ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ

From Ekatra Wiki
Revision as of 12:16, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search




દર્શન(મુનિ) [               ]: જૈન સાધુ. ૫ કડીની ‘સમકિત-સઝાય’ના કર્તા. સંદર્ભ : ડિકૅટલોગભાવિ.[શ્ર.ત્રિ.]

દયા/દયો : આ નામોથી ૬૬ કડીની ‘સત્યભામાનું રૂસણું’ (મુ.) તથા ૯ કડીની શિવજીની સ્તુતિ (મુ.) મળે છે પરંતુ આ કૃતિઓના કર્તા કયા દયા છે તે વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. દેવી મહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭.[કી.જો.]

દયાકુશલ : આ નામે ‘મૌનએકાદશી-સ્તોત્ર’ (લે.ઈ.૧૬૨૬), ૪ કડીની ‘પાર્શ્વનાથની સ્તુતિ’ (મુ.) તથા ૮ કડીની ‘મુખવસ્ત્રિકા-સઝાય’ એ રચનાઓ મળે છે. આ કયા તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જૈકાપ્રકાશ : ૧. સંદર્ભ : ૧. લીંહસૂચિ; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]

દયાકુશલ-૧ [ઈ.૧૬મી સદી અંતભાગ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં કલ્યાણકુશલના શિષ્ય. વિજ્યસેનસૂરિ ઈ.૧૫૯૩માં ફતેહપુર સિક્રી ગયેલા ત્યારે આ કવિ સાથે હતા ને એમણે રચેલા ૧૪૧ કડીના ‘લાભોદય-રાસ/વિજ્યસેનસૂરિ-રાસ’ (ર.ઈ.૧૫૯૩)માં અકબરે વિજ્યસેનસૂરિનાં ઉપદેશથી કરેલાં કાર્યોનું અને તદનુષંગે અકબરના સ્વભાવ અને પ્રતાપનું વર્ણન છે. આ ઉપરાંત એમણે પૂર્વભારતનાં તીર્થસ્થળોનો મહિમા કરતી ૪૭ કડીની ‘તીર્થમાલા-સ્તવન/પૂર્વદેશચૈત્યપરિપાટી-સ્તવન’ (ર.ઈ.૧૫૯૨), ૮ ઢાળ અને ૬૦ કડીની ‘ત્રેસઠશલાકા પુરુષઆયુષ્યાદિ-બત્રીસસ્થાનક-વિચારગર્ભિત-સ્તોત્ર’ (ર.ઈ.૧૬૨૬; મુ.), હીરવિજયસૂરિના પદમહોત્સવનું વર્ણન કરતી ‘પદમહોત્સવ-રાસ’ (ર.ઈ.૧૬૨૯), ૨૩૩ કડીની ‘વિજ્યસિંહસૂરિ-રાસ’ (ર.ઈ.૧૬૨૯/સં. ૧૬૮૫, અસાડ સુદ ૧૫, રવિવાર), નેમિનાથમુખે દૃષ્ટાંતપૂર્વક જ્ઞાનપંચમીમહિમા વર્ણવતી ૩૦ કડીની ‘પંચમીનેમિજિન-સ્તવન/પંચમીતપ-સ્વન’ (મુ.) તથા ૫ કડીની વિજયદેવસૂરિ-સઝાય’ તથા ૫ કડીની ‘ગણધરનામ-સઝાય’ એ કૃતિઓ રચેલી છે. કૃતિ : ૧. ઐસમાલા : ૧; ૨. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯;  ૩. જૈન સત્યપ્રકાશ, નવે. ૧૯૪૬ - ‘મુનિરાજ દયાકુશલજી વિરચિત ત્રેસઠ સલાક પુરુષ આયુષ્યાદિ બત્રીસ સ્થાનક વિચારગર્ભિત સ્તવન’-સં. મુનિ રમણિકવિજય. સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩. મુનિ શ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૪;  ૨. જૈગુકવિઓ : ૧, ૩(૧); ૩. મૂપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]

દયાતિલક : આ નામે મળતા ૫ કડીના ‘(શંખેશ્વર)પાર્શ્વ-સ્તવ’ના કર્તા કયા દયાતિલક છે તે નક્કી થઈ શકે તેમ નથી. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭ - ‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહટા.[શ્ર.ત્રિ.]

દયાતિલક-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદસૂરિના શિષ્ય રત્નવિજયના શિષ્ય. ૧૭ ઢાળના ‘ધન્નાનો રાસ’ (ર.ઈ.૧૬૮૧/સં.૧૭૩૭, કારતક-), ‘વિક્રમાદિત્ય-રાસ’ અને ‘ભવદત્ત-ભવિષ્યદત્ત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૫/સં. ૧૭૪૧, જેઠ સુદ ૧૧ સ્વહસ્તાક્ષરની પ્રત)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[શ્ર.ત્રિ.]

દયાનિધિ [ ]: આ કવિએ શંકરની સ્તુતિને સાંકળીને કરેલી ૧૬ કડીની ‘પંદર-તિથિ’ (મુ.) તથા હિંદી મિશ્ર ગુજરાતી ભાષાનાં ૨ શંકરવિષયક પદો રચેલાં છે. કૃતિ: ૧ અભમાલા; ૨. અંબિકા કાવ્ય તથા શક્તિ કાવ્ય, પ્રકા. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.)[કી.જો.]

દયામેરુ [ઈ. ૧૮૨૪માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. ઉદયતિલકની પરંપરામાં કુશળકલ્યાણના શિષ્ય. ‘બ્રહ્મસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૮૨૪/સં. ૧૮૮૦, જેઠ સુદ ૧૦, બુધવાર)ના કર્તા. સંદર્ભ: જૈગૂકવિઓ: ૩(૧)[શ્ર.ત્રિ.]

દયારત્ન [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છની આચાર્ય શાખાના જૈન સાધુ. એમણે ઈ.૧૬૫૫માં આચારાંગની ૧ પ્રત વહોરેલી અને એમને વાચનાચાર્યની પદવી મળેલી એવો ઉલ્લેખ મળે છે. એમના ૪૩ કડીના ‘કાપરહેડા-રાસ’ (ર.ઈ.૧૬૩૯; મુ.)માં જિનચંદ્રસૂરિ ઈ.૧૬૧૪માં જોધપુર રાજ્યના કાપડહેડા ગામમાં ગયેલા તે પછી ત્યાં થયેલી સ્વયંભૂ પાર્શ્વનાથની ઉત્પત્તિ અને ઈ.૧૬૨૫માં થયેલી તેની પ્રતિષ્ઠાનો ઇતિહાસ વર્ણવાયેલ છે. એમણે સંસ્કૃતમાં ‘ન્યાયરત્નાવલિ’ રચી હોવાની માહિતી મળે છે. કૃતિ : ઐરાસંગ્રહ : ૩(+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧).[ર.ર.દ.]

દયારત્નશિષ્ય [               ]: જૈન સાધુ. ૮ કડીની ‘શ્રી દયારત્ન વાણારસ-ગીત’ના કર્તા. સંદર્ભ : જૈમગૂકરચનાએં.[કી.જો.]

દયારામ : આ નામે રામભક્તિનું ૧ પદ (મુ.) મળે છે તે કયા દયારામ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : રણછોડજીને અરજી તથા ભક્તિપોષણ વગેરે સુધા કાવ્ય, પ્ર. ગોવિંદલાલ રા. જાની. ઈ.૧૮૮૧.[કી.જો.]

