ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન

From Ekatra Wiki
Jump to navigation Jump to search




નગર્ષિ/નગા(ગણિ) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી આરંભ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં કુશલવર્ધનના શિષ્ય. એમની મોટા ભાગની કૃતિઓ ઈ.૧૫૮૩થી ઈ.૧૬૦૩ સુધીનાં રચનાવર્ષો બતાવે છે, પરંતુ ‘ઉત્તરાધ્યયન-સૂત્ર’ પરના સ્તબકનું રચનાવર્ષ ઈ.૧૫૫૯ ખરું હોય તો કવિનો સમય એટલો આગળ ખસે. ‘(કુમરગિરિમંડન) શાંતિનાથવિનતિ’નું રચનાવર્ષ ઈ.૧૫૦૭ તો ઘણું શંકાસ્પદ જણાય છે. કવિએ બહુધા તીર્થ-તીર્થંકારોના સ્તોત્રસ્તવનાદિ રચ્યાં છે. તેમાંથી નોંધપાત્ર કૃતિઓ આ પ્રમાણે છે : તીર્થંકરોના ચરિત્રગાનને સમાવી લેતી ૩૯ કડીની ‘સિદ્ધપુર-ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૫૮૫/સં.૧૬૪૧, ભાદરવા સુદ. ૬; મુ.), ૩૯ કડીની ‘જાલુરનગર-પંચજિનાલય-ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૫૯૫/સં. ૧૬૫૧, ભાદરવા વદ ૩, ગુરુવાર; મુ.), ૭૧ કડીનું ‘ચતુર્વિંશતિજિન-સકલભવવર્ણન-સ્તવન’ (ર.ઈ.૧૬૦૧/સં.૧૬૫૭, શ્રાવણ સુદ ૧૦, ગુરુવાર), ૫ ઢાળ અને ૫૩ કડીનું ‘આઠ કર્મપ્રકૃતિ-બોલવિચાર/બંધહેતુગર્ભીત (વડલીમંડન)-વીરજિન-સ્તવન’, ૩૯ કડીનું ‘અલ્પબહુત્વગર્ભિત મહાવીર-સ્તવન’ ૭૧ કડીનું ‘(વરકાણા) પાર્શ્વનાથ-સ્તોત્ર’ (ર.ઈ.૧૫૯૫), ૩૬ કડીનું (શંખેશ્વર) પાર્શ્વનાથ-સ્તોત્ર’ (ર.ઈ.૧૬૦૩), ૪૯ કડીનું ‘(શત્રુંજ્યમંડન) ઋષભજિન-સ્તોત્ર’, ૪૫ કડીનું ‘(સાવલીમંડન) આદિનાથજિન-સ્તોત્ર’, ૨૯ કડીનું ‘(બિલાડામંડન) પાર્શ્વજિન-સ્તોત્ર’, ‘(કુમરગિરિમંડન) શાંતિનાથ-વિનતિ’ (ર.ઈ.૧૫૦૭), ૪૩ કડીનું ‘વીરજિનસ્તોત્ર’ (ર.ઈ.૧૫૮૯), ૩૧ કડીનું ‘શાંતિનાથ-સ્તોત્ર’ (ર.ઈ.૧૫૮૬) તથા ૩૫ કડીનું ‘મૌન-અગિયારશ-દોઢસોકલ્યાણક-સ્તવન’. આ ઉપરાંત કવિએ ‘રામસીતા-રાસ’ (ર.ઈ.૧૫૯૩), ૨૪૯ કડીની ‘સાધુવંદના-સઝાય’ (ર.ઈ.૧૫૮૩), હીરવિજ્ય સૂરિ-વિજ્યસેનસૂરિ વિશેની સઝાયો તથા હરિયાળીઓ રચેલી છે. ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ પરનો ૪૧૨૫ ગ્રંથાગ્રનો સ્તબક (ર.ઈ.૧૫૫૯) તથા ૫૬૫ ગ્રંથાગ્રનો ‘સંગ્રહણી-ટબાર્થ’ (ર.ઈ.૧૫૯૭/સં. ૧૬૫૩, ફાગણ વદ ૧૩, મંગળ/શુક્રવાર) એ એમની ગદ્યરચનાઓ છે. ‘સિદ્ધપુર-ચૈત્યપરિપાટી’ તથા ‘સાધુવંદના-સઝાય’ ‘કુશલવર્ધનશિષ્ય’ એટલી જ નામછાપ ધરાવે છે, પણ એના કર્તા નગાગણિ જ હોવાની શક્યતા છે. કવિએ સંસ્કૃતમાં ‘સ્થાનાંગસૂત્ર’ પર ‘સ્થાનાંગ-દીપિકા’ નામે વૃત્તિ (ર.ઈ.૧૬૦૧) અને ‘દંડકાવચૂરિ’ તથા પ્રાકૃતમાં ‘કલ્પાન્તર્વાચ્ય’ (ર.ઈ.૧૬૦૧) રચેલ છે. કૃતિ : ૧ જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯;  ૨. જૈનયુગ, વૈશાખ ૧૯૮૫-‘સિદ્ધપુરચૈત્ય પરિપાટી’; ૩. જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૫-‘નગર્ષિ(નગા)ગણિ રચિત જાલુરનગર પંચજિનાલય ચૈત્ય પરિપાટી’, સં. અંબાલાલ પ્રે. શાહ (+સં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

નતર્ષિ/નયર્ષિ [ઈ.૧૪૩૯/૧૪૪૧ સુધીમાં] : આ કવિની ‘નારાયણ ફાગુ’(લે.ઈ.૧૪૩૯/૧૪૪૧)નામની કૃતિ મળે છે. જેમાં અઢૈયું અને સવૈયાના ચાલની દાવટી ચોપાઈ જેવા રાસક છંદોનો તથા ‘આન્દોલા’ એ શીર્ષકથી ચારણી છંદનું સ્મરણ કરાવતી ગીતરચનાનો વિશિષ્ટ પ્રયોગ થયો છે. આ ફાગુકાવ્યમાં કૃષ્ણ અને તેની પટરાણીઓનો વિલાસ વર્ણવાયો છે. અજ્ઞાત કવિના ‘વસંત-વિલાસ’ ફાગુ અને આ ફાગુકાવ્ય વચ્ચે કલ્પનાનું અને શૈલીનું કેટલુંક સામ્ય છે, એટલે બંને કાવ્યોનો કર્તા એક હોવાનું પણ અનુમાન થયું છે. સંદર્ભ : ૧. ઇતિહાસની કેડી, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૫; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ૧; ૪. ગુસારૂપરેખા : ૧; ૫. ગુસાસ્વરૂપો; ૬. નરસિંહયુગના કવિઓ, કનૈયાલાલ મુનશી, ઈ.૧૯૬૨;  ૭. સ્વાધ્યાય, મે ૧૯૬૫-હરિવિલાસ-એક મધ્યકાલીન જૈનેતર ફાગુકાવ્ય’, હરિવલ્લભ ચૂ. ભાયાણી. [કી.જો.]

નથમલ [ઈ.૧૬૯૩માં હયાત] : ‘બાવની’ (ર.ઈ.૧૬૯૩)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [શ્ર.ત્રિ.]

નથમલજી [ઈ.૧૮૨૩માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. જશરાજજીના શિષ્ય. ૩૮ કડીની ‘ચંદનબાળાની સઝાય’ (ર.ઈ.૧૮૨૩/સં. ૧૮૭૯, વૈશાખ વદ ૧; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાળા : ૧, સં. મુનિશ્રી શામજી ઈ.૧૯૬૨; ૨. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી ઈ.૧૯૮૨ (સાતમી આ.) [શ્ર.ત્રિ.]

નથવો [                ] : મોતી અને પ્રીતિ વિશેનાં ૫ દોઢિયા દુહા (મુ.)ના કર્તા. કૃતિ : કાઠિયાવાડી સાહિત્ય : ૨, સં. કહાનજી ધર્મસિંહ. ઈ.૧૯૨૩. [શ્ર.ત્રિ.]

નથુ : આ નામે કેટલાંક જૈનેતર પદો નોંધાયેલા છે. તેમ જ વ્રજહિંદીની અસરવાળી ગુજરાતીમાં નેમનાથવિષયક તથા અન્ય ત્રણથી ૪ કડીનાં સ્તવનો(મુ.) તથા હોરી(મુ.) એ જૈન કૃતિઓ પણ નોંધાયેલી છે. તેના કર્તા કયા નથુ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ નથુરામ. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈકાસંગ્રહ; ૪. જૈકાસંગ્રહ; ૫. મોતીશાનાં ઢાળિયા, પ્ર. હીરાચંદ હ. શાહ, ઈ.૧૯૧૪ (બીજી આ.). સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.; શ્ર.ત્રિ.]

નથુ(ભક્ત)-૧ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : રવિ-ભાણ સંપ્રદાયના કવિ. પ્રેમસાહેબ (જ.ઈ.૧૭૯૨-અવ. ઈ.૧૮૬૩)ના શિષ્ય અને ભાયાત. રાજકોટના રહીશ. હિન્દી અસર ધરાવતાં, અધ્યાત્મયોગ અને ભક્તિબોધનાં ચારથી ૫ કડીનાં ૪ પદો(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અભમાલા; ૨. યોગવેદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુ. ઈ.૧૯૭૬ (ચોથી આ.). [શ્ર.ત્રિ.]

નથુ(ભક્ત)-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી. શેખ મુસલમાન. દૌસ ગામના વતની. મુક્તાનંદસ્વામીકૃત ‘ઉદ્ધવ-ગીતા’ (ર.ઈ.૧૮૨૪)ને સુગેય પદ-કીર્તન રૂપે ઢાળનાર. સંદર્ભ : મસાપ્રવાહ. [શ્ર.ત્રિ.]

નથુકલ્યાણ [                ] : જૈન સાધુ. દીપવિજ્યના શિષ્ય. એમના એક પદમાં વડોદરાની હાથીપોળનો ઉલ્લેખ હોવાથી વડોદરાના તપગચ્છીય કવિ દીપવિજ્ય (ઈ.૧૮મી સદી અંત ભાગ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય હોવાની સંભાવના છે. તો આ કવિનો સમય ઈ.ની ૧૯મી સદીનો પૂર્વાર્ધ ગણી શકાય. તેમની પાસેથી ક્વચિત હિંદીની અસરવાળાં, ચારથી ૫ કડીનાં કેટલાંક સ્તવનો(મુ.) મળે છે. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ. [ર.સો.]

નથુરામ/નથુ [ઈ.૧૭૮૪ સુધીમાં] : તેમની, હિન્દીમિશ્ર ગુજરાતી ભાષામાં, રોળાવૃત્તનાં દૃષ્ટાંતો જેવા દોહરા-છપ્પામાં નિબદ્ધ ‘પાર્વતીલક્ષ્મી-સંવાદ’ (લે.ઈ.૧૭૮૪)માં લક્ષ્મી અને પાર્વતી વ્યાજોક્તિથી પરસ્પરના પતિની નિંદા કરે છે. આ તથા વિદુરનો કૃષ્ણ પ્રત્યેનો ભાવ વર્ણવતું ‘વિદુરભાવ’ એ ૨ કૃતિઓમાં નામછાપ માત્ર ‘નથુ’ મળે છે. આ ઉપરાંત આ કવિએ ‘કક્કો’, ‘ચેતવણી’ અને કેટલાંક પદો રચ્યાં હોવાની માહિતી મળે છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો;  ૩. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

નથુરામ-૧ [ઈ.૧૮મી સદી-ઈ. ૧૯મી સદી દરમ્યાન] : રવિભાણ-સંપ્રદાયના હરિજન સંતકવિ. ત્રિકમસાહેબના ભાણેજ અને શિષ્ય. ત્રિકમસાહેબના સમયને લક્ષમાં લેતાં આ કવિ ઈ.૧૮મી-૧૯મી સદી દરમ્યાન થઈ ગયા હોવાનું કહી શકાય. તેમનાં જ્ઞાનવારૈગ્યનાં ૨ પદ મુદ્રિત રૂપે મળે છે. આ કવિ અને પ્રેમસાહેબના શિષ્ય નથુ(ભક્ત)-૧ જુદા છે તેમ જ ‘પાર્વતીલક્ષ્મી-સંવાદ’ને ‘વિદુરભાવ’ એ કૃતિઓના કર્તા નથુરામથી પણ તેઓ જુદા લાગે છે. જો કે નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. સંદર્ભ: સૌરાષ્ટ્રના હરિજનભક્તકવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ. ૧૯૮૭. [જ.ગા.]

નન્ન(સૂરિ) : આ નામથી કોરંટગચ્છના નિર્દેશ સાથે કે એવા નિર્દેશ વિના કેટલીક લઘુ કૃતિઓ મળે છે. પરંતુ કેટલાંક કારણોથી એ કૃતિઓ નન્નસૂરિ-૧ની હોવાની વિશેષ સંભાવના છે. તેથી એ કૃતિઓ નન્નસૂરિ-૧માં જ સમાવિષ્ટ કરી છે.

નન્ન(સૂરિ)-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬મી સદી આરંભ] : કોરંટગચ્છના જૈન સાધુ. સર્વદેવસૂરિના શિષ્ય. ‘શ્રાવકધર્મવિચાર/હિતશિક્ષા-ચોસઠી’ (ર.ઈ.૧૪૮૮), ‘દશશ્રાવક બત્રીસી/સઝાય’ (ર.ઈ.૧૪૯૭), ૬ કડીની ‘અર્બુદચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૪૯૮; મુ.), ૪૬ કડીની ‘ગજસુકુમાર-રાજર્ષિ-સઝાય/સંબંધ/ચરિત્ર/ગીત-ચોઢાળિયાં’ (ર.ઈ.૧૫૦૨;મુ.), ૧૪ કડીની ‘જીવપ્રતિબોધ-ગીત’, ૨૫ કડીની પંચતીથી-સ્તવન/ઋષભાદિપંચજિન-સ્તવન’ (મુ.), ‘શાંતિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૪૮૭), ‘મિચ્છાદુક્કડ-સઝાય’ (ર.ઈ.૧૫૦૩), ‘અભક્ષઅનંતકાય-સઝાય’, ‘મહાવીરસત્તાવીશભવ-સ્તવન’ (ર.ઈ.૧૫૦૪), ‘જીરાઉલા પાર્શ્વનાથ-છંદ’, ‘ઉત્તરષટ્ત્રિંશદધ્યયન વાચ્ય-ભાસ’, ‘ચોવીસ જિન-ગીત’ તથા અન્ય કેટલીક ભાસ, ગીત, નમસ્કાર વગેરે કૃતિઓ અને ધર્મદાસકૃત પ્રાકૃત ‘ઉપદેશમાલા’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૪૮૭; મુ.)ના કર્તા. આમાંની કેટલીક કૃતિઓમાં કર્તાના ગચ્છ કે ગુરુપરંપરા વિશે માહિતી મળતી નથી પણ પ્રાપ્ય સાધનો તેમને આ નન્નસૂરિની કૃતિઓ ગણે છે, જે કવિનું સમગ્ર સર્જન જોતાં સંભવિત જણાય છે. ‘ચોમાસી-દેવવંદન’ના ભાગ રૂપે કશી નામછાપ વિનાના ચોવીસ તીર્થંકરોનાં સ્તુતિ તથા ચૈત્યવંદન(મુ.) મળે છે, જેના કર્તા નંદસૂરિ હોવાનું જણાવવામાં આવે છે. આ ‘ચોમાસી-દેવવંદન’માં કોઈ વખતે ઉપર નિર્દિષ્ટ પંચતીર્થના સ્તવનો પણ સમાવિષ્ટ થયેલાં જોવા મળે છે, તેથી આ સ્તુતિઓ અને ચૈત્યવંદન આ નન્નસૂરિનાં હોવાનું સંભવિત જણાય છે. કૃતિ : ૧. (ધ) સ્ટડી ઑવ ધી ગુજરાતી લૅંગ્વેજ ઈન ધ સિક્સટિન્થ સૅન્ચ્યુરી, ત્રિકમલાલ એન. દવે, ઈ.૧૯૩૫;  ૨. જૈગૂસારત્નો : ૧;  ૩. જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘નન્નસૂરિકૃત અર્બુદ ચૈત્ય પ્રવાડી, સં. તંત્રી; ૪. સંબોધિ, ઑક્ટો. ૧૯૭૭થી જાન્યુ. ૧૯૭૮-‘કવિ નન્નસૂરિકૃત ગજસુકુમાલ ચઉઢાલિયા’, વસંતરાય બ. દવે. સંદર્ભ : ૧. કેટલૉગગુરા; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

નન્ન(સૂરિ)-૨ [ઈ.૧૫૬૧માં હયાત] : કોરંટગચ્છના જૈન સાધુ. કક્કસૂરિના શિષ્ય. ૧૨૪ કડીની ‘ક્ષેત્રવિચારતરંગિણી’ (ર.ઈ.૧૫૬૧)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]

નનુ [ ] : ૪ કડીના ૧ પદ(મુ.)ના કર્તા. કૃતિ : અભમાલા. [કી.જો.]

નબીમિયાં [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : મુસ્લિમ કવિ. પીર કાયમુદ્દીન (અવ.ઈ.૧૭૭૩)ની પરંપરામાં અભરામબાવાના શિષ્ય. ભરૂચના કાજી ખાનદાનના સૈયદ. એમણે ભક્તિ, યોગ અને વેદાંતનાં તત્ત્વોનો આશ્રય લેતાં, સરળ દૃષ્ટાંતો યોજતાં અને લોકભોગ્ય અભિવ્યક્તિ ધરાવતાં કેટલાંક ભજનો(મુ.) અને હિન્દીમાં કલામો(મુ.) રચેલ છે. કૃતિ : ૧. અભમાલા; ૨. ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકિશનદાસ, ઈ.૧૯૨૯ (+સં.). [ર.ર.દ.]

નયકલશ [ ] : જૈન સાધુ. ‘મેઘવાહન-રાસ’ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા. [કા.શા.]

નયકુશલ' [     ] : જૈન સાધુ. ૩૭ કડીના ‘સરસ્વતી-છંદ’ (લે.સં. ૨૦મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હૈજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

નયચંદ્ર(સૂરિ) : આ નામે ૧૦ કડીનું ‘શત્રુંજ્ય-ગીત’ મળે છે. તેના કર્તા કયા નયચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

નયચંદ્ર(સૂરિ)-૧ [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : કૃષ્ણર્ષિગચ્છના જૈન સાધુ. જયસિંહસૂરિશષ્ય પ્રસન્નચંદ્રસૂરિના શિષ્ય. પરંતુ કાવ્યકલામાં કવિ પોતાને જયસિંહસૂરિના પુત્ર એટલે કે સીધા વારસ તરીકે ઓળખાવે છે. કવિ ગૃહસ્થજીવનથી જ ૬ ભાષાઓના જાણકાર, કવિ અને ન્યાયશાસ્ત્રના વિદ્વાન હતા. કવિ ગ્વાલિયરના તોમર(તંવર)વંશી રાજા વીરમના દરબારના પ્રસિદ્ધ કવિ હોવાનું નોંધાયું છે. કવિએ પોતાને “રાજરંજક” તરીકે ઓળખાવ્યા છે. અને એમણે રાજવીઓની વીરગાથા ગાયેલી છે. એમણે ઈ.૧૪૫૦માં પ્રતિમાપ્રતિષ્ઠા કરી હોવાની માહિતી મળે છે. ચિતોડના રાણા કુંભાએ ઈ.૧૪૩૮માં સારંગપુર ઉપર મેળવેલ વિજ્યની હકીકતને સમાવી લેતું અને તેથી એ પછીના અરસામાં રચાયેલું જણાતું આ કવિનું ‘કુંભકર્ણ-વસંતવિલાસ-ફાગુ’(મુ.) ૩ અધિકાર અને દરેક અધિકારમાં ૧ કે વધુ સંસ્કૃત શ્લોક તથા ચૈત્ર, છાહુલી, અઢૈયા અને ફાગનું એકમ ધરાવતા બેથી ૪ વિશ્રામમાં વહેંચાયેલ છે. નાયકવર્ણનના પહેલા અધિકરમાં રાણા કુંભાની વિજ્યગાથા રજૂ થઈ છે, જેમાં ટૂકાં પણ છટાદાર યુદ્ધવર્ણનનો સમાવેશ થયો છે. બીજા અને ત્રીજા અધિકારમાં વસંતવર્ણન અને શૃંગારવર્ણનમાં ફાગુ-કાવ્યની પરંપરામાં જોવા મળતી અલંકાર અને પદાવલિની રમણીયતા છે. એ નોંધપાત્ર છે કે કવિએ જે પદ્યભાગ ગુજરાતીમાં છે તેને અપભ્રંશ તરીકે ઓળખાવેલ છે અને ૧ કડી પૈશાચી ભાષામાં પણ આપેલી છે. કવિએ સંસ્કૃતમાં ‘હમ્મીર-મહાકાવ્ય’ અને ‘રંભામંજરી-નાટિકા’ એ કૃતિઓ રચેલી છે. કૃતિ : ૧. સ્વાધ્યાય, મે ૧૯૭૫-‘નયચંદ્રસૂરિકૃત કુંભકર્ણ વસંત-વિલાસફાગુ’, સં. અમૃતલાલ મો. પંડિત (+સં.); ૨. સ્વાધ્યાય, ઑક્ટો. ૧૯૭૮-‘કુંભકર્ણવસંતવિલાસ ફાગુનો છૂટી ગયેલો પાઠ’, અગરચંદ નાહટા (+સં.). સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિશ્રી દર્શનવિજ્ય વગેરે. ઈ.૧૯૬૪; ૨. જૈસાઇતિહાસ. [કી.જો.]

નયણરંગ [ઈ.૧૭૩૮ સુધીમાં] : જૈન સાધુ. ‘અર્બુદાચલબૃહત-સ્તવન’ (લે.ઈ.૧૭૩૮)ના કર્તા. કવિ ખરતરગચ્છના જિનચંદ્રસૂરિની પરંપરાના રાજલાભ (ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ)ના પ્રશિષ્ય હોવા સંભવ છે. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]

નયનકમલ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. ‘નેમિનાથ-રાસ’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, મહા સુદ ૫) અને ‘દ્રૌપદી-રાસ’ (ર.ઈ.૧૬૦૭/સં. ૧૬૬૩, વૈશાખ સુદ ૧૩) એ કૃતિઓ તેમણે રચી છે. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [કી.જો.]

નયનશેખર [ઈ.૧૬૮૦માં હયાત] : અંચલગચ્છની પાલીતાણા શાખાના જૈન સાધુ. પુણ્યતિલકસૂરિની પરંપરામાં જ્ઞાનશેખરના શિષ્ય. વૈદકવિષયક તથા સંસ્કૃતગ્રંથોને આધારે રચાયેલ ૯૦૦૦ ગ્રંથાગ્રના ‘યોગરત્નાકર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૦/સં.૧૭૩૬, શ્રાવણ સુદ ૩)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. કેટલૉગગુરા; ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. લીંહસૂચી, ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧ [કી.જો.]

નયનસુખ/નેનસુખ [ઈ.૧૫૯૩માં હયાત] : શ્રાવક કવિ. કેશવરાજ/કેસરાજના પુત્ર. હિંદીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલી ૩૧૦ કડીની ‘વૈદ્યકસાર/વૈદ્યમનોત્સવ’ (ર.ઈ.૧૫૯૩/સં.૧૬૪૯, ચૈત્ર સુદ ૨, મંગળવાર/શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી.; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. ડિકેટલૉગબીજે; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી. [કી.જો.]

નયપ્રમોદ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં હીરોદયના શિષ્ય. ‘અર્હન્નકમુનિ-પ્રબંધ’ (ર.ઈ.૧૬૫૭), ૧૩ કડીના ‘(શંખેશ્વર) પાર્શ્વનાથછંદ/સ્તવન’ અને ૩૯ કડીની ‘ચિત્રસંભૂતિ-સંધિ’ (ર.ઈ.૧૬૯૩)ના કર્તા. કૃતિ : પ્રાછંદસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુપુગૂહસૂચી. [કા.શા.]

નયભક્તિ : જુઓ નયવિજયશિષ્ય ભક્તિવિજય.

નયરત્નશિષ્ય [ઈ.૧૫૭૮માં હયાત] : જૈન વડતપગચ્છના નયનરત્નસૂરિના શિષ્ય. ૮૫ કડીના ‘પ્રતિબોધ-રાસ’ (ર.ઈ.૧૫૭૮/સં.૧૬૩૪, આસો સુદ ૧, મંગળવાર/શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : જૈગુકવિઓ : ૩(૧). [કી.જો.]

નયરંગ(વાચક) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની શાખામાં વાચક ગુણશેખરના શિષ્ય. એમણે ‘અર્જુનમાલી-ચરિત્ર/સંધિ’ (ર.ઈ.૧૫૬૫/સં. ૧૬૨૧, જેઠ સુદ ૧૦), ૩૯ કડીની ‘મુનિપતિ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૯/સં. ૧૬૧૫, ફાગણ સુદ ૯), ૫૯ કડીની દુહાબદ્ધ ‘ગૌતમપૃચ્છા’ (ર.ઈ.૧૫૫૭/સં. ૧૬૧૩, વૈશાખ વદ ૧૦), ‘સત્તર ભેદી-પૂજા’ (ર.ઈ.૧૫૬૨/સં.૧૬૧૮, આસો સુદ ૧૦), ૭૧/૭૨ કડીની ‘કેશીપ્રદેશી-સંધિ’, ૧૦૮ કડીની ‘ગૌતમસ્વામી-છંદ’, ૩૩ કડીની ‘ચોવીસજિન-સ્તુતિ’, ૩૧ કડીની ‘કલ્યાણક-સ્તવન’, ૩૫ કડીની ‘જિનપ્રતિમા-છત્રીસી’, ‘કુબેરદત્તા-ચોપાઈ’, ૪ કડીની ‘ગુર્વાવલી’ (મુ.), તથા ૨૦ કડીની ‘અતિમુક્ત સાધુ-ગીત’ એ કૃતિઓ રચેલી છે. એમણે સંસ્કૃતમાં ‘પરમહંસ સંબોધ-ચરિત્ર’ (ર.ઈ.૧૫૬૮) તથા સ્વોપજ્ઞવૃત્તિ (સંસ્કૃત?) સાથે પ્રાકૃતમાં ‘વિધિ-કંદલો’ (ર.ઈ.૧૫૬૯) રચેલ છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.) સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારો કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથો કી સૂચી’, અગરચંદ નાહટા.  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. ડિકેટલૉગભાઈ : ૧૯(૨). [કી.જો.]

નયવિજ્ય : આ નામે ૧૧ કડીની ‘રહનેમિરાજુલ-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.), ૭ કડીની ‘નેમિનાથ-વસંત-ધમાલ’ (લે.સં. ૧૯મી સદી અનુ.) અને ‘અષ્ટમીની ઢાળો’ મળે છે તેના કર્તા કયા નયવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કર્તા ભૂલથી જ્ઞાનવિજ્ય શિષ્ય તરીકે ઓળખાવાયેલ છે. સંદર્ભ : ૧. ડિકેટલૉગબીજે; ૨. મુપુગૂહસૂચી.[કા.શા.]

નયવિજ્ય(ગણિ)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી આરંભ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિના શિષ્ય. લોંકા ગચ્છના ૧૮ સાધુઓએ ઈ.૧૫૭૨માં હીરવિજ્ય પાસે સંવેગી દીક્ષા લીધી તેમાં તે હતા. ઈ.૧૬૦૧માં ઉપાધ્યાયપદ. ‘સાધુવંદના (મોટી)’ (ર.ઈ.૧૫૮૮/સં.૧૬૪૪, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૪. મુનિદર્શનવિજ્યજી વગેરે, ઈ.૧૯૮૩;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કા.શા.]

નયવિજ્ય-૨ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈનસાધુ. વિજ્યદેવસૂરિ. (આચાર્યકાળ ઈ.૧૬૦૦-ઈ.૧૬૫૭)ના શિષ્ય. ‘કલ્પસૂત્ર-સ્તબક’ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]

નયવિજ્ય-૩ [ઈ.૧૬૭૭માં હયાત] : જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં જિતવિજ્યના શિષ્ય. ભૂલથી જ્ઞાનવિજ્યશિષ્ય તરીકે ઓળખાવાયેલા છે. એમણે ૭ ઢાળનું ‘મહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૭૭/સં. ૧૭૩૩, આસો સુદ ૧૦) રચેલ છે. કૃતિની ર.સં.૧૭૯૩ ભૂલથી દર્શાવાયેલી છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]

નયવિજ્ય-૪ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં જ્ઞાનવિજ્યના શિષ્ય. ૬૭ કડીની, અવાંતરે ફાગ એ દુહા છંદમાં આંતરપ્રાસ સાથે રચાયેલ, રાજિમતીના વિરહશૃંગારની પ્રસાદમધુર અભિવ્યક્તિ કરતી ‘નેમિનાથ-બારમાસા’ (ર.ઈ.૧૬૮૮; મુ.), ‘ચોવીશી’ (ર.ઈ.૧૬૯૦/સં.૧૭૪૬, કારતક સુદ ૧૩; મુ.), ૪ કડીની ‘(શંખેશ્વર) પાર્શ્વજિન-સ્તુતિ’ (મુ.), ૯ કડીની ‘સિદ્ધચક્રજીનું ચૈત્યવંદન’(મુ.), ૭ કડીની ‘સિદ્ધચક્ર-સ્તવન’ અને ૪ કડીની ‘સિદ્ધચક્ર-સ્તુતિ’ એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. ચોવીસ્તસંગ્રહ; ૪. પ્રામબાસંગ્રહ : ૧; ૫. શંસ્તવનાવલી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [કા.શા.]

નયવિજ્ય-૫ [                ] : જૈન સાધુ. ભાણવિજ્યના શિષ્ય. ૪ કડીની ‘નવપદજીની સ્તુતિ’(મુ.)ના કર્તા. આ કૃતિ કવચિત નયવિજ્યશિષ્ય ભાણવિજ્યની છાપથી પણ મુદ્રિત મળે છે. કૃતિ : ૧. ચિત્રમય શ્રીપાલ રાસ, સં. સારાભાઈ મ. નવાબ, ઈ.૧૯૬૧; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. નવપદ મહાત્મ્ય અને વીશ સ્થાનક તપગુણ વર્ણનમ્, પ્ર. દેવકરણ વા. શેઠ, ઈ.૧૯૧૫; ૪. શ્રીપાળ રાજાનો રાસ, પ્ર. જૈન આત્માનંદ સભા, સં. ૧૯૯૦. [કા.શા.]

નયવિજ્યશિષ્ય : આ નામે મળતી કેટલીક કૃતિઓમાંથી ૫ કડીનું ‘મલ્લિનાથ-સ્તવન’(મુ.) તથા ૪ કડીનું ‘ઋષભજિન-સ્તવન’, એ નયવિજ્યશિષ્ય યશોવિજ્યની કૃતિઓ હોવાનું નિશ્ચિત થાય છે. તે ઉપરાંત ૨૧ કડીનું ‘જિનસહસ્ત્રનામવર્ણન-છંદ’ (મુ.) પણ યશોવિજ્યની કૃતિ ગણવામાં આવી છે. પરંતુ અન્ય ૨ ‘વીરજિન-સ્તવન’(મુ.), ‘ગૌતમ-સ્તુતિ’ અને ‘ચંદના-સઝાય’ વિશે નિશ્ચિતપણે કહી શકાતું નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨. ૨. જિસ્તમાલા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

નયવિમલ(ગણિ) : જુઓ ધીરવિમલ શિષ્ય જ્ઞાનવિમલ.

નયનવિમલશિષ્ય [                ] : જૈન. ૫૨ કડીની ‘બારવ્રત-સઝાય’ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]

નયવિલાસ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૫૬થી ઈ.૧૬૧૪)ના શિષ્ય. ‘લોકનાલ-બાલાવબોધ’ (લે.ઈ.૧૫૯૮)ના કર્તા. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨).[કી.જો.]

નયસમુદ્ર [                ] : જૈન સાધુ. ૧૩ કડીની ‘આત્માની સઝાય’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

નયસાગર : આ નામે ૫ કડીનું ‘મહાવીર સ્વામીનું સ્તવન’ (મુ.) અને ૧ સઝાય (મુ.) મળે છે. તેના કર્તા કયા નયસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : શોભનસ્તવનાવલી, પ્ર.શા. ડાહ્યાભાઈ ફત્તેહચંદ તથા શા. મોતીલાલ મહાસુખભાઈ, ઈ.૧૮૯૭. સંદર્ભ : ફોહનામાવલિ. [કી.જો.]

નયસાગર-૧ [ઈ.૧૪૭૫માં હયાત] : નાયલગચ્છના જૈન સાધુ. ગુણસૂરિના શિષ્ય. ૨૭૪ કડીના ‘શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૪૭૫)ના કર્તા. સંદર્ભ : ડિકેટલૉગભાવિ. [કી.જો.]

નયસાગર(ઉપાધ્યાય)-૨ [ઈ.૧૭મી સદી] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૯૩થી ઈ.૧૬૬૨)ની પરંપરામાં રત્નસાગર ઉપાધ્યાયના શિષ્ય. ૮ ઢાળની ‘ચૈત્યવંદન’, ‘ચોવીશી’ તથા ૫ કડીની ‘અધ્યાત્મ-ગીત’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

નયસાર [ઈ.૧૮૪૪ સુધીમાં] : જૈન સાધુ. ૨૭ કડીના ‘ચોવીસ-જિન-છંદ’ (લે.ઈ.૧૮૪૪)ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [કી.જો.]

