ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક

Revision as of 13:14, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)





કક્ક [ઈ.૧૬૮૦ સુધીમાં] : ‘યોગીવાણી’ (લે. ઈ.૧૬૮૦)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [પા.માં.]

કક્ક(સૂરિ)શિષ્ય - ૧ [ઈ.૧૫૪૦માં હયાત]: કોરંટગચ્છના જૈન સાધુ. ૧૮૫/૧૯૦ કડીની ‘વિક્રમલીલાવતી-ચોપાઈ/રાસ’ (ર. ઈ.૧૫૪૦/સં. ૧૫૯૬, વૈશાખ સુદ ૧૪, બુધવાર)ના કર્તા. સંદર્ભ: ૧. જૈગૂકવિઓ:(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [કી.જો.]

કક્ક(સૂરિ)શિષ્ય - ૨ [ઈ.૧૫૭૦ સુધીમાં] : જૈન. ઉપકેશગચ્છના કક્કસૂરિના શિષ્ય. ૩૫૮/૩૬૫ કડીના શીલમહિમાવિષયક ‘કુલધ્વજકુમાર-પ્રબંધ/રાસ/શીલ-પ્રબંધ’ (લે. ઈ.૧૫૭૦)ના કર્તા. આ કવિ કક્કસૂરિશિષ્ય કીર્તિહર્ષ હોવાની સંભાવના કરવામાં આવી છે પણ એ માટે કોઈ સ્પષ્ટ આધાર નથી. સંદર્ભ : ૧. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૨ - ‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સંદોહ’, હીરાલાલ ૨. કાપડિયા;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [કી.જો.]

કચરાય : જુઓ બુધરાજ.

કચરો [ઈ.૧૮૧૦માં હયાત] : તપગચ્છના જૈન શ્રાવક. લાકડિયા(કચ્છ)ના શ્રીમાળી. ભંડારી જસરાજના પુત્ર. ૨૫ કડીની ‘અધિકમાસ-ચોપાઈ’ તથા તેના પરના સ્તબક (૨. ઈ.૧૮૧૦)ના કર્તા. સંદર્ભ : હૈજૈજ્ઞાસૂચિ : ૧.[પા.માં.]

‘કજોડાનો વેશ’ : મધ્યકાલીન ગુજરાતી સમાજના એક અનિષ્ટ પર કટાક્ષ કરતો આ ભવાઈવેશ (મુ.) “અસાઈત મુખથી ઓચરે, કજોડો રમતો થયો” એ પંક્તિને કારણે અસાઈત નાયકે રચેલો અથવા ભજવેલો હોવાથી સંભાવના થઈ શકે છે. આ વેશમાંની કથા નાની વયના ઠાકોર અને મોટી વયનાં ઠકરાણાંના કજોડાની છે, પરંતુ એમાં ગૂંથાતાં ગોરમાના ગરબા જેવાં ગીતોમાં વૃદ્ધ પતિને પનારે પડેલી યુવાન સ્ત્રીની મનોવેદના પણ વ્યક્ત થઈ છે. વેશ ૩ વિભાગોમાં સ્વાભાવિક રીતે વહેંચાઈ જાય છે : ૧. ઠાકોર-રંગલાનો સંવાદ, ૨. ઠકરાણાં આવતાં, એમના મનોભાવોનું ગાન તથા ઠાકોર-ઠકરાણાં-રંગલાનો સંવાદ, ૩. ઠાકોર-ઠકરાણાંનાં ઉપરાણાં તરીકે બન્નેની માતાઓનું આગમન અને એમની વચ્ચેનો ઝઘડો. આ ઝઘડા સાથે વેશ પૂરો થાય છે. ઠકરાણાંની કેડે બેસતા કે એમને ચુંબન કરવા માટે પેંગડું કે નિસરણી માગતા ઠાકોર પતિનાં બાલિશ ગાંડાઈભર્યાં વર્તનો અને કજોડાની વિશિષ્ટ પરિસ્થિતિમાંથી નીપજતું હાસ્ય અહીં પ્રધાન સ્થાને છે. એ હાસ્ય સ્થૂળ કોટિનું છે, પણ એમાં કેટલાક રસપ્રદ અંશો છે - જેમ કે, “એક ઠકરાણાંનો બાપ ને એક અમારો સસરો; એક ઠકરાણાંનો ભાઈ એ એક અમારો સાળો” એમ ૪ મહેમાનો હોવાની ગણતરી, નગ્ન દશા માટે “જળપોતિયાં કર્યાં” કે “ધોતિયું કાઢીને માથે બાંધ્યું” જેવા ભાષાપ્રયોગો, વગેરે. આનાથી જુદી રીતે, કજોડાનો ભોગ બનેલી સ્ત્રીની કરુણ દશા, પ્રસંગો દ્વારા નહીં પણ ગીતો દ્વારા વર્ણવાયેલી છે. ઠકરાણાં કજોડાંનું ‘વગોણું’ ગાય છે, તે ઉપરાંત આ વેશમાં ઉપર નર્દેશેલો ગોરમાનો ગરબો તથા મામલિયા/સામલિયા-સુત(ભાણજી ?) કૃત, વડનગરની નાગર યુવતીએ કજોડાના દુ:ખે કરેલી મસ્તકપૂજાને વર્ણવતો ગરબો પણ ગાવામાં આવે છે. ઠકરાણાંની અતૃપ્ત પ્રેમભાવનાને વ્યક્ત કરતાં ગીત ‘સનેડા’ તરીકે ઓળખાવાયેલાં છે. એમાં નાના નાવલાને ગોળરોટલી વગેરે ખવડાવી વહેલો મોટો કરવાની તાલાવેલી પણ નિરૂપાયેલી છે, જે પરિસ્થિતિને અનુરૂપ છે. વેશના જૂના પાઠમાં ઠાકોર રંગલાને પોતાની આપવીતી વર્ણવે છે તેમાં સીધા કથનનો આશ્રય ઘણો લેવાયો છે. ભવાઈની આ એક માન્ય પદ્ધતિ હતી. પછીથી ઠાકોર-રંગલાના સંવાદને ઉઠાવ આપવામાં આવ્યો છે અને એનું વિસ્તરણ પણ થયું છે; તેમાં રજપૂતના ઘરની ઢાંકેલી દરિદ્રતાનું હાસ્યરસિક ચિત્રણ પણ થઈ ગયું છે. વેશના પાઠોમાં વિવિધ દુહા-સાખીઓ પણ ગૂંથાયેલાં જોવા મળે છે. એ સુભાષિતરૂપ છે ને યુવતીના ઓરતા દૃષ્ટાન્તોથી રજૂ કરે છે. એમાં “ઊંચે ટીંબે આંબો મોરિયો, કોને મેલું રખવાળ ? મેલું પાડોશી પાતળો, મારો પરણ્યો નાનેરું બાળ” જેવી માર્મિક પંક્તિઓ ધ્યાન ખેંચે છે. [કા.જા.]

કડવા/કડુઆ [જ. ઈ.૧૪૩૯ - અવ. ઈ.૧૫૦૮] : કડવાગચ્છના મૂલપુરુષ. નાડુલાઈના વીસા નગર. પિતા મહેતા ક્હાનજી. માતા કનકાદે. વૈષ્ણવધર્મી કુટુંબમાં જન્મેલા કડવાને બાળપણથી જૈન ધર્મનો રંગ લાગ્યો હતો અને ઈ.૧૪૫૮માં અમદાવાદ આવી ત્યાંના રૂપપુરમાં આગમગચ્છના પંન્યાસ હરિકીર્તિ આદિનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. પંન્યાસ હરિકીર્તિ પાસે વિવિધ શાસ્ત્રોનું અધ્યયન કરી, એમના ઉપદેશથી વર્તમાનકાળે ખરા સાધુઓ છે અહીં એવી સમજણ સાથે સંવરી - ભાવસાધુપણે રહેવાનું શરૂ કર્યું અને પછીથી શિષ્યો પણ બનાવ્યા. ઈ.૧૪૬૮થી ઈ.૧૫૦૮ સુધી એમણે સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ અને છેક આગ્રા સુધી વિહાર કરી ઘણા લોકોને શ્રાવકો બનાવ્યા તે દરમ્યાન ઈ.૧૫૦૬માં કડવામતની સ્થાપના કરી. પાટણમાં અનશનપૂર્વક શાહ કલ્યાણે ઈ.૧૬૨૯માં રચેલી ‘કડુઆમત-પટ્ટાવલી’માં ઉલ્લેખાયા મુજબ એમની રચનાઓ ઈ.૧૪૫૮ પહેલાંથી ઈ.૧૫૦૭ સુધીની મળે છે, જેમાં ‘વીર-સ્તવન’ (૨.ઈ.૧૪૮૬), ‘વિમલગિરિ-સ્તવન’ (૨. ઈ.૧૪૮૯), ‘લુંપક્ચચ્ચરી-પૂજાસંવરરૂપસ્થાપના’ (૨.ઈ.૧૪૯૧), ‘પાર્શ્વ-સ્તવન’ (૨. ઈ.૧૪૯૨) ઉપરાંત ‘સાધુવંદના’, ‘શીલપાલનના એકસો ચાર બોલ’, ‘એક્સો તેર બોલ સ્ત્રી-શીલપાલનના’ તથા અન્ય કેટલાંક બોલ, પદો, સ્તવનો અને ગીતો તેમ જ ‘હરિહરાદિક પદ’ જેવી હિંદી રચનાઓનો પણ સમાવેશ થાય છે. ઉક્ત પટ્ટાવલીમાં કડવાએ ૬૦૦૦ જેટલી કૃતિઓ પાટણમાં રહીને રચી હોવાનો નિર્દેશ મળે છે. હરિહર વિશેનાં પદો એમની બાળપણની રચનાઓ હોવાનું પણ નોંધાયું છે. ઉપર્યુક્ત પટ્ટાવલીથી અતિરિક્ત, ‘જૈન ગૂર્જર કવિઓ’ ‘કડુઉ’ નામછાપ ધરાવતા, દુહા-ચોપાઈમાં રચાયેલ ‘લીલાવતીસુમતિવિલાસ-રાસ’ (લે. ઈ.૧૬૫૨)ને પ્રસ્તુત કર્તાની કૃતિ ગણાવે છે. સંદર્ભ : ૧. કડૂઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯; ૨. જૈગૂકવિઓ : ૩(૨) - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૩. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૩ - ‘કડુઆમત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨). [શ્ર.ત્રિ.]

કતીબશા (બાદશાહ) [ઈ.૧૪૫૦ આસપાસ] : પૂરું નામ કુતુબુદ્દીન હોવાની સંભાવના. અજમેરમાં કતીબશાનું નામ ‘બડાપીરકા તકિયા’ નામથી જાણીતું હતું. રામદેવ-પીરના ભક્તો મારફતે એમને પરચો મળેલો અને હૃદયપરિવર્તન થયેલું એવી કથા મળે છે. રૂપાદે-માલદે, જેસલ-તોરલ, નવનાથ, રામદેવ-પીર સાથે જ ભજનસૃષ્ટિમાં એમનું સ્થાન છે. રાણા માલદેને સંબોધીને રચેલું ૧ ભજન (મુ.) તેમના નામે મળે છે. કૃતિ : આપણી લોકસંસ્કૃતિ, સં. જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭ (+સં.). સંદર્ભ : રામદેવ રામાયણ, કેશવલાલ સાયલાકર, ઈ.૧૯૮૦. [નિ.વો.]

કનક : આ નામે ૭૫ કડીની ‘વલ્કલચીરીરાજકુમાર-વેલી’ (લે.સં. ૧૭મી સદી અનુ.) મળે છે પણ તે કયા કનકની છે તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : ૧ જૈમગૂકરચનાએં : ૧; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]

કનક-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૬મી સદી આરંભ] : ખતરગચ્છના જૈન સાધુ. ક્ષેમરાજ-ઉપાધ્યાયના શિષ્ય. ક્ષેમરાજ-ઉપાધ્યાય (દીક્ષા ઈ.૧૪૫૦, ઈ.૧૫૧૩ સુધી હયાત) વિશેના તેમની હયાતીમાં રચાયેલા ૪ કડીના ગીત (મુ.)ના કર્તા. તેમનું પૂરું નામ ‘કનકતિલક’ હોવાની સંભાવના કરવામાં આવી છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [વ.દ.]

કનક-૨ [ઈ.૧૬મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિન-માણિક્યસૂરિના શિષ્ય. જિનમાણિક્યસૂરિના આચાર્યકાળ (ઈ.૧૫૨૬-ઈ.૧૫૫૬)માં રચાયેલ ૫૦ કડીના ‘મેઘકુમારનું ચોઢાળિયું/મેઘકુમારનો ટૂંકો રાસ’ના કર્તા. આ કવિ જિનમાણિક્યના આજ્ઞાનુવર્તી અને ઈ.૧૫૫૦માં હયાત કનકતિલક ઉપાધ્યાય હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી. [વ.દ.]

કનકકીર્તિ : આ નામે ૧૩ કડીની ‘ઝૂંબખડું’, ૩ કડીની ‘વીર-સ્તવન’, ૧૩ કડીની ‘નેમિ-ફાગુ’ તથા હિંદીમાં ૫ કડીની ‘ભરતચક્રવર્તીની સઝાય’ (મુ.)ને ૧૨ કડીની ‘જિન-વિનતી’ એ કૃતિઓ નોંધાયેલી જોવા મળે છે. એ કયા કનકકીર્તિ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. વાચક કનકકીર્તિને નામે ધર્મનાં વિભિન્ન તત્ત્વોનું રૂપકશૈલીએ વર્ણન કરતી ૧૩ કડીની ‘ધર્મધમાલ-ફાગ’ (લે. સં. ૧૭મી સદી અનુ.) નામે કૃતિ મળે છે તે કનકકીર્તિ-૧ની હોવાની સંભાવના છે. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈકાપ્રકાશ : ૧. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. બુદ્ધિપ્રકાશ, માર્ચ ૧૯૮૩ - ‘બે ફાગ’, રમણલાલા ચી. શાહ;  ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]

કનકકીર્તિ(વાચક)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિચંદ્રસૂરિની પરંપરામાં જયમંદિરના શિષ્ય. ૧૩ ઢાળની ‘નેમિનાથ-રાસ’ (૨. ઈ.૧૬૩૬/સં. ૧૬૯૨, મહા સુદ ૫), ૩૯ ઢાળની ‘દ્રૌપદી-ચોપાઈ/રાસ’ (ર.ઈ. ૧૬૩૭/સં. ૧૬૯૩, વૈશાખ સુદ ૧૩), ૨ કડીની ‘દાદાજી-પદ’ના કર્તા. તેમણે સંસ્કૃતમાં ‘મેઘદૂત’ પર ટીકા પણ રચી છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [વ.દ.]