દયારામ-૧/દયાશંકર [જ.ઈ.૧૭૭૭/સં. ૧૮૩૩, ભાદરવા સુદ ૧૧ ઉપર ૧૨, શનિવાર-અવ. ઈ.૧૮૫૩/સં.૧૯૦૯, મહા વદ ૫, સોમવાર] : પદકવિ. ચાણોદ (જિ. વડોદરા)ના વતની. જન્મ ચાણોદમાં કે મોસાળ ડભોઈમાં. જ્ઞાતિએ સાઠોદરા નાગર. પિતા પ્રભુરામ ભટ્ટ. માતા રાજકોર. જ્ઞાતિધર્માનુસાર ઇષ્ટદેવ હાટકેશ્વર પણ પિતાના સમયથી કુલધર્મ વૈષ્ણવ પુષ્ટિમાર્ગ. ૧૦-૧૨ વર્ષની ઉંમરે માતાપિતાનાં અવસાન થતાં દયારામને અન્ય કુટુંબીઓનો આશ્રય મળ્યો ને એમને ચાણોદ તથા મોસાળ ડભોઈ રહેવાનું થયું. ઉત્તરાવસ્થામાં એ ડભોઈમાં જ સ્થાયી થયેલા પરંતુ ક્યારથી એ પ્રમાણભૂત રીતે નિશ્ચિત થતું નથી. બાળપણમાં દયારામનું સગપણ થયેલું એવી માહિતી મળે છે, પરંતુ એમણે લગ્ન કર્યા નહીં અને પોતાનું સમગ્ર જીવન શ્રી કૃષ્ણસેવામાં સમર્પી અનન્યાશ્રયી પુષ્ટિમાર્ગીય મરજાદી વૈષ્ણવ તરીકે વીતાવ્યું. એમણે વલ્લભલાલજી મહારાજ પાસે બ્રહ્મસંબંધ લીધો હતો અને ત્રણ વાર ભારતયાત્રા તથા સાત વાર શ્રીનાથજીની યાત્રા કરેલી એમ કહેવાય છે. દયારામે ડાકોરનિવાસી પુષ્ટિમાર્ગીય વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ સાથે સંપર્ક - કદાચ નાનપણમાં જ - થયેલો. એમણે દયારામની પુષ્ટિભક્તિને દૃઢ બનાવેલી તથા સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાન સમજાવેલું તથા યાત્રાની પ્રેરણા આપેલી એમ કહેવાય છે. દયારામનું ઔપચારિક શિક્ષણ ઝાઝું હોય એમ દેખાતું નથી, પરંતુ એમણે ભાગવતાદિ પુરાણો, ગીતા-આદિ અન્ય ધર્મગ્રંથો, સાંપ્રદાયિક સાહિત્ય અને ભક્તિસાહિત્યોનો અભ્યાસ કર્યો હશે એમ એમના ગ્રંથો જોતાં સ્પષ્ટ સમજાય છે. દયારામના શિષ્ય-સેવકોમાં રતનબાઈ સોનારણ સાથેનો એમનો સંબંધ ચર્ચાસ્પદ બન્યો છે. એ બાળવિધવાએ દયારામની પ્રભુસેવામાં સહાય કરી હતી અને માંદગીમાં પરિચર્યા કરી હતી. રતનબાઈનો સંપર્ક, દયારામનો રંગીલો, શોખીન સ્વભાવ ભક્ત નહીં પણ પ્રણયી છે એવો આક્ષેપ થયો છે, પરંતુ દયારામની ગરબીઓ એક લાંબી પરંપરાનો વારસો છે અને દયારામે એમના જીવનકાળમાં પરમ ભગવદીય તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. દયારામ સુરીલો કંઠ ધરાવતા સંગીતજ્ઞ હતા અને એમની કીર્તનબેઠકો સંગીતસ્પર્ધામાં પલટાઈ જતી હશે એવું કેટલીક અનુશ્રુતિઓ બતાવે છે. એમની આ સંગીતજ્ઞતાનો લાભ એમની ગેય કવિતાને ભરપૂર મળ્યો છે. કવિ ૧૨ વર્ષની માંદગી ભોગવી ડભોઈમાં અવસાન પામ્યા. દયારામ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પ્રેમલક્ષણા ભક્તિધારાના કાળાનુક્રમે છેલ્લા અને ગુણવત્તાની દૃષ્ટિએ એક પ્રમુખ પ્રતિનિધિ છે. કાવ્યવાણીની અદોષતા, સ-રસતા અને અર્થઘનતાનો સ્વીકાર એમણે કર્યો છે એમ ‘સતસૈયા’ના ૧ દુહાને આધારે કહી શકાય, પણ તેઓ સ્પષ્ટપણે કહે છે કે કવિતા તો સાધન છે અને સાધ્ય છે શ્રીકૃષ્ણભક્તિ. આમ દયારામની સકલ અક્ષરોપાસનાના અધિષ્ઠતા શ્રીકૃષ્ણ છે. પુષ્ટિસંપ્રદાયમાં દૃઢ આસ્થા હોવાથી દયારામે પોતાની કૃતિઓમાં પુષ્ટિભક્તિને નિરૂપણવિષય બનાવી છે, એટલું જ નહીં પણ એમણે પુષ્ટિપથસ્થાપિત શુદ્ધાદ્વૈત વેદાંતનું પ્રતિપાદન કરતા અને અન્ય મતનું સાંપ્રદાયિક અભિનિવેશથી ખંડન કરતા ગ્રંથો રચ્યા છે. એમાં દયારામ પ્રતિપાદિત કરે છે કે બ્રહ્મ સત્ય છે અને જગત પણ સત્ય છે તેમ જ જીવ બ્રહ્મ નહીં, પરંતુ અંશી બ્રહ્મના અંશો છે ને મોક્ષ નહીં પણ પ્રેમભક્તિ દ્વારા પુરુષોત્તમરૂપ શ્રીકૃષ્ણની રાસલીલાનાં પ્રકટ દર્શન એ જ ચરમ લક્ષ્ય છે. જગતને અસત્ય, જીવ-બ્રહ્મને એક અને બ્રહ્મને નિર્ગુણ લેખનારને તેઓ ‘કાણો’ ‘ગમાર’ એવાં વિશેષણોથી નવાજે છે ! દયારામની પ્રામાણિક કૃતિઓ ઈ.૧૮૦૭ (‘અજામિલઆખ્યાન’)થી ઈ.૧૮૩૦ (માધવરામ વ્યાસને પદ્યરૂપે પત્ર)નાં રચનાવર્ષો દર્શાવે છે. પરંતુ રચ્યાસંવત ન ધરાવતી ઘણી કૃતિઓ આ પૂર્વે કેટલાક સમય પહેલાં અને આ પછી જીવનના અંતકાળ સુધી રચાયેલી હશે એમ માનવામાં બાધ નથી. એ રીતે દયારામનો કવનકાળ પચાસેક વર્ષનો ગણી શકાય. મુખ્યત્વે ગુજરાતી અને વ્રજ/હિંદીમાં ને કવચિત મરાઠી ને સંસ્કૃતમાં મળતી દયારામની કૃતિઓમાં એક મોટો ભાગ તો પદ-ગરબી પ્રકારની લઘુ રચનાઓનો છે, જે ૬૦૦ જેટલી થાય છે. અન્ય નાનીમોટી કૃતિઓ પણ ૩૦૦ જેટલી સંખ્યામાં મળે છે, જેમાંની ઘણી સાંપ્રદાયિક છે. કવિની દીર્ઘ કૃતિઓમાં સૌથી વધુ નોંધપાત્ર છે ‘પદ’ નામે ઓળખાવાયેલાં ૧૦૯ કડવાંની ‘રસિકવલ્લભ’(ર.ઈ.૧૮૨૮/સં.૧૮૮૪, શ્રાવણ સુદ ૧૧, ગુરુવાર; મુ.) કેવલાદ્વૈતસિદ્ધાંતનું ખંડન અને શુદ્ધાદ્વૈતસિદ્ધાન્તનું મંડન કરવાના ઉદ્દેશથી ગુરુશિષ્યસંવાદ રૂપે રચાયેલી આ કૃતિમાં દયારામનો સાંપ્રદાયિક તત્ત્વવિચારનો અભ્યાસ અને એની સંપ્રદાયનિષ્ઠા સબળ રૂપે વ્યક્ત થયાં છે ને પૌરાણિક દૃષ્ટાંતો તથા ઉપમાદિક અલંકારોથી કેટલીક લોકભોગ્યતા આવી છે તેમ છતાં કાવ્યની રસાત્મકતા એમાં આણી શકાઈ નથી. વ્રજભાષાનાં ઉદ્ધરણો ને કવિએ રચેલાં ૫ સંસ્કૃત શ્લોકો ધરાવતી, દુહા, કવિત એ રોળા છંદની ૧૮૨/૧૮૩ કડીની ‘પુષ્ટિપથરહસ્ય’  (મુ.) વલ્લભાચાર્ય અને તેમના કુળસમગ્રની સેવાપૂજાનું મહિમાગાન કરે છે ને પૌરાણિક તેમ જ ઔપમ્યમૂલક દૃષ્ટાંતોના તથા શબ્દચાતુર્યના વિનિયોગથી ધ્યાન ખેંચે છે. શ્રીકૃષ્ણવિષયક પ્રેમલક્ષણા ભક્તિનો એકાંતિક મહિમા કરતી, ૧૦૧ ચંદ્રાવળાની ‘ભક્તિપોષણ’  (મુ.)માં લોકભોગ્ય દૃષ્ટાંતનિયોજન છે. દુવૈયા છંદની ૭૦ કડીની, ‘નાટક’ તરીકે ઓળખાવાયેલી ‘બ્રાહ્મણભક્તિવિવાદ’  (મુ.)માં ૨ બ્રાહ્મણબંધુઓના સરળ રોચક સંવાદ રૂપે વેદવિહિત કર્મમાર્ગ કરતાં શ્રીકૃષ્ણ સેવાભક્તિમાર્ગ ચડિયાતો છે એવું પ્રતિપાદન થયું છે. ૧૬ કડીના ‘દ્વિદલાત્મક સ્વરૂપનો ગરબો’ (મુ.)માં સંપ્રદાયસંમત રાધાકૃષ્ણનું એકત્વ સુંદર દૃષ્ટાંતોથી સ્ફુટ કરવામાં આવ્યું છે. ૫૫ કડીનો ‘શુદ્ધાદ્વૈતપ્રતિપાદન-માયામતખંડનનો ગરબો’ (મુ.) પણ સાંપ્રદાયિક તત્ત્વવિચારની નાનકડી કૃતિ છે. આ પ્રકારની કેટલીક મુદ્રિત કૃતિઓ એમાં વ્યક્ત થતી વેદાંત-પુરાણાદિવિષયક વિદ્વત્તા, દયારામચરિત્રની બિનઆધારભૂત હકીકતો તેમ જ ધવલ ધન્યાસી રાગનો વિનિયોગ વગેરે જુદાં જુદાં કારણોથી દયારામની હોવાનું સંદિગ્ધ ગણવામાં આવ્યું છે. દયારામે ૧૩ વર્ષની ઉંમરે રચેલી ઠરતી, ૬૬ કડીની ‘તત્ત્વપ્રબંધ’ (ર.ઈ.૧૭૯૦/સં.૧૮૪૬, શ્રાવણ વદ ૮), ૩૨૨ કડીની ‘સદ્ગુરુ-સંતાખ્યાન’, ૩૬૭ કડીની ‘ભક્તિ દઢત્વ’, ૨૭૨ કડીની ‘ધર્મનીતિસાર’, ૧૮૬/૨૮૩ કડીની ‘શુદ્ધાદ્વૈતસિદ્ધાંત/શુદ્ધાદ્વૈતદર્શન’, ૧૮૦ કડીની ‘સારનિરૂપણ’, ૧૭૨ કડીની ‘પ્રેમભક્તિ’, ૧૫૦ કડીની ‘સિદ્ધાન્તસાર’, ૧૧૪ કડીની ‘નિ:સાધનતા’, ૮૪ કડીની ‘સારશિક્ષા’, ૮૧ કડીની ‘સ્વલ્પાપારપ્રભાવ’, ૭૨ કડીની ‘રસિકભક્ત’, સમશ્લોકી ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા-પ્રાકૃતભાષા-પદ્યબંધ’, ૧૧ ઢાળની ‘ગુરુશિષ્ય સંવાદ’ અને કેટલીક પ્રકીર્ણ કૃતિઓ. દયારામ પાસેથી ઘણી બોધાત્મક કૃતિઓ પણ મળે છે. એમાં ૫૨ કુંડળિયાની ‘પ્રબોધબાવની’(ર.ઈ.૧૮૧૪/સં. ૧૮૭૦, ફાગણ વદ ૩; મુ.) સૌથી વધુ નોંધપાત્ર છે. અનેક રસપ્રદ લોકાક્તિઓને આધારે સચોટ રીતે ભક્તિવૈરાગ્યવિષયક બોધ આપવામાં કવિનું કૌશલ પ્રગટ થાય છે. ૬૧ કડીની ‘ચિંતાચૂર્ણિકા’ (મુ.) મનુષ્યને પજવતી સર્વ ચિંતાઓમાંથી મુક્ત થવા શ્રીવલ્લભકુલોત્પન્ન ગુરુનું શરણ આદિ ઉપાયો પ્રબોધે છે અને ૩૩ કડીની ‘મનમતિ-સંવાદ’ (મુ.)માં મનને ભગવદ્ભક્તિ તરફ વળવાનો બોધ સદ્બુદ્ધિ દ્વારા અપાયો છે. આ બંને કૃતિઓ લોકગમ્ય દૃષ્ટાંતો ને લોકોક્તિઓના ઉપયોગથી નોંધપાત્ર બને છે. ૧૦૧ કડીની ‘શ્રીકૃષ્ણનામ મહાત્મ્ય માધુરી’ (મુ.) તથા ૭૧ કડીની ‘શ્રીકૃષ્ણનામમાહાત્મ્ય-મંજરી’ (મુ.) ભગવાનના નામસ્મરણથી નીપજતા પ્રભાવો વીગતે વર્ણવે છે, ૪૫૪ કડીની ‘હરિદાસચંદ્રિકા/હરિભક્તિચંદ્રિકા’ (મુ.) હરિભક્તનાં લક્ષણો વર્ણવી એનું મહિમાગાન કરે છે, ૧૯ + ૪૫ કડીની ‘શિક્ષાભક્તિવિનવણી’ (મુ.) ભક્તિ ને વિનવણીનો મહિમા વર્ણવે છે, તો ‘વિનયબત્રીસી’ (મુ.) ભગવાન પાસે કરેલી ધર્મમય જીવનની યાચના નિરૂપે છે. ૫૨ કડીની ‘ભક્તિવેલ’ (મુ.) તથા ૨૫ કડીની ‘શ્રીકૃષ્ણસ્તવનમંજરી’ (મુ.)માં ભક્તિબોધ નિમિત્તે ઈશ્વરી કૃપાનાં દૃષ્ટાંતો નોંધાયેલા છે, તો ૫૨ કડીની ‘કાળજ્ઞાનસારાંશ’ (મુ.)માં હરિભજન કરવાની પ્રેરણા મળે એ હેતુથી પુરાણકથિત મૃત્યચિહ્નો વર્ણવાયાં છે. ૧૩૧ કડીની ‘શિક્ષાપરીક્ષાપ્રદીપ’ (મુ.) ૬૦ કડીની ‘વ્યવહાર ચાતુરીનો ગરબો’ (મુ.), ૩૬ કડીની ‘ભક્તિદૃઢાવનો ગરબો’(મુ.), આ ઉપરાંત ૩૫ કડીની ‘ચેતવણી’(મુ.), ૫૧ કડીનો માધવરામ વ્યાસને પત્ર (ર.ઈ.૧૮૩૦/સં.૧૮૮૬ ચૈત્ર વદ ૩, રવિવાર; મુ.) તથા અન્ય કેટલીક બોધાત્મક કૃતિઓ આ કવિની મળે છે. ‘પ્રાચીનકાવ્યમાળા : ૧૩’ માં મુદ્રિત ‘કવિત’ નામે ઓળખાવાયેલા મનહર છંદની ૯ કડીની ‘મૂર્ખલક્ષણાવલિ’ તથા ૧૦૫ કડીની ‘વ્રજમહિમાનો ગરબો’ અભિવ્યક્તિની દૃષ્ટિએ દયારામના કર્તૃત્વ વિશે શંકા જગાડે એવી કૃતિ છે. બીજી કૃતિમાં તો કવિના પિતાનું નામ પણ ‘પ્રભાશંકર’ નોંધાયું છે ! દયારામની તત્ત્વવિચારાત્મક અને બોધાત્મક કૃતિઓની સાથે એમની નામસંકીર્તનાત્મક કૃતિઓ પણ ઉલ્લેખનીય છે. આ પ્રકારની ૧૯ કૃતિઓ મુદ્રિત મળે છે, જે ૬-૭થી ૬૬ જેટલી કડીઓમાં વિસ્તરે છે. એમાં ‘શ્રીકૃષ્ણઅષ્ટોત્તરનામચિંતામણિ’ વગેરે શ્રીકૃષ્ણનામમાળાઓની બહુલતા છે. પણ તે ઉપરાંત ગુરુનામ, ભક્તનામ વગેરેનું પણ એમાં સંકીર્તન છે. ‘પુરુષોત્તમ-પંચાગ’ને નામે ઓળખાવાયેલી કૃતિમાં ‘શ્રીવલ્લભઅષ્ટોત્તર-શતનામ’ ‘શ્રીરાધાઅષ્ટોત્તરશતનામ’ અને ‘શ્રી વ્રજભક્તઅષ્ટોત્તરશતનામ’નો સમાવેસ થયો છે. કવિની આ પ્રકારની કૃતિઓના વિષયવ્યાપનો ખ્યાલ ૮૪ અવતાર, ૮૪ કે ૨૫૨ વૈષ્ણવ, મહાપ્રભુની ૮૪ બેઠકો ને વલ્લભના પરિવારની એ નામયાદી કરે છે ને એમનો મહિમા ગાય છે તે પરથી આવશે. ભુજંગપ્રયાત, દુવૈયા, નારાચ, સવૈયા આદિ વિવિધ છંદોમાં વહેતી આ સંકીર્તનવાણી કવિની નામશબ્દોની સમૃદ્ધિ અનેૈ વર્ણવિન્યાસકુશલતાની દૃષ્ટિએ ધ્યાન ખેંચે છે અને એમના ભક્તહૃદયની સાથે સાથે કવિસંગીતજ્ઞ-વ્યક્તિત્વને ઉપસાવે છે. દયારામે ‘રસિકવલ્લભ’ જેવી સાંપ્રદાયિક વિચારણાની કૃતિઓમાં આખ્યાનનો કડવાબંધ પ્રયોજ્યો છે તે ઉપરાંત પૌરાણિક કે ભક્તચરિત્રવિષયક વૃત્તાન્તોને વણી લેતી કેટલીક આખ્યાનાત્મક રચનાઓ પણ આપી છે. દયારામના કડવાં સાઠેક કડીઓ સુધી વિસ્તરતાં જોવા મળે છે અને ‘કડવા’ માટે કેટલીક વાર ‘મીઠા’ નામ પ્રયોજાય છે. બહુધા સીધું કથાકથન કરતાં એમનાં મોટાં ભાગનાં આખ્યાનો ભાગવતાધારિત છે. એમાં ૫ મીઠાંનું ‘નાગ્નજિતીવિવાહ’(મુ.) પ્રૌઢિયુક્ત કથનશૈલી, નાગ્નજિતીના મનોભાવોના આલેખનને હાસ્યનિરૂપણની લેવાયેલી તકથી, ૯ કડવાંની ‘અજામિલાખ્યાન’ (ર.ઈ.૧૮૦૭/સં. ૧૮૬૩, ભાદરવા સુદ ૧૫, બુધવાર; મુ.) પુરાણાદિનાં સૂત્રો ઉદ્ધૃત કરીને અપાયેલા વિસ્તૃત ભક્તિબોધથી અને ૮ કડવાંની ‘સત્યભામાવિવાહ’ (મુ.) ભોજનાદિના વીગતપ્રચુર વર્ણનોથી ધ્યાનાર્હ બને છે. વર્ણન, સ્તુતિ, કથાકથન બધાંમાં પ્રસ્તાર બતાવતું ‘વૃત્રાસુરનું આખ્યાન’ (મુ.), ૧૯ કડવાંએ અધૂરું રહેલું છે. ૩ મીઠાંનું ‘રુકિમણીવિવાહ/હરણ’ (મુ.), ૩ કડવાનું ‘રુકિમણીસીમંત’ (મુ.), ૩૭ કડીનું ‘મીરાં-ચરિત્ર’ (મુ.) અને ૨૩ કડીનું ‘કુંવરબાઈનું મામેરું’ પ્રાસાદિક અભિવ્યક્તિ ધરાવતી પણ એકંદરે સીધું કથાકથન કે પ્રસંગવર્ણન કરી જતી કૃતિઓ છે. દયારામની આ આખ્યાનરચનાઓમાં સાંસ્કૃતિક અધ્યયનની કેટલીક સામગ્રી છે, પરંતુ કલાદૃષ્ટિએ એમણે એમાં કોઈ વિશિષ્ટ સિદ્ધિ દાખવી નથી. એ કૃતિઓનું ભાષારૂપ તળપદા ને લોકબોલીના શબ્દો, કહેવતો, ઉપમાદિ અલંકારો ને શબ્દાલંકારોની પ્રચલિત લઢણોથી બંધાયેલું છે. દયારામની કેટલીક વિશિષ્ટ કથાત્મક રચનાઓ પણ મળે છે. ‘શ્રીમદ્ભગવદ્ગીતામાહાત્મ્ય’ (ર.ઈ.૧૮૨૩/સં.૧૮૭૯, શ્રાવણ વદ ૮, મંગળવાર; મુ.)માં એકેએક અધ્યાયનો મહિમા પ્રગટ કરતી ૧૮ અલગઅલગ કથાઓ રજૂ કરવામાં આવી છે, તો ૧૩૧ કડીની ‘દશમસ્કંધલીલાનુક્રમણિકા’ને અન્ય ૨ લઘુકૃતિઓ (મુ.) દશમસ્કંધના કથાપ્રસંગોનો ક્રમશ: ઉલ્લેખ કરે છે. ૨૭ કડીની ‘શ્રીકૃષ્ણ ઉપવીત/જનોઈ’ (મુ.) ઉપરાંત કેટલાક ગરબાઓ શ્રીકૃષ્ણના આ જીવનપ્રસંગોનું વર્ણન કરે છે. જેમ કે, ૫૬ કડીનો ‘શ્રીકૃષ્ણપ્રાગટ્ય/જન્મખંડનો ગરબો (મુ.) શ્રીકૃષ્ણના જન્મપ્રસંગને વર્ણવે છે, ૩૪ કડીનો ‘મોહિનીસ્વરૂપનો ગરબો’ (મુ.) મહાદેવને શ્રીકૃષ્ણે મોહિનીસ્વરૂપ બતાવેલું તે પ્રસંગને આલેખે છે ને વિસ્તૃત સૌન્દર્યવર્ણનનો આશ્રય લે છે તો ૧૪ કડીનો ‘અદલબદલનો શૃંગારનો ગરબો’ (મુ.) કૃષ્ણરાધા એકબીજાનો વેશ પહેરે છે તે પ્રસંગનું નિરૂપણ કરે છે. ગોપીના કાત્યાયનીવ્રત અને વસ્ત્રહરણના પ્રસંગને આલેખતા ૧૭ અને ૬૧ કડીના ૨ ગરબા (મુ.), કૃષ્ણના ચરિત્રથી રિસાયેલી રાધાને મનાવવા જતી લલિતાનો પ્રસંગ આલેખતો, ૩૪ કડીએ અપૂર્ણ રહેલો ‘માનલીલાનો ગરબો’ (મુ.) એક, કૃષ્ણની બાળચેષ્ટાઓને આલેખતો અને બીજો ગોપીની ફરિયાદના પ્રસંગને આલેખતો એવા ૨૬-૨૬ કડીના ૨ બાળલીલાના ગરબા (મુ.) તથા રાસલીલાના આખાયે પ્રસંગને હૃદયંગમ રીતે આલેખતા ૨ ગરબા (મુ.) - ૩૩ કડીનો ‘રાસલીલાનો ગરબો’ તથા ૨૦૨ કડીનો ‘રાસપંચાધ્યાયીનો ગરબો’ દશમસ્કંધ આધારિત અન્ય વૃતાન્તમય રચનાઓ છે. ૫૭ કડીનો ‘વિરુદ્ધધર્માશ્રય એ અકળચરિત્રનો ગરબો’ (મુ.) પૌરાણિક અવતારો રૂપે ભગવાને કરેલાં વિરુદ્ધ કાર્યોને વર્ણવતી લાક્ષણિક કૃતિ છે. પ્રસંગવર્ણનાત્મક અન્ય દીર્ઘકૃતિઓમાં ભુજંગપ્રયાતની ૧૯૮મી કડીએ અપૂર્ણ, શ્રીકૃષ્ણરૂપવર્ણન, વૃંદાવનવર્ણન અને રાસલીલાવર્ણનને સમાવતી ‘શ્રીકૃષ્ણસ્તવન માધુરી’ (મુ.)નો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. જેમાં હનુમાન અને ગરુડ એકબીજાના સ્વામીઓ રામ અને કૃષ્ણના જીવનની પુરાણપ્રસિદ્ધ હકીકતોનો આધાર લઈ એમની નિંદા કરે છે અને અંતે રામકૃષ્ણનું એકત્વ સૂચવાય છે એ લાવણીની ૪૧ કડીનો વિનોદાત્મક ‘હનુમાન ગરુડ-સંવાદ’ (મુ.) પણ વિશિષ્ટ પ્રકારની વૃત્તાન્તગર્ભિત રચના છે. વસ્તુકથન માટે ૧ પદ ટૂંકું પડતાં અનેક પદમાળા રૂપે વિકાસ પામેલ કેટલીક કૃતિઓ પણ દયારામ પાસેથી મળે છે. એમાં ભાગવત-દશમસ્કંધ-આધારિત ઉદ્ધવસંદેશનો પ્રસંગ આલેખતી ૨૧ પદની ‘પ્રેમરસ-ગીતા’(મુ.) વત્સલ, વિપ્રલંભ અને કરુણના અસરકારક આલેખન તેમ જ તળપદી વાગ્ભંગીઓ ને દૃષ્ટાંતોની મર્મવેધકતાથી સૌથી વધુ નોંધપાત્ર બનતી કૃતિ છે. દયારામનાં મળતાં પદોમાં વત્સાસુરવધ જેવા પ્રસંગોનું વર્ણન એકથી વધુ પદોમાં વિસ્તરતું હોય એવું પણ જોવા મળે છે. ‘પ્રાચીન કાવ્યમાળા : ૧૩’માં મુદ્રિત કેટલીક વૃત્તાન્તાત્મક કૃતિઓ હસ્તપ્રતની અપ્રાપ્યતા તથા આંતરિક સામગ્રી ને અભિવ્યક્તિગત પ્રમાણોથી દયારામની હોવાનું સંદિગ્ધ લેખાયું છે તેમાં ૨૧ પદની ‘પત્રલીલા’ (ર.ઈ.૧૮૦૬), ૫ પદની ‘મુરલીલીલા’, ૧૨ પદની ‘રૂપલીલા’ તેમ જ સૂરદાસમાંથી અનુવાદ રૂપે રચાયેલી ૨ કૃતિઓ - ૬૪ પદની ‘કમળલીલા’ તથા ૧૧૧૭ કડીની ‘સારાવલી’ (ર.ઈ.૧૮૨૪/સં. ૧૮૮૦, શ્રાવણ સુદ ૧૨, રવિવાર) - નો સમાવેશ થાય છે. દયારામે ઘણાં મધ્યકાલીન પરંપરાગત કાવ્યરૂપો પ્રયોજ્યાં છે. ૧૨ કડી ઉપરાંત શાર્દૂલવિક્રીડિત અને માલિનીવૃત્તના ૧-૧ શ્લોકમાં પ્રત્યેક ઋતુનો સંદર્ભ ચિત્રાત્મક રીતે વર્ણવતી ‘ષડ્ઋતુવર્ણન’(મુ.) રાધાવિરહને નિરૂપતી વિશિષ્ટ રચના છે. એમાં વર્ષાઋતુથી માંડી પ્રત્યેક ઋતુમાં રાધાની વિરહવ્યથા ઉત્તરોત્તર ઉત્કટતા પામતી જાય છે અને અંતે ગ્રીષ્મમાં શ્રીકૃષ્ણનાં ભાવાત્મક દર્શન કરીને વિરહમુક્તિ અનુભવાય છે એવો વિકાસક્રમ આલેખાયો છે. મહિના-વિષયક દયારામની ૪ રચનાઓ (મુ.) છે. તેમાં ૬૧ કડીની ‘રસિયાજીના મહિના’ સૌથી વધુ નોંધપાત્ર કૃતિ છે. એમાં પ્રકૃતિનાં ને નાયિકાની સ્થિતિનાં વિરોધોનાં માર્મિક ચિત્રો ઉપસાવાયાં છે ને લાક્ષણિક સ્ત્રી-મનોભાવોને અભિવ્યક્તિ મળી છે. બીજી અગત્યની કૃતિ પુરુષોત્તમ માસ સાથે ૧૩ માસના વિરહભાવનું હૃદયંગમ વર્ણન કરતી ‘કૃષ્ણવિરહના/રાધિકાવિરહના દ્વાદશમાસ’ છે. એમાં પ્રત્યેક માસનું વર્ણન દુહાની ૫ કડી અને ૧ શ્લોકમાં થયું છે. મહિનાવિષયક અન્ય ૨ કૃતિઓ તે ૧૫ કડીના ‘તેરમાસ’ તથા ૧૨ કડીના ‘વહાલમજીના મહિના’. તિથિ-પ્રકારની દયારામની ૨ રચનાઓ (મુ.) મળે છે - ‘પંદર તિથિનો ગરબો’ અને ‘સોળ તિથિઓ-હીરાવેધ’. બંનેમાં ગોપીના વિરહભાવ ને કૃષ્ણપ્રેમના અનુભવનું આલેખન છે, પણ બીજી રચના તિથિઓના શ્લેષપૂર્વક થયેલા ઉલ્લેખથી જુદી તરી આવે છે. ‘સાત વાર અને માનચરિત્રનો ગરબો’માં પણ વારનાં નામો શ્લેષપૂર્વક ગૂંથાયાં છે. એમાં રિસાયેલી રાધાને સખીની સમજાવટ વર્ણવાયેલી છે. ૩૧ કડીનો ‘મન પ્રબોધનો કક્કો’ (મુ.) બોધાત્મક કૃતિ છે. દયારામનો કવિપદયશ જેના પર વિશેષે નિર્ભર છે એવું એમનું સર્જન તો છે લગભગ ૬૦૦ની સંખ્યાએ પહોંચતી ગરબો-ગરબી-ધોળ આદિ પ્રકારની લઘુ પદ રચનાઓ (ઘણી મુ.), જેમાંની કેટલીક રચનાઓની નોંધ આગળ લેવાઈ ગઈ છે. એ સિવાય, મનોરમ દૃષ્ટાંતકળાથી પ્રેમના ગૂઢ, ગહન સ્વરૂપની ઊંડી સમજ વ્યક્ત કરતો ૨૯ કડીનો ‘પ્રેમપરીક્ષા’નામક ગરબો વગેરે અનેક સુંદર કૃતિઓ એમાં જડી આવે છે. દયારામની આ રચનાઓમાં કૃષ્ણવિષયક ભક્તિશૃંગારનું આલેખન કરતી અને હીંચના તાલને કારણે સમૂહગત નૃત્યક્ષમતા ને ગેયતા ધરાવતી પદરચનાઓ ગરબીઓતરીકે ઓળખાવાઈ છે. દયારામનાં એ સૌથી વધુ લોકપ્રિય એવાં ઊર્મિકાવ્યો છે. એમાં દયારામે કૃષ્ણ અને ગોપાંગનાઓનાં પરસ્પરના અનુરાગ, કામણ, રિસામણાં-મનામણાંની ભાવાવસ્થાઓને આત્મનિવેદન, સંવાદ, કથન જેવી વિવિધ અભિવ્યક્તિછટાઓમાં શબ્દસ્થ કરતાં ગુજરાતી ભાષાની ભાવક્ષમતાની જે ગુંજાયશો પ્રગટ કરી છે એ તેમનું અવિસ્મરણીય કવિકર્મ છે. અન્ય પદોઆત્મ-અનાત્મનો વિવેકબોધ, આત્મનિરીક્ષણ, વિનમ્રતા, પશ્ચાતાપ, દાસ્ય, દીનતા આદિ ભાવોને આલેખતાં ભક્તિવૈરાગ્યનાં પદો છે અને એમાંથી ઉત્કૃષ્ટ પુષ્ટિજીવ તરીકેનું દયારામનું વ્યક્તિત્વ પમાય છે. ૫૦૦ ઉપરાંત કડીઓમાં શૃંગારરસના આલંબનરૂપ નાયિકાભેદનું વિવરણ રજૂ કરતી અને મુખ્ય સ્વામિની રાધાનું સ્વરૂપ પ્રત્યક્ષ થાય એવો ઉદ્દેશ ધરાવતી ‘અલૌકિકનાયકનાયિકાલક્ષણ ગ્રંથ’  (મુ.) હિંદી રીતિધારાના લક્ષણગ્રંથોની પરંપરાની કૃતિ છે, જોકે ધવલધન્યાશ્રી રાગની આ કૃતિનું દયારામનું કતૃત્વ કે. કા. શાસ્ત્રીની દૃષ્ટિએ સંદિગ્ધ ગણાય. ગુજરાતી તથા વ્રજ/હિંદીમાં ચાલતી ‘ચાતુરચિત્તવિલાસ’ (મુ.) સમસ્યા, અવળવાણી આદિ કૂટ કાવ્યની શૈલીએ પુરાણાદિની કથાઓને, વ્યવહારચિત્રને ને કૃષ્ણમહિમાને રજૂ કરે છે. દયારામે જેમાં શ્રીજીના દર્શનના સ્વાપ્નિક અનુભવો વર્ણવ્યા હોય ને જાત સાથે ગોષ્ઠિ કરી હોય તેવી ૫૭ કડીની ‘સ્વાંત:કરણ સમાધાન’ વગેરે કેટલીક ફુટકળ પદ્યરચનાઓ ને ‘નિકુંજનાયક શ્રીનાથજીને વિનવણી’ (મુ.), ‘મનપ્રબોધ’, ‘પ્રત્યક્ષાનુભવ’ વગેરે ગદ્યરચનાઓ મુદ્રિત મળે છે એ દયારામના અધ્યાત્મ-અનુભવ અને અંતસ્તાપના નિવેદન રૂપે નોંધપાત્ર છે. દયારામની અન્ય ગદ્યરચનાઓમાં ૧૫ પ્રકરણની ‘પ્રશ્નોત્તરમાલિકા’ (મુ.) શિષ્યગુરુનાં ૧૫ પ્રશ્નોત્તરમાં ૪ વૈષ્ણવ મતો અને શાંકરવેદાંતના સિદ્ધાંતો રજૂ કરી શુદ્ધાદ્વૈત વેદાંત અને પુષ્ટિભક્તિ રીતિભાવનાનું સમર્થન કરે છે. દર્શનશાસ્ત્રના દુરુહ સિદ્ધાંતોની સુગમ સમજ આપતી આ કૃતિમાં કર્તાની બહુશ્રુત વિદ્વત્તાનો નિચોડ છે. ‘પ્રશ્નોત્તરમાળા’ (મુ.)માં ધર્મબોધ અને વ્યવહારબોધના ૧૦૮ ટૂંકા પ્રશ્નોત્તર છે, તો ‘હરિહરાદિસ્વરૂપ તારતમ્ય’ (મુ.)માં શિવજીની સામે શ્રીહરિનું પરબ્રહ્મપણું કેટલીક પૌરાણિક કથાઓના આધાર સાથે સ્થાપિત કર્યું છે. પદ્મપુરાણાન્તર્ગત ‘શ્રીમદ્ભગવદગીતા મહાત્મ્ય’ને એમણે ગુજરાતી ગદ્યમાં ઉતારેલ છે, તેમાંનાં ચરિત્રવર્ણનોમાં કથાકાર પુરાણીની શૈલી ધ્યાન ખેંચે છે. પોતાની વ્રજભાષાની કૃતિ ‘સતસૈયા’ તથા ગુજરાતી-વ્રજ કૃતિ ‘ચાતુરચિત્ત વિલાસ’ તેમ જ ગોપાલદાસના ‘વલ્લભાખ્યાન’ની ગદ્યટીકા (મુ.)માં શબ્દોના પર્યાયો આપી વિવરણપદ્ધતિએ અર્થોદ્ઘાટન કરવાનો પ્રયત્ન છે, જે અર્થ ક્યારેક ભાવાનુવાદ પણ બનતો દેખાય છે. ગદ્યમાં આ ઉપરાંત, દયારામ પાસેથી ‘વલ્લભનામ માહાત્મ્યનિરૂપણ’ (મુ.), ‘જ્ઞાનપ્રકરણ’ તથા ‘સત્સંગ વિશે’ની નોંધો (મુ.), ‘કલેશકુઠાર’ના ૩ દુહા પરની નોંધ (મુ.) અને અન્ય પ્રકીર્ણ રચનાઓ (કેટલીક મુ.) મળે છે. દયારામે વ્રજ-હિંદી ભાષામાં વિપુલ પ્રમાણમાં અને નોંધપાત્ર રચનાઓ કરી છે. એમાં ‘રસિકરંજન’ (મુ.) ‘સંપ્રદાયસાર’ (મુ.), ‘પુષ્ટિપથસારમણિદામ’ (મુ.), ‘સિદ્ધાંતસાર’ (મુ.) જેવી તત્ત્વવિચારાત્મક કૃતિઓ છે. આ પ્રકારની કૃતિ ‘ભક્તિવિધાન’ (મુ.) શોભાચંદ્રની કૃતિને જ મુખ્યત્વે સમાવતી હોય તેવી છે. એનું દયારામનું કર્તૃત્વ સ્થાપિત થતું નથી. ‘કલેશકુઠાર’ (મુ.), ‘કૌતુકરત્નાવલી’ (મુ.) વગેરે બોધાત્મક, તો ‘પુષ્ટિભક્તરૂપમાલિકા’ (મુ.) આદિ ઘણી નામમાળાઓ પણ એમણે રચેલી છે. ‘વિષ્ણુસ્વામીની પરચરી’ (મુ.), ‘અકલચરિત્રચંદ્રિકા’ અને ‘શ્રીમદ્ભાગવતાનુક્રમણિકા’ (ર.ઈ.૧૮૨૩/સં.૧૮૭૯, ફાગણ વદ ૨; મુ.) ચરિત્રવર્ણનાત્મક ને પ્રસંગવર્ણનાત્મક કૃતિઓ છે, તો શ્રીજી, ગુરુ આદિના માનસદર્શનના અનેક પ્રસંગોને વર્ણવતી ‘અનુભવમંજરી’ (મુ.), ‘પ્રમેયપચાવ’ (મુ.) આ બીજી કૃતિના સાંધણ સમી ‘સ્વાંત:કરણસમાધાન’ (મુ.) વગેરે કૃતિઓ આત્મકથાનાત્મક અને આત્મનિવેદનાત્મક છે. ‘વૃંદાવન વિલાસ’ (મુ.) જેવી વર્ણનાત્મક કૃતિઓ અને લાવણી, રેખતો આદિ અનેક પદ્યબંધોમાં ચાલતા ઘણાં પદો (મુ.) પણ દયારામે રચ્યાં છે. એમની ‘સતસૈયા’ (ર.ઈ.૧૮૧૬/સં.૧૮૭૨, ભાદરવા સુદ ૮ ગુરુવાર; મુ.) સુક્તિસંચયની કાવ્યપરંપરામાં કલાત્મકતા અને સરસતાની દૃષ્ટિએ અગત્યનું સ્થાન મેળવે એવી કૃતિ છે, તો એકથી ૧૦૮ સુધીની સંખ્યાઓ ધરાવતી વસ્તુઓની સૂચિ કરતી ‘વસ્તુવૃંદદીપિકા’ (ર.ઈ.૧૮૧૮/સં. ૧૮૭૪ શ્રાવણ વદ ૮; મુ.) અને ‘પિંગળસાર’ (મુ.) દયારામની બહુશ્રુતતાનો વિસ્મયકારક અનુભવ આપણને કરાવે છે. આ ઉપરાંત દયારામને નામે ‘વ્રજવિલાસામૃત’ (ર.ઈ.૧૮૨૬/સં.૧૮૮૨, આસો સુદ ૫; મુ.), ‘સપ્તભૂમિકા’, ‘રાગમાળા’, ‘તાલમાળા’ વગેરે કેટલીક કૃતિઓ નોંધાયેલી છે. સર્વ કૃતિઓ દયારામનું ભાષા અને પદ્ય પરનું પ્રભુત્વ દર્શાવે છે. દયારામે મરાઠીમાં ‘નરસિંહ મહેતાની હૂંડી’ (મુ.) અને સંસ્કૃતમાં સ્તોત્રાદિ પ્રકારની કૃતિઓ રચેલી મળે છે. કૃતિ : ૧. અનુભવમંજરી, સં. જીવણલાલ છ. જોશી, ઈ.૧૯૬૮; ૨. કૌતુકરત્નાવલી અને પિંગલસાર, સં. જીવનલાલ છ. જોશી, સં. ૧૯૯૫; ૩. દયારામ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૬૦ (+સં.); ૪. દયારામ કાવ્ય સુધા, સં. પ્રાણશંકર વૈ. વ્યાસ, ઈ.૧૯૧૬ (સં.); ૫. દયારામ કાવ્યામૃત, સં. રણછોડભાઈ હ. જોશી, નાથજીભાઈ ગિ. જોશી, ઈ.૧૯૪૯ (+સં.); ૬. દયારામકૃત કાવ્ય, પ્ર. નારાયણભિકશેટ, સખારામભિકશેટ, સં. ૧૯૩૨; ૭. દયારામકૃત કાવ્યમણિમાલા : ૧, સં. છોટાલાલ ગિ. જોશી, ઈ.૧૯૧૪ (+સં.); ૮. દયારામકૃત કાવ્યમણિમાલા-૨, સં. છોટાલાલ ગિ. જોશી, વસંતરામ હ. શાસ્ત્રી, ઈ.૧૯૧૬ (+સં.); ૯. દયારામકૃત કાવ્યમણિમાલા : ૩ અને ૪, સં. છોટાલાલ ગિ. જોશી, જગજીવનદાસ દ. મોદી, બંનેની ઈ.૧૯૨૪ (+સં.); ૧૦. દયારામકૃત કાવ્યમણિમાલા : ૫, નાથજીભાઈ ગિ. જોશી, વસંતરામ હ. શાસ્ત્રી, ઈ.૧૯૨૯ (+સં.); ૧૧. દયારામકૃત કાવ્યમણિમાલા : ૬, સં. નારાયણદાસ ૫. શાહ, ઈ.૧૯૪૮; ૧૨. દયારામ કૃત કાવ્યસંગ્રહ (૨ ભાગમાં) સં. નર્મદાશંકર લાલશંકર, ઈ.૧૮૬૦; ૧૩. દયારામકૃત ભક્તિનીતિ કાવ્યસંગ્રહ, પ્ર. હરજીવન પુરુષોત્તમ, ઈ.૧૮૭૬; ૧૪. દયારામ ગદ્યધારા, સં. કેશવરામ કા. શાસ્ત્રી, જીવનલાલ છ. જોશી, ભા. ૧ અને ૨ - ઈ.૧૯૮૧, ૩ - ઈ.૧૯૮૩; ૧૫. દયારામ રસથાળ, સં.જીવનલાલ છ. જોશી, સં. ૨૦૦૧; ૧૬. દયારામ રસધારા, સં. કેશવરામ કા. શાસ્ત્રી, જીવનલાલ છ. જોશી, ભા. ૧ - ઈ.૧૯૭૧, ર - ઈ.૧૯૭૩, ૩ અને ૪ - ઈ.૧૯૭૫, ૫ અને ૬ -ઈ.૧૯૮૧, ૨-ઈ ૧૯૭૩, ૩ અને ૪ - ઈ.૧૯૭૫, ૫ અને ૬ - ઈ.૧૯૮૧, ૯ - ઈ.૧૯૮૦; ૧૭. દયારામ રસસુધા, સં. શંકરપ્રસાદ છ. રાવલ, ઈ.૧૯૪૩ (+સં.); ૧૮. દયારામ વાકસુધા, સં. જીવનણલાલ છ. જોશી, ઈ.૧૯૪૧; ૧૯. દયારામ સતસઈ (સટીક), સં. અંબાશંકર નાગર ઈ.૧૯૬૮; ૨૦. દયારામ સાગર લ્હેરી, સં. જીવણલાલ છ. જોશી, સં. ૧૯૯૮; ૨૧. પુષ્ટિપથરહસ્ય, સં. ગોવિંદલાલ વાડિયાવાલા, સં. ૨૦૦૧ (+સં.); ૨૨. પુષ્ટિપથરહસ્ય તથા બીજું કાવ્યસાહિત્ય, પ્ર. ભક્ત કવિશ્રી દયારામભાઈ સ્મારક સમિતિ, સં. ૨૦૦૩; ૨૩. પ્રબોધબાવની, સં. માધવ મો. ચૌધરી, સં. ૨૦૦૬; ૨૪. પ્રશ્નોત્તરમાલિકા, સં. છગનલાલ હિ. જોશી, ઈ.૧૯૩૧ (+સં.); ૨૫. ભક્તવેલ, પ્ર. નટવરલાલ ઈ.દેસાઈ, ૧૯૫૦; ૨૬. ભક્તિપોષણ, પ્ર. શુદ્ધાદ્વૈત સંસદ, ઈ.૧૯૪૮ (સુધારેલી બીજી આ.); ૨૭. ભક્તિપોષણ, પ્ર. રણછોડદાસ વરજીવનદાસ, ઈ.૧૯૧૩ (બીજી આ.); ૨૮ રસિકવલ્લભ, સં. કેશવરામ કા. શાસ્ત્રી, ઈ.૧૯૬૧; ૨૯. રસિકવલ્લભ, સં. જેઠાલાલ ગો. શાહ. ઈ.૧૯૩૩, ઈ.૧૯૬૩; (સુધારેલી બીજી આ.) (+સં.); ૩૦. વ્રજવિલાસામૃત, પ્ર. ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, ઈ.૧૯૩૩;  ૩૧. પ્રાકામાળા : ૨, ૧૧, ૧૩, ૩૨. પ્રાકાસુધા : ૩; ૩૩. પ્રેમરસમાળા, પ્ર. બાજીભાઈ અમીચંદ, ઈ.૧૮૬૬; ૩૪. બૃકાદોહન : ૧, ૪, ૫ (+સં.), ૬;  ૩૫. અનુગ્રહ, માર્ચ-એપ્રિલ ૧૯૬૧-‘શ્રી દયારામભાઈનું અપ્રગટ સાહિત્ય’, સં. જીવણલાલ છ. જોશી; ૩૬. અનુગ્રહ, ફેબ્રુ. ૧૯૬૨-‘ધવલ ધનાશ્રી રાગના ત્રણ ગ્રંથો’, સં. જીવણલાલ છ. જોશી; ૩૭. અનુગ્રહ એપ્રિલ ૧૯૬૨-‘ભક્તલક્ષણ’, સં. જીવણલાલ છ. જોશી; ૩૮. અનુગ્રહ મે ૧૯૬૨ - ‘અનન્યશરણ-સ્વરૂપદર્શન’, સં. જીવણલાલ છ. જોશી; ૩૯. અનુગ્રહ, જુલાઈ અને ઑગસ્ટ. ૧૯૬૨ - ‘દયારામ ભાઈની વાણી’, સં. જીવણલાલ છ. જોશી; ૪૦. અનુગ્રહ, નવે. તથા ડિસે. ૧૯૬૨ અને જાન્યુ. તથા ફેબ્રુ. ૧૯૬૩ - ‘દયારામભાઈનો વાણીપ્રસાદ’, સં. જીવણલાલ છ. જોશી; ૪૧. પ્રાકાત્રૈમાસિક ઈ.૧૮૮૬ અં. ૩ - ‘ષડઋતુ’, ‘પ્રબોધબાવની’, ‘મનમતિસંવાદ’ (+સં.); ૪૨. એજન, ઈ.૧૮૮૮ અં. ૧ - ‘રાસ પંચાધ્યાયી’, ‘હરિભક્તચંદ્રિકા’ ૪૩. એજન, ઈ.૧૮૮૯ અં. ૨-‘રાધિકાવિરહના દ્વાદસમાસ’; ૪૪. એજન, ઈ.૧૮૮૯ અં. ૪-‘બ્રાહ્મણભક્તવિવાદનાટક’, ‘યમુનાજીની સ્તુતિ’, ‘પદો’, ‘રાધા અષ્ટોત્તર શતનામ’, ‘શ્રીકૃષ્ણ અષ્ટોત્તર શતનામચિંતામણિ’, ‘કૃષ્ણઉપવતી’; ૪૫. એજન, ઈ.૧૮૯૪ અં. ૧ - ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા માહાત્મ્ય.’ સંદર્ભ : ૧. કવિચર્ચામાળા : ૧-૨-૩. સં. ભોળાનાથ બા. કંથારિયા, ઈ.૧૯૨૪ (બીજી આ.); ૨. કવિ દયારામનો અક્ષરદેહ; ગોવર્ધનરામ મા. ત્રિપાઠી, ઈ.૧૯૦૮; ૩. કવિરત્ન દયારામની સંપૂર્ણ જીવનકથા, ત્રિભુવન જ. શેઠ, ઈ.૧૮૯૯; ૪. દયારામ, જગજીવનદાસ દ. મોદી, ઈ.૧૯૧૮; ૫. દયારામ, પ્રવીણ દરજી, ઈ.૧૯૭૮; ૬. દયારામ અને હાફેઝ, કૃષ્ણલાલ મો. ઝવેરી, ઈ.૧૯૦૧; ૭. દયારામ એક અધ્યયન, સુભાષ મ. દવે, ઈ.૧૯૭૦; ૮. ભક્તકવિશ્રી દયારામનું આંતરજીવન અથવા દિવ્ય અક્ષરદેહ, મૂલચંદ તુ. તેલીવાલા, જેઠાલાલ ગો. શાહ, ઈ.૧૯૩૧; ૯. દયારામ શતાબ્દી સ્મૃતિગ્રંથ શ્રદ્ધાંજલિ, સં. સી. સી. શાહ, વિનોદચંદ્ર ડા. પાઠક; ૧૦. બંસીબોલના કવિ યાને ભક્તકવિ શ્રી દયારામભાઈનું જીવનદર્પણ, જેઠાલાલ ગો. શાહ, ઈ.૧૯૬૩; ૧૧. ભક્તકવિ દયારામ, પુરોહિત લાભશંકર ધનજીભાઈ; ૧૨. આપણા સાક્ષરરત્નો : ૨, ન્હાનાલાલ દ. કવિ, ઈ.૧૯૩૫ - કવિવર દયારામભાઈ; ૧૩. (ધ) કલૅસિકલ પોએટ્સ ઑવ ગુજરાત, ગોવર્ધનરામ એમ. ત્રિપાઠી, *ઈ.૧૮૯૪, ઈ.૧૯૫૮ (ત્રીજી આ.); ૧૪. ગુમાસ્તંભો; ૧૫. ગુલિટરેચર; ૧૬. ગુસાઇતિહાસ : ૨; ૧૭. ગુસામધ્ય;  ૧૮. ત્રણ જ્યોતિર્ધરો, કે. કા. શાસ્ત્રી, ૧૯૭૩ - ‘દયારામ’, ‘ભક્તકવિ દયારામભાઈ’, ‘શ્રી દયારામભાઈના ગુરુ શ્રી વલ્લભજી મહારાજ,’ ‘ભક્તકવિ દયારામભાઈની કૃતિઓનો રચનાક્રમ’, ‘ભક્તકવિ દયારામને નામે ચડેલી કૃતિઓ’; ૧૯. એજન - ‘કૃષ્ણજન કવિ દયારામભાઈ,’ ‘સમીક્ષાને પંથે’, લે. જીવનલાલ છ. જોશી; ૨૦. થોડાંક રસદર્શનો સાહિત્ય અને ભક્તિનાં, કનૈયાલાલ મુનશી, સં. ૧૯૮૯ - ‘દયારામ ગુજરાતનો પ્રણયકવિ’; ૨૧. દિવાનબહાદુર કૃ. મો. ઝવેરી લેખસંગ્રહ, સંપા. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૫૧ - ‘દયારામ અને હાફેઝ’; ૨૨. નર્મગદ્ય, નર્મદાશંકર લા. દવે * પહેલી આ. ૧૮૬૫, ૧૯૭૫ - ‘કવિચરિત્ર’; ૨૩. સાહિત્ય અને વિવેચન-૨, કેશવલાલ હ. ધ્રુવ, ઈ.૧૯૪૧ - ‘કવિ દયારામ વિશે કંઈક અથવા દયારામનું પૂર્વજીવન’;  ૨૪. ગુર્જભારતી, જુલાઈ ઑગ. તથા સપ્ટે.-નવે. ૧૯૭૭ - ‘વિવિધ લેખકોના લેખો’; ૨૫. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૬૫ - ‘દયારામ ભક્ત અને પ્રણયી’ ચંદ્રકાન્ત ટોપીવાળા; ૨૬. વૈશ્વાનર વર્ષ ૧૦ અંક. ૧-૨ અને ૩-૪, દયારામ સ્મારકાંક-‘વિવિધ લેખકોના લેખો’;  ૨૭. ગૂહાયાદી; ૨૮. ફૉહનામાવલિ. સંદર્ભસૂચિ : ૧. ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ) સંપા. પ્રકાશ વેગડ, ઈ.૧૯૮૪; ૨. દયારામ એક અધ્યયન, સુભાષ મ. દવે, ઈ.૧૯૭૦; ૩. દયારત્નમાળા : ૧ અને ૨, સં. ભોળાનાથ બા. કંથારિયા, ઈ.૧૯૨૪ (ત્રીજી આ.) અને ઈ.૧૯૨૬. [સુ.દ.]

દયારામ-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] જ્ઞાનમાર્ગી સંતકવિ. રામચંદદાસના શિષ્ય. દીક્ષા ઈડરમાં. એમની સાખીઓ અમદાવાદમાં આરંભાઈ.આતરસુબામાં વિસ્તાર પામી વડોદરામાં પૂરી થઈ છે એટલે તેમનો નિવાસ મુખ્યત્વે મધ્ય ગુજરાતમાં હશે એમ સમજાય છે. કવિની કૃતિઓમાં મોટે ભાગે ‘દાસ દયારામ’ની નામછાપ મળે છે. ૨૭ કડીની ‘પ્રેમલતા’ (ર.ઈ.૧૮૨૫/સં. ૧૮૮૧, કારતક સુદ ૯), ૨૨ કડીની ‘વૈરાગ્યલતા’ (ર.ઈ.૧૮૨૫/સં. ૧૮૮૧, કારતક સુદ ૯), ‘ગુરુ-મહિમા’, ‘મનપ્રબોધ’ આ કવિની ગુજરાતી ભાષામાં રચાયેલી કૃતિઓ છે, જ્યારે ૩૩ કડીની ‘અનુભવપ્રકાશ’ અને ‘આત્મનિરૂપણ’ (લે. ઈ.૧૮૨૧) હિન્દી ભાષામાં રચાયેલી કૃતિઓ છે. ગુરુદેવ, સત્સંગ, સ્મરણ વગેરે નામનાં ૧૦૬ અંગો ધરાવતી સાખીઓ (ર. ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, જેઠ વદ-) ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં ચાલે છે અને સાદી સરળ અભિવ્યક્તિ ધરાવે છે. એમનાં પદો અને કીર્તનો પણ હિન્દી તેમ જ ગુજરાતી ભાષામાં રચાયેલાં છે જેમાં રાસપંચાધ્યાયીને લગતા ૩ પદ, અક્રૂરને થયેલા વિરાટદર્શનનું પદ તેમ જ અધ્યાત્મવિષયક અને ઉપદેશાત્મક પદોનો સમાવેશ થાય છે. અધ્યાત્મવિષયક પદોમાં રૂપકાદિકનો તેમ જ યૌગિક પરિભાષાનો આશ્રય લેવાયો છે. સંદર્ભ : ગુજરાતી, દીપોત્સવી અંક, ઑક્ટો. ૧૯૫૧-‘દાસ દયારામ’, કેશવરામ કા. શાસ્ત્રી.[કી.જો.]

દયારામ-૩ [               ]: જ્ઞાતિએ બ્રાહ્મણ’ ‘બાંણુવાની સાલ મધે’ એટલે સંભવત: સં. ૧૮૯૨ (ઈ.૧૮૩૬)માં રચાયેલા તેમના ૧૯૦ કડીના ‘સોલંકીનો ગરબો’ (મુ.)માં વજા સોલંકીને ત્યાં જન્મેલી પુત્રી, જેને પુત્ર તરીકે જાહેર કરી પરણાવવામાં આવે છે તે નારી મટીને નર બને છે તેનું વૃત્તાંત વીગતે વર્ણવાયું છે અને તે દ્વારા બહુચરાનો પ્રતાપ દર્શાવવામાં આવ્યો છે. આ નામે નોંધાયેલો ‘બહુચરાનો ગરબો’ પણ આ જ કૃતિ હોવાની સંભાવના છે. કૃતિ : ભગવતી કાવ્યસંગ્રહ : ૧, પ્ર. શા. ઉત્તમરામ ઉમેદચંદ્ર, ઈ.૧૮૬૭.[કી.જો.]

દયારુચિ(ગણિ) [ઈ.૧૭૭૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રૂપરુચિના શિષ્ય. દુહા-દેશીબદ્ધ ૨૧ ઢાળમાં સમેતશિખર અને તેની ટૂંકોનું વર્ણન તેમ જ એ ટૂંકો સાથે સંકળાયેલા તીર્થંકરોના ચરિત્ર અને મહિમાના આલેખન દ્વારા તીર્થમહિમા અને તદ્જન્ય ભક્તિનું પ્રાસાદિક શૈલીમાં નિરૂપણ કરતા ‘સમેતગિરિ ઉદ્ધાર-રાસ’ (ર. ઈ.૧૭૭૯/સં. ૧૮૩૫, મહા સુદ ૫ (?); મુ.)ના કર્તા. કૃતિ : સમેતશિખર મહાતીર્થ, સં. મુનિ અભયસાગર, સં. ૨૦૧૭ (+સં.).[ર.ર.દ.]

દયાવિજયશિષ્ય [ઈ.૧૮૨૭માં હયાત] : જૈન સાધુ. ૪ કડીની ‘સિદ્ધાચલજીની હોરી’ (ર.ઈ.૧૮૨૭/સં. ૧૮૮૩, મહા વદ ૧૩; મુ.)ના કર્તા. કૃતિ : ચૈત્યસંગ્રહ : ૨.[કી.જો.]

દયાશંકર-૧ [જ. ઈ.૧૭૭૭-અવ. ઈ.૧૮૫૩] : જુઓ દયારામ-૧.

દયાશંકર-૨ [ઈ.૧૮૭૫ સુધીમાં] : ૩૫૦ ગ્રંથાગ્રની ‘રુકિમણી સ્વયંવર’ તથા ‘સ્તવનમંજરી’ (લે. ઈ.૧૮૭૫ આસપાસ) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩; ફૉહનામાવલિ.[કી.જો.]

દયાશીલ(વાચક) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિની પરંપરામાં વિજયશીલના શિષ્ય. ૧૩૨ કડીની ‘દામનકચોપાઈ’ (ર.ઈ.૧૬૦૭/સં. ૧૬૬૩, જેઠ સુદ ૯), ૩૨ કુંડળિયોની ‘શીલબત્રીસી’ (ર. ઈ.૧૬૦૮), ‘ઈલાચીકેવલી-રાસ/ઈલાપુત્ર-રાસ’ (ર. ઈ.૧૬૧૦/સં. ૧૬૬૬, કારતક વદ ૫, સોમવાર), ૧૧૬ કડીનો ‘ચંદ્રસેન ચંદ્રદ્યોત-નાટકિયા-પ્રબંધ’ (ર.ઈ.૧૬૧૧), ૧૨ કડીનું ‘અંતરંગ કુટુંબ-ગીત’, ‘કાયા કુટુંબ સઝાય/ગીત’ અને અન્ય સાર્થ ગીતોના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઈ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. રાહસૂચી : ૧; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]

દયાસાગર(બ્રહ્મ)-૧ [ઈ.૧૬૬૫ સુધીમાં] : દિગંબર બ્રહ્મચારી સાધુ. ‘આરાધનાપ્રતિબોધ’ (લે. ઈ.૧૬૬૫)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો.[શ્ર.ત્રિ.]

દયાસાગર-૨/દામોદર(મુનિ) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં ઉધયસાગરના શિષ્ય. ૩૬૫ કડીની ‘સુરપતિકુમાર-ચોપાઈ’ (ર. ઈ.૧૬૦૯/સં. ૧૬૬૫, બીજા ભાદરવા સુદ ૬, સોમવાર), દુહાબદ્ધ ‘મદનશતક’ (ર.ઈ.૧૬૧૩) તથા ૫૬૮ કડીના ‘મદનકુમાર-રાસ/મદન નરેશ્વર ચંદ્ર શ્રેષ્ઠિ ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૩/સં. ૧૬૬૯, આસો સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]

દયાસાર [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ધર્મકીર્તિના શિષ્ય. ‘અમરસેન-વયરસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૦/સં. ૧૭૦૬, આસો સુદ ૧૦) અને ૧૧ ઢાળની ‘ઈલાપુત્ર-ચોપાઈ’ (ર. ઈ.૧૬૫૪/સં. ૧૭૧૦, ભાદરવા સુદ ૯)ના કર્તા. આરંભે જિનકુશલસૂરિને વંદના ધરાવતી ૨૭ ઢાળ અને ૬૨૯ કડીની ‘આરામનંદન પદ્માવતી-ચોપાઈ’ (ર. ઈ.૧૬૪૮)ના કર્તા પણ આ જ દયાસાર હોવાનું સમજાય છે. આ કૃતિ ભૂલથી ‘આરામશોભા-ચોપાઈ’ તરીકે ઉલ્લેખાયેલી છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. રાહસૂચી : ૧. [શ્ર.ત્રિ.]

દયાસિંહ(ગણિ) [ઈ.૧૪મી સદી અંતભાગ ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : વૃદ્ધતપાગચ્છ-રત્નાકરગચ્છના જૈન સાધુ. જયતિલસૂરિના શિષ્ય. આચાર્યપદ ઈ.૧૩૯૬. ૧૭૫૭ ગ્રંથાગ્રના ‘સંગ્રહણી પ્રકરણ-બાલાવબોધ’ (ર. ઈ.૧૪૪૧/સં. ૧૪૯૭, બીજા શ્રાવણ સુદ ૧૪, શુક્રવાર) તથા ૪૮૬૭ ગ્રંથાગ્રના ‘લઘુક્ષેત્રસમાસ પ્રકરણ-બહાલાવબોધ’ (ર.ઈ.૧૪૭૩/સં. ૧૫૨૯, મહાવદ ૧૧, શનિવાર)ના કર્તા. એમણે સંસ્કૃતમાં ‘મલયાસુંદરી-ચરિત્ર’ આદિ કેટલાંક ચરિત્રગ્રંથો ને સ્તવનો રચ્યાં હોવાની માહિતી મળે છે. સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિશ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૪;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.] દયાસૂર [ઈ.૧૮૦૪ સુધીમાં] : કર્તાનામ દયાસૂરિ હોઈ શકે અથવા ગુરુશિષ્યનાં નામ જોડાયેલાં હોય તો દયાશિષ્ય સૂર પણ હોઈ શકે. એમને નામને ‘સરસ્વતી-છંદ’ તથા ૪ કડીની ‘ચોવીસ જિનની થોય’ (લે. ઈ.૧૮૦૪) મળે છે. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાહસૂચી : ૧.[શ્ર.ત્રિ.]

દયાળદાસ [જ. ઈ.૧૭૭૯/સં. ૧૮૩૫, શ્રાવણ સુદ ૭ - અવ. ઈ.૧૮૬૧/સં. ૧૯૧૭, જેઠ સુદ ૫] : જ્ઞાનમાર્ગી સંતકવિ. નિરાંત મહારાજના શિષ્ય અને વડોદરામાં વાડીની જ્ઞાનગાદીના આયાર્ય. જન્મ કરમડી (તા. કરજણ). જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. પિતા કુબેરભાઈ.જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ આ કવિની મુદ્રિત કૃતિઓ આ પ્રમાણે મળે છે : કાયાનગરના મન-સૂબાની પુત્રી સુરતાબાઈના આત્મરામ સાથેના વિવાહને વર્ણવતું, ૭ ‘કડવાં’ નામક પદનું રૂપકકાવ્ય ‘સુરતાનો વિવાહ’, જ્ઞાનબોધના ‘બારમાસ’ તથા વિશ્વંભરનાથને નીરખી લેવાનો ઉપદેશ આપતા અધ્યાત્મ-અનુભવરંગી ‘બારમાસ’, આત્મબોધની અને સુરતીની એણ ૨ ‘તિથિ’, ‘સાતવાર’ તથા પ્રકીર્ણ પદો. ગરબી, ધોળ, કાફી વગેરે પ્રકારોમાં ચાલતાં અને ક્યારેક હિન્દીભાષાનો આશ્રય લેતાં એમનાં પદો મુખ્યત્વે અધ્યાત્મજ્ઞાનવિષયક છે. કૃતિ : ૧. ગુમુવાણી; ૨. જ્ઞાનોદયપદ સંગ્રહ, સં. કેવળરામ કાલુરામ ભગત, -; ૩. (શ્રી) દિવ્ય ગિરામૃત, દેવશંકર શર્મા, ઈ.૧૯૩૨; ૪. બૃકાદોહન : ૫. સંદર્ભ : નિરાંતકાવ્ય, સં. ગોપાળરામ શર્મા, ઈ.૧૯૩૯.[દે.દ.]

દયો : જુઓ દયા.

દર્શન(મુનિ) [               ]: જૈન સાધુ. ૫ કડીની ‘સમકિત સઝાય’ના કર્તા. સંદર્ભ : ડિકૅટલોગભાવિ.[શ્ર.ત્રિ.]

દર્શનવિજય-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) : તપગચ્છના જૈન સાધુ. વિજયતિલકસૂરિની પરંપરામાં રાજવિમલશિષ્ય વાચક મુનિવિજયના શિષ્ય ચંદરાજાનું અદ્ભુતરસિક વૃત્તાંત વર્ણવતા એમના, ૯ અધિકાર, ૫૮ ઢાળ અને ૧૪૫૪ કડીના દુહાદેશીબદ્ધ ‘ચંદચરિત  ચંદ્રાયણ/ચંદમુનિ-પ્રેમલાલચ્છી-રાસ’ (ર.ઈ.૧૬૩૩/સં. ૧૬૮૯, કારતક સુદ ૫/૧૦, ગુરુવાર; મુ.)માં કથારસનું પ્રાધન્ય છે તેમ છતાં વર્ણનો, દૃષ્ટાંત વિનિયોગ, સમસ્યા-વિનોદ, આંતરપ્રાસાદિ રચના-ચાતુર્યમાં કવિનું કાવ્યકૌશલ્ય પ્રગટ થાય છે. એમનો અનુક્રમે ૧૫૩૭ અને ૨૨૨ કડીના ૨ અધિકારમાં રચાયેલો ઢાળબદ્ધ ‘વિજ્યતિલકસૂરિ-રાસ’ (પ્રથમ અધિકાર ર.ઈ.૧૬૨૩/સં. ૧૬૭૯, માગશર વદ ૮, રવિવાર; બીજો અધિકાર ર.ઈ.૧૬૪૧/સં. ૧૬૯૭, પોષ સુદ-, રવિવાર; મુ.) છેક હીરવિજયસૂરિના સમયથી ધર્મ સાગરની વિવિધ પ્રરૂપણાને કારણે તપગચ્છમાં સાગરપક્ષ અને વિજયપક્ષ એવાં બે તડાં કેવી રીતે ઊભાં થતાં ગયાં એનો ઇતિહાસ વીગતે આલેખે છે. જેમાં બાદશાહ જહાંગીરે દરમ્યાનગીરી કરેલી એવા આ ઝઘડાનો ઇતિહાસ અહીં બહુધા વિજયપક્ષના દૃષ્ટિબિંદુથી વર્ણવાયો છે. આ ઉપરાંત કવિએ વિવિધ રાગોની ૫૯ કડીની ‘નેમિજિન-સ્તવન/નેમીરાગમાળા-સ્તવન’ (ર.ઈ.૧૬૦૮/સં. ૧૬૬૪, પોષ-૨), તથા ‘દંડક પ્રકરણ વિચાર-ષટ્ત્રિંશિકા-બાલાવબોધ’ એ કૃતિઓ રચેલી છે. કૃતિ : ૧. આકામહોદધિ : ૧ (+સં.); ૨. ઐરાસંગ્રહ : ૪(+સં.). સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૧,૩ (૧); ૩. મુપુગૂહસૂચી.[ર.ર.દ.]

દર્શનવિજય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં સંઘવિજયના શિષ્ય. વિજ્યપ્રભસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)માં રચાયેલી ૩૧ કડીની ‘વિજ્યદેવસૂરિ-નિર્વાણ-સઝાય’ના કર્તા. કવિને ભૂલથી મુનિવિજ્યશિષ્ય ગણાવાયા છે. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]

દર્શનવિજ્ય-૩ [ ] : જૈન સાધુ. કનક વિજ્યના શિષ્ય. ૪ કડીની ‘સિદ્ધચક્ર-સ્તુતિ’ (મુ.)ના કર્તા. ‘મુનિરાજ શ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગૂજરાતી હસ્તપ્રત સૂચી’માં કવિ ભૂલથી પ્રેમવિજ્યશિષ્ય તરીકે નોંધાયા છે. કૃતિ : જિભપ્રકાશ. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]

દર્શનસાગર : ‘દર્શન’ ‘દર્શનસાગર’ એવી નામછાપ ધરાવતી ૩ ગહૂંલી (મુ.) મળે છે તેના કર્તા દર્શનસાગર-૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૮૯૧.[ર.ર.દ.]

દર્શનસાગર (ઉપાધ્યાય)-૧ [ઈ.૧૮મી સદી] : અંચલગચ્છના જૈન સાધુ. ઉદયસાગરસૂરિના શિષ્ય. મૂળ નામ દેવશંકર. નલિયા (કચ્છ)ના ઔદીચ્ય બ્રાહ્મણ અને વ્યવસાયે માણભટ્ટ. પત્નીનું અવસાન થતાં ઈ.૧૭૪૭માં દીક્ષા. ઈ.૧૭૫૨માં ઉપાધ્યાયપદ. પિંગળ વગેરેના જાણકાર આ કવિ ઈ.૧૭૭૦ સુધી હયાત હોવાની માહિતી મળે છે. આ કવિનો ૫ ખંડ, ૧૬૭ ઢાળ અને ૬૦૮૮ કડીનો દુહા દેશીબદ્ધ ‘આદિનાથજીનો રાસ’  (ર.ઈ.૧૭૬૮/સં. ૧૮૨૪, મહ-સુદ ૧૩, રવિવાર; મુ.) પ્રથમ તીર્થંકર ઋષભદેવની સમગ્ર જીવનચર્યા ઉપરાંત એમના ૧૨ પૂર્વભવો ને સમગ્ર ભરત-બાહુબલિવૃત્તાંત આલેખે છે ને દૃષ્ટાંત રૂપે આવતી અન્ય કથાઓ પણ વીગતે કહે છે. કથાપ્રચુર આ કૃતિને રાજાનાં લક્ષણો જેવી અનેક માહિતીલક્ષી વીગતો, વનખંડ વગેરેનાં વર્ણનો ને સુભાષિતોથી કવિએ વિશેષ વિસ્તારી છે. આ ઉપરાંત, કવિએ ‘પંચકલ્યાણકની ચોવીસી’ (ર.ઈ.૧૭૬૩; મુ.) અને અન્ય સ્તવનો રચેલાં છે. કૃતિ : ૧. આદિનાથજીનો રાસ, સં. શા. હીરાલાલ હંસરાજ, ઈ.૧૯૨૩;  ૨. અંચલગચ્છ સ્નાત્રપૂજાદિ તપસંગ્રહ, મુ. નિર્ણયસાગર પ્રેસ, ઈ.૧૮૯૭. સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮; ૨. જૈન પંરપરાનો ઇતિહાસ : ૨, મુનિશ્રી દર્શનવિજ્ય વગેરે ઈ.૧૯૬૦;  ૩. જૈગૂકવિઓ : ૩(૧).[ર.ર.દ.]

દલપત : જુઓ દોલતવિજ્ય (ગણિ).

દલપત-૧/દલપતદાસ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : પદકવિ. જ્ઞાતિએ વીસનગરો નાગર. અમદાવાદનો વતની. ૧૨ કડીનો ‘અજાઈ માતાનો ગરબો’ (ર.ઈ.૧૭૨૮/સં. ૧૭૮૪, ભાદરવા સુદ ૨, રવિવાર), ૧૪ કડીનો ‘ગણપતિનો ગરબો’ (ર.ઈ.૧૭૩૦/સં. ૧૭૮૬, આસો સુદ ૫), કાંકરિયા તળાવના ઇતિહાસની માહિતી આપતો ને કાંકરેશ્વરી દેવીનું મહાત્મ્ય વર્ણવતો ૩૧/૩૩ કડીનો ‘કાંકરેશ્વરીનો ગરબો’ (ર.ઈ.૧૭૩૧/સં. ૧૭૮૭, ચૈત્ર સુદ ૧૫), રાજા દ્વારા થતી પ્રજાની રંજાડને વર્ણવતો ૫૬ કડીનો ‘સંકટનો ગરબો’, સમગ્ર કૃષ્ણચરિત્રને વર્ણવતો ૪૫ કડીનો ‘શ્રીકૃષ્ણ જન્મનો ગરબો’ એ આ કવિની મુદ્રિત કૃતિઓ છે. સ્વભાવોક્તિવાળું ને પ્રાસાદિક નિરૂપણ આ કૃતિઓની વિશેષતાઓ છે. આ કવિની અન્ય કૃતિઓ છે : ‘અંબાજીનો ગરબો, ‘દેવકીનો ગરબો’, ‘બહુચરાજીનો ગરબો’ અને ‘સાસુવહુનો ગરબો.’ સંસ્કૃત ‘કુવલયાનંદ’નું ‘દલપતવિલાસ’ નામે હિન્દી રૂપાન્તર આ કવિએ કર્યું હોવાનો ઉલ્લેખ મળે છે. દલપતને નામે નોંધાયેલ પદો આ કવિની ઉપર્યુક્ત રચનાઓ હોઈ શકે કે અન્ય રચનાઓ પણ હોય. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. કાદોહન : ૩; ૩. પ્રાકાસુધા : ૨. સંદર્ભ : ૧. કવિચરતિ : ૩; ૨. કવિચરિત્ર; ૩. ગુહિફાળો;  ૪. ગૂહાયાદી; ૫. ફાહનામાવલિ : ૧; ૬. ફૉહનામાવલિ.[ર.સો.]

દલભટ્ટ [ઈ.૧૬૪૩માં હયાત] : જૈન સાધુ લેખવામાં આવ્યા છે, પરંતુ પાર્શ્વચન્દ્ર ગચ્છના હીરરાજ-પુંજરાજ મુનિના કોઈ અનુયાયી ભક્ત હોવાનો સંભવ છે. એમણે પૂંજરાજઋષિએ કરેલા વિવિધ પ્રકારના દીર્ઘ તપનું વર્ણન કરતો ૩ ઢાળ અને ૨૧ કડીનો ‘મહાતપસ્વી શ્રી પૂંજામુનિનો રાસ’ (ર.ઈ.૧૬૪૩/સં. ૧૬૯૯ ફાગણ સુદ-; મુ.) રચ્યો છે. કૃતિ : જૈન રાસસંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી, ઈ.૧૯૩૦ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[શ્ર.ત્રિ.]

દલસુખરામ [ ] : એમને નામે ‘કવિત’ નોંધાયેલ મળે છે. સંદર્ભ : ગૂહાયાદી.[કી.જો.]

દલ્હ [ઈ.૧૪૮૧માં હયાત] : ૩૦૦ કડીની હિંદી ભાષાની છાંટવાળી ‘બિલ્હણચરિ-ચોપાઈ’ (ર.ઈ.૧૪૮૧/સં. ૧૫૩૭, વૈશાખ સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).[કી.જો.]

‘દશમસ્કંધ’ (૧) : પ્રેમાનંદની આ પ્રબંધરચના (મુ.) ભાગવત દશમસ્કંધના ૯૦ અધ્યાયમાંથી ૫૩માં અધ્યાયની વચ્ચેથી ૧૬૫ કડવાંએ અધૂરી રહેલી છે અને સુંદર મેવાડાએ પૂરી કરેલી છે. આ કૃતિ, એની રચનાશૈલીની સહજ પ્રૌઢિ ઉપરથી, પ્રેમાનંદના જીવનનાં છેલ્લાં વર્ષોનું સર્જન હોય એમ પ્રતીત થાય છે. મૂળ ભાગવતની સંસ્કૃત અધ્યાય-શ્લોકબદ્ધ રચનાની સામે પોતાની પ્રાકૃત એટલે લોકભાષાની કડવાં-ચોપાઈબંધની કૃતિને મૂક્તા કવિની નેમ એક સમોવડિયો ગ્રંથ આપવાની છે, પરંતુ એ ક્યાંક-ક્યાંક મૂળથી દૂર ચાતરે છે અને ઉમેરણો પણ કરે છે. જેમ કે, યશોદાને પડખે બાળક કૃષ્ણને મૂકતી વખતે વસુદેવે રાખેલી દીપકની સાક્ષી, વ્રજની સીમમાં કૃષ્ણનાં હાથનો પ્રસાદ મેળવવા માટેની બ્રહ્માની યુક્તિઓ, કાલિય નાગના ઝેરી ફૂંફાડાથી કદંબવૃક્ષ બચવા અંગેનો પ્રશ્નોત્તર, ગોવર્ધનધારણ વખતે કૃષ્ણના ક્રોધાગ્નિથી અતિવૃષ્ટિનું જળ શોષાઈ ગયા અંગેનો ખુલાસો વગેરે. “કથાપ્રસંગ એકુ નવ પડે”, એવી ખાતરી ઉચ્ચારતા કવિની નજર વિશેષે કરીને કથાપ્રસંગ ઉપર છે. કથાપ્રસંગને ઉઠાવ આપવો, મલાવીને શ્રોતા અગળ મૂકવો એમાં એમની વિશેષતા છે. પૂતનાવધથી શરૂ કરીને બાળકૃષ્ણનું એકેએક ચરિત્ર એ આપે છે ને ચરિત્ર પૂરું થતાં આંક પણ આપે છે. જેમ કે, વહ્નિભક્ષણ તે ‘દ્વાદશમુંચરિત્ર’ છે (કડવું ૫૯), નાગદમણ, રાસ પંચાધ્યાયી, રુક્મિણીવિવાહ જેવાં પ્રસંગાલેખનો લઘુ આખ્યાનકો તરીકે કલ્પાયાં હોય એવી છાપ પડે છે. એમાં કોઈ વાર અલગ સરસ્વતીસ્તવન પણ મુકાયેલ છે. કથાનકોને કવિની સુરેખ ચિત્રણની શક્તિને લીધે, સ્વભાવોક્તિને લીધે, કટાક્ષ અને નાદમાધુર્યને લીધે રૂડો ઉઠાવ મળે છે. “મુખે દશ આંગળી”થી પ્રત્યક્ષ થતું ત્રસ્ત દેવકીનું, “સૂતા ચંચલ શ્વાન”થી દર્શાવાતું રાત્રિની શાંતિનું, “વાંસે વહે જલધાર”થી મૂર્ત થતું નંદ-વસુદેવના હૃદયસ્પર્શી મિલનનું અને “પૂછ ચડાવ્યાં શીશ”થી વ્યક્ત થતું દોડતાં વાછરડાનું ચિત્ર જુઓ. યજ્ઞશાળામાં ખાવાનું માગવા ગયેલા ગોપબાલોને તરછોડનાર બ્રાહ્મણો પ્રત્યેનો કટાક્ષ “આચાર્ય બોલ્યા કર્મશુચિ, ગોપને યજ્ઞઅન્નની રુચિ” એમાં દાઢમાં બોલાયેલા ‘કર્મશુચિ’ શબ્દ દ્વારા અને ‘શુચિ’ - ‘રુચિ’ પ્રાસ દ્વારા વ્યક્ત થાય છે. પૂતનાની અરમાનભરી ગતિને નાદ-મધુર પદાવલિ અને ચરણાન્તર્ગત પ્રાસરચનાથી ઉઠાવ મળ્યો છે, તો “કો ન શકે કુંભમાં ભરી” જેવી પંક્તિમાં ઘડો ભરાવાનો બુડબુડ અવાજ શબ્દસંકલના દ્વારા ઝિલાયો છે. ‘દશામસ્કંધ’નું ભાષાકર્મ અનાયાસ રચનાકૌશલના નિદર્શનરૂપ છે. સંસ્કૃત શબ્દો પણ પ્રેમાનંદ રચનામાં છૂટથી આવવા દે છે. કવચિત્ ‘ચતુર્થમો’, ‘ષષ્ઠમો’ એવાં ખોટાં અતિ-સંસ્કૃત રૂપો પણ એ વાપરે છે. “ગોપે પર મસ્તક પર કીધાં”માં “પીંછા” માટેનો ફારસી શબ્દ “પર” રચનાવૈચિત્ર્યના લાભાર્થે યોજતાં એ અચકાતા નથી. એ સાથે જ “એકુ” “કેમો” જેવા બોલચાલના શબ્દો અને “છોડ-ભલાઈ” (છોડાવવાની ભલાઈ) જેવા નવ-સમાસો પણ ખરા જ. પાત્રોદ્ગારોમાં “તમને શું બાંધ્યાં ઊખળે ?” જેવી બોલચાલની, ઘરાળુ વાગ્ભંગિઓ કથારસને પોષક બને છે. કથાપ્રસંગને તાદૃશ ખીલવતા પ્રેમાનંદના પાત્રનિરૂપણમાં કોઈ વાર કોઈ ઊણપ કે મર્યાદા પ્રવેશતી જણાય છે. એમને હાથે પાત્રો માનવીય બને છે - પાત્રોને માનવલાગણીથી રસવાના નામે કવિ ક્યારેક ઔચિત્ય ચૂકે છે એવું પણ જોવા મળે છે. કંસ જોગમાયાનો કબજો લે છે ત્યારે “વસુદેવ ત્રાહે ત્રાહે કરી કર ઘસે, મુખે રુએ પણ મનમાં હસે. કુશળક્ષેમ જોઈએ છોકરો, ગોપસુતા આઘેરી મરો.” - એવા આલેખનમાં કવિ વસુદેવને માનવીય કરવા જતાં અ-માનુષી ચીતરે છે. કૃષ્ણના પાત્રાલેખનમાં “ચોરી કરે ઘર માંહે, નવ બોલે સાચું” (૩૧-૧૩) એ વર્ણન કર્યા પછી “થયા વરસ દિવસના નાથ રે” (૩૫-૪) અને “બોલે બોબડું” (૩૫-૫) એવી અસંગતિઓ થઈ ગઈ છે. તે ઉપરાંત ૪ વરસના બાળક માટે “બાઈ-એનાં નયન છે ખોટાં” એ ગોપીઓનો ઉદ્ગાર પુરાણીઓના કામુક કૃષ્ણને પ્રેમાનંદ પણ વર્ણવી રહ્યા છે એમ સૂચવે. ભાગવત ભક્તિનો ગ્રંથ હોઈ એનાં પાત્રો દિવ્યતાની છાલકથી ભીંજાયેલાં છે, ત્યારે પ્રેમાનંદમાં નારદ જેવાં દેવર્ષિ કંસ આગળ નારાતળ જૂઠો મૈત્રી-એકરાર કરે છે અને બ્રહ્મા પણ કૃષ્ણના હાથનો પ્રસાદકણ પામવા ભિક્ષુક કરતાંય નિકૃષ્ટ રીતે વર્તે છે. પરિણામે પ્રેમાનંદનો ‘દશમસ્કંધ’ માનવભાવથી રસેલાં, ઓછેવત્તે અંશે રસપ્રદ એવાં કથાનકોની માલારૂપ બની રહે છે, મૂળ ભાગવત પેઠે દિવ્યભાવની આર્દ્રતા વડે-ભક્તિ વડે એકસૂત્ર થયેલી કૃતિ બનતો નથી. ભિન્ન ભિન્ન રસોની ખિલવણી અત્રતત્ર-સર્વત્ર થતી રહેલી જ છે. મરી રહેલી બૃહત્કાય પૂતના ઉપર “જેમ પર્વત ઉપર પોપટો” એમ કૃષ્ણ કહે છે ત્યારે એને બચાવવા “ઉન્મત્ત જોવનની મદમાતી પ્રેમભરી ગોવાળી, તત્પર થઈ પૂતના પર ચડવા, કટિ કછી, કાછડો વાળી. નિસરણી માંડી ચડી બાળા, પગ ધરતાં પડે પડછંદ, કુચ-અગ્ર વદનમાં, કરે ક્રીડા, ધાવે બાળમુકુંદ” - એ એક ચિત્રમાં શૃંગાર, વીર, બીભત્સ, રૌદ્રની લકીરો છે અને અદ્ભુતમાં અનુભવ શમે છે. અદ્ભુત સાથે કરુણની સરસાઈ છે. દેવકીનું ક્રંદન એ કરુણનો તો જશોદાના “મારું માણેકડું રિસાવ્યું રે” એ હૈયાફાટ વલોપાતમાં વાત્સલ્ય-કરુણનો પ્રગાઢ અનુભવ થાય છે. લગભગ બધાં કડવાંને અંતે રામસ્મરણ કરતાં પ્રેમાનંદ વારંવાર ભક્તિમહિમા ગાય છે, તો કોઈ વાર એમની ભક્તિનો પ્રસ્પંદ “સંસારહિંડોળો બાંધ્યો રે બ્રહ્મે” જેવા હૃદ્ય કલ્પનમાં વરતાય છે. પ્રેમાનંદ મુખ્યત્વે સંસારજીવનના કવિ છે. “ધન્ય સ્ત્રી, પુરુષ ધિક્કાર” કે ઋષિઓને કૃષ્ણે કહેલા “તરશો સ્ત્રી વડે” જેવાં વચનોમાં પ્રતીત થતાં નારીની મૂલગત મોટાઈને જોવાના વલણને લીધે કવિનું સંસારદર્શન મોટા ભાગના મધ્યકાલીન કવિઓ કરતાં વધુ સમુદાર જોવા મળે છે. ભાલણે મુખ્યત્વે પદોમાં ‘દશમસ્કંધ’ આપેલો. પ્રેમાનંદ પદો એટલે કે ગીતો તક મળે ત્યાં જરૂર મૂકવા કરે છે. પણ ગીતોમાં સ્પંદ નથી, પ્રેમનાંદનું પોતીકું વાગ્બળ નથી. એકે હજારાં જેવું, પરમ હૃદયસ્પર્શી, માતૃહદયનાં પાતળ ભેદી ઊછળતું “મારું માણેકડું રિસાવ્યું રે, શામળિયા” છે, જે નરસિંહ-દયારામ-નાનાલાલ જેવા મહાન ગુજરાતી ગીતકવિઓ સાથે પ્રેમાનંદને એકાસને સ્થાપે છે. ‘દશમસ્કંધ’ ભલે મૂળ ભાગવતનો સમોવડિયો ગ્રંથ ન બની શક્યો, પણ એકંદરે રસસિકત કથાનકોની માલારૂપે અવશ્ય એનું સ્થાન પ્રેમાનંદના સમગ્ર કૃતિસંગ્રહમાં ‘નળાખ્યાન’, ‘મામેરું’, ‘સુદામા-ચરિત્ર’ જેવી રચનાઓ પછી આવે.[ઉ.જો.]

