ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત

From Ekatra Wiki
Revision as of 06:42, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search




તત્ત્વકુમાર (મુનિ) [ઈ.૧૮૩૪ સુધીમાં] : જૈન સાધુ. દર્શનલાભના શિષ્ય. ‘શ્રીપાલરાજા-મયણસુંદરી-રાસ’ (લે.ઈ.૧૮૩૪)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.[શ્રિ.ત્રિ.]

તત્ત્વવિજય : આ નામે ‘જંબૂસ્વામી-રાસ’ (લે.ઈ.૧૭૮૫) તથા કેટલાંક સ્તવનસઝાયાદિ નોંધાયેલાં મળે છે તે કયા તત્ત્વવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૦, ‘બાલાપુર : ત્યાં સુરક્ષિત જૈન સાહિત્ય’, કાંતિસાગરજી; ૨. આલિસ્ટઑઇ : ૨.[ર.ર.દ.]

તત્ત્વવિજય-૧ [ઈ.૧૬૬૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં યશોવિજય ઉપાધ્યાયના શિષ્ય. ૪ ખંડ, ૩૪ ઢાળ અને ૮૬૧ કડીની ‘અમરદત્તમિત્રાનંદ-રાસ’ (ર.ઈ.૧૬૬૮/સં. ૧૭૨૪, મહા સુદ ૫), ‘ચતુર્વિંશતિજિન-ભાસ/ચોવીસી’, ‘ચોવીસજિન-ગીત’ તથા અન્ય સ્તુતિ, ભાસ, વસંત આદિ પ્રકારની લઘુકૃતિઓના કર્તા. ‘ચોવીસી’ અને ‘ચોવીસજિન-ગીત’ એ બંને એક જ કૃતિ છે કે અલગ તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી.[ર.ર.દ.]

તત્ત્વવિજય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં દેવવિજયના શિષ્ય. ૧૧ કડીની ‘અન્યત્વસંબંધની સઝાય’ (મુ.), વિજયપ્રભસૂરિની પ્રશસ્તિ કરતી એમના રાજ્યકાળ (ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)માં રચાયેલી ૧૧ કડીની ‘વિજ્યપ્રભસૂરિ-સઝાય’ (મુ.), ૧૪ કડીની ‘માનનિવારકની સઝાય’ (મુ.) તથા ૪ કડીની ‘શંખેશ્વર પાર્શ્વનાથજિન-સ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐસમાલા : ૧; ૨. જિભપ્રકાશ; ૩. જૈસમાલા (શા.) : ૨; ૪. મોસસંગ્રહ; ૫. શંસ્તવનાવલી. સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨.[ર.ર.દ.]

તત્ત્વનિરૂપણ : જુઓ ‘મન : સંયમ’.

તત્ત્વહંસ-૧ [ઈ.૧૬૭૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યહંસની પરંપરામાં તિલકહંસના શિષ્ય. ૫૧ ઢાળની ‘ઉત્તમકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૫/સં.૧૭૩૧, કારતક સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.[શ્ર.ત્રિ.]

તત્ત્વહંસ-૨ [ઈ.૧૭૪૫માં હયાત] : જૈન સાધુ. રાજહંસગણિના શિષ્ય. ‘બલિનરેન્દ્રાખ્યાનક/ભુવનભાનુકેવલી-ચરિત્ર’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૭૪૫)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. કૅટલૉગગુરા; ૩. જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]

તપારત્ન/તપોરત્ન(ઉપાધ્યાય) [ઈ.૧૪૪૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. સાધુનંદના શિષ્ય. ૨૭ કડીના ‘શાંતિ-વિવાહલો’ના કર્તા. તેમણે સંસ્કૃતમાં નેમિચંદ્ર ભંડારીકૃત ‘ષષ્ટિશતક’ પર ટીકા (ર.ઈ.૧૪૪૫) તથા ઉત્તરાધ્યયન પર લઘુ ટીકા રચી છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. પ્રાકારૂપરંપરા.[શ્ર.ત્રિ.]

તમાચી [               ]: અવટંકે સુમરા. સૌરાષ્ટ્રના મુસલમાન સિંધી. સિંધી ભાષાના કોઈકોઈ શબ્દોનો ઉપયોગ બતાવતા એમના દોઢિયા દુહા (૩૦ મુ.)માં સાજણનાં માદક અંગો, એની સાથેની પ્રાણ જેવી પ્રીત, એ સાસરે વિદાય લેતાં ઘેરી વળેલી એકલતા વગેરેનું વર્ણન થયું છે. અલંકારો અને અન્ય વીગતોમાં તળપદા જીવનના સંદર્ભને ઉઠાવ આપતા ને “ગ્યા સજણ ને પ્રીત તે રહી” “ભાલાળાં સાજણ” “સાજણને એમ રાખિયે, જેમ સાયર રાખે વ્હાણ” “સાજણ ચાલ્યાં સાસરે અમને આડાં દઈ વંન” જેવી માર્મિક ઉક્તિઓ ધરાવતા આ દુહાઓનું ચૂડ વિજોગણના દુહાઓ સાથેનું સામ્ય ઘણું નોંધપાત્ર છે. જુઓ ચૂડ વિજોગણ. કૃતિ : કાઠિયાવાડી સાહિત્ય : ૨, કહાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩ (+સં.). [જ.કો.]

તરુણપ્રભ(સૂરિ) [ઈ.૧૪મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચન્દ્રસૂરિના શિષ્ય. યશ:કીર્તિગણિ તથા રાજેન્દ્રચન્દ્રસૂરિ એમના વિદ્યાગુરુઓ. પછીથી જિનકુશલસૂરિ પાસે પણ એમણે શાસ્ત્રાભ્યાસ કરેલો. દીક્ષા બાલવયે ઈ.૧૩૧૨માં. દીક્ષાનામ તરુણકીર્તિ. આચાર્યપદ ઈ.૧૩૩૨માં. એમણે ૧૩૫૯માં જિનોદયસૂરિની પદસ્થાપના કરી તે પૂર્વે અન્ય ૩ ગચ્છનાયકોની પણ કરી હતી અને એ ગચ્છનાયકોના અલ્પાયુષ્યને કારણે વસ્તુત: ૨૫ વર્ષ સુધી ગચ્છભાર સંભાળ્યો હતો. ‘વિદ્વજજનચૂડામણિ’નું બિરુદ પામેલા આ કવિની ૭૦૦૦ ગ્રંથાગ્રની ગદ્યકૃતિ ‘ષડાવશ્યક બાલાવબોધ-વૃત્તિ/શ્રાદ્ધ ષડાવશ્યકસૂત્ર/શ્રાવકપ્રતિક્રમણસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૩૫૫/સં. ૧૪૧૧, આસો વદ ૩૦, શનિવાર; મુ.) અન્ય શાસ્ત્રાધારો ને ગાથા-શ્લોકોને સમાવીને અપાયેલી વિસ્તૃત સમજૂતી, દૃષ્ટાંતરૂપ કથાઓ, શિષ્ટ પ્રૌઢ સંસ્કૃતાઢ્ય બાની તથા પ્રવાહિતા-પ્રાસાદિકતાભરી સાહિત્યિક ગદ્યછટાને કારણે ઘણી નોંધપાત્ર બને છે. કવિએ કેટલાંક સ્તોત્ર-સ્તવનાદિ-સંભવત: સંસ્કૃતમાં-રચ્યાં હોવાનું નોંધાયું છે ને ૨ સ્તવનો તો ‘ષડાવશ્યક-બાલાવબોધવૃત્તિ’માં પણ ગૂંથાયાં છે. કૃતિ : ૧. (તરુણપ્રભાચાર્યકૃત) ષડાવશ્યક બાલાવબોધવૃત્તિ, સં. પ્રબોધ બે. પંડિત, ઈ.૧૯૭૬ (+સં.); ૨. પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ, સં. જિનવિજયજી, સં. ૧૯૮૬. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ૧;  ૪. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]

તલકસી(આચાર્ય) [               ]: જૈન સાધુ. ૧૬ કડીની ‘ગજસુકુમાલ-સઝાય’ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી.[શ્ર.ત્રિ.]

