ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ

From Ekatra Wiki
Revision as of 11:15, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search





ઉત્તમચંદ : આ નામે ૨૩ કડીની ‘તમાકુપરિહાર-સઝાય’ તથા ‘વીશી’ મળે છે પણ એ કયા ઉત્તમચંદની છે તે નિશ્ચિત નથી. ‘વીશી’ વિદ્યાચંદશિષ્ય ઉત્તમચંદને નામે નોંધાયેલી છે પણ એ માટે કશો આધાર નથી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. લીંહસૂચી. [ર.સો.]

ઉત્તમચંદ-૧ [ઈ.૧૬૩૯માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં દેવસાગરના શિષ્ય. ૩૫૯ કડીના ‘સુનંદ-રાસ’ (૨. ઈ.૧૬૩૯/સં. ૧૬૯૫, અસાડ સુદ-)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.સો.]

ઉત્તમચંદ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં વિદ્યાચંદના શિષ્ય. ‘ઉપધાન-વિધિ-સ્તવન’ (૨. ઈ.૧૬૫૫/સં. ૧૭૧૧, શ્રાવણ સુદ ૧૦, ગુરુવાર) અને ૧૯ કડીના ‘નેમિનાથ-સ્તવન’ (લે. ઈ.૧૬૭૪, સ્વલિખિત)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચિ. [ર.સો.]

ઉત્તમચંદ-૩ [ઈ.૧૮૦૦માં હયાત] : જૈન સાધુ. ૧૧ કડીના ‘કેસરિયા-સલોકો’ (૨.ઈ.૧૮૦૦/સં. ૧૮૫૬, ફાગણ -૯)ના કર્તા. સમય જોતાં ઉત્તમવિજય - ૩ હોવાની શક્યતા વિચારી શકાય. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૭ - ‘કતિપય ઔર સિલોકે’, અગરચંદ નાહટા. [ર.સો.]

ઉત્તમરામ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : અંબાજીનાં શણગાર અને શક્તિનું ગાન કરતી ગરબી (૨.ઈ.૧૮૪૩/સં. ૧૮૯૯, શ્રાવણ વદ ૯, રવિવાર; મુ.) તથા ‘ડંકપુરમાહાત્મ્ય’(૨. ઈ.૧૮૪૪/સં. ૧૯૦૦, આસો સુદ ૧૫, ભૃગુવાર; મુ.)ના કર્તા કોઈ એક જ ઉત્તમરામ હોય એવું સમજાય છે. ૩૦ કડવાં અને ૧૦૨૫ કડીના ‘ડંકપુરમાહાત્મ્ય’માં ડાકોર અને તેની આસપાસનાં ગલતેશ્વર વગેરે ધાર્મિક સ્થળોની કથા ઉપરાંત બોડાણાની કથા, સૂત અને શૌનકના સંવાદ રૂપે, વીગતે કહેવાયેલી છે. પ્રસ્તાવનામાં આ કૃતિને દીનાનાથ ભટ્ટની સંસ્કૃત રચનાનો આધાર હોવાનું જણાવાયું છે. કૃતિ : ૧. ડંકપુરમાહાત્મ, પ્ર. બુદ્ધિવર્ધક હિન્દુ સભા, સં. ૧૯૦૭ (+સં.);  ૨. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીરામ, સં. ૧૯૭૯ (+સં.). સંદર્ભ : ગૂહાયાદી. [ચિ.ત્રિ.]

ઉત્તમવિજય : આ નામે ‘અધ્યાત્મસારપ્રશ્નોત્તર’ (લે. સં. ૨૦મી સદી અનુ.) અને ‘આબુતીર્થમાળા’ (લે. સં. ૧૯મી સદી અનુ.) એ ૨ કૃતિઓ મળે છે પણ તે કયા ઉત્તમવિજયની છે તે નક્કી થતું નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચિ; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]

ઉત્તમવિજય-૧ [જ.ઈ.૧૭૦૪ - અવ. ઈ.૧૭૭૧/સં. ૧૮૨૭, મહા સુદ ૮] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં જિનવિજયના શિષ્ય. પૂર્વાશ્રમનું નામ પૂંજાશા. જન્મ અમદાવાદમાં. માતા માણેક. પિતા લાલચંદ. ઈ.૧૭૨૨માં ખરતરગચ્છના દેવચંદ્ર પાસે ધાર્મિક તત્ત્વગ્રંથોનો અભ્યાસ. ઈ.૧૭૪૦માં જિનવિજય પાસે દીક્ષા. અવસાન અમદાવાદમાં. ૩ ઢાળ અને ૫૧ કડીનું, સ્વોપજ્ઞ ગદ્યટીકા સાથેનું ‘સંયમશ્રેણી-ગર્ભિતમહાવીર-સ્તવન’ (૨. ઈ.૧૭૪૩/સં. ૧૭૯૯, વૈશાખ સુદ ૩ મુ.), ૩ ઢાળનું ‘અલ્પબહુત્વવિચારગર્ભિત-મહાવીરજિન-સ્તવન’ (૨. ઈ.૧૭૫૩/સં. ૧૮૦૯, આસો સુદ ૨; મુ.); ઈ.૧૭૪૩માં નિર્વાણ પામેલા જિનવિજયનું સમગ્ર ચરિત્ર વર્ણવતો, દુહા-દેશીબદ્ધ ૧૬ ઢાળનો ‘જિનવિજયનિર્વાણ-રાસ’ (મુ.);૩૧ કડીનું ‘જિનઆગમ-બહુમાન-સ્તવન’ (૨. ઈ.૧૭૫૩); ‘અષ્ટપ્રકારી-પૂજા’ (૨. ઈ.૧૭૫૭;મુ.), ‘ચોવીસી’ (૫ સ્તવન મુ.) અને કેટલાંક સ્તવનો-સઝાયો (મુ.)ના કર્તા. કૃતિ : ૧. સંયમશ્રેણીગર્ભિત મહાવીર સ્તવન સ્વોપજ્ઞ ગદ્યટીકા સાથે, સં. માનવિજય, ઈ.૧૯૨૨ (+સં.);  ૨. જૈઐરાસમાળા : ૧ (+સં.); ૩. જૈગૂસારરત્નો : (+સં.); ૪. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; પ. પૂજાસંગ્રહ, પ્ર. મોહનલાલ બાકરભાઈ, ઈ.૧૮૮૪; ૬. પ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]

ઉત્તમવિજય-૨ ઉત્તમવિજય-૨[ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ઉપાધ્યાય યશોવિજયની પરંપરામાં સુમતિવિજયના શિષ્ય. ‘નવપદપૂજા’ (૨. ઈ.૧૭૭૪/સં. ૧૮૩૦, શ્રાવણ સુદ -; મુ.), ‘પિસ્તાળીસ આગામની પૂજા’ (૨. ઈ.૧૭૭૮/સં. ૧૮૩૪, કારતક સુદ ૫, બુધવાર), દેવપ્રભસૂરિની સંસ્કૃત કૃતિ ‘પાંડવચરિત્ર-મહાકાવ્ય’ પર વિજયધર્મસૂરિના રાજ્યકાળમાં રચાયેલા સ્તબક (૨. ઈ.૧૭૮૦) તથા રત્નશેખરસૂરિકૃત પ્રાકૃત ‘શ્રાદ્ધવિધિ-વૃત્તિ’ પર વિજયધર્મસૂરિ-શિષ્ય વિજયજિનેન્દ્રના રાજ્યકાળ (ઈ.૧૭૮૫ - ઈ.૧૮૨૮)માં રચાયેલ સ્તબકના કર્તા. કૃતિ : નવપદપૂજા, પ્ર. માણેકચંદ લ. શા, − સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. આલિસ્ટઑઈ : ૨; ૩. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૪. મુપુહગૂસૂચી. [ર.સો.]

ઉત્તમવિજય-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિમલવિજયની પરંપરામાં ખુશાલવિજયના શિષ્ય. ‘રહનેમિરાજિમતી-સઝાય’ના મુદ્રિત પાઠમાં ઉત્તમચંદ નામ મળે છે જે કવિનું આરંભનું નામ હોઈ શકે. વિવિધ પ્રકારોમાં રચાયેલી આ કવિની કૃતિઓમાં સૌથી વધુ નોંધપાત્ર છે ૧૫ ઢાળ ને ૨૧૦ કડીની ‘નેમિનાથની રસવેલી’ ← (૨. ઈ.૧૮૩૩/સં. ૧૮૮૯, ફાગણ સુદ ૭; મુ.) નેમિનાથને વિવાહ માટે સમજાવતી કૃષ્ણની રાણીઓના રસિક પ્રસંગનું વીગતે નિરૂપણ કરીને તથા રાજુલના વિલાપપ્રસંગને કેવળ નિર્દેશથી પતાવીને કવિએ સંકલ્પપૂર્વક કૃતિને એકરસકેન્દ્રી બનાવી છે એ તેની વિશિષ્ટતા છે. અનુપ્રાસાત્મક ભાષાથી તેમ જ કલ્પનાની તાજગીથી પણ કૃતિ સમૃદ્ધ થયેલી છે. દુહા અને ભાવનાસ્તવન કે ભાવનાપદ તરીકે ઓળખાવાયેલાં ગીતો સાથે ૭ ઢાળની ‘પંચતીર્થ-પૂજા’ (૨. ઈ.૧૮૩૪/સં. ૧૮૯૦, ફાગણ સુદ ૫;મુ.), શત્રુંજય વગેરે ૫ તીર્થોના તીર્થંકરોની પૂજાની પરંપરાગત કૃતિ છે. પંરતુ એમાં ક્યાંક કાવ્યત્વ લાવવાનો પ્રયાસ થયેલો છે અને ગેય ઢાળો તથા રાગો અને ગેયતાને પોષક સુંદર ધ્રુવાઓ પ્રયોજાયેલાં છે તે નોંધપાત્ર છે. કવિએ કોઈ કોઈ ઢાળ અને ગીતમાં હિંદી ભાષા પણ પ્રયોજી છે. આ ઉપરાંત કવિની અન્ય દીર્ઘ કૃતિઓ છે : ૧૫ તિથિ અને ૧૨ માસના વર્ણનને સમાવતી, ૧૫ ઢાળની ‘નેમિરાજિમતીસ્નેહવેલ’ (સંભવત: ૨. ઈ.૧૮૨૦/સં. ૧૮૭૬, આસો વદ ૫, મંગળવાર), સિદ્ધાચલનો મહિમા અને ઇતિહાસ વર્ણવતી ૧૩ ઢાળની ‘સિદ્ધાચલ સિદ્ધવેલી’ (ર.ઈ.૧૮૨૯/સં. ૧૮૮૫, કારતક સુદ ૧૫; મુ.); ૪ ખંડ અને ૭૧ ઢાળનો ‘ધનપાળશીલવતીનો રાસ’ (૨. ઈ.૧૮૨૨/સં. ૧૮૭૮, માગશર - ૫, સોમવાર) અને ૭ ઢાળનો ‘ઢંઢુક-રાસ/લુમ્પકલોપક-તપગચ્છજ્યોત્પત્તિવર્ણન-રાસ’ (૨. ઈ.૧૮૨૨/સં. ૧૮૭૮, પોષ સુદ ૧૩.) ૪-૪ કડીના ૪ ચોકમાં લખાયેલી ‘રહનેમિરાજિમતી-ચોક/સઝાય’ (૨. ઈ.૧૮૧૯/સં. ૧૮૭૫, કારતક સુદ ૧૨, રવિવાર; મુ.), તોટક છંદની ૧૩ કડીમાં રચાયેલો ‘પાર્શ્વનાથસ્વામીનો છંદ’ (૨. ઈ.૧૮૨૪/સં. ૧૮૮૦, મહા - ૧૦; મુ.), કડખાની દેશીની ૨૧ કડીમાં રચાયેલ ‘એક્સોઆઠનામગર્ભિત-શંખેશ્વરપાર્શ્વજિન-છંદ’ (૨.ઈ.૧૮૨૫/સં. ૧૮૮૧, ફાગણ વદ ૨; મુ.) અને ૧૮ કડીની ‘પરદેશી-રાજાની સઝાય’ (મુ.) આ કવિની નાની રચનાઓ છે. જુઓ ઉત્તમચંદ - ૩. કૃતિ : ૧. નેમિનાથની રસવેલી, પ્ર. અમૃતવિજયજી રત્નવિજયજી, ઈ.૧૮૮૫; ૨. સિદ્ધાચલજીની સિદ્ધવેલ, સં. કાલીદાસ વ. માસ્તર, ઈ.૧૯૨૩;  ૩. જૈકાપ્રકાશ : ૧; ૪. જૈસમાલા (શા) : ૧; ૫. વિવિધ પૂજાસંગ્રહ : ૧-૧૧, પ્ર. જશવંતલાલ ડી. શાહ, -; ૬. શંસ્તવનાવલી; ૭. સસંપમાહાત્મ્ય. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]

ઉત્તમસાગર [ઈ.૧૬૫૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વાચક કુશલસાગરના શિષ્ય. ૬૫૦ કડીનો ‘ત્રિભુવનકુમાર-રાસ’ (૨. ઈ.૧૬૫૬/સં. ૧૭૧૨, વૈશાખ સુદ ૩, ગુરુવાર), ૨૩ કડીનું ‘સીમન્ધરજિન-ચંદ્રાવલા-સ્તવન’, ૧૬ કડીની ‘તેર કાઠિયાની સઝાય’ (મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિસ્તકાસંદોહ: ૨; ૩. જૈકાપ્રકાશ: ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨). [ર.સો.]

ઉત્તમસાગરશિષ્ય [ ] : જૈન સાધુ. ૪ કડીના ‘નવપદનું સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ: ચૈસ્તસંગ્રહ: ૧ [કી.જો.]

