ જૂની નથી તેથી આ કવિ ચારુદત્ત-૧થી જુદા જણાય છે. કૃતિ : ૧. જૈસમાલા(શા.) : ૨; ૨. જૈસસંગ્રહ(જૈ.) સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

‘ચિત્તવિચાર-સંવાદ’ : અખાની ૪૧૩ ચાર-ચારણી ચોપાઈની આ રચના(મુ.)માં ચિત્ત અને વિચારને પિતાપુત્ર તરીકે કલ્પવામાં આવ્યાં છે અને ચિત્તમાંથી જન્મેલો વિચાર ચિત્તને પોતાના શુદ્ધ ચિન્મયસ્વરૂપનો બોધ કરાવે એવું ગોઠવાયું છે. આરંભમાં ચિત્તની મૂંઝવણને અનુલક્ષીને જીવ, ઈશ્વર અને બ્રહ્મની પૃથક્તા કેવી રીતે ઉદ્ભવેલી છે એ અનેક દૃષ્ટાંતોથી સમજાવવામાં આવ્યું છે અને એને અનુષંગે ષડ્દર્શનનો સૈદ્ધાન્તિક પરિચય કરાવી એમાં વેદાંતમાર્ગનો પુરસ્કાર થયો છે. કાવ્યના મુખ્ય મધ્યભાગમાં ચિત્ત મૂળભૂત રીતે ચિન્મયસ્વરૂપ - પરમચૈતન્યરૂપ છે તથા આ સઘળી સૃષ્ટિ પણ ચિત્તનું જ સ્ફુરણ છે એ વાત વીગતે સમજાવી છે અને ચિત્તને જ્ઞાનવિવેક દ્વારા મોહપ્રેરિત કામક્રોધાદિ દોષો અને વિષયોના દમનમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવ્યો છે. છેલ્લા ભાગમાં કૈવલ્યના સંદર્ભમાં ગુરુસ્વરૂપની મીમાંસા કરી છે તથા ભક્તિનું સ્વરૂપ સ્ફુટ કરી પરમપદપ્રાપ્તિમાં ભક્તિ અને વિરહવૈરાગ્યની કાર્યસાધકતા દર્શાવી છે. કૃતિમાં કેટલાંક વિલક્ષણ વિચારબિંદુઓ અને ઉપમાવિધાનો આપણને સાંપડે છે. જેમ કે, દીપ-શશી-સૂર્ય આદિની ઓછીવત્તી તેજસ્વિતાના દૃષ્ટાંતથી અખાજી જીવમાં પ્રતીત થતા સાપેક્ષ ઐશ્વર્યને અને તદનુષંગે જીવ-ઈશ્વરની અલગતાને સ્થાને સલંગતાનું પ્રતિપાદન કરે છે; દર્પણમાંનાં કાચ અને સીસાના દૃષ્ટાંતથી અવતારરૂપી પ્રતિબિંબો કેમ જન્મે છે તે સમજાવે છે; વરસાદનું સંચેલું પાણી પર્વતમાંથી ઝરે તેની સાથે ચિત્તના બુદ્ધિવિલાસને સરખાવી એનું પરવર્તીપણું સ્ફુટ કરે છે અને “બિંબ જોવાણું પ્રતિબિંબ વડે, તેમ ગુરુ જોતાં ગોવિંદ નીવડે” એમ કહી ગુરુ-ગોવિંદના સંબંધનો મર્મ પ્રગટ કરે છે. વિચારનું અસ્તિત્વ ચિત્તને કારણે છે, છતાં વિચાર વિના ચિત્ત નપુંસક છે એમ કહીને અહીં ‘વિચાર’નો મહિમા થયો છે તે અખાના તત્ત્વવિચારને અનુરૂપ છે. અખાના તત્ત્વવિચારના મુખ્ય અંશોને વ્યાપી વળતો આ ગ્રંથ ચિત્ત અને વિચારની પિતા-પુત્ર તરીકેની કલ્પના, બંનેની સક્રિયતા દર્શાવતી પ્રશ્નોત્તરી તેમ જ દૃષ્ટાંતો અને સંતત ઉપમાઓ તથા ઉપમાચિત્રોના બહોળા ઉપયોગને કારણે અખાના કાવ્યસર્જનમાં ‘અખેગીતા’, ‘અનુભવબિંદુ’ અને છપ્પા પછીનું સ્થાન મેળવે છે [જ.કો.]

