ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ

From Ekatra Wiki
Revision as of 10:24, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search



ભક્તિ-૧/ભક્તિવિજય [ઈ.૧૬૧૫ પહેલાં] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં વિજયસેનસૂરિ (ઈ.૧૫૪૮-ઈ.૧૬૧૫)ના શિષ્ય. હીરવિજયસૂરિ અને અકબરના સંબંધોના નિરૂપણ દ્વારા હીરવિજયસૂરિની પ્રશંસા કરતી ૭/૧૭ કડીની ‘હીરવિજયસૂરિ-સઝાય/રાસ’(મુ.) નામની કૃતિના કર્તા. પ્રસ્તુત કૃતિમાં નિરૂપાયેલું અકબર દ્વારા હીરવિજયસૂરિને પત્ર લખીને દિલ્હી આવવાનું આમંત્રણ તથા ધર્મવાર્તાથી પ્રસન્ન થઈને બંદીઓ તથા પશુપંખીઓની મુક્તિ અને ‘અમારી’નાં ફરમાન કાઢવાનું વૃત્તાંત તપગચ્છ પટ્ટાવલીમાં ઈ.૧૫૮૩માં નોંધાયેલું છે. એ આધારે પ્રસ્તુત કૃતિની રચના ઈ.૧૫૮૩ પછી થઈ હોય એમ કહી શકાય. કૃતિ : ૧. જૈસસંગ્રહ(જૈ); ૨. જૈસસંગ્રહ(ન); ૩. સજઝાયમાળા (પં.); ૪. સઝાયમાલા(જા) : ૧-૨. સંદર્ભ : તપગચ્છપટ્ટાવલી, શ્રી ધર્મસાગરજી, ઈ.૧૯૪૦. [ર.ર.દ.]

ભક્તિ-૨ [                ] : જૈન સાધુ. પદ્મવિજ્યના શિષ્ય. જૈનધર્મના તપ-વ્રતના સંદર્ભમાં બીજતિથિનું માહાત્મ્ય નિરૂપતા ૧૫ કડીના ‘બીજનું સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈકાસંગ્રહ; ૪. સ્નાસ્તસંગ્રહ. [ર.ર.દ.]

ભક્તિ-૩ [                ] : જૈન સાધુ. જ્ઞાનવિમળના શિષ્ય. ૮ કડીની ‘કૌશલ્યાજીની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈસસંગ્રહ(જૈ). [ર.ર.દ.]

ભક્તિદાસ [                ] : ‘કૃષ્ણચરિત્ર’ અને ૫ કડીના ૧ પદ(મુ.)ના કર્તા. કૃતિ: પ્રાકાસુધા : ૨. સંદર્ભ : પ્રાકકૃતિઓ.[શ્ર.ત્રિ.]

‘ભક્તિપોષણ’ : ૧૦૧ ચંદ્રાવળાની દયારામની આ કૃતિ(મુ.) ભક્તિભાવના પોષણ માટે રચાયેલી છે. નવધા ભક્તિનો નિર્દેશ કરી, દશમી પ્રેમલક્ષણાભક્તિને ‘સાધનરાજ’ તરીકે નિરૂપી દયારામે શ્રી કૃષ્ણભક્તિનો એકાંતિક મહિમા કર્યો છે-જેમ અંક વિના શૂન્યની કિંમત નથી તેમ શ્રીકૃષ્ણભક્તિ વિનાનાં અન્ય સાધનોની કોઈ કિંમત નથી; અને દુસ્તર ત્રિગુણાત્મક માયાને તરી જવા માટે શરણાગતિ એ જ ઉત્તમ ઉપાય છે એમ દૃઢતાપૂર્વક ઉદ્બોધ્યું છે. કૃતિમાં દૃષ્ટાંતોની પ્રચુરતા અને લોકભોગ્યતા ધ્યાન ખેંચે એવી છે. જેમ કે, ઘંટી-ખીલડાનું દૃષ્ટાંત લઈ દયારામ સમજાવે છે કે ઘંટીમાં ઓરેલા અન્ન પૈકીનો જે કણ ખીલડાનો આશ્રય મેળવી લે છે તે ઘંટીના પડમાં પિસાતો નથી તેમ શ્રીહરિનો આશ્રય જે જીવ મેળવી લે છે તે માયાના ચક્કરમાં ફસાતો નથી ને સંસાર તરી જાય છે.[સુ.દ.]

ભક્તિલાભ (ઉપાધ્યાય) [ઈ.૧૫૦૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જયસાગરની પરંપરામાં રત્નચંદ્રના શિષ્ય. જ્યોતિષવિષયક ગ્રંથની ટીકા કરતી ‘લઘુજાતક-કારિકા-ટીકા’ (ર.ઈ.૧૫૦૫), ૧૮ કડીનું ‘જિનહંસસૂરિગુરુ-ગીત’ (મુ.), ૧૫ કડીનું ‘(વરકાણા) પાર્શ્વનાથ-સ્તોત્ર’, ૧૮ કડીનું ‘સીમંધર જિનસ્તવન/સીમંધર સ્વામી વિનંતી-છંદ’, ‘કલ્પાંતરવાચ્ય’, વ્યાકરણવિષયક ‘બાલશિક્ષા’, ૧૭ કડીનું ‘જ્ઞાનપંચમી-સ્તોત્ર’, ૧૦ કડીનું ‘શીલ/શીલોપરી-ગીત’, ‘ચંદનબાલા ભગવતી-ગીત’ અને ૧૮ કડીનું ‘પંચતીર્થિનું સ્તવન’ (મુ.) આ ગુજરાતી કૃતિઓ ઉપરાંત કવિએ ‘જીરાવાલા પાર્શ્વસ્તવન’ જેવી સંસ્કૃત કૃતિની પણ રચના કરી છે. કૃતિ : ૧. અરત્નસાર; ૨. ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૫૪-‘ભક્તિલાભોપાધ્યાય કા સમય ઔર ઉનકે ગ્રંથ’, અગરચંદ નાહટા;  ૩. જૈમગૂકરચનાએં : ૧; ૪. જૈહાપ્રોસ્ટા; ૫. મુપુગૂહસૂચી; ૬. રાહસૂચી : ૧; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]

ભક્તિવિજય : આ નામે ૭ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૮૧૩) મળે છે. તેના કર્તા કયા ભક્તિવિજય છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ડિકૅટલૉગબીજે.[શ્ર.ત્રિ.]

ભક્તિવિજય-૧ : જુઓ ભક્તિ-૧.

ભક્તિવિજય-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં કાંતિવિજ્ય (ઈ.૧૭૧૯માં હયાત)ના શિષ્ય. ૧૮ કડીના ‘જ્ઞાનપંચમીનું સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯.[ર.ર.દ.]

ભક્તિવિજય-૩ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. શુભવિજ્યની પરંપરામાં નયવિજયના શિષ્ય. ૨૯ કડીનો ‘સપ્તપુરુષ-છંદ’ (ર.ઈ.૧૭૪૭), ૨૯ કડીની ‘સાધુવંદના-સઝાય’ (ર.ઈ.૧૭૪૭/સં.૧૮૦૩, ભાદરવા વદ ૧૧, રવિવાર), ૩ ઢાળની ‘રોહિણીતપ-સઝાય’ (ર.ઈ.૧૭૬૮/સં.૧૮૨૪, કારતક વદ ૫), ૨ ઢાળ અને ૧૫ કડીનું ‘અષ્ટમી-સ્તવન’ (મુ.), ‘રોહિણી-સઝાય’ (ર.ઈ.૧૭૮૮), ૬ કડીનું ‘રોહિણીતપ-ચૈત્યવંદન/સ્તવન’(મુ.), ૮ કડીની ‘સંસારાનિત્યતા-સઝાય’ નામની રચનાઓ તથા રાજવલ્લભ પાઠકકૃત મૂળ સંસ્કૃતગ્રંથ ‘ચિત્રસેનપદ્માવતી-ચરિત્ર’ પરના ‘ચિત્રસેન પદ્માવતીચરિત્ર-સ્તબક’ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જિભપ્રકાશ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૫. મુપુગૂહસૂચી; ૬. લીંહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

ભક્તિવિજય-૪ [ઈ.૧૭૯૮માં હયાત] : જૈન સાધુ. નેમવિજય-ન્યાયવિજયના શિષ્ય. મૂળ હેમપ્રભસૂરિની ‘વિવેકમંજરી-પ્રકરણવૃત્તિ’ પરના સ્તબક (ર.ઈ.૧૭૯૮/સં.૧૮૫૪, કારતક સુદ ૨, શનિવાર)ના કર્તા. આ સ્તબક પૂરો કરવામાં ચતુરવિજય અને મોતીવિજય એ ગુરુબંધુઓનો પણ સહકાર હતો. આ સ્તબક ભૂલથી હેમપ્રભસૂરિને નામે નોંધાયેલો છે. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]

ભક્તિવિશાલ(મુનિ) [                ] : જૈન સાધુ. ૮ કડીના ‘પાર્શ્વજિન-સ્તવન’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

ભક્તિસાગર(વાચક) [                ] : જૈન સાધુ. ૬ કડીના ‘અરિહંત-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. જૈપ્રપુસ્તક : ૧. [ર.ર.દ.]

ભગવાન/ભગવાનદાસ : આ નામે પ્રેમલક્ષણાભક્તિ અને નિર્ગુણ ઉપાસનાનાં હિન્દીમિશ્ર ગુજરાતી પદો (કેટલાંક મુ.), કેટલાક હિન્દી છપ્પા (લે.ઈ.૧૭૯૪), કૃષ્ણ-ગોપીલીલાનાં પદ, માસ (લે.ઈ.૧૮૪૦), ‘શરણગીતા’ (લે.ઈ.૧૯૫૬) અને આદિ પુરાણમાંના ગોપાંગનામાહાત્મયના પ્રસંગને અર્જુનકૃષ્ણના સંવાદ રૂપે આલેખતી ‘ભજનલીલા’ (લે.ઈ.૧૬૪૩) તથા ૨૬ કડીનું ‘મહેતા નરસિંહના બાપનું શ્રાદ્ધ’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા ભગવાન/ભગવાનદાસ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. અભમાલા; ૨. નકાસંગ્રહ; ૩. પ્રાકાસુધા : ૨; ૪. ભસાસિંધુ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકકૃતિઓ;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. ગૂહયાદી; ૫. ફૉહનામાવલિ. [ર.સો.]

ભગવાનદાસ-૧ [જ.ઈ. ૧૬૨૫/સં. ૧૬૮૧ શ્રાવણ વદ ૯, મંગળવાર-અવ.ઈ.૧૬૯૦/સં. ૧૭૪૬, આસો વદ ૩૦] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. અવટંકે કાયસ્થ. સુરતના વતની. અપરનામ ભાઉ મૂળજી. આ કવિ સામાન્ય સ્થિતિમાંથી સુરતના નવાબના દીવાનપદે પહોંચ્યા હોવાનું તેમ જ એ અરબી, ફારસ, મરાઠી અને સંસ્કૃતની સારી જાણકારી ધરાવતા હોવાનું નોંધાયું છે. ભગવદ્ગીતા અને ભાગવતના એકાદશ સ્કંધના અનુવાદો, ‘ફૂલગીતા’ તથા ‘સુદામાચરિત્ર’ આ કવિની વચ્ચેવચ્ચે ગુજરાતી કડીઓવાળી, પ્રાય: હિન્દીમાં લખાયેલી કૃતિઓ છે. તેમણે વૈષ્ણવ સંપ્રદાયનાં ઉત્સવનાં પદો પણ લખ્યાં હોવાનું નોંધાયું છે. સંદર્ભ: ૧. કવિચરિત: ૧-૨; ૨. ગુસાઇતિહાસ: ૩. ગુસાપઅહેવાલ : ૫; ૪. ગુસામધ્ય; ૫. પુગુસાહિત્યકારો; ૬. પ્રાકકૃતિઓ;  ૭. ફૉહનામાવલિ. [ર.સો.]

ભગવાનદાસ-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : વૈષ્ણવ. આ કવિની વલ્લભવંશ અંગેની ચરિત્રાત્મક કૃતિ ‘ગોકુલની શોભા’માં ઈ.૧૬૦૭માં જન્મેલા ગોકુલાલંકારજીના બાલ્યનો ઉલ્લેખ છે એ પરથી કૃતિ એ સમયની આસપાસ રચાઈ હોવાનું કહી શકાય. ૩૬ કડીના આ ધોળ કાવ્યનો કેટલોક અંશ મુદ્રિત છે. કૃતિ : કવિચરિત : ૧-૨ (+સં.). સંદર્ભ : ગુસારસ્વતો. [ર.સો.]

ભગવાનદાસ-૩ : જુઓ ભવાનીદાસ-૧.

ભગવાનદાસ-૪ [                ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. પટીના વતની. ‘માળાપ્રકરણ’ના કર્તા. અન્ય ભગવાનદાસ સંવત ૧૬મી સદીમાં, ગુંસાઈજીના સમયમાં થયેલા નોંધાયા છે તે અને આ એક છે કે જુદા તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો;  ૨. અનુગ્રહ, ફેબ્રુ. ૧૯૫૭-‘માલાઉદ્ધારકાવ્ય’, સં. ચિમનલાલ મ. વૈદ્ય. [શ્ર.ત્રિ.]

ભગુદાસ [ઈ.૧૭૮૩માં હયાત] : જૈન. ‘ચોવીશી’ (ર.ઈ.૧૭૮૩)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [ગી.મુ.]

ભગો/ભલો [                ] : જ્ઞાતિએ બારોટ. ૧૫ કડીની ‘તાપીદાસનો રાસડો’ નામક કૃતિ ભલા બારોટ સાથે તેમણે રચી છે. વાડુવોલ ગામના ગલોભાઈ વડોદરા ફત્તેસંગ ગાયકવાડ પાસે ગામ લેવા ગયા ત્યારે તાપીદાસ નામના માણસે એમને જે હેરાનગતિ કરી હતી તે પ્રસંગનું એમાં આલેખન કરવામાં આવ્યું છે. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૧.[શ્ર.ત્રિ.]

ભજનાનંદ [                ] : કેટલાંક પદના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

ભટસિંહ/ભડસિંહ [                ] : આગમગચ્છના જૈન સાધુ. જયતિલકના શિષ્ય. ૧૧/૧૨ કડીના ‘નમસ્કાર-પ્રબંધ/નમસ્કારસ્તવ-પ્રબંધ’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. જૈહાપ્રોસ્ટા; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]

‘ભડલીવાક્ય’ : પ્રકૃતિમાં થતા ચોક્કસ ફેરફારો પરથી વાતાવરણ અને વિશેષ વરસાદની સ્થિતિ સંબંધે થતાં અનુભવસિદ્ધ અનુમાનો કે વરતારાને ‘ભડલીવાક્ય’ (અંશત:મુ.) તરીકે ઓળખવામાં આવે છે. ટાઢ, તડકો, વીજળી, મેઘધનુષ્ય, તારા, નક્ષત્ર, ગ્રહ વગેરેને આધારે વરસાદ અને વર્ષની સમગ્ર સ્થિતિ વિશે અપાયેલાં આ ભડલીવાક્યો ખેડૂતને ઘણા ઉપયોગી થતાં હોવાથી એમને ખેડૂતોનું ‘પુરાણ’ પણ કહેવામાં આવે છે. મુખ્યત્વે દુહા-ચોપાઈમાં રચાયેલાં આ ભડલીવાક્યોમાંથી કેટલાંક પાછળથી કહેવતરૂપ બની ગયાં છે. જેમ કે, ‘જો વરસે આર્દરા, તો બારે પાધરા’, ‘જો વરસે મઘા, તો ધાનના ઢગા’, ‘જો વરસે હાથિયો, તો મોતીએ પુરાય સાથિયો’ વગેરે. ગુજરાતીમાં આવાં ૯૩ જેટલાં ભડલીવાક્યો વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરની હસ્તપ્રતમાંથી ઉપલબ્ધ થાય છે. ભડલીવાક્યના કર્તા સ્ત્રી કે પુરુષ ? એમનું વતન કયું ? એ અંગે કોઈ નિશ્ચિત હકીકત પ્રાપ્ત થતી નથી. વિવિધ પ્રાંતોમાં પ્રચલિત જનશ્રુતિઓમાં કોઈ એમને સ્ત્રી અને કોઈ પુરુષ માને છે. ગુજરાતમાં પ્રચલિત જનશ્રુતિઓ પ્રમાણે મારવાડના પ્રસિદ્ધ જ્યોતિષી ઉદડ/હુદડનાં તેઓ પુત્રી હતાં. કૃતિ : ૧. ગુજરાતી લોકસાહિત્યમાળા : ૧; સં. ગુજરાત લોકસાહિત્યસમિતિ, ઈ.૧૯૫૭ (+સં.); ૨. ગુસાસ્વરૂપો (+સં.); ૩. લોકસાગરની લહર, જેઠાલાલ ત્રિવેદી, ઈ.૧૯૪૦ (+સં.). સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે; ૪. મુપુગૂહસૂચી; ૫. રાપુહસૂચી : ૫૧. [શ્ર.ત્રિ.]

ભત્તઉ [ઈ.૧૩મી સદી પૂર્વાર્ધ] : જૈન. ખરતરગચ્છના જિનપતિસૂરિ (જ.ઈ.૧૧૫૪-અવ. ઈ.૧૨૨૧)વિષયક ૨૦ કડીના, આંતરયમકનો ઉપયોગ કરતી સવૈયાની દેશીમાં રચાયેલા ‘શ્રીમજ્જિન-પતિસુરીણામ-ગીત’(મુ.) એ સ્તુતિગીતના કર્તા. કૃતિમાં થયેલો ઝૂલણાનો પ્રયોગ ઉલ્લેખનીય છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧;  ૪. જૈમગૂકરચનાએં : ૧. [ગી.મુ.]

ભદ્રબાહુ (?) [                ] : ૧૮ કડીના ‘અર્ધકંડસાર’ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.[શ્ર.ત્રિ.]

ભદ્રસેન(મુનિ) [ઈ.૧૭મી સદી] : જૈન. ગુજરાતી-હિન્દીમાં ૨૦૩/૨૦૫ કડીના ‘ચંદન-મલયાગિરિ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૧૯ આસપાસ/ઈ.૧૬૬૩; મુ.)ના કર્તા. ખરતરગચ્છના જિનરાજસૂરિએ ઈ.૧૬૧૯માં પ્રતિષ્ઠા કરેલા પ્રતિમાલેખમાં ભદ્રસેન વાચકનો ઉલ્લેખ આવે છે તે આ હોવાની સંભાવના દર્શાવવામાં આવી છે. કૃતિ : આચાર્ય આનંદશંકર ધ્રુવ સ્મારક ગ્રંથ (ગુજરાતી વિભાગ), સં. રસિકલાલ છો. પરીખ અને અન્ય, ઈ.૧૯૪૪-‘ચંદનમલયાગિરિ ચોપાઈ’, સં. સારાભાઈ મ. નવાબ. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ;  ૫. જૈગૂકવિઓ : ૧; ૬. મુપુગૂહસૂચી; ૭. ડિકૅટલૉગબીજે : ૧૯(૨); ૮. ડિકૅટલૉગભાવિ.[ગી.મુ.]