ઉદય/ઉદય(ઉપાધ્યાય)/ઉદય (મુનિ)/ઉદય(વાચક) : આ નામોથી ‘પ્રેમપ્રબંધદુહા (રંગવેલીપ્રીત)’ તથા કેટલાંક સ્તવનો, સ્તુતિઓ, છંદો, સઝાયો (કેટલાંક મુ.) મળે છે, તેમ જ કેટલીક નાની કૃતિઓ એવી પણ મળે છે જેમાં ‘ઉદય’ શબ્દ આવે છે ને તે કર્તાનામનો સૂચક હોવા સંભવ છે. આ કૃતિઓમાંથી કેટલીકને, તેમના રચનાસમયને લક્ષમાં લેતાં ઉદયરત્ન - ૨ની માનવામાં બાધ નથી. ઉપરાંત ‘ઉદય-ઉપાધ્યાય’ અને ‘ઉદય-વાચક’ને નામે સમયનિર્દેશ વિનાની જે કૃતિઓ મળે છે તે પણ ઉદયરત્ન-૨ની હોવાની શક્યતા છે. પરંતુ બીજા કોઈ આધારને અભાવે આવી કૃતિઓ વિશે કંઈ કહેવું મુશ્કેલ છે. ઉદયને નામે મળતી કૃતિઓમાંથી પણ ‘આત્મહિતશિક્ષાની સઝાય’, ‘અભવ્યને ઉપદેશ ન લાગવા વિશેની સઝાય’ તથા ‘ભગવાન પાર્શ્વનાથના ઉપસર્ગનું વર્ણન’ જેવી કેટલીક કૃતિઓને કેટલાક સંદર્ભોમાં ઉદયરત્ન - ૨ની કૃતિઓ ગણવામાં આવી છે, તેમ જ કોઈક કૃતિને ઉદયવિજય - ૨ને નામે પણ ચડાવવામાં આવી છે. ‘ઉદય’ની નામછપાવાળાં કેટાલંક હિંદી પદો મળે છે, જે કદાચ ‘પાંચ પરમેશ્વરનું સ્તવન/છંદ’(મુ.) ઝૂલણાની નારસિંહી છટાને કારણે ધ્યાન ખેંચે છે. કૃતિ : ૧. જિસ્તમાલા; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈસસંગ્રહ(ન.); ૪. શંસ્તવનાવલી;  ૫. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૭-‘ભગવાન પાર્શ્વનાથના ઉપસર્ગનું વર્ણન’, સં. જ્ઞાનવિજયજી. સંદર્ભ : ૧. જૈહાપ્રોસ્ટા; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [હ.યા.]

ઉદય-૧ [ઈ.૧૬૭૬માં હયાત] : જુઓ ચંદ્ર (ઈ.૧૬૭૬માં હયાત).

ઉદય-૨ [ઈ.૧૬૮૭માં હયાત] : ખતરગચ્છના જૈન સાધુ. જિનરત્નસૂરિની પરંપરામાં જિનચંદ્રસૂરિના શિષ્ય. ૮ કડીના ‘પાર્શ્વ-સ્તવ’ (૨. ઈ.૧૬૮૭)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[હ.યા.]

ઉદય(સૂરિ)-૩ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જુઓ જિનસુંદરસૂરિશિષ્ય જિનોદયસૂરિ.

ઉદય(ઋષિ)-૪ [ઈ.૧૭૮૫માં હયાત] : જૈન સાધુ. ‘સૂક્ષ્મ-છત્રીસી’ (૨. ઈ.૧૭૮૫/સં. ૧૮૪૧, ફાગણ-)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [હ.યા.]

ઉદયકમલ[ઈ.૧૭૬૪ હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં રત્નકુશલના શિષ્ય. ૧૧ ઢાળની ‘વિજયશેઠ-વિજ્યાશેઠાણી-ચોપાઈ’ (૨. ઈ.૧૭૬૪/સં. ૧૮૨૦, જેઠ સુદ ૧૨, સોમવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [હ.યા.]

ઉદયકલશ [ઈ.૧૫૬૨માં હયાત] : રાસકવિ. લઘુ તપગચ્છના જૈન સાધુ. કમલકલશની પરંપરામાં વિદ્યાકલશના શિષ્ય. ભૂલથી ઉદયકુશલને નામે ઉલ્લેખાયેલા આ કવિની, મુખ્યત્વે દુહા અને ચોપાઈબદ્ધ ૨૭૮ કડીની ‘શીલવતી-ચોપાઈ’ (૨. ઈ.૧૫૬૨/સં. ૧૬૧૮,શ્રાવણ સુદ ૧૫; મુ.) ક્વચિત્ વસ્તુ છંદનો અને દેશીનો ઉપયોગ કરે છે તથા શુભાષિતરૂપ સંસ્કૃત-પ્રાકૃત ગાથાઓ પણ ગૂંથી લે છે. વિક્રમ તથા ગગનધૂલિ/ધનકેલિને થયેલા સ્ત્રીચરિત્રના અનુભવોની રસપ્રદ પૂર્વભૂમિકા સાથે, શીલવતી ચતુરાઈથી પોતાના શીલની રક્ષા કેવી રીતે કરે છે તેથી કથા આમાં પ્રાસાદિક રીતે કહેવાઈ છે. કૃતિ : શીલવતી કથા, સં. કનુભાઈ શેઠ, ધનવંત શાહ, ઈ.૧૯૮૨ (+સં.). સંદર્ભ : મુપુગૂહસૂચી. [હ.યા.]

ઉદયકુશલ [ ] : જૈન સાધુ. સુખકુશલના શિષ્ય. ૨૫ કડીના ‘માણિભદ્રનો છંદ/મણિભદ્રયક્ષ-રાસ’ (મુ.)ના કર્તા. કૃતિ : પ્રાછંદસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [હ.યા.]

ઉદયચંદ/ઉદયચંદ્ર/ઉદયચંદ્ર(મુનિ) : ઉદયચંદને નામે ‘બ્રહ્મવિનોદ’ (લે. ઈ.૧૮૨૮) તથા ૭ કડીનું ‘શંખેશ્વરપાર્શ્વ-સ્તવ’, ઉદયચંદ્રને નામે ‘મલ્લિનાથ-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.) અને ઉદયચંદ્રમુનિને નામે દોહરા અને દશીબદ્ધ ‘સનત્કુમાર-ચક્રવર્તીનું ચોઢાળિયું’ (મુ.) મળે છે. આ ઉદયચંદ/ઉદયચંદ્ર કયા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘સનત્કુમાર-ચક્રવર્તીનું ચોઢાળિયું’માં છેલ્લી પંક્તિઓમાં ‘ધર્મનાથ’ અને ‘ઋષિરાય’ એ શબ્દો આવે છે તે કદાચ કવિનાં ગુરુનામ હોય. કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭ - ‘શંખેશ્વરતીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહતટા;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩.મુપુગૂહસૂચી. [હ.યા.]

ઉદયચંદ્ર-૧/ઉદો(ઋષિ) [ઈ.૧૫૬૧માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રના શિષ્ય. ૮૪ કડીના ‘સનત્કુમાર-રાસ’ (૨. ઈ.૧૫૬૧/સં. ૧૬૧૭, શ્રાવણ સુદ ૧૩; મુ.) અને ૬૯ કડીના ‘હરિકેશીબલ-ચરિત્ર’ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’ ‘ઉદયકર્ણ’ એવું અપરનામ આપે છે, પરંતુ એને માટે કશો આધાર આપ્યો નથી. કૃતિ : ષટ્ દ્રવ્ય નય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. જૈન હઠીસિંગ સરસ્વતી સભા, સં. ૧૯૬૯. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [હ.યા.]

ઉદયચંદ-૨ [ઈ.૧૬૫૮માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરની પરંપરામાં વિજયચંદના શિષ્ય. ‘માણિકકુમારની ચોપાઈ’ (૨. ઈ.૧૬૫૮/સં. ૧૭૧૪, ફાગણ સુદ -, શનિવાર)ના કર્તા. આ કૃતિનો માળવા, લાટ, ઇડર, સોરઠ, સિંધ, બંગાળ, સિંહલ, ગૌડ, દક્ષિણ ગુજરાત વગેરે જુદા જુદા દેશની નારીઓનાં સ્વભાવ-લક્ષણ વર્ણવતો ૧ ખંડ મુદ્રિત થયો છે તેમાં દુહા, ચાલ તથા સંસ્કૃતમાં કાવ્યમ્ અને શ્લોકોવાળો પદ્યબંધ ધ્યાન ખેંચે છે. કૃતિ : જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારકગ્રંથ, સં. મોહનલાલ દ. દેસાઈ, ઈ.૧૯૩૬ - ‘દેશદેશની નારીઓનું પ્રાચીન વર્ણન’ (‘માણિકકુમાર ચોપાઈ’નો એક અંશ). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [હ.યા.]

ઉદયધર્મ ઉદયધર્મ[ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : આગમગચ્છના જૈન સાધુ. મુનિસિંહસૂરિની પરંપરામાં મુનિસાગર/મતિસાગરના શિષ્ય. ૪. ખંડ અને ૧૧૯૫ કડીના ‘મલયસુંદરી-રાસ’ (૨. ઈ.૧૪૮૭/સં. ૧૫૪૩, આસો સુદ ૩, ગુરુવાર) તથા ‘કથા-બત્રીસી’ (૨. ઈ.૧૪૯૪/સં. ૧૫૫૦, આસો વદ ૩૦)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [હ.યા.]

ઉદયધવલ [ ]: જૈન સાધુ. કમલપ્રભસૂરિની પરંપરામાં મુનિપ્રભસૂરિના શિષ્ય. ‘ષડાવશ્યક-બાલાવબોધ’ના કર્તા. સંદર્ભ: જૈગૂકવિઓ: ૩(૨)

ઉદયનંદિ (સૂરિ) [ ] : જૈન સાધુ. કમલપ્રભસૂરિની પરંપરામાં મુનિપ્રભસૂરિના શિષ્ય. ‘ષડાવશ્યક-બાલાવબોધ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [હ.યા.]

ઉદયનંદિ(સૂરિ) [ ] : જૈન સાધુ. અભયદેવસૂરિની મૂળ પ્રાકૃત કૃતિ ‘નિગોદ-ષટ્ત્રિંશિકા’ પર બાલાવબોધના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાઈ : ૧૭(૧). [હ.યા.]

ઉદયપ્રભ(સૂરિ) [ ] : જૈન સાધુ. ૩૧ કડીના ‘અજિતશાંતિ-સ્તવન-કપૂરવટુ’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [હ.યા.]

ઉદયભાનુ : આ નામે ૬ કડીનો ‘બાવનવીરક્ષેત્રપાલ-છંદ’ (લે. ઈ.૧૫૨૯) નોંધાયેલ મળે છે તે સમય જોતાં ઉદયભાનુ-૧ની કૃતિ હોવાની શક્યતા છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [હ.યા.]

ઉદયભાનુ(વાચક) - ૧ [ઈ.૧૫૦૯માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ.રાજતિલકસૂરિની પરંપરામાં વિનયતિલકસૂરિ-સૌભાગ્યતિલકસૂરિના શિષ્ય. ૫૬૦/૫૬૫ કડીના ‘વિક્રમચરિત્ર-રાસ ← / વિક્રમસેન-રાસ’ (૨.ઈ.૧૫૦૯/સં. ૧૫૬૫, જેઠ સુદ -, રવિવાર; મુ.)ના કર્તા વિક્રમના લીલાવતી સાથેના લગ્નની કથાને તથા તેના પુત્ર વિક્રમચરિત્રના બુદ્ધિચાતુર્યના પ્રસંગોને કંઈક ઝડપથી કહી જતા આ રાસનો વર્ણનરસ તથા એની ભાષાછટા નોંધપાત્ર ગણાય એવાં છે. કૃતિ : વિક્રમચરિત્રરાસ, સં. બળવંતરાય ક. ઠાકોર, ઈ.૧૯૫૭ સંદર્ભ: ૧. જૈગૂકવિઓ: ૧,૩(૧); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧.

ઉદયમંડન [ ] : જૈન સાધુ. ૭૭ કડીના ‘પુષ્પચૂલા-રાસ’ (લે. સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [હ.યા.]

ઉદયમંદિર [ઈ.૧૬૧૯માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં પુણ્યમંદિરના શિષ્ય. ‘ધ્વજભુજંગ-આખ્યાન’ (૨. ઈ.૧૬૧૯/સં. ૧૬૭૫, કારતક સુદ ૧૩, સોમવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [હ.યા.]

ઉદયત્ન ઉદયત્ન : આ નામથી કેટલાંક સ્તવનો, સઝાયો, ગહૂંલીઓ વગેરે (કેટલીક રચનાઓ મુ.) મળે છે તેમાંની કેટલીક કૃતિઓને તેમના રચનાસમયને અનુલક્ષીને ઉદયરત્ન-૩ની ગણી છે. પરંતુ તે વિશે ખાતરીપૂર્વક કંઈ કહી શકાય નહીં. કૃતિ : ૧. ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, સં. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧, ૨. જિસ્તકાસંદોહ : ૨; ૩. શત્રુંજયતીર્થાદિસ્તવન સંગ્રહ, સં. સાગરચંદ્રજી, ઈ.૧૯૨૮. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [હ.યા.]

ઉદયરત્ન-૧ [ઈ.૧૫૪૨માં હયાત] : જૈન સાધુ. ‘અજાપુત્ર-રાસ’ (૨. ઈ.૧૫૪૨)ના કર્તા. સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [હ.યા.]

ઉદયરત્ન-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસાગરસૂરિના શિષ્ય. ‘જંબૂ-ચોપાઈ’ (૨. ઈ.૧૬૬૪/સં. ૧૭૨૦, કારતક વદ ૨, ગુરુવાર; સ્વલિખિત પ્રત ઈ.૧૬૭૪)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [હ.યા.]