કનકકુશલ : ‘ગોડીપાર્શ્વનાથ-છંદ’ તથા ૯ કડીની ‘હરિયાલી-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા કયા કનકકુશળ છે તે સ્પષ્ટ થઈ શકતું નથી. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]

કનકતિલક : જુઓ કનક-૧ અને ૨.

કનકધર્મ [ઈ.૧૭૭૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ૧૬ કડીના ‘જિનલાભસૂરિ-પટ્ટધર-જિનચંદસૂરિ-ગીત’ (૨. ઈ.૧૭૭૮/સં. ૧૮૩૪, વૈશાખ-; મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [વ.દ.]

કનકનિધાન [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં ચારુદત્તના શિષ્ય. આપકમાઈ અર્થે પરદેશ ગયેલો અને ધુતારાઓના હાથમાં ફસાયેલો રત્નચૂડ, વારાંગનાની મદદથી એમાંથી કેવી રીતે પાર ઊતરે છે તેનું કથાનક, કેટલીક દૃષ્ટાંતકથાઓ સાથે વર્ણવતી રચના ‘રત્નચૂડ-ચોપાઈ/રત્નચૂડ-વ્યવહારી-રાસ’ (૨. ઈ.૧૬૭૨/સં. ૧૭૨૮, શ્રાવણ વદ ૧૦, શુક્રવાર; મુ.)ના કર્તા. જિનરત્નસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૪૩-ઈ.૧૬૫૫)માં રચાયેલા તેમને વિશેના ૬ કડીના ગીત (મુ.) તથા ૮ કડીની ‘નિદ્રડીની સઝાય’ (મુ.)ના કર્તા પણ આ જ કવિ સંભવે છે. કૃતિ : ૧. રત્નચૂડ વ્યવહારીનો રાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૭;  ૨. ચૈસ્તસંગ્રહ : ૩;  ૩. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૨ - ‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’ સં. કાંતિસાગરજી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી. [વ.દ.]

કનકપ્રભ [ઈ.૧૬૦૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પરંપરામાં કનકસોમના શિષ્ય. ૮૭ કડીના ‘દશાવિધયતિધર્મ-ગીત’ (૨. ઈ.૧૬૦૮/સં. ૧૬૬૪, અસાડ સુદ શુભ દિવસ)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [વ.દ.]

કનકમૂર્તિ [ ] : જેન સાધુ. ૫ કડીના ‘શંખેશ્વરપાર્શ્વ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭ - ‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહટા. [વ.દ.] કનકરત્ન-૧ [ઈ.૧૫૧૮ સુધીમાં] : ૬ કડીની ‘નેમિ-ગીત’ (લે. ઈ.૧૫૧૮)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [વ.દ.]

કનકરત્ન-૨ [ઈ.૧૭૧૧ સુધીમાં] : જૈન સાધુ. પંડિત હેમરત્નના શિષ્ય. પૂર્ણમાગચ્છના જ્ઞાનતિલક-પદ્મરાજશિષ્ય હેમરત્નના શિષ્ય હોવાની શક્યતા. તો સમય ૧૬મી સદી ઉત્તરાર્ધ કે ૧૭મી સદીનો પ્રારંભ ગણાય. એમણે રચેલાં ઋષભદેવ વિશેનાં કેટલાંક સ્તવન અને ગીત (લે. ઈ.૧૭૧૧) નોંધાયેલાં મળે છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [વ.દ.]

કનકરત્ન-૩ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : તપગચ્છની રત્નશાખાના જૈન સાધુ. દાનરત્નસૂરિ (ઈ.૧૭૫૧માં હયાત)ના રાજ્યકાળમાં તથા હંસરત્ન(અવ. ઈ.૧૭૪૨)ની હયાતીમાં રચાયેલા પઘડી છંદની ૨૫ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-છંદ’ (સંભવત: ૨.ઈ.૧૭૩૨/સં. ૧૭૮૮ - “સંવત શશિ નાગ મહિદૃગ આશા”, પોષ સુદ ૫, રવિવાર; મુ.)ના કર્તા. કૃતિ : માણિભદ્રાદિકોના છંદોનું પુસ્તક, પ્ર. નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦ (+સં.). [વ.દ.]

કનકવિજય : આ નામે કેટલીક કૃતિઓ જેમ કે ૭ કડીનું ‘(મંડોવર) પાર્શ્વનાથ-સ્તવન’ (લે. ઈ.૧૬૫૨), ૯ કડીનું ‘મહાવીર-સ્તવન’ (લે.ઈ.૧૮૩૩), ૫ કડીનું ‘આદીશ્વરજિન-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ‘ગુરુ-સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.), ‘ચોવીસજિન-ગીત’ (લે. સં. ૧૮મી સદી અનુ.) ૨ કડીનું ‘મહાવીર જિન-ગીત’ (લે.સં. ૧૯મી સદી અનુ.) અને ૧૩૭ કડીની ‘(ગુરુ) પરિપાટી વર્ણન-સઝાય/પટ્ટધરગુણવર્ણન-સઝાય (લે.ઈ. ૧૭૩૩) નોંધાયેલ મળે છે તે કયા કનકવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. પણ ‘(મંડોવર) પાર્શ્વનાથ-સ્ત્વન’ના કર્તા સમયદૃષ્ટિએ જોતાં કનકવિજય-૨ હોવાની શક્યતા છે અને ‘ગુરુ-સઝાય’ તે કદાચ કનકવિજય-૧કૃત ‘હીરવિજયસૂરિ-સઝાય’ જ હોય. સંદર્ભ : ૧. મુપુગુહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]

કનકવિજય-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિના શિષ્ય. હીરવિજયસૂરિના રાજ્યકાળ (ઈ.૧૫૫૪-ઈ.૧૫૯૬)માં તેમણે રચેલી ૧૧ કડીની ‘હીરવિજયસૂરિ-સઝાય’ (મુ.)માં હીરવિજયસૂરિને કલ્પવૃક્ષ તરીકે કલ્પી એક સાંગ રૂપક નિપજાવવામાં આવ્યું છે અને તે દ્વારા તેમનો મહિમા પ્રગટ કરવામાં આવ્યો છે. કૃતિ : ઐસમાલા : ૧ (+સં.). [વ.દ.]

કનકવિજય(ગણિ)-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં લાભવિજય-વૃદ્ધિવિજયના શિષ્ય. ‘રત્નાકરપંચવિંશતિ-સ્તવ-ભાવાર્થ’ (લે. ઈ.૧૬૭૬, સ્વલિખિત) તથા વિજાપુર સંધે વિજયપ્રભસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)ને કરેલી વિજ્ઞપ્તિકાના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[વ.દ.]

કનકવિજય-૩ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયરત્નસૂરિની પરંપરામાં વૃદ્ધિવિજયના શિષ્ય. વિજયક્ષમાસૂરિ (આચાર્યકાળ ઈ.૧૭૧૭-ઈ.૧૭૨૯) વિશેની ૯ કડીની સઝાયના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [વ.દ.]

કનકવિજય-૪ [ ] : જૈન સાધુ. કાનજીશિષ્ય. ૯ કડીના ‘સંપ્રતિરાજાનું સ્તવન/સંપ્રતિરાજ-સઝાય’ (મુ.) તથા ૫ કડીના ‘(મંડોવરા) પાર્શ્વનાથજિન-સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈપ્રપુસ્તક : ૧; ૨. સસન્મિત્ર. સંદર્ભ : મુપુગૂહસૂચી. [વ.દ.]

કનકવિજયશિષ્ય [ ] : જૈન. ૧૬ કડીની ‘એકાદશમતનિરૂપણ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૮ કડીની ‘(ભટેવા)પાર્શ્વનાથ-સ્તવન’ અને ૧૧ કડીની ‘(શંખેશ્વર)પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]


કનકવિલાસ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છની ક્ષેમશાખાના જૈન સાધુ. ગુણવિનય-ઉપાધ્યાયની પરંપરામાં કનકકુમારના શિષ્ય. ‘પ્રદેશી-સંધિ’ (૨.ઈ.૧૬૬૯) તથા ૪૬ ઢાળની ‘દેવરાજ-વત્સરાજ-ચોપાઈ’ (૨.ઈ.૧૬૮૨/સં. ૧૭૩૮, વૈશાખ-)ના કર્તા. સંદર્ભ : ૧. પ્રકારૂપરંપરા;  ૨. જૈગૂકવિઓ : ૨. [વ.દ.]

કનકસિંહ(ગણિ) [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનદત્તસૂરિની પરંપરામાં શિવનિધાનના શિષ્ય. જિનરત્નસૂરિની પ્રશસ્તિ કરતા, તેમના આચાર્યકાળ (ઈ.૧૬૪૩-ઈ.૧૬૫૫)માં રચાયેલા, ૭ કડીના ‘જિનરત્નસૂરિ-ગીત’ (મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [વ.દ.]

કનકસુંદર-૧ [ઈ.૧૬૪૧માં હયાત] : ભાવડગચ્છના જૈન સાધુ. એમના ‘હરિશ્ચંદ્રતારાલોચનીચરિત્ર-રાસ’માં છેલ્લા પાંચમા ખંડને અંતે કવિ પોતાને ભાવડગચ્છના સાધુજીના શિષ્ય ઉપાધ્યાય મહેશજીના શિષ્ય ગણાવે છે, જ્યારે બીજા ખંડને અંતે ભાવડગચ્છાધિપતિ ગુરુ મણિરત્ન તથા “આશીત લબ્ધિ અનંત ઉવઝાય” એવી પંક્તિમાં નિર્દિષ્ટ કોઈક પરંપરા ઉલ્લેખાયેલી મળે છે. ૫ ખંડ, ૩૯ ઢાળ અને ૭૮૧ કડીની દુહા-દેશીબદ્ધ ‘હરિશ્ચન્દ્રતારાલોચની ચરિત્ર-રાસ /ચોપાઈ/મોહનવેલી-ચોપાઈ’ (૨. ઈ.૧૬૪૧/સં. ૧૬૯૭, શ્રાવણ સુદ ૫; મુ.) મૂળ કથાનકને જૈન કર્મસિદ્ધાંતને અનુરૂપ ફેરફારો સાથે રજૂ કરતી, મનોભાવનિરૂપણ ને અલંકારનિયોજનની ક્ષમતા પ્રગટ કરતી સુગેય પ્રાસાદિક કૃતિ છે. કૃતિ : ૧. હરિશ્ચંદ્ર રાજાનો રાસ, પ્ર. ભીમશી માણેક, સં. ૧૯૫૩; ૨. એજન, પ્ર. સવાઈભાઈ રાયચંદ,-. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]

કનકસુંદર (ઉપાધ્યાય)-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : વડતપગચ્છના જૈન સાધુ. ધનરત્નસૂરિની પરંપરામાં વિદ્યારત્નના શિષ્ય. એમના ૪ ખંડ અને ૭૩૨ કડીના ‘કર્પૂરમંજરી-રાસ’  (૨. ઈ.૧૬૦૬)માં કર્પૂરમંજરીના માત્ર નખ જોઈને સલાટે બનાવેલી આબેહૂબ પૂતળીથી મોહ પામેલા મોહસારને એનો ભાઈ ગુણસાર કર્પૂરમંજરીને મેળવી આપે છે તેની કથા આલેખાઈ છે. દુહા, દેશી અને ચોપાઈનું ૪૮૬ કડીનું ‘સગાળશા-આખ્યાન’ (૨. ઈ.૧૬૧૧/સં. ૧૬૬૭, વૈશાખ વદ ૧૨; મુ.) પુરોગામી કવિ વાસુની કૃતિનો આધાર લઈ રચાયેલ છે અને બે-એક દૃષ્ટાન્તકથાઓ, સંસ્કૃત-પ્રાકૃત ગાથાઓની ગૂંથણી તેમ જ કેટલીક વર્ણનરેખા વડે એનું વિસ્તરણ સાધે છે. આ કવિની, આ ઉપરાંત, ૯૯૩ કડીનો ‘રૂપસેન-રાસ’ (૨. ઈ.૧૬૧૭), મારવાડી ભાષાની મૂળ કૃતિને સુધારીને રચવામાં આવેલો ‘દેવદત્ત-રાસ’, ૭૭ કડીની ‘જિનપાલિત-સઝાય’, ૪ ખંડનો ‘ગુણધર્મકનકવતી-પ્રબંધ’, ‘દશવૈકાલિક-સૂત્ર’ પર ૧૫૦૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ (ર.ઈ.૧૬૧૦/સં. ૧૬૬૬, પોષ સુદ ૮, રવિવાર) તથા મૂળ પ્રાકૃત ‘જ્ઞાતાધર્મ-સૂત્ર’ પર ૧૩૯૧૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ - એ કૃતિઓ મળે છે. કૃતિ : સગાળશા-આખ્યાન, સં. વ્રજરાય મુ. દેસાઈ, ઈ.૧૯૩૪ (+સં.). સંદર્ભ : ૧. મતિસારકૃત ‘કર્પૂરમંજરી’, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૧; ૨. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪;  ૩. જૈગૂકવિઓ:૧, ૩(૧,૨); ૪. ડિકૅટલૉગભાઈ:૧૭(૩). [વ.દ.]

કનકસુંદર-૩ [ઈ.૧૭૧૧માં હયાત] : જૈન સાધુ. ‘રત્નપાલ-ચોપાઈ’ - (ર.ઈ.૧૭૧૧)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી:૧. [વ.દ.]