ભદ્રેશ્વર [                ] : ‘કહાવલી’ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.[શ્ર.ત્રિ.]

ભયખ [સં. ૧૭મી સદી] : સંભવત: તપગચ્છના જૈન. ૮૫ કડીની ‘પૂર્વદેશ ચત્યપરિપાટી’ (ર.સં. ૧૭મી સદી)ના કર્તા. અલવરના ભૈરુંશાહ એ સમયે તપગચ્છના ભક્ત થયા હતા તેથી આ કૃતિ તેમની હોવાની પણ સંભાવના છે. જુઓ ભૈરું શાહ. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૫૩-‘પૂર્વદેશ ચૈત્યપરિપાટી’, ભંવરલાલ નાહટા. [શ્ર.ત્રિ.]

‘ભરતબાહુબલિ-રાસ’ [ર.ઈ.૧૬૨૨/સં.૧૬૭૮, પોષ સુદ ૧૦, ગુરુવાર] : શ્રાવક કવિ ઋષભદાસની દુહા-દેશીબદ્ધ ૮૪ ઢાળની આ મુદ્રિત કૃતિમાં હેમચંદ્રાચાર્યના ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર’ને આધારે ભરતેશ્વર અને બાહુબલિના પૂર્વભવોના વૃત્તાંતને, ભરતપુત્ર મરીચિના જીવનપ્રસંગોને તથા કેટલીક ઉપકથાઓને ગૂંથી લઈને કવિએ આ કૃતિમાં જે કથાવિસ્તાર સાધ્યો છે તે ધ્યાન ખેંચે છે. મધ્યકાલીન કથાપરંપરાનો પૂરો લાભ ઉઠાવીને કવિએ રાસને વીગતસભર બનાવ્યો છે. જેમ કે, ભરત અને બાહુબલિ વચ્ચેના દ્વન્દ્વયુદ્ધના વર્ણનમાં દૃષ્ટિયુદ્ધ, વચનયુદ્ધ, મલ્લયુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ તેમ પાંચ પ્રકારના યુદ્ધની વીગતો કવિએ આપી છે. અયોધ્યાનગરી, કમળાપીઢ અશ્વ, ભરતને મળેલ સ્ત્રીરત્ન વગેરેનાં વર્ણનો પરંપરાગત છતાં આસ્વાદ્ય બન્યાં છે. ભરત રાજા દીક્ષા અંગિકાર કરે છે તે પ્રસંગે રાણીઓનો વિરહવિલાપ જ નહીં પણ રાજદરબારના હાથીઓ વગેરે પશુઓનો શોક પણ કવિએ વર્ણવ્યો છે. બાહુબલિ તથા ભરતને થતા કેવલજ્ઞાનના પ્રસંગે પણ કવિએ ભાવનિરૂપણની થોડી તક લીધી છે. અહીં પણ ઉપમાઓ, દૃષ્ટાંતો, કહેવતો વગેરે દ્વારા સુભાષિતો વેરવાની કવિની લાક્ષણિક શૈલી જોવા મળે છે અને ઋષભદાસની ઉપદેશક કવિ તરીકેની પ્રબળ છાપ અંકિત થયેલી રહે છે.[જ.કો.]

‘ભરતેશ્વરબાહુબલિ-ઘોર’ : વજ્રસેનસૂરિની ચોપાઈનાં ૨ ચરણ અને દુહાનું ૧ ચરણ મળી થયેલા ત્રિપદી અને સોરઠાના કાવ્યબંધવાળી ૪૮ કડીની આ રાસકૃતિ(મુ.) ગુજરાતી સાહિત્યની અત્યારે ઉપલબ્ધ કૃતિઓમાં સૌથી પ્રાચીન ગણાય છે. જો કે કૃતિમાં એનો રચનાસમય સ્પષ્ટ રીતે મળતો નથી, પરંતુ કૃતિમાં એક જગ્યાએ કવિ પોતાના ગુરુ દેવસૂરિને પ્રણામ કરે છે. દેવસૂરિનો આયુષ્યકાળ ઈ.સ. ૧૦૮૫થી ઈ.સ.૧૧૭૦ દરમ્યાનનો છે. ગુરુના આયુષ્યકાળ દરમ્યાન કવિએ કૃતિ રચી હોય તો ઈ.સ. ૧૧૭૦ સુધીમાં મોડામાં મોડી તે રચાઈ હશે એમ કહી શકાય. કૃતિની ભાષા ઈ.સ. ૧૧૮૫માં રચાયેલા ‘ભરતેશ્વર બાહુબલિ-રાસ’ની ભાષા કરતાં જૂની છે એ પણ કૃતિની પ્રાચીનતાને સમર્થિત કરે છે. ઋષભદેવના બે પુત્રો ભરત અને બાહુબલિ વચ્ચે થયેલા યુદ્ધનું આલેખન એનો મુખ્ય વિષય હોવાને લીધે કૃતિ વીરરસપ્રધાન છે. જો કે યુદ્ધપ્રસંગને સંક્ષેપમાં આલેખવાને લીધે કૃતિમાં વિશેષ ચમત્કૃતિનો અનુભવ થતો નથી. તો પણ ભરતનું સૈન્ય બાહુબલિના સૈન્ય તરફ આગળ ધસે છે તે વખતનું સૈન્ય વર્ણન કે ભરત અને બાહુબલિના સૈન્યની અથડામણનું જે ચિત્ર કવિ આલેખે છે તેમાં ચમત્કૃતિનો અનુભવ થાય છે.[ભા.વૈ.]

‘ભરતેશ્વરબાહુબલિ-રાસ’ [ર.ઈ.૧૧૮૫/સં.૧૨૪૧, ફાગણ-૫] : જૈન કવિ શાલિભદ્રસૂરિની દુહા, ચોપાઈ, રોળા, સોરઠા વગેરેની દેશીઓની બનેલી ૧૪ ઠવણી અને વચ્ચે વસ્તુ છંદ એ પ્રકારની કુલ ૨૦૩ કડીઓના બંધવાળી આ મુદ્રિત રાસકૃતિ ગુજરાતી સાહિત્યની કેટલીક પ્રાચીન રચનાઓમાંની એક છે. ઋષભદેવના બે પુત્ર ભરત અને બાહુબલિ વચ્ચેના યુદ્ધમાં બાહુબલિના વિજય અને અંતે બાહુબલિના દીક્ષાગ્રહણને આલેખતી આ કૃતિ મુખ્યતયા વીરરસપ્રધાન છે. બાહુબલિનું વીર ને ઉદાત્ત ચરિત્ર, ચક્રધર ભરતની વિજયયાત્રા, બાહુબલિના નગરનું વર્ણન, ભરતના દૂત અને બાહુબલિ વચ્ચેનો સંવાદ, યુદ્ધનાં વર્ણનોમાં થયેલો ડિંગળશૈલીનો ઉપયોગ, અલંકારયુક્ત જોમવાળી ભાષા કાવ્યના આકર્ષક અંશો છે. ‘પાટધર’, ‘ફાગુણ’, ‘સાંભલઉં’ વગેરે પ્રયોગો એના અપભ્રંશથી જૂની ગુજરાતી તરફ ગતિ કરતી ભાષાનો સંકેત કરે છે, જે એને ભાષાકીય દૃષ્ટિએ પણ મહત્ત્વની ઠેરવે છે. [ભા.વૈ.]

ભલઉ [ઈ.૧૫૧૭ સુધીમાં] : જૈન સોમસુંદરસૂરિના શિષ્ય. જિનદેવને નામે મુદ્રિત ૩૦ કડીના ‘સત્તાવીસ ભવનું મહાવીર-સ્તવન’ (લે.ઈ.૧૫૧૭/સં.૧૫૭૩, આસો-; મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૪૯-‘શ્રી સોમસુંદરસૂરિ સેવક જિનદેવકૃત સત્તાવીસ ભવનું શ્રી મહાવીરસ્વામી સ્તવન’, સં. શ્રી કંચનવિજયજી. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]

ભલો [                ] : જુઓ ભગો.

ભવાન/ભવાનદાસ : આ નામે ૫૨ કડીની ‘અઢાર નાતરાંની સઝાય’ એ જૈન કૃતિ અને રામભક્તિ, કૃષ્ણભક્તિ, વૈરાગ્યબોધ અને આત્મજ્ઞાનનાં પદો(મુ.) વગેરે જૈનેતર કૃતિઓ મળે છે.

‘બૃહત્ કાવ્યદોહન : ૫’માં ખંભાતના કાનકટા ધર્મના સાધુ ભવાન ભક્તને નામે દર્શાવાયેલાં ૭ મુદ્રિત પદો પૈકી ગોપીપ્રેમનાં ૪ અને આત્મજ્ઞાન વિષયક ૧ પદ ‘નાથ ભવાન’ છાપ બતાવે છે, જેમાંનું છેલ્લું અનુભવાનંદનું છે. આમ, આ બધી કૃતિઓનું કર્તૃત્વ પૂરેપૂરું સ્પષ્ટ થઈ શકતું નથી. કૃતિ : ૧. ઉદાધર્મ પંચરત્નમાલા, પ્ર. સ્વામી જગદીશચંદ્ર યદુનાથ, ઈ.૧૯૬૮ (ત્રીજી આ.); ૨. કાદોહન : ૧, ૨; ૩. બૃકાદોહન : ૫ (+સં.); ૪. પ્રાકાસુધા : ૨; ૫. નકાદોહન; ૬. ભજનસાગર : ૨; ૭. ભસાસિંધુ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.; ગી.મુ.]

ભવાન-૧ [ઈ.૧૫૭૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં સોમવિમલસૂરિના શિષ્ય. ૪૮૩ કડીના ‘વંક્ચૂલ-રાસ’ (ર.ઈ.૧૫૭૦/સં.૧૬૨૬,-સુદ ૧૦)નાં કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા;  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. ડિકૅટલૉગભાવિ; ૬. મુપુગૂહસૂચી.[ગી.મુ.]

ભવાન-૨ [ઈ.૧૬૮૦માં હયાત] : દશરથે ઋષિ તેડાવ્યા ત્યારથી માંડી રાવણવધ કરી રામ અયોધ્યા આવ્યા ત્યાં સુધીની કથા પરીક્ષિત અને શુકદેવના સંવાદ રૂપે ચાલતાં ૭ પદ અને ૮૩ કડીમાં રજૂ કરતી ‘રામકથા’ (ર.ઈ.૧૬૮૦)-એ કૃતિના કર્તા. ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ અને ‘કવિચરિત : ૩’ રામાયણનો ગરબો, આત્મજ્ઞાનનાં ૨ પદ (૧મુ.) અને ‘રાવણમંદોદરી-સંવાદ’વાળાં ૨ પદ(મુ.)ના કર્તા તરીકે આ ભવાનને ગણે છે. પરંતુ એમાંય આત્મજ્ઞાનનું ‘બૃહત્કાવ્યદોહન : ૫’માં ‘નાથ ભવાન’ને નામે મુદ્રિત અને વાસ્તવમાં અનુભવાનંદનું પદ આ રામભક્ત ભવાનનું ગણ્યું છે. કૃતિ : બૃહાદોહન : ૫. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી;  ૩. ગૂહાયાદી; ૪. ફાહનામાવલિ : ૨.[ર.સો.]

ભવાન(ભગત)-૩ [ઈ.૧૭૯૮ સુધીમાં] : ૧૫ કડીની ‘વાંસલડીની ગરબી’ (લે.ઈ.૧૭૯૮)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગબીજે.[શ્ર.ત્રિ.]

ભવાનીદાસ : આ નામે ‘પ્રભાતિયાં’ (લે.ઈ.૧૮૬૦) તથા પદ મળે છે. ભોવાનીદાસ નામછાપવાળી ‘જોગણી’ શીર્ષકથી માતાજીની સ્તુતિ મળે છે ત્યાં કર્તાનામ ‘ભવાનીદાસ’ હોવા વધુ સંભવ છે. આ બધી કૃતિઓના કર્તા કયા ભવાનીદાસ છે તે નિશ્ચિત થતું નથી. આમાંનાં કોઈક પદ ભવાનીદાસ-૩નાં હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. સત્સંદેશ શક્તિઅંક, -;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]

ભવાનીદાસ-૧/ભગવાનદાસ [ઈ.૧૭૬૭ સુધીમાં] : ધનદાસની ‘અર્જુન-ગીતા’ જેવી ‘ધ્યાન-ગીતા’ (લે.ઈ.૧૭૬૭/સં.૧૮૨૩ મહા સુદ ૧૩)ના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગુજરાત શાળાપત્ર, સપ્ટે. ૧૯૧૧-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ચોથો’, છગનલાલ વિ. રાવળ;  ૪. ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]

ભવાનીદાસ-૨/ભવાનીશંકર [ઈ.૧૮૪૭ સુધીમાં] : ૪૨ કડવાંના ‘નરકાસુરનું આખ્યાન’ (લે.ઈ.૧૮૪૭)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]

ભવાનીદાસ-૩ [                ] : જોધાશિષ્ય ભવાનીદાસના નામે નિર્ગુણ ઉપાસનાનાં, ક્યારેક હિંદીમિશ્ર ગુજરાતીમાં ને રૂપકાત્મક વાણીનો આશ્રય લેતાં ૨૦ જેટલાં પદો(મુ.) મળે છે. ‘હરિજન લોકકવિઓ અને તેમનાં પદ’ આ ભવાનીદાસનો જન્મ ઈ.૧૨૭૯/સં.૧૩૩૫, ચૈત્ર સુદ ૧૫ નોંધે છે તેમ જ તેમનું વતન ધોળકા, પિતાનું નામ નારાયણ અને માતાનું નામ લક્ષ્મી બતાવે છે, પરંતુ એ હકીકતો માટેનો કોઈ નક્કર આધાર આપ્યો નથી. સંપાદક પાસે એ માહિતી જનશ્રુતિ પરથી આવી હોવાનું જણાય છે. કર્તાનો સમય આટલો જૂનો બતાવવામાં આવ્યો છે, પણ એમની કૃતિઓને હસ્તપ્રતોનો ટેકો નથી. કૃતિ : ૧. અભમાલા; ૨. પરિચિત પદસંગ્રહ; પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. ભજનસાગર : ૨; ૪. સંતવાણી; ૫. સોસંવાણી; ૬. હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, સં. દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.). [શ્ર.ત્રિ.]

ભવાનીનાથ [સં. ૧૯મી સદી સુધીમાં] : રાજસ્થાની-ગુજરાતી મિશ્ર ભાષામાં ‘અંબિકાસ્તોત્ર(છંદ)’ (લે.સં.૧૯મી સદી)ના કર્તા. સંદર્ભ: ૧. રાપુહસૂચી: ૪૨; ૨. રાહસૂચી: ૧.[ર.સો.]

ભવાનીશંકર: આ નામે જ્ઞાનનાં અને ભક્તિનાં પદ (૫ કડીનું અન્યોક્તિવાળું પદ મુ.) મળે છે. તેના કર્તા કયા ભવાનીશંકર છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ: આજ્ઞાભજન: ૧. સંદર્ભ: ૧. ગુજૂહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્યો, ભાગ ત્રીજો’ છગનલાલ વિ. રાવળ;  ૪. ગૂહાયાદી.[શ્ર.ત્રિ.]

ભવાનીશંકર-૧ [ઈ. ૧૭૦૦ સુધીમાં]: અવટંકે ભટ્ટ. નર્મદા અને સમુદ્રના સંગમ ઉપરના રતનેશ્વર મહાદેવની સ્થાપના અને માહાત્મ્ય વર્ણવતા ‘રત્નેશ્વર-મહિમા’ (લે.ઈ.૧૭૦૦)ના કર્તા. સંદર્ભ: ૧. કવિચરિત: ૩; ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ : ૨.[શ્ર.ત્રિ.]

ભવાનીશંકર-૨ [ઈ.૧૭૬૭માં હયાત] : ઐતિહાસિક વીગતો રજૂ કરતા ૬૫ કડીના ‘ફત્તેસિંહ ગાયકવાડનો ગરબો’ (ર.ઈ.૧૭૬૭)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો;  ૩. ગૂહાયાદી; ૪. ફાહનામાવલિ : ૧.[શ્ર.ત્રિ.]

ભવાનીશંકર-૩ [ઈ.૧૭૯૬ સુધીમાં] : ‘બભ્રુવાહન-આખ્યાન’ (લે.ઈ.૧૭૯૬)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

ભવાનીશંકર-૪ : જુઓ ભવાનીદાસ-૨.

ભાઈચંદ [ઈ.૧૫૮૪માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ૧૫ કડીના ‘ચોવીસ તીર્થંકર-સ્તવન’ (ર.ઈ.૧૫૮૪; મુ.)ના કર્તા. કૃતિ : લોંપ્રપ્રકરણ (+સં.).[કી.જો.]

ભાઈયાસુત : જુઓ ભાઉ.

ભાઈશંકર [                ] : જ્ઞાતિએ બ્રાહ્મણ. લક્ષ્મી અને પાર્વતીના સંવાદ દ્વારા તેમની વચ્ચે થયેલી લડાઈને ચોપાઈ બંધમાં આલેખતી ‘લક્ષ્મી પાર્વતી-સંવાદ’(મુ.) કૃતિના કર્તા. લક્ષ્મી પાર્વતીને ત્યાં બેસવા જાય છે ત્યાં બંનેને પ્રાકૃત સ્ત્રીઓની જેમ ઝઘડતી બતાવાઈ છે. કૃતિમાં પાત્રોનું ગૌરવ સચવાયું નથી. કૃતિની ભાષામાં શિષ્ટતા પણ નથી. કૃતિ : બૃકાદોહન : ૭. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ; ૩. મસાપ્રકારો;  ૪. ડિકૅટલૉગબીજે. [કી.જો.]