ઉદયરત્ન (વાચક)-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : રાસકવિ. તપગચ્છના જૈન સાધુ. વિજયરાજ(રાજવિજય)-હીરરત્નની પરંપરામાં શિવરત્નના શિષ્ય. ઈ.૧૬૯૩માં ‘જંબૂસ્વામી-રાસ’ અને ઈ.૧૭૪૭માં ‘આદીશ્વર-સ્તવન’ રચાયાની માહિતી મળતી હોવાથી કવિનો જીવનકાળ ઈ.૧૭મી સદીનો ઉત્તરાર્ધ અને ઈ.૧૮મી સદીનો પૂર્વાર્ધ ગણી શકાય. ઉદયરત્ન ખેડાના રહીશ અને રત્ના ભાવસારના ગુરુ હતા. તેમનું મૃત્યુ મિયાગામમાં થયું હોવાનું કહેવાય છે. ‘સ્થૂલિભદ્રનવરસ’ના શૃંગારનિરૂપણને કારણે સંઘ બહાર મુકાયેલા આ મુનિને ‘બ્રહ્મચર્યની નવ વાડ’ની રચના પછી સંઘમાં પ્રવેશ મળ્યો હતો એવી કથા છે. ઉદયરત્નના વિપુલ સાહિત્યસર્જનમાં ૨૦ જેટલી રાસાત્મક કૃતિઓ, કેટલાક ચરિત્રાત્મક સલોકાઓ, છંદ, બારમાસા, સ્તવનો અને સઝાયોનો સમાવેશ થાય છે. રાસાત્મક કૃતિઓમાંથી ૨૧ ઢાળની દુહા-દેશીબદ્ધ ‘લીલાવતી-સુમતિવિલાસ-રાસ’ (૨. ઈ.૧૭૧૧/સં. ૧૭૬૭, આસો વદ ૬, સોમવાર; મુ.) વેશ્યાવશ પતિને મહિયારીને વેશએ આકર્ષી પાછો લાવનાર લીલાવતી કથા કહે છે અને કવિની દૃષ્ટાંતકલાથી ધ્યાન ખેંચે છે. ૯૬ ઢાળની દુહા-દશીબદ્ધ ‘ભુવનભાનુ-કેવલીનો રાસ/રસલહરી-રાસ’ (૨. ઈ.૧૭૧૩/સં. ૧૭૬૯, પોષ વદ ૧૩, મંગળવાર; મુ.) જ્ઞાનમૂલક રૂપકકથા છે. ૯ ઢાળની ‘સ્થૂલિભદ્રકોશા-સંવાદ/સ્થૂલિભદ્રનવરસો/સ્થૂલિભદ્ર-રાસ’ (૨. ઈ.૧૭૦૩/સં. ૧૭૫૯, માગશર સુદ ૧૧/૧૫, સોમવાર; મુ.) અન્ય કથાપ્રસંગો ટૂંકમાં નિર્દેશી, દીક્ષા લીધા પછી સ્થૂલિભદ્ર કોશાને ત્યાં ચાતુર્માસ ગાળવા જાય છે તે પ્રસંગના સ્થૂલિભદ્ર-કોશાના સંવાદને બહેલાવે છે અને તે દ્વારા કોશાના શૃંગારભાવનું મનોહારી આલેખન કરે છે. અન્ય કથાત્મક કૃતિઓ આ પ્રમાણે છે : ૬૬ ઢાળની ‘જંબૂસ્વામી-રાસ’ (૨. ઈ.૧૬૯૩/સં. ૧૭૪૯, બીજા ભાદરવા સુદ ૧૩), ૮ પ્રકારની પૂજાનો મહિમા દર્શાવવા માટે ૮ કથાનકો વણી લેતી, સવિસ્તર કથનવર્ણનધર્મબોધવાળી ૭૮ ઢાળની દુહા-દેશીબદ્ધ ‘અષ્ટપ્રકારીપૂજા-રાસ’ (૨. ઈ.૧૬૯૯/સં. ૧૭૫૫, પોષ વદ ૧૦, રવિવાર; મુ.) ૯૩ ઢાળની ‘મુનિપતિ-રાસ’ (ર.ઈ.૧૭૦૫/સં. ૧૭૬૧, ફાગણ વદ ૧૧, શુક્રવાર), ૩૧ ઢાળની ‘પંચપરમેષ્ઠી/નવકાર/રાજસિંહ-રાસ’ (૨. ઈ.૧૭૦૬/સં. ૧૭૬૨, માગશર સુદ ૭, સોમવાર), ૭૭. ઢાળની ‘બારવ્રત-રાસ’ (ર.ઈ.૧૭૦૯/સં. ૧૭૬૫, કારતક સુદ ૭, રવિવાર), ‘મલયસુંદરી-મહાબલ/વિનોદવિલાસ-રાસ’ (૨. ઈ.૧૭૧૦/સં. ૧૭૬૬, માગશર સુદ ૮, સોમવાર), ૮૧ ઢાળની ‘યશોધર-રાસ’ (૨. ઈ.૧૭૧૧/સં. ૧૭૬૭, પોષ સુદ ૫, ગુરુવાર), ૨૭ ઢાળની ‘ધર્મબુદ્ધિમંત્રી અને પાપબુદ્ધિરાજાનો રાસ’ (૨. ઈ.૧૭૧૨/સં. ૧૭૬૮, માગશર સુદ ૧૧, રવિવાર; મુ.), ‘શંત્રુજયતીર્થમાળાઉદ્ધાર-રાસ’ (ર.ઈ.૧૭૧૩), ૩૧ ઢાળની ‘ભાવરત્નસૂરિપ્રમુખ-પાંચપાટવર્ણન-ગચ્છપરંપરા-રાસ’ (ર.ઈ.૧૭૧૪), ૧૭ ઢાળની ‘ઢંઢણમુનિ-સઝાય’ (ર.ઈ.૧૭૧૬/સં. ૧૭૭૨, ભાદવરા સુદ ૧૩, બુધવાર), ૧૩ ઢાળની ‘જ્ઞાનપંચમી/વરદત્તગુણમંજરી/સૌભાગ્યપંચમી-રાસ’ (૨. ઈ.૧૭૨૬/સં. ૧૭૮૨, માગશર સુદ ૧૫, બુધવાર), ૧૩ ઢાળની દામન્નક-રાસ’ (ર.ઈ.૧૭૨૬/સં. ૧૭૮૨, આસો વદ ૧૧, બુધવાર), ‘સૂર્યયશા/ભરતપુત્રનો રાસ’ (૨.ઈ.૧૭૨૬), ૨૩ ઢાળની ‘સુદર્શનશ્રેષ્ઠી-રાસ’ (૨. ઈ.૧૭૨૯/સં. ૧૭૮૫, ભાદરવા વદ ૫, ગુરુવાર), ‘રસરત્નાકર/હરિવંશ-રાસ’ (૨.ઈ.૧૭૪૩/સં. ૧૭૯૯, ચૈત્ર સુદ ૯, ગુરુવાર), ‘મહીપતિરાજા અને મતિસાગરપ્રધાન-રાસ’ (મુ.). ૨૩ કડીનો ‘શંખેશ્વરપાર્શ્વનાથનો સલોકો’ (૨.ઈ.૧૭૦૩/સં. ૧૭૫૯, વૈશાખ વદ ૬; મુ.) શંખેશ્વર તીર્થની ઉત્પત્તિનો કારણભૂત કૃષ્ણ-જરાસંઘના યુદ્ધનો કથાપ્રસંગ વર્ણવે છે અને ૬૬ કડીનો ‘શાલિભદ્રનો સલોકો’ (૨.ઈ.૧૭૧૪/સં. ૧૭૭૦, માગશર સુદ ૧૩; મુ.), ૧૧૭ કડીનો ‘વિમળ-મહેતાનો સલોકો’ (૨.ઈ.૧૭૩૯/સં. ૧૭૯૫, જેઠ સુદ ૮, રવિવાર; મુ.), ૫૭ કડીનો ‘નેમિનાથસ્વામીનો સલોકો’(મુ.) તેમ જ ૬૮ કડીનો ‘ભરતબાહુબલિનો સલોકો’(મુ.) ચરિત્રનાયકના મુખ્ય જીવનપ્રસંગોને પ્રાસાદિક રીતે અને થોડી વાક્છટાથી વર્ણવતી રચનાઓ છે. વૈરાગ્યબોધમાં સર્યા વિના પ્રકૃતિનાં લાક્ષણિક ચિત્રોને ઉઠાવ આપતી અને વિરહભાવનું માર્મિક નિરૂપણ કરતી ૧૩ ઢાળની કૃતિ ‘નેમિનાથરાજિમતી-તેર-માસા’ ← (ર.ઈ.૧૭૦૩/સં. ૧૭૫૯, શ્રાવણ સુદ ૧૫, સોમવાર; મુ.) ગુજરાતી બારમાસા-સાહિત્યમાં નોંધપાત્ર બની રહે તેવી કૃતિ છે. ૧૦ ઢાળની ‘બ્રહ્મચર્યની/શિયળની નવવાડ-સઝાય’ (૨.ઈ.૧૭૦૭/સં. ૧૭૬૩, શ્રાવણ વદ ૨, બુધવાર; મુ.), ૨૭ ઢાળ અને ૬૪ કડીની ‘ચોવીસદંડકગર્ભિત-ચોવીસ જિન-સ્તવન’ (૨.ઈ.૧૭૨૫/સં. ૧૭૮૧, ચૈત્ર વદ ૬, મંગળવાર; મુ.) તથા ‘ચોવીસી’(મુ.) ઉદયરત્નની લાંબી પણ પરંપરાગત પ્રકારની કૃતિઓ છે. આ સિવાય ઉદયરત્નનાં ઘણાં મુદ્રિત-અમુદ્રિત સ્તવનો અને સઝાયો મળે છે જેમાંથી કેટલીક સઝાયો(મુ.) એમના વિષય કે નિરૂપણરીતિ કે ભાષાછટાથી આકર્ષક બને છે. જેમ કે, રૂપકાત્મક નિરૂપણરીતિવાળી ‘અંધેરી નગરીની સઝાય’ તથા ‘જીવરૂપી વણઝારા વિશેની સઝાય’ (૨.ઈ.૧૭૦૧), સંવાદશૈલીનો ઉપયોગ કરતી ‘ભીલડીની સઝાય’, ‘જોબન અસ્થિરની સઝાય’, ‘ભાંગવારક-સઝાય’, ‘શિખામણ કોને આપવી તે વિશેની સઝાય’ વગેરે. વિપુલ સાહિત્યસર્જન, પ્રાસાદિક કથાકથન, વર્ણનરસ, દૃષ્ટાંતકૌશલ, છંદલયસિદ્ધિ અને બાનીની લોકભોગ્ય છટાઓથી ઉદયરત્ન મધ્યકાળના એક નોંધપાત્ર કવિ બની રહે છે. કૃતિ : ૧. ધર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ રાજાનો રાસ, પ્ર. નિર્ણયસાગર મુદ્રણાલય, ઈ.૧૮૮૭; ૨. ભુવનભાનુ કેવલીનો રાસ, પ્ર. શેઠ ઉકાભાઈ શિવજી, ૧૮૭૧; ૩. લીલાવતીનો રાસ, પ્ર.શા. લલ્લુભાઈ પરભુદાસ, સં. ૧૯૨૯; ૪. લીલાવતી રાણી અને સુમતિવિલાસનો રાસ, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૮૯૮; ૫. સ્થૂલિભદ્ર નવરસ, સં. જશભાઈ કા. પટેલ, સં. ૨૦૦૭;  ૬. અસસંગ્રહ; ૭. અસ્તમંજુષા; ૮. ચૈસ્તસંગ્રહ : ૨, ૩; ૯. જિભપ્રકાશ; ૧૦. જિસ્તકાસંગ્રહ : ૨; ૧૧. જૈકાપ્રકાશ : ૧; ૧૨. જૈગૂસારત્નો : ૧ (+સં.); ૧૩. જૈપ્રપુસ્તક : ૧; ૧૪. જૈરસંગ્રહ; ૧૫. દેસ્તસંગ્રહ; ૧૬. પ્રાછંદસંગ્રહ; ૧૭. પ્રામબાસંગ્રહ : ૧; ૧૮. પ્રાસપસંગ્રહ; ૧૯. પ્રાસ્તસંગ્રહ; ૨૦. બૃકાદોહન : ૨; ૨૧. માણિભદ્રાદિકોના છંદોનું પુસ્તક : ૧, પ્ર. નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦; ૨૨. શત્રુંજય તીર્થમાલા, રાસ અને ઉદ્ધારાદિકનો સંગ્રહ, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૩; ૨૩. સસન્મિત્ર; ૨૪. સઝાયમાલા : ૧-૨(જા); ૨૫. સજઝાયમાળા(પં); ૨૬. સલોકા સંગ્રહ, પ્ર. શા. કેશવલાલ સવાઈભાઈ, ઈ.૧૯૧૨;  ૨૭. જૈન યુગ, વૈશાખ-જેઠ ૧૯૮૬-હંસરત્ન વિશેની સઝાય. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨,૩(૨); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. ડિક્ટૅલૉગભાઈ : ૧૯(૨); ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[હ.યા.]

ઉદયરત્ન-૪ ઉદયરત્ન-૪[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. વિદ્યાહેમના શિષ્ય. ‘સીમંધર-સ્તવન’ (૨.ઈ.૧૮૦૧/સં. ૧૮૫૭; અસાડ સુદ ૧૦), ‘જિનપાલિતજિનરક્ષિત-રાસ’ (૨.ઈ.૧૮૧૧), ‘જિનકુશલસૂરિ-નિશાની’ (૨.ઈ.૧૮૧૮) અને ‘ખંધક-ચોઢાળિયું’ (૨.ઈ.૧૮૨૮)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [હ.યા.]

ઉદયવર્ધન [ઈ.૧૬૨૮ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિના શિષ્ય. ૪૧ કડીના ‘ચંદ્રપ્રભ-વિવાહલો’ (લે.ઈ.૧૬૨૮)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ,ફેબ્રુ. ૧૯૪૯ - ‘કતિપય ધવલ ઔર વિવાહલોંકી નયી ઉપલબ્ધિ’, અગરચંદ નાહટા. [હ.યા.]

ઉદયવલ્લભ(સૂરિ) [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : વડતપગચ્છના જૈન સાધુ. તેમના પ્રતિષ્ઠાલેખ ઈ.૧૪૫૮થી ઈ.૧૪૬૫ સુધીના મળે છે એટલે ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધમાં હયાત હોવાનું ગણી શકાય. એમને નામે ૪૮૬૦ ગ્રંથાગ્રનો ‘ક્ષેત્રમાસ-બાલાવબોધ’ (લે.ઈ.૧૭૧૩) નોંધાયેલ છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [હ.યા.]

ઉદયવિજય : આ નામે ‘માણિભદ્ર-છંદ’ (લે.સં. ૧૯મી સદી અનુ.) નોંધાયેલ મળે છે તે કયા ઉદયવિજય છે તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. સંદર્ભ : રાહસૂચી : ૧. [હ.યા.]

ઉદયવિજય(વાચક)-૧ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. ઉત્તમવિજય-રત્નવિજયના શિષ્ય. રત્નવિજયનો સમય ઈ.૧૭મી સદીનો મધ્યભાગ છે તેથી આ કવિને પણ એ અરસાના ગણી શકાય. એમણે રચેલો ૧૫ કડીનો ‘શાંતિનાથનો છંદ’ (મુ.) મળે છે. કૃતિ : પ્રાછંદસંગ્રહ. [હ.યા.]