(૨) ભાલણની આ કૃતિ(મુ.) ભાગવતના દશમસ્કંધની કૃષ્ણકથાને નિરૂપે છે તથા વિવિધ રાગોના નિર્દેશ ધરાવતાં અને કેટલેક સ્થાને મુખબંધની પંક્તિઓ તથા ઢાળ એ અંગોને કારણે કડવાબંધમાં સરી જતાં, દોહરા, ચોપાઈ, પ્લવંગમ્, ઝૂલણા આદિની દેશીઓનાં ૪૯૭ પદો રૂપે મળે છે. એ રીતે આ આખ્યાનના કડવાબંધના પ્રારંભનું સૂચન કરતી કૃતિ છે. કવિએ પોતે સ્વતંત્ર રીતે રચેલા ‘રુક્મિણીવિવાહ’ અને ‘સત્યભામાવિવાહ’ને આમાં જોડી દીધા હોય એવું, એ ભાગોમાં સ્વતંત્ર મંગલાચરણ ને ફલશ્રુતિ છે તે જોતાં સમજાય છે, તે ઉપરાંત કૃતિમાં અન્યત્રથી પણ પ્રક્ષેપ થયા હોય એવું લાગે છે. જેમ કે ભાલણના રાસલીલાના સંક્ષિપ્ત વર્ણન પછી લક્ષ્મીદાસના રાસલીલાનાં ૧૧ જેટલાં પદો આમેજ થયાં છે, ૧ પદ નરસિંહની નામછાપવાળું છે, ભાલણની નામછાપ સાથેનાં થોડાંક પદો વિશ્વનાથ જાનીની ‘પ્રેમપચીસી’માં મળે છે. વ્રજભાષાનાં કેટલાંક પદો છે તે પ્રક્ષિપ્ત ન હોય તો એ ભાષામાં રચના કરનાર ભાલણ પહેલા ગુજરાતી કવિ ઠરે. આ કૃતિમાં કથાનક ભાગવત-આધારિત છે ને સંક્ષેપમાં થયું છે, એમાં ભાલણની ખાસ કશી વિશેષતા નથી, પરંતુ વાત્સલ્ય, શૃંગાર અને કરુણનાં ભાલણનાં આલેખનો એના ઊંચી કોટિના કવિત્વની પ્રતીતિ કરાવે એવાં છે. કૃષ્ણની બાળચેષ્ટાઓને કૃષ્ણને અનુલક્ષીને યશોદા-દેવકી ઉપરાંત નંદના પણ મનોભાવો અહીં વાત્સલ્યરસની સામગ્રી બને છે. કૃષ્ણની રમણીય બાળચેષ્ટાઓનું આલેખન ભાલણની ઝીણી સૂઝને કારણે માર્મિક બન્યું છે. તે ઉપરાંત એક બાજુથી ગોપબાલના વાસ્તવિક જીવનસંદર્ભને લક્ષમાં લેતું હોઈ એ ઔચિત્યનો ગુણ ધરાવે છે તો બીજી બાજુથી અવતારલીલાનો ખ્યાલ અનુસ્યૂત થતો હોવાથી એ અદ્ભુતને પણ અવકાશ આપે છે. કવચિત્ ભાલણને સહજ એવો મર્માળો વિનોદ પણ એમાં ગૂંથાય છે, જેમ કે કૃષ્ણનું મુખ જોઈને માતા રોમાંચિત થાય છે ત્યારે કૃષ્ણ માતાને કહે છે કે એ મુખ મને બતાવો. માતા જવાબ આપે છે કે તેં એવાં પુણ્ય ક્યાં કર્યાં છે ? માતાના હૃદયનાં ઉમળકા, રીસ, રોષ, ચિંતા, વિયોગવેદના વગેરેનું પ્રસંગ પરિસ્થિતિના આલંબનપૂર્વક મૂર્ત રીતે ને ધારદાર ઉદ્ગારોથી નિરૂપણ થયું છે, તો નંદના કલ્પાંતમાં પણ વેધક હૃદયસ્પર્શી ઉક્તિઓ વણાયેલી છે. યશોદા કૃષ્ણને “માતા નહીં થાઉં તમારી, ધાવ કહીને જાણો રે” એમ કહી ગોકુળમાં પધારવા વીનવે એમાં વ્યક્ત થતી વેદનાભરી પ્રીતિપરવશતા જુઓ અને યશોદા દેવકીને કહેવરાવે કે તમે કૃષ્ણની માતા થશો પણ કૃષ્ણ આંખ આંજતાં નાસી જતો ને ગોપીની ફરિયાદ આવે ત્યારે ખોટુંખોટું રોતો અને બાળક્રીડાનું સુખ તમને ક્યાંથી મળશે ? - એમાં વ્યક્ત થતી ધન્યતાની ખુમારીભરી લાગણી જુઓ. ભાલણના શૃંગારમાં પ્રગલ્ભ વિલાસચિત્રણ નથી, સંભોગશૃંગાર પણ એમાં “ના-ના, મા-મા, રહો-રહો કરતાં હૃદયાશું લઈ ચાંપી રે” એવા માર્મિક વ્યંજનાયુક્ત ઉદ્ગારથી આલેખાય છે. વિશેષ તો અહીં આલેખાઈ છે ગોપીની અનન્ય, ઉત્કટ, સમર્પણભાવયુક્ત કૃષ્ણપ્રીતિ. એમાં સુકુમારતા, માધુર્ય અને મૂર્તતા છે. ગોપીને મુગ્ધ કરતા કૃષ્ણનાં પાંપણના ચાળા, અંગની ચાલ, રૂડું કાળું રૂપ તેમાં નિર્દેશાય છે અને કૃષ્ણને જોવા માટે શેરીમાં મોતી વેરીને વીણવા બેસવાની ને “મીટ તણા મેલાવા” માટે પ્રભુને હાથે વેચાવાની ગોપીની તૈયારી દર્શાવાય છે. કૃષ્ણ-ગોપીનું રસરિકચાતુર્ય પ્રગટ કરતાં પદો પણ અહીં છે. ભાલણનાં દાણલીલા, માનલીલા અને ભ્રમરગીત પ્રેમાનંદ કરતાં તો સારાં છે જ, પણ નરસિંહ અને દયારામથીયે ઊતરે એવાં નથી એવા રામલાલ ચૂ. મોદીના અભિપ્રાયમાં તથ્ય જણાય છે. ભ્રમરગીતના તેમ જ અન્ય પ્રસંગે ભાલણે માતા-પિતા, ગોપગોપીઓ ને વ્રજ વિશેના અતૂટ સ્નેહબંધનના ને અત્મીયતાના કૃષ્ણના મનોભાવોને પણ નિરૂપવાની તક લીધી છે.[શ્ર.ત્રિ.]

દશરથ(મુનિ) [    ] : જૈન સાધુ. ૧૧/૨૧ કડીની ‘નંદિષેણમુનિની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈસસંગ્રહ (ન.) સંદર્ભ : લીંહસૂચિ.[શ્ર.ત્રિ.]

દાન : આ નામે ૧ હિંદી હોરી (મુ.) તથા ૪ કડીનું હિંદીમિશ્ર ગુજરાતી ભાષાનું શીલમહિમાનું સ્તવન(મુ.), દાનકવિને નામે નાગાર્જુનકૃત ‘યોગરત્નાવલી’ પર આધારિત, ૧૫૩ કડીની ‘પ્રાકૃતતંત્રસાર-ચોપાઈ’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ૨૫ કડીની ‘જીવપ્રેમ-સંવાદ’ તેમ જ દાનમુનિને નામે ૮ કડીની ‘કર્મસઝાય’ (મુ.) ને ૧૭ કડીની ‘નેમરાજુલ-બારમાસ (મુ.) એ કૃતિઓ મળે છે તે કયા દાન - છે તે નક્કી થઈ શકે તેમ નથી. ‘નેમરાજુલબારમાસ’ ઋતુપરિવેશમાં માર્મિક રીતે વ્યક્ત થયેલા રાજિમતીના વિરહશૃંગારના મનોભાવો તથા વર્ણાનુપ્રાસ-આંતરપ્રાસથી મનોરમ બનેલી અભિવ્યક્તિને કારણે ધ્યાન ખેંચે છે. કેટલાંક સંદર્ભોમાં તેજવિજ્યશિષ્ય દાનવિજ્યને નામે નોંધાયેલ ‘મૌન એકાદશીના દેવવંદન’ (મુ.) માત્ર ‘દાન’ નામછાપ ધરાવે છે. આ કૃતિ વિજયરાજસૂરિશિષ્ય દાનવિજયની હોય એવી શક્યતા છે. ‘વાચક દાન’ એવી નામછાપથી મળતું ‘(ઘોઘામંડન) પાર્શ્વજિન-સ્તવન’ પણ એમની જ કૃતિ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈસસંગ્રહ (ન.); ૩. ચૈસ્ત સંગ્રહ : ૩; ૪. પ્રામબાસંગ્રહ : ૧; ૫. સજઝાયમાલા(પં.). સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]

દાન-૧ [                ] : જૈન સાધુ. સદારંગના શિષ્ય. ‘ત્રૈલોક્યદીપિકા-ચોપાઈ’ (લે.સં. ૧૮મી સદી; અનુ.)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી : ૧ [ર.ર.દ.]

દાનકુશલ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં પંડિત રત્નકુશલના શિષ્ય. વિજ્યદેવસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૦૦ થી ઈ.૧૬૫૭)ની જીવનરેખા સાથે તેમની પ્રશસ્તિ કરતી, તેમની હયાતીમાં રચાયેલ, ૧૭ કડીની ‘વિજ્યદેવસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧(+સં.). [ર.ર.દ.]

દાનવિજ્ય : આ નામે ૪ કડીનું ‘શત્રુંજ્ય-સ્તવન’ (મુ.), ૧૧ કડીનું ‘મૈત્રાણાતીર્થ-સ્તવન’, ૯ કડીનું ‘નેમિનાથ-સ્તવન’ તથા ‘ચોવીસી’ મળે છે તે કયા દાનવિજ્ય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. પ્રાપ્ત સંદર્ભોમાં આમાંની કેટલીક કૃતિઓ તે જયવિજ્યશિષ્ય દાનવિજ્યને નામે મુકાયેલી છે. કોઈ દાનવિજ્યે સ્વકૃત ‘કલ્પસૂત્ર-સ્તવન’ પર બાલવબોધ (ર.ઈ.૧૬૬૬) રચ્યો હોવાની માહિતી મળે છે. તે દાનવિજ્ય-૧ કે ૨ છે કે તેમ નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈપ્રપુસ્તક : ૧. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ; ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

દાનવિજ્ય-૧ : જુઓ દાનવિજ્ય.

દાનવિજ્ય-૨  [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં પંડિત તેજવિજ્યના શિષ્ય. ૬૨ કડીના ‘સપ્તભંગીગર્ભિત-વીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, વૈશાખ-), ૯૩ કડીની ‘પ્રતિક્રમણ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૪) તથા ‘ચૌદગુણ સ્થાન-સઝાય’ (ર.ઈ.૧૬૮૮/સં. ૧૭૪૪, આસોવદ ૧૩, રવિવાર)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’એ આ અને આ પછીના દાનવિજ્યને એક ગણ્યા છે. પરંતુ કવિનામછાપ સ્પષ્ટપણે જુદી પડતી હોવાની બંને કવિઓ જુદા છે એમ માનવું જોઈએ. સંદર્ભ : જૈગૂકવિઓ; ૨, ૩(૨).[ર.ર.દ.]

દાનવિજ્ય(ઉપાધ્યાય)-૩  [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ વિજ્યરાજસૂરિના શિષ્ય. આ કવિએ ૨૭ ઢાળની ‘લલિતાંગ-રાસ’ (ર.ઈ.૧૭૦૫/સં. ૧૭૬૧, માગશર વદ ૧૦, રવિવાર), ‘પંચકલ્યાણગર્ભિત-ચોવીસ જિનસ્તુતિ-ચતુષ્ક’ (૫ ચતુષ્ક મુ.), અન્ય ઢાળબદ્ધ ‘ચોવીસી’ (૫ સ્તવન મુ.), ‘ચૈત્રી પૂનમના દેવવંદન’ (મુ.), ૧૫ કડીની ‘અષ્ટાપદ-સ્તવન’ (ર.ઈ.૧૭૦૦), ‘કલ્યાણક-સ્તવન’ (ર.ઈ.૧૭૦૬), ૩૨ કડીની ‘જિન-સ્તુતિ’, ૧૭ કડીની ‘ગજસુકુમાલ-સઝાય (મુ.), ૫ કડીની ‘ગુરુ-ગીત’ તથા ૨૩ કડીની ‘સિદ્ધચક્ર-સ્તવન’ (ર.ઈ.૧૭૦૬; મુ.) એ કૃતિઓ રચેલી છે. છેલ્લી કૃતિ મુદ્રિત પાઠમાં ગુરુનામ વિજ્યસેનસૂરિ બતાવે છે તે ભૂલ છે. આ કવિએ સંસ્કૃતમાં કલ્પસૂત્ર પર ‘દાન-દીપિકા’ નામની ટીકા (ર.ઈ.૧૬૯૪) અને ‘શબ્દભૂષણ’ નામે પદ્યબદ્ધ વ્યાકરણ (ર.ઈ.૧૭૧૪ આસાપસ) રચેલ છે. ઉપરાંત જુઓ દાન-તથા દાનવિજ્ય-૨. કૃતિ : ૧. ચેસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જિસ્તકાસંદોેહ : ૨; ૩. જૈગૂસારત્નો : ૨ (+સં.); ૪. દેસ્તસંગ્રહ; ૫. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]

દાનવિજ્ય-૪ [          ] : જૈન સાધુ. સૂરવિજ્યના શિષ્ય. ‘દાન’ એવી નામછાપથી મળતી ૫ કડીની ‘અજિતજિન-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]

દાનવિજ્યશિષ્ય [          ] : જૈન સાધુ. ૫ કડીના ‘ઋષભદેવ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી; અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]

દાનવિનય/દાનવિજ્ય [ઈ.૧૬૦૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ધર્મસુંદરના શિષ્ય. ૮૬ કડીની ‘નંદિષેણ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૯)ના કર્તા. કવિનામ દાનવિનય/દાનવિજ્ય બંને મળે છે તેમાંથી દાનવિનય નામ ખરું હોવાનું વધુ સંભવિત છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[ર.ર.દ.]

દાનવિમલ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિબુધવિમલસૂરિ (આચાર્યકાળ ઈ.૧૭૪૨થી ઈ.૧૭૫૮)ના શિષ્ય. ‘દાન’ એ નામછાપથી મળતા ૭ કડીના ‘નેમિનાથ-જિનસ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ : ૨. [ર.ર.દ.]

દાનશેખર(ગણિ) [ ] : જૈન સાધુ. અનંતહંસના શિષ્ય. ‘મુહપત્તિવિચાર-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

દાનસાગર [ઈ.૧૬૧૯ સુધીમાં] : જૈન સાધુ. ‘સાહ-રાઉલ-નીલવણ-ભાસ’ (લે. ઈ.૧૬૧૯)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી : ૧. [ર.ર.દ.]

દામ [ ] : જૈન. ૨૫ કડીની ‘કાયાજીવ-સંવાદ’ના કર્તા. સંદર્ભ : પ્રાકારૂપરંપરા. [શ્ર.ત્રિ.]

દામજી(મુનિ) [ઈ.૧૭૧૦માં હયાત] : જૈન સાધુ. ૧૨૭ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૦)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

દામોદર : આ નામે ‘રાધાકૃષ્ણની આરતી’ (લે.ઈ.૧૮૪૦) મળે છે તે કયા દામોદર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]

દામોદર-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જુઓ ઉદયસાગરશિષ્ય દયાસાગર.

દામોદર-૨ [ઈ.૧૬૮૧ સુધીમાં] : મુખ્યત્વે દુહાબંધની ૭૯૩ કડીની એમની ‘માધવાનલ-કથા’ (લે.ઈ.૧૬૮૧; મુ.) માધવાનલ અને કામકંદલાની પ્રેમકથાને બહુધા પાત્રો વચ્ચેના સંવાદોનો આશ્રય લઈને આલેખે છે. રુચિર વર્ણનોથી કૃતિ આકર્ષક બની છે. કૃતિમાં સંસ્કૃત-પ્રાકૃત સુભાષિતો ગૂંથાયેલાં છે. કૃતિ : માધવાનલ કામકંદલા પ્રબંધ : ૧ (અં), સં. એમ. આર. મજમુદાર, ઈ.૧૯૪૨ - ‘માધવાનકલકથા’. સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]

દામોદર-૩ [          ] : સંસ્કૃત ‘બિલ્હણ-પંચાશિકા’ના ‘ભાષ્ય’ તરીકે ઓળખાવાયેલો ગુજરાતી ગદ્યાનુવાદ (લે.ઈ.૧૫મી સદી અંતભાગ/ઈ.૧૬મી સદી પ્રારંભ અનુ.; મુ.) મળે છે તેમાં ‘બિલ્હણ-પંચાશિકા’ ઉપરાંત બિલ્હણ કથાને લગતા કેટલાક સંસ્કૃત શ્લોકો ઉદ્ધૃત થયા છે. એમાંના છેલ્લા શ્લોકોમાં કેટલાંક કવિત્વોથી પ્રિયાથી વિયુક્ત બિલ્હણકવિને પ્રિયા સાથે યોગ કરાવનાર હરિભક્ત દ્વિજવર દામોદરનો ઉલ્લેખ છે તે અને અંતે ‘ભાષ્ય’ના કર્તા તરીકે ઉલ્લેખાયેલ નડિયાદવાસી નાગર એક જ વ્યક્તિ છે એમ માનીએ તો આ ગુજરાતી ગદ્યાનુવાદના કર્તા નડિયાદવાસી નાગર બ્રાહ્મણ દામોદર ઠરે. ‘બિલ્હણ-પંચાશિકા’નો ભાષ્યશૈલીએ ચાલતો આ ગદ્યાનુવાદ ટૂંકાં વાક્યોને કારણે પ્રાસાદિક ને પ્રવાહી બન્યો છે તે ઉપરાંત એમાં ભાષાની પ્રૌઢિ પણ છે. બિલ્હણ કથાના અને અન્ય સુભાષિત રૂપ સંસ્કૃત તેમ જ ગુજરાતી પદ્યોને ગૂંથી લેતા આ અનુવાદમાં આરંભે અને અંતે પૂર્તિ કરીને સમગ્ર બિલ્હણકથા આપવામાં આવી છે. કૃતિ : સ્વાધ્યાય, જાન્યુ. ૧૯૮૨ - ‘બિલ્હણ પંચાશિકા : દામોદરકૃત જૂની ગુજરાતી ગદ્યાનુવાદ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા (+સં.). [ભો.સાં.]

દામોદર(પંડિત)-૪ [ ] : જૈન. શ્રીપતિની મૂળ સંસ્કૃત રચના ‘જ્યોતિષરત્નમાલા’ પરના બાલાવબોધ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

દામોદર-૫ [ ] : કવિની કૃતિ કુતિયાણામાં રચાયેલી હોવાની ત્યાંના વતની એવો સંભવ છે. એમના ૪ ખંડ અને ૮૮ કડીના ‘હરિશ્ચંદ્રપુરાણનું ભજન’ (મુ.)માં સરળ લોકભોગ્ય શૈલીમાં હરિશ્ચંદ્રરાજાની કથા કહેવામાં આવેલી છે. કૃતિ : બૃહત્ સંતસમાજ મોટી ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.). [ર.સો.]

દામોદરાશ્રમ [          ] : જ્ઞાનમાર્ગી કવિ. એક મતે ભાલણ પછી ૫૦ વર્ષે થયેલા, સિદ્ધપુરના બિંદુ સરોવર પર રહેતા સંન્યાસી. અન્ય મતે ચાણોદ પાસે કલ્યાણી/કરનાળીના, ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધમાં થયેલા સંન્યાસી. કવિની કૃતિઓની ભાષામાં પ્રાચીનતા જણાતી નથી તેથી પહેલો મત સ્વીકારવો મુશ્કેલ છે. ઓમકારથી આરંભાતો તથા અદ્વૈત અને બ્રહ્મવિદ્યાનું નિરૂપણ કરતો જ્ઞાનકક્કો ‘અક્ષર-અનુભવ પ્રદીપિકા’, ચૈત્રથી આરંભાતા અધ્યાત્મના દ્વાદશ મહિના, જ્ઞાનલબ્ધિના વાર, બ્રહ્મવિદ્ થવા માટેની સાત ભૂમિકાઓ વર્ણવતું ૧૪ કડીનું પદ ‘સપ્તભૂમિકા’ તેમ જ આત્મા અને જ્ઞાનનું સ્વરૂપ સમજાવતું તથા ભક્તિબોધને નિરૂપતું ૬૧ કડીનું ‘અનુભવચિંતામણિ’ - એ બધી (મુ.) આ કવિની કેવલાદ્વૈતવાદી કૃતિઓ છે. શિવસ્વરૂપનું વર્ણન કરતું ૧૮ કડીઓનું દીર્ઘ પદ ‘શિવ અનુભવપ્રદીપિકા’ (મુ.) તથા જ્ઞાનવૈરાગ્ય અને શિવસ્મરણનાં, દેશી, પ્રભાતી, કાફી, રામગ્રી, કાલેરો વગેરે વિવિધ રાગોનો નિર્દેશ ધરાવતાં પદો (૨૫ મુ.)એમની શિવવિષયક કવિતા છે. કૃતિ : બૃકાદોહન : ૭ (+સં.). સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ગૂહાયાદી. [ર.સો.]

દારબ-૧ [જ. ઈ.૧૬૫૭] : પારસી દસ્તૂર. પિતાનામ પાહલન. જંદ, પહેલવી, ફારસી અને સંસ્કૃતના અભ્યાસી. ‘ખોલા-શા-એ-દીન’ (ર.ઈ.૧૬૯૦) તથા ‘ફરજિયાત નામેહ’ (ર.ઈ.૧૬૯૨) નામના ગ્રંથોના કર્તા. આ ઉપરાંત એમણે ‘ખુરદેહ અવેસ્તા’નો ગુજરાતીમાં અને સંસ્કૃતમાં અનુવાદ કરેલ છે. તથા ફારસીમાં કેટલીક મોનાજાતો પણ રચેલી છે. સંદર્ભ : પારસી સાહિત્યનો ઇતિહાસ, પીલાં ભીખાજી મકાટી, ઈ.૧૯૪૯. [ર.ર.દ.]

દિનકરસાગર [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. પ્રધાનસાગરના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૮૦૩/સં. ૧૮૫૯, પોષ સુદ ૧૫), ‘ચોવીસજિન-ચરિત્ર’ (ર.ઈ.૧૮૨૩/સં. ૧૮૭૯, મહા સુદ ૫) તથા ૧૭ કડીના ‘માનતુંગી-સ્તવન’ (ર.ઈ.૧૮૨૩/સં. ૧૮૭૯, માગશર વદ ૩) - એ કૃતિઓના કર્તા. ‘માનતુંગી-સ્તવન’ની ર.સં. ૧૭૭૯ નોંધાયેલી છે તે છાપભૂલ જણાય છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[શ્ર.ત્રિ.]

દિવાળીબાઈ [                ] : પોતાની કૃતિઓમાં તેમણે આપેલી માહિતી મુજબ તેઓ ડભોઈનાં વિધવા બ્રાહ્મણ હતાં. ડભોઈથી તે ગોલવા અને એ પછી વડોદરા ગયેલાં અને ત્યા રામજીમંદિર બંધાવી નિવાસ કરેલો. અયોધ્યાયાત્રા પણ ઘણી વાર કરેલી. પોતાના ગુરુ તરીકે એ ‘દાદા ગુરુ’નો અને તુલસીદાસનો ઉલ્લેખ કરે છે. તેમની પાસે તેમણે તુલસી-રામાયણનો અભ્યાસ કરેલો અને કાવ્યલેખનની તાલીમ લીધેલી. દિવાળીબાઈના જીવન વિશે આથી વિશેષ પણ કેટલીક માહિતી આપવામાં આવે છે, જેમ કે ઈ.૧૭૯૧માં દુકાળ વખતે દિવાળીબાઈને તેમના પિતા તેમના ગુરુને ભળાવીને તીર્થયાત્રાએ નીકળી ગયેલા. પરંતુ આવી અન્ય માહિતીનો આધાર કૃતિમાંથી મળતો નથી. દિવાળીબાઈ ઈ.૧૭૯૧ આસપાસ હયાત હોવાનું જણાવાયું છે પરંતુ એમની કવિતામાં આવતા “કામેટી લેવી” (=પરીક્ષા લેવી) કે ‘કામેટી આપવી’ એ પ્રયોગો ઈ.૧૯મી સદીમાં ઉત્તરાર્ધનું સૂચન કરે છે. આ સિવાય પણ દિવાળીબાઈની ભાષા અને ભાવસૃષ્ટિમાં મધ્યકાલીનતાના અણસાર જોવા મળતા નથી ને પોતાની દરેક કૃતિને અંતે અનેક પદોમાં આત્મકથન કરવાની તેમની પદ્ધતિ પણ વિલક્ષણ જણાય છે. એમની કોઈ કૃતિની હસ્તપ્રત પ્રાપ્ય નથી અને તેમની કેટલીક પંક્તિઓનું સામ્ય છોટાલાલ ન. ભટ્ટની પંક્તિઓ સાથે જોઈ શકાય છે તેથી દિવાળીબાઈને નામે મળતી કૃતિઓનું કર્તૃત્વ છોટાલાલ ન. ભટ્ટનું હોવાનો તર્ક પણ થયો છે. દિવાળીબાઈએ આખું રામાયણ પદોમાં ઉતાર્યું હોવાનું કહેવાય છે પરંતુ ‘રામજન્મ’ની ૨૦૧, ‘રામબાળલીલા’ની ૫૧ અને ‘રામવિવાહ’ની ૭૭ ગરબીઓ તથા ‘રામરાજ્યાભિષેક’ના ૧૦૩ ધોળ - એમ ૪૩૨ પદ (મુ.) મળે છે. આ ચારે કૃતિઓ અનુસંધાનપૂર્વક રચાયેલી છે ને એ પ્રકારના ઉલ્લેખ પણ અંદર મળે છે. ૩ કે ૪ કડીનાં નાનકડાં પદો રૂપે રચાયેલ આ કવિતામાં સરળતા અને પ્રાસાદિકતા છે. તે ઉપરાંત એમાં ગુજરાતી લોકરૂઢિ ને લોકમાનસના આલેખન તરફ વધારે ઝોક રહ્યો છે. ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ દિવાળીબાઈની અન્ય ૨ કૃતિઓ ‘મહિના’ તથા બ્રહ્મજ્ઞાનનાં ૩ પદો ‘પ્રાચીન કાવ્યમાળા : ૬’માં મુદ્રિત હોવાનું જણાવે છે જે વસ્તુત: ત્યાં મુદ્રિત નથી. એટલે આ માહિતીમાં કશીક સરતચૂક લાગે છે. કૃતિ : પ્રાકામાળા : ૬. સંદર્ભ : ૧. અભિનવ પ્રેમાનંદ અને કલાદીપ છોટાલાલ ન. ભટ્ટ, વિષ્ણુપ્રસાદ જાની, ઈ.૧૯૭૮; ૨. ગુસાપઅહેવાલ : ૪ - ‘વડોદરા રાજ્યની સ્ત્રીકવિઓ’, ડાહ્યાભાઈ લ. પટેલ;  ૩. ગૂહાયાદી [ર.સો.]

દીપ/દીપો : દીપને નામે ‘પાર્શ્વજિન-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી અનુ.) મળે છે તે કયા દીપ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. આ નામે પોપટને સંબોધીને રચાયેલી રાજનગરના સંઘની તપગચ્છના વિજ્યરત્નસૂરિને પધારવાની વિનંતીનો સંદેશો ધરાવતી લાલિત્ય ભરી બાની અને લયની ૭ કડીની સઝાય (મુ.) મળે છે તે એ આચાર્યના રાજ્યકાળ (ઈ.૧૬૭૬-ઈ.૧૭૧૭)ના કોઈ દીપ-જણાય છે પણ તે કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. દીપોને નામે ‘દશાર્ણભદ્ર-ચોઢાળિયું’ (લે.સં. ૧૯મી સદી અનુ.) મળે છે તે દીપ-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ઐસમાલા : ૧. સંદર્ભ : રાહસૂચી : ૧.[ર.સો.]

દીપ(ઋષિ)-૧/દીપાજી [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. ધનરાજની પરંપરામાં ધર્મસિંહશિષ્ય વર્ધમાનના શિષ્ય. ૧૨૨ જેટલા છપ્પાની ‘સુદર્શનશેઠ-રાસ/કવિત’ (મુ.), ૬૦૫ કડીની ‘ગુણકરંડગુણાવલી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૧/સં. ૧૭૫૭, આસો સુદ ૧૦), ૪૬૩ કડીની ‘પુણ્યસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૭૨૦/સં. ૧૭૭૬, ભાદરવા સુદ ૧૦, ગુરુવાર), ‘પાંચમ-ચોપાઈ’ અને ‘વીરસ્વામી-રાસ’ એ કૃતિઓના કર્તા. કવિની કૃતિઓમાં રાજસ્થાની ભાષાની અસર દેખાય છે. કૃતિ : * શીલરક્ષા : ૨ (સુદર્શન શેઠ રાસ), પ્ર. કુંવર મોતીલાલ રાંકા,-. સંદર્ભ : ૧ જૈગૂકવિઓ : ૩(૨); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહ સૂચી; ૪. રાહસૂચી : ૧ [ર.સો.]

દીપચંદ [ઈ.૧૮મી સદી પર્વાર્ધ] : ખરતરગચ્છની વેગડ શાખાના જૈન સાધુ. જિનસાગરની પરંપરામાં ધર્મચંદના શિષ્ય. ‘સુરપ્રિય-ચોપાઈ’ (ર.ઈ.૧૭૨૨૫/સં. ૧૭૮૧, વૈશાખ સુદ ૩; સ્વલિખિત પ્રત લે. ઈ.૧૭૨૯)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.સો.]

દીપરાજ : જુઓ દીપવિજ્ય-૨

દીપવિજ્ય : આ નામે ‘ચક્રેશ્વરીની ગરબી/સ્તવન’ (મુ.), ‘ઝાંઝરિયામુનિ-સઝાય’ વગેરે ઘણી કૃતિઓ મળે છે તેમાંથી મોટા ભાગની કૃતિઓ સમય વગેરે કારણને લીધે દીપવિજ્ય-૨ની ગણી છે પરંતુ બધી જ કૃતિઓનું કર્તૃત્વ નક્કી કરવું મુશ્કેલ છે. દીપવિજ્યને નામે ૨૨ કડીની ‘ચતુર્દશીતિથિ વિરાધક દેવસૂરિ-નવમનિહન્વગચ્છવર્ણન’ (લે. સં. ૨૦મી સદી અનુ.) તથા કવિ દીપવિજ્યને નામે ‘જીવની ઉત્પત્તિના પંદરસો સિત્તેર સ્થાનનો વિવરો’ (લે.સં. ૧૯મી સદી અનુ.) મળે છે તે પણ દીપવિજ્ય-૨ની કૃતિઓ હોવાની સંભાવના છે. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]

દીપવિજ્ય-૧/દીપ્તિવિજ્ય [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં પંડિત માનવિજ્યના શિષ્ય. આ કવિએ રચેલો ૩ અંક (=૩ ખંડ) અને ૩૧ ઢાળનો દુહાદેશી બદ્ધ ‘મંગલકલશ-રાસ’  (ર.ઈ.૧૬૯૩/સં. ૧૭૪૯, આસો સુદ ૧૫; મુ.) ઉપકથાઓને ગૂંથી લેતા એના કૌતુક રસિક વૃત્તાંત તથા પ્રાસાદિક અભિવ્યક્તિને કારણે આસ્વાદ્ય બને છે. આ ઉપરાંત કવિએ ‘ક્યવન્ના/કૃતપુણ્ય-રાસ’ (ર.ઈ.૧૬૭૮/સં. ૧૭૩૫, આસો સુદ ૫, બુધવાર) રચેલ છે. કૃતિ : મંગલકલશ કુમારનો રાસ, પ્ર.શા. ભીમસિંહ માણક, ઈ.૧૯૦૯. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨).[ર.સો.]