તાપીદાસ-૧ [ઈ.૧૬૫૦માં હયાત] : આખ્યાનકાર. નર્મદાતટે ભૃગુક્ષેત્રમાં હરિયાદ (હાલનું રહિયાદ?)ના વતની. બંધારા જ્ઞાતિ. મહાભારતના દ્રોણપર્વમાંની કોઈ પંડિત પાસેથી સાંભળેલી અભિમન્યુકથાના આધારે રચાયેલા ૨૨ કડવાંના તેમના ‘અભિમન્યુ-આખ્યાન’ (ર.ઈ.૧૬૫૦/સં.૧૭૦૮, આસો સુદ ૨, શુક્રવાર; મુ.)માં વર્ણનાત્મકતા ઓછી છે ને પાત્રસંભાષણોની વિપુલતા છે, જેમાં વ્યવહારબોધનાં ઘણાં સામાન્ય કથનો પણ આવે છે. પ્રસંગોચિત અલંકારોનો વિનિયોગ કરતી આ કૃતિ ઉત્તરાના સ્વપ્નદર્શન જેવા કોઈ પ્રસંગોમાં રસાત્મકતા દાખવે છે. આ કવિને નામે ર.સં.૧૭૬૮ (ઈ.૧૭૧૨)નું ‘બભ્રુવાહન-આખ્યાન’ નોંધાયું છે અને તેની ર.સં.૧૭૦૮ (ઈ.૧૬૫૨) હોવાનો તર્ક થયો છે પરંતુ આ સઘળી હકીકત માટે વિશેષ પ્રમાણની જરૂર રહે છે. કૃતિ : ૧. (મહાકવિ પ્રેમાનંદના પુરોગામી કવિ તાપીદાસ કૃત) અભિમન્યુ-આખ્યાન તથા અભિમન્યુનું લોકસાહિત્ય, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૨૫ (+સં.);  ૨. પ્રાકાસુધા : ૧ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧,૨;  ૨. ગૂહાયાદી; ૩. જૈગૂકવિઓ : ૩(૨).[ચ.શે.]

તાપીદાસ-૨ [ઈ.૧૮૨૧માં હયાત] : થાણા જિલ્લાના ખતલવાડાના વતની. જ્ઞાતિએ દશાશ્રીમાળી વણિક. ‘અભિમન્યુયુદ્ધ’ તથા ‘શિખામણનાં પદ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.[ચ.શે.]

તારાચંદ : આ નામે ‘સાતસતી-સઝાય’ મળે છે તારાચંદ-૧ છે કે કેમ તે નક્કી થઈ શકતું નથી. સંદર્ભ : પાંગુહસ્તલેખો.[કી.જો.]

તારાચંદ-૧ [ઈ.૧૭૩૮ સુધીમાં] : જૈન શ્રાવક. અવટંકે શાહ. ભૂલથી તારાચંદ શેઠને નામે નોંધાયેલા, ૧૧૦૦/૨૩૦૦ ગ્રંથાગ્રના ‘શ્રાદ્ધપ્રતિક્રમણ/શ્રાવકષડાવશ્યક સૂત્રસ્તબક’ (લે.ઈ.૧૭૩૮) ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

તિલક-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. નરસાગરના શિષ્ય. તપગચ્છાચાર્ય વિજ્યપ્રભસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)ના સ્વાગત રૂપે રચાયેલી, આલંકારિકને પ્રસાદમધુર અભિવ્યક્તિ ધરાવતી ૯ કડીની ‘વિજ્યપ્રભસૂરિ-ભાસ’ (મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧.[ર.ર.દ.]

તિલક(સૂરિ)-૨ [ઈ.૧૭૨૯માં હયાત] : વિજ્યગચ્છના જૈન સાધુ. ભીમસૂરિના શિષ્ય. ૬૦ ઢાળની ‘બુદ્ધિસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૭૨૯/સં.૧૭૮૫, કારતક સુદ ૧૨, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨[ર.ર.દ.]

તિલક-૩ [               ]: જૈન સાધુ. દેવભદ્રના શિષ્ય. સંસ્કૃત ભાષા દ્વારા ને ગુજરાતી દૃષ્ટાંતોની મદદથી વ્યાકરણની સમજૂતી આપતા ‘ઉક્તિસંગ્રહ/ઔક્તિક’ના કર્તા. કવિના ગુરુનું નામ ભૂલથી દેવચંદ્ર પણ નોંધાયું છે. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. ગુસાપઅહેવાલ : ૫ - ‘પાટણના જ્ઞાનભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગૂજરાતી સાહિત્ય’, ચીમનલાલ ડાહ્યાભાઈ.[ર.ર.દ.]

તિલકચંદ-૧ [ઈ.૧૬૨૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. વાચક નયરંગની પરંપરામાં પાઠક જયરંગના શિષ્ય. ‘કેશીપરદેશી-ચોપાઈ/પરદેશી સંબંધ’ (ર.ઈ.૧૬૮૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨,૩(૨).[ર.ર.દ.]

તિલકચંદ-૨ [ઈ.૧૭૮૪માં હયાત] : જૈન. પોતાને શા. તરીકે ઓળખાવે છે. વિજ્યગચ્છના ઉદયસાગરના શિષ્ય. ૧૧ કડીના ‘શત્રુંજ્યતીર્થ-સ્તવન’ (ર.ઈ.૧૭૮૪/સં.૧૮૪૦, વૈશાખ સુદ ૩)ના કર્તા. આ કૃતિ ભૂલથી જયરંગશિષ્ય તિલકચંદને નામે નોંધાયેલી છે. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]

તિલકચંદ-૩ [ઈ.૧૮મી સદી] : અંચલગચ્છના જૈન સાધુ. ઉદયસાગરસૂરિ (ઈ.૧૮મી સદી)ના શિષ્ય. ૧૦ કડીના ‘સિદ્ધાચલ-સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈપ્રપુસ્તક : ૧.[ર.ર.દ.]

તિલકવિજય  : આ નામે ૫ કડીની ‘દાનોપરિ-સઝાય’, ૭ કડીની ‘નવલખાપાર્શ્વનાથ-સ્તવન’ તથા ૯ કડીની ‘પાર્શ્વનાથ-સ્તવન’ એ રચનાઓ મળે છે એ તિલકવિજય-૧ છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]

તિલકવિજય-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં લક્ષ્મીવિજય-ઉપાધ્યાયના શિષ્ય. વિનયપ્રભસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)માં રચાયેલી ૧૩ ઢાળની ‘સમક્તિ-મૂળ બારવ્રતની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : અસસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

તિલકવિજયશિષ્ય : આ નામે ૫૯ કડીની ‘રાજિમતીનેમીશ્વરપ્રબંધ-બારમાસ’ (લે. સં. ૧૮મી સદી અનુ.) મળે છે તે કયા તિલકવિજ્યશિષ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]

તિલકવિજ્યશિષ્ય-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જૈન. તપગચ્છના વિજ્યસિંહસૂરિની પરંપરામાં લક્ષ્મીવિજ્યશિષ્ય તિલકવિજ્ય (ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ)ના શિષ્ય. ૪ કડીની ‘વીરજિન-સ્તુતિ’ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]

તિલકશેખર [ઈ.૧૭૬૩ સુધીમાં] : જૈન સાધુ. ‘નેમરાજુલ-બારમાસા’ (લે.ઈ.૧૭૬૩; અંશત: મુ.)ના કર્તા. સંદર્ભ : જૈનયુગ, માહ-ફાગણ ૧૯૮૪ - ‘પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન’, સં.મોહનલાલ દ. દેશાઈ.[ર.ર.દ.]

તિલકસાગર : આ નામે ૧૦ કડીની ‘ગણધર-સઝાય’ તથા ૭ કડીની ‘નેમિજિન-સ્તવન’ એ કૃતિઓ નોંધાયેલી છે તે તિલકસાગર-૧ છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : લીંહસૂચી.[ર.ર.દ.]

તિલકસાગર-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વૃદ્ધિસાગરની પરંપરામાં કૃપાસાગરના શિષ્ય. રાજસાગરસૂરિ (અવ. ઈ.૧૬૬૫)ના સમગ્ર જીવનનું પ્રશસ્તિયુક્ત આલેખન કરતા ને તત્કાલીન ઇતિહાસની કેટલીક માહિતી ધરાવતા ૨૨ ઢાળના ‘રાજસાગરસૂરિનિર્વાણ-રાસ’ (લે.ઈ.૧૬૬૬; મુ.)ના કર્તા. કૃતિ : જૈઐકાસંચય (+સં.). સંદર્ભ : જૈગુકવિઓ : ૨, ૩(૨).[ર.ર.દ.]

