ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ

Revision as of 07:09, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs)




ધણચંદ (સૂરિ) [                ] : જૈન સાધુ. ૧૧૦૨ કડીના શીલવિષયક કથાવસ્તુવાળા ‘ચિત્રસેનપદ્માવતી/મહાસતી શીલસુંદરી-રાસ’ (મુ.)ના કર્તા. કૃતિ : મહાસતી શીલસુંદરી રાસ, પ્ર. અભિધાન રાજેન્દ્ર કાર્યાલય. સંદર્ભ : ૧ દેસુરાસમાળા;  ૨. જૈમગૂકરચનાએં : ૧. [કી.જો.]

ધનજી : આ નામે ૫ કડીની ‘શંખેશ્વર પાર્શ્વસ્તવ’ મળે છે તે ઘનજી-૧ છે કે અન્ય તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્ય કી વિશાલતા’, અગરચંદ નાહટા.[કી.જો.]

ધનજી(મુનિ)-૧ [ઈ.૧૬૭૮ સુધીમાં] : ‘પ્રિયમેલક પ્રબંધેસિંહલસુત-ચોપાઈ’ (લે. ઈ.૧૬૭૮)ના કર્તા. સંદર્ભ : ડિકેટલોગભાવિ. [શ્ર.ત્રિ.]

ધનજી-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વાચક દયાસાગર (ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય. ‘સિદ્ધદત્ત-રાસ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]

ધનજી-૩ [ઈ.૧૭૬૩ સુધીમાં] : ‘સહજાનંદ’નો ગુરુ તરીકે નિર્દેશ કરે છે તે કદાચ ભગવાનનો નામોલ્લેખ જ હોય. એમના રકિમણીવિવાહ’માં કૃષ્ણ-રુકિમણીનું વિવાહસ્થળ માધવપુર બતાવાયું છે તેથી એ કદાચ સૌરાષ્ટ્રના માધવપુર બાજુના વતની હોય. ૧૦૨ કડીની ‘રુકિમણી-વિવાહ’ (લે. ઈ.૧૭૬૩) સંક્ષેપમાં કથાપ્રસંગો રજૂ કરતી કૃતિ છે. આ ઉપરાંત વૈરાગ્ય અને ગુરુમહિમાના વિષયોથી રચાયેલાં એમનાં ૩ પદો પણ મળે છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ગૂહાયાદી. [ચ.શે.]

ધનજીભાઈ [                ] : અમદાવાદના વતની. ‘કૃષ્ણબાળલીલા’ના કર્તા. સંદર્ભ : ૧. ગૂજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [ચ.શે.]

ધનદાસ [ઈ.૧૬૭૩ સુધીમાં] : ધંધુકાના વતની તથા જ્ઞાતિએ સંભવત: પટેલ હોવાનું જણાવાયું છે પણ તેનો આધાર સ્પષ્ટ નથી બીજી બાજુથી ‘રામ-કબીરસંપ્રદાય’માં કવિની ‘અર્જુન-ગીતા’માં રામકૃષ્ણની અભેદભાવની ભક્તિ તથા સગુણની સાથે નિર્ગુણભક્તિનું નિરૂપણ હોવાથી કવિ ઉદાસંપ્રદાયના જીવણશિષ્ય કૃષ્ણદાસના શિષ્ય ધનાભગત / ધનાદાસ હોવાનો તર્ક થયો છે. એ ધનાભગત આગલોડના કડવા પાટીદાર હતા અને તેમણે કૃષ્ણદાસ પાસે લગભગ ઈ.૧૬૬૮માં ઉદાધર્મનો સ્વીકાર કર્યો હતો. સરસ્વતી છંદની ચાલમાં રચાયેલી ૪૬/૪૭ કડીની ‘અર્જુનગીતા/સાર-ગીતા/ભક્ત-ગીતા’ (લે.ઈ.૧૬૭૩; મુ.) વસ્તુત: ભગવદ્ગીતાના સારાનુવાદરૂપ નથી પરંતુ રામ-કૃષ્ણ આદિ અવતારોમાં ભગવાને ભક્તોને કરેલી સહાયની સાથે જ્ઞાની ભક્તનાં લક્ષણ અને ભગવાનનો ભક્ત પ્રત્યેનો આત્મીયભાવ વર્ણવે છે. શ્રીકૃષ્ણે અર્જુનને કરેલા સંબોધન રૂપે રચાયેલ આ કાવ્ય એના સરળ તત્ત્વજ્ઞાન, પ્રાસાદિક અભિવ્યક્તિ અને ભક્તલક્ષણ વર્ણવતી “સંસાર સું સરસો રહે, ને મન મારી પાસ” એવી કેટલીક ચોટદાર પંક્તિઓથી ગુજરાતમાં લોકપ્રિય બની નિત્યપાઠમાં પણ સ્થાન પામ્યું છે. આ કવિને નામે ‘પંચશ્લોકી ભાગવત’ તથા બોધનાં પદ નોંધાયેલાં છે પણ તેની અધિકૃતતા ચકાસણીને પાત્ર છે. કૃતિ : ૧. કાદોહન : ૧; ૨. બૃકાદોહન : ૨(+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. પ્રાકકૃતિઓ : ૪. રામકબીર સંપ્રદાય, કાંતિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૩;  ૫. ગૂહાયાદી; ૬. ફૉહનામાવલિ. [દે.જો.]

ધનદેવ(ગણિ) : આ નામે ૯ કડીનું ‘જિનસ્વપ્ન-ગીત’ (લે. સં. ૧૭મી સદી અનુ.) મળે છે. તે કયા ધનદેવગણિ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]

ધનદેવ(ગણિ)-૧ [ઈ.૧૪૪૬માં હયાત] : જૈન સાધુ. એમના કાવ્ય, (શાર્દૂલવિક્રીડિત), રાસક, અઢૈયુ અને ફાગ એ ૪ છંદોના એકમો તથા રાસક અને ફાગમાં આંતરયમક પ્રયોજતા ૮૪ કડીના ‘સુરંગાધિ નેમિ-ફાગ’ (ર. ઈ.૧૪૪૬; મુ.)માં નેમિનાથનું સમગ્ર ચરિત્ર આલેખાયું છે. નેમિકુમારનું રૂપવર્ણન, વસંતવર્ણન વગેરેમાં આલંકારિક વર્ણનની પરંપરાગત છટા જોવા મળે છે. કૃતિ : પ્રાફાગુસંગ્રહ (+સં.) સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [વ.દ.]

ધનદેવ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : વડતપગચ્છના જૈન સાધુ. રાજવિજયના શિષ્ય. ભૂવનકીર્તિસૂરિ. (અવ. ઈ.૧૬૫૪)ની આજ્ઞાથી રચાયેલા ‘સ્ત્રીચરિત્ર-રાસ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩ (૨). [વ.દ.]

ધનપ્રભ [                ] : ૯ કડીની ‘નેમિનાથ-ઝીલણા’ (લે. સં. ૧૬મી સદી), ૮૦ કડીની ‘નેમિનાથ-રાસ’ (લે.સં. ૧૭મી સદી), ૧૧ કડીની નેમિનાથ-હિંડોલ’ (લે. સં. ૧૭મી સદી), ૯ કડીની ‘જીરાઉલિછાહુલી’ (મુ.) ૧૧ કડીની ‘રાજિમતી વિછોહ-પદ’ (લે. સં. ૧૭મી સદી) એ કૃતિઓના કર્તા. કૃતિ: અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૨ (+સં.) સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧. ૨. મુપુગૂહસૂચી. [વ.દ; જ.ગા.]

ધનપ્રભશિષ્ય [                ] : જૈન. ૨૯ કડીની ‘શાંતિનાથ-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

ધનરાજ-૧ [ઈ.૧૪૨૪માં હયાત] : જૈન સાધુ. ૧૭૦ કડીની ‘મંગલક્લશ-વિવાહલુ’ (ર. ઈ.૧૪૨૪) તથા ૧૧ કડીની ‘વીસહત્થી-છંદ’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપૂગૂહસૂચી. [કી.જો.]

ધનરાજ-૨ [ઈ.૧૫મી સદી] : રામકબીર સંપ્રદાયના સંતકવિ. પદ્મનાભના શિષ્ય. પોતાને પંડિત તરીકે ઓળખાવે છે, પરંતુ સંપ્રદાયમાં અધ્યારુજી તરીકે જાણીતા છે. જ્ઞાતિએ બ્રાહ્મણ. પાટણના હુકમરાય પંડ્યાના એ પુત્ર. એ પાટણના અધિકારી હતા અને એ નિમિત્તે પદ્મનાભ જે કુંભાર હતા તેના સંપર્કમાં આવેલા એમ કહેવાય છે. પદ્મનાભથી પ્રભાવિત થઈ પછીથી એમણે તેમની પાસે દીક્ષા લીધી. પદ્મનાભને એ વિષ્ણુના અવતાર લેખતા હતા. પરંતુ પદ્મનાભે તેમની સાથે મિત્ર તરીકે વ્યવહાર કર્યો હોય એવું જણાય છે. પદ્મનાભ જ્યાં રહેતા તે પદ્મવાડી બનાવવામાં પણ પદ્મનાભે તેમનો સાથ લીધેલો. પદ્મનાભનો જીવનકાળ ઈ.૧૪૦૨થી ઈ.૧૫૦૯ મનાય છે અને પદ્મવાડીની રચના ઈ.૧૪૧૪માં થયાનું નોંધાયું છે, જો કે આ હકીકતો શંકાથી પર છે એમ કહી શકાય નહીં. અધ્યારુજીનાં ૨૮ કીર્તનો (મુ.) સંપ્રદાયમાં જાણીતાં છે, જો કે કવિની નામછાપ બેએક કૃતિઓમાં જ મળે છે. કેટલીક કૃતિઓમાં, ‘અણછતો આત્મા/ભગત’ એવી છાપ વપરાયેલી છે અને થોડી કૃતિઓમાં ગુરુ પદ્મનાભનો ઉલ્લેખ મળે છે. પૃથ્વીના પરબ્રહ્મ સાથેના લગ્નને વર્ણવતી ૩૩ કડીની ‘સંત સોહાગો’માં તો ‘તુલસી’ નામ વણાયેલું મળે છે એટલે એનું કર્તૃત્વ અધ્યારુજીનું માનવું કે કેમ તે પ્રશ્ન છે. આ જ વિષયની અધ્યારુજીની અન્ય કૃતિ છે જ. રામકૃષ્ણ એ બંને અવતારોની સાથે નિર્ગુણ પરબ્રહ્મની ભક્તિને વણી લેતી રામકબીર-સંપ્રદાયની પરંપરાને અનુસરતાં ધનરાજનાં કીર્તનો ‘પંચાહ્ન પારાયણ’ના ૫ વિશ્રામ રૂપે વહેંચાયેલાં મળે છે. અધ્યાત્મ અને વૈરાગ્યનો બોધ કરતાં આ કીર્તનોમાંનાં કેટલાંક જન્મ, લગ્ન, મૃત્યુ, દીક્ષા વગેરે પ્રસંગોએ ગાવામાં આવે છે તે આ કીર્તનોનું સંપ્રદાયમાં કેટલું મહત્ત્વ છે તે સમજાવે છે. કવિનાં આ કીર્તનોમાં અધિસ્થાને મળતી ૫૩ કડીની ‘ગરુવા ગણપતિનો રાસ’ નામથી ઓળખાવાયેલી કૃતિમાં વસ્તુત: પરબ્રહ્મની સ્તુતિ છે અને રામાવતાર તથા કૃષ્ણાવતારનું વીગતે અને અન્ય અવતારનું ટૂંકું વર્ણન છે. અહીં કાવ્યના આરંભના શબ્દો ઉપરથી કૃતિ ઓળખાવાયેલી છે તેમ અન્યત્ર પણ કાવ્યમાં ધ્રુવા વગેરે તરીકે વપરાયેલા શબ્દોથી પણ કૃતિઓ ઓળખાવાયેલી છે. ૩૨ કડીની પરબ્રહ્મને સંબોધન રૂપે રચાયેલી ‘વિનતી’ જીવ પ્રકૃતિને છોડીને પરબ્રહ્મને કઈ રીતે પામી શકે તેનો બોધ આપે છે. ૩૦ કડીની ‘હેલી’માં પરબ્રહ્મના અકલ સ્વરૂપનું વર્ણન છે, તો ૩૬ કડીની ‘બ્રહ્મારુલી’માં પરબ્રહ્મની લીલાનું અને ૨૭ કડીની ‘સોરંગી’માં એના અવતારોનું વર્ણન છે. ૪ કડવાં રૂપે ૧ કૃતિ મળે છે તેમાં હરિ એટલે કે કૃષ્ણ રૂપે પરબ્રહ્મની સ્તુતિ છે, અને એમાં કૃષ્ણલીલા ગૂંથી લેવામાં આવી છે. ‘વડી કારજ’માં વિવિધ અવતારોનાં કાર્યો વર્ણવ્યાં છે, તો ‘લોઢી કારજ’માં સુખદુ:ખના ચરખામાં લોઢાતા જીવને શરણાગતિનો બોધ આપવામાં આવ્યો છે. ૫૩ કડીની ‘હર્ષ ભોવન’ પરબ્રહ્મનું સ્વરૂપવર્ણન કરી તેની ભક્તિના આનંદનો બોધ આપે છે. તો ૩૧ કડીની ‘શોકભવન’ જેનામાં હરિભક્તિ નથી તેને ભોગવવી પડતી નર્કની વેદનાનું વર્ણન કરે છે. ‘પૃથ્વી-ધોળ/પૃથ્વી-વિવાહ/વિઘનહરણ’માં પૃથ્વીના પ્રલયકાળે એને ઉદ્ધારનાર પરબ્રહ્મ રૂપ ગોવિંદ સાથેના લગ્નની કથા કહેવામાં આવી છે. અને વિવાહવિધિનું વીગતે વર્ણન કરવામાં આવ્યું છે. ‘પદ્મધોળ’માં પરબ્રહ્મના અવતાર તરીકે પદ્મનાભનું મહિમાગાન છે અને ‘વાડીનો રાસ’માં પણ વાડીને નિમિત્તે પદ્મનાભની પ્રશસ્તિ થયેલી છે. આ ઉપરાંત મુક્તિદશાનું વર્ણન કરતી ૩૫ કડીની ‘ઘોડલી’, આત્માપરમાત્માનું રહસ્ય સમજાવતી ૪૪ કડીની ‘વેદપુરાણ’, હરિભક્તિથી થયેલા ભક્તોના ઉદ્ધારને ઉલ્લેખતી ૩૭ કડીની ‘ચતુર્વદનનો રાસ’ તથા પરબ્રહ્મભક્તિ વગર અન્ય સાધનો નિરર્થક છે તેમ દર્શાવતી ૩૨ કડીની ‘અહર્નિશનો રાસ’ આ કવિની અન્ય નોંધપાત્ર કૃતિઓ છે. કવિની કેટલીક દીર્ઘ કૃતિઓ ‘આદ’ નામક વિભાગોમાં વહેંચાયેલી મળે છે અને એમાં વલણ નામે ઘટક હોય છે તે રચનાબંધની દૃષ્ટિએ નોંધપાત્ર હકીકત છે. કવિની ‘પસાઉલો’, ‘ઉમાઉલો’, ‘ખાંડણાં’, ‘હિંદોલા’, ‘આરતી’, ‘વાણી’ એવાં નામ ધરાવતી કૃતિઓ પણ મળે છે. દુહા-સોરઠા અને ચોપાઈબંધમાં રચાયેલાં આ કીર્તનોમાં જૈન સ્તવનની પદ્ધતિ હોવાનું નોંધાયું છે. કૃતિ : ૧. ઉદાધર્મપંચરત્નમાલા, પ્ર. સ્વામી જગદીશચંદ્ર યદુનાથ, ઈ.૧૯૬૮ (ત્રીજી આ.) (+સં.); ૨. ઉદાધર્મ ભજનસાગર, પ્ર. દ્વારકાદાસ ક. પટેલ, ઈ.૧૯૨૬ (+સં.);  ૩. જીવણવાણી, વ. ૧, અં. ૨, ૩, ૬, ૮, ૯, ૧૨ તથા વ. ૨, અં. ૧, ૪, ૬, ૭-‘કલ્યાણની કેડી’ અંતર્ગત ‘ગરુવા ગણપતિનો રાસ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ: ૨; ૩. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨;  ૪. જીવણવાણી, વ. ૧ અં. ૧-‘અધ્યારુજીની ‘વાણી’નો ભાવાર્થ’, યદુનાથ જગન્નાથ સ્વામી; ૫. સ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૭- ‘ગુજરાતીનો સંત કવિ પંડિત ધનરાજ અધ્વર્યુ અને તેનાં પદ’, કાન્તિકુમાર ભટ્ટ. [ચ.શે.]