કનકસોમ(વાચક) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પરંપરામાં અમરમાણિક્યના શિષ્ય. રાજકન્યા ત્રૈલોકસુંદરી સાથેના લગ્નમાં કોઢિયા પ્રધાનપુત્રને સ્થાને જેને બેસવું પડ્યું તે મંગલકલશને પછીથી રાજકન્યા કઈ રીતે શોધી કાઢે છે તેની કથા રજૂ કરતી દુહા, ચોપાઈ અને દેશીની ૧૬૬ કડીની ‘મંગલકલશ-ચોપાઈ/ફાગ’ (ર.ઈ.૧૫૯૩/સં. ૧૬૪૯, માગશર સુદ-; મુ.), પર કડીની ‘જિનપાલિત-જિનરક્ષિત-રાસ’ (ર.ઈ.૧૫૭૬/સં. ૧૬૩૨, ભાદરવા-), ૪ ઢાળ અને આશરે ૬૦ કડીની ‘આષાઢાભૂતિ-ચરિત્ર/ધમાલ/રાસ/સઝાય’ (ર.ઈ.૧૫૮૨/સં. ૧૬૩૮, આસોસુદ ૧૦), ૧૧૭ કડીની ‘હરિકેશી-સંધિ’ (ર.ઈ.૧૫૮૪/સં. ૧૬૪૦, કારતક સુદ-), ૪૮ કડીની ‘આર્દ્રકુમાર-ચોપાઈ/ધમાલ’ (ર.ઈ.૧૫૮૮/સં. ૧૬૪૪, પ્રથમ શ્રાવણ-) ૧૨૨ કડીની ‘થાવચ્ચાશુકસેલગ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૯) તથા ‘હરિબલ-સંધિ’ એ આ કવિની પ્રમાણમાં ટૂંકી એવી કથાત્મક કૃતિઓ છે. ઈ.૧૫૬૯માં આગ્રામાં અકબરની સભામાં પૌષધની ચર્ચામાં કવિના ગુરુબંધુ સાધુકીર્તિએ તપગચ્છના મુનિઓને નિરુત્તર કર્યા તે પ્રસંગને વર્ણવતી, લગભગ એ અરસામાં રચાયેલી જણાતી ૪૯ કડીની ‘જઈતપદ-વેલી’ (મુ.), ક્યારેક ‘શ્રીપૂજ્યભાસ’ને નામે ઓળખાવાયેલી ગચ્છનાયક જિનચંદ્રસૂરિ વિશેની ૧૧ અને ૫ કડીની ૨ ગીતરચનાઓ (બંનેની ર.ઈ.૧૫૭૨; પહેલી મુ.) તથા નગરકોટના આદીશ્વરની કવિએ કરેલી યાત્રાને ગૂંથી લેતું ૧૩ કડીનું સ્તોત્ર (ર.ઈ.૧૫૭૮; મુ.) એ આ કવિની ઐતિહાસિક માહિતીવાળી કૃતિઓ છે. આ ઉપરાંત, આ કવિની ૩૦ કડીની ‘નેમિ-ફાગ’ (ર.ઈ.૧૫૭૪), ૯૦ કડીની ‘ગુણસ્થાનકવિવરણ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૫/સં. ૧૫૩૧, આસો સુદ ૧૦), ૨૯ કડીની ‘નવવાડી-ગીત’ તથા ૧૭ કડીની ‘આજ્ઞાસઝાય-ગીત’ એ કૃતિઓ મળે છે. જિનવલ્લભસૂરિકૃત ૫ સ્તવન પર અવચૂરિ (ર.ઈ.૧૫૫૯) અને ‘કાલિકાચાર્ય-કથા’ (ર.ઈ.૧૫૭૬/સં. ૧૬૩૨, અસાડ સુદ ૫) કઈ ભાષામાં છે તે સ્પષ્ટ નથી. કૃતિ : ૧. ઐજૈકસંગ્રહ; ૨. પ્રાફાગુસંગ્રહ;  ૩. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૫ - ‘નગરકોટકે તીન સ્તવન ઔર વિશેષ જ્ઞાતવ્ય’, અગરચંદ નાહટા. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ: ૧, ૩ (૧,૨); ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ:૧. [વ.દ.]

કનકસૌભાગ્ય [ઈ.૧૬૦૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિના શિષ્ય ૨૭૧ કડીના ‘વિજયદેવસૂરિ-રંગરત્નાકર-રાસ’ (ર.ઈ.૧૬૦૮/સં. ૧૬૬૪, મહા સુદ ૧૧)ના કર્તા. કનકસૌભાગ્યને નામે કેટલીક ‘હરિયાળીઓ’ પણ નોંધાયેલી છે પરંતુ તે આ જ કનકસૌભાગ્યની છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [વ.દ.]

કનૈયો : જુઓ ક્હાનદાસ/ક્હાનિયોદાસ.


કપૂરવટ્ટાચાર્ય [ ] : જૈન સાધુ. ૩૨ કડીના ‘લઘુઅજિતશાંતિ-સ્તોત્ર’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [પા.માં.]

કપૂરવિજય-૧ [ઈ.૧૬૮૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિશિષ્ય ઉદયવિજયના શિષ્ય. ૧૭ કડીના ‘મહાવીર-સ્તવન’ (ર. ઈ.૧૬૮૮)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨; ૨. મુપુગૂહસૂચી. [પા.માં.]

કપૂરવિજય-૨ [ઈ.૧૭૩૬માં હયાત] : જૈન સાધુ. ૨૪ ગ્રંથાગ્રની ‘મેઘકુમાર-સઝાય’ (ર.ઈ.૧૭૩૬)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨. [પા.માં.]

કપૂરશેખર : આ નામે ‘જૈનરાસ’ કૃતિ નોંધાયેલી છે અને ‘વાચકરત્ન શેખરદાસ કપૂરશેખર’ એવો ઉલ્લેખ કર્તા વિશે મળે છે. રત્નશેખરશિષ્ય કપૂરશેખર નામના એક કર્તા મળે છે. પ્રસ્તુત કૃતિ એ કપૂરશેખરની હોવા સંભવ છે. સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો.]

કબીરુદ્દીન : જુઓ હસનકબીરુદ્દીન.

કમલ [સંભવત: ઈ.૧૭મી સદી] : જૈન સાધુ. અમૃતકુશલના શિષ્ય. લઘુતપગચ્છની કુશલશાખાના અમૃતગણિના શિષ્ય હોવાની અને નામ કમલકુશલ હોવાની શક્યતા. એ રીતે ઈ.૧૭મી સદીના અરસામાં હયાત ગણી શકાય. તેમની ૫ કડીની કૃતિ ‘પાર્શ્વજિન-સ્તવન’ (મુ.) મળે છે. સંદર્ભ : જિસ્તકાસંદોહ:૨ (+સં.) [ચ.શે.]

કમલકલશ(સૂરિ)શિષ્ય [ ] : જૈન. ૨૨ કડીની ‘(બંભણવાડજી)મહાવીર-સ્તવન’ (લે.ઈ.૧૫૫૩), ૬ કડીની ‘મૂલવ્રતસઝાય’ (લેઈ.૧૫૨૦), ૧૩ કડીની ‘સામાયિક બત્રીસદોષ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. તપગચ્છની કમલકલશશાખાના સ્થાપક કમલકલશસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫મી સદી અંતભાગ - ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય હોવાની અને તેથી ઈ.૧૬મી સદી પૂર્વાર્ધમાં થયા હોવાની સંભાવના છે. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]

કમલકીર્તિ [ઈ.૧૬૨૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનવલ્લભસૂરિની પરંપરામાં કલ્યાણલાભના શિષ્ય. ‘મહીપાલચોપાઈ’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, આસો સુદ ૧૦), જિનવલ્લભસૂરિકૃત ‘વીર-ચરિત્ર’ પર બાલાવબોધ (ર.ઈ.૧૬૪૨/સં. ૧૬૯૮, શ્રાવણ વદ ૯) તથા ‘કલ્પસૂત્ર-ટબાર્થ’ના કર્તા. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ:૩(૧). [ચ.શે.]

કમલધર્મ [ઈ.૧૫૦૯માં હયાત] : જૈન સાધુ. પંડિત ભુવનધર્મના શિષ્ય. ૪૭ કડીની ‘ચતુર્વિંશતિ-જિન-તીર્થમાલા’ (ર.ઈ.૧૫૦૯)ના કર્તા. સંદર્ભ : જૈમગૂકરચનાએં:૧. [ચ.શે.]

કમલરત્ન [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. ઈ.૧૬૫૪માં જિનરંગસૂરિ યુગપ્રધાનપદ પામ્યા તે ઘટનાને અનુલક્ષતા ૧૫ કડીના ‘જિનરંગસૂરિયુગપ્રધાન-ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.) [ચ.શે.]

કમલલાભ (ઉપાધ્યાય) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિની પરંપરામાં અભયસુંદરગણિના શિષ્ય. જિનરાજસૂરિના રાજ્યકાળ(ઈ.૧૬૧૮-ઈ.૧૬૪૩)માં રચાયેલી ‘ઉત્તરાધ્યયન-બાલાવબોધ’ નામની ગદ્યકૃતિના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). [ચ.શે.]

કમલવિજય : આ નામે ‘વિહરમાનજિન-ગીતો’ (લે.ઈ.૧૬૫૬), ૬ કડીનું ‘પંચતીર્થનું ચૈત્યવંદન’ (મુ.), ૧૩૬ કડીનું ‘પાર્શ્વજિનેન્દ્રયૌવનવિલાસાદિવર્ણન-સ્તવન’ (લે. ઈ.૧૮મી સદી અનુ.), ૨૨ કડીની ‘હિતોપદેશ-સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.), ‘જકડીસંગ્રહ’ (લે. સં. ૧૭મી સદી અનુ.) અને ૧૭ કડીની ‘નેમિજિન-ભાસ’ એ કૃતિઓ મળે છે. આ કમલવિજય કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૩. સંદર્ભ : ૧ મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [ચ.શે.]

કમલવિજય-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં વિજયસેનસૂરિ-વિજયદેવસૂરિના શિષ્ય. એમનું ૭ ઢાળ અને આશરે ૮૫ કડીનું દુહા-દેશીબદ્ધ ‘સીમંધરસ્વામીવિજ્ઞપ્તિ-સ્તવન/સીમંધરજિન-લેખ’ (ર.ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, આસો વદ ૩૦, ગુરુવાર; મુ.) પત્રના રૂપમાં આત્મનિંદાપૂર્વક સીમંધરસ્વામી પ્રત્યેની પ્રેમભક્તિ પ્રગટ કરે છે અને અલંકારોના વિનિયોગથી ધ્યાન ખેંચે છે. આ કવિને નામે આ ઉપરાંત ‘દંડક-સ્તવન’ (ર.ઈ.૧૫૭૫), સ્વોપજ્ઞ સંસ્કૃત વૃત્તિ સાથેની ૨૫/૨૬ કડીની ‘વિજયસેનસૂરિ-સઝાય’ (ર.ઈ.૧૬૨૪), આશરે ૯૭ કડીનું ‘સીમંધરસ્વામીવિજ્ઞપ્તિ-સ્તવન’ (સંભવત: ર.ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, ચૈત્ર સુદ ૫, બુધવાર), ૨૫ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’, ૮ કડીની ‘અંજનાસતી-સઝાય’ અને ૯ કડીની ‘ગણધર-સઝાય’ એ કૃતિઓ નોંધાયેલી મળે છે. આમાંથી ‘દંડક-સ્તવન સમયદૃષ્ટિએ વિચારતાં અન્ય કોઈ કમલવિજયની કૃતિ હોવાનું પણ સંભવ છે. કૃતિ : જિસ્તકાસંદોહ:૧. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧; ૨. મુપુગૂહસૂચી. [ચ.શે.]

કમલવિજય-૨ [ઈ.૧૬૩૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. કનકવિજયની પરંપરામાં શીલવિજયના શિષ્ય. ‘જંબૂૃ-ચોપાઈ’ ની ર.ઈ.૧૬૩૬ માનવામાં આવી છે, પરંતુ ‘પર્વત રાશિરિપુ ચંદ’ પંક્તિને આધારે કૃતિનો રચનાસમય ઈ.૧૬૪૧/૪૨ માની શકાય. ૨૩ કડીની ‘ગુરુપદેશ-સઝાય’ તથા ૫૫ કડીની ‘સમયક્ત્વસડસઠભેદફલ-સઝાય’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [ચ.શે.; કી.જો.]

કમલવિજય-૩ [ઈ.૧૭૪૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં લાભવિજયના શિષ્ય. ચોપાઈબદ્ધ ૨૨ ઢાલના ‘ચંદ્રલેખા-રાસ’ (ર.ઈ.૧૭૪૬/સં.૧૮૦૨, કારતક સુદ ૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [ચ.શે.; કી.જો.]

કમલવજિયશિષ્ય [ ] : જૈન. ૩૩ કડીની ‘પાર્શ્વચંદ્રમતનિરાસ-સઝાય’ (લે.સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

કમલશેખર : આ નામે ‘સ્થૂલિભદ્ર-ફાગ’ અને ૨૦ કડીની ‘સામયિક બત્રીસદોષ-ભાસ’ (લે.ઈ.૧૬૦૭) કૃતિઓ મળે છે તે કમલશેખર-૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા, ૨. ડિકૅટલૉગભાવિ.[કી.જો.]

કમલશેખર(વાચક)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિની પરંપરામાં લાભશેખરના શિષ્ય. કવિ ઈ.૧૫૪૪ થી ઈ.૧૫૯૨ દરમ્યાન હયાત હોવાની માહિતી મળે છે. એમની, મુખ્યત્વે દુહા-ચોપાઈ ને પ્રસંગોપાત્ત વસ્તુ છંદના બંધમાં રચાયેલી ૬ સર્ગ અને ૭૫૯ કડીની ‘પ્રદ્યુમ્નકુમારચોપાઈ’ (ર.ઈ.૧૫૭૦/સં. ૧૬૨૬, કારતક સુદ ૧૩; મુ.) કૃષ્ણરુક્મિણીના પુત્ર પ્રદ્યુમ્નકુમારની સાહસ-પરાક્રમપૂર્મ કથા જૈનપરંપરા મુજબ વર્ણવે છે. બહુધા કવિ સધારુના હિંદી ‘પ્રદ્યુમ્ન-ચરિત’ના અનુવાદરૂપ આ કૃતિના પ્રસંગાલેખનમાં જે થોડાં ફેરફારો અને ઉમેરણો જોવા મળે છે તેમાં ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ’નું અનુસરણ જણાય છે. કવિએ આ ઉપરાંત ફાગ અને અઢૈયાની ૨૩ કડીમાં ધર્મમૂર્તિની ટૂંકી ચરિત્રરેખા આપીને એમના સંયમધર્મનો મહિમા કરતા ‘ધર્મમૂર્તિગુરુ-ફાગ’ (મુ.) તથા ૬૬ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૩/સં. ૧૬૦૯, આસો-૩; મુ.)ની રચના કરી છે. કૃતિ : ૧. પ્રદ્યુમ્નકુમાર ચોપાઈ, સં. મહેન્દ્ર બા. શાહ, ઈ.૧૯૭૮ (+સં.)  ૨. પ્રાફાગુસંગ્રહ (+સં.) સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [ચ.શે.]

કમલસંયમ (ઉપાધ્યાય) [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : બૃહત્ ખરતરગચ્છના જૈન સાધુ. જિનસાગરસૂરિની પરંપરામાં જિનહર્ષસૂરિના શિષ્ય. ઈ.૧૪૬૮થી ઈ.૧૫૧૭ સુધી હયાત હોવાની માહિતી મળે છે. લોંકાશાહના મંતવ્યના ઉત્તર રૂપે ગદ્યમાં રચાયેલી ‘લુંકાની હૂંડી/સિદ્ધાંતસારોદ્ધાર-સમ્યક્ત્વોલ્લાસ-ટિપ્પનક’ (અપૂર્ણ; અંશત: મુ.)ના કર્તા. એમણે સંસ્કૃતમાં ઉત્તરાધ્યયન સૂત્ર પર ‘સર્વાર્થસિદ્ધિ-વૃત્તિ’ (ર.ઈ.૧૪૮૮) અને ‘કર્મસ્તવન-વિવરણ’ (ર.ઈ.૧૪૯૪) રચ્યાં છે. કૃતિ : જૈનયુગ, વૈશાખ-જેઠ ૧૯૮૬ - ‘લોંકાશા ક્યારે થયા.’ સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ:૨,૩(૨). [ચ.શે.]