તિલકસિંહ [ઈ.૧૫૮૫ સુધીમાં] : જૈન - ‘સ્થૂલિભદ્ર-રાસ’ (લે.ઈ.૧૫૮૫)ના કર્તા. સંદર્ભ : ફાત્રૈમાસિક, જાન્યુ.-માર્ચ ૧૯૪૧ ‘મતિસારકૃત કર્પૂરમંજરી’, ભોગીલાલ સાંડેસરા.[ર.ર.દ.]

તિલોક- : જુઓ ત્રિલોક -.

તિલોકચંદ [ઈ.૧૮૩૫ સુધીમાં]: જૈન. ‘નવકાર-રાસ’ (લે.ઈ.૧૮૩૫)ના કર્તા. સંદર્ભ: રાહસૂચી: ૨.[શ્ર.ત્રિ.]

તીકમ(મુનિ): જુઓ વણવીરશિષ્ય ત્રિકમ. તુડાપુરી/તુલાપુરી/તોરલપરીજી [               ]: રૂખડિયા સંતકવિ. એમણે ગણપતિ સ્તુતિનાં તથા અન્ય ભજનો-પદો (પમુ.) રચ્યાં છે જેમાંનાં કેટલાંક હિંદીમાં તો કેટલાંક હિંદી-મિશ્ર ગુજરાતીમાં પણ છે. કોઈક પદોમાં ‘તોરલપરી’ નામછાપ મળે છે, તે ભૂલ હોવાનો સંભવ છે. કૃતિ : ૧. અભમાલા; ૨. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭; ૩. નકાસંગ્રહ; ૪. પરમાનંદપ્રકાશ પદમાલા, પ્ર. રજનીકાન્ત જે. પટેલ, સં. ૨૦૩૦ (ત્રીજી આ.); ૫. ભજનિક કાવ્ય સંગ્રહ, પ્ર. શા. વૃન્દાવનદાસ કાનજી, ઈ.૧૮૮૭. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.[કી.જો.]

તુલજારામ-૧ [ઈ.૧૭૦૯માં હયાત] : વડોદરાના વતની. પાછળથી અમદાવાદમાં સ્થાયી થયેલા. જ્ઞાતિએ નાગર. ભાગવતના દશમસ્કંધના પ્રામાણિક કહેવાય એવા ભાવાનુવાદ દ્વારા મૂળનો કથારસ આપતા, કડવાંને બદલે અધ્યાયપદ્ધતિ અપનાવતા, ચોપાઈ અને ચોપાઈ દાવટીનો વ્યાપક રીતે ઉપયોગ કરતા ‘દશમસ્કંધ’ (ર.ઈ.૧૭૦૯/સં. ૧૭૬૫, અસાડ સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. કદહસૂચિ; ૩. ગૂહાયાદી.[ચ.શે.]

તુલજારામ-૨ [ઈ.૧૭૮૭માં હયાત] : આખ્યાનકાર. સુખરામસુત. અમદાવાદના નિવાસી. જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ. તેમનું ૧૪ કડવાંનું ‘સગાળશા-આખ્યાન/સગાળપુરી’ (ર.ઈ.૧૭૮૭/સં.૧૮૪૩, આસો સુદ ૧૦, રવિવાર; મુ.) કરુણ, વાત્સલ્ય, બીભત્સ આદિ રસોથી ઠીકઠીક આસ્વાદ્ય બનેલું છે. ભૂલથી લજ્જારામના નામે ચડી ગયેલું એમનું ‘અભિમન્યુ-આખ્યાન/કોઠાયુદ્ધ’ (અંશત: મુ.) એમાંનાં ઊંચી પ્રતિનું કવિત્વ દાખવતાં કેટલાંક સુંદર ગેય પદોને કારણે લોકપ્રિય બનેલી કૃતિ છે. કવિનું ભાવનિરૂપણ અને આખ્યાનબંધ પરનું પ્રભુત્વ આકર્ષક છે. કૃતિ : ૧. કાવ્યસંક્ષેપ, સં. દલપતરામ ડા. કવિ, સં. ૨૦૧૫; ૨. ગુકાદોહન; ૩. સગાળશા આખ્યાન, સં. વ્રજરાય મુ. દેસાઈ, ૧૯૩૪ (+સં.). સંદર્ભ : ૧. (મહાકવિ પ્રેમાનંદના પુરોગામી કવિ તાપીદાસ કૃત) અભિમન્યુ આખ્યાન તથા અભિમન્યુનું લોકસાહિત્ય, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૨૫;  ૨. કવિચરિત : ૩; ગુહાયાદી  ૪. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૧૯૬૨ - ‘લજ્જારામ કે તુલજારામ’, શિવલાલ જેસલપુરા.[ચ.શે.]

તુલસી/તુલસીદાસ : આ નામોથી હિંદી તથા ગુજરાતી પદો (ઘણાં મુ.) તથા દોહરા કે સાખીઓ (મુ.) મળે છે તેમાંથી હિંદી રચનાઓ તો પ્રસિદ્ધ હિંદી સંતકવિ તુલસીદાસની જ રચનાઓ છે. ગુજરાતી રચનાઓ કયા તુલસી/તુલસીદાસની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. તુલસીને નામે મળતી ‘રામચંદ્રની પંદર તિથિ’ના કર્તા પણ કયા તુલસી/તુલસીદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. આ કૃતિ ‘આત્મારામ’ને નામે મુદ્રિત મળે છે તે ઉપરાંત કેટલીક હસ્તપ્રતોમાં કશી નામછાપ વિના પણ મળે છે. કૃતિ : ૧. કાદોહન : ૨; ૨. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિક, દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૩. બૃહત્ સંતસમાજ મોટી ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (૬ઠ્ઠી આ.) ૪. ભસાસિંધુ. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.[ચ.શે.]

તુલસી-૧/તુલસીદાસ [ઈ.૧૬૭૬માં હયાત] : ધોળકા પાસે લીલાવતી/લીલાપુરના વતની. જ્ઞાતિએ રાયકવાડ બ્રાહ્મણ. તેમના પિતા મંગલ વેદપુરાણનું અધ્યયન કરાવતા હોવાનો ઉલ્લેખ મળે છે. એમનો આરંભે રાગના નિર્દેશવાળા ચોપાઈબદ્ધ ૧૧૪ અધ્યાયનો ‘પાંડવાશ્વમેઘ’ (ર.ઈ.૧૬૭૬/સં.૧૭૩૨, વૈશાખ-૧૩; મુ.) સમગ્ર અશ્વમેઘ કથાના સવિસ્તર નિરૂપણને કારણે નોંધપાત્ર બને છે. કવિએ કાવ્યારંભે ચોપાઈની પણ પ્રશસ્તિ રચી છે. કૃતિ : પાંડવાશ્વમેઘ, પ્ર. સવાઈભાઈ રાયચંદ,-. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. કદહસૂચિ; ૩. ગૂહાયાદી.[ચ.શે.]

તુલસીદાસ : આ નામે મળતા ‘મામેરું’ના કર્તા કયા તુલસીદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ તુલસીદાસ-૧. સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.]

તુલસીદાસ-૧ [ઈ.૧૬૭૬માં હયાત] : જુઓ તુલસી-૧.

તુલસીદાસ-૨/તુલસીદાસસુત [ઈ.૧૮૦૧માં હયાત] : ‘સીતા-સ્વયંવર’ તથા રામવિવાહની વિધિનું વર્ણન કરતી ૧૭ કડવાં/ધોળની ‘જાનકીવિવાહ/રામચંદ્રવિવાહ/સીતાસ્વયંવર’ (ર.ઈ.૧૮૦૧/સં.૧૮૫૭, વૈશાખ-, મંગળવાર; મુ.)ના કર્તા. કેટલાંક કડવાંને અંતે ‘તુલસીદાસના સ્વામી’ એવી નામછાપ ધરાવતી આ કૃતિની ૧ હસ્તપ્રત તથા ૧ મુદ્રિત વાચના અંતે ‘તુલસીદાસસુત’ એવી છાપ પણ ધરાવે છે. કૃતિ : ૧. સીતાસ્વયંવર, સં. ત્રિભુવનદાસ અ. મહેતા (ઈ.૧૯૦૧);  ૨. નકાદોહન (માત્ર ૮ કડવાં). સંદર્ભ : ૧. કદહસૂચિ; ૨. ગૂહાયાદી.[ચ.શે.]