ભાઉ/ભાઉભાઈ/ભાઈયાસુત [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર. સૂરતના ગોપીપરાના ઔદીચ્ય જ્ઞાતિના કશ્યપગોત્રી બ્રાહ્મણ. અવટંકે પાઠક. સુરજીના પુત્ર. અનંત ભટ્ટ અને નારાયણ ભટ્ટના શિષ્ય. આ કવિએ દુહા અને ચોપાઈ-બંધમાં લખેલા ૩૦ કડવાં અને ૧૭૬૫ કડીના ‘ઉદ્યોગ-પર્વ’ (ર.ઈ.૧૬૨૦) ઉપરાંત ઉદ્યોગપર્વ, અંતર્ગત પાંડવવિષ્ટિની કથા પર પણ ૩૦ કડવાંનું સ્વતંત્ર આખ્યાન ‘પાંડવવિષ્ટિ’ (ર.ઈ.૧૬૨૦/સં.૧૭૭૬, ચૈત્ર વદ ૧; મુ.) રચ્યું છે. એમના ‘અશ્વમેધ-પર્વ/આખ્યાન’ (ર.ઈ.૧૬૨૩/સં.૧૬૬૯, અધિક અસાડ સુદ ૩, રવિવાર)માં અશ્વમેઘપર્વનાં ૩ આખ્યાનોની કથા ૨૨ કડવાં અને ૮૪૦ કડીમાં આલેખાયેલી છે. ૩૫ કડવાં અને ૧૪૮૭ કડીના એમના ‘દ્રોણ-પર્વ’(મુ.)નાં છેલ્લાં ૪ કડવાં કર્ણપર્વનો સંક્ષિપ્ત સાર આપે છે. કવિએ ૯ મીઠાનું ‘વલ્લભ આખ્યાન’ તથા હરિવંશ-કથા’ (ર.ઈ.૧૬૨૯) પણ રચ્યાં છે. મૂળ કથાથી દૂર જઈને કૃતિમાં સ્વતંત્ર પ્રસંગો આલેખવામાં કવિની વિશેષતા જોઈ શકાય છે. કવિએ ભાઈયાસુતને નામે ‘ઉદ્યોગ-પર્વ’ અને ભાઉભાઈને નામે ‘વજ્રનાભનું આખ્યાન’ (ર.ઈ.૧૬૩૫) એ કૃતિઓ રચી છે. કૃતિ : ૧. મહાભારત (ગુજરાતી પદબંધ) : ૪. સં. કેશવરામ કા. શાસ્ત્રી; ઈ.૧૯૪૧;  ૨. પ્રાકાત્રૈમાસિક, અં : ૩, ઈ.૧૮૯૦. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. પાંગુહસ્તલેખો; ૬. પ્રાકકૃતિઓ; ૭. મગુઆખ્યાન;  ૮. આલિસ્ટઑઇ : ૨; ૯. કદહસૂચિ; ૧૦. ગૂહાયાદી; ૧૧. ડિકૅટલૉગબીજે; ૧૨. ડિકૅટલૉગભાવિ; ૧૩. ફૉહનામાવલિ.[ર.સો.]

ભાકર [                ] : અવટંકે શાહ. કચ્છ અબડાસામાં આવેલા નાડાપા ગામના વતની. રતનબાઈ નામની તેમની શિષ્યા હતી. ભાકરે ઘણી કાફીઓ (૧ મુ.)ની રચના કરી છે. કૃતિ : કચ્છના સંતો, લે. દુલેરાય કારાણી, ઈ.૧૯૭૬ (+સં.).[કી.જો.]

ભાકુરામ [                ] : ગુરુરામના શિષ્ય. ૪ કડીના ૧ પદ(મુ.)ના કર્તા. કૃતિ : અભમાલા (+સં.). [કી.જો.]

ભાખર [ઈ.૧૫૯૪ સુધીમાં] : જૈન. ૧૪ કડીની ‘વીસવિહરમાન જિન-સ્તવન’ (લે.ઈ.૧૫૯૪) કૃતિના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

ભાગચંદ-૧ : જુઓ રાજસુંદર - ૨.

ભાગચંદ-૨ [ઈ.૧૮૨૭ સુધીમાં] : જૈન. ‘કલ્યાણમંદિર’ તથા ‘ગૌતમ-રાસ’ (લે.ઈ.૧૮૨૭)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૦-‘બાલાપુર (ત્યાં સુરક્ષિત જૈન સાહિત્ય)’, મુનિશ્રી કાંતિસાગરજી.[શ્ર.ત્રિ.]

ભાગચંદ-૩ [                ] : અવટંકે મુનશી. વૈદક વિષયક ‘તીબ્બ મુલતાની’ કૃતિના કર્તા. સંદર્ભ : કૅટલૉગગુરા.[કી.જો.]

‘ભાગવત’ : સંપૂર્ણ ભાગવતને ગુજરાતીમાં ઉતારવાના સૌપ્રથમ પ્રયત્ન લેખે રત્નેશ્વરના આ અપૂર્ણ રૂપે ઉપલબ્ધ થતા અનુવાદગ્રંથનું વિશિષ્ટ મહત્ત્વ છે. અત્યારે ગ્રંથના ૬ સ્કંધ મળે છે, તેમાં પહેલો (ર.ઈ.૧૬૮૪/સં.૧૭૪૦, કારતક સુદ ૧૧, શનિવાર), બીજો (ર.ઈ.૧૬૯૩/સં.૧૭૪૯, કારતક સુદ ૧૧, સોમવાર) અને ૧૦મો (ર.ઈ.૧૬૮૩/સં.૧૭૩૯, ભાદરવા સુદ ૫, રવિવાર) મુદ્રિત છે. તથા ૧૧મો (ર.ઈ.૧૬૮૪) અને ૧૨મો (ર.ઈ.૧૬૯૪/સં.૧૭૫૦, શ્રાવણ સુદ ૧૦, સોમવાર) અમુદ્રિત છે. ‘કવિચરિત’ એમાં ત્રીજો સ્કંધ ઉમેરી કુલ ૬ સ્કંધ મળતા હોવાની માહિતી આપે છે. ચોપાઈ-દાવટી અને ચોપાઈ-જેકરીની દેશીઓના બનેલા ઢાળબંધમાં કવિએ શ્રીધરની ભાગવતટીકાને અનુસરી આ અનુવાદ કર્યો છે. દરેક અધ્યાયના પ્રારંભમાં આગળના અધ્યાયના સારરૂપ એકબે સંસ્કૃત અને ગુજરાતી શ્લોકો કવિએ મૂક્યા છે તેમાં રથોદ્ધતા, દ્રતવિલંબિત, વસંતતિલકા વગેરે અક્ષરમેળ વૃત્તો પ્રયોજ્યા છે. શ્રીધરની ટીકાના મર્મને બરોબર સમજી ભાગવતની સમાસબહુલ ભાષા તથા તેમાં થયેલી વેદાંતવિષયક સૂક્ષ્મ શાસ્ત્રીય ચર્ચાઓને ગુજરાતીમાં ઉતારવાનું ઠીકઠીક મુશ્કેલ કાર્ય કવિએ સારી રીતે પાર પાડ્યું છે. ટીકાકારની પદ્ધતિને અનુસરી શ્લોકમાં ઊઠતા પ્રશ્નો આપી તેનું નિરાકરણ શ્લોકના શબ્દોથી જ કરી કવિએ પોતનાં વિદ્વત્તા અને ભાષાપ્રભુત્વનો અચ્છો પરિચય આપ્યો છે.[શ્ર.ત્રિ.]

ભાગવિજ્ય/ભાગ્યવિજય [ઈ.૧૭૧૦માં હયાત] : તપગચ્છ જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં મણિવિજયના શિષ્ય. ૧૬૭ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈ/સ્તવન’ (ર.ઈ.૧૭૧૦; મુ.) અને ૧૪ કડીના ‘જંબૂસ્વામિ-સ્તવન’ (ર.ઈ.૧૭૧૦)ના કર્તા. ‘નવતત્ત્વ ચોપાઈ’માં શરૂઆતમાં ‘સદ્ગુરુ દાન(મ)’નો નિર્દેશ આવે છે તે પરથી આ કૃતિ દામમુનિના શિષ્ય વરસિંહની હોવાનું પણ કહેવાયું છે. કૃતિ : પ્રવિસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી. [ગી.મુ.]

ભાગ્યચંદ્ર [ઈ.૧૮૨૩માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. જયચંદના શિષ્ય. ‘કલ્પસૂત્ર’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૮૨૩)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨) - ‘જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’. [શ્ર.ત્રિ.]

ભાગ્યવર્ધન [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ઇન્દ્રવર્ધનના શિષ્ય. ૭ કડીના ‘નેમિરાજીમતી-સ્તવન’ (ર.ઈ.૧૭૮૯)ના કર્તા. ઉપરોક્ત કૃતિની પોથી તેમણે સ્વહસ્તાક્ષરમાં ઈ.૧૮૨૪માં પૂરી કરી હતી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ગી.મુ.]

ભાણ(કવિ)-૧ [ઈ.૧૬૦૪માં હયાત] : જૈન સાધુ. ‘ચંદરાજાસુત અમરરાજાની કથા’ (ર.ઈ.૧૬૦૪/સં.૧૬૬૦, જેઠ સુદ ૧૨)ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા.[કી.જો.]

ભાણ(સાહેબ)-૨ [જ.ઈ.૧૬૯૮/સં.૧૭૫૪, મહા સુદ ૧૧/૧૫, સોમવાર-અવ. ઈ.૧૭૫૫/સં.૧૮૧૧, ચૈત્ર સુદ/વદ ૩, ગુરુવાર/શુક્રવાર] : રામકબીર સંપ્રદાયના કવિ. ચરોતરના કનખિલોડના વતની. જ્ઞાતિએ લોહાણા. અટંકે ઠક્કર. પિતા કલ્યાણજી. માતા અંબાબાઈ.આંબા છઠ્ઠા ઉર્ફે ષષ્ટમદાસના શિષ્ય. સંપ્રદાયમાં કબીરનો અવતાર ગણાતા આ કવિએ પુત્ર ખીમદાસ સહિત ૪૦ શિષ્યોની ‘ભાણફોજ’ સાથે ગુજરાત-સૌરાષ્ટ્રમાં ફરી લોકબોલીમાં ઉપદેશ કરેલો એમ નોંધાયું છે. કમીજડામાં જીવત-સમાધિ. સદ્ગુરુ મહિમાને કેન્દ્રમાં રાખતાં એમનાં ગુજરાતી-હિંદી પદોમાં (૩૦-૩૫ મુ.) જ્ઞાનમાર્ગી કવિતાની પરંપરા મુજબની પારિભાષિક સંજ્ઞાઓ ગૂંથતું રૂપકાત્મક નિરૂપણ તથા કેટલાંક પદોમાં પૌરાણિક પાત્રોનાં ને તત્કાલીન લોકજીવનમાંથી લીધેલાં પ્રચલિત દૃષ્ટાંતોનો અધ્યાત્મબોધ માટે થયેલો વિનિયોગ ધ્યાન ખેંચે છે. આરતી અને ગરબી જેવા પ્રકારોનો પણ એમણે પદરચનામાં કરેલો ઉપયોગ તથા ક્યાંક સળંગપણે કરેલી ચરણાન્ત પ્રાસની યોજના નોંધપાત્ર છે. રવિદાસને નામે ચડેલી ૨૮ કડીની એક હિંદી કૃતિ ‘પંચકોશ-પ્રબંધ’(મુ.) પણ આ કવિની રચના છે. કૃતિ : ૧. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૨. યોગ વેદાન્ત ભજન ભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.) (+સં.); ૩. રવિ, ભાણ અને મોરારસાહેબની વાણી, સં. નાનાલાલ પ્રા. વ્યાસ, ઈ.૧૯૫૦; ૪. રવિભાણ સંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, ઈ.૧૯૩૩; ૫. સતવાણી; ૬. સંતસમાજ ભજનાવળી, પ્ર. કેશવલાલ મ. દૂધવાળા, ઈ.૧૯૩૧. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨; ૫. સોસંવાણી;  ૬. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ; ૭. ગુજૂકહકીકત ૮. પ્રાકકૃતિઓ.[ર.સો.]

ભાણ-૩/ભાણચંદ્ર/ભાનુચંદ્ર/ભાણજી [જ.ઈ.૧૭૪૭-અવ. ઈ.૧૭૮૧] : જૈન સાધુ. વાઘજીમુનિના શિષ્ય. ૬ કડીની ‘ચેતનને શિખામણની સઝાય’ (મુ.), ૬ કડીની ‘વૈરાગ્યની સઝાય’(મુ.), ૫ કડીની ‘પર્યુષણપર્વની સઝાય’, ‘ચતુવિંશતિજિન-સ્તવન’, ૫ કડીનું ‘અભિનંદન-સ્તવન’ તથા ૪ કડીની ‘વસંત-ધમાલ’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. જિનેન્દ્રગુણ રત્નમાલા : ૧, પ્ર. કોઠારી કેશવલાલ છ. સં. ૨૪૩૧; ૩. જૈરસંગ્રહ; ૪. સ્તવન સઝાયસંગ્રહ, સં. સાગરચંદ્ર મહારાજ, ઈ.૧૯૩૭. સંદર્ભ : ૧. જૈગૂસારત્નો : ૨ (+સં.);  ૨. મુપુગૂહસૂચી.[કા.શા.]

ભાણ-૪/ભાણવિજ્ય [                ] : તપગચ્છના જૈન સાધુ. ભાવવિજ્યના શિષ્ય. ૨૩ કડીનું અષ્ટાપદનનો મહિમા દર્શાવતું ‘અષ્ટાપદ-સ્તવન’ (લે.સં.૧૯મી સદી; મુ.) અને ૨૨ કડીનો ‘ગોડી પાર્શ્વનાથ-છંદ’ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈકાસંગ્રહ; ૪. જૈપ્રાસ્તસંગ્રહ; ૫. શનીશ્ચરની ચોપાઈ આદિક લઘુ ગ્રંથોના સંગ્રહનું પુસ્તક, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨ (ત્રીજી આ.). સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]

‘ભાણગીતા/રવિગીતા’ : ભાણદાસ ગુરુએ આપેલા જ્ઞાનના પ્રગટીકરણ લેખે ‘ભાણ-ગીતા’ એવા નામથી તેમ જ રવિદાસકૃત હોવાને કારણે ‘રવિગીતા’ એવા નામથી ઓળખાયેલી આ કૃતિ(મુ.) વિષયને અનુલક્ષીને ‘ભાણ-દેવગીતા બ્રહ્મપ્રકાશ’ એવું નામાભિધાન પણ ધરાવે છે. બહુધા એક ચોપાઈ, ઢાળ ને દુહો કે સાખી એવા રચનાબંધ ધરાવતાં ૨૧ કડવાંમાં રચાયેલી આ કૃતિમાં છેવટના કેટલાક છપ્પા હિન્દી ભાષામાં છે અને અન્યત્ર પણ હિંદીનો પ્રભાવ વરતાય છે. એમાં અલક્ષ્ય બ્રહ્મતત્ત્વની અગમ્યતાનું વર્ણન કરી, ઈશ્વરી/આદ્ય ભવાની દ્વારા બ્રહ્માંડની - જીવયોનિ, પંચભૂત, ચૌદલોક, ચારવેદ વગેરે બ્રહ્માંડાંતર્ગત પદાર્થોની પણ ઉત્પત્તિની લાક્ષણિક કથા કહેવામાં આવી છે. એ પછી માયામાં રહેવા છતાં એનાથી અલિપ્ત રહેતા અને દશ પવન, દ્વાદશ દ્વાર, નાડીભેદ એ બધાથી પર એવી સિદ્ધ સ્થિતિને પામેલા બ્રહ્માનુભવી સંતનું વર્ણન થયું છે અને એ અવસ્થાના ઉપાયરૂપ નામધૂનના માર્ગનું સદૃષ્ટાંત મહિમાગાન કરવામાં આવ્યું છે. વાણીનાં સ્વરૂપો અને ત્રિગુણ ભોગનું સ્પષ્ટીકરણ કરી, છેવટે, શબ્દાતીત અર્થરૂપ અને જ્ઞાનપ્રકાશરૂપ બ્રહ્મરસના અનુભવનું ચિત્ર આલેખ્યું છે. આ રીતે વેદાંતદર્શનમાં યોગમાર્ગ અને નામભક્તિનાં તત્ત્વો દાખલ કરતી સંપ્રદાયની વિશિષ્ટ સાધનાપ્રણાલીને નિરૂપતી આ કૃતિ મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિતાધારા તથા ગીતાકાવ્યની પરંપરાની એક નોંધપાત્ર કૃતિ બની રહે છે.[જ.કો.]

ભાણચંદ/ભાણચંદ્ર [                ] : જૈન સાધુ. ભાનુચંદ્રના શિષ્ય. ૨૨ કડીની હિંદીમિશ્ર ગુજરાતીમાં રચાયેલી ‘સંગ્રામસોનીની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસસંગ્રહ (જૈ); ૨. જૈસસંગ્રહ(ન); ૩. જૈસમાલા (શા) : ૩. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. દેસુરાસમાળા.[કા.શા.]

ભાણચંદ્ર-૧ : જઓ ભાણ-૩.

ભાણચંદ્ર-૨ : જુઓ ભાણચંદ.

ભાણજી-૧ : જુઓ ભાણ-૩.

ભાણજી-૨ : જુઓ સામલિયાસુત.

ભાણદાસ : [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : જ્ઞાનમાર્ગી કવિ. વૈષ્ણવ. પિતાનું નામ ભીમ. કૃષ્ણપુરીના શિષ્ય. આ કવિની યશોદા કૃતિ ‘હસ્તામલક’ (ર.ઈ.૧૬૫૧/સં.૧૭૦૭, જેઠ સુદ ૯, ગુરુવાર/શુક્રવાર; મુ.) મૂળ સંસ્કૃતગ્રંથને આધારે હસ્તામલક અને શંકરાચાર્ય વચ્ચેના સંવાદ દ્વારા કૈવલાદ્વૈતના સિદ્ધાંતોને સુગમ રીતે નિરૂપતી તથા જ્ઞાનચર્ચામાં કવિત્વની ચમક દર્શાવતી ૧૬ કડવાંની આખ્યાનકૃતિ છે. એવી જ બીજી જ્ઞાનમૂલક પર કડીની કૃતિ ‘અજગર-અવધૂત-સંવાદ’માં કવિએ આત્મજ્ઞાનની મહત્તા બતાવી છે. ભાણદાસનું ખરું કવિત્વ આદ્યશક્તિનો મહિમા કરતી એમની તત્ત્વલક્ષી ગરબીઓમાં પ્રગટ્યું છે. ગગનમંડળને ગાગરડીના રૂપકથી વર્ણવતી આ કવિની જાણીતી ગરબીમાં સૃષ્ટિનાં ભવ્ય તત્ત્વોને લલિત-રમણીય રૂપ આપતી જે કલ્પનાશક્તિ છે તે અન્ય ગરબીઓમાં પણ જણાય છે. આવી વિશેષતાથી અને સુગેયતાથી આ ગરબીઓ લોકપ્રિય પણ નીવડેલી છે. ગરબીઓમાં તત્ત્વજ્ઞાનના વિનિયોગની બાબતમાં તેમ જ આવાં ગેય પદો માટે ગરબી-ગરબો સંજ્ઞા યોજવામાં પણ ભાણદાસ પહેલા કવિ હોવાનું કહેવાયું છે. હસ્તપ્રતોમાં નોંધાયેલી ૭૧ ગરબીઓમાંથી કેટલીક મુદ્રિત છે. આ ઉપરાંત ભગાવતના છઠ્ઠા સ્કંધની કથા અનુસાર પ્રહ્લાદચરિત આપતું પણ જ્ઞાનચર્ચા તરફ વધારે ઝૂકતું, કાવ્યબંધમાં દુહા ને ચોપાઈ છંદને પ્રયોજતું ૨૧ કડવાંનું ‘પ્રહ્લાદાખ્યાન’ (ર.ઈ.૧૬૫૦/સં.૧૭૦૬, માગસર સુદ ૧૦, સોમવાર) એમની અન્ય કૃતિ છે. બારમાસી, નૃસિંહજી હમચી, હનુમાનજીની હમચી, જ્ઞાનવૈરાગ્ય અને ભક્તિનાં પદો પણ એમને નામે મળે છે. કૃતિ : *૧. પ્રહ્લાદાખ્યાન, સં. ગટુલાલ ધ. પંચનદી-; ૨. નકાદોહન; ૩. પ્રાકાસુધા : ૨; ૪. બૃકાદોહન : ૪. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુમાસ્તંભો; ૫. પાંગુહસ્તલેખો;  ૬. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬-‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્યો’, છગનલાલ રાવળ;  ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ; ૧૦. ફાહનામાવલિ : ૨.[ર.સો.]