કમલસાગર [ઈ.૧૫૫૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિની પરંપરામાં ઉપાધ્યાય હર્ષસાગરના શિષ્ય. ૩૬ કડીના ‘ચોત્રીસઅતિશય-સ્તવન’ (ર.ઈ.૧૫૫૦/સં. ૧૬૦૬, ફાગણ સુદ ૧૧)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૧, ૩(૧). [ચ.શે.]

કમલસોમ (ગણિ) [ઈ.૧૫૬૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. વાચનાચાર્ય ધર્મસુંદરગણિના શિષ્ય. ૨૦ કડીના ‘બારવ્રત-રાસ’ (સ્વલિખિત પ્રત, લે.ઈ.૧૫૬૪/સં. ૧૬૨૦, માગશર વદ ૫)ના કર્તા. ‘બારવ્રત-રાસ’ કૃતિ આ કર્તાની ગણી છે, પરંતુ ધર્મસુંદરશિષ્ય કમલસોમ જ કૃતિના કર્તા હોય તો કૃતિની હસ્તપ્રત એમણે ઈ.૧૫૬૪/સં.૧૬૨૦, માગશર વદ ૫ના દિવસે લખી છે, એટલે કૃતિની લેખનમિતિ એ કૃતિની રચનામિતિ માનવી પડે. પરંતુ ‘જૈન ગૂર્જર કવિઓ’ એને કૃતિની લેખનમિતિ જ માને છે. તો પછી કમલસોમને કૃતિના લહિયા અને ધર્મસુંદરશિષ્યને કૃતિના કર્તા માનવા પડે. કૃતિના અંતમાં કમલસોમનું નામ નથી એ પણ સૂચક છે. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧,૨).[ચ.શે.; જ.ગા.]

કમલહર્ષ-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : આગમગચ્છના જૈન સાધુ. ૪ ખંડ અને ૩૯૪ કડીના ‘અમરસેનવયરસેન-રાસ’ (ર.ઈ.૧૫૮૪/સં. ૧૬૪૦, માગશર સુદ ૩) તથા ‘નર્મદાસુંદરી-પ્રબંધ’ (ર.ઈ.૧૫૮૭/સં. ૧૬૪૩, કૌમુદી માસ સુદ ૧૩)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩ (૧); ડિકૅટલૉગભાઈ : ૧૯(૨).[ચ.શે.]

કમલહર્ષ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિની પરંપરામાં માનવિજયના શિષ્ય. એમનો ૪ ઢાળ અને ૬૯ કડીનો ‘જિનરત્નસૂરિનિર્વાણ-રાસ’ (ર. ઈ.૧૬૫૫/સં. ૧૭૧૧, શ્રાવણ સુદ ૧૧, શનિવાર; મુ.) જિનરત્નસૂરિના નિર્વાણને અનુલક્ષીને એમનું ટૂંકું ચરિત્ર વર્ણવે છે અને એમને લાગણીભરી અંજલિ આપે છે. આ ઉપરાંત એમણે ‘દશવૈકાલિકસૂત્ર-સઝાય’ (ર.ઈ.૧૬૬૭), ‘ધન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૯/સં ૧૭૨૫, આસો સુદ ૬) ‘પાંડવચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૬૭૨/સં. ૧૭૨૮, આસો વદ ૨, રવિવાર), ‘અંજના-ચોપાઈ/અંજનાસુંદરી-રાસ’ (ર.ઈ.૧૬૭૭./સં. ૧૭૩૩, ભાદરવા સુદ ૭), ‘રાત્રિભોજન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૪/સં. ૧૭૫૦, માગશર-) તથા ‘આદિનાથ-ચોપાઈ/આદિનાથ-ચોઢાળિયું’ એ કૃતિઓ રચેલી છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ:૨;  ૨. જૈગૂકવિઓ:૨, ૩(૨). [ચ.શે.]

‘કયવન્ના શાહનો રાસ’ [ર.ઈ.૧૬૬૫] : પુણ્યકલશશિષ્ય-જયતસી/જયરંગરચિત દુહા-દેશીબદ્ધ ૩૧ ઢાળની સુપાત્રે દાનના મહિમાને નિરૂપતી રાસકૃતિ (મુ.). લગ્ન પછી પણ વૈરાગી જીવન જીવતા કયવન્નાના વૈરાગ્યને વારાંગના દેવદત્તાની મદદથી છોડાવવા જતાં એ દેવદત્તા-વશ બને છે અને પછી, નિર્ધન થઈ જતાં કમાવા માટે પરદેશ નીકળે છે. કેટલાક કડવા-મીઠા અનુભવોમાંથી પસાર થઈ કયવન્ના, પૂર્વભવમાં પોતે ભૂખ્યા રહી સાધુને ખીર વહોરાવી હતી તેના પરિણામ રૂપે ૭ પત્નીઓ અને અપાર સુખસંપત્તિનો સ્વામી બને છે. ધર્મબોધના હેતુથી રચાયેલી આ કૃતિ વીગતપૂર્ણ પ્રસંગવર્ણનો, પાત્રવર્તનો ને પાત્રોના મનોભાવોની અસરકારક અભિવ્યક્તિ અલંકારો, બોધક દૃષ્ટાન્તો, કહેવતો, રૂઢિપ્રયોગો ને સુભાષિતોના વિનિયોગ પરત્વે પ્રગટ થતી કવિની ક્ષમતાને કારણે ધ્યાન ખેંચે છે. દેશીઓમાં ઉપયોગમાં લેવાયેલી વિવિધ પ્રકારની ધ્રુવાઓ તથા સંગીતના રાગોનો ઉલ્લેખ કૃતિની ગેયતાનો નિર્દેશ કરે છે. કવિની ભાષામાં રાજસ્થાની તથા હિન્દી ભાષાનો પ્રભાવ વરતાય છે.[ર.ર.દ.]

કરણ [ ] : કૃષ્ણભક્તિનાં કેટલાંક પદ આ કવિને નામે નોંધાયેલાં મળે છે. સંદર્ભ :૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦ - ‘અપ્રસિદ્ધ કાવ્યો’, છગનલાલ વિ. રાવળ.[નિ.વો.]

કરમ- : જુઓ કર્મ-.

કરમચંદ(મુનિ)/કર્મચંદ્ર(ઋષિ) : આ નામે ‘ચંદ્રાયણ/ચંદ્રાયણા-કથા’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ૧૨ કડીની ‘કલિયુગ-ગીત’ મળે છે, તે કયા કરમચંદ/કર્મચંદ્ર છે છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાપુહસૂચી: ૨; ૩. રાહસૂચી: ૧.[ક.શે.]

કરમચંદ-૧ [ઈ.૧૬૩૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. સોમપ્રભની પરંપરામાં ગુણરાજના શિષ્ય. ૬૯૬ કડીની દુહા તથા ચોપાઈબદ્ધ ‘ચંદનરાજાની ચોપાઈ/ચંદરાજાનો રાસ’ (ર.ઈ.૧૬૩૧/સં. ૧૬૮૭, આસો વદ ૯, સોમવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [ક.શે.]

કરમણ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : કબીરપંથી. મોરારસાહેબ(અવ. ઈ.૧૮૪૯)ના શિષ્ય. તેમના નામે બાહ્યાચારની નિરર્થકતા નિર્દેશતું ૫ કડીનું ૧ ભજન (મુ.) મળે છે. કૃતિ : સતવણી. [નિ.વો.]

કરમસી : આ નામે ૬ કડીની ‘ચોવીસજિનવરપરિવાર-સઝાય’ (લે.સં. ૧૯મી સદી અનુ.) મળે છે, તે કયા કરમસી છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કોઈ કરમસીનું ૧૫ કડીનું ‘સમેતશિખરજીનું સ્તવન’ (ર.ઈ.૧૬૫૬ કે ૧૭૦૬/સં. ૧૭૧૨ કે ૧૭૬૨ - ‘લોચનરતિમુનિચંદ્ર’, ફાગણ સુદ ૧૫, મુ.) મળે છે તે કરમસી-૨ હોવાનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. જુઓ કર્મસિંહ. કૃતિ : શ્રાવક સ્તવનસંગ્રહ:૩, સં. પાનમલ ભૈ. શેઠિયા, ઈ.૧૯૨૩. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]

કરમસી-૧ [ઈ.૧૪૭૯ સુધીમાં] : જૈન. ૧૫ કડીની ‘વૈરાગ્યકુલ’ (લે. ઈ.૧૪૭૯; મુ.)ના કર્તા. કૃતિ : જૈનયુગ, અસાડ-શ્રાવણ ૧૯૮૬, ‘વૈરાગ્યકુલં’, સં. મોહનલાલ દ. દેસાઈ. [ક.શે.]

કરમસી-૨ [ઈ.૧૬૭૪માં હયાત] : જુઓ પ્રમોદચંદ્રશિષ્ય કર્મસિંહ.

કરમસી(પંડિત)-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જન્મ જેસલમેરમાં. પિતા ચાંપા શાહ. માતા ચાંપલદે. જિનરત્નસૂરિના પટ્ટધર જિનચંદ્રસૂરિ (ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધમાં હયાત)ની, એમની હયાતીમાં, પ્રશસ્તિ કરતા ૭ કડીના ‘જિનચંદ્રસૂરિ-ગીત’ (મુ.)ના કર્તા. કૃતિ :ઐજૈકાસંગ્રહ (+સં.). [ક.શે.]

કરસન [ઈ.૧૭૮૩ સુધીમાં] : ‘વ્યાજનું ગીત’ (લે. સં. ૧૯મી સદી અનુ.) તથા ‘શિખામણ’ (લે. ઈ.૧૭૮૩) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [ચ.શે.]

‘કરસંવાદ’ [ર.ઈ.૧૫૧૯] : લાવણ્યસમયની દોહરા-ચોપાઈબદ્ધ ૭૦ કડીની આ સંવાદરચના(મુ.)માં વરસીતપના પારણા પ્રસંગે ભગવાન ઋષભદેવને ઇક્ષુરસ વહોરાવતા શ્રેયાંસકુમારના ૨ હાથ એકબીજાથી પોતાનું ચડિયાતાપણું પ્રગટ કરતો વિવાદ કરે છે. અંતે ભગવાન ઋષભદેવ બંનેની મહત્તા દર્શાવી એમની વચ્ચે સમાધાન કરાવે છે, અને એ દ્વારા સંપનો મહિમા કરે છે.પોતાનું અધિકપણું સમર્થિત કરવા રજૂ થયેલી હકીકતો રસપ્રદ છે. જેમ કે જમણો હાથ : જમણો હાથ થાળમાં પિરસાયેલાં પકવાનનાં ભલાં ભોજન કરે છે; ડાબો હાથ : હાથ ધોવાનું જળ ત્યારે કોણ આપે છે ?; જમણો હાથ : જપમાળા ધરવાનું ને પરમેશ્વરની સેવા કરવાનું કામ હું જ કરું છું; ડાબો હાથ : પણ પ્રભુ સંમુખ જેવા ૨ હાથ જોડાયા કે અમે અળગા ક્યાં છીએ ? કૃતિમાં વ્યક્ત થતા સમાજનિરીક્ષણ, વિનોદચાતુરી તથા ઝડઝમકયુક્ત રચનાશૈલીથી આ સંવાદરચના ધ્યાનાર્હ બને છે. કૃતિના પાઠમાં “ચમોતરે” પાઠ ક્યાંક નોંધાયેલો મળે છે એ આધારભૂત લાગતો નથી. [કા.શા.] કરુણાચંદ(મુનિ) [ઈ.૧૬૫૯/૧૭૫૯માં હયાત] : જૈન સાધુ. ૧૫ કડીની ‘જંબૂસ્વામી-સઝાય’ (મુ.) અને ૧૫ કડીની ‘સુદર્શન-શેઠની સઝાય’ (ર.ઈ.૧૬૫૯ કે ૧૭૫૯/સં. ૧૭૧૫ કે ૧૮૧૫, “ઇષુશશીનાગમહી”, શ્રાવણ - ; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈપ્રાસ્તસંગ્રહ; ૨. રત્નસાર:૨, મુ. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. [પા.માં.]

કરુણાસાગર-૧ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૯મી સદી] : જુઓ કુવેર(દાસ).

કરુણાસાગર-૨ [ ] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. સાધુસુંદરસૂરિના શિષ્ય. ૧૭ કડીની ‘તેર કઠિયાની સઝાય (ઔપદેશિક)’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. કવિના ગુરુ ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધમાં થયેલા સાધુસુંદરસૂરિ હોવાની શક્યતા છે. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

કર્ણવિજય: ‘વિક્રમાદિત્ય-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ: દેસુરાસમાળા

કર્ણસિંહ [ ] : પ્રાગ્વાટ વંશના જૈન શ્રાવક. ૧૧૨ કડીએ અપૂર્ણ ‘ચૈત્યપ્રવાડી-રાસ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). [શ્ર.ત્રિ.]

‘કર્પૂરમંજરી’ : (૧) કનકસુંદરકૃત ૪ ખંડ અને ૭૩૨ કડીઓમાં વિસ્તરતી આ કૃતિ (ર. ઈ.૧૬૦૬) મતિસારની કૃતિથી કેટલાક નોંધપાત્ર ફેરફારો બતાવે છે. કનકસુંદરની કથામાં સિદ્ધરાજ છેવટ સુધી ક્રિયાશીલ પાત્ર તરીકે ચાલુ રહે છે. એણે કાંતિનગર પર કરેલી ચડાઈ દરમ્યાન એના પાસવાને યુક્તિથી મેળવેલા કર્પૂરમંજરીના નખ ઉપરથી ગંગાધર સલાટ પૂતળી ઘડે છે એવું વૃત્તાંત ઉમેરાય છે અને સિદ્ધરાજના સમકાલીન હેમચંદ્રસૂરિનું પાત્ર પણ નવું દાખલ થાય છે, જે જિનધર્મનો મહિમા પ્રગટ કરવામાં ઉપકારક બને છે. અહીં નાયક સાર્થવાહ મોહસાર છે અને તેનો સહાયક તેનો નાનો ભાઈ ગુણસાગર છે, જે કાંતિનગરમાં વસીને ચાલાકીથી કર્પૂરમંજરીનું હરણ કરે છે. કર્પૂરમંજરી પણ અહીં સ્ત્રીરાજ્યની અધિનાયિકા નહીં પણ કાંતિનગરના મંત્રી બુદ્ધિસાગરની પુત્રી છે. કનકસુંદરે આવા કેટલાક ચમત્કૃતિપૂર્ણ પ્રસંગો નવા યોજ્યા છે, તો મતિસારની વાર્તામાં કેન્દ્રસ્થાને રહેલો કાષ્ઠના ઘોડા તથા રૂપસેનને નડતાં વિઘ્નોનો પ્રસંગ ટાળ્યો છે અને એ રીતે અપ્રતીતિજનક અંશો નિવાર્યા છે. હેમચંદ્રસૂરિને મુખે મુકાયેલા નાયકનાયિકાની દાનશીલતા વર્ણવતા પૂર્વભવ-વૃત્તાંત ઉપરાંત પ્રસંગોચિત વ્યવહારબોધ આપતી ૬ આડકથાઓ ગૂંથીને કનકસુંદરે પ્રમાણભાન ઓછું બતાવ્યું છે અને દાનમહિમાનો હેતુ વણી લઈને જૈન ધર્મની મહત્તા વારંવાર પ્રગટ કરી છે, તેમ છતાં એ નોંધપાત્ર ભાષાપ્રભુત્વ અને છંદપ્રભુત્વ દર્શાવે છે અને સમગ્રતયા એમની કૃતિ સુવાચ્ય બને છે. [વ.દ.]