તુલસીદાસ-૩ [               ]: ઉદાધર્મ સંપ્રદાયના જીવણદાસની પરંપરાના જણાતા કવિ. સાખી, ઢાળ અને ચાલ એવા વિભાગો ધરાવતાં ૧૬ કડવાંની કૃષ્ણ-ગોપી વિષયક ‘રાસલીલા’ (મુ.), સીતાસ્વયંવરના પ્રસંગ સાથે રામવિવાહનું વર્ણન કરતી ‘સોનાનું પત્ર’ એવા શીર્ષકવાળો અંશ સમાવતી આશરે ૪૦ કડીની ઢાળ, ચાલ, વલણ, આદિ એવા વિભાગો ધરાવતી ‘સીતાજીનો સોહિલો’ (મુ.) તથા સીતાહનુમાન-સંવાદનાં ૨ પદ (મુ.) - એ કૃતિઓના કર્તા. તુલસીદાસને નામે ‘રાસ-પંચાધ્યાયી’ નોંધાયેલી છે તે ઉપર્યુક્ત ‘રાસ-લીલા’ જ હોવાનો સંભવ છે. આ સંપ્રદાયના અધ્યારુ ધનરાજનાં મનાતાં કીર્તનોમાં પૃથ્વીના પરબ્રહ્મ સાથેના લગ્નને વર્ણવતા ૩૩ કડીના ‘સંત સોહાગો’ (મુ.)માં ‘તુલસી’ નામ વણાયેલું મળે છે તે કદાચ આ કવિની કૃતિ હોય. કૃતિ : ૧. ઉદાધર્મ પંચરત્નમાલા, પ્ર. સ્વામી જગદીશચંદ્ર યદુનાથ, ઈ.૧૯૬૮ (ત્રીજી આ.); ૨. ઉદાધર્મભજનસાગર, પ્ર. દ્વારકાદાસ ક. પટેલ, ઈ.૧૯૨૬. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬ - ‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ રાવળ;  ૩. ગૂહાયાદી.[ચ.શે.]

તુલસીદાસસુત : જુઓ તુલસીદાસ-૨.

તુલાપરી : જુઓ તુડાપુરી.

તેજ(મુનિ) : જુઓ ભીમજીશિષ્ય તેજપાલ.

તેજકુંવર [               ]: જૈન. ૧૬ ગ્રંથાગ્રના ‘ચતુર્વિંશતિદંડક-સ્તવન’ના કર્તા. સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. [શ્ર.ત્રિ.]

તેજચંદ(ઉપાધ્યાય) [ઈ.૧૬૪૪માં હયાત] : તપગચ્છની ચંદશાખાના જૈન સાધુ. સકલચંદની પરંપરામાં માનચંદના શિષ્ય. ૪૭૫/૫૫૦ કડીના ‘પુણ્યસાર-ચરિત્ર/ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૪૪/સં.૧૭૦૦, માગશર વદ ૫, સોમવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]

તેજપાલ : આ નામે ૨૪ કડીની ‘નિંદાસ્તુતિ-સઝાય’, ૨૫ કડીની ‘પાર્શ્વનાથાદિ-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.) અને ૧૨ કડીની ‘વીસસ્થાનક-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.) - એ કૃતિઓ મળે છે. પણ એ કયા તેજપાલની છે તે નિશ્ચત થઈ શકતું નથી. સંદર્ભ : ૧. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]

તેજપાલ-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ - અવ. ઈ.૧૬૩૩] : કડવાગચ્છના જૈન સંવરી શ્રાવક. શા. જિણદાસના પટ્ટધર. ખંભાતના વીસાશ્રીમાળી સોની વસ્તુપાલના પુત્ર. માતા કીકી. ઈ.૧૫૯૯માં ૧૪ વર્ષે શા. મહાવજીના ઉપદેશથી સંવરી બન્યા. બ્રાહ્મણ પંડિત પાસે વ્યાકરણ, નામમાલા, પંચકાવ્ય અને ન્યાયનો અભ્યાસ કર્યો. પટ્ટસ્થાપના ઈ.૧૬૧૫. આ પ્રભાવશાળી વિદ્વાને અનેક શાસ્ત્રાર્થોમાં વિજય મેળવ્યો અને તીર્થયાત્રાઓ તથા મૂર્તિપ્રતિષ્ઠાનાં કાર્યોની પ્રેરણા આપી. અવસાન ખંભાતમાં. આ કવિએ ૪૩ ઢાળની ‘સીમંધર-શોભાતરંગ’ (ર.ઈ.૧૬૨૬; *મુ.) ઉપરાંત ‘વરણાગ નલુઆની સઝાય’ (ર.ઈ.૧૬૧૦), મહાવીરસ્વામીનાં ૫ સ્તવનો (ર.ઈ.૧૬૨૧), ‘ભગવતી સાધુ વંદના’ (ર.ઈ.૧૬૨૧) અને અન્ય સ્તવન-સઝાયાદિ પ્રકારની કૃતિઓની રચના કરી છે. ‘સેવક’ નામછાપને કારણે ‘સીમંધરશોભાતરંગ’ ભૂલથી ગુણનિધાનસૂરિશિષ્ય સેવકને નામે ‘જૈન ગૂર્જર કવિઓ’માં નોંધાયેલ છે. ‘સેવક’ એ નામથી મળતી ‘ચોવીસતીર્થકર-ભાસ’ તથા ‘સુદર્શનભાસ’ આ કવિની જ રચનાઓ હોવાનું અનુમાન થયું છે. કટુક રાજવંશે શા. તેજપાલકૃત કેટલાંક ગીતો અને સઝાયો (લે.ઈ.૧૬૨૨) નોંધાયેલાં મળે છે તે આ તેજપાલની કૃતિઓ હોવાનું સમજાય છે. કવિએ સંસ્કૃતમાં પણ ‘દીપોત્સવકલ્પ’ અવચૂરિ સાથે (ર.ઈ.૧૬૧૫), ‘ચતુર્વિંશતિજિન-સ્તોત્ર’ (ર.ઈ.૧૬૧૫), ‘અજિતનાથસ્તુતિ’ અવચૂરિ સાથે, ‘જિનતરંગ’, ‘વીરતરંગ’, સ્નાત્રવિધિ’, તેમ જ અન્ય સ્તુતિસ્તોત્રાદિ રચેલ છે. કવિની ‘દશપદી’ (ર.ઈ.૧૬૧૧), ‘પદ્યટીકા પંચદશી’, સપ્તપ્રશ્ની’ (ર.ઈ.૧૬૧૯), ‘શતપ્રશ્ની’ (ર.ઈ.૧૬૨૨/ઈ.૧૬૨૩) તથા ‘ચતુર્વિંશતિજિન-સ્તોત્ર’નો સ્તબક આદિ કેટલીક રચનાઓ સંસ્કૃતમાં છે કે ગુજરાતીમાં તે સ્પષ્ટ થતું નથી. કવિનો કૃતિસમૂહ કુલ ૧૦,૦૦૦ ગ્રંથાગ્રનો હોવાનું નોધાયું છે. સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૬૨૮; ૨. કડુઆમતીગચ્છ પટ્ટાવલીસંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૭૭૯; ૩. જૈગૂકવિઓ : ૩(૨) - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૪. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૮-‘થિરાપદ્રગચ્છીય જ્ઞાનભંડારમેં’ ઉપલબ્ધ વિવાહલો, સંધિ, ભાસ, ધવલસંજ્ઞક સાહિત્ય’, વિજયયતીન્દ્રસુરિજી; ૫. એજન, જૂન ૧૯૫૨ - ‘શ્રી સીમંધર-શોભાતરંગ કે રચનાકાલાદિ પર વિશેષ પ્રકાશ’, અગરચન્દ નાહટા; ૬. એજન, જૂન ૧૯૫૩ - ‘કડુઆમતપટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચન્દ નાહટા;  ૭. જૈગૂકવિઓ : ૩(૧); ૮. મુપુગૂહસૂચી. [ર.સો.]

તેજપાલ-૨ [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિના રાજ્યકાળ (ઈ.૧૫૩૧ - ઈ.૧૫૬૬)માં શ્રીકરણના શિષ્ય. ૨ ઢાળ અને ૩૬ કડીના દુહા-દેશીબદ્ધ, ‘જિનમૂર્તિ પૂજાવિધાયક-પાર્શ્વનાથ-સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : જિસ્તકાસંદોહ : ૧.[ર.સો.]