નયસિંહ(ગણિ) [ઈ.૧૬મી સદી] : વડતપગચ્છના જૈન સાધુ. ધનરત્નસૂરિ (ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય મુનિસિંહસૂરિના શિષ્ય. ‘ચતુર્વિંશતિ જિન-સ્તુતિ/જિનસ્તવન-ચોવીસી’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

નયસુંદર(વાચક) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-૧૭મી સદી પૂર્વાર્ધ] : વડતપગચ્છના જૈન સાધુ. ધનરત્નસૂરિની પરંપરામાં પંડિત ભાનુમેરુગણિના શિષ્ય. કવિની કૃતિઓ અધિકૃત રીતે ઈ.૧૫૮૧થી ઈ.૧૬૨૯નાં રચનાવર્ષો દર્શાવે છે. પરંતુ ‘યશોનૃપ-ચોપાઈ’ના રચનાવર્ષનો કોયડો છે. “વસુધાવસુમુનિ રસ એક” એ રચના-સંવતદર્શક પંક્તિના પહેલા ત્રણમાંથી ૧ શબ્દ વધારાનો ગણવો પડે અને તેથી સં. ૧૬૧૭થી સં. ૧૬૮૭ (પોષ વદ ૧, ગુરુવાર/ઈ.૧૫૬૧થી ઈ.૧૬૩૧) સુધીનાં પાંચેક અર્થઘટનો શક્ય બને છે અને તો કવિનો કવનકાળ થોડાંક વર્ષો આગળ કે થોડાંક વર્ષો પાછળ લઈ જઈ શકાય એમ છે. કવિની કૃતિઓ ગુજરાતી ઉપરાંત સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી ઉપરાંત ઉર્દૂ ભાષા અને સાહિત્યનો કવિનો અભ્યાસ વ્યક્ત કરે છે. કવિની સૌથી મહત્ત્વની કૃતિ ‘રૂપચંદકુંવર-રાસશ્રાવણ સુધારસ-રાસ’ (ર.ઈ.૧૫૮૧/સં.૧૬૩૭, માગશર સુદ ૫, રવિવાર; મુ.)છે. રૂપચંદકુંવર અને સોહાગસુંદરીનું કાલ્પનિક, રસિક કથાનક રજૂ કરતી મુખ્યત્વે દુહા-ચોપાઈબદ્ધ ૬ ખંડ અને ૨૫૦૦ ગ્રંથાગ્રની આ કૃતિ સમસ્યાકેન્દ્રી છે. દૃષ્ટાંતકથાઓને કારણે પ્રચુર કથારસ ધરાવે છે. તથા સમસ્યા, સુભાષિત, વર્ણન, ઉખાણાં-કહેવતોનો વિનિયોગ વગેરેમાં કવિના પાંડિત્ય અને કવિકસબનો પરિચય કરાવે છે. ૧૬ પ્રસ્તાવ અને દેશી ઢાળો ઉપરાંત ચોપાઈ, દુહા, સોરઠા આદિ અન્ય છંદોની લગભગ ૨૪૦૦ કડીનો ‘નળ દમયંતી-રાસનલાયન ઉદ્ધાર-રાસ’ (ર.ઈ.૧૬૦૯/સં.૧૬૬૫, પોષ સુદ ૮, મંગળવાર; મુ.) માણિક્યદેવસૂરિના સંસ્કૃત મહાકાવ્ય ‘નલાયન’ પર આધારિત અને તેથી મહાભારતની જૈન પરંપરાની કથાનો સમન્વય બતાવતી કૃતિ છે અને અલંકારપ્રયોજન, કાવ્યસ્પર્શવાળાં કેટલાંક ભાવચિત્રો તથા વિવિધ ભાષાનાં સુભાષિતોને કારણે ધ્યાનપાત્ર બને છે. ૨૦ ઢાળ અને ૫૧૧ કડીનો દુહા-દેશીબદ્ધ ‘સુરસુંદરીરાસ/ચોપાઈ/ચરિત્ર’ (ર.ઈ.૧૫૯૦/સં.૧૬૪૬, જેઠ સુદ ૧૩; મુ.) વિનોદમાં કહેવાયેલી ૭ કોડીએ રાજ લેવાની વાતને કારણે ૭ કોડી સાથે ત્યજી દેવામાં આવેલી સુરસુંદરીના શીલમહિમાનું કૌતુકરસિક કથાનક વર્ણવે છે. ૩૪૯ કડીનો ‘પ્રભાવતીઉદાયી રાજર્ષિઆખ્યાન-રાસ’ (ર.ઈ.૧૫૮૪/સં. ૧૬૪૦, આસો સુદ ૫, બુધવાર), વિજયશેઠ-વિજયાશેઠાણીની કથા વર્ણવતો ૧૧૭ કડીનો ‘શીલશિક્ષા/શીલરક્ષા પ્રકાશ-રાસ’(ર. ઈ.૧૬૧૩/સં.૧૬૬૯ ભાદરવા-), ૭૫૦ ગ્રંથાગ્રની ‘યશોેધરનૃપ-ચોપાઈ’ તથા ૨૨૫ કડીનો ‘થાવચ્ચા-પુત્ર-રાસ’ એ કવિની અન્ય રાસકૃતિઓ છે. નયસુંદરે ૨ ઐતિહાસિક તીર્થરાસ પણ રચેલા છે. તેમાંથી ૧૨ ઢાળ અને આશરે ૧૨૫ કડીનો શત્રુંજ્યતીર્થના કુલ ૧૬ ઉદ્ધારની અને અંતિમ ભાવિ ઉદ્ધારની કથા કહેતો ‘વિમલગિરિ/શત્રુંજ્ય/સિદ્ધાચલ ઉદ્ધાર-રાસ/ઢાલ/સ્તવન’ (ર.ઈ.૧૫૮૨/સં.૧૬૩૮, આસો સુદ ૧૩, મંગળવાર; મુ.) બહુધા માહિતીપૂર્ણ અને કવચિત્ વર્ણનાત્મક છે. ૧૩ ઢાળનો, ૧૮૪ કડીનો ગિરનારતીર્થોદ્ધારમ-હિમાપ્રબંધ-રાસ’ (મુ.) ગિરનારતીર્થોદ્ધારની માહિતીને અન્વયે કસોટીમાંથી પાર ઊતરીને નેમિનાથના દર્શનની ટેક પાળનાર રામ શેઠની કથા વણી લે છે. ૧૩૨ કડીનો ‘શંખેશ્વર પાર્શ્વનાથ-છંદ/સ્તવન’ (ર.ઈ.૧૬૦૦/સં.૧૬૫૬, આસો વદ ૯, મંગળવાર; મુ.), અનેક પાર્શ્વનાથ તીર્થોનાં નામોની યાદી કરીને એમનું મહિમાવર્ણન કરે છે, અને પાર્શ્વનાથને આર્દ્ર ભાવે વિનંતિ કરે છે. પૂર્વછાયા ઉપરાંત અડયલ, પ્રમાણિકા, મુક્તિદામ વગેરે છંદો તથા ઝડઝમકભરી ચારણી શૈલીને કારણે કાવ્ય પ્રભાવક બનેલું છે. કવિની અન્ય કૃતિઓમાં ૮ ઢાળ અને ૮૩ કડીની ‘આત્મપ્રબોધ/આત્મપ્રતિબોધ-કુલક-સઝાય/જુહારમિત્ર-સઝાય’(મુ.) સંકટ સમયે આત્માને નિત્ય મિત્રસમો દેહ અને પર્વમિત્ર સમાં સ્વજનો કામ ન આવતાં જુહારમિત્ર જેવો ધર્મ કામ આવે છે તે બતાવતી રૂપકાત્મક કથા આલેખે છે. ૧૯ કડીની ‘કોશાની ચંદ્ર પ્રત્યે વિનતિ’(મુ.) સ્થૂલિભદ્રને સંદેશા રૂપે કોશાની વિરહવેદના વર્ણવે છે. આ ઉપરાંત કવિએ ૩૫ કડીનું ‘સીમંધર જિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૯), ૬૪ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’, ૧૭ કડીનું ‘સીમંધરવિનતિ-સ્તવન’, ૧૬ કડીનું ‘નવસિદ્ધ-સ્તવન’, સ્થૂલિભદ્ર-એકવીસો/સઝાય’, ‘પ્રભાવતી-સઝાય’, ‘નેમિનાથ-ધવલ’, ‘નાટારંભપ્રબંધબદ્ધગીતકાવ્ય’, ચૈત્યવંદન વગેરે કૃતિઓ રચેલી છે. આ કવિએ સંસ્કૃતમાં ‘સારસ્વતવ્યાકરણ’ ઉપર ‘રૂપરત્નમાલા’ નામે સંસ્કૃત ટીકા રચેલી હોવાની માહિતી મળે છે. કૃતિ : ૧. ગિરનાર ઉદ્ધારરાસ, સં. મોહનલાલ દ. દેશાઈ ઈ.૧૯૨૦; ૨. આકામહોદધિ : ૩, ૬; ૩. જિસ્તકાસંદોહ : ૧; ૪. ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ, સં. શાર્લોટે ક્રાઉઝે, ઈ.૧૯૫૧; ૫. શત્રુંજ્યઉદ્ધાર, પ્ર. લાલચંદ છ. શાહ, ઈ.૧૯૧૨; ૬. શત્રુંજ્યતીર્થમાલારાસ અને ઉદ્ધારાદિકનો સંગ્રહ, પ્ર. શ્રાવક ભીમસિંહ માણક, ઈ.૧૯૨૩; ૭. શત્રુંજ્યનો ઉદ્ધારાદિક સંગ્રહ, પ્ર. મોતીલાલ ન. કાપડિયા, ઈ.૧૯૩૫;  ૮. જૈનયુગ, જેઠ ૧૯૮૨-‘કોશ્યાની ચંદ્ર પ્રત્યે વિનતિ’. સંદર્ભ : ૧. કવિ નયસુંદર, વાડીલાલ જી. ચોક્સી, ઈ.૧૯૮૧;  ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. નળ દમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦; ૫. પાંગુહસ્તલેખો; ૬. પ્રાકારૂપરંપરા;  ૭. આલિસ્ટઑઇ : ૨; ૮. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૯. જૈહાપ્રોસ્ટા; ૧૦. ડિકેટલૉગબીજે; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. રાહસૂચી : ૧, ૧૩. લીંહસૂચી; ૧૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]

નયસુંદરશિષ્ય [                ] : જૈન. ૩૨ કડીના ‘શંખેશ્વર પાર્શ્વનાથ-છંદ’ (લે.સં.૧૮મી સદી; અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

નયસોમ [                ] : જૈનસાધુ. ૭ કડીના ‘શંખેશ્વર પાર્શ્વ-સ્તવ’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહટા. [કી.જો.]

નરચંદ્ર(સૂરિ) [ઈ.૧૫૧૮ સુધીમાં] : જૈનસાધુ. ૫ કડીના ‘પડિકમણા-ભાસ’ (લે. ઈ.૧૫૧૮)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

નરપતિ-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : એમની ‘પંચદંડ-પ્રબંધ/ચોપાઈ’માં થોડા જૈન ઉલ્લેખો મળે છે પણ એ અન્ય જૈન કવિઓની રચનાઓના પ્રભાવથી આવેલા કે પ્રક્ષિપ્ત હોવાનો સંભવ જણાવાથી કવિ જૈન હોવાનું મનાયું નથી. દુહા ચોપાઈની આશરે ૮૫૦ કડી અને ‘વારતા’ નામક ગદ્ય-અંશો ધરાવતી ૫ આદેશની ‘પંચદંડ-પ્રબંધ-ચોપાઈવિક્રમાદિત્ય-ચરિત્ર-રાસ’ (રચના-આરંભ ઈ.૧૪૫૮ કે ૧૪૮૪/સં.૧૫૧૪ કે ૧૫૪૦, ભાદરવા વદ ૨, બુધવાર; મુ.) દેવદમની ગાંછણના આદેશથી વિક્રમ ૫ ચમત્કારિક દંડો પ્રાપ્ત કરે છે તેની કથા કહે છે ને રૌદ્ર-અદ્ભુતનાં ચિત્રો, હાસ્યવિનોદની રેખાઓ ને રસાળ કથાકથનથી ધ્યાનાર્હ બને છે. ૫ આદેશ અને દુહા-ચોપાઈની ૧૩૭ કડીની ‘નંદબત્રીસી-ચોપાઈ’ (ર.ઈ.૧૪૮૯) પ્રધાનપત્ની પદ્મિનીથી મોહાંધ બનેલા પરંતુ ચારિત્ર્યસ્ખલનમાંથી બચી ગયેલા નંદરાજા પ્રત્યેના પ્રધાનના વેરની જાણીતી કથા ખાસ કશી વિશેષતા વિના વર્ણવે છે. પોતાની કૃતિઓમાં સુભાષિતોનો અવારનવાર ઉપયોગ કરનાર આ કવિને નામે ‘સ્નેહપરિક્રમ/શૃંગારપ્રકમ’ (*મુ.) ‘નિ:સ્નેહપરિક્રમ/વૈરાગ્યપ્રકમ’ (*મુ.) તથા અન્ય સુભાષિત-દુહા અને ૧૦ કડીની ‘જિહ્વા-દંત-સંવાદ’ (*મુ.) નામની લઘુકૃતિ મળે છે. પહેલાં ૨ સુભાષિતસંગ્રહો નરપતિ-નાલ્હનાં માનવાનું આધારભૂત જણાતું નથી. કૃતિ : ૧. (કવિ નરપતિકૃત) પંચદંડની વાર્તા, સં. શંકરપ્રસાદ છ. રાવલ, ઈ.૧૯૩૪ (+સં.);  ૨. (*મુ.) ગુજરાતી, દીપોત્સવી અંક સં. ૨૦૦૩-‘નરપતિકૃત દંતજિહ્વાસંવાદ-જૂની ગુજરાતી કાવ્ય’, સં. ભોગીલાલ જ. સાંડેસરા; ૩. બુદ્ધિપ્રકાશ, જુલાઈ-સપ્ટે. ૧૯૩૨-‘નરપતિકૃત નંદબત્રીસી’; સં. ભોગીલાલ જ. સાંડેસરા (+સં.); ૪. (*મુ.) સંમેલનપત્રિકા, વ. ૪૬, અં. ૪-‘નરપતિ નાલ્હકી દો દુર્લભ કાવ્યકૃતિયાં’, મદનલાલ દૌલતરામ મેહતા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. નયુકવિઓ;  ૩. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો. ૧૯૬૦-નરપતિકૃત-‘પંચદંડ’ની એક જૂની હસ્તપ્રત’, સોમાભાઈ પારેખ; ૪. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો. ૧૯૬૨-‘નરપતિની બે અજ્ઞાતપ્રાય રચના’, હરિવલ્લભ ભાયાણી;  ૫. જૈગુકવિઓ : ૧, ૩(૧,૨); ૬. ડિકેટલોગબીજે; ૭. ડિકેટલોગભાવિ; ૮. મુપુગૂહસૂચી; ૯. હૈજૈજ્ઞાસૂચિ : ૧. [પ્ર.શા.]

નરપતિ-૨/નાલ્હ [                ] : કવિ પોતાને ‘નરપતિ’ તરીકે તેમ જ ‘નાલ્હ’ તરીકે ઓળખાવે છે તેમાંથી ‘નરપતિ’ એમનું નામ અને ‘નાલ્હ’ એમનું કુલનામ હોવાનું નોંધાયું છે, પરંતુ આ વિશે ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે. કવિ પોતાને ‘વ્યાસ’ તરીકે ઓળખાવે છે, તેથી જ્ઞાતિએ એ ભાટ હોવાનું અનુમાન થયું છે. જો કે એમના ‘વીસલેદ-રાસો’ની કોઈક પ્રતમાં ‘વ્યાસ’ને સ્થાને ‘જોશી’ પણ મળે છે. ૪ સર્ગ અને ૩૧૬ કડીના ‘વીસલદેવ-રાસો’ (મુ.)ની કોઈક હસ્તપ્રતમાં ર.ઈ.૧૧૫૬ (સં. ૧૨૧૨, જેઠ વદ ૯, બુધવાર) મળે છે, એ રીતે કૃતિ વીસલદેવના સમયમાં રચાયેલી ગણાય. પરંતુ અન્ય પ્રતોમાં રચનાસંવતના નિર્દેશમાં અનેક પાઠભેદો જોવા મળે છે. તે ઉપરાંત કૃતિની ભાષા તથા એમાંની ઐતિહાસિક માહિતી કૃતિ એટલી વહેલી રચાયેલી હોય એમ માનવા દે તેમ નથી. કૃતિની ભાષા હિંદીરાજસ્થાની-મિશ્ર ગુજરાતી ગણી શકાય એમ છે. આ રાસામાં રાણીના વચનથી હીરાનો હાર લેવા પરદેશ ગયેલા રાજા વીસલદેવની પરાક્રમકથા કહેવાયેલી છે. રાજાના પરદેશગમન નિમિત્તે રાણીના વિરહનું અને તેને અનુષંગે બારમાસનું વર્ણન કાવ્યમાં થયેલું છે. કૃતિ : વીસલદેવ રાસો, સં. સત્યજીવન વર્મા, સં. ૧૯૮૨ (+સં.). સંદર્ભ : ૧. રાજસ્થાનભારતી, ભા. ૩ અં. ૧-‘વીસલદેવ રાસોકી કતિપય નવીન પ્રાપ્ત પ્રતિયાં’, અગરચંદ નાહટા; ૨. * રાજસ્થાની, ભા. ૩ અં. ૧-‘વીસલદેવ રાસ ઔર ઉસકી હસ્તલિખિત પ્રતિયાં,’ અગરચંદ નાહટા;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. ગૂહાયાદી; ૫. જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]

નરભેદાસ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : કાયમુદ્દીનની પરંપરામાં નબીમિયા (ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-૧૯મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય. સંસારના સંબંધોનું મિથ્યાત્વ દર્શાવી કૃષ્ણસ્મરણનો બોધ આપતા ૧ ભજન (મુ.)ના કર્તા. કૃતિ : ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯ (+સં.). [ર.ર.દ.]

નરભેરામ : આ નામે ‘અંબાજીનો ગરબો’ (મુ.), ૨૨ કડીનો ‘ત્રિપુરા સુંદરીનો ગરબો’ (મુ.), ૧૭ કડીનો ‘મહાકાળીનો ગરબો’ (મુ.) એ કૃતિઓ મળે છે તે કયા નરભેરામની છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : સત્સંદેશશક્તિ અંક. પ્ર. નંદલાલ ચુ. બોડીવાલા. [ચ.શે.]

નરભેરામ-૧  [                ] : બેચર ભટ્ટના શિષ્ય. ૪૦ કડીના ‘મચ્છવેધ’ના કર્તા. ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ આ કવિ અને નરભેરામ-૨ને જુદા ગણે છે. ‘ગુજરાતના સારસ્વતો’ કવિને ઈ.૧૭મી સદીમાં મૂકે છે, પરંતુ એ માટે કોઈ આધાર નથી. આ કવિ નરભેરામ-૨ હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પાંગુહસ્તલેખો;  ૩. ગુજરાત શાળાપત્ર, મે ૧૯૦૮-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ;  ૪. ગૂહાયાદી. [ચ.શે.]

નરભેરામ-૨/નરભો [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૮૫૨] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવકવિ. પેટલાદ તાલુકાના પીજ ગામના વતની. પાછળથી અમદાવાદમાં વસવાટ અને ત્યાં જ અવસાન. જ્ઞાતિએ ચતુર્વેદી મોઢ બ્રાહ્મણ. છોટાલાલના શિષ્ય. કોઈક પદમાં કવિ પોતાને બેચર ભટ્ટના શિષ્ય તરીકે પણ ઓળખાવે છે. ‘ઘડપણ વિશે’ (ઈ.૧૭૬૮) અને ‘મરણતિથિ’ (ઈ.૧૮૫૨) આ બંને પદરચનાઓ કવિના જીવનસંદર્ભને સમજવામાં ઉપયોગી નીવડે છે. ‘હસતા સંતકવિ’ તરીકે ઓળખાવાયેલા આ કવિનું સર્જન મુખ્યત્વે પદોમાં થયું છે. બાળપણમાં કૃષ્ણે ગોપીઓ પાસે કરેલાં તોફાનને અને તેના નટખટ સ્વભાવને વિનોદી શૈલીમાં આલેખતી ૫ પદની ‘કૃષ્ણચરિત્ર-બાળલીલા’ (મુ.) કવિની આકર્ષક પદમાળા છે. સત્યભામા નારદને કૃષ્ણ વેચે છે એ રમુજી પ્રસંગને આલેખતી ૭ પદની ‘કૃષ્ણ-વિનોદ’(મુ.), ૧૪ પદની ‘નાગદમણ’ (મુ.), ૩૦ પદની ‘રાસમાળા’(મુ.), ૧૮ પદની ‘વામનાખ્યાન’ (મુ.), ૫ પદની ‘સત્યભામાનું રૂસણું’ (મુ.), ૧૪ પદની ‘અંબરીષનાં પદો’ (૧૨ પદ મુ.) વગેરે તેમની બીજી પદમાળાઓ છે. ‘મનને શિખામણ’ (મુ.), ‘જીવને શિખામણ’ (મુ.), ‘નિત્યકીર્તન’ (મુ.) વગેરેમાં નીતિ અને ભક્તિનો બોધ કરનારાં પદો છે. છપ્પા અને ગરબીમાં રચાયેલું ‘બોડાણા-ચરિત્ર’ (મુ.) અને કાફીઓમાં રચાયેલી ‘બોડાણાની મૂછનાં પદ’ (મુ.) એ ભક્ત બોડાણાની પ્રશસ્તિ કરતી ચરિત્રાત્મક કૃતિઓમાં તથા ‘લૂંટાયા વિશે’ (મુ.) અને ‘નાણું આપે નરભો રે’ એ આત્મચરિત્રાત્મક પદોમાં વિનોદની છાંટ છે. એ સિવાય બીજાં અનેક પ્રકીર્ણ પદો, છપ્પા અને ચાબખાની રચના કવિએ કરી છે, તે દરેકમાં કવિની ઉત્કટ રણછોડભક્તિ પ્રતીત થાય છે. ‘નરસિંહ મહેતાના દીકરાનો વિવાહ/શામળશાહનો વિવાહ’, રામ રાજિયાનાં ૫ પદ, ‘સણગાર’ અને ‘સૂરતીબાઈનો વિવાહ’ - એ કૃતિઓ આ કવિની હોવાની સંભાવના છે. કૃતિ : ૧. શ્રીકૃષ્ણચરિત્ર બાળલીલા, સં. જયંતીલાલ પારેખ, ઈ.૧૯૩૦; ૨. પ્રાકામાળા : ૨૨ (+સં.); ૩. પ્રાકાસુધા : ૩, ૪; ૪. બૃકાદોહન : ૧, ૫, ૬, ૮; ૫. સંશોધન અને અધ્યયન, બહેચરભાઈ પટેલ. ઈ.૧૯૭૬. સંદર્ભ : ૧. અભિરુચિ, ઉમાશંકર જોશી, ઈ.૧૯૫૯-‘હસતો સંતકવિ’; ૨. કવિચરિત : ૩; ૩. ગુમાસ્તંભો; ૪. ગુસાપઅહેવાલ : ૨; ૫. ધૃતિ, મોહનભાઈ શં. પટેલ, ઈ.૧૯૭૫; ૬. પ્રાકકૃતિઓ;  ૭. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રામકથા’, દેવદત્ત જોશી;  ૮. ગૂહાયાદી; ૯. ફૉહનામાવલિ. [ચ.શે.]

નરભેરામ-૩/નીરભેરામ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : કચ્છ-ભૂજના વતની. તેમણે ‘પંદરતિથિ’, ‘શરદપૂનમનો રાસ’ (ર.ઈ.૧૭૯૦/સં.૧૮૪૬, ચૈત્ર સુદ ૫, રવિવાર) તથા સાખી દેશીબંધની ૮૦ કડીની ‘બારમાસી’ (ર.ઈ.૧૭૮૭/સં.૧૮૪૩, મહાસુદ ૫, રવિવાર)ની રચના કરી છે. ‘બારમાસી’માં કૃષ્ણના મથુરાગામના પ્રસંગને વિષય બનાવીને ગોપીઓની ચૈત્રથી ફાગણ માસ સુધીની વિરહાવસ્થાનું આલેખન થયું છે. ‘ફૉહનામાવલિ’માં નિર્દિષ્ટ ‘ગોપીકૃષ્ણ-સંવાદ-બારમાસ’ એ આ જ રચના હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ફાહનામાવલિ : ૨; ૩. ફૉહનામાવલિ. [ચ.શે.]

નરવેદસાગર/નારણદાસ [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : કેવલજ્ઞાન સંપ્રદાયના કવિ. કુબેરદાસના શિષ્ય. એમણે સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાન અધ્યાત્મબોધ, ગુરુમહિમા, સંતમહિમા વગેરે વિષયની અનેક કૃતિઓ(મુ.) રચેલી છે તેમાં દરેક માસનું ૧-૧ પદ આપતી ૧ બારમાસી સાથે કુલ ૩ બારમાસી, તિથિ, કાગળ તેમ જ પ્રભાત, મંગળ, સક્રતપતિ, વસંત, હજૂર, હેલારી, ગરબી વગેરે નામોથી ઓળખાવાયેલાં પદો વગેરે લઘુકૃતિઓનો સમાવેશ થાય છે. આ લઘુકૃતિઓમાંથી કેટલીક હિંદી ભાષામાં છે તો કેટલીક હિંદીની અસરવાળી છે. આ ઉપરાંત હિંદીમાં કવિએ દરેક અક્ષર પર ૩ કડીનું અલગ પદ યોજતો ‘કક્કો’ (ર.ઈ.૧૮૪૩/સં.૧૮૯૯, ભાદરવા-૭, રવિવાર; મુ.) તથા ૫૨ અક્ષર-અંગો ધરાવતી કક્કા પ્રકારની ‘સિદ્ધાંત-બાવની’ (ર.ઈ.૧૮૫૨/સં.૧૯૦૮, અસાડ સુદ ૨, મંગળવાર; મુ.) રચેલ છે. કૃતિ : ૧. ભજનસાગર, પ્ર. અવિચળદાસજી, ઈ.૧૯૮૧ (બીજી આ.); ૨. સિદ્ધાંતબાવની ગ્રંથ, પ્ર. અવિચળદાસજી, ઈ.૧૯૭૮ (બીજી આ.). [કા.શા.]

નરશેખર [                ] : જૈન સાધુ. ગુણસાગર સૂરિની પરંપરામાં શાંતિસૂરિના શિષ્ય. ૭૦ કડીના ‘પાર્શ્વનાથ-પત્ની પ્રભાવતીહરણ’ના કર્તા. પિપ્પલકગચ્છના ગુણસાગરશિષ્ય શાંતિસૂરિ ઈ.૧૪૯૮માં હયાત હતા. એમના આ શિષ્ય હોય તો એ ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધમાં થયા ગણાય. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]

નરસિંગદાસ [                ] : ‘કર્મ-કથા’ના કર્તા. જુઓ નરસિંહદાસ-૨ સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]

નરસિંગદાસશિષ્ય [ઈ.૧૮૪૮/૧૮૪૯ સુધીમાં] : ‘કૈવલ્યધામનો કક્કો’ (લે.ઈ.૧૮૪૮/૧૮૪૯)ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]