ઉદયવિજય(વાચક)-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવની પરંપરામાં વિજયસિંહસૂરિના શિષ્ય. તેમની ૪ કથાત્મક કૃતિઓ મળે છે - ૨૭૨ કડીની ‘સમુદ્રકલશ-સંવાદ’ (૨.ઈ.૧૬૫૮/સં. ૧૭૧૪, આસો વદ ૩૦), ૬ ખંડ, ૭૭ ઢાળની દુહા-ચોપાઈબદ્ધ ‘શ્રીપાલ-રાસ’ (૨.ઈ.૧૬૭૨/સં. ૧૭૨૮, આસો વદ ૩૦), ૨૩૩ કડીની ‘રોહિણીતપ-રાસ’ તથા ‘મંગલકલશ-રાસ’. તેમની અન્ય કૃતિઓમાં, જેની સઝાયો છૂટી નોંધાયેલી છપાયેલી પણ મળે છે તે ‘ઉત્તરાધ્યયન-સૂત્રની છત્રીસ સઝાયો’ (મુ.)માં કેટલેક સ્થાને તળપદાં દૃષ્ટાંતોનો વિનિયોગ ધ્યાન ખેંચે છે. આંતરયમકવાળા દુહા તથા છંદની ૫૩ કડીમાં રચાયેલી ‘પાર્શ્વનાથ-રાજગીતા/શંખેશ્વરમંડનપાર્શ્વનાથ-સ્તવન’ (મુ.) મોહ મહિમાનું વર્ણન કરી તેને દૂર કરવા જ્ઞાનનો આશ્રય લેવાનું સૂચવે છે. ૭ કડીની ‘ગોડીપાર્શ્વનાથપ્રભાતી-છંદ’ (મુ.) અને ૭ કડીની ‘પ્રમાદવર્જનની સઝાય’ (મુ.) તથા ‘ચોવીસજિન-સ્તવન’, ૨૧ ઢાળની ‘વીસવિહરમાનજિન-ગીત’, ૧૩૫ કડીની ‘શંખેશ્વરપાર્શ્વનાથજિન-સ્તવન’, ૨૬ કડીની ‘વિમલાચલ-સ્તવન’, ૭ કડીની ‘વિજયરત્નસૂરિ-સઝાય’, ૭ કડીની ‘નેમિનાથ-પદ’, ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ-સઝાય’ એ આ કવિની અન્ય કૃતિઓ છે. ૯ અને ૧૨ કડીની ‘વિજયસિંહસૂરિ-સઝાય’ પણ એમની જ હોવાની શક્યતા છે. કૃતિ : ૧. જૈસસંગ્રહ (ન); ૨. પ્રાફાગુસંગ્રહ; ૩. પ્રાસ્મરણ; ૪. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨,૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [હ.યા.]

ઉદયવિજય-૩ [ઈ.૧૭૧૩માં હયાત] : જૈન સાધુ. ‘સુવિધિજિન-સ્તવન’ (૨.ઈ.૧૭૧૩)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [હ.યા.]

ઉદયવિજય-૪ [ઈ.૧૭૪૨માં હયાત] : જૈન સાધુ. ૭ કડીના ‘નિક્ષેપા-સ્તોત્ર’ (૨.ઈ.૧૭૪૨)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [હ.યા.]

ઉદયવિમલશિષ્ય [ઈ.૧૬૭૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. દુહા અને દેશીમાં રચાયેલા ૧૯ કડીના ‘ઋષભદેવજિન-સ્તવન’ - (૨.ઈ.૧૬૭૬/સં. ૧૭૩૨, મહાવદ ૭, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ : ૨. [કી.જો.]

ઉદયસમુદ્ર : આ નામે ‘પાર્શ્વનાથસ્તુતિ-ચતુષ્ક’(મુ.) મળે છે તે કયા ઉદયસમુદ્ર છે તે નક્કી થઈ શકે તેમ નથી. કૃતિ : જિસ્તકાસંદોહ:ર. [હ.યા.]

ઉદયસમુદ્ર-૧ ઉદયસમુદ્ર-૧[ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : ચંદ્ર/પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. ચંદ્રપ્રભસૂરિની પરંપરામાં સુમતિરત્નના શિષ્ય. સુમતિરત્ન ઈ.૧૫૧૨થી ઈ.૧૫૩૧માં હયાત હતા તેથી આ કવિનો સમય ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ ગણી શકાય. એમની ‘પૂર્ણિમાગચ્છની ગુર્વાવલી’(મુ.)માં ૧૮ કડીના પ્રથમ ખંડમાં ગુર્વાવલી છે અને ૨૩ કડીના બીજા ખંડમાં સુમતિરત્નની પ્રશસ્તિ છે. કૃતિ : પસમુચ્ચય:૨. [હ.યા.]

ઉદયસમુદ્ર - ૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ) : ખરતરગચ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિની પરંપરામાં કમલહર્ષ(ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ)ના શિષ્ય. ૨૯ ઢાળના ‘કુલધ્વજકુમાર-રાસ/કુલધ્વજકેવલી-ચરિત્ર/રસલહરી’ (લે. ઈ.૧૬૭૨)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૨,૩(૨). [હ.યા.]

ઉદયસાગર/ઉદયસાગર(મુનિ)/ઉદયસાગર(સૂરિ) : ઉદયસાગરને નામે મૂળ પ્રાકૃત કૃતિ ‘લોકનાલિકાદ્વાત્રિંશિકા-પ્રકરણ’ ઉપર ૩૨૫ ગ્રંથાગ્રનો બાલાવબોધ (લે.ઈ.૧૭મી સદી અનુ.), ૧૦ કડીની ‘ગુરુ-સઝાય’, ૫ કડીની ‘શંખેશ્વર-પાર્શ્વનાથના ચંદ્રાવળા’(મુ.) અને ઉદયસાગરસૂરિને નામે ૩૩ કડીની ‘તીર્થમાલા’ (લે. સં. ૧૭મી સદી અનુ.) તથા ઉદયસાગર મુનિને નામે ૩ ઢાળ અને ૨૭ કડીનું ‘આત્મનિંદાગર્ભિત-સીમંધરસ્વામી-સ્તવન’ (લે. ઈ.૧૬૧૪, સ્વલિખિત; મુ.) મળે છે. તેમાંથી છેલ્લી કૃતિના કર્તા ઉદયસાગર-૧ હોવાની શક્યતા ગણી શકાય. બાકીની કૃતિઓના કર્તા વિશે કંઈ કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. કક્કાબત્રીશીના ચંદ્રાવલા તથા ચોવીશ તીર્થંકરાદિના ચંદ્રાવલાનો સંગ્રહ, પ્ર. જગદીશ્વર છાપખાનું, ઈ.૧૮૮૫; ૨. જિસ્તકાસંદોહ:૧. સંદર્ભ : ૧. મુપૂગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]

ઉદયસાગર - ૧ [ઈ.૧૬૨૦(?)માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. સાધુધર્મગણિની પરંપરામાં સહજરત્નના શિષ્ય. રત્નશેખરની મૂળ પ્રાકૃતક કૃતિ, ‘લઘુક્ષેત્રસમાસ-પ્રકરણ’ પર બાલાવબોધ(ર.ઈ.૧૬૨૦?/સં. ૧૬૭૬ ?, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : ૧ જૈગૂકવિઓ :૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]

ઉદયસાગર-૨ [જ.ઈ.૧૭૦૭-અવ. ઈ.૧૭૭૦] : જુઓ વિદ્યાસાગરશિષ્ય જ્ઞાનસાગર.

ઉદયસાગર(સૂરિ)-૩ [ ] : વિજયગચ્છના જૈન સાધુ. વિજયમુનિની પરંપરામાં વિમલસાગરસૂરિના શિષ્ય, ‘મગસીપાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ :૨; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]

ઉદયસિંહ [ઈ.૧૭૧૨માં હયાત] : નાગોરી તપગચ્છના જૈન સાધુ. સદારંગના શિષ્ય. ‘મહાવલીર-ચોઢાળિયું’ (ર. ઈ.૧૭૧૨/સં. ૧૭૬૮, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩૨(૨). [હ.યા.]

ઉદયસોમ(સૂરિ) [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : લઘુતપગચ્છના જૈન સાધુ. આનંદસોમસૂરિના શિષ્ય ‘પર્યુષણાવ્યાખ્યાન-સસ્તબક’ (ર. ઈ.૧૮૩૭) તથા ૪ ખંડના ‘શ્રીપાલ-રાસ’ (ર. ઈ.૧૮૪૨/સં. ૧૮૯૮, આસો-)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [હ.યા.]

ઉદયસૌભાગ્યશિષ્ય [ ] : જૈન. ૨૯ કડીના ‘(જીરાપલ્લી) પાર્શ્વનાથ-સ્તોત્ર’(લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

ઉદયહર્ષ-૧ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. શાંતિહર્ષના શિષ્ય. વિજયદેવસૂરિના રાજ્યકાળ(ઈ.૧૬૧૫-ઈ.૧૬૫૭)માં રચાયેલી ૪ કડીની ‘ઋષભજિન-સ્તુતિ’ અને ૧૩ કડીની ‘વિજયસિંહસૂરિ સઝાય’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]

ઉદયહર્ષ - ૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિવેકહર્ષના શિષ્ય. ગુરુ વિવેકહર્ષની સાથે જહાંગીર બાદશાહને મળ્યા હતા તેથી જીવનકાળ ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ ગણી શકાય. એમને નામે સિદ્ધસેનસૂરિની મૂળ સંસ્કૃત રચના ‘કલ્યાણમંદિર-સ્તોત્ર’ ઉપર ૬૨૭ ગ્રંથાગ્રનો બાલાવબોધ (લે. ઈ.૧૬૬૮) મળે છે. સંદર્ભ : ૧ ૧. જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી. [હ.યા.]

ઉદયહર્ષશિષ્ય [ઈ.૧૪૮૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિની પરંપરામાં સુમતિસાધુસૂરિના શિષ્ય ઉદયહર્ષના શિષ્ય ૩૯૩ કડીના ‘શ્રીપાલ-રાસ’ (ર. ઈ.૧૪૮૮)ના કર્તા. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [કી.જો.]

ઉદયાણંદ/ઉદયાનંદ(સૂરિ) [ ] : જૈન સાધુ. ૧૮ કડીના ‘શત્રુંજયસંખ્યાસંઘપતિઉદ્ધાર/શત્રુંજયસંઘપતિસંખ્યા-ધવલ’ - (લે. સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. કૃતિ : અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ ઈ.૧૯૮૨ (+સં.). સંદર્ભ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૨. મુપુગૂહસૂચી. {{Right|[[હ.યા., જ.ગા.]}}

ઉદે : જુઓ ચંદ્ર(ઈ.૧૬૭૬માં હયાત).

ઉદેરામ[ ] : તારણીમાતાનો તથા રાધિકાજીનો એમ ૨ ગરબા, ‘બાળલીલા’ તથા કેટલાંક પદોના કર્તા. જુઓ ઉદો. સંદર્ભ : ગૂહાયાદી. [ર.ર.દ.]

ઉદો : આ નામે કેટલાંક પદો નોંધાયેલાં મળે છે, તેના કર્તા કદાચ ઉદેરામ પણ હોય. સંદર્ભ : ગૂહાયાદી. [ર.ર.દ.]

ઉદો(ઋષિ) - ૧ : જુઓ પાર્શ્વચંદ્રશિષ્ય ઉદયચન્દ્ર.

ઉદ્ધવ/ઓધવ : ઉદ્ધવને નામે પદો - જે હિંદી હોવાની પણ શક્યતા છે - તથા ઓધવને નામે કૃષ્ણગોપીલીલાવિષયક ‘ગોપીવિરહ’ નોંધાયેલ મળે છે. આ ઉદ્ધવ કે ઓધવ કોણ છે તે નિશ્ચિત થઈ શકતું નથી. ઓધવ નામના સં. ૧૮મી સદીના પુષ્ટિમાર્ગીય કવિ નોંધાયા છે. તે ઉપર્યુક્ત ઉદ્ધવ/ઓધવથી જુદા છે કે કેમ તે પણ નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પુગુસાહિત્યકારો; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ફૉહનામાવલિ. [ર.સો.]

‘ઉદ્ધવ-ગીતા’ [ર.ઈ.૧૮૨૪/સં. ૧૮૮૦, શ્રાવણ વદ ૮, બુધવાર) : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુકવિ મુક્તાનંદની આ કૃતિ(મુ.) ૧૦૮ કડવાં અને ૨૭ પદોમાં ભાગવતના દશમસ્કંધમાંના ઉદ્ધવગોપીપ્રસંગનું વિસ્તારથી આલેખન કરે છે તથા આ પ્રસંગને વર્ણવતાં અન્ય કાવ્યોથી, એમાં ગૂંથાયેલાં ૨૩ કડવાં અને ૬ પદોમાં વિસ્તરતા સીતાત્યાગના વૃત્તાંતને કારણે, જુદી તરી આવે છે. કૃષ્ણના પૂર્વાવતારનું આ કથાનક એમની નિષ્ઠુરતા દર્શાવવા માટે ગોપીના ઉપાલંભ રૂપે મુકાયેલું છે અને ઈશ્વરની વંચકવૃત્તિને પણ પ્રકટ કરે છે - ૧ કડવામાં વિવિધ અવતારોમાં ઈશ્વરે દાખવેલી છલવૃત્તિ પણ આલેખાયેલી છે. મુખ્યત્વે ગોપીઓના ઉદ્ગારો રૂપે ચાલતા આ કાવ્યમાં ગોપીઓની કૃષ્ણવિયોગની વ્યાકુળતા, એમણે કૃષ્ણને આપેલા ઉપાલંભો અને એમના ચિત્તમાં ઊભરાઈ ઊઠતાં મિલનનાં સ્મરણો વગેરે વિવિધ ઊર્મિતંતુઓ રસપ્રદ રીતે આલેખાયાં છે. ૧-૨ પંક્તિઓમાં જ કોઈ દૃશ્યને કે કોઈ ભાવસ્થિતિને અસરકારક રીતે નિરૂપી આપવામાં કવિની સર્જકતા દેખાય છે. [ર.સો.]

