ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 87: Line 87:
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમૃતધર્મ_વાચક | અમૃતધર્મ(વાચક) ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમૃતધર્મ_વાચક | અમૃતધર્મ(વાચક) ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમૃતવિજય | અમૃતવિજય ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમૃતવિજય | અમૃતવિજય ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમૃતવિજય_વાચક-૧ | અમૃતવિજય(વાચક)-૧' ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમૃતવિજય-વાચક-૧ | અમૃતવિજય(વાચક)-૧' ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમૃતવિજય-૨ | અમૃતવિજય-૨ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમૃતવિજય-૨ | અમૃતવિજય-૨ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમૃતવિજય-૩ | અમૃતવિજય-૩ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમૃતવિજય-૩ | અમૃતવિજય-૩ ]]

Revision as of 10:43, 30 July 2022






અક્કલદાસ [સં.૧૮મી સદી] : રવિભાણસંપ્રદાયના સંતકવિ. ભીમસાહેબના શિષ્ય. હરિજન મેઘવાળ જ્ઞાતિના ગેડિયા બ્રાહ્મણ. ગુરુના આદેશથી થાન (જિ. સુરેન્દ્રનગર)માં સદાવ્રત ચલાવી ગરીબોની સેવા કરી હતી. સરળ ભાષામાં જ્ઞાનબોધ આપતાં ને ગુરુમહિમા કરતા ત્રણથી ૭ કડીનાં ૩ ભજનો(મુ.)ને ૧ સાખી(મુ.) તેમની પાસેથી મળ્યાં છે. કૃતિ : સૌરાષ્ટ્રના હરિજન ભક્તકવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ.૧૯૮૭ (+સં.).[શ્ર.ત્રિ.]

અખઈદાસ/અખૈયો [ઈ.૧૭૬૨ આસપાસ સુધીમાં] : ભૂતનાથ - (ઈ.૧૭૬૨ સુધીમાં)ના શિષ્ય. જ્ઞાનમાર્ગી સંતવાણીની પરંપરાનાં તેમનાં ૭ ભજનો(મુ.) તળપદી ભાષાના લાક્ષણિક બળ તેમ જ રૂપકના વિનિયોગથી ધ્યાન ખેંચે છે. તેમાંના ‘તુંબડી અને નાગરવેલનો વિવાદ’માં સંવાદશૈલીનો ઉપયોગ પણ નોંધપાત્ર છે. કૃતિ : ૧. અભમાલા; ૨. પ્રાકાસુધા : ૨; ૩. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિઆનંદ(મુનિ)-૧ક અને દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૪. ભજનસાગર : ૧; ૫. સંતવાણી. સંદર્ભ : ગૂહાયાદી. [નિ.વો.]
અખયચંદ્ર [ઈ.૧૭૦૧માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રની પરંપરામાં વિનયચંદ્રના શિષ્ય. ‘જિનસ્તવન-ચોવીસી’ (ર.ઈ.૧૭૦૧)ના કર્તા. ૧૧ કડીના ‘આત્મનિન્દાગર્ભિત પાર્શ્વનાથસ્વામીનું સ્તવન’ (મુ.) અને ૭ કડીના ‘શાન્તિનાથજિન-સ્તવન’(મુ.)ના કર્તા પણ પ્રસ્તુત અખયચંદ્ર હોવાની શક્યતા છે. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

અખંડાનંદ/અખંડ(મુનિ) [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણસંપ્રદાયના સાધુ. ભક્તિવિષયક કેટલાંક પદો(૩ મુ.)ના કર્તા. સંસ્કૃત ભાષામાં‘પુરુષોત્તમકવચ’અને ‘હરિપ્રાર્થનાષ્ટકમ્’ જેવી કૃતિઓ પણ તેમની પાસેથી મળી છે. કૃતિ : કીર્તનમુક્તાવલિ, પ્ર. બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમની સંસ્થા, ઈ.૧૯૭૮. સંદર્ભ : ગૂહાયાદી. [હ.ત્રિ.]

અખા(ભગત)/અખાજી/અખો [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. જ્ઞાતિએ સોની. કોઈ પરજિયા તો કોઈ શ્રીમાળી સોની હોવાનું કહે છે. ‘ગુરુશિષ્ય-સંવાદ’ની ઈ.૧૬૪૫માં અને ‘અખે-ગીતા’ની ઈ.૧૬૪૯માં રચના તથા ગુરુ ગોકુળનાથનું ઈ.૧૬૪૧માં અવસાન - આ પ્રમાણોને આધારે અખાનો કવનકાળ ઈ.૧૭મી સદીના પાંચમા દાયકાની આસપાસનો અને જીવનકાળ ઓછામાં ઓછો ઈ.૧૭મી સદીનો પૂર્વાર્ધ હોવાનું અનુમાની શકાય. જનશ્રુતિ અનુસાર આ કવિ અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા અને પિતાની સાથે અમદાવાદમાં આવી વસેલા. અમદાવાદમાં ખાડિયામાં દેસાઈની પોળમાં એક મકાનના ખંડને અખાના ઓરડા તરીકે ઓળખાવવામાં આવે છે. ઈ.૧૯૨૭ના અરસામાં વિદ્યમાન લલ્લુભાઈ ધોળીદાસે ન. દે. મહેતાને ઉતરાવેલા પેઢીનામા પ્રમાણે આ કવિ લલ્લુભાઈની પાંચમી પેઢીએ થયેલા ગંગારામના ભાઈ હતા અને એમના પિતાનું નામ રહિયાદાસ હતું. અખા-ભગત અને એમના બીજા ભાઈ ધમાસી નિ:સંતાન હતા. અખાએ બાળપણમાં માતા અને જુવાનીમાં પિતા, એકની એક બહેન તથા એક પછી એક ૨ પત્નીઓને ગુમાવ્યાં હતાં. વંશાનુગત સોનીનો વ્યવસાય કરતા આ કવિ કેટલોક સમય ટંકશાળના ઉપરી બન્યા હતા. ધર્મની માનેલી એક બહેને તેમની પાસે કરાવેલી કંઠીની બાબતમાં તેમના પર અવિશ્વાસ મૂક્યો તેમ જ ટંકશાળમાં એમના પર ભેળસેળનો ખોટો આરોપ મુકાયો. એથી નિર્વેદ પામી એ સંસાર છોડી તત્ત્વશોધમાં નીકળી પડ્યા. અખા વિશેની આ જનશ્રુતિઓ માટે કોઈ પ્રમાણભૂત આધારો નથી. ૨૫૦-૩૦૦ વર્ષે અખાની પાંચમી પેઢી જ હયાત હોય એ ઉમાશંકર જોશીને બંધબેસતું લાગતું નથી. સોનીના વ્યવસાય કે ટંકશાળને લગતા શબ્દો અખાની કૃતિઓમાં આવે છે ખરા, પણ બીજા ઘણા વ્યવસાયોને લગતા શબ્દો પણ અખા પાસેથી મળતા હોવાથી એમનો વ્યવસાય નક્કી કરવામાં આ પ્રમાણ કેટલું ઉપયોગી ગણાય એ વિશે અભ્યાસીઓને શંકા છે. ગોકુળનાથને ગુરુ કર્યાનો ઉલ્લેખ કવિ પોતે એક છપ્પામાં કરતા હોવાથી એ કેટલોક સમય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી હોવાનું જણાય છે. પરંતુ એનાથી એમને ઝાઝો સંતોષ થયો લાગતો નથી (“વિચાર નગુરાનો નગુરો રહ્યો” - છપ્પા, ૧૬૮). આ પછી કાશીમાં બ્રહ્માનંદ ગુરુએ અખાની તત્ત્વજિજ્ઞાસા સંતોષી એવી જનશ્રુતિ છે. અખાની કૃતિઓમાં પણ અવારનવાર ‘બ્રહ્માનંદ’ નામ મળે છે, પણ એ ગુરુનું નામ છે કે ‘બ્રહ્મનો આનંદ’ એવા અર્થનો પ્રયોગ છે એ વિશે મતભેદ પ્રવર્તે છે. જંબુસર પાસેના ક્હાનવા બંગલાના ભગવાનજી મહારાજ અખાની શિષ્યપરંપરામાં સાતમા હોવાનું બતાવતું અક્ષયવૃક્ષ મળે છે પણ ૩૦૦ જેટલાં વર્ષોમાં માત્ર ૭ ગાદીધરો થયા હોય એ વાત પણ શંકાતીત ગણાતી નથી. અખાનાં શિક્ષણ, સાધના અને અનુભવ વિશેની બીજી કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. પરંતુ ‘ગુરુશિષ્ય-સંવાદ’ના સંમતિના સંસ્કૃત શ્લોક એની સંસ્કૃતની જાણકારી અને ‘અખે-ગીતા’ના ત્રીજા કડવામાં નિર્દિષ્ટ અધ્યાત્મબોધની એતદ્દેશીય પરંપરા એમની એ વિષયની સજ્જતા બતાવે છે. અખાના ગ્રંથોમાંના નિર્દેશોના આધારે ન. દે. મહેતા અખાએ શ્રવણ દ્વારા સારી રીતે સમજેલા યોગવાસિષ્ઠાદિ ૧૦ ગ્રંથોની યાદી આપે છે. પુરાણો, જ્યોતિષ, ખગોળ, શિલ્પ, સંગીત, ખેતી, ઔષધિ વગેરે વિષયો, વિવિધ વ્યવસાયો, ખનિજો, વનસ્પતિઓ, પશુપંખીઓ લોકસમયો અને કવિસમયો - આ બધાંને દૃષ્ટાંતાદિક રૂપે પ્રચુરપણે ઉપયોગમાં લેતા આ કવિ ઐહિક જગત પરત્વે પણ બહુશ્રુત અને અસાધારણ અનુભવમૂડી ધરાવતા પ્રતીત થાય છે. ગુજરાતી ઉપરાંત હિંદીમાં સાહિત્યસર્જન, ‘ઝૂલણા’માં પંજાબીમિશ્રિત ફારસીપ્રધાન હિંદીનો વિનિયોગ તથા અન્ય કવિતામાં મારવાડી, કચ્છી વગેરે અનેક ભાષા-બોલીઓના જોવા મળતા શબ્દો અખાના વિવિધ પ્રદેશોના સીધા સંપર્કના અથવા તો એમની બહુશ્રુતતાના એક વિશેષ પ્રમાણરૂપ હોઈ શકે. અખાએ ખેડેલા સાખી જેવા કાવ્યપ્રકારો કબીર, દાદુ જેવા અખિલ ભારતીય કક્ષાના કવિઓની અસર દર્શાવે છે, તો સામે પક્ષે સિંધી લિપિમાં મળતી અખાની કૃતિઓ તથા સિંધના હંસદેવ આશ્રમ તરફથી પ્રકાશિત ગ્રંથોમાં સમાવેશ પામતાં એમનાં પદો બતાવે છે કે અખાનો ગુજરાત બહાર ભારતીય સંતપરંપરામાં સ્વીકાર થયેલો છે. ગુજરાતીમાં ઈ.૧૭મી સદીમાં બળવત્તર બનેલી જ્ઞાનમાર્ગી કવિતાધારાના અખા-ભગત સૌથી મોટા પ્રતિનિધિ છે. એકંદરે એ શંકરાચાર્યના કેવલાદ્વૈત વેદાંતને અનુસરતું તત્ત્વનિરૂપણ કરે છે, પણ એમાં ચુસ્તપણે બંધાયેલા રહેતા નથી. ગોપાલ, બુટિયા અને નરહરિની જેમ એ શંકરાચાર્યના વિવર્તવાદને સ્થાને ગૌડપાદાચાર્યના અજાતવાદને સ્વીકારે છે, એમનો બ્રહ્મવાદ સર્વાત્મવાદને તથા નિર્ગુણવાદ સગુણવાદને સમાસ આપે છે અને જ્ઞાનને એ આત્મસિદ્ધિનું શિરમોર સાધન માનતા હોવા છતાં ભક્તિ, વૈરાગ્ય અને યોગને આત્મસાધનામાં ઉચિત સ્થાન આપે છે. અંતે જતાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યને એક રૂપે પણ ઘટાવે છે. શંકરાચાર્યની જેમ એ વિરક્તને માટે સંન્યાસમાર્ગનો આગ્રહ રાખતા નથી. અખાની સર્વ કૃતિઓને તપાસતાં તેમનો તત્ત્વવિચાર કોઈ વીગતોમાં બદલાયેલો કે વિકસિત રૂપ પામેલો દેખાય છે. જેમ કે, ‘પંચીકરણ’ અને ‘ગુરુશિષ્ય-સંવાદ’માં સૃષ્ટિદૃષ્ટિવાદનો સ્વીકાર છે એટલે કે પરમેશ્વરની ઇચ્છાથી ઉત્પન્ન થયેલું જગત વ્યાવહારિક સત્તા ધરાવે છે અને જીવ એને ભિન્ન દૃષ્ટિથી જુએ છે તેથી દ્વૈત ઉત્પન્ન થાય છે એવો મત રજૂ થયો છે. ‘ચિત્તવિચાર-સંવાદ’માં દૃષ્ટિસૃષ્ટિવાદનો એટલે કે આપણા અનુભવમાં આવતું જગત આપણા ચિત્તે નામરૂપની મિથ્યા વાસનાથી ઊભું કરેલું છે એવા મતનો સ્વીકાર છે. અખાએ પોતાના ગ્રંથોમાં વેદાન્તવિચારનું પારિભાષિક નિરૂપણ કર્યું છે અને બૌદ્ધોના શૂન્યવાદ ને વેદાંતના બ્રહ્મવાદ વચ્ચેનો ભેદ દર્શાવવા જેવું (‘અખે-ગીતા’, કડવાં ૨૫-૨૬-૨૭) ઝીણું કામ પણ કર્યું છે, છતાં શાસ્ત્રજ્ઞાન કે દાર્શનિક મતને એ અધ્યાત્મસાધનામાં સર્વોપરી મહત્ત્વ આપતા નથી. ષડ્દર્શનોના મતાગ્રહોની તો એ હાંસી ઉડાવે છે. તત્ત્વજ્ઞાન અખાની દૃષ્ટિએ જીવનનું પરમ લક્ષ્ય છે, પણ એ તત્ત્વજ્ઞાન એટલે શાસ્ત્રજ્ઞાન કે દાર્શનિક મત નહીં, પણ જગતના મૂળ તત્ત્વનો - પરમાત્મતત્ત્વનો અંતરમાં થતો અનુભવ, આતમસૂઝ. એટલે જ એ શબરી, કરમાબાઈ જેવાં નિરક્ષર જ્ઞાની ભક્તોનો આદરપૂર્વક ઉલ્લેખ કરે છે. અખાએ, ખાસ કરીને છપ્પામાં, તત્કાલીન ધાર્મિક-સામાજિક આચારવિચારોની બારીક પરીક્ષા કરી છે અને જ્યાંજ્યાં દંભ, પાખંડ, વહેમ, અજ્ઞાન, અબૌદ્ધિકતા, રૂઢિવશતા દેખાયાં ત્યાંત્યાં એને નિર્મમપણે ઉઘાડાં પાડ્યાં છે. દંભી ભક્તો, પાખંડી ગુરુઓ, કર્મકાંડ, તીર્થાટન, દેહદમન અને અન્ય બાહ્યાચારો ઉપરાંત અવતારવાદ, પુનર્જન્મ, સંસ્કૃત ભાષાનો મહિમા, વર્ણાશ્રમધર્મ, કર્મવાદ તથા ભૂતપ્રેત-જ્યોતિષ-આભડછેટની માન્યતાઓ ઉપર પણ અખાજીએ પ્રહાર કર્યા છે તે તેમની સર્વગ્રાહી જાગ્રત વિચારશક્તિનો આપણને પરિચય કરાવે છે. પણ અખા-ભગત માત્ર ચિંતક કે ચિકિત્સક કે તટસ્થ જ્ઞાની નથી, સંસારને સાથે લઈને ઊંચે જવા માગનાર સંત છે. મનુષ્યમાત્રના કલ્યાણનો એક આવેશ એમનામાં સતત ધબકતો દેખાય છે. અખામાં મુનશીને જીવનના ઉલ્લાસને સ્થાને શુષ્ક વૈરાગ્ય પ્રેરતી પરલોકપરાયણતા જણાઈ છે; પરંતુ વસ્તુત: એમનામાં આ રીતનો ઐહિક જીવનનો સર્વાંશે તિરસ્કાર નથી. એ નિષ્કર્મણ્યતા નહીં, પણ નિષ્કામતા પ્રબોધે છે, અને સંસારી રસને સ્થાને એમણે દિવ્ય ઉલ્લાસ, ‘અક્ષયરસ’ તરફ નજર માંડી છે તથા એ અક્ષયરસની અનુભૂતિનું ઉમંગભેર ગાન પણ કર્યું છે. ગુજરાતીમાં તેમ જ સાધુશાઈ હિંદીમાં રચાયેલી અખાની સઘળી કૃતિઓ તત્ત્વવિચારાત્મક છે. રચનાસંવત ૨ કૃતિઓની જ મળે છે એટલે બધી કૃતિઓના કાલક્રમ વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી. પણ વિચારવિકાસ, શૈલીની પરિપક્વતા, કાવ્યગુણનો ઉત્કર્ષ આદિ ધોરણોથી મહત્ત્વની કૃતિઓના રચનાક્રમ વિશે સહેજસાજ વીગત-ફેરવાળાં અનુમાનો થયાં છે તેમાં ઉમાશંકરે સૂચવેલો રચનાક્રમ આ પ્રમાણે છે : ‘અવસ્થાનિરૂપણ’, ‘પંચીકરણ’, ‘ગુરુશિષ્ય-સંવાદ’ (ર.ઈ.૧૬૪૫/સં. ૧૭૦૧, જેઠ વદ ૯, સોમવાર), ‘સંતપ્રિયા’, ‘ચિત્તવિચાર-સંવાદ’, ‘બ્રહ્મલીલા’, ‘અનુભવબિંદુ’, ‘અખે-ગીતા’ (ર. ઈ.૧૬૪૯/સં. ૧૭૦૫, ચૈત્ર સુદ ૯, સોમવાર). છપ્પા જેવા પ્રકારની રચનાઓ લાંબા સમયપટમાં છૂટકછૂટક થઈ હોવાની શક્યતા છે. થોડાંક પદો અને થોડીક સાખીઓ સિવાયનું અખાનું સઘળું સાહિત્ય મુદ્રિત છે. ગુજરાતી કૃતિઓમાં ચોપાઈની ૧૦-૧૦ કડીના-૪ ખંડમાં વિભક્ત ‘અવસ્થાનિરૂપણ’ ← અને ચોપાઈની ૧૦૨ કડીની ‘પંચીકરણ’ ← અનુક્રમે શરીરાવસ્થા અને બ્રહ્માંડનાં તત્ત્વોનું બહુધા પરંપરાગત અને પારિભાષિક નિરૂપણ કરે છે,પણ ૪ ખંડ અને દોહરા-ચોપાઈની ૩૨૦ કડીની ‘ગુરુશિષ્ય-સંવાદ’ ← અખાની કેવલાદ્વૈત તત્ત્વદર્શનની ભૂમિકા વીગતે સમજાવે છે ને એમાં પારિભાષિકતાનો ભાર ઓછો થતાં વિષયનું મોકળાશથી નિરૂપણ થયેલું જોવા મળે છે. ચોપાઈની ૪૧૩ કડીની અને અખાના તત્ત્વવિચારના મુખ્ય અંશોને વ્યાપી વળતી ‘ચિત્તવિચાર-સંવાદ’ ← પિતા ચિત્તને બોધ આપતા પુત્ર વિચારની અભિનવ કલ્પનાથી અને દૃષ્ટાંતકળાના ઉત્કર્ષથી વિશેષ ધ્યાનપાત્ર કૃતિ બને છે. આમ છતાં, આ જાતની સળંગ રચનાબંધવાળી અખાની રચનાઓમાં અભ્યાસીઓમાં વધુ જાણીતી, અલબત્ત, ‘અનુભવબિંદુ’ ← અને ’અખે-ગીતા’ ← છે. “પ્રાકૃત ઉપનિષદ” (કે. હ. ધ્રુવ) તરીકે ઓળખાવાયેલી ૪૦ છપ્પાની ‘અનુભવબિંદુ’ અખાના તત્ત્વવિચારના મુખ્ય અંશોને લાઘવથી અને હૃદયંગમ દૃષ્ટાંતોથી રજૂ કરતી રસાત્મક કૃતિ છે; તો ૪૦ કડવાં અને ૧૦ પદોની ‘અખે-ગીતા’ એમના તત્ત્વવિચારને સર્વગ્રાહી રીતે, લાક્ષણિક દૃષ્ટાંતચિત્રો અને દૃષ્ટાંતશ્રેણીઓ તેમ જ બાનીની તાજગીભરી અસરકારક છટાઓથી અભિવ્યક્ત કરતી એમની, અને ગુજરાતી ગીતાકાવ્યોની પરંપરાની, સર્વોત્તમ કૃતિ છે. પરબ્રહ્મને સંબોધન રૂપે એનાં સ્વરૂપલક્ષણોનું વિશદ મહિમાગાન કરતી ‘કૈવલ્ય-ગીતા’, કૃષ્ણમુખે સંતનાં લક્ષણ વર્ણવતી ‘સંતનાં લક્ષણ/કૃષ્ણઉદ્ધવ-સંવાદ’ અને આનંદમય મુક્ત દશાનું વર્ણન કરતી ‘જીવનમુક્તિહુલાસ’ અખાની લોકગમ્ય શૈલીની લઘુ રચનાઓ છે. જ્ઞાનવિષયક ‘કક્કો’ અને ‘બાર માસ’ અખાએ જ સૌ પ્રથમ રચ્યા હોવાનું મનાયું છે. ‘બાર માસ’ જીવને સંબોધીને લખાયેલ ઉપદેશાત્મક શૈલીની રચના છે. ‘પંદર તિથિ’ની ૨ રચનાઓમાંથી એક વિશેષે ઉપદેશાત્મક અને બીજી વિશેષે જ્ઞાનમૂલક છે, પણ બન્ને રચનાઓ અમાસ સમેત ૧૬ તિથિને સમાવે છે. ‘બાર માસ’, બંને ‘પંદર તિથિ’ અને ગુરુવારથી આરંભાતા ‘સાત વાર’માં માસ અને વારનાં નામ તથા તિથિના સંખ્યાંક શ્લેષથી ગૂંથાયાં છે : “કાં રે તકે તું ચેતે નહીં ? જીવડા !”, “શુક્ર પિતાનું દિવસ સકલનું ગયું જથારથ જેમ”, “આવી અમીયાવાસી” વગેરે. કેવળ શબ્દાર્થવિવરણ આપતી ‘ચતુ:શ્લોકી ભાગવતની ગદ્યટીકા’માં અખાના કર્તૃત્વનું કોઈ નિશ્ચિત પ્રમાણ નથી. છપ્પા, સોરઠા, પદ અને સાખીઓ એ છૂટીછૂટી થયેલી રચનાઓ છે. છ-ચરણી ચોપાઈના બંધમાં રચાયેલા અને ૭૫૬ જેટલી સંખ્યામાં મળતા છપ્પા ← અખાનો પ્રથમ પંક્તિનો અને સૌથી વધુ લોકપ્રિય કૃતિસમૂહ છે. અખાનું તત્ત્વજ્ઞાન એમાં પણ ઉપમા-દૃષ્ટાંતની તેમ જ સૂત્રાત્મક વાણીની મદદથી માર્મિક અભિવ્યક્તિ પામ્યું છે, પણ એની લોકપ્રિયતા તો એમાં ધારદાર કટાક્ષોની મદદથી થયેલી ધાર્મિક-સામાજિક આચારવિચારોની બારીક ચિકિત્સાને આભારી છે. ૩૫૦ જેટલી સંખ્યામાં મળતા પણ ઓછા જાણીતા સોરઠા ← વર્ણસગાઈયુક્ત પદવિન્યાસ અને સઘન અભિવ્યક્તિથી ધ્યાન ખેંચે એવા છે. ગુજરાતી તેમ જ હિંદી ભાષામાં મળતાં, અન્ય વિષયોની સાથે શૃંગારભાવના પણ પ્રબળ આલેખનથી ધ્યાન ખેંચતાં ૨૫૦ જેટલાં પદો ← તળપદી અભિવ્યક્તિને કારણે વધારે લોકગમ્ય બની ભજનમંડળીઓમાં ઉપયોગમાં લેવાતો તથા ઊંચી સાહિત્યિક ગુણવત્તાવાળો કૃતિસમૂહ છે. છપ્પાની જેમ કંઈક શિથિલ અને યાદૃચ્છિક રીતે વિવિધ અંગોમાં વહેંચાયેલી મુદ્રિત-અમુદ્રિત મળીને ૧૫૦૦ જેટલી હિંદી ને ૩૦૦ જેટલી ગુજરાતી સાખીઓ ← સરળ અભિવ્યક્તિ, કેટલીક તાજગીભરી ઉપમાઓ અને હિંદી પરંપરાના કેટલાક વિશિષ્ટ સંસ્કારોને કારણે નોંધપાત્ર બને છે. અખાની હિંદી કૃતિઓમાં ‘બ્રહ્મલીલા’ અને ‘સંતપ્રિયા’ પ્રમાણમાં દીર્ઘ રચનાઓ છે તથા પહેલીને મુકાબલે બીજીમાં નિરૂપણ વધારે પ્રાસાદિક અને ચમત્કૃતિયુક્ત છે. સંભવત: આત્મવિચારના નિરૂપણને કારણે ‘રમેણી’ કે ‘રમણી’ તરીકે ઓળખાવાયેલી ‘અમૃતકલા-રમેણી’ અને ‘એકલક્ષ-રમણી’ પ્રમાણમાં લઘુ રચનાઓ છે ને ‘એકલક્ષ-રમણી’ તો સાખીઓના ‘એકસાલ-અંગ’ તરીકે પણ જોવા મળે છે. એના વિશિષ્ટ બંધારણને કારણે ‘જકડીઓ’ તરીકે ઓળખાવાયેલ પદો, હિંદી કવિ અગ્રદાસજીના કુંડળિયાને અનુસરતો આકાર ધરાવતા કુંડળિયા અને વિચારસાતત્યથી લખાયેલા જણાતા ઝૂલણા અખાની પ્રકીર્ણ પ્રકારની રચનાઓ છે. જકડીઓ અને ઝૂલણા સૂફી સાધનાધારાની સ્પષ્ટ અસર બતાવે છે, તો કુંડળિયા અનેક ઠેકાણે પ્રયોજાયેલા આંતરયમકથી ધ્યાન ખેંચે છે. થોડાક કુંડળિયાની ભાષા વિશેષે ગુજરાતી તરફ ઢળતી છે, તો ઝૂલણામાં ઉર્દૂ-હિંદી-પંજાબીનું મિશ્ર ભાષાપોત જોવા મળે છે. અખાજીએ હિંદીમાં ‘ધુઆર્ય’ પ્રકારનાં પાંચથી ૮ કડીનાં પદો (૧૦ મુ.) પણ રચ્યાં છે. જેમાં ઈશ્વર દ્વારા વિશ્વમાં ખેલાતા વસંત-ફાગનું આલેખન છે. અખાજી પોતાને ‘કવિ’ ગણાવવા માગતા નથી, ‘જ્ઞાની’ હોવું એ તેમની દૃષ્ટિએ ઊંચી વસ્તુ છે. કવિતાને એ એક સાધન રૂપે જ ઉપયોગમાં લે છે. છંદ જેવાં કાવ્યઓજારોનું પોતાને જ્ઞાન નથી એમ તેઓ કહે છે ખરા; પરંતુ ચોપાઈ, દુહા, ઝૂલણા, સવૈયા, કવિત અને અનેક દેશીબંધો તથા છપ્પા, કડવાં, પદ, સાખી, કુંડળિયા, ચોખરા, જકડી આદિ કાવ્યબંધો પ્રયોજતા તેઓ સમકાલીન કાવ્યરીતિથી પૂરા અભિજ્ઞ જણાય છે. તત્ત્વવિચારને કવિતાની કોટિએ પહોંચાડતા ૩ મોટા કવિગુણો અખામાં છે : ૧. અવારનવાર ગૂંથાતી હાસ્ય, કટાક્ષ, રોષ, આર્દ્રતા, આરત, વિસ્મય, પ્રસન્નતાની ભાવરેખાઓ; ૨. “વિશ્વના પદાર્થો જાણે એની વિચારણા માટે જ સર્જાયા હોય” (વિ. ૨. ત્રિવેદી) એવી અનુરૂપતા અને વિવિધતાથી ભર્યું, ઘણી વાર ગતિશીલ ચિત્રાત્મકતાવાળું ઉપમા-આયોજન; અને ૩. ક્વચિત્ કઠિન ને રુક્ષ લાગતા છતાં મર્મવેધક બનતા શબ્દપ્રયોગો, ઊંડી સૂઝથી ઉપયોગમાં લેવાયેલાં રૂઢિપ્રયોગો-કહેવતો તથા સચોટ સૂત્રાત્મક ઉક્તિઓથી બલિષ્ઠ પ્રતીત થતી કાવ્યબાની. સમાજચિકિત્સા અને લોકોક્તિઓના વિનિયોગ પરત્વે માંડણ જેવા પુરોગામીઓનું અખા પર ઋણ છે અને સમકાલીન જ્ઞાનમાર્ગી કવિઓની વાણી સાથે અખાની વાણીનું કેટલુંક અનિવાર્ય મળતાપણું છે, તે છતાં સર્વસ્પર્શી સૂક્ષ્મ જીવનવિચાર અને વિશિષ્ટ કાવ્યગુણોએ કરીને અખાજી મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતાધારામાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. કૃતિ : ૧. અક્ષયરસ (હિં.), સં. કુંવર ચંદ્રપ્રકાશસિંહ, ઈ.૧૯૬૩ (+સં.); ૨. અખાકૃત કાવ્યોે : ૧. સં. નર્મદાશંકર દે. મહેતા, ઈ.૧૯૩૧ (+સં.); ૩. અખાની વાણી, પ્ર. ઓરિયન્ટલ પ્રેસ, ઈ.૧૮૮૪; ૪. એજન, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, ઈ.૧૯૧૪, સં. ૨૦૦૦ (સુધારેલી ત્રીજી આ.) (+સં.); ૫. * અખા ભક્તની વાણી, સં. કવિ હીરાચંદ કાનજી, ઈ.૧૮૬૪; ૬. અપ્રસિદ્ધ અક્ષયવાણી (અખાકૃત કાવ્યો : ૨), સં. ભગવાનજી મહારાજ, ઈ.૧૯૩૨ (+સં.);  ૭. અખાજીના છપ્પાની ચોપડી, પ્ર. પુસ્તક વૃદ્ધિ કરનાર મંડળી, ઈ.૧૮૫૨; ૮. અખાજીની સાખીઓ, સં. ભગવાનજી મહારાજ, ઈ.૧૯૫૨ (+સં.); ૯. અખાના છપ્પા, સં. ઉમાશંકર જોશી, ઈ.૧૯૫૩, ઈ.૧૯૭૭ (ત્રીજી આ.) (+સં.); ૧૦. એજન, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, ઈ.૧૯૫૩ (+સં.); ૧૧. અખા ભગતના છપ્પા, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, અનસૂયા ભૂ. ત્રિવેદી, (૧-૨૬૪) - ઈ.૧૯૭૭ (૨૬૫-૫૦૩) - ઈ.૧૯૮૦, (૫૦૪-૭૫૬) - ઈ.૧૯૮૨ (+સં); ૧૨. અખા ભગતના ગુજરાતી પદ, સં. અનસૂયા ભૂ. ત્રિવેદી, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી ઈ.સ. ૧૯૮૦ (+સં.); ૧૩. અખેગીતા, સં. ઉમાશંકર જોશી, રમણલાલ જોશી, ઈ.૧૯૬૭ (+સં.); ૧૪. એજન, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ.૧૯૫૮ (+સં.); ૧૫. એજન, સં. વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી, વ્રજરાય મુ. દેસાઈ, ઈ.૧૯૫૭ (+સં.); ૧૬. અનુભવબિંદુ, સં. કેશવલાલ હ. ધ્રુવ, સં. ૧૯૬૨ (+સં.); ૧૭. એજન; સં. રવિશંકર મ. જોશી, ઈ.૧૯૪૪ (+સં.); ૧૮. ચાલીસ છપ્પા અપરનામ અનુભવબિંદુ, સં. અનસૂયા ભૂ. ત્રિવેદી, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ.૧૯૬૪ (+સં.); ૧૯. ચિત્તવિચાર સંવાદ, સં. કીર્તિદા જોશી (શાહ), ઈ.૧૯૯૨ ૨૦. *બ્રહ્મજ્ઞાની અખા ભક્તના છપા, સં. પૂજારા કાનજી ભીમજી, ઈ.૧૮૮૪; ૨૧. સંતપ્રિયા (હિં.) સં. રમણલાલ પાઠક, ઈ.૧૯૭૯ (+સં.);  ૨૨. અખો એક સ્વાધ્યાય, રમણલાલ પાઠક, ઈ.૧૯૭૬ - ‘તિથિ’, ૨૩. કાન્તમાલા, સં. હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા વગેરે, ઈ.૧૯૨૪ - ‘બાર માસ’, સં. અંબાલાલ જાની; ૨૪. પદસંગ્રહ પ્રભાકર, સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫ (સુધારેલી આ.); ૨૫; બૃકાદોહન : ૧, ૨, ૩, (+સં.); ૪, ૫, ૮;  ૨૬ * ચિંતામણિ, નવે. ૧૯૭૧ - ‘અમૃતકલારમેણી’, સં. ઉર્વશી સુરતી; ૨૭. * નાગરી પ્રચારિણી પત્રિકા, સં. ૨૦૨૮ અં. ૩-૪ - ‘અમૃતકલારમેણી’, સં. ઉર્વશી સુરતી; ૨૮. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૬૫ - ‘અખાના અપ્રસિદ્ધ દુહા-સોરઠા’, સં. ભૂપેન્દ્ર ત્રિવેદી; ૨૯. એજન, જાન્યુ.-માર્ચ ૧૯૮૦ - ‘પંદર તિથિ અખાની’; સં. ભૂપેન્દ્ર ત્રિવેદી; ૩૦. એજન, એપ્રિલ-જૂન ૧૯૮૦ - ‘ચતુ:શ્લોકી ભાગવત ઉપર અખાની ગદ્યટીકા’, સં. ભૂપેન્દ્ર ત્રિવેદી; ૩૧. એજન, ઑક્ટો.-ડિસે.- ‘અખાભગતકૃત તિથિ (૨)’, સં. ભૂપેન્દ્ર ત્રિવેદી; ૩૨. બુદ્ધિપ્રકાશ, માર્ચ ૧૯૭૮- - ‘પંદર તિથિ’, સં. વિભૂતિ ભટ્ટ; ૩૩. રિસર્ચ જર્નલ ઑવ્ ધ એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી, ઈ.૧૯૭૧ - ‘એકલક્ષરમણી’, સં. ઉર્વશી સુરતી. ૩૪. એજન, ઈ.૧૯૭૩ - ‘કુંડલિયા’, સં. ઉર્વશી સુરતી; ૩૫. એજન. ઈ.૧૯૭૫ - ‘અમૃતકલારમેણી’, સં. ઉર્વશી સુરતી. ૩૬. સ્વાધ્યાય, મે ૧૯૮૪ - અખાજીકૃત ધુઆર્ય-ફાગકાવ્યો, સં. વિભૂતિ વિક્રમ ભટ્ટ. સંદર્ભ : ૧. અખો, નર્મદાશંકર દે. મહેતા, ઈ.૧૯૨૭; ૨. એજન, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ.૧૯૭૮; ૩. અખો એક અધ્યયન, ઉમાશંકર જોશી, ઈ.૧૯૪૧, ઈ.૧૯૭૩ (સુધારેલી બીજી આ.); ૪. અખો એક સ્વાધ્યાય, રમણલાલ પાઠક, ઈ.૧૯૭૬; ૫. સાહિત્યકાર અખો, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૪૯;  ૬. અન્વય, હસિત બૂચ, ઇ. ૧૯૬૯ - ‘અખાનાં પદો’; ૭. કવિચરિત : ૧-૨; ૮. કૈવલાદ્વૈત ઇન ગુજરાતી પોએટ્રી, યોગીન્દ્ર ત્રિપાઠી, ઈ.૧૯૫૮; ૯. ગુજરાતી લૅંગ્વેજ ઍન્ડ લિટરેચર (ઠક્કર વસનજી માધવજી લેક્ચર્સ), એન. બી. દિવેટિયા, ઈ.૧૯૩૨; ૧૦. ગુર્જર સાક્ષર જયન્તીઓ, પ્ર. જીવનલાલ અ. મહેતા, ઈ.૧૯૨૧ - ‘અખો અને તેનું કાવ્ય’, નર્મદાશંકર દે. મહેતા; ૧૧. ગુલિટરેચર; ૧૨. ગુસાઇતિહાસ : ૨; ૧૩. ગુસાપઅહેવાલ : ૩ - ‘અખો ભક્ત અને તેમની કવિતા’, અંબાલાલ બુ. જાની; ૧૪. ગુસામધ્ય; ૧૫. ગુસારૂપરેખા : ૧; ૧૬. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ.૧૯૬૧; ૧૭. નિરીક્ષા, ઉમાશંકર જોશી, ઈ.૧૯૬૦ - ‘અખો પ્રશ્નોત્તરી’; ૧૮. સાહિત્યિક લેખો અને વ્યાખ્યાનો, નર્મદાશંકર દે. મહેતા, ઈ.૧૯૬૯ - ‘અખાનું ક્ષરજીવન’, ‘અખેગીતા’, ‘અખાના બે સંવાદો’, ‘અખાનું ‘પંચીકરણ’, ‘અખો અને તેનું કાવ્ય’;  ૧૯.* ચિંતામણિ, ફેબ્રુ. ૧૯૭૬ - ‘બ્રહ્મલીલા’, ઉર્વશી સુરતી; ૨૦. બુલેટિન ઑવ્ ધ ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, ઑગસ્ટ ૧૯૮૦ - ‘અખા ભગતની રચનાઓમાં ઉલ્લેખ પામેલાં ભૂચર, ખેચર, જળચર’, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી; ૨૧. સંસ્કૃતિ, સપ્ટે. ૧૯૬૫ - ‘બ્રહ્માનંદની નહીં પણ બ્રહ્મનંદની’, ઉમાશંકર જોશી;  ૨૨. ગૂહાયાદી. સંદર્ભ : ૧. અખો એક સ્વાધ્યાય, રમણલાલ પાઠક, ઈ.૧૯૭૬;  ૨. ગ્રંથ, ઑગસ્ટ ૧૯૬૭ - ‘અખાને લગતા સંદર્ભગ્રંથો’, પ્રકાશ મહેતા; ૩. ગ્રંથ નવે. ૧૯૬૭ - ‘અખાને લગતા સંદર્ભગ્રંથો’, ગંભીરસિંહ ગોહિલ. [જ.કો.]

અખાના છપ્પા : (૧) અખાજીકૃત છપ્પા (મુ.) છ-ચરણી (ક્વચિત્ ૮ ચરણ સુધી ખેંચાતી) ચોપાઈના બંધને કારણે ‘છપ્પા’ નામથી ઓળખાયેલ છે. આ કૃતિસમૂહની કોઈ પણ હસ્તપ્રત ૬૫૭થી વધારે છપ્પા આપતી નથી, પરંતુ અત્યાર સુધીમાં કુલ ૭૫૫ છપ્પા મુદ્રિત થયા છે. છપ્પા ‘વેશનિંદા અંગ’ ‘ગુરુ અંગ’ એવાં નામો ધરાવતાં ૪૫ અંગોમાં વહેંચાયેલા મળે છે, પણ અંગવિભાગોમાં નજરે પડતી શિથિલતા અને યાદૃચ્છિકતા પરથી એવો તર્ક થાય છે કે છપ્પા છૂટકછૂટક સમયાંતરે લખાયા હશે અને પછી અંગોમાં ગોઠવી દેવાયા હશે. છપ્પામાં વિધાયક તત્ત્વવિચારની સામગ્રી ભરપૂર છે - અનેક બારીક વિચારો વેધક રીતે આલેખાયા છે, છતાં આ કૃતિની લોકપ્રિયતા વિશેષપણે એમાંના નિષેધાત્મક ભાગ - એમાં ધાર્મિક-સાંસારિક આચારવિચારોનાં દૂષણોનું જે તાદૃશ ચિત્રણ અને ઉગ્ર ચિકિત્સા મળે છે તેને કારણે છે. આ ચિત્રણ અને ચિકિત્સાએ અખાજીનો વ્યવહારજગતનો ગાઢ અનુભવ પ્રગટ કરી આપ્યો છે તેમ એમને હાસ્ય અને કટાક્ષની ભરપૂર સામગ્રી પૂરી પાડી છે. સમયાંતરે લખાયેલા હોઈ છપ્પામાં અખાજીની વિકસતી ગયેલી વિચારભૂમિકાનાં ચિહ્નો અહીંતહીં જોઈ શકાય છે તેમ છતાં એમની મૂળભૂત દાર્શનિક ભૂમિકા તો નિશ્ચિત અને સ્થિર છે. એ દાર્શનિક ભૂમિકાના કેન્દ્રમાં છે બ્રહ્મ - જેને તેઓ ‘વસ્તુ’ ‘આત્મા’ ‘ચૈતન્ય’ ‘સ્વામી’ એવાં નામથી પણ ઉલ્લેખે છે - તેનું જ્ઞાન. અખાજી અવારનવાર આકાશનું ઉપનામ વિવિધ રીતે પ્રયોજે છે અને આ બ્રહ્મતત્ત્વની સર્વવ્યાપિતા, અખંડતા, અવિકાર્યતા સમજાવે છે. જીવ, ઈશ્વર અને જગતના તેમ જ નામ રૂપ ગુણ અને કર્મના ભેદો નિપજાવતી માયાનું સ્વરૂપ અખાજી અનેક દૃષ્ટાંતોથી સ્ફુટ કરે છે, પણ કહે છે કે માયાથી નાસવાથી કંઈ માયા નષ્ટ થતી નથી, જેમ ‘’અંધારુ નાઠે ક્યમ જાય ?” ખરો જ્ઞાની તો એ જે માયાનો ભક્ષ કરી જાય - એનું મિથ્યાત્વ પ્રમાણી લે. જીવને માયાના ફંદામાં ફસાવનાર તો મન છે. એટલે અખાજી “અ-મન” બનવાનું, અંતરે અકર્તા થઈને રહેવાનું સૂચવે છે. “જ્યમ પંખી ઓછાયો પડિયો જાળ, પોતે ઊડે અલગ નિરાળ” એમ આવા જ્ઞાનીઓ દેહ સંસારમાં વર્તતા હોવા છતાં પોતે એનાથી અલિપ્ત હોય છે. માટે જ તેમની દૃષ્ટિએ જ્ઞાનીએ સંસારને તજવો આવશ્યક નથી. ઊલટું, ૧ મણ અને ૪૦ શેરમાં ફેર નથી તેમ જ્ઞાની પુરુષને માટે બ્રહ્મતત્ત્વ અને વિશ્વમાં કંઈ ફેર નથી, સકળ લોક એ હરિનું જ રૂપ છે. એટલે “વિશ્વ ભજંતા વસ્તુ ભજાય.” અખાજી અધ્યાત્મમાર્ગમાં કર્મધર્મને - સત્કર્મને તેમ વિકર્મને - અંતરાયરૂપ ગણાવે છે. કોઈ પણ પ્રકારના કર્મથી કષાય, રંગ, મેલ ચડે છે. પોતે પોતા રૂપે રહેવું એ જ વધારે સારું છે. અણહાલ્યું જળ નીતરીને સ્વચ્છ થાય છે તેમ પોતા રૂપે રહેવાથી બ્રહ્મસ્વરૂપ સરળતાથી પામી શકાય છે. ટીલાંટપકાં, નામસ્મરણ, વેશટેક, કથાશ્રવણ, કાયાક્લેશ આ બધા બાહ્યાચારો ઉપર તો અખાજીનો કોરડો વારંવાર વીંઝાય છે. અલબત્ત, અખાજી કાયાક્લેશ આદિનો હેતુ સ્વીકારે છે કે એથી ઉન્મત્ત મન ઠેકાણે આવે અને હરિ તરફ ચિત્ત વળે, જેમ મારકણી ગાયને અંધારે બાંધીએ તો એ ટેવ ભૂલે. પણ અંધારે બાંધેલી ગાયને બગાઈ વળગે તેમ કાયાક્લેશ કરનાર યોગીને સિદ્ધિ વળગે છે ને એનો અહંરોગ વધે છે. ચીંથરાના પુરુષ જેવા - ખેતરમાંના ચાડિયા જેવા સંસારને મારવા માટે કે ચાલતાં જ હાથ અડકી જાય એમ સભરે ભરાઈ રહેલા હરિને પામવા માટે અખાજીને તો કોઈ કર્મધર્મની જરૂર જ વર્તાતી નથી. અખાજીની દૃષ્ટિએ પરબ્રહ્મપ્રાપ્તિનો ખરો માર્ગ જ્ઞાન છે, જેને એ ‘સૂઝ’ ‘સમજ’ ‘વિચાર’ ‘અનુભવ’ એ શબ્દોથી પણ ઓળખાવે છે. જેમ નૌકામાં બેઠેલો માણસ શ્રમ વિના આખી પૃથ્વી ફરે તેમ સમજ આવી તેને કાયાક્લેશ કરવો ન પડે. જગતપ્રપંચમાંથી પરમેશ્વરને પણ એ સહજપણે પામી લે, જેમ વાદળખોખું કાદવમાંથી પાણી પી લે તેમ. પણ આ સમજ તે શાસ્ત્રજ્ઞાન કે પંડિતાઈ નહીં. શાસ્ત્રને તો અખાજી ૧ આંખ ગણે છે, સૂકા - અનુભવ વગરના જ્ઞાનને એ વ્યંડળમૂંછ સાથે સરખાવે છે અને પંડિતને ટાંકેલી શિલા તરીકે ઓળખાવે છે, જે પાણીમાં બૂડ્યા વિના રહેતી નથી. સાધનામાર્ગ લેખે ભક્તિનો સ્વીકાર અખાજી મર્યાદિત રૂપે જ કરે છે. વૈષ્ણવી નવધા ભક્તિ - સગુણ ભક્તિ - નો હેતુ એ સમજે છે કે જીવ “ભક્તિરસે કર્મરસ વીસરે”. પણ એ જુએ છે કે નવધાભક્તિ આદરતાં મોહવ્યાપાર મંડાય છે, ભક્તિ એક બાહ્યાચાર બની જાય છે ને ઘણી વાર દંભ કે પાખંડનું રૂપ પણ લે છે. આથી સગુણભક્તિને એ મોતીઘૂઘરી સાથે સરખાવે છે, જે મનમોહન દીસે પણ એનાથી અંતરતાપક્ષુધા શમે નહીં. આમ છતાં નિર્ગુણ પરમાત્મતત્ત્વનો સાક્ષાત્કાર થયા પછી માણસ સગુણભક્તિ તરફ વળે એને અખાજી દૂધમાં સાકર ભળ્યા સાથે સરખાવે છે. અંતે તેઓ વિચારને જ સાચી ભક્તિ - બ્યાશીમો ભક્તિપ્રકાર - કહે છે અને જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની એકરૂપતા બતાવે છે : જગતભાવને હૃદયથી દૂર કરવો એનું નામ વૈરાગ્ય; જગતને સ્થાને સર્વત્ર હરિ દેખાય તે ભક્તિ અને સર્વત્ર હરિ દેખાતાં જીવ-બ્રહ્મનું દ્વૈતભાન જાય તે જ્ઞાન. શાસ્ત્રની ૧ આંખવાળા, દેહાભિમાની, મતાંધ, સંસારાસક્ત, વેષધારી ગુરુઓને અખાજી ચાબખા લગાવે છે, પણ સદ્ગુરુ ચક્ષુ આંજે ત્યારે બ્રહ્મતત્ત્વનું રહસ્ય સમજાય એમ કહી સદ્ગુરુના શરણને આવશ્યક ગણાવે છે અને સદ્ગુરુ, સંત, જ્ઞાની, હરિજનનો મહિમા ગાતાં થાકતા નથી. તોપણ અખાજીની દૃષ્ટિએ ગુરુ મળી જવામાં ઇતિકર્તવ્યતા નથી. વિવેકી ગુરુએ વલોવેલું નવનીત આત્માનુભવરૂપી અગ્નિમાં તપાવવામાં આવે ત્યારે જ ઘી બને છે - અર્થાત્ બ્રહ્મસ્વરૂપની ભાળ મળે છે. એટલે ખરો ગુરુ તો અંતર્યામી કે આત્મા છે. આત્મા તે પરમાત્મા, તેથી પરમાત્મા પણ ગુરુ. બીજી બાજુથી જ્ઞાની ગુરુ તે હરિની જ મૂર્તિ. આમ અખાજી ગુરુ-ગોવિંદ-આત્માનું એકત્વ સ્થાપિત કરે છે. છપ્પામાં વર્ણાશ્રમધર્મ, અસ્પૃશ્યતા, સતયુગ-કલિયુગ એ જાતનો ઉચ્ચાવચ કાળભેદ, અવતાર, પૂર્વજન્મ, જ્યોતિષ, ભૂતપ્રેત, અધ્યાત્મવિદ્યામાં સંસ્કૃતની પ્રતિષ્ઠા આદિ વિશેની અનેક ધાર્મિકલૌકિક માન્યતાઓ પણ અખાજીની બૌદ્ધિક ચિકિત્સાનો વિષય બની છે, જે એમનો જીવનવિમર્શ સર્વગ્રાહી હોવાનું બતાવે છે. ક્યારેક તીક્ષ્ણ કટાક્ષથી, ક્યારેક હકીકત કે અનુભવના દ્યોતક આધારથી, ક્યારેક પૌરાણિક કે લૌકિક દૃષ્ટાંતની મદદથી પણ હંમેશાં પોતાના તત્ત્વવિચારની મૂળ ભૂમિકાએથી અખાજી આવી રૂઢ માન્યતાઓની પોકળતા છતી કરે છે : “આભડછેટ અંત્યજની જણી, બ્રાહ્મણ-વૈષ્ણવ કીધા ધણી,” “પશુ મૂઓ કો ભૂત ન થાય, અખા માણસ અવગત કહેવાય.” છપ્પામાં અખાજીનું કેટલુંક આત્મકથન પણ નોંધાયું છે. - “જન્મોજન્મનો ક્યાં છે સખા ?” એમ પરમતત્ત્વની આરત અને “છીંડું ખોળતાં લાધી પોળ” એમ અનાયાસ પ્રાપ્તિનો આનંદ પ્રાપ્ત કરતું તત્ત્વચિંતન, સંસારનિરીક્ષણ ને ચિકિત્સા, આત્મકથન વગેરેને લીધે છપ્પામાં શમ, નિર્વેદ, આરત, પ્રસન્નતા, વિનોદ, ઉપહાસકટાક્ષ આદિ અનેકવિધ ભાવમુદ્રાઓ ઊઠતી રહી છે.પણ એમાં અખાજીની સૌથી વધુ સબળ ભાવમુદ્રા હાસ્યકટાક્ષની છે, જેને કારણે ઉમાશંકર જોશી એમને ‘હાસ્યકવિ’ કહેવા પ્રેરાયા છે અને બળવંતરાય ઠાકોરને એમના કવિત્વના ‘અલૌકિક અગ્નિ’ની પ્રતીતિ કરાવતા કેટલાક ‘પયગંબરી કટાક્ષ’ની નોંધ લેવાની થઈ છે. છપ્પાના મુક્ત પ્રકારને લઈને અહીં ઉપમેય-ઉપમાનરચનાની કેટલીક વિલક્ષણ ભંગિને અવકાશ મળ્યો છે - “વ્યાસ-વેશ્યાની એક જ પેર, વિદ્યા-બેટી ઉછેરી ઘેર”, “વેષ, ટેક ને આડી ગલી, પેઠો તે ન શકે નીકળી”, “એક અફીણ, બીજો સંસારી રસ, અધિક કરે ત્યમ આપે કસ”, - તથા સદાય સ્મરણીય બની રહે તેવા સૂત્રાત્મક ઉદ્ગારો માટેની ભૂમિકા ઊભી થઈ છે. ઉપમા અને લોકોક્તિ એ ૨ અભિવ્યક્તિ-માધ્યમોના બહોળા અને અસરકારક વિનિયોગથી અખાજીએ સાધેલી ચિત્રાત્મકતા અને વેધકતા એવી છે કે છપ્પામાં તત્ત્વજ્ઞાન અને કવિતાનો મેળ વધુમાં વધુ બેઠો હોવાનું પ્રતીત થાય છે. છ-ચરણી ચોપાઈનો બંધ, વિવિધ અંગોમાં છપ્પાની, ગોઠવણી, લોકોક્તિઓનો બહોળો ઉપયોગ, સમાજચિકિત્સા, કટાક્ષશૈલી, કેટલાંક વિચારવલણો ને કેટલાક ઉદ્ગારો પરત્વે છપ્પા પર માંડણની ‘પ્રબોધ-બત્રીશી’નું ઋણ સ્પષ્ટ હોવા છતાં અખાજી એમના પ્રખર બુદ્ધિતેજ, દાર્શનિક ભૂમિકા, અનુભવનો આવેશ તથા ઉપમા-ભાષાબળથી પોતાની મૌલિકતા સ્થાપી આપે છે. [જ.કો.]