નરસિંહ-૧ [ઈ.૧૫મી સદી] : ભક્તકવિ. જ્ઞાતિએ નાગર. પ્રચલિત માન્યતા અનુસાર તેઓ ઈ.૧૫મી સદીમાં થઈ ગયા. ‘હારમાળા’ની “સંવત પંનર બારોતર, સપતમી અને સોમવાર રે; વૈશાખ અજુઆલિ પખે નરસિનિ આપ્યો હાર રે’(૧૮૫)’ એ કડી આ માન્યતા માટેનો મુખ્ય આધાર છે. ‘હારમાળા’નું કર્તૃત્વ નરસિંહનું હોય, એમાંનું આ કડીવાળું પદ કવિનું રચેલું હોય તો આ માન્યતાને સ્વીકારી શકાય. આનંદશંકર ધ્રુવ, ક. મા. મુનશી વગેરેએ કવિના જીવનકાળને ઈ.૧૫મી સદી પરથી ખસેડી ઈ.૧૬મી સદીમાં લઈ જવાનો મત વ્યક્ત કર્યો છે. પોતાના મતના સમર્થનમાં એણે કરેલી દલીલો આમ તો અનુમાનપ્રેરિત અને નકારાત્મક છે, તો પણ નરસિંહ પર ચૈતન્યની અસર હોવાનું આનંદશંકર ધ્રુવે કરેલું અનુમાન અને ‘ગોવિંદદાસેર કડછા’ કૃતિમાં નરસિંહના ઉલ્લેખનો અભાવ એ મુનશીએ કરેલી નકારાત્મક દલીલ વિશેષ ઉલ્લેખનીય છે. પરંતુ જે આધાર પર આ અનુમાન ટકેલાં છે તે આધાર જ હવે બનાવટી પુરવાર થતાં આ આખી માન્યતા સ્વીકાર્ય બને એવી રહી નથી. એ રીતે નરસિંહ જેવી કોઈ ઐતિહાસિક વ્યક્તિ થઈ નથી. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ ઊભી કરેલી એ કલ્પિત વ્યક્તિ જ છે એવો બ. ક. ઠાકોરનો અભિપ્રાય પણ અત્યંતિક જણાય છે. કવિ જયદેવના (ઈ.૧૨મી સદી) ‘ગીતગોવિંદ’થી પ્રભાવિત છે, કવિના જીવનમાં બનેલા પ્રસંગોને વિષય તરીકે લઈ ઈ.૧૭મી સદીથી કાવ્યો રચવાં શરૂ થઈ જાય છે તથા અત્યારે કવિનાં કાવ્યોની જૂનામાં જૂની હસ્તપ્રત ઈ.૧૭મી સદીની મળે છે. એ આધારોને લક્ષમાં લઈ તેઓ ઈ.૧૨મી સદી પછી અને ઈ.૧૭મી સદી સુધીમાં થઈ ગયા એમ નિશ્ચિતપણે કહી શકાય. કવિની આત્મચરિત્રાત્મક કૃતિઓ, કવિના જીવનપ્રસંગોને વિષય બનાવી રચાયેલી મધ્યકાલીન કૃતિઓ તથા જનશ્રુતિઓ પરથી કવિના જીવનનો ઘણો વીગતપૂર્ણ આલેખ તૈયાર કરી શકાય એમ છે, પરંતુ એ ઉપલબ્ધ સામગ્રીમાં ઘણું પરસ્પર વિરોધી છે. એમાંના ઘણા આધારો પણ શંકાસ્પદ છે. એ સ્થિતિમાં કવિના જીવન વિશે ચોક્કસપણે કંઈ કહેવું ઠીકઠીક મુશ્કેલ છે. એટલે અહીં કવિના જીવનપ્રસંગોને વિષય તરીકે લઈ મધ્યકાલીન કવિઓ દ્વારા રચાયેલાં ને વિવાદાસ્પદ ન ગણાતાં કાવ્યોને આધારે મળતી કવિજીવનની માહિતી આપી છે. આ વીગતો મધ્યકાલીન કવિઓ પાસે પણ જનશ્રુતિ પરથી આવી હોવાની પૂરી સંભાવના છે. એ મુજબ કવિનું વતન જૂનાગઢ. અટક મહેતા. પત્નીનું નામ માણેક મહેતી. તેમનાંથી ૧ પુત્ર અને ૧ પુત્રી. પુત્રી કુંવરબાઈનાં લગ્ન ઉના/મંગરોળના શ્રીરંગ મહેતાના પુત્ર સાથે અને પુત્ર સામળદાસનાં લગ્ન વડનગરના મદન મહેતાની પુત્રી સુરસેના સાથે થયાં હતાં. કુંવરબાઈના સીમંત પૂર્વે માણેક મહેતી અને સામળદાસનાં મૃત્યુ થયાં હતાં. તેમનું જીવન જૂનાગઢમાં પસાર થયું હતું. તેમના જીવનમાં કેટલાક ચમત્કારિક પ્રસંગો બન્યા હતા. ભાભીનાં મર્મવચનથી રિસાઈ વનમાં જઈ તેમણે ૭ દિવસ ઉપવાસ કરી શંકરની સ્તુતિ કરી ત્યારે શંકરે પ્રસન્ન થઈ એમને કૃષ્ણના રાસનાં દર્શન કરાવ્યાં. પિતાના શ્રાદ્ધ, પુત્રના લગ્ન, પુત્રીના સીમંત તથા દ્વારકાના શેઠ પર તેમણે લખેલી હૂંડીના પ્રસંગ વખતે ઈશ્વરે તેમને આર્થિક સહાય કરી હતી. જૂનાગઢના રા’માંડલિકે તેમની ભક્તિની કસોટી કરી ત્યારે ભગવાને તેમને ગળામાં હાર પહેરાવી માંડલિકના રોષમાંથી બચાવ્યા હતા. કવિની આત્મચરિત્રાત્મક કૃતિઓ, કવિના વંશજોના પેઢીનામાં તથા અન્ય જનશ્રુતિઓ પરથી જે બીજી માહિતી મળે છે તેમાં કવિનો જન્મ ભાવનગર પાસે આવેલા તળાજા ગામ પાસે થયો હતો એ માહિતી વિશેષ ઉલ્લેખનીય છે. પરંતુ આ આધારો પરથી મળતી હકીકતોની અધિકૃતતા શંકાસ્પદ છે. હસ્તપ્રતો અને મૌખિક પરંપરામાંથી જે કૃતિઓ અત્યારે કવિને નામે મુદ્રિત સ્વરૂપે મળે છે તેમાં કર્તૃત્વના, વર્ગીકરણના અને અધિકૃત વાચનાના અનેક પ્રશ્નો ઊભા થાય છે. આજે કવિને નામે મળતી ઘણી રચનાઓ પાછળથી કવિને નામે ચડાવી દેવાઈ હોય એવી પૂરી સંભાવના છે. આ રચનાઓમાં એક તરફ ઉઘાડો શૃંગાર, ગ્રામ્ય ઉક્તિઓ ને વિચારો છે તો બીજી તરફ આધ્યાત્મિક અનુભવની ઊંચી કોટિ ને ઊર્જિતના સ્પર્શવાળી ભાષા પણ છે. કાવ્યત્વની આ અણસરખી ઊંચાઈને લીધે ૧ નહીં, ૨ કે ૩ નરસિંહ થયા હતા એવો તર્ક થયો છે. એ સ્થિતિમાં કવિની અધિકૃત રચનાઓ નક્કી કરવાનું કોઈ સાધન અત્યારે ઉપલબ્ધ ન હોય તો આ રચનાઓને નરસિંહપરંપરાની-કવિની મૂળ કૃતિઓ તથા તેમને નામે અન્ય અનુગામી કવિઓએ રચેલી-ગણવાનું હરિવલ્લભ ભાયાણીનું સૂચન વધારે યોગ્ય લાગે છે. વિવિધ આંતરિક ને બાહ્ય પ્રમાણોથી નરસિંહની ન હોય તેવી કૃતિઓ જેમ જુદી પડી જશે તેમ નરસિંહની કવિછબી સાચી રીતે ઊઘડશે. ત્યાં સુધી આ રચનાઓ પરથી કવિની સર્જનશક્તિ વિશેનાં કોઈ પણ વિધાન સાપેક્ષ રહેવાનાં. સાંપ્રદાયિક અસર વગરનાં વ્યાપક વૈષ્ણવદર્શનથી કવિ પ્રભાવિત છે. એટલે કવિની સમગ્ર કવિતાના કેન્દ્રમાં કૃષ્ણભક્તિ છે. ઈસવીસનની ૧૨મી-૧૩મી સદીથી ગુજરાતમાં વ્યાપક બની ચૂકેલી કૃષ્ણભક્તિ નરસિંહની કવિતામાં પહેલી વખત કાવ્યનું મુખ્ય પ્રેરક બળ બનતી દેખાય છે. સમગ્ર ભારતમાં ઈ.૧૨મી સદી આસપાસથી શરૂ થયેલું ભક્તિઆંદોલન ૧૪મી -૧૫મી સદી સુધીમાં ભારતના વિવિધ પ્રદેશોમાં એક જુવાળ બનીને પ્રસરી જાય છે. નરસિંહની કવિતા આ આંદોલનની અસરો રૂપે જન્મી એમ મનાય છે. ‘રાસસહસ્ત્રપદી’ ‘ચાતુરીઓ’ અને શૃંગારનાં અન્ય પદો પરથી કહી શકાય કે કવિની કૃષ્ણભક્તિ પર ભાગવત અને જયદેવના ‘ગીતગોવિંદ’ની વિશેષ અસર છે. બિલ્વમંગળની કૃષ્ણભક્તિની રચનાઓથી પણ તેઓ જ્ઞાત હોય. પરંતુ વલ્લભાચાર્યના પુષ્ટિસંપ્રદાયની કે ચૈતન્યની અસર એમની કવિતા પર નથી. અન્ય પ્રાંતોમાંથી આવતા સંતો-ભજનિક સાથેના સંપર્કને લીધે નામદેવ જેવા મરઠી સંતોની કવિતાની અસર તેમની કવિતામાં આવી હોવાની સંભાવના છે. નરસિંહ પ્રેમલક્ષણા ભક્તિના કવિ છે. “પ્રેમરસ પાને તું મોરના પીચ્છધર, તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે” એમ ગોપીભાવે કહેતા કવિમાં જ્ઞાન અને યોગથી નહીં, પ્રેમથી ઈશ્વરને પામવાની ઝંખના છે. જસોદા અને ગોપીઓના બાળકૃષ્ણ પ્રત્યેના વત્સલભાવ અને ગોપીના કૃષ્ણપ્રત્યેના પ્રણયભાવ એમ બે સ્વરૂપે આ કૃષ્ણપ્રેમ વ્યક્ત થાય છે. આ પ્રેમયુક્ત ભક્તિમાં ભક્તને મોક્ષની નહીં, ક્ષણેક્ષણે કૃષ્ણરસ-પ્રેમરસનું પાન કરવાની ઇચ્છા હોય છે એટલે ભક્ત ઈશ્વર પાસે જન્મોજન્મ અવતાર માગે છે. જો કે ભૂતળમાં ‘મોટું પદારથ’ એવી આ ભક્તિ આત્મતત્ત્વ ન જાગે ત્યાં સુધી મિથ્યા બની રહે છે. નરસિંહમાં જીવ અને ઈશ્વર વચ્ચેના ભેદનો અને સગુણ ઉપાસનાનો આમ તો સ્વીકાર છે, પરંતુ એમનાં અધ્યાત્મજ્ઞાનનાં કેટલાંક પદોમાં જીવ-ઇશ્વરનો ભેદ ટાળવાની અને અકળ, અવિનાશી, આનંદરૂપ જડ-ચેતનામાં સર્વત્ર વ્યાપી રહેલા ચૈતન્યમય પરમતત્ત્વને પ્રેમના તંતથી બાંધવાનું કહી કવિ આખરે મહત્ત્વ તો ભક્તિનું જ કરે છે. સાધુસંતો સાથેના સમાગમથી કે ઇશ્વર સાથે તાદાત્મ્ય અનુભવતાં આ ભક્તકવિનાં જ્ઞાનચક્ષુ ખૂલ્યાં હોય અને એ સ્વાનુભવમાંથી આ દર્શન આવ્યું હોય એ શક્ય છે. કવિનું સમગ્ર સર્જન આમ તો પદોમાં જ થયું છે, જેમાં કેટલીક પ્રસંગનો આધાર લઈ રચાયેલી આખ્યાનકલ્પ પદમાળાઓ છે. ભગવાનની ભક્તવત્સલતાનો મહિમા કરવા માટે રચાયેલી આ પદમાળાઓમાં કવિના અંગત જીવન વિશે માહિતી આપતી ને કવિના પોતાના જીવનપ્રસંગોને વિષય તરીકે લઈ રચાયેલી ૫ આત્મચરિત્રાત્મક પદમાળાઓ કવિને નામે મુદ્રિત સ્વરૂપે મળે છે. ઝૂલણા બંધમાં રચાયેલી આ પદમાળાઓની, ‘હારમાળા/હાર સમેનાં પદ’ને બાદ કરતાં, રચનાસાલ મળતી નથી. એમાં સૌથી વધારે વિશૃંખલ અને વિવાદાસ્પદ કૃતિ ‘હારમાળાહારસમેનાં પદ’ છે. ૫૦ પદથી ૨૩૧ પદ સુધી એની વાચનાઓ વિસ્તરેલી છે. સંવાદ અને સ્તુતિના રૂપમાં સંકલિત થયેલી આ કૃતિમાં જૂનાગઢનો રા’માંડલિક સાધુઓની ચડામણીથી નરસિંહને પોતાના દરબારમાં બોલાવી તેમની ભક્તિની કસોટી કરે છે એ પ્રસંગનું નિરૂપણ છે. કૃતિ પ્રગટ થઈ ત્યારથી એના નરસિંહકર્તૃત્વ વિશે શંકાઓ થઈ છે. કેટલાક વિદ્વાનોએ એને પ્રેમાનંદની કૃતિ માની, પણ એ માન્યતા હવે સ્વીકારાતી નથી. એનું નરસિંહકર્તૃત્વ પણ વિદ્વાનોને શંકાસ્પદ લાગે છે. હસ્તપ્રતોમાં જોવા મળતી પદોની મોટી વધ-ઘટ, પાત્રોના મુખમાં મુકાયેલાં ગ્રામ્ય વિચારો અને ઉક્તિઓ, કંઈક અનુચિત લાગે એ રીતે થતી નરસિંહની ભક્તિની પ્રશંસા વગેરે આ શંકાને દૃઢ બનાવે એવી બાબતો છે. ૨૦/૨૫ પદની ‘મામેરું/મામેરાંનાં પદ’માં ભગવાન દામોદર દોશીનો વેશ લઈ નરસિંહની પુત્રી કુંવરબાઈનું મામેરું પૂરી કેવી રીતે નરસિંહની નાગરી નાતમાં થતી હાંસીને અટકાવે છે એ પ્રસંગ વર્ણવાયો છે. પ્રેમાનંદ અને વિશ્વનાથ જાનીનાં ‘મામેરું’ની ઘેરી અસર બતાવતી હોવાને લીધે આ કૃતિનું નરસિંહકર્તૃત્વ પણ શંકાસ્પદ બને છે. એ સિવાય જાનનું અસરકારક વર્ણન કરતી ને સુદામાની કથાને કંઈક અંશે મળતી આવતી ૩૪/૩૫ પદની ‘સામળદાસનો વિવાહ/પુત્રનો વિવાહ’માં નરસિંહના પુત્ર સામળદાસના વડનગરના મદન મહેતાની પુત્રી સાથેના વિવાહ ઇશ્વરકૃપાથી કેવી રીતે હેમખેમ પાર પડે છે એ પ્રસંગ નિરૂપાયો છે. ૮ પદની ‘હૂંડી’માં નરસિંહે દ્વારકા જતા યાત્રાળુઓની વિનંતીને માન આપી ૭૦૦ રૂપિયાની હૂંડી શામળા શેઠ પર લખી આપી ને ભગવાને શેઠનું રૂપ લઈ એ હૂંડી કેવી રીતે છોડાવી અને પ્રસંગ આલેખાયો છે. પોતાના કાકાને ત્યાં પાટોત્સવ કીર્તન-સમારંભના પ્રસંગે કીર્તન કરતાંકરતાં નરસિંહે પાણી પિવડાવવા આવેલી સ્ત્રીમાં ભગવાનનું મોહિનીસ્વરૂપ જોયું એ અનુભવને ૪ પદની ‘ઝારીનાં પદ’માં વર્ણવ્યો હોવાનું મનાય છે, પરંતુ એ પ્રસંગને કોઈ પ્રમાણનો આધાર નથી. કથનના અંશ વગરની આ કૃતિમાં ભગવાનના મોહિની સ્વરૂપનું વર્ણન ચિત્રાત્મક છે. આ ૩ આત્મચરિત્રાત્મક કૃતિઓના નરસિંહકર્તૃત્વ વિશે કોઈ ચોક્કસ પ્રમાણો આપી હજી શંકા ઉપસ્થિત થઈ નથી, પરંતુ એમના નરસિંહકર્તૃત્વ વિશે પણ કેટલાક વિદ્વાનોને શંકા છે. મધ્યકાલીન કાવ્યપરંપરામાં આ પ્રકારની આત્મચરિત્રાત્મક લાંબી આખ્યાનકલ્પ કૃતિઓ રચવાની પરંપરાનો સદંતર અભાવ તથા ‘હારમાળા’ અને ‘મામેરું’ માટે ઉપર જોયાં તે કારણોને લક્ષમાં લઈએ તો નરસિંહની આ સમગ્ર આત્મચરિત્રાત્મક કૃતિઓ પાછળનાં સમયમાં નરસિંહને નામે ચડી હોવાની સંભાવના વિશેષ લાગે છે. કવિની અન્ય આખ્યાનકલ્પ પદમાળાઓમાં ભાગવતના સુદામા-પ્રસંગ પર આધારિત, ભાગવતની જેમ ઈશ્વરની ભક્તવત્સલતાનો મહિમા ગાતી, ઝૂલણાબંધની દેશીમાં રચાયેલી ૮ પદની ‘સુદામાચરિત્રસુદામાજીના કેદારા’(મુ.) ગુજરાતી કવિતામાં અત્યારે ઉપલબ્ધ સુદામાવિષયક પહેલી કૃતિ છે. ભગવાનની કથા કરતાં કૃષ્ણ-સુદામાના મૈત્રીસંબંધને અહીં વિશેષ ઉઠાવ મળે છે, પરંતુ તત્ત્વત: કૃતિ રહે છે ભક્તિપ્રધાન. મુખ્યત્વે પાત્રોના ઉદ્ગાર રૂપે ચાલતી હોવાથી એમાં કથન-વર્ણનનું તત્ત્વ ઓછું છે. હરિગીતની દેશીમાં ઢાળ-ઊથલાના બંધમાં રચાયેલી ને સંભવત: શૃંગારચાતુરીના વિષયને લીધે ‘ચાતુરીછત્રીસી’માં ‘ચાતુરીષોડશી’ નક્કર વસ્તુવાળી અને વધારે સંકલિત છે. જયદેવના ‘ગીત-ગોવિંદ’ને મળતું વિરહી કૃષ્ણ અને વિરહિણી રાધાના લલિતા સખીના દૂતીકાર્ય દ્વારા સધાયેલા મિલનનું એમાં નિરૂપણ છે. ‘ચાતુરીછત્રીસી’નાં પદોમાં ફરી ફરીને એકવિધ રીતે થતું તથા પ્રગલ્ભ ને વાચ્યાર્થની કોટિએ પહોંચતું શૃંગારવર્ણન ચમત્કૃતિ રહિત તો બને જ છે, પરંતુ એને લીધે એમાંનાં પદોની અધિકૃતતા પણ ઊણી ઊતરે છે. બળભદ્ર અને ગોવાળો સાથે વનમાં ગાયો ચરાવવા ગયેલા કૃષ્ણ રાધાને જોઈ તેની પાસે ગોરસનું દાણ માગે છે એ પ્રસંગનું આલેખન કરતી, પ્રારંભમાં રમતિયાળ શૈલીમાં ચાલતી ને કૃષ્ણના નટખટ વ્યક્તિત્વને ઉપસાવતી ૩૯ કડીની ‘દાણલીલા’(મુ.), પહેલાં ૧૦ પદમાં ભાગવતના દશમસ્કંધમાં નિરૂપતિ કૃષ્ણજન્મના પ્રસંગને અને ૧૧મા પદમાં કૃષ્ણનાં ગોકુળપરાક્રમો ને કંસહત્યાના પ્રસંગને વર્ણવતી ઢાળ-સાખીના બંધવાળી ૧૧ પદની ‘શ્રીકૃષ્ણજન્મસમાનાં પદ’(મુ.) તથા મથુરા ગયેલા કૃષ્ણને ગોકુળ પાછા પધારવા ઓધવ સાથે સંદેશો મોકલતી ગોપીની ઉક્તિ રૂપે રચાયેલી ૭/૧૦ પદની વિરહકૃતિ ‘ગોપીસંદેશ’ વગેરે કવિની અન્ય આખ્યાનકલ્પ રચનાઓ છે. ‘સુરતસંગ્રામ’ (મુ.) અને ‘ગોવિંદગમન’(મુ.) એ કવિને નામે મળતી બે આખ્યાનકલ્પ કૃષ્ણભક્તિની કૃતિઓ એમાંની કંઈક વિલક્ષણ લાગે એવી સાહસિક કલ્પના અને રસવૃત્તિ, સંખ્યાબંધ ફારસી શબ્દો અને અતિ સંસ્કૃતપ્રચુર ભાષા, ઝડઝમકને શબ્દાનુપ્રાસનો અતિયોગ, વગેરે કારણોથી અર્વાચીન સમયના કોઈ કવિએ તે રચીને નરસિંહને નામે ચડાવી દીધી હોવાનું નિશ્ચિત છે. આખ્યાનકલ્પ રચનાઓ સિવાય બીજાં વિવિધ વિષય અને ભાવનાં ૧૨૦૦ જેટલાં પદ(મુ.) કવિને નામે મળે છે, જેમાંનાં ઘણાં જનસમાજમાં ખૂબ લોકપ્રિય છે. શૃંગાર, વાત્સલ્ય અને ભક્તિજ્ઞાન એમ મુખ્ય ૩ વિભાગમાં વહેંચાતાં આ પદોમાં સૌથી વધુ પ્રમાણ શૃંગારપ્રીતિનાં પદોનું છે. ‘રાસસહસ્ત્રપદી’ (મુ.), ‘શૃંગારમાળા’(મુ.), ‘વસંતનાં પદ’(મુ.) અને ‘હિંડોળાનાં પદ’(મુ.) શીર્ષક હેઠળ મળતાં શૃંગારપ્રીતિનાં પદોમાં વિવિધ પરિસ્થિતિઓમાં વિભિન્ન રૂપે ગોપીનો કૃષ્ણ માટેનો રતિભાવ વ્યક્ત થાય છે. ભાગવતના ‘રાસપંચાધ્યાયી’ની અસરવાળાં ‘રાસસહસ્ત્રપદી’નાં શીર્ષકમાં સૂચવાય છે તેમ સહસ્ત્ર નહીં, પરંતુ ૧૮૯ પદોમાં કૃષ્ણ સાથે રાસ રમવા માટે ઉત્સુક અભિસારિકા ગોપીના શણગારનું, કૃષ્ણ સાથેની શૃંગારકેલિનું અને કૃષ્ણ સાથે રમાતા રાસનું વર્ણન છે. આ પદો મુખ્યત્વે વર્ણનાત્મક છે તો ‘શૃંગારમાળા’નાં ૫૪૧ પદો મુખ્યત્વે ગોપીની ઉક્તિ રૂપે છે. હર્ષ, લજ્જા, ઇર્ષ્યા, વ્યાકુળતા, ઇજન, વગેરે ગોપીહૃદયના વિવિધ ભાવ એમાં આલેખાય છે. વખતોવખત સ્થૂળ ને પ્રગલ્ભ રીતે કૃષ્ણ-ગોપીની શૃંગારક્રીડાને વર્ણવતાં આ પદો પર જયદેવની અસર છે. ‘વસંતનાં પદ’માં વસંતની ઉદ્દીપકતા, કૃષ્ણ-ગોપીનું હોળીખેલન, વસંતવૈભવ જોઈ ગોપીચિત્તમાં ઊલટતો આનંદ વગેરે આલેખાય છે. ‘હિંડોળાનાં પદ’માં વર્ષાઋતુમાં હિંડોળે હિંચકતા કૃષ્ણ-ગોપીની ક્રીડાનું આલેખન છે. ‘દ્વાદશમહિના/રાધાકૃષ્ણની બારમાસી’(મુ.) જેવી કૃતિમાં ગોપીવિરહ આલેખાયો છે, પરંતુ વિરહને તલસાટ કરતાં સંભોગનાં આનંદ ને તૃપ્તિ કવિનાં પદોમાં વિશેષ છે. આ શૃંગારની કોઈ કુંઠા કવિના મનમાં નથી. ભક્ત માટે તો ગોપી એટલે વૃત્તિઓ, તેમનું આત્મામાં રમી રહેવું તે રાસ અને કૃષ્ણ-ગોપીનો વિહાર તે ભક્તની બધી વૃત્તિઓનો પરમાત્મા સાથેનો યોગ છે. જસોદા અને ગોકુળવાસીઓના બાળકૃષ્ણ પ્રત્યેના વત્સલભાવને વ્યક્ત કરતાં પદોમાં કેટલાંક પદ કૃષ્ણજન્મવધામણીનાં છે. કૃષ્ણજન્મથી આનંદઉત્સવ માટે ગોપગોપીઓનું નંદને ઘરે ટોળે વળવું, ગોપીઓનાં મંગળ ગીત ગાવાં, પારણામાં ઝૂલતા કૃષ્ણને હીંચોળવા વગેરે વીગતોથી કવિએ ગોકુળવાસીઓના મનમાં જન્મેલી આનંદ ને ધન્યતાની લાગણીને નિરૂપી છે. બાળલીલાનાં ચળીસેક પદમાં કૃષ્ણે જસોદા અને ગોપીઓ પાસે કરેલાં તોફાન, બાળકૃષ્ણને જોઈ એને જમાડતાં જસોદાના હૃદયમાં જન્મતો ઉલ્લાસ વિશેષ આલેખાયો છે. કેટલાંક દાણલીલાનાં પદ કવિને નામે મળે છે, પણ એ પદો કોઈ અન્ય કવિનાં હોવાની સંભાવના વ્યક્ત થઈ છે. કવિનાં જનસમાજમાં સૌથી વધુ લોકપ્રિય તો ઝૂલણા બંધમાં રચાયેલાં ને પ્રભાતિયાં તરીકે જાણીતાં થયેલાં ભક્તિ-વૈરાગ્યબોધ અને જ્ઞાનઅનુભવનાં પદો છે. કવિના જીવનનાં પાછલાં વર્ષોમાં રચાયાં હોવાની જેમની સંભાવના છે એવાં આ પદોમાં ભક્તિનો મહિમા કરવાનું અને વૈરાગ્યબોધનું તત્ત્વ પ્રધાન છે. અહીં ક્યાંક સંસારીજનોને ઇશ્વર તરફ અભિમુખ થવાનું કવિ કહે છે, ક્યાંક કૃતક વૈષ્ણવને પુત્ર વગર પારણું બાંધતો મનુષ્ય કહી તેની મજાક કરે છે ને સાચા વૈષ્ણવનાં લક્ષણ આપે છે તો ક્યાંક ઇશ્વર સ્મરણ ન કરતા મનુષ્યને ‘સુતકી નર’ કહે છે. પણ આ પદોમાં કવિના અદ્વૈતપ્રતીતિના અનુભવને વ્યક્ત કરતાં અને ઉપનિષદકથિત પરમતત્ત્વને પ્રાસાદિક ને ઊર્જિતના સ્પર્શવાળી ભાષામાં પ્રત્યક્ષ કરતાં પદો સમગ્ર ગુજરાતી કવિતાની ચિરંજીવ સંપત્તિ બન્યાં છે. આ પદોમાં કવિની ઇશ્વરવિષયક દૃષ્ટિ પણ બદલાય છે તેની આગળ વાત થઈ છે. ઝૂલણા, ચોપાઈ, દુહા, સવૈયા, ઇત્યાદિની દેશીઓમાં રચાયેલાં ને કેદાર, વસંત, મલ્હાર વગેરે સંગીતના રાગના નિર્દેશવાળાં નરસિંહનાં પદોમાં ગરબી, થાળ, ભજન જેવા પ્રકારો જઈ શકાય છે. અન્યથા પણ આ પદોનું અભિવ્યક્તવૈચિત્ર્ય વિવિધ રીતે ધ્યાન ખેંચે છે. ઝૂલણાબંધ પરની કવિને વિશેષ ફાવટ છે તે તરત વરતાય છે. વિવિધ ભવસ્થિતિઓને મૂર્ત કરવા ઘરેલુ ભાષાથી માંડી કલ્પનાસભર ને ચિત્રાત્મક ભાષા સુધીના અનેક રૂપ સમુચિત રીતે આ છંદમાં કવિએ પ્રોયોજ્યાં છે. એ સિવાય લયવૈવિધ્યવાળી કર્ણગોચર ને શ્રુતિગોચર અનેક આકર્ષક ધ્રુવપંક્તિઓ, રવાનુકારી શબ્દોને પ્રાસઅનુપ્રાસયુક્ત શબ્દવિન્યાસથી અનુભવાતું શબ્દ-શબ્દો ને પ્રાસઅનુપ્રાસયુક્ત શબ્દવિન્યાસથી અનુભવાતું શબ્દ-માધુર્ય, લલિતમધુર કે ભવ્ય ભાવને લીલયા મૂર્ત કરી શકે એવું ભાષાકૌશલ વગેરેથી ઘણાં પદો ઊંચા કાવ્યગુણવાળાં બન્યાં છે. કવિનાં બધાં પદ એકસરખાં કાવ્યબળવાળાં નથી. એમાં ઘણાં ક્ષેપક હશે. ઉપાડની પંક્તિ આકર્ષક હોય અને પછી પદ લથડી પડતું હોય, એકનો એક ભાવ અનેક પદોમાં પુનરાવર્તિત થતો હોય, ભાવ સ્થૂળ ને વાચ્ય બની જતો હોય એવું ઘણાં પદોમાં અનુભવાય છે. ગુજરાત-રાજસ્થાનમાં અપભ્રંશની અંદર રચાયેલા પદસાહિત્યની પરંપરાનો લાભ કવિને મળ્યો હોવાનું સંભવિત છે, અને તો પણ ઉપર્યુક્ત વિષય અને અભિવ્યક્તિના વૈવિધ્યથી ગુજરાતી કવિતામાં પદસાહિત્યનો દૃઢ પાયો નાખવાનું શ્રેય નરસિંહને મળે છે. નરસિંહ પૂર્વે ગુજરાતી ભાષામાં રચાયેલી અનેક કૃતિઓ આજે ઉપલબ્ધ છે, તેથી ઐતિહાસિક દૃષ્ટિએ હવે અમને આદિ કવિ કહી શકાય એવી સ્થિતિ નથી, અને તેમ છતાં “નરસિંહમાં ગુજરાતી ભાષાને એનો પ્રથમ અવાજ સાંપડે છે” (ઉમાશંકર જોશી) એ અર્થમાં નરસિંહ ગુજરાતીના આદિ કવિ છે. કૃતિ : ૧. આદિ ભક્તકવિ નરસિંહ મેહતાકૃત કાવ્યસંગ્રહ, સં. ઇચ્છારામ સૂ. દેસાઈ, ઈ.૧૯૧૩ (+સં.); ૨. નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ, સં. શિવલાલ જેસલપુરા, ઈ.૧૯૮૧ (+સં.);  ૩. આદિકવિની આર્ષવાણી, સં. ઇશ્વરલાલ ર. દવે, ઈ.૧૯૭૩ (+સં.); ૪. નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૬૯ (+સં.); ૫. નરસિંહ મહેતાકૃત ચાતુરી, સં. ચૈતન્યબાળા દિવેટિયા, ઈ.૧૯૪૯ (+સં.); ૬. નરસિંહ મહેતા કૃત હાર-સમેનાં પદ અને હારમાળા, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૫૦ (+સં.); ૭. નરસિંહ મહેતાનાં પદ (અપ્રકાશિત), સં. રતિલાલ વી. દવે, ઈ.૧૯૮૩; ૮. નરસૈ મહેતાનાં પદ, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૬૫ (+સં.); ૯. રાસસહસ્રપદી, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૩૯;  ૧૦. પ્રાકાસુધા : ૧, ૩, ૪; ૧૧. બૃકાદોહન : ૧, ૨(+સં.), ૩થી ૮; ૧૨. (કવિ બ્રેહેદેવકૃત)ભ્રમરગીતા-અન્ય કવિઓની વૈષ્ણવ ગીતાઓ અને ઉદ્ધવ-ગોપી સંવાદોના પરિચય સમેત, સં. મંજુલાલ મજમુદાર અને અન્ય, ઈ.૧૯૬૪; ૧૩. (કવિ પ્રેમાનંદ અને નરસિંહકૃત) સુદામાચરિત, સં. મગનભાઈ દેસાઈ, ઈ.૧૯૨૪ (+સં.); ૧૪. (મહાકવિ પ્રેમાનંદ તથા બીજા આઠ કવિઓનાં) સુદામાચરિત્ર, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૨૨. સંદર્ભ : ૧. નરસિંહ ચરિત્ર વિમર્શ, દર્શના ધોળકિયા, ઈ.૧૯૯૨; ૨. નરસિંહ મહેતો, ગજેન્દ્ર લા. પંડ્યા, ઈ.૧૯૨૯; ૩. નરસિંહ મહેતો-એક અધ્યયન, કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૭૧, ૪. નરસિંહ મહેતા અધ્યયનગ્રંથ, સં. રસિક મહેતા ને અન્ય, ઈ.૧૯૮૩; ૫. નરસિંહ મહેતા-આસ્વાદ અને સ્વાધ્યાય, સં. રઘુવીર ચૌધરી ને અન્ય, ઈ.૧૯૮૩; ૬. નરસૈ મહેતા-વ્યક્તિત્વ અને કર્તૃત્વ, જેઠાલાલ ત્રિવેદી, ઈ.૧૯૭૩; ૭. નરસૈંયો ભક્ત હરિનો, ક. મા. મુનશી, ઈ.૧૯૩૩;  ૮. અનુક્રમ, જયંત કોઠારી, ઈ.૧૯૭૫-‘સુદામાની કથા : મૂળ અને વિકાસ’; ૯. કવિ ચરિત : ૧-૨; ૧૦. કૃષ્ણકાવ્ય, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૮૬ - નરસિંહ વિષયક લેખો; ૧૧. ગુલિટરેચર; ૧૨. ગુસામધ્ય; ૧૩. ગુસાઇતિહાસ : ૨; ૧૪. ગુસારસ્વતો; ૧૫. થોડાંક રસદર્શનો, ક.મા. મુનશી, ઈ.૧૯૩૩; ૧૬. નર્મગદ્ય, નર્મદાશંકર લા. દવે, ઈ.૧૯૭૫ (પહેલી આ.નું પુનર્મુદ્રણ)-‘કવિચરિત્ર’; ૧૭. ભક્તિ કવિતાનો ગુજરાતમાં ઉદ્ગમ અને વિકાસ, કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૮૧; ૧૮. સાહિત્યનિકષ, અનંતરાય રાવળ, ઈ.૧૯૬૯ (પુનર્મુદ્રણ)-‘સંતના શબ્દ’,  ૧૯. સાહિત્ય, જૂન ૧૯૩૪ - નરસૈંયાને લગતા કેટલાક પ્રશ્નો’, બ. ક. ઠકોર;  ૨૦. આલિસ્ટઑઇ : ૨; ૨૧. કેટલૉગગુરા; ૨૨. ગૂહાયાદી; ૨૩. ડિકેટલૉગબીજે. સંદર્ભ સૂચિ : નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ, સં. શિવલાલ કે. જેસલપુરા, ઈ.૧૯૮૧-સં. પ્રકાશ વેગડ. [જ.ગા.]

નરસિંહ-૨ [ઈ.૧૬૯૧ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. રત્નરાજગણિના શિષ્ય. ચંદ્રકીર્તિના શિષ્ય. હર્ષકીર્તિની મૂળ સંસ્કૃત કૃતિ ‘યોગ ચિંતામણિ’ પરના બાલાવબોધ (લે. ઈ.૧૬૯૧)ના કર્તા. સંદર્ભ : ડિકેટલૉગભાવિ. [કી.જો.]

નરસિંહ -૩ [ઈ.૧૬૯૮ સુધીમાં] : કવિ પોતાને ‘નરસિંહનવલ’ તરીકે ઓળખાવે છે પરંતુ તેમાં ‘નવલ’ શબ્દ શું સૂચવે છે તે સ્પષ્ટ થતું નથી. તેમણે ૬૭ કડવે અધૂરી રહેતી ‘ઓખાહરણ’ (લે.ઈ.૧૬૯૮) નામની કૃતિની રચના કરી છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨;  ૨. ગૂહાયાદી. [કી.જો.]

નરસિંહ-૪ [ઈ.૧૭૬૯માં હયાત] : કવિ ‘વીરક્ષેત્ર’ એટલે કે વડોદરાના વતની જણાય છે. ‘બોડાણા-ચરિત્ર’ (ર.ઈ.૧૭૬૯/સં.૧૮૨૫, માગશર વદ ૧૧, શનિવાર)ના કર્તા. કર્તાને રવિસુત કહેવામાં આવ્યા છે તે ભૂલ છે. સંદર્ભ : ૧. કદહસૂચિ; ૨. ગૂહાયાદી. [કી.જો.]

નરસિંહદાસ-૧ [ઈ.૧૬૫૨માં હયાત] : જૈનશ્રાવક. દુહા-ઢાળબદ્ધ ૩૩ કડીના ‘(મગસીમંડન) પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૫૨/સં.૧૭૦૮, પોષ વદ ૧૩; મુ.)ના કર્તા. કૃતિનો રચનાસંવત ભૂલથી સં. ૧૭૭૮ જણાવાયો છે. કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ઈ.૧૯૩૯-‘(શ્રી) મક્ષીજીમંડન પાર્શ્વનાથ-સ્તવન’, સં. જ્ઞાનવિજયજી (+સં.); ૨. એજન, ફેબ્રુ. ૧૯૪૮-(સં.૧૭૭૮માં શ્રી નરસિંહદાસ વિરચિત) મગસીમંડન જિનસ્તવન’ સં. જ્ઞાનવિજ્યજી (+સં.). [શ્ર.ત્રિ.]

નરસિંહદાસ-૨ [ઈ.૧૭૫૬ સુધીમાં] : ૨૦૦૦ ગ્રંથાગ્રના ‘ભાગવત-હરિલીલા’ (લે.ઈ.૧૭૫૬)ના કર્તા. જુઓ નરસિંગદાસ. સંદર્ભ : ૧. પ્રાકૃતિઓ;  ૨. આલિસ્ટઑઇ : ૨ [કી.જો.]

નરસિંહરામ [ ] : પિતાનામ મકન. ‘માતાકાલગણજીના છંદ’ના કર્તા. જુઓ નરસીરામ. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]

નરસી [ઈ.૧૮૦૨માં હયાત] : ક્ષત્રિય. ‘ઉત્પાત-અડસઠી’ (ર.ઈ.૧૮૦૨)ના કર્તા. સંદર્ભ : ડિકેટલૉગબીજે. {{Right|[[શ્ર.ત્રિ.]}}

નરસીરામ [ઈ.૧૭૮૨ સુધીમાં] : ૫ કડીનું ‘અફીણિયાનું કવિત’ (લે.ઈ.૧૭૮૨)ના કર્તા. જુઓ નરસિંહરામ. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૧. [કી.જો.]