ધનવિજય : આ નામે ‘હરિષેણશ્રીષેણ-રાસ’, હરિસાધુચરિત ‘કર્પુરપ્રકરણ’ પર સ્તબક તથા ‘જીવાભિગમ-ટબો’ એ કૃતિઓ મળે છે તેમાંથી બન્ને સ્તબકોના કર્તા ધનવિજય-૨ હોવાની શક્યતા છે પણ એ વિશે કશું નિશ્ચિત કહી શકાય નહીં. સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જેસલમેર કે જૈનભંડારો કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચિ’, અગરચંદ નાહટા;  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. લીંહસૂચી.[વ.દ.]

ધનવિજય-૧ [ઈ.૧૬મી સદી મધ્યભાગ]) તપગચ્છના જૈન સાધુ. વિમલહર્ષ-આણંદવિજયશિષ્ય. વિજયદાનસૂરિના આચાર્યકાળ (ઈ.૧૫૩૧થી ઈ.૧૫૬૬)માં રચાયેલી ૧૩ કડીની ‘ઉપશમની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : જિસ્તકાસંદોહ : ૧. [વ.દ.]

ધનવિજય-૨ (વાચક) [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં ઉપાધ્યાય કલ્યાણવિજયના શિષ્ય. આ ધનવિજય તે હીરવિજયસૂરિ પાસે ઈ.૧૫૭૫માં દીક્ષિત અને ‘સૂરિસચિવ’ તરીકે ઓળખાવાયેલા ધનવિજય જ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. એ ધનવિજયે અકબરબાદશાહ પાસે પક્ષીઓને મુક્ત કરાવ્યાં હતાં અને મેડતાના જૈન વિહારો પરનો મુસ્લિમ શાસકોનો કર દૂર કરાવ્યો હતો. વાચક ધનવિજયે ‘કર્મગ્રંથ-બાલાવબોધ’ (ર. ઈ.૧૬૪૪/સં. ૧૭૦૦, મહા સુદ વીરગણમિતિ) ‘લોકનાલિકા દ્વાત્રિંશિકા-સ્તબક’ (ર. ઈ.૧૬૬૩) તથા ૭ કડીની ‘વિજયસેનસૂરિ-સઝાય’ (મુ.)ની રચના કરી છે. એમણે સંસ્કૃતમાં ૧૦૮ કડીની ‘ધર્મોપદેશલેશઆભાણશતક’ (ર. ઈ.૧૬૪૩)ની રચના કરી છે અને કેટલાંક સંસ્કૃતગ્રંથોનું સંશોધન કર્યું છે, જેમાં ‘કલ્પસૂત્રદીપિકા’નું સંશોધન ઈ.૧૬૨૫માં કર્યું હોવાની માહિતી નોંધાયેલી છે. કૃતિ : ઐસામાલા : ૧. સંદર્ભ : જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪ હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]

ધનવિમલ(ગણિ) : આ નામે શાલિભદ્ર-ભાસ (લે.ઈ.૧૬૪૪) મળે છે તેના કર્તા કયા ધનવિમલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [વ.દ.]

ધનવિમલ(ગણિ)-૧ [ઈ.૧૬મી સદી] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૧૪ ઈ.૧૫૪૦)-વિજયદાનસૂરિ(આચાર્યકાળ ઈ.૧૫૩૧થી ઈ.૧૫૬૬)ના શિષ્ય. આ કવિને નામે સર્વપાર્શ્વનાથતીર્થોનાં નામોને સમાવતું ૨૧ કડીનું ‘(ફલવર્ધિ) પાર્શ્વનાથ-સ્તવન/પાર્શ્વનાથનામગર્ભિત-સ્તવન’ (મુ.), ૩૯ કડીનું ‘ચંદ્રપ્રભજિન-સ્તવન’, ૩૩ કડીનું ‘(વરકાણા) પાર્શ્વનાથ-સ્તવન’, ૨૭ કડીનું (‘મેડતામંડન) ધર્માનાથ-સ્તવન,’ ૨૬ કડીએ અપૂર્ણ ‘ચોવીસ તીર્થંકર-સ્તવન’ વગેરે અનેક તીર્થ-તીર્થંકરવિષયક સ્તવનો-સ્તુતિઓ મળે છે, જેમાં પાર્શ્વનાથવિષયક સ્તવનોની પ્રચુરતા ધ્યાન ખેંચે છે. કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ : ૨. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]

ધનવિમલ-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિનયવિમલના શિષ્ય વિશાલસોમસૂરિ (ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ)ના રાજ્યકાળમાં રચાયેલા ‘પ્રજ્ઞાપનાસૂત્ર-બાલાવબોધ’ના કર્તા. જુઓ વિનયવિમલશિષ્ય. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [વ.દ.]

ધનાસર(પાઠક) [ઈ.૧૪૭૭માં હયાત] : ઉપકેશગચ્છના જૈન સાધુ. ૧૨૮ કડીના ‘ઉપકેશગચ્છ ઊએસા-રાસ/ઉપકેશગચ્છસારાંશ’ (ર. ઈ.૧૪૭૭/સં. ૧૫૩૩, આસો સુદ ૧૦ના કર્તા. સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧;  ૨. રાહસૂચી : ૨. [કી.જો.]

ધનસિંહ [                ] : જૈન. ‘ગૌતમસ્વામી-રાસ’ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો.]

ધનહર્ષ : આ નામે ૨૩ કડીની ‘સતી સીતાની સઝાય’ (મુ.), ૧૩ કડીની ‘સીતા-સઝાય’, ૨૦ કડીની ‘સીતાસતીમોચનવિષયે રાવણ મંદોદરી-હિતવાક્ય-સઝાય’, ૭૭ કડીનું ‘મહાવીર જિન-સ્તવન’, ૧૧ કડીની ‘સર્વાર્થસિદ્ધવિમાનની સઝાય’(મુ.), ૭ કડીની ‘વિજયદેવસૂરી-સઝાય’ તથા અન્ય સઝાયો અને તીર્થંકર-સ્તવનો મળે છે, તેના કર્તા ધનહર્ષ-૧ હોવાનો સંભવ છે. પણ તે નિશ્ચિત થતું નથી. કૃતિ : જિસ્તકાસંદોહ : ૧. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાનસૂચિ : ૧. [વ.દ.]

ધનહર્ષ-૧/સુધનહર્ષ [ઈ.૧૬૨૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિશિષ્ય ધર્મવિજયના શિષ્ય. ૧૩ ઢાળના ‘જંબુદ્વીપવિચાર-સ્તવન’ (ર. ઈ.૧૬૨૧/સં. ૧૬૭૭, પોષ સુદ ૧૩, રવિવાર), ‘તીર્થમાલા’ (ર. ઈ.૧૬૨૩૫ ? / ૧૬૮૧ ? - “ઇશાંવક વસુ દર્શન માહવનારી”, કારતક/ભાદરવા સુદ ૫, રવિવાર), ‘દેવકુરુક્ષેત્ર-વિચાર-સ્તવન’, ૯૪ કડીના ‘મંદોદરી-રાવણ-સંવાદ’ (ર. ઈ.૧૫૫૬?/સં. ૧૬૧૨ ? - “મહાસેન વદના હિમકર હરિ”, મહા/ચૈત્ર સુદ ૩, રવિવાર), કેટલીક હરિયાળીઓ (૧૧ મુ.), ૬ કડીની ‘સનત્કુમાર ચક્રવર્તીની સઝાય(મુ.) તથા અન્ય સ્તવન-સઝાયના કર્તા. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. જૈનયુગ, જેઠ ૧૯૮૨-‘સુધન હર્ષકૃત હરિયાલીઓ’, સં. તંત્રી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [વ.દ.]

ધના(ભગત)/ધનો/ધનોજી [ઈ.૧૯૦૩ સુધીમાં] : “રામબાણ વાગ્યાં હોય તે જાણે’(૧૮૫)’ એ અત્યંત પ્રસિદ્ધ પદ(મુ.), અલખઆરાધનાનું ૧ પદ(મુ.), પ્રભુ-મહિમાનું ૧ અન્ય પદ(મુ.) વગેરે પદો અને ‘માતાજીની હમચી’ (લે. ઈ.૧૯૦૩)ના કર્તા. કૃતિ : ૧ નકાદોહન; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. ભસાસિંધુ. સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.]

ધનુ(મુનિ): ‘મહાવીર-છાહુલી’(મુ.)ના કર્તા. કૃતિ : અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૨. [જ.ગા.]