ઉદ્ધવદાસ-૧/ઓધવદાસ [ઈ.૧૬મી સદી] : આખ્યાનકાર. ભાલણના પુત્ર. પાટણના મોઢ બ્રાહ્મણ. ભાલણનો સમય ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ કે ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ મનાય છે. એને આધારે આ કવિને ઈ.૧૬મી સદીમાં થયેલા ગણી શકાય. વાલ્મીકિ-રામાયણના કથાનકને અનુસરતા અને પદબંધનું વૈવિધ્ય દર્શાવતા એમના ‘રામાયણ’(મુ.)ના કાંડવાર અને કડવાબદ્ધ અનુવાદમાં ‘સુંદરકાંડ’ સુધીના બધા કાંડ ‘ભાલણસુત ઉદ્ધવદાસ’ નામ દર્શાવે છે. એમાં ક્યાંય રચનાવર્ષ દર્શાવેલું નથી. પણ એ પછીના ‘યુદ્ધકાંડ’ને અંતે ઈ.૧૬૩૧ રચનાવર્ષ અને ‘મધુસૂદન’ કવિનામ મળે છે. આ મધુસૂદનનું વતન કર્ણપુર અને મોસાળ પાટણ હતું તથા ભીમજી વ્યાસ પાસેથી કથા સાંભળી એમણે પદબંધ રામાયણ રચ્યું - એવી વીગતો પણ એમાં મળે છે. પરંતુ કડવાંની પંક્તિસંખ્યા, કાવ્યની શૈલી ને એનો રચનાબંધ તથા કવિની સંસ્કૃતની જાણકારી - એવાં કેટલાંક આંતરબાહ્ય સામ્યોને લીધે આ ‘યુદ્ધકાંડ’ પણ ઉદ્ધવનો જ હોવાનો અને મધુસૂદને પોતાનું નામ અને રચનાવર્ષ એમાં ઉમેરી દીધાં હોવાનો મત વધુ પ્રવર્તે છે છે. શૈલીની રીતે જુદા પડી જતા છેલ્લા ‘ઉત્તરકાંડ’માં રામજન કુંવરનું નામ છે, એથી તેમાં ઉદ્ધવદાસનું કર્તૃત્વ માની શકાય તેમ નથી. આ ‘રામાયણ’ની હસ્તપ્રતો નહીં મળતી હોવાથી ‘કવિચરિત’ તો એના કર્તૃત્વને જ શંકાસ્પદ લેખે છે. આ ઉપરાંત, કેટલીક મૌલિક શ્લેષરચનાઓ ધરાવતા, લગભગ ૪૨૫ કડીના ‘બભ્રૂવાહન-આખ્યાન’ (અંશત: મુ.)ની રચના પણ કવિએ કરી છે. આ કૃતિની આરંભની પંક્તિઓને આધારે એવો તર્ક થયો છે કે ઉદ્ધવદાસે આખા મહાભારતની કે અશ્વમેધપર્વની રચના કરી હશે એનો આ આખ્યાન એકમાત્ર બચવા પામેલો ભાગ હશે. કૃતિ : ૧. (ભાલણસુત ઉદ્ધવકૃત) રામાયણ, સં. હરગોવિંદદાસ કાંટાવાળા, નાથાશંકર શાસ્ત્રી, ઈ.૧૮૯૩ (+સં.);  ૨. પ્રાચીન કાવ્ય મંજરી, સં. જેઠાલાલ ત્રિવેદી, ઈ.૧૯૬૫. સંદર્ભ : ૧ ભાલણ, ઉદ્ધવ અને ભીમ, રામલાલ ચુ. મોદી, ઈ.૧૯૪૧; ૨. કવિચરિત : ૧ - ૨;  ૩. સ્વાધ્યાય, જાન્યુ. ૧૯૭૭ - ‘ઉદ્ધવ રામાયણમાં યુદ્ધકાંડનું કર્તૃત્વ’, દેવદત્ત જોશી;  ૪. ગૂહાયાદી. [ર.સો.]

ઉદ્ધવદાસ-૨ [ઈ.૧૫૯૨માં હયાત] : ‘વિષ્ણુસહસ્રનામ’ના પદ્યાનુવાદ (ર.ઈ.૧૫૯૨)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧ - ૨;  ૨. ગૂહાયાદી. [ર.સો.]

‘ઉદ્યમકર્મ-સંવાદ’ : શામળની પ્રારંભકાળની આ દુહાબદ્ધ રચના(મુ.)માં ઉજ્જયિનીના રાજા ભદ્રસેનની રાજસભામાં ત્યાંના પંડિત શિવશર્મા અને કર્ણાટકથી ‘ઉદ્યમ વડું કે કર્મ’ એનો વાદ કરવા નીકળેલી સુંદરી કામકળા વચ્ચેનો સંવાદ નિરૂપાયો છે. શિવશર્મા કર્મને મોટું કહે છે અને કામકળા ઉદ્યમની સરસાઈ પુરસ્કારે છે. ૨-૨ દૃષ્ટાંતવાર્તાઓ અને તે ઉપરાંત સીધી દલીલોથી તેઓ પોતાના મંતવ્યનું સમર્થન કરે છે. અંતમાં રાજા નિર્ણય આપે છે : “કર્મ થકી ઉદ્યમ ફળે, ઉદ્યમથી કર્મ હોય; ઓછું અદકું એહને કહી ન શકે કોય.” એ નિર્ણયથી સંતુષ્ટ બેઉ વાદીઓ “થયાં કંથ ને કામિની પૂરણ પ્રીત પ્રતાપ” એ બેઉ ઇન્દ્રશાપે સ્વર્ગભ્રષ્ટ થઈ પૃથ્વી પર અવતરેલાં હોવાની વાત પ્રસ્તાવનામાં જોડી વાર્તાગર્ભ બનાવેલા સંવાદનેય વાર્તામાં મઢવામાં શામળે પોતાની ચતુરાઈ દેખાડી છે. મુખ્ય સંવાદ પહેલાં એમાં ગરમાવો આણવા યોજાઈ હોય તેવી બેઉ પાત્રોની પ્રશ્નોત્તરી વાર્તાઓમાં પેટ ભરીને સંસારજ્ઞાન પીરસવાના શામળના શોખના પૂર્વાભ્યાસ જેવી લાગે.[અ.રા.]

ઉદ્યોતવિમલ/‘મણિઉદ્યોત’ [ઈ.૧૮૩૧માં હયાત] : ‘મણિઉદ્યોત’ની નામછાપથી રચના કરતા પાર્શ્વચન્દ્રગચ્છના જૈન સાધુ. મણિવિમલના શિષ્ય. મહાવીરસ્વામી, જંબૂસ્વામી વગેરે વિશેની ૫થી ૮ કડીની ગહૂંલીઓ, ૧૦ કડીનું ‘પાર્શ્વનાથનું સ્તવન’, ૮ કડીનું ‘શત્રુંજય/સિદ્ધાચળજીનું સ્તવન’ તથા ૧૦ કડીનું ‘સુમતિનાથ-સ્તવન’ એ મુદ્રિત કૃતિઓ તથા ૨ ઢાળ અને ૧૫ કડીના ‘સિદ્ધાચલ-સ્તવન’ (ર. ઈ.૧૮૩૧)ના કર્તા. કૃતિ : ૧ ગહૂંલીસંગ્રહ, સં. શિવલાલ સંઘવી, ઈ.૧૯૧૬; ૨. ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧; ૩. જિસ્તસંગ્રહ; ૪. પ્રાસ્તરત્નસંગ્રહ:૨. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

ઉદ્યોતસાગર/‘જ્ઞાનઉદ્યોત’ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ‘જ્ઞાનઉદ્યોત’ની છાપથી રચના કરતા તપગચ્છના જૈન સાધુ. પુણ્યસાગરની પરંપરામાં જ્ઞાનસાગરના શિષ્ય. દેવચંદ્રને નામે છપાયેલી ‘અષ્ટપ્રકારી-પૂજા’ (ર. ઈ.૧૭૮૭,*મુ.), ‘એકવીસપ્રકારી-પૂજા’ (ર.ઈ.૧૭૮૭;*મુ.), ‘આરાધના બત્રીસ દ્વારનો રાસ’ ૧૭ કડીની ‘વીરચરિત્ર-વેલી’ અને ૫ કડીના ‘સિદ્ધાચલ-સ્તવન’(મુ.)ના કર્તા. તેમની પાસેથી હિન્દી ગદ્યમાં ‘બારવ્રતની ટીપ/સમ્યક્ત્વમૂલબારવ્રતવિવરણ’ (ર.ઈ.૧૭૮૦/સં. ૧૮૩૬, માગશર સુદ ૫, ગુરુવાર) તેમ જ કેટલાંક હિન્દી સ્તવનો(મુ.) મળે છે. કૃતિ : ૧. જૈકાપ્રકાશ:૧; ૨. જૈકાસંગ્રહ; ૩. જૈપ્રપુસ્તક : ૧; ૪.* શ્રીમદ્ દેવચંદ્ર : ૨, પ્ર. અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ, -; ૫. વિવિધપૂજાસંગ્રહ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૯૮. સંદર્ભ : જૈગૂકવિઓ:૨,૩(૧). [શ્ર.ત્રિ.]

ઉમર(બાવા) [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : મુસ્લિમ કવિ. પીર કાયમુદ્દીનના શિષ્ય અભરામબાવા(ઈ.૧૭૦૦ આસપાસ હયાત)ના શિષ્ય. લુહારી, સુથાર જેવા વિવિધ વ્યવસાયોનાં દૃષ્ટાંતો તથા ક્વચિત્ અવળવાણીની મદદથી અદ્વૈતવાદ, યોગાનુભવ અને પ્રેમલક્ષણાભક્તિના મર્મનું સચોટ નિરૂપણ કરતાં તેમનાં કેટલાંક ભજનો તથા ગરબા મુદ્રિત મળે છે. એમનાં કાવ્યોની ભાષામાં હિંદીની છાંટ છે. કૃતિ : ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯ (+સં.). [ર.ર.દ.]

ઉમિયો [ઈ.૧૭૨૨ના અરસામાં] : ઈ.૧૭૨૨માં નર્મદામાં આવેલા ભારે પૂરે અનેક ગામોમાં જે વિનાશ વેર્યો તેનું ૩ ઢાળ અને ૭૨ કડીમાં વીગતે વર્ણન કરતો ‘રેવાજીની રેલનો ગરબો’(મુ.) તથા અંબાજીના ૩ ગરબા(મુ.)ના કર્તા. કૃતિ : ૧ ગુજરાતી લોકસાહિત્યમાળા : ૫, સં. મંજુલાલ ૨. મજમુદાર વગેરે, ઈ.૧૯૬૬; ૨. શ્રીમદ્ ભગવતી કાવ્ય, સં. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. સંદર્ભ : આલિસ્ટઑઈ:૨. [ર.ર.દ.]

‘ઉષાહરણ’ : હરિવંશ અને ભાગવતની ઉષા(ઓખા)કથામાં ઘટિત ઘટાડાવધારા કરી વીરસિંહે રચેલી આ કૃતિ(મુ.) એના પદબંધને કારણે આ વિષયનાં ગુજરાતી ભાષાનાં ઉપલબ્ધ કાવ્યોમાં સર્વપ્રથમ હોવાનું અનુમાન થયું છે. ૧૦૦૦ પંક્તિનું આ કાવ્ય મુખ્યત્વે દુહા-ચોપાઈમાં રચાયેલું છે પરંતુ એમાં પ્રસંગોપાત્ત ભુજંગપ્રયાત, વાસ્તુ, ગાથા, પદ્ધડી અને સારસી વગેરે અન્ય છંદો, ઢાળવૈવિધ્ય દર્શાવતાં ગીતો તેમ જ ‘બોલી’ નામથી ઓળખાતા પ્રાસબદ્ધ ગદ્યનો પણ ઉપયોગ થયો છે. આ રીતે આ આખ્યાનનો કાવ્યબંધ પ્રબંધને મળતો છે. ગૌરીપૂજન વગેરે સામાજિક રિવાજોને નિરૂપતા આ કાવ્યમાં નગર, ગઢ, સેના, યુદ્ધ વગેરેનાં આકર્ષક વર્ણનો મળે છે, જે ‘કાન્હડદેપ્રબંધ’ની યાદ અપાવે છે, તેમ જ શૃંગાર અને વીરરસની જમાવટ પણ છે. પાર્વતી-દીપકનો સંવાદ, ઉષાનું વીરાંગના તરીકેનું વ્યક્તિત્વ, નાયક-નાયિકાની રસિક સમસ્યાઓ, અર્થાન્તરન્યાસી કહેવતો-કથનોનો પ્રયોગ - એ આ કાવ્યના કેટલાક આકર્ષક અંશો છે. કવિની સંસ્કૃતાઢ્ય પ્રૌઢભાષા પણ ધ્યાન ખેંચે છે. [ચ.શે.]

ઊગમશી [ ] : અવટંકે ભાટી. કચ્છના કેરાકોટ ગામના ચમાર ભક્ત ઊગમશીની માહિતી મળે છે તે જ આ કવિ છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. આ કવિનાં, રૂપકો અને દૃષ્ટાંતોથી રચેલાં બોધાત્મક ૩ પદો(મુ.) મળે છે. કૃતિ : નકાસંગ્રહ. સંદર્ભ : રામદેવ રામાયણ, કેશવલાલ ૨. સાયલાકર. [કૌ.બ્ર.]

ઊજમસિંહ [ ] : જ્ઞાનમાર્ગવિષયક કેટલાંક પદોના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [કૌ.બ્ર.]

ઊજલ/ઉજ્જવલ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી આરંભ] : તપગચ્છના જૈન શ્રાવક. હીરવિજયસૂરિની પરંપરામાં વિજયસેનસૂરિના શિષ્ય. ૪ કડીના ‘આદિજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૮૮; સ્વલિખિત પ્રત ઈ.૧૬૦૨) અને ૬૩૧ કડીના, નવકારની ૬ કથા નિરૂપતા ‘નવકાર-રાસ/રાજસિંહ-કથા’ (ર.ઈ.૧૫૯૬/સં. ૧૬૫૨, વૈશાખ-, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ]

‘ઊજળી અને મેહની લોકકથાના દુહા’ : જુઓ ‘મેહ અને ઊજળીની લોકકથાના દુહા.’