‘અખે-ગીતા’ [૨. ઈ.૧૬૪૯/સં. ૧૭૦૫, ચૈત્ર સુદ ૯, સોમવાર] : ૪ કડવાં અને ૧ પદ એવા ૧૦ એકમો ને દરેક કડવા તેમ જ પદમાં લગભગ નિયત કડીસંખ્યા - એવો સુઘડ રચનાબંધ ધરાવતી, કુલ ૪૦ કડવાં અને ૧૦ પદની, ચોપાઈ અને પૂર્વછાયા (= દુહાની દેશી)માં રચાયેલી અખાની આ કૃતિ (મુ.) એના તત્ત્વવિચારના સર્વ મહત્ત્વના અંશોને મનોરમ કાવ્યમયતાથી આલેખતી હોઈ એની પરિણત પ્રજ્ઞાનું ફળ ગણાવાયેલી છે. સરહદો ક્યાંક-ક્યાંક લોપાયેલી છે તેમ છતાં એકમોમાં ચોક્કસ વિષયવિભાગો જોઈ શકાય છે. જેમ કે, એકમ ૨ : માયાનું સ્વરૂપ અને કાર્ય; એકમ ૩ : માયામાંથી મુક્ત થવા માટેની સાધનત્રયી - વિરહવૈરાગ્ય, ભક્તિ અને જ્ઞાન; એકમ ૪ : અણલિંગી તત્ત્વજ્ઞાનીનાં લક્ષણો; એકમ ૫ અને ૬ : બ્રહ્મતત્ત્વનું સ્વરૂપ તથા એનું ઈશ્વર, જીવ અને જગત રૂપે પરિણમન; એકમ ૭ : બ્રહ્મવાદ અને શૂન્યવાદનો ભેદ; એકમ ૮ : સંતસંગનો મહિમા. એકમના સમાપન રૂપે આવતાં પદો, ધ્રુવપંક્તિની પેઠે, ‘અખે-ગીતા’ના કેન્દ્રવર્તી વિષય પર આવી ઠરે છે − એ પરબ્રહ્મના સ્વરૂપનું કે એના સાક્ષાત્કારનું ગાન કરે છે અથવા હરિ-ગુરુ-સંતની એકતા પ્રબોધી એમનું શરણ લઈ મહાપદ પ્રાપ્ત કરવાનો બોધ આપે છે. ૪ પદોમાં હિંદી ભાષા પ્રયોજાયેલી છે એ એક નોંધપાત્ર હકીકત છે. ‘અખે-ગીતા’ને અખો સંસારરૂપી મોહ-નિશાને નષ્ટ કરનારા દિનમણિ તરીકે ઓળખાવે છે અને તેનું કર્તૃત્વ નાથ નિરંજન પર આરોપે છે, પોતે છે નિમિત્ત માત્ર - “જેમ વાજું દીસે વાજતું, વજાડે ગુણપાત્ર”, સંસારરૂપી મોહનિશાનું કારણ છે માયા. માયાના અદ્ભુત પ્રપંચનું અખાએ અત્યંત મર્મવેધક ચિત્ર આલેખ્યું છે. માયા છે તો બ્રહ્મતત્ત્વની ચિત્શક્તિનું એક સામર્થ્ય, પણ એનાથી છૂટી પડી એ ૩ ગુણોને જન્મ આપે છે, ને “પછે જનની થઈ જોષિતા”. ૩ ગુણો સાથેના સંયોગથી એ પંચાભૂતાદિ ૨૪ તત્ત્વોને પેદા કરે છે. આ ૨૪ તત્ત્વો અને ૨૫મી પ્રકૃતિ માયાનો પરિવાર છે. પણ માયાના સ્વભાવની આ વિલક્ષણતા છે કે પોતે ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો એ ભક્ષ કરે છે. ભ્રમદશામાં પડેલો જીવ આ સમજતો નથી એટલે માયાએ બતાવેલી વિષયભોગની ઇન્દ્રજાલમાં ફસાય છે. કામ-દામ, માતા-પિતા-પત્ની, વર્ણ-વેષ, વિદ્યા - ચાતુરી આ સર્વને માટે મથવું અને પંડિત, ગુણી, કવિ, દાતા થવું એ પણ, અખાની દૃષ્ટિએ, માયાની જ આરાધના છે. માયાએ નિપજાવેલાં ૨૫ તત્ત્વો ઉપરાંતનું ૨૬મું તત્ત્વ - બ્રહ્મતત્ત્વ તો સ્વતંત્ર છે, સર્વ દ્વન્દ્વોથી પર છે અને વાણીથી, ઇન્દ્રિયોથી તેમ બુદ્ધિથી એને પામી શકાતું નથી. “જેમ મૃતકની ગત જાણે મૃતક” તેમ પરબ્રહ્મનો અનુભવી જ એ અનુભવને સમજી શકે. સામસામાં મુકાયેલાં દર્પણોથી રચાતી પ્રતિબિંબોની અનંત સૃષ્ટિનાં અને આકાશમાં ઊપજતાં અને લય પામતાં જાતભાતનાં વાદળોના દૃષ્ટાંતથી અખાજી બ્રહ્મતત્ત્વની નિર્લેપતા, અવિકાર્યતા અને માયા વડે થતી અનંત રૂપમય સંસારની ઉત્પત્તિ સમજાવે છે. પરબ્રહ્મની દૃષ્ટિએ તો આ માયા પણ અજા − ન જન્મેલી છે : એણે નિપજાવેલો સંસાર પણ વંધ્યાસુતની પેઠે અવિદ્યમાન છે. આ બ્રહ્મવાદ શૂન્યવાદથી ક્યાં જુદો પડે છે તથા દર્શનો તેમ જ ઉપદર્શનો પણ બ્રહ્મતત્ત્વને સમજાવવામાં ક્યાં પાછાં પડ્યાં છે તે અખાજી દલીલપૂર્વક બતાવે છે અને એકબીજા સાથે આખડતા તથા ઘણી વાર તો બાહ્ય ચિહ્નો - જેવાં કે જટા રાખવી, મુંડન કરાવવું, માળા પહેરવી વગેરેમાં સમાઈ જતા વિવિધ મતોમાં એ માયાનું જ પોષણ જુએ છે. માયાનો પાશ છૂટે, “પરબ્રહ્મ રહે ને પોતે ખપે” તે માટે એ ૩ સાધન બતાવે છે - વિરહવૈરાગ્ય, ભક્તિ અને જ્ઞાન. વૈરાગ્યની તીવ્રતા અને ભક્તિની આર્દ્રતા-મધુરતા અનુભવતા નરનાં એવાં કાવ્યમય ચિત્રો કવિ આપે છે કે એ, એમના વૈષ્ણવી સંસ્કારોનો સંકેત કરવા ઉપરાંત, એમની પ્રધાનપણે જ્ઞાનમાર્ગી સાધનાપ્રણાલીમાં વૈરાગ્ય અને ભક્તિનું પણ કેવું મહત્ત્વનું સ્થાન છે તે બતાવે છે. ઊધઈથી ખવાયેલું લાકડું જેમ કૃષ્ણાગુરુ થઈ જાય તેમ વિરહવૈરાગ્યથી ખવાયેલો નર હરિરૂપ થઈ જાય છે અને હરિભક્ત “નિત્ય રાસ નારાયણ કેરો” દેખે છે. આમ થતાં, એનો સંસારભાવ, જીવભાવ સરી જાય છે અને આત્મભાવ પ્રગટે છે. અખા-ભગત માર્મિક રીતે કહે છે કે “ચિત્ત ચમક્યું, હું તું તે ટળ્યું.” આવા જીવન્મુક્ત વિદેહી દશાને પામેલા તત્ત્વદર્શીને ભૌતિક જગતના કોઈ અવરોધ નડતા નથી. અખાજી તો આગળ વધીને એમ પણ કહે છે કે ચશ્માંના કાચથી જેમ આંખની દૃષ્ટિ રૂંધાતી નથી પણ એનું તેજ વધે છે તેમ સંસારવ્યવહાર તત્ત્વદર્શીને બાધક નીવડવાને બદલે એની તત્ત્વદૃષ્ટિને સતેજ કરે છે. આવા તત્ત્વદર્શી સંતના પરોપકારપરાયણ સ્વભાવ અને એમની સંગતિના પ્રભાવનું અખાએ ભાવાર્દ્રતાથી ગાન કર્યું છે, કેમ કે, અખાની દૃષ્ટિએ, જેમ જીભ વિના સ્વાદ ન હોય, બહેરાને નાદસુખ ન હોય તેમ ગુરુ વિના હરિદર્શન ન થાય અને ગુરુ તો તત્ત્વદર્શી સંત જ હોય. બીજી બાજુથી, સગુણ સંત તે નિર્ગુણ બ્રહ્મની જ પ્રત્યક્ષ મૂર્તિ. આમ અખાના તત્ત્વવિચારમાં હરિ-ગુરુ-સંતનું એકત્વ રચાય છે. ત્રિગુણાતીત પરબ્રહ્મ માટેના ‘ત્રિગુણપતિ’ શબ્દમાં ગણપતિનો સમાવેશ કરી લેતું વિશિષ્ટ મંગલાચરણ યોજતી ‘અખે-ગીતા’માં વેદાંતી તત્ત્વવિચાર આત્મસાત્ થઈને રજૂ થયો છે. એમાં શાસ્ત્રીય કઠિનતા નહીંવત્ છે અને અખાની વાણી વીગતભર્યાં ચિત્રો સર્જતી, દૃષ્ટાંતોનું પૂર વહાવતી,અનેક વાક્છટાઓ પ્રયોજતી, માર્મિક શબ્દપ્રયોગો વણી લેતી અને પ્રસંગે ભાવવિભોર થતી, નિરંતરાય ગતિ કરે છે. કેટલાંક વિચારવલણો, ઉદ્ગારો અને દૃષ્ટાંતો પરત્વે અખાના પુરોગામી નરહરિની ‘જ્ઞાન-ગીતા’ ← અને ‘વસિષ્ઠસાર-ગીતા’ની છાયા ‘અખે-ગીતા’માં જોવી મુશ્કેલ નથી, તેમ છતાં, ઉમાશંકર જોશી કહે છે તેમ, “કોઈ ગુજરાતી કૃતિ અનુભવની ઉત્કટતા અને સ્પષ્ટતા - અને એને લીધે પ્રતીત થતી મૌલિકતા - વડે મંડિત હોઈ ભગવદ્ગીતાના કુળની એક સ્વતંત્ર ગીતા-રચના તરીકે સ્વીકારવાને પાત્ર હોય તો તે નિ:સંશય ‘અખે-ગીતા’ છે... ‘અખે-ગીતા’ એ ગુજરાતી તત્ત્વકવિતાનું એક ઉચ્ચ શિખર છે.” [જ.કો.]

અખેરાજ [ઈ.૧૭૯૨ સુધીમાં] : જૈન. માનતુંગસૂરિની મૂળ સંસ્કૃત રચના ‘ભક્તામરસ્તવન-વૃત્તિ’ પરના ૭૨૬ ગ્રંથાગ્રના બાલાવબોધકવિત(લે. ઈ.૧૭૯૨)ના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

અખેરામ [ઈ.૧૭૯૪માં હયાત] : ૧૦૦ કડીની ‘કલિયુગની ચોપાઈ’- (ર. ઈ.૧૭૯૪)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]

અખૈયો : જુઓ અખઈદાસ.

અગરચંદ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. હરખચંદના શિષ્ય સરૂપચંદના શિષ્ય. ‘રામદેવજીરો સલોકો’ (ર.ઈ. ૧૭૫૪) હિન્દી-રાજસ્થાનીમિશ્ર ભાષામાં ૧૦ ઢાલની ‘બ્રહ્મચર્યની નવ વાડ’ (ર. ઈ.૧૭૬૩/સં. ૧૮૧૯, ભાદરવા સુદ ૧૦; મુ.) અને ૨૩ કડીની ‘જંબુદ્વીપવર્ણનગર્ભિતસીમંધરજિન-સ્તવન’ (ર. ઈ.૧૭૬૫/સં. ૧૮૨૧, પોષ વદ ૨, બુધવાર; મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧ . જૈન વિવિધ ઢાલ સંગ્રહ, પ્ર. જેઠમલ ભૈ. શેઠિયા, ઈ.૧૯૨૩; ૨. પ્રવિસ્તસંગ્રહ. [કી.જો., શ્ર.ત્રિ.]

સંદર્ભ  : પ્રાકારૂપરંપરા.

અચલ [ ] : ૧૦ કડીના ‘ગણપતિ પહાડગતિછંદ’ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાઇ : ૧૯(૧). [કી.જો.]

અચલકીર્તિ [ઈ.૧૮૧૫ સુધીમાં] : જૈન સાધુ. ‘વિષાપહાર-સ્તોત્ર’ (લે. ઈ.૧૮૧૫)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી : ૧.

અચિંત્યાનંદ : જુઓ કૃષ્ણાનંદ.[શ્ર. ત્રિ.]

અજબકુંવરબાઈ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ]: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સ્ત્રીકવિ. ઈ. ૧૬૭૦ પછી ઔરંગઝેબના વ્રજ પર થયેલા આક્રમણને લીધે શ્રીનાથજી મેવાડ પધાર્યા તે પ્રસંગને અનુરૂપ કેટલાંક કાવ્યોનું સર્જન કરનારા કવિઓમાં તેઓ પણ એક હતાં. સંદર્ભ: પુગુસાહિત્યકારો.[શ્ર.ત્રિ.]

અજરામર [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : પદકવિ. મિયાગામ પાસેના કારવણના વતની. જ્ઞાતિએ રજપૂત. તે ઈ.૧૮૪૪માં કે ઈ.૧૮૬૦ આસપાસ હયાત હોવાનું જણાવાયું છે અને તે કલગી-તોરાવાળાના કુળના મનાયા છે. તેમના ૨૨ કડીના ‘મહાદેવજીનો છંદ/શંકર અને ભીલડીનું પદ’ (લે. ઈ.૧૭૯૦ પછીના અરસામાં; મુ.)માં ભીલડી વેશે પાર્વતીએ કરેલા મહાદેવના સમાધિભંગનું અને મહાદેવે કરેલા કામદહનનું વૃત્તાંત પ્રસાદિક શૈલીમાં નિરૂપાયું છે. કૃતિ : બૃકાદોહન : ૭ (+સં). સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.[ચ. શે.]

‘અજામિલાખ્યાન’ [૨. ઈ.૧૮૦૭/સં. ૧૮૬૩, ભાદરવા સુદ ૧૫, બુધવાર] : કાન્યકુબ્જનો મહાપાપી બ્રાહ્મણ અજામિલ અંતકાળે પોતાના પુત્ર નારાયણનું નામસ્મરણ કરીને અને એ રીતે ભગવતસ્મરણ થતાં ઈશ્વરકૃપાના ફળ રૂપે સ્વર્ગ પામ્યાનું કહેવાય છે. શ્રીમદ્ભાગવતમાંની આ આખ્યાયિકાનો આધાર લઈને દયારામે રામગ્રી, મેવાડો, દેશાખ, સિન્ધુ, ભીલડી, સોરઠો અને માલકૌંસ જેવા રાગો અને દેશીબંધોમાં ૯ કડવાંનું ‘અજામિલાખ્યાન’ (મુ.)રચ્યું છે. કથાનિરૂપણમાં રસદૃષ્ટિનો આશ્રય નહીંવત્ લેવાયો છે, પરંતુ ભાગવત ઉપરાંત ગીતા, પદ્મપુરાણ, પાંડવગીતા, વિષ્ણુપુરાણ વગેરેનાં સૂત્રોને ઉદ્ધૃત કરીને અપાયેલો વિસ્તૃત ભક્તિબોધ ધ્યાન ખેંચે એવો છે. [સુ. દ.]

અજિતચંદ [ઈ.૧૬૮૦માં હયાત] : તપ-ઉપકેશગચ્છના જૈન સાધુ. અમીચંદના શિષ્ય. ‘ચંદનમલયાગિરિ-રાસ’ (૨. ઈ.૧૬૮૦/સં. ૧૭૩૬, આસો સુદ ૧૦)ના કર્તા. કવિએ આ વિષય પર ૨ વખત કાવ્યરચના કર્યાનો પણ ઉલ્લેખ મળે છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૨. [શ્ર. ત્રિ.]

અજિતદેવસૂરિ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ચંદ્રગચ્છ-પલ્લીવાલગચ્છના જૈન સાધુ. મહેશ્વરસૂરિના પટ્ટધર. ‘સમકિતશીલસંવાદરાસ’ (૨. ઈ.૧૫૫૪), ‘ચંદનબાલા-વેલી’ અને ૧૬૮ કડીના ‘સુંદરરાજ-રાસ’ (૨.ઈ.૧૫૫૩/સં. ૧૬૦૯? - “નિધિઅંબરમિતવાસસંગાર”)ના કર્તા. રાજસ્થાની ભાષામાં ૧૨ કડીનું ‘શીલ-ગીત’ મળે છે. ‘સમકિતશીલસંવાદ-રાસ’ એ ‘શીલ-ગીત’નું જ વિસ્તૃત રૂપ હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ કવિની ‘કલ્પસૂત્ર-દીપિકા’ (૨. ઈ.૧૫૬૬), ‘પિંડવિશુદ્ધિ-દીપિકા’ (ર.ઈ.૧૫૭૧), ‘ઉત્તરાધ્યયન-ટીકા’ (ર.ઈ.૧૫૭૩),‘આચારાંગ-દીપિકા’ તથા ‘આરાધના’ એ સંસ્કૃત કૃતિઓ પણ મળે છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. કૅટલૉગગુરા; ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. મુપુગૂહસૂચી. [શ્ર. ત્રિ.]

અજિતપ્રભ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ચારિત્રસાગરના શિષ્ય. વિજયપ્રભસૂરિના આચાર્યકાળ (ઈ.૧૬૫૪ - ઈ.૧૬૯૩)માં રચાયેલ ૯ કડીની ‘વિજયપ્રભસૂરિ-સઝાય’ (મુ.) તથા ૭ કડીની ‘વિજયદેવસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧ (+સં.) [શ્ર. ત્રિ.]

અજિતસાગર [ ] જૈન સાધુ. ‘નેમિનાથ-ગીત’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી : ૨. [શ્ર. ત્રિ.]

‘અડવા વાણિયાનો વેશ’  : જુઓ ‘ઝંદા-ઝૂલણનો વેશ’.

અત્તરશાહ [ ] : યોગમાર્ગી મુસ્લિમ કવિ. સૂરજગરશિષ્ય. એમનાં મુદ્રિત ૨ ભજનોમાંથી ૧માં શરીરનું જંતરી તરીકે રૂપકાત્મક વર્ણન કર્યું છે અને યોગની પરિભાષામાં અલખનો અનુભવ આલેખ્યો છે. કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય. સં. ૨૦૦૨ (ત્રીજી આ.). [ર.ર.દ.]

અદેસંગ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ-મહારાજના સમકાલીન અને અનુયાયી. જ્ઞાનજિજ્ઞાસા અને ગુરુભક્તિવિષયક ૨ પદો(મુ.)ના કર્તા. કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિ સ્થાન, સં. ૧૯૯૩, સં. ૨૦૩૩ (ચોથી આ.) સંદર્ભ : પ્રાકકૃતિઓ. [ર.સો.]

અદ્ભુતાનંદ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ - અવ. ઈ.૧૮૭૩] : સ્વામિનારાયણસંપ્રદાયના સાધુ. ઝાલાવાડમાં કડવા પાટીદાર દશલાણિયા કુટુંબમાં જન્મ. મૂળ નામ કલ્યાણદાસ. પિતા સંધા પટેલ. માતા દેવુબાઈ.ઈ.૧૮૦૫માં સહજાનંદ સ્વામીને મળ્યા પછી, લગ્ન બાદ તુરત જ પોતાના મામા અજા પટેલ (પૂર્ણાનંદ) સાથે સહજાનંદ સ્વામી પાસે જ દીક્ષા. એમણે કહેલી ૨૨૩ વાતો (મુ.)માં સહજાનંદના જીવનપ્રસંગોનું અને એમની ચમત્કારપૂર્ણ લીલાઓનું આલેખન છે. અદ્ભુતાનંદને નામે ‘લીલા-ચરિત્ર’ નામની કૃતિનો ઉલ્લેખ મળે છે, જે ઉપર્યુક્ત કૃતિ જ હોવાની સંભાવના છે. કૃતિ : શ્રીહરિની અદ્ભુત વાતો (+સં.) સં. શાસ્ત્રી હરજીવનદાસ, ઈ.૧૯૭૩ સંદર્ભ : સદ્વિદ્યા, જાન્યુ. ૧૯૫૪ - ‘સત્સંગના સંતો’, રમણલાલ અં. ભટ્ટ.[હ.ત્રિ.]

અનંતકીર્તિ [ઈ.૧૬૦૭માં હયાત] : દિગંબર-મૂલસંઘના જૈન સાધુ. ‘ભવિષ્યદત્ત-ચોપાઈ’ (૨. ઈ.૧૬૦૭/સં. ૧૬૬૩, કારતક સુદ ૧૪)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧) [શ્ર.ત્રિ.]

અનંતસાગર [ ] : જૈન. ૧૧ કડીના ‘શાંતિનાથ-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

અનંતસુત : જુઓ ‘બાર માસ.’

અનંતહંસ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૬મી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરની પરંપરામાં જિનમાણિક્યગણિના શિષ્ય. ઈ.૧૪૭૭માં વાચક-પદ. એમની ઈડર સંબંધી ૪૬ કડીની ‘ઇલાપ્રાકારચૈત્યપરિપાટી’ (૨. ઈ.૧૫૧૪ લગભગ; *મુ.), ‘બારવ્રત-સઝાય’ અને ૩૪ કડીની ‘શત્રુંજયચૈત્યપરિપાટી’ એ કૃતિઓ મળે છે. તેમણે સંસ્કૃતમાં ‘દશદૃષ્ટાંત-ચરિત્ર (૨. ઈ.૧૫૧૫) અને અપભ્રંશમાં ‘અષ્ટાહ્નિકા-ચરિત્ર’ રચેલાં છે. કૃતિ : *જૈન કૉન્ફરન્સ હેરેલ્ડ, જાન્યુ. ૧૯૧૯. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩ (૧, ૨); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

અનંતહંસશિષ્ય : આ નામે ૧૧ કડીની ‘પ્રતિલેખના-કુલક’ (લે. ઈ.૧૫૪૬), ‘એકાદશગણધર-સ્તવન’ (લે.ઈ.૧૬૮૪) અને ૨૪ કડીની ‘મહાવીર-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.) એ કૃતિઓ નોંધાયેલી મળે છે. આ બધી કૃતિઓના કર્તા ઈ.૧૫૧૪માં થયેલા તપગચ્છના જૈન સાધુ અનંતહંસના શિષ્ય હોય તો તેમનો સમય ઈ.૧૬મી સદીનો ગણી શકાય. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

‘અનુભવબિંદુ’ : આ નામે જાણીતી થયેલી ૪૦ છપ્પાની અખાની રચના હસ્તપ્રતોમાં ‘છપ્પા’ તરીકે જ ઓળખાવાયેલી છે, પણ મહાઅનુભવ-પરબ્રહ્મના અનુભવના લગભગ એક જ તાર પર ચાલતી હોવાથી આ પ્રચલિત નામ પામી જણાય છે. ૪ ચરણ રોળાનાં (માત્ર પહેલા છપ્પામાં દુહાનાં) અને ૨ ચરણ ઉલ્લાલાનાં - એ જાતની છપ્પાની રૂઢ આકૃતિને આ છપ્પાઓ અનુસરે છે અને રોળાનાં ૪ ચરણમાં સામાન્ય રીતે આંતરપ્રાસને યોજે છે. “નિર્ગુણ ગુણપતિ” પરબ્રહ્મની સ્તુતિમાં ગણપતિનો નામનિર્દેશ કરી લેતું આ કૃતિનું મંગલાચરણ ‘અખે-ગીતા’ની જેમ અનોખું છે. કૃતિનો મુખ્ય વિષય છે પરબ્રહ્મસ્વરૂપવર્ણન. પંચમહાભૂતો, ૩ ગુણો, પુણ્યપાપ વગેરે સર્વ ભેદોથી પર પરબ્રહ્મને અખાજી ‘મહાશૂન્ય’ કહી આકાશ સાથે તેમ સૃષ્ટિથી અલગ અને નિરાલંબ રહેતા આકાશમાંના ચંદ્ર સાથે સરખાવે છે. પરબ્રહ્મના અનુભવને પારસના જેવો અક્ષય્ય અને અનળપંખીના જેવો અનન્ય દર્શાવે છે તેમ જ એ અનુભવદશાની રમણીયતા દર્શાવવા શરદઋતુનું કાવ્યમય વર્ણન યોજે છે. પરબ્રહ્મ અને જીવની ભિન્નતાનું મિથ્યાત્વ દર્શાવવા એ એક નવીન દૃષ્ટાંત આપે છે : સાગરનું પાણી પૃથ્વી પર વરસીને નદી નામ ધારણ કરે છે અને અંતે સાગરમાં ભળે છે તેમ જીવ એ મધ્યદશા છે, આદિમાં ને અંતે પરબ્રહ્મ જ છે. પરબ્રહ્મ માયાના કારણે જગતતત્ત્વ રૂપે ભાસે છે પણ તત્ત્વત: તે એક છે તે સમજાવવા કામમંદિર, નારીકુંજર અને પ્રૌઢ પર્વતનાં વિશિષ્ટ દૃષ્ટાંતચિત્રો યોજાયાં છે. ષડ્દર્શનજ્ઞાન, દાનવીરપણું, કીર્તિ, ત્રિકાલવેત્તાપણું વગેરે સિદ્ધિઓ દ્વારા માયા માણસોને મર્કટ બનાવે છે એમ કહી આખા-ભગત એ બધાની તેમ જ ગાનતાન, વર્ણાશ્રમધર્મ, યોગ, દેવપૂજા, કાયાકલેશ આદિની સાધનાને છાશ પીને પેટ ભરવા જેવી તુચ્છ અને બકરીના દુઝાણા, બોરના વેપાર, ધાણીના આહાર તથા ઝાકળની વૃષ્ટિ જેવી નિરર્થક ગણાવે છે. આધ્યાત્મજ્ઞાન એટલે કે લિંગભંગ એ પરબ્રહ્માપ્રાપ્તિનું આવશ્યક સાધન છે અને એ માટે સદ્ગુરુનું શરણ લેવાનું તેમ જ પોતે પોતાના ગુરુ થવાનું સૂચવે છે. થોડી કૂટ લાગતી આ કૃતિ અનુભવના સંક્ષિપ્ત સઘન ઉદ્ગાર, વિષયની ઊર્જિતતાને પ્રગટ કરતાં પ્રૌઢિયુક્ત દૃષ્ટાંતચિત્રો તેમ જ કેટલીક અસરકારક વાક્છટાઓને લીધે “ચિંતનરસનું ઘૂંટેલું એક મૌક્તિકબિંદુ” (ઉમાશંકર જોશી) બની રહે છે. [જ.કો.]

અનુભવાનંદ [ઈ.૧૭મી. સદી ઉત્તરાર્ધ - ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. એમની કૃતિઓમાં મળતી વીગતો મુજબ જૂનાગઢના નાગર. પૂર્વાશ્રમનું નામ ભવાનીદાસ. એ પછી નાથ-ભવાન નામ ધારણ કર્યું. સંન્યસ્ત પછી અનુભવાનંદ. અન્ય ચરિત્રાત્મક-વિવેચનાત્મક સંદર્ભો એમને વડનગરા નાગર ગૃહસ્થ અને સુંદરજી ઘોડા (ઘોડાદ્રા-ઘોડાદરના વતની)ના પુત્ર પણ ગણાવે છે. આ કવિની કૃતિઓ ઈ.૧૭૧૪થી ઈ.૧૭૩૩ સુધીનાં રચનાવર્ષો દેખાડે છે. એ મુજબ એમનો કવનકાળ ૧૮મી સદીનો પૂર્વાર્ધ ગણાય. પણ રચનાવર્ષોના નિર્દેશવાળી એમની મોટા ભાગની કૃતિઓ સંન્યસ્ત પછીની હોવાથી એમનો જીવનકાળ ૧૭મી સદીના ઉત્તરાર્ધમાં ખેંચી જઈ શકાય. પૂર્વાવસ્થામાં કવિ નાથ ભવાન શક્તિભક્ત પણ હતા. તે વખતે એમણે, “અંબાઆનનકમળ સોહામણું..” એ શબ્દોથી શરૂ થતો, ખૂબ જાણીતો થયેલો, અંબાનું ચિત્રાત્મક વર્ણન આપતો ને શક્તતંત્ર અનુસાર વિશ્વવ્યાપી ચિન્મયી શક્તિ તરીકે અંબાનું મહિમાગાન કરતો ૪૧ કડીનો ગરબો (મુ.) તથા અન્ય ગરબા, ગરબી અને પદો રચ્યાં છે. આ પૂર્વકાલીન કૃતિઓમાં પણ અધ્યાત્મભાવ ને વૈરાગ્યબોધનું નિરૂપણ તો કવિએ કરેલું જ છે. એમનાં અધ્યાત્મનાં કેટલાંક પદો તથા જ્ઞાનવૈરાગ્યબોધક ૮૭ કડીની કૃતિ ‘બ્રહ્મવિલાસ’ (૨. ઈ.૧૭૧૪/સં. ૧૭૭૦, ફાગણ વદ ૭, ગુરુવાર; મુ.) ‘નાથ-ભવાન’ છાપ દર્શાવે છે. એથી એ કૃતિઓ સંન્યસ્ત પૂર્વેની હોવાનું અનુમાન થઈ શકે. ઉત્તરોત્તર કવિ અદ્વૈતવિચાર અને વેદાંત-અભ્યાસ તરફ ઢળતા ગયા જણાય છે. સંન્યસ્ત પછીની, ‘અનુભવાનંદ’ છાપ દેખાડતી પદાદિ લઘુકૃતિઓ તેમ જ અનુવાદ કે સારરૂપ લાંબી કૃતિઓ જ્ઞાનમાર્ગી કવિતાનાં લક્ષણો ધરાવે છે. ‘શિવ-ગીતા’ (૨. ઈ.૧૭૩૨/સં. ૧૭૮૮, આસો વદ ૧૧, મંગળવાર; મુ.), ‘બ્રહ્મ-ગીતા’ (૨. ઈ.૧૭૩૩/સં. ૧૭૮૯, શ્રાવણ સુદ ૧૩, રવિવાર;મુ.) અને વિષ્ણુપદ નામે ઓળખાવાયેલાં અધ્યાત્મ વિષયક પદો (૧૯૬ જેટલાં ગણાવાયેલાંમાંથી ૧૧૯ મુ.) એ અનુભાવનંદની મહત્ત્વની કૃતિઓ છે. ‘શિવ-ગીતા’ વિશે રામને કરેલા તત્ત્વબોધને વિષય કરતી પદ્મપુરાણમાંની શિવગીતાનો અધ્યાયાનુસારી પણ મુક્ત અનુવાદ છે. શિવનો વિભૂતિયોગ, વિશ્વરૂપદર્શન, જીવસ્વરૂપવર્ણન, મુક્તિલક્ષણ, ભક્તિમહિમા આદિ વિશેના ૧૬ અધ્યાયોની આ કૃતિમાં અધ્યાત્મના ગહન-સંકુલ વિષયનું કવિએ ઘણું સરળ અને વિશદ નિરૂપણ કર્યું છે. પ્રાસાનુપ્રાસયુક્ત પદ્ય અને મરહઠ્ઠા છંદના વિનિયોગમાં પણ કવિની વિશેષતા પ્રતીત થાય છે. ‘બ્રહ્મગીતા’ બ્રહ્માએ સર્વ દેવોને કરેલા બ્રહ્મરહસ્યબોધ વિશેના, સ્કંદપુરાણાંતર્ગત વેદાન્તગ્રંથ બ્રહ્મગીતાના બારે અધ્યાયોનો ચોપાઈની ૭૦૦ જેટલી કડીઓમાં અનુભવાનંદે કરેલો સરળ અનુવાદ છે. હિંદી ભાષામાં પણ મળતાં, વિવિધ રાગ-ઢાળોનો વિનિયોગ કરતાં અને હોરી વગેરે કાવ્યસ્વરૂપોમાં વહેતાં અનુભવાનંદનાં પદો ← માં જ્ઞાનમાર્ગી કવિતાધારાના સઘળા વિષયો આલેખાયા છે ને બ્રહ્મતત્ત્વ તથા એના અનુભવનો આનંદ કેટલાંક નવાં દૃષ્ટાંતો-રૂપકોની ને સ્ત્રી-પુરુષ-પ્રણયસંબંધનાં સાદૃશ્યોની મદદથી હૃદયંગમ અભિવ્યક્તિ પામ્યાં છે. આ ઉપરાંત અદ્વૈતવિષયક ‘વિવેકશિરોમણિ’ (૨. ઈ.૧૭૩૧), ૧૬૨ કડીનો ‘આત્મસ્તવન-છંદ’ (૨. ઈ.૧૭૩૨), ૭૭ કડીનું ‘આત્મ-સ્તવન’ (૨. ઈ.૧૭૩૩), ‘ચાતુરીઓ’ (૨. ઈ.૧૭૩૩/સં. ૧૭૮૯, શ્રાવણ વદ ૧૦, ગુરુવાર), રાધાજીનો, વિમલનો, હવ્યકવ્યનો આદિ ગરબા, ‘બ્રહ્મ-સંહિતા’નો અનુવાદ, ૫૦૪ કડીની કૃષ્ણલીલાવિષયક કૃતિ ‘ભાગવતસાર’, ૪૧ કડીની ‘વિષ્ણુવિચાર’ તથા ‘શ્રીધરી-ગીતા’ એ કૃતિઓ પણ અનુભવાનંદને નામે નોંધાયેલી છે. અનુભવાનંદને નામે નોંધાયેલી ૪૧ કડીની ‘અંબાજીની સ્તુતિ/ચિદ્શક્તિવિલાસ’ (૨. ઈ.૧૭૨૫) એ પૂર્વનિર્દિષ્ટ અંબાજીનો ગરબો હોવા સંભવ છે. અલબત્ત મુદ્રિત કૃતિ રચનાવર્ષ દર્શાવતી નથી. ‘નાથ ભવાન’ને નામે નોંધાયેલી આ કવિની ‘આધ્યાત્મિક-રામાયણ’ (ર.ઈ. ૧૭૪૪/સં. ૧૮૦૦, શ્રાવણ વદ ૧૪, શનિવાર) તથા ૨૮ કડીની ‘રામગીતા’ એ કૃતિઓ પણ મળે છે. આ સિવાયની, નાથ ભાવન/અનુભવાનંદને નામે કેટલાક સંદર્ભોએ દર્શાવેલી, પદાદિ થોડીક મુદ્રિત કૃતિઓ અન્ય કવિઓની છે. જુઓ ‘ભવાન’, ‘નાથજી.’ કૃતિ : ૧. જ્ઞાનગંગોદક અનુભવાનંદનાં પદો, સં. સુરેશ જોષી, ઈ.૧૯૭૭ (+સં); ૨. બ્રહ્મગીતા, પ્ર. આદિતરામ સ. પારધી, ઈ.૧૯૦૬;  ૩. પ્રાકાસુધા : ૨;  ૪. પ્રાકાત્રૈમાસિક, અં. ૨ ઈ.૧૮૯૨ - ‘શિવગીતા’; ૫. સાહિત્ય, એપ્રિલ-ઑક્ટો. ૧૯૧૬ - ‘અંબાઆનનનો ગરબો,’ સં. મોતીલાલ ૨. ઘોડા; ૬. સત્સંદેશ, ડિસે. ૧૯૫૨ - ‘અંબામાતાજીનો ગરબો.’ સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસાસ્વરૂપો; ૬. ગૂહાયાદી; ૭. ગુહિવાણી; ૮. ડિકૅટલા(૧૧૨)ગબીજે; ૯. નચિકેતા-, દેવત્ત જોશી; ૧૦. પ્રાકકૃતિઓ, ૧૧. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ ઈ.પંડ્યા, ઈ.૧૯૬૮; ૧૨. શાક્ત સંપ્રદાય, નર્મદાશંકર દે. મહેતા, ઈ.૧૯૩૨;  ૧૩. બુદ્ધિપ્રકાશ, જૂન ૧૯૩૦ - ‘જૂનાગઢના ભક્ત કવિ શ્રી નાથ ભવાન (ઉર્ફે) અનુભવાનંદ સ્વામી’, મોતીલાલ ૨. ઘોડા.  ૧૪. ફૉહનામાવલિ.[ર.સો. શ્ર.ત્રિ.]

અનોપચંદ [ઈ.૧૭૬૯માં હયાત] : ખરતગચ્છના જૈન સાધુ. ક્ષમાપ્રમોદના શિષ્ય. હિન્દી-રાજસ્થાનીમિશ્ર ગુજરાતીમાં ‘ગોડીપાર્શ્વબૃહત્-સ્તવન/ગૌડીપાર્શ્વજન-અષ્ટઢાલો’ (૨. ઈ.૧૭૬૯/સં. ૧૮૨૫, ચૌત્ર સુદ ૫; મુ.)ના કર્તા. કૃતિ : આદિનાથ વિવાહલો, પ્ર. શેઠ જવાહરલાલજી જૈન, ઈ.૧૯૧૯. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]

અનોપચંદશિષ્ય [ઈ.૧૮૧૬માં હયાત] : જૈન. ‘માનતુંગમાનવતીસંબંધ-ચોપાઈ’ (૨. ઈ.૧૮૧૬/સં. ૧૮૭૨, માગશર સુદ ૧૩)ના કર્તા. ઈ.૧૭૬૯માં થયેલા ખરતરગચ્છના અનોપચંદના શિષ્ય હોવાનું વિચારણીય. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]

અનોપમચંદ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનલાભ (રાજ્યકાળ ઈ.૧૭૪૮ - ઈ.૧૭૭૮)ના શિષ્ય. ૫ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : અરત્નસાર. [શ્ર.ત્રિ.]

અનોપસિંહ [ઈ.૧૮૫૯ સુધીમાં] : જૈન સાધુ. ‘માનતુંગમાનવતીરાસ’ (લે. ઈ.૧૮૫૯)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી : ૨.[શ્ર.ત્રિ.]

અબ્દુલનબી [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : દેલમી ઉપદેશક પરંપરાના પીર. શિયા ઇમામી ઇસ્માઇલી નિઝારી શાખાના ૪૦મા ઇમામ નિઝાર (ઈ.૧૫૮૫-ઈ.૧૬૨૮)ના સમકાલીન. સુરત પાસે કાકરખાડીમાં એમની મઝાર આવેલ છે. એમનાં ૯ અને ૧૦ કડીનાં ૨ ‘ગિનાન’ (મુ.)મળે છે. કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪. સંદર્ભ : નૂરમ મુવિન, જાફરઅલી મોહમદ સૂફી દ્વારા સંશોધિત ત્રીજી આ; ઈ.૧૯૫૧. [પ્યા.કે.]

અભય : આ નામે ૩ કડીનું કેદારા રાગનું સ્તવન (મુ.) મળે છે તેના કર્તા કયા અભય છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : જૈકાપ્રકાશ : ૧. [વ.દ.]

અભયકુશલ [ઈ.૧૬૮૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં પુણ્યહર્ષના શિષ્ય, ૨૭ ઢાળની ‘ઋષભદત્તરૂપવતી-ચોપાઈ’ (૨. ઈ.૧૬૮૧/સં. ૧૭૩૭, ફાગણ સુદ ૧૦), પુણ્યહર્ષના અનશનપૂર્વક સ્વર્ગગમન પછી રચાયેલા સ્તૂપ અને થયેલ પ્રતિષ્ઠા-ઉત્સવની માહિતી આપતી ૮ કડીની ‘પુણ્યહર્ષ-ગીત’ અને હિન્દી-રાજસ્થાનીમાં ૫૬ કડીની ‘વિવાહપટલભાષા/વિવાહવિધિવાદ-ચોપાઈ’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ - ‘કતિપય ઐતિહાસિક ગીતોંકા સાર’, અગરચંદ નાહટા;  ૨. જૈગૂકવિઓ : ૩ (૨); ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

અભયતિલક [ઈ.૧૩મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનપતિસૂરિના પટ્ટધર જિનેશ્વરસૂરિના શિષ્ય. ઈ.૧૨૩૫માં દીક્ષા, ઈ.૧૨૬૩માં ઉપાધ્યાયપદ. અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં રચાયેલ ૨૧ કડીના ‘મહાવીર-રાસ/વીર-રાસ’ (મુ.)ના કર્તા. આ કાવ્ય ઈ.૧૨૫૧/૧૨૬૧માં જિનેશ્વરસૂરિએ ભીમપલ્લીના મંડલિકવિહારમાં વીરપ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી એના મહોત્સવને વર્ણવે છે એ તે અરસાની જ રચના જણાય છે. આ કવિએ સંસ્કૃતમાં ‘દ્વયાશ્રયકાવ્ય-વૃત્તિ’ પર ટીકા (૨. ઈ.૧૨૫૬), ‘ન્યાયાલંકારટિપ્પન’ અને ‘વાદસ્થલ’ એ કૃતિઓ પણ રચી છે. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ (+સં); ૨. પ્રાગુકાસંચય (+સં); ૩. જૈનયુગ, કાર્તિક અને માગશર ૧૯૮૩ - ‘વીરરાસ’, સં. લાલચંદ્ર ભ. ગાંધી. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [વ.દ.]

અભયધર્મ [ઈ.૧૫૨૩માં હયાત] : જૈન સાધુ. ‘દશદૃષ્ટાંતવિસ્તર’ - (૨. ઈ.૧૫૨૩)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી : ૨. [શ્ર.ત્રિ.]

અભયરાજ/અભેરાજ [ ] : સંભવત: લોકાગચ્છ જૈન સાધુ. ૧૬ કડીની ‘પંચવર્ણા ચોવીસ જિનવરોનું સ્તવન’, ૧૩ કડીની લોકભોગ્ય દૃષ્ટાંતોથી ધ્યાન ખેંચતી ઉપદેશાત્મક ‘નરભવરત્નચિંતામણિની સઝાય’ અને ૪ ભાસના ‘સંભવનાથસ્તવન’ (બધી મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસસંગ્રહ (જૈ); ૨. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧. સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૩. લોંપ્રપ્રકરણ; ૪. સઝાયમાલા : ૧-૨ (જા). [વ.દ.]