ભાણવિજય : આ નામે ૧૩ કડીની ‘નેમબારમાસા’, ૭ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન (ચિંતામણિ)’ અને ‘પાર્શ્વનાથ-સ્તવનત્રિક’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા ભાણવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]

ભાણવિજ્ય-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. મેઘવિજ્યની પરંપરામાં લબ્ધિવિજયના શિષ્ય. ૭૨ કડીનું ‘મૌન એકાદશી-સ્તવન’ (ર.ઈ.૧૬૮૧/સં.૧૭૩૭, વૈશાખ સુદ ૩), ૭૫ કડીની ‘શાશ્વતાશાશ્વતજિન-તીર્થમાળા’ (ર.ઈ.૧૬૫૫; મુ.) ૪૪ કડીની ‘વિજ્યાણંદસૂરિનિર્વાણ-સઝાય’ (ર.ઈ.૧૬૫૫/સં. ૧૭૧૧, ભાદરવા વદ ૧૩, મંગળવાર; મુ.) તથા ૭૫૦ ગ્રંથાગ્રની ‘શોભનસ્તુતિ-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૫૫ લગભગ) એ કૃતિઓના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]

ભાણવિજ્ય-૨ [ઈ.૧૭૭૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં પ્રેમવિજ્યના શિષ્ય. ‘ચોવીશી’ (મુ.), ૫૭૯૭ કડીની, ૪ ખંડમાં વિભાજિત, ૪૩ ઢાળની વિક્રમરાજાનું પ્રસિદ્ધ કથાનક રજૂ કરતી પદ્યવાર્તા ‘વિક્રમાદિત્ય પંચદંડરાસ/લીલાવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૭૪/સં.૧૮૩૦, જેઠ સુદ ૧૦) તથા ૫ કડીનું ‘વીરભક્તિ-સ્તવન’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. ચોસંગ્રહ; ૩. જિસ્તમાલા; ૪. જૈકાસાસંગ્રહ;  ૫. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરૅલ્ડ, ઑક્ટો.-નવે. ૧૯૧૪-‘સ્ત્રીવાચન વિભાગ’, સં. નિર્મળાબહેન. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. પંચદંડની વાર્તા (અજ્ઞાત ગુજરાતી ગદ્યકાર વિરચિત), સં. ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૭૪;  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]

ભાણવિજ્ય-૩ : જુઓ નયવિજ્ય-૫.

ભાણવિજ્ય-૪ : જુઓ ભાણ-૪.

ભાદુદાસ [                ] : રામદાસના શિષ્ય. હિંદી તથા ગુજરાતી પદ (૧૦ મુ.)ના કર્તા. કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.)(+સં.).[કા.શા.]

ભાનુકીર્તિ [ઈ.૧૬૨૨માં હયાત] : દિગંબર જૈન સાધુ હોવાની સંભાવના છે. ૨૫ કડીની ‘આદિત્યવાર-કથા’ (ર.ઈ.૧૬૨૨)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કા.શા.]

ભાનુચંદ(યતિ) [ઈ.૧૫૨૨માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ૨૫ કડીની ઐતિહાસિક કૃતિ ‘દયાધર્મ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૨૨/સં.૧૫૭૮, મહા સુદ ૭; મુ.)ના કર્તા. લોંકાગચ્છના ભાણચંદને નામે ૩૩ કડીની ‘નેમરાજુલ-ગીત’ નામની રચના પણ નોંધાયેલી છે, જે આ જ કવિની હોવાની સંભાવના છે. કૃતિ : *શ્રીમાન લોંકાશાહ,-. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [કા.શા.]

ભાનુચંદ્ર : આ નામે ‘આધ્યાત્મિક પદસંગ્રહ’ અને ‘પાર્શ્વનાથ વસંત’ મળે છે તેમના કર્તા કયા ભાનુચંદ્ર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]

ભાનુચંદ્ર-૧ : જુઓ ભાણ-૩.

ભાનુચંદ્ર(ઉપાધ્યાય)-૨ [                ] : તપગચ્છના જૈન સાધુ. ૨૩ કડીની ‘હીરવિજ્યઆદિ વિષયક-સઝાય/સવૈયા’ (લે.સં. ૧૮મી સદી; મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૧-‘જગદ્ગુરુ શ્રી હીરવિજ્યસૂરિશ્વરજી સંબંધી ત્રણ સઝાયો’. સં. મુનિશ્રી ન્યાયવિજ્યજી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]

ભાનુદાસ [     ] : ડાકોરના રણછોડજીની ભક્તિનું સ્વરૂપે રચાયેલું ૧ પદ (મુ.) એમને નામે મળે છે. કૃતિ : પ્રાકાસુધા : ૨ [ર.સો.]

ભાનુમંદિરશિષ્ય [ઈ.૧૫૫૬માં હયાત] : વડતપગચ્છના ધનરત્નસૂરિની પરંપરાના જૈન સાધુ. દુહા અને ચોપાઈબંધમાં રચાયેલી ૩૭૫ કડીની ‘દેવકુમાર-ચરિત્ર’ (ર.ઈ.૧૫૫૬/સં.૧૬૧૨, વૈશાખ સુદ ૩, રવિવાર)ના કર્તા. આ કૃતિ ભાનુકુમારશિષ્યને નામે પણ નોંધાયેલી મળે છે જે ખરેખર છાપભૂલ છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]

ભાનુમેરુ(ગણિ) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ કે ઈ.૧૭મી સદી પ્રારંભ સુધીમાં] : વડતપગચ્છના જૈન સાધુ. જ્ઞાનસાગરની પરંપરામાં ધનરત્નસૂરિના શિષ્ય. ધનરત્નસૂરિની ગ્રંથપ્રશસ્તિઓ સં. ૧૫૬૭ તથા સં. ૧૬૦૧ની મળે છે. આ પ્રશસ્તિઓમાં ભાનુમેરુને ‘ગણિ’ તરીકે પણ ઓળખાવ્યા છે. ધનરત્નસૂરિની ગ્રંથપ્રશસ્તિઓના સમય પરથી કવિ ભાનુમેરુગણિના સમય વિશે અનુમાન થઈ શકે કે તેઓ ઈ.૧૬મી સદીના ઉત્તરાર્ધ તથા ઈ.૧૭મી સદીના પ્રારંભ સુધીમાં થયા હશે. ૧૭ કડીની ‘ચંદનબાલા-સઝાય’(મુ.) અને ૩૩/૩૪ કડીની તથા ૧૩૨ દલના પદ્યબંધમાં ગોઠવાયેલી, દ્રુતવિલંબિત છંદમાં રચાયેલી, ત્રેવીસમા તીર્થકર પાર્શ્વનાથની સ્તુતિ કરતી ‘સ્તંભનપાર્શ્વનાથ સ્તુતિ/એકસોબત્રીસ દલકમલબદ્ધ સ્તંભન-પાર્શ્વનાથજિન-સ્તવન’ (લે.સં.૧૮મી સદી; મુ.) એ સળંગ વૃત્તબદ્ધ રચનાના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. માર્ચ ૧૯૪૭-‘શ્રી ભાનુમેરુકૃત ‘ચંદનબાલા સઝાય’, સં. શ્રીમતી શોર્લોટે ક્રાઉઝે; ૨. જૈન સત્યપ્રકાશ નવે. ૧૯૪૮-‘શ્રી ભાનુમેરુકૃત ચંદનબાલા ગીત’ સં. મુનિમહારાજ રમણિકવિજયજી; ૩. ફાત્રૈમાસિક, જાન્યુ. માર્ચ ૧૯૪૬-‘ભાનુમેરુકૃત સ્તંભન પાર્શ્વનાથ સ્તુતિ ૧૩૨ દલ પદ્યબંધ સ્તોત્ર’ સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૪૧; ૨. પાંગુહસ્તલેખો;  ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]

ભાનુમેરુ(ગણિ)શિષ્ય [ઈ.૧૭૦૯ સુધીમાં] : જૈન સાધુ. ૪૮ કડીના ‘શાશ્વતાશાશ્વતજિનબિંબ-સ્તવન, (લે.ઈ.૧૭૦૯)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

ભાનુવિજ્ય [ઈ.૧૭૪૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. લાભવિજયની પરંપરામાં મેઘવિજયના શિષ્ય. ૧૯૦૦૦ કડીના ‘પાર્શ્વનાથ-ચરિત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૪૪/સં. ૧૮૦૦, પોષ વદ ૮, સોમવાર) તથા ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ (ગોડી)’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી.[કા.શા.]

ભાનુવિમલ [                ] : જૈન સાધુ. વિબુધવિમલના શિષ્ય. ૭ કડીની ‘ચેલાને શીખની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. પ્રાસ્તરત્નસંગ્રહ : ૧; ૨. મોસસંગ્રહ.[કા.શા.]

ભામ(સાહ)/વિદુર [ઈ. ૧૫૯૦માં હયાત]: જૈન. પિતાનું નામ ભારમલ્લ. દેપાળના શિષ્ય. એમની ૫૬ કડીની ‘ભામસાહ-બાવની’ (ર.ઈ.૧૫૯૦/સં. ૧૬૪૬, આસો સુદ ૧૦; મુ.)માં ઉદ્યમ, નારીમોહ, ક્રોધ,કંજૂસાઈ, ઋણત્યાગ, ઈશ્વરશ્રદ્ધા, યશ વગેરે ઇષ્ટ-અનિષ્ટ વસ્તુઓને દૃષ્ટાંતોથી સમજાવી છે. આ કૃતિમાં ‘વિદુરિ વાયકિં વખાંણી’, ‘આસીસ વિદુર ઇમ ઉચ્ચરઈ’ એવી પંક્તિઓ મળે છે. એટલે કૃતિના કર્તા કોઈ વિદુર ને તે ભામ શાહના આશ્રિત હોય એમ પણ બનવાજોગ છે. કૃતિ: અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ. ૧૯૮૨ (+સં.).[જ.ગા.]

ભાલણ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકવિ, પદકવિ અને અનુવાદક. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ. અવટંક ત્રવાડી. વતન પાટણ. ગુરુ શ્રીપત કે શ્રીપતિ હોવાનું અનુમાન. સંસ્કૃતના સારા અભ્યાસી. વ્રજભાષાનું જ્ઞાન પણ હોવાની સંભાવના. જીવનનાં પ્રારંભિક વર્ષોમાં દેવીભક્ત હોય, પણ એકથી વધુ દેવોની સ્તુતિ કરે છે એટલે સાંપ્રદાયિક નથી. જીવનના ઉત્તરાર્ધમાં રામભક્તિ પર આસ્થા વધુ દૃઢ બનેલી દેખાય છે. કવિના ‘દશમસ્કંધ’માં આવતાં વ્રજભાષાનાં પદ કવિનાં પોતનાં રચેલાં હોય એવું લાગે છે તથા કવિનાં આખ્યાનોમાં પહેલી વખત જોવા મળતાં મુખબંધવાળાં ને ઊથલો કે વલણ વગરનાં કડવાં કવિ નાકર (ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ)નાં ઊથલો કે વલણવાળાં કડવાંની પૂર્વવર્તી સ્થિતિનાં સૂચક છે. આ બંને બાબતોને લક્ષમાં લઈએ તો કવિનો જીવનકાળ ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ અને ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ વચ્ચે હોવાનું અનુમાન કરી શકાય. કવિનું અપરનામ પુરુષોત્તમ હતું, સિદ્ધપુરના કવિ ભીમ તેમના શિષ્ય હતા, કવિના ગુરુનું નામ પરમાનંદ હતું, કવિએ ઔરંગાબાદનો પ્રવાસ કર્યો હતો, કવિએ વૃદ્ધ વયે સંન્યસ્ત લીધેલું કે જીવતાં સમાધિ લીધેલી એ કવિજીવન વિશે મળતી માહિતી શ્રદ્ધેય જણાતી નથી. ગુજરાતી ભાષાને ‘ગુર્જર ભાખા’ તરીકે પહેલી વખત ઓળખાવનાર ભાલણે ગુજરાતી કવિતામાં કડવાંબદ્ધ આખ્યાનોમાં સ્થિર પાયો નાખવાનું મહત્ત્વનું કાર્ય કર્યું છે. જો કે, પૌરાણિક વિષયોને લઈ રચાયેલાં એમનાં આખ્યાનોમાં મૂળ કથાને વફાદાર રહેવાનું વલણ વિશેષ છે એટલે પ્રેમાનંદની જેમ પ્રસંગને રસિક રીતે બહેલાવવા તરફ ને પ્રત્યક્ષીકરણ તરફ કવિનું ઝાઝું લક્ષ નથી. એને કારણે રસની જમાવટ, વર્ણનો કે ભાષા એ દરેકમાં તેઓ પ્રેમાનંદ જેવી સિદ્ધિ દાખવતા નથી. ક્યારેક ભાવની ઉત્કટતા વખતે તેઓ પદનો આશ્રય લે છે ત્યારે એમનું નિરૂપણ પ્રભાવક બને છે. કવિનાં ઉપલબ્ધ આખ્યાનોમાં કેટલાંક મુદ્રિત છે. મુદ્રિત આખ્યાનોમાં કેટલાંક સંપૂર્ણ અને કેટલાંક તૂટક છે. એમાં વર્ણનોમાં હર્ષના ‘નૈષધીયચરિત’ મહાકાવ્ય અને ત્રિવિક્રમના ‘નલચંપુ’ની અસર ઝીલતું અને બાકી મહાભારતની નલકથાને અનુસરતું, મૂળ પાત્રોની ઉદાત્તતા સાચવતું અને શૃંગાર-કરુણ રસની કેટલીક જમાવટ કરતું ૩૦/૩૩ કડવાંનું ‘નળાખ્યાન’(મુ.) કવિની કેટલીક ઉત્તમ રચનાઓમાં ગણી શકાય એવું છે. એ સિવાય પદ્મપુરાણ પર આધારિત વીર અને અદ્ભુત રસવાળું, ક્યાંક કાવ્યત્વની ચમત્કૃતિ બતાવતું ૨૨ કડવાંનું ‘જાલંધર-આખ્યાન’(મુ.) અને મામકી નામની ગણિકાની રામભક્તિને નિરૂપતું ૮ કડવાંનું ‘મામકી-આખ્યાન’ (મુ.); ભાગવતની ધ્રુવકથા પર આધારિત,નિષ્કામ ભક્તિનો મહિમા કરતું અને વેદાંતના પરમતત્ત્વના જ્ઞાનને રજૂ કરતું ૧૮ કડવાંનું ‘ધ્રુવાખ્યાન’(મુ.); માર્કંડેય પુરાણ પર આધારિત, કવચિત્ કવિનું પ્રારંભકાળનું મનાતું, મહિષાસુર અને શુંભ-નિશુંભના વધની કથા દ્વારા આદ્યશક્તિનો મહિમા કરતું ને મૂળ કથાના અનુવાદરૂપ ૧૦ અને ૧૪ કડવાંના ૨ ખંડમાં વિભાજિત ‘સપ્તશતી/ચંડી-આખ્યાન’(મુ.); શિવપુરાણની શિકારીની કથા પર આધારિત, કવિના ધર્મશાસ્ત્રના જ્ઞાન અને દુનિયાદારીના અનુભવને પ્રગટ કરતું ૧૭ કડવાંનું ‘મૃગી-આખ્યાન’(મુ.); રામાયણ અને રામસંબંધી અન્ય સંસ્કૃત કાવ્ય-નાટકો પર આધારિત, કવિના સમયની સામાજિક સ્થિતિનું કંઈક પ્રતિબિંબ પાડતું ૨૧ કડવાંનું ‘રામવિવાહ/સીતાવિવાહ’ સંપૂર્ણ રૂપમાં ઉપલબ્ધ થતાં કવિનાં આખ્યાન છે. ૧ કડવાનું ‘દ્રૌપદીવસ્ત્રાહરણ’ (મુ.) અપૂર્ણ છે તો ૪ કડવાંનું ખૂબ ત્વરિત વેગે સીતાવિવાહ પછીના રામજીવનના પ્રસંગોને આલેખતું ‘રામાયણ’ (મુ.) પણ અપૂર્ણ હોવાની સંભાવના છે. કવિની પદોમાં રચાયેલી કૃતિઓમાં ભક્તિરસવાળી ૨ કૃતિઓ ‘દશમસ્કંધ’ અને ‘રામબાલચરિત’ સવિશેષ ધ્યાનાર્હ છે. દુહા, ચોપાઈ, ઝૂલણા વગેરે દેશીઓમાં રચાયેલાં, વિવિધ રાગનિર્દેશવાળાં અને ઘણી જગ્યાએ મુખબંધ-ઢાળનાં અંગોને કારણે કડવાબંધમાં સરી જતાં ૪૯૭ પદોના ‘દશમસ્કંધ’(મુ.)માં પોતે સ્વતંત્ર રીતે રચેલી ‘રુક્મિણીવિવાહ’ અને ‘સત્યભામાવિવાહ’ કૃતિઓ કવિએ અહીં સમાવી લીધી છે. એ સિવાય અન્ય કવિઓનાં પદ પણ એમાં ભળી ગયાં છે. ભાગવતની કથાને જ સંક્ષેપમાં કહેવાનું કવિનું લક્ષ હોવા છતાં વાત્સલ્ય, શૃંગાર અને કરુણમાં કવિ એવા ઊંચા કવિત્વની પ્રતીતિ કરાવે છે કે એમાંના દાણલીલા, માનલીલા અને ભ્રમરગીત પ્રેમાનંદ, નરસિંહ અને દયારામની એ વિષયનાં કાવ્યોની બરોબરી કરે એવાં છે. સીતાસ્વયંવર સુધીની કથાને રજૂ કરતું ૪૦ પદવાળું ‘રામબાલચરિત’(મુ.) પણ વાત્સલ્યરસની ઉત્તમ કૃતિ છે. બાલસ્વભાવ અને બાલચેષ્ટાનાં સ્વભાવોક્તિભર્યાં ચિત્રો અને માતૃહૃદયની લાગણીનું એમાં થયેલું નિરૂપણ ગુજરાતી કવિતામાં અપૂર્વ છે. ‘કૃષ્ણવિષ્ટિ’(મુ.)નાં ૪ પદમાં કૌરવો સાથે વિષ્ટિ કરવા કૃષ્ણ જાય છે તે પૂર્વે કૃષ્ણ અને દ્રૌપદી વચ્ચે દ્રૌપદીના મનમાં જન્મેલી રોષયુક્ત વેદના કાવ્યના કેન્દ્રમાં છે. એ સિવાય ૫ પદની ‘રામવનવાસ’(મુ.), ૧ પદનું રૂપકાત્મક ‘રેંટિયા-ગીત’(મુ.) અને ‘મહાદેવના સાતવાર’(મુ.) કવિની અન્ય પદરચનાઓ છે. દુહાની ૮૦ કડીઓમાં રચાયેલું શંકરની સ્ત્રીલાલસાની પરીક્ષા કરવા પાર્વતીએ લીધેલા ભીલડીવેશના પ્રસંગને આલેખતું હળવી શૈલીનું ‘શિવભીલડી-સંવાદ/હર-સંવાદ’(મુ.) કવિનું સળંગ બંધવાળું કાવ્ય છે. પરંતુ ભાલણની યશોદાયી કૃતિ ‘કાદંબરી’(મુ.)છે. સંસ્કૃતમાં રચાયેલી કવિ બાણ અને પુલિનની કલ્પનામંડિત ને રસાર્દ્ર ગદ્યકથાને ૪૦ કડવાંબદ્ધ આખ્યાનમાં સંક્ષેપથી અને છતાં મૂળનો આસ્વાદ વિચ્છિન્ન ન થાય એ રીતે ઉતારવામાં કવિએ ગુજરાતી કવિતામાં પહેલું અને આજ સુધી અપૂર્વ રહેલું સાહસ બતાવ્યું છે. ‘મુગ્ધરસિક’ જનો માટે ‘કાદંબરી’ને ગુજરાતીમાં ઉતારતી વખતે કવિએ મૂળના કેટલાક અલંકારો જાળવી, ગાંઠના અલંકારો, ઉક્તિઓ, વર્ણનો મૂળ કૃતિમાં રસક્ષિત ન થાય એ રીતે ઉમેરી પોતાની કવિસૂઝનો પરિચય પણ કરાવ્યો છે. તૂટક રૂપે મળતા ૧૫ કડવાંના ‘દુર્વાસા-આખ્યાન’માં ભાલણની છાપ નથી અને ‘સીતા હનુમાન-સંવાદ’ની હસ્તપ્રત ઉપલબ્ધ નથી એટલે એ ૨ કૃતિઓ ભાલણની હોવાનું શંકાસ્પદ છે. ‘બીજું નળાખ્યાન’ પણ ભાલણનું નથી એ હવે સુનિશ્ચિત છે. આમ સમગ્ર રીતે કડવાંબદ્ધ આખ્યાનોના પ્રારંભિક રચયિતા, વાત્સલ્યપ્રેમનાં કેટલાંક મધુર પદોના સર્જક અને ‘કાદંબરી’ જેવી કૃતિને પ્રાસાદિક અને રસાવહ ગુજરાતીમાં ઉતારનાર અનુવાદક તરીકે ભાલણ ગુજરાતી કવિતામાં હંમેશા યાદ રહેશે. કૃતિ : ૧. ભાલણકૃત કાદંબરી (પૂર્વાર્ધ-ઉત્તરાર્ધ), સં. કે. હ. ધ્રુવ, ઈ.૧૯૧૬; ૨. ભાલણકૃત કાદંબરી (પૂર્વાર્ધ-ઉત્તરાર્ધ), સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૫૩; ૩. ભાલણકૃત દશમસ્કંધ, સં. હરગોવિંદ દ્વા. કાંટાવાળા, ઈ.૧૯૧૫ (+સં.); ૪. ભાલણકૃત ધ્રુવાખ્યાન અને નાકરકૃત મોરધ્વજાખ્યાન, સં. ભાનુસુખરામ નિ. મહેતા, -; ૫. ભાલણકૃત નળાખ્યાન, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૭૫ (ત્રીજી આ.); ૬. ભાલણકૃત બે નળાખ્યાન, સં. રા. ચુ. મોદી, ઈ.૧૯૨૪; ૭. ભાલણનાં પદ, સં. જેઠાલાલ ત્રિવેદી, ઈ.૧૯૪૭ (+સં.); ૮. ભાલણનાં ભાવગીતો, સં. ધીરુભાઈ ત્રિ. દોશી, ઈ.૧૯૮૦ (+સં.);  ૯. નકાદોહન : ૩; ૧૦. પ્રાકાસુધા : ૩; ૧૧. બૃકાદોહન : ૧, ૨, ૩, ૫, ૬; ૧૨. રા. ચુ. મોદી લખસંગ્રહ, સં. પુરુષોત્તમ ભી. શાહ, ઈ.૧૯૫૩ (+સં.). સંદર્ભ : ૧. ભાલણ, રામલાલ ચુ. મોદી, ઈ.૧૯૧૯; ર. ભાલણ : એક અધ્યયન, કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૭૧; ૩. ભાલણ, ઉદ્ધવ અને ભીમ, રામલાલ ચુ. મોદી, ઈ.૧૯૪૪;  ૪. અન્વય, હસિત બૂચ, ઈ.૧૯૬૯-‘ભાલણનાં વાત્સલ્યચિત્રો’; ૫. ઉપાસના, ઈ.કા. દવે, ઈ.૧૯૭૧-‘કાદંબરી’; ૬. કવિચરિત : ૧-૨; ૭. ગુમાસ્તંભો; ૮. ગુલિટરેચર; ૯. ગુસાઇતિહાસ : ૨; ૧૦. ગુસામધ્ય; ૧૧. ગુસારસ્વતો; ૧૨. ગુસારૂપરેખા : ૧; ૧૩. જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી : ૧૦, સં. ભોગીલાલ ગાંધી અને અન્ય, ઈ.૧૯૭૨-‘પહેલાં પાંચસો વરસ’, ધીરુભાઈ ઠાકર; ૧૪. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ.૧૯૬૧-‘પદ્મનાભ અને ભાલણ’; ૧૫. નળ દમયંતીની કથાનો વિકાસ, ર.ચી. શાહ, ઈ.૧૯૮૦-‘ભાલણકૃત નળાખ્યાન’; ૧૬. પડિલેહા, ર. ચી. શાહ, ઈ.૧૭૭૯-‘ભાલણના કહેવાતા બીજા ‘નળાખ્યાન’નું પગેરું’;  ૧૭. ગૂહાયાદી; ૧૮. ડિકૅટલૉગબીજે; ૧૯. ફૉહનામાવલિ.[કે.શા.]