નરહરિ(દાસ) [ઈ.૧૭મી સદી] : જ્ઞાનમાર્ગી કવિ. અનુશ્રુતિ મુજબ જ્ઞાતિએ કડવા કણબી. પોતાને વડોદરાના વાસી કહે છે પણ મૂળ એ બાવળા કે દહેગામના હોવાનું નોંધાયું છે, જેનો આધાર સ્પષ્ટ નથી. એક લોકપ્રચલિત દુહામાં અખાભગત, બુટિયા અને ગોપાળની સાથે એમનો જ્ઞાનમાર્ગી ધારાના કવિ તરીકે ઉલ્લેખ થાય છે, પણ એમની કૃતિઓ ઈ.૧૬૧૬થી ઈ.૧૬૫૩ સુધીમાં રચનાવર્ષો બતાવે છે, તેથી એ અખાના નજીકના પુરોગામી કવિ ઠરે છે. પોતાની કૃતિઓમાં પરમ કરુણાળુ, સ્વસ્થ, ધીર અને નમ્ર સંત તરીકે પ્રતીત થતા નરહરિમાં અખાના જેવું દુરાચાર અને મિથ્યાચારને ભાંડવાનું આકરાપણું નથી. એમના તત્ત્વવિચારમાં અંતે અપરોક્ષાનુભૂતિનું મહત્ત્વ છે ને કર્મ, ઉપાસના, કાયાકલેશ આદિ બાહ્ય સાધનોને એમણે આવશ્યક લેખ્યાં નથી, પરંતુ વૈષ્ણવી સગુણ ભક્તિનો એ આદર કરે છે એ જોતાં સગુણથી નિર્ગુણ તરફ એમનો વિકાસ થયો હોય એમ લાગે. એ રીતે વિચારીએ તો ‘હરિલીલામૃત’, ‘ભક્તિ-મંજરી’ અને ‘ગોપીઉદ્ધવ-સંવાદ’ એ ‘જ્ઞાનગીતા’ અને ‘પ્રબોધ-મંજરી’ પહેલાંની કૃતિઓ હોવાનું તથા ‘પ્રબોધ-મંજરી’ એ વેદાંતી જ્ઞાનમાર્ગી ધારાની કૃતિ રચવાનો ‘જ્ઞાનગીતા’ પૂર્વેનો પહેલો પ્રયત્ન હોવાનું અનુમાન કરી શકાય. ‘કક્કો’, ‘વિનંતી’, ‘આનંદ-રાસ’, ‘સંતનાં લક્ષણ’ જેવી પ્રકીર્ણ કૃતિઓ પ્રૌઢ અને દૃઢ બંધવાળી રચનાઓની પહેલાં સર્જાઈ હોય એમ બને, તો ‘હસ્તામલક’ની વિષયનિરૂપણની વ્યવસ્થિત યોજના અને પ્રૌઢિ એ કૃતિ નરહરિની છેલ્લી કૃતિ હોવાનું માનવા પ્રેરે. ૩૬૦ પંક્તિની ચોપાઇબદ્ધ ‘હરિલીલામૃત’(મુ.) નરહરિની સગુણ-નિર્ગુણની મિશ્રભૂમિકા વ્યક્ત કરે છે એમાં કોઈ શંકા નથી. એક બાજુથી જ્ઞાનમાર્ગી પરંપરામાં મળતાં નિરંજનદેવની સ્તુતિ, બ્રહ્મજ્ઞાની ને વિદેહીનાં લક્ષણો, આત્મભાવના અનુભવનું મહત્ત્વ વગેરે તત્ત્વો છે, તો બીજી બાજુથી કવિ સાધુના પરિત્રાણાર્થે પરબ્રહ્મરૂપ હરિ અસંખ્ય અવતાર ધારણ કરે છે એમ કહી દશાવતારનું વર્ણન કરે છે એને નવધા ભક્તિ કરનાર ભક્તોનાં દૃષ્ટાંતો આપી ભજનાનંદનો મહિમા કરે છે. સમગ્ર ઉદ્ધવપ્રસંગને આલેખતા ૭ કડવાંનાં ‘ગોપીઉદ્ધવ-સંવાદ’ (મુ.)માં ગોપીઓના પ્રેમક્ષલણા ભક્તિના ભાવોને હૃદયંગમ અભિવ્યક્તિ અપાયેલી છે ને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપવા આવેલા ઉદ્ધવ એનાથી પ્રભાવિત થઈ જતા બતાવાયેલા છે, પરંતુ અંતે કૃષ્ણ ગોપીઓને કુલક્ષેત્રમાં મળે છે તે વ્યાપક પરબ્રહ્મની અદ્વૈતાનુભૂતિ તરીકે વર્ણવાય છે. કવિએ પોતે સ્તોત્ર તરીકે ઓળખાવેલી ૩૧૫ કડીની ‘ભક્તિમંજરી’માં કવિ નિર્ગુણ, નિરાકાર, નિરંજન વિશ્વવ્યાપક મહારાજને કૃષ્ણ અને રામ તરીકે ઓળખાવી રામભક્તિનો મહિમા ગાય છે ને એમ નિર્ગુણ-સગુણની એકતા દર્શાવે છે. ચોપાઈની ૧૩૦ કડીની ‘પ્રબોધ-મંજરી’(મુ.) આત્મવિદ્યાનો બોધ કરતી કૃતિ છે, પણ એમાં વેદાંતી પરંપરાનાં જ્ઞાન, વૈરાગ્ય અને વિવેક એ સાધનોના મહિમાની સાથે સાથે વૈષ્ણવી સગુણોપાસનાનો પણ પુરસ્કાર થયેલો છે. પણ નરહરિના જ્ઞાનવિચારને પ્રૌઢ અને પરિપક્વ અભિવ્યક્તિ મળી છે ‘જ્ઞાન-ગીતા’(ર.ઈ.૧૬૧૬/સં.૧૬૭૨, કારતક સુદ ૧, ગુરુવાર; મુ.)માં. પૂર્વછાયા અને દેશીબંધનાં ૧૭ કડવાં અને ૩૪૨ કડીની આ કૃતિ ઉધૃત થયેલા જણાતાં સંસ્કૃત શ્લોકોના અર્થવિસ્તાર રૂપે રચાયેલી છે ને વેદાંતી વિચારધારાના સર્વ મહત્ત્વના વિષયોને આવરી લે છે. અહીં પણ સહજયોગની સાધનાને પુરસ્કારતા કવિ બ્રહ્માનુભવનો જે ક્રમિક વિકાસ દર્શાવે છે તેમાં પહેલી ભૂમિકા ભક્તિની છે. કાવ્યમાં કવિનું તત્ત્વજ્ઞાન દૃષ્ટાંતબળ, ‘નિર્વાણવાણી’ ને અવળવાણીના વિનિયોગ તથા પ્રાસાદિકતાથી સુબોધ બન્યું છે ને કેટલાંક હૃદ્ય નિરૂપણો પણ આપણને પ્રાપ્ત થાય છે. ‘શિવ-ગીતા’ તરીકે પણ ઓળખાવાયેલી અને ઉમા-મહેશ્વર વચ્ચેના સંવાદ રૂપે રચાયેલી ચોપાઈની ૫૦૧ કડીની ‘હસ્તામલક’ (ર.ઈ.૧૬૫૩/સં.૧૭૦૯, ચૈત્ર સુદ ૧૧) શાંકરી વિદ્યા એટલે કે બ્રહ્મવિદ્યાનું નિરૂપણ કરતી કૃતિ છે. યોગમાર્ગ, સૃષ્ટિની ઉત્પત્તિ અને બ્રહ્મજ્ઞાનના સ્વરૂપને વિસ્તારથી વર્ણવતી આ કૃતિમાં ગંગા, જમના ને સરસ્વતીનું યૌગિક અર્થઘટન થયું છે, હોમાદિને પણ આભ્યંતર કર્મ તરીકે ઘટાવ્યાં છે તે બધું લાક્ષણિક રીતે ધ્યાન ખેંચે છે. આ ગ્રંથ સવિશેષ વિચારપ્રૌઢી ને શાસ્ત્રીયતાથી ભરેલો છે. ‘તીવ્ર વૈરાગ્ય’ આદિ ૧૦ પ્રકરણોમાં વહેંચાયેલ ‘વાસિષ્ઠસાર-ગીતા’ (ર.ઈ.૧૬૧૮/સં.૧૬૭૪, મહા સુદ ૧૦, રવિવાર) ‘લઘુયોગવાસિષ્ઠ’ના અનુવાદરૂપ કૃતિ છે. તે ઉપરાંત નરહરિએ અનુવાદરૂપ ભગવદ્-ગીતા’ (ર.ઈ.૧૬૨૧/સં.૧૬૭૭, શ્રાવણસુદ ૧૦, રવિવાર; મુ.) પણ રચેલી છે. નરહરિ મૂળ કૃતિનું માત્ર ભાષાન્તર આપતા નથી, પણ કૃતિના તત્ત્વાર્થને સ્ફૂટ ને સુગ્રાહ્ય કરવા, જરૂર લાગે ત્યાં, ગાંઠનું ઉમેરીને, દૃષ્ટાંતો યોજીને, યથોચિત વિસ્તાર કરે છે. આમ, ‘ભગવદ્-ગીતા’ના ૭૦૦ શ્લોકોને એમણે ૧૧૫૬ કડીઓમાં વિસ્તાર્યાં છે. એમ કરવામાં એમણે શ્રીધરસ્વામીની ‘સુબોધિની’ ટીકાનો ઉપયોગ કર્યો હોવાનું અનુમાન થયું છે. નરહરિની લઘુ કૃતિઓમાં ૩૬ કડીનો ‘કક્કો’(મુ.) આત્મજ્ઞાનનું જ બહુ વ્યવસ્થિત નહીં એવું નિરૂપણ કરે છે. ૨૫ કડીની ‘આનંદ-રાસ’(મુ.) જ્ઞાનભક્તિબોધની કૃતિ છે. કૃષ્ણઉદ્ધવ સંવાદરૂપની ૧૩ કડીની ‘સંતનાં લક્ષણ’ (મુ.) મોટી રચના તરીકે પછીથી ‘જ્ઞાન-ગીતા’માં સમાવિષ્ટ થઈ હોવાનું જણાય છે. નરહરિને નામે ‘માસ’, ‘વિનંતી’ અને ‘જ્ઞાનરમેણી’ નોંધાયેલ છે, તેમાંથી ‘વિનંતી’નું કર્તૃત્વ એમનું જ હોવાનું નિ:સંદિગ્ધપણે કહેવાય એમ નથી. નરહરિનાં, વૈષ્ણવસંસ્કારને કારણે ‘કીર્તનો’ તરીકે ઓળખાયેલાં પદો (૨ મુ.) મળે છે, જેમાં જ્ઞાનમાર્ગી પરંપરા અનુસાર અધ્યાત્મજ્ઞાન અને ભક્તિનું છટાદાર રીતે નિરૂપણ થયું છે. કૃતિ : ૧. કવિતારૂપ વસિષ્ઠસાર, સં. વૃજભૂષણ દ. જ્યોતિષી, ઈ.૧૮૬૯; ૨. (નરહરિકૃત) જ્ઞાનગીતા, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, અનસૂયા ભૂ. ત્રિવેદી, ઈ.૧૯૬૪ (+સં.), ૩. એજન સં. સુરેશ હ. જોષી ઈ.૧૯૭૯ (+સં.), ૪. પ્રાકામાળા : ૩૨ (+સં.); ૫. વસિષ્ઠસાર-ગીતા, સં. છગનલાલ કે. મહેતા, -;  ૬. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૭. સગુકાવ્ય (+સં.);  ૮. સાહિત્ય, માર્ચ ૧૯૩૩-‘નરહરિકૃત પ્રબોધમંજરી’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. કવિચરિત : ૧-૨; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. પાંગુહસ્તલેખો;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. ગૂહાયાદી; ૭. ડિકેટલૉગબીજે; ૮. ડિકેટલૉગભાવિ; ૯. ફોહનામાવલ [સુ.જો.]

નરેન્દ્રકીર્તિ [ઈ.૧૫૯૬માં હયાત] : દિગંબર જૈન સાધુ. સકલકીર્તિની પરંપરામાં સકલભૂષણના શિષ્ય. ‘અંજના-રાસ’ (ર.ઈ.૧૫૯૬/સં.૧૬૫૨, માગસર સુદ ૧૩)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]

નરેરદાસ(મહારાજ) [ઈ.૧૭૯૫માં હયાત] : જ્ઞાનમાર્ગી કવિ. તલોદ(તા.વાગરા)ના વતની અને જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. પિતા તળજાભાઈ.ઈ.૧૭૯૫માં નિરાંત પાસેથી ઉપદેશ લીધો અને તલોદની જ્ઞાનગાદીના આચાર્ય થયા. તેમનાં મુખ્યત્વે ગુરુમહિમા વર્ણવતાં ૧૦ પદો અને આત્મજ્ઞાન તથા વૈરાગ્યનો બોધ આપતાં ૩ છપ્પા(મુ.) મળે છે. કૃતિ : ગુમુવાણી (+સં.). [દે.દ.]

નરોત્તમ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ભક્ત કવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]

નરોહર [ ] : ૪ કડીના ૧ પદ(મુ.)ના કર્તા. કૃતિ : ભસાસિંધુ. [કી.જો.]

નરોહરિ [ઈ.૧૭૩૦માં હયાત] : જ્ઞાતિએ સારસ્વત બ્રાહ્મણ. હાલારના સરપડદના વતની. સગાળશાની પ્રચલિત કથાને સાદા દેશીબંધમાં નિરૂપતા ‘ચેલૈયાનું આખ્યાન’ (ર.ઈ.૧૭૩૦) એ કૃતિના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો;  ગૂહાયાદી. [કી.જો.]

નર્બદ [ઈ.૧૪૧૪માં હયાત] : જૈન સાધુ. સોમસુંદરસૂરિના શિષ્ય. તપગચ્છના સોમસુંદરસૂરિના શિષ્ય હોય તો તેમનો સમય ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ ગણાય. તેમના નામે ૪૧ કડીનો ‘વિમલમંત્રી-રાસ’ (ર.ઈ.૧૪૧૪/સં.૧૪૭૦, ફાગણ,-સોમવાર) મળે છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

નર્બુદાચાર્ય/નર્મદાચાર્ય [ઈ.૧૬મી સદી અંત ભાગ-ઈ.૧૭મી સદી આરંભ] : તપગચ્છની કમલકલશ શાખાના જૈન સાધુ. કનક કલશના શિષ્ય. ઈ.૧૬૦૪માં તેમણે પ્રત લખેલી છે. એમણે ‘કોકશાસ્ત્ર ચતુષ્પદી/કોકકલા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૦/સં.૧૬૫૬, આસો સુદ ૧૦, બુધવાર) તથા ‘યોગમુક્તાવલી’નો ગદ્યપદ્ય-અનુવાદ રચેલ છે. ‘નર્મદ’ને નામે મળતી ૧૪ કડીની ‘શાલિભદ્ર-ભાસ’ પણ આ જ કવિની કૃતિ હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ગૂહાયાદી; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. ડિકેટલૉગબીજે; ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

નલ [ઈ.૧૭૧૦ સુધીમાં] : જૈન. ૧૬ કડીની ‘અફીણઅવગુણ-સઝાય’ (લે.ઈ.૧૭૧૦)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

‘નલદવદંતી-ચરિત્ર’ : ૫ ઢાળ અને ૬૩/૭૪ કડીની આ અજ્ઞાતકર્તૃક રાસકૃતિ (લે.ઈ.૧૪૮૩; મુ.) એની પ્રાચીનતાને કારણે નોંધપાત્ર બને છે. નલકથાની જૈન તેમ જ જૈનેતર પરંપરાનો ઉપયોગ કરતી આ લઘુ કૃતિમાં કથાનું સરલીકરણ છે ને ઘણા પ્રસંગો માત્ર ઉલ્લેખથી કહેવાય છે. પણ કવિએ સત્કર્મ વિશેનું દવદંતીનું ચિંતન તેમ દવદંતીને એના માતાપિતાની તથા નળની એના પિતાની શિખામણો તો જરા વીગતથી આપી છે ને નળે કરેલા ત્યાગ પછી દમયંતીનો વિલાપ ૧ આખી ઢાળમાં આંતરયમકવાળી ભાવાર્દ્ર પદરચનાની મદદથી નિરૂપ્યો છે. વરવહુ કંસાર ખાય છે ત્યારે એની સુગંધથી અણવરની દાઢ ગળે છે એવું વિનોદવચન અને કૂબેર કોઈ તપસ્વી પાસેથી દ્યુતવિદ્યા મેળવી નળને હરાવે છે એવું અન્યત્ર ક્યાંય ન મળતું પ્રસંગકથન લક્ષ ખેંચે છે. કૃતિ : (મહીરાજકૃત)નલદવદંતીરાસ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૫૪(+સં.). સંદર્ભ : ૧. નકવિકાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [જ.કો.]

‘નલદવદંતી-પ્રબંધ’ [ર.ઈ.૧૬૦૯/સં.૧૬૬૫, આસો વદ ૬, સોમવાર] : જયસોમશિષ્યવાચક ગુણવિનયની આ કૃતિ(મુ.) આરંભના દુહા-ચોપાઈ ઉપરાંત દેશીની ૧૬ ઢાળો અને કુલ ૩૫૩ કડીમાં રચાયેલી છે. આ નાનકડી કૃતિમાં કવિએ અન્ય ભવોની કથાઓ આપી નથી તેમ જ સ્વયંવરના પ્રસંગથી જ કથાનો આરંભ કરી મુખ્ય પ્રસંગો જ ટૂંકમાં આલેખ્યા છે. કવિ જૈન પરંપરાની નલકથાને અનુસર્યા છે તેથી અહીં હંસ અને કલિની તથા તેને અનુષંગે મત્સ્યસંજીવન આદિ પ્રસંગોની ગેરહાજરી છે, તે ઉપરાંત નલને દ્યુતનું વ્યસન પહેલેથી જ હતું તેવું આલેખાયું છે. કવિનો આશય શીલમહિમા ગાવાનો છે તેથી દવદંતીના શીલપ્રભાવને વર્ણવવા તરફ તેમણે વિશેષ લક્ષ આપ્યું છે. રચના ટૂંકી હોવા છતાં કવિએ ક્યાંક ક્યાંક સરસ પ્રસંગવર્ણન કરવાની તક લીધી છે. જેમ કે, આરંભમાં ૫૦થી વધુ કડીમાં સ્વયંવરનો પ્રસંગ વીગતે અને આલંકારિક શૈલીમાં વર્ણવાયો છે. લગ્ન પછી રથમાં જતી વખતે નલ દવદંતીની લજ્જા છોડાવે છે તે પ્રસંગનું કવિએ કરેલું વર્ણન પણ રસિક અને તાજગીભર્યું છે. આંતરયમક વગેરેથી ઓપતા વર્ણવિન્યાસ, અર્થપૂર્ણ અલંકારો, સંસ્કૃત પદાવલિ ને સમાસરચના તથા તળપદા કહેવતો-રૂઢિપ્રયોગો વગેરેમાં કવિની શૈલીની પ્રૌઢિ વરતાય છે. [ભા.વૈ.]

‘નળદમયંતી-રાસ’-૧ [ર.ઈ.૧૬૦૯/સં.૧૬૬૫, પોષ સુદ ૮, મંગળવાર] : ૧૬ પ્રસ્તાવ અને દેશી ઢાળો ઉપરાંત ચોપાઈ, દુહા, સોરઠા આદિ અન્ય છંદોની લગભગ ૨૪૦૦ કડીનો નયસુંદરકૃત આ રાસ (મુ.) માણિકયદેવસૂરિના સંસ્કૃત મહાકાવ્ય ‘નલાયન’ પર આધારિત છે અને તેથી ‘નલાયન-ઉદ્ધાર-રાસ’ તરીકે પણ ઓળખાવાયો છે. ‘નલાયન’ પોતે મહાભારતની અને જૈન પરંપરાની કથાના સમન્વયનો પ્રયાસ છે અને તેને અનુસરતી આ કૃતિ જૈન પરંપરાની રાસકૃતિઓમાં જુદી ભાત પાડે છે. ‘નલાયન’ને અનુસરવા છતાં કવિએ કેટલાક ફેરફારો પણ કર્યા છે. જેમ કે, દંડકારણ્યની ઉત્પત્તિની કથા જેવા સત્તરેક નાના મોટા પ્રસંગો જતા કર્યા છે, તો ‘હરિવંશ-પુરાણ’માંથી કદ્રુવનિતાનું દૃષ્ટાંત વગેરે કેટલાંક ઉમેરણો કર્યા છે. કવિએ ક્યાંક કથાનાં પાત્રોનાં નામો અને સંબંધો પણ ફેરવ્યાં છે. પરિસંખ્યા અને શ્લેષ અલંકારોનો આશ્રય લઈ થયેલું નળની રાજ્યસમૃદ્ધિનું, ઝડઝમકભરી પદરચનાનો આશ્રય લેતું નળનું વગેરે જેવાં કેટલાંક વર્ણનો ધ્યાનાર્હ બન્યાં છે તેમ નળદમયંતીની વિયોગાવસ્થાનાં ચિત્રણો પણ ભાવપૂર્ણ અને કાવ્યસ્પર્શવાળાં બન્યાં છે. દમયંતીનો કરુણ વિલાપ વિવિધ દેશીઓ ને ધ્રુવાઓવાળાં કેટલાંક સુંદર ગીતોમાં રજૂ થયો છે. દૃષ્ટાંતની સહાયથી પ્રસંગેપ્રસંગે અપાયેલો બોધ અને સ્થળેસ્થળે પ્રાકૃત, અપભ્રંશ, હિંદી, ફારસી, ગુજરાતી સુભાષિતોની ગૂંથણી આ કૃતિની તરી આવતી લાક્ષણિકતા છે. અનેક ગ્રંથોમાંથી લીધેલાં સુભાષિતો કવિની વિદ્વત્તા અને બહુશ્રુતતાની સાખ પૂરે છે તે ઉપરાંત કવિનો વિવિધ ભાષાપ્રયોગશોખ પણ નોંધપાત્ર છે. અન્ય ભાષાનાં સુભાષિતોનો કેટલીક વાર ગુજરાતી અનુવાદ અપાયો છે. ધર્મબોધનો વારંવાર પ્રગટ થતો હેતુ, અતિવિસ્તારી કથાકથન અને ક્યારેક વાગાડંબર અને શબ્દવિલાસમાં સરી પડતી ભાષાભિવ્યક્તિ આ કૃતિની અન્ય લાક્ષણિકતાઓ છે.[કા.શા.]

‘નલદવદંતીરાસ’-૨ [ર.ઈ.૧૫૫૬/સં.૧૬૧૨, ભાદરવા સુદ ૯] : દુહા, ચોપાઈ આદિ માત્રામેળ છંદો અને દેશી ઢાળોની ૧૨૫૪ કડીમાં બંધાયેલો મહીરાજકૃત આ રાસ(મુ.) બહુધા હેમચંદ્રના ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર’માંની જૈન પરંપરાની કથાને અનુસરે છે ને કેટલાંક નિરૂપણો અને કલ્પનાઓમાં પુરોગામી કવિ ઋષિવર્ધનનો તથા દેવપ્રભસૂરિકૃત ‘પાંડવચરિત્ર’નો પ્રભાવ બતાવે છે. પૂર્વેના કવિઓ કરતાં મોટું કદ ધરવતા આ રાસમાં નલદવદંતીના પૂર્વભવના પ્રસંગો થોડી વીગતે વર્ણવાયા છે, દૃષ્ટાંતો ને સુભાષિતોની મદદથી વારંવાર ને પરંપરાગત વર્ણનોનો આશ્રય લેવાયો છે. એ વર્ણનોમાં દવદંતીના વિરહને સંદર્ભે થયેલું જનજીવનની વાસ્તવિક રેખાઓને વણી લેતું ઋતુવર્ણન જેવાં કેટલાંક વર્ણનો ધ્યાન ખેંચે છે.[ભો.સાં.]

‘નલદવદંતીરાસ’-૩ [ર.ઈ.૧૬૧૭] : ખરતરગચ્છના ઉપાધ્યાય સકલચંદ્રના શિષ્ય સમયસુંદરની ૩૮ ઢાળ અને ૬ ખંડમાં વિભક્ત આ કૃતિ(મુ.)માં ‘પાંડવચરિત્ર’ અને ‘નેમિચરિત્ર’ની જૈન નલકથાને કવિ અનુસર્યા હોવાથી નલ-દવદંતીની જૈન પરંપરામાં પ્રચલિત કથા જ મળે છે. નલ અને દવદંતીના ભવથી કથાની શરૂઆત કરી તેમના પૂર્વજન્મની વાત વચ્ચે સંક્ષેપમાં કહી દેવાને લીધે ને છઠ્ઠા ખંડમાં તેમના પછીના ભવની વાત વિસ્તારથી કહેવાને લીધે કવિ પુરોગામીઓથી જુદા ફંટાય છે.એનાથી છઠ્ઠો ખંડ આખી કૃતિમાં મૂળ કથાપ્રવાહથી જુદો પડી જતો લાગે છે. શૃંગાર, કરુણ, અદ્ભુત ને શાંત રસનું નિરૂપણ પ્રસંગોપાત કૃતિમાં થયું છે તોપણ કોઈ એક રસ કૃતિના કેન્દ્રમાં હોય એમ કહી શકય એવું નથી. એટલું જ નહીં કેટલીક ભાવપૂર્ણ પરિસ્થિતિઓને જેટલી ખીલવવી જોઈએ તેટલી કવિએ ખીલવી પણ નથી. વર્ણનોય બહુધા પ્રણાલિકાનુસારી છે. તો પણ નળ અને કુબરના દ્યુતનો પ્રસંગ, નળ અને દવદંતી વચ્ચેનો આનંદપ્રમોદ, દવદંતીનો ત્યાગ કરતી વખતે નળના ડાબા અને જમણા હાથ વચ્ચે થતા સંવાદ દ્વારા વ્યક્ત થયેલો નળનો દ્વિધાભાવ ઇત્યાદિ ઘણી જગ્યાએ કવિનું આલેખન પોતાની આગવી ચમત્કૃતિ ધારણ કરે છે. મારવાડી અને ફારસી શબ્દોની અસર કૃતિની શૈલીમાં અનુભવાય છે.[જ.ગા.]

‘નલરાય/દવદંતીચરિત-રાસ’ [ર.ઈ.૧૪૫૬] : દુહા, ચોપાઈ અને દેશીની ૩૨૧ કડીમાં નિબદ્ધ, અંચલગચ્છના જયકીર્તિસૂરિના શિષ્ય ઋષિવર્ધનસૂરિની આ કૃતિ(મુ.) ગુજરાતીમાં કવિ ચંપના આ વિષયના સૌ પ્રથમ રાસ પછી આવતી હોઈ અને અનુગામી મહીરાજ અને મેઘરાજના રાસો પર એની અસર પડેલી હોઈ ઐતિહાસિક દૃષ્ટિએ નોંધપાત્ર કૃતિ બને છે. પ્રમાણમાં નાનકડી આ કૃતિમાં પણ આરંભમાં નળદમયંતીના ૨ પૂર્વભવોની કથા થોડા વિસ્તારથી વર્ણવાઈ છે, અને અંતે ૧ ઉત્તરભવનો ટૂંકમાં ઉલ્લેખ થયો છે. આ ઉપરાંત, અહીં ઉલ્લેખાયેલા દેવલોકના ૩ ભવોની કથા સાથે નળદમયંતીના કુલ ૭ ભવોની કથા આપણને મળે છે. કથાવસ્તુ માટે કવિએ હેમચંદ્રાચાર્યકૃત ‘ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત’ અને રામચંદ્રસૂરિકૃત ‘નલવિલાસ-નાટક’નો આધાર લીધો છે. તેમાં ભીમ રાજાએ મોકલેલો બ્રાહ્મણ નળદમયંતીની કથાનું નાટક ભજવીને હુંડિક એ જ નળ છે એમ શોધી કાઢે છે તે ‘નલ-વિલાસ-નાટક’ આધારિત ઘટના આપણને માત્ર ઋષિવર્ધનના આ ગુજરાતી રાસમાં જ મળે છે. બીજી બાજુથી નળના દૂત તરીકે કામ કરતા હંસના વૃત્તાંતનો સદંતર અભાવ પણ ધ્યાન ખેંચે છે. નળરાજાની બહેન નવરંગ ચૂંદડી ઓઢી લૂણ ઉતારે છે, સુખમાં જીવન પસાર કરતાં નળદમયંતીને પિતા નિષધદેવ દેવલોકમાંથી આવી કેટલીક સચોટ શિખામણ આપે છે વગેરે કેટલીક નાની વીગતો આ કાવ્યમાં નવી મળે છે. તેમાં સમયનું પ્રતિબિંબ ઝીલવાની કે જીવનબોધ આપવાની કવિની વૃત્તિ દેખાય છે. છેલ્લા ભવમાં દમયંતી ગૃહસ્થજીવનમાં જ કેવળજ્ઞાન પામી મોક્ષ મેળવે છે, એ વાત પણ ધ્યાનાર્હ છે. કદની દૃષ્ટિએ નાના આ રાસમાં કવિને પાત્ર, પ્રસંગ કે રસના નિરૂપણમાં ઝડપ રાખવી પડી છે તેમ છતાં દમયંતીનું રૂપસૌંદર્ય, નળનો જન્મમહોત્સવ, નળ અને દધિપર્ણે પરસ્પર વિદ્યાઓનો કરેલો વિનિયમ અને નળની કસોટીઓ વગેરેના વર્ણનમાં કવિ કેટલોક કાવ્યગુણ લાવી શક્યા છે. એકંદર કવિનું વક્તવ્ય સચોટ અને લાઘવયુક્ત રહ્યું છે એ પણ લાભ છે. [શ્ર.ત્રિ.]

‘નલાખ્યાન’-૧ : (૧૫મી-૧૬મી સદી) ભાલણકૃત વલણ કે ઊથલા વગરનાં વિવિધ રાગવાળી દેશીઓનાં ૩૦/૩૩ કડવાંમાં રચાયેલું મધ્યકાલીન ગુજરાતી કવિતાનું નલવિષયક પહેલું આખ્યાન(મુ.). મહાભારતના આરણ્યકપર્વની ‘નલોપાખ્યાન’ની કથાને અનુસરવાનું વલણ કવિનું વિશેષ રહ્યું છે, પરંતુ જ્યાં કવિએ વીગતને બદલી હોય કે વર્ણનોને વધારે વિસ્તારી નવી અલંકારછટા દાખવી હોય ત્યાં બહુધા શ્રીહર્ષના ‘નૈષધીયચરિત્’ મહાકાવ્ય અને ત્રિવિક્રમના ‘નલચંપૂ’ની અસર ઝીલી છે. મૂળ કથાના પ્રસંગોને વિસ્તારી કૃતિને વધારે રસાવહ બનાવવાની શક્તિ પ્રેમાનંદ જેટલી કવિ દાખવતા નથી, તો પણ શૃંગાર અને કરુણ રસની કેટલીક જમાવટ કવિ કરી શક્યા છે. અલબત્ત વનવાસ ભોગવતા યુધિષ્ઠિરના દુ:ખને હળવું કરવા બૃહદસ્વ ઋષિ દ્વારા કહેવાયેલી મૂળ કથા પ્રધાનપણે જેમ કરુણા છે તેમ અહીં પણ કરુણ રસ જ કેટલાંક મર્મસ્પર્શી પદોને લીધે વધારે પ્રભાવક છે. પાત્રોના પૌરાણિક ઉદાત્ત ચરિત્રને જાળવી રાખીને પણ તેઓ પ્રેમાનંદની નિરૂપણ કળાથી જુદા પડે છે. આ કવિને નામે ૨૭/૨૮ કડવાંનું એક બીજું ‘નળાખ્યાન’ પણ મુદ્રિત રૂપે મળે છે, પરંતુ આ કૃતિની ઉપલબ્ધ ન થતી હસ્તપ્રત, સુરુચિને આઘાત પહોંચાડે એવા કેટલાક એમાં વ્યક્ત થયેલા વિચારો, કવિની અન્ય કૃતિઓથી જુદી પડી જતી કંઈક વિલક્ષણ શૈલી ઇત્યાદિ કારણોને લીધે આ રચના એમની નથી એ હવે નિશ્ચિત બન્યું છે.[શ્ર.ત્રિ.]

‘નળાખ્યાન’-૨ [ર.ઈ.૧૬૮૬] : આખ્યાનના કાવ્યપ્રકારને ઉત્કૃષ્ટતાએ પહોંચાડનાર કવિ પ્રેમાનંદનું એમના સર્જનકાળના અંતભાગમાં રચાયેલું ૬૪ (જુદી જુદી હસ્તપ્રતો પ્રમાણે ૬૦-૬૫) કડવાંનું આખ્યાન (મુ.) મહાભારતના ‘નલોપાખ્યાન’ની જેમ આ કૃતિનોય પ્રધાનરસ કરુણ છે. પરંતુ કરુણને પોષક બને એ રીતે કૌશલપૂર્વક શૃંગાર અને હાસ્યને નિષ્પન્ન કરી કવિએ પુરોગામીઓથી ભિન્ન એવી કાવ્યરસથી છલકાતી કૃતિનું નિર્માણ કર્યું છે. પહેલાં ૩૦ કડવાંમાં હંસ પક્ષીની મધ્યસ્થી દ્વારા નળદમયંતીના હૃદય એક થાય છે અને ઇન્દ્ર, વરુણ, અગ્નિ અને યમ એ ચાર દેવોની દમયંતીને પરણવાની ઇચ્છા છતાં દમયંતી નળ સાથે લગ્ન કરે છે એ પ્રસંગો આલેખી કવિએ શૃંગારનું આ આલેખન અલૌકિક પ્રેમથી ગૂંથાયેલા દંપતી કેવાં દુ:ખગ્રસ્ત થાય છે એમ સૂચવી કરુણને વધારે વેધક બનાવે છે. “મોસાળ પધારો રે... લાડકવાયાં બે બાળ” એ હૃદયદ્રાવક ઉદ્ગારથી આરંભતો કરુણરસ ૨૨ કડવાં સુધી વધુને વધુ સઘન થતો જાય છે. ૫૩મા કડવાના હાસ્યરસના ઉછાળાઓ સાથે વળાંક આવે છે અને નાયકનાયિકાનું પુનર્મિલન નિર્વહણસંધિનાં થોડાં કડવાંમાં રચાય છે. શૃંગારની વિડંબનાના પ્રસંગ ઊભા થાય છે ત્યાં પ્રેમાનંદની આગવી હાસ્યનિષ્પત્તિની શક્તિ ખીલી ઊઠે છે, સ્વયંવરમાં દેવોની અને બીજા ‘સ્વયંવર’ વખતે ઋતુપર્ણની દમયંતીને વરવાની વરવી લોલુપતાના પ્રસંગોએ. બંને પ્રસંગે હાસ્ય પોતાની રીતે કરુણને ધાર આપી રહે છે. પોતાને પરણવા પડાપડી કરવા દેવોને જેણે અવગણ્યા તે દમયંતીને નળ વનમાં સૂતેલી તજે એ કરુણતા અછાની રહેતી નથી. બીજા ‘સ્વયંવર’માં કોડભર્યા હકપૂર્વકના ઉમેદવાર ઋતુપર્ણ સાથે સાચા પ્રેમી ‘પતિ’ને સારથિ રૂપે જવા વારો આવે એ કરુણતા ઓછી મર્મવેધક નથી. નાયક-નાયિકા છૂટાં પડે છે ને ફરી મળવા પામે છે તે દરમ્યાન ગાઢ કરુણ વિપ્રલંભ અનુભવાય છે. એમાં નળ કરતાં દમયંતીની કરુણ દશા વધુ વ્યથાકારક છે. મૂળ મહાભારતની કથામાં ન હોય એવા બે પ્રસંગો ઉમેરી કવિએ દમયંતીની કરુણ સ્થિતિને ઘેરી બનાવી છે. દેવવરદાનથી ‘અમૃતસ્ત્રાવિયા’ બનેલા દમયંતીના કરથી નીપજેલી ગેરસમજનો પહેલો પ્રસંગ કવિને નાકરમાંથી મળ્યો છે. દમયંતીની સ્થિતિ એ દ્વારા દયામણી બને છે. બીજો હારચોરીનો પ્રસંગ સંભવ છે કે નલકથાની જૈન પરંપરામાંના રાજકુંવરીનાં રત્ન ચોરાયાના પ્રસંગ પરથી આવ્યો હોય. ‘હરિ, હું કહીંએ નથી સમાતી’ એ પદમાં દમયંતીની વેદના પરાકાષ્ઠાએ પહોંચે છે. કૃતિમાં દમયંતીનું પાત્ર અનવદ્ય કંડારાયું છે. એના હૃદયની ઋજુતા અને તેની નળ પ્રત્યેની સચ્ચાઈ ગમે તેવા વિકટ સંજોગોમાં પણ અકબંધ જળવાઈ રહે છે. બાહુક જ નળ છે એવી પ્રતીતિ થતાં ‘નથી રૂપનું કામ હે ભૂપ મારા’ એવા સહજ રીતે નીકળી પડેલા ઉદ્ગારના લયમાં જ તેના હૃદયનો ઉલ્લાસ ધબકે છે. સૂતી પત્નીને વનમાં એકલી ત્યજવાના નળના ક્રૂર કર્મ પાછળ દમયંતીના ‘અમૃત સ્ત્રાવિયા’ કરને લીધે જન્મેલી ગેરસમજનો ફાળો જેવો તેવો નથી એ બતાવવામાં કવિની માનવસ્વભાવની સૂઝ ભલે પ્રગટ થતી હોય, પણ એ પ્રસંગે જે કર્કશ વાણીમાં તે દમયંતી સાથે વ્યવહાર કરે છે તેને લીધે અને બાહુકવેશે ‘માંડ્યાં વિષયીનાં ચિહ્ન’ એ એના વ્યવહાર વખતે નળનું પાત્ર હીણવાય છે, તેનું ધીરોદાત્તપણું નંદવાય છે. ઋતુપર્ણના ઘોડાઓનું સ્વભાવોક્તિયુક્ત ચિત્રણ, દમયંતીરૂપ વર્ણન કે ક્ષુધા સમાવવા નિર્વસ્ત્ર બનેલા નળને જોઈ ‘લાજ્યાં પંખી ને લાજ્યું વન’ જેવી ઊર્જિત(સબ્લાઇમ)નો અનુભવ કરાવતી પંકિતઓમાં કવિની ઉત્તમ વર્ણનશક્તિનો પરિચય થાય છે. એમાં ક્યારેક કેટલુંક કવિને પરંપરામાંથી મળ્યું હોય, ક્યારેક વસ્તુને અતિરંજિત બનાવવા જતાં ઔંચિત્યનો ભોગ પણ લેવાયો હોય, તોપણ પ્રાસાનુપ્રાસ, શબ્દપસંદગી, વક્રોક્તિ, શૈલીલહેકા કે લય એમ દરેક બાબતમાં એકધારા ઊંચા કવિકર્મની પ્રતીતિ આ કૃતિમાં થાય છે. જેને મહાકાવ્યની જોડે મૂકવા મન લલચાય એ કક્ષાની, પ્રેમાનંદની પ્રતિભાનું સફળ નૂર જેમાં ઝબક્યાં કરે છે તેવી આ કૃતિ કવિની ઉત્તમ રચના તો છે જ, પરંતુ ગુજરાતી ભાષાનાં ગણતર ઉત્તમ પુસ્તકોમાં હંમેશ સ્થાનને પાત્ર લેખાશે.[ઉ.જો.]