અભયસોમ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સાતમા જિનચંદ્રસૂરિના શિષ્ય સોમસુંદરસૂરિના શિષ્ય. ‘વૈદર્ભીચોપાઈ’ (૨. ઈ.૧૬૫૫/સં. ૧૭૧૧, ચૈત્ર સુદ ૧૫), ‘જયન્તીસંધિ’ (૨. ઈ.૧૬૬૫), ૨૮૮ કડીની રચના ‘વિક્રમચરિત્રખાપરા-ચોપાઈ’ (૨. ઈ.૧૬૬૭/સં. ૧૭૨૩, જેઠ -), ૩૧૯ કડીની રચના ‘ચોબોલીલીલાવતી-ચોપાઈ/વિક્રમચરિત-લીલાવતી-ચોપાઈ’ (૨. ઈ.૧૬૬૮/સં. ૧૭૨૪, પ્રથમ અસાડ વદ ૧૦), દુહા-દેશીબદ્ધ ૧૪ ઢાળ અને ૩૦૦ કડીની, પોતાનું પાદપ્રક્ષાલન કરે તેને પોતે પરણશે એવું કહેતી અને માનતુંગરાજાને પરણી પોતાના ચાતુર્યથી એ વચન સિદ્ધ કરી બતાવતી માનવતીનું વૃત્તાંત વર્ણવતી, ‘માનતુંગમાનવતીચોપાઈ/રાસ’ (૨. ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, અસાડ સુદ ૨, ગુરુવાર; મુ.) ‘વસ્તુપાલતેજપાલ-ચોપાઈ’ (૨. ઈ.૧૬૭૩/સં. ૧૭૨૯, શ્રાવણ-)તથા ૭ કડીના ‘(ફલવર્ધી) પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. અભયસોમને નામે ‘કર-સંવાદ’ (૨. ઈ.૧૬૯૧/સં. ૧૭૪૭, વૈશાખ સુદ ૩) નોંધાયેલી છે તે આ કવિની જ કૃતિ હોવાનો સંભવ છે. કૃતિ : રાજસ્થાનભારતી, ભા. ૧૨ અં. ૧ - ‘કવિ અભયસોમ વિરચિત માનતુંગ માનવતી ચોપાઈ’, સં. કનુભાઈ વ્ર. શેઠ. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૬ - ‘જૈન કવિયોંકી ‘સંવાદ’ સંજ્ઞક રચનાએં’, અગરચંદ નાહટા;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]

અભરામ(બાવા) [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ] : મુસ્લિમ કવિ. પરિયેજ(તા. ભરૂચ)ના રહેવાસી. પીર કાયમુદ્દીનના (અવ. ઈ.સ. ૧૭૭૩) શિષ્ય. એમણે ગુજરાતી, હિન્દી તેમ જ ઉર્દૂમાં રચનાઓ કરી હોવાની માહિતી મળે છે. એમની, ‘કલામ’ને નામે ઓળખાતાં ભજન, ગરબો અને સાખી જેવા કાવ્યપ્રકારોમાંની, મુખ્યત્વે ગુજરાતી અને થોડી હિંદી રચનાઓ છપાયેલી જોવા મળે છે, જેમાં યોગ, અદ્વૈતવાદ, પ્રેમલક્ષણાભક્તિ વગેરે હિન્દુ પરંપરાનાં તત્ત્વો મિશ્ર રૂપે ઝિલાયાં છે. ગુરુભક્તિ, પ્રભુપ્રેમ અને સાધુ-આચાર જેવા વિષયો આ કૃતિઓમાં કેટલી વાર રૂપકોની તો કેટલીક વાર લોકબાનીની મદદથી અસરકારક રીતે નિરૂપાયા છે. આ કૃતિઓ પરત્વે થયેલા રાગોના ઉલ્લેખો એમની સંગીતક્ષમતાનો પણ નિર્દેશ કરે છે. કૃતિ : ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯ (+સં.). [ર.ર.દ., કી.જો.]

‘અભિમન્યુ-આખ્યાન’ [ર. ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, શ્રાવણ સુદ ૨] : અભિમન્યુવિષયક ગુજરાતી આખ્યાન-પરંપરામાં પ્રેમાનંદનું ‘અભિમન્યુઆખ્યાન’ (મુ.) એના કાવ્યગુણથી સૌથી વધુ નોંધપાત્ર બને છે. ૧૦૩૫ ચોપાઈ, ૧૭ રાગ અને ૩૬ ચાલનો નિર્દેશ ધરાવતી, ૫૧ કડવાંની આ કૃતિમાં અભિમન્યુના અહિલોચન અસુર તરીકેના પૂર્વભવનું વૃત્તાંત ગુજરાતી આખ્યાનોમાં સૌથી વધારે વિસ્તારથી ૨૦ કડવાં સુધી, વર્ણવાયું છે અને એમાં કવિએ અહિલોચનની માતાના વાત્સલ્યભાવ જેવા કૌટુંબિક અને અન્ય તળપદા ભાવો ગૂંથવાની તક લીધી છે. કૃષ્ણના અભિમન્યુ પ્રત્યેના વેરનો તંતુ અહીં અનેક પ્રસંગોથી બહેલાવીને રજૂ થયો છે. એમાં કૃષ્ણનું ચરિત્ર એના કપટ-ચાતુર્યને કારણે હીણું લાગે અને અભિમન્યુનું ચરિત્ર એના નિર્વ્યાજ વીરત્વને કારણે ગૌરવવંતું લાગે એવી સ્થિતિ થઈ છે. કૃષ્ણના આ પ્રકારના ચરિત્રના આલેખનમાં તેમ જ ભીમ, દ્રૌપદી વગેરેનાં કેટલાંક પ્રાકૃત લોકાનુસારી વર્તનોમાં પ્રેમાનંદની જનમનરંજનની દૃષ્ટિ દેખાઈ આવે છે. અભિમન્યુના ગર્ભપ્રવેશથી લગ્ન સુધીનો કથાભાગ પણ અહીં વિસ્તારપૂર્વક નિરૂપાયો છે, અને એમાં પ્રસૂતિ, મોસાળું, સામૈયું વગેરે પ્રસંગોના ગુજરાતી વ્યવહારોના ચિત્રણને પણ મોકળાશથી અવકાશ મળ્યો છે. અહિલોચન અને શુક્રાચાર્યવેષી કૃષ્ણના મિલનપ્રસંગને પ્રેમાનંદે અસાધારણ નાટ્યાત્મકતાથી ખીલવીને મૂક્યો છે તો કૃષ્ણે સુભદ્રાને સાચવવા આપેલી પેટીમાં શું છે તે જાણવા ઉત્સુક ભાભીઓનાં વિચાર-વર્તનના નર્મમર્મપૂર્ણ આલેખનમાં એમની જનસ્વભાવની ઊંડી સૂઝ પ્રગટ થાય છે. પ્રતાપી અહિલોચન અને દીન શુક્રાચાર્યની સાવ ભિન્ન પ્રકારની છબીઓ પણ કવિ એકસરખી ક્ષમતાથી તાદૃશ કરી આપે છે. યુદ્ધપ્રસંગો રૂઢ શૈલીએ વર્ણવાયા છે, પરંતુ કૌરવ સૈન્ય વચ્ચે ફસાયેલા એ છેવટે મૃત્યુને વરતા કિશોરવીર અભિમન્યુનું “બહુ પારધીએ પોપટ વીંટ્યો” અને “ભાંગ્યો ચંપાનો છોડ” વગેરે ઉપમાદિ અલંકારોથી લાક્ષણિક ચિત્રણ કરી આપવામાં પ્રેમાનંદને મળેલી સફળતા ધ્યાન ખેંચે એવી છે. આમ છતાં આ આખ્યાનમાં વસ્તુપ્રવાહ મંદ બન્યો છે અને આખ્યાનની આકૃતિ સંપૂર્ણત: સિદ્ધ થઈ નથી. આ આખ્યાનની ૨. સં. ૧૭૨૭ અને ૧૭૨૮ બંને મળે છે, પરંતુ ૧૭૨૭ને વધારે હસ્તપ્રતોનો ટેકો છે. [ર.ર.દ.]

‘અભિમન્યુનો રાસડો’ : કંઠસ્થ લોકસાહિત્યમાં મળતી આ કથનાત્મક કૃતિ (મુ.) ૫૦ જેટલી કડીએ અધૂરી રહી કથાપ્રસંગો પરત્વે ગુજરાતી આખ્યાન-પરંપરાનું અનુસંધાન જાળવે છે. કૃતિ સુગેય ઢાળોના વૈવિધ્યથી તેમ જ મહત્ત્વના પ્રસંગબિંદુઓને માર્મિક સંવાદો ને પાત્રોદ્ગારોથી બહેલાવી કથાને વેગપૂર્વક આગળ લઈ જવાની લોકકાવ્યની લાક્ષણિક શૈલીથી ધ્યાન ખેંચે છે. કૃતિ : ૧. (કવિ તાપીદાસકૃત) અભિમન્યુ-આખ્યાન તથા અભિમન્યુનું લોકસાહિત્ય, સં. મંજુલાલ ૨. મજમુદાર, ઈ.૧૯૨૫; ૨. (કવિ પ્રેમાનંદકૃત) અભિમન્યુ-આખ્યાન, સં. ચિમનલાલ શિ. ત્રિવેદી, રતિલાલ સાં. નાયક, ઈ.૧૯૬૭ (બીજી આ.); ૩. ગુજરાતી લોકસાહિત્યમાળા : ૩, સં. મંજુલાલ ૨. મજમુદાર તથા અન્ય, ઈ.૧૯૬૩. [ર.સો.]

‘અભિવન-ઊઝણું’ : દેહલની આ કૃતિ (મુ.) કડવાબંધના અભાવને કારણે તથા એના ભાષાસ્વરૂપને આધારે ગુજરાતીનાં અભિમન્યુવિષયક કાવ્યોમાં નાકર પૂર્વેનું અને સંભવત: સૌથી જૂનું આખ્યાન મનાયું છે. મહાભારતના મૂળ વૃત્તાંતમાં ગુજરાતી આખ્યાન-પરંપરા જે કેટલોક મહત્ત્વનો કથાભેદ બતાવે છે - અભિમન્યુનો અસુર અહિલોચન તરીકેનો પૂર્વાવતાર, અભિમન્યુ અસુરનો અવતાર હોવાથી એને ઉત્તરાથી વિમુખ કરવાની અને મરાવી નાખવાની કૃષ્ણની યુક્તિઓ વગેરે - તે દેહલમાંથી જ આપણને જોવા મળે છે. એથી આ લોકપ્રચલિત કથાઘટકો હોવાનું સમજાય છે. ચોપાઈ, ચરણાકુળ અને દોહરાની દેશીના પદબંધવાળા ૪૦૬ કડીના આ આખ્યાનમાં ઉત્તરાના આણા (‘ઊઝણું’)નો પ્રસંગ, કૃતિનામને સાર્થક કરે એવા વિસ્તારથી, ૨૦૦ ઉપરાંત કડીમાં આલેખાયો છે. એમાં કેટલાક રસપ્રદ અંશો છે તે ઉપરાંત, આ સઘળા ઉમેરા ને ફેરફારોથી મહાભારતની વીરસપ્રધાન અભિમન્યુકથા કરુણરસપ્રધાન બને છે. કેટલાંક પ્રસંગવર્ણનો ને પાત્રસંવાદોમાં કવિના કૌશલનો પરિચય થાય છે તેમ જ કર્મફળ, જ્યોતિષ, સ્વપ્ન, અપશુકન, પૂર્વજન્મ જેવી માન્યતાઓ અને ચમત્કારોના તથા સમકાલીન લોકાચારોના નિરૂપણે કૃતિને મનોરંજક બનાવી છે. પ્રસંગાલેખન પરત્વે પાછળની આખ્યાનકૃતિઓ પર આ કૃતિનો ઠીકઠીક પ્રભાવ પડેલો જણાય છે. [ર.સો.]

અભેરાજ : જુઓ અભયરાજ. અમથારામ[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સુરતના વતની. રાણા હોવાનું કહેવાય છે. તત્ત્વજ્ઞાનથી ભરપૂર ગરબીઓ અને પદો-(અંશત: મુ.)ના કર્તા. કેટલાંક પદોમાં તેમણે કાશીરામ પ્રત્યે જ્ઞાનાલાપ કર્યો છે. દેવીના ઉપાસક હોવાને કારણે ક્યારેક ‘અમથાભવાની’ નામ પણ મળે છે. સંદર્ભ : ૧. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯, ‘સુરતના કેટલાક સંતો અને ભક્તકવિઓ’, માણેકલાલ શં. રાણા; ૨. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો.-ડિસે. ૧૯૩૯ − ‘કવિ અમથારામ અને તેનાં સુપ્રસિદ્ધ પદો’, માણેકલાલ શં. રાણા. [પા.માં.] અમર/અમર(મુનિ) : અમરને નામે ૬ કડીની ‘મેઘકુમાર-સઝાય’ (મુ.) અને અમર-મુનિને નામે ૫ કડીની ‘દેવકુમાર-સઝાય’ (લે. ઈ.૧૮૧૩) એ જૈન કૃતિઓ મળે છે, પણ આ અમર/અમર-મુનિ કયા છે તે નક્કી થઈ શક્તું નથી. અમરને નામે કેટલાંક પદ નોંધાયેલાં છે તે કોઈ જૈનેતર કવિ જણાય છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. સસંપમાહાત્મ્ય. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [કા.શા.]

અમરકીર્તિ(સૂરિ) [ઈ.૧૬૨૧માં હયાત] : જૈન સાધુ. ભૂલથી અમિતગતિ દિગંબર જૈનાચાર્યના પ્રશિષ્ય ગણાવાયેલા આ કર્તા હકીકતે નાગોરી તપગચ્છના રત્નેશખરસૂરિની પરંપરાના હર્ષકીર્તિના ગુરુબંધુ માનકીર્તિસૂરિના શિષ્ય છે. ઈ.૧૬૨૧માં તેમણે ‘સૌંદર્યલહરીસટીક’ની પ્રત લખી હતી. એમણે હર્ષકીર્તિસૂરિના સંસ્કૃત ગ્રંથ ‘યોગચિંતામણિ’ પર તથા રત્નશેખરસૂરિના પ્રાકૃત ગ્રંથ ‘છંદકોશ’ પર (બંનેની લે. સં. ૧૮મી સદી અનુ.) બાલાવબોધ રચ્યો છે. તેમણે સંસ્કૃતમાં ‘સંબોધસિત્તરી’ પર ટીકા કરેલી છે. અમરકીર્તિને નામે મળતી ૩૮ કડીની ‘ખેમઋષિપારણું-સઝાય’ (લે. ઈ.૧૭૨૯)ના કર્તા પણ કદાચ આ કવિ હોય. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૨. મુપુગૂહસૂચી. [કા.શા.]

અમરચંદ/અમરચંદ્ર/અમરચંદ્ર(સૂરિ) : અમરચંદ્રને નામે ૩ પાર્શ્વનાથાદિ સ્તુતિઓ, ૧૬ કડીની ‘સીમંધરસ્વામીવિનંતી’ અને ૫ કડીની ‘નેમિ-ગીત’ અને અમરચંદ્રસૂરિને નામે ૭૦૦૦ ગ્રંથાગ્રની ‘રાજપ્રશ્નીયોપાંગસૂત્ર-સ્તબક’ (લે. ઈ.૧૮૨૯) એ કૃતિઓ મળે છે. આ અમરચંદ્ર કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. અમરચંદને નામે એક હિંદી સ્તુતિ (મુ.) મળે છે, તે કોઈ અર્વાચીન કવિ પણ હોય. કૃતિ : જૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]

અમરચંદ્ર-૧/અમર(મુનિ) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનના ગુરુબંધુ સહજકુશલની પરંપરામાં શાંતિચંદ્રના શિષ્ય. ૨૮૦ કડીની ‘કુલધ્વજકુમાર-રાસ’ (૨. ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, મહા સુદ ૧૫, રવિવાર), ૬૧ કડીની ‘રામસીતા-લેખ/ સીતાવિરહ’ (૨. ઈ.૧૬૨૩/સં. ૧૬૭૯, અધિક અસાડ સુદ ૧૫), ૮ કડીની ‘ગુરુ-સઝાય’, ૯ કડીની ‘નારીપરિહારશિખામણ-સઝાય/સ્ત્રીરાગત્યજન-સઝાય’, ૭ કડીની ‘(ભટેવાચાણસ્મામંડન) પાર્શ્વનાથ-સ્તવન’ તથા ૧૬ કડીની ‘યુગપ્રધાનસંખ્યા-સઝાય’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : પસમુચ્ચય : ૨. સંદર્ભ : ૧. જૈગકવિઓ : ૧; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [કા.શા.]

અમરચંદ-૨[ઈ.૧૬૮૯માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. અમરસાગરસૂરિની પરંપરામાં મુનિચંદના શિષ્ય. વિદ્યાવિલાસનું જાણીતું કથાનક ઝડપી ગતિએ રજૂ કરતી ૩ ખંડની દુહા-દેશીબદ્ધ પદ્યવાર્તા ‘વિદ્યાવિલાસ-ચારિત્ર/પવાડો’ (૨. ઈ.૧૬૮૯/સં. ૧૭૪૫, ભાદરવા સુદ ૮, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : વિદ્યાવિલાસ, પ્ર. ખીઅસિંહ પ્રે. શાહ, ઈ.૧૯૧૫. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨).[કા.શા.]

અમરચંદ-૩ [ઈ.૧૯મી સદી] : વહતડી(ઝાલાવાડ)ના દશા શ્રીમાળી વણિક. સ્વામિનારાયણસંપ્રદાયના અનુયાયી. હોકો વગેરે કલિયુગનાં વ્યસનો વિશેના ૧૮ કુંડળિયા(મુ.)ના કર્તા. કૃતિ : છંદરત્નાવલિ, પ્ર. વિહારીલાલજી મહારાજ, સં. ૧૯૪૧ (+સં.).[હ.ત્રિ.]

અમરબાઈ[ઈ.૧૮મી સદી] : જ્ઞાતિએ આહીર. પીઠડિયા કે મૂંજિયાસરનાં રહીશ ગણાવાયાં છે. તેઓ યુવાવસ્થામાં જ પરબવાવડીના સંત દેવીદાસથી પ્રભાવિત થઈ તેમનાં શિષ્યા બનેલાં, અને રક્તપિત્તિયાંની સેવાનો ધર્મ સ્વીકારેલો. એમનાં ગુરુભક્તિનાં ૫ પદો મુદ્રિત મળે છે. કૃતિ : પુરાતન જ્યોત, ઝવેરચંદ મેઘાણી, *ઈ.૧૯૩૮, ઈ.૧૯૭૫(+સં.). [કી.જો.]

અમરરત્ન(સૂરિ) [ ] : ૬૮ કડીના ‘ચતુ:પર્વીકુલક’ (લે. સં. ૧૭મી સદી)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]

અમરરત્ન(સૂરિ)શિષ્ય [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] :આગમગચ્છના જૈન સાધુ. આંતરયમકવાળા દુહામાં રચાયેલા ‘અમરરત્નસૂરિ-ફાગુ’(મુ.)ના કર્તા. આચાર્ય અમરરત્નસૂરિને ઈ.૧૪૫૭માં સૂરિપદ આપવામાં આવ્યું ત્યારે કે પછી તેમની હયાતીમાં રચાયેલું આ કાવ્ય એ સૂરિનો મહિમા અને પ્રભાવ વર્ણવે છે.અમરરત્નસૂરિના ગુરુ હેમરત્નસૂરિ વિશેનું ૧ ફાગુકાવ્ય મળે છે. તેનાં પદબંધ અને શૈલી આ કાવ્યનાં જેવાં જ છે; તેથી બન્નેના કર્તા એક હોવાની સંભાવના ઊભી થાય છે. જુઓ હેમરત્નસૂરિશિષ્ય. કૃતિ : ૧ પંદરમા શતકનાં ચાર ફાગુકાવયો, સં. કાંતિલાલ બ. વ્યાસ, ઈ.૧૯૫૫; ૨. પ્રાફાગુસંગ્રહ. [કી.જો.]

અમરવિજય : આ નામે મળતી કૃતિઓમાંથી ૭ કડીની ‘ઋષભજિન-સ્તવન’, ‘રત્નપાળ-રાસ’ (લે. ઈ.૧૭૦૬;) અને ‘દશાર્ણભદ્ર-સઝાય’ (લે. ઈ.૧૮૦૨)ના કર્તા કયા અમરવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ૧૧ કડીની ‘સીમંધરસ્વામી-સ્તવન’(ર. ઈ.૧૭૫૮)ના કર્તા અમરવિજય-૫ હોવાની શક્યતા   છે. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૦ - ‘બાલાપુર ત્યાં સુરક્ષિત જૈન સાહિત્ય’, કાંતિસાગરજી;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]

અમરવિજય-૧ [ઈ.૧૬૫૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદસૂરિ-વિજયરાજસૂરિના શિષ્ય. ‘શ્રેયાંસજિન-સ્તવન’ (૨. ઈ.૧૬૫૮) અને ‘પાર્શ્વનાથ-સ્તુતિ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ; ૨. મુપુગૂહસૂચી.[કા.શા.]

અમરવજિય-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : રાસકવિ. ખરતરગચ્છના જિનચંદ્રસૂરિની પરંપરામાં ઉદયતિલકના શિષ્ય. આ કવિની નાનીમોટી કુલ ૧૫ કૃતિઓના નિર્દેશો મળે છે, જેમાંની ઘણીખરી તો રાસાત્મક છે : ‘ભાવ-પચીસી’ (૨. ઈ.૧૭૦૫/સં. ૧૭૬૧, પોષ વદ ૧૦), ‘સિદ્ધાચલ-સ્તવન’ (૨. ઈ.૧૭૧૩), ‘સુમંગલ-રાસ’ (૨. ઈ.૧૭૧૫), ‘મુચ્છમાખડ-કથા’ (ર. ઈ.૧૭૧૯), ‘મેતાર્ય-ચોપાઈ’ (ર. ઈ.૧૭૩૦/સં. ૧૭૮૬, શ્રાવણ સુદ ૧૩), ‘રાત્રિભોજન-ચોપાઈ’ (ર. ઈ.૧૭૩૧/સં. ૧૭૮૭, અધિક ભાદરવા સુદ ૧, બુધવાર), ‘સુકોશલ-ચોપાઈ’ (ર. ઈ.૧૭૩૪ ? / સં. ૧૭૯૦ ?, પોષ સુદ ૧૩), ‘સુપ્રતિષ્ઠા-ચોપાઈ’ (ર. ઈ.૧૭૩૮/સં. ૧૭૯૪, માગશર-, રવિવાર), ‘અરિહંતદ્વાદશગુણ-સતવન’ (ર. ઈ.૧૭૩૯), ‘કાલાશબેસી/કાલાસવેલી-ચોપાઈ’ (ર. ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, વૈશાખ સુદ ૩), ૮ સર્ગની ‘સુદર્શન-ચોપાઈ’ (ર. ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, ભાદરવા સુદ ૫), ‘પૂજા-બત્તીસી’ (ર. ઈ.૧૭૪૩), ‘સમ્યક્ત્વસડસઠબોલ-સઝાય’ (ર. ઈ.૧૭૪૪), ‘ધર્મદત્ત-ચોપાઈ’ (ર. ઈ.૧૭૪૭/સં. ૧૮૦૩, કારતક વદ ૧૩, ધનતેરસ), ૧૫૪૦ કડીની ‘કેશી-ચોપાઈ’ (ર. ઈ.૧૭૫૦/સં. ૧૮૦૬, આસો સુદ ૧૦). કવિની કેટલીક કૃતિઓ હિંદીમાં હોવાનું જણાય છે. સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. ગુસાઇતિહાસ : ૨,  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨).[કા.શા.]

અમરવિજય-૩ [ઈ.૧૭૧૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. લાવણ્યવિજયની પંરપરામાં નિત્યવિજયના શિષ્ય. ૨૩ કડીના ‘(સિયાણીગામમંડન) શાંતિનાથ-સ્તવન’ (ર. ઈ.૧૭૧૦)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]

અમરવિજય-૪ [ઈ.૧૭૪૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. પંડિત લક્ષ્મીવિજયના શિષ્ય. ૧૬૧ કડીની ચોપાઈની દેશીમાં રચાયેલી ‘સિદ્ધાચલજી/શત્રુંજયના સંઘનો સલોકો’ (ર. ઈ.૧૭૧૪; મુ.) એ કૃતિના કર્તા. સુરતના શ્રાવક પ્રેમજી પારેખે ઈ.૧૭૧૪/સં. ૧૭૭૦ના ચૈત્ર સુદ ૧૦ને દિવસે સુરતથી પાલિતાણાનો છ ‘રી’ (= ૬ પ્રકારના નિયમો) પાળતો સંઘ કાઢેલો તેનું વર્ણન તે જ વર્ષે આ કૃતિમાં કવિએ આપ્યું છે. કૃતિ : સૂર્યપુર રાસમાળા, પ્ર. મોતીભાઈ મ. ચોકસી, ઈ.૧૯૪૦.[કા.શા.]

અમરવિજય-૫ [ઈ.૧૭૬૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સદાવિજય-સુરેન્દ્રવિજયના શિષ્ય. ૧૩૫ કડીની ‘શાંતિજિન-સ્તુતિ’ (ર. ઈ.૧૭૬૩)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કા.શા.]

અમરવિજય-૬ [ ] : જૈન સાધુ. શુભવિજયશિષ્ય. ૫ કડીની ‘પર્યુષણપર્વની સ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. ચૈસ્તસંગ્રહ:૩; ૩. સસંપમાહાત્મ્ય. [કા.શા.]

અમરસાગર [ઈ.૧૬૯૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગરની પરંપરામાં પુણ્યસાગરના શિષ્ય. ‘ઉપદેશરત્નાકર’ને આધારે રચાયેલ ૬૧/૬૩ ઢાળના ‘રત્નચૂડચોપાઈ-રાસ’(ર. ઈ.૧૬૯૨/સં. ૧૭૪૮, મધુ માસ સુદ ૭/૧૦, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]

અમરસાધુ [ઈ.૧૭૬૩ સુધીમાં] : જૈન સાધુ. સોમસુંદરશિષ્ય. ‘વિવાહદોષ-બાલાવબોધ’ (લે. ઈ.૧૭૬૩)ના કર્તા. સંદર્ભ : રાહસૂચિ : ૧. [કા.શા.]

અમરસિંધુર[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : બૃહત્ ખરતરગચ્છની ક્ષેમશાખાના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં જયસારના શિષ્ય. ‘નવાણુંપ્રકારીપૂજા’(ર. ઈ.૧૮૩૨/સં. ૧૮૮૮, વૈશાખ સુદ ૧૩), ‘પ્રદેશી-ચોપાઈ’ (ર. ઈ.૧૮૩૬/સં. ૧૮૯૨, કારતક વદ ૬), ‘સોલસ્વપ્ન-ચોઢાળિયાં’, ૬૫ કડીનું ‘કુશલસૂરિસ્થાનનામ ગર્ભિત-સ્તવન’ તેમ જ લે. ઈ.૧૮૩૨ની સ્વલિખિત પોથીમાં મળતી શતાધિક રચનાઓ − જેમાં ૧૦ કડીના ‘(બમ્બઈમંડન) ચિંતામણિ-પ્રતિષ્ઠા-સ્તવન’(મુ.), જેસલમેરના પટવાઓના સંઘની તીર્થમાલા (અપૂર્ણ), ચિંતામણિ પાર્શ્વનાથનાં સ્તવનો તથા પદોનો સમાવેશ થાય છે − તેના કર્તા. અમરસિંધુર ઈ.૧૮૨૧માં મુંબઈ ગયા પછી તેમની પ્રેરણાથી ઈ.૧૮૨૯માં મુંબઈના ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરની સ્થાપના તથા પ્રતિષ્ઠા થયાની માહિતી મળે છે. કૃતિ : જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૫૩ - ‘બમ્બઈમંડન શ્રી ચિંતામણિપ્રતિષ્ઠા-સ્તવન’, સં. અગરચંદ નાહટા (+સં). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કા.શા.]

અમરસિંહ [ઈ.૧૭૭૪ સુધીમાં] : જૈન. ૧૩ કડીના ‘નેમિજિન બારમાસા’(લે. ઈ.૧૭૭૪)ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [કા.શા.]

અમરસુંદર(પંડિત) [ ] : જૈન સાધુ. ૧૮ કડીના ‘યંત્રમહિમાવર્ણન છંદ/ષોડશકોષ્ટકયંત્ર(મહિમા)ચરિત્ર-ચોપાઈ’ (લે. સં. ૧૯મી સદી અનુ; મુ.) તથા ‘વીસાયંત્ર-ચોપાઈ’ના કર્તા. કૃતિ : માણિભદ્રાદિકોના છંદોનું પુસ્તક : ૧, પ્ર. નિર્ણયસાગર પ્રેસ, ઈ.૧૮૮૪. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]

અમરહર્ષ : આ નામને ૭ કડીની ‘ગુરુ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.) મળે છે, તે કયા અમરહર્ષ છે તે નક્કી થઈ શકે તેમ નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]

અમરહર્ષ(ગણિ)-૧ [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિ(આચાર્યકાળ ઈ.૧૫૩૧-ઈ.૧૫૬૬)ના શિષ્ય. ભૂલથી અમરહર્ષગણિશિષ્યને નામે મુકાયેલા ૧૫ કડીના ‘નેમિનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]

અમિયલ : જુઓ ચૂડ-વિજોગણ.

અમીપાલ [ઈ.૧૫૧૬માં હયાત] : શ્રાવક કવિ. મહીપાલરાજાની દાનવૃત્તિ વિશે ૧૦૯૩ કડીની રચના ‘મહીપાલનો રાસ’ (ર. ઈ.૧૫૧૬/સં. ૧૫૭૨, આસો સુદ ૫, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [વ.દ.]

‘અમીયકુંવર’ : જુઓ અમીવિજયશિષ્ય કુંવરવિજય.

અમીવિજય [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. રૂપવિજયના શિષ્ય. ૮૬ કડીના ‘નેમરાજુલ-બારમાસ’ (ર. ઈ.૧૮૩૩; મુ.), ઈ.૧૮૩૭માં અમદાવાદના શેઠ હઠીસિંગે કાઢેલ કેસરિયાજીના યાત્રાસંઘનું વર્ણન કરતું ૮૦ કડીનું ‘શેઠ હઠીસિંગ-સંઘવર્ણન-સ્તવન’ (મુ.), ‘નેમ-રાસો’ (મુ.) અને ૧૮ કડીનું ‘મહાવીરસ્વામીનું પારણું’ (મુ.) એ કૃતિઓના કર્તા. કોઈક સંદર્ભોમાં ભૂલથી અભિવિજયને નામે ઉલ્લેખાયા છે તે આ જ કવિ છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૨; ૨. પ્રામબાસંગ્રહ; ૩. બૃકાદોહન : ૨;  ૪. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭ - ‘શેઠ હઠીસિંગ સંઘવર્ણન-સ્તવન’, સં. શેઠ સુરેન્દ્રભાઈ સારાભાઈ. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસામધ્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [વ.દ.]

અમૉલક(સૂરિ) શિષ્ય [ ] : જૈન સાધુ. ૨૪ કડીની ‘ચતુર્ગતિભવસ્વરૂપવિજ્ઞપ્તિ’ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાઈ : ૧૯(૨). [કી.જો.]

અમૃત-૧ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં શાંતિચંદ્રના શિષ્ય. વિજયદેવસૂરિના આચાર્યકાળ(ઈ.૧૬૦૦-ઈ.૧૬૫૭)માં રચાયેલી ૧૬ કડીની ‘નળદમયંતીની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧ મોસસંગ્રહ; ૨. સઝાયમાળા, પ્ર. લલ્લુભાઈ કરમચંદ, ઈ.૧૮૬૫. [વ.દ.]

અમૃત-૨ [ ] : ૩ કડીના ‘અંબાજીનું પ્રભાતિયું’ (મુ.) તથા ૪ કડીની ‘માતાજીની સ્તુતિ’(મુ.)ના કર્તા કોઈ એક જ અમૃત હોય એમ સમજાય છે. ‘અંબાજીનું પ્રભાતિયું’ ભૂલથી અંબાબાઈને નામે પણ નોંધાયેલ છે. કૃતિ : ૧. ભવાઈ(અં.), સુધા આર. દેસાઈ, ઈ.૧૯૭૨; ૨. શ્રીમદ્ ભગવતી કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]

અમૃતકલશ [ઈ.૧૫૧૯માં હયાત] : ઓસગચ્છના જૈન સાધુ. મતિકલશના શિષ્ય શ્રીકલશના શિષ્ય. રણથંભોરના ચૌહાણ રાજવી હમ્મીરદેવે પોતાને આશરે આવેલા મુસ્લિમ અમીરોને બચાવવા માટે અલાઉદ્દીન સામે લડતાં કરેલા સર્વસ્વસમર્પણને બિરદાવતા ૬૮૧ કડીના ‘હમ્મીર-પ્રબંધ’ ← (ર. ઈ.૧૫૧૯/સં. ૧૫૭૫, ચૈત્ર વદ ૮, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : (અમૃતકલશકૃત) હમ્મીરપ્રબંધ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, સોમાભાઈ ધૂ. પારેખ, ઈ.૧૯૭૩ (+સં.) [વ.દ.]

અમૃતચંદ્ર [ ] : જૈન. તેમણે અભયદેવસૂરિની મૂળ પ્રાકૃત કૃતિ ‘ઔપપાતિકસૂત્ર’ પર બાલાવબોધ (*મુ.) રચ્યો છે. સંદર્ભ : ડિકૅટલૉગભાઈ : ૧૭(૧). [વ.દ.]

અમૃતધર્મ(વાચક) [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૭૯૫/સં. ૧૮૫૧, મહા સુદ ૮] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભક્તિસૂરિના શિષ્ય અને જિનલાભસૂરિના ગુરુબંધુ પ્રીતિસાગરના શિષ્ય. કચ્છમાં ઉપકેશ-વંશની વૃદ્ધ શાખામાં જન્મ. જેસલમેરમાં અવસાન. ૧૧ કડીના ‘(આબુગિરિમંડન) ઋષભજિનેન્દ્ર-સ્તવન’ (ર. ઈ.૧૭૭૮; મુ.), ૭ કડીના ‘(લોદ્રવપુરમંડન) સહસ્ત્રફણાપાર્શ્વનાથ-જિનેશ્વર-સ્તવન’ (ર. ઈ.૧૭૮૦/સં. ૧૮૩૬, ફાગણ વદ ૯; મુ.), ૭ કડીના ‘સંભવનાથજિનેશ્વર-સ્તવન’ (ર. ઈ.૧૭૮૯/સં. ૧૮૪૪, માધવ માસ સુદ ૫; મુ.), ૭ કડીના ‘(મહિમાપુરમંડન) સુવિધિનાથ-જિનેશ્વર-સ્તવન’ (ર. ઈ.૧૭૮૯/સં. ૧૮૪૫, માગશર સુદ ૧૧; મુ.) તથા જિનેશ્વર વિશેનાં અન્ય કેટલાંક મુદ્રિત-અમુદ્રિત સ્તવનોના કર્તા. કૃતિ : ચૈત્યવંદન સ્તવન સંગ્રહ, પ્ર. સુગનચંદજી ઉ. બાઠિયા, સં. ૧૯૮૨. સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ;  ૨. મુપુગૂહસૂચી. [વ.દ.]

અમૃતવિજય : આ નામે ૧૧ કડીની ‘નેમિનાથ-સ્તવન’, ‘પદ્મપ્રભજિન-સ્તવન’, ૧૩ કડીની ‘પ્રતિમાસ્થાપન-સ્તવન’ એ કૃતિઓ નોંધાયેલી છે તેનું કર્તૃત્વ કયા અમૃતવિજયનું છે તે નક્કી થઈ શકતું નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]

અમૃતવિજય(વાચક)-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયરાજસૂરિના શિષ્ય. વિજયરાજના આચાર્યકાળ (ઈ.૧૬૪૭/૪૮-ઈ.૧૬૮૬)માં રચાયેલ ૨૫ કડીના ‘આચાર્યનામગર્ભિત-ચોવીસજિનનમસ્કાર’(મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧. [વ.દ.]

અમૃતવિજય-૨ [ઈ.૧૭૪૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં પુણ્યવિજયશિષ્ય રંગવિજયના શિષ્ય. ૧૩૧ કડીના ‘મહાવીરજિન-સલોકો’ (ર. ઈ.૧૭૪૫/સં. ૧૮૦૧, પોષ વદ ૪), ‘ચોવીસી’ (૬ સ્તવનો મુ.), ૫ ઢાળનું ‘પંચ-પરમેષ્ઠી-સ્તવન’(મુ.), ‘પુણ્યવિજયગુરુનિર્વાણ’ તથા કેટલાંક ચૈત્યવંદનો અને સ્તવનો(કેટલાંક મુ.)ના કર્તા. કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧, ૨; ૨. જૈગૂસારત્નો : ૧ (+સં.). સંદર્ભ : ૧ મુપુહૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]

અમૃતવિજય-૩ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં વિવેકવિજના શિષ્ય. દેશીઓ, ધ્રુવપદો અને આંતરપ્રાસથી સમૃદ્ધ, રાજિમતીના વિરહનું વર્ણન કરતી ૪૮ કડીની ‘નેમિરાજિમતી-બારમાસા’(ર. ઈ.૧૭૫૬; મુ.), ૫૪ કડીની ‘બત્રીસસ્થાનવિચારગર્ભિત-સ્તવન’(ર. ઈ.૧૭૭૪/સં. ૧૮૩૦, ચૈત્ર સુદ ૩; મુ.), ૨૪ ઢાળની ‘નેમિનાથરાજીમતી-સંવાદના ચોવીસ ચોક’ (ર. ઈ.૧૭૮૩/સં. ૧૮૩૯, કારતક વદ ૫, રવિવાર), શત્રુંજયનાં સર્વ સ્થાનોને ભક્તિપૂર્વક વર્ણવતી ૧૦ ઢાળ અને ૧૪૪ કડીની ‘વિમલાચલ/શત્રુંજય/સિદ્ધાચલતીર્થમાલા’ (ર.ઈ.૧૭૮૪/સં. ૧૮૪૦, ફાગણ સુદ ૧૩; મુ.), ભાણવિજયને નામે જેનો અંતભાગ ઉદ્ધૃત થયો છે એ ૨ ખંડની ‘વિક્રમાદિત્યરાસ’(ર. ઈ.૧૭૯૧/સં. ૧૮૪૭, જેઠ સુદ ૫)એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. પ્રામબાસંગ્રહ; ૨. શત્રુંજય તીર્થમાળા, રાસ અને ઉદ્ધારાદિકનો સંગ્રહ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૩;  ૩. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૪૬ - ‘બત્રીસસ્થાનકવિચારગર્ભિત સ્તવન’, સં. શ્રી રમણિકવિજયજી. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. (અજ્ઞાત ગુજરાતી ગદ્યકાર વિરચિત) પંચદંડની વાર્તા, સં. સોમાભાઈ ધૂ. પારેખ, ઈ.૧૯૭૪;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [વ.દ.]

અમૃતવિજય-૪ [ઈ.૧૮૪૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હંસવિજયની પરંપરામાં ચતુરવિજયના શિષ્ય. ‘કલિયુગનો છંદ’- (ર. ઈ.૧૮૪૬/સં. ૧૯૦૨, વૈશાખ વદ ૧૦, બુધવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [વ.દ.]

અમૃતવિમલ : જુઓ ઋદ્ધિવિમલશિષ્ય કીર્તિવિમલ.

અમૃતસાગર : આ નામે ૫ કડીનું ‘નેમિ-ગીત’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ૬ કડીનું ‘સ્થૂલિભદ્ર-ગીત’ મળે છે પણ એના કર્તા કયા અમૃતસાગર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]

અમૃતસાગર-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. અમરસાગરસૂરિની પરંપરામાં શીલસાગરના શિષ્ય. ૨ ખંડ, ૨૭ ઢાળ ને ૫૩૬ કડીના ‘મૃગસુંદરીકથાનક-રાસ’ (ર. ઈ.૧૬૭૨/સં. ૧૭૨૮, ભાદરવા સુદ ૫), ૩ ખંડ, ૪૪ ઢાળ અને ૯૨૫ કડીમાં રચાયેલ ‘જયસેનકુમાર-રાસ/રાત્રિભોજનપરિહાર-રાસ’ (ર. ઈ.૧૬૭૪/સં. ૧૭૩૦, આસો સુદ ૧૦, ગુરુવાર), ૧૧ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ (ર. ઈ.૧૬૭૯), ૧૩ કડીના ‘અજિતનાથ-સ્તવન’ તથા ૭ કડીના ‘સુવિધિજિન-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. લીંહસૂચી. [વ.દ.]

અમૃતસાગર-૨ [ઈ.૧૬૯૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર ઉપાધ્યાયની પરંપરામાં શાંતિસાગરના શિષ્ય. ધર્મસાગરકૃત ‘સર્વજ્ઞ-શતક’ પર ૨ અધિકારમાં વહેંચાયેલા ૬૦૦૦ ગ્રંથાગ્રના બાલાવબોધ(ર. ઈ.૧૬૯૦)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [વ.દ.]

અમૃતસાગર-૩ [ઈ.૧૭૬૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ, ધર્મસાગરની પરંપરામાં દાનસાગરના શિષ્ય. ૭૬ કડીના ‘પુણ્યસાર-રાસ’(ર. ઈ.૧૭૬૧/સં. ૧૮૧૭, પુણ્ય માસ સુદ ૫, રવિવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [વ.દ.]

અમૃતસુંદર [ઈ.૧૭૨૯ સુધીમાં] : જૈન સાધુ. ૧૫ કડીના ‘નેમદ્વાદશમાસા’ (લે. ઈ.૧૭૨૯)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [વ.દ.]

અમોલક(ઋષિ) [ઈ.૧૮૦૦માં હયાત] : જૈન સાધુ. ‘ભીમસેન-ચોપાઈ’ (ર. ઈ.૧૮૦૦)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]

અરજણ/અરજણદાસ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંત જીવણના શિષ્ય અને પ્રેમસાહેબ (જ. ઈ.૧૭૯૨ - અવ. ઈ.૧૮૬૩)ના ગુરુભાઈ.જ્ઞાતિએ રજપૂત. આહીર કે કોળી હોવાનું નોંધાયું છે તે અધિકૃત જણાતું નથી. ગોંડલ પાસે ભાદરા ગામના વતની. દીક્ષા ઈ.૧૮૦૯. હિંદીમિશ્ર ગુજરાતી અને હિંદીમાં યોગાનુભવના ચમત્કારને વર્ણવતાં કેટલાંક પદો(મુ.) તેમણે રચ્યાં છે. કૃતિ : ૧ અભમાલા; ૨. યોગવેદાન્ત ભજન ભંડાર, પ્ર. ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.) [ચ.શે.]

અર્જુન/અર્જુનજી : અર્જુનને નામે ‘દશાવતાર’ તથા વ્રજભાષાના માનસમે તથા દાનસમેના સવૈયા અને કેટલાંક પદો તેમ જ અર્જુનજીને નામે ‘કૃષ્ણસ્મરણ’ તથા ‘અકલવેલ’ નોંધાયેલ મળે છે. આ કયા અર્જુન કે અર્જુનજી છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ઈ.૧૮૩૯થી ઈ.૧૮૫૪ દરમ્યાન હયાત પાદરપુર(તા. લીંબડી)ના કોળી અર્જુનનું ૧ હિંદી પદ મુદ્રિત મળે છે તે ઉપર્યુક્ત રચનાઓના કર્તા હોવાનું કહેવા માટે પણ કશો આધાર નથી. જુઓ અરજણ. કૃતિ : બૃકાદોહન : ૭(+સં.). સંદર્ભ : ૧ ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ; ૩. રાહસૂચી : ૧. [ચ.શે.]

‘અર્દાવિરાફ-નામું’ [ર. ઈ.૧૬૭૨] : રુસ્તમ એવર્દરચિત ચોપાઈબદ્ધ આખ્યાનકાવ્ય(મુ.) ઈરાની બાદશાહ અરદેશરે નષ્ટપ્રાય થયેલા ઈરાની ધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાન માટે વિરાફ નામના ધર્મગુરુને સદેહે સ્વર્ગમાં જઈ, ત્યાંના ધર્મ-સિદ્ધાન્તો જાણી લાવી, ઈરાની પ્રજામાં તેનો પ્રચાર-પ્રસાર કરવાની કામગીરી સોંપી હતી. ઈ.ત્રીજી સદીમાં એ ધર્મગુરુએ પહેલવી ભાષામાં, આરોગ્યના રક્ષણ અને ધર્માચરણ સંબંધી ઉપદેશ આપતો ગ્રંથ ‘અર્દાવિરાફ-નામું’ રચીને એ કામગીરી શી રીતે બજાવી તેનું વિગતપૂર્ણ તેમ જ વર્ણનપ્રધાન નિરૂપણ કરતું આ આખ્યાન રુસ્તમે મુખ્યત્વે ઉક્ત ધર્મગ્રંથ ‘અર્દાવિરાફ-નામું’, ઈ.૧૨મી સદીમાં જરથોસ્ત બહેરામ પજદુએ રચેલી ફારસી કૃતિ તથા રેવાયતો(પારસી ધર્મગ્રંથોનો શાસ્ત્રાર્થ કરતા ગ્રંથ)ના આધારે રચ્યું છે. અર્દાવિરાફે વિવિધ સ્વર્ગ અને નરકના કરેલ પ્રત્યક્ષ દર્શનનું નિરૂપણ કરીને આખ્યાનકારે આ રચનામાં નરકની યાતનાઓથી બચવા તેમ જ સ્વર્ગીય સુખ પામવા માટે મનુષ્યે, ધર્મની હાંસી, વિશ્વાસઘાત, પરસ્ત્રી ને પરપુરુષગમન તથા પશુઓની કતલ જેવાં પાપકર્મોથી દૂર રહેવું જોઈએ તેમ જ ધર્મગુરુને માનપાન, પવિત્ર અગ્નિ(આતશ)નું રક્ષણ, ખેત્વોદથમ (નજીકના સગામાં લગ્ન) વગેરે પુણ્યકાર્યો કરવાં જોઈએ એવો સીધો ઉપદેશ આપ્યો છે. સૂરજ પૂર્વે આદરસૂચક ‘શ્રી’નો ઉપયોગ, શુકનવંતા વૃક્ષ તરીકે કેળના વૃક્ષની કલ્પના તથા સ્વર્ગનાં મકાનોનું હિન્દુ-મંદિરોનાં શિલ્પસ્થાપત્યને અનુસરતું વર્ણન વગેરે બાબતો કવિ ઉપર હિન્દુ સંસ્કૃતિનો પ્રભાવ સૂચવે છે. ગરોથમાન, ખુરશેદપાએઆ, માહાપાએઆ તેમ જ હમેસ્તગેહાન વગેરે નામનાં ૭ સ્વર્ગોનાં ભભકાદાર વર્ણનોની જેમ પાપી મૃતાત્માઓને જેમાં વિવિધ નારકીય યાતનાઓ અપાય છે એવાં નરકનાં ભયંકર વર્ણનો પણ કવિ એટલી જ સાહજિકતાથી કરી શક્યા છે એ એમનું વર્ણનકૌશલ બતાવે છે. છતાં એમની ઉત્તરકાલીન કૃતિ ‘સ્યાવશ-નામું’માં જોવા મળતા કવિ-કલ્પનાના સ્વૈરવિહારનો અભાવ અહીં સ્પષ્ટ જણાઈ આવે છે. અર્દાવિરાફ પછી ઈ.છઠ્ઠી સદીમાં થઈ ગયેલ આદરાબાદ મારાસ્પંદના ચમત્કૃતિપૂર્ણ જીવનપ્રસંગનો અર્દાવિરાફની આ કથામાં દૃષ્ટાંત રૂપે ઉપયોગ કરવા જતાં આખ્યાનમાં કાલવ્યુત્ક્રમદોષ થયો છે. [ર.ર.દ.]