દીપવિજ્ય-૨ [ઈ.૧૮મી સદી અંતભાગ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છની આણંદસૂર-શાખાના જૈન સાધુ. પંડિત પ્રેમવિજ્ય અને પંડિત રત્નવિજ્યના શિષ્ય. તેઓ ઉદેપુરના રાણા ભીમસિંહ પાસેથી ‘કવિરાજ’નું અને ગાયકવાડનરેશ પાસેથી ‘કવિબહાદુર’નું બિરુદ પામેલા. આ કવિએ નાની મોટી અનેક કૃતિઓ રચી છે તેમાંથી ૪ ઉલ્લાસ અને ૫૧ ઢાળનો ‘સોહમકુલરત્નપટ્ટાવલી-રાસ’ (ર.ઈ.૧૮૨૧; મુ.) ઇતિહાસ દૃષ્ટિએ ખૂબ મહત્ત્વ ધરાવે છે. કેટલાક પ્રાચીન ગ્રંથોનો આધાર લઈને રચેલા આ રાસમાં વિવિધ ગચ્છભેદોને જ્ઞાતિઓની ઉત્પત્તિની માહિતી, કેટલાક આચાર્યોના જીવનપરિચયો અને કેટલાક મહત્ત્વના ઐતિહાસિક પ્રસંગોના વર્ણન સાથે ૨૦૦૦ જેટલા આચાર્યોની પાટ પરંપરા આપવામાં આવી છે. કૃતિમાં કેટલેક સ્થાને ગદ્ય પણ પ્રયોજાયેલું છે. ચંદરાજાના ગુણાવલીરાણી પરના અને ગુણાવલીના ચંદરાજા પરના લેખ (પત્ર) રૂપે રચાયેલા અનુક્રમે ૩૨ અને ૩૭ કડીઓનાં ૨ નાનાં કાવ્યો (મુ.)માં કવિએ ચંદરાજાની અદ્ભુતરસિક કથાનાં મહત્ત્વનાં ઘટનાબિંદુઓને કુશળતાથી ગૂંથી લીધાં છે. તે ઉપરાંત એમાં ભાષાની રુચિરતા અને પ્રાસાદિકતા નોંધપાત્ર છે. કવિને ઐતિહાસિક પ્રબંધોમાં વિશેષ રસ છે તે તેમની અન્ય કૃતિઓ પણ બતાવે છે. તેમણે રાઠોડરાજા માનસિંહનું વર્ણન કરતો ‘સમુદ્રબંધસચિત્રઆશીર્વાદકાવ્ય-પ્રબંધ’ (ર.ઈ.૧૮૨૧/સં. ૧૮૭૭, આસો સુદ ૧૦) તથા નગરશેઠ હેમાભાઈ વખતચંદનું વર્ણન કરતો બીજો ‘આશીર્વાદ-પ્રબંધ’ એમ ૨ પ્રબંધ રચ્યા છે. કવિએ ગુજરાતનાં કેટલાંક નગરો વિશે પણ ઐતિહાસિક વૃત્તાંત આપતી ગઝલો રચી છે. જેમ કે, હિંદીમાં ૬૦ કડીની ‘વડોદરાની ગઝલ’ (ર.ઈ.૧૭૯૬/સં. ૧૮૫૨, માગશર સુદ ૧, શનિવાર; મુ.) તથા ૮૩ કડીની ‘સુરતકી ગઝલ’ (ર. ઈ.૧૮૨૧/૧૮૭૭ માગશર-૨; મુ.) આ ઉપરાંત એમની ખંભાત, જંબુસર, ઉદેપુર, પાલનપુર અને સિનોર વિશેની ગઝલો નોંધાયેલી મળે છે, જેમાંથી કોઈ ગુજરાતીમાં પણ હોઈ શકે. કદાચ લાવણી પ્રકારના લય તથા રદીફ પ્રકારની પ્રાસયોજનાને કારણે ગઝલ તરીકે ઓળખાવાયેલી આ કૃતિઓમાં ફારસી પદાવલિનો વિનિયોગ પણ ધ્યાન ખેંચે છે ૩ ઢાળના ‘કાવીતીર્થે સાસુ-વહુકારાપિતપ્રસાદે ઋષભ-ધર્મનાથ-સ્તવન’ (ર.ઈ.૧૮૩૦; મુ.)માં કાવીતીર્થમાં સાસુવહુએ બંધાવેલાં જિનમંદિરોનું વર્ણન થયેલું છે. ૪ ઢાળની ‘ગોભદ્રશેઠની તથા શાલિભદ્રની સઝાય’ (ર.ઈ.૧૮૩૫; મુ.) તથા ૬ ઢાળનું ‘રોહિણીતપનું સ્તવન’ (ર.ઈ.૧૮૦૩/સં. ૧૮૫૯, ભાદરવા સુદ-; મુ.) કવિની અન્ય કથાત્મક રચનાઓ છે, જેમાં એમની પ્રાસાદિક કથાકથનની શક્તિ દેખાઈ આવે છે. ૮-૮ ઢાળોમાં રચાયેલી ૨ પૂજાઓ ‘અષ્ટાપદજીની પૂજા’ (ર.ઈ.૧૮૩૬/સં. ૧૮૯૨, ફાગણ-; મુ.), ‘નંદીશ્વરદ્વીપ મહોત્સવ પૂજા’ (ર.ઈ.૧૮૩૩; મુ.) તથા ‘સોહમકુલકલ્પવૃક્ષ અથવા ગણધર દેવવંદન’ (ર.ઈ.૧૮૨૬)માં પણ સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાન ને આચારબોધ ઉપરાંત કેટલુંક ચરિત્રકથન સમાવી લેવાયું છે. કવિએ ‘અડસઠ આગમની અષ્ટપ્રકારી-પૂજા’ પણ રચેલી છે. આ ઉપરાંત કવિએ અનેક સ્તવન, સઝાય, સ્તુતિ, ગીત, છંદ, આરતી, ગહૂંલી વગેરે પ્રકારની કૃતિઓ (ઘણી મુ.) રચેલી છે. તેમાંથી ‘મહાવીર પંચકલ્યાણકના પાંચ વધાવા’ (મુ.) તથા ‘પાર્શ્વનાથના પાંચ વધાવા’ (ર.ઈ.૧૮૨૩) ચરિત્રગાનની કૃતિઓ છે. તીર્થો અને તીર્થકરો વિશેનાં સ્તવનોમાંથી ૮૦ કડીનું ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’, માતાના પુત્ર પ્રત્યેના લાડને વર્ણવતું ૧૭ કડીનું ‘મહાવીરસ્વામીનું હાલરડું’ (મુ.) તેમ જ પરમાત્માના અબોલાની વેદના વર્ણવી આત્મા-પરમાત્માનું ઐક્ય સૂચવતું ‘અબોલાનું સ્તવન’ (મુ.) નોંધપાત્ર છે. ધનના મહિમાની વ્યાપકતા નિર્દેશતી ‘રૂપિયાની શોભા/રૂપિયાની ગહૂંલી’ વિનોદકટાક્ષની કૃતિ તરીકે ધ્યાન ખેંચે છે. લઘુકૃતિઓમાં વીરવિજ્યગણિને મોકલવામાં આવેલ ૪ કડીનો ‘આત્મચિત્તવૃત્તિ-પત્રિકા’ એ વિશિષ્ટ રચનાનો અને વિજ્યલક્ષ્મીસૂરિ વિશેની સ્તુતિઓનો સમાવેશ થાય છે. દીપવિજ્યના નામથી ઉદયરત્નના ‘સ્થૂલિભદ્રનવરસ’ (અંશત: મુ.)માં દુહા ઉમેરાયેલા મળે છે. તેમ જ ‘દીપરાજ’ને નામે ૧૫ કડીનું ‘સિદ્ધાચલ-સ્તવન/શત્રુંજ્યની ગરબી’ (ર.ઈ.૧૮૨૧/સં. ૧૮૭૭ માગશર-૧૩; મુ.) મળે છે તે આ કવિની જ રચનાઓ હોવાનો સંભવ છે. કવિની ગદ્યકૃતિઓમાં ૩૦૦ ગ્રંથાગ્રની ‘મહાનિશીથસૂત્રના બોલ’ (ર. ઈ.૧૮૩૪; મુ.) તથા ઢુંઢિયાના ૯ બોલ તેમ જ તેરાપંથ વિશેની ચર્ચાને સમાવતી ‘ચર્ચાબોલવિચાર’ (ર.ઈ.૧૮૨૦) એ કૃતિઓનો સમાવેશ થાય છે. ‘આધ્યાત્મિક ચર્ચા’ નામે એક કૃતિ નોંધાયેલી જોવા મળે છે તે ‘ચર્ચાબોલવિચાર’ હોવા સંભવ છે. આ ઉપરાંત આ કવિનો ‘પર્વતિથિ અંગે પત્ર’ (ર.ઈ.૧૮૧૫/સં. ૧૮૭૧, આસો સુદ ૧) પણ નોંધાયેલો મળે છે. હિન્દી ભાષામાં આગળ નિર્દિષ્ટ ગઝલો ઉપરાંત ૬૫ કડીની ‘કેસરિયાજીની લાવણી/ઋષભદેવની લાવણી’ (ર.ઈ.૧૮૧૯/સં. ૧૮૭૫, ફાગણ સુદ ૧૩, મંગળવાર; મુ.), ૩૩ કડીનું ‘કેસરિયાજીતીર્થ-સ્તવન’ (ર.ઈ.૧૮૨૯/સં. ૧૮૮૫, ફાગણ-૧૩, મંગળવાર; મુ.) તથા ૨ કવિત (મુ.) આ કવિએ રચેલ મળે છે. કવિની હિન્દી કૃતિઓ ચારણી છંદો અને ફારસીપ્રચુર ભાષાછટાની કવિની કુશળતા બતાવે છે. હિંદીમાં ‘પ્રશ્નોત્તરસમુચ્ચય’ એ ગદ્યકૃતિ (ર.ઈ.૧૮૩૦) કવિએ રચેલ છે. કવિને નામે નોંધાયેલ ‘મૂર્તિપૂજા પ્રશ્નોત્તર’ કદાચ આ જ કૃતિ હોય. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. કુમારપાલ પ્રતિબોધ (જર્મન), સં. લુડવિગ આલ્સડૉર્ફ, ઈ.૧૯૨૮-સ્થૂલિભદ્રના દુહા; ૩. ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. ભીમસિંહ માણક, ઈ.૧૯૦૧; ૪. ચૈસ્તસંગ્રહ : ૨; ૫. જિભપ્રકાશ; ૬. જિસ્તકાસંદોહ : ૨; ૭. જૈકાપ્રકાશ : ૧; ૮. જૈગૂસારત્નો : ૨ (+સં.); ૯. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૨; સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૧૦. જૈપ્રપુસ્તક : ૧; ૧૧. જૈરસંગ્રહ; ૧૨. જૈસમાલા (શા.) : ૨; ૧૩. પસમુચ્ચય : ૨ (+સં.); ૧૪. પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, સં. તિલક વિજ્યજી, સં. ૧૯૯૩; ૧૫. પ્રાતીસંગ્રહ : ૧; ૧૬. માણિભદ્રાદિકોના છંદોનું પુસ્તક : ૧, મુ. નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦; ૧૭. વિવિધ પૂજા સંગ્રહ : ૧ થી ૧૧, પ્ર. જસવંતલાલ ગી. શાહ-; ૧૮. વિસ્નાપૂજા સંગ્રહ;  ૧૯. જૈનયુગ, કારતક-માગશર ૧૯૮૫-‘દીપવિજ્યકૃત સુરતની ગઝલ’ તથા ૨ કવિત, સં. મોહનલાલ દ. દેશાઈ (+સં.); ૨૦. જૈન સત્યપ્રકાશ, જાન્યુ.-ફેબ્રુ. ૧૯૪૦-‘કવિશ્રી દીપવિજ્ય વિરચિત શ્રીકેસરિયાજી તીર્થસ્તવન’, સં. પ્રેમવિજ્યજી; ૨૧. એજન, સપ્ટે. ૧૯૪૮-‘કવિવર દીપવિજ્યજી વિરચિત શ્રી કેસરિયા તીર્થની એક અપ્રસિદ્ધ લાવણી’, અભયસાગરજી; ૨૨. જૈન સાહિત્ય સંશોધક, ફાગણ ૧૯૮૪- ‘કવિ દીપવિજ્યજી લિખિત મહાનિશીથ સૂત્ર-પરિચય’, સં. જિનવિજ્યજી (+સં.); ૨૩. ફાત્રૈમાસિક, ઑક્ટો.-ડિસે. ૧૯૩૬-‘દીપવિજ્યજીનાં બે કાવ્યો’ સં. બેચરદાસ જી. દોશી; ૨૪. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૩૨-‘વડોદરાની ગઝલ’. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૪. જૈહાપ્રોસ્ટા; ૫. ફાહનામાવલિ : ૨; ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]

દીપવિજ્ય-૩ [ઈ.૧૮૨૨ સુધીમાં] : જૈન સાધુ. કૃષ્ણવિજ્યના શિષ્ય. ‘જિનસ્તવન-ચોવીસી’ (લે.ઈ.૧૮૨૨) તથા ‘સામાયિક-બત્રીસદોષ-સઝાય’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.સો.]

દીપવિજ્ય-૪ [                ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં પંડિત પદ્મવિજ્યના શિષ્ય. સંભવત: વિજ્યસેનસૂરિના આચાર્યકાળ (ઈ.૧૫૭૨થી ઈ.૧૬૧૫)માં રચાયેલ ૧૨ કડીના ‘પર્યુષણપર્વ-ચૈત્યવંદન’ (મુ.)ના કર્તા. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૧,૩. [ર.સો.]

દીપવિજ્યશિષ્ય [                ] : જૈન સાધુ. ૮ કડીની ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (લે. સં. ૨૦મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

દીપવિમળ/વિમળદીપ [                ] : જૈન સાધુ. નેમિનાથ આવે છે ને વરદત્તકુમાર આદિ એમની દેશના સાંભળી દીક્ષા લે છે તેવા કથાવસ્તુવાળી ૭ કડીની ‘નેમિનાથ-સઝાય/વરદત્તકુમારની સઝાય’ (મુ.)ના કર્તા. ઘણા મુદ્રિત પાઠમાં આ કૃતિના કર્તાનું નામ ‘વિમળદીપ’ પણ મળે છે. કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૨. જૈસસંગ્રહ (જૈ); ૩. જૈસસંગ્રહ (ન.); ૪. સઝાયમાલા ૧-૨ (જા.). સંદર્ભ : ગુજૂકહકીકત.[ર.સો.]

દીપસૌભાગ્ય-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. રાજસાગરસૂરિની પરંપરામાં માણિક્ય-સૌભાગ્યશિષ્ય ચતુરસૌભાગ્યના શિષ્ય. ૩૧ ઢાલ અને ૬૦૭ કડીની ‘ચિત્રસેનપદ્માવતી ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૩/સં. ૧૭૩૯, ભાદરવા વદ ૯, મંગળવાર/શુક્રવાર) તથા પરંપરાગત અલંકારોનો થોડોક વિનિયોગ બતાવતી, ઈ.૧૬૯૩માં અવસાન પામેલા વૃદ્ધિસાગરસૂરિનું ચરિત્રગાન કરતી, ૧૦ ઢાળની ‘વૃદ્ધિસાગરસૂરિનિર્વાણ-રાસ’ (મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ઐરાસંગ્રહ : ૩ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨). [ર.સો.]

દીપા [ઈ.૧૪૯૨માં હયાત] : કડવાગચ્છના સંવરી શ્રાવક. શા. કડવાના શિષ્ય. સંવરી દીક્ષા ઈ.૧૪૯૨માં. એમણે તે સમયે રચેલ છંદ તથા ‘બારવ્રત-ચોપાઈ’ મળે છે. સંદર્ભ : કડુઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯. [કી.જો.]

દીપાજી : જુઓ દીપ (ઋષિ)-૧.

દીપો : જુઓ દીપ.

દિપ્તિવિજ્ય : જુઓ દીપવિજ્ય-૧.

દુર્ગદાસ : આ નામે ૨૨ કડીનું ‘ત્રિષષ્ટિશલાકા-સ્તવન’ (લે.ઈ.૧૮મી સદી અનુ.) મળે છે તે કયા દુર્ગદાસ/દુર્ગાદાસ છે તે નક્કી થઈ શકે તેમ નથી. સંદર્ભ : કેટલૉગગુરા. [કી.જો.]

દુર્ગદાસ (ગણિ)-૧/દુર્ગાદાસ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ઉત્તરાધ ગચ્છના જૈન સાધુ. સરવરશિષ્ય અર્જુનમુનિના શિષ્ય. ‘શાલિભદ્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૮) અને ૬૩ કડીની ‘ગંધકકુમારસૂરિ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૯/સં.૧૬૩૫, ભાદરવા વદ ૫)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]

દુર્ગદાસ-૨ [ઈ.૧૭૩૭માં હયાત] : ખરતરગચ્છની આચાર્યશાખાના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં વિનયાણંદના શિષ્ય. ‘જંબૂસ્વામી-ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૩૭/સં. ૧૭૯૩, શ્રાવણ સુદ ૭, સોમવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. જૈહાપ્રોસ્ટા. [કી.જો.]

દુર્ગાદાસ-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : જુઓ દુર્ગદાસ-૧.

દુર્ગાદાસ-૨ [ઈ.૧૭૯૦ સુધીમાં] : એમની ૪૫ કડીની ‘ચંદ્રાવલીનો ગરબો’ (મુ.) એ કૃતિમાં કૃષ્ણનું રસિકચાતુર્ય વર્ણવાયું છે. ચંદ્રાવલીને રસ્તે મળતાં એને રોકવામાં અને પોતાને ઘેર બોલાવવામાં નિષ્ફળ ગયેલા કૃષ્ણ એકાદશીના જાગરણને બહાને ચંદ્રાવલીની સખી રાઈને વેશે એને ત્યાં જાય છે અને રાત ગાળે છે. કૃતિમાં કૃષ્ણને મુખે થયેલું ચંદ્રાવલીનું વિસ્તૃત આલંકારિક સૌંદર્યવર્ણન તથા કૃષ્ણ ચંદ્રાવલીનો શૃંગારવિહાર ધ્યાન ખેંચે છે. દુર્ગાદાસને નામે ૫ પદની ‘લંપટ હરિયો’ (લે.ઈ.૧૭૯૦) એ કૃતિ નોંધાયેલી મળે છે તે ‘ચંદ્રાવલીનો ગરબો’ જ હોવાનું કહેવાયેલું છે પરંતુ બંને કૃતિનાં બંધારણ જુદાં હોઈ એ શક્ય લાગતું નથી. કૃતિ : બૃકાદોહન : ૬. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]

દુર્ગો [       ] : ‘ટેન્ડો રજપૂત’ના વેશમાં આ કવિનો ૧ છપ્પો (મુ.) મળે છે. કૃતિ : ભવાની ભવાઈપ્રકાશ, પ્ર. હરમણિશંકર ધ. મુનશી. [નિ.વો.]

દુર્લભ/દુર્લભદાસ  : આ નામોથી હિંદી તેમ જ ગુજરાતી પદો (કેટલાંક મુ.) મળે છે તે કયા દુર્લભ કે દુર્લભદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. મુદ્રિત ગુજરાતી કૃતિઓ તેની ભાષાભિવ્યક્તિને કારણે અર્વાચીન હોય એવી શંકા થાય છે. કૃતિ : ૧. પ્રાકાસુધા : ૧; ૨. ભજનસાગર : ૧; ૩. સોસંવાણી. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]

દુર્લભ-૧ [અવ. ઈ.૧૭૩૭] : પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંતકવિ. વાંસવાડા (રાજસ્થાન)માં સ્થાયી થયેલા આ કવિ પોતાને નગર તરીકે ઓળખાવે છે એ ઈ.૧૬૯૭ (સં. ૧૭૫૩, કારતક વદ ૩, રવિવાર/સોમવાર)માં જૂનાગઢમાં વડનગરા નાગર બ્રહ્મણ કુટુંબમાં જન્મ્યા હોવાનું, હરિનંદ પંડ્યા તથા હીરા એમનાં પિતા-માતા હોવાનું તથા કાકીના મહેણાથી એમણે ૧૨ વર્ષની વયે ગૃહત્યાગ કર્યો હોવાનું નોંધાયું છે પરંતુ આ માહિતી કેટલી પ્રમાણભૂત છે તે પ્રશ્ન છે. એમણે ઈ.૧૭૨૧માં રચેલાં ‘ભીલુડાનાં પદ’ એ પૂર્વે એ વાગડ પ્રદેશના એ ગામમાં આવ્યા હોવાનું બતાવે છે. આ પ્રસંગ પછી તરત એ વાંસવાડા ગયા અને ત્યાં જ પોતાનો શેષ જીવનકાળ વ્યતીત કર્યો. દુર્લભની ઘણીખરી કૃતિઓ મુદ્રિત મળે છે. તેમાંથી ‘ભીલુડાનાં પદ’ને નામે ઓળખાતો ૧૨ પદોનો ગુચ્છ (ર.ઈ.૧૭૨૧/સં. ૧૭૭૭, શ્રાવણ સુદ ૧૫, ગુરુવાર) એમાં વર્ણવાયેલા એમના જીવન પ્રસંગને કારણે ધ્યાન ખેંચે છે. ભીલુડાના રામજીમંદિરે દર્શન કરવા ગયેલા દુર્લભની પરીક્ષા કરવા નાગરોએ મંદિરને તાળું મારી દીધું ને દુર્લભે એ તાળું ખોલવા ભગવાનને પ્રાર્થના રૂપે આ ૧૨ પદો ગાયાં, નરસિંહના હારપ્રસંગનાં પદોની યાદ આપતાં આ પદોમાં કવિ નરસિંહની જેમ ભગવાન પ્રત્યે મર્મવચનો કહી આત્મીયતાનો સંબંધ પ્રગટ કરે છે. આશરે ૨૭૦ કડીની ‘અનુભવ-ગીતા’માં એમણે ભાગવતનો ઉદ્ધવ-સંદેશનો પ્રસંગ આલેખ્યો છે ને એમાં ગોપીઓના મનોભાવો-દૈન્ય, અસહાયતા, રીસ, રોષ, વિહ્વળતા આદિ વિસ્તારથી વર્ણવ્યા છે. કડવા-પ્રકારનાં ૩૭ પદોમાં રચાયેલ ‘સુદામા-ચરિત્ર’ આ પ્રસંગનિમિત્તે જ્ઞાનવિચાર અને ભક્તિવિચારને વિશેષ ઉઠાવ આપતી કૃતિ તરીકે નોંધપાત્ર છે. ‘વેણુ-ગીત’, ‘જુગલ-ગીત’, ‘વ્રેહ-ગીત’, ‘બાલ-ગીત’, ‘રાસનો છંદ’ અને ‘રાસ’ એવા વિભાગોમાં વહેંચાયેલો ‘મોટો રાસ’ દુર્લભની લાક્ષણિક કૃતિ છે. દરેક પ્રસંગ એમાં વિસ્તારથી નિરૂપાયો છે તે ઉપરાંત ‘બાલ-ગીત’માં ગોપીઓ પોતાને કૃષ્ણ રૂપે કલ્પી એની વિવિધ લીલાઓ જાણે પોતે કરતી હોય એવું વર્ણવે છે. આ પૂર્વે ઉલ્લેખાયેલાં કાવ્યોમાં એકંદરે સીધી સાદી ભાષાનો વિનિયોગ કરનાર કવિ અહીં સંસ્કૃત પદાવલિની સહાયથી અભિવ્યક્તિનાં લાલિત્ય, પ્રૌઢિ અને શિષ્ટતા સિદ્ધ કરે છે. કાવ્યમાં વર્ણનાત્મક અંશ મોટો છે ને એના શૃંગારમાં એક પ્રકારની મર્યાદાશીલતા વરતાય છે. આ પ્રકારની બીજા લાંબી કૃતિ ‘રાસ-પંચાધ્યાયી’માં ભાગવતના શ્લોકો ઉદ્ધૃત કરતા જઈ જાણે કે એનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આ સિવાય રાસનું વર્ણન કરતી ૨ ગરબીઓ અને ‘રાસનો સમો’ નામનું ૧ પદ પણ આ કવિનાં મળે છે. દુર્લભે ૨ મહિના રચ્યા છે - એક ફાગણથી શરૂ થતા અને બીજા અસાડથી શરૂ થતા. બંનેમાં કૃષ્ણના દર્શન-મિલનનો ગોપીનો આનંદાનુભવ વર્ણવાયો છે. ફાગણના મહિના વિશેષે વર્ણનાત્મક ને તેથી વિસ્તૃત છે, ત્યારે અસાડના મહિના વિશેષ ભાવાત્મક છે. અન્ય દીર્ઘ કૃતિઓમાં ૭૪ કડીનું ‘મોટું કીર્તન ધામનું’ પુષ્ટિ માર્ગસંમત શુદ્ધાદ્વૈત વેદાંતના મુક્તિવિચારને આલેખે છે ને પારિભાષિક અભિવ્યક્તિને કારણે થોડું કૂટ પણ બન્યું છે. ૪૮ કડીનું ‘સદ્ગુરુનું કીર્તન’ ઉપદેશાત્મક છે તો ૮૦ લકડીનું ‘આરોગણાનું કીર્તન’ થાળ-પ્રકારની રચના છે. ૩૪ કડીની ‘દુર્લભની વિનંતી’ દુર્લભે ‘વિલાસી’ (કૃષ્ણ)ને પોતાને આદ્ય ભુવનમાં લેવા માટે દાસીભાવે કરેલી વિનંતિ આલેખે છે, પરંતુ આ વિનંતિ વિશાખા વગેરે વનિતાઓ મારફત થઈ હોવાથી એ વનિતાઓને વિલાસીના સંવાદ રૂપે બહુધા ચાલે છે. દુર્લભનાં મુદ્રિત પદોનો સંચય ૩૨૯ જેટલી સંખ્યા બતાવે છે, જેમાંનાં કેટલાંક હિંદીમાં પણ છે. એમાં શૃંગારનાં, દાણનાં, ફાગનાં, વાત્સલ્યનાં પદો મોટી સંખ્યામાં છે, જે કૃષ્ણવિષયક પદકવિતાનું અનુસંધાન પ્રગટ કરે છે. આ અને અન્ય પદોમાં નરસિંહનો પ્રભાવ પણ વરતાય છે. એમાં સંયોગશૃંગારનું આલેખન અવશ્ય આવે છે તેમ છતાં એનું ઘેરું ચિત્રણ કવિએ કર્યું નથી ને શૃંગાર‘ભક્તિ’ના તત્ત્વને એમણે સતત નિરૂપિત કર્યું છે. એમના શૃંગારાલેખનને જ્ઞાનદૃષ્ટિનો પાસ પણ લાગ્યો છે. કવિનાં અન્ય પદોમાં નામમહિમાનાં, ગુરુમહિમાનાં, વિનયનાં, જ્ઞાનનાં વગેરે પદોનો સમાવેશ થાય છે. હિંદીમાં રચેલાં કવિનાં થોડાં કવિત પણ મળે છે. આ મુદ્રિત કૃતિઓ ઉપરાંત દુર્લભનાં, સૃષ્ટિઉત્પત્તિના શુદ્ધાદ્વૈતવિચારને આલેખતું ‘આપવિલાસની વિધિ’, ‘કૃષ્ણપ્રિયાને પ્રાર્થના’ તથા ભટકતા ચિત્તને શિખામણ આપતું લાંબું પદ - એ કાવ્યો નોંધાયેલાં છે. એમણે સંસ્કૃતમાં સ્તોત્ર રચ્યાંની માહિતી પણ મળે છે. દુર્લભની જ્ઞાનયુક્ત ભક્તિની કવિતામાં પ્રસંગે ઉપમાદિ અલંકારો ને સાંકળીબંધ જેવા રચનાચાતુર્ય જોવા મળે છે. એમની ભાષામાં બધે સઘનતા કે સફાઈ નથી પણ કેટલીક વિલક્ષણ અભિવ્યક્તિ તરાહો છે. એમની કૃતિઓ રાગના નિર્દેશ સાથે મળે છે એ એમની સંગીતની જાણકારી બતાવે છે. કૃતિ : દુર્લભ-જીવન અને કવન, સં. શંકરલાલ ત્રિવેદી, -. (+સં.) [શ્ર.ત્રિ.]

દુર્લભ-૨[                ] : અવટંકે ભટ્ટ. કોઈકની ગદ્યનોંધ સાથે મળતા ‘કપૂરચંદ-શેઠનો રાસડો’ના કર્તા. રાસડો ૨ ભાગમાં વહેંચાયેલો છે. એના પહેલા ભાગમાં કપૂરચંદશેઠનો વૈભવ, શત્રુંજ્ય જાત્રા જવા માટે કાઢેલો સંઘનો ઠાઠમાઠ, શેઠની હાકેમી તથા પાનાચંદના લગ્નની શોભા વર્ણવી છે ત્યારે બીજા ભાગમાં શેઠને અગ્નિદાહ કર્યાનું વર્ણન છે. સંદર્ભ : ફાહનામાવલિ : ૧. [કી.જો.]

દુર્લભ-૩ [ ] : જૈન. ૨૦ કડીના ‘(ઉરપાડનગર મંડન) શાંતિનાથપ્રતિષ્ઠાવર્ણન સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગુહસૂચી. [કી.જો.]

દુર્લભદાસ : જુઓ દુર્લભ.

દુર્લભદાસ-૧ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો.[કી.જો.]

દુર્લભરામ [ઈ.૧૭૪૧ આસપાસ] : સુરતના વતની. નાનાસુત. સુરતના નાગર કુટુંબની સ્ત્રી શિવબાઈ ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, ભાદરવા વદ ૧૨, શુક્રવારના રોજ સતી થાય છે તે પ્રસંગના વર્ણન દ્વારા સતી થવાના રિવાજનું ચિત્ર રજૂ કરતા, એ જ અરસામાં રચાયેલા જણાતા ૭૮ કડીના ‘સતીમાનો ગરબો’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. ગુજરાતી લોકસાહિત્યમાળા : ૫, સં. મંજુલાલ ૨. મજમુદાર વગેરે, ઈ.૧૯૬૬ (+સં.); ૨. ભવાઈ સંગ્રહ, મહીપતરામ રૂપરામ, ઈ.૧૮૯૪ (ચોથી આ.). સંદર્ભ : ફાહનામાવલિ : ૨. [કી.જો.]

‘દેગમ પદમણીનો વેશ’  : ‘રાજા દેગમનો વેશ’ને નામે પણ ઓળખાવાયેલા આ વેશ (મુ.)ના ૧ પાઠમાં આરંભમાં “કવિ ગદ કહે સુણો ઠકરો રે, સ્વાંગ તો રાજા દેગમનો લહુ” એવી પ્રસ્તુત વેશની પ્રશસ્તિ કરતી ઉક્તિ મળે છે તેને કવિ ગદના ઉદ્ધૃત સુભાષિત વચન તરીકે જ લેવી કે એ વેશનું કર્તૃત્વ કવિ ગદનું છે એમ સૂચવનારી લેખવી તે વિચારણીય છે. વેશનો મુખ્ય કથાદોર આ પ્રમાણે છે : રાજા દેગમ શિકારે નીકળે છે, પદમણી સમી ભીલસુંદરીને જોઈ એના પ્રેમમાં પડે છે ને યુદ્ધ લડી એને જીતે છે. આ કથાદોરને આધારે વેશમાં બીજું ઘણું ભરત થયું છે ને એમાં વેશનો જુદો જ મર્મ ઊપસતો જણાય છે. વેશના આરંભમાં ચંપા-માળીની કથા મોટેભાગે એને મુખે કહેવાય છે. દેગમે કુંવર-અવસ્થામાં નિશાળે સાથે ભણતા ચંપામાળીને વચન આપેલું કે પોતે રાજા થશે ત્યારે ચંપાને પ્રધાન બનાવશે. પણ દેગમ પછીથી પોતાનું વચન વીસરી ગયો એટલે ચંપાએ સોદાગરને વેશે ઘોડાઓ લાવી રાજાનું ધ્યાન ખેંચ્યું અને રાજાએ એને પ્રધાન બનાવ્યો. આ પછી રાજા અને ચંપો શિકારે નીકળે છે એ મુખ્ય પ્રસંગ આવે છે. એમાં ૩ ઘટકો છે : ૧. રાજાનો ચંપા સાથેનો સંવાદ : ચંપો પદમણીને જુએ છે ને એને ડુંગરે બેઠેલી કોયલડી તરીકે ઓળખાવે છે, પણ પછી રાજાના શબ્દોને વિકૃત કરી, એને વાચ્યાર્થમાં લઈ હાસ્યની સામગ્રી પૂરી પાડે છે. આ સંવાદમાં પદ્મિની નારીનાં લક્ષણો વર્ણવાય છે ને વેશના કોઈ પાઠમાં એનું સૌંદર્યવર્ણન પણ થાય છે. ૨. રાજા અને ચંપાનો પદમણી સાથેનો સંવાદ : આમાં રાજાની સૂચના અનુસાર ચંપો પદમણીને લલચાવવા વસ્ત્રો, ભોજન આદિ વૈભવની લાલચ આપે છે, પરંતુ “મારે વાલમ એક” કહેતી પદમણી પોતાની વનજીવન પ્રત્યેની પ્રીતિ પ્રગટ કરે છે. પદ્યનો આશ્રય લેતા આ સંવાદમાં લોકભોગ્ય આકર્ષકતા આવી છે. ૩. દોડિયા રજપૂતોનો ચંપા સાથેનો તેમ જ મીર સાથેનો સંવાદ : યુદ્ધ લડવા માટે દોડિયા રજપૂતોને બોલાવવામાં આવે છે. તેમનો આ સંવાદ રજપૂતી વીરત્વના, ગૌરવના ને ઉદારતાના થયેલા હ્રાસનું વિડંબનાયુક્ત આલેખન કરે છે અને આખા વેશમાં સૌથી વધુ રસપ્રદ અંશ બની રહે છે. રજપૂતોનાં નામ-નખોદજી, ટૂટાજી, સુરદાસજી-એમની અવદશાનાં સૂચક છે. આ રજપૂતો સૌ પ્રથમ અફીણ, તમાકુ ને રોટલા માગે છે, ગામને ૧૨ ભાગોળ હોય એમ ઇચ્છે છે જેથી સહેલાઈથી નાસી જઈ શકાય, યુદ્ધમાં પોતે કદાચ મરે તેથી તેનું બારમું રાજા પાસે અગાઉથી માગે છે, લડવા માટે બધી ઋતુ સામે કંઈ ને કંઈ વાંધો કાઢે છે ને મીર ગાય છે એને સરપાવ આપવાને બદલે પોતાના રોટલાના સાંસાનાં ગાણાં ગાય છે. વેશના અંત ભાગમાં યુદ્ધ થવાનો ઉલ્લેખ આવે છે. દોડિયા રજપૂતો તો વગર લડ્યે પડે છે ને રાજા જાતે યુદ્ધે ચડીને પદમણીને જીતી લાવે છે. કૃતિ : ૧. ભવાઈસંગ્રહ, સં. મહીપતરામ રૂપામ, * ઈ.૧૮૬૬, ઈ.૧૮૪૯ (ચોથી આ.); ૨. ભવાની ભવાઈ પ્રકાશ, સં. હરમણિશંકર ધ. મુનશી,-. સંદર્ભ : ૧. ભવાઈ (અં.), સુધા. આર. દેસાઈ, ઈ.૧૯૭૨; ૨. ભવાઈના વેશની વાર્તાઓ, ભરતરામ ભા. મહેતા, ઈ.૧૯૬૪. [ક.જા.]