નવકૂંવર [ઈ.૧૮૪૧ સુધીમાં] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવયિત્રી. ‘શ્રીનાથજીનું ધોળ’ (લે.ઈ.૧૮૪૧)ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]

નળ : જુઓ નલ.

નંદ : આ નામે કેટલાંક જૈનેતર પદો અને ૧૬ કડીની ‘ચૌદ સ્વપ્ન-સવૈયા’ (લે.ઈ.સં.૧૮મી સદી અનુ.) તથા નંદસૂરિને નામે ૪ કડીનું ‘સિદ્ધાચલ/શત્રુંજ્યસ્તવન’(મુ.) એ જૈન કૃતિઓ મળે છે. આ નંદ કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. નંદસૂરિ તે નન્નસૂરિ હોવાની પણ સંભાવના છે, કેમકે નન્નસૂરિની કૃતિઓ કેટલેક સ્થાને નંદસૂરિને નામે મળેલી છે. જુઓ નન્નસૂરિ. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈરસંગ્રહ. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફોહનામાવલિ; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.; ર.ર.દ.]

નંદદાસ : આ નામે કૃષ્ણભક્તિનાં હિંદી-ગુજરાતી પદો (કેટલાંક મુ.), ‘વિરહમંજરી’, ‘અનેકાર્થમંજરી’-એ કૃતિઓ મળે છે. તેના કર્તા કયા નંદદાસ છે તે સ્પષ્ટપણે કહી શકાય એમ નથી. કૃતિ : ભાસાસિંધુ. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકેટલૉગબીજે; ૩. ડિકેટલૉગભાવિ; ૪. ફૉહનામાવલિ. [કી.જો.; શ્ર.ત્રિ.]

‘નંદ-બત્રીસી’ : પ્રધાનપત્ની પદ્મિનીના શામળની કલમના રૂઢ રૂપવર્ણનના અપવાદ સિવાય કવિતા કરતાં વાર્તાવસ્તુને કારણે રસપ્રદ બનેલી આ શામળની વાર્તા(મુ.) ચોપાઈ-દોહરા અને રોળા-ઉલ્લાલાના છપ્પાની બધી મળીને ૬૩૫ કડીમાં રચાયેલી છે. પ્રધાન વૈલોચનની રૂપવતી પત્ની પદ્મિનીના દેહના સ્પર્શથી સુવાસિત વસ્ત્રો તરફ દિવસે ભમરા આકર્ષાઈ આવતા. તેમના ત્રાસથી બચવા એ વસ્ત્ર ધોબી રાત્રે ધોતો હતો ત્યારે રાત્રિનગરચર્યાએ નીકળેલા રાજા નંદસેનને પ્રધાનપત્નીના સૌંદર્યની ધોબી પાસેથી જાણ થઈ.બીજે દિવસે પ્રધાનને કચ્છમાં ઘોડા લેવા મોકલી રાજા રાત્રે પ્રધાનને ઘેર ગયો. ગયો હતો કામાસક્તિથી પ્રેરાઈને, પણ ત્યાંના પોપટની દક્ષતાભરી વાણીથી તેમ પદ્મિનીના બોધક ઉપાયથી તેની કામવૃત્તિ વિગલિત થઈ ગઈ.“અર્ધું મન પોપટથી પળ્યું, અર્ધું નારીગુણથી ગળ્યું” એને “જાર આવ્યો તે જનક જ થયો, પસલી આપી મંદિર ગયો.” ઘેર પાછો ફરેલો પ્રધાન, પોપટ તથા પદ્મિનીના તેમ જ તે પછી રાજાના તથા પદ્મિનીનું સતીત્વ કેવા ચમત્કારથી સિદ્ધ થઈ રાજાને સજીવન કરે છે, તે વિસ્તારીને વર્ણવતી આ વાર્તા એના મધ્યકાલીન શ્રોતાઓની જેમ આજના વાચકોને ય પકડી રાખે તેવી છે. વાર્તામાં રાજા, પ્રધાન, પદ્મિની અને પોપટ એ ચારે મુખ્ય પત્રોના મોમાં સંસારજ્ઞાન અને વ્યવહાર-નીતિબોધના ઢગલાબંધ સુબોધક દોહરા-ચોપાઈ મૂકતાં કવિએ પાછું વાળીને જોયું નથી. પદ્મિનીના પિતાને ત્યાં પ્રધાનની શંકાના નિવારણાર્થે રમાતી પાસાબાજીમાં ૪ પાત્રો વડે ઉચ્ચારાતા ૨૦ અને વાવમાં પાણી પીવા જતાં રાજાએ અને પ્રધાને ૬-૬ વાર દીવાલ પર લખેલા ૧૨ એમ કુલ ૩૨ દોહરાને કારણે વાર્તાને ‘નંદ-બત્રીસી’ નામ અપાયું છે. પાસાની રમતનો પ્રસંગ શામળની સ્વતંત્ર કલ્પનાનો ઉમેરો છે. પુરોગામી ‘નંદ-બત્રીસી’ઓમાં એ નથી. [અ.રા.]

નંદયસોમ(સૂરિ) [                ] : જૈન સાધુ. ૧૦ કડીના ‘ચોવીસ જિનલંછન-ચૈત્યવંદન’ (મુ.)ના કર્તા. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૩. [કી.જો.]

નંદલાલ-૧ [ઈ.૧૭૧૮ સુધીમાં] : ‘નરસિંહ-ચરિત’ (લે.ઈ.૧૭૧૮)ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.[કી.જો.]

નંદલાલ-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ઋષિ રતિરામના શિષ્ય. ‘લબ્ધિપ્રકાશ-ચોપાઈ’(ર.ઈ.૧૮૪૭) તથા ‘જ્ઞાનપ્રકાશ’ (ર.ઈ.૧૮૨૦) મળે છે તે ઉક્ત નંદલાલ જ હોવાનું સમજાય છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]

નંદલાલ-૩ [                ] : પિતાનું નામ માણેકલાલ. પદોના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.[કી.જો.]

નંદલાલ-૪ [                ] : શ્રાવક. ‘ભરત વિષ્ણુકુમાર-રાસ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. દેસુરાસમાળા. [કી.જો.]

નંદસાગર [                ] : હિન્દીની અસરવાળી ગુજરાતી ભાષામાં રચાયેલ ૪ કડીની હોરી (મુ.)ના કર્તા. કૃતિ : જૈકાપ્રકાશ : ૧. [ર.ર.દ.]

નંદિવર્ધન(સૂરિ) [ઈ.૧૫૩૨માં હયાત] : રાજગચ્છના જૈન સાધુ. પદ્માનંદસૂરિના શિષ્ય. ઈ.૧૫૧૫નો એમનો પ્રતિમાલેખ મળે છે. એમણે ‘યાદવ-રાસ’ (ર.ઈ.૧૫૩૨) રચેલ છે. સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ ભા. ૨, દર્શનવિજ્યજી વગેરે; ઈ.૧૯૬૦;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]

નંદીસર [                ] : ૯ કડીના ‘પ્રભાતેમંગલ’ (મુ.) નામના પદના કર્તા. કૃતિ : જૈપ્રપુસ્તક : ૧. [ર.ર.દ.]

નાકર(દાસ)-૧ [ઈ.૧૬મી સદી] : આખ્યાનકાર. વીકાના પુત્ર. જ્ઞાતિએ દશાવાળ વણિક. વડોદરાના વતની. એમની કૃતિઓ ઈ.૧૫૧૬થી ઈ.૧૫૬૮ સુધીનાં રચનાવર્ષો બતાવે છે તેથી એમનો કવનકાળ ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ તથા ઉત્તરાર્ધમાં વિસ્તરે છે એમ કહેવાય. હરિહર ભટ્ટની કૃપાનો એમણે એક વખત ઉલ્લેખ કર્યો છે. તેમની પાસેથી એમણે કદાચ પૌરાણિક કથાઓનું જ્ઞાન મેળવ્યું હોય. આખ્યાનો રચીને એ વડોદરાના નાગર બ્રાહ્મણ મદનને કે એના પુત્ર (સંભવત: ન્હાન)ને પુણ્યવિસ્તારના હેતુથી લોકો સમક્ષ ગાઈ સંભળાવવા આપી દેતા હતા. પોતે સંસ્કૃત જાણતા નથી એમ કવિ કહે છે પરંતુ એમની કૃતિઓ પૌરાણિક કથાઓનું જે જ્ઞાન પ્રગટ કરે છે, કવિ કાલિદાસ, વાલ્મીકિ, વ્યાસ, શ્રીહર્ષ વગેરેથી પરિચિત જણાય છે ને એમની કૃતિઓમાં દીર્ઘ સમાસયુક્ત સંસ્કૃત પદાવલીનો પણ ઉપયોગ થયેલો જોવા મળે છે, તે બધું માત્ર શ્રૌત જ્ઞાનને આભારી હોવાનું માનવું કે કેમ તે પ્રશ્ન છે. કવિની કૃતિઓમાંથી એમનો બ્રાહ્મણો માટેનો પૂજ્યભાવ અને એમનું નમ્ર, વિવેકી અને નિસ્પૃહી વ્યક્તિત્વ પ્રગટ થાય છે. કવિ કૃષ્ણભક્ત વૈષ્ણવ જણાય છે. મધ્યકાલીન ગુજરાતી આખ્યાનકવિતામાં નાકરનું ઐતિહાસિક દૃષ્ટિએ અગત્યનું સ્થાન છે. વલણ/ઊથલાવાળો કડવાબંધ પહેલીવાર આ કવિમાં જ સિદ્ધ થયો છે. પૌરાણિક કથાવસ્તુમાં સમકાલીન રંગો ઉમેરી એને લોકભોગ્ય બનાવવાની કેડી એમણે જ પહેલી પાડી છે, જેનું અનુસરણ પછી પ્રેમાનંદે વધુ સફળતાથી કર્યુ છે. એ રીતે ભાલણ અને પ્રેમાનંદની વચ્ચે એ કડી રૂપ કવિ છે. એમણે જ ગુજરાતીમાં પ્રથમ વાર મહાભારતનાં ૯ પર્વો અને જૈમિનિના ‘અશ્વમેઘ’નાં ૫ આખ્યાનો ઉતાર્યાં છે. મહાભારતનાં પર્વોમાં નાકર આગળનાં પર્વોને સંક્ષિપ્તરૂપે સમાવી લઈને કોઈપણ પર્વને સુઘટિત રૂપ આપે છે, કેટલાંક પેટાપર્વો છોડી દે છે, કેટલાક પ્રસંગોના ટૂંકા સાર આપી ચલાવે છે, ક્યાંક કથાક્રમનિરૂપણમાં ફેરફાર કરે છે ને કવચિત્ કાવ્યોચિત પ્રસંગો પણ ઉમેરે છે. કેટલાંક પર્વોમાં કવિની નામછાપ મળતી નથી. પરંતુ આનુષંગિક પ્રમાણો એ કૃતિઓ આ કવિની જ હોવાનું જ જણાવે છે. એમનું સૌથી વધુ નોંધપાત્ર પર્વ તે ‘વિરાટપર્વ’છે. ૬૫ કડવાંની આ આખ્યાનકૃતિ (ર.ઈ.૧૫૪૫/સં.૧૬૦૧, માગશર સુદ ૧૦, સોમવાર; મુ.)માં પહેલાં ૨૧ કડવાંમાં આગળનાં પર્વોનું વૃત્તાંત વર્ણવાયું છે. આ કૃતિ જરા જુદું સપ્રયોજન કથાનિર્માણ કરવાની કવિની શક્તિ, બહુજન સમાજનાં સ્વભાવલક્ષણોનું પૌરાણિક પાત્રોમાં આરોપણ કરવાની કવિની વૃત્તિ, એમની વિનોદવૃત્તિ અને એમની અલંકાર તથા ભાષાની પ્રૌઢિનો સુભગ પરિચય કરાવે છે. ૧૧૫ કડવાંનું ‘આરણ્યકપર્વ’(મુ.) પણ કેટલાંક સુંદર ચરિત્રચિત્રણો, કેટલાંક વર્ણનો અને કવિના વાગ્વૈભવથી રમણીય બનેલું છે. ૧૦ કડવાં અને ૨૨૬ કડીના ‘શલ્ય-પર્વ’(મુ.)માં યુધિષ્ઠિરને સાંગ મયદાનવ પાસેથી મળેલી તે પ્રસંગનું વર્ણન થયું છે તથા કર્ણ જગડુશા રૂપે અવતરશે એવો ઉલ્લેખ થયો છે તે નાકરનાં ઉમેરણો છે. ૯ કડવાં અને ૨૩૪ કડીનાં ‘સૌપ્તિક-પર્વ’(મુ.)માં પાંડુપુત્રોના સંહારની વાત સાંભળી ‘તમે કેમ એમને માર્યા ? એમના મૂકેલા પિંડ અમે પામત’ એમ નિશ્વાસ મૂકી કહેતા દુર્યોધનનું ચિત્ર એના ઉદાત્ત મનોભાવથી આકર્ષક બની રહે છે. ૯ કડવાં અને ૧૯૦ કડીએ અપૂર્ણ પ્રાપ્ત થતા ‘સ્ત્રી-પર્વ’, ૩૭ કડવાંનું ‘ગદા-પર્વ’ અને ૪૩ કડવાંનું ‘ભીષ્મ-પર્વ’ બહુધા મૂલાનુસારી છે. જૈમિનીકૃત ‘અશ્વમેઘ’ને આધારે રચાયેલાં આખ્યાનો ભક્તિમહિમાનાં સ્તોત્ર જેવાં છે. ૨૩ કડવાંના ‘લવકુશ-આખ્યાન’(મુ.)માં ૧૭ કડવાં સુધી તો સીતાપરિત્યાગનું અને લવકુશજન્મ સુધીનું વૃત્તાંત ચાલે છે. લવકુશ યુદ્ધવર્ણન તો માત્ર ૬ કડવાંમાં છે. કેટલાંક સુંદર ભાવચિત્રો ધરાવતી આ કૃતિમાં કૌશલ્યા, સીતા વગેરેમાં પ્રાકૃત જનસ્વભાવનું આરોપણ થયેલું છે. ૨૬ કડવાંનું ‘મોરધ્વજ-આખ્યાન’ (મુ.) સંવાદપ્રધાન છે ને કથાને લોકગમ્ય કરવાનો કવિનો પ્રયાસ ધ્યાન ખેંચે છે. ૨૯ કડવાં અને ૭૫૦ કડીના ‘સુધન્વા-આખ્યાન’માં પણ કથાપ્રવાહને રસિક બનાવવા કવિએ કરેલા પ્રયત્નો દેખાઈ આવે છે. ૧૩ કડવાંના ‘વીરવર્માનું આખ્યાન’માં કવિએ વીરવર્માને વીર કરતાં વિશેષપણે ભક્ત તરીકે રજૂ કરેલ છે. કોઈ જાતના મંગલાચરણ વિના સીધું વીરવર્માની કથાના અનુસંધાનમાં શરૂ થતું ૩૩ કડવાંનું ‘ચંદ્રહાસ-આખ્યાન’(મુ.) ચંદ્રહાસના મધુર બાલભાવો, તત્કાલીન શિક્ષણપ્રથા, ચંદ્રહાસ પાસે જતી અને ‘વિષ’નું ‘વિષયા’ કરતી વિષયા વગેરે કેટલાંક ધ્યાનાર્હ ચિત્રો આપે છે. છેલ્લા ચિત્રનો પ્રેમાનંદે સરસ લાભ ઉઠાવ્યો છે. નાકરનાં અન્ય આખ્યાનોમાં ૬ કાંડ અને ૧૨૫ જેટલાં કડવામાં વિસ્તરેલું ‘રામાયણ’ (ર.ઈ.૧૫૬૮/સં.૧૬૨૪, આસો સુદ ૧૦, ગુરુવાર) સવિશેષ નોંધપાત્ર છે, જો કે છેલ્લા ઉત્તરકાંડનું નાકરનું કર્તૃત્વ ચર્ચાસ્પદ છે. હનુમાન એની માતા અંજનીને રામકથા કહી સંભળાવે છે એવી વિશિષ્ટ માંડણી ધરાવતી આ કૃતિમાં કેટલાક પ્રસંગોને તેમના મૂળ સાહજિક ક્રમમાં મૂકી સરળતા સાધવામાં આવી છે. તે ઉપરાંત કુંભકર્ણ અને ખાસ તો રાવણના પાત્રની ઉદાત્તતાના ચિત્રણમાં, લક્ષ્મણની મૂર્છાવેળાના રામના વિલાપનિરૂપણમાં, હનુમાનના કોમળ ભક્તિપ્રેમના આલેખનમાં કિષ્કિંધાકાંડના કવિત્વમય વર્ણનોમાં તેમ જ વિવિધ મનોહર દેશીઓના ઉપયોગમાં નાકરનો શક્તિવિશેષ પ્રગટ થાય છે. ૧૨ કડવાંનું ‘નળાખ્યાન’ (ર.ઈ.૧૫૨૫/સં. ૧૫૮૧, માગશર-૭) ભાલણ અને પ્રેમાનંદની આ વિષયની કૃતિઓ વચ્ચે મહત્ત્વની કડી સમાન છે. દમયંતીના અમૃતસ્ત્રાવિયા કર અને તેને અનુષંગે ઉપસ્થિત થતો મત્સ્યસંજીવનીનો પ્રસંગ પહેલી વાર નાકરમાં જોવા મળે છે. દમયંતી પર હારચોરીનું આળ આવે છે તે પ્રસંગ પણ આ કૃતિની ૧ હસ્તપ્રતમાં હોવાનું નોધાયું છે. તો એ પણ નાકરમાં પહેલીવાર આવ્યો છે એમ કહેવાય. હસ્તપ્રતોમાં અનેક બીજાં પદોનાં ઉમેરણોને લીધે ૨૯ કડવાંથી ૫૮ કડવાં સુધી વિસ્તરેલું પ્રાપ્ત થતું ને ૪૫ કડવાં રૂપે સંપાદિત થયેલું ‘ઓખાહરણ’(મુ.) મુખ્યત્વે ભાગવત-હરિવંશ-આધારિત કૃતિ છે, પણ એમાં ગણેશપુરાણ-આધારિત અલૂણાવ્રતનું નિરૂપણ થયેલું છે. વાંઝિયા બાણાસુરથી ચાંડાલણી મોં સંતાડે છે એ પ્રસંગ પણ પહેલવહેલો નાકરમાં જોવા મળે છે ને ઉષાને જોઈને શિવ કામવ્યાકુળ થાય છે એવું નિરૂપણ પણ નાકર જ કરે છે. આ કૃતિના કેટલાક રચનાસંવત નોંધાયેલા છે, પણ એ આધારભૂત જણતા નથી. ૨૭ કડવાંનાં ‘અભિમન્યુ-આખ્યાન’માં પણ સુભદ્રાનું માતૃહૃદય, કુંતાની રક્ષા અને કૃષ્ણના તદ્વિષયક પ્રત્યાઘાતો, ઉત્તરાનું આણું તથા સાસરવાસો, અર્જુનને કૃષ્ણનો ગીતાબોધ વગેરેનાં આલેખનો નાકરની વિશિષ્ટતા છે. ૨૨ કડવાં અને આશરે ૩૦૦ કડીનું ‘કર્ણ-આખ્યાન’ કર્ણના દાનેશ્વરીપણાને કેન્દ્રમાં રાખીને થયેલી રચના છે, તો ‘સગાળપુરી’ નામની ૨ રચનાઓ (મુ.) અન્નદાન વિના દેવલોકમાં અન્ન મળતું નથી એનો અનુભવ કરનાર કર્ણ મનુષ્યજન્મ માગી પૃથ્વી પર સગાળશા રૂપે અવતરે છે તેની કથા કહે છે. અહીં કસોટી કરનાર દેવ શિવ નથી એમાં તથા અન્ય રીતે નાકરની વૈષ્ણવતા સૂચવાય છે. ૭ કડવાં અને ૮૪/૧૧૨ કડીની ‘સગાળપુરી’માં વેગભર્યું પ્રસંગનિરૂપણ છે, ત્યારે ૧૦ કડવાં ને ૧૬૪ કડીની ‘સગાળપુરી’ થોડા વધુ પ્રસંગો સમાવે છે ને વિસ્તારથી આલેખન કરે છે. ૩૧ કડવાંનું ‘હરિશ્ચન્દ્રાખ્યાન’ (ર.ઈ.૧૫૧૬/સં. ૧૫૭૨, ભાદરવા બુદ્ધાષ્ટમી; મુ.) નાકરની રચનાવર્ષનો નિર્દેશ ધરાવતી સૌથી પહેલી કૃતિ છે ને સરળ કથાકથનથી ચાલે છે. ૧૩ કડવાંનું ‘ધ્રુવાખ્યાન’(મુ.) અને ૧૪ કડવાંનું ‘શિવવિવાહ’ (મુ.) સંપૂર્ણ મૂલાનુસારી નિરૂપણ, રચનાસંવતના એકસરખા ગરબડિયા ઉલ્લેખ, ‘કડવાં’ને સ્થાને ‘મીઠાં’ શબ્દનો પ્રયોગ, બીજે ક્યાંય જોવા નથી મળતો તેવો અનેક કડવાંઓમાં ‘નાકર’ નામછાપનો ઉપયોગ, હસ્તપ્રતનો અભાવ અને ભાષાભિવ્યક્તિની અર્વાચીનતા વગેરે કારણોથી નાકરની કૃતિઓ હોવાનો સંભવ જણાતો નથી. નાકરની લઘુકૃતિઓમાં શિવરાત્રિનો મહિમા ગાતો ‘વ્યાધ-મૃગલી-સંવાદ’ (મુ.) પાર્વતી, ઇશ્વર, વ્યાધ અને મૃગીના સંવાદ રૂપે રચાયેલ છે. ૩૧ કડીનો ‘સોગઠા’નો ગરબો’ પણ ચોપાટ ખેલતા રાધાકૃષ્ણ વચ્ચેના સંવાદનો આશ્રય લે છે અને ઉત્કટ પ્રેમોર્મિનું રમણીય આલેખન કરે છે. ‘ગરબો’ શબ્દનો આ કદાચ પહેલો પ્રયોગ છે. મહાભારતના ઉદ્યોગપર્વ આધારિત અને પ્રસંગઉમેરણ થવા છતાં સંક્ષિપ્ત ‘કૃષ્ણવિષ્ટિ’ ઓવીના લયની છંદોરચનાથી ધ્યાન ખેંચે છે, તો ૧૦ પદોએ અધૂરી ‘ભ્રમર-ગીતા’ એના ભાવમાધુર્યથી આકર્ષી રહે છે. ૫૦ પંક્તિની ‘ભીલડીના દ્વાદશમાસ’(મુ.) તથા ૨૬ કડીની ‘વિદુરની વિનતિ’(મુ.) એ કૃતિઓની હસ્તપ્રતો પ્રાપ્ય ન હોઈ એમાં નાકરના કર્તૃત્વ વિશે શંકા રહે છે. કૃતિ : ૧. ઓખાહરણ (પ્રેમાનંદ, નાકર અને વિષ્ણુદાસનાં), સં. ગજેન્દ્રશંકર લા. પંડ્યા, ઈ.૧૯૩૮ (+સં.); ૨. પ્રાકામાળા : ૧૧ (+સં.); ૩. પ્રાકાવિનોદ : ૧; ૪. પ્રાકસુધા : ૪; ૫. બૃકાદોહન : ૬, ૭, ૮ (+સં.); ૬. મહાભારત : ૨ (+સં.), ૩(+સં.), ૫; ૭. સગાળશા-આખ્યાન, સં. વ્રજરાય મુ. દેસાઈ, ઈ.૧૯૩૪ (+સં.);  ૮. પ્રાકાત્રૈમાસિક, અં. ર. ઈ.૧૮૯૨; ૯. બુદ્ધિપ્રકાશ, મેથી ડિસેમ્બર, ૧૯૨૨-‘નાકરકૃત ઓખાહરણ’; ૧૦. સાહિત્ય, ડિસે. ૧૯૨૩થી જુલાઈ ૧૯૨૪ ‘નાકરકૃત મોરધ્વજાખ્યાન’, સં. ભાનુસુખરામ નિ. મહેતા (+સં.) સંદર્ભ : ૧. કવિ નાકર એક અધ્યયન, ચિમનલાલ શિ. ત્રિવેદી ઈ.૧૯૬૬;  ૨. કવિચરિત : ૧-૨;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. ગૂહાયાદી; ૫. ડિકેટલૉગબીજે; ૬. ડિકેટલૉગભાવિ, ૭. ફૉહનામાવલિ. [ચિ.ત્રિ.]

નાકર(મુનિ)-૨ [ઈ.૧૬૪૧ સુધીમાં] : જૈન સાધુ. ‘સૂત્રકૃતાંગસૂત્ર’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૬૪૧)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૨૦, પ્ર. જેઠાલાલ જી. ગાંધી, ઈ.૧૯૫૯-પરિશિષ્ટ;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

નાકર-૩ [                ] : હરિજન ગરોડા બ્રાહ્મણ. પિતાનામ સાચર. જન્મ સિદ્ધપુર પાસે ડાભડીમાં તેમના દાદા વીરાને રાધનપુરના નવાબના ત્રાસની સામે થતાં વતન છોડવું પડ્યું તેથી પછીથી વિરમગામ તાલુકાનાં કાંઝમાં અને પાછળથી છનિયારમાં નિવાસ. કવિ ત્રિકમસાહેબ (અવ. ઈ.૧૮૦૨)ની પૂર્વે લગભગ ૫૦ વર્ષ પહેલાં થયેલા કહેવાય છે. એમની જન્મ, નામકરણ, સીમંત, લગ્ન, વાસ્તુ, હળ જોતરવું વગેરે અનેક પ્રસંગોની વિધિઓ અને એનાં મુહૂર્તો વર્ણવતી અને જ્યોતિષના અન્ય વિષયો અંગેની ‘આરજા’ નામક ૭૯ લઘુ પદ્યરચનાઓ (મુ.) મળે છે. કૃતિ : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦.[કી.જો.]

નાકર-૪ [                ] : પોતાને ‘લઘુ નાકર’ તરીકે ઓળખાવે છે. ‘કૃષ્ણ-ગીત’ (લે. સં.૧૮મી સદી અનુ.) અને ૫ કડીના ‘ભવાનીનો છંદ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાસ્વરૂપો;  ૨. ફાહનામાવલિ : ૨; ૩. મુપુગૂહસૂચી. [કી.જો.]

નાકો [                ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિના શિષ્ય. ૧૯ કડીની ‘પાંચ પાંડવ-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : સજઝાયમાલા (શ્રા) : ૧ [કી.જો.]

નાગમતી અને નાગવાળાના લોકકથાના દુહા : સવિયાણાના રજપૂત કુંવર નાગવાળા અને ત્યાં આવી ચડેલી આહીરકન્યા (કોઈ કાઠીકન્યા પણ કહે છે)ની કરુણાન્ત પ્રેમકથાના ૪૫ જેટલા દુહા (મુ.) પ્રાપ્ત થાય છે. બજારમાંથી પસાર થયેલા નાગને જોતાં વેપારીની હાટે બેઠેલી નાગમતીનું ઘી ઢોળાય છે તે વખતનો નાગમતીનો ઉદ્ગાર-“ધોળ્યાં જાવ રે ઘી, આજુનાં ઉતારનાં, ધન્ય વારો ધન્ય દિ, નીરખ્યો વાળા નાગને” - એના છલકાતા સ્નેહભાવને વ્યક્ત કરે છે, તો પરસ્ત્રીઓને કારણે પોતાના મુખ આડી ઢાલ ધરી દેતા નાગને એ “બાધી જોવે બજાર, પ્રીતમ ! તમણી પાઘને, અમણી કીં અભાગ ! ધમળના, ઢાલું દિયો” એવી વિનવણી કરે છે, તેમાં નાગના ચારિત્ર્યની ઉદાત્તતા સાથે નાગમતીની હતાશાની વેદનાને અસરકારક અભિવ્યક્તિ મળી છે. પોતે આપેલા વાયદામાં નાગમતી મોડી પડતાં એને નાગને આત્મહત્યા વહોરીને મૃત્યુ પામેલો જોવો પડે છે એ વખતે ‘નાગ’ નામનો લાભ લઈને પોતાને વાદણ કલ્પી પોતાના પ્રેમની મોરલીથી એને જગાડવાનો એ પ્રયાસ કરે છે તે ઉદ્ગારો પણ કલ્પનારસિક ને મર્મભર્યા છે - નવકુળનો નાગ તો સંગીત સાંભળીને ફેણ માંડે જ. હલકો જળસાપ નાસી જાય ! ઘનિષ્ઠ સ્નેહસંબંધથી આઠે પહોર અડકી રહેતાં પાણી અને પાળના સંબંધ સાથેની સરખામણી તળપદા જીવનમાંથી આવતી ને રોચક છે. કૃતિ : ૧. કાઠિયાવાડી સાહિત્ય : ૨. સં. કહાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩; ૨. સોરઠી ગીત કથાઓ, સં. ઝવેરચંદ મેઘાણી, *ઈ.૧૯૩૧, ઈ.૧૯૭૯ (બીજી આ.)[જ.કો.]

નાગર : આ નામે ૨ ગુજરાતી તથા ૨ હિંદી કૃષ્ણભક્તિનાં પદ નાગરનાં છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. પ્રાકાસુધા : ૧; બૃકાદોહન : ૮. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ડિકેટલૉગભાવિ. [કી.જો.]

નાગર-૧ (ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ) : વેડવના વતની. હિંદીભાષાની છાંટવાળી રવિદાસ/રવિસાહેબ (જ.ઈ.૧૭૨૭-અવ. ઈ.૧૮૦૪)ની પ્રશસ્તિ કરતી ૧૦ કડીની ‘રવિદાસને પત્ર’(મુ.) એ કૃતિના કર્તા. કૃતિ : રવિભાણ સંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, સં.૧૯૮૯.[કી.જો.]

નાગરદાસ [જ.ઈ.૧૬૩૬-ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : વૈષ્ણવ કવિ. મહદમણિ શ્રી ગોકુલભાઈજીના પુત્ર. ‘જ્ઞાનપ્રબોધ’, ‘વિરહરસ’, ‘ભજનાનંદ’, ગોમતીબહેનકૃત ‘કમનરસ’નાં છેલ્લાં ૬ માંગલ્યો (ર.ઈ.૧૬૯૫) તથા કેટલાંક ધોળ-પદના કર્તા. ‘પંચમતરંગ’નાં માંગલ્યો પણ તેમણે રચ્યાં હોવાનું કહેવાય છે. ‘યમુના સુવન વલ્લભદાસ’ એવો નામોલ્લેખ જે કૃતિઓમાં મળે છે તે કૃતિઓ નાગરદાસની છે એમ માનવું એવી નોંધ પણ મળે છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગોપ્રભકવિઓ; ૩. પુગુસાહિત્યકારો. [કી.જો.]

‘નાગ્નજિતી-વિવાહ’ : ૫ ‘મીઠાં’ નામક કડવાંનું દયારામરચિત આ નાનકડું આખ્યાનકાવ્ય (મુ.) ભાગવત દશમસ્કંધમાં આલેખાયેલ નાગ્નજિતીના કૃષ્ણ સાથેના વિવાહપ્રસંગને વર્ણવે છે. નાગ્નજિતીના પિતાએ એવો સંકલ્પ કર્યો હતો કે જે કોઈ રાજા સ્વયંવરમાં ૭ સાંઢને નાથશે તેને પોતે પોતાની પુત્રી પરણાવશે. શ્રીકૃષ્ણમાં આસક્ત નાગ્નજિતી આથી નિરાશ થાય છે કેમ કે કોઈ પણ પરાક્રમી રાજા માટે ૭ સાંઢ નાથવા એ કંઈ મોટી વાત નથી. પરંતુ અંતે એ પરાક્રમ માત્ર કૃષ્ણ જ કરી શકે છે. બહુધા પ્રસંગના સીધા કથન રૂપે ચાલતા આ આખ્યાનની કથનશૈલી પ્રૌઢિયુક્ત છે ને કૃષ્ણને સંબોધીને લખાયેલા પત્રમાં તથા અન્ય પ્રસંગે નાગ્નજિતીના આશંકા, આર્જવ, ઉત્સુકતા આદિ ભાવોને મધુર-કોમલ બાનીમાં વાચા આપી છે. સ્વયંવરપ્રસંગને નિમિત્તે હાસ્યરસનિરૂપણની લેવાયેલી થોડીક તક ને તત્કાલીનતાનો સંદર્ભ એ પણ આ કૃતિનાં આસ્વાદ્ય તત્ત્વો છે. [સુ.દ.]

નાથ(સ્વામી) [                ] : ડાકોરના સાધુ તરીકે ઓળખાવાયેલા આ કવિ પાસેથી રાધાકૃષ્ણની રસિક પ્રેમગોષ્ઠિને આલેખતી ૭૧ કડીની ‘પ્રેમચાતુરી’ (મુ.) અને કૃષ્ણપ્રીતિનાં ત્રણથી ૪ કડીનાં ૨ પદો(મુ.) એ કૃતિઓ મળે છે. ‘હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર : ૧’ માં ‘નાથ’ને નામે નોંધાયેલ ૧૫૦ કડીનો ‘કૃષ્ણરાધિકાનો ગરબો’ (લે.ઈ.૧૮૬૪) અને ‘પ્રેમચાતુરી’ એક જ કૃતિ છે કે નહીં તે સ્પષ્ટ થઈ શકતું નથી. કૃતિ : બૃકાદોહન : ૬ (+સં.). સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]

નાથજી [ઈ.૧૬૪૮ કે ઈ.૧૭૨૮માં હયાત] : જ્ઞાતિએ નાગર. પિતાનું નામ મલ્લજી કે માલજી. ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ આ કવિને જામનગર પાસેના પડધરીના નાગર કહે છે અને અનુભવાનંદ અને આમને એક જ ગણે છે. ‘કવિચરિત’ આમને જુદા ગણે છે. ‘વીનતી’ (ર.ઈ.૧૬૪૮/૧૭૨૮)ના કર્તા. જુઓ અનુભવાનંદ. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ગૂહાયાદી.[ર.સો.]