અલખબુલાખી [જ. ઈ.૧૮૦૦/સં. ૧૮૫૬, ભાદવા સુદ ૧૩, સોમવાર - અવ. ઈ.૧૮૩૯/સં. ૧૮૯૫, અસાડ સુદ ૫, સોમવાર] : જ્ઞાનમાર્ગી કવિ. પૂર્વાશ્રમમાં બુલાખીરામ. સાઠોદરા નાગર. જન્મ અમવાદામાં. પિતા સન્મુખરામ. કિશોરવયમાં ફારસીનો અભ્યાસ. ઈ.૧૮૧૮માં મોડાસામાં સરકારી નોકરી. સંપન્નતાને કારણ ેતે વિલાસી ને અનીતિમાન બનેલા એથી નોકરી છોડવી પડેલી. સિદ્ધપુરની યાત્રાએ ગયેલા ત્યાં ગુલાબભારથી લકડશા નામના યોગીનો સંપર્ક થતાં અધ્યાત્મ તરફ વળ્યા. ગુલાબભારથીને ગુરુ કરી, અલખબુલાખી નામ ધારણ કરી અમદાવાદ, વડોદરા આદિ સ્થળે જ્ઞાનવૈરાગ્યનો બોધ કર્યો. એમને ઘણા શિષ્યો હતા. મૃત્યુનો અણસાર આ જ્ઞાની સાધુને પહેલેથી આવી ગયેલો. ‘ગુરુજ્ઞાનગ્રંથ’માં ઉપર મુજબની જીવનવિષયક માહિતી નોંધાયેલી મળે છે. પણ એમાં બધી વીગતો શુદ્ધ ઐતિહાસિક હોવાનું પ્રતીત થતું નથી. એમાંના ૧ પદમાં એમની મૃત્યુતિથિની આગાહી પણ છે. ‘ગુરુજ્ઞાનગ્રંથ’(મુ.)માં અલખબુલાખીનાં વિભિન્ન પ્રકારનાં લખાણો મળે છે. અધયાત્મબોધ ને વૈરાગ્યબોધનાં ૧૨૭ ગુજરાતી તથા ૩૦ હિન્દુસ્તાની પદો એમાં છે. જાણીતા રાગઢાળોને સ્વીકારીને એમાં કવિએ પરંપરાગત જ્ઞાનવૈરાગ્યની કવિતા આપી છે. ‘રહેણીની કલમો’ શીર્ષકથી મૂકેલાં ગદ્યલખાણોમાં ભક્તે પાળવાના આચારધર્મો વર્ણવેલા છે તો આત્મબોધ તેમ જ શિષ્યમંડળના બોેધ માટે લખેલાં હોય એવાં, (ઈ.૧૮૩૭/સં. ૧૮૯૩, શ્રાવણ સુદ ૧૩થી ઈ.૧૮૩૯/સં. ૧૮૯૫, પોષ સુદ ૧૧ સુધીની તિથિઓ દર્શાવતાં) ડાયરીની પદ્ધતિએ આલેખેલાં ૧૩ ગદ્યલખાણોમાં કવિએ પોતાને માટે ત્રીજા પુરુષ એકવચનનો પ્રયોગ કર્યો છે એ નોંધપાત્ર છે. આ બન્ને પ્રકારનાં ગદ્યલખાણોમાં કવિની અધ્યાત્મની જાણકારી યોગની પરિભાષાને પ્રયોજતી શૈલીમાં સારી ઊપસી છે. મધ્યકાલીન ગુજરાતી ગદ્યની લાક્ષણિકતાઓ પણ આ લખાણોમાં વ્યક્ત થાય છે. કૃતિ : ૧. ગુરુજ્ઞાનગ્રંથ, પ્ર. જીવણલાલ ઝ. મહેતા, ઈ.૧૮૭૪ (બીજી આ.) (+સં.);  ૨. કાદોહન : ૨(+સં.), ૩ સંદર્ભ : ૧ કવિચરિત : ૩; ૨. કવિચરિત્ર, ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયાદી {{Right|[ર.સો.]

અલરાજ [ઈ.૧૮૧૯ આસપાસ] : હરિજન લોકકવિ, વઢિયાર પંથકમાં આવેલા આદરિયાણના વતની. જ્ઞાતિએ હરિજન બ્રાહ્મણ (ગોર). એમનાં ૩ મુદ્રિત કવિતોમાં સચોટ સુભાષિત-વાણી જોવા મળે છે. કૃતિ : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, સં. દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦. {{Right|[કૌ.બ્ર.]

અલીઅકબરબેગ [ ] : દેલમી ઉપદેશક પરંપરાના પીર. શિયા ઇમામી ઇસ્માઇલી નિઝારી શાખાના ૪૨મા ઇમામ હસનઅલી શાહ પહેલાં (ઈ.૧૬૬૦-ઈ.૧૬૯૪)ના સમકાલીન હોવાનું કહેવાય છે. મને નામે ૨૦ કડીનું ૧ ‘ગિનાન’(મુ.) મળે છે. કૃતિ : મહાન ઇસ્માઇલીની સંત પીર હસન કબીરદીન અને બીજા સત્તાધારી પીરો રચિત ગિનાનોનો સંગ્રહ, પ્ર. ઇસ્માઇલી પ્રિન્ટિંગ પ્રેસ (બીજી આ.),-. સંદર્ભ : નરમ મુબિન, જાફરઅલી મોહમદ સૂફી દ્વારા સંશોધિત ત્રીજી આ., ઈ.૧૯૫૧. [પ્યા.કે.]

અલ અસગર બેગ(પીર) [ ] : દેલમી ઉપદેશક પરંપરાના પીર. એમને નામે ૭ કડીનું ૧ ‘ગિનાન’(મુ.) મળે છે. કૃતિ : મહાન ઇસમાઇલી સંત પીર હસન કબીરદીન અને બીજા સત્તાધારી પીરો રચિત ગિનાનોનો સંગ્રહ, પ્ર. ઇસ્માઇલી પ્રિન્ટિંગ પ્રેસ (આ. બીજી),-. [પ્યા.કે.]

‘અલૌકિકનાયિકાલક્ષણગ્રંથ’ : ધવલ-ધનાશ્રી રાગમાં ૫૦૦ ઉપરાંત કડીઓમાં શૃંગારરસના આલંબનરૂપ નાયિકાભેદનું વિવરણ રજૂ કરતી દયારામકૃત પ્રસ્તુત કૃતિ(મુ.) હિન્દી રીતિધારાના લક્ષણગ્રંથોની પરંપરાની યાદ અપાવે છે. પુષ્ટિસંપ્રદાયને અભીષ્ટ મુખ્ય સ્વામિની રાધીકાને અનુલક્ષીને રચાયેલી આ કૃતિમા રસિક ભક્તોને શ્રીવલ્લભા રાધિકાનું સ્વરૂપ પ્રત્યક્ષ થાય તેવા ઉદ્દેશથી શૃંગારરસના અંગરૂપ શ્રીવલ્લભાનાં મુખ્યમુખ્ય ચિહ્નોનું વર્ણન કરવામાં આવ્યું છે. કર્મ, જાતિ ને અવસ્થાનુસાર નાયિકાભેદ, હાવભાવ, દર્શનભેદ, નાયક-નાયિકાનાં દૂતત્વ, મિલાપસ્થાનો, સ્નેહની ૪ અવસ્થા અને નવરસનામકથન કૃતિની વિષયસૂચિ રૂપે તારવી શકાય. [સુ.દ.]

‘અવસ્થાનિરૂપણ’ : પારિભાષિક નિરૂપણવાળી અખાની આ કૃતિ(મુ.) જીવાત્માની ૪ ભૂમિકાઓને ચાર-ચારણી ચોપાઈની ૧૦-૧૦ કડીના શરીરાવસ્થા, અજ્ઞાનવસ્થા, જીવઈશ્વરજ્ઞાન અને કૈવલ્યજ્ઞાન - એ ૪ ખંડોમાં વર્ણવે છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય એ શરીરાવસ્થાઓને મિશ્રવર્તી તરીકે વર્ણવી (જેમ કે - તુરીયમાં અન્ય ૩ અવસ્થાઓના પણ અંશો છે એમ બતાવી) જીવાત્માની અજ્ઞાન દશામાં આ ચારે શરીરાવસ્થાઓ કઈ રીતે પ્રવર્તે છે તે અહીં સમજાવ્યું છે અને તુરીયાતીત કૈવલ્યજ્ઞાનની ભૂમિકાએ પહોંચવાનો માર્ગ બતાવ્યો છે. ગૌડપાદાચાર્યની ‘માંડુક્યકારિકા’માંનું વિશ્લેષણ આ કૃતિમાં બીજ રૂપે રહેલું જણાય છે. [જ.કો.]

અવિચલ : આ નામે ‘ઢૂંઢક-રાસ’(લે. ઈ.૧૮૧૩) તથા ૬૧ કડીની ‘એક્સોસિત્તેર-જિનનામ-સ્તવન’એ કૃતિઓ નોંધાયેલી મળે છે પણ તે કયા અવિચલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જેસલમેરકે જૈન જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]

અવિચલદાસ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર. નડિયાદના આભ્યંતર નાગર બ્રાહ્મણ. વિષ્ણુજી/વિષ્ણુદાસના પુત્ર. હરજીસુત ધરણીધર તથા કોઈ ભીમ-કવિના પુત્ર - એ ૨ ભટ્ટો-પુરાણીઓ પાસેથી મૂળ સંસ્કૃત કથાઓ સાંભળીને કાવ્યરચના કરનાર આ કવિનો ‘ભાગવત-ષષ્ઠસ્કંધ’ (ર. ઈ.૧૬૨૮/સં. ૧૬૮૪, પોષ વદ ૧૦) મૂળનો અધ્યાયવાર અનુવાદ છે. ભાગવતની ‘કઠિન કથા’ સમજવામાં પોતાને સહાયરૂપ નીવડેલી શ્રીધરી ટીકામાંના અધ્યાયસારના શ્લોકોનો અનુવાદ પણ કવિએ કૃતિમાં ઉમેર્યો છે. કેટલાક અધ્યાયોના આરંભે એમણે સંસ્કૃત શ્લોકો મૂકેલા છે, જે એમને મૂળ કથા કહેનાર ભટ્ટે રચી આપ્યા હોવાનો તર્ક થયો છે. ‘આરણ્યક-પર્વ’(ર. ઈ.૧૬૩૯/સં. ૧૬૯૫, શ્રાવણ વદ ૧૧, શનિવાર) મૂળના લગભગ સારરૂપ અન ેકેટલાક પ્રસંગોને રોચક રીતે આલેખતું ૭૫ કડવાં અને ૭૦૭૦ કડીનું આખ્યાન છે. આ કૃતિ, નડિયાદના બળદેવરામ કૃષ્ણરામ ભટ્ટે સુધારાવધારા કરી ૯૭ કડવાંના ‘વનપર્વ’ નામે પ્રગટ કરી છે. ‘અષ્ટમસ્કંધ’ નામની એક અન્ય કૃતિ પણ આ કવિની હોવાનો ઉલ્લેખ મળે છે. કૃતિ : વનપર્વ, સં. બળદેવરામ કૃ. ભટ્ટ, ઈ.૧૮૯૦. સંદર્ભ : ૧. કવચરિત : ૧-૨; ૨. વિષ્ણુદાસ, ભાનુસુખરામ મહેતા, ઈ.૧૯૨૦;  ૩. ગૂહાયાદી. [ર.સો.]

‘અશોકચન્દ્રરોહિણી-રાસ’ [ર. ઈ.૧૭૧૬ કે ૧૭૧૮/સં. ૧૭૭૨ કે ૧૭૭૪, માગશર સુદ ૫] : મુખ્યત્વે દુહા-દેશીબદ્ધ પણ પ્રસંગોપાત્ત કવિત, ગીત, તોટક આદિ પદ્યબંધને ઉપયોગમાં લેતો, ૩૧ ઢાળનો, જ્ઞાનવિમલસૂરિકૃત આ રાસ(મુ.) રોહિણીનક્ષત્રના દિવસે ૨૮ વર્ષ સુધી કરવામાં આવતા તપ - રોહિણીતપનો મહિમા ગાવા માટે રચાયેલો છે. રાજા અશોકચંદ્રની રાણી રોહિણી શોકભાવથી એટલી બધી અજાણ છે કે પુત્રમૃત્યુના દુ:ખે રડતી સ્ત્રીના રુદનમાં કયો રાગ છે એમ પૂછે છે. આવા પ્રશ્નથી અશોકચંદ્રને આ સ્ત્રીમાં બીજાનું દુ:ખ સમજવાની વૃત્તિનો અભાવ અને ગર્વ જણાયાં. તેથી તેને પાઠ ભણાવવા તે એના ખોળામા બેઠેલા પુત્ર લોકપાલને અટારીએથી નીચે નાખે છે. પરંતુ રોહિણીને તો આ ઘટનાથી પણ કશો શોક થતો નથી અને એના પુણ્યપ્રભાવે પુત્ર ક્ષેમકુશળ રહે છે. રોહિણીના આ વીતશોક-વીતરાગપણાના કારણરૂપે એના પૂર્વભવની કથા કહેવાય છે જેમાં એ પોતાના આગલા ભવના દુષ્કર્મને કારણે કુરૂપ અને દુર્ગંધી નારી બની હોય છે અને રોહિણીતપના આશ્રયથી એ દુષ્કર્મના પ્રભાવમાંથી છૂટીને આ રોહિણી અવતાર પામી હોય છે. રોહિણીના ૨ પૂર્વભવો, અશોકચંદ્ર તેમ જ રોહિણીનાં સંતાનોના પૂર્વભવો તથા એકાદ આડકથા વડે આ રાસ પ્રસ્તાર પામ્યો હોવા છતાં એમાં કથાતત્ત્વ પાંખું છે, કેમ કે એ એક જ ઘટનાસૂત્રવાળી સાદી કથા છે. ધર્મબોધના સ્ફુટ પ્રયોજનથી રચાયેલી આ કૃતિમાં કવિએ કર્મ, તપ ઇત્યાદિના સ્વરૂપ અને પ્રકારોની સાંપ્રદાયિક માહિતી ગૂંથી લીધી છે તેમ જ સુભાષિતો અને સમસ્યાઓનો પણ વિનિયોગ કર્યો છે. કાવ્યમાં કવિની કાવ્યશક્તિનો પણ પરિચય પ્રસંગોપાત્ત આપણને મળ્યા કરે છે. જેમ કે, મઘવા મુનિના પુણ્યપ્રતાપને પ્રગટ કરતા વાતાવરણનું ચિત્રણ કવિએ જે વીગતોથી કર્યું છે તે મનોરમ લાગે છે. નગર વગેરેનાં અન્ય કેટલાંક વર્ણનો પણ નોંધપાત્ર છે. આવાં વર્ણનોમાં રૂપકાદિ અલંકારોનો કવિએ લીધેલો આશ્રય એમની ક્ષમતાને પ્રગટ કરે છે. રોહિણીના રૂપવર્ણનમાં “ઉર્વસી પણિ મનિ નવિ વસી રે” જેવા વ્યતિરેક-યમકના સંકરાલંકારની હારમાળા યોજી છે અને પૌારણિક હકીકતોને રોહિણીના પ્રભાવના હેતુ રૂપે કલ્પી છે તે કવિની આ પ્રકારની વર્ણનક્ષમતાનું એક વિશિષ્ટ ઉદાહરણ છે. સમગ્ર રાસમાં શિષ્ટ પ્રૌઢ ભાષાછટાનું આકર્ષણ છે તો જુગુપ્સા અને તિરસ્કારના ભાવોને અનુરૂપ ભાષા પણ કવિ એટલી જ અસરકારકતાથી પ્રયોજી બતાવે છે. થોડીક સુંદર ધ્રુવાઓ અને ક્વચિત્ કરેલી ૪ પ્રાસની યોજના પણ કવિની કાવ્યશક્તિની દ્યોતક છે. [કુ.દે.]

‘અશ્વમેધ-પર્વ’ [ર. ઈ.૧૬૩૯/સં. ૧૬૯૫, મકરસંક્રાન્તિ] : ‘યૌવનાશ્વનું આખ્યાન’થી ‘અશ્વમેધ-પૂર્ણાહુતિ’ સુધીનાં ૧૭ આખ્યાનોમાં વિભક્ત થયેલી હરજીસુત ક્હાનની ૭૦૦૦ કડીઓમાં વિસ્તરેલી આ કૃતિ(મુ.) મહાભારતના સમગ્ર ‘અશ્વમેધ-પર્વ’ને આખ્યાનબદ્ધ કરવાના એક વિરલ પ્રયાસ તરીકે નોંધપાત્ર છે. કડવા માટે યોજાયેલી ‘અલંકાર’, ‘છંદ’, ‘ઝમક’, ‘સૂત્ર’ જેવી વિવિધ સંજ્ઞાઓ આ કૃતિની વિલક્ષણતા છે. કથા પરત્વે કવિ મહાભારતને અનુસરીને ચાલ્યા છે અને સળંગ પ્રવાહી કથાનિરૂપણથી વિશેષ એ સિદ્ધ કરી શક્યા નથી. પ્રસંગાનિરૂપણ કે અભિવ્યક્તિનો ચમત્કાર કૃતિમાં જવલ્લે જ જડે છે. તેમ છતાં તેમની વર્ણનરીતિમાં પ્રૌઢિ અને વિશદતા છે તેમ જ પરંપરાગત વર્ણનોનો તથા પાત્રોક્તિઓનો તેમણે વારંવાર આશ્રય લીધો છે, એથી કથા રસપ્રદ બની છે. ક્વચિત્ થયેલી ગીતની ગૂંથણી તથા દરેક કડવાને આરંભે રાગનો નિર્દેશ - ક્યારેક ૧થી વધુ રાગનો પણ નિર્દેશ - આ કૃતિને કવિએ અત્યંત ગેય રૂપે કલ્પી છે તેના પ્રમાણરૂપ છે. દરેક આખ્યાનને આરંભે ઇષ્ટદેવ કૃષ્ણની સ્તુતિ - ક્યારેક ૮-૧૦ કડીઓ સુધી વિસ્તારીને પણ - કવિએ કરી છે તે તેમની કૃષ્ણભક્તિ અને પ્રસ્તારી નિરૂપણશૈલીના દૃષ્ટાંતરૂપ છે. પહેલું ‘યૌવનાશ્વનું આખ્યાન’(ર. ઈ.૧૬૩૭/સં. ૧૬૯૩, માગશર સુદ ૨, રવિવાર) બતાવે છે તે જોતાં કવિએ આ કૃતિની રચના પાછળ પૂરાં ૨ વર્ષનો સમય આપ્યો છે એમ દેખાઈ આવે છે. [ર.સો.]

‘અષ્ટપટરાણીવિવાહ’ : ૪૦ કડીના સળંગ પદબંધના દયારામકૃત આ કાવ્ય(મુ.)માં રુક્મિણી, જાંબુવતી, સત્યભામા, કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા - આ ૮ પટરાણીઓ અને શ્રીમદ્ ભાગવતના નાયક શ્રીકૃષ્ણના વિવાહપ્રસંગો એકસાથે નિરૂપાયા છે. સોળસહસ્ર રાણીઓ સાથેના વિવાહની ઘટના પણ અહીં ભેગી ગૂંથાયેલી છે. દ્રૌપદી અને પટરાણીઓ વચ્ચેના વિનોદવિહારની ક્ષણોરૂપે આખી ઘટનાનું નિરૂપણ રોચક બન્યું છે. [સુ.દ.]

અસાઈત [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ] : લોકનાટ્યકાર અને પદ્યવાર્તાકાર. પ્રચલિત કથા અનુસાર સિદ્ધપુરના યજુર્વેદી ભારદ્વાજ ગોત્રના ઔદીચ્ય બ્રાહ્મણ. પિતા રાજારામ ઠાકર. અસાઈતની કવિ, વક્તા અને સંગીતકાર તરીકે ખ્યાતિ. તેમણે ઊંઝામાં છાવણી નાખી રહેલા મુસ્લિમ સરદારને, તેની પાસેથી ત્યાંના હેમાળા પટેલની પુત્રીને છોડાવવા એ પોતાની પુત્રી છે એવું કહેલું અને એની સાબિતી આપવા તેની સાથે જમણ લીધેલું; પરિણામે તેમની બ્રાહ્મણ-કોમે તેમને નાત બહાર મૂકેલા. આથી અસાઈતે પોતાના ૩ પુત્રો માંડણ, જયરાજ અને નારણ સાથે સિદ્ધપુર છોડી ઊંઝામાં નિવાસ કર્યો. ત્યાં હેમાળા પટેલે તેમને ઘર, જમીન તથા વંશપરંપરાના કેટલાક હકો લખી આપેલા જે અસાઈતના વંશજો આજેય ભોગવે છે. આ અસાઈતના પુત્રોનાં ૩ ઘર થયાં તેથી ‘ત્રણઘરા’ ઉપરથી ‘તરગાળા’ કહેવાયા. અન્ય મત મુજબ અસાઈતે આરંભેલી ભવાઈની પ્રવૃત્તિમાં ઔદીચ્ય, શ્રીમાળી અને વ્યાસ ૩ જાતિના બ્રાહ્મણો ભળ્યા તેથી ‘ત્રણ-ગાળાળા’ પરથી ‘તરગાળા’ કહેવાયા. ગમે તેમ, પણ અસાઈત ભવાઈ કરનાર તરગાળા કોમના આદિપુરુષ ગણાય છે. આ કોમ ‘નાયક’ને નામે પણ ઓળાય છે અને અસાઈત નાયક એવી નામછાપ એમની રચનાઓમાં મળે છે. અસાઈતે ધાર્મિક, ઐતિહાસિક અને સામાજિક વિષયના ૩૬૦ ભવાઈવેશ રચ્યા કે સંકલિત કર્યાનું કહેવાય છે, જો કે આજે પચાસેકથી વધારે વેશ મળતા નથી; તે ઉપરાંત, જે વેશો મળે છે તેમાંથી ‘કજોડાનો વેશ’ અને ‘રામદેવનો વેશ’ એ બે વેશમાં જ અસાઈતનું નામ વેશના કર્તા તરીકે જોડાતું હોય એવું દેખાય છે અને બીજા ત્રણેક વેશમાં દુહા, છપ્પા જેવી છૂટક રચનાઓમાં અસાઈતની નામછાપ મળે છે. ‘કજોડાનો વેશ’ ← (મુ.)માં મોટી ઉંમરનાં ઠકરાણાં અને નાની ઉંમરના ઠાકોરના કજોડાનું હાસ્યરસિક ચિત્રણ થયું છે. રામદેવ અને એની રાણીના દાંપત્યજીવનની ખૂબ જ આછી કથાવસ્તુ ધરાવતો ‘રામદેવનો વેશ’ ← (મુ.) અનેક વિષયોની માહિતી તથા વ્યાવહારિક ડહાપણનાં સુભાષિતોથી ખૂબ વિસ્તૃત બનેલો છે અને પ્રાપ્ત ભાવઈવેશોમાં એ સૌથી લાંબો વેશ છે. મુદ્રિત ભવાઈવેશોમાં અસાઈતના નામછાપવાળી વ્યવહારજ્ઞાન, સંસારડહાપણ અને સમસ્યાચાતુરીની દુહા, છપ્પા, કવિત વગેરે પ્રકારની અનેક છૂટક રચનાઓ તથા મહિના જેવી કૃતિ પણ મળે છે. હસ્તપ્રતયાદીઓમાં પણ આ પ્રકારની છૂટક રચનાઓ અસાઈતને નામે નોંધાયેલી મળે છે તેમાં અમુદ્રિત રચનાઓ પણ હોવાનો સંભવ છે. ભવાઈવેશો એમના રચનાસમયોનો કોઈ નિર્દેશ કરતા નથી પરંતુ પરંપરાગત રીતે અસાઈતને ઈ.૧૪મી સદીમાં થયેલા માનવામાં આવે છે અને તેથી ‘હંસવચ્છકથા/ચરિત/ચોપાઈ/પવાડો/ ←હંસાઉલી’← (ર. ઈ.૧૩૬૧/૧૩૭૧; મુ)ને અસાઈતની કૃતિ ગણવામાં આવે છે. ૪ ખંડ અને મુખ્યત્વે ચોપાઈબંધની ૪૩૮/૪૭૦ કડીની આ કૃતિના પહેલા ખંડમાં હંસાઉલીનરવાહનના લગ્નની અદ્ભુતરસિક વાર્તા અને બાકીના ૩ ખંડોમાં તેના પુત્રોની પ્રેમશૌર્યઅંકિત ગાથા રજૂ થઈ છે. તેમાં વચ્ચે-વચ્ચે આવતાં ૩ વિરહગીતો અસાઈતની ઊર્મિકવિ તરીકેની શક્તિ પ્રગટ કરે છે. આ કથા જૈનોમાં સારું સંમાન પામી છે અને મતિસુંદર નામના જૈન સાધુએ આના પુર:સંધાન રૂપે હંસાઉલીના પૂર્વભવની કથા ઈ.૧૫૬૫માં રચી છે તે હકીકત એના કર્તાને અસાઈત નાયક ગણવા કારણ આપે છે કેમ કે નાયકકોમનો જૈન સંપ્રદાય સાથેનો સંબંધ જાણીતો છે. અસાઈતના નામે ‘ફરસુરામ-આખ્યાન’ નોંધાયેલ છે. પરંતુ એ માહિતીની અધિકૃતતા ચકાસણીપાત્ર જણાય છે. ‘ટેન્ડો રજપૂતનો વેશ’(મુ.)માં “અસાઈત મુખ ઓચરે ટેન્ડો રમતો થયો” એવી પંક્તિ મળે છે. એટલે કદાચ આ વેશના કર્તા તેઓ હોય. કૃતિ : ૧. હંસાઉલી, સં. કેશવરામ કા. શાસ્ત્રી, ઈ.૧૯૪૫ (+સં.);  ૨. ભવાઈસંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, *ઈ.૧૮૬૬, ઈ.૧૮૯૪ (ચોથી આ.); ૩. ભવાની ભવાઈ પ્રકાશ, સં. હરમણિશંકર ધ. મુનશી, -. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. કવિચરિત : ૧-૨; ૩. ગુજૂકહકીકત; ૪. ગુસાઇતિહાસ : ૧; ૫. ગુસારસ્વતો;  ૬. ગૂહાયાદી. [ર.દ., કી.જો.]

અહમદ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : મુસ્લિમ કવિ. અવટંકે દેસાઈ.ખોલવડ(જિ. નવસારી)ના વતની. પીર કાયમુદ્દીનની પરંપરામાં નબીમિયાંના અનુયાયી. એમની પ્રેમલક્ષણાભક્તિની ૨ ગરબીઓ તથા યોગમાર્ગની પરિભાષાને યોજતું ભક્તિબોધનું ૧ કલામ એ કૃતિઓ મુદ્રિત મળે છે. કૃતિ : ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯ (+સં.) [ર.ર.દ.]

‘અંગદવિષ્ટિ’ [ ર. ઈ.૧૭૪૩ કે ૧૭૫૨/સં. ૧૭૯૯ કે ૧૮૦૮, આસો સુદ ૧૦, રવિવાર] : ૧૬૪થી ૩૮૪ સુધીની કડીસંખ્યા બનાવતી, સંભવત: કવિને હાથે વૃદ્ધિ પામતી ગયેલી શામળની આ કૃતિ(મુ.) ઝૂલણા, દોહરા, રોળાના છપ્પા, સોરઠા, સવૈયા અને કવિતમાં રચાયેલ છે. ગુજરાતી તથા હિંદી ભાષાનો વિનિયોગ કરતી આ કૃતિ એ બંને ભાષામાં શામળનું સવ્યસાચીપણું બતાવે છે. સાંસારિક રસની કલ્પનાપ્રધાન માનવકથાઓની રચનામાં સવિશેષ રસ ધરાવતા કવિએ અહીં પૌરાણિક કથાવસ્તુ પર પોતાનો હાથ અજમાવ્યો છે તે તરત ધ્યાન ખેંચે એવી હકીકત છે. આ કાવ્યમાં એમણે વાલીપુત્ર અંગદ, સીતાને પાછી સોંપી દેવા સમજાવવા રાવણ પાસે જાય છે એ રામાયણીય પ્રસંગને પોતાનું પદ્યકૌશલ બતાવવાના લોભથી અતિકથન અને વિસ્તારની પરવા કર્યા વિના ખૂબ બહેલાવ્યો છે અને રામ અને અંગદ, અંગદ અને રાવણમંદિરના પ્રતિહાર તેમ જ સામદ, તથા રાવણ અને અંગદ વચ્ચેના સંવાદો વીરરસોચિત ઝમકદાર ભાષામાં ઘણા ચગાવ્યા છે. સંવાદોમાં રામ સિવાયનાં અન્ય પાત્રોની ભાષા જુસ્સા અને ઝનૂનના અતિરેકમાં અશિષ્ટ ગાલિપ્રદાન સુધી પહોંચી જાય છે, એમાં શામળ સમકાલીન શ્રોતાવર્ગના રંજનાર્થે તેની કક્ષાએ ઊતરી પડ્યાનું જોઈ શકાય. બધો વખત અંગદના મુખેથી નીકળતી આવેશપ્રધાન જોશીલી વાણી તેમ જ તેના વીર-પરાક્રમથી થતી વીરરસની નિષ્પત્તિ ધ્યાન ખેંચ્યા વિના રહેતી નથી. શામળની પૌરાણિક વિષયની આ કૃતિ પરંપરાપ્રાપ્ત આખ્યાનોથી જુદી રચનારીતિનું આખ્યાન છે એમ કહી શકાય. [અ.રા.]

અંદરજી [ઈ.૧૭૮૮માં હયાત] : અવટંકે જોશી. ૧૫ કડીના ગણપતિની પૂજાને વિષય કરીને રચેલા છંદ(ર. ઈ.૧૭૮૮/સં. ૧૮૪૪, માગશરદ સુદ ૧૪, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : દેવીમાહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ર, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭ (+સં.). [કી.જો.]

‘અંબડવિદ્યાધર-રાસ’ [ર. ઈ.૧૫૮૩/સં. ૧૬૩૯, કારતક સુદ ૧૩] : મંગલમાણિક્યે પોતાની ગુરુપરંપરાના મુનિરત્નસૂરિની મૂળ ગદ્યપદ્યમય સંસ્કૃત કૃતિ ‘અંબડ-ચરિત્ર’ના અનુવાદ રૂપે રચેલી ૨૨૪૧ કડીની આ કૃતિ(મુ.) ૭ આદેશો[ખંડો]માં વહેંચાયેલી છે. મુખ્યત્વે ચોપાઈબંધનો ઉપયોગ કરતી આ કૃતિમાં દુહા અને વસ્તુ છંદનો પણ ઉપયોગ થયો છે. આ કૃતિમાં અત્યંત ગરીબ દશામાં ફરતા અંબડને ગોરખયોગિનીના આશીર્વાદથી કેવી રીતે મોટું રાજ્ય, ધન અને ૩૨ પત્નીઓ મળે છે તેની અદ્ભુતરસિક કથા રજૂ થયેલી છે. પૂર્વ દિશામાંથી ગુણવર્ધન નામના વાડીમાંથી પાકું શતશર્કરા ફળ લાવવું - જેવી ગોરખયોગિનીની ૭ આજ્ઞા અંબડ કેવી રીતે પાર પાડે છે તેનું વૃત્તાંત ૭ આદેશોમાં આપવામાં આવ્યું છે. આ આજ્ઞાઓ પાર પાડતાં અંબડ અનેક ચમત્કારિક અનુભવોમાંથી પસાર થાય છે. યોગિનીના મૃત્યુ પછી અંબડ જિનમતનો અંગીકાર કરી સુલસા શ્રાવિકાના પ્રત્યક્ષ પરિચયથી સમ્યકત્વમાં સ્થિર થાય છે અને અંતે મોક્ષ પામે છે. ધન ગુમાવી બેઠેલો અંબડનો પુત્ર કુરબક ધનપ્રાપ્તિ માટે ગોરખયોગિનીની ધ્યાનકુંડિકા ઉઘાડે છે ત્યાં પતિના સિંહાસનના મોહથી પૂતળી બની ગયેલી પોતાની ૩૨ માતાઓને જુએ છે. કોઈ ભાગ્યવાન પુરુષને આગળ કરી ધન કાઢવાના વિચારથી કુરબક વિક્રમને લઈ જાય છે પરંતુ વિક્રમનો પ્રયત્ન પણ સફળ થતો નથી. વિક્રમને મળેલા સિંહાસનની ૩૨ પૂતળીઓના આ પૂર્વ-ઇતિહાસને લીધે ‘સિંહાસન-બત્રીસી’ની કથામાળાનો પૂર્વરંગ રચતી આ કૃતિ એ દૃષ્ટિએ મહત્ત્વની ઠરે છે. આ કૃતિમાં ચમત્કારપ્રધાન ઘટનાઓનો રસ મુખ્ય છે તેમ છતાં એમાં કવિએ આડકથાઓ, લૌકિક દૃષ્ટાંતો અને સુભાષિતો ગૂંથવાની તક લીધેલી છે. એ નિમિત્તે કેટલુંક સંસારચિત્ર અને કેટલોક જીવનબોધ રજૂ થાય છે. સુભાષિતો સંસ્કૃત શ્લોક ને પ્રાકૃત ગાથા રૂપે પણ આવે છે એમાં કવિનું પાંડિત્ય દેખાઈ આવે છે. શંભુરૂપનું વર્ણન, યોગિનીને વિસ્તૃત પ્રાર્થના જેવા અંશો ત્વરિત ઘટનાવેગવાળી આ કૃતિમાં એક પ્રકારની રાહત ઊભી કરે છે. કવિની વાણીમાં અલંકરણ નથી પરંતુ સરલ છટાદાર વાણીમાં પણ કવિની ભાષાપ્રભુતા વરતાઈ આવે છે. આ જૈન કવિ આરંભમાં શંકર, વિષ્ણુ, બ્રહ્માને સ્મરે છે, પ્રત્યેક આદેશમાં મંગલાચરણ યોજે છે, ઓમકાર અને સિદ્ધસ્વરૂપનો મહિમા કરે છે અને ગુરુવાર(ઈ.૧૫૮૨/સં. ૧૬૩૮, જેઠ સુદ ૫)ના રોજ કૃતિનો આરંભ કરે છે તે બધી વીગતો નોંધપાત્ર છે.[કી.જો.]

અંબદેવ(સૂરી) [ઈ.૧૩૧૫માં હયાત] : નિવૃત્તિગચ્છના જૈન સાધુ. પાર્શ્વસૂરિના શિષ્ય. દોહા, રોળા વગેરે વિવિધ ગેય છંદોમાં ૧૩ ભાસમાં રચાયેલો એમનો ‘સમરા-રાસ ← સંઘપતિ-સમરસિંહ-રાસ’ (મુ.) શત્રુંજય તીર્થમાં મુસ્લિમોએ ખંડિત કરેલ મૂલનાયકના બિંબની પ્રતિષ્ઠાના પાટણના સમરસિંહને આવેલા વિચાર અને એને અંગે એમણે કરેલી કાર્યવાહીની વિસ્તૃત ભૂમિકા સાથે એમણે કાઢેલા સંઘની યાત્રાનું તથા પ્રતિષ્ઠામહોત્સવનું વર્ણન કરે છે. ઐતિહાસિક માહિતી તથા ભાષાવિકાસની દૃષ્ટિએ નોંધપાત્ર બનતા આ રાસમાં સંઘ ઈ.૧૩૧૫(સં. ૧૩૭૧, ચૈત્ર વદ ૭)ના રોજ પાટણ પાછો આવ્યાનું નોંધાયું છે. કાવ્યની રચના એ જ વર્ષમાં થઈ હોવાનું માનવામાં બાધ જણાતો નથી. કૃતિ : ૧ જૈઐકાસંચય; ૨. પ્રાગૂકાસંગ્રહ : ૧. સંદર્ભ : ૧ આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. ગુસામધ્ય;  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. જૈનયુગ, કારતક, પોષ, ફાગણ, વૈશાખ ૧૯૮૨- ‘શ્રી શત્રુંજયતીર્થનો ઉદ્ધારક સમરસિંહ’, લાલચંદ્ર ભ. ગાંધી. [વ.દ.]

અંબાઈદાસ [ ] : કેટલાક ગરબા (અંબાજી વિશેનો ૧ ગરબો મુ.) તથા ‘લંકાના સલોકા’ના કર્તા. કૃતિ : અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, સં. ૧૯૭૯. સંદર્ભ : ગૂહાયાદી. [ચિ.ત્રિ.]

અંબારામ [ઈ.૧૮૧૧ આસપાસ સુધીમાં] : ‘અંબારામ’ ઉપરાંત ‘અંબા’, ‘અંબો’, ‘આંબો’ની નામછાપ ધરાવતી તિથિ, વાર, માસ, સંદેશો તથા ગરબા-ગરબીઓ વગેરે પ્રકારની કૃતિઓ (લે.ઈ.૧૮૧૧ આસપાસ)ના કર્તા. એમની ગરબીઓમાંથી ૪ ગરબીઓ આત્મજ્ઞાનવિષયક અને બાકીની કૃષ્ણભક્તિવિષયક હોવાનું જણાવાયું છે. ‘અંબો’ની નામછાપવાળાં જ્ઞાનમૂલક રૂપગ્રંથિવાળાં ૨ પદો તથા ‘અંબા’ની નામછાપને કારણે ભૂલથી ‘અંબાબાઈ’ના નામે મુકાયેલી કૃષ્ણવિરહની ૨ ગરબીઓ મુદ્રિત મળે છે તે આ કવિની જ રચનાઓ જણાય છે. ૩ કડવાનો ‘સીતાવિવાહ’(મુ.) મળે છે તે ઉપર્યુક્ત અંબારામની કૃતિ હોવાનું નિશ્ચિતપણે ન કહી શકાય. કૃતિ : ૧. પ્રાકાસુધા : ૨; ર. ભવાની ભવાઈ પ્રકાશ, સં. હરમણિશંકર ધ. મુનશી; -;  ૩. વસંત, વ. ૧૧ અં. ૧૩ - ‘સ્ત્રીકવિ અંબાબાઈ’, છગનલાલ વિ. રાવળ. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬ - ‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્યો’, છગનલાલ વિ. રાવળ;  ૩. ગૂહાયાદી.[ચિ.ત્રિ.]

અંબાશંકર [ ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય જિનહંસના શિષ્ય. સોમસુંદરસૂરિની પરંપરાના લક્ષ્મીસાગરસૂરિ(જ.ઈ.૧૪૦૮ - અવ.ઈ.૧૪૮૧ ?)એ જિનહંસને આચાર્યપદ આપ્યાનો ઉલ્લેખ મળે છે. કવિના ગુરુ ઉક્ત જિનહંસ હોય તો કવિનો સમય ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ ગણાય. એમના રાસઉ, આંદોલા અને ફાગના રચનાબંધવાળા, ૨૭ કડીના ‘જિનહંસગુરુ-નવરંગ-ફાગ’ (લે. સં. ૧૬મી સદી અંતભાગ/સં. ૧૭મી સદી આરંભ અનુ; મુ.)માં પરંપરાગત રૂપકશૈલીએ ગુરુના શીલનો મહિમા વર્ણવાયો છે. આંતરયમકના વ્યાપક વિનિયોગવાળા આ કાવ્યમાં કવિએ સૌંદર્યવર્ણન અને વિરહવર્ણનની તક લીધી છે અને ‘વસંતવિલાસ’નું સ્મરણ કરાવતી કેટલીક મનોરમ પંક્તિઓ પણ એમાં મળે છે. કૃતિ : પ્રાફાગુસંગ્રહ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ.’ [શ્ર.ત્રિ.]

આગમમાણિક્ય [ ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય જિનહંસના શિષ્ય. સોમસુંદરસૂરિની પરંપરાના લક્ષ્મીસાગરસૂરિ (જ.ઈ.૧૪૦૮ - અવ.ઈ.૧૪૮૧?) એ જિનહંસને આચાર્યપદ આપ્યાનો ઉલ્લેખ મળે છે. કવિના ગુરુ ઉક્ત જિનહંસ હોય તો કવિનો સમય ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ ગણાય. એમના રાસઉ, આંદોલા અને ફાગના રચનાબંધવાળા, ૨૭ કડીના ‘જિનહંસગુરુ-નવરંગ-ફાગ’ (લે.સં. ૧૬મી સદી અંતભાગ/સં. ૧૭મી સદી આરંભ અનુ.; મુ.)માં પરંપરાગત રૂપકશૈલીએ ગુરુના શીલનો મહિમા વર્ણવાયો છે. આંતરયમકના વ્યાપક વિનિયોગવાળા આ કાવ્યમાં કવિએ સૌંદર્યવર્ણન અને વિરહવર્ણનની તક લીધી છે અને ‘વસંતવિલાસ’નું સ્મરણ કરાવતી કેટલીક મનોરમ પંક્તિઓ પણ એમાં મળે છે. કૃતિ : પ્રાફાગુસંગ્રહ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ.’ [શ્ર.ત્રિ.]

આજિચંદ્ર [ ] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન કવિ. ‘ઉત્તરાધ્યયન-બાલાવબોધ’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા. [કી.જો.]

આજ્ઞાસુંદર(ઉપાધ્યાય) [ઈ.૧૪૬૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનવર્ધનસૂરિના શિષ્ય. ૩૩૪ કડીના ‘વિદ્યાવિલાસ ચોપાઈ/રાસ’ (ર. ઈ.૧૪૬૦)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]

આણંદ - : જુઓ આનંદ -.

આણંદો : પદોના કર્તા. જુઓ આનંદ. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]

‘આત્મજ્ઞાન વિશે’ : આ શીર્ષક નીચે મુકાયેલાં ધીરાનાં ૧૦ પદો(મુ.) સળંગ કૃતિ તરીકે કલ્પાયેલ હશે એવી ખાતરી થતી નથી. ૧૦માંથી ૮ પદો કાફીપ્રકારનાં છે અને ચુસ્તપણે જ્ઞાનમાર્ગને વળગે છે, જ્યારે અન્ય ૨ પદો પ્રેમલક્ષણાભક્તિની પરિભાષાનો વિનિયોગ કરીને ચાલે છે. “તરણા ઓથે ડુંગર”ની જેમ સંસારની ઓથે અદૃષ્ટ રહેતા પરમ તત્ત્વની અલૌકિકતા અને એનો અનુભવ દૃષ્ટાંતપરંપરા અને “ઊલટી સરિતા પડે ગગન પર, વિના વાદળ વરસાય”, “તેતરડે સિંચાણો પકડ્યો” એવા અવળવાણીના ઉદ્ગારો વડે બલિષ્ઠતાથી આલેખતાં પદો વધારે ધ્યાન ખેંચે છે. “વિદેહની વારતા” માંડતા કવિની આ અનુભવમસ્તી તેમ “ખબરદાર મનસૂબાજી, ખાંડાની ધારે ચડવું છે” એમ રૂપકશૈલીએ વ્યક્ત થયેલી આત્મપ્રબોધની ચાનક પ્રભાવક બની છે. માયાની મોહકતા અને કાયાની નશ્વરતા વર્ણવતાં પદો અહીં છે, તેમ જ યોગમાર્ગી પદાવલિમાં પણ જ્ઞાનબોધ નિરૂપાયેલો છે. [ર.દ.]

આત્માનંદ(બ્રહ્મચારી) - ૧ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ) : સ્વામિનારાયણસંપ્રદાયના સાધુ. ‘સહજાનંદસ્વામી-ચરિત્ર’(મુ.)ના કર્તા. આ કવિને નામે નોંધાયેલ ‘લીલાચિંતામણિ’ ઉપર્યુક્ત કૃતિ જ હોવાનો સંભવ છે. કૃતિ : સહજાનંદસ્વામિચરિત્ર, પ્ર. શાસ્ત્રી કૃષ્ણપ્રસાદ દવે, ઈ.૧૯૮૨.[હ.ત્રિ.]

આત્માનંદ(સ્વામી) - ૨ [ઈ.૧૯મી સદી] : સ્વામિનારાયણસંપ્રદાયના સાધુ. દીક્ષા પૂર્વે મારવાડના ઠાકોર. જોમયુક્ત સાંપ્રદાયિક વારતાઓના કર્તા. સંદર્ભ : મસાપ્રવાહ. [હ.ત્રિ.]

આત્મારામ : આત્મારામ : આ નામે ‘કૃષ્ણ-ચરિત્ર’ અને કેટલાંક પદો નોંધાયેલાં મળે છે તથા તિથિ અને ગરબી મુદ્રિત મળે છે. આ કયા આત્મારામ છે તે નિશ્ચિત રીતે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ; ઈ.૧૯૨૩; કાદોહન. : ૩. સંદર્ભ : ૧ ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]

આત્મારામ - ૧ [ ] :  દોલતરામશિષ્ય. ઔષધ વિશેના ‘આત્મપ્રકાશ’ ગ્રંથના કર્તા. સંદર્ભ : જેસલમીરભાંડાગારીય ગ્રન્થાનાં સૂચી, પ્ર. સેન્ટ્રલ લાઇબ્રેરી, ઈ.૧૯૨૩.[કી.જો.]

આદિત/આદિતરામ/આદિત્યરામ : આદિતને નામે માતાજીવિષયક કેટલાંક મુદ્રિત પદો મળે છે જેમાંનાં ૧માં “અષ્ટાદશ અષાઢે રે કૃષ્ણપક્ષ ત્રતિયાને ગુરુવાર રે” એવી પંક્તિ છે જે સં. ૧૮૧૮ કે સં. ૧૯૧૮ હોવાની શક્યતા છે. આદિતરામને નામે ૪ કડીનું ભજન (મુ.) મળે છે તથા આદિત્યરામને નામે કેટલાંક ગરબા, ગરબી, પદો વગેરે મળે છે. આ આદિત, આદિતરામ અને આદિત્યરામ કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧ અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૨. ભસાસિંધુ. સંદર્ભ : ૧ ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]

‘આદિનાથજીનો રાસ’ [ર. ઈ.૧૭૬૮/સં. ૧૮૨૪, મહા સુદ ૧૩, રવિવાર] : ઉદયસાગરશિષ્ય ઉપાધ્યાય દર્શનસાગરકૃત ૫ ખંડ, ૧૬૭ ઢાળ અને ૬૦૮૮ કડીની દુહા-દેશીબદ્ધ રાસકૃતિ(મુ.). પ્રથમ તીર્થંકર ઋષભદેવના જન્મ-મહોત્સવ, બાળક્રીડા, લગ્ન, વસંતક્રીડા, વરસીતપ, કેવળજ્ઞાનપ્રાપ્તિ, ચતુર્વિધ સંઘની સ્થાપના, સિદ્ધાચલગમન તથા અષ્ટાપદમાં નિર્વાણ - એ સમગ્ર જીવનચર્યાને આવરી લેતી આ કૃતિમાં એમના ૧૨ પૂર્વભવો ઉપરાંત ભરતના મોક્ષગમન સુધીનું ભરત-બાહુબલિ-વૃત્તાંત પણ વીગતે આલેખાયું છે એ ખાસ ધ્યાન ખેંચે છે. કવિએ પ્રસંગોપાત દૃષ્ટાંત રૂપે નૃપરાજ આદિની કથાઓ ગૂંથી લીધી છે અને ઋષિદત્તા જેવી કથા પૂરી ૧૩ ઢાળ સુધી વિસ્તારીને કહી છે તે પ્રાસાદિક કથાનિરૂપણમાં કવિનો રસ અને એમની ગતિ બતાવે છે. કાલચક્ર, ચક્રવર્તીનાં રત્નો, વાસ્તુશાસ્ત્ર, શકુનશાસ્ત્ર, રાજાનાં ૩૬ લક્ષણો, સ્વપ્નફળ તથા વાસુદેવ અને ચક્રીઓની સંખ્યા જેવી માહિતીલક્ષી વીગતોથી કૃતિને અમુક રીતનો આકરગ્રંથ બનાવવાનો પ્રયાસ થયો છે, તે ઉપરાંત વનખંડ, નગરી, સૈન્ય, પાત્રોનાં દેહાદિક, વરસાદી માર્ગ વગેરેનાં, કેટલીક વાર આલંકારિક રીતે તો કેટલીક વાર નક્કર વીગતોથી વર્ણનો થયાં છે તે સઘળું કવિની નિપુણતાનું દ્યોતક છે. કૃતિમાં પાનેપાને આવતાં સંસ્કૃત, પ્રાકૃત અને હિન્દી ભાષાનાં સુભાષિતો કવિની બહુશ્રુતતા સૂચવે છે. હેમચંદ્રાચાર્ય તથા વિનયચંદ્રકૃત આદિનાથચરિત્રો, ધનેશ્વરસૂરિકૃત ‘શત્રુંજયમાહાત્મ્ય’ અને જયશેખરસૂરિકૃત ‘ઉપદેશચિંતામણિ-વૃત્તિ’ જેવા ગ્રંથોનું અભ્યાસપૂર્ણ આકલન કરી રચાયેલ આ રાસકૃતિ એના વિસ્તાર તથા વાચનક્ષમતાથી ધ્યાન ખેંચે છે.[ર.ર.દ.]