એદલ નવરોજજી [ઈ.૧૭૭૪માં હયાત] : પારસી મોબેદ. તેમણે મોબેદ ચાંદની સંસ્કૃત કૃતિ ‘ચાંદાપ્રકાશ’નો ગુજરાતીમાં અનુવાદ (ર.ઈ.૧૭૭૪) કર્યો છે. સંદર્ભ : પારસી સાહિત્યનો ઇતિાહસ, પીલાં ભીખાજી મકાટી, ઈ.૧૯૪૯.[કી.જો.]

ઋખજી [ ] : ૩૧ કડીના ‘ચતુવિંશતિજિન-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

ઋદ્ધિ : જુઓ રિદ્ધિ.

ઋદ્ધિ [ ] : જૈન સાધુ. રૂપહંસના શિષ્ય. પ્રકૃતિ અને વિરહભાવના પરંપરાગત પરંતુ પ્રાસાદિક નિરૂપણવાળી ૨૬ કડીની ‘નેમરાજિમતી-બારમાસ’ (લે.સં. ૧૯મી સદી અનુ.; મુ.), ૫ કડીની ‘તીર્થંકર-સ્તવન’(મુ.) તથા ‘સીમંધર-સ્તવન’ (મુ.)એ કૃતિના કર્તા. કૃતિ : ૧. જૈકાપ્રકાશ: ૧; ૨. જૈપ્રપુસ્તક:૧; ૩. પ્રામબાસંગ્રહ:૧. સંદર્ભ : મુપુગૂહસૂચી.. [કા.શા.]

ઋદ્ધિકુશલશિષ્ય [ ] : જૈન સાધુ. ૪ કડીના ‘નેમિજિન-સ્તવન(મુ.)ના કર્તા. કૃતિ : જૈપ્રપુસ્તક:૧. [કી.જો.]

ઋદ્ધિચંદ્ર : આ નામે ‘આદિનાથ-સ્તુતિ’ અને ૬ કડીની ‘વિજયદેવસૂરિ-સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.) એ કૃતિઓ નોંધાયેલી મળે છે. આ ઋદ્ધિચંદ્ર-૧ છે કે કેમ તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [કા.શા.]

ઋદ્ધિચંદ્ર-૧ [ઈ.૧૬૩૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. મહોપાધ્યાય કરમોચક ભાનુચંદ્રના શિષ્ય. ૭૩ કડીની ‘મેતારજ-સઝાય’ - (ર. ઈ.૧૬૩૯/સં. ૧૬૯૫, મહા સુદ ૧૩, બુધવાર)ના કર્તા. જુઓ રિદ્ધિચંદ્ર. સંદર્ભ : ૧. જૈન રાસમાળા, પ્ર. મન:સુખરામ કી. મહેતા, સં. ૧૯૬૫;  ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [કા.શા.]

ઋદ્ધિવિજય : આ નામે ‘ઉપશમ-સઝાય’ (લે.ઈ.૧૭૩૯), ૧૪/૧૫ કડીની ‘જંબૂકુમાર-સઝાય’ (લે.ઈ.૧૮મી સદી અનુ.), ‘નમસ્કાર-સઝાય’, ૨૧ કડીની ‘પાર્શ્વનાથ-સ્તવન’ (લે. ઈ.૧૮૪૧), ૭ કડીની ‘વિજયરત્નસૂરીશગુરુ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ૧૭ કડીની ‘હિતોપદેશ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.)એ કૃતિઓ નોંધાયેલી મળે છે. આ ઋદ્ધિવિજય કયા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [કા.શા.]

ઋદ્ધિવિજય(વાચક)-૧ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદસૂરિની પરંપરામાં વિજયરાજના શિષ્ય. ‘વરદત્તગુણમંજરી-રાસ’ (ર.ઈ.૧૬૪૭/સં. ૧૭૦૩, ફાગણ સુદ ૩, ગુરુવાર) તથા ‘રોહિણી-રાસ’ (ર.ઈ.૧૬૬૦)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨,૩(૨); ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [કા.શા.]

ઋદ્ધિવિજય(વાચક)-૨ ઋદ્ધિવિજય(વાચક)-૨ [ઈ.૧૬૯૮ હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિના શિષ્ય. ૧૦ ઢાળના ‘જિનપંચકલ્યાણ-સ્તવન’ - (ર.ઈ.૧૬૯૮)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૨,૩(૨). [કા.શા.]

ઋદ્ધિવિજય-૩ [ઈ.૧૮૪૮ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. દાનવિજયના શિષ્ય. ૩૭ કડી અને ૩ ઢાળમાં વિવિધ દેશીઓમાં રચાયેલી, તપ અને સંયમનો મહિમા દર્શાવતી બોધપ્રધાન કૃતિ ‘અઢાર નાતરાંની સઝાય’ (લે. ઈ.૧૮૪૮; મુ.)ના કર્તા. કૃતિ : સસંપમાહાત્મ્ય. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [કા.શા.]

ઋદ્ધિવિજય-૪ [ ] : જૈન સાધુ. વજ્રસિંહની પરંપરામાં મેરુવિજયના શિષ્ય. ૫ કડીની ‘ચેતનને શિખામણની સઝાય’(મુ.), ૧૩ કડીની ‘ધનગિરિમુનિ-સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.) તથા ૧૭ કડીની ‘વિષયરાગનિવારક-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. પ્રાસપસંગ્રહ; ૩. સજ્ઝાયમાળા(પં.) સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]

ઋદ્ધિહર્ષ : આ નામે ‘કર્મફલ-સઝાય/કર્મપચીસીની સઝાય’ (લે.ઈ.૧૮૪૨; મુ.), ૨૦/૨૧ કડીની ‘ગોડીપાર્શ્વનાથ-છંદ/સ્તવ’ (લે.સં. ૧૯મી સદી અનુ.), ૧૯ કડીની ‘નેમનાથ-બારમાસ’ (લે.સં. ૧૯મી સદી અનુ.), ‘નેમિકુમાર-ધમાલ’, ૩૨ કડીની ‘નેમિજીની લુઅર’, ૧૩ કડીની ‘નેમિરાજુલ-સ્તવ’, ૩૨ કડીની ‘નેમિરાજિમતી-સઝાય’ તથા ૭ કડીની ‘પ્રસન્નચંદ્રરાજાની સઝાય’(મુ.) મળે છે, તે કયા ઋદ્ધિહર્ષ છે તે નિશ્ચિત કરી શકાતું નથી. કૃતિ : ૧ અરત્નસાર; ૨. ચૈસ્તસંગ્રહ:૩; ૩. જિભપ્રકાશ. સંદર્ભ : ૧. જૈહાપ્રોસ્ટા; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [કા.શા.]

ઋદ્ધિહર્ષ - ૧ [ઈ.૧૬૬૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિના શિષ્ય. ૧૯/૨૦ કડીની ‘નેમિરાજિમતી-સ્તવન’ (ર.ઈ.૧૬૬૬), ૧૯/૨૦ કડીની ‘રહનેમિરાજિમતી-સઝાય’, ૩ કડીની ‘પાર્શ્વજિન-સ્તવન’, ૩ કડીની ‘વિજયપ્રભસૂરિ-દ્રૂપદ’(મુ.) તથા ૭ કડીની ‘સમેતશિખર-સ્તવન’ એ કૃતિઓના કર્તા. કૃતિ : ઐસમાલા:૧. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]

ઋદ્ધિહર્ષ-૨ [ ] : જૈન સાધુ. ઉદયહર્ષના શિષ્ય. ૧૨ કડીની ‘(શત્રુંજયમંડન)ઋષભદેવ-સ્તવન’ (લે. સં. ૨૦મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]

ઋષભ/ઋષભ(કવિ)/રિખભ : ઋષભના નામથી ૨૫ કડીના ‘ચોવીસ તીર્થંકરના ચંદ્રાવળા’ (ર.ઈ.૧૮૦૦/સં. ૧૮૫૬, પોષ વદ ૨, શનિવાર; મુ.) તથા ૨૧ કડીના ‘મહાવીરસ્વામીના ચંદ્રાવળા’ (ર.ઈ.૧૭૯૮/સં. ૧૮૫૪, વસંત ઋતુ સુદ ૧૩; મુ.) એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા ઋષભ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી; તેમ છતાં રચનાસમય જોતાં ઋષભસાગર-૩ના સંદર્ભમાં એનો વિચાર કરવાની શક્યતા ઊભી થાય છે. ઋષભ, કવિ ઋષભ, રિખભ આ નામોથી ૭૨ કડીની ‘ચૈત્યવંદન-ચોવીસી’ (મુ.), ૧૮ કડીની ‘રાજુલશણગાર-સ્તવન’, ૧૭ કડીની ‘સ્થૂલિભદ્રમુનિની સઝાય/સ્થૂલિભદ્રકોશા-સંવાદ’ (મુ.) તથા અન્ય ચૈત્યવંદનો, સ્તુતિઓ, સ્તવનો, સઝાયો વગેરે રચનાઓ મળે છે. તેના કર્તા કોણ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. વસ્તુત: ‘સ્થૂલિભદ્રમુનિની સઝાય’ જુદા જુદા સંદર્ભોમાં ઋષભદાસ, ઋષભવિજય, ઋષભસાગર ત્રણે નામે મુકાયેલી મળે છે. તેમ છતાં ઘણી કૃતિઓ ઋષભદાસ - ૧ની હોવાની શક્યતા વધારે છે. ‘ઋષભશતાવલીગ્રંથ’માંથી દુહા-ચોપાઈબદ્ધ ૩૪ સુભાષિતો ઋષભને નામે મુદ્રિત મળે છે, તે પણ ઋષભદાસ-૧નાં સુભાષિતોનો સંચય હોય એવો સંભવ છે. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. આકામહોદધિ:૫; ૩. કક્કાબત્રીસીના ચંદ્રાવલા તથા ચોવીસ તીર્થંકરાદિના ચંદ્રાવલાનો સંગ્રહ, પ્ર. જગદીશ્વર છાપખાનું, ઈ.૧૮૮૫; ૪. ચૈસ્તસંગ્રહ:૧; પ. જૈકાપ્રકાશ:૧; ૬. દેસ્તસંગ્રહ; ૭. લઘુ ચોવીશીવીશી સંગ્રહ, પ્ર. કુંવરજી આણંદજી, સં. ૧૯૯૫; ૮. શનીશ્વરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨; ૯. સસન્મિત્ર (ઝ.) [હ.યા.]

ઋષભદાસ/રિખભદાસ : આ નામથી ૧૫ કડીના ‘ઋષભદેવબારમાસા’ (મુ.), ૧૫ કડીના ‘રાજિમતીના બારમાસ’ અને અન્ય હિન્દી-ગુજરાતી મુદ્રિત-અમુદ્રિત પદ, લાવણી, સ્તવન, સઝાય મળે છે તે કયા ઋષભદાસનાં છે તે કહેવું મુશ્કેલ છે. હિન્દી કૃતિઓ કદાચ કોઈ અર્વાચીન કવિની પણ હોય. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. જૈકાપ્રકાશ:૧; ૩ . જૈકાસંગ્રહ; ૪. જૈપ્રપુસ્તક:૧; ૫. લોંપ્રપ્રકરણ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હૈજૈજ્ઞાસૂચિ:૧.[હ.યા.]