દેદ [ઈ.૧૬૪૫ સુધીમાં] : મહાભારતના કથાનકને વર્ણવતી ૧૪૬ કડીની કડવાબદ્ધ ‘કબીરા-પર્વ’ (લે.ઈ.૧૬૪૫) તથા ‘અભિમન્યુનું ઓઝણું/ઉત્તરાનું ઊઝણું’ના કર્તા. બીજી કૃતિ ઈ.૧૫૯૪ આસપાસ રચાઈ હોવાનું મનાયું છે. સંદર્ભ : ૧. કવિ પ્રેમાનંદ કૃત અભિમન્યુ-આખ્યાન, સં. ચિમનલાલ શિ. ત્રિવેદી, રતિલાલ સાં. નાયક, ઈ.૧૯૬૭ (બીજી આ.); ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી. [કી.જો.]

દેદો (ઈ.૧૭૪૬ સુધીમાં] : ૨૬ કડીના ‘ભાંગી-છંદ’ (લે.ઈ.૧૭૪૬)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

દેપાલ/દેપો [ઈ.૧૫મી સદી] : જૈન શ્રાવક. એમના ‘આર્દ્રકુમાર-વિવાહલો’ની હસ્તપ્રત લે. ઈ.૧૪૩૭ની નોંધાયેલી છે તેમ જ ઈ.૧૪૭૮નું રચનાવર્ષ બતાવતી કૃતિ મળે છે તેથી કવિનો સમય ઈ.૧૫મી સદીના મોટા ભાગમાં વિસ્તરેલો ગણાય. દિલ્હીના દરબારમાં માનવંતુ સ્થાન પ્રાપ્ત કરનાર દેસલહરા સમરા અને સારંગ એ શ્રેષ્ઠીઓના આશ્રિત અને દિલ્હીથી ગુજરાતમાં યાત્રાર્થે આવી કોચરવ્યવહારીનાં જીવદયાનાં કાર્યોને બિરદાવનાર, જ્ઞાતિએ ભોજક અને અવટંકે ઠાકુર જણાતા દેપાલ નામના કવિની માહિતી મળે છે, પરંતુ આમાંના કેટલાંક ઉલ્લેખો એ કવિ ઈ.૧૪મી સદીમાં થયા હોવાનું બતાવે છે, જ્યારે પ્રાપ્ત કૃતિઓ દેપાલ ઈ.૧૫મી સદીમાં થયા હોવાનું બતાવે છે. આથી આ કૃતિઓના કર્તા દેપાલ સમરા અને સારંગના નહીં પણ તેમના વંશજોના આશ્રિત હોવા જોઈએ એવો તર્ક પણ થયો છે. દેપાલ એકથી વધુ હોય એવો સંભવ પણ નકારી ન શકાય. જો કે પ્રાપ્ત કૃતિઓ કોઈ એક જ કવિની હોવાની શક્યતા વધારે દેખાય છે. એ નોંધપાત્ર છે કે કવિની ભાષામાં દિલ્હીની ભાષાની અસર દેખાતી નથી પરંતુ તેમની કૃતિઓમાં મરાઠી ભાષાની પંક્તિઓ જોવા મળે છે. આ યાચક કવિએ કેટલાક પરાક્રમી પુરુષોની પ્રશસ્તિનાં કાવ્યો રચ્યાં છે. ‘સમરા-સારંગનો કડખો/રાસ’ (મુ.)માં એ ભાઈઓએ ઈ.૧૩૧૫માં કરેલી શત્રુંજય તથા ગિરનારની યાત્રાઓ અને તેમના ધર્મકાર્યનું વર્ણન છે. એક સ્થાને “શંકરદાસ કહે” એવી નામછાપને અંતર્ગત કરતા આ કાવ્યમાં કવિના જણાવ્યા મુજબ માંગરોળના ચારણો પાસેથી સાંભળેલા કવિતોનો પણ ઉપયોગ થયેલો જણાય છે. વસ્તુ, ઠવણિ, લઢ, લઢણાં એવા વિભાગો ધરાવતા આશરે ૩૭ કડીના ‘ભીમશાહ-રાસ’ (મુ.)માં ઈ.૧૪૨૦માં થયેલા અને દુકાળ વખતે તીર્થો તથા સ્ત્રીઓની ધન આપી રક્ષા કરનાર પાટણના ભીમશાહનું યશોગાન છે. ૧૮ કડીની ‘વિકમસી ભાવસાર-ચોપાઈ’ (મુ.)માં ભોજાઈના મહેણાથી શત્રુંજ્યને પોતાના જાનને જોખમે વાઘના ભયમાંથી મુક્ત કરનાર વિકમસીના વીરત્વને બિરદાવવામાં આવ્યું છે. આ બધાં કાવ્યોમાં છંદ ને બાનીમાં ચારણી છટા જોઈ શકાય છે. કવિએ કોચર-વ્યવહારીનાં જીવદયાનાં કાર્યોનો ગુણાનુવાદ કરતાં તથા ખંભાતના સાજણસી વિશેનાં કાવ્ય રચ્યાં હોવાના ઉલ્લેખો મળે છે. કવિની રાસાત્મક કૃતિઓમાં શ્રેણિક અને અભયકુમારના બુદ્ધિચાતુર્યની કથા પ્રાસાદિક રીતે કહેતી ને કવચિત વર્ણન, સુભાષિત વગેરેમાં કવિની શક્તિ પ્રગટ કરતી, મુખ્યત્વે વસ્તુ, દુહા અને ચોપાઈની ૩૬૮ કડીની ‘શ્રેણિકઅભયકુમાર - ચરિત  અભયકુમાર શ્રેણિક-રાસ/પ્રબંધ/ચોપાઈ’ (મુ.), એ જ શૈલીએ રચાયેલી ૧૮૧ કડીની ‘જંબૂસ્વામી પંચભવ-ચરિત્ર/ચોપાઈ/પ્રબંધ’ (ર. ઈ.૧૪૬૬/સં. ૧૫૨૨, આસો સુદ ૧૫; મુ.), આશરે ૩૫૦ કડીની ‘શ્રાવકાચાર/સમ્યકત્વબારવ્રત કુલક-ચોપાઈ’ (ર. ઈ.૧૪૭૮/સં. ૧૫૩૪, આસો સુદ ૧૫), આશરે ૧૮૦ કડીની ‘જાવડભાવડ-રાસ/સલોકો’, ૨૭૭ કડીની ‘રોહિણેય-પ્રબંધ’, મનોભાવનિરૂપણ અને કહેવત-રૂઢિપ્રયોગમૂલક ભાષાપ્રયોગોથી ધ્યાન ખેંચતી ૧૦૨ કડીની ‘ચંદન બાલાચરિત્ર-ચોપાઈ/રાસ’ (મુ.) અને ‘વ્રજસ્વામી-ચોપાઈ’ (ર. ઈ.૧૪૬૬)નો સમાવેશ થાય છે. સંભવત: ૭ અધિકારની ‘પુણ્યપાપ ફલ તથા સ્ત્રીવર્ણન-ચોપાઈ’ પણ રાસાત્મક કૃતિ હોવાની શક્યતા છે. ૪૧ કડીની ‘પાર્શ્વનાથજીરાઉલા-રાસ’ અને ૧૮ કડીની ‘શત્રુંજય-ચૈત્યપરિપાટી’ (મુ.) એ તીર્થવર્ણનની કૃતિઓ, ૩૬ કડીની ‘સ્થૂલિભદ્ર-કક્કાવળી’, દીક્ષિત થયા પછી જેમને પુનર્જન્મ પામેલ પૂર્વ ભવની પત્ની સાથે લગ્ન કરવાં પડ્યાં તે આર્દ્રકુમાર-ધવલ/વિવાહલો’ (મુ.), ‘આર્દ્રકુમાર સૂડ’, ૧૯ કડીની ‘થાવચ્ચાકુમાર-સઝાય/ગીત/રાસ’ (મુ.), ૧૫ કડીની ‘કયવન્ના-વિવાહલો’ (મુ.), ૧૦ કડીની ‘સ્થૂલિભદ્ર-છાહલી’ વગેરે ધવલ, ભાસ, ગીત જેવા પ્રકારોની તીર્થ-તીર્થંકરાદિવિષયક તેમ જ બોધાત્મક કૃતિઓ (કોઈક મુ.) તથા હરિયાળીઓ રચેલી છે. કવિની કૃતિઓની ગેયતા તેમની સંગીતજ્ઞતાનું સૂચન કરે છે. કૃતિ : ૧. ડિકેટેલોગભાઈ : ૧૯(૨)-૧ ગીત; ૨. નસ્વાધ્યાય : ૩; ૩. પ્રાગૂકાસંચય; ૪. વિસ્નાપૂજાસંગ્રહ; ૫. સજ્ઝાય સંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી, સં. ૧૯૭૮;  ૬. જૈનયુગ, પોષ ૧૯૮૩-‘શત્રુંજયની એક ઐતિહાસિક બીના-વિકમસી ભાવસાર ચુપદિ’, સં. મોહનલાલ દ. દેશાઈ; ૭. જૈનયુગ, વૈશાખ-જેઠ ૧૯૮૬, ‘સમરાસારંગનો કડખો’, સં. મોહનલાલ દ. દેશાઈ(+ સં.) ૮. સ્વાધ્યાય, ઑક્ટો. ૧૯૬૫-‘દેપાલકૃત જંબૂસ્વામિપંચભવચરિત્ર’ સં. ઉમાકાન્ત પ્રે. શાહ, સોમાભાઈ ધૂ. પારેખ (+ સં.); ૯. સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૭૩- ‘કવિ દેપાલકૃત શ્રેણિક અભયકુમાર ચરિત’, સં. લાલચંદ્ર ભ. ગાંધી; ૧૦. સ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૪- ‘કવિ દેપાલકૃત ભીમશાહ રાસ’, સં. અગરચંદ નાહટા, ભંવરલાલ નાહટા (+ સં.); ૧૧. સ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૭-‘કવિ દેપાલકૃત ચંદનબાળા ચઉપઈ’, સં. વિધાત્રી વોરા (+ સં.). સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧; ૨. નયુકવિઓ; ૩. પ્રાકારૂપરંપરા;  ૪. જૈનયુગ, વૈશાખ ૧૯૮૨-‘શ્રી શત્રુંજયતીર્થનો ઉદ્ધારક સમરસિંહ’, લાલચંદ્ર ભ. ગાંધી.  ૫. જૈગૂકવિઓ ૧, ૩(૧,૨); ૬. જૈમગૂકરચનાએં : ૧; ૭ મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

દેમલ [                ] : એમને નામે પદ નોંધાયેલાં મળે છે. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨ ફાહનામાવલિ. [કી.જો.]

દેલ્હાણ [                ] : જૈન શ્રાવક હોવા સંભવ. વદનક અને ચોપાઈનાં ૧૬ યુગ્મો સાથે આરંભ અંતની ૨ ચોપાઈ મળીને કુલ ૩૪ કડીના અને અપ્રભંશપ્રધાન ગુજરાતી ભાષામાં રચાયેલા ‘ગજસુકુમાલ-રાસ’ (લે. સં. ૧૪મી સદી અનુ; મુ.)ના કર્તા. કૃતિ દેવેન્દ્રસૂરિના વચનથી રચાયેલી છે તે જગતચંદ્રસૂરિ શિષ્ય દેવેન્દ્રસૂરિ (અવ. ઈ.૧૨૭૧) હોય તો કર્તા ઈ.૧૨મી સદી ઉત્તરાર્ધમાં હયાત ગણાય. કૃતિ : ૧. પ્રાગુકાસંચય;  ૨. રાજસ્થાનભારતી, જુલાઈ ૧૯૫૧-‘ગયસુકુમાલ રાસ’ સં. અગરચંદ નાહટા. સંદર્ભ : મરાસસાહિત્ય. [કી.જો.]

દેવ : આ નામથી ‘આઠમદની સઝાય’, ૫ કડીની ‘ચતુર્વિંશતિજિન-સ્તવન’, ૭ કડીની ‘રહનેમિરાજિમતી-ગીત’ તથા ‘(હુણાડામંડન) સુમતિજિન-સ્તવન’ એ કૃતિઓ મળે છે તે કયા દેવ-છે તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. મુપુગૂહસૂચી; ૩. રાહસૂચી : ૧. [ર.ર.દ.]

દેવકમલ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ) : ખરતરગચ્છના જૈન સાધુ. દયાકલશના શિષ્ય. ઉપાધ્યાય સાધુકીર્તિ (અવ. ઈ.૧૫૯૦)ની પ્રશસ્તિ કરતી ૪ કડીની ગહૂંલી (લે. ઈ.૧૫૬૯; મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ ( સં.). [કી.જો.]

દેવકલશ [ઈ.૧૫૧૩માં હયાત] : ઉપકેશગચ્છના જૈન સાધુ. વાચક દેવકુમારની પરંપરામાં ઉપાધ્યાય દેવકલ્લોલના શિષ્ય. ૩૦૧ કડીની ‘ઋષિદત્તા-ચોપાઈ’ (ર. ઈ.૧૫૧૩)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી. [કી.જો.]

‘દેવકીજીના છ પુત્રોનો રાસ’ : અજ્ઞાત જૈન કવિ દ્વારા રચિત ૧૯ ઢાળની દુહા-દેશીબદ્ધ આ કૃતિ (લે.ઈ.૧૮૨૩; મુ.) મુખ્યત્વે હેમચન્દ્રાચાર્યના ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ-ચરિત્ર’ને આધારે દેવકીના છ પુત્રોનું જૈન પરંપરા અનુસારનું કથાનક વર્ણવે છે. બબ્બેની જોડમાં ભિક્ષા લેવા આવેલા સાધુઓ એમના સમાન રૂપને કારણે જાણે ફરીને આવ્યા હોય એવો ભાસ થતાં દેવકી પૂછે છે ત્યારે એ છયે ભાઈઓ હોવાનું જાણવા મળે છે. પોતાને આઠ પુત્રો થવાનું વરદાન હતું તે નિષ્ફળ ગયાની વેદના અનુભવતાં દેવકીને નેમિનાથ ભગવાન પાસેથી આ છયે પુત્રો પોતાના હોવાની માહિતી મળે છે. સુલસાને ત્યાં એ ઊછર્યા ને એમને સ્થાને મુકાયેલાં સુલસાનાં મૃત બાળકોની કંસે પોતે હત્યા કરેલી હોવાનું માન્યું તેથી એ બચી ગયા. સાતમા પુત્ર તે કૃષ્ણ. આ પછી દેવકીને આઠમા પુત્ર ગજસુકુમાળ જન્મે છે પણ એ પણ અંતે દીક્ષા લઈ તપસ્વીનું જીવન ગાળે છે. અવારનવાર અંકાતી દેવકીના આર્દ્ર વાત્સલ્યભાવની રેખાઓ, નેમિનાથના દર્શને જતી દેવકીના રથનું છટાયુક્ત વર્ણન તથા વૈરાગ્યબોધક રૂપકશ્રેણિથી ને સુંદર ગાનછટાથી મનોરમ બનતો દેવકી-ગજસુકુમાળનો સંવાદ એ પરંપરાનિષ્ઠ આ કૃતિનાં ધ્યાન ખેંચતાં તત્ત્વો છે. કૃતિ : ૧. * છ ભાઈનો રાસ, પ્ર. નારાયણ ભીકશેટ ખાતુ, ઈ.૧૮૮૫; ૨. દેવકીજી છ ભાયારો રાસ, સં. બિપિનચંદ્ર જી. ઝવેરી, ઈ.૧૯૫૮ (+ સં.). ૩. દેવકીજીના ષટપુત્રનો રાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૯. [જ.કો.]

દેવકીર્તિ [ઈ.૧૪૭૫માં હયાત] : જૈન સાધુ. ‘ધન્નાશાલિભદ્ર-રાસ’ (ર. ઈ.૧૪૭૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [કી.જો.]

દેવકુશલ : આ નામે ૫ કડીની ‘ગુરુ-સઝાય’, ૫ કડીની ‘વિજયરત્નમુનીશ્વર-સઝાય’, ૭ કડીની ‘નેમી-ગીત’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ૪ કડીની ‘પાર્શ્વનાથનો વિવાહલો’ (મુ.) એ કૃતિઓ મળે છે તે કયા દેવકુશલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘ગુરુ-સઝાય’ તથા ‘વિજયરત્નમુનીશ્વરસૂરિ-સઝાય’ એક જ કૃતિ હોવા સંભવ છે. દેવકુશલને નામે મળતા ૩૨૫૦/૫૯૭૦ ગ્રંથાગ્રના ‘વંદારુવૃત્તિ/શ્રાવકાનુષ્ઠાનવિધિ/ષડાવશ્યકસૂત્ર-બાલાવબોધ’ (ર. ઈ.૧૭૦૦/સં. ૧૭૫૬, મહા સુદ ૧૦, રવિવાર), ‘કલ્પસૂત્ર-બાલાવબોધ’ (લે. ઈ.૧૭૬૦) તથા ચારિત્રસુંદરરચિત મૂળ સંસ્કૃત ગ્રંથ ‘આચારોપદેશ’ પરના સ્તબક (લે. ઈ.૧૭૧૨)ના કર્તા દેવકુશલ-૧ હોવાની શક્યતા છે. કૃતિ : પાર્શ્વનાથજીનો વિવાહલો તથા દિવાલી કલ્પ સ્તવન, પ્ર. મોહનલાલ સુ. પાટણવાળા, ઈ.૧૮૯૯. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩ (૨); ૨. ડિકૅટેલૉગભાઈ : ૧૭ (૩); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

દેવકુશલ-૧ [ઈ.૧૭૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રવિકુશલના શિષ્ય. ધનેશ્વરસૂરિરચિત મૂળ સંસ્કૃત ગ્રંથ ‘શત્રુંજ્ય માહાત્મ્ય’ પરના ૨૪,૦૦૦ ગ્રંથાગ્રના સ્તબક (ર. ઈ.૧૭૧૧)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

દેવકુશલ-૨ [                ] : જૈન સાધુ. દોલતકુશળના શિષ્ય. ૫ કડીની ‘શાંતિનાથ-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

દેવચંદ : જુઓ દેવચંદ્ર.

દેવચંદ્ર  : આ નામે ૧૪ કડીની ‘મહાવીરસ્વામીનું સ્તવન’ (મુ.), ૫ કડીની ‘હિતશિક્ષા’ (મુ.), ૧૫ કડીની ‘નેમિજિન-બારમાસ’ તથા અન્ય કેટલીક સ્તવન, સઝાય, ગીત, ગહૂંલી (૧ મુ.) વગેરે પ્રકારની કૃતિઓ મળે છે તે કયા દેવચંદ્રની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. અંચલગચ્છના કોઈ દેવચંદ્રની ૧૧ કડીની ‘ચક્કેસરીમાતાની આરતી’ (મુ.) મળે છે તે દેવચંદ્ર-૪ છે કે કેમ તેનો નિર્ણય થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. જૈપ્રપુસ્તક : ૧; ૨. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨ (સાતમી આ.); ૩. શ્રી શત્રુંજય તીર્થાદિ સ્તવન સંગ્રહ, સંગ્રા. મુનિમહારાજશ્રી સાગરચંદ્રજી, ઈ.૧૯૨૬; ૪. સસન્મિત્ર. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.)

દેવચંદ્ર-૧ [ઈ.૧૬મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિની પરંપરામાં વિદ્યાસાગરના શિષ્ય. ૫૧ કડીની ‘સુકોશલ મહાઋષિની સઝાય/ગીત’ (ર. ઈ.૧૫૪૬ કે ૧૫૭૨/સં. ૧૬૦૨ કે ૧૬૩૨ આસો-)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

દેવચંદ્ર(ગણિ)-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ - અવ. ઈ.૧૬૪૨/સં. ૧૬૯૮, વૈશાખ સુદ ૮] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિ-સકલચંદ્ર-ઉપાધ્યાયની પરંપરામાં ઉપાધ્યાય ભાનુચંદ્રના શિષ્ય. અહિમ્મ-નગરમાં ઓસવાલ પરિવારમાં જન્મ. જન્મનામ ગોપાલ. પિતા રીંડો શાહ. માતા વરબાઈ.૯ વર્ષની વયે પિતાનું અવસાન. વિજયસેનસૂરિના ઉપદેશથી વૈરાગ્ય અને પંડિત રંગચંદ્ર પાસે દીક્ષા. ઉપાધ્યાય ભાનુચંદ્ર પાસે અધ્યયન ને એમનું શિષ્યત્વ. ઈ.૧૬૦૯માં પંડિતપદ. જીવનપર્યંત એકાશન જેવાં વ્રતનિયમો પાળનાર ને ગુજરાત-રાજસ્થાનમાં વ્યાપક વિહાર કરનાર આ કવિ સં. ૧૬૯૭માં સરોતરામાં ચાતુર્માસ કર્યા પછી ત્રેપન વર્ષની વયે અનશનપૂર્વક અવસાન પામ્યા. એમની ૭ ઢાળ અને ૧૧૮ કડીની ‘શત્રુંજયતીર્થ-પરિપાટી’(મુ.)માં સં.૧૬૯૫ (ઈ.૧૬૩૯)માં ઇડરમાં ચાતુર્માસ કર્યા પછી કરેલી શત્રુંજયયાત્રાનું વર્ણન છે. એમાં કવિએ ભાવપૂર્વક ગાયેલ શત્રુંજયયાત્રાનો મહિમા ધ્યાન ખેંચે છે. કવિની અન્ય કૃતિઓમાં ૧૭૪ કડીની ‘પૃથ્વીચંદકુમાર-રાસ’ (ર. ઈ. ૧૬૪૦/સં. ૧૬૯૬, ફાગણ સુદ ૧૧), ૨૦૮ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈ/રાસ’ (* મુ.), ૮૯ કડીની ‘મહાવીરસત્તાવીસ ભવ-સ્તવન’, ૬૧ કડીની ‘(પોસીનાપુરમંડન) પાર્શ્વનાથ-સ્તવન’, દિવાળીના દિવસોમાં થતાં પાપકર્મો વર્ણવતી ૨૫ કડીની ‘દિવાળીની સઝાય’ (મુ.) તથા અન્ય તીર્થ-તીર્થંકરાદિવિષયક સ્તવનો, સઝાયો વગેરેનો સમાવેશ થાય છે. કવિએ સંસ્કૃતમાં ‘શોભન-સ્તુતિ’ પર ટીકા તથા ‘સૌભાગ્યપંચમી-સ્તુતિ’ રચેલ છે. એમને નામે નોંધાયેલ ‘જિનશતક’ તથા ‘વિચાર-ષટ્ત્રિંશિકા’ પણ સંસ્કૃત કૃતિઓ હોવાનું સમજાય છે. કૃતિ : ૧ જૈરસંગ્રહ; ૨. પ્રાતીસંગ્રહ : ૧ ( સં.); ૩. સજઝાય માળા (પં.) સંદર્ભ : ૧. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ; ૨, હીરાલાલ ૨. કાપડિયા, ઈ.૧૯૬૮;  ૨. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૩૭-‘દો ઐતિહાસિક રાસોંકા સાર’, અગરચંદ નાહટા;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫ હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.)

દેવચંદ્ર(ગણિ)-૩ [જ. ઈ.૧૬૯૦ - અવ. ઈ.૧૭૫૬/સં. ૧૮૧૨, ભાદરવા વદ ૩૦] : ખરતરગચ્છના જૈનસાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં જ્ઞાનધર્મશિષ્ય પાઠક દીપચંદ્રના શિષ્ય. આરંભકાળની ૩ કૃતિઓમાં ગુરુ તરીકે રાજહંસનો ઉલ્લેખ છે તે તેમના વિદ્યાગુરુ હોય અથવા તો દીપચંદ્રનું બીજું નામ હોય એવો તર્ક થયો છે. જન્મ બીકાનેર નજીક ચંગ ગામમાં. ઓસવાલ વંશ, લુણિયા ગોત્ર. પિતા તુલસીદાસ, માતા ધનીબાઈ.જન્મનામ દેવચંદ્ર. દીક્ષા ઈ.૧૭૦૦માં. દીક્ષાનામ રાજવિમલ હોવાનું નોંધાયું છે પણ કવિએ પોતે એ નામ કશે ઉપયોગમાં લીધું નથી. જૈન દર્શનના ઊંડા અભ્યાસી આ કવિએ શ્વેતાંબરીય ઉપરાંત દિગંબરી શાસ્ત્રોનો અભ્યાસ કરેલો છે તેમ જૈનેતર દાર્શનિક ગ્રંથો પણ જોયેલા છે. ઉપાધ્યાય યશોવિજય, આનંદઘન વગેરે અન્યગચ્છીય વિદ્વાનો અને કવિઓના પણ તે સાદર આધારો લે છે. કવિએ ઉપયોગમાં લીધેલા અને ઉલ્લેખેલા શાસ્ત્રાદિ ગ્રંથોની વિસ્તૃત યાદી તેમનો વિશાળ અભ્યાસ દર્શાવે છે. કવિના તત્ત્વનિરૂપણમાં ખંડનાત્મક અંશ જોવા મળતો નથી એ ખાસ નોંધપાત્ર છે. આ ઉદારદૃષ્ટિ તત્ત્વવિચારક પાસે તપગચ્છના અનેક જૈન સાધુઓએ અભ્યાસ કરેલો અને એમની ‘નવપદ-પૂજા’ તપગચ્છીય યશોવિજય અને જ્ઞાનવિમલની ‘નવપદ-પૂજા’ સાથે સંકલિત થઈને વ્યાપક રીતે ઉપયોગમાં લેવાય છે. અવસાન અમદાવાદમાં. અધ્યાત્મરસિક પંડિત તરીકે ઓળખાયેલા દેવચંદ્રગણિની કૃતિઓ બહુધા તત્ત્વવિચારાત્મક અને અધ્યાત્મજ્ઞાનવિષયક છે ને સ્તવનાદિ પ્રકારની કૃતિઓમાં પણ એ વિચારતત્ત્વની ગૂંથણી કરે છે. એમાં ફિલસૂફીની કઠિનતા છે અને પ્રાસાદિકતા ખાસ આણી શકાઈ નથી. કવિની તત્ત્વવિચારાત્મક પદ્યકૃતિઓમાં, શુભચંદ્રાચાર્યના મૂળ સંસ્કૃત ગ્રંથ ‘જ્ઞાનાર્ણવ’ને આધારે ધ્યાનનું શુદ્ધ સ્વરૂપ, તેનાં પ્રકારો-ઉપકરણો-રીતિઓ તથા ધ્યાતાનાં લક્ષણોનું વિસ્તૃત વિવેચન કરતી ૬ ખંડ અને ૫૮ ઢાળની ‘ધ્યાનદીપિકા-ચતુષ્પદી’ (ર. દી. ૧૭૧૦/સં. ૧૭૬૬, મહા/વૈશાખ વદ ૧૩, રવિવાર; મુ.) જૈન સંપ્રદાયમાં ભગવદ્ગીતા સમી ગણાવાયેલી ૪૯ કડીની ‘અધ્યાત્મગીતા/આત્મ-ગીતા’ (મુ.) અને ૨૧ કડીની ‘લઘુ ધ્યાનદીપિકા’ (*મુ.)નો સમાવેશ થાય છે. કવિની ‘વર્તમાનજિન-ચોવીસી’ (મુ.), ‘અતીતજિન/ચોવીસી’ (૨૧ સ્તવન મુ.) અને ‘વિહરમાનજિન-વીસી’ (મુ.) જ્ઞાનમૂલક કૃતિઓ છે તેમાં કોઈક ધ્યાન ખેંચતા વિચારઅંશો પણ જોવા મળે છે. જેમ કે, ‘વર્તમાનજિન-ચોવીસી’ના પહેલા સ્તવનમાં રજૂ થયેલ લૌકિક પ્રેમ અને તીર્થંકર પ્રત્યેના પ્રેમની ભિન્નતા પ્રગટ કરતું સરલ માર્મિક ચિંતન. આ પ્રકારની અન્ય નોંધપાત્ર કૃતિઓમાં, ગૌતમના મહાવીરવિરહના ભાવ જેવા અંશોને ઉઠાવ આપતી અને મહાવીરનું મહિમાગાન કરતી ૧૩ ઢાળની ‘વીરજિનનિર્વાણ-સ્તવન/દિવાળીનું સ્તવન’ (મુ.), આર્દ્ર આત્મપરિતાપનું આલેખન કરતી ‘રત્નાકર-પચીસી’ના અનુવાદ રૂપ ૩૪ કડીની ‘(સિદ્ધાચલગિરિમંડન) આદિજિનવિનતિરૂપ-સ્તવન/ઋષભદેવ-સ્તવન’ (મુ.), ૮ ઢાળની ‘સ્નાત્ર-પૂજા’ (મુ.) અને ૨૨ કડીની ‘નવપદ-પૂજા/સિદ્ધચક્ર-સ્તવન’ (મુ.)નો સમાવેશ થાય છે. આ સિવાય પણ કવિએ ૨૧ કડીનું ‘સીમંધરસ્વામીવિનતિરૂપ-સ્તવન’ (મુ.) ૨૧ કડીનું ‘સિદ્ધાચલચૈત્યપરિપાટી-સ્તવન’ (મુ.), ૨૦ કડીનું ‘(નવાનગર) આદિજિન-સ્તવન’ (મુ.) વગેરે કેટલાંક સ્તવનો (ઘણાંખરાં મુ.) રચેલાં છે. કવિએ આનંદઘનની ‘ચોવીસી’માં ખૂટતાં છેલ્લાં ૨ સ્તવનો રચેલાં છે એવી માહિતી મળે છે. કવિએ ઘણી સઝાયો (મોટા ભાગની મુ.) રચેલી છે તેમાંથી ૬ ઢાળની ‘સાધુની પંચભાવના’ (મુ.), ૧૦ ઢાળની ‘આઠ પ્રવચનમાળાની સઝાય’(મુ.), ૩ ઢાળની ‘પ્રભંજનાની સઝાય’ (મુ.), ૨૭ કડીની ‘ઢંઢણમુનિ-સઝાય’ (મુ.) નોંધપાત્ર છે. કવિને નામે કેટલાંક પદો (૫ મુ.) પણ નોંધાયેલાં છે. આ કવિને નામે નોંધાયેલ ‘સ્નાત્ર-પંચાશિકા’ (ર. ઈ.૧૭૪૮) ‘સ્નાત્ર-પૂજા’થી અલગ કોઈ અધિકૃત કૃતિ હોય એ શંકાસ્પદ જણાય છે. ૧૩ ઢાળની ‘સાધુવંદના’ કવિની નામછાપ સાથે મળે છે પરંતુ હસ્તપ્રતોમાં જ્ઞાનચંદ્રશિષ્ય શ્રીદેવની નામછાપ સાથે પણ મળે છે. સાંયોગિક પ્રમાણો જોતાં કૃતિ શ્રીદેવની હોવાની સંભાવના વધારે છે. કવિની ગદ્યકૃતિઓમાં સકળ જૈન સિદ્ધાંતોના દોહન રૂપ ૧૦૫૬ ગ્રંથાગ્રની ‘આગમસાર’ (ર.ઈ.૧૭૨૦/સં. ૧૭૭૬, ફાગણ સુદ ૩, મંગળવાર; મુ.) સૌથી વધારે મહત્ત્વની અને જાણીતી કૃતિ છે. પોતાની ‘ચોવીસી’ ઉપરનો ૨૬૦૦ ગ્રંથાગ્રનો વિસ્તૃત બાલાવબોધ (મુ.) તથા પોતાની ‘વીશી’માંના ‘બાહુજિન-સ્તવન’ પરનો ટબો (મુ.) મૂળ કૃતિઓમાંના જ્ઞાનવિચારને સ્ફુટ કરતી પ્રાસાદિક રચનાઓ તરીકે નોંધપાત્ર છે. કવિના અન્ય બાલાવબોધોમાં, મલ્લવાદીના ‘દ્વાદશસારનયચક્ર’ના સંક્ષેપ રૂપે નયના મુખ્ય ભેદોનો પરિચય આપતા, પોતે રચેલા સંસ્કૃત ‘નયચક્રસાર’નો બાલાવબોધ (મુ.), પોતે સંસ્કૃત ટીકા સાથે પ્રાકૃતમાં રચેલ ‘વિચારરત્ન-સાર’નો, અધ્યાત્મ જ્ઞાન અને જૈન તત્ત્વને લગતા ૩૨૨ પ્રશ્નોત્તરમાં વહેંચાયેલો ૧૫૦૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ (ર.ઈ.૧૭૪૦/સં. ૧૭૯૬, કારતક સુદ ૧; મુ.), દેવેન્દ્રસૂરિકૃત મૂળ પ્રાકૃતગ્રંથ ‘કર્મગ્રંથ’ પરનો ટબાર્થ (મુ.), વજ્રસેનસૂરિશિષ્યની મૂળ પ્રકૃત કૃતિ ‘ગુરુગુણષટ્ત્રિંશત્’નો બાલાવબોધ (મુ.), ‘ચોવીસ દંડકવિચાર-બાલાવબોધ’ (ર. ઈ.૧૭૪૭/સં. ૧૮૦૩, કારતક સુદ ૧૧) તથા ‘સપ્તસ્મરણ-બાલાવબોધ’નો સમાવેશ થાય છે. ‘ગુણસ્થાનક આધિકાર’ (ભાષાની સ્પષ્ટતા નથી) તથા પ્રાકૃત ‘ગુણસ્થાન શતક’ અને તેના પરનો ગુજરાતી સ્તબક એ એક જ કૃતિના ઉલ્લેખો હોય એવું સમજાય છે. અન્ય લોકોએ ધર્મતત્ત્વજ્ઞાનની અનેક બાબતો વિશે પૂછેલા પ્રશ્નોના ઉત્તરની ‘છૂટક પ્રશ્નોત્તર’ (મુ.) એ નામથી થયેલી નોંધ તથા સુરતની ૨ શ્રાવિકાઓ પર લખાયેલા અને દ્રવ્યાનુયોગની ચર્ચા કરતા ૩ પત્રો (મુ.) કવિનું અન્ય ગદ્યસર્જન છે. કવિને નામે નોંધાયેલ અમૂર્તિપૂજકોના મંતવ્યના ઉત્તરરૂપ ‘પ્રતિમાપુષ્પપૂજાસિદ્ધિ’ એ ગદ્યકૃતિ કઈ ભાષામાં છે તેની માહિતી મળતી નથી, તો ‘દેશનાસાર’ એ ‘આગમસાર’ને સ્થાને થયેલી નામભૂલ હોવાનું સમજાય છે. દેવચંદ્રગણિએ હિન્દીમાં ‘દ્રવ્યપ્રકાશ’ (ર.ઈ.૧૭૧૧/સં. ૧૭૬૭, પોષ વદ ૧૩; મુ.), આધ્યાત્મવિષયક ૨ હોરી (મુ.) વગેરે પ્રકીર્ણ રચનાઓ કરેલી છે. ઉપર નિર્દિષ્ટ કૃતિઓ ઉપરાંત કવિએ પ્રાકૃતમાં ‘કર્મગ્રંથ’ની પૂર્તિ સમી ‘કર્મસંવેધભંગ-પ્રકરણ’ (મુ.) તથા યશોવિજ્યના ‘જ્ઞાનસાર-અષ્ટક’ પર સંસ્કૃતમાં ‘જ્ઞાનમંજરી’ નામે ટીકા (ર.ઈ.૧૭૪૦) રચેલ છે. આ બધી કૃતિઓ કવિની અન્યભાષાની સજ્જતા બતાવે છે. કૃતિ : ૧, અતીત જિન સ્તવન ચોવીસી, સં. બુદ્ધિસાગરગણિ, સં. ૨૦૧૮; ૨. દેવચંદ્રકૃત ચોવીસી, પ્ર. સુરચંદ સ્વરૂપચંદ, ઈ.૧૯૧૯; ૩. પંચ ભાવનાદિ સઝાય સાર્થ (શ્રીમદ્ દેવચંદ્ર સઝાયમાલા ભા. : ૨), સં. અગરચંદ નાહટા, સં. ૨૦૨૦; ૪. શ્રીમદ્ દેવચંદ્ર : ૧ અને ૨, સં. બુદ્ધિસાગરસૂરિ, ઈ.૧૯૨૯ (બીજી આ.) (+સં.); ૫. શ્રીમદ્ દેવચંદ્ર સજઝાયમાલા : ૧, સં. અગરચંદ નાહટા, સં. ૨૦૨૦; ૬. શ્રીમદ્ દેવચંદ્ર સ્તવનાવલી, સં. અગરચંદ નાહટા, સં. ૨૦૧૨;  ૭. આત્મહિતકર આધ્યાત્મિક વસ્તુસંગ્રહ, પ્ર. જૈન શ્રેયસ્કર મંડળ, ઈ.૧૯૨૬; ૮. પ્રકરણરત્નાકર ભા. ૧, પ્ર. શા. ભીમસિંહ માણક, ઈ.૧૮૭૬; ૯. સઝાયમાલા, પ્ર. વિદ્યાશાલા, સં. ૧૯૨૧;  ૧૦. જૈનયુગ, કારતક-માગશર ૧૯૮૩ - ‘મારી કેટલીક નોંધો’, મોહનલાલ દ. દેશાઈ (ર સ્તવન); ૧૧. * પરમાત્મદર્શન. સંદર્ભ : ૧. શ્રીમદ્ દેવચંદ્રજી વિસ્તૃત જીવનચરિત્ર તથા દેવવિલાસ (નિર્વાણરાસ), સં. બુદ્ધિસાગરસૂરીશ્વરજી, ઈ.૧૯૨૬;  ૨. જૈગૂસારત્નો : ૧;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૨); ૫. ડિકેટેલૉગભાઈ : ૧૮(૧); ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