આધાર [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] :  ભરૂચના ખેડાવાળ બ્રાહ્મણ, અવટંકે દવે અને કડુજીના પુત્ર હોવાનું નોંધાયું છે, પરંતુ કૃતિઓમાં ‘આધારભટ’ એટલી જ નામછાપ મળે છે. ઈ.૧૬૬૪માં રચાયેલા વીરજીના ‘સુરેખાહરણ’ની ઈ.૧૬૯૮ની પ્રતમાં એમનું નામ દાખલ થયેલું જોવા મળે છે, તેથી એ ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધમાં હયાત હોવાનું માની શકાય. એમને નામે મળતી કૃતિઓમાંથી ‘સુરેખાહરણ’ મૂળ વીરજીની અને ‘શામળશાનો વિવાહ’(મુ.) મૂળ હરિદાસની કૃતિ છે. આધારભટનું કર્તૃત્વ ગણાય એવું એમાં કશું જણાતું નથી. ‘શામળશાનો વિવાહ’ની ર. ઈ.૧૬૭૦(સં. ૧૭૨૬, કારતક સુદ ૧) નોંધાયેલી મળે છે, પરંતુ મુદ્રિત પાઠનો એને ટેકો નથી. આધારભટ વ્યવસાયે કથાકાર હશે ને તેથી આ કૃતિઓમાં પોતાનું નામ દાખલ કરી દીધું હશે એવા તર્કને પૂરો અવકાશ છે, પરંતુ એમને નામે નોંધાયેલી નરસિંહ મહેતાને થયેલાં રાસલીલાના દર્શનને વર્ણવતી ‘નરસિંહ મહેતાની ‘રાસપંચાધ્યાયી’માં અન્ય કોઈ કવિનું કર્તૃત્વ હોવાનું નિર્ણીત કરી શકાય તેમ નથી. કૃતિ : ૧ નરસૈં મહેતાનું આખ્યાન, સં. હીરાલાલ ત્રિ. પારેખ, ઈ.૧૯૨૩(+સં.); ૨. બૃકાદોહન : ૮(+સં.). સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. [ર.સો.]

આનંદ/આનંદ(મુનિ)/આણંદ/આણંદો : આણંદ અને આનંદ-મુનિ આ નામોથી ‘મહાવીરજિન-સ્તવન’ (ર. ઈ.૧૬૫૧), ‘જૂગટું ન રમવા વિશે સઝાય/ સોગઠાં-સઝાય’ (લે. ઈ.૧૮૧૩; મુ.), ૭ કડીનું ‘શાંતિજિન-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૧૮ કડીની ‘તમાકુની સઝાય’ (મુ.) અને બીજી કેટલીક ગુજરાતી-હિન્દી જૈન કૃતિઓ (કેટલીક મુ.) મળે છે તે કયા કવિ છે તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. આનંદ અને આણંદોને નામે કેટલાંક કૃષ્ણવિષયક અને અન્ય પદો મળે છે તે જૈનેતર કર્તા હોઈ શકે. એ કર્તા કોણ છે તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. કૃતિ : ૧ જિભપ્રકાશ; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈપ્રપુસ્તક : ૧. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ; ૪. મુપુગૂહસૂચી; ૫. લીહસૂચી; ૬. હૈજૈજ્ઞાસૂચિ : ૧. [કુ.દે.]

આનંદ(મુનિ)-૧ [ઈ.૧૪૫૧માં હયાત] : રત્નાકરગચ્છના જૈન સાધુ. રત્નસિંહસૂરિના શિષ્ય. સાધ્વીજી ધર્મલક્ષ્મીનું જીવનવૃત્તાંત વર્ણવતા અને એમનો ગુણાનુવાદ કરતા ૫૩ કડીના ‘ધર્મલક્ષ્મીમહત્તરા-ભાસ’ (ર. ઈ.૧૪૫૧; મુ.)ના કર્તા. કૃતિ : જૈઐકાસંચય(+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [કુ.દે.]

આણંદ-૨ [ઈ.૧૫૦૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિ-સાધુવિજયની પરંપરામાં કમલસાધુના શિષ્ય. ૨૯ કડીના ‘પંચબોલગર્ભિત-ચોવીસજિન-સ્તવન’(ર. ઈ.૧૫૦૬; મુ.)ના કર્તા. આ કૃતિ ક્વચિત્ ભૂલથી આણંદવિજય તેમ જ કમલવિજયને નામે નોંધાયેલી મળે છે. કૃતિ : ૧. જૈરસંગ્રહ; ૨. રત્નસાર : ૨; પ્ર. શા. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧ [કુ.દે.]

આનંદ-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિ (રાજ્યકાળ ઈ.૧૬૧૮ - ઈ.૧૬૪૪) વિશે એમની હયાતીમાં રચાયેલા ૭ કડીના ‘જિનરાજસૂરિગુરુ-ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [કુ.દે.]

આનંદ(સૂરિ)-૪ [ઈ.૧૬૮૪માં હયાત] : જૈન સાધુ. મહેન્દ્રસૂરિ-શાંતિસૂરિના શિષ્ય. ‘સુરસુંદરી-રાસ’(ર. ઈ.૧૬૮૪)ના કર્તા. સંદર્ભ : ૧ જૈગૂકવિઓ : ૨. [કુ.દે.]

આણંદ(મુનિ)-૫ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. ત્રિલોકસિંહના શિષ્ય. ૪૭ કડીના ‘ગણિતસાર’ (ર. ઈ.૧૬૭૫/સં. ૧૭૩૧, શ્રાવણ-), ૪ ખંડ અને ૩૧ ઢાળના ‘હરિવંશ-ચરિત્ર’ (ર. ઈ.૧૬૮૨/સં. ૧૭૩૮, કારતક સુદ ૧૫, સોમવાર) તથા શિવજી-ઋષિના આચાર્યકાળ (ઈ.૧૬૩૨-ઈ.૧૬૭૭) દરમ્યાન રચાયેલ ૧૪ કડીના ‘શિવજી-આચાર્યનો સલોકો’ના કર્તા. દિલ્હીમાં રચાયેલી પહેલી કૃતિમાં હિંદી ભાષાની અસર છે. સંદર્ભ : ૧ જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કુ.દે.]

આનંદ-૬ [ઈ.૧૪૮૪માં હયતા] : જેપુરવાસી ઓસવાલ શ્રાવક. પિતા જેઠમલ. ૩૫ ઢાળની ‘જંબુસ્વામી-ગુણરત્નમાલ’ (ર. ઈ.૧૮૪૬)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કુ.દે.]

આનંદકીર્તિ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. જિનરાજસૂરિ(રાજ્યકાળ ઈ.૧૬૧૮ - ઈ.૧૬૪૪)ના શિષ્ય. ૫ કડીના ‘જિનરાજસૂરિગુરુ-ગીત’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હૈજૈજ્ઞાસૂચિ : ૧ [કુ.દે.]

આનંદઘન આનંદઘન [ઈ.૧૭મી સદી] : જૈન સાધુ. મૂળ નામ લાભાનંદ. તપગચ્છમાં દીક્ષા લીધી હોવાનો સંભવ. અવસાન મેડતામાં. આનંદઘને રાજાના મેળાપ સમયે તાવને કપડાંમાં ઉતારી, કપડાં બાજુએ મૂક્યાં અથવા તો શેઠનાં વચનો સાંભળી, વેશ છોડી એ જંગલમાં ચાલ્યા ગયા - જેવી પ્રચલિત દંતકથાઓ માટે કોઈ આધાર નથી. આનંદઘનનો ઉપાધ્યાય યશોવિજયજી સાથે મેળાપ થયો હતો અને તેને પરિણામે ઉપાધ્યાય યશોવિજયજીએ આનંદઘનની સ્તુતિરૂપ અષ્ટપદીની રચના કરી હતી. રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલાં તથા તીર્થંકરોનાં માત્ર મહિમાગાન કરવાને બદલે, આત્મ-સાધનાની ક્રમિક વિકાસયાત્રાનું આલેખન કરતાં અને યોગમય, અનુભવપૂત તત્ત્વવિચાર તેમ જ લાઘવયુક્ત વાણીથી નોંધપાત્ર બનતાં ‘આનંદઘન-ચોવીસી’ ← (મુ.)ના પ્રાપ્ત થયેલાં ૨૨ સ્તવનો જૈનપરંપરામાં આગવી ભાત પાડે છે. ‘આનંદઘન-બહોંતેરી’(મુ.) તરીકે ઓળખાયેલાં પણ ૭૩ જેટલી સંખ્યામાં પ્રાપ્ત થતાં મુખ્યત્વે રાજસ્થાની ભાષાનાં પદોમાં સાંપ્રદાયિક નિરૂપણને સ્થાને કબીર, નરસિંહ અને મીરાંનાં પદોના જેવો સાધકની આનંદમય અનુભવમસ્તીનો કવિત્વમય ઉદ્ગાર મળે છે. આ રીતે આનંદઘનનાં સ્તવનો અને પદો એ કોઈ સંપ્રદાયવિશેષની સંપત્તિ બની રહેવાને બદલે, પ્રત્યેક આત્મજ્ઞાનીને માટે પથદર્શક બને તેવાં હોઈ મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિતાપરંપરામાં પોતાનું ચોક્કસ સ્થાન પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત આનંદઘન પાસેથી ૨૫ કડીનું ‘ચોવીસ તીર્થંકરનું સ્તવન’, તીર્થંકરો વિશેનાં અન્ય છૂટક સ્તવન-પદો તથા ‘હોરીસ્તવન’, ‘અધ્યાત્મ-ગીત’ વગેરે કૃતિઓ(મુ.) મળે છે. એમણે સંસ્કૃતમાં પણ ‘સિદ્ધ-ચતુર્વિંશતિકા’ રચેલી છે. કૃતિ : ૧. આનંદઘન એક અધ્યયન (સ્તવન-બાવીસીને અનુલક્ષીને), કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૦ (+સં.) : ૨. આનંદઘન ચોવીસી, સં. પ્રભુદાસ બે. પારેખ, ઈ.૧૯૫૦ (+સં.); ૩. એજન, સં. રતિલાલ દી. દેસાઈ, ઈ.૧૯૭૦ (+સં.); ૪. આનંદઘનજીનાં પદો : ૧, ૨, સં. મોતીચંદ ગિ. કાપડિયા, ઈ.૧૯૫૬ (+સં.); ૫. આનંદઘન પદસંગ્રહ ભાવાર્થ, સં. બુદ્ધિસાગર સૂરીશ્વરજી, ઈ.૧૯૫૪ (+સં.); ૬. ચોવીસી, સં. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૨ (+સં.);  ૭. રાયચંદ્ર જૈન કાવ્યમાલા : ૧, સં. મનસુખલાલ ૨. મહેતા, ઈ.૧૯૦૮ (+સં.). સંદર્ભ : ૧ આનંદઘનજીનું દિવ્યજિનમાર્ગદર્શન અને પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા, ભગવાનદાસ મહેતા, ઈ.૧૯૫૫;  ૨. શબ્દસંનિધિ, કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૦ - ‘કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં આનંદઘન.’ [કુ.દે.]

‘આનંદઘન-ચોવીસી’: આનંદઘનકૃત ૨૨ સ્તવન જ મળતાં હોવાથી અન્ય રચયિતાઓએ, આનંદઘનને કે પોતાને નામે ૨ સ્તવનો રચીને પૂર્ણ કરેલી આ ‘ચોવીસી’(મુ.)માં તીર્થંકરોના ગુણાનુવાદ જેવાં રૂઢ તત્ત્વોને સ્થાને આધ્યાત્મિક પ્રક્રિયાનું આલેખન છે અને તેથી એ જૈન ચોવીસી-પરંપરામાં જુદી ભાત પાડે છે. ૨૧ સ્તવનોમાં તત્ત્વવિચારણાનો સળંગ આલેખ છે ને પરમાત્માનો માર્ગ, પૂજનના પ્રકાર, શાંતિનું સ્વરૂપ, મનનો વિજય, જૈનદર્શનની વિશેષતા વગેરે વિષયો આલેખાયા છે. ૨૨મા સ્તવનમાં નેમરાજુલનો પ્રસંગ નિરૂપાયો છે. અલંકારોની ચમત્કૃતિને બદલે યોગમય, અનુભવપૂત તત્ત્વવિચાર અને નૈસર્ગિક લાઘવયુક્ત વાણીનું બળ પ્રગટ કરતાં આ સ્તવનોની ભાષાનું કાઠું રાજસ્થાની છે, પરંતુ તેમાં ગુજરાતી ભાષાનો સ્પર્શ વિશેષપણે જોવા મળે છે. એથી, ગુજરાતના પ્રદેશોમાં લાંબો સમય વિહાર કરનાર આનંદઘનની ઉત્તરાવસ્થાનું આ સર્જન હોય એમ સમજાય છે. આ સ્તવનો ઉપર જ્ઞાનવિમલસૂરિ અને જ્ઞાનસારે રચેલા સ્તબક મળે છે અને ઉપાધ્યાય યશોવિજયે પણ સ્તબક રચ્યો હોવાની માહિતી મળે છે તે આ સ્તવનોનું જૈનપરંપરામાં ગૌરવભર્યું સ્થાન હોવાનું નિર્દેશે છે. જ્ઞાનસારે તો આનંદઘનને ‘ટંકશાળી’ એટલે નગદ સત્યનો ઉપદેશ આપનાર તરીકે ઓળખાવ્યા છે. [કુ.દે.]

આનંદચંદ્ર : આ નામે ‘પાર્શ્વનાથ-સ્તોત્ર’ તથા ‘સુવિધાનાથ-સ્તોત્ર’ નોંધાયેલ મળે છે તે આનંદચંદ્ર-૧ હોવાનું નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : લીંહસૂચી. [કુ.દે.]

આનંદચંદ્ર-૧ [ઈ.૧૬૦૪માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સમરચંદ્રની પરંપરામાં પૂર્ણચંદ્રના શિષ્ય. ૮૪ કડીની ‘સત્તરભેદીપૂજા’ (ર. ઈ.૧૬૦૪)ના કર્તા. સંદર્ભ : ૧ . જૈગૂકવિઓ : ૩(૧). [કુ.દે.]

આણંદદાસ [ ] : જૈન. ૧ બોધાત્મક છપ્પા(મુ.)ના કર્તા. કૃતિ : શનીશ્વરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, સં. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨ (ત્રીજી આ.). [કી.જો.]

આનંદનિધાન આનંદનિધાન[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનલબ્ધિસૂરિની પરંપરામાં મતિવર્ધનના શિષ્ય. ૧૩૪ કડીની ‘મૌનએકાદશી-ચોપાઈ’ (ર. ઈ.૧૬૭૧) અને ‘દેવરાજવત્સરાજ-ચોપાઈ’ (ર. ઈ.૧૬૯૨/સં. ૧૭૪૮, વૈશાખ સુદ-)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩ (૨); ૨. મુપુગૂહસૂચી. [કુ.દે.]

આણંદપ્રમોદ[ઈ.૧૫૩૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ચરણપ્રમોદની પરંપરામાં હર્ષપ્રમોદના શિષ્ય. ૬૩ ઢાળની ‘શાંતિજિનવિવાહ-પ્રબંધ/શાંતિનાથ-ધવલ/નવલરસસાગર’ (ર. ઈ.૧૫૩૫), આશરે ૬૯ કડીની ‘જિનપાલજિનરક્ષિત-પ્રબંધ/રાસ/સઝાય’ તથા ૧૪ કડીની ‘વેશ-સઝાય’ના કર્તા. પહેલી કૃતિ ક્યાંક હર્ષપ્રમોદને નામે પણ નોંધાયેલી મળે છે. સંદર્ભ : ૧ જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કુ.દે.]

આનંદમતિ આનંદમતિ[ઈ.૧૫૦૭માં હયાત] : જૈન સાધુ. રાજશીલના શિષ્ય. ૨૦૫ કડીના ‘વિક્રમખાખરા-ચરિત્ર-રાસ’ (ર. ઈ.૧૫૦૭)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કુ.દે.]

‘આનંદમંદિર-રાસ’ : જુઓ ‘ચંદ્રકેવલીનો રાસ.’

આણંદમેરુ [ઈ.૧૬૮૪ સુધીમાં] : જૈન સાધુ. ‘કલ્પસૂત્રવ્યાખ્યાન-ભાસ’ (લે. ઈ.૧૬૮૪)ના કર્તા. હસ્તપ્રતોમાં આ કૃતિની સાથે મળતી અને ‘જૈન ગૂર્જર કવિઓ’એ આણંદમેરુને નામે મૂકેલી ‘કાલિકસૂરિ-ભાસ’ પીંપલગચ્છના ગુણરત્નસૂરિ (ઈ.૧૪૫૭માં હયાત) કે તેના શિષ્યની જણાય છે. આણંદમેરુ આ ગુણરત્નસૂરિના શિષ્ય હોવાનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કુ.દે.]

આણંદરુચિ [ઈ.૧૬૮૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ઉદયરુચિની પરંપરામાં પુણ્યરુચિના શિષ્ય. ‘આદિજિનસ્તવનાગર્ભિતષટ્આરાપુદ્ગલપરાવર્તસ્વરૂપ-સ્તવન’ (ર. ઈ.૧૬૮૦)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩ (૨); ૨. લીંહસૂચી. [કુ.દે.]

આનંદવર્ધન : આ નામે ૧૨ કડીની ‘સિદ્ધાંતસાર-સઝાય’ (લે. ઈ.૧૬૧૯), ૯ કડીની ‘અભયક્ષ્યઅનન્તકાયવિચાર-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૧૨ છપ્પાની ‘ત્રેસઠસલાકાપુરુષઆયુષ્યાદિબત્રીસસ્થાનકવિચારગર્ભિત-સ્તવન’ (મુ.) તથા ‘સાધુદિનચર્યાસઝાય-બત્રીસી’ એ કૃતિઓ મળે છે. આ કૃતિઓ કયા આનંદવર્ધનની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૮ - ‘ત્રેસઠસલાકાપુરુષબત્રીસસ્થાનકવિચારગર્ભિત-સ્તવન’, સં. રમણિકવિજયજી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કુ.દે.]

આનંદવર્ધન(સૂરિ)-૧ [ઈ.૧૫૫૨માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ધનવર્ધનના શિષ્ય. ૧૨૭ કડીની ‘પવનાભ્યાસ-ચોપાઈ’ (ર. ઈ.૧૫૫૨/સં. ૧૬૦૮, આસો -) તથા ‘આધ્યાત્મિક પદ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી.[કુ.દે.]

આણંદવર્ધન-૨ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં મહિમાસાગરના શિષ્ય. એમની ‘ચોવીસજિનગીત-ભાસ/ચોવીસી’ (ર. ઈ.૧૬૫૬; મુ.) ભક્તિની આર્દ્રતા પ્રગટ કરતાં તથા ભક્તિસ્નેહવિષયક સૂત્રાત્મક ઉદ્ગારોને ગૂંથી લેતાં ગીતોમાં રચાયેલી હોવાથી જુદી તરી આવે છે. એમાંનાં કેટલાંક પદો હિન્દીમાં છે. બાકીનાં પદો પર હિન્દીનો પ્રભાવ વર્તાય છે. હિન્દીમિશ્ર ગુજરાતી ભાષાની ૨૪ કડીની ‘નેમિરાજિમતી-બારમાસા’ (ર. ઈ.૧૬૬૦; મુ.) પણ ભાવાનુપ્રાણિત રચના છે અને પ્રકૃતિના સ્વચ્છસુંદર ચિત્રણથી તેમ જ ક્વચિત્ અલંકારવૈચિત્ર્યના આશ્રયથી ધ્યાનપાત્ર બને છે. ૮ ઢાળ અને ૯૪ કડીના ‘અરણિકમુનિ/અર્હન્નઋષિ-રાસ’ (૨. ઈ.૧૬૪૬/૧૬૪૮; મુ.)માં પણ કવિએ ભાવનિરૂપણની તક લીધી છે. બધી જ કૃતિઓ ભાષાનું માધુર્ય, રસિક ધ્રુવાઓ અને ગેય ઢાળોના વિનિયોગથી રસપ્રદ બનેલી છે. ૧૫૨ કડીની ‘સીમંધરસ્વામી આત્મનિંદાસ્વરૂપદોગ્ધક’ (ર. ઈ.૧૬૫૩), ૭ કડીની ‘જંબૂસ્વામીની સઝાય’ (મુ.), ૯ કડીની ‘અંતરીક્ષપાર્શ્વનાથજિન-છંદ’ (મુ.) તથા સિદ્ધસેનસૂરિના ‘કલ્યાણમંદિર-સ્તોત્ર’ પર બાલાવબોધ - આ કવિની અન્ય કૃતિઓ છે. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. અસ્તમંજુષા; ૩. ચોવીસંગ્રહ; ૪. જૈસસંગ્રહ (ન); ૫.પ્રાછંદસંગ્રહ; ૬. પ્રામબાસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કુ.દે.]

આનંદવલ્લભ આનંદવલ્લભ[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. રામચન્દ્રના શિષ્ય. ‘દંડકસંગ્રહણી બાલાવબોધ’ (ર. ઈ.૧૮૨૪/સં. ૧૮૮૦, માગશર -) તથા સમયસુંદરકૃત ‘વિશેષશતક’ પર ભાષાગદ્ય (ર. ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, જેઠ સુદ ૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કુ.દે.]

આનંદવિજય આનંદવિજય : આ નામે ૨૩ કડીની ‘જીવદયા-સઝાય’ (લે. ઈ.૧૮૪૬) તથા ૧૩ કડીની ‘સનત્કુમારરાજર્ષિ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.) મળે છે. આ આનંદવિજય કયા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કુ.દે.]

આનંદવિજય-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. વિમલકીર્તિના શિષ્ય. વિમલકીર્તિના અવસાન (ઈ.૧૬૩૬) પછી રચાયેલી ૬ કડીની ‘વિમલકીર્તિગુરુ-ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [કુ.દે.]

આનંદવિજય-૨ આનંદવિજય-૨[ઈ.૧૭૪૪ સુધીમાં] : જૈન સાધુ. વિજયદેવસૂરિની પંરપરામાં જ્ઞાનવિજયના શિષ્ય. ૪ કડીની ‘ઋષભજિન-સ્તુતિ’-(લે.ઈ.૧૭૪૪)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કુ.દે.]

આનંદવિજય-૩ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ) : તપગચ્છના જૈન સાધુ. વિજયમાનસૂરિ(જ.ઈ.૧૬૫૧ - અવ. ઈ.૧૭૧૪)ના શિષ્ય ‘ક્ષેત્રસમાસ’ પરના બાલાવબોધ(ર. ઈ.૧૭૨૦ આસપાસ)ના કર્તા. સંદર્ભ : જૈસાઇતિહાસ. [કુ.દે.]

આનંદવિજય-૪ [ઈ.૧૭૯૯માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. પંડિત રત્નવિજયની પરંપરામાં ઉત્તમવિજયના શિષ્ય. ૩ ખંડની ‘ઉદાયનરાજર્ષિ-ચોપાઈ’ (લે. ઈ.૧૭૯૯, સ્વહસ્તલિખિત)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [કુ.દે.]

આનંદવિમલ(સૂરિ) આનંદવિમલ(સૂરિ) [જ.ઈ.૧૪૯૧ - અવ. ઈ.૧૫૪૦/સં. ૧૫૯૬, ચૈત્ર સુદ ૭] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિના શિષ્ય. સંસારી નામ વાઘજી. જન્મ ઇલાદુર્ગ(ઈડર)માં. ઓસવાલ જ્ઞાતિ. પિતા મેઘજી, માતા માણેકદેવી. દીક્ષા ઈ.૧૪૯૬. ઈ.૧૫૨૬માં ૫૦૦ સાધુને લઈને ચાણસ્મા પાસેના વડાવળી ગામમાં ધર્મશિથિલતા દૂર કરવા માટે તેમણે ક્રિયોદ્ધાર કર્યો. ઈ.૧૫૨૭માં તેઓ ગચ્છનાયક બન્યા. સાધુઓ માટેના આચારવિચાર પાળવાના ૩૫ બોલનો લેખ ‘યતિબંધારણ/સાધુમર્યાદાપટ્ટક’ (મુ.) પાટણમાંથી ઈ.૧૫૨૭માં બહાર પાડ્યો. આ લેખ પરથી એ સમયના સાધુ સમાજમાં પ્રવર્તેલી શિથિલતાનો ખ્યાલ આવે છે. ‘આવશ્યકપીઠિકા-બાલાવબોધ’ (ર.ઈ.૧૫૨૨)ના કર્તા. કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૩૬ - ‘આનંદવિમલસૂરિ નિર્મિત સાધુમર્યાદાપટ્ટક’, સં. અગરચંદ નાહટા; ૨. જૈન સાહિત્ય સંશોધક, ફાગણ ૧૯૮૪ - ‘આનંદવિમલસૂરિએ કરેલું યતિબંધારણ.’ સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. તપાગચ્છ પટ્ટાવલી, સં. કલ્યાણવિજયજી મહારાજ, ઈ.૧૯૪૦. ૩. ડિકેટલૉગભાવિ.[કુ.દે., કી.જો.]

આનંદવિમલ(સૂરિ) શિષ્ય આનંદવિમલ(સૂરિ) શિષ્ય[ઈ.૧૬મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલસૂરિના અવસાન (ઈ.૧૫૪૦) પછી વિજયદાનસૂરિના રાજ્યકાળ (ઈ.૧૫૩૧- ઈ.૧૫૬૬)માં રચાયેલી, આણંદવિમલનું ચરિત્ર વર્ણવતી ૧૯ કડીની સઝાય (મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧ (+સં.) [કી.જો.]

આનંદસાર [ઈ.૧૫૦૫માં હયાત] : જૈન સાધુ. ‘અજિતનાથ-સ્તવન’ (૨. ઈ.૧૫૦૫)ના કર્તા. આનંદસારને નામે ૭૨ કડીની ‘નેમિનાથ-સ્તવન’ તથા ૪ કડીની ‘મહાવીરજિન-સ્તુતિ’ એ કૃતિઓ મળે છે તે આ કવિની હોવા સંભવ છે. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧ [કુ.દે.]

આનંદસુંદર [ ] : ૨૩ કડીના ‘નેમિનાથ-સ્તવન’ તથા ૨૧ કડીના ગુજરાતીની છાંટવાળી હિંદીમાં રચાયેલા ૧ સ્તવન (મુ.)ના કર્તા. કૃતિ : રત્નસાર : ૨, પ્ર. શા. હીરજી હંસરાજ - સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કુ.દે.]

આનંદસોમ [જ. ઈ.૧૫૪૦/સં. ૧૫૯૬, કારતક સુદ ૧૫ - અવ. ઈ.૧૫૮૦/સં. ૧૬૩૬, ભાદરવા વદ ૫] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં સોમવિમલસૂરિના શિષ્ય. દીક્ષા ઈ.૧૫૪૪. સૂરિપદ ઈ.૧૫૬૯. કાવ્યરચનાકાળ સુધીનું સોમવિમલસૂરિનું જીવનવૃત્તાંત વર્ણવતા અને ગુરુગુણનો મહિમા ગાતા ૧૫૬ કડીના ‘સોમવિમલસૂરિ રાસ’ (૨. ઈ.૧૫૬૩/સં. ૧૬૧૯, મહા - ૧૦, ગુરુવાર; મુ.) તથા ૫૩ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય’ (૨. ઈ.૧૫૬૬/સં. ૧૬૨૨, શ્રાવણ સુદ ૧૦)ના કર્તા. કૃતિ : જૈઐકાસંચય. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ;’  ૨. જૈગૂકવિઓ : ૧. [કુ.દે.]

આનંદહર્ષ [        ] : જૈન સાધુ. ૮ અને ૯ કડી ધરાવતી ‘વિજયદેવસૂરિ-ભાસ’ નામક ૨ કૃતિઓ, (બંનેની લે. સં. ૧૮મી સદી અનુ.), ૪ કડીની ‘સિદ્ધાચલની સ્તુતિ’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ૧૫ કડીની ‘હીરાવિજયસૂરિ-સઝાય/રાજ્યમાન-સઝાય’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કુ.દે.]

આનંદાનંદ (બ્રહ્મચારી) [ઈ.૧૯મી સદી] : સ્વામિનારાયણ-સંપ્રદાયના સાધુ. ભુજના વતની. ‘ભુજનો દિગ્વિજય’ના કર્તા. સંદર્ભ : મસાપ્રવાહ. [હ.ત્રિ.]

આનંદીબહેન [ઈ.૧૭મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ આચાર્ય ગોકુલનાથનાં અનુયાયી સ્ત્રી ભક્તકવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [શ્ર.ત્રિ.]

આણંદોદય [ઈ.૧૬૦૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ભાવહર્ષસૂરિની પરંપરામાં જિનતિલકસૂરિના શિષ્ય. ૩૦૭ કડીની ‘વિદ્યાવિલાસ-ચોપાઈ’ (૨. ઈ.૧૬૦૬/સં. ૧૬૬૨, આસો સુદ ૧૩, રવિવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧). [કુ.દે.]

‘આરણ્યકપર્વ’ : નાકરનું ૧૧૫ કડવાંનું આ આખ્યાન(મુ.), કવિની અન્યત્ર પણ જોવા મળતી પદ્ધતિ પ્રમાણે, આરંભમાં ૯ કડવાંમાં ‘આદિ-પર્વ’ અને ‘સભા-પર્વ’નો સંક્ષિપ્ત સાર આપે છે. કથાના અખંડ પ્રવાહને રસિકતાથી રજૂ કરવા માટે કવિએ મહાભારતની મૂળ કથાનાં કેટલાંક પેટાપર્વો છોડી દીધાં છે, કેટલાક પ્રસંગોના ટૂંકા સાર આપીને ચલાવી લીધું છે, કથાક્રમનિરૂપણમાં ફેરફાર કર્યા છે અને પોતા તરફથી કેટલાક કાવ્યોચિત પ્રસંગો પણ ઉમેર્યા છે. દૃષ્ટાંત તરીકે, મૂળની સુદીર્ઘ નળકથા અહીં માત્ર ૨ કડવાંમાં સમેટાઈ ગઈ છે. બીજી બાજુથી, નિવાતકવચયુદ્ધકથા તેમ જ અર્જુનના પ્રવાસની માહિતી બેવડાવવા જેવા સંકલનદોષ પણ કવચિત્ કવિથી થઈ ગયા છે. આ કૃતિ નાકરની કવિત્વશક્તિનો નોંધપાત્ર પરિચય કરાવે છે. અર્જુનવિયોગી યુધિષ્ઠિર, પતિવ્રતા સૌંદર્યાનુરાગી દ્રૌપદી અને સંવેદનશીલ ધૃતરાષ્ટ્રનાં ચરિત્રચિત્રણો એમના કોમળ હૃદયભાવોથી આસ્વાદ્ય બન્યાં છે. અર્જુન અને શંકર, નિવાતકવચ અને અર્જુનના જેવા યુદ્ધપ્રસંગો તેમ જ દ્વૈતવન આદિ વનો તથા ગંધમાદન પર્વત વગેરેનાં વર્ણનો કવિની ઓજસભરી કે પ્રાસાનુપ્રાસની રમણીયતાભરી કાવ્યબાનીથી અસરકારક બન્યાં છે. કવિની કાવ્યશક્તિ દ્રૌપદી-જયદ્રથ વગેરેના સંવાદોમાં, કેટલાક સુંદર અલંકારોના વિનિયોગમાં તેમ જ વિવિધ લયની દેશીઓના પ્રયોગોમાં પણ પ્રગટ થાય છે. [ચિ.ત્રિ.]

આલ-ઇમામ [ ] : દેલમી ઉપદેશક-પરંપરાના નિઝારી સૈયદ. ૧૭ કડીના જ્ઞાનબોધક પદ (મુ.)ના કર્તા. કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪. [પ્યા.કે.]

આલમચંદ આલમચંદ[ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સમયસુંદરની પરંપરામાં આસકરણના શિષ્ય. ૧૩ ઢાળની ‘મૌન-એકાદશી-ચોપાઈ’ (૨. ઈ.૧૭૫૮/સં. ૧૮૧૪, મહા સુદ ૫, રવિવાર), ૧૧૪ કડીની હિંદી ભાષાની ‘જીવવિચારભાષા/જીવવિચાર-સ્તવન’ (૨. ઈ.૧૭૫૯/સં. ૧૮૧૫, વૈશાખ સુદ ૫, શુક્રવાર); ‘સમકિત-કૌમુદી-ચતુષ્પદી’ (૨. ઈ.૧૭૬૬/સં. ૧૮૨૨, માગશર સુદ ૪) અને ઈ.૧૭૬૮માં જિનયુક્તિસૂરિની પાટે આવેલા જિનચંદ્રની તેમની હયાતીમાં પ્રશસ્તિ કરતા ૧૩ કડીના ‘ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[શ્ર.ત્રિ.] આલુ [       ] : જૈન. ‘બાર ભાવના’ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]

આશકરણજી [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. જેમલજીની પરંપરામાં રાયચંદ્રના શિષ્ય. ૧૦ કડીની ‘નિર્ગ્રંથ મુનિનું સ્તવન/સાધુવંદનાની સઝાય’ (૨. ઈ.૧૭૮૨; મુ.) ૧૯ કડીની ‘સામાયિકમાં બત્રીસ દોષના નિવારણની સઝાય’ (૨. ઈ.૧૭૮૨; મુ.), ૭ ઢાળની ‘નમિરાયની ઢાળ’ (૨. ઈ.૧૭૮૩/સં. ૧૮૩૯, પોષ સુદ ૧૩; મુ.), ‘ચૂંદડી-ઢાળ’ અને ૭ ઢાળની ‘ધન્નામુનિની ઢાળ’ (૨. ઈ.૧૮૦૩/સં. ૧૮૫૯, વૈશાખ વદ -; મુ.) એ કૃતિઓના કર્તા. ‘નમિરાયની ઢાળ’ તથા ‘ધન્નામુનિની ઢાળ’માં ભાષા હિન્દી-રાજસ્થાની-પ્રધાન છે. કૃતિ : ૧. જૈન વિવિધ ઢાલ સંગ્રહ, પ્ર. જેઠમલ ભૈ. શેઠિયા, ઈ.૧૯૨૩; ૨. જૈસમાલા (શા) : ૨, ૩. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]

આશાધર [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય કવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [શ્ર.ત્રિ.]

આશારામ આશારામ : આ નામે કેટલાંક ભજનો-પદો (મુ.), ૪૦ કડીનો ‘મહિષાસુરીનો ગરબો’ (મુ.) રામરાજિયા તથા રામલીલાનાં પદો મળે છે, તે કયા આશારામ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. કાદોહન : ૨; ૨. દેવી-મહાત્મ્ય અથવા ગરબા-સંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૩. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫ (સુધારેલી આ.); ૪. ભજનસાગર : ૧; ૫. ભસાસિંધુ. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. ૪. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭ - ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી. નિ.વો., શ્ર.ત્રિ.

આશારામ-૧ [ઈ.૧૭૫૦માં હયાત] : જ્ઞાતિએ નાગર. સારંગપુરના વતની. ૭૮ કડીના ‘સુદામા-ચરિત્ર’ (૨. ઈ.૧૭૫૦/૨. સં. ૧૮૦૬, શ્રાવણ- ૩ , મંગળવાર; મુ.)ના કર્તા. આ કવિએ ‘ધ્રુવાખ્યાન’ બીજાં આખ્યાનો તથા ગુજરાતી-હિંદી પદો રચ્યાં હોવાનું અનુમાન પણ કરવામાં આવ્યું છે. કૃતિ : ૧. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-જૂન, ૧૯૩૬ - ‘કવિ આશારામ અને તેમનું સુદામાચરિત્ર’, કનૈયાલાલ ભા. દવે (+સં.). [નિ.વો.] આશારામ-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ]: મોતીલાલ નાગર(અવ. ઈ.૧૮૩૬)ના શિષ્ય. યથોચિત દૃષ્ટાંતોથી પ્રભુસ્મરણ કરવાનો બોધ આપતાં ૨ પદો(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાકાસુધા : ૨ (+સં.).[નિ.વો.]

આસગ/આસિગ [ઈ.૧૨૦૧માં હયાત] : રાસકવિ. જૈન શ્રાવક. શાંતિસૂરિના શિષ્ય. પિતાનું નામ અસાઈત જણાય છે. અને તેનો વાલા-મંત્રી સાથેનો કશોક સંબંધ કાવ્યમાં ઉલ્લેખાયેલો છે. મોસાળ જાલોરથી આવીને સહજિગપુરમાં પાર્શ્વનાથના દેરાસરમાં ‘જીવદયા-રાસ’ની રચના કરી. ૫૩ કડીની ‘જીવદયા-રાસ’ (ર.ઈ.૧૨૦૧/સં. ૧૨૫૭, આસો સુદ ૭; મુ.), ગેય પ્રકારના ચરણાકુલની છંદોરચનાની દૃષ્ટિએ ધ્યાન ખેંચતી બોધપ્રધાન રચના છે. એમાં તત્કાલીન નગરો-ગામો-સ્થાનોનો ઉલ્લેખ મળે છે એટલી એની ઐતિહાસિક ઉપયોગિતા છે. એ જ પ્રકારની છંદોરચના ધરાવતી ૩૫ કડીની ‘ચંદનબાલા-રાસ’ (મુ.), ચંદનબાળાનું ધર્મકથાનક રજૂ કરતી કૃતિ છે. આ કવિએ ૫૮ કડીની ‘કૃપણગૃહિણી-સંવાદ’ (મુ.) નામની રચના પણ કરી છે. ‘પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન’માં પરિશિષ્ટમાં આ કવિની ‘જીવદયા-રાસ’ અને ‘ચંદનબાલા-રાસ’ ઉપરાંત શીર્ષક વિનાની ૧ કૃતિ પણ નોંધાયેલી છે તે કઈ છે તે કહી શકાય તેમ નથી. કવિની કૃતિઓની ભાષા અપભ્રંશપ્રધાન ગુજરાતી છે. કૃતિ : પ્રાગુકાસંચય. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧; ૨. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮; ૩. મરાસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૩(૧).[કા.શા.]

આસગ/આસિગ આંબાજી [જ. ઈ.૧૬૧૬] : ઝીંઝુવાડાના ઝાલા રાજવી યોગરાજના પુત્ર. માતા ગંગાદેવી. મોટાભાઈ સામંતસિંહ [જ. ઈ.૧૬૧૨/સં. ૧૬૬૮, અસાડ સુદ ૧૫ - અવ. ઈ.૧૭૩૦/સં. ૧૭૮૬, ચૈત્ર વદ ૩૦) સાથે કબીરપરંપરાના સ્વામી યાદવદાસ પાસે ઈ.૧૬૩૦માં દીક્ષા બંને ભાઈઓનાં દીક્ષા પછીનાં નામ અનુક્રમે અમરપ્રસાદ-ચૈતન્ય/અમરદાસ અને ષટ્પ્રજ્ઞચૈતન્ય/ષષ્ટમદાસ. ષટ્પ્રજ્ઞદાસ ઈ.૧૬૩૪માં દૂધરેજની ગાદીના આચાર્ય બન્યા અને પછીથી છઠ્ઠા બાવાને નામે ઓળખાયા. અમરદાસનું બીજું નામ ભજનાનંદ હોવાનું અને તેમણે ભેંસાણમાં સમાધિ લીધી હોવાનું નોંધાયું છે. આ સંપ્રદાયમાં નિર્ગુણ ઉપાસના સાથે રામભક્તિનું મિશ્રણ થયેલું છે અને એના અનુયાયી મુખ્યત્વે રબારી છે, જે આંબા(અમરદાસ)ને અથવા ખડા(ષષ્ટમદાસ)ને માનનારા હોય છે. ‘આંબો છઠ્ઠો’ એ નામછાપથી ૨ પદ મુદ્રિત મળે છે અને અન્ય પદો ગવાતાં હોવાનું કહેવાય છે તે અમરદાસજીની રચના હોય અને એમણે આદરથી છઠ્ઠા બાવાનું નામ જોડ્યું હોય એવો સંભવ વધારે છે, કેમ કે અમરદાસજી ભજનો રચતા હતા એવી માહિતી મળે છે. બન્ને ગુરુનામોને જોડીને પાછળથી આ રચનાઓ થઈ હોય એવો સંભવ પણ સાવ નકારી ન શકાય. કૃતિ : ૧. પરમાર્થસાર, સં. નરસિંહ શર્મા, ઈ.૧૯૦૩; ૨. સોસંવાણી. સંદર્ભ : ૧. રામકબીરસંપ્રદાય, કાંતિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨; ૨. સત્પુરુષચરિત્રપ્રકાશ, માયારામજી, સં. ૧૯૮૯ [જ.કો.]

આંબો(છઠ્ઠો) : જુઓ આંબાજી.

ઇચ્છા/ઇચ્છારામ : ઇચ્છાને નામે ૪ કડીનું સંતમહિમાનું પદ(મુ.) અને ૩૪ કડીનું ‘રાસ’ને નામે ઓળખાવાયેલું ભક્તગાથા રજૂ કરતું પદ (મુ.) મળે છે. ઇચ્છારામને નામે ૬ કડીની લાવણી મુદ્રિત મળે છે અને ૮ કડીનો ‘રણછોડજીનો છંદ’, ‘રામ-વિવાહ’ અને ‘રાસ’ - આ કૃતિઓ નોંધાયેલી મળે છે. આ ઇચ્છા અને ઇચ્છારામ એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકતું નથી. ‘પ્રાચીન કાવ્યસુધા-૧’માં ઇચ્છાને નામે મુદ્રિત પદ બાપુસાહેબ ગાયકવાડને નામે પણ મળે છે અને એ બાપુસાહેબકૃત હોવાની સંભાવના વિશેષ છે. કૃતિ : ૧. પ્રાકાસુધા : ૧; ૨. ૨. ભસાસિંધુ. સંદર્ભ : ગૂહાયાદી.[કૌ.બ્ર; જ.ગા.]

ઇચ્છાબાઈ [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : રણછોડજીનાં ભક્ત કવયિત્રી. ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ. વૈધવ્યાવસ્થામાં ૩૦ વર્ષ ડાકોરમાં રણછોડજીના પ્રસાદ પર જીવી, આશરે ઈ.૧૮૫૯માં અવસાન પામ્યાં હોવાનું કહેવાય છે. તેમણે અનેક પદો રચ્યાં હોવાનું મનાય છે, જેમાંથી રણછોડજી વિશેનું ૧ પદ મુદ્રિત મળે છે. કૃતિ : બૃકાદોહન : ૭ (+સં.).[ચ.શે.]

ઇન્દ્ર : ઇન્દ્ર : આ નામે ૧૦ કડીની ‘કૃષ્ણમહારાજ/કૃષ્ણવાસુદેવની સઝાય’ (મુ.) મળે છે તે કયા ઇન્દ્ર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. જૈસસંગ્રહ (ન.); ૨. સઝાયમાલા : ૧-૨(જા).[ચિ.ત્રિ.]

ઇન્દ્ર [ઈ.૧૬૭૫ સુધીમાં] : જૈન સાધુ. નેમિસાગરના શિષ્ય. ૩૮ કડીના ‘સીમંધરજિનપંચબોલા- સ્તવન’ (લે. ઈ.૧૬૭૫)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચિ.ત્રિ.]

ઇન્દ્રજી (ઋષિ) [ ]જૈનસાધુ. ૧૧ કડીની ‘ભરત-ચક્રવર્તીની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨. [ચિ.ત્રિ.]

ઇન્દ્રસૌભાગ્ય ઇન્દ્રસૌભાગ્ય : આ નામે ‘નેમિજિન-ફાગુ’ મળે છે પરંતુ તેના કર્તા કયા ઇન્દ્રસૌભાગ્ય છે તે વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી. સંદર્ભ : પ્રાચીન કાવ્યોંકી રૂપપરંપરા, અગરચંદ નાહટા, ઈ.૧૯૬૨. [કી.જો.]

ઇન્દ્રસૌભાગ્ય (ઉપાધ્યાય)-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. રાજસાગરસૂરિની પરંપરામાં સત્યસૌભાગ્યના શિષ્ય. ઈ.૧૬૯૧ સુધી હયાત માહિતી મળે છે. ગદ્યમાં ‘ધૂર્તાખ્યાન-પ્રબંધ-બાલાવબોધ’ (૨.ઈ.૧૬૫૬), ૫૮ કડીના ‘જીવવિચારપ્રકરણ-સ્તવન’, ‘નેમિજિનફાગ-વસંતગર્ભિત-સઝાય’ તથા ૩૨ કડીના ‘રાજસાગરસૂરિ-નિર્વાણ’ના કર્તા. આ કર્તાએ રાજસાગરસૂરિ-(જ. ઈ.૧૫૮૧ - અવ. ઈ.૧૬૬૫)ના રાજ્યમાં સંસ્કૃતમાં ‘મહાવીર-વિજ્ઞપ્તિ-ષટ્ત્રિંશિકા’ની રચના કરી છે. સંદર્ભ : ૧. જૈઐકાસંચય;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચિ.ત્રિ.]

‘ઇન્દ્રાવતી’/પ્રાણનાથ (સ્વામી)/મહામતિ/મહેરાજ [જ. ઈ.૧૬૧૯/સં. ૧૬૭૫, ભાદરવા વદ ૧૪, રવિવાર - અવ. ઈ.૧૬૯૫/સં. ૧૭૫૧, શ્રાવણ વદ ૪, શુક્રવાર] : ‘ઇન્દ્રાવતી’ને નામે કાવ્યરચના કરનાર પ્રાણનાથ-સ્વામી. જામનગરના કેશવ ઠક્કરના પુત્ર. માતા ધનબાઈ.જન્મનામ મહેરાજ. જ્ઞાતિ લોહાણા. પૂર્વાવસ્થાનું નામ દયાસાગર હોવાનું પણ કહેવાયું છે. પ્રણામી પંથ/નિજાનંદસંપ્રદાયના સંસ્થાપક દેવચંદ્ર પાસે ઈ.૧૬૩૧માં દીક્ષા લઈ પ્રાણનાથ નામ ધારણ કરેલું. સંપ્રદાયમાં તેઓ નિષ્કલંક બુદ્ધ એવા અવતારી નામે તથા શ્રીજી એવા આદરવાચક અભિધાનથી પણ ઓળખાય છે. આ કવિ બુંદેલખંડના રાજા છત્રસાલના ગુરુ હતા, દેશમાં વિવિધ સ્થળે તેમ જ અરબસ્તાન સુધી એમણે પ્રવાસ કરેલો, અરબી વગેરે વિવિધ ભાષાઓ એ જાણતા, ઇસ્લામ તેમ જ ખ્રિસ્તી વગેરે ધર્મોનો એમણે અભ્યાસ કરેલો તથા સામાજિક અને ધર્મસમન્વય અંગેની પ્રવૃત્તિઓ એમણે કરી હતી-એવી માહિતી મળે છે. બુંદેલખંડના પન્નામાં એમણે જીવતાં સમાધિ લીધેલી. ભૂલથી સ્ત્રીકવિ તરીકે ઓળખાયેલા આ કવિનું ‘ઇન્દ્રાવતી’ તથા કેટલાંક હિંદી પદોમાં મળતું ‘મહામત/મહામતિ’ - એ કવિનામ પ્રણામી પંથની, વિશિષ્ટ દાર્શનિક અવસ્થા દર્શાવતી, પારિભાષિક સંજ્ઞાઓ છે. ઉત્તરોત્તર આવી વિશિષ્ટ અવસ્થાઓમાંથી પસાર થતા પ્રાણનાથે એમના હિંદી પદસંગ્રહની પ્રારંભિક રચનાઓ પ્રાણનાથને નામે, મધ્યસમયની રચનાઓ ઇન્દ્રાવતીને નામે તથા ઉત્તરકાલીન રચનાઓ મહામતિને નામે કરી હોવાનો તર્ક પણ થયો છે. આ સંપ્રદાયનાં મંદિરોમાં પૂજાતો બૃહદ્ ગ્રંથ ‘તારતમસાગર/શ્રીજીમુખવાણી/કુલજમસરૂપ’ (મુ.) પ્રાણનાથની, કીર્તનોના સંચય સમેતની, ગુજરાતી ઉપરાંત હિંદી, ઉર્દૂ, સિંધી ને અરબીમાં રચાયેલી ૧૪ કૃતિઓનો સંગ્રહ છે. એમાં ૫ કૃતિઓ ગુજરાતીમાં છે. કેટલાંક કીર્તનોમાં ‘મહામત’, ‘મહેરાજ’ એવી નામછાપ મળે છે એ સિવાય આ કવિની સર્વ ગુજરાતી કૃતિઓ ‘ઇન્દ્રાવતી’ નામછાપ દર્શાવે છે. એમાં ૬ ઋતુઓ, અધિક માસને કલશના ૮ ખંડોમાં મલ્હાર, સામેરી, વસંત, ધુમાર, ધન્યાશ્રી આદિ વિભિન્ન રાગોને પ્રયોજતી ૧૭૬ કડીની ‘ષડ્ઋતુવર્ણન’ તથા સળંગ મલ્હારમાં ચાલતી ૧૧૯ કડીની ‘વિરહની બારમાસી’ એ, ‘ષડ્ઋતુ’ એવા એક જ શીર્ષક હેઠળ મુકાયેલી, ૨ કૃતિઓ (૨. ઈ.૧૬૫૯) સૌથી વધુ નોંધપાત્ર છે. સંપ્રદાયભક્તિના ઇંગિતો દર્શાવતી પહેલી કૃતિ કરતાં ગોપીના કૃષ્ણવિયોગને નિરૂપતી બીજી કૃતિ વિશેષ સઘન છે પરંતુ, પ્રત્યેક ઋતુના કલ્પનાપૂર્ણ વર્ણન સાથે ઘેરા વિપ્રલંભને આલેખતી બંને કૃતિઓ સંવેદનની ઉત્કટતાની દૃષ્ટિએ નોંધપાત્ર છે. આ ઉપરાંત ચોપાઈની ૯૧૩ કડીમાં કૃષ્ણની રસાલીલાને વર્ણવતો ‘રાસગ્રંથ’ (૨. ઈ.૧૬૫૯), આત્માને સન્માર્ગે લાવવાના ઉપાય વિશે પ્રબોધ કરતો ચોપાઈની ૧૦૬૪ કડીનો ‘પ્રકાશ’ (૨. ઈ.૧૬૫૯), પાખંડીઓના મતનું ખંડન તથા મોક્ષમાર્ગના ઉપદેશને વિષય કરતો ૫૦૬ કડીનો ‘કલશગ્રંથ’ (૨. ઈ.૧૬૬૩) એ એમની અન્ય દીર્ઘ કૃતિઓ છે. કવિએ વિવિધ સ્થળોની યાત્રા દરમ્યાન ઈ.૧૬૫૯થી ઈ.૧૬૯૨ના સમયગાળામાં રચેલાં ગણાતાં ગુજરાતી ઉપરાંત હિંદી-સિંધી ભાષામાંના કીર્તનોમાં પ્રેમ-ભક્તિનાં સંવેદનોનું તથા જ્ઞાન ને ભક્તિબોધનું આલેખન થયેલું છે. ‘તારતમસાગર’માં નથી એવા, ૧૯ કડીના ‘વૈરાટવર્ણન’(મુ.)માં વિરાટ સાથેના મિલન તથા લગ્નનું રૂપકાત્મક નિરૂપણ છે. આ ઉપરાંત ભાગવતની રાસપંચાધ્યાયીને અનુસરતી ૪૬૮ કડીની કૃતિ ‘શ્રીનાથજીનો શણગાર’ પણ આ કવિને નામે ગણાવાયેલી છે. કૃતિ : ૧. તારતમસાગર, સં. સંતમંડળ, ઈ.૧૯૭૩;  ૨. પ્રાકાસુધા : ૩(+સં.), ૪; ૩. બૃકાદોહન : ૮. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસારસ્વતો; ૪. ગુસાપઅહેવાલ : ૨૦ - ‘છત્રસાલગુરુ પ્રાણનાથ અને તેમની ગુજરાતી કૃતિઓ’, અમૃત પંડ્યા; ૫. કલા ઔર સાહિત્ય, ગોવર્ધન શર્મા, ઈ.૧૯૫૯ - ‘સાહિત્યમેં ગહરાઈકા અભાવ’;  ઊર્મિ નવરચના, ઑક્ટો.-નવે. ૧૯૭૩ - ‘નિજાનંદ(પ્રણામી) સંપ્રદાય અને સંત પ્રાણનાથ’, પ્રવીણચંદ્ર પરીખ;  ૭. ગૂહાયાદી.[ર.સો.]