નાથાજી [ઈ.૧૮મી સદી] : કડવાગચ્છના જૈન સાધુ. લાઘાજી (ઈ.૧૭૦૦-૧૭૫૧ દરમ્યાન હયાત)ના શિષ્ય. થરાદના વતની. પિતા જેમલ વોરા. માતા બાઈ વેજી. ૧૩ વર્ષની વયે તેઓ સંવરી થયેલા. તેમની પાસેથી અનુક્રમે ૭ કડી અને ૫ કડીની એમ ૨ ‘શ્રીભાસ’(મુ.) એ કૃતિઓ મળી છે. કૃતિ : કડુઆમતીગચ્છપટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯(+સં.). [શ્ર.ત્રિ.]

નાથાજીશિષ્ય [                ] : જૈન સાધુ. ૧૬મી કડીની ‘નેમરાજુલની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસમાલા (શા.) : ૩; ૨. જૈસસંગ્રહ(જૈ.); ૩. સજઝાયમાલા : ૧(શ્રા.). [કી.જો.]

નાથો [     ] : જ્ઞાતિએ ગઢવી. ‘ગણભક્તમાળા’ અને ‘સારંગદેવ રાણાનું સામુદ્રિક’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]

નાનજી(ઋષિ)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપજીની પરંપરામાં રતનસીના શિષ્ય. ૪૯ કડીની ‘વર્ધમાન સ્વામી/મહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૧૩/સં.૧૬૬૯, આસો સુદ ૨), ૨૪ કડીની ‘પંચવરણી-સ્તવન’ (ર.ઈ.૧૬૧૩/સં. ૧૬૬૯, આસો વદ ૩૦) તથા ૩૧ કડીની ‘નેમિ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૬/સં. ૧૬૭૨, આસો વદ ૩૦) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

નાનજી-૨ [ઈ.૧૭૧૦ સુધીમાં] : જૈન શ્રાવક. અવટંકે પારેખ. ૩ કડીના ‘મહાવીર-સ્તવન’ (લે.ઈ.૧૭૧૦)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

નાનજી-૩/નાનો [                ] : કચ્છના તેરા ગામના રહેવાસી. જ્ઞાતિએ સુથાર. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હોવાનો સંભવ. કળિયુગના લક્ષણ સમા હોકો, બીડી, અફીણ જેવાં વ્યસનોની ટીકા અને હરિના દાસની પ્રશંસા કરતા ૬ કુંડળિયા (મુ.) તથા હિંદીમાં ધર્મવિમુખના આચાર-વ્યવહાર વિશેની ૯ સાખી(મુ.)ના કર્તા. કૃતિ : છંદરત્નાવલિ, પ્ર. જગદીશ્વર છાપખાનું, સં. ૧૯૪૧. [શ્ર.ત્રિ.]

નાના : આ નામથી ૧૩ કડીના ‘કૃષ્ણના દ્વાદશમાસ’ (મુ.)ના કર્તા તરીકે કોઈ સંદર્ભ શામળભટ્ટના ગુરુ ન્હાના ભટ્ટ હોવાનો તર્ક કરે છે, જ્યારે અન્ય સંદર્ભ તે ઈ.૧૮મી સદીના અમદાવાદના લેઉઆ કણબી હોવાનો તર્ક કરે છે. ‘બૃહત કાવ્યદોહન : ૫’માં મુદ્રિત પદો વિશે કોઈ સંદર્ભ તે ઉદાધર્મસંપ્રદાયના નાના પારેખનાં હોવાનો તર્ક કરે છે, જ્યારે અન્ય સંદર્ભ ઉપરોક્ત અમદાવાદના લેઉઆ કણબી હોવાનો તર્ક કરે છે. આ ઉપરાંત, આ નામથી ‘અંબાજીના સ્થાનકનું વર્ણન’, ૨૨ કડીના ૨ ગરબા, ગણપતિ પાસે ગાવાનો ગરબો, થાળ, ફાગ અને કૃષ્ણ કીર્તનનાં પદો (બધી મુ.) તથા આઠ વાર, તિથિઓ અને મહિના-એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા નાના છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. કવિતા સારસંગ્રહ, પ્ર.શા. નાથાભાઈ લલ્લુભાઈ, ઈ.૧૮૮૨; ૩. કાદોહન : ૩; ૪. નકાદોહન; ૫. બૃકાદોહન : ૫;  ૬. સમાલોચક, જાન્યુ.-માર્ચ, ૧૯૦૮ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. કવિચરિત્ર; ૩. ગુજૂકહકીકત; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ; ૬. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨;  ૭. ગૂહાયાદી; ૮. ડિકેટલૉગબીજે; ૯. ડિકેટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]

નાનો-૧ [ઈ.૧૮૦૮ સુધીમાં] : અવટંકે વહોરા. ‘મસ્તકપૂજા’ (લે.ઈ.૧૮૦૮)ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]

નાનાજી(સંત)/નાનો [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તાપી નદીને કિનારે આવેલા રાંદેરના વતની. પત્નીના દ્વેષભર્યા વર્તનથી સંસારત્યાગ કરેલો. કોઈ પ્રભાવી સદ્ગુરુના શિષ્ય થયેલા. તેમની પાસેથી ૧૭ કડીનો ‘જ્ઞાનકક્કો’(મુ.) અને ભક્તિ-વૈરાગ્યબોધક, ત્રણથી ૭ કડીનાં ૫ પદો(મુ.) મળે છે. કૃતિ : ફાત્રૈમાસિક, ઑક્ટો.-ડિસે. ૧૯૪૦. ‘સંત નાનાજી અને તેમનું અપ્રસિદ્ધ સાહિત્ય’, સં. માણેકલાલ શં. રાણા.[શ્ર.ત્રિ.]

નાનાદાસ [ઈ.૧૮મી સદી] : ઉદાધર્મસંપ્રદાયના ભક્તકવિ. જીવણજી મહારાજ (ઈ.૧૫૫૩-અવ. ઈ.૧૬૮૧)ના પૌત્ર દ્વારકાદાસના શિષ્ય. સંપ્રદાયમાં નાના પારેખ તરીકે જાણીતા હતા. જન્મ દરાપરા (તા. પાદરા)માં. જ્ઞાતિએ પાટીદાર. જીવણજી મહારાજના સ્વધામગમનની તિથિએ સંપ્રદાયમાં વાંચવામાં આવતા ‘સમાગમ’(મુ.)માં અંતની સાખીઓમાં આ કવિના નામનિર્દેશ છે તેથી એમનું કર્તૃત્વ હોવાનો અર્થ થાય. પરંતુ જીવણજી મહારાજના સ્વધામગમનના પ્રસંગનું વર્ણન કરતી આ કૃતિમાં થોડીક સાખી છે અને બાકી ગદ્ય છે, જે મોડા સમયનું હોય એવું પણ કદાચ લાગે. આ ઉપરાંત કવિએ ‘માનસિક પૂજા’ તથા પદ (કેટલાંક મુ.) રચ્યાં હોવાનું નોંધાયું છે. તેમનાં પદો ભક્તિનાં, ભક્તિમહિમાનાં, વૈરાગ્યબોધનાં અને ગોપીભાવનાં છે. તેમાં ગોપીભાવનાં પદોમાં ક્યારેક નિર્ગુણ બ્રહ્મવાદનો પ્રભાવ ઝિલાય છે. કેટલાંક પદો સહિયરને સંબોધીને રચાયેલાં છે. કવિનાં કેટલાંક પદો હિન્દીમાં છે, તો કેટલાંકમાં હિન્દીની અસર છે. તે ઉપરાંત તેમણે હિન્દીમાં ૨૪૯ સાખીઓ રચી હોવાની માહિતી મળે છે. કૃતિ : ૧. ઉદાધર્મ ભજનસાગર, પ્ર. દ્વારકાદાસ ક. પટેલ, ઈ.૧૯૨૬; ૨. ઉદાધર્મ પંચરત્નમાલા, પ્ર. સ્વામી જગદીશચંદ્ર યદુનાથ, ઈ.૧૯૬૮ (ત્રીજી આ.). સંદર્ભ : રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨. [શ્ર.ત્રિ.]

નાનાભાઈ [ઈ.૧૭૫૨માં હયાત] : શિવભક્ત. જ્ઞાતિએ વાલ્મિક કાયસ્થ. અવટંકે મજમુદાર. વતન નવસારી. શિવમહિમા વિષયક ‘શિવરહસ્ય’ અને શિવભક્તોની કથા રજૂ કરતા ‘શિવભક્તો’ (*મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : * કાયસ્થપત્રિકા, વ.૧, અં. ૪. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [શ્ર.ત્રિ.]

નાનીબાઈ [ઈ.૧૭૨૮માં હયાત] : કવયિત્રી. જ્ઞાતિએ અનાવિલ અથવા મોતાલા બ્રાહ્મણ. સુરત જિલ્લાના ઓલપાડનાં વતની. તેમણે પ્રેમાનંદની ‘વિવેક વણઝારો’ પરથી ‘વણઝારો’ (ર.ઈ.૧૭૨૮/સં. ૧૭૮૪, જેઠ વદ ૧૨, ગુરુવાર;મુ.) નામની કૃતિની રચના કરી છે. આ ઉપરાંત તેમનાં ૧૦ અને ૬ કડીનાં ૨ પદ (મુ.) પણ મળે છે. કૃતિ : ૧. નકાદોહન; ૨. વસંત, માઘ ૧૯૬૭-‘નહાનીબાઈ અને વિવેક વણઝારો’, છગનલાલ વિ. રાવળ. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય;  ૪. ગૂહાયાદી; ૫. ડિકેટલૉગબીજે. [કી.જો.]

નાનો-૧ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [શ્ર.ત્રિ.]

નાનો-૨ : જુઓ નાનજી-૩.

નાભો [     ] : તેમના નામે ‘પંદરતિથિ’ ૫ અને ૭ કડીનાં ગુજરાતી તથા હિન્દીમાં ૨ પદ (મુ.) મળે છે. કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. બૃહત સંતસમાજ ભજનવાળી. પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦, (છઠ્ઠી આ.); ૩. ભસાસિંધુ. સંદર્ભ : ડિકેટલૉગબીજે. [કી.જો.]

નામો [                ] : કેટલાંક ભજન(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ભજનસાગર : ૧; ૨. સંતસમાજ ભજનાવળી, સં. કેશવલાલ મ. દૂધવાળા, ઈ.૧૯૩૧. [કી.જો.]

નારણ/નારણદાસ : ‘નારણ’ને નામે છથી ૯ કડીનાં હરિભજનનાં કેટલાંક પદો(મુ.) અને દેહ રૂપી દેશમાં બિરાજેલા રામની માનસ પૂજાનું વર્ણન કરતું ૬ કડીનું ૧ પદ(મુ.) તથા ‘નારણદાસ’ને નામે ૧૦ કડીનું કૃષ્ણકીર્તનનું પદ(મુ.), ‘દાદુ દયાલની આરતી’ વગેરે કેટલીક કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા નારાયણ કે નારણદાસ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. પરમાર્થસાર, સં. શ્રી નરસિંહ શર્મા; ઈ.૧૯૦૩; ૨. પ્રાકાસુધા : ૨; ૩. બૃકાદોહન : ૮. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. ગૂહાયાદી; ૩. ફોહનામાવલિ. [ચ.શે.]

નારણ-૧/નારાયણ(દાસ) [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ મહારાજના શિષ્ય. વાંકાનેરના નિવાસી. યોગમાર્ગની પરિભાષામાં આત્મજ્ઞાનને રજૂ કરતા ૭ કડીના પદ (મુ.)ના કર્તા. કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, સં. ૨૦૩૩ (ચોથી આ.). સંદર્ભ : ચરોતર સર્વસંગ્રહ : ૨, સં. પુરુષોત્તમ છ. શાહ, ચંદ્રકાન્ત ફ. શાહ, ઈ.૧૯૫૪. [શ્ર.ત્રિ.]

નારણ-૨ [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : વેલાબાવા (ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય. અવટંકે માંડળિયા. જ્ઞાતિએ કણબી. ૪ કડીના ‘પ્રભાતિયા’ (મુ.)ના કર્તા. કૃતિ : સોરઠીસંતો, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૯ (પાંચમી આ.નું પાંચમું પુનર્મુદ્રણ). [શ્ર.ત્રિ.]

નારણ-૩ [     ] : ઉગમશિષ્ય. ૫ કડીની ‘ગણપતિની સ્તુતિ’(મુ.) અને અધ્યાત્મવિષયક ૫ કડીના ભજન (મુ.)ના કર્તા. કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭; ૨. દુર્લભ ભજન સંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૩. નવો હલકો, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૫૬; ૪. ભજનસાગર : ૧. [ચ.શે.]

નારણ-૪/નારાયણ(મક્ત) [                ] : મોતીશિષ્ય. ૪ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ભજનસાગર : ૧; ૨. ભસાસિંધુ. [ચ.શે.]

નારણદાસ-૧ જુઓ નરવેદસાગર.

નારણદાસ-૨/નારણભાઈ [    ] : કુબેરના શિષ્ય. ‘ગુરુમહિમા’ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજૂકહકીકત;  ૩. ગૂહાયાદી. [ચ.શે.]

નારણસિંગ [                ] : છથી ૧૦ કડીનાં ૪ પદો(મુ.)ના કર્તા. કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨(ત્રીજી આ.) સંદર્ભ : ડિકેટલૉગબીજે. [શ્ર.ત્રિ.]

નારદ(મુનિ) [                ] : ૧. ભજન(મુ.), પદો તથા ‘ધૂન’ના કર્તા. કૃતિ : સોસંવાણી. સંદર્ભ : ફૉહનામાવલિ. [કી.જો.]

નારાયણ : આ નામે નણંદભાભીના સંવાદ રૂપ કુલ ૧૧ કડીનાં ૨ પદ (મુ.), ત્રણથી ૬ કડીનાં ૨ પદ(મુ.), રાજસ્થાની ભાષાની અસરવાળું ૪ કડીનું ૧ પદ(મુ.), ‘મહાદેવજીનો ગરબો’ અને અન્ય કેટલાંક પદો એ જૈનેતર કૃતિઓ મળે છે. ‘પુરુષને શિખામણ-સઝાય’ નારાયણ મુનિને નામે તથા ૩૨ કડીનો ‘ક્ષેત્રપાલ-છંદ’ નારાયણને નામે મળે છે. પણ તેના કર્તા કયા નારાયણ છે તે વિશે સ્પષ્ટ કહી શકાય તેમ નથી. “મોહન-મુનિ નારાયણ ભાવ સું રે જિનગુણ ગાવી સાર રે” એવી અંતિમ પંક્તિને કારણે કર્તાનામની અસ્પષ્ટતા ઊભી કરતા ને ભૂલથી નાનજી સાધુને નામે મુકાયેલા ૫ કડીના ‘ઋષભજિન-સ્તવન’ના કર્તા પણ કોઈ નારાયણ જણાય છે. કૃતિ : ૧. પ્રાકાસુધા : ૨; ૨. બૃકાદોહન : ૮; ૩. ભજનસાગર ૧; ૪. ભસાસિંધુ. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨;  ૨. ગૂહાયાદી; ૩. ડિકેટલૉગભાવિ; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે. , કી.જો.]

નારાયણ-૧ [ઈ.૧૫૯૧ સુધીમાં] : ‘મુક્તિ-મંજરી’ (લે.ઈ.૧૫૯૧)તથા ‘ભક્તિમંજરી’ના પદ્યાનુવાદ આપનાર સંસ્કૃતજ્ઞ કવિ. ‘મુક્તિમંજરી’ યોગશાસ્ત્રવિષયક સંસ્કૃત ગ્રંથનો ૬ અધ્યાયોમાં ચોપાઈબંધમાં કરેલો પદ્યાનુવાદ છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાસારસ્વતો;  ૩. ગૂહાયાદી; ૪. ડિકેટલૉગબીજે; ૫. ફૉહનામાવલિ. [ચ.શે.]

નારાયણ(મુનિ)-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. રત્નસિંહસૂરિની પરંપરામાં સમરચંદના શિષ્ય. ૩૧૫ કડીની ‘નલદમયંતી-રાસ’ (ર. ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, પોષ સુદ ૧૧, ગુરુવાર), ૨૧ ઢાળ અને ૧૩૫ કડીની ‘અયમુત્તાકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૨૭/સં. ૧૬૮૩, પોષ વદ -, બુધવાર), ‘અંતરંગ-રાસ’ (ર.ઈ.૧૬૨૭), ૨ ખંડ અને ૯૭ ઢાળનો ‘શ્રેણિક-રાસ’, ૩૮ કડીની ‘અઢારનાત્રાં-સઝાય’ તથા ગીત, ભાસ, સઝાય વગેરે પ્રકારની લઘુકૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨ મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [કી.જો.]

નારાયણ(મુનિ)-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ૩૩ કડીના ‘ચંદ્રપ્રભજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૬), ૧૫ કડીના ‘સુવિધિજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૬), ૩૭ કડીના ‘શાંતિનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૭), ૨૨ કડીના ‘શીતલજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૭), ‘સુમતિજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૭), ‘વાસુપૂજ્ય જિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૯), ૨૫ કડીનું ‘વિમલનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૯) ૧૫ કડીનું ‘મહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૩૦), ૨૧ કડીનું ‘અભિનંદનજિન-સ્તવન’ (ર.ઈ ૧૬૩૧), ૧૯ કડીનું ‘સંભવજિન-સ્તવન’ (ર. ઈ.૧૬૩૨) તથા ૧૭ કડીના ‘નેમિનાથ જિન-સ્તવન’ વગેરે સ્તવનોના કર્તા. આ નારાયણમુનિને પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. પરંતુ એ હકીકત શંકાસ્પદ જણાય છે. કદાચ એ કૃતિઓ નારાયણમુનિ-૨ની હોવાની સંભાવના છે. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

નારાયણ-૪ [ઈ.૧૬૨૮માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપઋષિની પરંપરામાં જીવરાજના શિષ્ય. ‘શ્રેણિક-રાસ’ (ર.ઈ.૧૬૨૮/સં. ૧૬૮૪, આસો વદ ૭, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]

નારાયણ(ભટ્ટ)-૫ : જુઓ રામભક્ત.

નારાયણ(મુનિ)-૬ [ઈ.૧૭૦૦માં હયાત] : જૈન સાધુ. ‘ખંધકઋષિ-સઝાય’ (ર.ઈ.૧૭૦૦)ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [કી.જો.]

નારાયણદાસ : આ નામે ‘પરિક્રમા’ નામક કૃતિ મળે છે. તેના કર્તા નારાયણદાસ-૧ છે કે કેમ તે નિશ્ચિત રીતે કહી શકાય એમ નથી. સંદર્ભ : ડિકેટલૉગબીજે. [શ્ર.ત્રિ.]

નારાયણદાસ-૧ [જ.ઈ.૧૫૬૯-ઈ.૧૬૩૦ સુધઈ હયાત] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ભક્તકવિ. પિતા મોહનભાઈ.પત્ની ગંગાબાઈ.પૂર્વજ રામજી શાહ. મૂળ પાટણના વતની. વેપાર માટે તેઓ ભરૂચ આવીને વસ્યા હતા. શરૂઆતમાં તેઓ કૃષ્ણભક્ત હતા. પરંતુ ઈ.૧૫૯૦માં ગોકુલેશ પ્રભુ ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે ૨૧ વર્ષના નારાયણદાસ તેમના પરિચયમાં આવ્યા. તે પછી તેમના પ્રભાવથી તેઓ શ્રીજીને સર્વસ્વ ગણવા લાગ્યા. તેઓ ઈ.૧૬૨૯/૩૦ સુધી હયાત હોવાનું નોંધાયું છે. શિષ્ટ, મધુર અને સંસ્કૃતમય ભાષામાં નવ રસનો અનુભવ કરાવતી ૧૧ પદની ‘નવરસ’ (ર. ઈ.૧૬૨૪; મુ.) એ શૃંગારરસની કૃતિમાં ભગવાનની વિહારલીલા કવિએ ગાઈ છે. કૃતિની મધુરતા વધારવા માટે કવિએ કરેલો શબ્દાલંકારો, અર્થાલંકારો અને સંસ્કૃત શબ્દાવલિનો વિનિયોગ ધ્યાનપાત્ર છે. વ્રજ અને ગુજરાતીમાં શ્રીકૃષ્ણની ભક્તિનાં અનેક પદ અને ધોળ તેમણે આપ્યાં છે. તેમણે ૪ કડીનું ‘વિનંતીનું ધોળ’ રચ્યું છે પરંતુ તે નરસિંહને નામે પણ મળે છે. તેમણે કેટલાંક સુંદર પ્રભાતિયાં પણ રચ્યાં છે. આ ઉપરાંત તેમણે ‘કૃષ્ણવિવાહ’ની રચના કરી હોવાનો પણ ઉલ્લેખ મળે છે. કૃતિ : ૧ (શ્રી)ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬;  ૨. પ્રાકાત્રૈમાસિક, અંક ૨; ઈ.૧૮૯૧ - ‘નવરસ’ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. ગોપ્રભકવિઓ; ૫. પુગુસાહિત્યકારો; ૬. પ્રાકકૃતિઓ;  ૭. અનુગ્રહ, ડિસે. ૧૯૫૭-‘મહદમણિ શ્રી મોહનભાઈ’.[ચ.શે.].

‘નારાયણ-ફાગુ’ : છેવટના ૩ સંસ્કૃત શ્લોકો સાથે ૬૭ કડીની આ રચના (લે. ઈ.૧૪૪૧)માં આવતા ‘નતર્ષિ’ (=ઋષિઓ જેને નમે છે) શબ્દને કારણે એના કર્તા નતર્ષિ કે નયર્ષિ નામના જૈન મુનિ હોવાની ને “કીરતિ મેરુ સમાન” એ શબ્દોને કારણે કવિના ગુરુ કીર્તિમેરુ હોવાની સંભાવના કરવામાં આવેલી છે. તો બીજી બાજુથી કૃતિમાં જૈન તત્ત્વના અભાવને કારણે એને જૈનેતર કૃતિ પણ માનવામાં આવી છે. વસ્તુત: હસ્તપ્રતના લહિયા કીર્તિમેરુ, કૃતિની શબ્દાનુપ્રાસવાળી શૈલીનું કીર્તિમેરુની અન્ય રચનાઓ સાથે સામ્ય ને કૃષ્ણની રાણીઓનો ગોપીઓ તરીકે ઉલ્લેખ વગેરે કેટલીક હકીકતો કૃતિના કર્તા જૈન કવિ કીર્તિમેરુ હોવાની સંભાવનાનું સમર્થન કરે એવી છે. ફાગ, અઢૈયા, રાસક અને આંદોલાના બંધથી રચાયેલી આ કૃતિમાં ‘આંદોલા’ એ શીર્ષકથી ચારણી છંદનું સ્મરણ કરાવતી ગીતરચના ગૂંથાયેલી છે એ ખાસ નોંધપાત્ર છે. કવિ પ્રથમ ‘પ’ વર્ગના આગર સમા (એટલે પુષ્પ, પદ્મિની, ફળ, ફૂલ, બળદ, ભક્ત, મણિ આદિથી યુક્ત) સોરઠદેશનું ને પછી દ્વારિકાનું વર્ણન કરે છે. તે પછી કૃષ્ણનાં પરાક્રમ ને વૈભવનું યશોગાન ગાય છે ને તે પછી કૃષ્ણનાં એની રાણીઓ સાથેના વસંત-વન-વિહાર, રાસલીલાને શૃંગારલીલાનું આલેખન કરે છે. ‘વસંતવિલાસ’નો પ્રભાવ દર્શાવતી કલ્પનાઓ ને ઉક્તિઓ તથા આંતરયમક ને પ્રાસાનુપ્રાસ વાળી મધુર કાવ્યશૈલી ધરાવતા આ કાવ્યનો શૃંગાર સંયમપૂર્ણ ને પ્રૌઢ છે તેમ જ એમાં થોડા ભાવાવિષ્ટ ઉદ્ગારો પણ જડે છે - સૂર્યના ઊગ્યા પછીયે અંધારું રહે તો કોને દોષ દેવો ? તારી પ્રીત પછીયે આશા પૂરી ન થાય તો શું દુ:ખ ધરવું ? [જ.કો.]

‘નારીનિરાસ-ફાગુ’ : તપગચ્છીય સાધુ રત્નમંડનગણિકૃત ૫૩ કડીનું ફાગુકાવ્ય(મુ.) ‘વસંતવિલાસ’ની રચનારીતિનું અનુકરણ કરતી આ કૃતિ કથયિત્વ પરત્વે ‘વસંતવિલાસ’ની પ્રતિકૃતિ જેવી છે. ‘વસંતવિલાસ’માં શૃંગારરસનું મનોહર નિરૂપણ થયું છે, જ્યારે અહીં નારીનાં લલિત અંગો પ્રત્યેના કામભાવનું નિરસન થાય એ રીતે કવિએ નિરૂપણ કર્યું છે. આ કૃતિમાં ‘વસંત વિલાસ’ની માફક પ્રાચીન ગુજરાતીની પ્રત્યેક કડીની સાથે તેનો સમાનાર્થી સંસ્કૃત શ્લોક છે, પરંતુ અહીં કવિએ એ શ્લોકો બીજે ક્યાંયથી સંકલિત ન કરતાં જાતે બિંબ-પ્રતિબિંબ ભાવે રચ્યા છે. અલબત્ત સંસ્કૃત શ્લોકોની ભાષા સર્વત્ર શુદ્ધ નથી.[ર.ર.દ.]

નાલ્હ : જુઓ નરપતિ-૨.

નિત્યલાભ(વાચક) [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છની લાભ શાખાના જૈન સાધુ. વિદ્યાસાગરની પરંપરામાં સહજસુંદરના શિષ્ય. વિવિધ દેશીઓ અને દુહામાં ગુરુગુણ રૂપે લખાયેલો ૧૦ ઢાળનો ‘વદ્યાસાગરસૂરિ-રાસ’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, પોષ-૧૦, સોમવાર; મુ.), ચંદનબાલાના જાણીતા કથાનકને સંક્ષેપમાં આલેખતો ૩ ઢાળનો ‘ચંદનબાલા-રાસ/સઝાય’ (ર.ઈ.૧૭૨૬/સં. ૧૭૮૨, અસાડ વદ ૬, રવિવાર; મુ.), ૪ ગેય ઢાળોમાં રચાયેલ ‘મહાવીર પંચ કલ્યાણકનું ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૨૫; મુ.), ૭ કડીનું ‘શીતલનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૨૫/સં. ૧૭૮૧, ભાદરવો-મુ.), ૨૪ ઢાળની ‘સદેવંત સાવળિંગાની ચોપાઈ’ (ર.ઈ.૧૭૨૬/સં. ૧૭૮૨, મહા/વૈશાખ સુદ ૭, બુધવાર), ‘જિનસ્તવન-ચોવીસી’ (ર.ઈ.૧૭૧૩; મુ.), ‘વાસૂપૂજ્ય-સ્તવન’ (ર.ઈ.૧૭૨૦), ‘પાર્શ્વ-જિન-સ્તવન’ (ર.ઈ.૧૭૩૮/સં. ૧૭૯૪, ભાદરવા), ૨૭ કડીની ‘નેમિનાથ-બારમાસા’, ૪૭ કડીનું ‘જિનવર-સ્તવન’, ૧૪ કડીની ‘આત્મપ્રતિબોધ-સઝાય’ (મુ.), પાંચથી ૧૧ કડીનાં ‘ગોડીપાર્શ્વનાથનાં સ્તવનો (મુ.), ૧૩ કડીની ‘ચેતનની સઝાય’(મુ.), ૬ કડીનું ‘પ્રભાતિયું’(મુ.), ‘મૂર્ખની સઝાય’ (મુ.) વગેરે કૃતિઓ એમની પાસેથી મળી છે. કવિનાં કેટલાંક સ્તવનો-સઝાયોમાં કચ્છી બોલીની અસર છે. કવિની શૈલીની પ્રાસાદિકતા અને ગેય ઢાળોનો વિશેષ વિનિયોગ ધ્યાનપાત્ર છે. કૃતિ : ૧. ઐરાસંગ્રહ : ૩; ૨. શ્રી ગોડીપાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨; ૩. જૈકાપ્રકાશ : ૧; ૪. જૈગૂસારત્નો : ૧; ૫. જૈપ્રપુસ્તક : ૧; ૬. જૈપ્રાસ્તસંગ્રહ; ૭. જૈરસંગ્રહ; ૮. જૈસસંગ્રહ(ન.); ૯. પ્રાસ્તસંગ્રહ; ૧૦. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩; ૧૧ સસંપમાહાત્મ્ય. સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, પ્ર. પાર્શ્વ, ઈ.૧૯૬૮; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. પાંગુહસ્તલેખો;  ૫. જૈગૂકવિઓ : ૨; ૬. ડિકેટલોગબીજે; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]

નિત્યવિજય(ગણિ) : આ નામે ૧૩ કડીની ‘ગુરુ-ધમાલ’, ૯ કડીનું ‘નેમિજિન-સ્તવન’, ‘મૂરખની સઝાય’, ‘વિજયદેવસૂરિનિર્વાણ’ અને ૪૦/૭૫ ગ્રંથાગ્રની ’.નંદમણિઆર-સઝાય’ (અપૂર્ણ)-એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા નિત્યવિજય છે તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. પ્રાકારૂપરંપરા;  ૩. આલિસ્ટઑઈ : ૨; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

નિત્યવિજય(ગણિ)-૧ [ઈ.૧૬૭૧માં હયાત] : જૈન સાધુ. ૧૪૯ કડીના ‘ગુણમંજરી-વરદત્તકુમાર-રાસ/જ્ઞાનપંચમીમાહાત્મ્ય’ (ર.ઈ.૧૬૭૧)ના કર્તા. આ કૃતિ નિત્યવિજય-૨ની હોવાની સંભાવના છે. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]

નિત્યવિજય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં લાવણ્યવિજયના શિષ્ય. ૧૨ સઝાયોમાં રચાયેલી ‘એકાદશાંગ-સ્થિરિકરણ-સઝાય’ (ર.ઈ.૧૬૭૮) અને ૩૭ કડીની ‘શંખેશ્વર પાર્શ્વનાથ-છંદ’ (ર.ઈ.૧૬૮૯ કે ૧૬૯૯/સં. ૧૭૪૫ કે ૧૭૫૫ શ્રાવણ વદ ૧૩; મુ.)ના કર્તા. કૃતિ : ૧. મણિભદ્રાદિકોના છંદોનો પુસ્તક : ૧, પ્ર; નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦; ૨. સસન્મિત્ર(ઝ.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]

નિત્યસાગર [                ] : જૈન સાધુ. ૭ કડીના ‘શીતલજિન-સ્તવન’ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]

નિત્યસૌભાગ્ય [ઈ.૧૬૭૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વૃદ્ધિસૌભાગ્યના શિષ્ય. ૧૬ ઢાલ અને ૪૦૦ કડીની ‘નંદબત્રીસી’ (ર.ઈ.૧૬૭૫/સં. ૧૭૩૧ મહા સુદ-) અને ૨૫ ઢાલની ‘પંચાખ્યાન-ચોપાઈ/કર્મરેખાભાવિની ચરિત્ર’ (ર.ઈ.૧૬૭૫/સં. ૧૭૩૧, આસો સુદ ૧૩)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૨. [શ્ર.ત્રિ.]

નિત્યનંદ(સ્વામી) [જ.ઈ.૧૭૯૩/સં. ૧૮૪૯, ચૈત્ર સુદ ૯-અવ. ઈ.૧૮૫૨/સં. ૧૯૦૮, માગશર સુદ ૧૧] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. બુંદેલખંડના લખનૌ જિલ્લાના હતિયા ગામે જન્મ. યજુર્વેદી ગૌડ બ્રાહ્મણ. પિતા વિષ્ણુ શર્મા. માતા વિરજાદેવી. મૂળ નામ દિનમણિ શર્મા. દીક્ષા જોધપુરમાં. દીક્ષાનામ નિત્યાનંદ. યજ્ઞોપવીત બાદ ૮ જ વર્ષની વયે વિદ્યાભ્યાસ માટે કાશીગમન. ગર્ભશ્રીમંત છતાં શાશ્વતસુખ અર્થે ગૃહત્યાગ કર્યો. વારાણસીમાં વેદ-વેદાંગ-દર્શનનો અભ્યાસ. તીર્થાટન કરતાં કરતાં ઊંઝામાં સહજાનંદ સાથે મેળાપ. સહજાનંદની આજ્ઞાથી અમદાવાદમાં નરભેરામ શાસ્ત્રી પાસેથી વિશેષ અભ્યાસ. વિદ્વત્તાને કારણે ‘વિદ્યાવારિધિ’ કહેવાયા અને શાસ્ત્રાર્થ પારંગત હોવાથી ‘વ્યાસ’ની પદવી અપાયેલી. તેઓ મોટે ભાગે અમદાવાદના દરિયાખાન ઘુમ્મટમાં રહી શિષ્યોને ભણાવતા અને ઉપદેશ આપતા. તેઓ વિશાળ શિષ્યવૃંદ ધરાવતા હતા. સહજાનંદસ્વામીના ‘વચનામૃતો’ને એમના મુખેથી ઉતારનાર ૪ સાધુમાંના તેઓ એક હતા. સહજાનંદની પ્રસાદીરૂપ વસ્તુઓનો સંગ્રહ કરવામાં તેમનો ફાળો મોટો છે. અવસાન વડતાલમાં. ‘અવતાર-ચરિત્ર’ તથા ‘વૈકુંઠદર્શન’ તેમના મૌલિક ગ્રંથો છે. તેમણે અનેક ગ્રંથોના ગુજરાતીમાં અનુવાદ-રૂપાંતર કર્યાં છે, જેમાં ‘દશમસ્કંધ’ (પૂર્વાર્ધ), ‘વિદૂરનીતિ’, ‘ભગવદ્ગીતા’, ‘કપિલ-ગીતા’, ‘એકાદશસ્કંધ’ના ‘ગુણવિભાગ’, શતાનંદના ‘સત્સંગીજીવન’માં આવતી ‘નિષ્કામશુદ્ધિ’નો સમાવેશ થાય છે. તેમણે ‘પંચમસ્કંધ’ અને ‘શિક્ષાપત્રી’નો ટીકાસહિત અનુવાદ કર્યો છે. ‘હરિદિગ્વિજય’, ‘હરિકવચ’, હનુમાનજીની સ્તુતિ સ્વરૂપ ‘હનુમત્કવચ’, શાંડિલ્યસૂત્રનું ભાષ્ય, ‘રુચિરાષ્ટક’ વગેરે તેમની સંસ્કૃત કૃતિઓ છે. સંદર્ભ : ૧. વિદ્યાવારિધિશ્રી નિત્યાનંદસ્વામી, નારાયણભક્ત, ઈ.૧૯૬૩; ૨. સંપ્રદાયના બૃહસ્પતિ શ્રી નિત્યાનંદસ્વામી, ગોરધનદાસ જી. સોરઠિયા, સં. ૨૦૨૯;  ૩. સ્વામિનારાયણસંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસજી, સં. ૨૦૩૦ (બીજી આ.), ૪. સ્વામિનારાયણીય સંસ્કૃત સાહિત્ય, ભાઈશંકર પુરોહિત, ઈ.૧૯૭૯. [શ્ર.ત્રિ.]