ધનેશ્વર [                ] : ૩૬ અધ્યાયે અધૂરા મળતા ‘શિવપુરાણ’ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]

‘ધન્નાશાલિભદ્ર-ચોપાઈ’ [ર. ઈ.૧૬૧૮/સં. ૧૬૭૪, કારતક સુદ ૧૫ કે માગસર-૧૦] : જયસોમશિષ્ય ગુણવિનયની ૬૧ ઢાળ અને ૧૨૨૬ કડીની આ કૃતિ મુખ્યત્વે દેશીબદ્ધ છે અને દુહાનો ક્વચિત જ ઉપયોગ કરે છે. એમાં, જૈન સંપ્રદાયમાં અત્યંત લોકપ્રિય, રિદ્ધિમત્તા અને વૈરાગ્યના દૃષ્ટાંત રૂપ શાલિભદ્ર અને ધન્ના-સાળા બનેવી-નું વૃત્તાંત ગૂંથાયેલું છે ને ધન્નાએ પોતાના ભાઈઓની અદેખાઈ છતાં પોતાના બુદ્ધિચાતુર્ય અને ઉદારતાથી ઉત્તરોત્તર કેવી રીતે ધનસમૃદ્ધિ ને પત્નીઓ મેળવી તેની રસિક કથા કહેવાયેલી છે. જિનકીર્તિસૂરિવિરચિત ‘દાનકલ્પદ્રુમ’ તથા જ્ઞાનસાગરગણિવિરચિત ‘ધન્યકુમારચરિત્ર’ના આધારે રચાયેલી આ કૃતિમાં કવિએ ‘દાનકલ્પદ્રુમ’ના દરેક પલ્લવની કથા પૂરી થતાં એનો સ્પષ્ટ નામનિર્દેશ કર્યો છે. ‘દાનકલ્પદ્રુમ’થી સવિસ્તર જણાતી આ કૃતિ ‘ધન્યચરિત્ર’ને મુકાબલે સંક્ષિપ્ત છે, કેમકે અહીં પૂર્વભવોની કથાઓ તથા આડકથાઓ ને અન્ય કેટલાક કથાંશો પણ છોડી દેવામાં આવ્યાં છે, વર્ણનોમાં સંક્ષેપનો આશ્રય લેવામાં આવ્યો છે અને કથાનિરૂપણમાં પણ ત્વરિતતા છે. આમ છતાં આ કૃતિમાં ગુણવિનયના કવિત્વનો ઉત્તમ પરિચય થાય છે. એમાં ગંગાદેવીનું શૃંગારરસિક ચિત્ર, કંજૂસ શેઠ અને મદોન્મત્ત હાથીનાં વર્ણનો જેવાં રસસ્થાનો છે, મૌલિક અલંકારરચનાઓ છે, વર્ણવિન્યાસ,પ્રાસ વગેરેનું ચાતુર્ય છે, હિંદી-રાજસ્થાનીનો પ્રભાવ દર્શાવતી, સંસ્કૃત પદાવલિનો વિનિયોગ કરતી, કોઈકોઈ વાર ફારસી શબ્દોને વણી લેતી (ને એ રીતે કવિનો મોગલ દરબાર સાથેનો સંપર્ક સૂચવતી) અને તળપદાં રૂઢિપ્રયોગો-કહેવતોથી અસરકારક બનતી સમૃદ્ધ બાની છે. તથા સમાસરચનાઓને કારણે આવેલી અભિવ્યક્તિની સઘનતા છે. આધારભૂત કૃતિઓમાંથી પોતે લીધેલાં સંસ્કૃત-પ્રાકૃત સુભાષિતોના કવિએ ગુજરાતી અનુવાદો આપ્યા છે, તે ઉપરાંત તેમની પાસેથી પણ કેટલાંક સુભાષિતો આપણને મળે છે. આટલી લાંબી કૃતિમાં કોઈ પણ દેશી ભાગ્યે જ બે વાર પ્રયોજાયેલી મળે છે, તે રીતે આ કૃતિ ગેયતાની દૃષ્ટિએ ઘણી સમૃદ્ધ પ્રતીત થાય છે. કવિ ધર્મતત્ત્વનું સીધું નિરૂપણ ઓછું કરે છે એ પણ એક નોંધપાત્ર બાબત છે. આ કૃતિને કવિના પાંડિત્યનો પાસ લાગેલો હોવાથી તે થોડી કઠિન બની છે ને તેથી એ ખાસ લોકપ્રિય બનેલી નથી, પરંતુ ગુણવિનયની સર્વ રાસકૃતિઓમાં આ સૌથી સમર્થ રાસકૃતિ છે. કવિએ કારતક ૧૫ને દિવસે “લિખીયઉ પુસ્તકિ સ્વસ્તિ કરઉ તે” ને માગશર ૧૦ના દિવસે “પરકાસ્યઉ સુંદર શ્રી ખરતર સંઘ આગઇજી” એવો નિર્દેશ કર્યો છે તેથી કૃતિ કારતક સુદ ૧૫ના દિવસે પૂરી કરી માગસર ૧૦ના દિવસે સંઘ આગળ મૂકી એવો અર્થ થાય તેમ જ કારતક ૧૫ને દિવસે ગ્રંથલેખનનો આરંભ કર્યો અને માગશર ૧૦ના રોજ એ પૂરું કર્યું એવો અર્થ પણ થાય. [જ.કો.]

‘ધન્નાશાલિભદ્ર-રાસ’ [ર.ઈ.૧૭૩૪/સં. ૧૭૯૯, શ્રાવણ સુદ ૧૦, ગુરુવાર] : હિતવિજ્યશિષ્ય જિનવિજ્યકૃત ૪ ઉલ્લાસ ને ૮૫ ઢાળની આ કૃતિ(મુ.) જિનકીર્તિસૂરિની સંસ્કૃત કૃતિ ‘દાનકલ્પદ્રુમ/ધન્ના-ચરિત્ર’ને આધારે રચાયેલી છે. એમાં બુદ્ધિબળે રાજા શ્રેણીકના મંત્રી બનતા ને શાલિભદ્રની બહેન સુભદ્રા સાથે લગ્ન કરતા વણિક પુત્ર ધન્નાનું ચરિત્ર વીગતે આલેખાયું છે. જીવન પરથી મન ઊઠી જવા છતાં માતા અને પત્નીઓના આગ્રહને કારણે ક્રમશ: સંસાર છોડવાના શાલિભદ્રના નિર્ણયનો ઉપહાસ કરતો ધન્ના પત્નીના સામા ટોણાથી તરત જ સંસારત્યાગ કરી દીક્ષા ધારણ કરે છે ને એ સાંભળતાં શાલિભદ્ર પણ સંસાર ત્યજી દે છે એવા મૂળ કથાકેન્દ્રને કવિએ અહીં વિસ્તાર્યું છે. આ રાસમાં ધન્નાની ઉદારતા, એની બુદ્ધિશક્તિ ને એના અનેકવિધ ઉત્કર્ષો વધુ વિસ્તારથી ને ઘણી જગાએ એક જ પ્રકારની વીગતોના પુનરાવર્તનથી વર્ણવાયા છે. કૃતિમાં ઘણી આડકથાઓ પણ છે જે કથાને રંજક બનાવે છે. કથાની વચ્ચેવચ્ચે આવતાં બહુપ્રચલિત બોધક-પ્રેરક સંસ્કૃત સુભાષિતો, મારવાડી છાંટવાળી ભાષા, ક્યાંક પ્રાસાનુરાગી બનતી શૈલી ને વિવિધ દેશીઓનો વિનિયોગ કૃતિની વિશેષતાઓ છે.[ર.સો.]

ધરમસી [ઈ.૧૬૪૯માં હયાત] : ‘રણછોડજીનો કાગળ’ (ર.ઈ.૧૬૪૯) નામક કૃતિના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]

ધર્મ(સૂરિ) : આ નામે ૮ કડીની ‘સમેતશિખરતીર્થ-નમસ્કાર’ એ કૃતિ મળે છે તેના કર્તા કયા ધર્મ છે તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [ચ.શે.]

ધર્મ-૧ [ઈ.૧૨૧૦માં હયાત] : જૈન સાધુ. મહેન્દ્રસૂરિના શિષ્ય. આ મહેન્દ્રસૂરિ (જ.ઈ.૧૧૭૨-અવ. ઈ.૧૨૫૩) અંચલગચ્છના ધર્મઘોષસૂરિના શિષ્ય હોવાનું અનુમાન થયું છે. ૪૧ કડીના ૫ ઠવણિમાં મુખ્યત્વે રોળાબંધમાં રચાયેલા તેમના ‘જંબુસ્વામી-ચરિત્ર’ (ર.ઈ.૧૨૧૦; મુ.)માં જંબુસ્વામીના શિવકુમાર તથા જંબુસ્વામી તરીકેના ૨ ભવની કથા કહી સંયમદીક્ષાનો મહિમા ગાવામાં આવ્યો છે. ૪૭ કડીનો ‘સ્થૂલિભદ્ર-રાસ’ તથા ૪૨ કડીની ‘સુભદ્રાસતી-ચતુષ્પદિકા’ કાવ્યાંતે ‘ધમ્મુ’ શબ્દ ગૂંથે છે તેને શ્લેષથી કર્તાનામનો વાચક ગણીએ અને આ ત્રણેય કૃતિઓ એક જ પ્રતમાંથી મળે છે ને ભાષાસ્વરૂપની સમાનતા દર્શાવે છે તે લક્ષમાં લઈએ તો આ બંને કૃતિઓ ઉપર્યુક્ત કવિની જ રચનાઓ હોવાનો તર્ક કરી શકાય. કૃતિ : ૧. આર્યકલ્યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯ - ‘જંબુસ્વામીચરિય-એક અપભ્રંશકાવ્યની સમીક્ષા’; ૨. પ્રાગૂકાસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. મરાસસાહિત્ય;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. મુપુગૂહસૂચી. [ચ.શે.]

ધર્મ-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. પંડિત સુમતિચંદ્રના શિષ્ય. વિજ્યદેવસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૦૦થી ૧૬૫૭) મારવાડમાં આવ્યા ત્યારે તેમના થયેલા સ્વાગતનું વર્ણન કરતી ૧૩ કડીની ‘વિજ્યદેવસૂરિ-સઝાય’ (લે. ઈ.૧૬૪૨; મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧. [ચ.શે.]

ધર્મ-૩ [ઈ.૧૮૩૯ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં રત્નવિજ્યના શિષ્ય. એમનું ૪ ઢાળનું ‘જિન પ્રતિમા-સ્થાપનગર્ભિત-શંખેશ્વરપાર્શ્વનાથ-સ્ત્વન’ (લે. ઈ.૧૮૩૯; મુ.) મુદ્રિત પાઠમાં તેમ જ હસ્તપ્રતયાદીમાં વચ્ચેની થોડીક ગુરુપરંપરા જુદી બતાવે છે. માત્ર ‘ધર્મ’ નામછાપ ધરાવતી આ કૃતિ ધર્મવિજ્યને નામે તથા ભૂલથી રત્નવિજ્યને નામે પણ નોંધાયેલી છે. કવિએ આ ઉપરાંત ૧૧ કડીની ‘બે-ઇન્દ્રિય જીવોની ઉત્પત્તિની સઝાય’ (મુ.) રચી છે. કૃતિ : પ્રવિસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]

ધર્મકલશ [ઈ.૧૩૨૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિ-જિનકુશલસૂરિના શિષ્ય. તેમનો, પાટણમાં ઈ.૧૩૨૧માં (સં. ૧૩૭૭, જેઠ વદ ૧૧)માં જિનકુશલસૂરિનો પટ્ટાભિષેક થયેલો તેના મહોત્સવનું વર્ણન કરતો, વસ્તુ, રોળા, દોહરા વગેરે છંદની ૩૮ કડીનો ‘જિનકુશલસૂરિપટ્ટાભિષેક-રાસ’ (મુ.) તેમાંની વર્ણનછટા તથા ‘ગુજરાત’ શબ્દના ઉલ્લેખને કારણે નોંધપાત્ર બને છે. કૃતિ એ પ્રસંગે જ રચાયેલી હોય એવું લાગે છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ(+સં.) સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [ચ.શે.]

ધર્મકીર્તિ : આ નામે ‘લોકનાલિકાદ્વાત્રિંશિકા-સ્તબક’ (લે.ઈ.૧૮૬૩) મળે છે. આ ધર્મકીર્તિ કયા તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : લીંહસૂચી. [ચ.શે.]

ધર્મકીર્તિ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ઉપાધ્યાય ધર્મનિધાનના શિષ્ય. સાધુ-સમાચારી-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૧૩/સં. ૧૬૬૯, મહા સુદ ૪), ૧૪ ઢાળ અને ૯૨ કડીના ‘ચતુર્વિંશતિજિન-ચોવીસબોલ(વૃદ્ધ)-સ્તવન’ (ર.ઈ.૧૬૧૮/સં. ૧૬૭૪, ભાદરવા સુદ ૧૫, શુક્રવાર), ૭૧ કડીના ‘નેમિ-રાસ’ (ર.ઈ.૧૬૧૯/સં. ૧૬૭૫, ફાગણ સુદ ૫, રવિવાર), ઈ.૧૬૨૫ સુધીનાં જિનસાગરસૂરિનાં દીક્ષા-વિહારાદિની માહિતી આપતા ૧૦૨ કડીના ‘જિનસાગરસૂરિ-રાસ’ (ર.ઈ.૧૬૨૫/સં. ૧૬૧૮, પોપ વદ ૫; મુ.), ‘મૃગાંક-પદમાવતી-ચોપાઈ’, ‘સત્તરિસય-બાલાવબોધ’ તથા અન્ય અનેક સ્તવનોના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. આલિસ્ટાઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી. {{Right|[ચ.શે.]