ઇમામશાહ [જ. ઈ.૧૪૫૨ - અવ. ઈ.૧૫૧૩] : દેલમી ઉપદેશક-પરંપરાના સૈયદ. સત્પંથને નામે ઓળખાતા એમના સંપ્રદાયમાં એ ‘પીર’ પણ લેખાય છે. હસન કબીરુદ્દીનના સૌથી નાના પુત્ર. માતા કરમતખાતૂન. જન્મ પંજાબના ઉચ્છ ગામમાં. આખું નામ ઇમામુદ્દીન અબ્દુરરહીમ. એમનાં જન્મ તથા અવસાનનાં વર્ષ-તિથિ વિશે જુદી જુદી માહિતી મળે છે જેના આધારો બહુ શ્રદ્ધેય નથી પણ ઉપર્યુક્ત વર્ષો વધારે માન્ય છે. આ ઉપરાંત ઇમામશાહ મહમદ બેગડા (ઈ.૧૪૫૮-ઈ.૧૫૧૧)ના સમયમાં ગુજરાતમાં આવી વસ્યા હતા એ હકીકત બિનવિવાદાસ્પદ જણાય છે. આ પૂર્વે એમણે ઇમામને મળવા ઈરાનની મુસાફરી કરી હોવાની માહિતી મળે છે. અમદાવાદ નજીક ગિરમથા ગામે સ્થાયી વસવાટ કરી, ઇસમાઇલી ઇમામોના માર્ગદર્શન અનુસાર ધર્મપ્રચારનું કામ એમણે કર્યું. અવસાન ગિરમથામાં. ત્યાં એમણે બંધાવેલા મકબરામાં એમને દફનાવવામાં આવેલ છે જે સ્થળ પીરાણા તરીકે આજે ઓળખાય છે. ઇમામશાહને નામે મળતી કૃતિઓનું કર્તૃત્વ કેટલે અંશે એમનું હશે એ કહેવું મુશ્કેલ છે, કેમ કે એમાંની નિરૂપણપદ્ધતિ અને કેટલીક હકીકતો એવું સૂચવે છે કે ઇમામશાહ કે એમના ઉપદેશ વિશે પાછળથી રચના થઈ હોય. આ કૃતિઓમાં સંપ્રદાયમાં સ્વીકૃત થયેલો હિંદુ પુરાણકથાઓનો ભરપૂર ઉપયોગ છે અને એમાં ગુજરાતી ઉપરાંત હિંદી વગેરે કેટલીક ભાષાનાં મિશ્રણો પણ નજરે પડે છે. ‘જનાજાનું જ્ઞાન’ એવા થોડા જુદા પાઠથી પણ મળતી ૧૫૪/૧૫૮ કડીની ‘જન્નતપુરી’ (*મુ.) ઇમાશાહના પોતાના જીવનવૃત્તાંતને વર્ણવે છે. પિતાના અવસાન વખતે પોતાનો ભાગ માગવા આવી પહોંચેલા ઇમામશાહ આ હેતુથી ઈરાનના ઇમામને મળવા જાય છે અને એની પરવાનગીથી સ્વર્ગની મુલાકાત લઈ ઉચ્છમાં પાછા ફરે છે એ એનું વૃત્તાંત છે. એમાં સ્વર્ગવર્ણન હિંદુપદ્ધતિએ થયેલું છે. પિતાના અવસાનના વર્ષ તરીકે સં. ૧૫૭૫ (ઈ.૧૫૧૯ - જે ઇમામશાહના મૃત્યુ પછીનું વર્ષ છે)નો ઉલ્લેખ, કેટલાક અસંગત, અધ્ધર પ્રસંગ નિરૂપણો તથા કેટલીક અસ્પષ્ટતાઓને કારણે એમ લાગે છે કે પાછળથી અનેક વાર પરિવર્તન પામેલી આ કૃતિમાં ઇમામશાહરચિત ઘણો થોડો અંશ સચવાયેલો હશે. ૧૦ ખંડ અને ૧૬૦૦ જેટલી કડીઓમાં વિસ્તરતી ‘દશ અવતાર (મોટો)’ (મુ.) હિંદુપરંપરાના ૧૦ અવતારની, આ સંપ્રદાયના કેટલાક લાક્ષણિક ઉન્મેષો વણી લેતી, કથા છે ને એમાં છેલ્લા નકલંકી અવતાર સાથે ઇસ્માઈલી સંતોની પરંપરા સમાવી લીધી છે. ૫૭૮ કડીની અને દેખીતી રીતે જ ખોટું એવું સં. ૧૪૩૭ (ઈ.૧૩૮૧)નું રચનાવર્ષ બતાવતી ‘પાંડવોનો પરબ’ (મુ.) મહાભારતના યુદ્ધ પછી પાંડવોએ પ્રાયશ્ચિત્ત રૂપે કરેલા યજ્ઞના પ્રસંગને વર્ણવે છે. કોઢિયા ચાંડાળ બુદ્ધ રૂપે હરિનું આવવું, યજ્ઞની અનાવશ્યકતા બતાવવી, એની પ્રેરણા આપનાર બ્રાહ્મણોને તથા ગાયને પણ શાપ આપવા ને હરિની સાથે જન્મ માગતા પાંડવોને કલિયુગનું દર્શન કરાવવું - વગેરે આ કથાનાં વિશિષ્ટ તત્ત્વો છે. ગદ્યમાં રચાયેલી ‘મૂળ ગાયત્રી યાને સૃષ્ટિનું મંડાણ અને નૂરે હિદાયતનું વર્ણન’ (મુ.) સૃષ્ટિની ઉત્પત્તિનો અને જુદા જુદા અવતારો, કલ્પો, યુગોનો ઇતિહાસ આલેખે છે, તો ‘નકલંકી-ગીતા’(મુ.) પાતાળ, નાગ, સ્વર્ગ, દ્વીપ, ખાણ, સમુદ્ર આદિની યાદીઓ સાથે પૌરાણિક વિશ્વદર્શન રજૂ કરે છે. આ બંને કૃતિઓમાં પણ મુખ્યત્વે હિંદુ પુરાણ-દર્શન વ્યક્ત થયું છે. ઇમામશાહની અન્ય કૃતિઓમાં મુખ્યત્વે નીતિબોધ અને ધર્મબોધ વણાયેલો છે. ૬૨૧/૬૩૦ કડીની ‘મુમનચેતામણી (વડી)’ (મુ.) એ સાથે સાંપ્રદાયિક ઇતિહાસ અને કુરાનની ધર્મકથાઓ પણ સમાવી લે છે. મુખ્યત્વે હિંદીમાં મળતી ૨૦/૨૨ પદની ‘સતવેણી (નાની)’ (મુ.) પણ એ જ પ્રકારની રચના છે. લગભગ અર્વાચીન ગદ્યમાં ૨૦ ખંડોમાં વિભક્ત ‘વીસ ટોલ’ (મુ.) શરાબ પીવો વગેરે ૧૯ પ્રકારના ગુના આચરનારની અને છેલ્લે ધર્માચરણ કરનારની જે સ્થિતિ થવાની છે તેનું ચિત્રાત્મક વર્ણન કરે છે. ‘ગુગરીનાં દશ ગિનાન’ (મુ.) ધર્મ કરનારને અમરાપુરીમાં બાંધેલી ઘૂઘરી નીચે જે દિવ્ય પદાર્થો ને વ્યક્તિઓની પ્રાપ્તિ થાય છે તેનું એવું જ ચિત્રાત્મક વર્ણન કરે છે. ૩૧૩/૩૨૩ કડીની ‘તો મુનિવરભાઈ નાની/મુમન-ચિતવરણી (નાની)’ (મુ.) મૂર્તિપૂજાના નિષેધનો, તો ‘જુગેસરનાં ગિનાન’ એવા શીર્ષકથી મળતાં પદોમાં ઇમામશાહની છાપવાળાં ૪૯ પદો (મુ.) બાહ્ય સાધનોવાળા યોગમાર્ગને સ્થાને સદ્ગુરુને આશ્રયે ધર્મ-અધ્યાત્મમય જીવનનો બોધ કરે છે. ૭૧ પદમાં વિસ્તરતો ઇમામશાહનો એમની બહેન બાઈ બુઢાઈ સાથેનો સંવાદ (મુ.), ૩૩૨ કડીની હિંદી ‘મન સમજાણી નાની અથવા મનને શિખામણો’ (મુ.) તથા ૧૬૨ જ્ઞાનબોધક પદો (મુ.) આ પ્રકારની અન્ય કૃતિઓ છે. આ ઉપરાંત, ઇમામશાહને નામે ગદ્યમાં ઇશ્વરાવતારવિષયક ‘અથર્વવેદ-ગાવંત્રી’, સ્વર્ગનરક-પાપપુણ્યવિષયક ૪૮૬ કડીની ‘ઝંકાર’, ‘મૂળબંધ થાળ થલ’ અને ‘ચાર ચોક’ એ કૃતિઓ નોંધાયેલી છે. કૃતિ : ૧. ગિનાન ૬૦ જુગેસર અબધુનાં, પ્ર. મુખી લાલજીભાઈ દેવરાજ, ઈ.૧૯૨૨ (બીજી આ.); ૨. * જન્નતપુરી, પ્ર. લાલજીભાઈ દેવરાજ, ઈ.૧૯૦૫; ૩. તો મુનિવરભાઈ નાની યાને મુમન ચિત-વરણી, પ્ર.(ધ) રિક્રિયેશન ક્લબ ઇન્સિટ્યૂટ, ઈ.૧૯૩૦ (બીજી આ.) ૪. નકલંકીગીતા, પ્ર. મુખી લાલજીભાઈ દેવરાજ, ઈ.૧૯૨૦; ૫. પાંડવોનો પરબ (પર્વ), પ્ર. મુખી લાલજીભાઈ દેવરાજ, ઈ.૧૯૨૧; ૬. મન સમજાણી નાની યાને મનને શિખામણ, મુ. ઇસ્માઈલિયા એસોસિયેશન ફૉર ઇન્ડિયા,-; ૭. મુમન ચેતામણી, પ્ર. (ધ) રિક્રિયેશન ક્લબ ઇન્સ્ટિટ્યૂટ, ઈ.૧૯૨૪ (બીજી આ.); ૮. મૂળ ગાયેત્રી યાને સૃષ્ટિનું મંડાણ અને નૂરે હિદાયતનું વર્ણન,-; ૯ * મોમન ચેતામણી, પ્ર. ઇસ્માઈલિયા એસોસિયેશન ફૉર ઇન્ડિયા, ઈ.૧૯૬૯; ૧૦. મોટો દશ અવતાર, મુખી લાલજીભાઈ દેવરાજ, ઈ.૧૯૨૩ (બીજી આ.); ૧૧. સતવેણી નાની, મુ. ઇસ્માઈલી પ્રિન્ટિંગ પ્રેસ, ઈ.૧૯૪૪ (ત્રીજી આ.); ૧૨. સૈયદ ઇમામશાહ તથા બાઈ બુઢાઈનો સંવાદ અને ગિનાન ૧૦ ગુગરીનાં, પ્ર. મુખી લાલજીભાઈ દેવરાજ, ઈ.૧૯૨૧;  ૧૩. સૈયદ ઇમામશાહનાં ગિનાનોનો સંગ્રહ, ઇસ્માઈલિયા એસોસિયેશન ફૉર ઇન્ડિયા, ઈ.૧૯૬૯; ૧૪. બાવન ઘાટી તથા વીસ ટોલ, પ્ર. ઇસ્માઈલિયા એસોસિયેશન, ઈ.૧૯૫૦; ૧૫. સૈઇશાગીસંગ્રહ : ૪. સંદર્ભ : ૧. * ઇસ્માઈલી લિટરેચર, ડબલ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૬૩; ૨. *એન્સાઇકલોપીડિયા ઑવ ઇસ્લામ : ૩, પ્ર. લુઝાક ઍન્ડ કંપની, ઈ.૧૯૭૯; ૩. કલેક્ટેનિયા : ૧, સં. ડબલ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૪૮; ૪. ખોજા કોમની તવારીખ, એદલજી ધનજી કાબા, ઈ.૧૯૧૨; ૫. ખોજાવૃત્તાંત, સચેંદીના નાનજીઆણી, * ઈ.૧૮૯૨, ઈ.૧૯૧૮ (બીજી આ.); ૬. ખોજા સર્વસંગ્રહ: ૧, એદલજી ધનજી કાબા, ઈ.૧૯૧૮; ૭. * (ધ) નિઝારી ઇસ્માઈલી ટ્રેડિશન ઇન ધ ઇન્ડો-પાક સબકૉન્ટિનન્ટ, અઝીમ નાનજી, ઈ.૧૯૭૮; ૮. * નૂરમ મુબિન, એ. જે. ચુનારા, ઈ.૧૯૫૧; ૯. (ધ) સેકટ ઑવ ઇમામશાહ ઈન ગુજરાત, ડબલ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૩૬.[પ્યા. કે.]

ઇમારત [ ] : જ્ઞાતિએ ક્ષત્રિય. ગરબા-ગરબીના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [પા.માં.]

ઇશ્વર(સૂરિ) : આ નામે મળતી ઉપજાતિ-વૃત્તની ‘ઇસરશિક્ષા/ઇશ્વરશિક્ષા-દ્વાત્રિંશિકા’ (*મુ.) સંવેગસુંદરકૃત ‘સારશિખામણ-રાસ’ (૨. ઈ.૧૪૯૨)માં ઉલ્લેખાયેલ હોવાને કારણે ઈ.૧૪૯૨ સુધીમાં રચાયેલી હોવાનું નિશ્ચિત થાય છે. છંદોબંધ તથા સમયસંદર્ભને કારણે ઇશ્વરસૂરિ-૧ની રચના હોવાની સંભાવના છે. ‘નર્મદાસુંદરી-ચરિત્ર/રાસ પણ ઇશ્વર-૧ હોવાની સંભાવના છે. કૃતિ : *ગુજરાતી દીપોત્સવી અંક, ઈ.૧૯૩૭ - ‘ઈસરશિક્ષા’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૭૮; ૨. પાંગુહસ્તલેખો  ૩. ગુજરાતી દીપોત્સવી અંક, ઈ.૧૯૪૨ - ‘સારશિખામણરાસ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. [ક.શે.] પાંગુહસ્તલેખો.[કી.જો.]

ઇશ્વર(સૂરિ)-૧ ઇશ્વર(સૂરિ)-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : સંડેરગચ્છના જૈન સાધુ. યશોભદ્રસૂરિની પરંપરામાં શાંતિસૂરિના શિષ્ય. અપરનામ દેવસુંદર. તેમણે ઈ.૧૫૪૧માં નાડલાઈના મંદિરમાં આદિનાથની પ્રતિમાની પુન:સ્થાપના કરી હતી. ૨૦૫૦ ગ્રંથાગ્રનો ‘જીવવિચાર પ્રકરણ-બાલાવબોધ’ (ર.ઈ.૧૫૦૩) એમની ગુજરાતી કૃતિ છે. એમની કૃતિ ‘લલિતાંગનરેશ્વર-ચરિત્ર/પ્રબંધ/રાસ’ (૨. ઈ.૧૫૦૫) પ્રાકૃત, અપભ્રંશ તથા ગુજરાતી ભાષામાં રચાયેલી તેમ જ દુહા, કુંડલિયા, ઇન્દ્રવજ્રા, વસ્તુ વગેરે ૧૬ જેટલા સંસ્કૃત-અપભ્રંશ છંદોબંધ તથા કાવ્યબંધનો ઉપયોગ કરતી હોઈને અત્યંત નોંધપાત્ર બને છે. તેમાં વપરાયેલા છંદોબંધમાં અડિલ્લાર્ધ-બોલી, વર્ણનબોલી, યમકબોલી વગેરેનો ઉલ્લેખ થયો છે જે અમુક અંશે ગદ્યબંધ હોવાનો પણ સંભવ છે. એમણે દુહા-ચોપાઈ ઉપરાંત વિવિધ ઢાળોમાં ‘શ્રીપાલ-ચોપાઈ/સિદ્ધચક્ર-ચોપાઈ’ (૨.ઈ.૧૫૦૮/સં. ૧૫૬૪, આસો સુદ ૮), ૭૩/૭૬ કડીની ‘નંદિષેણ-છઢાળિયાં’ અને ૬ કડીની ‘નેમિજિન-ગીત’ એ કૃતિઓ પણ રચેલ છે. તેમની સંસ્કૃત રચના ‘સુમિત્ર-ચરિત્ર’ (૨. ઈ.૧૫૨૫)માં ઉલ્લેખાયેલી ‘જીવવિચારપ્રકરણવિવરણ’, ‘સટીક-ષટ્ભાષા-સ્તોત્ર’, ‘યશોભદ્ર-પ્રબંધ/ફાલ્ગુચિંતામણિ’ તથા ‘મેદપાટ-સ્તવન-સટીક’ વગેરે અન્યકૃતિઓમાંની ઘણીખરી સંસ્કૃતમાં હોવાની શક્યતા છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. ડિકૅટલૉગભાવિ, ૩. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

ઇશ્વર-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ-મહારાજના સમકાલીન અનુયાયી. એમની કૃતિઓમાંના ઉલ્લેખ પરથી અગમપુરાના રહેવાસી હોવાનું સમજાય છે. એમની રચેલી યોગની પરિભાષાનો વિનિયોગ કરતી ગુરુભક્તિની ને જ્ઞાનબોધક ૬ આરતી(મુ.) મળે છે. કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, સં. ૨૦૩૩ (ચોથી આ.)[ર.સો.]

‘ઇશ્વર-વિવાહ’ : મુરારિનું ૪૦ કડવાંનું આ આખ્યાન (મુ.) શિવના પાર્વતી સાથેના લગ્નને નિરૂપે છે. સામાજિક રીતરિવાજો અને વિધિઓની વીગતોને ઝીણવટથી આલેખવા તરફ કવિનું લક્ષ રહ્યું છે એથી પાત્રો અને પ્રસંગો પર કવિના સમકાલીન સમાજની લાક્ષણિકતાઓનો પુટ ચડ્યો છે. ઇન્દ્ર, વિવિધ દેવો, બ્રહ્મા, યાદવમંડળ સહિત કૃષ્ણ અને વેદગાન કરતા મુનિઓના સમુદાયવાળી શંકરની જાનનું, વિલક્ષણ વેશવાળા શંકરને જમાઈ તરીકે જોતાં અકળાઈ જતી, નારીસહજ રોષ ને રીસ વ્યક્ત કરતી ને અંતે મનનું સમાધાન થતાં આનંદિત થતી પાર્વતીની માતા મેનકાનું તથા વિવિધ લગ્નવિધિઓનું આલેખન ખૂબ રસિક ને કવિના કૌશલનો પરિચય કરાવતું બન્યું છે. પદબંધમાં રાગ-ઢાળોનું વૈવિધ્ય જણાય છે. ઉપરાંત, શંકરને વધાવવા જતી યુવતીઓની લાક્ષણિકતાઓ કવિએ અનુપ્રાસાત્મક વિશેષણોથી આલેખી છે તે નોંધપાત્ર છે. [ર.સો.]

ઈસરદાસ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ-અવ. ઈ.૧૫૬૬/સં. ૧૬૨૨, ચૌત્ર સુદ સુદ ૯) : રોહડિયા શાખાના બારોટ. જન્મ મારવાડમાં જોધપુર તાબે ભાદ્રેસ/ભાદ્રેજ/ભાદ્રેચીમાં. તેમનું વતન લીંબડી હોવાનું પણ નોંધાયું છે. પરંતુ ચારણી પરંપરા એ હકીકતનો સ્વીકાર કરતી નથી જણાતી. એક પરંપરા એમનો જન્મ ઈ.૧૪૫૯ (સં. ૧૫૧૫, શ્રાવણ સુદ ૨, શુક્રવાર)માં થયો હોવાનું જણાવે છે. પરંતુ એમના સૌથી નાના પુત્ર ગોપાળદાસનું ભૂચર મોરીના યુદ્ધ (ઈ.૧૫૮૧)માં મૃત્યુ તથા જામનગર (સ્થાપના ઈ.૧૫૪૦)ના જામ રાવળની રાજસ મા સાથેનો એમનો સંબંધ - એ જોતાં જન્મસમય ઈ.૧૬મી સદી પૂર્વાર્ધમાં કદાચ લઈ જવો પડે. કવિના પિતા સુરાજી અને માતા અમરબા હતાં. પ્રથમ પત્ની દેવલબાઈ.બીજાં પત્ની રાજબાઈ તે દેવલબાઈનો જ અવતાર હતાં એમ કહેવાય છે. કવિ પોતાના ગુરુ તરીકે પીતાંબર ભટ્ટને નિર્દેશે છે તે જામ રાવળના દરબારમાં પંડિત હતા અને કવિને એમણે રાજભક્તિ તરફથી પ્રભુભક્તિ તરફ વાળેલા એવી કથા છે. આ પ્રસંગ જામનગરમાં બન્યો હોવાની વાત વધારે પ્રચલિત છે પંરતુ કવિનો જન્મ ઈ.૧૪૫૯માં માનતી ચારણી પરંપરા આ પ્રસંગ જામ રાવળ કેરાકોટ(કચ્છ)માં હતા ત્યારે બન્યો છે એમ નોંધે છે. ઈસરદાસના ઈશ્વરનિષ્ઠ જીવન અને ચમત્કારોની ઘણી વાતો મળે છે. સંચાણા ગામે તેમણે દરિયામાં સમાધિ લીધેલી એમ કહેવાય છે. ચારણી ભાષાસાહિત્યમાં અનેરું સ્થાન ભોગવતી, ભક્તિબોધક ને તત્ત્વજ્ઞાનાત્મક, ૩૬૦ કડીની ‘હરિરસ’(મુ.)ને બીજી ૪૦ ઉપરાંત કૃતિઓના કર્તા તરીકે જાણીતા આ ભક્તકવિના શામળાને સંબોધીને રચાયેલા અને એક વખત તેમને આશ્રય આપનાર મુસ્લિમ દાદુની પ્રશસ્તિ કરતા સોરઠા કે દુહા ગુજરાતી ભાષામાં ઘણા જાણીતા છે. તે ઉપરાંત કવિના કોઈક ગીતમાં ગુજરાતી ભાષાનું તત્ત્વ નોંધપાત્ર પ્રમાણમાં દેખાય છે ને રામદેપીરના નિજિયાપંથનો પ્રભાવ વ્યક્ત કરતાં પાંચેક ભજનો વિશેષત: ગુજરાતી ભાષામાં મળે છે. ઇસરદાસે આ કૃતિઓ ગુજરાતી ભાષામાં રચી હશે કે કાળક્રમે ભાષા પરિવર્તન પામી હશે તે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. શ્રી હરિરસ, સંપા. શંકરદાન જે. દેથા, ઈ.૧૯૨૮, ઈ.૧૯૭૭ (નવમી આ.) (+સં.)  ૨. (ભગત શ્રી કાળુજીકૃત) ભજનચિંતામણિ, મુ. સત્સંગ પ્રિન્ટિંગ પ્રેસ, સં. ૧૯૯૨. સંદર્ભ : ૧. ઊર્મિનવરચના, ઑક્ટો.-નવે. ૧૯૭૫ - ‘બારહઠ ગોપાળદાસનો પાળિયો’, સં. બારહઠ કેસરદાનજી;  ૨. ગૂહાયાદી; ૩. જૈગૂકવિઓ : ૩(૨);૪ મુપુગૂહસૂચી; ૫. રાહસૂચી : ૧. [કી.જો.]

ઉકારામ [ ] : સુરતના રુસ્તમપુરાની ચલમવાડના ભક્તકવિ. તત્ત્વજ્ઞાન અને વેદાન્તના સિદ્ધાંતો તેમના ‘ખ્યાલો’માંથી જુદા તરી આવે છે. અમુક પ્રસંગો બન્યા પછી ‘ખ્યાલ’નો શોખ તેમણે તજી દીધો અને પ્રભુભક્તિમાં લીન થયા હતા. ત્યારે પછી તેમણે સેંકડો ભજનો રચ્યાં હતાં, તે અત્યારે મળતાં નથી. ‘ઉકા’ નામછાપથી કૃષ્ણવર્ણનને વિષય કરતું ૧ મુદ્રિત પદ મળે છે, જે ઉકારામનું હોવાની સંભાવના છે. કૃતિ : પ્રાકાસુધા : ૨. સંદર્ભ : ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન, ૧૯૩૯ - ‘સુરતના કેટલાક સંતો અને ભક્તકવિઓ’; માણેકલાલ શં. રાણા. [કૌ.બ્ર.]

ઉજ્જવલ : જુઓ ઊજલ. 
   

ઉત્તમ/ઉત્તમ(ઋષિ) ઉત્તમ/ઉત્તમ(ઋષિ) : ઉત્તમના નામે ૯ કડીની ‘જિન-આરતી’ (લે. સં. ૧૯મી સદી અનુ.) અને ઉત્તમઋષિને નામે મહેશ્વરસૂરિની પ્રાકૃત કૃતિ ‘વિચારસારપ્રકીર્ણક’ પરનો સ્તબક (લે. ઈ.૧૬૧૫) મળે છે પણ આ કર્તા કોણ છે એ સ્પષ્ટ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]

ઉત્તમ-૧ [ઈ.૧૭૯૩માં હયાત] : જૈન સાધુ. હમીરવિજયશિષ્ય. અનુક્રમે ૭ અને ૮ કડીના ‘શંખેશ્વરપાર્શ્વજિન-સ્તવન’ અને ‘શંખેશ્વરમંદિરવર્ણનગર્ભિત-સ્તવન’ એ ૨ મુદ્રિત કૃતિઓના કર્તા. આ બંને કૃતિઓ ઈ.૧૭૯૩/સં. ૧૮૪૯, વૈશાખ સુદ ૭, બુધવારે શંખેશ્વરમાં થયેલા મૂર્તિસ્થાપનાના ઉત્સવને વિષય કરે છે. આથી કવિ એ સમયમાં હયાત હોવાનું કહી શકાય. કૃતિ : શંસ્તવનાવલી. [ર.સો.]

‘ઉત્તમકુમારચરિત્ર-રાસ’ [૨. ઈ.૧૬૯૬/સં. ૧૭૫૨, ફાગણ સુદ ૫, ગુરુવાર] : જ્ઞાનતિલકશિષ્ય વિનયચંદ્રકૃત, જૈન ધર્મના કર્મફળના સિદ્ધાંતનું માહાત્મ્ય કરતી, ૩ અધિકારમાં વિભાજિત ૪૨ ઢાલ અને ૮૪૮ કડીની રાસકૃતિ (મુ.). રાજા મકરધ્વજનો શીલવાન પુત્ર ઉત્તમકુમાર દેશાટને નીકળે છે અને શૂન્યદ્વીપના રાક્ષસરાજ ભ્રમરકેતુને હરાવીને દ્વીપની અધિષ્ઠાત્રીએ કરેલી શીલની કસોટીમાં પાર ઊતરી અઢળક રત્નો ભેટ મેળવે છે. તેના ઉપર મોહિત થયેલી ભ્રમરકેતુની પુત્રી મદાલસાને પણ એ પરણે છે. પણ મદાલસા પર મોહિત થયેલો વહાણવટી વેપારી સમુદ્રગુપ્ત ઉત્તમકુમારને ધક્કો મારી સમુદ્રમાં ફેંકી દે છે. આ રીતે જુદાં પડેલાં ઉત્તમકુમાર અને મદાલસા અનેક સંકટોમાંથી પસાર થઈ અંતે ભેગાં થાય છે અને મદાલસા ઉપરાંત ૩ રાણીઓ અને ૪ રાજ્યોનો સ્વામી બનેલ ઉત્તમકુમાર પોતાના પૂર્વભવનું વૃત્તાંત સાંભળી વૈરાગ્ય ઊપજતાં ૪ રાણીઓ સાથે દીક્ષા લે છે. અદ્ભુત અને વીરરસના પ્રસંગોથી ભરપૂર રોચક કથાનક ધરાવતો આ રાસ પ્રવાહી નિરૂપણ અને ઝડઝમક્યુક્ત ભાષાછટાથી ધ્યાન ખેંચે છે. કૃતિમાંના ભ્રમરકેતુ અને મદાલસાનાં પાત્રોનાં, રાજા વીરસેન અને ભ્રમરકેતુ સાથેના ઉત્તમકુમારના યુદ્ધપ્રસંગોનાં, વસંતઋતુનાં તથા અન્ય વર્ણનો રાસકર્તાની વર્ણનકલાની ક્ષમતા સૂચવે છે.[ર.ર.દ.]

ઉત્તમચરણદાસ(સ્વામી) [ઈ.૧૯મી સદી] : સ્વામિનારાયણ-સંપ્રદાયના સાધુ. એમણે સાંપ્રદાયિક પ્રાચારાર્થે કેટલુંક ગદ્ય લખ્યું હોવાનો ઉલ્લેખ મળે છે. સંદર્ભ : મસાપ્રવાહ.[હ.ત્રિ.]

ઉત્તમચંદ : આ નામે ૨૩ કડીની ‘તમાકુપરિહાર-સઝાય’ તથા ‘વીશી’ મળે છે પણ એ કયા ઉત્તમચંદની છે તે નિશ્ચિત નથી. ‘વીશી’ વિદ્યાચંદશિષ્ય ઉત્તમચંદને નામે નોંધાયેલી છે પણ એ માટે કશો આધાર નથી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. લીંહસૂચી. [ર.સો.]

ઉત્તમચંદ-૧ [ઈ.૧૬૩૯માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં દેવસાગરના શિષ્ય. ૩૫૯ કડીના ‘સુનંદ-રાસ’ (૨. ઈ.૧૬૩૯/સં. ૧૬૯૫, અસાડ સુદ-)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.સો.]

ઉત્તમચંદ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં વિદ્યાચંદના શિષ્ય. ‘ઉપધાન-વિધિ-સ્તવન’ (૨. ઈ.૧૬૫૫/સં. ૧૭૧૧, શ્રાવણ સુદ ૧૦, ગુરુવાર) અને ૧૯ કડીના ‘નેમિનાથ-સ્તવન’ (લે. ઈ.૧૬૭૪, સ્વલિખિત)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચિ. [ર.સો.]

ઉત્તમચંદ-૩ [ઈ.૧૮૦૦માં હયાત] : જૈન સાધુ. ૧૧ કડીના ‘કેસરિયા-સલોકો’ (૨.ઈ.૧૮૦૦/સં. ૧૮૫૬, ફાગણ -૯)ના કર્તા. સમય જોતાં ઉત્તમવિજય - ૩ હોવાની શક્યતા વિચારી શકાય. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૭ - ‘કતિપય ઔર સિલોકે’, અગરચંદ નાહટા. [ર.સો.]

ઉત્તમરામ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : અંબાજીનાં શણગાર અને શક્તિનું ગાન કરતી ગરબી (૨.ઈ.૧૮૪૩/સં. ૧૮૯૯, શ્રાવણ વદ ૯, રવિવાર; મુ.) તથા ‘ડંકપુરમાહાત્મ્ય’(૨. ઈ.૧૮૪૪/સં. ૧૯૦૦, આસો સુદ ૧૫, ભૃગુવાર; મુ.)ના કર્તા કોઈ એક જ ઉત્તમરામ હોય એવું સમજાય છે. ૩૦ કડવાં અને ૧૦૨૫ કડીના ‘ડંકપુરમાહાત્મ્ય’માં ડાકોર અને તેની આસપાસનાં ગલતેશ્વર વગેરે ધાર્મિક સ્થળોની કથા ઉપરાંત બોડાણાની કથા, સૂત અને શૌનકના સંવાદ રૂપે, વીગતે કહેવાયેલી છે. પ્રસ્તાવનામાં આ કૃતિને દીનાનાથ ભટ્ટની સંસ્કૃત રચનાનો આધાર હોવાનું જણાવાયું છે. કૃતિ : ૧. ડંકપુરમાહાત્મ, પ્ર. બુદ્ધિવર્ધક હિન્દુ સભા, સં. ૧૯૦૭ (+સં.);  ૨. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીરામ, સં. ૧૯૭૯ (+સં.). સંદર્ભ : ગૂહાયાદી. [ચિ.ત્રિ.]

ઉત્તમવિજય : આ નામે ‘અધ્યાત્મસારપ્રશ્નોત્તર’ (લે. સં. ૨૦મી સદી અનુ.) અને ‘આબુતીર્થમાળા’ (લે. સં. ૧૯મી સદી અનુ.) એ ૨ કૃતિઓ મળે છે પણ તે કયા ઉત્તમવિજયની છે તે નક્કી થતું નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચિ; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]

ઉત્તમવિજય-૧ [જ.ઈ.૧૭૦૪ - અવ. ઈ.૧૭૭૧/સં. ૧૮૨૭, મહા સુદ ૮] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં જિનવિજયના શિષ્ય. પૂર્વાશ્રમનું નામ પૂંજાશા. જન્મ અમદાવાદમાં. માતા માણેક. પિતા લાલચંદ. ઈ.૧૭૨૨માં ખરતરગચ્છના દેવચંદ્ર પાસે ધાર્મિક તત્ત્વગ્રંથોનો અભ્યાસ. ઈ.૧૭૪૦માં જિનવિજય પાસે દીક્ષા. અવસાન અમદાવાદમાં. ૩ ઢાળ અને ૫૧ કડીનું, સ્વોપજ્ઞ ગદ્યટીકા સાથેનું ‘સંયમશ્રેણી-ગર્ભિતમહાવીર-સ્તવન’ (૨. ઈ.૧૭૪૩/સં. ૧૭૯૯, વૈશાખ સુદ ૩ મુ.), ૩ ઢાળનું ‘અલ્પબહુત્વવિચારગર્ભિત-મહાવીરજિન-સ્તવન’ (૨. ઈ.૧૭૫૩/સં. ૧૮૦૯, આસો સુદ ૨; મુ.); ઈ.૧૭૪૩માં નિર્વાણ પામેલા જિનવિજયનું સમગ્ર ચરિત્ર વર્ણવતો, દુહા-દેશીબદ્ધ ૧૬ ઢાળનો ‘જિનવિજયનિર્વાણ-રાસ’ (મુ.);૩૧ કડીનું ‘જિનઆગમ-બહુમાન-સ્તવન’ (૨. ઈ.૧૭૫૩); ‘અષ્ટપ્રકારી-પૂજા’ (૨. ઈ.૧૭૫૭;મુ.), ‘ચોવીસી’ (૫ સ્તવન મુ.) અને કેટલાંક સ્તવનો-સઝાયો (મુ.)ના કર્તા. કૃતિ : ૧. સંયમશ્રેણીગર્ભિત મહાવીર સ્તવન સ્વોપજ્ઞ ગદ્યટીકા સાથે, સં. માનવિજય, ઈ.૧૯૨૨ (+સં.);  ૨. જૈઐરાસમાળા : ૧ (+સં.); ૩. જૈગૂસારરત્નો : (+સં.); ૪. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; પ. પૂજાસંગ્રહ, પ્ર. મોહનલાલ બાકરભાઈ, ઈ.૧૮૮૪; ૬. પ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]

ઉત્તમવિજય-૨ ઉત્તમવિજય-૨[ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ઉપાધ્યાય યશોવિજયની પરંપરામાં સુમતિવિજયના શિષ્ય. ‘નવપદપૂજા’ (૨. ઈ.૧૭૭૪/સં. ૧૮૩૦, શ્રાવણ સુદ -; મુ.), ‘પિસ્તાળીસ આગામની પૂજા’ (૨. ઈ.૧૭૭૮/સં. ૧૮૩૪, કારતક સુદ ૫, બુધવાર), દેવપ્રભસૂરિની સંસ્કૃત કૃતિ ‘પાંડવચરિત્ર-મહાકાવ્ય’ પર વિજયધર્મસૂરિના રાજ્યકાળમાં રચાયેલા સ્તબક (૨. ઈ.૧૭૮૦) તથા રત્નશેખરસૂરિકૃત પ્રાકૃત ‘શ્રાદ્ધવિધિ-વૃત્તિ’ પર વિજયધર્મસૂરિ-શિષ્ય વિજયજિનેન્દ્રના રાજ્યકાળ (ઈ.૧૭૮૫ - ઈ.૧૮૨૮)માં રચાયેલ સ્તબકના કર્તા. કૃતિ : નવપદપૂજા, પ્ર. માણેકચંદ લ. શા, − સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. આલિસ્ટઑઈ : ૨; ૩. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૪. મુપુહગૂસૂચી. [ર.સો.]

ઉત્તમવિજય-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિમલવિજયની પરંપરામાં ખુશાલવિજયના શિષ્ય. ‘રહનેમિરાજિમતી-સઝાય’ના મુદ્રિત પાઠમાં ઉત્તમચંદ નામ મળે છે જે કવિનું આરંભનું નામ હોઈ શકે. વિવિધ પ્રકારોમાં રચાયેલી આ કવિની કૃતિઓમાં સૌથી વધુ નોંધપાત્ર છે ૧૫ ઢાળ ને ૨૧૦ કડીની ‘નેમિનાથની રસવેલી’ ← (૨. ઈ.૧૮૩૩/સં. ૧૮૮૯, ફાગણ સુદ ૭; મુ.) નેમિનાથને વિવાહ માટે સમજાવતી કૃષ્ણની રાણીઓના રસિક પ્રસંગનું વીગતે નિરૂપણ કરીને તથા રાજુલના વિલાપપ્રસંગને કેવળ નિર્દેશથી પતાવીને કવિએ સંકલ્પપૂર્વક કૃતિને એકરસકેન્દ્રી બનાવી છે એ તેની વિશિષ્ટતા છે. અનુપ્રાસાત્મક ભાષાથી તેમ જ કલ્પનાની તાજગીથી પણ કૃતિ સમૃદ્ધ થયેલી છે. દુહા અને ભાવનાસ્તવન કે ભાવનાપદ તરીકે ઓળખાવાયેલાં ગીતો સાથે ૭ ઢાળની ‘પંચતીર્થ-પૂજા’ (૨. ઈ.૧૮૩૪/સં. ૧૮૯૦, ફાગણ સુદ ૫;મુ.), શત્રુંજય વગેરે ૫ તીર્થોના તીર્થંકરોની પૂજાની પરંપરાગત કૃતિ છે. પંરતુ એમાં ક્યાંક કાવ્યત્વ લાવવાનો પ્રયાસ થયેલો છે અને ગેય ઢાળો તથા રાગો અને ગેયતાને પોષક સુંદર ધ્રુવાઓ પ્રયોજાયેલાં છે તે નોંધપાત્ર છે. કવિએ કોઈ કોઈ ઢાળ અને ગીતમાં હિંદી ભાષા પણ પ્રયોજી છે. આ ઉપરાંત કવિની અન્ય દીર્ઘ કૃતિઓ છે : ૧૫ તિથિ અને ૧૨ માસના વર્ણનને સમાવતી, ૧૫ ઢાળની ‘નેમિરાજિમતીસ્નેહવેલ’ (સંભવત: ૨. ઈ.૧૮૨૦/સં. ૧૮૭૬, આસો વદ ૫, મંગળવાર), સિદ્ધાચલનો મહિમા અને ઇતિહાસ વર્ણવતી ૧૩ ઢાળની ‘સિદ્ધાચલ સિદ્ધવેલી’ (ર.ઈ.૧૮૨૯/સં. ૧૮૮૫, કારતક સુદ ૧૫; મુ.); ૪ ખંડ અને ૭૧ ઢાળનો ‘ધનપાળશીલવતીનો રાસ’ (૨. ઈ.૧૮૨૨/સં. ૧૮૭૮, માગશર - ૫, સોમવાર) અને ૭ ઢાળનો ‘ઢંઢુક-રાસ/લુમ્પકલોપક-તપગચ્છજ્યોત્પત્તિવર્ણન-રાસ’ (૨. ઈ.૧૮૨૨/સં. ૧૮૭૮, પોષ સુદ ૧૩.) ૪-૪ કડીના ૪ ચોકમાં લખાયેલી ‘રહનેમિરાજિમતી-ચોક/સઝાય’ (૨. ઈ.૧૮૧૯/સં. ૧૮૭૫, કારતક સુદ ૧૨, રવિવાર; મુ.), તોટક છંદની ૧૩ કડીમાં રચાયેલો ‘પાર્શ્વનાથસ્વામીનો છંદ’ (૨. ઈ.૧૮૨૪/સં. ૧૮૮૦, મહા - ૧૦; મુ.), કડખાની દેશીની ૨૧ કડીમાં રચાયેલ ‘એક્સોઆઠનામગર્ભિત-શંખેશ્વરપાર્શ્વજિન-છંદ’ (૨.ઈ.૧૮૨૫/સં. ૧૮૮૧, ફાગણ વદ ૨; મુ.) અને ૧૮ કડીની ‘પરદેશી-રાજાની સઝાય’ (મુ.) આ કવિની નાની રચનાઓ છે. જુઓ ઉત્તમચંદ - ૩. કૃતિ : ૧. નેમિનાથની રસવેલી, પ્ર. અમૃતવિજયજી રત્નવિજયજી, ઈ.૧૮૮૫; ૨. સિદ્ધાચલજીની સિદ્ધવેલ, સં. કાલીદાસ વ. માસ્તર, ઈ.૧૯૨૩;  ૩. જૈકાપ્રકાશ : ૧; ૪. જૈસમાલા (શા) : ૧; ૫. વિવિધ પૂજાસંગ્રહ : ૧-૧૧, પ્ર. જશવંતલાલ ડી. શાહ, -; ૬. શંસ્તવનાવલી; ૭. સસંપમાહાત્મ્ય. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]

ઉત્તમસાગર [ઈ.૧૬૫૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વાચક કુશલસાગરના શિષ્ય. ૬૫૦ કડીનો ‘ત્રિભુવનકુમાર-રાસ’ (૨. ઈ.૧૬૫૬/સં. ૧૭૧૨, વૈશાખ સુદ ૩, ગુરુવાર), ૨૩ કડીનું ‘સીમન્ધરજિન-ચંદ્રાવલા-સ્તવન’, ૧૬ કડીની ‘તેર કાઠિયાની સઝાય’ (મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિસ્તકાસંદોહ: ૨; ૩. જૈકાપ્રકાશ: ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨). [ર.સો.]

ઉત્તમસાગરશિષ્ય [ ] : જૈન સાધુ. ૪ કડીના ‘નવપદનું સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ: ચૈસ્તસંગ્રહ: ૧ [કી.જો.]

ઉદય/ઉદય(ઉપાધ્યાય)/ઉદય (મુનિ)/ઉદય(વાચક) : આ નામોથી ‘પ્રેમપ્રબંધદુહા (રંગવેલીપ્રીત)’ તથા કેટલાંક સ્તવનો, સ્તુતિઓ, છંદો, સઝાયો (કેટલાંક મુ.) મળે છે, તેમ જ કેટલીક નાની કૃતિઓ એવી પણ મળે છે જેમાં ‘ઉદય’ શબ્દ આવે છે ને તે કર્તાનામનો સૂચક હોવા સંભવ છે. આ કૃતિઓમાંથી કેટલીકને, તેમના રચનાસમયને લક્ષમાં લેતાં ઉદયરત્ન - ૨ની માનવામાં બાધ નથી. ઉપરાંત ‘ઉદય-ઉપાધ્યાય’ અને ‘ઉદય-વાચક’ને નામે સમયનિર્દેશ વિનાની જે કૃતિઓ મળે છે તે પણ ઉદયરત્ન-૨ની હોવાની શક્યતા છે. પરંતુ બીજા કોઈ આધારને અભાવે આવી કૃતિઓ વિશે કંઈ કહેવું મુશ્કેલ છે. ઉદયને નામે મળતી કૃતિઓમાંથી પણ ‘આત્મહિતશિક્ષાની સઝાય’, ‘અભવ્યને ઉપદેશ ન લાગવા વિશેની સઝાય’ તથા ‘ભગવાન પાર્શ્વનાથના ઉપસર્ગનું વર્ણન’ જેવી કેટલીક કૃતિઓને કેટલાક સંદર્ભોમાં ઉદયરત્ન - ૨ની કૃતિઓ ગણવામાં આવી છે, તેમ જ કોઈક કૃતિને ઉદયવિજય - ૨ને નામે પણ ચડાવવામાં આવી છે. ‘ઉદય’ની નામછપાવાળાં કેટાલંક હિંદી પદો મળે છે, જે કદાચ ‘પાંચ પરમેશ્વરનું સ્તવન/છંદ’(મુ.) ઝૂલણાની નારસિંહી છટાને કારણે ધ્યાન ખેંચે છે. કૃતિ : ૧. જિસ્તમાલા; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈસસંગ્રહ(ન.); ૪. શંસ્તવનાવલી;  ૫. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૭-‘ભગવાન પાર્શ્વનાથના ઉપસર્ગનું વર્ણન’, સં. જ્ઞાનવિજયજી. સંદર્ભ : ૧. જૈહાપ્રોસ્ટા; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [હ.યા.]

ઉદય-૧ [ઈ.૧૬૭૬માં હયાત] : જુઓ ચંદ્ર (ઈ.૧૬૭૬માં હયાત).

ઉદય-૨ [ઈ.૧૬૮૭માં હયાત] : ખતરગચ્છના જૈન સાધુ. જિનરત્નસૂરિની પરંપરામાં જિનચંદ્રસૂરિના શિષ્ય. ૮ કડીના ‘પાર્શ્વ-સ્તવ’ (૨. ઈ.૧૬૮૭)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[હ.યા.]