તેજપાલ-૩/તેજ(મુનિ)/તેજસિંહ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. કર્મસિંહની પરંપરામાં ભીમજીના શિષ્ય. દેશી અને દુહાબદ્ધ ૧૩/૧૫ ઢાળની ૨૪૧ કડીમાં રચાયેલી કવિની કૃતિ ‘જિતારીરાજા-રાસ’ (ર.ઈ.૧૬૭૮/સં. ૧૭૩૪, વૈશાખ વદ ૨, બુધવાર; મુ.)માં જિતારી રાજાની પાસે ચતુરાઈથી પોતાના પગ ધોવડાવતી રાણી લીલાવતીનું કથાનક, સ્ત્રી કોને નથી છેતરતી એવા દૃષ્ટાંત માટે યોજાયું છે. પણ આખરે કવિએ શીલનું મહિમાગાન કર્યું છે. આ ઉપરાંત, ‘ચંદરાજાનો રાસ’ (ર.ઈ.૧૬૫૧/સં. ૧૭૦૭, કારતક સુદ ૨, સોમવાર) તથા ૩ ઢાળની ‘થાવચ્ચાકુમારની સઝાય’ (મુ.) આ કવિની અન્ય કૃતિઓ છે. કેટલાક મુદ્રિત પાઠમાં ‘તેજસિંહ’ની છાપથી ૪ ઢાળની ‘થાવચ્ચાકુમાર-સઝાય’ મળે છે તેમાં ૧ ઢાળ પાછળથી ઉમેરાઈ હોય એવી શક્યતા છે ને તેથી તેજસિંહ નામ પણ કેટલું અધિકૃત ગણવું તે પ્રશ્ન છે. કૃતિ : ૧. જૈસમાળા : ૨ (શા.); ૨. જૈસસંગ્રહ (ન.); ૩. ‘શ્રી રત્નસાગરનો રાસ, શ્રી ભીમસેનરાજાનો રાસ અને શ્રી જિતારીરાજાનો રાસ’, સં. લાલમુનિ કૃપાચંદ્રજી, સં. ૧૯૯૬. સંદર્ભ : જૈગુકવિઓ : ૨, ૩(૧).[ર.સો.]

તેજપાલ-૪ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ]: લોંકાગચ્છના જૈનસાધુ. તેજસિંહશિષ્ય ઇન્દ્રજીના શિષ્ય. આ કવિએ ૨૫ ઢાળની ‘રત્નપંચવીશી/રત્નચૂડ-ચોપાઈ’ (૨. ઈ.૧૬૭૯/સં. ૧૭૩૫, નભ માસ સુદ ૧૩, રવિવાર), ‘અમરસેન વયરસેન-રાસ’ (ર.ઈ.૧૬૮૮/સં. ૧૭૪૪, વૈશાખ સુદ ૩) અને ‘થાવચ્ચામુનિ-સઝાય’ એ કૃતિઓની રચના કરી છે. સંદર્ભ: ૧. જૈગૂકવિઓ: ૨, ૩(૨).[ર.સો.]

તેજપાલ-૫ [               ]: જૈન સાધુ. આનંદવિમલના શિષ્ય. ‘કુગુરુ-પચ્ચીસીની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસમાલા : ૧ (શા.); ૨. જૈસસંગ્રહ (જૈ.); ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]

તેજબાઈ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ મહારાજનાં શિષ્યા અને સમકાલીન. વતન નડિયાદ. વૈરાગ્યબોધક ૪ કડીનું ૧ પદ મુદ્રિત મળે છે અને સંતરામ મહારાજવિષયક કેટલાંક પદો રચ્યાં હોવાનો ઉલ્લેખ મળે છે. કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, સં. ૨૦૩૩ (ચોથી આ.). સંદર્ભ : પ્રાકકૃતિઓ.[શ્ર.ત્રિ.]

તેજરત્નસૂરિશિષ્ય : આ નામે ૫ કડીની ‘ભાવપ્રભસૂરિ-ગીત’ (લે. સં. ૧૯મી સદી અનુ.) મળે છે. તે કયા તેજરત્નસૂરિશિષ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]

તેજરત્નસૂરિશિષ્ય-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : જૈન. અંચલગચ્છના ભાવરત્નસૂરિશિષ્ય તેજરત્નસૂરિ (સૂરિપદ ઈ.૧૫૭૯)ના શિષ્ય. ગુરુનું ચરિત્રગાન કરતી ૧૧ કડીની ‘તેજરત્નસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈઐકાસંચય (+સં.)[કી.જો.]

તેજરત્નસૂરિશિષ્ય-૨ [સં. ૧૭મી સદી] : જૈન. ૬૦ કડીની ગોડીપાર્શ્વ-સ્તવન’ (ર.ઈ.૧૫૬૦?/સં. ૧૬૧૬? ‘સંવત સૌલ વસૂ અદૂઆ’, ફાગણ સુદ ૨, રવિવાર)ના કર્તા. કવિ કદાચ કીર્તિરત્નસૂરિ-૨ હોય. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[કી.જો.]

તેજરુચિ(ઉપાધ્યાય) [               ]: તપગચ્છના જૈન સાધુ. ૪ કડીની ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તુતિ’ (મુ.)ના કર્તા. કૃતિ : શંસ્તવનાવલી.[ર.સો.]

તેજવર્ધન [               ]: જૈન સાધુ. ‘ભરતબાહુબલિરાસ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧.[ર.સો.]

તેજવિજય : આ નામે ‘શુકરાજ-કથા’ (લે. સં. ૧૯મી સદી અનુ.) મળે છે તેના કર્તા કયા તેજવિજય છે તે સ્પષ્ટ થતું નથી. તેજવિજયને નામે ‘નવતત્ત્વપ્રકરણ’ ઉપરનો સ્તબક (ર.ઈ.૧૬૪૫) મળે છે તે તેજવિજય-૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. રાપુહૂસચી : ૧; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

તેજવિજય-૧ [ઈ.૧૬૨૬માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. વિજયતિલકની પરંપરામાં વિબુધવિજયના શિષ્ય. ૯૯ કડીના ‘શાંતિ-સ્તવન’ (ર.ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, ભાદરવા વદ ૧૦)ના કર્તા. સંદર્ભ: જૈગૂકવિઓ : ૩(૧).[શ્ર.ત્રિ.]

તેજવિજય-૨ [ઈ.૧૮૧૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં હેમવિજયના શિષ્ય. એમના ૯ ઢાળ અને ૧૬૨ કડીના ‘કેસરિયાજીનો રાસ/ધુલેવાજીનો રાસ’ (ર. ઈ.૧૮૧૪/સં. ૧૮૭૦, ફાગણ સુદ ૧૦; મુ.)માં કેસરિયાજી તીર્થને લૂંટવા આવનાર સદાશિવરામ અને તેના સાથીઓના મુસ્લિમ સૈન્યને સુરસૈન્ય હરાવે છે એ વૃત્તાંત વર્ણવાયું છે. વિસ્તૃત યુદ્ધવર્ણન ધરાવતા આ રાસમાં “હિંદુ મુસલમાન બંધવ હોય” એવો વિચાર વ્યક્ત થયો છે તે નોંધપાત્ર છે. કૃતિ : જૈનયુગ, જ્યેષ્ઠ તથા આષાઢ-શ્રાવણ ૧૯૮૩-‘તેજવિજયજી વિરચિત કેશરિયાજીનો રાસ’ સં. તંત્રી સંદર્ભ : ૧. જૈગૂકવવિઓ : ૩(૧); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

તેજવિજયશિષ્ય [ઈ.૧૮૦૧માં હયાત] : જૈન તપગચ્છના તેજવિજયના શિષ્ય. ‘નવકાર-રાસ’ (ર.ઈ.૧૮૦૧/સં. ૧૮૫૭, શ્રાવણ સુદ ૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[કી.જો.]