ચૂડ (વિજોગણ)/અમિયલ [               ]: એક મતે અમિયલ એવું અપરનામ ધરાવતી સિંધી કોમની બાળકુંવારી સ્ત્રી. બીજે મતે ‘ચૂડ’ શબ્દ એ વ્યક્તિનામનો નહીં પણ મૃત્યુ પછી પ્રેત રૂપે દેખાતા સ્ત્રીના વાસનાદેહનો નિર્દેશ કરે છે. એ અંગેની દંતકથા એવી છે કે સૌરાષ્ટ્રના કોઈ નગરની રાજકુમારીને નગરશેઠના દીકરા અમિયલ સાથે નાનપણથી જ સ્નેહની ગાંઠ બંધાઈ જાય છે. અન્ય રાજકુમાર સાથે પરણાવી દેવાયેલી રાજકુમારી વ્રતને બહાને એકાંતમાં રહી અમિયલ સાથેનો પ્રેમસંબંધ ચાલુ રાખે છે. રાજકુમારને એની જાણ થતાં એ રાજકુમારીની હત્યા કરે છે, પરંતુ ચુડેલ બનેલ રાજકુમારીની અમિયલ સાથેની મુલાકાત ચાલુ રહે છે. અમિયલને રાજકુમારીના પ્રેતસ્વરૂપની જાણ થતાં તે નાસી છૂટે છે. ચૂડદેહી રાજકુંવરી ગિરનાર પર એને શોધી કાઢે છે, પરંતુ એ ડરીને નાસી ગયો છે એમ જાણતાં એના પર ફિટકાર વરસાવે છે. એ નોંધપાત્ર છે કે પ્રાપ્ત દુહાઓમાં ‘ચૂડ’ની જેમ ક્વચિત્ ‘અમિયલ’ એ નામછાપ પણ મળે છે અને ‘એડા’ (=એવા) એ સિંધી ભાષાનો શબ્દ પણ વપરાયેલો મળે છે. વિષય અને અભિવ્યક્તિના અત્યંત મળતાપણાને કારણે સંધી મુસલમાન દુહાગીર તમાચી સુમરાની આ રચનાઓ હોય એવો સંભવ પણ દર્શાવાયો છે. આવી નામછાપથી કે નામછાપ વગર પણ એ જ વ્યક્તિએ રચેલા મનાતા ૧૦૦ જેટલા છકડિયા દુહાઓ (મુ.) મળે છે. જો કે, કેટલાક દુહાઓમાં ઓછાવત્તા ચરણ મળે છે, પણ એ ભ્રષ્ટ પાઠને કારણે હોઈ શકે. આ દુહામાંથી કેટલાક સ્નેહવિષયક સુભાષિત જેવા છે જેમાં સજણ કેવાં ધારવાં તેમ કોની પ્રીત ન કરવી એનું નિરૂપણ થયેલું છે. લોકજીવનમાંથી લીધેલી લાક્ષણિક ઉપમાઓ - કૂવાના કોસ લટિયર કેળ, બિલોરી કાચ, હિંડોળાખાટ, ટંકણખાર - ની મદદથી મૂર્ત કરેલું સજણનું ભાવચિત્ર ખાસ ધ્યાન ખેંચે છે. સ્વાગત, વિદાય, સ્વપ્ન જેવી પરિસ્થિતિઓનું અવલંબન લઈને વ્યક્ત થયેલા ઉત્કટ આર્દ્ર પ્રેમભાવમાં વેધક વિરહવેદનાનું પ્રાચુર્ય છે ને એમાંયે તળપદાં ચિત્રકલ્પનોથી હૃદયંગમ મૂર્તતા આવેલી છે. કૃતિ : ૧ કાઠિયાવાડી સાહિત્ય:૨, સં. કહાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩ (+સં.); ૨. ચંદર ઊગ્યે ચાલવું, સં. પુષ્કર ચંદરવાકર, સં. ૨૦૨૦(+સં.); ૩. પરકમ્મા, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૪૬ - ‘સજણાં’ (+સં.); ૪. પ્રીતના પાવા, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૮૩ - ‘સંશોધકના થેલામાંથી’માં ઉદ્ધૃત દુહા; ૫. લોકસાહિત્યનું સમાલોચન, ઝવેરચંદ મેઘાણી, *ઈ.૧૯૪૬, ઈ.૧૯૬૮ (બીજી આ.);  ૬. ઊર્મિ નવરચના, જુલાઈથી ઑક્ટો. ૧૯૭૬ - ‘ચૂડ વિજોગણની કથાના છકડિયા’, સં. ગોવિંદભાઈ શિણોલ (+સં.); ૭. કવિલોક, માર્ચ-એપ્રિલ ૧૯૭૩થી જાન્યુ.-ફેબ્રુ. ૧૯૭૪ - ‘વિજોગણ ચૂડના દુહા’, સં. પુષ્કર ચંદરવાકર (+સં.). સંદર્ભ : ૧. ઊર્મિ નવરચના, મે ૧૯૭૬ - ‘અમિયલની ચૂડ’, ગોવિંદભાઈ શિણોલ; ૨. એજન, મે. ૧૯૭૬ - ‘બીજમાર્ગ ને સિંધુસંસ્કૃતિ : ચૂડ વિજોગના છકડિયા’, જયમલ્લ પરમાર; ૩. એજન, જૂન ૧૯૭૬ - ‘ચૂડ વિજોગણની કથા’, ગોવિંદભાઈ શિણોલ.[જ.કો.]

ચોથો : જુઓ ચઉહથ.

ચોથમલ (ઋષિ) [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ) : જૈન સાધુ. ૫૭ ઢાળની ‘ઋષિદત્તા-ચોપાઈ’ (ર.ઈ.૧૮૦૮/સં. ૧૮૬૪, કારતક સુદ ૧૩), ‘ઢાળસાર’ (ઈ.૧૮૦૦), ૨૨ કડીની ‘રહનેમિસઝાય/રાજુલ-બાવીસી’ (ર.ઈ.૧૭૯૬/સં. ૧૮૫૨, શ્રાવણ સુદ ૫, મંગળવાર; મુ.), ૭ કડીની ‘આઉખાની સઝાય/આયુઅસ્થિરની સઝાય’ (મુ.), ૧૧ કડીની ‘ચાર શરણાં/માંગલિક શરણાં’ (મુ.), ૯ કડીની ‘ધર્મરુચિઅણગારની સઝાય’ (મુ.), ૧૪ કડીની ‘બલભદ્રની સઝાય’ (મુ.) એ કૃતિઓના કર્તા. એમની ઘણી કૃતિઓમાં હિંદી-રાજસ્થાની ભાષાનો પ્રભાવ વર્તાય છે. કૃતિ : ૧. આકામહોદધિ:૫; ૨. જૈરસંગ્રહ; ૩. જૈસમાલા (શા.):૨; ૪. જૈસસંગ્રહ (જૈ.), ૫. જૈન સ્વાધ્યાય મંગળમાલા:૧, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ:૨;  ૨. જૈગૂકવિઓ:૩(૧,૨); ૩. મુપુગૂહસૂચી; ૪. રાહસૂચી:૧. [શ્ર.ત્રિ.]