ધર્મચંદ્ર : આ નામે ૪૭ કડીનું ‘મોહરાજનું ભાવ-ગીત’ (લે.ઈ.૧૭૦૫), ૨૧ કડીની ‘રાજિમતી-સઝાય’ (લે.ઈ.૧૮૧૩), ૧૯ કડીનું ‘માહવીર-સ્તોત્ર’ (લે.ઈ.સં. ૧૮મી સદી અનુ.), ‘શ્રાદ્ધદિન કૃત્યપ્રકરણ-સ્તબક’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા દિવાળી, સિદ્ધિગિરિ, પંચતીર્થ, સિદ્ધચક્ર, ઋષભનાથ, ધર્મનાથ, વીરપ્રભુ, શંખેશ્વર, સંભવજિન આદિનાં સ્તવનો, હોરીઓ વગેરે (કેટલાંક મુ.) મળે છે, જેમાંનાં કેટલાંક હિન્દી યા હિન્દીમિશ્ર ગુજરાતીમાં પણ રચાયેલાં છે. કેટલાંક હોરીઓ-પદોમાં ભાવનું મધુરકોમળ નિરૂપણ તથા શબ્દલયનું પ્રભુત્વ ધ્યાનાર્હ છે. આ ધર્મચંદ્ર કયા તે સ્પષ્ટ થતું નથી. ૧૪ કડીનો ‘ઢૂંઢકઝઘડાવિચાર’ (ર.ઈ.૧૮૨૪) ધર્મચંદ્ર-૧ની કૃતિ હોવાનું નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈકાસંગ્રહ ૪. જૈરસંગ્રહ; ૫. દેસ્તસંગ્રહ; ૬. શંસ્તવનાવલી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]

ધર્મચંદ્ર-૧ [ઈ.૧૮૪૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદયાસૂરિની પરંપરામાં ખુશાલવિજ્ય અને કલ્યાણચંદ્રના શિષ્ય. ૧૨ ઢાળ અને ૧૪૯ કડીની દેશી દુહાબદ્ધ ‘નંદીશ્વરદ્વીપ-પૂજા’ (ર.ઈ.૧૮૪૦/સં. ૧૮૯૬, ભાદરવા સુદ ૪; મુ.)ના કર્તા. કૃતિ : ૧. વિવિધ પૂજા સંગ્રહ : ૧થી ૧૧, પ્ર. જસવંતલાલ ગી. શાહ-; ૨. વિવિધ પૂજા સંગ્રહ : ૧, પ્ર. ભીમસિંહ માણેક સં. ૧૯૫૪; ૩. વિસ્નાપૂજાસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [ચ.શે.]

ધર્મદત્ત : જુઓ ચંદ્રનાથ.

ધર્મદાસ : આ નામે ૧૩ કડીની ચોપાઈની દેશીમાં રચાયેલી ‘ચૌદ જીવસ્થાનની સઝાય’ (મુ.), ૧૦ કડીની ‘સાત વારની સઝાય’ (લે.સં. ૧૯મી સદી અનુ.; મુ.), ૭ કડીની ‘સાધુસંગત-સઝાય’ (લે.ઈ.૧૮૧૩) અને ૧ હિન્દી પદ (મુ.) મળે છે. આ કૃતિઓના કર્તા કયા ધર્મદાસ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. જૈકાસંગ્રહ; ૨. જૈસમાલા (શા) : ૨; ૩. જૈસસંગ્રહ (ન.); ૪. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]

ધર્મદાસ-૧  [ઈ.૧૫૯૬માં હયાત] : લોકાંગચ્છના જૈન સાધુ. સંભવત: વરસિંહના શિષ્ય. બુરાશિષ્ય શામલજી અને જીવરાજના સાંનિધ્યમાં કૃતિ રચ્યાનો ઉલ્લેખ હોવાથી ભૂલથી જીવરાજશિષ્ય માની લેવાયા છે. એમણે ‘જસવંતમુનિનો રાસ’ (ર.ઈ.૧૫૯૬/સં. ૧૬૫૨, ભાદરવા વદ ૧૦)ની રચના કરી છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ચ.શે.]

ધર્મદાસ-૨ [ઈ.૧૬મી સદી] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સમરચંદ્ર (દીક્ષાકાળ ઈ.૧૫૧૯-ઈ.૧૫૭૦)ના શિષ્ય. ‘ભક્તામરસ્તોત્ર’ પરના સ્તબક તથા ૬ કડીની ‘વૈરાગ્ય-સઝાય’ના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ચ.શે.]

ધર્મદાસ-૩ [ઈ.૧૬૨૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિના શિષ્ય. સુરતમાં જેની પ્રતિષ્ઠા થયેલી તે હીરવિહારનું વર્ણન કરતા, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા, ૬૧ કડીના ‘હીરવિહાર-સ્તવન’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, જેઠ સુદ ૧૫; મુ.)ના કર્તા. કૃતિ : ૧. સૂર્યપુર રાસમાળા, સં. કેસરીચંદ્ર હી. ઝવેરી, ઈ.૧૯૪૦;  ૨. જૈન સત્યપ્રકાશ, ઑગસ્ટ-ઑક્ટો. ૧૯૩૬- ‘હીરાવિજ્ય સ્તવ’, સં. વિદ્યાવિજ્યજી. [ચ.શે.]

ધર્મદાસ-૪ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ગુજરાતી લોંકાગચ્છના કુંવરજીપક્ષના જૈન સાધુ. શ્રીમલ્લજીશિષ્ય રત્નસિંહના શિષ્ય. ૫૩ કડીના નેમિજિન-સ્તવન-રાગમાળા’ (ર.ઈ.૧૬૨૬)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચ.શે.]

ધર્મદાસ-૫ [ઈ.૧૭૪૪માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ઋષિ ધર્મદાસશિષ્ય મૂલચંદશિષ્ય. જો કે, કૃતિમાં કવિનામનો નિર્દેશ થોડો સંદિગ્ધ છે અને એ નિર્દેશ કવિના પ્રગુરુનો જ હોય એવો વહેમ જાય છે. જો એમ હોય તો કવિ ઋષિ મૂલચંદજીના કોઈ અજ્ઞાતનામા શિષ્ય ઠરે. એમણે ૧૮ ઢાળની ‘અઢાર પાપસ્થાનકની સઝાય’ (ર.ઈ.૧૭૪૪/સં. ૧૮૦૦; ભાદરવા વદ ૧૦, બુધવાર) રચેલી છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ચ.શે.]

ધર્મદેવ(ગણિ)-૧ [ઈ.૧૪૫૯માં હયાત] : જૈન સાધુ. કીર્તિરત્નની પરંપરામાં ક્ષાંતિરત્નના શિષ્ય. ‘ષષ્ટિશતક’ પરની તપોરત્ન-ઉપાધ્યાયની ટીકા પર આધારિત બાલાવબોધ (ર.ઈ.૧૪૫૯)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]

ધર્મદેવ(પંડિત)-૨ [ઈ.૧૫મી સદી અંત-ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. ગુણધીરસૂરિની પરંપરામાં સૌભાગ્યરત્નસૂરિના શિષ્ય. ૨૮૪ કડીના ‘હરિશ્ચંદ્રરાજાનો રાસ’ (ર.ઈ.૧૪૯૮/સં. ૧૫૫૪, આસો સુદ ૬), ૩૮૨ કડીના ‘અજાપુત્ર-રાસ’ (ર.ઈ.૧૫૦૫) તથા ૧૧૦ કડીના ‘વ્રજ (વયર) સ્વામીનો રાસ’ (ર.ઈ.૧૫૦૭)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨, ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી. [કી.જો.]

ધર્મનરેન્દ્ર [                ] : જૈન સાધુ. ૩૪ કડીની ‘અવન્તીસુકુમાલમુનિ-સઝાય/ઢાળ’ (લે.સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. રાહસૂચી : ૧; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

ધર્મપ્રભ(સૂરિ) [                ] : જૈન સાધુ. ૧૬ કડીની ‘ચતુર્વિંશતિતીર્થંકર-કલશ’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

ધર્મભૂષણ [ઈ.૧૭૦૩ સુધીમાં] : દિગંબરગચ્છના જૈન સાધુ. દેવેન્દ્રકીર્તિની પરંપરામાં ધર્મચંદ્રના શિષ્ય. ‘ચંપકવતી-ચોપાઈ/ શીલપતાકા-ચોપાઈ’ (લે.ઈ.૧૭૦૩)ના કર્તા. ઈ.૧૫૪૮માં હયાત દેવેન્દ્રકીર્તિના આ પ્રશિષ્ય હોય તો એમનો સમય ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ ગણાય. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]

ધર્મમંદિર(ગણિ) [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં વાચક દયાકુશલના શિષ્ય. એમણે ઈ.૧૬૫૯માં એક પ્રત લખી હોવાની માહિતી મળે છે. એમણે જયશેખરસૂરિકૃત સંસ્કૃત કૃતિ પરથી રચેલ ૬ ખંડ અને ૭૬ ઢાળના ‘પ્રબોધચિંતામણિ/મોહવિવેકનો રાસ’ (ર.ઈ.૧૬૮૫/સં. ૧૭૪૧, માગશર સુદ ૧૦; મુ.)માં કથા અને ધર્મવિચારના વિસ્તૃત અને સ્ફૂટ નિરૂપણથી લોકભોગ્યતા સિદ્ધ થયેલી છે. ૪ ખંડ, ૬૫ ઢાળ અને ૧૨૦૦ કડીની ‘મુનિપતિ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૬૯), ‘જંબૂ-રાસ’ (ર.ઈ.૧૬૭૩, ‘દયા-દીપિકા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૪), ૨ ખંડ અને ૩૨ ઢાળની ‘પરમાત્મપ્રકાશ/જ્ઞાનસુધા તરંગિણી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૬/સં.૧૭૪૨, કારતક સુદ ૫, ગુરુવાર), ૪ ઢાળની ‘નવકાર-રાસ’ (*મુ.) તથા ‘આત્મપદપ્રકાશ-રાસ’ એ કવિની અન્ય રાસાત્મક કૃતિઓ છે. આ સઘળી કૃતિઓ કવિનું વલણ વિશેષપણે ધર્મતત્ત્વવિચાર તરફનું હોય એવું બતાવે છે. આ ઉપરાંત આ કવિએ ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ બૃહત્-સ્તવન’ (ર.ઈ.૧૬૬૭/સં.૧૭૨૩, ચૈત્ર સુદ ૧૫), ૧૭ કડીનું ‘જગવલ્લભ પાર્શ્વનાથ-બૃહત્ સ્તવન’ (ર.ઈ.૧૬૬૮), ‘ચોમાસી વ્યાખ્યાન’ તથા તીર્થ-તીર્થંકરવિષયક સ્તવન, ભાસ, ગીત વગેરે પ્રકારની લઘુકૃતિઓ રચેલ છે. કૃતિ : ૧. જૈન કથારત્નકોષ : ૩. પ્ર. ભીમસિંહ માણક, ઈ.૧૮૯૦; ૨. જૈન કાવ્યદોહન, મનસુખલાલ ર. મેહતા, ઈ.૧૯૧૩; ૩. * રત્નસમુચ્ય; ૪. રાજૈકામાળા : ૧. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી. [ચ.શે.]

ધર્મમૂર્તિ(સૂરિ) [જ. ઈ.૧૫૨૯/સં. ૧૫૮૫ પોષ સુદ ૮ અવ. ઈ.૧૬૧૪/સં. ૧૬૭૦, ચૈત્ર સુદ ૧૫] : અંચલગચ્છના જૈન સાધુ. ગુણનિધાનસૂરિના શિષ્ય. મૂળ નામ ધર્મદાસ. ખંભાતના વતની. પિતા હંસરાજ. માતા હાંસલદે. નાગડાગોત્ર. જ્ઞાતિ શ્રીમાળી કે ઓશવાલ. દીક્ષા ઈ.૧૫૪૩માં, સૂરિપદ તથા ગચ્છનાયકપદ ઈ.૧૫૪૬માં. ઈ.૧૫૭૩માં યુગપ્રધાનની પદવી. ઉગ્ર ત્યાગી એ કિયોદ્ધાર કરનાર આ આચાર્યે સમેતશિખરની ત્રણ વાર યાત્રા સાથે વ્યાપક વિહારો કર્યા હતા અને અનેક મૂર્તિપ્રતિષ્ઠાઓ કરી હતી. અવસાન અણહિલપુર-પાટણ કે પ્રભાસપાટણ. અવસાનવર્ષ ઈ.૧૬૧૩ અને ઈ.૧૬૧૫ પણ નોંધાયેલ છે. એમણે રચેલ ૧૫ કડીનું ‘ગોડીજી પાર્શ્વનાથગીત’ (મુ.) તથા ૪૫ કડીનું ‘નિર્વાણ-ઝુંબક’ મળે છે. તે ઉપરાંત ‘વિધિ-રાસ’ એમની કૃતિ હોવાનો તર્ક થયો છે, જે ચર્ચાસ્પદ છે. સંસ્કૃતમાં એમણે ‘ષડાવશ્યક-વૃત્તિ’, ‘ગુણસ્થાન-ક્રમારોહબૃહદવૃત્તિ’, ‘અંચલગચ્છ-પટાવલી’ (ર.ઈ.૧૫૬૧) વગેરે ગ્રંથો રચેલા હોવાની માહિતી મળે છે. કૃતિ : આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ. સં. કલાપ્રભસાગરજી, સં.૨૦૩૯ (+સં.). સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮; ૨. જૈગૂકવિઓ : ૨-‘જૈનગચ્છોની ગુરુ-પટ્ટાવલીઓ’;  ૩. ડિકૅટલૉગભાવિ. [કી.જો.]