તેજસિંહ(ગણિ)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ-અવ. ઈ.૧૬૮૭] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપઋષિની પરંપરામાં કર્મસિંહશિષ્ય કેશવજીના શિષ્ય. વતન પંચેટિયા/પાંચટિયા. ઓસવાલ ઉસભ ગોત્ર. પિતા લખમણ. માતા લખમાદે. દીક્ષા ઈ.૧૬૫૦. પદસ્થાપના ઈ.૧૬૬૫. અવસાન ઈ.૧૬૮૭. આ કવિએ ‘પ્રતિક્રમણ સઝાય’ નામની એક મુદ્રિત કૃતિ ઉપરાંત ‘નેમનાથ-સ્તવન’, ૪૫ કડીનું ‘આંતરાનું સ્તવન’ (ર. ઈ.૧૬૭૯), ૪ કડીનું ‘સુવિધિજિન-સ્તવન’ (મુ.), ૫ કડીનું ‘અજિતજિન-સ્તવન’ (મુ.) ઉપરાંત ઈ.૧૬૫૫થી ઈ.૧૬૯૨ - ‘સીમંધરસ્વામી-સ્તવન’-નાં રચનાવર્ષો દર્શાવતાં તીર્થંકરસ્તવનો તેમ જ અન્ય સ્તવનો આ કવિને નામે મળે છે, જેમાં ‘સીમંધર સ્વામી-સ્તવન’નું રચનાવર્ષ એમના અવસાનવર્ષને લક્ષમાં લેતાં શંકાસ્પદ ગણાય. ‘ગણિ તેજસિંગજી’ને નામે ૮ કડીની ‘પ્રતિક્રમણ-સઝાય’ (મુ.) મળે છે તે આ કવિની જ રચના હોવાનું સમજાય છે. આ કવિએ સંસ્કૃતમાં રચેલાં ‘દૃષ્ટાંત-શતક’, ‘સિદ્ધાંત-શતક’ તથા ‘ધર્મચતુસ્ત્રિંશિકા’ ગુજરાતી બાલાવબોધ સાથે મળે છે (પહેલી કૃતિ મુ.) તેમાં બાલાવબોધ કવિનો જ રચેલો છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. ત્રીજી કૃતિનો સમય ઈ.૧૭૦૯ દર્શાવાયો છે તે કાં તો લેખનસંવત હોય અગર કૃતિ અન્યકર્તૃક હોય એમ બતાવે. આ ઉપરાંત એમણે સંસ્કૃતમાં ‘વિદ્વત્-શતક’ તથા ‘ગુરુગુણમાલા’ રચ્યાં હોવાની અને આ બીજી કૃતિ એમના શિષ્ય કાનજીએ ઈ.૧૬૯૫માં પૂરી કરી હોવાની માહિતી નોંધાયેલી છે. કૃતિ : ૧. જૈનકથારત્નકોષ : ૫, પ્ર. શા. ભીમસિંહ માણેક, ઈ.૧૮૯૧; ૨. જૈસસંગ્રહ (ન.); ૩. લોંપ્રપ્રકરણ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨) - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’  ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જેસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચિ’, અગરચંદજી નાહટા;  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. લીંહસૂચી.[ર.સો.]

તેજસિંહ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જુઓ ભીમજીશિષ્ય તેજપાલ.

તેજસિંહજી-૩ [ઈ.૧૭૧૦માં હયાત] : આગમગચ્છના જૈન સાધુ. જ્ઞાનમેરુશિષ્ય સુમતિમેરુના શિષ્ય. ‘નેમરાજિમતી-બારમાસો’ (ર.ઈ.૧૭૧૦)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.[ર.સો.]

તેજહરખ : આ નામે ૭ કડીની ‘ઢંઢણ-મુનિ-સઝાય’ (લે. સં. ૨૦મી સદી અનુ.) મળે છે તેના કર્તા કયા તેજહરખ છે તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.સો.]

તેજહરખ-૧ [               ]: જૈન સાધુ. વિજયદેવની પરંપરામાં રતનહરખના શિષ્ય. ૯ કડીની ‘રહનેમિરાજિમતીની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસપસંગ્રહ : ૧.[ર.સો.]

તેજો [               ]: જૈન. ૧૫ કડીના ‘કુમતિ-શિક્ષા-ભાસ’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]

તોરલદે/તોળલ/તોળાંદે/તોળી(રાણી) [               ]: સંત કવયિત્રી. સૌરાષ્ટ્રના સરલી/સલડી ગામના સંત રાજવી સાંસતિયા કાઠીનાં પત્ની. વિશેષ ચરિત્રમાહિતી માટે જુઓ જેસલ-પીર. તોરલને નામે મળતાં પદો-ભજનો (મુ.)માંથી કેટલાંક પદોમાં એમના જીવનના પ્રસંગો આલેખાયા છે અને કેટલીક વાર તે સંવાદ રૂપે પણ ચાલે છે. એટલે આ પદો તેમના વિશે પાછળથી લખાયાં હોવાના તર્કને પૂરો અવકાશ છે. આ પદોમાં જેસલના જીવનોદ્ધાર માટેની તીવ્ર ઝંખના અને તેના પ્રત્યેનો આર્દ્ર આધ્યાત્મિક પ્રેમભાવ વ્યક્ત થયો છે. કેટલાંક પદો નિજિયા/માર્ગીપંથનો રંગ બતાવે છે. ભક્તિ-વૈરાગ્યબોધમાં સચોટ રૂપકોનો લેવાયેલો આશ્રય ધ્યાન ખેંચે છે અને એકલશિંગી રોઝના વિશિષ્ટ રૂપકથી રજૂ થયેલું સાયબા (પરમતત્ત્વ)નું ચિત્ર તો ઘણું પ્રભાવક બન્યું છે. કૃતિ : ૧. જેસલ અને તોળીરાણીનાં ભજન, પ્ર. મહાદેવ રામચંદ્ર જાગુષ્ટે ઈ.૧૯૩૬; ૨. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૩. બૃહત્ સંત સમાજ ભજનાવલી, પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.). સંદર્ભ : ૧. કચ્છના સંતો અને કવિઓ : ૧, દુલેરાય કારાણી, સં. ૨૦૧૫; ૨. કચ્છનું સંસ્કૃતિદર્શન, રામસિંહ રાઠોડ, ઈ.૧૯૫૯; ૩. જેસલ-તોરલ, ગોસ્વામી મોહનપુરી, ઈ.૧૯૭૭; ૪. પુરાતન જ્યોત, ઝવેરચંદ મેઘાણી, * ઈ.૧૯૩૮, ઈ.૧૯૭૬ (સુલભ આ.).[દે.જો.]

તોરલપરીજી : જુઓ તુડાપુરી/તુલાપુરી.

તોરળ/તોળાંદે/તોળી(રાણી): જુઓ તોરલદે.

ત્યાગાનંદ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ કવિ. તેમણે કીર્તનો (૧ થાળ મુ.) રચ્યાં હોવાનું નોંધાયું છે. આ કવિએ સંસ્કૃતમાં ‘હરિપ્રાર્થનાષ્ટકમ્’ રચ્યું છે. કૃતિ : કીર્તનસાર સંગ્રહ : ૧, શાસ્ત્રી હરિજીવનદાસ, ઈ.૧૯૫૧. સંદર્ભ : ગુસાપઅહેવાલ : ૫.[કી.જો.]

ત્રિકમ/ત્રિકમદાસ/ત્રિકમલાલ : ત્રિકમને નામે કેટલાંક પદો નોંધાયેલાં છે. ‘ત્રિકમ’ તથા ‘ત્રિકમદાસ’ની નામછાપ ધરાવતાં જ્ઞાન અને ભક્તિનાં હિંદી-ગુજરાતી ૪ પદો(મુ.) મળે છે તેમ જ ત્રિકમલાલને નામે નોંધાયેલાં પણ ‘ત્રિકમ’ એ નામછાપ ધરાવતાં જ્ઞાનમાર્ગી પરંપરાનાં ગુજરાતી-હિંદી પદો(મુ.) મળે છે. તે કયા ત્રિકમ/ત્રિકમદાસ/ત્રિકમલાલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. પ્રાકાવિનોદ : ૧; ૨. ભક્તિભાસ્કર અને તત્ત્વજ્ઞાન યાને ગુજરાતનો વેણુનાદ : ૧ તથા ૨, સં. બળવંતરાય ર. દેસાઈ ઈ.૧૯૨૪ તથા ઈ.૧૯૨૫. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨.ગૂહાયાદી. [ચ.શે.]

ત્રિકમ-૧ [ઈ.૧૬૨૬ સુધીમાં] : ૪૦૦ ગ્રંથાગ્રના ‘ગંગામાહાત્મ્ય’ (લે. ઈ.૧૬૨૬)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ-૨; ૨. ગૂહાયાદી.[ચ.શે.]

ત્રિકમ-૨/તીકમ(મુનિ) [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : નાગોરગચ્છના જૈન સાધુ. આચાર્ય રૂપચંદની પરંપરામાં વણવીરના શિષ્ય. ‘અમરસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૨), ૧૧ ઢાળ અને ૨૨૪/૩૨૫ કડીની ‘રૂપચંદઋષિનો રાસ’ (ર.ઈ.૧૬૪૩/સં. ૧૬૯૯, ભાદરવા વદ ૩, બુધવાર), ૧૭ ઢાળની ૩૪૧ ગ્રંથાગ્રની ‘વંકચૂલ ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૫૦/સં. ૧૭૦૬, ભાદરવા સુદ ૧૧, ગુરુવાર) અને ‘ચિત્રરસંભૂતિ-ચોઢાળિયાં’એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; જૈગૂકવિઓ : ૧, ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી.[શ્ર.ત્રિ.]