ભાવ : આ નામે ૪ કડીનું ‘ચોવીસ તીર્થંકરનું સ્તવન’(મુ.), ૭૮ કડીની ‘પાપપુણ્ય-ચોપાઈ’ અને ૪ કડીનું ૧ હિન્દી સ્તવન(મુ.) એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈપ્રપુસ્તક : ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).[શ્ર.ત્રિ.]

ભાવ-૧/ભાવક(ઉપાધ્યાય) [ઈ.૧૫૨૫માં હયાત] : બ્રહ્માણગચ્છના જૈન સાધુ. બુદ્ધિસાગરની પરંપરામાં ગુણમાણિક્યના શિષ્ય. પ્રારંભમાં વિનયવિમલગણિને ગુરુ તરીકે કરેલા નમસ્કારના વચન સાથેના ૯૭૫ કડીના ‘વિક્રમચરિત્ર-રાસ/વિક્રમ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૨૫/સં.૧૫૮૨, માગશર-૧૩, રવિવાર), ૨૯૮/૩૫૦ કડીના ‘હરિશ્ચંદ્ર-પ્રબંધ/રાસ’ અને મુનિરત્નસૂરિની મૂળ સંસ્કૃત કૃતિ ‘અંબડકથા’ ઉપરથી ૭ આદેશમાં વહેંચાયેલા ‘અંબડ-રાસ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ;  ૪. ફાત્રૈમાસિક, જાન્યુ.જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્યરાસસંદોહ’, હીરાલાલ ૨. કાપડિયા;  ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. જૈમગૂકરચાનએં : ૧; ૭. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

ભાવઉ/ભાવો [ઈ.૧૪૭૯ સુધીમાં] : જૈન. રાગ ધન્યાસીમાં લખાયેલા ૩ કડીના ‘જીવદયા-ગીત’ (મુ.) અને ૪ કડીના ‘નેમિ-ગીત’ (લે.ઈ.૧૪૭૯; મુ.)ના કર્તા. કૃતિ : જૈગૂકવિઓ : ૩(૧) (+સં.). [શ્ર.ત્રિ.]


ભાવકલશ : આ નામે ‘હમીર-રાસ’ મળે છે. તેના કર્તા કયા ભાવકલશ છે તે નિશ્ચિત નથી. સંદર્ભ : ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]

ભાવકલશ-૧[સં.૧૬મી સદી] : જૈન. સંભવત: સુમતિવિજયગણિના શિષ્ય. વસ્તુ છંદમાં નિબદ્ધ ‘કૃતકર્મચરિત્ર-રાસ’ના કર્તા. સંદર્ભ : ૧. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સંદોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]

ભાવચંદ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ભાનુચંદ્ર ઉપાધ્યાય (ઈ.૧૫૬૨માં હયાત)ના શિષ્ય. ૪ કડીની ‘ભાનુચંદ્ર ઉપાધ્યાય-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧ (+સં.). [શ્ર.ત્રિ.]

ભાવપ્રભ(સૂરિ)/ભાવરત્ન(સૂરિ) [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : રાસકવિ. પૂર્ણિમાગચ્છની ઢંઢેરવાડ શાખાના જૈન સાધુ. વિદ્યાપ્રભની પરંપરામાં મહિમાપ્રભના શિષ્ય. પિતા માંડણ. માતા બાદલા. સૂરિપદ પહેલાનું દીક્ષાનામ ભાવરત્ન. દેવચંદ્રજીના સમકાલીન. તેમણે પાટણમાં સહસ્ત્રકૂટ મંદરિની પ્રતિષ્ઠા કરી હતી. ૨૯૫ કડીનો ‘ચંદ્રપ્રભસૂરિ-રાસ’ (ર.ઈ.૧૬૯૮), ૮૪૯ કડીનો ‘હરિબલમચ્છીનો રાસ’ (ર.ઈ.૧૭૧૩/સં.૧૭૬૯, કારતક વદ ૩, મંગળવાર), ‘જયવિજયનૃપ-રાસ’ (ર.ઈ.૧૭૧૩), ૪૨ ઢાલ અને ૨ ખંડમાં વહેંચાયેલો ‘ધન્યબૃકહદ્ શાલિભદ્ર-રાસ/ધન્ય-રાસ’ (ર.ઈ.૧૭૧૬), મહાવીર સ્વામીની શ્રાવિકા સુલસા અને અંબડદેવની કથા નિરૂપતો ‘અંબડ-રાસ’ (ર.ઈ.૧૭૧૯/સં.૧૭૭૫, જેઠ વદ ૨, રવિવાર), પોતાના ગચ્છધિપતિના જીવન અને નિર્વાણનું નિરૂપણ કરતો ૯ ઢાળમાં વહેંચાયેલ ‘મહિમાપ્રભસૂરિ નિર્વાણ કલ્યાણક-રાસ’ (ર.ઈ.૧૭૨૬(૧૬)/સં.૧૭૮૨(૭૨), પોષ સુદ ૧૦), ‘સુકડીઓરસિયા સંવાદ-રાસ’ (ર.ઈ.૧૭૨૬), ૨૦ ઢાળનો ‘સુભદ્રાસતી-રાસ’ (ર.ઈ.૧૭૪૧/સં.૧૭૯૭, મહા સુદ ૩, શુક્રવાર), ૨ ખંડનો ‘બદ્ધિવિમલાસતી-રાસ/વિમલાસતી-રાસ’ (ર.ઈ.૧૭૪૨/સં.૧૭૯૯, માગશર સુદ ૨, ગુરુવાર) એ તેમની રાસ કૃતિઓ છે. આ ઉપરાંત ૪૨/૪૩ કડીની ‘શ્રીઝાંઝરિયામુનિની ચાર ઢાલની સઝાય’ (ર.ઈ.૧૭૦૦/સં.૧૭૫૬, અસાડ સુદ ૨, સોમવાર; મુ.), ૯ કડીનું ‘પાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૦૦), ૧૧ કડીનું ‘ભટેવા-પાર્શ્વનાથની ઉત્પત્તિનું સ્તવન’ (ર.ઈ.૧૭૧૪/સં.૧૭૭૦, કારતક સુદ ૬, બુધવાર; મુ.), ‘વીશી’ (ર.ઈ.૧૭૨૪/સં.૧૭૮૦, વૈશાખ વદ ૭, સોમવાર), ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૨૭/સં.૧૭૮૩, ફાગણ સુદ ૩, સોમવાર), ૪ કડીની ‘અધ્યાત્મોપયોગિનીસ્તુતિસસ્તબક/મહાવીર-જિનસ્તુતિ-સસ્તબક’ (ર.ઈ.૧૭૪૦), ૩ ઢાળની ‘જિનપાલિત જિનરક્ષિતની સઝાય’ (ર.ઈ.૧૭૪૧/સં.૧૭૯૭, શ્રાવણ-; મુ.), ૪ કડીની ‘અધ્યાત્મ-સ્તુતિ’(મુ.), ૩૭ કડી અને ૫ ઢાળની ‘અષાઢભૂતિની સઝાય/અષાઢાભૂતિનું પંચઢાળિયું’(મુ.), ૮ કડીની ‘આત્મોપદેશ-સઝાય’(મુ.), ૧૨૧૬ ગ્રંથાગ્રનો ‘કાવ્યસૂત્ર-સ્તબક’, ૧૭ કડીની ‘ખંધકઋષિ-સઝાય’, ૩૮ કડીનું ‘ચૈત્રીપૂનમદેવવંદન વિધિગર્ભિત-સ્તવન’, ‘ચૈત્યવંદન-ચતુર્વિંશતિકા’, ૧૦ કડીનો ‘જિનસંખ્યાદિ-વિચારમયદોધક-બાલાવબોધ’, ૧૨ કડીની ‘તેર કાઠિયા-સઝાય’ (મુ.), ૧૨ કડીની ‘દશ દૃષ્ટાંત સંક્ષેપ-સઝાય’, ૧૧ કડીની ‘નવવાડની સઝાય’ (મુ.), ૪ કડીની ‘પજુસણની સ્તુતિ’(મુ.), ‘પંચજિનનમસ્કાર-સ્તુતિ આદિ’, ૨૭ કડીની ‘પાહુડપચવીસી’, ‘મહિમાપ્રભસૂરિ-ગહૂંલી’, ૭૩ કડીનું ‘સાસયપડિમાઅધિકાર-સંથવણ’, કોશા અને સ્થૂલિભદ્રના સંવાદરૂપે કુલ ૧૫ કડીની ‘સ્થૂલિભદ્રજી તથા કોશ્યાની સઝાય’ (મુ.) વગેરે કૃતિઓ રચી છે. તેમણે સંસ્કૃતમાં કેટલીક ટીકાઓ લખી છે, જેમાં ‘ભક્તામર-સમશ્યાપૂર્તિ (નેમિભક્તામર)સ્તવન’ની ટીકા (ર.ઈ.૧૭૨૮), ‘કલ્યાણમંદિરસ્તોત્ર’ની ટીકા, યશોવિજયના ‘પ્રતિમાશતક’ પરની ટીકા (ર.ઈ.૧૭૩૭), ‘નયોપદેશ’ પર લઘુ ટીકા, કાલિદાસકૃત ‘જ્યોતિર્વિદ્યાભરણ’ પર ‘સુખસુબોધિકા’ નામની ટીકાઓનો સમાવેશ થાય છે. તેમની પાસેથી ગદ્યકૃતિ ‘લોકરૂઢભાષા જ્ઞાનોપયોગી-સ્તુતિચતુષ્ક-બાલાવબોધ’ મળે છે. તેમણે પ્રાભાતિક-પાક્ષિક વગેરે પ્રતિક્રમણવિધિના અનુસંધાનમાં કેટલાંક સ્તવનો, ચોપાઈઓ, સવૈયા અને સઝાયો રચ્યાં છે. ‘દેવ-ધર્મ-પરીક્ષા’, ‘ચંદ્રપ્રભસૂરિ-રાસ’, ‘જયવિજયનૃપ-રાસ’, ‘જિન-સંખ્યાદિ-વિચારમય-દોધક-બાલાવબોધ’, ‘મહાવીર જિન સ્તુતિ’ અને ‘સ્તવન-ચોવીસી’ની પ્રતો કર્તાના હસ્તાક્ષરમાં મળે છે. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’માં ‘મહિમાપ્રભ’ના નામે મૂકવામાં આવેલી ‘મુહપત્તિપચાસ-પડિલેહણ-સઝાય’ના કર્તા પણ પ્રસ્તુત ભાવપ્રભ હોવા સંભવ છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જિભપ્રકાશ; ૩. જિસ્તકાસંદોહ : ૧; ૪. જૈગૂસારત્નો : ૧ (+સં.); ૫. જૈસમાલા (શા) : ૩; ૬. જૈસસંગ્રહ(જૈ.); ૭. જૈસસંગ્રહ(ન.); ૮. ટ્રેઝર્સ ઑવ જૈન ભંડારઝ (અં.), સં. ઉમાકાન્ત પી. શાહ, ઈ.૧૯૭૮; ૯. દેસ્તસંગ્રહ; ૧૦. મોસસંગ્રહ; ૧૧. સઝાયમાળા(જા.) : ૧-૨; ૧૨. સઝાયમાળા (પં.);  ૧૩. જૈન સત્યપ્રકાશ, નવે. ૧૯૪૨-‘મુનિભાવરત્નકૃત ભટેવા પાર્શ્વનાથની ઉત્પત્તિનું સ્તવન’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેવસુરાસમાળા;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૭. ડિકૅટલૉગબીજે; ૮. મુપુગૂહસૂચી; ૯. લીંહસૂચી; ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

ભાવપ્રમોદ (ઉપાધ્યાય) [ઈ.૧૬૭૦માં હયાત-અવ. ઈ.૧૬૮૮/સં.૧૭૪૪, મહા વદ ૫, ગુરુવાર] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિની પરંપરામાં ભાવવિનયના શિષ્ય. વિદ્વત્તાને કારણે જિનચંદ્રસૂરિના પ્રિય. અનશન દ્વારા સમાધિપૂર્વક મૃત્યુ. ‘અજાપુત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૦/સં.૧૭૨૬; આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ-પ્રસ્તા;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]

ભાવરત્ન-૧ [ઈ.૧૬૦૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં રત્નભૂષણના શિષ્ય. ‘કનકશ્રેષ્ઠીનો રાસ’ (ર.ઈ.૧૬૦૪/સં.૧૬૬૦, બીજો આસો વદ ૭, રવિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [શ્ર.ત્રિ.]

ભાવરત્ન-૨ : જુઓ ભાવપ્રભ(સૂરિ).

ભાવરંગ(ગણિ) [    ] : જૈન. ૨ કડીના ‘ઉપદેશગીત’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

ભાવલબ્ધિ(સૂરિ) [ ] : જૈન. ૪ કડીની ‘પર્યુષણપર્વની સ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈરસંગ્રહ; ૨. સસંપમહાત્મ્ય. [શ્ર.ત્રિ.]