ધર્મમૂર્તિસૂરિશિષ્ય : જુઓ ‘વિધિ-રાસ’.

ધર્મમેરુ : આ નામે ચંદ્રસૂરિના પ્રાકૃત ગ્રંથ ‘સંગ્રહણી-પ્રકરણ’ પરનો ૪૦૦ ગ્રંથાગ્રનો સ્તબક (લે.ઈ.૧૮૩૫) મળે છે તે કયા ધર્મમેરુ છે તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચ.શે.]

ધર્મમેરુ-૧ [ઈ.૧૫૪૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પરંપરામાં ચરણધર્મના શિષ્ય. ‘સુખદુ:ખવિપાક-સંધિ’ (ર.ઈ.૧૫૪૮)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ચ.શે.]

ધર્મરત્ન-૨ [ઈ.૧૭૯૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ભાવરત્નની પરંપરામાં સુબુધિરત્નના શિષ્ય ‘ધન્ય-ચરિત્ર’ પર ગદ્યમાં બાલાવબોધ (ર.ઈ.૧૭૯૩)ના કર્તા. સંદર્ભ : જૈસાઇતિહાસ.[ચ.શે.]

ધર્મરુચિ [ઈ.૧૫૦૫માં હયાત] : ઉપકેશગચ્છના જૈન સાધુ. સિદ્ધસૂરિની પરંપરામાં ધર્મહંસના શિષ્ય. ‘અજાપુત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૫/સં. ૧૫૬૧, વૈશાખ સુદ ૫, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]

ધર્મવર્ધન(ઉપાધ્યાય) : જુઓ ધર્મસિંહ-૪.

ધર્મવિજ્ય-૧ [ઈ.૧૬૫૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં ચારિત્રવિજ્યના શિષ્ય. ૫ ઢાળ અને ૧૦૯ કડીના ‘સીમંધરજિન-લેખપદ્ધતિ-સ્તવન’ (ર.ઈ.૧૬૫૬)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચ.શે.]

ધર્મવિજ્ય-૨ [ઈ.૧૮૫૭ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં રત્નવિજ્યના શિષ્ય. ૪ ઢાળના ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૮૫૭)ના કર્તા. કૃતિ ભૂલથી રત્નવિજ્યને નામે નોંધાયેલી પણ મળે છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચ.શે.]

ધર્મવિજ્ય(વાચક)-૩ [                ] : જૈન સાધુ. ‘ચતુ:શરણપ્રકીર્ણક-સ્તબક’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ગુસાપઅહેવાલ : ૨૦ ‘ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજ્યનું ભાષણ’નું પરિશિષ્ટ. [ચ.શે.]

ધર્મસમુદ્ર(વાચક) [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસાગરસૂરિની પરંપરામાં વિવેકસિંહના શિષ્ય. એમણે મહાકવિ કાલિદાસકૃત ‘અભિજ્ઞાનશાકુન્તલ’ નાટકના કથાવસ્તુને આધારે દુહા તથા વસ્તુછંદ તેમ જ વિવિધ દેશીઓની ૯ ઢાળ અને ૧૦૪ કડીમાં ‘શકુન્તલા-રાસ’ (મુ.)ની રચના કરી છે. જૈન ધર્મના કર્મ અને અહિંસાના સિદ્ધાંત વણી લેવાથી તેમ જ અન્ય રીતે મૂળ કથાથી કેટલાક નાનકડા ફેરફાર આ કૃતિ દર્શાવે છે. જેમ કે શકુન્તલાએ દુર્વાસાને નહીં ઓળખ્યાથી જ એની અવગણના કરીને શાપ વહોર્યો એવી ઘટના અહીં દુષ્યંતના આગમન પહેલાં જ બની ગયેલી વર્ણવાઈ છે. સામાન્ય રીતે ઝડપથી કથાપ્રસંગ કહી જતી આ કૃતિમાં દુષ્યંતના દરબારમાં શકુન્તલા રજૂ થાય છે તે પ્રસંગ થોડીક નિરાંતથી આલેખાયો છે અને દુષ્યંત-શકુન્તલાના મનોભાવોને ઘૂંટીને વાચા આપવાનો પ્રયત્ન થયો છે. વિવિધ ઢાળો પરત્વે ઝાબટા, સામેરી, સોરઠી, જયમાલા, સિંધુઆ, ધુરિલી વગેરે રાગોનો ઉલ્લેખ મળે છે એ નોંધપાત્ર છે. આ ઉપરાંત કવિએ ૩૩૭/૪૩૮ કડીની ‘સુમિત્રકુમાર-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૫૧૧), ૫૩૦ કડીની ‘પ્રભાકર ગુણાકાર-ચોપાઈ’ (ર. ઈ.૧૫૧૭), ૧૪૩ કડીની ‘કુલધ્વજકુમારરાસ, (ર.ઈ.૧૫૨૮), ૩૩ કડીની ‘અવંતિસુકુમાલ-રાસ/સઝાય આશરે ૨૬૧ કડીની ‘જયસેન-ચોપાઈ/રાસ/રાત્રિભોજન-રાસ’, ૨૦૨ કડીની ‘ધર્મદત્ત-ચોપાઈ’, ૧૦૭ કડીની ‘સુદર્શન-ચોપાઈ’ તથા ૫ કડીની ‘હરિયાળી’ (મુ.) એ રચનાઓ પણ કરી છે. કૃતિ : ૧. જૈનયુગ, કરતક-માગશર ૧૯૮૩-‘હરિયાલી’; ૨. જૈન સાહિત્ય સંશોધક, અશ્વિન, સં. ૧૯૮૪-‘ધર્મસમુદ્રકૃત શકુન્તલારાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. જૈમગૂકરચનાએં : ૧; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

ધર્મસાગર(સૂરિ)-૧ [ઈ.૧૫૫૮માં હયાત] : પીંપલગચ્છના જૈન સાધુ. શાંતિસૂરિની પરંપરામાં પદ્મતિલકના શિષ્ય. ૧૧૯ કડીના ‘મહાવીરચરિત્ર-સ્તવન (કલ્પસૂત્ર સંક્ષેપ)’ (ર.ઈ.૧૫૫૮)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

ધર્મસાગર(ઉપાધ્યાય)-૨ [ ] : ‘સુરતનગરમાં આંચલિક આચાર્યને પૂછેલા બત્રીસ પ્રશ્નોનો વિચાર’ (લે.સં.૧૮મી સદી અનુ.) એ નામની એમની જે કૃતિ મળે છે તેમાં અંચલમતનું ખંડન અને તપગચ્છનું સમર્થન છે. આથી આ કૃતિ તપગચ્છના મહોપાધ્યાય ધર્મસાગર (ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ-અવ. ઈ.૧૫૯૭/સં. ૧૬૫૩, કારતક સુદ ૯)ની હોવા સંભવ છે. આ ધર્મસાગર પ્રખર સ્વસંપ્રદાયી હતા અને એમણે બીજા ગચ્છોનું ઉગ્ર ખંડન કરતા ગ્રંથો સંસ્કૃતમાં રચ્યા છે, તેથી ‘દ્વાત્રિંશત્પ્રશ્નવિચાર’ એવું અપરનામ ધરાવતી આ કૃતિ મૂળ સંસ્કૃતમાં હોય અને એનો આ કોઈ અજ્ઞાતકર્તૃક અનુવાદ હોય એમ પણ બને. આ ધર્મસાગર લાડોલના ઓસવાલ હતા. ઈ.૧૫૩૯માં તેમણે ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. વિજ્યદાનસૂરિ પાસે અભ્યાસ કરનાર અને અનેક વાદવિવાદો કરનાર આ ઉપાધ્યાયને જુદા જુદા ગચ્છના આચાર્યોએ જિનશાસનથી બહિષ્કૃત કર્યા હતા. ઈ.૧૫૬૫માં તેમણે માફી માગી ગચ્છશાસન સ્વીકાર્યું હતું અને ઈ.૧૫૯૦માં હીરવિજ્યસૂરિના બારબોલમાં એમણે સંમતિ આપી હતી. તેમનું અવસાન ખંભાતમાં થયું હતું. ‘પ્રવચનપરીક્ષા’ (ર.ઈ.૧૫૭૩), ‘ગુર્વાવલિ/પટ્ટાવલિ’, ‘સર્વજ્ઞ શતક્સવૃત્તિ’, ‘તત્ત્વતરંગિણી’ તેમ જ અન્ય કેટલાક ગ્રંથોની વૃત્તિઓ, ‘ઇરિયાપથિકા-ષટત્રિંશિકા’ વગેરે અનેક કૃતિઓ તેમણે સંસ્કૃતમાં રચી છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી.[કી.જો.]

ધર્મસાગરશિષ્ય [ઈ.૧૫૯૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. જીવર્ષિગણિના શિષ્ય મહોપાધ્યાય ધર્મસાગરગણિના શિષ્ય. ‘ધર્મસાગરનિર્વાણ-રાસ’ (ર.ઈ.૧૫૯૭)ના કર્તા. સંદર્ભ : જૈસાઇતિહાસ. [કી.જો.]

ધર્મસિંહ : આ નામે ૯ કડીની ‘બત્રીસસૂત્રનામ-ગર્ભિત-સઝાય’, ‘દશાર્ણભદ્રરાજર્ષિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૩), ૪૫ કડીની ‘મેઘકુમાર-બારમાસ’ (લે.સં.૧૯મી સદી અનુ.), ‘સર્વાર્થસિદ્ધિ-સઝાય’ ૯ કડીની ‘સાત વ્યસનોની સઝાય’ (મુ.), “સુકુલીણી સુંદરી” શબ્દોથી શરૂ થતું કાવ્ય, ‘ધર્મસિંહમુનિ/મુનિવર’ની છાપથી ૧૯ કડીની ‘દેવકીના છ પુત્રની સઝાય/ષટ સાધુની સઝાય’ (મુ.), ૭ કડીનો ‘પાંસઠિયા યંત્રનો છંદ’ (મુ.), ૫ કડીનો ‘મહાવીર સ્વામીનો છંદ’(મુ.), ૬ કડીની ‘સામયિકલાભ-સઝાય/પ્રતિક્રમણ-સઝાય’(મુ.) તથા ૭ કડીની ‘ચોવીસ જિનવરનો છંદ’ (મુ.) આ કૃતિઓ મળે છે તેના કર્તા કયા ધર્મસિંહ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈન સ્વાધ્યાય મંગળમાલા સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૩. જ્ઞાનાવલિ; ૪. પ્રાચીન છંદ ગુણાવલિ : ૧, સં. મુનિ ગુણસુંદરજી(ગંભીરમલજી), સં. ૧૯૮૩. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી.[ચ.શે.]

ધર્મસિંહ(ગણિ)-૧/ધર્મસી [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. આનંદવિમલસૂરિ (અવ. ઈ.૧૫૪૦)ના શિષ્ય. ‘દિવાળી-રાસ’ તથા ‘શનિશ્વરવિક્રમ-રાસ’ના કર્તા. સંદર્ભ : ૧. જેસલમેર જૈન ભાંડાગારીય ગ્રંથાનાં સૂચિપત્રમ્, સં. સી. ડી. દલાલ, ઈ.૧૯૨૩;  ૨. જૈગૂકવિઓ : ૧. [ચ.શે.]

ધર્મસિંહ-૨/ધર્મસી [ઈ.૧૬૩૬માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ઋષિ નાકરના શિષ્ય દેવજીના શિષ્ય. ૨૫ ઢાળના ‘શિવજી આચાર્ય-રાસ/મોહનવેલિ-રાસ’ (ર.ઈ.૧૬૩૬/સં. ૧૬૯૨, શ્રાવણ સુદ ૧૫)ના કર્તા. એમને નામે ૪૫ કડીની ‘શ્રીરત્નગુરુની જોડ’(મુ.) મળે છે તેમાં ગુરુ રતનસીએ દીક્ષા લેતાં પૂર્વે પોતાની વિવાહિત પત્ની સાથે કરેલો સંવાદ સુંદર રીતે આલેખાયો છે. કાવ્યના અંતમાં શિવજી પોતાના ભાઈઓ સાથે ગુરુ રતનસી પાસે આવ્યા એવી હકીકત આવે છે અને દસમી ઢાળનો ઉલ્લેખ આવે છે. તે પરથી આ કાવ્ય ‘શિવજી આચાર્ય-રાસ’ની ૧ ઢાળ હોય એવો સંભવ જણાય છે. કૃતિ : ૧. જૈસમાલા(શા.) : ૩; ૨. જૈસસંગ્રહ(જૈ.); ૩. સજઝાયમાલા(શ્રા.) : ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ચ.શે.]