દેવચંદ્ર-૪ [ઈ.૧૭૭૮માં હયાત] : જૈન સાધુ. કોડાય(કચ્છ)ના પચાણના સંઘપતિપદે નીકળેલા સંઘે ઈ.૧૭૭૮માં શત્રુંજ્યની યાત્રા કરી તેનું વર્ણન કરતા ૬૧ કડીના ‘શત્રુંજ્યનો સલોકો’ (મુ.)ના કર્તા. કૃતિ : સલોકા સંગ્રહ : ૧, પ્ર. શા. કેશવલાલ સવાઈભાઈ, ઈ.૧૯૧૨. [ર.ર.દ.]

દેવચંદ-૫/‘પ્રભુશશી’/‘સુરશશી’ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન શ્રાવક. જ્ઞાતિએ વીસાશ્રીમાળી. અમદાવાદના રહેવાસી હોય એવું સમજાય છે. એમણે રચેલા ૮૩ કડીના ‘નેમિનાથનો સલોકો’ (ર.ઈ.૧૮૪૪/સં. ૧૯૦૦, શ્રવણ વદ ૫, શુક્રવાર; મુ.)માં નેમિનાથને પરણવા સમજાવવા ભાભીઓએ કરેલા મજાકભર્યા ઉદ્ગારો વિસ્તારથી ને તળપદી શૈલીમાં મનોરમ રીતે આલેખાયા છે. આ કવિનો ૯૨ કડીનો ‘વિવેક-વિલાસનો સલોકો’ (ર.ઈ.૧૮૪૭/સં. ૧૯૦૩, માગશર સુદ ૧૩, મંગળવાર; મુ.) પણ વીગતપૂર્ણ રૂપક ગ્રંથિની રચનાની કવિની શક્તિ બતાવે છે. આ ઉપરાંત, આ કવિની ૪ કડીની ‘જિનપ્રભુની આંગીનું સ્તવન’ (મુ.), ૮ પંક્તિની ‘મહાવીરસ્વામીની ગરબી’ (મુ.), ૭ કડીનું ‘પદ્મપ્રભસ્વામીનું સ્તવન’ (મુ.) તથા ૯ કડીનું ‘સુવિધિનાથસ્વામીનું સ્તવન’ (મુ.) એ લઘુ કૃતિઓ પણ મળે છે. ‘પ્રભુશશી’ની નામછાપ સાથે મળતું ૭ કડીનું ‘ચંદ્રપ્રભસ્વામીનું સ્તવન’ આ જ કવિની રચના હોવાનું સમજાય છે. કૃતિ : ૧. (શ્રી) પ્રતિક્રમણસૂત્ર તથા નવસ્મરણ અને દેવવંદનાદિ ભાષ્યત્રય, સં. શ્રાવક ભીમસિંહ માણક, ઈ.૧૯૦૬; ૨. મોતીશાનાં ઢાળિયાં, પ્રં. હીરાચંદ હઠીસિંગ શાહ, ઈ.૧૯૧૪ (બીજી આ.); ૩. શ્રી શત્રુંજ્ય તીર્થાદિ સ્તવન સંગ્રહ, સંગ્રા. મુનિમહારાજશ્રી સાગરચંદ્રજી, ઈ.૧૯૨૬; ૪. સલોકાસંગ્રહ : ૧, પ્ર. શા. કેશવલાલ સવાઈભાઈ, ઈ.૧૯૧૨. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]

દેવચંદશિષ્ય : જુઓ સાહિબ.

દેવજી (મુનિ) : આ નામે ૭૦ ગ્રંથાગ્રનું ‘પાર્શ્વવિજન-સ્તવન’ (ર.ઈ.૧૬૧૯) મળે છે તે દેવજીમુનિ-૧ હોવાનું ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી. સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨ [ર.ર.દ.]

દેવજી(મુનિ)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. ઈ.૧૬૩૨, ઈ.૧૬૩૫ અને ઈ.૧૬૩૬નાં રચનાવર્ષો ધરાવતી શિવજી-ઋષિ-વિષયક ૭ ભાસના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

દેવજી(સ્વામી)-૨ [ઈ.૧૮૨૬માં હયાત] : જૈન સાધુ. હિન્દી-પ્રચુર ગુજરાતીમાં ‘અમરાભિધઋષિ’ એવી નામછાપ ધરાવતી ‘ઉપદેશી લાવણી’ (૨.ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, આસો સુદ/વદ ૫, સોમવાર; મુ.)ના કર્તા. આ કવિ લોંકાગચ્છના લીંબડી સંપ્રદાયમાં અવિચલજીની પાટે આવેલા દેવજીસ્વામી હોવાનું સમજાય છે. એ મૂળ વાંકાનેરના લોહાણા હતા. ૧૦ વર્ષની વયે દીક્ષા રાપરમાં ઈ.૧૮૧૪માં. આચાર્યપદ ઈ.૧૮૩૦. અવસાન લીંબડીમાં ઈ.૧૮૬૪ (સં. ૧૯૨૦, જેઠ સુદ ૮, રવિવાર). કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ભા : ૧, સં. મુનિ શ્રી શામજી, ઈ.૧૯૬૨; ૨. જૈસમાલા (શા) : ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨) - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’. [ર.ર.દ.]

દેવદત્ત [ઈ.૧૫મી સદી] : ખરતગચ્છીય જિનભદ્રસૂરિ (આચાર્ય કાળ ઈ.૧૪૧૯ - ઈ.૧૪૫૮)ના અનુયાયી શ્રાવક. અવટંકે વોરા. પિતાનામ ઉદા. ગોત્ર છાહડ. ૨ કડીની ‘જિનભદ્રસૂરિ ધુવઉ’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈમગૂકરચનાએં : ૧. [ર.ર.દ.]

દેવદાસ [                ] : ‘દેવદાસ/દેવીદાસ’ એવી નામછાપથી મળતા, વર્ગ(કડવાં) બદ્ધ તૂટક ‘અશ્વમેઘ’ના કર્તા. કર્તાનામ દેવીદાસ હોવાનું નિશ્ચિતપણે કહી શકાય એવું નથી. સંદર્ભ : કવિચરિત : ૧-૨. [ર.સો.]

દેવપ્રભ(ગણિ) [ઈ.૧૪૬૬ સુધીમાં] : જૈન સાધુ. સોમતિલક સૂરિના શિષ્ય. આ કવિના રોળા અને વસ્તુ છંદના આશરે ૪૨ કડીના ‘કુમારપાલનરેશ્વર-રાસ’ (લે.ઈ.૧૪૬૬; મુ.)માં કુમારપાળ રાજાએ પોતાના રાજ્યમાંથી હિંસા, દ્યૂત વગેરે ૭ વ્યસનો દૂર કરાવ્યાં તેનું અને રાજાની શત્રુંજ્યયાત્રાનું તથા તેના મહિમાનું વર્ણન થયેલું છે. કૃતિ : ભારતીયવિદ્યા : ૨. શ્રાવણ ૧૯૯૮ - દેવપ્રભગણિકૃત ‘કુમારપાલ-રાસ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [કી.જો.]

દેવમુરારિ [ઈ.૧૮૧૮ સુધીમાં] : ‘વિચારમાલા’ (લે.ઈ.૧૮૧૮]ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

દેવરત્ન : આ નામે ‘ઋષભદેવ-સ્તવન (લે.ઈ.૧૭૨૮) મળે છે તેના કર્તા કયા દેવરત્ન છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [ર.ર.દ.]

દેવરત્ન-૧ [ઈ.૧૬૪૨માં હયાત] : ખરતરગચ્છન જૈન સાધુ. જિનભદ્રરસૂરિની પરંપરામાં દેવકીર્તિ/ગણિના શિષ્ય. ૩ ખંડની ‘શીલવતી-ચોપાઈ (ર.ઈ.સં. ૧૬૪૨ સં. ૧૬૯૮, કારતક-)’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧ ૩(૧); મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

દેવરત્ન(ગણિ)-૨ [ઈ.૧૭૫૯માં હયાત] : લઘુતપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિની પરંપરામાં વિજ્યરત્નના શિષ્ય. ૪ ખંડ, ૫૧ ઢાળ અને ૧૫૭૨ કડીના ‘ગજસિંહકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૫૯/સં. ૧૮૧૫, કારતક/ભાદરવો-)ના કર્તા. સંદર્ભ : ૧ જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

દેવરત્ન-૩ [                ] : આગમગચ્છના જૈન સાધુ. ગુણરત્નસૂરિના શિષ્ય. ‘ગજસિંહકુમાર-રાસ’ના કર્તા. કૃતિનો સમય ઈ.૧૪૫૭ આસપાસનો ગણવામાં આવેલો છે. આ સઘળી માહિતી ભૂલભરેલી હોય અને કવિ વસ્તુત: દેવરત્ન-૨ હોય એવી પણ સંભાવના છે. સંદર્ભ : જૈસાઇતિહાસ [ર.ર.દ.]

દેવરત્નસૂરિશિષ્ય [ઈ.૧૪૪૩માં હયાત] : જૈન. આગમગચ્છના દેવરત્નસૂરિના શિષ્ય. ફાગ, રાસ, અઢૈયુ અને આંદોલાનો વિનિયોગ કરતા અને ‘કાવ્યમ્’ નામથી સંસ્કૃત શ્લોકો ગૂંથતા આ કવિના ૬૫ કડીના ‘દેવરત્નસૂરિ-ફાગ’ (ર.ઈ.૧૪૪૩; મુ.)માં દેવરત્નસૂરિની ટૂંકી ચરિત્રરેખા આપવામાં આવી છે અને વસંતવર્ણન સાથે એમણે કરેલા કામવિજ્યનો મહિમા ગાવામાં આવ્યો છે. કૃતિ : જૈએકાસંચય. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [કી.જો.]

દેવરાજ : દેવરાજને નામે ૬૨/૬૪ કડીની ‘વીરધવલ-ઋષિ-રાસ/સુકોશલઋષિ-ઢાળ/ચોપાઈ’ (લે.ઈ.૧૬૩૩) તથા દેવરાજમુનિને નામે ‘સીમંધરસ્વામી-વિનતિ’ (લે. સં. ૧૮મી સદી અનુ.) મળે છે તે દેવરાજ-૧ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી. ‘સુકોશલઋષિઢાળ’ દેવરાજ-૧ને નામે મુકાયેલ છે પણ તે માટે કશો આધાર નથી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. રાહસૂચી : ૨, ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧ [કી.જો.]

દેવરાજ-૧ [ઈ.૧૫૩૪ સુધીમાં] : જ્ઞાતિએ પુષ્કરણા બ્રાહ્મણ અવટંકે ભટ્ટ. મેવાડના વતની. વસંતઋતુમાં વિશ્વનાથના પૂજનાર્થે રચાયેલા એમના ‘કાશીવિલાસ’ (લે.ઈ.૧૫૩૪; મુ.)માં ગુજરાતી કડી અને એના અનુવાદ રૂપે સંસ્કૃત કડી એમ કુલ ૪૬ કડી છે. ગુજરાતી કડીઓમાં ઘણે સ્થાને આંતરયમકનો આશ્રય લેતાં અને શબ્દરચનાદિમાં ‘વસંતવિલાસ’નો પ્રભાવ વ્યક્ત કરતા આ કાવ્યને કવિએ ફાગુકાવ્ય તરીકે કલ્પેલું છે એમ જણાઈ આવે છે. કાવ્યમાં અલંકારો અને ઉક્તિવૈચિત્ર્યની મદદથી કાશીનું વર્ણન અને તેનું મહિમાગાન કરવામાં આવેલું છે. કૃતિ : સ્વાધ્યાય, ફેબ્રુ. ૧૯૬૭ - ‘દેવરાજ ભટ્ટ રચિત ‘કાશીવિલાસ’ સં. અગરચંદ નાહટા. સંદર્ભ : ૧. વિદ્યા, જાન્યુ; ૧૯૭૨ - ‘કાશીવિલાસ અને વસંતવિલાસ’, હ. ચૂ. ભાયાણી;  ૨. ફાહનામાવલિ : ૨. [કી.જો.]

દેવરાજ-૨ [ઈ.૧૬૦૭માં હયાત]: વિજયગચ્છના જૈન સાધુ. પદ્મસૂરિના શિષ્ય. ‘હરિણી-સંવાદ’ (ર. ઈ.૧૬૦૭/સં. ૧૬૬૩, ચૈત્ર સુદ ૯, રવિવાર)ના કર્તા. સંદર્ભ: જૈગૂકવિઓ: ૩(૧). [કી.જો.]

દેવરામ [ઈ.૧૭૯૨માં હયાત] : અવટંકે ભટ્ટ. મારુપતિની, પુત્ર તરીકે ખપાવેલ ને પરણાવેલ પુત્રી બહુચરમાની કૃપાથી પુરુષ બને છે તેની કથા કહેતા ૭૧ કડીના ‘મારુપતિનો છંદ’ (ર.ઈ.૧૭૯૨; મુ.)ના કર્તા. કૃતિ : દેવી માહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭. [કી.જો.]

દેવવિજ્ય : આ નામે મળતી ‘ચંદ્રકેવલી-રાસ’ (ર.ઈ.૧૬૩૬) તથા ૧૧ કડીનું ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭ મહા/વૈશાખ-૧૩ : મુ.) એ કૃતિઓના કર્તા દેવવિજ્ય-૩ હોવાની અને ‘અઢાર નાતરાની સઝાય’ (ર.ઈ.૧૫૬૪)ના કર્તા દેવવિજ્ય-૧ હોવાની સંભાવના છે પણ એ વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. દેવ/દેવવિજ્યને નામે મળતી ૬ કડીની ‘અષ્ટકર્મચૂરણતપ-સઝાય’ મુદ્રિત પાઠમાં ‘અષ્ટમીની સઝાય’ એવું ખોટું શીર્ષક તથા વિજ્યદેવસૂરિની પાટે વિજ્યસેનસૂરિ એવી ઊલટી પાટપરંપરા આપે છે એટલે કવિઓળખ નિશ્ચિત થઈ શકે તેમ નથી. આ સિવાય, પંડિત દેવવિજ્યને નામે ‘બારવ્રતની ટીપ’ (લે.ઈ.૧૬૧૨) તથા હરિયાળીઓ, દેવવાચક/દેવવિજ્યને નામે ૧૧/૧૩ કડીની ‘ધન્નાની સઝાય’ (લે.ઈ.૧૮૧૩) અને દેવવિજ્યને નામે ‘(સુરતમંડન) પાર્શ્વનાથ-સ્ત્વન’ (લે.ઈ.૧૭૨૬), ૧૨ કડીની‘વિજ્યસેનસૂરિ-સઝાય’ (લે.ઈ.૧૮મી સદી અનુ.) વગેરે કેટલાંક સ્તવન, સઝાય, ચૈત્યવંદન નોંધાયેલાં મળે છે તેમાંથી કેટલીક કૃતિઓના કર્તા દેવવિજ્ય-૬ હોવાની સંભાવના છે. પરંતુ એ વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. શંસ્તવનાવલી; ૨. સજઝાયમાળા (પં.). સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાહસૂચી : ૧; ૩. લીંહસૂચિ; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

દેવવિજ્ય-૧ [ઈ.૧૫૬૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિના શિષ્ય. ૩ ઢાળ અને ૨૭ કડીની ‘ચંદનબાલા-સઝાય’ (ર.ઈ.૧૫૬૪/સં. ૧૬૨૦, વૈશાખ સુદ ૫, શનિવાર; મુ.) તથા ૮૬ કડીની મૌન એકાદશી-સઝાય’ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ.-માર્ચ ૧૯૪૩ - ચંદનબાલા સ્વાધ્યાય’ સં. સારાભાઈ મ. નવાબ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હૈજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

દેવવિજ્ય-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાણંદસૂરિના શિષ્ય. વિજ્યાણંદસૂરિએ ઈ.૧૬૨૭માં ક્યરવાડામાં કરેલી વીરપ્રતિમાની પ્રતિષ્ઠા પ્રસંગને અનુલક્ષતા અને એ અરસામાં રચાયેલા જણાતા ‘ક્યરવાડા વીર-સ્ત્વન’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ.’ [ર.ર.દ.]

દેવવિજ્ય-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં વાચક ઉદયવિજ્યના શિષ્ય. વિજ્યદેવસૂરિનું જીવનવૃત્તાંત આલેખતી ૫૧ કડીની ‘વિજ્યદેવસૂરિનિર્વાણ’ (ર.ઈ.૧૬૫૭) તથા ૪૮ ઢાળ અને ૨૪૦ કડીની ‘ચંપક-રાસ’ (ર.ઈ.૧૬૭૮/સં.૧૭૩૪, શ્રાવણ સુદ ૧૩)ના કર્તા. તેમણે હિન્દીમાં જુદા જુદા રાગોમાં ઢાળેલી ૪૪ પદોની ‘ભક્તામરસ્તોત્ર-રાગમાલા’ (ર.ઈ.૧૬૭૪/સં.૧૭૩૦, પોષ સુદ ૧૩, સોમ/શુક્રવાર; *મુ.)ની રચના કરી છે. કૃતિ : * ભક્તામરસ્તોત્રરાગમાલા, પ્ર. ભીમસિંહ માણક. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

દેવવિજ્ય-૪ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં વિજ્યસિંહસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૨૬થી ઈ.૧૬૫૩)ના શિષ્ય. ૬ ઢાળની ‘પંચરમેષ્ઠી-સઝાય’ (મુ.), ૯ કડીની ‘ચૌદ નિયમની સઝાય’ (મુ.) તથા ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ/દશમની સ્તુતિ’ના કર્તા. કૃતિ : ૧. નસ્વાધ્યાય : ૩; ૨. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

દેવવિજ્ય-૫ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં દીપવિજ્યના શિષ્ય. ૩૬ ઢાળની ‘રૂપસેનકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૨૨/સં. ૧૭૭૮, મહા સુદ ૭, શુક્રવાર), શંખેશ્વર તીર્થની ઉત્પત્તિની કથા કહેતી ૪૬ કડીની ‘શંખેશ્વર-સલોકો’ (ર.ઈ.૧૭૨૮/સં. ૧૭૮૪, મહા સુદ ૫, શુક્રવાર; મુ.), ૭ કડીની ‘નેમિનાથજીનું સ્તવન’ (મુ.), ૧૨ કડીની ‘રહનેમિ-સઝાય’ (મુ.), ૬ કડીની ‘વિજ્યક્ષમાસૂરિ-ભાસ’ તથા ૫ કડીની ‘નેમરાજુલ-ગીત’ એ કૃતિઓના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’માં તથા અન્યત્ર આ કવિની દેવવિજ્ય-૬ સાથે ભેળસેળ થયેલી છે. ‘શંખેશ્વર-સલોકો’ના મુદ્રિત પાઠમાં કવિનામ ભૂલથી દીપવિજ્ય છપાયું છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. પ્રાસપસંગ્રહ; ૩. સલોકાસંગ્રહ, પ્ર.શા. કેશવલાલ સવાઈભાઈ, ઈ.૧૯૧૨. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી.[ર.ર.દ.]

દેવવિજ્ય(વાચક)-૬ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યરત્નસૂરિના શિષ્ય. તેમના પ્લવંગમ છંદની ૬૧ કડીના સુગેય ‘રાજુલના બારમાસ’ (ર.ઈ.૧૭૩૯; મુ.)માં પ્રકૃતિવર્ણનની ભૂમિકા સાથે રાજુલનો વિરહભાવ અને તેમણે નેમિનાથને સંસારના સુખ ભોગવવા કરેલી વિનંતિ આલેખાયેલ છે, જો કે કાવ્યની પરિણતી વૈરાગ્ય અને દીક્ષામાં થાય છે. કવિની અન્ય કૃતિઓમાં નેમરાજુલવિષયક બીજા ૧૭-૧૭ કડીના ૨ બારમાસ (એકની ર.ઈ.૧૭૦૪/; બંને * મુ.), ચંદ્રાવળાબદ્ધ ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૨૨/સં. ૧૭૭૮, ફાગણ વદ ૫, રવિવાર; ૫ સ્તવન મુ.), અન્ય ‘ચોવીસજિન-ગીત’, ૧૧ કડીની ‘શીતલનાથ-સ્તવન’, ૯ કડીની ‘બીજની સઝાય’ (મુ.), ૫ કડીની ‘પાંચમની સઝાય’ (મુ.), ૭ કડીની ‘અષ્ટમીની સઝાય’ (મુ.), ૭ કડીની ‘આત્મહિતશિક્ષા-સઝાય’ તથા ૧૧ કડીની ‘રાત્રિભોજન-સઝાય’નો સમાવેશ થાય છે. આ કવિનાં કેટલાંક જિનસ્તવનો ને સ્તુતિઓ ભૂલથી દેવીદાસ (દ્વિજ)ને નામે નોંધાયેલ છે. કૃતિ : ૧. જૈગૂસારત્નો : ૧ (+સં.); ૨. જૈસસંગ્રહ (ન.); ૩. જૈસમાલા (શા.) : ૩; ૪. પ્રામબાસંગ્રહ : ૧, ૫. પ્રાસપ સંગ્રહ : ૧; ૬. સજ્ઝાયમાળા (પં.); ૭. સઝાયમાલા (જા.) : ૧-૨. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

દેવવિજ્ય-૭ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિનીતવિજ્યના શિષ્ય. ‘યોગદૃષ્ટિ-સઝાય’ (ર.ઈ.૧૭૪૧), ૯ ઢાળની ‘અષ્ટપ્રકારી-પૂજા’ (ર.ઈ.૧૭૬૫/સં. ૧૮૨૧, આસો સુદ ૩, શુક્રવાર; મુ.) તથા શ્રાવકના પ્રતિક્રમણના અતિચારનું નિરૂપણ કરતા ગદ્યગ્રંથ ‘શ્રાદ્ધવિધિ/શ્રાદ્ધઅતિસાર(મોટા)’ના કર્તા. કૃતિ : ૧. વિસ્નાપૂજાસંગ્રહ; ૨. વિવિધ પૂજાસંગ્રહ ભા. ૧-૧૧, પ્ર. જશવંતલાલ ગી. શાહ, સં. ૨૦૦૯; ૩. સ્નાસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. પસમુચ્ચય-૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

દેવવિમલ [                ] : જૈન સાધુ. હેમચંદ્રાચાર્યના મૂળ સંસ્કૃતગ્રંથ ‘અભિધાનચિંતામણિ-નામમાલા’ પરના બીજક (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

દેવશંકર [                ] : જ્ઞાતિએ બ્રાહ્મણ. કૃષ્ણભક્તિનાં પદોના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

દેવશીલ [ઈ.૧૫૬૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સૌભાગ્યહર્ષસૂરિની પરંપરમાં પ્રમોદશીલના શિષ્ય. ૭૬૦/૮૨૨ કડીની ‘વેતાલપચીસી ચોપાઈ/પ્રબંધ’ (ર.ઈ.૧૫૬૩/સં. ૧૬૧૯, બીજો શ્રાવણ વદ ૯, રવિવાર; * મુ.)ના કર્તા. કૃતિ : * વેતાલપચીસી, રા. જગજીવનદાસ મોદી, સં. ૧૯૭૨. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]

દેવસમુદ્ર(ઉપાધ્યાય) [ઈ.૧૪૧૪માં હયાત] : જૈન સાધુ. ૫૧ કડીની ‘(બૃહત્તપાગચ્છીય) રત્નસિંહસૂરિ-રાસ’ (ર.ઈ.૧૪૧૪)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

દેવસાગર(ગણિ) : અંચલગચ્છના કોઈ દેવસાગરગણિને નામે ‘ચતુર્થકર્મગ્રંથયંત્રકાણિ’ (લે.સં. ૧૭મી સદી અનુ.) નોંધાયેલ છે તેમને દેવસાગર-૧ કે ત્યાં નિર્દિષ્ટ વાચક દેવસાગર ગણવા કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

દેવસાગર-૧ [ઈ.૧૬૧૮માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વાચક વિનયચંદ્રના શિષ્ય. ‘કપિલકેવલી-રાસ’ (ર.ઈ.૧૬૧૮/સં. ૧૬૭૪, શ્રાવણ સુદ ૧૩, સોમવાર)ના કર્તા. ‘અંચલગચ્છ દિગ્દર્શન’ ઉપર્યુક્ત કૃતિ હેમચંદ્રાચાર્યના ‘અભિધાન ચિંતામણિ’ ઉપર ‘વ્યુત્પત્તિ-રત્નાકર’ નામે સંસ્કૃત વૃત્તિ (ર.ઈ.૧૬૩૦) તથા ૨ શિલાપ્રશસ્તિઓ (ર.ઈ.૧૬૧૯ અને ૧૬૨૭) વગેરેના રચનાર વિનયચંદ્ર-રવિચંદ્રશિષ્ય વાચક દેવસાગરને નામે મૂકે છે. પરંતુ પ્રસ્તુત કૃતિમાં ગુરુનામ વિનયચંદ્ર મળે છે તે ઉપરાંત કવિ પોતાને માત્ર મુનિ તરીકે ઓળખાવે છે તે જોતાં તેના કર્તા ઉક્ત વાચક દેવસાગર ગણવા કે કેમ તે વિશે શંકા રહે છે. સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]

દેવસી(મુનિ) [ઈ.૧૬૧૦માં હયાત] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. શ્રી મલ્લઋષિની પરંપરામાં રત્નસિંહશિષ્યના શિષ્ય. ૪ ઢાળના ‘મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૬૧૦)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

દેવસુંદર : આ નામે ૩ કડીનું ‘નેમરાજુલ-ગીત’ (લે.સં. ૧૮મી સદી અનુ.) મળે છે. તે કયા દેવસુંદર છે તે સ્પષ્ટ થતું નથી. ૮૪ કડીની ‘આષાઢભૂતિ-સઝાય’ (ર.ઈ.૧૫૩૧) સમયદૃષ્ટિએ જોતાં દેવસુંદર-૧ની હોઈ શકે. સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]

દેવસુંદર-૧ [ઈ.૧૫૩૮માં હયાત] : જીરાઉલાગચ્છના જૈન સાધુ. રામકલશસૂરિના શિષ્ય. ૪૨ કડીની ‘ક્યવન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૮/સં. ૧૫૯૪, માગશર વદ ૭, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]

દેવસુંદરસૂરિશિષ્ય : આ નામે દાન, શીલ, તપ અને ભાવ એ જૈનધર્મના સિદ્ધાંતોનો ઉપદેશ કરતી ચોપાઈબંધમાં રચાયેલી ૬૯ કડીની ‘કાકબંધ-ચોપાઈ/ધમ્મ-કક્ક’ મળે છે તેના કર્તા દેવસુંદરસૂરિશિષ્ય-૧ અને તેથી કુલમંડનસૂરિ હોવાનો સંભવ દર્શાવવામાં આવ્યો છે. પરંતુ કૃતિમાં દેવસુંદરસૂરિનો વિશેષ પરિચય ન હોઈ ખાતરીપૂર્વક એમ કહી ના શકાય. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧). [કી.જો.]

દેવસુંદરસૂરિશિષ્ય-૧ [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ] : જૈન. ચંદ્રગચ્છ તપગચ્છના સોમતિલકસૂરિના શિષ્ય. દેવસુંદરસૂરિ (સૂરિપદ ઈ.૧૩૬૪)ના શિષ્ય. ચોપાઈની ૯૯ કડીની ‘ઉત્તમઋષિસંઘસ્મરણા-ચોપાઈ’ના કર્તા. કૃતિ ભૂલથી દેવસુંદરને તથા જયઋષિને નામે નોંધાયેલી છે. જુઓ કુલમંડનસૂરિ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]

દેવસેન (સૂરિ) [   ] : જૈન સાધુ. ‘શ્રાવકાચાર’ તથા ‘પૂજાપ્રકરણ-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ, ધીરુ પરીખ, ઈ.૧૯૭૮. [કી.જો.]

દેવહર્ષ [ઈ.૧૮૧૦માં હયાત] : ખરતરગચ્છની ભટ્ટારક શાખાના જૈન સાધુ. એમનો ‘સિદ્ધાચલ-છંદ’ ગુજરાતી કે હિન્દી ભાષાની કૃતિ છે તેની માહિતી મળતી નથી પરંતુ મુખ્યત્વે ઉધોર છંદનો વિનિયોગ કરતી ૧૪૬ કડીની ‘પાટણની ગઝલ’ (ર.ઈ.૧૮૧૦/સં. ૧૮૬૬, ફાગણ સુદ ૫, રવિવાર; મુ.) તથા મુખ્યત્વે હનુફાછંદની ૧૨૧ કડીની ‘ડીસાની ગઝલ’ (મુ.) મુખ્યત્વે હિન્દી ભાષામાં છે. સંભવત: જોસભરી રચનાઓ હોવાથી ગઝલને નામે ઓળખાવાયેલી આ કૃતિઓમાં તે નગરોની તત્કાલીન ઇતિહાસ વગેરેની ઘણી વીગતભરી મહિતી છે તે ઉપરાંત તેમાં પરંપરાગત શૈલીનાં નગરવર્ણનો પણ છે. કૃતિ : ૧. ફાત્રૈમાસિક, એપ્રિલ-સપ્ટે. ૧૯૪૮ - ‘પાટણની ગઝલ’ , સં. ભોગીલાલ જ. સાંડેસરા (+સં.); ૨. સ્વાધ્યાય, મે ૧૯૭૦ - ‘ડીસાની ગઝલ’, સં. અગરચંદ નાહટા (+સં). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧,૨). [ર.ર.દ.]

દેવળદે [                ] : મહાપંથ-માર્ગીપંથના સંત દેવાયત-પંડિતનાં પત્ની. જીવ કાયામાંથી વિદાય લે છે ત્યારે કાયાનો વિલાપ દર્શાવતા દેવાયત-પંડિતના અવસાન સમયે રચાયેલા ગણાતા ૫ કડીના ભજન(મુ.)ના કર્તા. કૃતિ : સતવાણી. [નિ.રા.]

દેવા(સાહેબ)/દેવાજી [ઈ.૧૮મી સદી] : સંતકવિ. હમલા (કચ્છ)ના જાડેજા રજપૂત. તેમના શિષ્યો બિહારીદાસ (જ. ઈ.૧૭૪૮) તથા જેઠીરામ (ઈ.૧૭૬૧માં હયાત)ના સમયને કારણે કવિને ઈ.૧૮મી સદીમાં થયેલા ગણી શકાય. દેવાસાહેબને કોઈ યોગીના સંપર્કથી નાની ઉંમરથી વૈરાગ્યનો રંગ લાગેલો પણ એમણે લગ્ન સ્વીકાર્યા ને તે પછી ૨૦ વર્ષની ઉંમરે સંસારત્યાગ કર્યો. ગુજરાતી તેમ જ હિંદી ભાષામાં રચાયેલાં સંતકવિનાં પદો (૧૦૦ ઉપરાંત મુ.) બ્રહ્મવાદ, અદ્વૈતભાવ, આત્મસ્વરૂપ, વૈરાગ્ય, સંતમહિમા, સંતલક્ષણ વગેરે વિષયોને આવરી લેતાં જ્ઞાનમાર્ગી પરંપરાનાં પદો છે. આ પદો દૃષ્ટાંતાદિકના વિનિયોગ અને સરળ લોકગમ્ય આધ્યાત્મબોધને કારણે ધ્યાન ખેંચે છે. કવિએ હિંદીમાં અનેક શાસ્ત્રોના સાર રૂપ ‘જ્ઞાનકાંડ/રામસાગર’, ‘ઉપાસનાકાંડ/હરિસાગર’ અને ‘કર્મકાંડ/કૃષ્ણસાગર’ની રચના કરેલી છે. કૃતિ : ૧. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. બૃકાદોહન : ૫; ૪. ભસાસિંધુ. સંદર્ભ : ૧. કચ્છના સંતો અને કવિઓ : ૧, દુલેરાય કારાણી, સં. ૨૦૧૫; ૨. ગુસારસ્વતો;  ૩. ગૂહાયાદી [કી.જો.]

દેવાનંદ-૧ [જ.ઈ.૧૮૦૩/સં. ૧૮૫૯, કારતક સુદ ૧૫ - અવ. ઈ.૧૮૫૪/સં. ૧૯૧૦, શ્રાવણ વદ ૧૦] : સ્વામિનારાયણ-સંપ્રદાયના સાધુકવિ. દલપતરામના કાવ્યગુરુ. ભાલપ્રદેશના બળોલ ગામના વતની. ગઢવી જીજીભાઈ રત્નુ પિતા. બહેનજીબા માતા. મૂળ નામ દેવીદાન. કુશળ ગાયક અને સિતારવાદક. વ્રજભાષાની કાવ્યપ્રણાલીના જાણકાર. સહજાનંદ-સ્વામીએ તેમને બ્રહ્માનંદને સોંપેલા. ઈ.૧૮૩૨માં બ્રહ્માનંદના અવસાન પછી તેઓ મૂળીમાં મહંતપદે આવેલા. અવસાન મૂળીમાં. ૧૨૦૦ ઉપરાંતની સંખ્યાએ પહોંચતાં, વિવિધ રાગોનો નિર્દેશ ધરાવતાં ને તિથિ, વાર બારમાસી, ગરબો, ગરબી ચાબખા વગેરે પ્રકારોનો પણ આશ્રય લેતાં આ કવિનાં પદો (મુ.)માં કૃષ્ણલીલા, સહજાનંદચરિત્ર અને ભક્તિવૈરાગ્યબોધ આલેખાયાં છે. ગુજરાતી ઉપરાંત હિંદીમાં પણ મળતાં આ પદોમાં પરંપરાનો પ્રભાવ વરતાય છે તેમ છતાં તેમાં લોકભોગ્ય સરળતા અને સચોટતા છે, કવચિત પ્રાસાનુપ્રાસની ચમત્કૃતિ છે અને ‘તારે માથે નગારાં વાગે મોતનાં રે’ જેવાં કેટલાંક પદો લોકપ્રચલિત બનેલાં છે. કૃતિ : ૧. દેવાનંદકાવ્ય, પ્ર. નારાયણ સેવાદાસજી, સં. ૨૦૨૫ (+સં.); ૨. દેવાનંદપદાવલિ, સં. જયંત પાઠક, ઈ.૧૯૭૮;  ૩. (અવિનાશાનંદકૃત) કચ્છની લીલાનાં પદો, પ્ર. કોઠારી વ્રજલાલ જીવણ, ઈ.૧૯૪૨; ૪. કીર્તન સારસંગ્રહ : ૧ તથા ૨, સં. હરિજીવનદાસ, સં. ૨૦૦૭ તથા સં. ૨૦૦૮. સંદર્ભ : ૧. દેવાનંદની અક્ષર આરાધના, અમૃતલાલ યાજ્ઞિક, ઈ.૧૯૭૯;  ૨. ગુસાઇતિહાસ : ૨;  ૩. ગૂહાયાદી [ચ.મ.]

દેવાનંદ-૨ [     ] : જૈન સાધુ. જ્ઞાનચંદ્રશિષ્ય. ‘તેતલીપુત્રમુનીશ-ચરિત્ર’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી : ૨. [ર.ર.દ.]

દેવાયત [                ] : મહાપંથ-માર્ગીપંથના સંત. શંભુજીના શિષ્ય. બહુધા ‘દેવાયત પંડિત’ તરીકે એમનો ઉલ્લેખ થયો છે. કોઈ તેમને થાનના બ્રાહ્મણ તરીકે, કોઈ કચ્છના મામઈ માતંગના વંશજ તરીકે, કોઈ માલધારી જાતિના સંત તરીકે તો કોઈ બીલેસર (બરડા પાસે)ના હરિજન બ્રાહ્મણ તરીકે ઓળખાવે છે. અમદાવાદ જિલ્લાના મોડસર ગામે આવેલા સં. ૧૮૬૫ (ઈ.૧૮૦૯)ના પાળિયાને દેવાયત-પંડિતના પાળિયા તરીકે ઓળખાવાય છે, જો કે એ માટે કશું પ્રમાણ નથી. દેવાયત-પંડિતના નામે માર્ગીપંથની નકલંકી (કલ્કી) અવતારની માન્યતા પ્રમાણે કળિયુગનું વર્ણન કરતું તથા ઉત્તર દિશાથી સાયબો ‘કાયમ’ આવી કાળિંગાને મારી સતજુગની સ્થાપના કરશે અને નકલંકી અવતાર ધરશે એવી ભવિષ્યવાણી દર્શાવતું ગુજરાતી ભજન-સાહિત્યમાં ‘આગમ’ ને નામે જાણીતું ભજન તથા મહાપંથની વિચારધારા દર્શાવતાં અન્ય ભજનો મુદ્રિત મળે છે. દેલમી ઉપદેશક પરંપરા સાથે સંબંધ ધરાવતાં પણ માર્ગીપંથનાં જ સાધન-સિદ્ધાંતો દર્શાવતાં ‘દેવાયત’, ‘દુરબળિયો દેવાયત’ ને ‘દેવાયત પરમાર’ એવી નામછાપ ધરાવતાં કેટલાંક ભજનો (મુ.) મળે છે તેના કર્તા જુદા હોવાનું પ્રતીત થતું નથી. એ ભજનોમાં ૨૩ કડીનું દસમો નકલંકી અવતાર મેદી ક્યાં જન્મશે, તેના સાગરીતો કોણ, કેવા વેશમાં આવશે તે બતાવતું એ મસ્જિદ તોડી ધર્મશાળા બંધાવશે એમ જણાવતું ‘મેદી-પુરાણ’ અને ૧૦૦ જેટલી પંક્તિઓમાં કળિયુગનું વર્ણન કરતું તથા આગમવાણી ભાખતું ભજન ‘દેલમી આરાધ’ નોંધપાત્ર છે. કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭-ભજનો; ૨. ખોજા વૃતાન્ત, સચેદીના નાનજીઆણી, ઈ.૧૯૧૮ (બીજી આ.)-ભજનો; ૩. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૪. બૃહત્ સંત સમાજ ભજનાવાળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૫. હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.). સંદર્ભ : ઊર્મિ-નવરચના, માર્ચ ૧૯૮૬ - ‘મહાપંથના સંતો અને તેમની વાણી’, નિરંજન રાજ્યગુરુ. [નિ.રા.]

દેવારામ [                ] : “રામગુરુ સ્વામી પૂરણ મળિયા” એ પંક્તિને કારણે કવિ પૂરણ સ્વામીના શિષ્ય હોવાનું સમજાય છે. એમના આ ગણપતિના પદ (મુ.)માં વસ્તુત: સાધુઓના મનમાં રમતા યોગનું સ્વરૂપ આલેખાયું છે. પદની ભાષામાં હિંદીની છાંટ છે. કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭ (+સં.); ૨. સોસંવાણી [કી.જો.]

દેવીચંદ : દેવીચંદ તથા દેવીચંદ-ઋષિને નામે ‘ગોડીજી-ગીત’,) ‘ચોવીસી’, ‘સમેતશિખર-સ્તવન’ (ત્રણેની લે. સં. ૧૯મી સદી અનુ.) અને ‘મહાવીર-પારણા-સ્તવન’ (લે.ઈ.૧૮૦૬) નોંધાયેલ મળે છે તે દેવીચંદ-૧ની કૃતિઓ હોવાનો સંભવ છે પણ એ વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. રાહસૂચી : ૨. [જ.કો.]

દેવીચંદ-૧ [ઈ.૧૭૭૧માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. ૧૦ ઢાળની નવકારવિષયક ‘રાજસિંહકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૭૧/સં. ૧૮૨૭, કારતક સુદ ૫, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩ (૧,૨).[ર.ર.દ.]

દેવીદાસ : આ નામે ભાગવતની કથાના સારસંક્ષેપ રૂપ ‘ભાગવત સાર’, કક્કો, ‘પૂતનાવધ’ (મુ.), ‘ભક્તમાળ’ (મુ.), થાળની ૨ રચનાઓ (મુ.), વાર(મુ.) તથા કૃષ્ણભક્તિ, સંતમહિમા ને અધ્યાત્મબોધ, ઉપદેશ વગેરે વિષયોનાં પદો (કેટલાંક મુ.) મળે છે. તેમાંથી અધ્યાત્મબોધનું પદ (મુ.) સૌરાષ્ટ્રના જાણીતા સંત દેવીદાસની કૃતિ હોવાનું કહેવા માટે કોઈ આધાર નથી. તે જ પ્રમાણે ‘ભાગવતસાર’ અને કેટલાંક પદો કેટલાક સંદર્ભોમાં દેવીદાસ-૧ને નામે મૂકવામાં આવેલ છે તેને માટે પણ કશો આધાર નથી. આમ, આ કૃતિઓના કર્તા કયા દેવીદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ દેવદાસ. કૃતિ : ૧. અભમાલા; ૨. કાદોહન : ૨; ૩. નકાદોહન; ૪. બૃકાદોહન : ૮; ૫. બૃહત્ ભજનસાગર, સં. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિક, દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૬. ભજનસાગર : ૧; ૭. ભસાસિંધુ; ૮. સતવાણી; ૯. સોસંવાણી. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજૂકહકીકત;  ૩. ગૂહાયાદી; ૪. ફાહનામાવલિ : ૨; ૫. ફૉહનામાવલિ. [ર.સો.]

દેવીદાસ-૧ [ઈ.૧૫૫૫માં હયાત] : જૈનધર્મી બ્રાહ્મણ. તપગચ્છીય વિજ્યદાનસૂરિના શિષ્ય. ૫ ઢાળના ‘કાલચક્રવિચારગર્ભિતરાણપુરમંડન વીરજિન-સ્તવન/ષડારકસ્વરૂપમહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૫૫/સં. ૧૬૧૧, આસો સુદ ૧૫, શુક્રવાર; મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિભપ્રકાશ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

દેવીદાસ-૨ [ઈ.૧૬૦૪માં હયાત] : આખ્યાનકાર. સોજિત્રાના વતની. જ્ઞાતિએ ગાંધર્વ. એમનું ૩૦ કડવાંનું ‘રુક્મિણીહરણ’(ર.ઈ.૧૬૦૪/સં. ૧૬૬૦, મહા સુદ ૧૩, શુક્રવાર; મુ.) નાયિકા-સૌન્દર્યનાં તથા સૈન્ય, યુદ્ધ, લગ્નોત્સવ આદિનાં રોચક વર્ણનોવાળું, લોકપ્રિય નીવડેલાં લગ્નગીતો ધરાવતું ને વીર, શૃંગાર ને હાસ્યરસનું નિરૂપણ કરતું આ વિષયનું નોંધપાત્ર આખ્યાન છે. માત્ર ‘દેવીદાસ’ નામછાપ ધરાવતી સાખી, શ્લોક, ચાલ અને ઢાળ એવા વિભાગો ધરાવતી ૯૫ કડીની પ્રાસાદિક કૃતિ ‘રાસપંચાધ્યાયી’ (મુ.)ની હસ્તપ્રત સોજિત્રામાંથી મળી હોવાથી આ કવિની રચના હોવાની ઘણી શક્યતા છે. કૃતિ : બૃકાદોહન : ૬ (+સં.), ૮ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. [ર.સો.]

દેવીદાસ-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ૭ કડીમાં ખરતરગચ્છના ઉપાધ્યાય સમયસુન્દર (અવ. ઈ.૧૬૪૬)ની પ્રશસ્તિ ગાતા ને એમને આશીર્વચન ઉચ્ચારતા આ કવિ જૈન શ્રાવક કે સાધુ કરતાં કોઈ બ્રાહ્મણ કે ચારણ કવિ હોવાનો સંભવ વધારે છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [ર.ર.દ.]

દેવીદાસ-૪ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ભાલોદના વતની. વેરીસાલજી (અવ. ઈ.૧૭૧૫)ના રાજ્યકાળમાં રચાયેલ નાંદોદના હરસિદ્ધમાતા વિશેના ગરબાના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ. [ર.સો.]

દેવીદાસ-૫ [                ] : ‘જીવ-વેલડી’ના કર્તા. કૃતિની ર. ઈ.૧૭૬૮ આસપાસ દર્શાવવામાં આવી છે, પણ એનો આધાર આપ્યો નથી. સંદર્ભ : પ્રાકારૂપરંપરા. [જ.કો.]

દેવીદાસ-૬ [ ] : આખ્યાનકાર. વસાવડના વતની. આ કવિનું ચોપાઈ અને ઢાળબંધનું ‘નાનો ઇશ્વરવિવાહ’ (મુ.) શિવવિવાહના પ્રસંગને વર્ણવતું ને લગ્નના નિરૂપણમાં તત્કાલીન સામાજિકતાને ઉઠાવ આપતું આખ્યાનાત્મક કાવ્ય છે. આ કાવ્યની ૭૨ અને ૧૭૦ જેટલી કડીઓની ૨ વાચના મુદ્રિત મળે છે. કૃતિ : ૧. ઈશ્વરવિવાહ, પ્ર. કેશવલાલ મગનલાલ દૂધવાળા, ઈ.૧૯૧૧;  ૨. કાદોહન : ૩; ૩. દેવીમાહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૪. બૃકાદોહન : ૧. સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]

દેવેન્દ્ર [ઈ.૧૫૮૨માં હયાત] : જૈન સાધુ. ‘યશોધરચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૫૮૨)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]

દેવેન્દ્રકીર્તિ (ભટ્ટારક) [ઈ.૧૬૬૬માં હયાત] : દિગંબર જૈન સાધુ. સકલકીર્તિની પરંપરામાં પદ્મનંદિના શિષ્ય. હરિવંશ આધારિત, પ્રદ્યુમ્નચરિત નિરૂપતી ‘પ્રદ્યુમ્નચરિત-રાસ’ (ર.ઈ.૧૬૬૬) એ કૃતિના કર્તા. સંદર્ભ : ૧. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૭-‘ઉષાહરણ’, ભોગીલાલ જ. સાંડેસરા;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]

દેવેન્દ્રસાગર [ઈ.૧૮૦૯માં હયાત] : જૈન સાધુ. ૬૮૮ કડીના ‘રત્નસાર-રાસ’ (ર.ઈ.૧૮૦૯)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

દેવો : આ નામે પદ નોંધાયેલાં મળે છે તે કયા દેવા - છે તે નક્કી થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]

દેવો-૧ [                ] : “અનંતદાસ દેવો ભણે” એ પંક્તિને કારણે અનંત કે અનંતદાસના શિષ્ય હોવાની શક્યતા ધરાવતા આ કવિનું ૬ ખંડ અને આશરે ૧૧૦ કડીનું ‘નરસિંહ મહેતાનું મામેરું’ આ વિષયની પ્રેમાનંદાદિની કૃતિઓની અસર બતાવે છે. કાવ્યની અભિવ્યક્તિની શૈલી લોકસાહિત્યની છે. સંદર્ભ : કાફીસંગ્રહ, પ્ર. ક. જા. સં. ૧૯૪૦. [કી.જો.]

દેશળ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ભાવનગર પાસેના લીલિયાના સિંધી મુસલમાન. પચાસેક પદોના રચનાર આ વેદાંતી કવિનું ૧ રૂપકાત્મક જ્ઞાન-યોગમાર્ગી પદ મુદ્રિત મળે છે. કૃતિ : બૃકાદોહન : ૭ (+સં.). [ર.સો.]

દેસાઈભાઈ [ ] : કૃષ્ણવિષયક કેટલાંક પદોના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [કી.જો.] દેહલ [ઈ.૧૬૨૪ સુધીમાં] : ઉત્તરાને તેડી લાવવા મોકલેલા આણા (‘ઉઝણૂં’)ના પ્રસંગના વિસ્તૃત આલેખનને કારણે ‘અભિવન-‘ઊઝણૂં’(લે.ઈ.૧૬૨૪; મુ.)નામ પામેલું આ કવિનું આખ્યાનકાવ્ય ગુજરાતીમાં અભિમન્યુવિષયક કાવ્યોમાં નાકર પૂર્વેનું અને સૌથી જૂનું - ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ કે ૧૬ સદી પૂર્વાર્ધનું ગણાયેલું છે. ચોપાઈ, ચરણાકુળ અને દોહરાની દેશીના પદબંધની સળંગ ૪૦૬ કડીમાં રચાયેલું આ આખ્યાન મૂળ કથામાં કેટલાક ફેરફાર અને ઉમેરા બતાવે છે, જે પછીના તાપીદાસ, નાકર વગેરે કવિઓને ઉપયોગમાં આવેલા જણાય છે. કરુણરસપ્રધાન આ આખ્યાનમાં કવિની વર્ણનશક્તિ અને તત્કાલીન સમાજનું થયેલું ચિત્રણ ધ્યાન ખેંચે છે. કૃતિ : ૧. અભિવન ઊઝણૂં, સં. શિવલાલ જેસલપુરા, ઈ.૧૯૬૨ (+સં.);  ૨. અભિમન્યુ પૂર્વકથાન્વેષણ, મંજુલાલ ૨. મજમુદાર, ઈ.૧૯૪૪-‘અભિવન ઊઝણૂં’. સંદર્ભ : ૧. અનુસંધાન, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૭૨ ‘અભિવન ઊઝણૂં’; ૨. કવિચરિત : ૧-૨; ૩. ગુસાઇતિહાસ : ૨;  ૪. ગૂહાયાદી. [ર.સો.]

દોલત [ ] : એમને નામે પદ નોંધાયેલાં મળે છે. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]

દૌલતવિજ્ય(ગણિ)/દલપત [ ] : તપગચ્છના જૈન સાધુ. સુમતિસાધુસૂરિની પરંપરામાં શાંતિવિજ્યના શિષ્ય. કવિ પોતાને ‘દોલત’ ઉપરાંત ‘દલપત’ને નામે ઉલ્લેખે છે. એમના, રાજસ્થાનીચારણી-મિશ્રભાષાના દુહા, કવિત વગેરે છંદોમાં રચાયેલા ૩ ખંડના ‘ખુમાણ-રાસ’માં ચિતોડના રાજા ખુમાણ અને તેમના વંશજોનો ઇતિહાસ વર્ણવાયો છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [કી.જો.]

દૌલત [ઈ.૧૭૮૪માં હયાત] : ખરતરગચ્છની આચાર્યશાખાના જૈન સાધુ. વાચક ઉદયભાણ-વીરભાણશિષ્ય. ૩૭ કડીના ‘પાર્શ્વનાથનો સલોકો’ (ર.ઈ.૧૭૮૪/સં.૧૮૪૦, પોષ વદ ૧૦)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, નવે. ૧૯૪૭ - ‘છે ઔર સિલોકે’, અગરચંદ નાહટા. [કી.જો.]

‘દ્રૌપદી-ચોપાઈ’ [ર.ઈ.૧૬૪૪/સં. ૧૭૦૦ મહા-] : સંકલચંદ્રશિષ્ય સમયસુંદરની ૩ ખંડ, ૩૪ ઢાળ અને ૬૦૬ કડીની આ રાસકૃતિમાં ‘જ્ઞાતાસૂત્ર’ને આધારે જૈન પરંપરા મુજબની દ્રૌપદીકથા કહેવામાં આવી છે. કૃતિના પહેલા ૨ ખંડમાં દ્રૌપદીના ૨ પૂર્વભવોની કથા રજૂ થઈ છે. એમાંની બીજી કથામાં સાધ્વી સુકુમાલિકા, જેની ૫ પુરુષો સેવા કરતા હતા તે વેશ્યાની ઇર્ષ્યા કરે છે અને શિથિલાચારમાં સરી પડે છે. પરિણામે પછીના ભવમાં એને દ્રૌપદી તરીકે ૫ પાંડવોને પરણવાનું થાય છે. દ્રૌપદીની કથા અહીં મહાભારતથી સ્વતંત્ર રીતે ચાલતી જણાય છે. અહીં દ્રૌપદી સ્વયંવરમાં જ ૫ પાંડવોને વરે છે. આ પછી એક વખતે દ્રૌપદીએ નારદનું યોગ્ય સન્માન કર્યું તેથી નારદ પદ્મનાભ રાજાને દ્રૌપદી માટે મોહ જન્માવે છે અને એ રાજા દેવતાઓની મદદથી સૂતેલી દ્રૌપદીને પોતાના અંત:પુરમાં લાવે છે. પાંડવો કૃષ્ણની મદદથી દ્રૌપદીની ભાળ મેળવે છે અને તેને પાછી મેળવવા યુદ્ધે ચડે છે. દ્રૌપદીને પાછી લઈને આવતાં ગંગા પાર કરતી વખતે પાંડવોએ કૃષ્ણની કસોટી કરવા માટે હોડી પાછી ન મોકલી. આથી ગુસ્સે થયેલા કૃષ્ણે પાંડવોને દેશનિકાલ કર્યા. એ પછી દક્ષિણ સમુદ્રને કિનારે રહેતા પાંડવોને પાંડુસેન નામનો પુત્ર જન્મ્યા પછી એમણે દીક્ષા લીધી. આ રીતે મહાભારતથી જુદી જ દ્રૌપદીકથા કહેતા આ રાસમાં કવિએ કવચિત્ રૂપવર્ણનાદિનો લાભ લીધેલો છે. [જ.કો.]

દ્વારકાદાસ/દ્વારકો  : ‘દ્વારકાદાસ’ની નામછાપ ધરાવતું ઉપદેશનું ૧ પદ મુદ્રિત મળે છે તે દ્વારકો-૧નું હોવાની શક્યતા જણાતી નથી, પરંતુ દ્વારકાદાસને નામે પદો નોંધાયેલાં મળે છે તે દ્વારકો-૧નાં હોવાની શક્યતા છે. પ્રેમાનંદશિષ્ય દ્વારકાદાસની કૃતિઓ ‘દ્વારકો’ એવી નામછાપ ધરાવે છે અને તેથી એની ભેળસેળ દ્વારકો-૧ની કૃતિઓ સાથે થાય છે. પરંતુ ‘પ્રાચીન કાવ્યત્રૈમાસિક, અં. ૨, ઈ.૧૮૯૧’, ‘પ્રાચીન કાવ્યમાળા : ૯’ તથા ‘બૃહત્ કાવ્યદોહન : ૬’માં છપાયલી ‘વિપ્ર ગુરુ’ના ઉલ્લેખવાળી કૃતિઓ-જેની હસ્તપ્રતો પણ પ્રાપ્ય નથી-યથાર્થપણે અર્વાચીન કર્તૃત્વની ગણાયેલી છે ને તેથી તેમાંથી પ્રાપ્ત થતી માહિતી પણ અનધિકૃત ઠરે છે. સં. ૧૮મી સદીમાં થયેલા દ્વારકો નામના વૈષ્ણવ કવિ નોંધાયેલા છે તે દ્વારકો-૧ જ જણાય છે, પરંતુ ‘પ્રાચીન કાવ્યવિનોદ : ૧’માં છપાયેલું ‘દ્વારકો’ની નામછાપ ધરાવતું યોગમાર્ગી પદ દ્વારકો-૧નું હોવાની સંભાવના જણાતી નથી. કૃતિ : ૧. નકાદોહન; ૨. પ્રાકામાળા : ૯ (+સં.). ૩. પ્રાકાવિનોદ : ૧;  ૪. પ્રાકાત્રૈમાસિક, અં. ૨, ઈ.૧૮૯૧ - ‘રાધાવિલાસ’ (+સં.). સંદર્ભ : ૧. ગુસાકાર્યવહી : ઈ.૧૯૪૨-૪૩ - ‘પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક અને કાવ્યમાળા’, કેશવરામ કા. શાસ્ત્રી; ૨. પુગુસાહિત્યકારો; ૩. પ્રેમાનંદ એક અધ્યયન : ૧, કેશવરામ કા. શાસ્ત્રી, * ઈ.૧૯૫૮, ઈ.૧૯૬૦ (બીજી આ.);  ૪. ગૂહાયાદી. [ર.સો.]

દ્વારકાદાસ-૧ [ઈ.૧૮૬૪ સુધીમાં] : ‘ભાગવતદશમસ્કંધ’ (લે.ઈ.૧૮૬૪)ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]

દ્વારકેશ : વૈષ્ણવ કવિ જણાય છે. ‘રાસલીલા’ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી. [કી.જો.]

દ્વારકો : જુઓ દ્વારકાદાસ.

દ્વારકો-૧  [ઈ.૧૭૪૪માં હયાત] : ઘણુંખરું ડાકોરમાં રહેતા પણ ચરોતરમાં ભાલેજના વતની અને જ્ઞાતિએ વણિક તરીકે ઓળખાવાયેલા આ કવિની કૃતિઓ માત્ર ‘દ્વારકો’ નામછાપ ધરાવે છે. આ નામછાપથી મળતાં બોધાત્મક પદો (૧ પદની ર.ઈ.૧૭૪૪/સં. ૧૮૦૦, કારતક સુદ૧૦; કેટલાંક મુ.), બાળલીલા, વસંત, હોરી, થાળ, ભક્તિશૃંગારની ગરબીઓ વગેરે કૃષ્ણવિષયક રચનાઓ (કેટલીક મુ.), ભક્તિબોધનો ‘કક્કો’ (ર.ઈ.૧૭૪૪/સં. ૧૮૦૦ માગશર સુદ ૯; મુ.), ‘રાધિકાવિરહના દ્વાદશ માસ’ (મુ.), કૃષ્ણવિરહની ‘તિથિ’ તથા ‘આઠવાર’ આ કવિની જ કૃતિઓ હોવાનું સમજાય છે. કવિની ભાષામાં પ્રાસાદિકતા છે અને કૃષ્ણવિષયક કાવ્યોમાં ભાવ અને અભિવ્યક્તિનું માધુર્ય છે. કૃતિ : ૧. કાદોહન : ૧(+સં.), ૨, ૩; ૨. ર. નકાદોહન; ૩. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. પ્રેમપુરીજી ઈ.૧૮૮૫; ૪. બૃકાદોહન :૨;  ૫. પ્રાકાત્રૈમાસિક, અં. ૨, ઈ.૧૮૮૯ - ‘રાધિકાવિરહના દ્વાદશ માસ’; ૬. સમાલોચક, ઑક્ટો-ડિસે. ૧૯૦૮ - ‘જૂની ગુજરાતી કવિતા’ અંતર્ગત ‘કવિ દ્વારકાદાસકૃત ગરબીઓ’, સં. છગનલાલ વિ. રાવળ (+સં.). સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]