ભાવવિજ્ય : આ નામે ૧૪ કડીનું ‘ચંદ્રપ્રભુજીનું સ્તવન’(મુ.), ૪ કડીનું હિંદીમાં ‘નેમિનાથજીનું સ્તવન’(મુ.) અને ‘પુંડરીકગણધર-સ્તવન’ (લે.ઈ.૧૬૭૦) એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકતું નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. દેસ્તસંગ્રહ; ૩. શનીશ્ચરની ચોપાઈ આદિક લઘુ ગ્રંથોના સંગ્રહનું પુસ્તક, સં. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨ (ત્રીજી આ.). સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

ભાવવિજય(વાચક)-૧ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં મુનિવિમલના શિષ્ય. ૫૫ કડીના ‘શત્રુંજય-સ્તોત્ર’ (ર.ઈ.૧૬૧૭), ૯ ઢાળની ‘ચાર ધ્યાનના સ્વરૂપની સઝાય’ (ર.ઈ.૧૬૪૦/સં.૧૬૯૬, ચૈત્ર વદ ૧૦, રવિવાર; મુ.), ‘૨૪ જિન-ગીત’ (ર.ઈ.૧૬૫૩), વિજયદેવ-વિજયપ્રભની પરંપરા નોંધતો, અડયલ, સારસી, હાટડી, ત્રિભંગી, નારાચ આદિ છંદોમાં રચાયેલો ૪૫/૫૧ કડીનો ‘અંતરીક્ષ પાર્શ્વનાથ-છંદ’ (ર.ઈ.૧૬૫૯; મુ.), ‘શ્રાવકવિધિ-રાસ/શુકરાજ-રાસ’ (ર.ઈ.૧૬૭૯/સં.૧૭૩૫, આસો વદ ૩૦), ‘અષ્ટાપદ-સ્તવન’, ‘ચોવીસી’(મુ.), ૧૧ કડીનું ‘નેમનાથ-સ્તવન’(મુ.), ૧૦૦ ગ્રંથાગ્રનું ‘પાર્શ્વજિન-સ્તવન’, ૩૭ કડીનું ‘બંભણવાડા મહાવીર સ્તોત્ર’, હિન્દીની અસરવાળું ૬ કડીનું ‘વસંતનું ગીત’(મુ.), ૪૨ કડીની ‘વિજ્યાનંદસૂરીશ્વર નિર્વાણ-સઝાય’, ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’, ‘શાંતિજિન-સ્તવન’, ‘સ્તવનાવલી’, ૧૨ કડીનું ‘હીરસૂરિ-ગીત’, હિંદીગુજરાતી મિશ્રમાં ૧૧ કડીની ‘હીરવિજ્યસૂરિ-સઝાય’(મુ.)-એ કૃતિઓના કર્તા. તેમની પાસેથી સંસ્કૃતમાં તત્કાલીન સમયની સ્થિતિ દાખવતો ‘ષટત્રિંશજ્જલ્પવિચાર’ (ર.ઈ.૧૬૨૩), ‘ઉત્તરાધ્યયનસૂત્ર-વૃત્ત’ (ર.ઈ.૧૬૩૩) અને ‘ચંપકમાલા-કથા/ચરિત’ (ર.ઈ.૧૬૫૨) કૃતિઓ મળે છે. તેમણે જયવિજયકૃત ‘કલ્પસૂત્ર-દીપિકા’ (ર.ઈ.૧૬૨૧), વિનયવિજ્યકૃત ‘કલ્પસૂત્રસુબોધિકા’ (ર.ઈ.૧૬૫૨) કૃતિઓ મળે છે. તેમણે જયવિજ્યકૃત ‘કલ્પસૂત્ર-દીપિકા’ (ર.ઈ.૧૬૨૧), વિનયવિજ્યકૃત ‘કલ્પસૂત્રસુબોધિકા’(ર.ઈ.૧૬૪૦) અને ‘લોકપ્રકાશ’ (ર.ઈ.૧૬૫૨) સંશોધેલાં. વિજ્યદેવસૂરિશિષ્ય તરીકે નોંધાયેલા ૩૦ કડીના ‘નેમિજિન (રાગમાળા)-સ્તવન’ના કર્તા પણ આ જ ભાવવિજ્ય હોવાની શક્યતા છે. કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨ પ્રવિસ્તસંગ્રહ; ૩. પ્રાછંદસંગ્રહ;  ૪. જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘નેમિ-સ્તવન’, સં. મો. દ. દેશાઈ; ૫. એજન, ફાગણ-ચૈત્ર ૧૯૮૩-‘પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન’, સં. મોહનલાલ દ. દેશાઈ; ૬. જૈન સત્યપ્રકાશ, ઑગસ્ટ ૧૯૪૪-‘પ્રાચીન ગુજરાતી કાવ્યો’, સં. સારાભાઈ મ. નવાબ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૧; ૩. પ્રાછંદસંગ્રહ;  ૪. જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘નેમિ-સ્તવન’, સં. મો. દ. દેશાઈ; ૫. એજન, ફાગણ-ચૈત્ર ૧૯૮૩-‘પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન’, સં મોહનલાલ દ. દેશાઈ; ૬. જૈન સત્યપ્રકાશ, ઑગસ્ટ ૧૯૪૪-‘પ્રાચીન ગુજરાતી કાવ્યો’, સં. સારાભાઈ મ. નવાબ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૧; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૮. મુપુગૂહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

ભાવિવિજ્ય-૨ [ઈ.૧૭૯૬ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં શુભવિજ્યના શિષ્ય. ‘(ગોડી)પાર્શ્વજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૯૬)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

ભાવવિમલ [ઈ.૧૬૫૫ સુધીમાં] : જૈન. ‘ચોવીસ-જિન-ગીત’ (લે.ઈ.૧૬૫૫)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

ભાવશેખર [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વિવેકશેખરના શિષ્ય. ૧૩ ઢાળ અને ૩૩૪ કડીના ‘મેતારજમુનિ-રાસ’ (ર.ઈ.૧૬૨૫), ૮૫૫ ગ્રંથાગ્રના ‘ધનામહામુનિ-સંધિ/ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૫), ૩ ઢાળ અને ૮૦૧ કડીના ‘રૂપસેનરાજર્ષિ-રાસ’ (ર.ઈ.૧૬૨૭/સં.૧૬૮૩, જેઠ સુદ ૧૩; સ્વહસ્તાક્ષરની પ્રત) અને ‘કથાકોશ’ (ર.ઈ.૧૬૩૪) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૨૦; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. ડિકૅટલૉગભાવિ; ૬. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

ભાવસંગ [                ] : પદના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી.[કી.જો.]

ભાવસાગર : આ નામે ૧૦ કડીની ‘પાંચમા આરાની સઝાય’ (મુ.), ૧૨ કડીની ‘તેર કાઠિયાની સઝાય’(મુ.), ૪ કડીની ‘પંચમી સ્તુતિ’ (લે.સં.૧૯મી સદી અનુ.) અને કર્તા અંચલગચ્છના છે એવા ઉલ્લેખ સાથે ૧૨૧ કડીનું ‘શાશ્વતજિન-ચૈત્યવંદન’ (લે.સં.૧૮મી સદી અનુ.) એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક છે કે જુદા તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. નેમવિવાહ તથા નેમિનાથજીનો નવરસો તથા ચોક તથા નેમનાથનો સલોકો, પ્ર. શા. મોહનલાલ રૂગનાથ, ઈ.૧૯૩૫ (ત્રીજી આ.). સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

ભાવસાગર-૧ [ઈ.૧૭૦૨માં હયાત] : જૈન સાધુ. ‘સપ્તાતશતજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૦૨/સં.૧૭૫૮, આસો સુદ ૩)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારો કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, સં. અગરચંદજી નાહટા. [શ્ર.ત્રિ.]

ભાવસાગર-૨ [                ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભના શિષ્ય. ૧૨ કડીની ‘અનંતકાય-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. પ્રાસપસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

ભાવસાગર-૩ [                ] : જૈન સાધુ. વીરસાગરના શિષ્ય. ૩૨ કડીની ‘ક્રોધ-માન-માયા અને લોભની સઝાય’ (મુ.)ના કર્તા. પ્રસ્તુત કૃતિ અલગઅલગ શીર્ષક નીચે પણ મુદ્રિત થયેલી મળે છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિસ્તકાસંદોહ : ૧; ૩. જૈસમાલા(શા) : ૧. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

ભાવસાગર(સૂરિ)શિષ્ય [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના વિધિપક્ષના જૈન સાધુ. ૪૪ કડીની ‘ચૈત્ય-પરિપાટી’ (ર.ઈ.૧૫૦૬), ૫૯ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૫૧૯) તથા ‘ઇચ્છા-પરિણામ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૪)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૬૭-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસંદોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. જૈમગૂકરચનાએં : ૧. [કી.જો.]

ભાવસુંદર [ઈ.૧૫ મી સદી ] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદરસૂરિ (અવ.ઈ.૧૪૪૩)ના શિષ્ય. ‘મહાવીર-સ્તવન’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧.[શ્ર.ત્રિ.]

ભાવહર્ષ(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૬મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. સાગરચંદ્રસૂરિની શાખાના કુલતિલકના શિષ્ય. પિતા શાહ કોડા. માતા કોડમદે. ઈ.૧૫૩૭થી ઈ.૧૫૫૬ની વચ્ચે જિનમાણિક્યસૂરિને હસ્તે (મહા સુદ ૧૦ના રોજ) જેસલમેરમાં ઉપાધ્યાયપદ. શરૂઆતમાં જિનચંદ્રસૂરિના આજ્ઞાનુયાયી. ઈ.૧૫૬૫માં ભાવહર્ષીય ખરતરશાખા નામનો સાતમો ગચ્છભેદ સ્થાપ્યો. કેટલાંક સ્તવનો તેમની પાસેથી મળ્યાં છે. ‘આદિનાથ શત્રુંજ્ય-સ્તવન’ (લે.ઈ.૧૬૦૩) તેમનું હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ-પ્રસ્તા.; ૨. પાંગુહસ્તલેખો; ૩. યુજિનચંદ્રસૂરિ;  ૪. ડિકૅટલૉગભાવિ.[શ્ર.ત્રિ.]

ભાવહર્ષ-૨ [ઈ.૧૬૪૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં રંગનિધાનના શિષ્ય. ‘શીલમંડપનવવાડ-રાસ’ (ર.ઈ.૧૬૪૬)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

ભાવાનંદ : આ નામે ‘વંક્ચૂલનો રાસ’ મળે છે. તેના કર્તા કયા ભાવાનંદ છે તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : દેસુરાસમાળા.[શ્ર.ત્રિ.]

ભાવાનંદ(પંડિત)-૧ [ઈ.૧૪૮૪માં હયાત] : અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં ૧૦૪ કડીના ‘ઇન્દ્રનંદિસૂરિ-વિવાહલુ’ (ર.ઈ.૧૪૮૪)ના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]

ભાવો : જુઓ ભાવઉ.

ભાંખર [                ] : વિભાસ રાગના નિર્દેશવાળા ૪ કડીના ભજન(મુ.)ના કર્તા. કૃતિ : ભસાસિંધુ.[કી.જો.]

ભીખજી [ઈ.૧૭૮૦માં હયાત] : જૈન ‘આષાઢભૂતિ-ચોઢાલિઉં’ (ર.ઈ.૧૭૮૦/સં.૧૮૩૬, આસો વદ ૧૦)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [ગી.મુ.]

ભીખાભાઈ/ભીખો [આશરે ઈ.૧૭૯૪ સુધીમાં] : પ્રેમદાસની પરંપરામાં પ્રભુરામ (ઈ.૧૭૯૪ સુધીમાં)ના શિષ્ય. પ્રેમલક્ષણાભક્તિના કવિ. તેમની કવિતામાં ભાવની કોમળતા અનુભવાય છે. આ કવિએ હિંદી તથા ગુજરાતીમાં પદો (૬ મુ.)ની રચના કરી છે. મનને શિખામણ આપતાં પદ પણ તેમણે રચ્યાં છે. કૃતિ : ૧. અસંપરંપરા; ૨. પ્રાકાવિનોદ : ૧. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ;  ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ. [કી.જો.]

ભીખુ/ભીખમજી/ભીખાજી [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.૧૮૦૪] : તેરાપંથના સ્થાપક. ઈ.૧૭૫૨માં રઘુનાથ પાસે દીક્ષા. નવીન દીક્ષા ઈ.૧૭૬૧માં. ‘બારવ્રત-ચોપાઈ’, ‘અનુકંપા-ઢાલ’, ‘નવતત્ત્વ-ચોપાઈ’, અને ‘નિક્ષેપાવિચાર’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. ડિકૅટલૉગબીજે : ૧૯(૨).[ગી.મુ.]

ભીમ/ભીમો : આ નામે ૩૩ કડીનો ‘દાંતજીભ-સંવાદ’ (લે.ઈ.૧૭૫૨), ‘કૃષ્ણકીર્તનનાં પદ’(મુ.), ‘ગુરુમહિમા’ તથા ૩૩ કડીની ‘શ્રી વિજયદાનસૂરિ-સઝાય’(મુ.) એ કૃતિઓ મળે છે. ‘શ્રી વિજ્યદાનસૂરિ-સઝાય’ એ કૃતિ તપગચ્છના આનંદવિમલસૂરિની પરંપરામાં થયેલા વિજયદાન ઉપરની કૃતિ હોઈ કર્તા તપગચ્છના કોઈ સાધુ હોવાની સંભાવના છે. આ સિવાયની કૃતિઓના કર્તા કયા ભીમ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. ઐસમાલા : ૧; ૨. નકાદોહન; ૩. પ્રાકાસુધા : ૨; ૪. ભસાસિંધુ. સંદર્ભ : ૧. પ્રાકકૃતિ;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]

ભીમ-૧ [ઈ.૧૪૩૨ સુધીમાં] : એમની કૃતિમાં એમના જીવન વિશે કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી. પણ એમાંના કેટલાક ઉલ્લેખોને આધારે તેઓ જ્ઞાતિએ બ્રાહ્મણ અને પાટણના વતની હોવાનું અનુમાન થયું છે. એમની ‘સદયવત્સવીર-પ્રબંધ’(લે.ઈ.૧૪૩૨; મુ.) સદેવંત-સાવળિંગાની લોકખ્યાત કથાને ગુજરાતીમાં સૌ પ્રથમ નિરૂપતી, ૬૭૨ કે વધુ કડીઓમાં વિસ્તરતી ને વીર, અદ્ભુત અને શૃંગારરસવાળી પદ્યવાર્તા છે. ભાષાવૈભવ, વર્ણનકૌશલ અને રસનિરૂપણની શક્તિ; વચ્ચે વચ્ચે આવતાં-ક્યારેક છંદપંક્તિઓ સાથે ગૂંથાતાં-ગીતો, દુહા, પદ્ધડી, ચોપાઈ, વસ્તુ, છપ્પય, અડયલ વગેરે માત્રામેળ અને ક્યાંક અક્ષરમેળ છંદોનો થયેલો ઉપયોગ કૃતિને નોંધપાત્ર બનાવે છે. પ્રાકૃત-અપભ્રંશના અવશેષવાળી ભાષાના એક નમૂના લેખે ભાષાઇતિહાસની દૃષ્ટિએ પણ આ કૃતિ મહત્તવની ઠરે છે. કૃતિ : સદયવત્સવીર પ્રબંધ, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૬૧ (+સં.).

સંદર્ભ : ૧. અનુસંધાન, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૭૨-‘સદેવંત-સાવળિંગા’; ૨. આકવિઓ : ૧; ૩. કવિચરિત : ૧-૨; ૪. ગુસાઇતિહાસ : ૧; ૫. ગુસાપઅહેવાલ : ૫ - ‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય’, ચીમનલાલ ડાહ્યાભાઈ; ૬. ગુસાપઅહેવાલ : ૧૧-‘આપણું લોકવાર્તા વિષયક પ્રાચીન સાહિત્ય’, ભોગીલાલ સાંડેસરા. [ર.સો.]

ભીમ-૨ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : વતન સિદ્ધપુર પાટણ કે પ્રભાસ પાટણ એ નિશ્ચિત રીતે કહી શકાય તેમ નથી. કોઈ નરસિંહ વ્યાસને ત્યાં રહી ‘પ્રબોધપ્રકાશ’ની રચના કર્યાનો તેમ જ કોઈ પુરુષોત્તમની પણ એ કૃપા પામ્યા હોવાના ઉલ્લેખો તેમની કૃતિઓમાં મળે છે. એમની કૃતિઓ ‘હરિલીલાષોડશકલા’ (ર. ઈ.૧૪૮૫/સં. ૧૫૪૧, વૈશાખ સુદ ૭, ગુરુવાર; મુ.) અને ‘પ્રબોધપ્રકાશ’ (ર. ઈ.૧૪૯૦/સં. ૧૫૪૬, શ્રાવણ સુદ ૧૦, ગુરુવાર; મુ.)નાં રચનાવર્ષોને આધારે તેઓ ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધમાં હયાત હોવાનું કહી શકાય. ‘હરિલીલાષોડશકલા’ પંડિત બોપદેવના સંસ્કૃત કાવ્ય ‘હરિલીલાવિવેક’નો કંઈક આધાર લઈને, ૧૬ કલા(વિભાગ)માં સંક્ષેપમાં ભાગવતકથાનો સાર આપતું, દુહા, ચોપાઈ, વસ્તુ વગેરે છંદોના બંધવાળું લગભગ ૧૩૫૦ કડીનું કાવ્ય છે. મોહરાજા પર વિવેકરાજા વિજય મેળવી અજ્ઞાનમાં ઘેરાયેલા જીવ-પુરુષને પ્રબોધજ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે એવા રૂપકાત્મક વસ્તુવાળો ‘પ્રબોધપ્રકાશ’ શ્રીકૃષ્ણમિશ્રના સંસ્કૃત નાટક ‘પ્રબોધચંદ્રોદય’નો મુખ્યત્વે ચોપાઈબંધની ૫૪૬ કડીઓમાં થયેલો સારાનુવાદ છે. આ કાવ્ય જયશેખરસૂરિના ‘ત્રિભુવનદીપક-પ્રબંધ’ પછીનું બીજું અધ્યાત્મલક્ષી રૂપકાવ્ય ગણાયું છે. આ બંને કાવ્યોમાં મૂળ કૃતિઓના સંસ્કૃત શ્લોકો અને બહારનાં સુભાષિતોને વણી લેવાની કવિની લાક્ષણિકતા ધ્યાન ખેંચે છે. કવિને નામે અન્ય ૫ પદ (૪ ગુજરાતી અને ૧ સંસ્કૃત) મળે છે. એ સિવાય અન્ય રચનાઓ પણ એમણે કરી હોવાનું મનાય છે, પરંતુ તેમને કોઈ હસ્તપ્રતોનો આધાર નથી. કૃતિ : ૧. પ્રબોધપ્રકાશ, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૩૬ (+સં.); ૨. હરિલીલાષોડશકલા, સં. અંબાલાલ બુ. જાની, ઈ.૧૯૨૮ (+સં.);  ૩. બૃકાદોહન : ૪ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસામધ્ય; ૩. પ્રાકકૃતિઓ; ૪. ભાલણ, ઉદ્ધવ અને ભીમ, રામલાલ ચુ. મોદી, ઈ.૧૯૪૧; ૫. ભીમ અને કેશવદાસ કાયસ્થ, કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૮૧;  ૬. ગૂહાયાદી; ૭. ડિકૅટલૉગબીજે. [ર.સો.]