ધર્મસિંહ-૩/ધર્મસી [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ-અવ. ઈ.૧૬૭૨] : લોંકાગચ્છના જૈન સાધુ. જામનગરના દશા શ્રીમાળી વણિક. પિતા જિનદાસ, માતા શિવબાઈ.૧૫ વર્ષની ઉંમરે રત્નસિંહશિષ્ય દેવજી પાસે દીક્ષા. પછીથી શિવજી-ઋષિની આજ્ઞામાં રહ્યા જણાય છે. શાસ્ત્રાભ્યાસી એવા આ મુનિને ગુરુ સાથે મતભેદ થતાં ઈ.૧૬૨૯માં એમણે અમદાવાદમાં પુન:દીક્ષા લઈ દરિયાપુરી નામનો નવો સંપ્રદાય સ્થાપ્યો. એમણે ૨૭ સૂત્રો પર બાલાવબોધો રચ્યા હોવાની માહિતી મળે છે. તે ઉપરાંત, એમને નામે ‘સમવયાંગ’, ‘વ્યવહાર’ અને ‘સૂત્રસમાધિ’ની હૂંડી, ‘ભગવતી’, ‘પન્નવણા’, ‘ઠાણાંગ’, ‘રાયપસેણી’, ‘જીવાભિગમ’, ‘જંબૂદ્વીપ-પન્નત્તિ, ‘ચંદપન્નત્તિ અને ‘સૂર્યપન્નત્તિ’ એ સૂત્રોના યંત્રો ‘દ્રૌપદી’ તથા ‘સામાયિક’ની ચર્ચા તથા ‘સાધુસમાચારી’ એ કૃતિઓ પણ નોંધાયેલી છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨) - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’; ૨. જૈનધર્મનો પ્રાચીન સંક્ષિપ્ત ઇતિહાસ અને પ્રભુવીર પટ્ટાવલી, મુનિશ્રી મણીલાલજી, ઈ.૧૯૩૫; ૩. જૈસાઇતિહાસ;  ૪. જૈગૂકવિઓ : ૩(૨). [ચ.શે.]

ધર્મસિંહ(ઉપાધ્યાય)-૪/ધર્મવર્ધન/ધર્મસી [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છની જિનભદ્રસૂરિની શાખાના જૈન સાધુ. ઉપાધ્યાય સાધુકીર્તિની પરંપરામાં વિજ્યહર્ષના શિષ્ય. જન્મનામ ધરમસી. ઈ.૧૬૬૩માં કવિ પોતાને ૧૯ વર્ષના ગણાવે છે તેથી જન્મ ઈ.૧૬૪૪ના અરસામાં. સંભવત: મારવાડના વતની. દીક્ષા ઈ.૧૬૫૭. દીક્ષાનામ ધર્મવર્ધન. વ્યાકરણ કાવ્ય, ન્યાય અને જૈનાગમના અભ્યાસી, ઈ.૧૬૮૪માં ઉપાધ્યાયપદ અને ત્યાર પછી મહોપાધ્યાયપદ. જિનસુખસૂરિ અને જિનભક્તિસૂરિ એ બંને ગચ્છનાયકોને એમણે વિદ્યાધ્યયન કરાવ્યું હતું અને જિનભક્તિસૂરિ પાટે આવ્યા ત્યારે તે ૧૦ વર્ષના હતા તેથી ધર્મવર્ધને ગચ્છવ્યવસ્થા સંભાળેલી. તેમનાં કેટલાંક કાવ્યો રાજસ્થાનના રાજવીઓ સાથેનો તેમનો સંબંધ બતાવે છે અને બીકાનેરના મહારાજા સુજાનસિંહે તેમની પ્રશંસા કરતો પત્ર લખેલો. કવિએ રાજસ્થાન ઉપરાંત ગુજરાતમાં પણ વિહાર કર્યો હતો. ઈ.૧૭૩૬માં બીકાનેરમાં તેમની છત્રી ઊભી કરવામાં આવી હતી તેથી એ પૂર્વે ત્યાં એમનું અવસાન થયું હોવાનું માની શકાય. પ્રાસાનુપ્રાસ, ઝડઝમક, ચિત્રબંધો, અમુક પ્રકારના વર્ણોથી કરેલી રચના, કૂટ સમસ્યા, ગર્ભિત નિરૂપણ અને સભારંજની છંદોની કુશળતા બતાવતા આ કવિની કૃતિઓની ભાષામાં ગુજરાતી, રાજસ્થાની અને હિન્દીનાં લક્ષણો મિશ્ર થયેલાં છે તેમાંથી મુખ્યત્વે ગુજરાતી ભાષાની ગણી શકાય તેવી કૃતિઓ આ મુજબ છે - ‘શ્રીમતી-ચોઢાળિયા’ (મુ.), ૬ ઢાળ અને ૯૬ કડીની ‘દશાર્ણભદ્રરાજર્ષિ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૧; મુ.) એ કથાત્મક કૃતિઓ; શીલમહિમા ગાતી ૬૪ કડીની ‘શીલ-રાસ’ (મુ.) તથા ૨૫ કડીની ‘શ્રાવકકરણી’(મુ.) એ બોધાત્મક કૃતિઓ, ૨૯ કડીની ‘ચોવીસ જિનઅંતરકાલદેહાયુ-સ્તવન’ (ર.ઈ.૧૬૬૯; મુ.), ૩૪ કડીની ‘ચૌદગુણસ્થાનક-સ્તવન’ (ર.ઈ.૧૬૭૩/સં. ૧૭૨૯, શ્રાવણ વદ ૧૧; મુ.), ૪. ઢાળ અને ૩૩ કડીની ‘ચોવીસ દંડકવિચારગર્ભિત-સ્તવન’ (ર.ઈ.૧૬૭૩/સં.૧૭૨૯, આસો વદ ૩૦ (મુ.), ૩ ઢાળ અને ૨૬ કડીની ‘અઢીદ્વીપ-વીસ-વિહરમાનજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૭૩; મુ.), ૨૨ કડીનું ‘અલ્પબહુત્વવિચાર-ગર્ભિતમહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૭૧૬; મુ.), ૨૮ કડીનું ‘પિસ્તાલીસ આગમસંખ્યાગર્ભિત-વીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૧૭; મુ.) અને ૨૮ કડીનું ‘ત્રિગડા-સ્તવન/સમવસરણ વિચરગર્ભિત-સ્તવન’(મુ.) વગેરે સ્તવનો અને સઝાયો. મુખ્યત્વે રાજસ્થાની ભાષાની ગણી શકાય એવી કૃતિઓમાં સ્વભાવ, અન્ન, કપૂત વગેરે વિષયો પરના વિચારો દર્શાવતી ૫૭ કડીની ‘પ્રાસ્તાવિકકુંડલિયા-બાવની’ (ર.ઈ.૧૬૭૮; મુ.) તથા એ જ રીતની ‘પ્રાસ્તાવિક છપ્પય-બાવની’ (ર.ઈ.૧૬૯૭/સં.૧૭૫૩, શ્રાવણ સુદ ૧૩; મુ.) એ વર્ણમાળા પર આધારિત માતૃકા-પ્રકારની કૃતિઓ, ‘દૃષ્ટાંત-છત્રીસી’(મુ.) તથા ૩૬ કડીની ‘સવાસો શીખ’(મુ.) એ અન્ય ઉપદેશાત્મક કૃતિઓ તેમ જ ૨૨ કડીની ‘(ભુલેવા)ઋષભદેવ-છંદ’ (ર.ઈ.૧૭૦૪/સં.૧૭૬૦, વૈશાખ સુદ ૮; મુ.) વગેરેનો સમાવેશ થાય છે. મુખ્યત્વે હિન્દી ગણી શકાય એવી કૃતિઓમાં ૫૭ કડીની ‘ધર્મભાવના-બાવની’ (ર.ઈ.૧૬૬૯/સં.૧૭૨૫, કારતક વદ ૯, સોમવાર; મુ.) એ માતૃકા-પ્રકારની કૃતિ, ૨૧ કડીની ‘ડંભક્રિયા-ચોપાઈ/વૈદક વિદ્યા’ (ર.ઈ.૧૬૮૪/સં.૧૭૪૦, આસો સુદ ૧૦; મુ.), વિવિધ રાગનો નિર્દેશ ધરાવતી અને ભાવપ્રવણ ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૧૫;મુ.), ગુણપ્રશસ્તિમૂલક અને રચનાચાતુર્ય દર્શાવતી ૨૫ કડીની ‘ચોવીસ જિન-સવૈયા’(મુ.), ૧૬ કડીની ‘નેમિ રાજુલ-બારમાસ’(મુ.), ઉપદેશનાં પદો તથા ધમાલ વગેરે પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. રાજસ્થાની તેમ જ હિન્દીમાં ‘નિશાણી’ નામક ઉપદેશાત્મક કૃતિઓ(મુ.) તેમ જ શિવાજી, વીર દુર્ગાદાસ, કેટલાક સમકાલીન રાજવીઓ તથા પોતાના ગુરુઓ વિશેનાં કવિતો અને ગીતો(મુ.) કવિએ રચ્યાં છે. તે ઉપરાંત ગુજરાતી, રાજસ્થાની તેમ જ હિન્દીમાં દીપક, મેઘ, દુકાળ, પ્રભાત, માંકણ અને અનેક ઉપદેશાત્મક વિષયો વિશેની લઘુકૃતિઓ (મુ.), સમસ્યાઓ (મુ.) વગેરે કવિ પાસેથી મળે છે. ૨૯ કડીની ‘અષ્ટભય-નિવારક-ગોડીપાર્શ્વનાથ-છંદ’(મુ.) અને ૯ કડીની ‘ગોલછોંકી સતી દાદીકા કવિત્ત’ (મુ.) એ ચારણી ડિંગળશૈલીની રચનાઓ છે. ૪ કડીની ‘પરિહાં-બત્રીસી/અક્ષર-બત્રીસી’ (ર.ઈ.૧૬૭૯;મુ.) એ કક્કાપ્રકારની રચના તથા ૧૪ કડીની ‘નેમરાજુલ-બારમાસ’(મુ.)ની ભાષા મિશ્ર પ્રકારની છે. આ સિવાય કેટલીક અમુદ્રિત કૃતિઓ નોંધાયેલી છે તેની ભાષા વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે : ૩૨ ઢાળ અને ૭૩૧ કડીની ‘શ્રેણિક ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૩), ૫૫૫ ગ્રંથાગ્રની ‘અમરસેન વયરસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૮), ૪ ખંડ, ૩૯ ઢાળ અને ૬૩૨ કડીની ‘અમરકુમાર સુરસુંદરી-રાસ’ (ર.ઈ.૧૬૮૦/સં. ૧૭૩૬, શ્રાવણ સુદ ૧૫), ૧૪૮ કડીની ‘શનિશ્વરવિક્રમ-ચોપાઈ’ અને ૨૪ તીર્થંકરો વિશેનાં ૨૪ ગીતો. એ નોંધપાત્ર છે કે કવિએ સિંધી ભાષામાં પણ કેટલાંક સ્તવનો રચ્યાં છે તેમ જ સંસ્કૃતના તો એ પ્રૌઢ વિદ્વાન છે. સંસ્કૃતમાં તેમણે સ્વોપજ્ઞવૃત્તિ સહિત ૪૫ કડીનું ‘ભક્તામર-સ્તોત્રસમશ્યારૂપ વીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૮૦) તથા પોતાના ગુરુઓ વિશેનાં સ્તોત્રો-સ્તવનોની રચના કરેલ છે જેમાંનાં કેટલાંક સમસ્યાગર્ભિત પણ છે. કૃતિ : ૧. ધર્મવર્ધન ગ્રન્થાવલી, સં. અગરચંદ નાહટા, સં. ૨૦૧૭ (+સં.);  ૨. અરત્નસાર; ૩. ઐજૈકાસંગ્રહ; ૪. ચૈસ્તસંગ્રહ : ૩; ૫. જિભપ્રકાશ;  ૬. રાજસ્થાન ભારતી, ડિસે. ૧૯૬૭-‘કવિવર ધર્મવર્ધનકૃત ગોલછોંકી સતી દાદીકા કવિત્ત’ સં. ભંવરલાલ નાહટા. સંદર્ભ : ૧. હિસ્ટરી ઑવ રાજસ્થાની લિટરેચર, (અં.), હીરાલાલ મહેશ્વરી, ઈ.૧૯૮૦;  ૨. *રાજસ્થાન, ભાદ્રપદ ૧૯૯૩-‘રાજસ્થાની સાહિત્ય ઔર જૈન કવિ ધર્મવર્ધન,’ અંગરચંદ નાહટા;  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. ૪. જૈહાપ્રોસ્ટા; ૫. મુપુગૂહસૂચી; ૬. લીંહસૂચી; ૭ હૈજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]

ધર્મસુંદર (વાચક) [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : ઉપકેશગચ્છના જૈન સાધુ. કક્કસૂરિના શિષ્ય. આંદોલા, ફાગ, રાસક અને ‘કાવ્યં’ નામથી સંસ્કૃત વૃત્તોને ગૂંથતા ૧૭૨/૧૭૪ કડીના ‘નેમીશ્વર બાલલીલા-ફાગ’ (ર.ઈ.૧૪૩૮ મુ.)માં ‘કાવ્યં’ની કેટલીક કડીઓ સંસ્કૃતમાં છે તથા ફાગમાં આંતરયમકનો આશ્રય લેવાયો છે. નેમિનાથના સમગ્ર ચરિત્રનું કથન કરતા આ ફાગુકાવ્યમાં પરંપરાગત અલંકારછટાથી રૂપ, વસંતક્રીડા, વરયાત્રા વગેરેનાં વિસ્તૃત વર્ણનો થયેલાં છે. આ ઉપરાંત આ કવિએ ‘શ્રીપાલ પ્રબંધ-ચોપાઈ’ (ર.ઈ.૧૪૪૮/સં.૧૫૦૪, આસો -) પણ રચેલ છે. કૃતિ : ૧. સંબોધિ, જુલાઈ ૧૯૭૫-‘ધર્મસુંદરકૃત નેમીશ્વર બાલલીલા ફાગ’, સં. કનુભાઈ વ્ર. શેઠ (+સં.); ૨. સામીપ્ય એપ્રિલ ૧૯૮૪-‘ધર્મસુંદર કૃત નેમીશ્વર બાલલીલા ફાગ (સં. ૧૪૯૪)’, સં. ભોગીલાલ જ. સાંડેસરા (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ચ.શે.]