ઉદય(સૂરિ)-૩ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જુઓ જિનસુંદરસૂરિશિષ્ય જિનોદયસૂરિ.

ઉદય(ઋષિ)-૪ [ઈ.૧૭૮૫માં હયાત] : જૈન સાધુ. ‘સૂક્ષ્મ-છત્રીસી’ (૨. ઈ.૧૭૮૫/સં. ૧૮૪૧, ફાગણ-)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [હ.યા.]

ઉદયકમલ[ઈ.૧૭૬૪ હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં રત્નકુશલના શિષ્ય. ૧૧ ઢાળની ‘વિજયશેઠ-વિજ્યાશેઠાણી-ચોપાઈ’ (૨. ઈ.૧૭૬૪/સં. ૧૮૨૦, જેઠ સુદ ૧૨, સોમવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [હ.યા.]

ઉદયકલશ [ઈ.૧૫૬૨માં હયાત] : રાસકવિ. લઘુ તપગચ્છના જૈન સાધુ. કમલકલશની પરંપરામાં વિદ્યાકલશના શિષ્ય. ભૂલથી ઉદયકુશલને નામે ઉલ્લેખાયેલા આ કવિની, મુખ્યત્વે દુહા અને ચોપાઈબદ્ધ ૨૭૮ કડીની ‘શીલવતી-ચોપાઈ’ (૨. ઈ.૧૫૬૨/સં. ૧૬૧૮,શ્રાવણ સુદ ૧૫; મુ.) ક્વચિત્ વસ્તુ છંદનો અને દેશીનો ઉપયોગ કરે છે તથા શુભાષિતરૂપ સંસ્કૃત-પ્રાકૃત ગાથાઓ પણ ગૂંથી લે છે. વિક્રમ તથા ગગનધૂલિ/ધનકેલિને થયેલા સ્ત્રીચરિત્રના અનુભવોની રસપ્રદ પૂર્વભૂમિકા સાથે, શીલવતી ચતુરાઈથી પોતાના શીલની રક્ષા કેવી રીતે કરે છે તેથી કથા આમાં પ્રાસાદિક રીતે કહેવાઈ છે. કૃતિ : શીલવતી કથા, સં. કનુભાઈ શેઠ, ધનવંત શાહ, ઈ.૧૯૮૨ (+સં.). સંદર્ભ : મુપુગૂહસૂચી. [હ.યા.]

ઉદયકુશલ [ ] : જૈન સાધુ. સુખકુશલના શિષ્ય. ૨૫ કડીના ‘માણિભદ્રનો છંદ/મણિભદ્રયક્ષ-રાસ’ (મુ.)ના કર્તા. કૃતિ : પ્રાછંદસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [હ.યા.]

ઉદયચંદ/ઉદયચંદ્ર/ઉદયચંદ્ર(મુનિ) : ઉદયચંદને નામે ‘બ્રહ્મવિનોદ’ (લે. ઈ.૧૮૨૮) તથા ૭ કડીનું ‘શંખેશ્વરપાર્શ્વ-સ્તવ’, ઉદયચંદ્રને નામે ‘મલ્લિનાથ-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.) અને ઉદયચંદ્રમુનિને નામે દોહરા અને દશીબદ્ધ ‘સનત્કુમાર-ચક્રવર્તીનું ચોઢાળિયું’ (મુ.) મળે છે. આ ઉદયચંદ/ઉદયચંદ્ર કયા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘સનત્કુમાર-ચક્રવર્તીનું ચોઢાળિયું’માં છેલ્લી પંક્તિઓમાં ‘ધર્મનાથ’ અને ‘ઋષિરાય’ એ શબ્દો આવે છે તે કદાચ કવિનાં ગુરુનામ હોય. કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭ - ‘શંખેશ્વરતીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહતટા;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩.મુપુગૂહસૂચી. [હ.યા.]

ઉદયચંદ્ર-૧/ઉદો(ઋષિ) [ઈ.૧૫૬૧માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રના શિષ્ય. ૮૪ કડીના ‘સનત્કુમાર-રાસ’ (૨. ઈ.૧૫૬૧/સં. ૧૬૧૭, શ્રાવણ સુદ ૧૩; મુ.) અને ૬૯ કડીના ‘હરિકેશીબલ-ચરિત્ર’ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’ ‘ઉદયકર્ણ’ એવું અપરનામ આપે છે, પરંતુ એને માટે કશો આધાર આપ્યો નથી. કૃતિ : ષટ્ દ્રવ્ય નય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. જૈન હઠીસિંગ સરસ્વતી સભા, સં. ૧૯૬૯. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [હ.યા.]

ઉદયચંદ-૨ [ઈ.૧૬૫૮માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરની પરંપરામાં વિજયચંદના શિષ્ય. ‘માણિકકુમારની ચોપાઈ’ (૨. ઈ.૧૬૫૮/સં. ૧૭૧૪, ફાગણ સુદ -, શનિવાર)ના કર્તા. આ કૃતિનો માળવા, લાટ, ઇડર, સોરઠ, સિંધ, બંગાળ, સિંહલ, ગૌડ, દક્ષિણ ગુજરાત વગેરે જુદા જુદા દેશની નારીઓનાં સ્વભાવ-લક્ષણ વર્ણવતો ૧ ખંડ મુદ્રિત થયો છે તેમાં દુહા, ચાલ તથા સંસ્કૃતમાં કાવ્યમ્ અને શ્લોકોવાળો પદ્યબંધ ધ્યાન ખેંચે છે. કૃતિ : જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારકગ્રંથ, સં. મોહનલાલ દ. દેસાઈ, ઈ.૧૯૩૬ - ‘દેશદેશની નારીઓનું પ્રાચીન વર્ણન’ (‘માણિકકુમાર ચોપાઈ’નો એક અંશ). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [હ.યા.]

ઉદયધર્મ ઉદયધર્મ[ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : આગમગચ્છના જૈન સાધુ. મુનિસિંહસૂરિની પરંપરામાં મુનિસાગર/મતિસાગરના શિષ્ય. ૪. ખંડ અને ૧૧૯૫ કડીના ‘મલયસુંદરી-રાસ’ (૨. ઈ.૧૪૮૭/સં. ૧૫૪૩, આસો સુદ ૩, ગુરુવાર) તથા ‘કથા-બત્રીસી’ (૨. ઈ.૧૪૯૪/સં. ૧૫૫૦, આસો વદ ૩૦)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [હ.યા.]

ઉદયધવલ [ ]: જૈન સાધુ. કમલપ્રભસૂરિની પરંપરામાં મુનિપ્રભસૂરિના શિષ્ય. ‘ષડાવશ્યક-બાલાવબોધ’ના કર્તા. સંદર્ભ: જૈગૂકવિઓ: ૩(૨)

ઉદયનંદિ (સૂરિ) [ ] : જૈન સાધુ. કમલપ્રભસૂરિની પરંપરામાં મુનિપ્રભસૂરિના શિષ્ય. ‘ષડાવશ્યક-બાલાવબોધ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [હ.યા.]

ઉદયનંદિ(સૂરિ) [ ] : જૈન સાધુ. અભયદેવસૂરિની મૂળ પ્રાકૃત કૃતિ ‘નિગોદ-ષટ્ત્રિંશિકા’ પર બાલાવબોધના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાઈ : ૧૭(૧). [હ.યા.]

ઉદયપ્રભ(સૂરિ) [ ] : જૈન સાધુ. ૩૧ કડીના ‘અજિતશાંતિ-સ્તવન-કપૂરવટુ’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [હ.યા.]

ઉદયભાનુ : આ નામે ૬ કડીનો ‘બાવનવીરક્ષેત્રપાલ-છંદ’ (લે. ઈ.૧૫૨૯) નોંધાયેલ મળે છે તે સમય જોતાં ઉદયભાનુ-૧ની કૃતિ હોવાની શક્યતા છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [હ.યા.]

ઉદયભાનુ(વાચક) - ૧ [ઈ.૧૫૦૯માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ.રાજતિલકસૂરિની પરંપરામાં વિનયતિલકસૂરિ-સૌભાગ્યતિલકસૂરિના શિષ્ય. ૫૬૦/૫૬૫ કડીના ‘વિક્રમચરિત્ર-રાસ ← / વિક્રમસેન-રાસ’ (૨.ઈ.૧૫૦૯/સં. ૧૫૬૫, જેઠ સુદ -, રવિવાર; મુ.)ના કર્તા વિક્રમના લીલાવતી સાથેના લગ્નની કથાને તથા તેના પુત્ર વિક્રમચરિત્રના બુદ્ધિચાતુર્યના પ્રસંગોને કંઈક ઝડપથી કહી જતા આ રાસનો વર્ણનરસ તથા એની ભાષાછટા નોંધપાત્ર ગણાય એવાં છે. કૃતિ : વિક્રમચરિત્રરાસ, સં. બળવંતરાય ક. ઠાકોર, ઈ.૧૯૫૭ સંદર્ભ: ૧. જૈગૂકવિઓ: ૧,૩(૧); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧.

ઉદયમંડન [ ] : જૈન સાધુ. ૭૭ કડીના ‘પુષ્પચૂલા-રાસ’ (લે. સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [હ.યા.]

ઉદયમંદિર [ઈ.૧૬૧૯માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં પુણ્યમંદિરના શિષ્ય. ‘ધ્વજભુજંગ-આખ્યાન’ (૨. ઈ.૧૬૧૯/સં. ૧૬૭૫, કારતક સુદ ૧૩, સોમવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [હ.યા.]

ઉદયત્ન ઉદયત્ન : આ નામથી કેટલાંક સ્તવનો, સઝાયો, ગહૂંલીઓ વગેરે (કેટલીક રચનાઓ મુ.) મળે છે તેમાંની કેટલીક કૃતિઓને તેમના રચનાસમયને અનુલક્ષીને ઉદયરત્ન-૩ની ગણી છે. પરંતુ તે વિશે ખાતરીપૂર્વક કંઈ કહી શકાય નહીં. કૃતિ : ૧. ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, સં. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧, ૨. જિસ્તકાસંદોહ : ૨; ૩. શત્રુંજયતીર્થાદિસ્તવન સંગ્રહ, સં. સાગરચંદ્રજી, ઈ.૧૯૨૮. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [હ.યા.]

ઉદયરત્ન-૧ [ઈ.૧૫૪૨માં હયાત] : જૈન સાધુ. ‘અજાપુત્ર-રાસ’ (૨. ઈ.૧૫૪૨)ના કર્તા. સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [હ.યા.]

ઉદયરત્ન-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસાગરસૂરિના શિષ્ય. ‘જંબૂ-ચોપાઈ’ (૨. ઈ.૧૬૬૪/સં. ૧૭૨૦, કારતક વદ ૨, ગુરુવાર; સ્વલિખિત પ્રત ઈ.૧૬૭૪)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [હ.યા.]

ઉદયરત્ન (વાચક)-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : રાસકવિ. તપગચ્છના જૈન સાધુ. વિજયરાજ(રાજવિજય)-હીરરત્નની પરંપરામાં શિવરત્નના શિષ્ય. ઈ.૧૬૯૩માં ‘જંબૂસ્વામી-રાસ’ અને ઈ.૧૭૪૭માં ‘આદીશ્વર-સ્તવન’ રચાયાની માહિતી મળતી હોવાથી કવિનો જીવનકાળ ઈ.૧૭મી સદીનો ઉત્તરાર્ધ અને ઈ.૧૮મી સદીનો પૂર્વાર્ધ ગણી શકાય. ઉદયરત્ન ખેડાના રહીશ અને રત્ના ભાવસારના ગુરુ હતા. તેમનું મૃત્યુ મિયાગામમાં થયું હોવાનું કહેવાય છે. ‘સ્થૂલિભદ્રનવરસ’ના શૃંગારનિરૂપણને કારણે સંઘ બહાર મુકાયેલા આ મુનિને ‘બ્રહ્મચર્યની નવ વાડ’ની રચના પછી સંઘમાં પ્રવેશ મળ્યો હતો એવી કથા છે. ઉદયરત્નના વિપુલ સાહિત્યસર્જનમાં ૨૦ જેટલી રાસાત્મક કૃતિઓ, કેટલાક ચરિત્રાત્મક સલોકાઓ, છંદ, બારમાસા, સ્તવનો અને સઝાયોનો સમાવેશ થાય છે. રાસાત્મક કૃતિઓમાંથી ૨૧ ઢાળની દુહા-દેશીબદ્ધ ‘લીલાવતી-સુમતિવિલાસ-રાસ’ (૨. ઈ.૧૭૧૧/સં. ૧૭૬૭, આસો વદ ૬, સોમવાર; મુ.) વેશ્યાવશ પતિને મહિયારીને વેશએ આકર્ષી પાછો લાવનાર લીલાવતી કથા કહે છે અને કવિની દૃષ્ટાંતકલાથી ધ્યાન ખેંચે છે. ૯૬ ઢાળની દુહા-દશીબદ્ધ ‘ભુવનભાનુ-કેવલીનો રાસ/રસલહરી-રાસ’ (૨. ઈ.૧૭૧૩/સં. ૧૭૬૯, પોષ વદ ૧૩, મંગળવાર; મુ.) જ્ઞાનમૂલક રૂપકકથા છે. ૯ ઢાળની ‘સ્થૂલિભદ્રકોશા-સંવાદ/સ્થૂલિભદ્રનવરસો/સ્થૂલિભદ્ર-રાસ’ (૨. ઈ.૧૭૦૩/સં. ૧૭૫૯, માગશર સુદ ૧૧/૧૫, સોમવાર; મુ.) અન્ય કથાપ્રસંગો ટૂંકમાં નિર્દેશી, દીક્ષા લીધા પછી સ્થૂલિભદ્ર કોશાને ત્યાં ચાતુર્માસ ગાળવા જાય છે તે પ્રસંગના સ્થૂલિભદ્ર-કોશાના સંવાદને બહેલાવે છે અને તે દ્વારા કોશાના શૃંગારભાવનું મનોહારી આલેખન કરે છે. અન્ય કથાત્મક કૃતિઓ આ પ્રમાણે છે : ૬૬ ઢાળની ‘જંબૂસ્વામી-રાસ’ (૨. ઈ.૧૬૯૩/સં. ૧૭૪૯, બીજા ભાદરવા સુદ ૧૩), ૮ પ્રકારની પૂજાનો મહિમા દર્શાવવા માટે ૮ કથાનકો વણી લેતી, સવિસ્તર કથનવર્ણનધર્મબોધવાળી ૭૮ ઢાળની દુહા-દેશીબદ્ધ ‘અષ્ટપ્રકારીપૂજા-રાસ’ (૨. ઈ.૧૬૯૯/સં. ૧૭૫૫, પોષ વદ ૧૦, રવિવાર; મુ.) ૯૩ ઢાળની ‘મુનિપતિ-રાસ’ (ર.ઈ.૧૭૦૫/સં. ૧૭૬૧, ફાગણ વદ ૧૧, શુક્રવાર), ૩૧ ઢાળની ‘પંચપરમેષ્ઠી/નવકાર/રાજસિંહ-રાસ’ (૨. ઈ.૧૭૦૬/સં. ૧૭૬૨, માગશર સુદ ૭, સોમવાર), ૭૭. ઢાળની ‘બારવ્રત-રાસ’ (ર.ઈ.૧૭૦૯/સં. ૧૭૬૫, કારતક સુદ ૭, રવિવાર), ‘મલયસુંદરી-મહાબલ/વિનોદવિલાસ-રાસ’ (૨. ઈ.૧૭૧૦/સં. ૧૭૬૬, માગશર સુદ ૮, સોમવાર), ૮૧ ઢાળની ‘યશોધર-રાસ’ (૨. ઈ.૧૭૧૧/સં. ૧૭૬૭, પોષ સુદ ૫, ગુરુવાર), ૨૭ ઢાળની ‘ધર્મબુદ્ધિમંત્રી અને પાપબુદ્ધિરાજાનો રાસ’ (૨. ઈ.૧૭૧૨/સં. ૧૭૬૮, માગશર સુદ ૧૧, રવિવાર; મુ.), ‘શંત્રુજયતીર્થમાળાઉદ્ધાર-રાસ’ (ર.ઈ.૧૭૧૩), ૩૧ ઢાળની ‘ભાવરત્નસૂરિપ્રમુખ-પાંચપાટવર્ણન-ગચ્છપરંપરા-રાસ’ (ર.ઈ.૧૭૧૪), ૧૭ ઢાળની ‘ઢંઢણમુનિ-સઝાય’ (ર.ઈ.૧૭૧૬/સં. ૧૭૭૨, ભાદવરા સુદ ૧૩, બુધવાર), ૧૩ ઢાળની ‘જ્ઞાનપંચમી/વરદત્તગુણમંજરી/સૌભાગ્યપંચમી-રાસ’ (૨. ઈ.૧૭૨૬/સં. ૧૭૮૨, માગશર સુદ ૧૫, બુધવાર), ૧૩ ઢાળની દામન્નક-રાસ’ (ર.ઈ.૧૭૨૬/સં. ૧૭૮૨, આસો વદ ૧૧, બુધવાર), ‘સૂર્યયશા/ભરતપુત્રનો રાસ’ (૨.ઈ.૧૭૨૬), ૨૩ ઢાળની ‘સુદર્શનશ્રેષ્ઠી-રાસ’ (૨. ઈ.૧૭૨૯/સં. ૧૭૮૫, ભાદરવા વદ ૫, ગુરુવાર), ‘રસરત્નાકર/હરિવંશ-રાસ’ (૨.ઈ.૧૭૪૩/સં. ૧૭૯૯, ચૈત્ર સુદ ૯, ગુરુવાર), ‘મહીપતિરાજા અને મતિસાગરપ્રધાન-રાસ’ (મુ.). ૨૩ કડીનો ‘શંખેશ્વરપાર્શ્વનાથનો સલોકો’ (૨.ઈ.૧૭૦૩/સં. ૧૭૫૯, વૈશાખ વદ ૬; મુ.) શંખેશ્વર તીર્થની ઉત્પત્તિનો કારણભૂત કૃષ્ણ-જરાસંઘના યુદ્ધનો કથાપ્રસંગ વર્ણવે છે અને ૬૬ કડીનો ‘શાલિભદ્રનો સલોકો’ (૨.ઈ.૧૭૧૪/સં. ૧૭૭૦, માગશર સુદ ૧૩; મુ.), ૧૧૭ કડીનો ‘વિમળ-મહેતાનો સલોકો’ (૨.ઈ.૧૭૩૯/સં. ૧૭૯૫, જેઠ સુદ ૮, રવિવાર; મુ.), ૫૭ કડીનો ‘નેમિનાથસ્વામીનો સલોકો’(મુ.) તેમ જ ૬૮ કડીનો ‘ભરતબાહુબલિનો સલોકો’(મુ.) ચરિત્રનાયકના મુખ્ય જીવનપ્રસંગોને પ્રાસાદિક રીતે અને થોડી વાક્છટાથી વર્ણવતી રચનાઓ છે. વૈરાગ્યબોધમાં સર્યા વિના પ્રકૃતિનાં લાક્ષણિક ચિત્રોને ઉઠાવ આપતી અને વિરહભાવનું માર્મિક નિરૂપણ કરતી ૧૩ ઢાળની કૃતિ ‘નેમિનાથરાજિમતી-તેર-માસા’ ← (ર.ઈ.૧૭૦૩/સં. ૧૭૫૯, શ્રાવણ સુદ ૧૫, સોમવાર; મુ.) ગુજરાતી બારમાસા-સાહિત્યમાં નોંધપાત્ર બની રહે તેવી કૃતિ છે. ૧૦ ઢાળની ‘બ્રહ્મચર્યની/શિયળની નવવાડ-સઝાય’ (૨.ઈ.૧૭૦૭/સં. ૧૭૬૩, શ્રાવણ વદ ૨, બુધવાર; મુ.), ૨૭ ઢાળ અને ૬૪ કડીની ‘ચોવીસદંડકગર્ભિત-ચોવીસ જિન-સ્તવન’ (૨.ઈ.૧૭૨૫/સં. ૧૭૮૧, ચૈત્ર વદ ૬, મંગળવાર; મુ.) તથા ‘ચોવીસી’(મુ.) ઉદયરત્નની લાંબી પણ પરંપરાગત પ્રકારની કૃતિઓ છે. આ સિવાય ઉદયરત્નનાં ઘણાં મુદ્રિત-અમુદ્રિત સ્તવનો અને સઝાયો મળે છે જેમાંથી કેટલીક સઝાયો(મુ.) એમના વિષય કે નિરૂપણરીતિ કે ભાષાછટાથી આકર્ષક બને છે. જેમ કે, રૂપકાત્મક નિરૂપણરીતિવાળી ‘અંધેરી નગરીની સઝાય’ તથા ‘જીવરૂપી વણઝારા વિશેની સઝાય’ (૨.ઈ.૧૭૦૧), સંવાદશૈલીનો ઉપયોગ કરતી ‘ભીલડીની સઝાય’, ‘જોબન અસ્થિરની સઝાય’, ‘ભાંગવારક-સઝાય’, ‘શિખામણ કોને આપવી તે વિશેની સઝાય’ વગેરે. વિપુલ સાહિત્યસર્જન, પ્રાસાદિક કથાકથન, વર્ણનરસ, દૃષ્ટાંતકૌશલ, છંદલયસિદ્ધિ અને બાનીની લોકભોગ્ય છટાઓથી ઉદયરત્ન મધ્યકાળના એક નોંધપાત્ર કવિ બની રહે છે. કૃતિ : ૧. ધર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ રાજાનો રાસ, પ્ર. નિર્ણયસાગર મુદ્રણાલય, ઈ.૧૮૮૭; ૨. ભુવનભાનુ કેવલીનો રાસ, પ્ર. શેઠ ઉકાભાઈ શિવજી, ૧૮૭૧; ૩. લીલાવતીનો રાસ, પ્ર.શા. લલ્લુભાઈ પરભુદાસ, સં. ૧૯૨૯; ૪. લીલાવતી રાણી અને સુમતિવિલાસનો રાસ, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૮૯૮; ૫. સ્થૂલિભદ્ર નવરસ, સં. જશભાઈ કા. પટેલ, સં. ૨૦૦૭;  ૬. અસસંગ્રહ; ૭. અસ્તમંજુષા; ૮. ચૈસ્તસંગ્રહ : ૨, ૩; ૯. જિભપ્રકાશ; ૧૦. જિસ્તકાસંગ્રહ : ૨; ૧૧. જૈકાપ્રકાશ : ૧; ૧૨. જૈગૂસારત્નો : ૧ (+સં.); ૧૩. જૈપ્રપુસ્તક : ૧; ૧૪. જૈરસંગ્રહ; ૧૫. દેસ્તસંગ્રહ; ૧૬. પ્રાછંદસંગ્રહ; ૧૭. પ્રામબાસંગ્રહ : ૧; ૧૮. પ્રાસપસંગ્રહ; ૧૯. પ્રાસ્તસંગ્રહ; ૨૦. બૃકાદોહન : ૨; ૨૧. માણિભદ્રાદિકોના છંદોનું પુસ્તક : ૧, પ્ર. નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦; ૨૨. શત્રુંજય તીર્થમાલા, રાસ અને ઉદ્ધારાદિકનો સંગ્રહ, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૩; ૨૩. સસન્મિત્ર; ૨૪. સઝાયમાલા : ૧-૨(જા); ૨૫. સજઝાયમાળા(પં); ૨૬. સલોકા સંગ્રહ, પ્ર. શા. કેશવલાલ સવાઈભાઈ, ઈ.૧૯૧૨;  ૨૭. જૈન યુગ, વૈશાખ-જેઠ ૧૯૮૬-હંસરત્ન વિશેની સઝાય. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨,૩(૨); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. ડિક્ટૅલૉગભાઈ : ૧૯(૨); ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[હ.યા.]

ઉદયરત્ન-૪ ઉદયરત્ન-૪[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. વિદ્યાહેમના શિષ્ય. ‘સીમંધર-સ્તવન’ (૨.ઈ.૧૮૦૧/સં. ૧૮૫૭; અસાડ સુદ ૧૦), ‘જિનપાલિતજિનરક્ષિત-રાસ’ (૨.ઈ.૧૮૧૧), ‘જિનકુશલસૂરિ-નિશાની’ (૨.ઈ.૧૮૧૮) અને ‘ખંધક-ચોઢાળિયું’ (૨.ઈ.૧૮૨૮)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [હ.યા.]

ઉદયવર્ધન [ઈ.૧૬૨૮ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિના શિષ્ય. ૪૧ કડીના ‘ચંદ્રપ્રભ-વિવાહલો’ (લે.ઈ.૧૬૨૮)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ,ફેબ્રુ. ૧૯૪૯ - ‘કતિપય ધવલ ઔર વિવાહલોંકી નયી ઉપલબ્ધિ’, અગરચંદ નાહટા. [હ.યા.]

ઉદયવલ્લભ(સૂરિ) [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : વડતપગચ્છના જૈન સાધુ. તેમના પ્રતિષ્ઠાલેખ ઈ.૧૪૫૮થી ઈ.૧૪૬૫ સુધીના મળે છે એટલે ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધમાં હયાત હોવાનું ગણી શકાય. એમને નામે ૪૮૬૦ ગ્રંથાગ્રનો ‘ક્ષેત્રમાસ-બાલાવબોધ’ (લે.ઈ.૧૭૧૩) નોંધાયેલ છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [હ.યા.]

ઉદયવિજય : આ નામે ‘માણિભદ્ર-છંદ’ (લે.સં. ૧૯મી સદી અનુ.) નોંધાયેલ મળે છે તે કયા ઉદયવિજય છે તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. સંદર્ભ : રાહસૂચી : ૧. [હ.યા.]

ઉદયવિજય(વાચક)-૧ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. ઉત્તમવિજય-રત્નવિજયના શિષ્ય. રત્નવિજયનો સમય ઈ.૧૭મી સદીનો મધ્યભાગ છે તેથી આ કવિને પણ એ અરસાના ગણી શકાય. એમણે રચેલો ૧૫ કડીનો ‘શાંતિનાથનો છંદ’ (મુ.) મળે છે. કૃતિ : પ્રાછંદસંગ્રહ. [હ.યા.]

ઉદયવિજય(વાચક)-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવની પરંપરામાં વિજયસિંહસૂરિના શિષ્ય. તેમની ૪ કથાત્મક કૃતિઓ મળે છે - ૨૭૨ કડીની ‘સમુદ્રકલશ-સંવાદ’ (૨.ઈ.૧૬૫૮/સં. ૧૭૧૪, આસો વદ ૩૦), ૬ ખંડ, ૭૭ ઢાળની દુહા-ચોપાઈબદ્ધ ‘શ્રીપાલ-રાસ’ (૨.ઈ.૧૬૭૨/સં. ૧૭૨૮, આસો વદ ૩૦), ૨૩૩ કડીની ‘રોહિણીતપ-રાસ’ તથા ‘મંગલકલશ-રાસ’. તેમની અન્ય કૃતિઓમાં, જેની સઝાયો છૂટી નોંધાયેલી છપાયેલી પણ મળે છે તે ‘ઉત્તરાધ્યયન-સૂત્રની છત્રીસ સઝાયો’ (મુ.)માં કેટલેક સ્થાને તળપદાં દૃષ્ટાંતોનો વિનિયોગ ધ્યાન ખેંચે છે. આંતરયમકવાળા દુહા તથા છંદની ૫૩ કડીમાં રચાયેલી ‘પાર્શ્વનાથ-રાજગીતા/શંખેશ્વરમંડનપાર્શ્વનાથ-સ્તવન’ (મુ.) મોહ મહિમાનું વર્ણન કરી તેને દૂર કરવા જ્ઞાનનો આશ્રય લેવાનું સૂચવે છે. ૭ કડીની ‘ગોડીપાર્શ્વનાથપ્રભાતી-છંદ’ (મુ.) અને ૭ કડીની ‘પ્રમાદવર્જનની સઝાય’ (મુ.) તથા ‘ચોવીસજિન-સ્તવન’, ૨૧ ઢાળની ‘વીસવિહરમાનજિન-ગીત’, ૧૩૫ કડીની ‘શંખેશ્વરપાર્શ્વનાથજિન-સ્તવન’, ૨૬ કડીની ‘વિમલાચલ-સ્તવન’, ૭ કડીની ‘વિજયરત્નસૂરિ-સઝાય’, ૭ કડીની ‘નેમિનાથ-પદ’, ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ-સઝાય’ એ આ કવિની અન્ય કૃતિઓ છે. ૯ અને ૧૨ કડીની ‘વિજયસિંહસૂરિ-સઝાય’ પણ એમની જ હોવાની શક્યતા છે. કૃતિ : ૧. જૈસસંગ્રહ (ન); ૨. પ્રાફાગુસંગ્રહ; ૩. પ્રાસ્મરણ; ૪. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨,૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [હ.યા.]

ઉદયવિજય-૩ [ઈ.૧૭૧૩માં હયાત] : જૈન સાધુ. ‘સુવિધિજિન-સ્તવન’ (૨.ઈ.૧૭૧૩)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [હ.યા.]

ઉદયવિજય-૪ [ઈ.૧૭૪૨માં હયાત] : જૈન સાધુ. ૭ કડીના ‘નિક્ષેપા-સ્તોત્ર’ (૨.ઈ.૧૭૪૨)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [હ.યા.]

ઉદયવિમલશિષ્ય [ઈ.૧૬૭૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. દુહા અને દેશીમાં રચાયેલા ૧૯ કડીના ‘ઋષભદેવજિન-સ્તવન’ - (૨.ઈ.૧૬૭૬/સં. ૧૭૩૨, મહાવદ ૭, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ : ૨. [કી.જો.]

ઉદયસમુદ્ર : આ નામે ‘પાર્શ્વનાથસ્તુતિ-ચતુષ્ક’(મુ.) મળે છે તે કયા ઉદયસમુદ્ર છે તે નક્કી થઈ શકે તેમ નથી. કૃતિ : જિસ્તકાસંદોહ:ર. [હ.યા.]

ઉદયસમુદ્ર-૧ ઉદયસમુદ્ર-૧[ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : ચંદ્ર/પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. ચંદ્રપ્રભસૂરિની પરંપરામાં સુમતિરત્નના શિષ્ય. સુમતિરત્ન ઈ.૧૫૧૨થી ઈ.૧૫૩૧માં હયાત હતા તેથી આ કવિનો સમય ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ ગણી શકાય. એમની ‘પૂર્ણિમાગચ્છની ગુર્વાવલી’(મુ.)માં ૧૮ કડીના પ્રથમ ખંડમાં ગુર્વાવલી છે અને ૨૩ કડીના બીજા ખંડમાં સુમતિરત્નની પ્રશસ્તિ છે. કૃતિ : પસમુચ્ચય:૨. [હ.યા.]

ઉદયસમુદ્ર - ૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ) : ખરતરગચ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિની પરંપરામાં કમલહર્ષ(ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ)ના શિષ્ય. ૨૯ ઢાળના ‘કુલધ્વજકુમાર-રાસ/કુલધ્વજકેવલી-ચરિત્ર/રસલહરી’ (લે. ઈ.૧૬૭૨)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૨,૩(૨). [હ.યા.]

ઉદયસાગર/ઉદયસાગર(મુનિ)/ઉદયસાગર(સૂરિ) : ઉદયસાગરને નામે મૂળ પ્રાકૃત કૃતિ ‘લોકનાલિકાદ્વાત્રિંશિકા-પ્રકરણ’ ઉપર ૩૨૫ ગ્રંથાગ્રનો બાલાવબોધ (લે.ઈ.૧૭મી સદી અનુ.), ૧૦ કડીની ‘ગુરુ-સઝાય’, ૫ કડીની ‘શંખેશ્વર-પાર્શ્વનાથના ચંદ્રાવળા’(મુ.) અને ઉદયસાગરસૂરિને નામે ૩૩ કડીની ‘તીર્થમાલા’ (લે. સં. ૧૭મી સદી અનુ.) તથા ઉદયસાગર મુનિને નામે ૩ ઢાળ અને ૨૭ કડીનું ‘આત્મનિંદાગર્ભિત-સીમંધરસ્વામી-સ્તવન’ (લે. ઈ.૧૬૧૪, સ્વલિખિત; મુ.) મળે છે. તેમાંથી છેલ્લી કૃતિના કર્તા ઉદયસાગર-૧ હોવાની શક્યતા ગણી શકાય. બાકીની કૃતિઓના કર્તા વિશે કંઈ કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. કક્કાબત્રીશીના ચંદ્રાવલા તથા ચોવીશ તીર્થંકરાદિના ચંદ્રાવલાનો સંગ્રહ, પ્ર. જગદીશ્વર છાપખાનું, ઈ.૧૮૮૫; ૨. જિસ્તકાસંદોહ:૧. સંદર્ભ : ૧. મુપૂગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]

ઉદયસાગર - ૧ [ઈ.૧૬૨૦(?)માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. સાધુધર્મગણિની પરંપરામાં સહજરત્નના શિષ્ય. રત્નશેખરની મૂળ પ્રાકૃતક કૃતિ, ‘લઘુક્ષેત્રસમાસ-પ્રકરણ’ પર બાલાવબોધ(ર.ઈ.૧૬૨૦?/સં. ૧૬૭૬ ?, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : ૧ જૈગૂકવિઓ :૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]

ઉદયસાગર-૨ [જ.ઈ.૧૭૦૭-અવ. ઈ.૧૭૭૦] : જુઓ વિદ્યાસાગરશિષ્ય જ્ઞાનસાગર.

ઉદયસાગર(સૂરિ)-૩ [ ] : વિજયગચ્છના જૈન સાધુ. વિજયમુનિની પરંપરામાં વિમલસાગરસૂરિના શિષ્ય, ‘મગસીપાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ :૨; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]

ઉદયસિંહ [ઈ.૧૭૧૨માં હયાત] : નાગોરી તપગચ્છના જૈન સાધુ. સદારંગના શિષ્ય. ‘મહાવલીર-ચોઢાળિયું’ (ર. ઈ.૧૭૧૨/સં. ૧૭૬૮, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩૨(૨). [હ.યા.]

ઉદયસોમ(સૂરિ) [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : લઘુતપગચ્છના જૈન સાધુ. આનંદસોમસૂરિના શિષ્ય ‘પર્યુષણાવ્યાખ્યાન-સસ્તબક’ (ર. ઈ.૧૮૩૭) તથા ૪ ખંડના ‘શ્રીપાલ-રાસ’ (ર. ઈ.૧૮૪૨/સં. ૧૮૯૮, આસો-)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [હ.યા.]

ઉદયસૌભાગ્યશિષ્ય [ ] : જૈન. ૨૯ કડીના ‘(જીરાપલ્લી) પાર્શ્વનાથ-સ્તોત્ર’(લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

ઉદયહર્ષ-૧ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. શાંતિહર્ષના શિષ્ય. વિજયદેવસૂરિના રાજ્યકાળ(ઈ.૧૬૧૫-ઈ.૧૬૫૭)માં રચાયેલી ૪ કડીની ‘ઋષભજિન-સ્તુતિ’ અને ૧૩ કડીની ‘વિજયસિંહસૂરિ સઝાય’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]

ઉદયહર્ષ - ૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિવેકહર્ષના શિષ્ય. ગુરુ વિવેકહર્ષની સાથે જહાંગીર બાદશાહને મળ્યા હતા તેથી જીવનકાળ ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ ગણી શકાય. એમને નામે સિદ્ધસેનસૂરિની મૂળ સંસ્કૃત રચના ‘કલ્યાણમંદિર-સ્તોત્ર’ ઉપર ૬૨૭ ગ્રંથાગ્રનો બાલાવબોધ (લે. ઈ.૧૬૬૮) મળે છે. સંદર્ભ : ૧ ૧. જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી. [હ.યા.]

ઉદયહર્ષશિષ્ય [ઈ.૧૪૮૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિની પરંપરામાં સુમતિસાધુસૂરિના શિષ્ય ઉદયહર્ષના શિષ્ય ૩૯૩ કડીના ‘શ્રીપાલ-રાસ’ (ર. ઈ.૧૪૮૮)ના કર્તા. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [કી.જો.]

ઉદયાણંદ/ઉદયાનંદ(સૂરિ) [ ] : જૈન સાધુ. ૧૮ કડીના ‘શત્રુંજયસંખ્યાસંઘપતિઉદ્ધાર/શત્રુંજયસંઘપતિસંખ્યા-ધવલ’ - (લે. સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. કૃતિ : અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ ઈ.૧૯૮૨ (+સં.). સંદર્ભ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૨. મુપુગૂહસૂચી. {{Right|[[હ.યા., જ.ગા.]}}

ઉદે : જુઓ ચંદ્ર(ઈ.૧૬૭૬માં હયાત).

ઉદેરામ[ ] : તારણીમાતાનો તથા રાધિકાજીનો એમ ૨ ગરબા, ‘બાળલીલા’ તથા કેટલાંક પદોના કર્તા. જુઓ ઉદો. સંદર્ભ : ગૂહાયાદી. [ર.ર.દ.]

ઉદો : આ નામે કેટલાંક પદો નોંધાયેલાં મળે છે, તેના કર્તા કદાચ ઉદેરામ પણ હોય. સંદર્ભ : ગૂહાયાદી. [ર.ર.દ.]

ઉદો(ઋષિ) - ૧ : જુઓ પાર્શ્વચંદ્રશિષ્ય ઉદયચન્દ્ર.

ઉદ્ધવ/ઓધવ : ઉદ્ધવને નામે પદો - જે હિંદી હોવાની પણ શક્યતા છે - તથા ઓધવને નામે કૃષ્ણગોપીલીલાવિષયક ‘ગોપીવિરહ’ નોંધાયેલ મળે છે. આ ઉદ્ધવ કે ઓધવ કોણ છે તે નિશ્ચિત થઈ શકતું નથી. ઓધવ નામના સં. ૧૮મી સદીના પુષ્ટિમાર્ગીય કવિ નોંધાયા છે. તે ઉપર્યુક્ત ઉદ્ધવ/ઓધવથી જુદા છે કે કેમ તે પણ નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પુગુસાહિત્યકારો; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ફૉહનામાવલિ. [ર.સો.]

‘ઉદ્ધવ-ગીતા’ [ર.ઈ.૧૮૨૪/સં. ૧૮૮૦, શ્રાવણ વદ ૮, બુધવાર) : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુકવિ મુક્તાનંદની આ કૃતિ(મુ.) ૧૦૮ કડવાં અને ૨૭ પદોમાં ભાગવતના દશમસ્કંધમાંના ઉદ્ધવગોપીપ્રસંગનું વિસ્તારથી આલેખન કરે છે તથા આ પ્રસંગને વર્ણવતાં અન્ય કાવ્યોથી, એમાં ગૂંથાયેલાં ૨૩ કડવાં અને ૬ પદોમાં વિસ્તરતા સીતાત્યાગના વૃત્તાંતને કારણે, જુદી તરી આવે છે. કૃષ્ણના પૂર્વાવતારનું આ કથાનક એમની નિષ્ઠુરતા દર્શાવવા માટે ગોપીના ઉપાલંભ રૂપે મુકાયેલું છે અને ઈશ્વરની વંચકવૃત્તિને પણ પ્રકટ કરે છે - ૧ કડવામાં વિવિધ અવતારોમાં ઈશ્વરે દાખવેલી છલવૃત્તિ પણ આલેખાયેલી છે. મુખ્યત્વે ગોપીઓના ઉદ્ગારો રૂપે ચાલતા આ કાવ્યમાં ગોપીઓની કૃષ્ણવિયોગની વ્યાકુળતા, એમણે કૃષ્ણને આપેલા ઉપાલંભો અને એમના ચિત્તમાં ઊભરાઈ ઊઠતાં મિલનનાં સ્મરણો વગેરે વિવિધ ઊર્મિતંતુઓ રસપ્રદ રીતે આલેખાયાં છે. ૧-૨ પંક્તિઓમાં જ કોઈ દૃશ્યને કે કોઈ ભાવસ્થિતિને અસરકારક રીતે નિરૂપી આપવામાં કવિની સર્જકતા દેખાય છે. [ર.સો.]

ઉદ્ધવદાસ-૧/ઓધવદાસ [ઈ.૧૬મી સદી] : આખ્યાનકાર. ભાલણના પુત્ર. પાટણના મોઢ બ્રાહ્મણ. ભાલણનો સમય ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ કે ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ મનાય છે. એને આધારે આ કવિને ઈ.૧૬મી સદીમાં થયેલા ગણી શકાય. વાલ્મીકિ-રામાયણના કથાનકને અનુસરતા અને પદબંધનું વૈવિધ્ય દર્શાવતા એમના ‘રામાયણ’(મુ.)ના કાંડવાર અને કડવાબદ્ધ અનુવાદમાં ‘સુંદરકાંડ’ સુધીના બધા કાંડ ‘ભાલણસુત ઉદ્ધવદાસ’ નામ દર્શાવે છે. એમાં ક્યાંય રચનાવર્ષ દર્શાવેલું નથી. પણ એ પછીના ‘યુદ્ધકાંડ’ને અંતે ઈ.૧૬૩૧ રચનાવર્ષ અને ‘મધુસૂદન’ કવિનામ મળે છે. આ મધુસૂદનનું વતન કર્ણપુર અને મોસાળ પાટણ હતું તથા ભીમજી વ્યાસ પાસેથી કથા સાંભળી એમણે પદબંધ રામાયણ રચ્યું - એવી વીગતો પણ એમાં મળે છે. પરંતુ કડવાંની પંક્તિસંખ્યા, કાવ્યની શૈલી ને એનો રચનાબંધ તથા કવિની સંસ્કૃતની જાણકારી - એવાં કેટલાંક આંતરબાહ્ય સામ્યોને લીધે આ ‘યુદ્ધકાંડ’ પણ ઉદ્ધવનો જ હોવાનો અને મધુસૂદને પોતાનું નામ અને રચનાવર્ષ એમાં ઉમેરી દીધાં હોવાનો મત વધુ પ્રવર્તે છે છે. શૈલીની રીતે જુદા પડી જતા છેલ્લા ‘ઉત્તરકાંડ’માં રામજન કુંવરનું નામ છે, એથી તેમાં ઉદ્ધવદાસનું કર્તૃત્વ માની શકાય તેમ નથી. આ ‘રામાયણ’ની હસ્તપ્રતો નહીં મળતી હોવાથી ‘કવિચરિત’ તો એના કર્તૃત્વને જ શંકાસ્પદ લેખે છે. આ ઉપરાંત, કેટલીક મૌલિક શ્લેષરચનાઓ ધરાવતા, લગભગ ૪૨૫ કડીના ‘બભ્રૂવાહન-આખ્યાન’ (અંશત: મુ.)ની રચના પણ કવિએ કરી છે. આ કૃતિની આરંભની પંક્તિઓને આધારે એવો તર્ક થયો છે કે ઉદ્ધવદાસે આખા મહાભારતની કે અશ્વમેધપર્વની રચના કરી હશે એનો આ આખ્યાન એકમાત્ર બચવા પામેલો ભાગ હશે. કૃતિ : ૧. (ભાલણસુત ઉદ્ધવકૃત) રામાયણ, સં. હરગોવિંદદાસ કાંટાવાળા, નાથાશંકર શાસ્ત્રી, ઈ.૧૮૯૩ (+સં.);  ૨. પ્રાચીન કાવ્ય મંજરી, સં. જેઠાલાલ ત્રિવેદી, ઈ.૧૯૬૫. સંદર્ભ : ૧ ભાલણ, ઉદ્ધવ અને ભીમ, રામલાલ ચુ. મોદી, ઈ.૧૯૪૧; ૨. કવિચરિત : ૧ - ૨;  ૩. સ્વાધ્યાય, જાન્યુ. ૧૯૭૭ - ‘ઉદ્ધવ રામાયણમાં યુદ્ધકાંડનું કર્તૃત્વ’, દેવદત્ત જોશી;  ૪. ગૂહાયાદી. [ર.સો.]

ઉદ્ધવદાસ-૨ [ઈ.૧૫૯૨માં હયાત] : ‘વિષ્ણુસહસ્રનામ’ના પદ્યાનુવાદ (ર.ઈ.૧૫૯૨)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧ - ૨;  ૨. ગૂહાયાદી. [ર.સો.]

‘ઉદ્યમકર્મ-સંવાદ’ : શામળની પ્રારંભકાળની આ દુહાબદ્ધ રચના(મુ.)માં ઉજ્જયિનીના રાજા ભદ્રસેનની રાજસભામાં ત્યાંના પંડિત શિવશર્મા અને કર્ણાટકથી ‘ઉદ્યમ વડું કે કર્મ’ એનો વાદ કરવા નીકળેલી સુંદરી કામકળા વચ્ચેનો સંવાદ નિરૂપાયો છે. શિવશર્મા કર્મને મોટું કહે છે અને કામકળા ઉદ્યમની સરસાઈ પુરસ્કારે છે. ૨-૨ દૃષ્ટાંતવાર્તાઓ અને તે ઉપરાંત સીધી દલીલોથી તેઓ પોતાના મંતવ્યનું સમર્થન કરે છે. અંતમાં રાજા નિર્ણય આપે છે : “કર્મ થકી ઉદ્યમ ફળે, ઉદ્યમથી કર્મ હોય; ઓછું અદકું એહને કહી ન શકે કોય.” એ નિર્ણયથી સંતુષ્ટ બેઉ વાદીઓ “થયાં કંથ ને કામિની પૂરણ પ્રીત પ્રતાપ” એ બેઉ ઇન્દ્રશાપે સ્વર્ગભ્રષ્ટ થઈ પૃથ્વી પર અવતરેલાં હોવાની વાત પ્રસ્તાવનામાં જોડી વાર્તાગર્ભ બનાવેલા સંવાદનેય વાર્તામાં મઢવામાં શામળે પોતાની ચતુરાઈ દેખાડી છે. મુખ્ય સંવાદ પહેલાં એમાં ગરમાવો આણવા યોજાઈ હોય તેવી બેઉ પાત્રોની પ્રશ્નોત્તરી વાર્તાઓમાં પેટ ભરીને સંસારજ્ઞાન પીરસવાના શામળના શોખના પૂર્વાભ્યાસ જેવી લાગે.[અ.રા.]

ઉદ્યોતવિમલ/‘મણિઉદ્યોત’ [ઈ.૧૮૩૧માં હયાત] : ‘મણિઉદ્યોત’ની નામછાપથી રચના કરતા પાર્શ્વચન્દ્રગચ્છના જૈન સાધુ. મણિવિમલના શિષ્ય. મહાવીરસ્વામી, જંબૂસ્વામી વગેરે વિશેની ૫થી ૮ કડીની ગહૂંલીઓ, ૧૦ કડીનું ‘પાર્શ્વનાથનું સ્તવન’, ૮ કડીનું ‘શત્રુંજય/સિદ્ધાચળજીનું સ્તવન’ તથા ૧૦ કડીનું ‘સુમતિનાથ-સ્તવન’ એ મુદ્રિત કૃતિઓ તથા ૨ ઢાળ અને ૧૫ કડીના ‘સિદ્ધાચલ-સ્તવન’ (ર. ઈ.૧૮૩૧)ના કર્તા. કૃતિ : ૧ ગહૂંલીસંગ્રહ, સં. શિવલાલ સંઘવી, ઈ.૧૯૧૬; ૨. ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧; ૩. જિસ્તસંગ્રહ; ૪. પ્રાસ્તરત્નસંગ્રહ:૨. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

ઉદ્યોતસાગર/‘જ્ઞાનઉદ્યોત’ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ‘જ્ઞાનઉદ્યોત’ની છાપથી રચના કરતા તપગચ્છના જૈન સાધુ. પુણ્યસાગરની પરંપરામાં જ્ઞાનસાગરના શિષ્ય. દેવચંદ્રને નામે છપાયેલી ‘અષ્ટપ્રકારી-પૂજા’ (ર. ઈ.૧૭૮૭,*મુ.), ‘એકવીસપ્રકારી-પૂજા’ (ર.ઈ.૧૭૮૭;*મુ.), ‘આરાધના બત્રીસ દ્વારનો રાસ’ ૧૭ કડીની ‘વીરચરિત્ર-વેલી’ અને ૫ કડીના ‘સિદ્ધાચલ-સ્તવન’(મુ.)ના કર્તા. તેમની પાસેથી હિન્દી ગદ્યમાં ‘બારવ્રતની ટીપ/સમ્યક્ત્વમૂલબારવ્રતવિવરણ’ (ર.ઈ.૧૭૮૦/સં. ૧૮૩૬, માગશર સુદ ૫, ગુરુવાર) તેમ જ કેટલાંક હિન્દી સ્તવનો(મુ.) મળે છે. કૃતિ : ૧. જૈકાપ્રકાશ:૧; ૨. જૈકાસંગ્રહ; ૩. જૈપ્રપુસ્તક : ૧; ૪.* શ્રીમદ્ દેવચંદ્ર : ૨, પ્ર. અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ, -; ૫. વિવિધપૂજાસંગ્રહ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૯૮. સંદર્ભ : જૈગૂકવિઓ:૨,૩(૧). [શ્ર.ત્રિ.]