નિધિકુશલ [ઈ.૧૬૭૧માં હયાત] : જૈન સાધુ. ‘પ્રત્યેક બુદ્ધનો રાસ’ (ર.ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, અસાડ સુદ ૨)ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો.]

નિમાનંદ [                ] : કૃષ્ણસ્તુતિનાં ચર્ચરી છંદમાં રચાયેલાં ૨ પદ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. કાદોહન : ૧; ૨ : બૃકાદોહન : ૫. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. ગૂહાયાદી. [કી.જો.]

નિરંજનરામ [                ] : ‘સાહેલી-સંવાદ’ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]

નિરાંત [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૮૫૨/સં. ૧૯૦૮ અધિક ભાદરવા સુદ ૮, મંગળવાર] : જ્ઞાનમાર્ગી સંતકવિ. દેથાણ (જિ. ભરૂચ)ના વતની. જ્ઞાતિએ ગોહેલ રજપૂત. કોઈ પાટીદાર પણ કહે છે. પિતા ઉમેદસિંહ. માતા હેતાબા. જન્મ ૧૭૪૭માં મનાય છે, પણ એને માટે કોઈ આધાર જણાતો નથી. બાલ્યકાળથી ભક્તિના સંસ્કારો ધરાવતા નિરાંત આરંભકાળમાં રણછોડભક્ત હતા અને દર પૂનમે હાથમાં તુલસી લઈ ડાકોર જતાં એમ કહેવાય છે ને એમનાં ૨ પદોમાં વલ્લભકુળનો નિર્દેશ હોવાથી તે એક વખતે વૈષ્ણવધર્મી હશે એમ પણ મનાયું છે, પરંતુ રણછોડભક્તિનાં એમનાં કોઈ પદો પ્રાપ્ત નથી તે ઉપરાંત શુદ્ધ વૈષ્ણવ ભક્તિમાર્ગ પણ એમની કૃતિઓમાં ખાસ નજરે પડતી નથી. ડાકોર જતાં નિરાંતને ભક્તિના આ ક્રિયાકાંડોની નિરર્થકતા સમજાવનાર કોઈ મિયાંસાહેબ/અમનસાહેબ નામે મુસ્લિમ હતા એમ કહેવાય છે, પરંતુ સંપ્રદાયની માન્યતા અનુસાર એમણે પ્રથમ ઉપદેશ કણઝટના રામાનંદી સાધુ ગોકળદાસ પાસેથી લીધો હતો અને પછીથી સચ્ચિદાનંદ પરિવ્રાજક દંડીસ્વામીએ એમને સગુણભક્તિમાંથી નિર્ગુણ તરફ વાળ્યા. ભજનકીર્તન દ્વારા ઉપદેશ આપતાં નિરાંત મહારાજને ભિન્ન ભિન્ન કોમોમાંથી અનુયાયીવૃંદ મળ્યું હતું. મંદિરો ઊભાં કરવાની ને સંપ્રદાય સ્થાપવાની એમણે અનિચ્છા બતાવી પરંતુ એમના પ્રમુખ ૧૬ શિષ્યોને જ્ઞાનગાદી સ્થાપી ઉપદેશ આપવાની અનુજ્ઞા આપી. ઊંચ-નીચ, નાતજાત વગેરેના ભેદ વગર આજે આ સંપ્રદાય ઉત્તર ગુજરાતના માલેસણથી છેક દક્ષિણમાં મહાડ (મહારાષ્ટ્ર) સુધી પ્રચલિત છે. નિરાંતનું અવસાન ઈ.૧૮૫૨ (સં. ૧૯૦૮, ભાદરવા સુદ ૮)માં થયું હોવાનું સંપ્રદાયમાં નોંધાયું છે પણ એનો આધાર સ્પષ્ટ નથી. ઈ.૧૮૪૩ પછી થોડાં વરસોમાં એ અવસાન પામ્યા હોવાનું જણાય છે. નામની ઉપાસનાનો અને નિવૃત્તિમાર્ગનો ઉપદેશ કરનાર નિરાંતની મુખ્ય દાર્શનિક ભૂમિકા અદ્વૈત વેદાંતની છે પણ એમાં યોગ અને ભક્તિનાં તત્ત્વો મિશ્ર થયેલાં છે. એમનું કાવ્યસર્જન(મુ.) મોટે ભાગે પદ  રૂપે છે. ધોળ, કાફી, ઝૂલણા આદિ નામભેદો ધરાવતાં ને ગુજરાતી ઉપરાંત હિંદીમાં પણ મળતાં ૨૦૦ ઉપરાંત પદો અદ્વૈતબોધ, નામમહિમા, ગુરુમહિમા ઉપરાંત ભક્તિનું પણ નિરૂપણ કરે છે અને એની સરળ અર્થવાહિતાથી લોકગમ્ય બને છે. કદાચ વર્ણનાત્મક રીતિને કારણે ‘કથા’ને નામે ઓળખાયેલાં ૨૯ પદોનો સમુચ્ચય મળે છે, જેમાં ધનવિરાગ, સ્ત્રીવિરાગ, ગુરુશ્રદ્ધા, માયાત્યાગ, ષડ્રિપુ, ચિત્તશુદ્ધિ, બ્રહ્મદર્શન, પુરુષપ્રકૃતિ, દેહોત્પત્તિ, દેહાવસાન આદિ વિષયોની સમજ શિષ્યને આપવામાં આવેલી છે. વેદાંતવિષયક જિજ્ઞાસા પ્રગટ કરતા ૩ પત્રો-હરિદાસ(હરિભક્ત)ને (ર.ઈ.૧૮૦૦/સં. ૧૮૫૬, આસો સુદ ૧૫ શુક્રવાર), રવિરામ (રવિસાહેબ)ને (ર.ઈ ૧૮૦૦/સં. ૧૮૫૬, આસો વદ ૧, શનિવાર) તથા મંછારામ (જે પછીથી એમના શિષ્ય બનેલા)ને (ર.ઈ.૧૮૦૧/સં. ૧૮૫૭ પોષ વદ ૧૨, સોમવાર) સંબોધાયેલા-પણ પદો જ ગણાય. નિરાંતનાં ૨ તિથિકાવ્યો ને ‘સાતવાર’ જ્ઞાનમૂલક છે ને ‘સાતવાર’માં વારનાં નામ શ્લેષથી ગૂંથાયાં છે. વિરહભાવને વર્ણવતા ‘બારમાસ’ પણ અંતે જ્ઞાનમાં જ પરિણમે છે. આ ઉપરાંત સવૈયા તથા હિંદીમાં કુંડળિયા, સાખી, કવિત, રેખતા આદિ પ્રકારની લઘુ રચનાઓ આ કવિએ કરી છે. કવિની બે દીર્ઘ કૃતિઓ મળે છે. ‘યોગસાંખ્યદર્શનનો સલોકો’ ૧૦૦-૧૦૦ કડીમાં યોગદર્શન અને સાંખ્યદર્શનની શાસ્ત્રીય સમજૂતી આપે છે. અને ‘અવતારખંડન’ ૧૦-૧૦ કડીના ૧૦ ખંડોમાં વરાહ, મત્સ્ય, કચ્છ, મોહિનીરૂપ, નૃસિંહ, બલરામ, કૃષ્ણ, રામ, પરશુરામ, વામન એ અવતારોની સમીક્ષા-ચિકિત્સા કરી એનો મર્મ પ્રગટ કરે છે, જેમ કે વરાહાવતાર વિશે કવિ કહે છે કે સર્વમાં ઈશ્વર છે એ વાત સાચી છે, પણ એથી કંઈ ભૂંડને પૂજાય નહીં. કૃતિ : ૧. નિરાંતકાવ્ય. સં. ગોપાળરામ ગુરુ દેવશંકર શર્મા, ઈ.૧૯૫૯ (+સં.);  ૨. જ્ઞાનોદય પદસંગ્રહ, ભગત કેવળરામ કાલુરામ,-; ૩. પ્રાકામાળા : ૧૦ (સં.) : ૪. પ્રાકાસુધા : ૨; ૫. બૃકાદોહન : ૫. સંદર્ભ : ૧. આગુસંતો; ૨. અસંપરાપરા; ૩. કવિચરિત : ૩; ૪. ગુમાસ્તંભો; ૫. ગુસાઇતિહાસ : ૨; ૬. ગુસામધ્ય; ૭. ગુસારસ્વતો;  ૮. ગૂહાયાદી; ૯. ડિકેટલૉગભાવિ. [દે.દ.]

નિરૂપમસાગર [                ] : જૈન સાધુ. ૩૬ કડીના ‘ગોડિપાર્શ્વજિન-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : શ્રી ગોડિપાર્શ્વનાથ સાર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨. [કી.જો.]

નિષ્કુળાનંદ [જ.ઈ.૧૭૬૬/સં. ૧૮૨૨, મહા સુદ ૫-અવ. ઈ.૧૮૪૭ કે ૧૮૪૮/સં. ૧૯૦૩ કે ૧૯૦૪, અસાડ વદ ૯] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુકવિ. સહજાનંદના શિષ્ય. જામનગર જિલ્લાના શેખપાટ/સુખપુર/લતીપુરમાં જન્મ. જ્ઞાતિએ ગુર્જર સુતાર. પિતા રામભાઈ, માતા અમૃતબા. જન્મનામ લાલજી. અનિચ્છા છતાં પિતાના આગ્રહથી લગ્ન કરેળું. પિતા રામાનંદસ્વામીના શિષ્ય હોવાથી કવિ એમના સંપર્કમાં આવેલા. પછીથી ઈ.૧૮૦૪માં સહજાનંદસ્વામી સાથે કચ્છમાં ભોમિયા તરીકે જવાનું થતાં સાસરાના અધોઈ ગામે એમને સાધુવેશ પહેરાવી દઈ દીક્ષા આપવામાં આવી. કાષ્ઠ અને આરસની કલાકારીગરીમાં નિપુણ આ સાધુકવિ સંપ્રદાયમાં વૈરાગી કવિ તરીકે પ્રસિદ્ધ થયા. અવસાન ધોલેરામાં. નિષ્કુળાનંદનું સાહિત્યસર્જન વિપુલ છે ને સઘળું મુદ્રિત છે. એમણે ૩૦૦૦ જેટલાં પદો રચ્યાં હોવાનું કહેવાય છે. પરંતુ એમાં કેટલીક પદ-સમુચ્ચય રૂપ કૃતિઓનાં ને પદના પદ્યબંધનો વિનિયોગ કરતી કૃતિઓનાં પદોનો સમાવેશ થયો હોય એમ જણાય છે. જેમ કે ‘વૃત્તિવિવાહ/અખંડવરનો વિવાહ’ (મુ.) વૃત્તિના શ્રીહરિ સાથેના વિવાહને અનુલક્ષીને લગ્નગીતો રજૂ કરતી ૨૦ ધોળ/પદની કૃતિ છે. સંત-અસંત-લક્ષણ વર્ણવી સંતોના આચારધર્મનો બોધ કરતી ‘ચોસઠપદી’ (મુ.) તો એવો પદસમુચ્ચય છે, જેમાં પદો છૂટાં પણ જાણીતાં છે. નિષ્કુળાનંદનાં પદો (મુ.)માં સંભવત: જૈન અસર નીચે રચાયેલાં શિયળની વાડનાં પદો, પંચેન્દ્રિયભોગનાં ૮ પદો એવાં પદજૂથો મળે છે. અન્ય પદો સહજાનંદ રૂપને એમનો વિરહ, પ્રેમલક્ષણા ભક્તિ અને ભક્તિવૈરાગ્યબોધ એ ત્રિવિધ પ્રવાહોમાં વહે છે. પ્રેમલક્ષણા ભક્તિનાં પદો એના મુગ્ધ શૃંગારભાવથી ને ભક્તિવૈરાગ્યબોધનાં પદો એની લોકભોગ્ય છટાથી જુદાં તરી આવે છે. કવિની દીર્ઘ કૃતિઓમાંથી કેટલીક સહજાનંદસ્વામીના ચરિત્રને આલેખે છે. પૂર્વછાયા, ચોપાઈ અને દેશીબંધમાં રચાયેલી ૧૬૪ પ્રકરણની ‘ભક્તચિંતામણિ’ (ર.ઈ.૧૮૩૧/સં. ૧૮૮૭, આસો સુદ ૧૩, ગુરુવાર; મુ.) સહજાનંદની ૪૯ વર્ષ સુધીની જીવનલીલાને વિસ્તારથી વર્ણવતી મહત્ત્વની કૃતિ છે. ૫૫ ‘પ્રકાર’ નામક ખંડોમાં વહેંચાયેલી, દુહા-ચોપાઈબદ્ધ ‘પુરુષોત્તમપ્રકાશ’(મુ.) દર્શન, સ્પર્શ, વિચરણ, સદાવ્રતો, યજ્ઞો, ઉત્સવો, ગ્રંથોનું નિર્માણ વગેરે ધર્મપ્રવૃત્તિઓ દ્વારા સહજાનંદે પોતાના ઐશ્વર્યનો પ્રસાદ લોકોને આપ્યો તેનું વર્ણન કરે છે. ‘ચિંતામણિ’ નામક વિભાગો ધરાવતી ‘હરિસ્મૃતિ’(મુ.) સહજાનંદનાં અંગ, વેશ, જમણ, પ્રતાપ વગેરેનું વીગતે ચિત્ર આપે છે. પૌરાણિક કથાકથનનો આશ્રય લેતી ૪ કૃતિઓ છે. ૬૪ કડવાં ને ૧૬ પદની ‘ધીરજાખ્યાન’ (ર.ઈ.૧૮૪૩/સં. ૧૮૯૯, ચૈત્ર વદ ૧૦; મુ.) પ્રભુપંથે ચાલતાં જે કષ્ટો પડે છે તેને ધૈર્યપૂર્વક સહન કરનાર ધ્રુવ, પ્રહ્લાદાદિ ભક્તોની કથાઓ વર્ણવે છે, તો ૫૨ કડવાં ને ૧૪ પદની ‘વચનવિધિ’ (મુ.)માં રામાવતાર તથા કૃષ્ણાવતારમાં ભગવાનનાં વચન પાળ્યાં-ન પાળ્યાનાં પરિણામો દર્શાવતાં પૌરાણિક દૃષ્ટાંતો દ્વારા ઈશ્વરના વચન રૂપ આચાર્યધર્મનો ઉપદેશ કર્યો છે. ૪૪ કડવાં અને ૧૧ પદની ‘સ્નેહ-ગીતા’ (ર.ઈ.૧૮૧૬/સં. ૧૮૭૨, વૈશાખ સુદ ૪; મુ.) ભાગવતના ઉદ્ધવસંદેશના પ્રસંગને આલેખે છે, ને પ્રેમલક્ષણા ભક્તિની ઉત્કટ ઊર્મિના સવિસ્તાર નિરૂપણથી મનોરમ બનેલી છે. ૩૩ કડીની ‘અવતાર ચિંતામણિ’ (મુ.) શ્રીહરિના ૩૧ અવતાર અને એ અવતારોના કર્મનો સંક્ષેપમાં નિર્દેશ કરે છે. મુખ્યત્વે પૂર્વછાયા-ચોપાઈબંધનાં ૨૦ કડવાં ને ૧ ધોળમાં રચાયેલી ‘યમદંડ’(મુ.) ગરુડપુરાણ-આધારિત વર્ણનાત્મક કૃતિ છે. એમાં મુમુક્ષુમાં વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી જન્મમરણાદિની યમયાતનાઓ તથા સાંસારિક આધિ, વ્યાધિ, ઉપાધિનું વર્ણન કરેલું છે. ૧૮૭ કડીની ‘મનગંજન’ (ર.ઈ.૧૮૧૫/સં. ૧૮૭૧, શ્રાવણ-૭; મુ.) રૂપકાશ્રિત કથાકૃતિ છે. એમાં દેહનગરના ૨ દીવાન નિજમન અને પરતકમન વચ્ચેનું યુદ્ધ વર્ણવાયેલું છે અને નિજમનની જીત દ્વારા ઇન્દ્રિયજયનો બોધ આપવામાં આવ્યો છે. કવિની અન્ય કૃતિઓ દૃષ્ટાંતાદિકના વિનિયોગપૂર્વક સીધો તત્ત્વબોધ રજૂ કરે છે. ૪૮ કડવાં અને ૧૨ પદની ‘સારસિદ્ધિ’(મુ.) પ્રગટ ભગવાનની મૂર્તિને સારમાં સાર ગણાવી એને રાજી રાખવાના અનેક ઉપાયોમાંથી વૈરાગ્ય, ભક્તિ અને સંતસેવાનું મહત્ત્વ સમજાવે છે. ૪૪ કડવાં અને ૧૧ પદની ‘હરિબળ-ગીતા’ (ર.ઈ.૧૮૪૨/સં. ૧૮૯૮, પુરુષોત્તમ માસ સુદ ૧૫; મુ.) અજિત અંતરશત્રુઓને જીતવા માટે હરિ એ જ બળ છે એવું પ્રતિપાદન કરી સ્વરૂપનિષ્ઠા પર ભાર મૂકે છે. ગુરુશિષ્યસંવાદરૂપની ૧૫ ‘પ્રસંગ’ નામક વિભાગો ધરાવતી દુહાસોરઠાબદ્ધ ‘હૃદયપ્રકાશ’ (ર.ઈ.૧૮૪૬/સં. ૧૯૦૨, અસાડ સુદ ૧૧; મુ.) હૃદયમાં આત્મા અને પરમાત્માનો પ્રકાશ પથરાય એ માટે ઇન્દ્રિયો ને અંત:કરણની શુદ્ધિ પર ભાર મૂકે છે. ૪૪ કડવાં અને ૧૨ પદની ‘ભક્તિનિધિ’ (ર. ઈ.૧૮૪૬/સં. ૧૯૦૨, ચૈત્ર સુદ ૯; મુ.) ભક્તિનાં વિવિધ પાસાંની તાત્ત્વિક ચર્ચા કરી નિષ્કામ ભક્તિનો મહિમા પ્રગટ કરે છે. ૧૮ ‘નિર્ણય’ નામક વિભાગો ધરાવતી દુહાચોપાઈબદ્ધ ‘કલ્યાણનિર્ણય’ (મુ.) કલ્યાણના જુદા જુદા પ્રકારો બતાવી અવતારી ઈશ્વર અને સાચા સંતની આજ્ઞામાં રહેવામાં કલ્યાણ છે એમ પ્રતિપાદિત કરે છે. ચારણી છંદોનો વિનિયોગ દર્શાવતી ૧૦૨ કડીની ‘અરજીવિનય’ (મુ.) પ્રાર્થનાનું મહત્ત્વ પ્રગટ કરે છે, તો ૧૦૧ કડીની ‘ગુણગ્રાહક’ (મુ.) ગુણ-અવગુણનો ભેદ કરીને નિર્ગુણબ્રહ્મની ઉપાસનાનો ઉપદેશ આપે છે. કવિએ સહજાનંદની સંસ્કૃત ‘શિક્ષા પત્રી’ને દુહા-ચોપાઈની ૨૬૦ કડીમાં (મુ.) ગુજરાતીમાં ઉતારી છે. પદો ઉપરાંત હિંદીમાં એમણે સહજાનંદના જન્મથી અંતર્ધાનસમય સુધીના પ્રત્યેક વિચરણને વર્ણવતી ૮ વિશ્રામની દુહાચોપાઈબદ્ધ ‘હરિવિચરણ’ (મુ.), સહજાનંદના ચરણમાં રહેલા પ્રભુતાસૂચક અને મોક્ષમૂલક ચિહ્નો વર્ણવતી ૧૬ દુહાની ‘ચિહ્નચિંતામણિ’(મુ.), ભગવાન પ્રત્યેના સખીભાવથી થયેલું ૩૧ પુષ્પોનું ચિંતવન રજૂ કરતી ૩૧ કડીની ‘પુષ્પચિંતામણિ’ (મુ.) અને ભગવાનનું ભજન કયા શુભ-અશુભ સમયે કરવું જોઈએ તેનાં લગ્નફળ દર્શાવતી દુહાની ૧૭ કડીની ‘લગ્નશકુનાવલી’ (ઈ.૧૮૨૭; મુ.) એ કૃતિઓ રચેલી છે. કૃતિ : ૧. નિષ્કુળાનંદકાવ્ય, પ્ર. શેઠ લક્ષ્મણદાસ માવજી, ઈ.૧૯૧૨; ૨. નિષ્કુળાનંદકાવ્ય, પ્ર. સ્વામિનારાયણ ગુરુકુળ, ઈ.૧૯૭૮ (+સં.); ૩. નિષ્કુલાનંદકાવ્યમ્ સં. હરજીવનદાસ શાસ્ત્રી; ૪. નિષ્કુળાનંદ સ્વામીકૃત કાવ્યસંગ્રહ, પ્ર. વૈદ્ય ઘનશ્યામ બાપુભાઈ; ૫. પત્રી તથા કીર્તન, પ્ર. મનસુખરામ મૂળચંદ, ઈ.૧૮૮૦; ૬. પુરુષોત્તમપ્રકાશ, સં. શાસ્ત્રી નારાયણભક્ત, ઈ.૧૯૮૦; ૭. ભક્તચિંતામણિ, પ્ર. ઠક્કર દામોદરદાસ ગો. ઈ.૧૮૯૬; ૮. ભક્તચિંતામણિ, સં. શાસ્ત્રી દેવચરણદાસજી, સં. ૨૦૧૩ (+સં.); ૯. ભક્તચિંતામણિ, પ્ર. શ્રીપતિપ્રસાદજી, ઈ.૧૯૨૪; ૧૦. સારસિદ્ધિ પ્ર. દામોદર ગો. ઠક્કર, ઈ.૧૮૭૯; ૧૧. બૃકાદોહન : ૧, ૨, પ, ૬. સંદર્ભ : ૧. વૈરાગ્યમૂર્તિ સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી, શાસ્ત્રી ભક્તિપ્રિયદાસ, ઈ.૧૯૭૮; ૨.  મસાપ્રવાહ; ૩.  ડિકેટલૉગબીજે. [ચ.મ.]

નિહાલચંદ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. હર્ષચંદ્રગણિના શિષ્ય અને લઘુબંધુ. ૧૨૫ કડીના ‘જગત શેઠાણી-શ્રીમણિકદેવી-રાસ’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, પોષ વદ ૧૩; મુ.), ૧૮૬ કડીની ‘જીવવિચારભાષા’ (ર.ઈ.૧૭૫૦/સં. ૧૮૦૬, ચૈત્ર સુદ ૨, બુધવાર), ‘નવતત્ત્વભાષા’ (ર.ઈ.૧૭૫૧/સં. ૧૮૦૭, મહા સુદ ૫)-એ કૃતિઓના કર્તા. તેમની પાસેથી હિન્દીમાં ‘બ્રહ્મબાવની’ (ર.ઈ.૧૭૪૫) અને ૬૫ કડીની ‘બંગાલા દેશકી ગજલ’ એ કૃતિઓ મળી છે. કૃતિ : જૈન રાસસંગ્રહ : ૧, સં. શ્રીસાગરચન્દ્રજી મહારાજ, ઈ.૧૯૩૦. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨ જૈગૂકવિઓ : ૩, (૧,૨). [શ્ર.ત્રિ.]

નીકો [                ] : જૈન. ૧૪ કડીની ‘બાવન યમકગર્ભિત રહનેમીજીની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ષટ્દ્રવ્ય નયવિચારાદિ પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, ઈ.૧૯૬૯. [કી.જો.]

નીતિવિજય [                ] : જૈન સાધુ. વિજયરત્નસૂરિના શિષ્ય. ૮ કડીના ‘પાર્શ્વજિન-સ્તવન (મુ.)ના કર્તા કૃતિ : જૈકાપ્રકાશ : ૧. [કી.જો.]

નીતિહર્ષ [                ] : જૈન ૬ કડીની ‘પ્રસન્નચંદ્ર સઝાય’ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]

નીરભેરામ : જુઓ નરભેરામ-૩.

નીંબો [ઈ.૧૬૧૯ સુધીમાં] : જૈન. ૨૪૫ કડી અને ૪૦૦ ગ્રંથાગ્રના ‘આદિનાથ-વિવાહલો’ (લે. ઈ.૧૬૧૯/સં. ૧૬૭૫, આસો વદ ૩)ના કર્તા. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈગૂકવિઓ : ૩ (૧). [શ્ર.ત્રિ.]

નૂર/નૂરુદ્દીન [                ] : ‘સતગુરુ’ તરીકે ઓળખાયેલા આ નિઝારી ઇસ્લામી સંતનો સમય એક ગણતરીએ ઈ.૯મી સદીની પહેલી પચીસીમાં મુકાય છે, તો બીજી બાજુથી નવસારીમાં આવેલા એમના રોજામાંનો લેખ એમનું અવસાનવર્ષ ઈ.૧૦૯૪ બતાવે છે. કબર કોઈ ઘણા પ્રાચીન ઇસ્માઈલી ધર્મપ્રચારકની હોય ને નૂરુદ્દીન ઇમામશાહ (જ.ઈ.૧૪૫૨-અવ. ઈ.૧૫૧૩)ના સમયમાં ગુજરાતમાં આવ્યા હોય એવો પણ તર્ક થયો છે. સિદ્ધરાજ કે ભીમદેવના સમયમાં એ પાટણ આવ્યા હોવાની ને પછીથી નવસારીના સૂબા સૂરચંદની કુંવરી સાથે પરણ્યા હોવાની માહિતી મળે છે તેની પ્રમાણભૂતતા શંકાસ્પદ છે. એમના ઘણા ચમત્કારો નોંધાયેલા છે. આ બધા પરથી એ પ્રભાવક ધર્મોપદેશક હોવાનું તો નિશ્ચિત થાય છે. એમને નામે જે ‘જ્ઞાન’ નામક પદો(મુ.) મળે છે તેમાં એમનું જ કર્તૃત્વ માનવું કે એમનો ઉપદેશ એમના નામથી કોઈએ વણી લીધો છે એમ માનવું એ કોયડો છે. એ ભક્તિવૈરાગ્યબોધક પદોમાં હિન્દુપરંપરાનો ઉપયોગ કરતા સતપંથના લાક્ષણિક પૌરાણિક કથાસંદર્ભો છે અને આગમવાણીના અંશો છે. એની ભાષામાં હિંદીનાં તત્ત્વો છે. કૃતિ : મહાન ઇસ્માઇલી સંત પીર હસન કબીરદીન અને બીજા સત્તાધારી પીરો રચિત ગીનાનોનો સંગ્રહ, -. સંદર્ભ : ૧. * ઇસ્માઇલી લિટરેચર, ડબલ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૬૩; ૨. કલેક્ટેનિયા : ૧. સં. ડબલ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૪૮; ૩. ખોજા કોમની તવારીખ, એદલજી ધનજી કાબા, ઈ.૧૯૧૮; ૪. ખોજા વૃત્તાંત, સચેદીના નાનજીઆણી, * ઈ.૧૮૯૨, ઈ.૧૯૧૮ (બીજી આ.); ૫. મહાગુજરાતના મુસલમાનો : ૧-૨, કરીમ મહમદ માસ્તર, ઈ.૧૯૬૯; ૬. (ધ) એક્ટ ઑવ ઇમામશાહ ઈન ગુજરાત, ડબલ્યૂ. ઇવાનૉંવ, ઈ.૧૯૩૬. [ર.ર.દ.]

નૂરદાસ [                ] : દાદુપંથના કવિ. જ્ઞાતિએ મુસલમાન. શિખામણના પદના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. સમાલોચક, માર્ચ ૧૯૧૧-‘ગુજરાતી જૂની કવિતા’, છગનલાલ રાવળ. [કી.જો.]

નેનસુખ : જુઓ નયનસુખ.

નેમ-૧ [ઈ.૧૬૫૨ સુધીમાં] : જૈન સાધુ. દાનના શિષ્ય. ૫ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન(ચિંતામણિ)’ (લે.ઈ.૧૬૫૨)ના કર્તા.સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.સો.]

નેમ(વાચક)-૨ [ ] : જૈન સાધુ. ૪ કડીના ‘શ્રીશંખેશ્વર પાર્શ્વનાથનો છંદ’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાછંદસંગ્રહ. [શ્ર.ત્રિ.]

નેમચંદ [ઈ.૧૭૧૭માં હયાત] : જૈન. ભૂલથી નેમિદાસ શ્રાવકને નામે નોંધાયેલી ‘ચૌવિસી ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૧૭, કારતક-)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [શ્ર.ત્રિ.]

નેમિવિજય : આ નામે ૯ કડીનું ‘કરેડા પાર્શ્વનાથ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી) તથા અન્ય કેટલાંક સ્તવનો મળે છે તેના કર્તા કયા નેમવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]

નેમવિજય-૧ [ઈ.૧૬૩૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિદ્યાવિજયના શિષ્ય. ૨૪ ઢાળની ‘અમરદત્ત મિત્રાનંદ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૯/સં. ૧૬૯૫, આસો સુદ ૩, રવિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧) [ર.સો.]

નેમવિજય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં તિલકવિજયના શિષ્ય. આ કવિનો દુહા અને દેશીબદ્ધ ૮૪ ઢાળનો અને ૬ ખંડોમાં વિભક્ત ‘શીલવતી-રાસ  શીલરક્ષાપ્રકાશ-રાસ’ (ર.ઈ.૧૬૯૪/સં. ૧૭૫૦, વૈશાખ સુદ ૩; મુ.) શીલવતી અને ચંદ્રગુપ્ત વચ્ચેના લાંબા વિયોગની અને એને અંતે થતા મિલનની કથા આલેખે છે. વિયોગકાળમાં અનેક વિપત્તિઓમાં અટવાતી શીલવતી અને ભ્રમણ દરમ્યાન પરાક્રમો કરતા ચંદ્રગુપ્તની સાથે સંકળાતી ઘટનાઓથી વાર્તા કરુણ, વીર ને અદ્ભુતરસવાળી બની છે. કવિની રસિક ને આલંકારિક કાવ્યરીતિ, પ્રસંગકથનમાં ભળતું ઉપદેશકથન, ઢાળોમાં ઉપયોગમાં લેવાયેલા વિવિધ રાગો તથા અપભ્રંશના અંશોવાળી અને રાજસ્થાનીની અસર દેખાડતી ભાષા આ કૃતિની લાક્ષણિકતાઓ છે. માગશરના વર્ણનથી આરંભાતી ‘નેમરાજુલ-બારમાસ/નેમિ-બારમાસ’ (ર.ઈ.૧૬૯૮/સં. ૧૭૫૪, મહા સુદ ૮, રવિવાર; મુ.) કવિની બીજી મહત્ત્વની કૃતિ છે. સળંગ ૧૦૦ કડીઓમાં રાજિમતીની વિરહવ્યથાને આલેખતી કૃતિમાં આંતરયમક અને અનુપ્રાસની ગૂંથણી નોંધપાત્ર છે. એના પદબંધમાં ઢાળ તરીકે ઉલ્લેખાયેલો મુખ્ય ભાગ દુહામાં છે અને પ્રત્યેક માસના વર્ણનને અંતે આવતી ૨-૨ પંક્તિઓ દુહા તરીકે ઉલ્લેખાઈ છે પણ એ ઝૂલણના ઉત્તરાર્ધની ૧૭ માત્રાનાં ૪ ચરણની બનેલી છે એ લાક્ષણિક છે. આ ઉપરાંત કવિએ ૧૭ ઢાળનો ‘સુમિત્ર-રાસ/રજરાજેશ્વર-રાસ’ (ર.ઈ.૧૬૯૯/સં. ૧૭૫૫, મહા સુદ ૮, શનિવાર), ૪ ખંડ, ૬૩ ઢાળ અને ૭૨૮ ગ્રંથાગ્રનો ‘વછરાજ-રાસ’ (ર.ઈ.૧૭૦૨/સં. ૧૭૫૮, માગશર સુદ ૧૨, બુધવાર) તથા ૩૯ ઢાળ અને ૧૯૫૮ કડીનો ‘તેજસાર રાજર્ષિ-રાસ’ (ર.ઈ.૧૭૩૧/સં. ૧૭૮૭, કારતક વદ ૧૩, ગુરુવાર) એ કૃતિઓની રચના કરી છે. કૃતિ : ૧. પ્રાકામાળા : ૩૫; ૨. પ્રામબાસંગ્રહ : ૧;  ૩. જૈનયુગ, પોષ ૧૯૮૨-‘નેમિબારમાસ; સં. મોહનલાલ દ. દેસાઈ. સંદર્ભ : ૧. ગુમાસ્તંભો; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પાંગુહસ્તલેખો; ૫ મરાસસાહિત્ય;  ૬. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૭. ડિકેટલૉગભાવિ; ૮. દેસુરાસમાળા.[ર.સો.]

નેમવિજય-૩/નેમિવિજય [ઈ.૧૬૯૨/૧૭૨૨માં હયાત] : જૈન સાધુ. સંઘવિજયની પરંપરામાં દીપ્તિવિજયના શિષ્ય. તેમણે ૩ ઢાળ અને ૨૦ કડીની ‘વૈમાનિકજિનરાજ-સ્તવન/વૈમાનિક શાશ્વવતજિનસ્તોત્ર/સ્તવન’ (ર.ઈ.૧૬૯૨/ઈ.૧૭૨૨/સં. ૧૭૪૮/૧૭૭૮, પોષ સુદ ૨, ગુરુવાર; મુ.) નામની કૃતિની રચના કરી છે. કૃતિ : જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.સો.]