ધર્મહંસ : આ નામે ૧૯ કડીની ‘જયવલ્લભસૂરિ-સઝાય’ મળે છે તે કયા ધર્મહંસની છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]

ધર્મહંસ-૧ [ઈ.૧૫૯૩ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. જ્ઞાનરત્નસૂરિ શિષ્ય હેમરત્નના શિષ્ય. ૯ ઢાળ અને ૫૫/૫૯ કડીની ‘શિયળ-નવવાડ સ્વરૂપ-સઝાય’ (લે.ઈ.૧૫૯૩)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [ચ.શે.]

ધર્મહંસ-૨ [ઈ.૧૬મી સદી] : આગમગચ્છના જૈન સાધુ. વિવેકરત્નસૂરિશિષ્ય-સંયમરત્નસૂરિના શિષ્ય. સંયમરત્નસૂરિનો જન્મ ઈ.૧૫૩૯ નોંધાયો છે પણ તેમના પ્રતિમાલેખો આદિના ઉલ્લેખો ઈ.૧૫૨૪થી ઈ.૧૫૫૭ સુધીના મળે છે. ૨૬ કડીની ‘સંયમરત્નસૂરિ-સ્તુતિ ગુરુવેલિ-સઝાય’ (મુ.)માં કવિએ એમની પ્રશસ્તિ કરેલી છે. કૃતિ : જૈઐકાસંચય (+સં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨) જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]

ધારવો/ધારુ [ઈ.૧૬મી સદી] : નિજિયાપંથ/મહાપંથના સંતકવિ. જ્ઞાતિએ મેઘવાળ (ચમાર). ભજનોમાં માલદેવ અને રૂપાંદેના ગુરુ તરીકે એમનો નિર્દેશ મળે છે. આ માલદેવ જોધપુરના સાધુચરિત રાવળ માલદેવ (રાજ્યકાળ ઈ.૧૫૩૨થી ઈ.૧૫૭૩) હોવાનું સંભવતિ છે. એ રીતે ધારુ રાજસ્થાની સંત હોવાનું નક્કી થાય છે. પરંતુ રાણી રૂપાંદે વઢવાણના રાજપૂતની પુત્રી હતાં અને પોતાની સાથે પોતાના ગુરુને જોધપુર લઈ ગયાં હતાં એવી કથા પણ મળે છે. એ રીતે ધારુ સૌરાષ્ટ્રના સંત ઠરે. પરંતુ આ કથા પ્રમાણભૂત જણાતી નથી. આ સંતનું ગામ માલજાળ હોવાનું પણ નોંધાયું છે. ‘મેઘ ધારવો’ ‘મેઘ ધારુ’ એવી નામછાપથી મળતી આ કવિની કૃતિઓમાં ૬૧ કડીનું ‘રૂપાંદેનું વાયક/રૂપાંદે-માલાજીનું ભજન (મુ.) ગુરુનો આદેશ (વાયક) આવતાં બધાં બંધનો છોડીને ચાલી નીકળતાં રૂપાંદેની તથા ક્રોધાવિષ્ટ થઈને તેમની પાછળ પડેલા અને અંતે ગુરુનો આશ્રય સ્વીકારતા માલદેવની ચમત્કારભરી કથા વર્ણવે છે. કવિની અન્ય કૃતિઓમાં પ્રહલાદ વગેરેએ કરેલા ૪ યજ્ઞનું વર્ણન કરી યુગપરિવર્તનને આલેખતા ‘આગમનું ભજન’(મુ.) તથા નિજ્યિાપંથી પરિભાષામાં અધ્યાત્મબોધ આપતા ૧ પદ(મુ.)નો સમાવેશ થાય છે. કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭ - ‘મેઘ ધારુનું આગમ’; ૨. બૃહત્ સંતસમાજ ભજનાવળી પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ. ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૩. ભજનસાગર : ૨. પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૯. સંદર્ભ : ૧. જેસલ તોરલ, ગોસ્વામી મોહનપુરી, ઈ.૧૯૭૭; ૨. સોરઠી સ્ત્રી સંતો, કાલિદાસ મહારાજ, સં. ૨૦૧૪. [કી.જો.]

ધીણુ [                ] : એમના ૬૦ કડીના ‘ચોપાઈ ફાગુ’ (લે.સં.૧૬મી સદી અનુ; મુ.)માં અંતે “ધીણુ ઊપમ કેહી કહઈ” એવી પંક્તિને કારણે ધીણુ કર્તાનામ હોવાનો તર્ક થયો છે તે ઉપરાંત કૃતિ અજ્ઞાતકર્તૃક પણ લેખાયેલી છે. વૃક્ષયાદીને સમાવી લેતું વસંતવર્ણન તથા સ્ત્રીઓનાં અંગસૌન્દર્ય અને વસ્ત્રાભૂષણોનું વર્ણન વિસ્તારથી આપતી આ કૃતિમાં પુરુષોનું પણ શણગારવર્ણન થયેલું છે અને કાવ્યને છેડે ચૈત્રથી ફાગણ સુધીની સંયોગશૃંગારની બારમાસી ગૂંથી લેવામાં આવી છે તે નોંધપાત્ર છે. કૃતિ : પ્રાફાસંગ્રહ (+સં.). સંદર્ભ : ગુસારસ્વતો. [કી.જો.]

ધીર: આ નામે ૪ સુભાષિત (લે.ઈ.૧૬૬૮) મળે છે તેના કર્તા કયા ધીર - છે તે નક્કી થઈ શકે તેમ નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

ધીરચંદ્ર [                ] : જૈન. ૪ કડીની ‘શત્રુંજ્યની સ્તુતિ’ (લે.સં. ૧૯મી સદી અનુ.; મુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ. [કી.જો.]

ધીરવિજ્ય : આ નામે ૯ કડીની ‘અક્ષયનિધિતપનું ચૈત્યવંદન’ (મુ.), ‘મૌનએકાદશી-કથાનક’ (ર.ઈ.૧૭૧૮), ૧૭ કડીની ‘સચિત્તઅચિત્તવિચાર’ અને યશોવિજ્યના ‘સીમંધર-સ્તવન’ પરનો બાલાવબોધ (લે.ઈ.૧૭૯૦) એ કૃતિઓ મળે છે પણ એ કયા ધીરવિજ્યની છે તે નક્કી થતું નથી. ‘મૌન એકાદશી-કથાનક’ તે કદાચ ધીરવિજ્ય-૨નો ‘મૌન એકાદશી-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૨૮) હોય ને ર.ઈ.માં કંઈ ભૂલ થઈ હોય. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]

ધીરવિજ્ય-૧ [ઈ.૧૬૭૧ પહેલાં] : તપગચ્છના જૈન સાધુ. ઋષિવિજ્યની પરંપરામાં કુંવરવિજ્યના શિષ્ય. ‘ચોવીસી’ (લે.ઈ.૧૬૭૧)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી. [ર.સો.]

ધીરવિજ્ય-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાણંદસૂરિની પરંપરામાં હંસવિજ્યના શિષ્ય. સુરતના પારેખ વનમાળીદાસે ઈ.૧૭૦૦માં કાઢેલા શત્રુંજ્યના સંઘનું વર્ણન કરતા ૧૭ કડીના ‘શત્રુંજ્યમંડન-આદીશ્વરજિન-સ્તવન’ (મુ.), ૪ ઢાળ અને ૫૧ કડીના ‘ત્રિભુવન-સ્તવન/શાશ્વત-જિન-તીર્થમાલા-સ્તવન’ (ર.ઈ.૧૭૧૯/સં.૧૭૭૫, આસો વદ ૩૦; મુ.), ૪ કડીની ‘રોહિણીતપની સ્તુતિ’ (મુ.), ૭ કડીની ‘જન્મનમસ્કાર’ (મુ.), ૧૬ કડીની ‘અતીતઅનાગત-વર્તમાનજિનચોવીસી-સ્તવન’, ૨૧ કડીના ‘વાર્ષિકમહાપર્વ-ચૈત્યવંદન’, ‘મૌનએકાદશી-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૨૮) તથા ‘જ્ઞાનપંચમી-સ્તબક’ના કર્તા.‘વાર્ષિકમહાપર્વ-ચૈત્યવંદન’ તથા ‘જ્ઞાનપંચમી-સ્તબક’ ભૂલથી કુંવરવિજ્યશિષ્ય ધીરવિજ્યને નામે મુકાયેલી છે અને ત્યાં ‘જ્ઞાનપંચમી-સ્તબક’ની ખોટી ર.સં.૧૬૬૫ પણ નોંધાયેલી છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૨; ૨. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, સં. ૧૯૧૯; ૩. દંડકાદિ જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ, ઈ.૧૯૨૦ ૪. જૈન સત્યપ્રકાશ, મે-જૂન, ૧૯૩૯ - ‘મુનિશ્રી ધીરવિજ્યજી વિરચિત શાશ્વત તીર્થમાલા સ્તવન’, સં. મણિલાલ કેસરીચંદ. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી. [ર.સો.]

ધીરવિજ્ય-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. દીપવિજ્ય-કવિરાજ (ઈ.૧૮મી સદી અંતભાગ - ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય. એમની ૧૮/૧૯ કડીની ‘થાવચ્ચાકુમારની સઝાય’ (મુ.)માં દીક્ષા લેવા તત્પર થાવચ્ચાકુમારનાં માતા તથા પત્ની સાથેના સંવાદને અસરકારક અભિવ્યક્તિ મળી છે અને ભ્રષ્ટ પાઠને કારણે દીપવિજ્યને નામે પણ મુકાયેલી ૧૧ કડીની ‘રોટલાની સઝાય/ભાતપાણીનું પ્રભાતિયું’ (મુ.)માં વિનોદાત્મક રીતે ભોજનમહિમા વર્ણવાયો છે. કવિને નામે, આ ઉપરાંત, ૩ તીર્થંકર-સ્તવનો પણ મળે છે. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. મોસસંગ્રહ; ૩. સજઝાયમાળા (પં.);  ૪. ફાત્રૈસમાસિક, ઑક્ટો.-ડિસે. ૧૯૩૬ - ‘દીપવિજ્યજીનાં બે કાવ્ય’, સં. બેચરદાસ જી. દોશી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.સો.]

ધીરવિજ્ય-૪ [ઈ.૧૮૬૨ સુધીમાં] : જૈન સાધુ. વિજ્યસિંહસૂરિના શિષ્ય. ૯ કડીના ‘ગૌતમસ્વામીસ્તોત્ર’ (લે.ઈ.૧૮૬૨)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.સો.]