(૨) પંડિત મતિસારકૃત આશરે ૨૦૦ કડીની આ પદ્યવાર્તા(ર.ઈ.૧૫૪૯/સં. ૧૬૦૫, ચૈત્ર સુદ ૧૧, રવિવાર; મુ.)માં મુખ્યત્વે દુહા-ચોપાઈબંધનો ને ક્વચિત્ દેશીબંધનો વિનિયોગ થયેલો છે. કથાસરિત્સાગરમાં વળતી કર્પૂરિકાની કથા સાથે સામ્ય ધરાવતી આ વાર્તામાં મુખ્ય કથાનકનો સંબંધ વિક્રમ વગેરે લોકકથાના જાણીતા વીર નાયકોને સ્થાને ગુજરાતના પ્રતાપી રાજવી સિદ્ધરાજ સાથે જોડ્યો છે તે ધ્યાન ખેંચતી હકીકત છે. રુદ્રમહાલયના સલાટે સ્ત્રીરાજ્યની અધિષ્ઠાત્રી કર્પૂરમંજરીને પૂતળીમાં અવતારી હતી તે જોઈને મોહિત થયેલા રાજકુમાર રૂપસેનને તેનો મિત્ર સીંઘલસી કર્પૂરમંજરી સાથે કેવી રીતે મેળવી આપે છે ને ૪ ઘાતમાંથી ઉગારે છે તેની આ કથામાં પરંપરાગત રૂપવર્ણનની તક લેવામાં આવી છે, છતાં વાર્તારસ પ્રધાન છે અને એમાં અપ્રતીતિકર કે અછડતા રહી જતા અંશો ટાળી શકાયા નથી. મંગલાચરણમાં કેવળ ગણપતિ ને સરસ્વતીની સ્તુતિ તથા અંતમાં “લક્ષ્મીકાંતિ તમ્હ રખ્યા કરું” એ આશીર્વચનથી જૈનેતર હોવાનો ભાસ કરાવતા કવિએ સિદ્ધપુરનું વર્ણન કરતા જિનશાસનમાં સારરૂપ દહેરાંઓનો ઉલ્લેખ કરી પાર્શ્વનાથની પૂજાનું માહાત્મ્ય સૂચવ્યું છે તેથી એ જૈન હોવાની પણ સંભાવના રહે છે.[ચ.શે.]

કર્પૂરશેખર [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. અમરસાગરની પરંપરામાં વાચક રત્નશેખરના શિષ્ય. તેમણે રત્નશેખરે ઈ.૧૭૦૫માં રચેલ હિંદી કૃતિ ‘રત્નપરીક્ષા’ની પ્રથમ આદર્શ પ્રત લખી હતી. એમની રચેલી ૨૫ કડીની ‘નેમરાજુલ-બારમાસા’ (મુ.) તથા ૩૪ કડીની ’ગોડીપાર્શ્વનાથ-છંદ’ એ ૨ કૃતિઓ મળે છે. ‘નેમરાજુલ-બારમાસા’માં રાજુલની વિરહવેદનાનું ભાવપૂર્ણ આલેખન થયું છે. કૃતિ અસાડથી આરંભાય છે અને જેઠમાં નેમિનાથ સાથેના મિલન સાથે પૂરી થાય છે. દરેક કડીમાં પહેલી ૨ પંક્તિને તેમ જ પછીનાં ૪ ચરણને અંતે એક જ પ્રાસ રચ્યો છે તે પ્રાસવૈચિત્ર્ય ધ્યાન ખેંચે છે. કૃતિ : પ્રામબાસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ, ઈ.૧૯૬૮;  ૨. મુપુગૂહસૂચી.[પા.માં.]

કર્મ- : જુઓ કરમ-.

કર્મણ(મંત્રી) [ઈ.૧૪૭૦માં હયાત] : આ કવિનું મુખ્યત્વે ‘પવાડા’ને નામે ઓળખાવાયેલ સવૈયાની દેશી તથા દુહાની ૪૯૫ કડીમાં રચાયેલ ‘સીતાહરણ /રામકથા/રામાયણ’ (ર.ઈ.૧૪૭૦; મુ.) સીતાહરણના પ્રસંગને અનુષંગે સંક્ષેપમાં રામકથા પણ આલેખે છે. ગુજરાતી આખ્યાનપરંપરાના આરંભકાળની આ કૃતિ માનવભાવો તથા પ્રસંગોના લોકભોગ્ય આલેખનથી ધ્યાન ખેંચે છે. કૃતિ : પંગુકાવ્ય (+સં.). સંદર્ભ : ૧ કવિચરિત:૧-૨; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ:૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસાપઅહેવાલ:૫-‘મંત્રી કર્મનું ‘સીતાહરણ”, ડાહ્યાભાઈ દેરાસરી. [ર.સો.]

કર્મસાગર [ઈ.૧૬૨૨ સુધીમાં) : જૈન સાધુ. ૨૨ કડીની ‘અભયકુમાર-સઝાય’ (લે.ઈ.૧૬૨૨) અને ૧૭ કડીની ‘ગુણસ્વરૂપ-સઝાય’ના કર્તા. ‘ગુણસ્વરૂપ-સઝાય’માં હસ્તપ્રતમાં “ક્રમસાગરસાધુ ઈમ ભણૈં.” એમ પાઠ મળે છે, તે ઉપરાંત “કર્મસાગરશિષ્ય એમ ભણે રે” એવા પાઠવાળી ૧૭ કડીની ‘ગુણસ્થાનકની સઝાય’ મુદ્રિત પણ મળે છે. તેથી આ કૃતિના કર્તા કર્મસાગરશિષ્ય હોવાનું પણ સંભવિત છે. કૃતિ : જિસ્તકાસંદોહ:૧. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ક.શે.]

કર્મસિંહ : જુઓ કરમસી.

કર્મસિંહ-૧ [ઈ.૧૬૨૨માં હયાત] : ઉપકેશગચ્છના જૈન સાધુ. સિદ્ધસૂરિની પરંપરામાં પુણ્યોદયના શિષ્ય. ‘નર્મદાસુંદરી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૨/સં. ૧૬૭૮, ચૈત્ર સુદ ૧૦, સોમવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧,૩(૨). [ક.શે.]

કર્મસિંહ-૨/કરમસી/ [ઇ. ૧૬૭૪માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. જયચંદ્રસૂરિની પરંપરામાં પ્રમોદચંદ્રના શિષ્ય. ‘જૈન રાસ સંગ્રહ’ એમનું નામ મહોપાધ્યાય કર્મચંદ્રગણિ આપે છે પણ એને માટે કૃતિમાં કશો આધાર નથી. એમની દુહા, સોરઠા અને દેશીબદ્ધ ૨૯ ઢાળ અને ૫૫૫ કડીની ‘રોહિણી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૪/સં. ૧૭૩૦, કારતક સુદ ૧૦, રવિવાર; મુ.) વિવિધ પ્રકારની ગેય દેશીઓના વિનિયોગને કારણે તેમ જ પ્રસંગોપાત્ત પરંપરાગત અલંકારોનો આશ્રય લેતાં નગર, સ્વયંવરમંડપ, લગ્નોત્સવ, નારીસૌંદર્ય, આભૂષણો વગેરેનાં વીગતવાર વર્ણોનોને લીધે નોંધપાત્ર બને છે. કવિની ભાષામાં રાજસ્થાનીની છાંટ વર્તાય છે. કૃતિ : જૈન રાસ સંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી, ઈ.૧૯૩૦ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨); ૨. ટ્રેઝર્સ ઑવ જૈન ભંડારઝ, સં. ઉમાકાંત પી. શાહ, ઈ.૧૯૭૮.[ક.શે.]

કર્મસિંહ-૩ [ઈ.૧૭૦૬માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. રાજચંદ્રસૂરિની પરંપરામાં ધર્મસિંહના શિષ્ય. ‘જૈન રાસ સંગ્રહ’ એમનું નામ વાચક કર્મચંદ્રગણિ આપે છે પરંતુ કૃતિમાં એને માટે કોઈ આધાર નથી. એમની દુહા, ચોપાઈ તથા દેશીબદ્ધ ૯ ઢાળની ‘મોહચરિત્રગર્ભિત-અઢારનાતરાં-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૬, સ્વલિખિત પ્રત; લે.ઈ.૧૭૦૬/સં. ૧૭૬૨, માગશર વદ ૫, ગુરુવાર; મુ.) ૪ ઢાળમાં કુબેરદત્ત-કુબેરદત્તાનું વૃત્તાંત વર્ણવે છે, જેમાં મોહવશતાથી અને વિધિવૈચિત્ર્યથી ૧૮ પ્રકારના સગાઈ-સંબંધો ઊભા થાય છે. બાકીની ૫ ઢાળમાં મોહરાજાના સુભેટો અને સાથીઓના નિર્દેશ સાથે એનો પ્રતાપ વર્ણવી એમાંથી છૂટવાના માર્ગો બતાવ્યા છે. કૃતિ : જૈન રાસ સંગ્રહ:૧; સં. સાગરચંદ્રજી, ઈ.૧૯૩૦ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ: ૩(૨). [ક.શે.]

કલા(ભક્ત) [               ] : ૩ પ્રહરમાં ફળેલા આંબાનાં મિષ્ટ ફળ ખવડાવીને દુર્વાસા મુનિને તૃપ્ત કરનાર પાંડવોની દૃઢ ઈશ્વરનિષ્ઠાને વર્ણવતું, ૧૧ કડીનું ‘પાંડવોનો આંબો’ (મુ.) એ કાવ્ય આ કવિના નામે મળે છે. કૃતિ : બૃહત્ સંતસમાજ મોટી ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦.[નિ.વો.]

કલુ(બાઈ) [ ] : ૪ કડીના ૧ પદ(મુ.)ના કર્તા. કૃતિ : ફાહનામાવલિ:૨. [નિ.વો.]

કલ્યાણ/કલ્યાણ(મુનિ) : કલ્યાણના નામે ૬ કડીની ‘મહાવીરજિન-ગીત’ (મુ.) અને કલ્યાણમુનિને નામે ૯ કડીની ‘વૈરાગ્ય-સઝાય’ (મુ.) એ જૈન કૃતિઓ મળે છે. આ કલ્યાણ કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. હિંદીમાં કલ્યાણને નામે ૬ કડીનું ‘ઋષભદેવ-સ્તવન’ (ર.ઈ.૧૮૦૨/સં. ૧૮૫૮, ચૈત્ર સુદ ૧૫; મુ.) તેમ જ ખરતરગચ્છના કલ્યાણને નામે ૫૯ કડીની ‘ગિરનાર-ગઝલ’ (ર.ઈ.૧૭૭૨/સં. ૧૮૨૮, મહા વદ ૨) તથા ૬ કડીની ‘સિદ્ધાચલ-ગઝલ’ (ર.ઈ.૧૮૦૮/સં. ૧૮૬૪, ભાદરવા સુદ ૧૪; મુ.) એ જૈન કૃતિઓ મળે છે જે સમયદૃષ્ટિએ જોતાં ખરતરગચ્છના અમૃતધર્મશિષ્ય ક્ષમાકલ્યાણની હોવાની સંભાવના છે, કેમ કે એમણે ‘કલ્યાણ’ એવી નામછાપથી અને હિંદીમાં પણ રચનાઓ કરેલી છે. કલ્યાણના નામે મળતી જૈનેતર કૃતિઓમાંથી કૃષ્ણનું રૂપવર્ણન કરતી ‘પંચરંગ’ (લે.ઈ.૧૭૭૯), શ્રીકૃષ્ણની થઈ આવતી સ્મૃતિઓના આલેખનની સાથે ગોપીની વિરહવેદના વ્યક્ત કરતી ૨૪ કડીની ‘ઓધવજીની ગરબી’ (લે.ઈ.૧૭૮૦ પહેલાંના અરસામાં; મુ.)ના કર્તા કદાચ એક જ કલ્યાણ હોય. તે કલ્યાણ-૪થી નિશ્ચિતપણે જુદા ગણાય. ગદ્યપદ્યાત્મક કૃતિ ‘વેદાન્તસાર’ (લે.ઈ.૧૮૨૦)ના કર્તા કયા કલ્યાણ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. જૈપ્રપુસ્તક:૧; ૨. જૈસસંગ્રહ(ન.); ૩. (કવિ બ્રેહેદેવકૃત) ભ્રમરગીતા, સં. મંજુલાલ ૨. મજમુદાર, ચિમનલાલ મ. વૈદ્ય, ઈ.૧૯૬૪;  ૪. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૫૪ - ‘સિદ્ધાચલ ગઝલ’, સં. મુનિરાજ શ્રી કાન્તિસાગરજી. સંદર્ભ : ૧. કવિચરિત: ૩;  ૨. ગૂહાયાદી; ૩. જૈગૂકવિઓ : ૩(૧). [હ.યા; ચ.શે.]