ત્રિકમ-૩ [સં. ૧૮મી સદી] : પુષ્ટિસંપ્રદાના વૈષ્ણવ કવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો.[કી.જો.]

ત્રિકમ-૪ [ઈ.૧૭૮૨ સુધીમાં] : અવટંકે પાઠક. જ્ઞાતિએ બ્રાહ્મણ. ‘કામનાથનો મહિમા’ (લે. ઈ.૧૭૮૨)ના કર્તા. ‘બહુચરાજીનો ગરબો’ આ કવિને નામે નોંધાયેલ છે. તેમાં ભૂલ થયેલી જણાય છે. સંદર્ભ : ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી; ૪. ફાહનામાવલિ : ૨.[ચ.શે.]

ત્રિકમ (સાહેબ)-૫ (અવ. ઈ.૧૮૦૨] : જુઓ ત્રિકમદાસ-૨.

ત્રિકમદાસ : જુઓ ત્રિકમ.

ત્રિકમદાસ-૧ [જ. ઈ.૧૭૩૪ - અવ. ઈ.૧૭૯૯/સં. ૧૮૫૫ના આસો સુદ ૧૫] : પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવ ભક્તકવિ. મુત્સદ્દી રાજપુરુષ. જ્ઞાતિએ વડનગરા નાગર. જૂનાગઢના વતની. ભવાનીદાસના પુત્ર. ભવાનીદાસ નરસિંહ મહેતાના કાકા પર્વતદાસની ૧૦મી પેઢીએ થયેલા એ પ્રકારનું પેઢીનામું મળે છે. પરંતુ ત્રિકમદાસની ‘પર્વત-પચીસી’માં નરસિંહ મહેતાનો ઉલ્લેખ કોઈ જાતના સગાઈસંબંધ વિના થયેલો છે. ગુજરાતી, સંસ્કૃત અને ફારસીનો સારો અભ્યાસ કરવા સાથે તેમણે કુતિયાણાના બ્રહ્મભટ્ટ પાસેથી વ્રજભાષાના પિંગળ તેમ જ અલંકારગ્રંથોનું જ્ઞાન મેળવ્યું હતું. તેમણે જૂનાગઢના નવાબ તથા વડોદરાના ગાયકવાડની સેવા કરતાં હદપારી, જેલ વગેરે ભોગવીને પણ રાજખટપટમાં હિંમત અને કુનેહથી સફળતા મેળવી પ્રતિષ્ઠા ને માનઅકરામ પ્રાપ્ત કર્યાં હતાં. ત્રિકમદાસે ઈ.૧૭૮૯ સુધી ગાયકવાડ રાજ્યની મુલ્કગીરી કરી હતી. એમણે જૂનાગઢમાં નરસિંહ મહેતાનો ચોરો કરાવી, ત્યાં રણછોડરાયની પ્રતિમાને માંગરોળથી લાવીને પધરાવેલી. ઈ.૧૭૯૯માં કઠોદરના વ્યાધિના કારણે તેઓ ડાકોર શ્રીરણછોડરાયની સંનિધિમાં, ઇચ્છારામ ભટ્ટજીના સંસર્ગમાં રહેવા ગયા અને ત્યાં જ દેહ છોડ્યો. તેમના દેહનો તેમની ઇચ્છાનુસાર જ્યાં અગ્નિસંસ્કાર થયો હતો ત્યાં ગોમતીતટે આજે પણ તેમની દેરી મોજૂદ છે. પર્વતદાસની વૃદ્ધાવસ્થાને લક્ષમાં લઈ તેમની ભક્તિથી પ્રસન્ન થઈ દ્વારકાથી રણછોડરાયજી જાતે દશાંગુલ સ્વરૂપે ઈ.૧૪૪૫માં માંગરોળમાં પધાર્યા તે ચમત્કારિક પ્રસંગને વર્ણવતી, પદમાળા રૂપે રચાયેલી ત્રિકમદાસની ‘પર્વત-પચીસી’(મુ.) પ્રેમલક્ષણા ભક્તિની પ્રાસાદિક અભિવ્યક્તિ ધરાવતું કાવ્ય છે. ત્રિકમદાસે આ ઉપરાંત પ્રેમલક્ષણા ભક્તિનાં ગુજરાતી તેમજ વ્રજ પદો(મુ.), વ્રજમાં ‘ડાકોરલીલા’ (ર.ઈ.૧૭૯૨; મુ.) તથા ફારસીપ્રચુર હિન્દીમાં નોંધપાત્ર કવિત્વ દાખવતી ‘રુક્મિણીબ્યાહ’(મુ) એ રચનાઓ કરેલી છે. તેમનો એક ગુજરાતી પત્ર પણ મુદ્રિત મળે છે. કૃતિ : ૧. ત્રિકમદાસનાં કાવ્યો અને ચરિત્ર, સં. નટવરલાલ દેસાઈ, નયનસુખરાય વિ. મજમુદાર, ઈ.૧૯૩૦ (+સં.);  ૨. સાહિત્ય, ફેબ્રુ; માર્ચ તથા મે, ૧૯૨૬ - ‘પર્વતપચીશી’, સં. હરગોવિંદદાસ કાંટાવાળા.[ચ.શે.]

ત્રિકમદાસ-૨/ત્રિકમ(સાહેબ) [અવ. ઈ.૧૮૦૨] : રવિભાણસંપ્રદાયના સંતકવિ. ખીમસાહેબના શિષ્ય. કચ્છના વાગડ જિલ્લાના રામવાવ ગામે હરિજન ગરોડા (=ગોર) જ્ઞાતિમાં જન્મ. નાનપણથી ખેતી-વણકરી સાથે સત્સંગનો રંગ. રામગીર નામના એક જોગી મહાત્માની પ્રેરણાથી ભાણસુત ભીમસાહેબના તેઓ નાદશિષ્ય બન્યા. પછીથી કચ્છના વાગડ વિસ્તારમાં ચિત્રોડમાં ગાદી સ્થાપી. ‘વાડીના સાધુ’ તરીકે ઓળખાતા અને હનુમાનનો અંશાવતાર મનાતા આ કવિ અસ્પૃશ્ય જાતિના કવિઓમાં અગ્રેસર મનાયા છે. તેઓ અસ્પૃશ્ય હોવાથી સવર્ણો તરફથી તેમને ઘણી પજવણી થઈ પરંતુ સંતત્વના પ્રતાપે તેઓ એમાંથી ગૌરવભેર પાર ઊતર્યા. આ અંગે કેટલીક ચમત્કાર કથાઓ પ્રચલિત છે. ચિત્રોડમાં જીવતાં સમાધિ લીધા પછી એમના દેહને તેમની ઇચ્છાનુસાર રાપરના દરિયાસ્થાનમાં ભાણસાહેબ અને ખીમસાહેબની સમાધિઓ વચ્ચે સ્થાન આપવા લાવવામાં આવેલો ત્યારે પણ સવર્ણોએ વિરોધ કરેલો. એમના સમાધિસ્થાન પર ચૈત્ર સુદ ૨ના રોજ હરિજનો દર્શનાર્થે આવે છે. ત્રિકમસાહેબે ગુરુમહિમાનું ગાન કરતાં અને યોગમાર્ગીપરિભાષામાં આત્માનુભૂતિનો ઉલ્લાસ વર્ણવતાં કેટલાંક સુંદર ભજનો (મુ.) ગુજરાતીમાં તેમ હિંદીમાં આપેલાં છે. કૃતિ : ૧. અભમાલા; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. યોગ વેદાંત ભજન ભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.) (+સં.); ૪. રવિભાણ સંપ્રદાયની વાણી : ર, પ્ર. મંછારામ મોતી, સં. ૧૯૯૨ (+સં.). સંદર્ભ : ૧. કચ્છના સંતો, દુલેરાય કારાણી, ઈ.૧૯૭૬; ૨. ભાણ લીલામૃત, પ્રેમવંશ પુરુષોત્તમદાસ માધવસાહેબ-; ૩. રામકબીરસંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨; ૪. સોસંવાણી.[ચ.શે.]

ત્રિકમલાલ : જુઓ ત્રિકમ.