નેમવિજય-૪ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં રંગવિજયના શિષ્ય. ૨૮ ઢાળનું ‘(થંભણ, શેરીસા, શંખેશ્વર) પાર્શ્વનાથનું સ્તવન/ગીત’ (ર.ઈ.૧૭૫૫/સં. ૧૮૧૧, ફાગણ સુદ ૧૩, સોમવાર:), ૧૬ ઢાળનું ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન/કાજલ મેઘાનું સ્તવન/મેઘશાનાં ઢાળીયાં’ (ર.ઈ.૧૭૬૧/સં. ૧૮૧૭, ભાદરવા સુદ ૧૩, સોમવાર; મુ.), દેશીઓ તથા દુહામાં બદ્ધ ૧૧૯ ઢાળનો અને ૯ ખંડોમાં વિભક્ત ‘ધર્મપરીક્ષાનો રાસ/કામઘટ-રાસ’ (ર.ઈ.૧૭૬૫/સં. ૧૮૨૧, વૈશાખ સુદ ૫, ગુરુવાર; મુ.), ૪૫ ઢાળનો ’.શ્રીપાળનો રાસ’ (ર.ઈ.૧૭૬૮/સં. ૧૮૨૪, પોષ વદ ૬, રવિવાર) તથા દાન, શીલ તપ વગેરે વિષયો પરની સઝાયો - એ કૃતિઓ તેમણે રચી છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧; ૨. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; ૩. ધર્મપરીક્ષાનો રાસ, પ્ર. વાડીલાલ વ. શાહ, ઈ.૧૮૭૮; ૪. એજન, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૧૩. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. પાંગુહસ્તલેખો; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈગૂકવિઓ : ૩(૧). [ર.સો.]

નેમસાગર : આ નામે ૨૭ ‘કડીનું અજિતનાથ-સ્તવન’, ૧૧ કડીનું ‘ચતુર્વિંશિતિજિન-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૮ કડીની ‘ચરણસિત્તરિ-કરણસિત્તરિ-સઝાય’, ૧૧ કડીની ‘વિજયસિંહગુરુ-સઝાય’, ૧૨ કડીની ‘સંસારસ્વરૂપ-સઝાય’ અને ‘સિદ્ધાચલ-સ્તવન’ - એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા નેમસાગર છે તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

નેમસાગર-૧ [     ] : જૈન સાધુ. જસસાગરના શિષ્ય. ૧૧ કડીના ‘નેમજી-ગીત’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

નેમિકુંજર [ઈ.૧૫૦૦માં હયાત] : જૈન સાધુ. ૪ ખંડ અને ૧૯૮/૪૩૦ કડીના ‘ગજસિંહરાય ચરિત્ર-રાસ/ગજસિંઘકુમાર-રાસ’ (ર.ઈ.૧૫૦૦/સં.૧૫૫૬, પ્રથમ જેઠ સુદ ૧૫, બુધવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. ડિકેટલૉગભાઈ : ૧૯(૨); ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

નેમિદાસ : આ નામે ૩૩ કડીનો ‘વિવાહ-સલોકો’ (મુ.) મળે છે. તેના કર્તા કયા નેમિદાસ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિની ભાષા ઈ.૧૭મી સદીના અંત અને ઈ.૧૮મી સદીના પ્રારંભની લાગે છે. કૃતિ : ફાત્રૈમાસિક, ઑક્ટો.-ડિસે. ઈ.૧૯૬૦-‘વિવાહસલોકો’ સં. હરિવલ્લભ ચુ. ભાયાણી. સંદર્ભ : ડિકેટલૉગભાઈ. [શ્ર.ત્રિ.]

નેમિદાસ-૧ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જૈન શ્રાવક. જ્ઞાનવિમલના શિષ્ય. દશાશ્રીમાળી વણિક. પિતા રામજી. ‘અધ્યાત્મસારમાલા’ (ર.ઈ.૧૭૦૯/સં. ૧૭૬૫, વૈશાખ સુદ ૨; મુ.) અને ૭ ઢાળની ‘પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા/અનુભવલીલા’ (ર.ઈ.૧૭૧૦/સં.૧૭૬૬, મહા/ચૈત્ર સુદ ૫; મુ.)ના કર્તા. કૃતિ : * ૧. અધ્યાત્મસારમાલા, પ્ર. બુદ્ધિપ્રભા, સં. ૧૯૭૨ના એક અંકમાં; ૨. નસ્વાધ્યાય. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

‘નેમિનાથ-ચતુષ્પદિકા’ : તપગચ્છના મુનિ રત્નસિંહસૂરિ શિષ્ય વિનયચંદ્રસૂરિરચિત ૪૦ કડીનું ચોપાઇબંધમાં રચાયેલું, ઉપલબ્ધ પહેલું બારમાસી કાવ્ય(મુ.). શ્રાવણથી આરંભાઈ અસાડમાં પૂરી થતી આ કૃતિમાં નેમિનાથના વિયોગમાં ઝૂરતી રાજલને તેની સખી નેમિનાથને ભૂલી જવા સમજાવે છે. પરંતુ સખીની એ વિનંતિને ન માની, વધતી જતી વિરહવ્યથા અસહ્ય બનતાં, આખરે રાજલ ગિરનાર જઈ નેમિનાથના હાથે દીક્ષા લઈ સિદ્ધિ પામે છે- એવી નેમિનાથ રાજિમતીની પ્રચલિત કથાને કવિ આમ તો અનુસરે છે, પરંતુ એક કડીમાં દરેક માસનું પ્રકૃતિવર્ણન, બીજી કડીમાં રાજલને તેની સખીએ કરેલ વિનંતિ અને ત્રીજી કડીમાં વિનંતિનો રાજલે આપેલો ઉત્તર એમ ૩-૩ કડીના ઝૂમખાને લીધે કૃતિનું સંયોજન વિશિષ્ટ બન્યું છે. ક્રમશ: કાવ્યનાયિકાની વધતી જતી વિરહવ્યથા અને કેટલાંક સુંદર વર્ણનોવાળું આ કાવ્ય અંતે વૈરાગ્યબોધમાં પરિણમતું હોવા છતાં એમાંના ભાવતત્ત્વના પ્રાધાન્યથી આકર્ષક બની રહે છે. [ર.ર.દ.]

‘નેમિનાથવરસ-ફાગુ/રંગસાગર-નેમિફાગ’ [ઈ.૧૫મી સદી] : જૈન સાધુ રત્નમંડનગણિનું આ ફાગુકાવ્ય (મુ.) ઘણો વખત પંદરમા શતકના જૈન કવિ સોમસુંદરસૂરિને નામે પ્રચલિત થયેલું. સંસ્કૃત-પ્રાકૃત શ્લોકોના મિશ્રણવાળી ૩ ખંડની આ કૃતિનું મુખ્યત્વે શાર્દૂલવિક્રીડિત, રાસક, આંદોલ અને યમકસાંકળીવાળો દુહો અને છંદોક્રમમાં થયેલું સંયોજન વિશિષ્ટ છે. ક્યાંક અનુષ્ટુપ ને અઢૈયા છંદનો પણ કવિએ આશ્રય લીધો છે.

નેમિનાથ ગર્ભમાં હતા ત્યારે શિવાદેવીને આવેલાં માંગલ્યસૂચક સ્વપ્નોથી પ્રારંભ કરી રાજિમતી સાથેના લગ્ન પૂર્વે નેમિનાથે કરેલા સંસારત્યાગ સુધીની કથા આલેખી કવિએ નેમિચરિત્ર અહીં આલેખ્યું છે એ રીતે આ ફાગુ થોડું જુદું છે. અલબત્ત એમ કરવા જતાં ફાગુનું હાર્દ બહુ જળવાયું નથી. કૃષ્ણની પટરાણીઓ નેમિનાથને લગ્ન માટે સમજાવવા ગિરનાર પર્વત પર લઈ જાય છે એ પ્રસંગ દ્વારા કવિએ વસંતવર્ણનની કેટલીક તક ઝડપી લીધી છે અને ત્યાં કાવ્ય ફાગુના વિષયને અનુરૂપ બને છે. કૃષ્ણનાં ગોકુળનાં પરાક્રમો અને દ્વારિકાવર્ણનથી કેટલુંક વિષયાંતર કાવ્યમાં થાય છે, તો પણ પદમાધુર્ય ને સુંદર વર્ણનોથી કાવ્ય ધ્યાનપાત્ર બને છે. [ર.ર.દ.]

‘નેમિનાથની રસવેલી’ [ર.ઈ.૧૮૩૩/સં.૧૮૮૯, ફાગણ સુદ ૭] : ખુશાલવિજયના શિષ્ય ઉત્તમવિજયની ૧૫ ઢાલ ને ૨૧૦ કડીઓમાં લખાયેલી આ કૃતિ(મુ.)માં કૃષ્ણની રાણીઓ નેમિનાથને વિવાહ માટે સમજાવે-મનાવે છે એ પ્રસંગને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે, એટલે રુક્મિણી, સત્યભામા, પદ્માવતી વગેરેએ કરેલો અનુનય દરેક ઢાળમાં આલેખાતો જાય એવી રચના કવિએ કરી છે. નારી વિનાના પુરુષના જીવનની શુષ્કતા ને નારીસ્નેહનું મહત્ત્વ રાણીઓની ઉપાલંભભરી ને મર્માળી ઉક્તિઓમાં સરસ ઝિલાયાં છે. કવિની રસિકતા ને કલ્પના પણ “નારીને નાવડિયે બેસી તરવો પ્રેમસમુદ્ર”, “અલબેલીને આલિંગને રે, કંકણની પડે ભાત્ય” જેવી પંક્તિઓમાં સરસ ખીલી છે. દિયર સાથે વિનોદ કરતી રાણીઓના ઉદ્ગારોમાં પ્રસન્નમધુર ને સૌમ્ય શૃંગારનું નિરૂપણ ખૂબ લાક્ષણિક બન્યું છે. આ સ્ત્રીઓનાં રૂપલાવણ્યનું ને એમનાં અલંકારોનું તથા વિવાહ માટે તૈયાર થતાં રાજુલ ને નેમિનાથના દેહસૌંદર્યનું ઝીણું આલેખન પણ કવિએ સંક્ષેપમાં ને અસરકારક રીતે કર્યું છે. કૃતિને એકરસપ્રધાન-શૃંગારપ્રધાન રાખવાનું કવિએ ઇચ્છ્યું છે અને તેથી રાજુલના વિલાપને વીગતે નિરૂપવાનું ટાળ્યું છે તેમ નેમ-રાજિમતીના અન્ય જીવનપ્રસંગોને પણ અત્યંત સંક્ષેપમાં પતાવ્યા છે. વિવિધ દેશીઓની ૧૩-૧૩ કડીઓની ઢાળ (છેલ્લીને અપવાદે)નો સુઘડ રચનાબંધ અને સળંગ અનુપ્રાસાત્મક ભાષા કૃતિની નોંધપાત્ર લાક્ષણિકતા છે. [ર.સો.]

‘નેમિનાથ-ફાગ’ : દુહાની ૨૩ કડીની, ‘ફાગ’ તરીકે ઓળખાવાયેલી અજ્ઞાત કવિની આ કૃતિ (લે.ઈ.૧૬મી સદી અંત/૧૭મી સદી આરંભ અનુ; મુ.) વસ્તુત: રાજિમતીની ૧૨ માસની વિરહવ્યથાનું વર્ણન કરે છે. અસાડથી આરંભાઈ જેઠ માસના નિર્દેશ સાથે પૂરી થતી આ કૃતિમાં અંતે તપ-જપ-સંયમ આદરીને રાજિમતી નેમિનાથની પણ પહેલાં શિવપુરીને પામે છે એમ ઉલ્લેખાય છે, પરંતુ તે પૂર્વે તે રાજિમતીના ઉદ્ગારો દ્વારા એની વિરહવ્યથાનું પ્રકૃતિચિત્રણની ભૂમિકા સાથે માર્મિક નિરૂપણ થયેલું છે. કવચિત્ પ્રકૃતિના વિરોધમાં માનવસ્થિતિ મુકાય છે-ભાદરવામાં સરોવર લહેરે ચડે છે, ત્યારે મારું કાયાસરોવર સ્વામી વિના દુ:ખમાં સિઝાય છે; ક્વચિત્ પ્રાકૃતિક તત્ત્વોને સંબોધનથી માનવભાવનું સૂચન થાય છે-મોર, મધુર અવાજ ન કર. પણ વધુ ધ્યાન ખેંચે છે તે તો કૃતિમાં ગૂંથાયેલા નેમિનાથ પ્રત્યેના રાજિમતીના અનેક ઉપાલંભો, મર્મ પ્રહારો-મૂર્ખ માણસ દ્રાક્ષને છોડીને કાંટાઓને અપવનાવે, મધુકર માલતીને છોડીને પારધિના ફૂલ પાછળ ભમવા લાગ્યો, આંબો માનીને સેવ્યો તેણે ધતૂરાનાં ફળ આપ્યાં, વિષધરને કંડિયે પૂર્યો પણ નજર ચૂકવી ડંખી ગયો વગેરે. ‘તારો સ્વામી મળશે’ એમ કહેતા કૃષ્ણને પણ રાજિમતી સંભળાવી દે છે કે તું મન છેતરીશ નહીં, યાદવો કૂડા છે એ હું પહેલેથી જાણું છું. કૃતિ : પ્રાકાસંગ્રહ (+સં.). [જ.કો.]

‘નેમિનાથ-ફાગુ’ [ર.ઈ.૧૩૪૯ આસપાસ] : મલધાર/હર્ષપુરીગચ્છના સાધુ રાજશેખરકૃત આ કૃતિ(મુ.) જિનપદ્મસૂરિની ‘સ્થૂલિભદ્રફાગુ’ની છંદ-યોજના તેમ જ પંક્તિ વિભાજનને અનુસરતી, અનુક્રમે બે ચરણની ૧ અને ૪-૪ ચરણની ૨ એ રીતે બનેલી ૨૭ કડીની પ્રાચીન ગુજરાતીની અપભ્રંશપ્રધાન ફાગુરચના છે. મુખ્યત્વે નેમિનાથ-રાજિમતીના અધૂરા રહેલા લગ્ન અને નેમિનાથના વૈરાગ્યપ્રેરિત મહાભિનિષ્ક્રમણના પ્રસંગોને નિરૂપતી આ કૃતિ વસંતવિહાર, રાજિમતીનું સૌંદર્ય, નેમિનાથનો વરઘોડો તથા હતાશ રાજિમતીના હૃદયભાવોનાં કાવ્યત્વપૂર્ણ વર્ણનોથી અને ભાષાશૈલીગત લાલિત્યથી ધ્યાનપાત્ર બને છે. [ર.ર.દ.]

‘નેમિનાથ રાજિમતી-તેરમાસા’ [ર.ઈ.૧૭૦૨/સં.૧૭૫૯ શ્રાવણ સુદ૧૫, સોમવાર] : તેરમાસના વર્ણનના ૧૩ ખંડ, દરેક ખંડમાં બહુધા દુહાની ૮ કડી અને ફાગ નામથી ૧૭ માત્રિક ઝૂલણાની ૧ કડી ધરાવતી ઉદયરત્નની આ કૃતિ(મુ.) સૌ પ્રથમ એના સુઘડ રચનાબંધથી ધ્યાન ખેંચે છે. દુહામાં કેટલેક સ્થાને આંતરપ્રાસ પણ જોવા મળે છે. કાવ્ય ચૈત્ર માસના વર્ણન સાથે પૂરું થાય છે. જો કે બારમા ચૈત્રમાસમાં રાજુલ “ભગવંત માંહે ભલી ગઈ સમુદ્રિ મલી જીમ ગંગ” પછી ૧૩મા અધિકમાસનું દુ:ખ વર્ણવાય અને ત્યાં પણ નેમ-રાજુલ મળ્યાનો ફરી ઉલ્લેખ આવે છે એ થોડુંક વિચિત્ર લાગે છે. જૈન મુનિકવિની આ રચના હોવા છતાં તેમાં વૈરાગ્યબોધનો ક્યાંય આશ્રય લેવામાં આવ્યો નથી, તેમ જ પ્રારંભના મંગલાચરણમાં કે અન્યત્ર જૈનધર્મનો કોઈ સંકેત થયો નથી. માત્ર નેમરાજુલની કથા જૈન સંપ્રદાયની છે એટલું જ. કવિએ દરેક માસની પ્રકૃતિની લાક્ષણિક રેખાઓ, ક્યારેક શબ્દસૌંદર્યથી ઉપસાવી છે અને રાજિમતીના વિરહભાવનો દોર એમાં ગૂંથી લીધો છે. વિરહભાવનું આલેખન પણ આકાંક્ષા, સ્મરણ, પરિતાપ વગેરે ભાવોથી શબલિત થયેલું છે, અને એમાં કેટલેક ઠેકાણે જે તે મહિનાની પ્રાકૃતિક ભૂમિકાનો પણ રસિકચાતુર્યથી ઉપયોગ થયો છે. છેલ્લા ખંડની દૃષ્ટાંતમાળા કવિના લોકવ્યવહારના જ્ઞાનની સૂચક છે. રત્ના ભાવસારના ‘મહિના’ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની રસિક સૂચના તરીકે જાણીતી કૃતિ છે. રત્નાના ગુરુ ઉદયરત્નની આ કૃતિ વધુ નહીં તો પણ એટલી જ મનોહારી રચના છે. [જ.કો.]

‘નેમિનાથ-રાસ’  : ત્રિપદીની ૨૩ કડીના આ અજ્ઞાતકર્તૃક રાસ (લે.સં.૧૫મી સદી અનુ.; મુ.)નો આરંભ નમસ્કારને બદલે સીધો વસંતના પ્રકૃતિવર્ણનથી થાય છે ને શણગાર સજીને નીકળેલી સુંદરીઓ દ્વારા નેમિનાથનું ચરિત્રગાન પ્રસ્તુત થાય છે. નેમિનાથનું ગુણવર્ણન કરી એમની ટૂંકી જીવનરેખા આપતા આ કાવ્યમાં લગ્નોત્સવ, જાન ને રાજિમતીના સૌંદર્ય-શણગારનાં વર્ણનો તથા સાહજિક રમણીય પ્રાસાનુપ્રાસયુક્ત શબ્દશૈલી આસ્વાદ્ય છે. કૃતિ : પ્રાગુકાસંચય (+સં.). સંદર્ભ : મરાસસાહિત્ય. [જ.કો.]

‘નેમિનાથ-હમચડી’ [ર.ઈ.૧૫૦૮] : જૈન સાધુ લાવણ્યસમયની હમચડી અથવા હમચી સ્વરૂપે લખાયેલી, નેમિનાથ-રાજુલના અતિપ્રસિદ્ધ કથાનકને રસિકતાથી નિરૂપતી ૮૪ કડીની આ નાની રચના (મુ.) છે. આ રચના વિષયવસ્તુ અને પ્રસંગ આલેખનની દૃષ્ટિએ, આ જ કવિની ઈ.૧૪૯૦માં રચાયેલી ‘નેમિરંગરત્નાકર-છંદ’ કૃતિની લઘુ આવૃત્તિ જેવી ગણી શકાય. કૃતિમાં હમચીના પ્રકારને અનુરૂપ વેગવાન સમુહનૃત્યમાં ગાઈ શકાય એ રીતે ભાષાને વેગીલી બનાવતા ગીતિકા છંદને કવિએ પ્રયોજ્યો છે. કથાનકનું કેટલુંક પ્રસંગનિરૂપણ આલંકારિક, ચિત્રાત્મક અને ભાવસભર છે. ક્યાંક હિંદીના રણકાવાળી ભાષામાં સાદ્યંત પદમાધુર્યનો અનુભવ થાય છે. [કા.સા.]

‘નેમિ-બારમાસ’ : જિનવિજયને નામે મુદ્રિત થયેલી ૧૩ કડીની આ કૃતિ “પણ જિન ઉત્તમ માહરે મન તો ભાવ્યા રે” એ પંકતિને કારણે જિનવિજયશિષ્ય ઉત્તમવિજય કે જિનવિજય-ઉત્તમ વિજયશિષ્ય પદ્મવિજયની હોવાનું સંભવે છે. કૃતિ પ્રકૃતિ અને વિરહભાવના આસ્વાદ્ય ચિત્રોથી ધ્યાનપાત્ર બને છે. કૃતિ : પ્રામબાસંગ્રહ : (+સં.). [જ.કો.]

‘નેમિરંગરત્નાકર-છંદ/રંગરત્નાકર નેમિનાથ-પ્રબંધ’  [ર.ઈ.૧૪૦૯] : તપગચ્છના જૈન સાધુ લાવણ્ય સમયની નેમિનાથ અને રાજિમતીના પ્રસિદ્ધ કથાનકને આલેખતી ૨ અધિકારમાં વહેંચાયેલી ૨૫૨ કડીની અને દુહા, રોળા, હરિગીત, આર્યા, ચરણાકુળ જેવા મુખ્યત્વે માત્રામેળ છંદોમાં રચાયેલી આ નોંધપાત્ર રચના (મુ.) છે. જન્મથી માંડી કેવળપદની પ્રાપ્તિ સુધીના નેમિનાથના જીવનના પ્રસંગોને એમનું ધર્મવીર તરીકેનું ચરિત્ર ઊપસી આવે એ રીતે કવિએ આલેખ્યા છે. પરંતુ આ કૃતિનું આકર્ષક તત્ત્વ કવિનું ભાષાપ્રભુત્વ છે. કૃષ્ણના અંત:પુરની રાણીઓનું નેમિનાથ સાથેનું વસંતખેલન ને એમનાં હસીમજાક તથા રાજિમતીનું અંગલાવણ્ય ઇત્યાદિ ઘણાં પ્રસંગો ને વર્ણનો ઉપમા, ઉત્પ્રેક્ષા જેવા અર્થાલંકરો; કહેવતો; પ્રાસઅનુપ્રાસ, આંતરયમક, રવાનુકારી શબ્દોથી અનુભવાતા નાદતત્ત્વ ઇત્યાદિ ભાષાકીય પ્રયુક્તિઓથી ચિત્રાત્મક, ભાવસભર અને લયાન્વિત બન્યાં છે. લગ્નવિધિ, સન્માનની પ્રણાલી, ભોજનની વાનગીઓ, લગ્નોત્તર જીવનમાં મનુષ્યને ભોગવવા પડતા દુ:ખ, પાપી જીવોને ભોગવવા પડતા નાનાવિધ દંડ વગેરે અનેક વર્ણનોમાં તત્કાલીન સમાજજીવન કવિએ ઉપસાવ્યું છે અને એ એનું બીજું વિશિષ્ટ આકર્ષણ છે. નેમિનાથ લગ્નોત્તર વિપત્તિઓને વર્ણવે છે તેમાં કાયર પુરુષ; માથાભારે પત્ની; સ્ત્રીની આભુષણો માટે માગણી; તેલ, મીઠું, મરચું બળતણ માટેનો સ્ત્રીનો કકળાટ વગેરે ઝીણી વીગતોનું આલેખન કવિની સમાજનિરીક્ષણની શક્તિનું દ્યોતક છે. [કા.શા.]

‘નેમિરાજિમતી-બારમાસા’ [ર.ઈ.૧૬૮૬/સં.૧૭૪૨, વૈશાખ સુદ ૩, રવિવાર] : તપગચ્છના સાધુ માણિક્યવિજયકૃત ૧૦૭ પંક્તિઓમાં રાજિમતીની વિરહવ્યથાને વિસ્તારપૂર્વક નિરૂપતું બારમાસી કાવ્ય (મુ.). પરંપરાનુસાર નાયક-નાયિકાના વ્યવહારજીવન પર પડતા પ્રકૃતિનાં વિશિષ્ટ લક્ષણોના પ્રભાવને વણી લેતી આ કાવ્યકૃતિનો પદબંધ દુહા અને ઝૂલણાની ૧૭ માત્રાના ઉત્તરાર્ધની દેશીની (જેને અહીં ‘ઢાલ’ તરીકે ઓળખાવવામાં આવી છે) છે. મનોહર અલંકાર વડે ઊપસતાં સુંદર ભાવચિત્રો, દુહામાં કરેલી આંતરયમકની યોજના તેમ જ શબ્દલાલિત્ય કૃતિના આસ્વાદ્ય અંશો છે. [ર.ર.દ.]

નેમિસાગર/નેમીસાર [ ] : જૈન સાધુ. રાજસ્થાની-ગુજરાતી મિશ્રભાષાના ‘જિનાજ્ઞાસ્વતન-સવિવરણ (લે.સં.૧૮મી સદી)ના કર્તા. સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૧, ૨; ૨. રાહસૂચી : ૧, ૨.[શ્ર.ત્રિ.]

નેમી [ ] : જૈન સાધુ. હોરી(મુ.)ના કર્તા. કૃતિ : જૈકાસારસંગ્રહ. સંદર્ભ : શ્રી ફાર્બસ ગુજરાતીસભા મહોત્સવગ્રંથ, સં. અંબાલાલ બુ. જાની, ઈ.૧૯૪૦.[કી.જો.]

નેમો [ ] : જૈન. ૯ કડીના ‘વીસ વિહરમાન-સ્તવન’ (લે.સં.૨૦મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

નોશેરવાન(એર્વદ) [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : પારસી કવિ. જમશેદના પુત્ર. અવટંકે ગરબલિયા. વ્યવસાયે મોબેદ (પુરોહિત). વતન નવસારી. ઈ.૧૬૭૦માં કવિ નાવર અને તે પછી મરાતબ થયા. રૂસ્તમના ‘જરથોસ્તનામા’ની એમણે સુરતમાં ઈ.૧૬૭૯માં કરેલી નકલ મળે છે તેથી કવિ યુવાવસ્થામાં અભ્યાસાર્થે સુરત ગયા હોય અને રૂસ્તમને ગુરુપદે સ્થાપ્યા હોય એવું અનુમાન થયું છે. કવિની ૨૪૫૦ પંક્તિની ‘પંચ ગિહિ અને શશ ગહમ્બારની તમામ તમશીલ’ (ર.ઈ.૧૭૦૯/યઝજર્દી એન ૧૦૭૮, રોજ રામ, માહ તેશ્તર) એ કૃતિ રૂસ્તમની કાવ્યશૈલીનો પ્રભાવ અને કવિનો પારસી ધર્મગ્રંથો, પુરાણો, ક્રિયાકાંડોનો અભ્યાસ પ્રગટ કરે છે. સંદર્ભ : * ૧ ઑરિયેન્ટલ ટ્રેઝર્સ, જમશેદ સી. કાત્રક-; ૨. ગુસાઇતિહાસ : ૨; *૩. જરતોસ્તનામા, કવિ રૂસ્તમકૃત, સં. બહેરામ ગોર તે. અંકલેસરિઆ-; ૪. સત્તરમા શતકમાં પારસી કવિઓએ રચેલી ગુજરાતી કવિતા, પેરીન દા. ડ્રાઇવર, ઈ.૧૯૭૪. [ર.ર.દ.]

ન્યાય-૧ [ઈ.૧૭૪૨માં હયાત] : જૈન સાધુ. ઉદયસૂરિના શિષ્ય. ૮ કડીના ‘સંભવનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૪૨; મુ.)ના કર્તા. કૃતિ : જિસ્તકાસંદોહ : ૨. [ચ.શે.]

ન્યાય-૨/ન્યાયસાગર [ઈ.૧૮૩૨ સુધીમાં] : જૈન સાધુ. ૧૬ કડીની ‘અસજઝાયની સઝાય/અસજઝાય વારકો સજઝાય’ (લે.ઈ.૧૮૩૨; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈસસંગ્રહ (જૈ); ૩. મોસસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચ.શે.]

ન્યાય(મુનિ)-૩ [                ] : જૈન સાધુ. ૮ કડીની ‘નેમનાથ-સઝાય’ (મુ.) તથા ૯ કડીની ‘પંચતિથિમહિમાવર્ણન’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. દેસ્તસંગ્રહ. [ચ.શે.]

ન્યાયશીલ : [ઈ.૧૪૪૪માં હયાત] : જૈન સાધુ. ‘નંદ-બત્રીશી’ (ર.ઈ.૧૪૪૪)ના કર્તા. સંદર્ભ : ઇતિહાસની કેડી, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૫. [ચ.શે.]

ન્યાયસાગર : આ નામે મનુષ્યદેહની માયા-લોલુપતા અને તેની નશ્વરતાનું માર્મિક ચિત્ર ઉપસાવતી ૧૦ કડીની ‘નટવાની-સઝાય’ (મુ.), ૩ કડીની ‘ભીડભંજન-સ્તવન’ (મુ.), ૭ કડીની ‘ગહૂંલી’ (મુ.), ‘દોઢસો કલ્યાણકનું/મૌન એકાદશીનું ગણણાનું સ્તવન’, ‘બાહુજિન-સ્તવન’, શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’ અને ‘શ્રી નેમિનાથરાગમાલા’ વગેરે ગુજરાતી કૃતિઓ તથા હિંદીમાં ‘અંતરિક્ષ પાર્શ્વનાથ-સ્તવન’(મુ.), ‘પાર્શ્વનાથ-સ્તુતિ’(મુ.), ‘પાર્શ્વનાથ જિન-સ્તવન’, (મુ.)-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા ન્યાયસાગર છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. ગહૂંલીસંગ્રહનામાગ્રંથ : ૧, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧; ૨. ચૈસ્તસંગ્રહ : ૨; ૩. જૈકાપ્રકાશ : ૧ : ૪. જૈકાસંગ્રહ; ૫. જૈપ્રપુસ્તક : ૧; ૬. પ્રાસ્તસંગ્રહ; ૭. સમન્મિત્ર(ઝ). સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. ડિકૅટલૉગબીજે; ૩ લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]

ન્યાયસાગર-૧ [ઈ.૧૫૧૫માં હયાત] : જૈન સાધુ. ૧૪૫૯ કડીની ‘શુકરાજ-ચતુષ્પદી’ (ર.ઈ.૧૫૧૫)ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [ચ.શે.]

ન્યાયસાગર-૨ [જ. ઈ.૧૬૭૨/સં.૧૭૨૮, શ્રાવણ સુદ ૮-અવ. ઈ.૧૭૪૧/સં.૧૭૯૭ ભાદરવા વદ ૮] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર ઉપાધ્યાયની પરંપરામાં ઉત્તમસાગરના શિષ્ય. મૂળ નામ નેમિદાસ. ભિન્નમાલમાં ઓસવાલ જ્ઞાતિમાં જન્મ. પિતાનું નામ મોટો સાહ. માતાનું નામ રૂપા. તેમણે કેસરિયાજીમાં દિગંબર સંપ્રદાયના નરેન્દ્રકીર્તિ સાથે વાદવિવાદ કરી તેમનો પરાભવ કરેલો. ઢંઢકોનો પણ તેમણે પરાભવ કરેલો. તેમનું અવસાન અમદાવાદમાં થયેલું. ૬ ઢાળનું ‘સમ્યકત્વ વિચારગર્ભિત મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૭૧૦/સં.૧૭૬૬, ભાદરવા સુદ ૫; મુ.), આ જ સ્તવન પરનો બાલાવબોધ (ર.ઈ.૧૭૧૮), ૫૬ કડીનું ‘સપ્તશતિજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૨૪), ‘૯૭ પિંડદોષવિચાર-સઝાય’ (ર.ઈ.૧૭૨૫), ‘મહાવીર રાગમાલા-પ્રશસ્તિ’ (ર.ઈ.૧૭૨૮/૧૭૩૩/સં.૧૭૮૪/૧૭૮૯, આસો વદ ૩૦), ૬ કડીની ‘આશાતના-સઝાય’, ૨૭ કડીની ‘આદિજિનવિનતિ’ (મુ.), ‘ચૈત્યદ્રવ્યભક્ષણ/રક્ષણ ફલદૃષ્ટાંત-સઝાય’, ૨ ચોવીસી (મુ.), ૧૧ કડીનું ‘નેમરાજુલગુણ વર્ણન’, ટબા સાથેનું ‘નિગોદ વિચાર ગર્ભિત મહાવીર-સ્તવન’, ૮ કડીની પાર્શ્વનાથ દશગણધર-સઝાય’, ૬ કડીની ‘પાર્શ્વનાથના એકાદશ ગણધરની સઝાય’, ૭ કડીની ‘મહવીરગણધર-સઝાય’, ‘વીશી’ (મુ.), ૨૪ કડીની ‘વિંશતિ સ્થાનક વિધિગર્ભિત-સઝાય’ (ર.ઈ.૧૭૨૪), ૪ અને ૫ કડીની ‘વીરભક્તિ’ નામક બે રચનાઓ(મુ.) તથા ‘સૂર્યમંડન પાર્શ્વનાથ-સ્તવન’ (મુ.) આ કવિની રચનાઓ છે. આ ઉપરાંત તેમણે હિન્દી અને સંસ્કૃત ભાષામાં પણ સ્તવન, સઝાયની રચના કરી છે. કૃતિ : ૧. આત્મહિતકર આધ્યાત્મિક વસ્તુસંગ્રહ, પ્ર. વેણીચંદ સુ. શાહ, ઈ.૧૯૨૬; ૨. ચોવીસ્તસંગ્રહ; ૩. જિસ્તમાલા; ૪. જૈકાપ્રકાશ : ૧; ૫. જૈગૂસારત્નો; ૬. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯;  ૭. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ, ઑક્ટો. નવે. ૧૯૧૪-‘સ્ત્રી વાચનવિભાગ’ સં. નિર્મળાબહેન. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. ગુસારસ્વતો;  ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૫. મુપૂગૂહસૂચી : ૬. લીંહસૂચી ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]

ન્યાયસાગર-૩ [ઈ.૧૮૩૨ સુધીમાં] : જુઓ ન્યાય-૨.

ન્યાયસાગર-૪ [ઈ.૧૯મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. વિવેકસાગરના શિષ્ય. ૨ ઢાળનું અષ્ટમીનું સ્તવન(મુ.) તથા ૧૦૩ કડીની ગિરનારનું વર્ણન કરતી ‘ગિરનારતીર્થમાલા’ (ર.ઈ.૧૮૧૯/સં. ૧૮૭૫, મહા સુદ ૬ ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : ૧. ગિરનાર તીર્થોદ્ધારરાસ અને તીર્થમાળા, સં. મોહનલાલ દ. દેસાઈ, ઈ.૧૯૨૦; ૨. જિસ્તસંગ્રહ; ૩. જિનગુણપદ્યાવળી, પ્ર. વેણીચંદ સુ. શાહ, ઈ.૧૯૨૫ (બીજી આ.). સંદર્ભ : ડિકેટલોગબીજે. [ચ.શે.]

ન્યાયસાગર-૫ [                ] : જૈન સાધુ. લબ્ધિનિધાનના શિષ્ય. ૫ કડીના સ્તવન (મુ.)ના કર્તા. કૃતિ : સસન્મિત્ર (ઝ). [ચ.શે.]

ન્યાયસાગરશિષ્ય [                ] : જૈન સાધુ. ૬ કડીની ‘ગહૂંલી’(મુ.)ના કર્તા. કૃતિ : ગહૂંલીસંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રવાક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧. [કી.જો.] ન્હાના : જુઓ નાના.