ભીમ-૩ [ઈ.૧૫૨૮માં હયાત] : જૈન શ્રાવક. ૫ ખંડમાં વિભાજિત ‘અગડદત્ત-રાસ’ (ર.ઈ.૧૫૨૮/સં. ૧૫૮૪, અસાડ વદ ૧૪, શનિવાર) એમાં આવતા નડિયાદ અને નડિયાદના શ્રાવકોના ઉલ્લેખો પરથી નડિયાદમાં રચાયો હોવાની સંભાવના છે. ૩ કડીના ‘વીતરાગ-ગીત’ સમેત ૩ ગીતો(મુ.) આ કર્તામાં હોવા સંભવ છે. કૃતિ : સંબોધિ, એપ્રિલ-જાન્યુ. ૧૯૭૯-૮૦-‘શ્રાવક કવિઓની કેટલીક અપ્રગટ ગુજરાતી રચનાઓ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસંદોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૫. જૈગૂકવિઓ : ૧; ૬. લીંહસૂચી.[ગી.મુ.]

ભીમ-૪/ભીમજી (ઋષિ) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ) : લોંકાગચ્છના જૈન સાધુ. જીવઋષિની પરંપરામાં આચાર્ય વીરસિંહના શિષ્ય. પૂર્વાવસ્થામાં જ્ઞાતિએ ભાવસાર. ૩ ખંડમાં રચાયેલા ‘શ્રેણિક-રાસ’ (પ્રથમ ખંડ ર.ઈ.૧૫૬૫/સં. ૧૬૨૧ ભાદરવા સુદ ૨; બીજો ખંડ ર.ઈ.૧૫૭૬/સં. ૧૬૩૨, ભાદરવા વદ ૨; ત્રીજો ખંડ ર.ઈ.૧૫૮૦/સં. ૧૬૩૬, આસો વદ ૭, રવિવાર) તથા ‘નાગલકુમાર નાગદત્તનો રાસ’ (ર.ઈ.૧૫૭૬/સં. ૧૬૩૨, આસો સુદ ૫, શુક્રવાર)ના કર્તા. ‘શ્રેણિક-રાસ’નો ચતુર્થ ખંડ રચવાની અભિલાષા ત્રીજા ખંડમાં તેમણે વ્યક્ત કરી છે પણ તે ખંડ રચાયો કે નહીં તે જાણવા મળતું નથી. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી. [ગી.મુ.]

ભીમ-૫ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : વૈષ્ણવ કવિ. એમની ‘રસિકગીતા’(મુ.)માં વૈષ્ણવધર્મ સંસ્થાપક વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથજી (ઈ.૧૫૧૬-ઈ.૧૫૮૬)ની સ્તુતિની પંક્તિઓ મળે છે. એને આધારે કવિ ઈ.૧૬મી સદીના ઉત્તરાર્ધમાં હયાત હોવાનું કહી શકાય. કેટલાક વિદ્વાનો ઈ.૧૫૮૪ને ‘રસિકગીતા’નું રચનાવર્ષ ગણે છે પણ એને કૃતિનો કે અન્ય કોઈ આધાર નથી. આ ‘રસગીતા/રસિકગીતા/ભીમગીતા/ઉદ્ધવગીતા’ (મુ.) ૧૩૫/૧૪૫ કડીઓમાં લખાયેલું ઉદ્ધવસંદેશના વિષયનું ભાવસમૃદ્ધ અને પ્રાસાદિક કાવ્ય છે. આ ઉપરાંત ‘શ્રીવલ્લભનાથજીનું ધોળ’ તથા અન્ય પદ (કેટલાંક મુ.) આ ભીમને નામે મળે છે. કૃતિ : ૧. બૃકાદોહન : ૭ (+સં.); ૨. ભ્રમરગીતા-અન્ય કવિઓની વૈષ્ણવગીતાઓ અને ઉદ્ધવગોપી સંવાદોના પરિચય સમેત, સં. મંજુલાલ ર. મજમુદાર તથા અન્ય, ઈ.૧૯૬૪;  ૩. અનુગ્રહ, ફેબ્રુ. ૧૯૬૦-‘ભીમ વૈષ્ણવ’, ચીમનલાલ મ. વૈદ્ય. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨;  ૩. ગૂહાયાદી; ૪. ડિકૅટલૉગબીજે; પ. ફૉહનામાવલિ.[ર.સો.]

ભીમ(મુનિ)-૬ [ઈ.૧૬૪૩માં હયાત] : જૈન સાધુ. ૫૯ કડીના ‘વૈકુંઠપંથ’ (ર.ઈ.૧૬૪૩/સં. ૧૬૯૯ આસો-૨, બુધવાર; મુ.)ના કર્તા. કૃતિ : ૧. અત્મહિતશિક્ષા પદસંગ્રહ ઔર ચતુર્દશ નિયમાવલી, સં. યશોવિજયજી બનારસ જૈન પાઠશાલા, વીર સં. ૨૪૩૨; ૨. જૈપ્રપુસ્તક : ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧.[ગી.મુ.]

ભીમ-૭ [ઈ.૧૬૭૧મં હયાત] : આખ્યાનકાર. પાલનપુરના વીસા શ્રીમાળી વણિક જૈન. વાસણસુત. ૮૪૪ ચોપાઈના ‘નળાખ્યાન’ (ર.ઈ.૧૬૭૧)ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]

ભીમ-૮ [ઈ.૧૭૧૯માં હયાત] : જૈન. ૯ કડીના ‘નેમિજિન-સ્તવન’ (ર. ઈ.૧૭૧૯), ૧૪ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૧૯) અને ૧૦ કડીના ‘વાસુપૂજ્ય-સ્તવન’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]

ભીમ(સાહેબ)-૯ [જ.ઈ.૧૭૧૮/સં. ૧૭૭૪, ચૈત્ર સુદ ૯, બુધવાર] : રવિભાણ સંપ્રદાયના સંતકવિ. ત્રિકમદાસના શિષ્ય. જન્મ સૌરાષ્ટ્રના મોરબી પાસે આમરણ ગામમાં. જ્ઞાતિએ મેઘવાળના બ્રાહ્મણ (ગરોડા). પિતાનું નામ દેવજીભાઈ.માતાનું નામ વિરૂબાઈ. નિર્ગુણ ઉપાસનાનો બોધ કરતાં ને યૌગિક પરિભાષાનો ઉપયોગ કરતાં હિન્દી અને ગુજરાતીમાં એમનાં પદ અને સાખી (કેટલાંક મુ.) મળે છે. કૃતિ : ૧. યોગ વેદાન્ત ભજન ભંડાર, સં. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.) (+સં.); ૨. સૌરાષ્ટ્રના હરિજન ભક્તકવિઓ, નાથાભાઈ ગોહીલ, ઈ.૧૯૮૭ (+સં.); ૪. હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.). સંદર્ભ : ૧. ભાણલીલામૃત, સં. પ્રેમવંશ પુરુષોત્તમદાસ માધવસાહેબ, ઈ.૧૯૬૫; ૨. રામકબીર સંપ્રદય, કાન્તિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨. [શ્ર.ત્રિ.]

ભીમરાજ [ઈ.સ. ૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈન. ખરતરગચ્છના જિનવિજયસૂરિની પરંપરામાં ગુલાલચંદના શિષ્ય. તે સાધુ છે કે શ્રાવક તે નિશ્ચિત નથી. ‘શત્રુંજયઉદ્ધાર-રાસ’ (ર.ઈ.૧૭૬૦/સં. ૧૮૧૬, જેઠ સુદ-) તથા ૧૧ કડીના ‘લોદ્રવા-સ્તવન’ (ર.ઈ.૧૭૬૮)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૩(૧).[ગી.મુ.]

ભીમવિજય [                ] : જૈન. ૨૪ કડીના ‘નેમિજિનરાજિમતી-ભાસ’ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [ગી.મુ.]

ભુવનકીર્તિ : આ નામે ૮ કડીનું ‘કાયાજીવ-સંવાદ’ (લે.સં. ૧૮મી સદી અનુ.); ૮/૯ કડીનું ‘નેમિ-ગીત/નેમરાજીમતી-ગીત’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૯ કડીનું ‘બાહુબલિ-ગીત’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૯ કડીનું ‘વયરસ્વામી-ગીત’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૬ કડીનું ‘ઋષભદેવ-ગીત’ (લે. સં. ૧૯મી સદી), ‘પાર્શ્વનાથલઘુ-સ્તવન’, ૮ કડીનું ‘આત્મ-ગીત’, ૯ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વ-સ્તવન’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘શંખેશ્વર તીર્થ સમ્બન્ધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહટા;  ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપૂગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]

ભુવનકીર્તિ-૧ [ઈ.૧૫૨૩માં હયાત] : કોરંટગચ્છના જૈન સાધુ. નન્નસૂરિની પરંપરામાં કક્કસૂરિના શિષ્ય. ૯૧ કડીના ‘કલાવતીચરિત્ર’ (ર. ઈ.૧૫૨૩/સં. ૧૫૮૦, માગશર સુદ ૫, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ગી.મુ.]

ભુવનકીર્તિ(ગણિ)-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. ખેમશાખાના સ્થાપક. ક્ષેમકીર્તિની પરંપરામાં જ્ઞાનાનંદના શિષ્ય. ‘અઘટિતરાજર્ષિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૧/સં. ૧૬૬૭, કારતક સુદ ૫, ગુરુવાર), ‘ભરતબાહુબલિ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૧૫/સં. ૧૬૭૧, શ્રાવણ સુદ ૫, ગુરુવાર), ૫૫ કડીની ‘જંબુસ્વામીચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૩૫/સં. ૧૬૯૧, શ્રાવણ સુદ ૧૧), ‘ગજસુકુમાલ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૪૭/સં. ૧૭૦૩, મહા વદ ૧૧, ગુરુવાર), ‘અંજનાસુંદરી-રાસ’ (ર.ઈ.૧૬૫૦/સં. ૧૭૦૬, મહા સુદ ૩, ગુરુવાર), ૧૭ કડીના ‘સીમંધર સ્વામી-સ્તવન’ (ર.ઈ.૧૬૫૯)ના કર્તા. જ્ઞાનવિલાસના શિષ્ય લાવણ્યકીર્તિ સાથે ‘રામકૃષ્ણ-ચાપાઈ’ (ર.ઈ.૧૬૨૧/સં. ૧૬૭૭, વૈશાખ સુદ ૫)ની રચના પણ તેમણે કરી હતી. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો; ૬. મરાસસાહિત્ય; ૭. યુજિનચંદ્રસૂરિ;  ૮. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૯. ડિકૅટલૉગભાવિ; ૧૦ મુપુગૂહસૂચી; ૧૧. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]

ભુવનકીર્તિશિષ્ય [                ] : જૈન સાધુ. ૨૧ કડીની ‘અજિતનાથચરિત-ચતુષ્પદી’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ‘શ્રેણિક-રાસ’ તથા ‘શ્રીપાળ-રાસ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. દેસુરાસમાળા; ૩. મુપુગૂહસૂચી.[કી.જો.]

ભુવનપ્રભ(સૂરિ) [                ] જૈન સાધુ. ‘પર્યન્તારાધના-બાલાવબોધ’ (લે.સં. ૧૫મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]

ભુવનસુંદર(સૂરિ)શિષ્ય [ઈ.૧૪૩૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ૨૭ કડીની ‘તપગચ્છ-ગુર્વાવલી’ (ર.ઈ.૧૪૩૪; મુ.)ના કર્તા. કૃતિ : પસમુચ્ચય : ૨ (+સં.). [કી.જો.]

ભુવનસોમ(વાચક) [ઈ.૧૬૪૫માં હયાત] : ખરતરગચ્છની જિનભદ્રશાખાના જૈન સાધુ. સાધુકીર્તિની પરંપરામાં ધનકીર્તિના શિષ્ય. હર્ષસોમના નાનાભાઈ. ‘નર્મદાસુંદરી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૫/સં. ૧૭૦૧, વૈશાખ સુદ ૩, સોમવાર) અને ‘શ્રેણિકનો રાસ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [ગી.મુ.]

ભૂખણ/ભૂષણ [ઈ.૧૮૫૪ સુધીમાં] : વેલાળના રૈકવ બ્રાહ્મણ. ઈશ્વરભક્તિ અને વૈરાગ્યબોધનાં, ભુજંગી છંદમાં લખાયેલાં ૫ અષ્ટકો (કેટલાંક નવપદી, અગિયારપદી કે બારપદી પણ છે; મુ.), ‘અવલોક’ (લે.ઈ.૧૮૫૪), ‘જ્ઞાનકૂંચી’ (લે.ઈ.૧૮૬૦) એ નામનાં પદો તથા અન્ય કેટલાંક ભજનો અને પદો (કેટલાંક મુ.)ની તેમણે રચના કરી છે. આ ઉપરાંત હિંદીમાં લખાયેલા ઇતિહાસવિષયક કવિત્તમાં ભૂખણ/ભૂષણ એવી નામછાપ મળે છે. ‘એકાદશી-મહાત્મ્ય’ નામની કૃતિના કર્તા ભૂષણદાસને ‘કવિચરિત : ૩’ આ કવિથી જુદા ગણે છે પણ એને માટે કોઈ આધાર નથી. કૃતિ : ૧. કાદોહન : ૧ (+સં.); ૨. પ્રેમરસમાળા, પ્ર. ત્રિભોવન રૂ. જાની, ઈ.૧૮૬૬; ૩. બૃકાદોહન : ૧; ૪. બૃહત ભજનસાગર, પ્ર. પંડિત કાર્તાંતિક અને દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૫. ભક્તિ, નીતિ અને વૈરાગ્ય-બોધક કવિતા : ૧, પ્ર. મુંબઈ સમાચાર છાપખાના, ઈ.૧૮૮૭; ૬. ભજનસાગર : ૨; ૭. ભસાસિંધુ. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. ગૂહાયાદી; ૫. ડિકૅટલૉગબીજે; ૬. ફૉહનામાવલિ.[ર.સો.]

ભૂતનાથ [ઈ.૧૮૬૨] : ‘રસ-ગીતા’ (લે. ઈ.૧૮૬૨ સુધીમાં) તથા પદોના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૧.[કી.જો.]

ભૂધર : ભૂધરમુનિ નામના જૈન કવિને નામે ૮ કડીની ‘કામકંદર્પની સઝાય’ (મુ.) તથા ૧૧ કડીની ‘જીવદયા-છંદ’(મુ.) કૃતિઓ મળે છે પરંતુ તેમના કર્તા કયા ભૂધર છે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. ભૂધર નામના જૈનેતર કવિને નામે, ઉપમાદૃષ્ટાંતાદિમાં અખા ભગતની શૈલી સાથે સામ્ય ધરાવતું ૧૧૨ કડીનું ‘જ્ઞાનબુદ્ધ’, પ્રભુ વિરહના બારમાસનું ૧ પદ (મુ.), અધ્યાત્મબોધ, ભક્તિબોધ તથા કૃષ્ણ-ચરિત્રનાં પદો (કેટલાંક મુ.), ‘નારદનું ફૂલ (લે.ઈ.૧૭૯૦ એ ગુજરાતી કૃતિઓ ઉપરાંત શિવમહિમાનું ૧ હિંદી પદ(મુ.) મળે છે. આ પૈકી કોઈ કૃતિ ભૂધર-૧ની છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. કૃતિ : ૧. જૈસમાલા(શા) : ૧; ૨. જૈસસંગ્રહ(જૈ); ૩. નકાદોહન; ૪. નકાસંગ્રહ; ૫. ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. શાહ વૃંદાવનદાસ કા.; ઈ.૧૮૮૭; ૬. ભસાસિંધુ; ૭. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬-‘ગુજરાતી કવિનાં અપ્રસિદ્ધ કાવ્યો’, છગનલાલ વિ. રાવળ; ૩. ગૂહાયાદી; ૪. ડિકૅટલૉગબીજે; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ; ર.સો.]

ભૂધર-૧- [ઈ.૧૬૧૯માં હયાત] : ખંભાતના ઉદુમ્બર બ્રાહ્મણ. આ કવિ ખંભાતના વિષ્ણુદાસ અને શિવદાસના ગુરુ ભૂધર વ્યાસ હોવાની સંભાવના છે. આ કવિએ ‘હરિશ્ચંદ્રાખ્યાન’ (ર.ઈ.૧૬૧૯)ની રચના કરી છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ‘જાલંધરાખ્યાન’, રામલાલ ચુ. મોદી, [ર.સો.]

ભૂધર(મુનિ)-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. જસરાજના શિષ્ય. ‘જંબુકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૫૧), ૨૧ કડીની ‘અષ્ટકર્મ-તપાવલી-સઝાય’ (ર.ઈ.૧૭૬૧) તથા ‘ચિત ચેતવણી-ચોસઠી’ (ર.ઈ.૧૭૬૪/સં. ૧૮૨૦, શ્રાવણ-)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. મુપુગૂહસૂચી.[ગી.મુ.]

ભૂપત(?) [                ] : પદ્યમાં રચાયેલી ‘સંક્ષિપ્ત ભારત’ નામની કૃતિના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.[કી.જો.]

ભૂપતરાજ : [                ] ‘કૃષ્ણલીલા’ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.[કી.જો.]