કલ્યાણ-૧ [જ.ઈ.૧૫૯૬-અવ. ઈ.૧૬૬૬] : કડવાગચ્છના જૈન સંવરી શ્રાવક. શા. માહાવજીના શિષ્ય તેજપાલના પટ્ટધર. ખંભાતના હરખા દોશીના પુત્ર. સહિજલદે માતા. સંવરીદીક્ષા ઈ.૧૬૦૮. ગુરુ પાસે વ્યાકરણ, કાવ્ય, કર્મગ્રંથ, જ્યોતિષ આદિનો અભ્યાસ. પટ્ટસ્થાપના ઈ.૧૬૨૮. અવસાન ખંભાતમાં અનશનપૂર્વક ઈ.૧૬૭૮(સં. ૧૭૩૪, ફાગણ વદ ૫)માં નોંધાયું છે તે તેમના ૩૮ વર્ષના પટ્ટધરકાળ અને ૭૦ વર્ષના આયુષ્યકાળને જોતાં ખોટું ઠરે છે. એમનો, ૧૨મા તીર્થંકર વાસુપૂજ્યના ચરિત્રને વર્ણવતો, ૨ ઉલ્લાસ, ૨૧ ઢાળ અને ૩૨૮ કડીનો ‘વાસુપૂજ્યમનોરમ-ફાગ’  (ર.ઈ.૧૬૪૦/સં. ૧૬૯૬, મહા સુદ ૮, સોમવાર; મુ.) એમાંનાં વિસ્તૃત વસંતક્રીડાવર્ણન તથા દેશી તેમ જ ધ્રુવાવૈવિધ્યને કારણે ધ્યાન ખેંચે છે. આ ઉપરાંત આ કવિએ ૪ પ્રસ્તાવ અને ૪૩ ઢાળનો ‘ધન્યવિલાસ-રાસ’ (ર.ઈ.૧૬૨૯/સં. ૧૬૮૫, જેઠ સુદ ૫) તથા ‘અમરગુપ્ત-ચરિત્ર/અમરતરંગ’ (ર.ઈ.૧૬૪૧/સં. ૧૬૯૭, પોષ સુદ ૧૩, મંગળવાર) અને ‘સા. ધનાનો રાસ’ એ ૩ કથાત્મક કૃતિઓ ‘લુંપકચર્ચા’, ‘અભિનંદન-સ્તવન’ (ર. ઈ.૧૬૨૧/સં. ૧૬૭૭, ફાગણ સુદ ૧૧) તેમ જ ગદ્યમાં ૧૨૨૫ ગ્રંથાગ્રની ‘કટુકમત-પટ્ટાવલી’ (ર. ઈ.૧૬૨૯/સં. ૧૬૮૫, પોષ સુદ ૧૫), ‘કડુઆમત-લઘુ-પટ્ટાવલી’ (ર. ઈ.૧૬૨૮), ‘લોકનાલિકા-દ્વાત્રિંશિકા’ પર ૩૫૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ ‘મહાદંડકનવાણુંદ્વાર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૫૬) તથા ‘કર્મગ્રંથપંચક’ પર બાલાવબોધ - જેમાંથી દ્વિતીય, તૃતીય કર્મગ્રંથ પરના બાલાવબોધની ર.ઈ.૧૬૫૬ મળે છે - એ કૃતિઓ રચેલ છે. કવિનો કૃતિસમૂહ કુલ ૧૬૦૦૦ ગ્રંથાગ્રનો હોવાનું નોંધાયું છે. કૃતિ : પ્રાફાસંગ્રહ. સંદર્ભ : ૧ કડૂઆમતીગચ્છ પટ્ટવલીસંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯; ૨. જૈગૂકવિઓ: ૩(૨) - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૩. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૩ - ‘કડુઆમત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા;  ૪. જૈગૂકવિઓ: ૧, ૩(૧,૨); ૫. જૈહાપ્રોસ્ટા; ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ:૧.[હ.યા.]

કલ્યાણ-૨ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૭૨થી ઈ.૧૬૧૬)ના શિષ્ય. ‘ચોવીસી’ (લે.ઈ.૧૭૬૨)ના કર્તા. આ કવિ હીરવિજયસૂરિદીક્ષિત કલ્યાણવિજય (જ.ઈ.૧૫૪૫) પણ હોઈ શકે કે કેમ તે વિચારણીય છે. સંદર્ભ : ૧. જૈઐરાસમાળા:૧;  ૨. જૈગૂકવિઓ:૩(૨). [હ.યા.]

કલ્યાણ-૩ [ઈ.૧૬૧૭માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. વરસિંહની પરંપરામાં કૃષ્ણદાસના શિષ્ય. ૮૧ કડીના ‘નેમિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૭/સં.ઈ.૧૬૭૩, આસો સુદ ૬, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧; ૨. મુપૂગૂહસૂચી. [હ.યા.]

કલ્યાણ-૪ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. તેમનાં હિંડોળાનાં પદ નોંધાયેલાં મળે છે. સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો;  ૨. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]

કલ્યાણ-૫/કલ્યાણદાસ [ઈ.૧૮૨૭માં હયાત] : ડાકોરના સાધુ. ‘કલ્યાણ’ અને ‘દાસ કલ્યાણ’ની નામછાપ ધરાવતાં ભક્તિબોધનાં કેટલાંક મુદ્રિત-અમુદ્રિત પદોનું કર્તૃત્વ આ કવિનું માનવામાં આવ્યું છે પણ બધા સંદર્ભો આવી એકસરખી ઓળખ આપતા નથી. ૧ પદ પરત્વે, એના કવિએ “છંદ ભાસ્કર પિંગળ વગેરે વ્રજ ભાષામાં ઘણી કવિતા” કરી હોવાની નોંધ પણ થયેલી છે. કૃતિ : ૧. કાદોહન:૩(+સં.); ૨. ગુકાદોહન(+સં.); ૩. પદ સંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૪. પ્રાકાસુધા:૧; ૫. બૃકાદોહન:૭; ૬. ભજનસાગર:૧. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ગૂહાયાદી.[ચ.શે.]

કલ્યાણકમલ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિ (રાજ્યકાળ ઈ.૧૫૫૬-૧૬૧૪)ના શિષ્ય. ૮ કડીની ‘જિનચંદ્રસૂરિ-ગીત’ (મુ.) અને ‘ઋષભ-સ્તવન’, ‘નેમિનાથ-સ્તવન’ તથા ‘સનત્કુમાર-ચોપાઈ’ એ કૃતિઓના કર્તા. તેમણે જિનપ્રભસૂરિકૃત ‘ષટ્ભાષાસ્તવન’ ઉપર અવચૂરિ રચી હોવાની માહિતી મળે છે. ૧૬ કડીના ‘નેમિનાથ-ફાગ’(મુ.)ના કર્તા કલ્યાણકમલ ઉપર્યુક્ત કવિ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ;  ૨. પરબ, ઑક્ટો. ૧૯૮૧ - ‘નેમિનાથફાગ’, સં. કનુભાઈ વ્ર. શેઠ. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. મુપુગૂહસૂચી; [હ.યા.]

કલ્યાણકીર્તિ(મુનિ) [ઈ.૧૬૨૯ સુધીમાં] : દિગંબર જૈન સાધુ. ‘હનુમંત-રાસ’ (લે.ઈ.૧૬૨૯)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]

કલ્યાણકુશલશિષ્ય [               ] : જૈન. ૫ કડીની ‘કર્મતપ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

કલ્યાણચંદ : આ નામે ૯ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ મળે છે તે કયા કલ્યાણચંદ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : લીંહસૂચી. [હ.યા.]

કલ્યાણચંદ્ર(ગણિ)-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિના શિષ્ય. તેમણે ઈ.૧૪૬૧માં ગુરુ પાસેથી આચારાંગની વાચના લીધી હોવાની માહિતી મળે છે. એમની, દીક્ષાકુમારી સાથેના વિવાહને કારણે ‘વિવાહલો’ એ સંજ્ઞાથી ઓળખાવાયેલી ૫૪ કડીની ‘કીર્તિરત્નસૂરિ-વિવાહલો’ તથા ૧૮ કડીની ‘કીર્તિરત્નસૂરિ-ચોપાઈ’ (મુ.) એ કૃતિઓ કીર્તિરત્નસૂરિ ઈ.૧૪૬૯માં અનશન કરી સ્વર્ગે ગયા પછી રચાયેલી છે અને એમનું ચરિત્રવર્ણન કરે છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ(+સં.). સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૧ - ‘દો વિવાહલોંકા ઐતિહાસિક સાર’, અગરચંદ નાહટા;  ૨. જૈમગૂકરચનાએં : ૧. [હ.યા.]

કલ્યાણચંદ્ર-૨ [ઈ.૧૫૯૩માં હયાત] : જૈન સાધુ. દેવચંદ્રના શિષ્ય. ‘ચિત્રસેનપદ્માવતી-રાસ’ (ર.ઈ.૧૫૯૩)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [હ.યા.]

કલ્યાણચંદ્ર-૩ [ઈ.૧૮૪૦માં હયાત] : જૈન સાધુ. ‘નન્દીશ્વરદ્વીપ-પૂજા’ (ર.ઈ.૧૮૪૦)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]

કલ્યાણચંદ્ર-૪ [               ]: તપગચ્છના જૈન સાધુ. દયાવિજય-પ્રેમચંદના શિષ્ય. ૭ અને ૧૩ કડીના ૨ ‘ધર્મનાથસ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [હ.યા.]

કલ્યાણવિજયશિષ્ય [ઈ.૧૫૩૮માં હયાત] : જૈન. તપગચ્છના હેમવિમલસૂરિની પરંપરામાં કલ્યાણજયના શિષ્ય. ૨૩૭ કડીના ‘કૃતકર્મરાજાધિકાર-રાસ’ (ર. ઈ.૧૫૩૮/સં. ૧૫૯૪, બાહુલ માસ સુદ જયાતિથિ, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૧,૩(૧). [કી.જો.]

કલ્યાણજી [ઈ.૧૭૪૩ સુધીમાં] : અવટંક અથવા પિતાનામ વિશ્રામ. ભાનુદત્તકૃત મૂળ સંસ્કૃત રચના ‘રસતરંગિણી’ પર બાલાવબોધ (લે. ઈ.૧૭૪૩)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]

કલ્યાણતિલક [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસમુદ્રસૂરિના શિષ્ય. જિનસમુદ્રસૂરિના આચાર્યકાળ (ઈ.૧૪૭૪-ઈ.૧૪૯૯)માં રચાયેલ ૬૫ કડીના ‘ધન્ના-રાસ/સંધિ’ અને ૪૩/૪૪ કડીના ‘મૃગાપુત્ર-સંધિ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]

કલ્યાણદાસ-૧ [અવ.ઈ.૧૮૨૦/સં. ૧૮૭૬, આસો વદ ૨] : જ્ઞાનમાર્ગી કવિ. ખંભાત પાસેના ઊંદેલના પાટીદાર. અખાની શિષ્યપરંપરામાં ગણાવાતા જિતા મુનિ નારાયણના શિષ્ય. તેઓ એક યોગસિદ્ધ ચમત્કારિક અવધૂત તરીકે, પરમહંસ કલ્યાણદાસજીના નામે વિખ્યાત હતા. તેમણે કહાનવા ગામે જીવતાં સમાધિ લીધી હતી. કલ્યાણદાસે ૫૧ કડીના ‘અજગરબોધ’(મુ.)માં પ્રહ્લાદને અજગરમુખે મળેલા આત્મજ્ઞાનનું નિરૂપણ કર્યું છે અને હિંદી ભાષામાં રચાયેલા ૯ કડીના ‘કાફરબોધ’(મુ.)માં રામ-રહીમની એકતા દર્શાવી, બાહ્યાચારોનો નિષેધ અને ભક્તિનો બોધ કર્યો છે. આ ઉપરાંત ગુજરાતી તેમ જ હિંદી ભાષામાં એમની થોડીક સાખીઓ, કવિતા અને પદો (મુ.) મળે છે, જેમાં અધ્યાત્મજ્ઞાન અને ગુરુમહિમાના વિષયો નિરૂપાયા છે. તેમની કવિતાની દાર્શનિક ભૂમિકા અજાતવાદ અને પરમાત્મવાદની છે. કૃતિ : ૧. ગુહિવાણી (+સં.); ૨. સંતોની વાણી, સં. ભગવાનજી મહારાજ, ઈ.૧૯૨૦. સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. આગુસંતો. [ચ.શે.]

કલ્યાણદાસ-૨ [ઈ.૧૮૨૭માં હયાત] : જુઓ કલ્યાણ-૫. કલ્યાણદેવ [ઈ.૧૫૮૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રની પરંપરામાં ચરણોદયના શિષ્ય. ‘વચ્છરાજદેવરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૭)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૧,૩(૨). [શ્ર.ત્રિ.]

કલ્યાણધીર [ઈ.૧૬મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિકસૂરિ(જ.ઈ.૧૪૯૩-અવ. ઈ.૧૫૫૬)ના શિષ્ય. ૬૯ સડીની ‘મુનિગુણ-સઝાય’ (લે. સં. ૨૦મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. યુજિનચન્દ્રસૂરિ;  ૨ મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

કલ્યાણનંદ(મુનિ) [               ] જૈન સાધુ. ૭ કડીની ‘પ્રતિબોધ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

કલ્યાણરત્ન(સૂરિ)શિષ્ય [               ] : જૈન. ૬૪ કડીના ‘નેમિનાથ-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

કલ્યાણવિજય : આ નામે ૨૪/૨૫ કડીનું ‘સીમંધરજિન-સ્તવન/સ્તોત્ર’ (લે. સં. ૧૮મી સદી અનુ.) ‘પાર્શ્વનાથ-સ્તુતિ’, ‘ગીત-સારોદ્ધાર’ મળે છે. તેના કર્તા કયા કલ્યાણવિજય છે તે નિશ્ચિત નથી. સંદર્ભ : ૧. હેજૈજ્ઞાસૂચિ:૧. ૨. ડિકૅટલૉગભાવિ.[હ.યા.; કી.જો.]

કલ્યાણવિજય(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. વિજયતિલકસૂરિ(રાજ્યકાળ ઈ.૧૬૧૭-ઈ.૧૬૨૦)ના શિષ્ય. ૧૫ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (લે. ઈ.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]

કલ્યાણવિજયશિષ્ય : આ નામે ૧ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ’ તથા ગુજરાતી અને સંસ્કૃતમાં રચાયેલી ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી) એ કૃતિઓ મળે છે તે કલ્યાણવિજયશિષ્ય-૧ની હોવાનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. પહેલી કૃતિ ભૂલથી કલ્યાણવિજયોપાધ્યાયને નામે મુકાયેલ છે. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [કી.જો.]

કલ્યાણવિજય(ઉપાધ્યાય) શિષ્ય-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિના રાજ્યકાળ (ઈ.૧૫૭૪-ઈ.૧૬૧૬)માં રચાયેલ ૨૫ કડીના ‘પાર્શ્વજિનસ્તોત્ર’ના કર્તા. આ કૃતિ ભૂલથી ધર્મવંતને નામે મુકાયેલી છે. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [કી.જો.]

કલ્યાણવિમલ/કલ્યાણવિમલ(ગણિ) કલ્યાણવિમલ/કલ્યાણવિમલ(ગણિ) : કલ્યાણવિમલને નામે ૧૩ કડીનું ‘ચૌદસોબાવન ગણધરનું ચૈત્યવંદન’ (મુ.), ૧ હિંદી પદ (મુ.) અને કલ્યાણવિમલગણિને નામે હેમચંદ્રાચાર્યના ‘સકલાર્હત-સ્તોત્ર’ ઉપરનો સ્તબક (લે. ઈ.૧૮૪૫) મળે છે. આ ક્લાયણવિમલ કયા તે નિશ્ચિત કહી શકાતું નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧; ૨. જૈકાપ્રકાશ : ૧. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [હ.યા.]

કલ્યાણવિમલ-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. કેસરવિમલ (ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ)ના ભાઈ શાંતિવિમલના શિષ્ય. ૧૦ કડીની ‘સુલસા શ્રાવિકાની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ: ૧. જૈસમાલા(શા.): ૧; ૨. જૈસસંગ્રહ(ન.). [હ.યા.]