ઉમર(બાવા) [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : મુસ્લિમ કવિ. પીર કાયમુદ્દીનના શિષ્ય અભરામબાવા(ઈ.૧૭૦૦ આસપાસ હયાત)ના શિષ્ય. લુહારી, સુથાર જેવા વિવિધ વ્યવસાયોનાં દૃષ્ટાંતો તથા ક્વચિત્ અવળવાણીની મદદથી અદ્વૈતવાદ, યોગાનુભવ અને પ્રેમલક્ષણાભક્તિના મર્મનું સચોટ નિરૂપણ કરતાં તેમનાં કેટલાંક ભજનો તથા ગરબા મુદ્રિત મળે છે. એમનાં કાવ્યોની ભાષામાં હિંદીની છાંટ છે. કૃતિ : ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯ (+સં.). [ર.ર.દ.]

ઉમિયો [ઈ.૧૭૨૨ના અરસામાં] : ઈ.૧૭૨૨માં નર્મદામાં આવેલા ભારે પૂરે અનેક ગામોમાં જે વિનાશ વેર્યો તેનું ૩ ઢાળ અને ૭૨ કડીમાં વીગતે વર્ણન કરતો ‘રેવાજીની રેલનો ગરબો’(મુ.) તથા અંબાજીના ૩ ગરબા(મુ.)ના કર્તા. કૃતિ : ૧ ગુજરાતી લોકસાહિત્યમાળા : ૫, સં. મંજુલાલ ૨. મજમુદાર વગેરે, ઈ.૧૯૬૬; ૨. શ્રીમદ્ ભગવતી કાવ્ય, સં. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. સંદર્ભ : આલિસ્ટઑઈ:૨. [ર.ર.દ.]

‘ઉષાહરણ’ : હરિવંશ અને ભાગવતની ઉષા(ઓખા)કથામાં ઘટિત ઘટાડાવધારા કરી વીરસિંહે રચેલી આ કૃતિ(મુ.) એના પદબંધને કારણે આ વિષયનાં ગુજરાતી ભાષાનાં ઉપલબ્ધ કાવ્યોમાં સર્વપ્રથમ હોવાનું અનુમાન થયું છે. ૧૦૦૦ પંક્તિનું આ કાવ્ય મુખ્યત્વે દુહા-ચોપાઈમાં રચાયેલું છે પરંતુ એમાં પ્રસંગોપાત્ત ભુજંગપ્રયાત, વાસ્તુ, ગાથા, પદ્ધડી અને સારસી વગેરે અન્ય છંદો, ઢાળવૈવિધ્ય દર્શાવતાં ગીતો તેમ જ ‘બોલી’ નામથી ઓળખાતા પ્રાસબદ્ધ ગદ્યનો પણ ઉપયોગ થયો છે. આ રીતે આ આખ્યાનનો કાવ્યબંધ પ્રબંધને મળતો છે. ગૌરીપૂજન વગેરે સામાજિક રિવાજોને નિરૂપતા આ કાવ્યમાં નગર, ગઢ, સેના, યુદ્ધ વગેરેનાં આકર્ષક વર્ણનો મળે છે, જે ‘કાન્હડદેપ્રબંધ’ની યાદ અપાવે છે, તેમ જ શૃંગાર અને વીરરસની જમાવટ પણ છે. પાર્વતી-દીપકનો સંવાદ, ઉષાનું વીરાંગના તરીકેનું વ્યક્તિત્વ, નાયક-નાયિકાની રસિક સમસ્યાઓ, અર્થાન્તરન્યાસી કહેવતો-કથનોનો પ્રયોગ - એ આ કાવ્યના કેટલાક આકર્ષક અંશો છે. કવિની સંસ્કૃતાઢ્ય પ્રૌઢભાષા પણ ધ્યાન ખેંચે છે. [ચ.શે.]

ઊગમશી [ ] : અવટંકે ભાટી. કચ્છના કેરાકોટ ગામના ચમાર ભક્ત ઊગમશીની માહિતી મળે છે તે જ આ કવિ છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. આ કવિનાં, રૂપકો અને દૃષ્ટાંતોથી રચેલાં બોધાત્મક ૩ પદો(મુ.) મળે છે. કૃતિ : નકાસંગ્રહ. સંદર્ભ : રામદેવ રામાયણ, કેશવલાલ ૨. સાયલાકર. [કૌ.બ્ર.]

ઊજમસિંહ [ ] : જ્ઞાનમાર્ગવિષયક કેટલાંક પદોના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [કૌ.બ્ર.]

ઊજલ/ઉજ્જવલ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી આરંભ] : તપગચ્છના જૈન શ્રાવક. હીરવિજયસૂરિની પરંપરામાં વિજયસેનસૂરિના શિષ્ય. ૪ કડીના ‘આદિજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૮૮; સ્વલિખિત પ્રત ઈ.૧૬૦૨) અને ૬૩૧ કડીના, નવકારની ૬ કથા નિરૂપતા ‘નવકાર-રાસ/રાજસિંહ-કથા’ (ર.ઈ.૧૫૯૬/સં. ૧૬૫૨, વૈશાખ-, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ]

‘ઊજળી અને મેહની લોકકથાના દુહા’ : જુઓ ‘મેહ અને ઊજળીની લોકકથાના દુહા.’

એદલ નવરોજજી [ઈ.૧૭૭૪માં હયાત] : પારસી મોબેદ. તેમણે મોબેદ ચાંદની સંસ્કૃત કૃતિ ‘ચાંદાપ્રકાશ’નો ગુજરાતીમાં અનુવાદ (ર.ઈ.૧૭૭૪) કર્યો છે. સંદર્ભ : પારસી સાહિત્યનો ઇતિાહસ, પીલાં ભીખાજી મકાટી, ઈ.૧૯૪૯.[કી.જો.]

ઋખજી [ ] : ૩૧ કડીના ‘ચતુવિંશતિજિન-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

ઋદ્ધિ : જુઓ રિદ્ધિ.

ઋદ્ધિ [ ] : જૈન સાધુ. રૂપહંસના શિષ્ય. પ્રકૃતિ અને વિરહભાવના પરંપરાગત પરંતુ પ્રાસાદિક નિરૂપણવાળી ૨૬ કડીની ‘નેમરાજિમતી-બારમાસ’ (લે.સં. ૧૯મી સદી અનુ.; મુ.), ૫ કડીની ‘તીર્થંકર-સ્તવન’(મુ.) તથા ‘સીમંધર-સ્તવન’ (મુ.)એ કૃતિના કર્તા. કૃતિ : ૧. જૈકાપ્રકાશ: ૧; ૨. જૈપ્રપુસ્તક:૧; ૩. પ્રામબાસંગ્રહ:૧. સંદર્ભ : મુપુગૂહસૂચી.. [કા.શા.]

ઋદ્ધિકુશલશિષ્ય [ ] : જૈન સાધુ. ૪ કડીના ‘નેમિજિન-સ્તવન(મુ.)ના કર્તા. કૃતિ : જૈપ્રપુસ્તક:૧. [કી.જો.]

ઋદ્ધિચંદ્ર : આ નામે ‘આદિનાથ-સ્તુતિ’ અને ૬ કડીની ‘વિજયદેવસૂરિ-સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.) એ કૃતિઓ નોંધાયેલી મળે છે. આ ઋદ્ધિચંદ્ર-૧ છે કે કેમ તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [કા.શા.]

ઋદ્ધિચંદ્ર-૧ [ઈ.૧૬૩૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. મહોપાધ્યાય કરમોચક ભાનુચંદ્રના શિષ્ય. ૭૩ કડીની ‘મેતારજ-સઝાય’ - (ર. ઈ.૧૬૩૯/સં. ૧૬૯૫, મહા સુદ ૧૩, બુધવાર)ના કર્તા. જુઓ રિદ્ધિચંદ્ર. સંદર્ભ : ૧. જૈન રાસમાળા, પ્ર. મન:સુખરામ કી. મહેતા, સં. ૧૯૬૫;  ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [કા.શા.]

ઋદ્ધિવિજય : આ નામે ‘ઉપશમ-સઝાય’ (લે.ઈ.૧૭૩૯), ૧૪/૧૫ કડીની ‘જંબૂકુમાર-સઝાય’ (લે.ઈ.૧૮મી સદી અનુ.), ‘નમસ્કાર-સઝાય’, ૨૧ કડીની ‘પાર્શ્વનાથ-સ્તવન’ (લે. ઈ.૧૮૪૧), ૭ કડીની ‘વિજયરત્નસૂરીશગુરુ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ૧૭ કડીની ‘હિતોપદેશ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.)એ કૃતિઓ નોંધાયેલી મળે છે. આ ઋદ્ધિવિજય કયા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [કા.શા.]

ઋદ્ધિવિજય(વાચક)-૧ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદસૂરિની પરંપરામાં વિજયરાજના શિષ્ય. ‘વરદત્તગુણમંજરી-રાસ’ (ર.ઈ.૧૬૪૭/સં. ૧૭૦૩, ફાગણ સુદ ૩, ગુરુવાર) તથા ‘રોહિણી-રાસ’ (ર.ઈ.૧૬૬૦)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨,૩(૨); ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [કા.શા.]

ઋદ્ધિવિજય(વાચક)-૨ ઋદ્ધિવિજય(વાચક)-૨ [ઈ.૧૬૯૮ હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિના શિષ્ય. ૧૦ ઢાળના ‘જિનપંચકલ્યાણ-સ્તવન’ - (ર.ઈ.૧૬૯૮)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૨,૩(૨). [કા.શા.]

ઋદ્ધિવિજય-૩ [ઈ.૧૮૪૮ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. દાનવિજયના શિષ્ય. ૩૭ કડી અને ૩ ઢાળમાં વિવિધ દેશીઓમાં રચાયેલી, તપ અને સંયમનો મહિમા દર્શાવતી બોધપ્રધાન કૃતિ ‘અઢાર નાતરાંની સઝાય’ (લે. ઈ.૧૮૪૮; મુ.)ના કર્તા. કૃતિ : સસંપમાહાત્મ્ય. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [કા.શા.]

ઋદ્ધિવિજય-૪ [ ] : જૈન સાધુ. વજ્રસિંહની પરંપરામાં મેરુવિજયના શિષ્ય. ૫ કડીની ‘ચેતનને શિખામણની સઝાય’(મુ.), ૧૩ કડીની ‘ધનગિરિમુનિ-સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.) તથા ૧૭ કડીની ‘વિષયરાગનિવારક-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. પ્રાસપસંગ્રહ; ૩. સજ્ઝાયમાળા(પં.) સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]

ઋદ્ધિહર્ષ : આ નામે ‘કર્મફલ-સઝાય/કર્મપચીસીની સઝાય’ (લે.ઈ.૧૮૪૨; મુ.), ૨૦/૨૧ કડીની ‘ગોડીપાર્શ્વનાથ-છંદ/સ્તવ’ (લે.સં. ૧૯મી સદી અનુ.), ૧૯ કડીની ‘નેમનાથ-બારમાસ’ (લે.સં. ૧૯મી સદી અનુ.), ‘નેમિકુમાર-ધમાલ’, ૩૨ કડીની ‘નેમિજીની લુઅર’, ૧૩ કડીની ‘નેમિરાજુલ-સ્તવ’, ૩૨ કડીની ‘નેમિરાજિમતી-સઝાય’ તથા ૭ કડીની ‘પ્રસન્નચંદ્રરાજાની સઝાય’(મુ.) મળે છે, તે કયા ઋદ્ધિહર્ષ છે તે નિશ્ચિત કરી શકાતું નથી. કૃતિ : ૧ અરત્નસાર; ૨. ચૈસ્તસંગ્રહ:૩; ૩. જિભપ્રકાશ. સંદર્ભ : ૧. જૈહાપ્રોસ્ટા; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [કા.શા.]

ઋદ્ધિહર્ષ - ૧ [ઈ.૧૬૬૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિના શિષ્ય. ૧૯/૨૦ કડીની ‘નેમિરાજિમતી-સ્તવન’ (ર.ઈ.૧૬૬૬), ૧૯/૨૦ કડીની ‘રહનેમિરાજિમતી-સઝાય’, ૩ કડીની ‘પાર્શ્વજિન-સ્તવન’, ૩ કડીની ‘વિજયપ્રભસૂરિ-દ્રૂપદ’(મુ.) તથા ૭ કડીની ‘સમેતશિખર-સ્તવન’ એ કૃતિઓના કર્તા. કૃતિ : ઐસમાલા:૧. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]

ઋદ્ધિહર્ષ-૨ [ ] : જૈન સાધુ. ઉદયહર્ષના શિષ્ય. ૧૨ કડીની ‘(શત્રુંજયમંડન)ઋષભદેવ-સ્તવન’ (લે. સં. ૨૦મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]

ઋષભ/ઋષભ(કવિ)/રિખભ : ઋષભના નામથી ૨૫ કડીના ‘ચોવીસ તીર્થંકરના ચંદ્રાવળા’ (ર.ઈ.૧૮૦૦/સં. ૧૮૫૬, પોષ વદ ૨, શનિવાર; મુ.) તથા ૨૧ કડીના ‘મહાવીરસ્વામીના ચંદ્રાવળા’ (ર.ઈ.૧૭૯૮/સં. ૧૮૫૪, વસંત ઋતુ સુદ ૧૩; મુ.) એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા ઋષભ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી; તેમ છતાં રચનાસમય જોતાં ઋષભસાગર-૩ના સંદર્ભમાં એનો વિચાર કરવાની શક્યતા ઊભી થાય છે. ઋષભ, કવિ ઋષભ, રિખભ આ નામોથી ૭૨ કડીની ‘ચૈત્યવંદન-ચોવીસી’ (મુ.), ૧૮ કડીની ‘રાજુલશણગાર-સ્તવન’, ૧૭ કડીની ‘સ્થૂલિભદ્રમુનિની સઝાય/સ્થૂલિભદ્રકોશા-સંવાદ’ (મુ.) તથા અન્ય ચૈત્યવંદનો, સ્તુતિઓ, સ્તવનો, સઝાયો વગેરે રચનાઓ મળે છે. તેના કર્તા કોણ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. વસ્તુત: ‘સ્થૂલિભદ્રમુનિની સઝાય’ જુદા જુદા સંદર્ભોમાં ઋષભદાસ, ઋષભવિજય, ઋષભસાગર ત્રણે નામે મુકાયેલી મળે છે. તેમ છતાં ઘણી કૃતિઓ ઋષભદાસ - ૧ની હોવાની શક્યતા વધારે છે. ‘ઋષભશતાવલીગ્રંથ’માંથી દુહા-ચોપાઈબદ્ધ ૩૪ સુભાષિતો ઋષભને નામે મુદ્રિત મળે છે, તે પણ ઋષભદાસ-૧નાં સુભાષિતોનો સંચય હોય એવો સંભવ છે. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. આકામહોદધિ:૫; ૩. કક્કાબત્રીસીના ચંદ્રાવલા તથા ચોવીસ તીર્થંકરાદિના ચંદ્રાવલાનો સંગ્રહ, પ્ર. જગદીશ્વર છાપખાનું, ઈ.૧૮૮૫; ૪. ચૈસ્તસંગ્રહ:૧; પ. જૈકાપ્રકાશ:૧; ૬. દેસ્તસંગ્રહ; ૭. લઘુ ચોવીશીવીશી સંગ્રહ, પ્ર. કુંવરજી આણંદજી, સં. ૧૯૯૫; ૮. શનીશ્વરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨; ૯. સસન્મિત્ર (ઝ.) [હ.યા.]

ઋષભદાસ/રિખભદાસ : આ નામથી ૧૫ કડીના ‘ઋષભદેવબારમાસા’ (મુ.), ૧૫ કડીના ‘રાજિમતીના બારમાસ’ અને અન્ય હિન્દી-ગુજરાતી મુદ્રિત-અમુદ્રિત પદ, લાવણી, સ્તવન, સઝાય મળે છે તે કયા ઋષભદાસનાં છે તે કહેવું મુશ્કેલ છે. હિન્દી કૃતિઓ કદાચ કોઈ અર્વાચીન કવિની પણ હોય. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. જૈકાપ્રકાશ:૧; ૩ . જૈકાસંગ્રહ; ૪. જૈપ્રપુસ્તક:૧; ૫. લોંપ્રપ્રકરણ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હૈજૈજ્ઞાસૂચિ:૧.[હ.યા.]

ઋષભદાસ-૧ [ ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) : રાસકવિ. જૈન શ્રાવક. ખંભાતના વીશા પોરવાડ (પ્રાગ્વંશીય) વણિક. અવટંકે સંઘવી, પિતા સાંગણ, સરૂપાદે. હીરાવિજયસૂરિની પરંપરાના વિજયસેન-વિજયાણંદના અનુયાયી. ‘ઋષભદેવ-રાસ’ (ર.ઈ.૧૬૦૬) અને ‘રોહણિયા-રાસ’ (ર.ઈ.૧૬૩૨)ના રચનાકાળને આધારે તેમનો કવનકાળ ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ ગણી શકાય અને જીવનકાળને થોડોક ૧૬મી સદીમાં પણ લઈ જઈ શકાય. કવિએ પોતાની કૃતિઓમાં આપેલી માહિતી અનુસાર કવિના દાદા (મહીરાજ) અને પિતાએ સંઘ કાઢ્યા હતા અને એ રીતે સંઘવી કહેવાયા હતા. સંઘ કાઢવાની કવિની ઇચ્છા પૂરી થઈ જણાતી નથી, પરંતુ તેમણે શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થોની યાત્રા કરી હતી અને તેઓ ધાર્મિક આચારવિચારોનું પાલન કરી એક સાચા શ્રાવકનું જીવન ગાળતા હતા. કવિની સ્થિતિ સુખી અને સંપન્ન જણાય છે. તેઓ સંસ્કૃત-પ્રાકૃત વગેરે ભાષાસાહિત્યના જ્ઞાતા અને શાસ્ત્રાભ્યાસી હતા તેમ જ હોશિયાર વિદ્યાર્થીઓને તેમણે ભણાવ્યા પણ હતા. ઈ.૧૬૨૯માં રચાયેલા ‘હીરવિજયસૂરિ-રાસ’માં કવિએ પોતે ૩૪ રાસ, ૫૮ સ્તવન અને તે ઉપરાંત ઘણાં ગીત, સ્તુતિ, નમસ્કાર રચ્યાં છે એમ કહ્યું છે. તે પછી રચાયેલા ૨ રાસ મળ્યા છે અને બીજી કૃતિઓ પણ હોવાનો સંભવ છે. પરંતુ આ બધું જ સાહિત્ય અત્યારે પ્રાપ્ય નથી. તેમની ૩૨ જેટલી રાસકૃતિઓ નોંધાયેલી છે જેમાંથી ૮ જેટલા રાસોની તો હસ્તપ્રતો પણ પ્રાપ્ય નથી અને માત્ર ઋષભ/રિખભ, ઋષભદાસ/રિખભદાસના નામથી મળતી કૃતિઓને આ જ ઋષભદાસની ગણવી કે કેમ તેનો કોયડો છે. તેમ છતાં આ કવિનું વિપુલ સાહિત્યસર્જન અવશ્ય નોંધપાત્ર બને છે. કવિ પોતાની ઘણી કૃતિઓના મંગલાચરણમાં સરસ્વતીને ભાવપૂર્વક વંદના કરે છે અને મોટા ભાગની કૃતિઓ ગુરુવારે પૂરી કરે છે તે તેમની વિદ્યાપ્રીતિ દર્શાવે છે. પોતાની કૃતિઓમાં કવિ પોતાના પૂર્વકવિઓનું પણ આદરપૂર્વક સ્મરણ કરે છે, તેમનો ઋણસ્વીકાર કરે છે અને પોતાની અલ્પતા દર્શાવે છે. ઋષભદાસની કૃતિઓમાં વિપુલ પ્રમાણમાં મળતાં સુભાષિતો પણ કવિએ પૂર્વપરંપરાનો મોકળાશથી લાભ લીધો છે એમ દર્શાવી આપે છે. કવિની કૃતિઓમાં કથાતત્ત્વ ઘણું વિપુલ છે. દૃષ્ટાંતકથા, ઉપકથા નિમિત્તે ઘણી કથા-સામગ્રી કવિ પોતાની કૃતિઓમાં વણી લે છે,પરંતુ કથારસ જમાવવાનું કૌશલ કવિ ખાસ બતાવી શકતા નથી. તેમનું લક્ષ કથા નિમિત્તે બોધ આપવા તરફ વિશેષ રહે છે. તેમનો બોધ સાંપ્રદાયિક આચાર-વિચારોને અનુલક્ષતો હોય એ સ્વાભાવિક છે પરંતુ તે ઉપરાંત સમગ્ર જીવનવ્યવહાર અંગેની ડહાપણભરેલી શિખામણ પણ તેમાં સારા પ્રમાણમાં ગૂંથાયેલ છે તે ધ્યાન ખેંચે તેવી બાબત છે. જેમ કે, “પહેલું સુખ તે જાતે નર્યા” એ કહેવત ઋષભદાસ જેટલી જૂની છે. કવિ ક્વચિત્ વિનોદરસનું નિરૂપણ કરવાની તક લે છે, જીભ અને દાંત વચ્ચેના જેવા સંવાદો ગૂંથવાની પદ્ધતિ અપનાવે છે, ઉપમાદિ અલંકારોનો વિનિયોગ કરે છે ને સ્થળો, વ્યક્તિઓ વગેરેનાં પ્રાસાદિક વર્ણનો આપે છે, તેમ જ કૃતિનાં રચનાસ્થળ, કાળ વગેરેને સમસ્યાથી નિર્દેશે છે - એ બધી રીતે કવિનું રસિક પાંડિત્ય પ્રગટ થતું જોઈ શકાય છે. ઋષભદાસની કૃતિઓમાં રાજસ્થાની પરંપરા મુજબ કારતક વદ અમાસને દિવાળી-દિન તરીકે ઓળખાવાયેલ છે અને વર્ષ પણ કારતક વદ અમાસ પછી બદલાતું હોય એવું સમજાય છે. ઋષભદાસની રાસાત્મક કૃતિઓમાંથી ૪ કૃતિઓ મુદ્રિત મળે છે. ૨ ખંડ અને આશરે ૪૫૦૦ કડીનો, મુખ્યત્વે દુહા, ચોપાઈ અને દેશીબંધમાં રચાયેલો ‘કુમારપાલ-રાસ’ ← (ર.ઈ.૧૬૧૪/સં. ૧૬૭૦, ભાદરવા સુદ ૨, ગુરુવાર) કુમારપાલ ઉપરાંત વનરાજ, સિદ્ધરાજ જયસિંહ, હેમચંદ્રાચાર્ય અને અજયપાલના જીવનવૃત્તાંતને વણી લઈ ઘણી ઐતિહાસિક સામગ્રી પૂરી પાડે છે તેમ જ ધર્મબોધક પ્રસંગનિરૂપણો, અલંકારાદિકની મદદથી થયેલાં વર્ણનો, તત્કાલીન સમાજજીવનની માહિતી અને સંખ્યાબંધ સુભાષિતોથી મહાકાવ્ય જેવો વિસ્તાર સાધે છે. કવિની લાક્ષણિક વર્ણનશક્તિ તથા બોધવૃત્તિને પ્રગટ કરતો ૮૪ ઢાળનો દુહા-દેશીબદ્ધ ‘ભરતબાહુબલિ-રાસ’ ← (ર. ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, પોષ સુદ ૧૦, ગુરુવાર) પણ ભરતેશ્વર અને બાહુબલિના પૂર્વભવોના વૃત્તાંતથી તેમ જ ઉપકથાઓના વિનિયોગથી વિસ્તાર સાધતી કૃતિ છે. લગભગ જીવનવ્યાપી કહેવાય એવા ધર્મબોધ અને વ્યવહારબોધને રજૂ કરતો દુહા, સોરઠા અને દેશી ઢાળોની આશરે ૨૦૦ કડીનો ‘હિતશિક્ષારાસ’ ← (ર. ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, મહા સુદ ૫, ગુરુવાર) કવિની સુભાષિતવાણી અને દૃષ્ટાંતકથાઓથી રસાત્મક બને છે. દુહા, ચોપાઈ અને દેશીબદ્ધ આશરે ૩૫૦૦ કડીનો ‘હીરવિજયસૂરિ-રાસ’ ← (ર.ઈ.૧૬૨૯/સં. ૧૬૮૫, આસો - ૧૦, ગુરુવાર) અકબારબાદશાહપ્રતિબોધક વિખ્યાત જૈનાચાર્ય હીરવિજયસૂરિના જીવનવૃત્તાંતને નિમિત્તે ઘણી ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વની માહિતી આપે છે અને અકબરચરિત્રનું આલેખન, કેટલાંક વર્ણનો, પ્રસંગનિરૂપણો તથા કાવ્યચાતુરીઓને કારણે રસપ્રદ બને છે. અન્ય રાસકૃતિઓ આ પ્રમાણે છે : ૧૧૮ ઢાળનો ‘ઋષભદેવનો રાસ’ (ર.ઈ.૧૬૦૬), શ્રાવકનાં બાર વ્રતોનું વર્ણન કરતો ૮૧ ઢાળનો ‘વ્રતવિચાર-રાસ’ (ર.ઈ.૧૬૧૦/સં. ૧૬૬૬, કારતક વદ ૩૦), ૪૨૪/૪૨૬ કડીનો ‘સુમિત્રરાજર્ષિ-રાસ’ (ર.ઈ.૧૬૧૨/સં. ૧૬૬૮, પોષ સુદ ૨, ગુરુવાર), ૭૨૮/૭૩૨ કડીનો ‘સ્થૂલિભદ્ર-રાસ’ (ર.ઈ.૧૬૧૨/સં. ૧૬૬૮, કારતક વદ ૩૦, શુક્રવાર); ૫૫૭ કડીનો ‘અજાકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૧૪/સં. ૧૬૭૦, ચૈત્ર સુદ ૨, ગુરુવાર), ૨૦ ઢાળ અને ૨૯૬ કડીનો ‘શત્રુંજયઉદ્ધાર-રાસ’ (ર.ઈ.૧૬૧૪/સં. ૧૬૭૦, ભાદરવા સુદ ૨, ગુરુવાર), ૫૦૨ કડીનો ‘જીવવિચાર-રાસ’ (ર. ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, આસો સુદ ૧૫), ૮૧૧ કડીનો ‘નવતત્ત્વ-રાસ’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, કારતક વદ ૩૦, રવિવાર), ૫૮૨ કડીનો ‘ક્ષેત્રપ્રકાશ-રાસ’ (ર.ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, માધવ માસ સુદ ૨, ગુરુવાર), ૮૭૯ કડીનો ‘સમકિતસાર-રાસ’ (ર.ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, જેઠ સુદ ૨, ગુરુવાર), ૭૧૨ કડીનો ‘ઉપદેશમાલા-રાસ’ (ર.ઈ.૧૬૨૪/સં. ૧૬૮૦, મહા સુદ ૧૦, ગુરુવાર), આશરે ૫૬૬ કડીનો ‘પૂજાવિધિ-રાસ’ (રઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, વૈશાખ સુદ ૫, ગુરુવાર), ૨૨૩ કડીનો ‘જીવંત-સ્વામીનો રાસ’ (ર.ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, વૈશાખ વદ ૧૧, ગુરુવાર), ૭ ખંડ અને ૧૮૩૯ કડીનો ‘શ્રેણિક-રાસ’ (ર.ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, આસો સુદ ૫, ગુરુવાર), ૨૮૪ કડીનો ‘કયવન્ના-રાસ’ (ર.ઈ.૧૬૨૭), ખરતરગચ્છ અને તપગચ્છના વિખવાદને ટાળવા વિજયદાનસૂરિની ૭ આજ્ઞાઓમાં ૫ ઉમેરી હીરવિજયસૂરિએ ૧૨ આજ્ઞાઓ જાહેર કરી હતી તેને વર્ણવતો ૨૯૪ કડીનો ‘હીરવિજયસૂરિના બાર બોલનો રાસ’ (ર. ઈ.૧૬૨૮/સં. ૧૬૮૪, શ્રાવણ વદ ૨, ગુરુવાર), ૨૯૫ કડીનો ‘મલ્લિનાથ-રાસ’ (ર.ઈ.૧૬૨૯/સં. ૧૬૮૫, પોષ સુદ ૧૩, રવિવાર), ૧૦૦૫ કડીનો ‘અભયકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૩૧/સં. ૧૬૮૭, કારતક વદ ૯, ગુરુવાર), ૨૪૫ કડીનો ‘રોહણિયામુનિ-રાસ’ (ર.ઈ.૧૬૩૨/સં. ૧૬૮૮, પોષ સુદ ૭, ગુરુવાર), ૪૪૫ કડીનો ‘વીરસેનનો રાસ’. આ ઉપરાંત ૭૯૧ કડીનો ‘સમયસ્વરૂપ-રાસ’, ૭૮૫ કડીનો દેવગુરુસ્વરૂપ-રાસ’, ૨૧૯૨ કડીનો ‘કુમારપાલનો નાનો રસ’, આશરે ૧૬૦૦ કડીનો ‘શ્રાદ્ધવિધિ-રાસ’, ૯૭ કડીનો ‘આર્દ્રકુમાર-રાસ’, ૩૨૮ કડીનો ‘પુણ્યપ્રશંસા-રાસ’ પણ પરંપરામાં કવિ ઋષભદાસને નામે નોંધાયેલ છે પરંતુ આ રાસકૃતિઓની હસ્તપ્રતો ઉપલબ્ધ થઈ નથી. ‘વીસસ્થાનકતપ-રાસ’ (ર. ઈ.૧૬૨૯) તથા ‘સિદ્ધશિક્ષા-રાસ’ નામક ૨ કૃતિ પણ આ કવિને નામે ઉલ્લેખાયેલી મળે છે, પરંતુ પ્રાપ્ત આધારોથી એનું સમર્થન થતું નથી. ‘સિદ્ધશિક્ષા’ તે કદાચ ‘હિતશિક્ષા’ હોય. અન્ય પ્રકારની લાંબી કૃતિઓમાં ‘નેમનાથનવરસ/નેમિનાથજીનું સ્તવન’ (ર.ઈ.૧૬૧૧./સં. ૧૬૬૭, પોષ સુદ ૨, ગુરુવાર; મુ.), ૫ ઢાળ અને ૭૦ કડીમાં નેમિનાથના જીવનના મુખ્ય પ્રસંગોને રસાળ રીતે વર્ણવે છે અને ૩૨ કડીનો ‘પાલનપુરનો છંદ’(મુ.) પાલનપુરના વણિકવંશોની તથા અન્ય ઇતિહાસપ્રસંગોની માહિતીને કારણે નોંધપાત્ર બને છે. ૧૨ ઢાળ અને ૭૬ કડીનું ‘બારઆરાસ્તવન/ગૌતમપ્રશ્નોત્તર-સ્તવન’ (ર.ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, ભાદરવા સુદ ૨; મુ.), ૫ ઢાળ અને ૫૮ કડીનું ‘આલોયણાવિચારગર્ભિત-આદિજન-સ્તવન’ (ર.ઈ.૧૬૧૦/સં. ૧૬૬૬, શ્રાવણ સુદ ૨; મુ.), ૬૯/૭૧ કડીનો ‘આદીશ્વર-વિવાહલો/ઋષભદેવગુણ-વેલી’, ૫૪ કડીનું ‘કુમતિદલનપાર્શ્વનાથ-સ્તવન’ તથા ૧૦૦ ગ્રંથાગ્રની ‘શીલ-સઝાય’ આ પ્રકારની અન્ય કૃતિઓ છે. કવિ ઋષભદાસની કેટલીક મુદ્રિત-અમુદ્રિત સ્તુતિઓ, સઝાયો વગેરે પ્રકારની કૃતિઓ પણ મળે છે. કૃતિ : ૧. આકામહોદધિ:૩, ૫, ૮ (+સં.); ૨. ચૈસ્તસંગ્રહ:૩; ૩. જિભપ્રકાશ; ૪. જિસ્તકાસંગ્રહ:૧; ૫. જૈકાપ્રકાશ:૧; ૬. જૈસસંગ્રહ(ન); ૭. સસન્મિત્ર (ઝ);  ૮. ફાત્રૈમાસિક, ઑક્ટો.-ડિસે. ૧૯૪૧ - ‘પાલનપુરનો જૈન સંક્ષિપ્ત ઇતિહાસ’, મુનિ કાન્તિસાગર. સંદર્ભ : ૧. કવિ ઋષભદાસ, વાડીલાલ જી. ચોક્સી, ઈ.૧૯૭૯;  ૨. ગુસાઇતિહાસ:૨;  ૩. જૈનયુગ, કારતક ૧૯૮૨ - ‘સુમિત્રરાજર્ષિરાસ’ (અંશત: મુદ્રિત); ૪. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જેસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, અગરચંદ નાહટા;  ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૬. જૈહાપ્રોસ્ટા; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]

ઋષભદાસ-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ૧૯ કડીની ‘ત્રેવીસપદવી-સઝાય’ (ર.ઈ.૧૭૧૬; મુ.) તથા સંપ્રદાયના વિખ્યાત શ્રાવક-શ્રાવિકાઓનું નામસ્મરણ કરતી ૧૫ કડીની સઝાય(ર.ઈ.૧૭૨૯)ના કર્તા. કૃતિ : જૈન સ્વાધ્યાય મંગળમાલા:૨, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૨); ૨. જૈહાપ્રોસ્ટા. [હ.યા.]

ઋષભવિજય : આ નામે ૧૧ કડીની ‘ઋતુવંતીઅસઝાયનિ-વારક-સઝાય’ (મુ.) મળે છે તે કયા ઋષભવિજય છે તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. કૃતિ : પ્રાસપસંગ્રહ. [હ.યા.]

ઋષભવિજય - ૧ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદની પરંપરામાં રામવિજયના શિષ્ય. ૩ ઢાળની ‘ખંધકમુનિ-સઝાય’ (ર.ઈ.૧૮૨૧/સં. ૧૮૭૭, પોષ - ૬; મુ.), ૪ ઉલ્લાસ અને ૫૬ ઢાળની ‘વચ્છરાજ-રાસ’ ← (ર.ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, શ્રાવણ સુદ ૬, ગુરુવાર; મુ.), ૧૭/૧૮ ઢાળની ‘નેમિનાથ પાણિપીડાધિકાર-સ્તવન/નેમિનાથ-વિવાહલો’ (ર.ઈ.૧૮૩૦/સં. ૧૮૮૬, અસાડ સુદ ૧૫), ‘મહાવીરસત્તાવીસભવ-સ્તવન’ (ર.ઈ.૧૮૪૦) તથા ૭ ઢાળની ‘રામસીતાનાં ઢાળિયાં’ (ર.ઈ.૧૮૪૭/સં. ૧૯૦૩, માગશર વદ ૨, બુધવાર)ના કર્તા. કૃતિ : ૧. વચ્છરાજનો રાસ; - ;  ૨. આકામહોદધિ: ૫; ૩. જૈસસંગ્રહ(ન.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]

ઋષભસાગર-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ચારિત્રસાગરની પરંપરામાં કલ્યાણસાગર-ઋષભસાગરસૂરિના શિષ્ય. વિજયપ્રભસૂરિના રાજ્યકાળ(ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)માં રચાયેલ ૧૧ ઢાળની ‘ગુણમંજરીવરદત્ત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૨ ? / સં. ૧૭૪૮ ? - “મિત્રભાવ જુગભાવ મદ:પ્પત્તિ:/મદરપતિસસિ”, કારતક સુદ ૫, સોમવાર) અને ‘ચોવીસી’ (મુ.)ના કર્તા. બંને કૃતિઓની ભાષામાં હિન્દીની અસર દેખાય છે. કૃતિ : અસ્તમંજુષા. સંદર્ભ : જૈગૂકવિઓ:૨, ૩(૨) [હ.યા.]

ઋષભસાગર-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ) : તપગચ્છના જૈન સાધુ. જશવંતસાગરની પરંપરામાં વિનોદસાગરના શિષ્ય. ૪ ઉલ્લાસ અને ૩૫ ઢાળના ‘વિદ્યાવિલાસ/વિનયચટ-ચોપાઇ/રાસ’ (ર.ઈ.૧૭૭૪/સં. ૧૮૩૦, ભાદરવા સુદ ૧૫, બુધવાર) તથા ૨૧ ઢાળના સુરતના પ્રેમચંદ શેઠે કાઢેલા સંઘની શત્રુંજય તીર્થયાત્રાને વર્ણવતા ‘પ્રેમચંદસંઘવર્ણન/શત્રુંજય/સિદ્ધાચલ-રાસ’ (ર.ઈ.૧૭૮૭/સં. ૧૮૪૩, જેઠ વદ ૩, સોમવાર; મુ.)ના કર્તા. કૃતિ : સૂર્યપુરરાસમાળા, પ્ર. મોતીચંદ મ. ચોકસી, સં. ૧૯૯૬. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી. [હ.યા.]

ઋષભસાગર-૩ [ ] : જૈન સાધુ. વિજયધર્મસૂરિના શિષ્ય. ૪ કડીના ‘સહસ્રકૂટજિન-સ્તુતિ’ના કર્તા. કવિ તપગચ્છના વિજયધર્મસૂરિ (રાજ્યકાળ ઈ.૧૭૫૩-ઈ.૧૭૮૫)ના શિષ્ય હોય તો એમને ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધમાં થયેલા ગણી શકાય. [હ.યા.]

‘ઋષિદત્તા-રાસ’ [ર. ઈ.૧૫૮૭/સં. ૧૬૪૩, માગશર સુદ ૧૪, રવિવાર] : વિનયમંડનશિષ્ય જયવંતસૂરિકૃત દુહા-દેશીબદ્ધ ૪૧ ઢાળ અને ૫૩૪ કડીની આ કૃતિમાં કર્મફળની અનિવાર્યતા દર્શાવવા યોજાયેલું ને મનોરમ પ્રણયકથા બની રહેતું ઋષિદત્તાનું વૃત્તાંત આલેખાયું છે. હેમરથરાજાનો પુત્ર કનકરથ કાબેરીની રાજકુંવરી ઋખિમણિને પરણવા જતાં રસ્તામાં તાપસજીવન ગાળતા હરિષેણરાજાની પુત્રી ઋષિદત્તા પર મોહિત થઈ એની સાથે લગ્ન કરે છે ને ત્યાંથી જ પાછો વળી જાય છે. આથી ગુસ્સે થયેલી ઋખિમણિ સુલસા યોગિણી દ્વારા ઋષિદત્તાને રાક્ષસી ઠેરવે છે. દેહાંતદંડની સજા પામેલી અને મૂર્છિત થતાં મૃત્યુ પામેલી માનીને છોડી દેવાયેલી ઋષિદત્તા પિતાના આશ્રમમાં મુનિવેશે એકાકી જીવન ગાળે છે. ફરી ઋખિમણિને પરણવા જતો કનકરથ રસ્તામાં આ યુવાન મુનિથી આકર્ષાઈ એને પોતાના મિત્ર તરીકે સાથે લે છે. લગ્ન પછી કનકરથ ઋખિમણિ પાસેથી ખરી હકીકત જાણવા મળતાં નિર્દોષ પત્નીનો વિયોગ સહન ન થતાં બળી મરવા તૈયાર થાય છે ત્યારે એને અટકાવી ઋષિદત્તા મુનિવેશ છોડી પોતાને રૂપે પ્રગટ થાય છે અને ઋખિમણિ પરનો રોષ પણ દૂર કરાવે છે. યશોભદ્રસૂરિ પાસેથી, પોતાનાં પૂર્વભવનાં કર્મોનો આ બધો પરિપાક હતો એ જાણીને ઋષિદત્તા અને કનકરથ એમની પાસે દીક્ષા લે છે. નાયિકાપ્રધાન આ રાસમાં વીર અને હાસ્ય સિવાયના સાતેય રસોનું યથોચિત નિરૂપણ છે પણ કરુણનું આલેખન વધારે લક્ષ ખેંચે છે. પતિનું વહાલ સંભારી અરણ્યમાં એકલી રવડતી ઋષિદત્તાના અને ઋષિદત્તાને સંભારી દુ:ખી જિંદગી જીવતા ને ખરી હકીકત જાણવા મળતાં બળી મરવા તૈયાર થયેલા કનરથના વિલાપોમાં કવિની કરુણરસનિરૂપણની ક્ષમતા દેખાઈ આવે છે. સ્થળો, ઉત્સવો, પાત્રો, પ્રસંગોનાં વીગતપૂર્ણને રસિક વર્ણનો પણ કવિની ક્ષમતાનાં સૂચક છે. સંસ્કૃત તત્સમ શબ્દો ને સમાસરચનાઓનો નોંધપાત્ર વિનિયોગ કરતી કવિની ભાષમાં મરાઠી, રાજસ્થાની, સૌરાષ્ટ્રી, ઉર્દૂ ભાષના સંસ્કારો પણ વરતાય છે, અને સુલસાએ મચાવેલા ઉત્પાતનું બીભત્સ અને અદ્ભુતરસભર્યું વર્ણન હિન્દીમાં કરીને કવિએ એ ભાષાપ્રયોગની સાભિપ્રાયતા પણ પ્રગટ કરી છે. કહેવતો અને રૂઢિપ્રયોગોના વિપુલ ને અર્થસભર ઉપયોગથી અભિવ્યક્તિ અસરકાર બની છે, તો વિશેષોક્તિ અને વ્યતિરેક જેવા અલંકારોની બહુલતાને કારણે કવિની અલંકારરચનાની વિદગ્ધતા પ્રગટ થાય છે. પંક્તિની અંતર્ગત પણ અંત્યાનુપ્રાસને લઈ જવાની રીતિ, ચારણી શૈલીની ઝડઝમક, ચારણી છંદો સમેત વિવિધ ગેયઢાળોનો ઉપયોગ અને દરેક ઢાળને આરંભે રાગનો નિર્દેશ એ આ કૃતિની રચનાશૈલીની કેટલીક વિશેષતાઓ છે.[ર.ર.દ.]

ઋષિવર્ધન(સૂરિ) [ઈ.૧૪૫૬માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. જયકીર્તિસૂરિના શિષ્ય. હેમચંદ્રાચાર્યકૃત ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત’ અને રામચંદ્રસૂરિકૃત ‘નલવિલાસ-નાટક’ પર આધારિત દુહા, ચોપાઈ અને દેશીબદ્ધ, ૩૨૧ કડીનો એમનો ‘નલરાયદવદંતીચરિત-રાસ ←/નલરાજ-ચુપાઈ/નલપંચભવ-રાસ’ (ર. ઈ.૧૪૫૬; મુ.) અન્ય ભવોની કથાને ટૂંકમાં વણી લે છે, અને નિરૂપણના લાઘવ તથા કાવ્યતત્ત્વની દૃષ્ટિએ ગુજરાતી નલકથામાં નોંધપાત્ર બને છે. તેમની પાસેથી ‘જિનેન્દ્રાતિશય-પંચાશિકા’ નામે સંસ્કૃત રચના પણ મળે છે. કૃતિ : ૧. *(ઋષિવર્ધનસૂરિકૃત) નલરાય-દવદંતીચરિત, સં. અર્નેસ્ટ બેન્ડર, ઈ.૧૯૫૧; ૨. એજન, સં. રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૧ (+સં.). સંદર્ભ : ૧. નળદમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦;  ૨. જૈગૂકવિઓ : ૧,૩(૧).[શ્ર.ત્રિ.]


‘ઓખાહરણ’ [સંભવત: ૨. ઈ.૧૬૬૭] : પ્રેમાનંદના સર્જનકાળના આરંભના આ આખ્યાન (મુ.)માં ઓખા-અનિરુદ્ધનાં લગ્ન તથા એને અનુષંગે શંકર અને શ્રીકૃષ્ણ વચ્ચે લડાયેલ યુદ્ધનું ભાગવત દશમસ્કંધ-આધારિત વૃત્તાંત, ૧૪ રાગબદ્ધ ૨૯ કડવાંમાં નિરૂપાયેલું છે. અન્ય કવિઓનાં ‘ઓખાહરણ’માં મળતા બાણાસુરનું વાંઝિયાપણું તેમ જ ઓખાના પૂર્વજન્મની કથા જેવી રસાળ કથા-ઘટકો ટાળી, અવાન્તર કથારસ જતો કરવાનું જોખમ ખેડીનેયે પ્રેમાનંદ અહીં વિષયવસ્તુની એકતા સાધે છે. એમ થતાં કૃતિને સીધી, લક્ષ્યગામી ગતિ સાંપડી છે. ઓખાના મનોભાવોનાં નિરૂપણો તેમ જ વિવિધ યુદ્ધપ્રસંગોનાં વર્ણનો, અલબત્ત, વિસ્તારપૂર્વક આલેખાયાં છે, પરંતુ વિષ્ણુદાસકૃત ‘ઓખાહરણ’ સામાજિક આચારવિચારનાં નિરૂપણોથી અસમતોલ બની જાય છે એવું અહીં થતું નથી. આ કૃતિમાં માનવચરિત્રને વિશિષ્ટ પરિમાણો ને આગવી ઝીણવટો પ્રાપ્ત થયાં નથી, તેથી એ બહુધા લાક્ષણિક ચિત્રો જેવાં કે સાધનભૂત રહ્યાં છે. કૃતિનું મુખ્ય પાત્ર ઓખા જાણે માત્ર પ્રેમઘેલી અને લગ્નોત્સુક મનોભાવો તથા તજ્જન્ય શૃંગારનું નિરૂપણ કવ્ચિત્ સરસ થયું છે. ઓખા-અનિરુદ્ધનું, યુદ્ધ પ્રસંગે પ્રગટતું શૌર્ય ચમત્કાર જેવું ભાસે છે. કૃતિના રસવિધાનમાં વીરરસ પ્રાધાન્ય ભોગવે છે, પરંતુ તેનું આલંબન પાત્રના વિકલ્પે યુદ્ધ-પ્રસંગો જ બને છે. વીરના આશ્રયે અદ્ભુત, ભયાનક અને બીભત્સ રસનું આલેખન પણ થયું છે. યુદ્ધવર્ણનોમાં પ્રેમાનંદનું કવિત્વ પ્રગટ થાય છે. યુદ્ધનાં ગતિસભર ચિત્રોને શબ્દની નાદશક્તિની સહાય મળી છે, તે ઉપરાંત ‘શોણિતસરિતા’ જેવાં રૂપકોથી તાદૃશીકરણ પણ સધાયું છે. પ્રેમાનંદની રચનાઓમાં સામાન્યત: જોવા મળતાં, કથાપ્રસંગ-સંબંધિત મૌલિક ઉમેરણો અહીં નહીંવત્ છે. સમગ્ર રચનામાં કેટલાંક રસસ્થાનો હોવા છતાં પ્રેમાનંદની કાવ્યકલાનું નિર્વહણ અહીં ઉત્તમ તેમ જ સાતત્યપૂર્ણ રીતે થયું નથી. પર કડવાં સુધી વિસ્તરેલું મળતું આ આખ્યાન ૨૯ કડવાંનું છે એવો સ્પષ્ટ ઉલ્લેખ કૃતિમાંથી મળે છે. પરંતુ તેના રચના-સમય વિશે અલગઅલગ પ્રતમાં અલગઅલગ નિર્દેશ મળે છે. કવિ નર્મદને મળેલ ૨૯ કડવાં ધરાવતી પ્રતમાં રચનાસમય સં. ૧૭૨૩, ચૈત્ર વદ ૯, ગુરુવાર (ઈ.૧૬૬૭) મળે છે. વર્ષ, માસ, પક્ષ, તિથિ, અને વારના ગણિત મુજબ એ દિવસ સાચો ઠરતો નથી પરંતુ અન્ય હસ્તપ્રતોમાં મળતા રચનાસમયના નિર્દેશો તો એથી પણ વધુ અશ્રદ્ધેય જણાય છે. [ર.ર.દ.]

ઓધવ : જુઓ ઉદ્ધવ.