ઋષભદાસ-૧ [ ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) : રાસકવિ. જૈન શ્રાવક. ખંભાતના વીશા પોરવાડ (પ્રાગ્વંશીય) વણિક. અવટંકે સંઘવી, પિતા સાંગણ, સરૂપાદે. હીરાવિજયસૂરિની પરંપરાના વિજયસેન-વિજયાણંદના અનુયાયી. ‘ઋષભદેવ-રાસ’ (ર.ઈ.૧૬૦૬) અને ‘રોહણિયા-રાસ’ (ર.ઈ.૧૬૩૨)ના રચનાકાળને આધારે તેમનો કવનકાળ ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ ગણી શકાય અને જીવનકાળને થોડોક ૧૬મી સદીમાં પણ લઈ જઈ શકાય. કવિએ પોતાની કૃતિઓમાં આપેલી માહિતી અનુસાર કવિના દાદા (મહીરાજ) અને પિતાએ સંઘ કાઢ્યા હતા અને એ રીતે સંઘવી કહેવાયા હતા. સંઘ કાઢવાની કવિની ઇચ્છા પૂરી થઈ જણાતી નથી, પરંતુ તેમણે શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થોની યાત્રા કરી હતી અને તેઓ ધાર્મિક આચારવિચારોનું પાલન કરી એક સાચા શ્રાવકનું જીવન ગાળતા હતા. કવિની સ્થિતિ સુખી અને સંપન્ન જણાય છે. તેઓ સંસ્કૃત-પ્રાકૃત વગેરે ભાષાસાહિત્યના જ્ઞાતા અને શાસ્ત્રાભ્યાસી હતા તેમ જ હોશિયાર વિદ્યાર્થીઓને તેમણે ભણાવ્યા પણ હતા. ઈ.૧૬૨૯માં રચાયેલા ‘હીરવિજયસૂરિ-રાસ’માં કવિએ પોતે ૩૪ રાસ, ૫૮ સ્તવન અને તે ઉપરાંત ઘણાં ગીત, સ્તુતિ, નમસ્કાર રચ્યાં છે એમ કહ્યું છે. તે પછી રચાયેલા ૨ રાસ મળ્યા છે અને બીજી કૃતિઓ પણ હોવાનો સંભવ છે. પરંતુ આ બધું જ સાહિત્ય અત્યારે પ્રાપ્ય નથી. તેમની ૩૨ જેટલી રાસકૃતિઓ નોંધાયેલી છે જેમાંથી ૮ જેટલા રાસોની તો હસ્તપ્રતો પણ પ્રાપ્ય નથી અને માત્ર ઋષભ/રિખભ, ઋષભદાસ/રિખભદાસના નામથી મળતી કૃતિઓને આ જ ઋષભદાસની ગણવી કે કેમ તેનો કોયડો છે. તેમ છતાં આ કવિનું વિપુલ સાહિત્યસર્જન અવશ્ય નોંધપાત્ર બને છે. કવિ પોતાની ઘણી કૃતિઓના મંગલાચરણમાં સરસ્વતીને ભાવપૂર્વક વંદના કરે છે અને મોટા ભાગની કૃતિઓ ગુરુવારે પૂરી કરે છે તે તેમની વિદ્યાપ્રીતિ દર્શાવે છે. પોતાની કૃતિઓમાં કવિ પોતાના પૂર્વકવિઓનું પણ આદરપૂર્વક સ્મરણ કરે છે, તેમનો ઋણસ્વીકાર કરે છે અને પોતાની અલ્પતા દર્શાવે છે. ઋષભદાસની કૃતિઓમાં વિપુલ પ્રમાણમાં મળતાં સુભાષિતો પણ કવિએ પૂર્વપરંપરાનો મોકળાશથી લાભ લીધો છે એમ દર્શાવી આપે છે. કવિની કૃતિઓમાં કથાતત્ત્વ ઘણું વિપુલ છે. દૃષ્ટાંતકથા, ઉપકથા નિમિત્તે ઘણી કથા-સામગ્રી કવિ પોતાની કૃતિઓમાં વણી લે છે,પરંતુ કથારસ જમાવવાનું કૌશલ કવિ ખાસ બતાવી શકતા નથી. તેમનું લક્ષ કથા નિમિત્તે બોધ આપવા તરફ વિશેષ રહે છે. તેમનો બોધ સાંપ્રદાયિક આચાર-વિચારોને અનુલક્ષતો હોય એ સ્વાભાવિક છે પરંતુ તે ઉપરાંત સમગ્ર જીવનવ્યવહાર અંગેની ડહાપણભરેલી શિખામણ પણ તેમાં સારા પ્રમાણમાં ગૂંથાયેલ છે તે ધ્યાન ખેંચે તેવી બાબત છે. જેમ કે, “પહેલું સુખ તે જાતે નર્યા” એ કહેવત ઋષભદાસ જેટલી જૂની છે. કવિ ક્વચિત્ વિનોદરસનું નિરૂપણ કરવાની તક લે છે, જીભ અને દાંત વચ્ચેના જેવા સંવાદો ગૂંથવાની પદ્ધતિ અપનાવે છે, ઉપમાદિ અલંકારોનો વિનિયોગ કરે છે ને સ્થળો, વ્યક્તિઓ વગેરેનાં પ્રાસાદિક વર્ણનો આપે છે, તેમ જ કૃતિનાં રચનાસ્થળ, કાળ વગેરેને સમસ્યાથી નિર્દેશે છે - એ બધી રીતે કવિનું રસિક પાંડિત્ય પ્રગટ થતું જોઈ શકાય છે. ઋષભદાસની કૃતિઓમાં રાજસ્થાની પરંપરા મુજબ કારતક વદ અમાસને દિવાળી-દિન તરીકે ઓળખાવાયેલ છે અને વર્ષ પણ કારતક વદ અમાસ પછી બદલાતું હોય એવું સમજાય છે. ઋષભદાસની રાસાત્મક કૃતિઓમાંથી ૪ કૃતિઓ મુદ્રિત મળે છે. ૨ ખંડ અને આશરે ૪૫૦૦ કડીનો, મુખ્યત્વે દુહા, ચોપાઈ અને દેશીબંધમાં રચાયેલો ‘કુમારપાલ-રાસ’ ← (ર.ઈ.૧૬૧૪/સં. ૧૬૭૦, ભાદરવા સુદ ૨, ગુરુવાર) કુમારપાલ ઉપરાંત વનરાજ, સિદ્ધરાજ જયસિંહ, હેમચંદ્રાચાર્ય અને અજયપાલના જીવનવૃત્તાંતને વણી લઈ ઘણી ઐતિહાસિક સામગ્રી પૂરી પાડે છે તેમ જ ધર્મબોધક પ્રસંગનિરૂપણો, અલંકારાદિકની મદદથી થયેલાં વર્ણનો, તત્કાલીન સમાજજીવનની માહિતી અને સંખ્યાબંધ સુભાષિતોથી મહાકાવ્ય જેવો વિસ્તાર સાધે છે. કવિની લાક્ષણિક વર્ણનશક્તિ તથા બોધવૃત્તિને પ્રગટ કરતો ૮૪ ઢાળનો દુહા-દેશીબદ્ધ ‘ભરતબાહુબલિ-રાસ’ ← (ર. ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, પોષ સુદ ૧૦, ગુરુવાર) પણ ભરતેશ્વર અને બાહુબલિના પૂર્વભવોના વૃત્તાંતથી તેમ જ ઉપકથાઓના વિનિયોગથી વિસ્તાર સાધતી કૃતિ છે. લગભગ જીવનવ્યાપી કહેવાય એવા ધર્મબોધ અને વ્યવહારબોધને રજૂ કરતો દુહા, સોરઠા અને દેશી ઢાળોની આશરે ૨૦૦ કડીનો ‘હિતશિક્ષારાસ’ ← (ર. ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, મહા સુદ ૫, ગુરુવાર) કવિની સુભાષિતવાણી અને દૃષ્ટાંતકથાઓથી રસાત્મક બને છે. દુહા, ચોપાઈ અને દેશીબદ્ધ આશરે ૩૫૦૦ કડીનો ‘હીરવિજયસૂરિ-રાસ’ ← (ર.ઈ.૧૬૨૯/સં. ૧૬૮૫, આસો - ૧૦, ગુરુવાર) અકબારબાદશાહપ્રતિબોધક વિખ્યાત જૈનાચાર્ય હીરવિજયસૂરિના જીવનવૃત્તાંતને નિમિત્તે ઘણી ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વની માહિતી આપે છે અને અકબરચરિત્રનું આલેખન, કેટલાંક વર્ણનો, પ્રસંગનિરૂપણો તથા કાવ્યચાતુરીઓને કારણે રસપ્રદ બને છે. અન્ય રાસકૃતિઓ આ પ્રમાણે છે : ૧૧૮ ઢાળનો ‘ઋષભદેવનો રાસ’ (ર.ઈ.૧૬૦૬), શ્રાવકનાં બાર વ્રતોનું વર્ણન કરતો ૮૧ ઢાળનો ‘વ્રતવિચાર-રાસ’ (ર.ઈ.૧૬૧૦/સં. ૧૬૬૬, કારતક વદ ૩૦), ૪૨૪/૪૨૬ કડીનો ‘સુમિત્રરાજર્ષિ-રાસ’ (ર.ઈ.૧૬૧૨/સં. ૧૬૬૮, પોષ સુદ ૨, ગુરુવાર), ૭૨૮/૭૩૨ કડીનો ‘સ્થૂલિભદ્ર-રાસ’ (ર.ઈ.૧૬૧૨/સં. ૧૬૬૮, કારતક વદ ૩૦, શુક્રવાર); ૫૫૭ કડીનો ‘અજાકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૧૪/સં. ૧૬૭૦, ચૈત્ર સુદ ૨, ગુરુવાર), ૨૦ ઢાળ અને ૨૯૬ કડીનો ‘શત્રુંજયઉદ્ધાર-રાસ’ (ર.ઈ.૧૬૧૪/સં. ૧૬૭૦, ભાદરવા સુદ ૨, ગુરુવાર), ૫૦૨ કડીનો ‘જીવવિચાર-રાસ’ (ર. ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, આસો સુદ ૧૫), ૮૧૧ કડીનો ‘નવતત્ત્વ-રાસ’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, કારતક વદ ૩૦, રવિવાર), ૫૮૨ કડીનો ‘ક્ષેત્રપ્રકાશ-રાસ’ (ર.ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, માધવ માસ સુદ ૨, ગુરુવાર), ૮૭૯ કડીનો ‘સમકિતસાર-રાસ’ (ર.ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, જેઠ સુદ ૨, ગુરુવાર), ૭૧૨ કડીનો ‘ઉપદેશમાલા-રાસ’ (ર.ઈ.૧૬૨૪/સં. ૧૬૮૦, મહા સુદ ૧૦, ગુરુવાર), આશરે ૫૬૬ કડીનો ‘પૂજાવિધિ-રાસ’ (રઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, વૈશાખ સુદ ૫, ગુરુવાર), ૨૨૩ કડીનો ‘જીવંત-સ્વામીનો રાસ’ (ર.ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, વૈશાખ વદ ૧૧, ગુરુવાર), ૭ ખંડ અને ૧૮૩૯ કડીનો ‘શ્રેણિક-રાસ’ (ર.ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, આસો સુદ ૫, ગુરુવાર), ૨૮૪ કડીનો ‘કયવન્ના-રાસ’ (ર.ઈ.૧૬૨૭), ખરતરગચ્છ અને તપગચ્છના વિખવાદને ટાળવા વિજયદાનસૂરિની ૭ આજ્ઞાઓમાં ૫ ઉમેરી હીરવિજયસૂરિએ ૧૨ આજ્ઞાઓ જાહેર કરી હતી તેને વર્ણવતો ૨૯૪ કડીનો ‘હીરવિજયસૂરિના બાર બોલનો રાસ’ (ર. ઈ.૧૬૨૮/સં. ૧૬૮૪, શ્રાવણ વદ ૨, ગુરુવાર), ૨૯૫ કડીનો ‘મલ્લિનાથ-રાસ’ (ર.ઈ.૧૬૨૯/સં. ૧૬૮૫, પોષ સુદ ૧૩, રવિવાર), ૧૦૦૫ કડીનો ‘અભયકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૩૧/સં. ૧૬૮૭, કારતક વદ ૯, ગુરુવાર), ૨૪૫ કડીનો ‘રોહણિયામુનિ-રાસ’ (ર.ઈ.૧૬૩૨/સં. ૧૬૮૮, પોષ સુદ ૭, ગુરુવાર), ૪૪૫ કડીનો ‘વીરસેનનો રાસ’. આ ઉપરાંત ૭૯૧ કડીનો ‘સમયસ્વરૂપ-રાસ’, ૭૮૫ કડીનો દેવગુરુસ્વરૂપ-રાસ’, ૨૧૯૨ કડીનો ‘કુમારપાલનો નાનો રસ’, આશરે ૧૬૦૦ કડીનો ‘શ્રાદ્ધવિધિ-રાસ’, ૯૭ કડીનો ‘આર્દ્રકુમાર-રાસ’, ૩૨૮ કડીનો ‘પુણ્યપ્રશંસા-રાસ’ પણ પરંપરામાં કવિ ઋષભદાસને નામે નોંધાયેલ છે પરંતુ આ રાસકૃતિઓની હસ્તપ્રતો ઉપલબ્ધ થઈ નથી. ‘વીસસ્થાનકતપ-રાસ’ (ર. ઈ.૧૬૨૯) તથા ‘સિદ્ધશિક્ષા-રાસ’ નામક ૨ કૃતિ પણ આ કવિને નામે ઉલ્લેખાયેલી મળે છે, પરંતુ પ્રાપ્ત આધારોથી એનું સમર્થન થતું નથી. ‘સિદ્ધશિક્ષા’ તે કદાચ ‘હિતશિક્ષા’ હોય. અન્ય પ્રકારની લાંબી કૃતિઓમાં ‘નેમનાથનવરસ/નેમિનાથજીનું સ્તવન’ (ર.ઈ.૧૬૧૧./સં. ૧૬૬૭, પોષ સુદ ૨, ગુરુવાર; મુ.), ૫ ઢાળ અને ૭૦ કડીમાં નેમિનાથના જીવનના મુખ્ય પ્રસંગોને રસાળ રીતે વર્ણવે છે અને ૩૨ કડીનો ‘પાલનપુરનો છંદ’(મુ.) પાલનપુરના વણિકવંશોની તથા અન્ય ઇતિહાસપ્રસંગોની માહિતીને કારણે નોંધપાત્ર બને છે. ૧૨ ઢાળ અને ૭૬ કડીનું ‘બારઆરાસ્તવન/ગૌતમપ્રશ્નોત્તર-સ્તવન’ (ર.ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, ભાદરવા સુદ ૨; મુ.), ૫ ઢાળ અને ૫૮ કડીનું ‘આલોયણાવિચારગર્ભિત-આદિજન-સ્તવન’ (ર.ઈ.૧૬૧૦/સં. ૧૬૬૬, શ્રાવણ સુદ ૨; મુ.), ૬૯/૭૧ કડીનો ‘આદીશ્વર-વિવાહલો/ઋષભદેવગુણ-વેલી’, ૫૪ કડીનું ‘કુમતિદલનપાર્શ્વનાથ-સ્તવન’ તથા ૧૦૦ ગ્રંથાગ્રની ‘શીલ-સઝાય’ આ પ્રકારની અન્ય કૃતિઓ છે. કવિ ઋષભદાસની કેટલીક મુદ્રિત-અમુદ્રિત સ્તુતિઓ, સઝાયો વગેરે પ્રકારની કૃતિઓ પણ મળે છે. કૃતિ : ૧. આકામહોદધિ:૩, ૫, ૮ (+સં.); ૨. ચૈસ્તસંગ્રહ:૩; ૩. જિભપ્રકાશ; ૪. જિસ્તકાસંગ્રહ:૧; ૫. જૈકાપ્રકાશ:૧; ૬. જૈસસંગ્રહ(ન); ૭. સસન્મિત્ર (ઝ);  ૮. ફાત્રૈમાસિક, ઑક્ટો.-ડિસે. ૧૯૪૧ - ‘પાલનપુરનો જૈન સંક્ષિપ્ત ઇતિહાસ’, મુનિ કાન્તિસાગર. સંદર્ભ : ૧. કવિ ઋષભદાસ, વાડીલાલ જી. ચોક્સી, ઈ.૧૯૭૯;  ૨. ગુસાઇતિહાસ:૨;  ૩. જૈનયુગ, કારતક ૧૯૮૨ - ‘સુમિત્રરાજર્ષિરાસ’ (અંશત: મુદ્રિત); ૪. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જેસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, અગરચંદ નાહટા;  ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૬. જૈહાપ્રોસ્ટા; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]

ઋષભદાસ-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ૧૯ કડીની ‘ત્રેવીસપદવી-સઝાય’ (ર.ઈ.૧૭૧૬; મુ.) તથા સંપ્રદાયના વિખ્યાત શ્રાવક-શ્રાવિકાઓનું નામસ્મરણ કરતી ૧૫ કડીની સઝાય(ર.ઈ.૧૭૨૯)ના કર્તા. કૃતિ : જૈન સ્વાધ્યાય મંગળમાલા:૨, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૨); ૨. જૈહાપ્રોસ્ટા. [હ.યા.]

ઋષભવિજય : આ નામે ૧૧ કડીની ‘ઋતુવંતીઅસઝાયનિ-વારક-સઝાય’ (મુ.) મળે છે તે કયા ઋષભવિજય છે તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. કૃતિ : પ્રાસપસંગ્રહ. [હ.યા.]