ભૂમાનંદ [જ.ઈ.૧૭૯૬/સં. ૧૮૫૨, વૈશાખ સુદ ૭, રવિવાર-અવ.ઈ.૧૮૬૮/સં. ૧૯૨૪, મહા સુદ ૭, રવિવાર] સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. જામનગરના કેશિયા ગામે જન્મ. જ્ઞાતિએ કડિયા. પિતા રામજીભાઈ.માતા કુંવરબાઈ.મૂળનામ રૂપજીભાઈ.૧૪ વર્ષની નાની ઉંમરે માતા-પિતાના અવસાનથી નોકરીની શરૂઆત. નોકરીમાં થયેલી પ્રામાણિકતાની કસોટી. તેથી મનમાં રહેલો વૈરાગ્યભાવ વધુ દૃઢ બન્યો. ગઢડામાં દીક્ષા લઈ પહેલાં ભૂધરાનંદ અને પછી ભૂમાનંદ સ્વામી તરીકે ઓળખયા. હિન્દીનું પ્રશસ્ય જ્ઞાન. કવિએ ૪૦૦ જેટલાં પદો રચ્યાં હોવાનું અનુમાન છે, જેમાંના કેટલાંક મુદ્રિતરૂપે મળે છે. પ્રેમલક્ષણાભક્તિની કવિતાની સાથે અનુસંધાન ધરાવતાં ગુજરાતી-હિંદીમાં મળતાં પદોમાં કૃષ્ણરૂપવર્ણન, કૃષ્ણલીલા, ગોપીવિરહ વગેરે છે. કેટલાંક પદોમાં સહજાનંદચરિત્ર તથા ભક્તિવૈરાગ્ય છે. મધુર ભાવભરી પ્રાસાદિક વાણી અને એમાં રહેલા ગેયત્વથી પદો ધ્યાનાર્હ બન્યાં છે. તેમનાં હોરીઓ અને કુંડળિયામાં જ્ઞાનબોધ છે. થાળમાં ભોજનની વાનગીઓની માત્ર યાદીને બદલે ભાવવાહિતા છે. ૪૨ કડીનો કક્કો(મુ.) તથા બારમાસ એ રચનાઓ પણ એમની પાસેથી મળી છે. પૂર્વાર્ધના ૧૧૦ તરંગ (અધ્યાય કે પ્રકરણ)માં સહજાનંદ સ્વામીનું બાલચરિત્ર આલેખતી અને ઉત્તરાર્ધના ૧૦૧ તરંગમાં સહજાનંદ સ્વામીની ધર્મપ્રચરણ યાત્રાને અયોધ્યાપ્રસાદ અને રામશરણજીના સંવાદ રૂપે આલેખતી, દુહા-ચોપાઈ બંધમાં રચાયેલી ‘શ્રી ઘનશ્યામલીલામૃત-સાગર’ (મુ.) કવિની લાંબી કૃતિ છે. એ સિવાય ‘વિદુરનીતિ’ નામની કૃતિ પણ એમણે રચી હોવાનું કહેવાય છે. ‘દશમસ્કંધ’, ‘પંચમસ્કંધ’ અને ‘વાસુદેવ-મહાત્મ્ય’ એમની વ્રજમાં રચાયેલી કૃતિઓ છે. કૃતિ : ૧. ઘનશ્યામલીલામૃતસાગર, સં. નંદકિશોરદાસ પુરાણી, ઈ.૧૯૩૦ (+સં.); ૨. છપૈયાપુરે શ્રીહરિબાલચરિત્ર, પ્ર. પાર્ષદ માધવ ભગત, ઈ.૧૯૬૮; ૩. ભૂમાનંદ સ્વામીનાં કીર્તન,-;  ૪. કચ્છની લીલાનાં પદો, પ્ર. વ્રજલાલ જી. કોઠારી, ઈ.૧૯૪૨; ૫. કીર્તનસારસંગ્રહ : ૨, સં. હરિજીવનદાસ શાસ્ત્રી, ઈ.૧૯૫૨. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસાપઅહેવાલ : ૫; ૩. સ્વામિનારાયણ સંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસ, ઈ.૧૯૭૪ (બીજી. આ.);  ૪. ગૂહાયાદી; ૫. ડિકૅટલૉગભાવિ; ૬. ફૉહનામાવલિ.[ચ.મ.; શ્ર.ત્રિ.]

ભૂલો [                ] : ૧ પદ(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાકસુધા : ૨.[કી.જો.]

ભૂષણ/ભૂષણદાસ : જુઓ ભૂખણ.

ભેરવનાથ/ભેરવપરી [ ] : લોકસાહિત્યના કવિ. ભજન (૧ મુ.)ના કર્તા. કૃતિ : બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (૬ઠ્ઠી આ.); ૨. સતવાણી. [કી.જો.]

ભૈરઈદાસ [ઈ.૧૫મી સદી] : જૈન સાધુ. જિનભદ્રસૂરિના શિષ્ય. ૨ કડીના ‘જિનભદ્રસૂરિ-ગીત’ (ઈ.૧૫મી સદી; મુ.)ના કર્તા. કૃતિ : જૈમગૂકરચનાએં : ૧ (+સં.). [કી.જો.]

ભૈરવદાસ [                ] : તપગચ્છના જૈન સાધુ. ૬૮ કડીની ‘નવવાડ-ગીત’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, અગરચંદ નાહટા. [કી.જો.]

ભૈરું(શાહ) [                ] : તપગચ્છના જૈન. ‘શીલ-સઝાય’ના કર્તા. સંદર્ભ : *૧. ઓસવાલ નવયુવક વર્ષ : ૭, અંક : ૭; ૨. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૫૩-‘પૂર્વદેશ ચૈત્યપરિપાટી’ ભંવરલાલ નાહટા. [કી.જો.]

ભોજ : આ નામે ૧૯/૨૦ કડવાંનું ‘ચંદ્રહાસાખ્યાન’ (લે.ઈ.૧૭૦૭; મુ.) અને ૧૬ કડવાંનું ‘બભ્રુવાહન-આખ્યાન’ (લે.ઈ.૧૭૪૬) મળે છે. તેમના કર્તા કોઈ એક જ ભોજ છે કે જુદા તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. આ બંને આખ્યાનોના કર્તા સૂરત અને નવસારીમાં રહેલા કોઈ ભોજા ભક્ત હતા એવી સંભાવના વ્યક્ત થઈ છે, પરંતુ એને માટે કોઈ ચોક્કસ આધાર નથી. કૃતિ : બૃકાદોહન : ૮ (+સં.). સંદર્ભ : ૧. અનુવાક્, રમેશ શુકલ, ઈ ૧૯૭૬-‘સૂરતના સંત કવિ ભોજદાસ’; ૨. કવિચરિત : ૩; ૩. ગુસાઇતિહાસ ૨; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ;  ૬. ડિકૅટલૉગબીજે.[જ.ગા.]

ભોજ(ઋષિ)-૧ [                ] : સંભવત: લોંકાગચ્છના જૈન સાધુ. ‘જસવંતજીનો સંથારો’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ૧૧ કડીના ‘પારસનાથનું સ્તવન’(મુ.)ના કર્તા. લોંકાગચ્છમાં થયેલા જસવંતજી (જ.ઈ.૧૫૭૮-અવ. ઈ.૧૬૩૨)ની પરંપરાના શિષ્ય હોવાની શક્યતા છે. કૃતિ : લોંકાગચ્છીય શ્રાવકસ્થ સાર્થ પંચ પ્રતિક્રમણસૂત્ર તથા કેટલાંક સ્તવન, સઝાયો વગેરે પ્રકરણ, પ્ર. કલ્યાણચંદ જયચંદ, સં. ૧૯૩૯ (બીજી આ.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨)-જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]

ભોજલપુરી [                ] : બાવા. આ નામે મીરાંબાઈના જીવનવિષયક પ્રસંગને આલેખતું ૧ પદ(મુ.) મળે છે. કૃતિ : સમાલોચક, જુલાઈ-સપ્ટે. ૧૯૧૧-‘કેટલીક અપ્રસિદ્ધ કવિતા’, સં. છગનલાલ વિ. રાવળ. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.[ર.શુ.]

ભોજવિજ્ય [ઈ.૧૬૬૭માં હયાત] : જૈન. ૭૫ કડીના ‘મલ્લિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૬૭)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]

ભોજસાગર : આ નામે ‘સ્તવન-સંગ્રહ’ (લે.સં.૧૯મી સદી) તથા ૭ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ મળે છે. તેમના કર્તા કયા ભોજસાગર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]

ભોજસાગર (વાચક)-૧ [ઈ.૧૭૪૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ભાવસાગરસૂરિની પરંપરામાં વિનીતસાગરના શિષ્ય. રત્નશેખરસૂરિના મૂળ સંસ્કૃત ગ્રંથ ‘આચારપ્રદીપ’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૭૪૨/સં.૧૭૯૮, જેઠ વદ ૧૯, મંગળવાર), ૧૩ કડીની ‘વિજયરત્નસૂરિની-સ્તુતિ’(મુ.), ૧૫ અધ્યાયોમાં જૈન ફિલસૂફીનો ટીકા સહિતનો ‘દ્રવ્યાનુયોગતર્કણા’ નામનો ગ્રંથ, ‘રમલશાસ્ત્ર’(ર.ઈ.૧૭૪૨), ૧૮/૨૧ કડીની ‘રામસીતા-સઝાય/સીતા-સઝાય’ તથા ૮ કડીના ‘સિદ્ધચક્ર-સ્તવન’ એ કૃતિઓના કર્તા. કૃતિ : જૈઐકાસંચય-પ્રસ્તા. (+સં.). સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩-પ્રસ્તા; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. મુપુગૂહસૂચી. [ગી.મુ.]

ભોજો(ભગત)ભોજલ/ભોજલરામ [જ.ઈ.૧૭૮૫-અવ. ઈ.૧૮૫૦] : જ્ઞાનમાર્ગી કવિ. અવટંકે સાવલિયા. વતન સૌરાષ્ટ્રમાં આવેલું જેતપુર પાસેનું દેવકીગાલોળ. જ્ઞાતિએ લેઉઆ કણબી. પિતા કરસનદાસ. માતા ગંગાબાઈ.કેટલાંક કારણોસર ભાઈઓ સાથે અમરેલીની બાજુમાં આવેલા ચક્કરગઢમાં અને પછી ચક્કરગઢથી થોડે દૂર આવેલા એક ટીંબા પર વસવાટ. ટીંબાની આસપાસ વસેલું ગામ તે ફત્તેહપુર. આયુષ્યના અંતિમ દિવસોમાં પોતાના શિષ્ય જલારામની પાસે વીરપુરમાં અને ત્યાં જ અવસાન. કેટલાક ચમત્કારિક પ્રસંગો તેમના જીવનમાં બન્યા હોવાનું કહેવાય છે. નિરક્ષર, પરંતુ સંતોભજનિકોના સંગને લીધે શ્રુતપરંપરામાંથી મળેલા કાવ્યવારસાને આત્મસાત કરી કવિએ પોતાનાં જ્ઞાનદૃષ્ટિ અને કાવ્યસમજ ખીલવ્યાં છે. ભક્તિનો મહિમા એમની કવિતામાં છે, તો પણ નિર્ગુણની ઉપાસનાનો બોધ કરતી જ્ઞાનમાર્ગી કવિતાનો પ્રભાવ તેમણે સવિશેષ ઝીલ્યો છે. સગાળ શેઠ અને સંધ્યાવતીની પ્રભુનિષ્ઠા સુપેરે ઉપસાવતું અને કવિની કથનશક્તિનો સારો પરિચય આપતું ૫ કડવાંનું ‘ચેલૈયા-આખ્યાન’(મુ.), ઈશ્વરની ભક્તાધિનતા બતાવવા ૬ કડવાં ને ૧૪૧ કડીઓમાં ભક્તોની યાદી આપતી ‘ભક્તમાળ’(મુ.), યોગની પરિભાષામાં કુંડલિની જાગ્રત કરવાનાં સોપાન બતાવતી અને કુંડલિની જાગ્રત થયેલા મનુષ્યની જ્ઞાનદૃષ્ટિને વર્ણવતી ૩ કડવાંની ‘બ્રહ્મબોધ’(મુ.) અને અક્ષરની પરિભાષામાં વૈરાગ્યબોધ આપતી અને કાવ્યશક્તિની પ્રૌઢિનો અનુભવ કરાવતી ૫૯ કડીની ‘બાવનાક્ષરી’ (ર.ઈ.૧૮૩૨/સં.૧૮૮૮ ચૈત્ર સુદ-; મુ.) કવિની કંઈક લાંબી કહી શકાય એવી રચનાઓ છે. કવિની સાચી શક્તિનો પરિચય એમનાં મુદ્રિત રૂપે ઉપલબ્ધ થતાં ને હસ્તપ્રતનો આધાર બતાવતાં આશરે ૧૭૫ પદમાં થાય છે. આરતી, ધોળ, ભજન, મહિના, વાર, તિથિ, ચાબખા વગેરે વિવિધ રૂપે પ્રાપ્ત થતાં આ પદોમાં કેટલાંક સાધુશાઈ હિન્દીમાં કે વ્રજભાષાની અસરવાળાં છે. સદ્ગુરુનો મહિમા, સંસારના સુખોનું મિથ્યાત્વ ને એવાં સુખો પરત્વે વૈરાગ્ય કેળવવાનો બોધ, એવા સુખોમાં રચ્યાપચ્યા રહેતા અજ્ઞાની જીવો કે સાધુપણાનો ઢોંગ કરતા વૈરાગીઓ પર તીખા પ્રહારો, જીવનમુક્તનાં લક્ષણો, અભેદાનુભવનો આનંદ વગેરે આ પદના વિષય બને છે. પ્રેમલક્ષણા ભક્તિની અસરવાળાં પદોમાં ક્યાંક ભક્તિનો ઉદ્રેક અનુભવ છે તો ક્યાંક ભક્તિનો મહિમા ગવાય છે. પરંતુ કવિ જનસમાજમાં લોકપ્રિય છે તે તો તેમના ચાબખાથી. જ્ઞાનરૂપી વાણીની તીખાશ અને પ્રહારકતાને લીધે ચાબખા નામથી જાણીતાં આ પદોમાં સંસારીસુખનું મિથ્યાત્વ બતાવી એના પ્રત્યે વૈરાગ્યભાવ કેળવવાનો બોધ કવિ આપે છે ને ધર્મને નામે પાખંડ ચલાવતા ઢોંગી સાધુઓ પર પ્રહારો કરે છે. સૌરાષ્ટ્રની તળપદી બોલીના સંસ્કાર, રૂઢોક્તિઓ ને ઘણી જગ્યાએ યુદ્ધની પરિભાષાનો પ્રયોગ અને એ સૌને લીધે જોમવાળી ને ચોટદાર બનેલી વાણીથી આ ચાબખા સોંસરા ઊતરી જાય એવા વેધક બન્યા છે. અગમ્ય તત્ત્વના અનુભવને વ્યક્ત કરતાં કેટલાંક પદોમાં કવિએ પ્રયોજેલી યૌગિક પરિભાષા આમ તો પરંપરાગત છે, તો પણ કવિની એ પ્રકારના અનુભવની તાલાવેલીને વ્યક્ત કરતી સચ્ચાઈના બળવાળી બની શકી છે. કૃતિ : ૧. ભોજા ભગતનો કાવ્યપ્રસાદ, સં. મનસુખલાલ સાવલિયા ઈ.૧૯૬૫ (+સં.); ૨. ભોજા ભક્તની વાણી, સં. મનસુખલાલ સાવલિયા અને અન્ય, ઈ.૧૯૮૩ (+સં.); ૩. ભોજા ભગતના ચાબખા : ૧-૨, સં. કામેશ્વર એ. જોશી;  નકાદોહન; ૫. પ્રાકામાળા : ૫; ૬. પ્રાકાસુધા : ૪; ૭. બૃકાદોહન : ૧, ૫, ૬. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. ગુસારૂપરેખા : ૧; ૭. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ.૧૯૬૧-‘ધીરો, ભોજો અને ભજનસાહિત્યપ્રવાહ’; ૮. બૃકાદોહન : ૮;  ૯. માનસી, માર્ચ ૧૯૩૯-‘ભોજો ભક્ત’, સુરેશ દીક્ષિત;  ૧૦. ગૂહાયાદી; ૧૧. જૈગૂકવિઓ : ૩(૨). [ર.શુ.]

ભોલાદાસ [                ] : ‘વાર’ તથા પદના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી.[કી.જો.]

ભોલેરામ [ઈ.૧૭૦૫ સુધીમાં] : ‘ટપૂ-હરિયાલી’ (લે.ઈ.૧૭૦૫)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

ભોળાનાથ [                ] : ૩ ગરબીઓના કર્તા. સંદર્ભ : સાહિત્ય, જાન્યુ. ૧૯૧૬-‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ. [કી.જો.]

‘ભ્રમરગીતા’ [ર.ઈ.૧૫૫૩/સં.૧૬૦૯, વૈશાખ સુદ ૧૧, સોમવાર] : ભાગવતના ઉદ્ધવ-ગોપી પ્રસંગ પર આધારિત બ્રેહેદેવની ૪૦ કડવાં અને ૧૧ પદ (જેમાં કેટલાંક વ્રજમાં છે)માં રચાયેલી મધ્યકાલીન ગુજરાતીની આ જાણીતી રચના(મુ.) છે. કવિ કાવ્યને ‘રઢિયાલો રાસ સોહામણો’ કહે છે ખરા, પરંતુ રાસમાં આવતાં લાંબા કડવાંને બદલે કવિએ નરસિંહની ‘ચાતુરીઓ’ની પદ્ધતિએ નાનાં કડવાં પ્રયોજ્યાં છે. મુખ્યત્વે ઉદ્ધવ-ગોપી સંવાદ રૂપે ચાલતી આ કૃતિમાં કવિ પ્રસંગાલેખન અને ભાવનિરૂપણની બાબતમાં ભાગવતને અનુસરે છે. સ્ત્રીસહજ કોમળતા ને આભિજાત્યથી કૃષ્ણને અપાયેલો ઉપાલંભ, અને જ્ઞાનનો ઉપદેશ આપતા ઉદ્ધવનું ધ્યાન કુનેહપૂર્વક ગોકુળનાં વિવિધ સ્થળો બતાવવા નિમિત્તે એ સ્થળો સાથે સંકળાયેલી કૃષ્ણની સ્મૃતિ તરફ વાળી દેવામાં ગોપીઓનો કૃષ્ણ માટેનો ઉત્કટ પ્રેમ અને તજજન્ય વિરહ સુંદર રીતે વ્યક્ત થાય છે. “કાલા સઘલા હોએ કૂડિ ભરા” એ કડવાનો ઉપાલંભ ને “ઉદ્ધવ સાથિ સંદેશડું, કહાવિ રે ગોકુલની નારય” જેવું વિરહની ઉત્કટતાવાળું પદ એનાં નમૂના છે. દયારામનાં કોઈક પદો પર આ કૃતિની અસર દેખાય છે. કૃતિની ઉપલબ્ધ થતી અનેક હસ્તપ્રતો અને લોકપ્રિયતાની સૂચક છે.[જ.ગા.]

‘ભ્રમરગીતા-ફાગ’ [સંભવત: ૨. ઈ.૧૫૨૦] : ‘શ્રી કૃષ્ણગોપી-વિરહમેલાપકભ્રમરગીતા’ એ નામથી પણ ઓળખાવાયેલી ચતુર્ભુજની આ કૃતિ(મુ.)માં એકાંતરે આવતા દુહા અને છંદ (ઝૂલણાનો ૧૭ માત્રાનો ઉત્તરાર્ધ)ની ૯૯ કડી છે અને દુહાનાં કેટલાંક ચરણોમાં આંતરયમકનો પ્રયોગ થયેલો છે. ભાગવતના દશમસ્કંધમાંના ઉદ્ધવ-સંદેશના વિષયનું આ કાવ્ય પહેલી ૩૭ કડીમાં કૃષ્ણનું મથુરાગમન અને ત્યાં એમણે કરેલાં પરાક્રમો અને પૂર્વકથાને પણ સમાવી લે છે એ એની વિશેષતા છે. કૃષ્ણવિદાય વેળાની ગોપીઓની હૃદયવ્યથા, ઉદ્ધવ સમક્ષ નંદ-યશોદાનું કલ્પાંત, ઉદ્ધવને વિવિધ સ્થાનો બતાવતાં ગોપબાલોને થયેલું કૃષ્ણક્રીડાનું સ્મૃતિસંવેદન, ગોપીઓના કૃષ્ણ પ્રત્યેના ઉપાલંભો અને ઉદ્ધવને થતું ગ્રામવાસીઓના કૃષ્ણપ્રેમનું વિસ્મયકારી દર્શન આ સઘળું અહીં ચિત્રાત્મક અને ભાવવાહી રીતે આલેખાયું છે. આ કૃતિની લે. સં. ૧૬૨૨ મળતી હોઈ તેના પાઠમાં આવતા રચના-સમયનિર્દેશક ‘છિહુતરિ’ એ શબ્દને સં. ૧૫૭૬ (ઈ.૧૫૨૦) તરીકે ઘટાવવામાં આવેલ છે. [કા.શા.]