કલ્યાણવિમલ-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ]: તપગચ્છની વિમલશાખાના જૈન સાધુ. મણિવિમલના શિષ્ય અને ઉદ્યોતવિમલ(ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ)ના ગુરુબંધુ. ૪ કડીની ‘સિદ્ધાચલતીર્થ-સ્તુતિ’-(મુ.)ના કર્તા. કૃતિ: પ્રાસ્તરત્નસંગ્રહ:૨. સંદર્ભ: મુપુગૂહસૂચી. [હ.યા.]

કલ્યાણસાગર(સૂરિ)-૧ [જ. ઈ.૧૫૭૭/સં. ૧૬૩૩, અસાડ સુદ ૨, ગુરુવાર કે વૈશાખ સુદ ૬ - અવ. ઈ.૧૬૬૨/સં. ૧૭૧૮, વૈશાખ સુદ ૩ના દિવસે કે શ્રાવણ વદ ૫ પછી] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિના શિષ્ય. જન્મ વઢિયાર દેશના લોલાડા ગામમાં. મૂલ નામ કોડણ. પિતા શ્રીમાળી કોઠારી નાનીગ, માતા નામિલદે. દીક્ષા ઈ.૧૫૮૬, આચાર્યપદ ઈ.૧૫૯૩, ગચ્છનાયકપદ ઈ.૧૬૧૪ કે ઈ.૧૬૧૫. અવસાન ભૂજમાં. કલ્યાણસાગરસૂરિ અંચલગચ્છના અત્યંત પ્રભાવશાળી અને મેધાવી આચાર્ય હતા. તેમની પ્રેરણાથી અનેક જિનપ્રાસાદો બંધાયા હતા, અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ હતી અને કેટલીક તીર્થયાત્રાઓ પણ યોજાઈ હતી. છેક આગ્રાના મંત્રી કુંવરપાલ અને સોનપાલ સુધી આચાર્યનો પ્રભાવ વિસ્તરેલો હતો. કચ્છના મહારાવ ભારમલ્લે એમના ઉપદેશથી માંસાહાર છોડ્યો હતો અને પોતાના રાજ્યમાં પર્યુષણના દિવસોમાં પ્રાણીહિંસા બંધ કરાવી હતી. કલ્યાણસાગરસૂરિને નામે ગુજરાતીમાં ‘અગડદત્ત-રાસ’, ‘વીસ-વિહરમાનજિન-ભાસ’, ૨૭ કડીની ‘ચતુર્વિંશતિજિન-સ્તુતિ’(મુ.) અને કેટલાંક સ્તોત્રો-સ્તવનો એ કૃતિઓ નોંધાયેલી છે. એમાંથી ‘અગડદત્ત-રાસ’ની હસ્તપ્રત પ્રાપ્ય નથી ને એમના આચાર્યકાળમાં એમના ગચ્છના સ્થાનસાગરે રચેલ ‘અગડદત્ત-રાસ’ મળે છે, તેથી સ્થાનસાગરની કૃતિ કલ્યાણસાગર-સૂરિને નામે ચડી ગઈ હોય એવો સંભવ છે. નોંધાયેલાં સ્તવનો પણ બધાં જ એમનાં હશે એવું નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. એમણે સંસ્કૃતમાં ‘શાંતિનાથ-ચરિત્ર’, ‘સુરપ્રિય-ચરિત્ર’, ‘મિશ્રલિંગ-કોશ’ તથા કેટલાંક સ્તોત્રો, અષ્ટકો, સ્તવનો વગેરેની રચના કરેલી છે. કૃતિ: આર્ય-કલ્યાણ-ગૌતમ સ્મૃતિગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯ - ‘શ્રી ચતુર્વિંશતિજિનસ્તુતિ’, સં. ‘ગુણશિશુ’. સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [હ.યા.]

કલ્યાણસાગર-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં ચારિત્રસાગરના શિષ્ય. વિજયપ્રભસૂરિના આચાર્યકાળ (ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)માં રચાયેલી જણાતી ૩૫ કડીની ‘પાર્શ્વનાથચૈત્યપરિપાટી/તીર્થમાળા’ (મુ.)ના કર્તા. એમણે કેટલાંક સ્તવનો, સઝાયો રચ્યાં હોવાનું પણ નોંધાયું છે. કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧ (+સં). [હ.યા.]

કલ્યાણસાગર(સૂરિ)શિષ્ય : આ નામે શત્રુંજયનો મહિમા કરતી ૧૦૮ કડીની ‘શત્રુંજય-એક્સોઆઠનામગર્ભિત-દુહા/સિદ્ધિગિરિનાં એકસોઆઠ ખમાસમણાં/સિદ્ધિગિરિ-સ્તુતિ’ (મુ.) એ કૃતિ મળે છે. તેના કર્તા અંચલગચ્છના કલ્યાણસાગરસૂરિ-શિષ્ય-૧ અને કદાચ ઉદયસાગર હોવાની સંભાવના કરવામાં આવી છે પરંતુ કૃતિમાં એવા કોઈ નિર્દેશો મળતા નથી. કૃતિ : ૧. જૈરસંગ્રહ; ૨. પ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

કલ્યાણસાગર(સૂરિ)શિષ્ય-૧ [ઈ.૧૭મી સદી] : જૈન. અંચલગચ્છના કલ્યાણસાગરસૂરિના શિષ્ય. કલ્યાણસાગરસૂરિના આચાર્યકાળ (ઈ.૧૬૧૪-ઈ.૧૬૬૨)માં રચાયેલી જણાતી અપભ્રંશપ્રધાન ગુજરાતી ભાષાની ૧૧ કડીની ‘કલ્યાણસાગરગુરુ-સ્તુતિ’ (મુ.) તથા ૨૦ કડીની ‘અંચલગચ્છ ગુરુપ્રદક્ષિણા-સ્તુતિ’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : આર્ય-કલ્યાણ-ગૌતમસ્મૃતિગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯ - ‘શ્રી કલ્યાણસાગરસૂરિની પ્રાચીન ઐતિહાસિક કૃતિ’, સં. કલાપ્રભસાગરજી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

કલ્યાણસાગર(સૂરિ)શિષ્ય-૨ [ઈ.૧૭૫૫ સુધીમાં] : જૈન. તપગચ્છના કલ્યાણસાગરસૂરિના શિષ્ય. ‘મૌનએકાદશીદેવવંદનવિધિ’ (લે.ઈ.૧૭૫૫)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

કલ્યાણસુત [               ] : ૧૨ કડવાંની ‘રાસલીલા’ તથા રાધાજીનાં રૂસણાંનાં કેટલાંક પદના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [નિ.વો.]

કલ્યાણસુંદર [               ]  : જૈન સાધુ. મહિમાસુંદરના શિષ્ય. ૩ ઢાળના ‘ત્રણજિનચોવીસી-સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : જિસ્તકાસંદોહ : ૨. [હ.યા.]

કલ્યાણસોમ [               ]  : જૈન સાધુ. ૨૫ કડીના ‘ચોવીસજિનનમસ્કાર’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

કલ્યાણહર્ષ-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં તેજહર્ષના શિષ્ય. વિજ્યપ્રભસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)માં રચાયેલી જણાતી ૧૬ કડીની ‘સંવત્સરી ખામણાની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈરસંગ્રહ; ૨. મોસસંગ્રહ. [હ.યા.]

કલ્યાણહર્ષ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી આરંભ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરત્નસૂરિની પાટે આવેલા જિનચંદ્રસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૫૫-ઈ.૧૭૦૭)માં રચાયેલા એમની પ્રશસ્તિ કરતા ૫ કડીના ગીત(મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [હ.યા.]

કવિજન/કવિયણ : આ જાતની સંજ્ઞાથી કેટલીક મુદ્રિત-અમુદ્રિત જૈન કૃતિઓ મળે છે પણ ત્યાં કોઈ ચોક્કસ વ્યક્તિનો નિર્દેશ નિશ્ચિત થઈ શકે તેમ નથી. જ્યાં ગુરુનામ મળે છે ત્યાં પણ એ ગુરુના કોઈ પણ અજ્ઞાતનામા શિષ્યની કૃતિ હોવાનું સંભવે છે. (જુઓ લક્ષ્મીસાગરસૂરિશિષ્ય, વિનયવિજ્યશિષ્ય તથા વિમલરંગશિષ્ય). ‘કવિયણ’ની નામછાપથી મળતી અન્ય કેટલીક કૃતિઓ સમયનો નિર્દેશ ધરાવતી હોઈ એમના કર્તાઓને એ રીતે જુદા તારવી શકાય છે. જેમ કે, ૧૯ કડીની ‘પાંચપાંડવ-સઝાય’(મુ.) તપગચ્છના હીરવિજયસૂરિના રાજ્યકાળ (ઈ.૧૫૫૪-ઈ.૧૫૯૬)માં રચાયેલી છે, એટલે એના કર્તાને ઈ.૧૬મી સદીના ઉત્તરાર્ધમાં થયેલા આપણે ગણવા જોઈએ; તો ૧૬ કડીની ‘અર્જુનમાળીની સઝાય’ (૨. ઈ.૧૬૯૧; મુ.) તથા ૪ ઢાળ અને ૪૨ કડીની ‘ઝાંઝરિયામુનિની સઝાય’ (૨.ઈ.૧૭૦૦/સં. ૧૭૫૬, અસાડ વદ ૨, સોમવાર; મુ.) ૧૭મી સદીના ઉત્તરાર્ધના કોઈ કર્તા કે કર્તાઓની કૃતિઓ ગણાય. ખરતરગચ્છના દેવચંદ્રજીના જીવનને વર્ણવતા અને એનો ગુણાનુવાદ કરતા, દુહા અને વિવિધ દેશીઓની ૧૧ ઢાળમાં રચાયેલા ‘દેવવિલાસ’ (૨.ઈ.૧૭૬૯/સં. ૧૮૨૫, આસો સુદ ૮, રવિવાર; મુ.)ના ‘કવિયણ’ ઈ.૧૮મી સદીના ઉત્તરાર્ધમાં થયેલા છે. પોતાના ગુરુની પ્રશંસા કરવી એ અયોગ્ય કહેવાય એવી સમજથી દેવચંદ્રજીના પ્રશિષ્ય રાયચંદે કરેલી વિનંતીથી આ ‘દેવ-વિલાસ’ રચાયો છે, તેથી એ ‘કવિયણ’ અન્ય કોઈ પરંપરાના હોવાનું સમજાય છે. સમયના નિર્દેશ વિનાની અન્ય કૃતિઓ કોઈ ચોક્કસ સમયના કવિયણની હોવાનું કહેવું મુશ્કેલ છે, તેમ છતાં ૨૮ કડીની ‘અવંતીસુકુમાલ-ભાસ’ (લે.ઈ.૧૫૮૯)ના કર્તા ઈ.૧૬મી સદીના ઉત્તરાર્ધથી મોડા, તો ૭ કડીનું ‘સુપાર્શ્વજિન-સ્તવન’ (લે. ઈ.૧૭૧૩)ના કર્તા ઈ.૧૮મી સદી પૂર્વાર્ધથી મોડા સંભવી ન શકે. કવિયણને નામે, આ સિવાયની, કેટલીક નોંધપાત્ર કૃતિઓ આ પ્રમાણે છે : પ્રત્યેક કડીમાં ૧-૧ વર્ણ(જાતિ)નાં લક્ષણો વર્ણવતી ૩૫ કડીની ‘વર્ણ-બત્રીસી’ (મુ.), ભૂલથી ‘અણાત્ર’ને નામે પણ નોંધાયેલી ૧૭૮ કડીની ઉપદેશપ્રધાન કૃતિ ‘કક્કા-બત્રીશીના ચંદ્રવાળા’ (લે. ઈ.૧૮૨૦; મુ.), ‘જિનરક્ષિત અને જિનપાલિતનું ચોઢાળિયું’ (મુ.), પર કડીની ‘અમરકુમાર-રાસ/સઝાય’ (મુ.), ૫૦ કડીની ‘શાલિભદ્ર-સઝાય’ (મુ.), ૩૦ કડીની ‘ખંધકકુમાર-સઝાય’ (મુ.), ૧૩ કડીની ‘નેમિરાજિમતી-બારમાસા’ (લે.ઈ.૧૭૫૯; મુ.) ૩૧/૪૨ કડીની ‘સુકોશલમુનિ-સઝાય’, ૩૦ કડીની ‘માતૃકા-ફાગ’, ૯૦ કડીની ‘વૈરાગ્ય-રાસ’, ‘ચોવીસી’ અને ‘લુંકટમત-ગીત’. બીજી કેટલીક સ્તવન, સઝાય, ગીત, કવિત વગેરે પ્રકારની કૃતિઓ પણ આ નામછાપથી મળે છે. કૃતિ : ૧. દેવવિલાસનિર્વાણ રાસ, સં. બુદ્ધિસાગરસૂરિ, ઈ.૧૯૨૬;  ૨. ઐજૈકાસંગ્રહ (+સં.); ૩. કક્કા બત્રીસીના ચંદ્રાવાળા તથા ચોવીસ તીર્થકરાદિના ચંદ્રાવળાનો સંગ્રહ, પ્ર. જગદીશ્વર છાપખાનું, -; ૪. જૈપ્રપુસ્તક : ૧; ૫. જૈસસંગ્રહ(ન); (ન.); ૬. જૈસસંગ્રહ(શા.):૨; ૭. પ્રામબાસંગ્રહ: ૧; ૮. મોસસંગ્રહ;  ૯. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૫૦ - ‘વર્ણબત્રીસી’, સં. મુનિરાજ જ્ઞાનવિજયજી (+સં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. જૈમગૂકરચનાએં : ૧; ૩. ફૉહનામાવલિ; ૪. મુપુગૂહસૂચી.[ર.સો.]