ઋષભવિજય - ૧ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદની પરંપરામાં રામવિજયના શિષ્ય. ૩ ઢાળની ‘ખંધકમુનિ-સઝાય’ (ર.ઈ.૧૮૨૧/સં. ૧૮૭૭, પોષ - ૬; મુ.), ૪ ઉલ્લાસ અને ૫૬ ઢાળની ‘વચ્છરાજ-રાસ’ ← (ર.ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, શ્રાવણ સુદ ૬, ગુરુવાર; મુ.), ૧૭/૧૮ ઢાળની ‘નેમિનાથ પાણિપીડાધિકાર-સ્તવન/નેમિનાથ-વિવાહલો’ (ર.ઈ.૧૮૩૦/સં. ૧૮૮૬, અસાડ સુદ ૧૫), ‘મહાવીરસત્તાવીસભવ-સ્તવન’ (ર.ઈ.૧૮૪૦) તથા ૭ ઢાળની ‘રામસીતાનાં ઢાળિયાં’ (ર.ઈ.૧૮૪૭/સં. ૧૯૦૩, માગશર વદ ૨, બુધવાર)ના કર્તા. કૃતિ : ૧. વચ્છરાજનો રાસ; - ;  ૨. આકામહોદધિ: ૫; ૩. જૈસસંગ્રહ(ન.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]

ઋષભસાગર-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ચારિત્રસાગરની પરંપરામાં કલ્યાણસાગર-ઋષભસાગરસૂરિના શિષ્ય. વિજયપ્રભસૂરિના રાજ્યકાળ(ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)માં રચાયેલ ૧૧ ઢાળની ‘ગુણમંજરીવરદત્ત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૨ ? / સં. ૧૭૪૮ ? - “મિત્રભાવ જુગભાવ મદ:પ્પત્તિ:/મદરપતિસસિ”, કારતક સુદ ૫, સોમવાર) અને ‘ચોવીસી’ (મુ.)ના કર્તા. બંને કૃતિઓની ભાષામાં હિન્દીની અસર દેખાય છે. કૃતિ : અસ્તમંજુષા. સંદર્ભ : જૈગૂકવિઓ:૨, ૩(૨) [હ.યા.]

ઋષભસાગર-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ) : તપગચ્છના જૈન સાધુ. જશવંતસાગરની પરંપરામાં વિનોદસાગરના શિષ્ય. ૪ ઉલ્લાસ અને ૩૫ ઢાળના ‘વિદ્યાવિલાસ/વિનયચટ-ચોપાઇ/રાસ’ (ર.ઈ.૧૭૭૪/સં. ૧૮૩૦, ભાદરવા સુદ ૧૫, બુધવાર) તથા ૨૧ ઢાળના સુરતના પ્રેમચંદ શેઠે કાઢેલા સંઘની શત્રુંજય તીર્થયાત્રાને વર્ણવતા ‘પ્રેમચંદસંઘવર્ણન/શત્રુંજય/સિદ્ધાચલ-રાસ’ (ર.ઈ.૧૭૮૭/સં. ૧૮૪૩, જેઠ વદ ૩, સોમવાર; મુ.)ના કર્તા. કૃતિ : સૂર્યપુરરાસમાળા, પ્ર. મોતીચંદ મ. ચોકસી, સં. ૧૯૯૬. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી. [હ.યા.]

ઋષભસાગર-૩ [ ] : જૈન સાધુ. વિજયધર્મસૂરિના શિષ્ય. ૪ કડીના ‘સહસ્રકૂટજિન-સ્તુતિ’ના કર્તા. કવિ તપગચ્છના વિજયધર્મસૂરિ (રાજ્યકાળ ઈ.૧૭૫૩-ઈ.૧૭૮૫)ના શિષ્ય હોય તો એમને ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધમાં થયેલા ગણી શકાય. [હ.યા.]

‘ઋષિદત્તા-રાસ’ [ર. ઈ.૧૫૮૭/સં. ૧૬૪૩, માગશર સુદ ૧૪, રવિવાર] : વિનયમંડનશિષ્ય જયવંતસૂરિકૃત દુહા-દેશીબદ્ધ ૪૧ ઢાળ અને ૫૩૪ કડીની આ કૃતિમાં કર્મફળની અનિવાર્યતા દર્શાવવા યોજાયેલું ને મનોરમ પ્રણયકથા બની રહેતું ઋષિદત્તાનું વૃત્તાંત આલેખાયું છે. હેમરથરાજાનો પુત્ર કનકરથ કાબેરીની રાજકુંવરી ઋખિમણિને પરણવા જતાં રસ્તામાં તાપસજીવન ગાળતા હરિષેણરાજાની પુત્રી ઋષિદત્તા પર મોહિત થઈ એની સાથે લગ્ન કરે છે ને ત્યાંથી જ પાછો વળી જાય છે. આથી ગુસ્સે થયેલી ઋખિમણિ સુલસા યોગિણી દ્વારા ઋષિદત્તાને રાક્ષસી ઠેરવે છે. દેહાંતદંડની સજા પામેલી અને મૂર્છિત થતાં મૃત્યુ પામેલી માનીને છોડી દેવાયેલી ઋષિદત્તા પિતાના આશ્રમમાં મુનિવેશે એકાકી જીવન ગાળે છે. ફરી ઋખિમણિને પરણવા જતો કનકરથ રસ્તામાં આ યુવાન મુનિથી આકર્ષાઈ એને પોતાના મિત્ર તરીકે સાથે લે છે. લગ્ન પછી કનકરથ ઋખિમણિ પાસેથી ખરી હકીકત જાણવા મળતાં નિર્દોષ પત્નીનો વિયોગ સહન ન થતાં બળી મરવા તૈયાર થાય છે ત્યારે એને અટકાવી ઋષિદત્તા મુનિવેશ છોડી પોતાને રૂપે પ્રગટ થાય છે અને ઋખિમણિ પરનો રોષ પણ દૂર કરાવે છે. યશોભદ્રસૂરિ પાસેથી, પોતાનાં પૂર્વભવનાં કર્મોનો આ બધો પરિપાક હતો એ જાણીને ઋષિદત્તા અને કનકરથ એમની પાસે દીક્ષા લે છે. નાયિકાપ્રધાન આ રાસમાં વીર અને હાસ્ય સિવાયના સાતેય રસોનું યથોચિત નિરૂપણ છે પણ કરુણનું આલેખન વધારે લક્ષ ખેંચે છે. પતિનું વહાલ સંભારી અરણ્યમાં એકલી રવડતી ઋષિદત્તાના અને ઋષિદત્તાને સંભારી દુ:ખી જિંદગી જીવતા ને ખરી હકીકત જાણવા મળતાં બળી મરવા તૈયાર થયેલા કનરથના વિલાપોમાં કવિની કરુણરસનિરૂપણની ક્ષમતા દેખાઈ આવે છે. સ્થળો, ઉત્સવો, પાત્રો, પ્રસંગોનાં વીગતપૂર્ણને રસિક વર્ણનો પણ કવિની ક્ષમતાનાં સૂચક છે. સંસ્કૃત તત્સમ શબ્દો ને સમાસરચનાઓનો નોંધપાત્ર વિનિયોગ કરતી કવિની ભાષમાં મરાઠી, રાજસ્થાની, સૌરાષ્ટ્રી, ઉર્દૂ ભાષના સંસ્કારો પણ વરતાય છે, અને સુલસાએ મચાવેલા ઉત્પાતનું બીભત્સ અને અદ્ભુતરસભર્યું વર્ણન હિન્દીમાં કરીને કવિએ એ ભાષાપ્રયોગની સાભિપ્રાયતા પણ પ્રગટ કરી છે. કહેવતો અને રૂઢિપ્રયોગોના વિપુલ ને અર્થસભર ઉપયોગથી અભિવ્યક્તિ અસરકાર બની છે, તો વિશેષોક્તિ અને વ્યતિરેક જેવા અલંકારોની બહુલતાને કારણે કવિની અલંકારરચનાની વિદગ્ધતા પ્રગટ થાય છે. પંક્તિની અંતર્ગત પણ અંત્યાનુપ્રાસને લઈ જવાની રીતિ, ચારણી શૈલીની ઝડઝમક, ચારણી છંદો સમેત વિવિધ ગેયઢાળોનો ઉપયોગ અને દરેક ઢાળને આરંભે રાગનો નિર્દેશ એ આ કૃતિની રચનાશૈલીની કેટલીક વિશેષતાઓ છે.[ર.ર.દ.]

ઋષિવર્ધન(સૂરિ) [ઈ.૧૪૫૬માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. જયકીર્તિસૂરિના શિષ્ય. હેમચંદ્રાચાર્યકૃત ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત’ અને રામચંદ્રસૂરિકૃત ‘નલવિલાસ-નાટક’ પર આધારિત દુહા, ચોપાઈ અને દેશીબદ્ધ, ૩૨૧ કડીનો એમનો ‘નલરાયદવદંતીચરિત-રાસ ←/નલરાજ-ચુપાઈ/નલપંચભવ-રાસ’ (ર. ઈ.૧૪૫૬; મુ.) અન્ય ભવોની કથાને ટૂંકમાં વણી લે છે, અને નિરૂપણના લાઘવ તથા કાવ્યતત્ત્વની દૃષ્ટિએ ગુજરાતી નલકથામાં નોંધપાત્ર બને છે. તેમની પાસેથી ‘જિનેન્દ્રાતિશય-પંચાશિકા’ નામે સંસ્કૃત રચના પણ મળે છે. કૃતિ : ૧. *(ઋષિવર્ધનસૂરિકૃત) નલરાય-દવદંતીચરિત, સં. અર્નેસ્ટ બેન્ડર, ઈ.૧૯૫૧; ૨. એજન, સં. રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૧ (+સં.). સંદર્ભ : ૧. નળદમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦;  ૨. જૈગૂકવિઓ : ૧,૩(૧).[શ્ર.ત્રિ.]


‘ઓખાહરણ’ [સંભવત: ૨. ઈ.૧૬૬૭] : પ્રેમાનંદના સર્જનકાળના આરંભના આ આખ્યાન (મુ.)માં ઓખા-અનિરુદ્ધનાં લગ્ન તથા એને અનુષંગે શંકર અને શ્રીકૃષ્ણ વચ્ચે લડાયેલ યુદ્ધનું ભાગવત દશમસ્કંધ-આધારિત વૃત્તાંત, ૧૪ રાગબદ્ધ ૨૯ કડવાંમાં નિરૂપાયેલું છે. અન્ય કવિઓનાં ‘ઓખાહરણ’માં મળતા બાણાસુરનું વાંઝિયાપણું તેમ જ ઓખાના પૂર્વજન્મની કથા જેવી રસાળ કથા-ઘટકો ટાળી, અવાન્તર કથારસ જતો કરવાનું જોખમ ખેડીનેયે પ્રેમાનંદ અહીં વિષયવસ્તુની એકતા સાધે છે. એમ થતાં કૃતિને સીધી, લક્ષ્યગામી ગતિ સાંપડી છે. ઓખાના મનોભાવોનાં નિરૂપણો તેમ જ વિવિધ યુદ્ધપ્રસંગોનાં વર્ણનો, અલબત્ત, વિસ્તારપૂર્વક આલેખાયાં છે, પરંતુ વિષ્ણુદાસકૃત ‘ઓખાહરણ’ સામાજિક આચારવિચારનાં નિરૂપણોથી અસમતોલ બની જાય છે એવું અહીં થતું નથી. આ કૃતિમાં માનવચરિત્રને વિશિષ્ટ પરિમાણો ને આગવી ઝીણવટો પ્રાપ્ત થયાં નથી, તેથી એ બહુધા લાક્ષણિક ચિત્રો જેવાં કે સાધનભૂત રહ્યાં છે. કૃતિનું મુખ્ય પાત્ર ઓખા જાણે માત્ર પ્રેમઘેલી અને લગ્નોત્સુક મનોભાવો તથા તજ્જન્ય શૃંગારનું નિરૂપણ કવ્ચિત્ સરસ થયું છે. ઓખા-અનિરુદ્ધનું, યુદ્ધ પ્રસંગે પ્રગટતું શૌર્ય ચમત્કાર જેવું ભાસે છે. કૃતિના રસવિધાનમાં વીરરસ પ્રાધાન્ય ભોગવે છે, પરંતુ તેનું આલંબન પાત્રના વિકલ્પે યુદ્ધ-પ્રસંગો જ બને છે. વીરના આશ્રયે અદ્ભુત, ભયાનક અને બીભત્સ રસનું આલેખન પણ થયું છે. યુદ્ધવર્ણનોમાં પ્રેમાનંદનું કવિત્વ પ્રગટ થાય છે. યુદ્ધનાં ગતિસભર ચિત્રોને શબ્દની નાદશક્તિની સહાય મળી છે, તે ઉપરાંત ‘શોણિતસરિતા’ જેવાં રૂપકોથી તાદૃશીકરણ પણ સધાયું છે. પ્રેમાનંદની રચનાઓમાં સામાન્યત: જોવા મળતાં, કથાપ્રસંગ-સંબંધિત મૌલિક ઉમેરણો અહીં નહીંવત્ છે. સમગ્ર રચનામાં કેટલાંક રસસ્થાનો હોવા છતાં પ્રેમાનંદની કાવ્યકલાનું નિર્વહણ અહીં ઉત્તમ તેમ જ સાતત્યપૂર્ણ રીતે થયું નથી. પર કડવાં સુધી વિસ્તરેલું મળતું આ આખ્યાન ૨૯ કડવાંનું છે એવો સ્પષ્ટ ઉલ્લેખ કૃતિમાંથી મળે છે. પરંતુ તેના રચના-સમય વિશે અલગઅલગ પ્રતમાં અલગઅલગ નિર્દેશ મળે છે. કવિ નર્મદને મળેલ ૨૯ કડવાં ધરાવતી પ્રતમાં રચનાસમય સં. ૧૭૨૩, ચૈત્ર વદ ૯, ગુરુવાર (ઈ.૧૬૬૭) મળે છે. વર્ષ, માસ, પક્ષ, તિથિ, અને વારના ગણિત મુજબ એ દિવસ સાચો ઠરતો નથી પરંતુ અન્ય હસ્તપ્રતોમાં મળતા રચનાસમયના નિર્દેશો તો એથી પણ વધુ અશ્રદ્ધેય જણાય છે. [ર.ર.દ.]

ઓધવ : જુઓ ઉદ્ધવ.