ધીરા(ભગત) [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ -અવ. ઈ.૧૮૨૫/સં.૧૮૮૧, આસો સુદ ૧૫] : જ્ઞાનમાર્ગી કવિ. વડોદરા જિલ્લાના સાવલી પાસે આવેલા ગોઠડાના વતની. જ્ઞાતિએ બ્રહ્મભટ્ટ/બારોટ. પિતા પ્રતાપ બારોટ, માતા દેવબા. બહુધા અનુશ્રુતિઓ પર આધારિત કવિની અન્ય ઉપલબ્ધ ચરિત્રમાહિતી મુજબ એમનો કુળધર્મ વૈષ્ણવ હતો પણ એમણે રામાનંદી પંથ સ્વીકારેલો. કવિ માણેકઠારી કે કાર્તિકી પૂનમે મંડળી લઈને ડાકોર જતા. કવિને શાસ્ત્રપુરાણનું જ્ઞાન ગોઠડાના જીભાઈ શાસ્ત્રી પાસેથી મળેલું પરંતુ કવિત્વ તેમ જ આત્મજ્ઞાન તો કોઈ સિદ્ધ પુરુષની કૃપાથી પ્રાપ્ત થયેલાં. ગરાસની જમીનની ઊપજ તથા લાગાની આવક આજીવિકા માટે પર્યાપ્ત હોઈ ને કવિનાં પત્ની જતનબા સ્વભાવે કંકાસી હોઈ કવિને જ્ઞાનવૈરાગ્ય ને ભજનભક્તિ તરફ વળવામાં મદદ મળી હતી. કવિ પોતાનાં પદો કાગળમાં લખી નદીમાં વાંસની ભૂંગળીમાં વહેતાં મૂકી દેતાં તેનાથી કાંઠાનાં ગામોમાં એમનાં પદોનો પ્રચાર થયેલો. ધીરાભગતના શિષ્યવર્ગમાં બાપુસાહેબ ગાયકવાડ વગેરે ઘણાનો સમાવેશ થતો હતો. તેઓએ આશરે ૭૨ વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું. ધીરાભગતના તત્ત્વવિચારમાં શાંકરવેદાન્તનું અનુસરણ છે. ‘પ્રશ્નોત્તરમાલિકા’માં યોગાદિ માર્ગોના અસ્વીકારપૂર્વક જ્ઞાનમાર્ગનો પ્રબળ પુરસ્કાર થયેલો છે. પરંતુ બીજી બાજુથી કૃષ્ણલીલાનાં ને ડાકોરના રણછોડજી તથા વડોેદરાના નૃસિંહજીની ભક્તિનાં એમનાં પદો મળે છે. એમાં ક્વચિત નિર્ગુણ વિચારધારાનો દોર અનુસ્યૂત જણાય છે પરંતુ સામાન્ય રીતે એ સગુણભક્તિની કવિતા છે. એ જ રીતે એમનાં પદોમાં અધ્યાત્મ-અનુભવનું વર્ણન યોગમાર્ગી પરિભાષાથી ને અવળવાણીના આશ્રયથી થયેલું જોવા મળે છે. એનો અર્થ એ છે કે કવિની દાર્શનિક ભૂમિકા ચુસ્તપણે અદ્વૈતવેદાંતપુરસ્કૃત જ્ઞાનમાર્ગની રહી શકી નથી. એમની આધ્યાત્મસાધનામાં ભક્તિ અને યોગનાં તત્ત્વોને પણ સમાસ મળ્યો છે. ધીરાની કૃતિઓ બહુધા ‘કાફી’ નામે ઓળખાયેલાં છૂટક પદો રૂપે કે પદોના સમુચ્ચય રૂપે રચાયેલી છે. ટેકના પ્રાસ તથા અવાંતરપ્રાસનો ને કડીસંખ્યાનો સુનિશ્ચિત રચનાબંધ ધરાવતાં આ પદો કાફી રાગમાં ગવાતાં હોવાથી આ નામાભિધાન પામ્યાં જણાય છે. ધીરાની એમાં અસાધારણ ફાવટ છે, તેથી કાફી તો ધીરાની એમ કહેવાયું છે તે યથાર્થ છે. ધીરાની કૃતિઓ બહુધા તત્ત્વવિચારાત્મક, અધ્યાત્મઅનુભવવિષયક ને ઉપદેશાત્મક છે. એ પ્રકારની દીર્ઘ કૃતિઓમાં શિષ્યગુરુની પ્રશ્નોત્તરી રૂપે ૨૧૭ કાફીઓમાં રચાયેલી ‘પ્રશ્નોત્તરમાલિકા’ (મુ.) એમાં વ્યક્ત થયેલ અદ્વૈતવેદાંતની દાર્શનિક ભૂમિકા તથા એને અનુસરતા વૈરાગ્યબોધને કારણે તથા એની થોડી પ્રસ્તારી પણ સરળ, લોકભોગ્ય, જીવંતતાભરી રજૂઆતને કારણે નોંધપાત્ર છે. કવિત્વની દૃષ્ટિએ આનાથી ચડિયાતી કૃતિ ‘સ્વરૂપની કાફીઓ’ (મુ.)  છે. ગુરુ, માયા, મન, તૃષ્ણા, લક્ષ્મી, યૌવન અને કાયા - એ ૭ પદાર્થોનું ૩૦-૩૦ કાફીઓમાં સ્વરૂપ વર્ણન કરતો આ ૨૧૦ કાફીઓનો સમુચ્ચય છે. દૃષ્ટાંતચિત્રોથી આવતી સાક્ષાત્કારતા, આત્મકથન ને ઉદ્બોધનની શૈલી તથા ચોટદાર ઉક્તિઓથી આ કૃતિ ઘણી રસાવહ બની છે. ‘જ્ઞાનબત્રીસી’(મુ.) તથા અન્ય પ્રકીર્ણ કાફીઓ (મુ.)માં બ્રહ્માનુભવ, વૈરાગ્યભક્તિબોધ ઉપરાંત મિથ્યાચાર પરના પ્રહારોનું બળકટ વાણીમાં આલેખન થયું છે. એમાં ધીરાભક્તની અનુભવમસ્તી, રૂપક તથા અવળવાણીના સમર્થ વિનિયોગથી થયેલું એ અનુભવનું પ્રત્યક્ષીકરણ તથા ધીરાભગતની અખાના જેવી ચિકિત્સાવૃત્તિ સવિશેષ ધ્યાન ખેંચે છે. ‘આત્મજ્ઞાનવિશે’(મુ.)નાં ૧૦ પદો સ્વતંત્ર કૃતિ ન હોવાનું પ્રતીત થાય છે કેમ કે એમાંનાં કેટલાંક પદો અન્ય કૃતિઓ કે પદસમૂહોમાં પણ મળે છે. ૩૧ કાફીનો ‘જ્ઞાન-કક્કો’(મુ.) તથા ૩૦ પંક્તિનો અન્ય ‘કક્કો’(મુ.) બોધાત્મક પ્રકારની રચનાઓ છે. ૧૧ પદના ‘સુરતીબાઈનો વિવાહ’(મુ.)માં મનની સુરતા (=લગની)નું અલક્ષ્યપુરુષ એટલે કે આત્મા સાથેના લગ્નનું રૂપકાશ્રયી પ્રસંગકથન છે. ધીરાની આ પ્રકારની કૃતિઓમાં ગુરુ માટેનો આદરભાવ ને ઉમળકો વ્યક્ત થાય છે તે સંતરપરંપરાનું લક્ષણ હોવા છતાં એમાં ધીરાનો વિશેષ હૃદયસ્પર્શ વરતાય છે. મતાભિમાની સાંપ્રદાયિકો પર પ્રહારો કરતી ૨૭ પદની ‘મતવાદી’, આત્મસ્વરૂપની લાક્ષણિકતાઓ વર્ણવતી ૨૭ પદની ‘આત્મબોધ’, ગુરુનાં લક્ષણની સાથે વિસ્તારથી ગુરુના જ્ઞાનોપદેશને વણી લેતી ૨૦ પદની ‘ગુરુધર્મ’ તથા શિષ્યને ગુરુસેવા વગેરેની શિખામણ આપતી ૩૦ પદની ‘શિષ્યધર્મ’ એ કૃતિઓ (બધી મુ.) કૃત્રિમ અતિરેકી પ્રાસરચના, પદ્યબંધની થોડીક વિલક્ષણતા અને સામાન્યતાને કારણે ધીરાની કૃતિઓ હોવા વિશે શંકા વ્યક્ત થયેલી છે. તેવું જ યોગવિષયક પ્રચુર માહિતી આપતી, જુદા જુદા રાગોના નિર્દેશ ધરાવતી ૫૭૯ કડીની ઢાળબદ્ધ, ‘યોગમાર્ગ’(મુ.)નું પણ છે. ‘પ્રાચીન કાવ્યમાળા : ૨૪’માં આ કૃતિઓની સાથે જ છપાયેલી, ઈશ્વરની નિસારતા અને વૈરાગ્યનો બોધ કરતી ૧૪ ગરબીઓમાં પણ કેટલીક કૃત્રિમતા નજરે પડે છે. આ સિવાય ધોળ, ગરબી, વસંત, ખ્યાલ, વાર, બારમાસ આદિ પ્રાકરો ધરાવતાં અન્ય પદો (ઘણાં મુ.) મળે છે, જે બહુધા ગુજરાતીમાં, તો થોડાંક હિંદીમાં ને કોઈક મરાઠીમાં પણ રચાયેલાં છે. પદો અધ્યાત્મ અને વૈરાગ્યવિષયક છે, તે ઉપરાંત એમનાં કૃષ્ણવિષયક શૃંગારલીલા, રાસલીલા ને ગોપીભાવનાં પણ ઘણાં પદો છે એ ખાસ નોંધપાત્ર છે. અન્યત્ર ઓજસ્વતી એવી કવિની વાણી અહીં મધુર, પ્રાસાદિક અને લાલિત્યભરી બની છે. હિંદીમાં ધીરાના ૩ કુંડળિયા મુદ્રિત મળે છે. સીધા પ્રસંગવર્ણનની ૭ પદની ‘દ્રૌપદીવસ્ત્રાહરણ’ (મુ.) તથા ૬૦ અધ્યાયે અપૂર્ણ પ્રાપ્ત ‘અશ્વમેઘ’ એ ધીરાની કથાત્મક રચનાઓ છે. કૃતિ : ૧. પ્રાકામાળા : ૨૩(+સં.), ૨૪, ૨૫;  ૨. અભમાલા; ૩. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૪. બૃકાદોહન : ૧, ૨, ૩; ૫. ભજનસાગર : ૧;  ૬. પ્રાકાત્રૈમાસિક, અં. ર. ઈ.૧૮૮૭; ૭. એજન, અં. ૩ ઈ.૧૮૮૮. સંદર્ભ : ૧. કેવલાદ્વૈત ઈન ગુજરાતી પોએટ્રી (અં.), યોગીન્દ્ર જે. ત્રિપાઠી, ઈ.૧૮૫૮; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુર્જર સાક્ષર જયંતીઓ, પ્ર. જીવનલાલ અ. મહેતા, ઈ.૧૯૨૧ - ‘ધીરો અને તેની કવિતા’, કૌશિકરામ વિ. મહેતા;  ૫. બુદ્ધિપ્રકાશ, જાન્યુ. ૧૯૨૪ - ‘નોંધ;  ૬. ગૂહાયાદી; ૭. ફૉહનામાવલિ. [ર.દ.]

ધોળા [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાતિએ મેવાડા બ્રાહ્મણ. પિતા હરિ ભટ્ટ, માતા ફુલકુંવરબાઈ.વલ્લભ (ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ)ના જોડિયા ભાઈ.અમદાવાદના વતની. તેઓ કવિતા કરતા હતા એવું નોંધાયેલું છે પરંતુ ‘ધોળા ભગત’ની નામછાપવાળી ૭ કડીની ‘અંબાજીની આરતી’ (મુ.) મળે છે અને વલ્લભની ઘણી કૃતિઓમાં ‘વલ્લભધોળા’ એવી નામછાપ મળે છે તે સિવાય ધોળાની રચનાઓ વિશે કોઈ પ્રમાણભૂત માહિતી પ્રાપ્ત નથી. કૃતિ : અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુક્સેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. વલ્લભ ભટ્ટની વાણી, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૬૨. [કી.જો.]

ધ્યાનનાથ [   ] : માર્ગીપંથના કવિ. રાણી રૂપાંદે, રાણી તારામતી, સતી તોરલ, શેઠાણી સંઘાવતી, માતા કુંતી અને સતી દ્રૌપદીનાં દૃષ્ટાંત દ્વારા એ સતી સ્ત્રીઓએ એમની સાથેના પુરુષોનો ઉદ્ધાર કેવી રીતે કર્યો એનું નિરૂપણ કરી સતીત્વનો ઉપદેશ આપતા ૧૨ કડીના ભજન(મુ.)ના કર્તા. કૃતિ : ખોજાવૃત્તાંત, સચેદીના નાનજીઆણી, ઈ.૧૮૯૨. [ર.ર.દ.]

ધ્યાનાનંદ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. તેમણે ‘ધર્મામૃત’, હરિગીતા’, ‘હરિચરિત્રામૃત’ તથા કીર્તનો રચ્યાં હોવાની માહિતી મળે છે. તેમાંથી પહેલી ૩ કૃતિઓની ભાષા વિશે સ્પષ્ટતા નથી. તે ઉપરાંત ‘હરિગીતા’ તે જ ‘હરિચરિત્રામૃત’ છે કે કેમ તેવો પણ સંશય થાય છે. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૫ - ‘સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુજરાતી સાહિત્ય’, કલ્યાણરાય ન. જોશી; ૨. મસાપ્રવાહ; ૩. સત્સંગના સંતો, પ્ર. રમણલાલ અં. ભટ્ટ, સં. ૨૦૦૯.[કી.જો.]