ત્રિકમાનંદ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. સહજાનંદસ્વામી વિશેના હિંદીમિશ્ર ગુજરાતીમાં રચાયેલા ૬ કડીના ૧ પદ (મુ.)ના કર્તા. કૃતિ : કીર્તન મુક્તાવલી, પ્ર. બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમની સંસ્થા, ઈ.૧૯૭૮ (બીજી આ.).[કી.જો.]

‘ત્રિભુવનદીપક-પ્રબંધ’ : મહેન્દ્રપ્રભસૂરિશિષ્ય જયશેખરસૂરિકૃત ‘પરમહંસ-પ્રબંધ’ ‘અંતરંગ-પ્રબંધ’ તથા ‘પ્રબોધચિંતામણિ-ચોપાઈ’ એ અપરનામોથી પણ ઓળખાયેલો આ પ્રબંધ(મુ.) એમની પોતાની જ સંસ્કૃત કૃતિ ‘પ્રબોધચિંતામણિ’ (ર. ઈ.૧૪૦૬) પરથી ગુજરાતી ભાષામાં રચાયેલો છે. ૪૧૫/૪૪૮ કડીની આ કૃતિમાં મુખ્યત્વે દુહા-ચોપાઈ, પણ તે ઉપરાંત વસ્તુ વગેરે અપભ્રશપરંપરાના અને બીજા માત્રામેળ છંદો, ‘કાવ્ય’ નામથી ઉપજાતિ એ અક્ષરમેળ છંદ, થોડાંક પદ-ધોળ અને ‘બોલી’ નામથી ૨ ગદ્યખંડોનો વિનિયોગ થયો છે. ગુજરાતી ભાષાના આ પ્રથમ જ્ઞાનમૂલક રૂપકકાવ્યમાં માયાના ફંદામાં ફસાયેલા પરમહંસરાજા એટલે કે જીવાત્મા એમાંથી કેવી રીતે મુક્ત થાય છે એની કથા કહેલી છે. ચેતનારાણીને છોડી માયામાં લુબ્ધ બનેલો પરમહંસ નવી કાયાનગરી વસાવી એનો વહીવટ મન નામે અમાત્યને સોંપી પોતે ભોગવિલાસમાં ડૂબી જાય છે. મન અને માયારાણી મળીને પરમહંસરાજાને કેદ કરે છે અને મન રાજમુગટ ધારણ કરે છે. મન પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ ૨ રાણીઓને પરણે છે, તેમાંથી પ્રવૃત્તિની ખટપટથી નિવૃત્તિ અને એના પુત્ર વિવેકને દેશવટો મળે છે અને નિવૃત્તિના પુત્ર મોહને રાજ્યાધિકાર મળે છે, જે અવિદ્યા નામે નવી રાજધાની વસાવે છે. દેશવટો પામેલો વિવેક વિમલબોધની પુત્રી સુમતિ સાથે તથા પછીથી સદુપદેશની પુત્રી સંમયશ્રી સાથે પરણી અરિહંતરાજાની કૃપાદૃષ્ટિથી પુણ્યરંગપાટણનો રાજા બને છે. વિવેક મોહરાયની ખટપટોને નિષ્ફળ બનાવી, એનો પુત્ર કામકુમાર અબળાસૈન્ય લઈને શંકર, વસિષ્ઠાદિ તપસ્વીઓને પરાસ્ત કરી પુણ્યરંગ પાટણ પર ચડી આવે છે તેનો યુદ્ધમાં વધ કરે છે. આ પછી વિવેકની સલાહથી મન શુક્લ ધ્યાન રૂપી અગ્નિમાં પ્રવેશે છે અને ચેતનારાણી પરમહંસરાજાને પ્રબુદ્ધ કરી પરમઐશ્વર્યના સ્વામી બનાવે છે. ઉપર દર્શાવેલા છે તે કરતાં પણ ઘણા વધારે રૂપકોનો આશ્રય લઈ, વાર્તાના નાનામોટા અનેક તંતુઓ પ્રસારતો આ પ્રબંધ, વૃત્તાંત અને અધ્યારોપમાં કેટલીક ક્ષતિઓ છતાં, એના પ્રસ્તાવોના વૈવિધ્યથી, કાર્યના વેગથી અને સંવિધાનના ચાતુર્યથી પ્રભાવક બને છે અને “આ એક જ કાવ્યથી જૈન કવિ પ્રથમ પંક્તિનો સાહિત્યકાર બને છે.” (કે. હ. ધ્રુવ). અલંકારપ્રધાન મહાકાવ્યની આડંબરી શૈલી અપનાવતા મૂળ સંસ્કૃત કાવ્યથી ભિન્ન રીતે આ ગુજરાતી કૃતિ પ્રસાદપ્રધાન કથાવાર્તાની ઋજુ શૈલીમાં ચાલે છે, પણ એમાંયે કવિની કાવ્યકલા અછતી રહેતી નથી. મુક્તિનગર, વસંત, યુદ્ધ વગેરેનાં વર્ણનો અસરકારક બન્યાં છે ને યુદ્ધવર્ણનમાં શબ્દાલંકારોનો તો અન્યત્ર પ્રસંગોપાત રૂપક આદિ અલંકારોનો સુભગ વિનિયોગ થયેલો છે. પણ સૌથી વધુ ધ્યાન ખેંચે છે લોકવાણીનું બળ પ્રગટ કરતી, વક્તવ્યને દૃષ્ટાંતપરંપરાના વિનિયોગથી અનેરી સચોટતા અર્પતી ઉક્તિછટા. પાત્રસ્વભાવના નિરૂપણ તેમ જ જ્ઞાનવિચારને પણ કવિની આ દૃષ્ટાંતકળાનો લાભ મળ્યો છે. આ કાવ્યનો આધાર લઈ પછીથી ‘ધર્મબુદ્ધિ-રાસ’, ‘જ્ઞાનકલાચોપાઈ’, ‘મોહવિવેકનો રાસ’ વગેરે નામોથી પણ ઘણી રચનાઓ થઈ છે.[શ્ર.ત્રિ.]

ત્રિલોક : જુઓ તિલોક.

ત્રિલોકસિંહ [ઈ.૧૭૩૨માં હયાત] : ગુજરાતી લોંકાગચ્છના જૈનસાધુ. જયરાજ્જીના શિષ્ય. ૪ ખંડ ને ૩૦ ઢાળની ‘ધર્મદત્તધર્મવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૨/સં. ૧૭૮૮, અસાડ વદ ૧૩, સોમવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.[શ્ર.ત્રિ.]

ત્રિલોકસીશિષ્ય; [               ]: જૈન ૨૨ કડીની ‘ધન્નાની સઝાય’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

ત્રિવિક્રમ [               ]: અવટંકે ભટ્ટ. દમયંતિ-કથાના કર્તા સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.[શ્ર.ત્રિ.]

ત્રિવિક્રમાનંદ [અવ. ઈ.૧૮૧૦] : જ્ઞાતિએ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ. જન્મ જંબુસરમાં. ૧૫ વર્ષની ઉંમરે લગ્નમંડપમાંથી જ સંસારત્યાગ કરી કાશી ગયેલા. ૨૦ વર્ષની ઉંમરે સુરતમાં આવ્યા. ત્યાં આનંદરામ શાસ્ત્રી પાસે કૌમુદીનો અભ્યાસ કર્યો. પાંત્રીસેક વર્ષની ઉંમરે સંન્યસ્ત લીધું. સાઠેક વર્ષની ઉંમરે સુરતમાં અવસાન. વેદાંતપારાયણ કરનાર ત્રિવિક્રમાનંદે ગ્વાલી, ઉર્દૂ, મરાઠી અને ગુજરાતીમાં વેદાંતવિષયક ગ્રંથો રચ્યા છે. સવૈયા, કવિત, ધોળ વગેરે પ્રકારોનો આશ્રય લેતાં તેમનાં પદો (મુ.) બહુધા ઉર્દુ-હિન્દીમાં છે. પરંતુ આઠેક પદો ગુજરાતીમાં પણ મળે છે. આ પદોમાં વેદાંતજ્ઞાન, યોગાનંદ, નામસ્મરણમહિમા, સંતમહિમા, ભક્તિવૈરાગ્યબોધ વગેરેનું નિરૂપણ થયેલું છે. કૃતિ : અભમાલા. સંદર્ભ : નર્મગદ્ય, નર્મદાશંકર લા. દવે, * ઈ.૧૮૬૫, ઈ.૧૯૭૫ (પુનર્મુદ્રણ)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]