‘કવિતછપ્પય’ : આ નામથી ઓળખાવાયેલા રવિદાસકૃત ૨૫૭ છપ્પા (મુ.) સાધુક્કડી હિંદી તેમ જ ગુજરાતી ભાષામાં રચાયેલા અને ગુરુમાહાત્મ્ય, અશુદ્ધતાભાવ, નામમહિમા, સંતલક્ષણ, અધમ સ્ત્રી, ઉત્તમ નારી અને નામભક્તિ એ ૭ અંગોમાં વહેંચાયેલા મળે છે. ‘ગુરુમાહાત્મ્ય-અંગ’માં ‘સતગુરુ’નો અપાર મહિમા પ્રગટ કરવાની સાથે સદ્ગુરુના પણ વિલક્ષણ પ્રકારો વર્ણવાયા છે - લોભી સત્ગુરુ તે વામન, ક્રોધી સત્ગુરુ તે પરશુરામ, સાત્ત્વિક સત્ગુરુ તે રઘુનાથ અને કામી સત્ગુરુ તે કૃષ્ણ - અને કહેવાયું છે કે “રવિદાસ અવગુણ તજી, ગુણ ગ્રહે સો સેવક સરે.” ગુરુ, ભક્તિ, જ્ઞાન વગેરેમાં પૂરી નિષ્ઠા ન હોવી - જેમ કે, ચોમાસાની નદી પેઠે ભક્તિનું પૂર આવે અને પછી ગ્રીષ્મની નદી પેઠે ઓસરી જાય - એને અશુદ્ધતાભાવ કહ્યો છે. ‘અધમસ્ત્રી-અંગ’માં સ્ત્રીના કામપ્રભાવનાં અનિષ્ટો અને ‘ઉત્તમનારી-અંગ’માં શીલવંત, બુદ્ધિવંત, ત્યાગી, પતિવ્રતા, ભક્ત નારીનાં લક્ષણો નિરૂપાયાં છે. સરલ ધર્મબોધના આ છપ્પાઓમાં અલંકારનું બળ ધ્યાન ખેંચે એવું છે અને પરમ તત્ત્વાનુભવને વર્ણવવા અવળવાણીનો અસરકારક વિનિયોગ થયેલો છે.[જ.કો.]

કહૂઇ [               ] : ૫૬ કડીના ‘હરિરસ’ના કર્તા. સંદર્ભ: પાંગુહસ્તલેખો. [કી.જો.]

કાજીમહમદ: જુઓ મહમ્મદ (કાજી).

‘કાદંબરી’' : બાણ અને પુલિનની, સંસ્કૃત સાહિત્યની અત્યંત પ્રસિદ્ધ અને કલ્પનામંડિત રસાર્દ્ર કૃતિ ‘કાદંબરી’ના પૂર્વભાગ અને ઉત્તર-ભાગનો કુલ ૪૦ કડવાંમાં સારાનુવાદ આપતી ભાલણની આ કૃતિ (મુ.) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. આવી સાહિત્યિક કૃતિને ગુજરાતીમાં ઉતારવામાં ભાલણની રસિકતા ને સંસ્કૃતજ્ઞતા પ્રગટ થાય છે, તે ઉપરાંત સંસ્કૃત ભાષાની કઠિન સમાસપ્રચુર ગદ્યકથાને દેશીબંધમાં ઉતારવાનું ભાલણનું સાહસ પણ અત્યંત નોંધપાત્ર બને છે. ભાલણે આખ્યાનનો ઘાટ સ્વીકાર્યો છે પણ એમનાં કડવાંઓ વલણ કે ઊથલા વગરનાં છે, જે આખ્યાન-બંધની પ્રાથમિક દશા સૂચવે છે. અતિ-પંડિતો માટે નહીં પણ સંસ્કૃત ન જાણનાર ‘મુગધરસિક’ જનો માટે ‘કાદંબરી’ને ગુજરાતીમાં ઉતારવાનો હેતુ હોવાથી કવિએ અહીં મૂળ કૃતિના સમગ્ર અલંકારઠાઠને રજૂ કરવાનું નહીં પણ કથાસંબંધ વર્ણવવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમ છતાં આરંભમાં બાણની શ્લેષયુક્ત ઉપમાઓ સુધ્ધાં, દુર્બોધતાનું જોખમ વહોરીને પણ, સાચવી રાખવાનું કવિનું વલણ રહ્યું છે. પછીથી એમણે મૂળનાં સઘન કલ્પનાચિત્રોને ગાળી નાખ્યાં છે, વર્ણનોને ટૂંકાવ્યાં છે અને કેટલુંક જતું પણ કર્યું છે. બીજી બાજુથી કોઈકોઈ ઠેકાણે ગાંઠનાં અલંકારો, ઉક્તિઓ, વર્ણનો અને ભાવનિરૂપણો ઉમેર્યાં પણ છે. એ બહુધા ભાલણની બહુશ્રુતતાના પરિણામરૂપ છે. તેમ છતાં વિલાસવતીની પુત્રઝંખના જેવાં કોઈક ઉમેરણમાં ભાલણની પોતાની સૂઝ અને કવિત્વશક્તિ પ્રગટ થાય છે. કવિએ જે સંક્ષેપ-ઉમેરણ કર્યાં છે તે સભાન બુદ્ધિથી અને સૂક્ષ્મ વિવેકથી કર્યા હશે એમ કહેવું મુશ્કેલ છે, તેમ જ એથી મૂળ કૃતિને એવું કાંઈ નવું રૂપ મળતું નથી કે આ કૃતિને આપણે એનું પ્રતિનિર્માણ લેખી શકીએ પરંતુ “બાણની ‘કાદંબરી’નો આત્મા ભાલણે પોતાના સમયની ગુજરાતી ભાષામાં જેટલો સમાઈ શકે તેટલો ઉતાર્યો છે” (દુર્ગાશંકર શાસ્ત્રી) અને ભાલણનું એ કાર્ય પણ ઓછો આદર જગવે એવું નથી. [શ્ર.ત્રિ.]

કાન- : જુઓ કહાન-.

કાનો [ઈ.૧૭૫૪ સુધીમાં] : “માંકણ માઠાં” એ શબ્દોથી શરૂ થતી કૃતિ (લે. ઈ.૧૭૫૪)ના કર્તા. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [ર.સો.]

કાનોસુત [ઈ.૧૮૩૯ સુધીમાં] : જ્ઞાતિએ નાગર. ૩૫૦ ગ્રંથાગ્રની ‘હરિચંદની કથા’ (લે.ઈ.૧૮૩૯)ના કર્તા. આ કૃતિની લે.ઈ.૧૮૦૯ (સં. ૧૮૬૫) નોંધાયેલી છે તે ભૂલ છે. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ગૂહાયાદી.[શ્ર.ત્રિ.]

કાન્હ- : જુઓ ક્હાન-.

‘કાન્હડદે-પ્રબંધ’ [૨.ઈ.૧૪૫૬/સં. ૧૫૧૨, માગશર સુદ ૧૫, સોમવાર] : ૪ ખંડ અને દુહા, ચોપાઈ તથા પવાડુની ૧૦૦૦ ઉપરાંત કડીઓમાં વિસ્તરતી પદ્મનાભની આ કૃતિ (મુ.) પ્રસંગોપાત્ત ‘ભટાઉલી’ એવા શીર્ષકથી વાક્છટાયુક્ત ગદ્ય અને ગીતનો વિનિયોગ પણ કરે છે. હસ્તપ્રતોમાં ‘ચોપાઈ’, ‘રાસ’ એવા નામથી પણ ઓળખાયેલી આ કૃતિ વસ્તુત: ઐતિહાસિક પ્રબંધ જ છે, જેમાં ચરિત્રના અંશો તો છે જ પણ તે ઉપરાંત કાલ્પનિક જણાતું પિરોજાવૃત્તાંત પણ ગૂંથાયેલું છે. આ પ્રબંધ દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખલજી સાથેનો જાલોરના ચૌહાણ રાજા કાન્હડદેનો સંઘર્ષ વર્ણવે છે. ગુજરાતના વાઘેલા રાજા કર્ણદેવના મંત્રી માધવે પોતાના ઘોર અપમાનનો બદલો લેવા અલાઉદ્દીન ખલજીને પાટણ પર ચડાઈ કરવા પ્રેર્યો. એના સેનાપતિ ઉલુઘખાનને કાન્હડદેએ પોતાના રાજ્યમાંથી માર્ગ આપ્યો નહીં તેથી પાટણ જીતીને અને પુરાણ-પ્રસિદ્ધ સોમનાથના મંદિરને ભાંગીને પાછા વળતાં એણે જાલોર ઉપર ચડાઈ કરી, જેમાં કાન્હડદેએ એને શિકસ્ત આપી. આ હારથી ક્રોધે ભરાઈને અલાઉદ્દીનને નાહર મલિકની સરદારી નીચે એક વિશાળ સેના મોકલી. એને જાલોર જતાં વચ્ચે આવતા કાન્હડદેના ભત્રીજા સાંતલસિંહના સમિયાણાના ગઢને ઘેરો ઘાલ્યો. એ વખતે એક બાજુથી સાંતલે અને બીજી બાજુથી કાન્હડદેએ મુસ્લિમ લશ્કરને ભિડાવીને એના હાલહવાલ કરી નાખ્યા. આ નામોશીભરી ઘટનાથી રોષે ભરાઈને અલાઉદ્દીન જાતે મોટા લશ્કર સાથે ચડી આવ્યા. એણે સમિયાણાને ઘેરો ઘાલ્યો અને સાત વર્ષને અંતે, ગઢ ઉપરનું એક જ મોટું જળાશય ગાયના લોહીથી ભ્રષ્ટ કરવાની હીન યુક્તિથી સમિયાણા પડ્યું. આ પછી સુલતાને જાલોર ઉપર ચડાઈ કરી. ૮ વર્ષ સુધી રજપૂતોએ એનો વીરતાપૂર્વક સામનો કર્યો. પણ છેવટે સં. ૧૩૬૮- (ઈ.૧૩૧૨)માં વીકા સેજપાલ નામના એક દેશદ્રોહી રજપૂતની મદદથી છૂપે માર્ગે જાલોરગઢમાં પેસી જઈને મુસ્લિમ લશ્કરે રજપૂતોને હરાવ્યા અને કાન્હડદે તથા તેનો પુત્ર વીરમદે વીરગતિને પામ્યા. જાલોર પરની આ ચડાઈ વખતે અલાઉદ્દીનની પુત્રી પિરોજા પણ એની સાથે હતી. એ પિરોજાના વીરમદે પ્રત્યેના એકપક્ષી પ્રેમનું પણ કવિએ નિરૂપણ કર્યું છે. બાદશાહની રજાથી પિરોજા જાલોર જઈને વીરમદેને પોતાના બંનેના આગળના જન્મોની યાદ આપે છે ત્યારે વીરમદે એનું મોઢું જોવા પણ તૈયાર થતો નથી. છેલ્લે પિરોજાની આજ્ઞા અનુસાર વીરમદેનું મસ્તક દિલ્હી લાવવામાં આવે છે ત્યારે એ મસ્તક પિરોજાથી અવળું ફરી જાય છે પણ પિરોજા એને વિધિપૂર્વક અગ્નિદાહ અપાવીને પોતે યમુનામાં જળસમાધિ લે છે. આ પ્રબંધની મુખ્ય હકીકતો ઇતિહાસ-પ્રમાણિત હોવાથી એનું દસ્તાવેજી મૂલ્ય ઘણું છે. કાવ્ય ઘટના બન્યા પછી ૧૪૪ વર્ષે રચાયું હોવા છતાં તે સમયની અનેક નાનીમોટી હકીકતો એ ગૂંથે છે, યુદ્ધોના અનેક મોરચાઓને ચોક્સાઈથી અને વાસ્તવિક વીગતોથી આલેખે છે તથા સમગ્ર હકીકતની સીલસીલાબંધ રજૂઆત કરે છે. સંભવ છે કે જાલોરના આ રાજ્યાશ્રિત કવિને કેટલીક દસ્તાવેજી સામગ્રીનો લાભ મળ્યો હોય. ઇતિહાસઘટનાઓ ઉપરાંત આ કૃતિમાં થયેલું સાંસ્કૃતિક-સામાજિક ચિત્રણ પણ ધ્યાન ખેંચે એવું છે. રજપૂતો, બ્રાહ્મણો, મુસ્લિમો વગેરેના વિશિષ્ટ આચારો, વિવિધ વ્યવસાયી વર્ગો, તત્કાલીન માન્યાતાઓ અને ઉત્સવો, નગર-લશ્કર-પડાવની વ્યવસ્થા તથા રજપૂતકુળો, અશ્વજાતિઓ ને ભોજનસામગ્રીની યાદીઓથી આ સમાજચિત્રણ ભર્યુંભર્યું છે, અને બધું જ ઉચિત પ્રસંગ-સંદર્ભમાં વણાઈને આવે છે. શબ્દઘોષથી, અત્યુક્તિથી, દિવ્ય શસ્ત્રાસ્ત્રોથી, ઢંગધડા વિનાની બાથંબાથીથી યુદ્ધવર્ણન કરવાની મધ્યકાલીન પરંપરાની સામે અહીં વિવિધ પ્રકારના વ્યૂહો અને તદનુરૂપ શસ્ત્રોથી લડાતાં યુદ્ધોનાં વાસ્તવિક ચિત્રણ આપણને મળે છે. અને એમાં ભયાનક, અદ્ભુત અને બીભત્સથી ઓછામાં ઓછો મિશ્રિત સાચો પરાક્રમરસ પ્રગટ થાય છે. કવિએ પિરોજાનું જે જાતનું વૃત્તાંત કલ્પ્યું છે તથા કાન્હડદેને વિષ્ણુના અવતાર અને અલાઉદ્દીનને શંકરના અવતાર લેખ્યા છે તે કવિના હિંદુત્વના અભિમાનના વિલક્ષણ આવિષ્કારો હોય તેવું સમજાય છે. રજપૂતી વીરતાના આથમતા યુગની ઇતિહાસકથાને વેગપૂર્વક વર્ણવતો આ પ્રબંધ સુરેખ વ્યક્તિચિત્રણો, ગીત વગેરેમાં અભિવ્યક્તિ પામેલાં કરુણાદિ રસોનાં થોડાંક હૃદયસ્પર્શી આલેખનો, કવિની દેશ-ધર્મ-પ્રીતિ ને આત્મશ્રદ્ધાના આવિષ્કાર, આછા પણ ઔચિત્યપૂર્ણ અલંકરણ તથા સાભિપ્રાય ને પ્રૌઢ વાણીછટાથી આહ્લાદક બન્યો છે અને અમૃતકલશના ‘હમ્મીરપ્રબંધ’  જેવી ઉત્તરકાલીન કૃતિઓ માટે અનુકરણીય નીવડ્યો છે. [કા.વ્યા.]

કાપડભારથી [               ] : ગંગેવદાસના શિષ્ય. અધ્યાત્મવિષયક, હિંદીની છાંટવાળા ૪ કડીના ૧ પદ(મુ.)ના કર્તા. કૃતિ : દુર્લભ ભજન સંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮. [શ્ર.ત્રિ.]

કાભઈ (મહારાજ) [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : નિરાંત મહારાજ (ઈ.૧૭૪૭-ઈ.૧૮૫૨)ના પુત્ર બાવાભાઈના પુત્ર. જ્ઞાતિ રજપૂત. અવટંકે ગોહેલ. દેથાણની જ્ઞાનગાદીના આચાર્ય. એમણે કાકા ખુશાલભાઈ પાસેથી ઉપદેશ લીધો હતો. એમનાં, અલખતત્ત્વના અનુભવનું વર્ણન કરતાં કાફી રાગનાં ૫ પદો મુદ્રિત મળે છે. કૃતિ : ગુમુવાણી (+સં.). [દે.દ.]

‘કામાવતી’ [૨.ઈ.૧૪૪૭ કે ઈ.૧૫૧૭/૨.સં. ૧૫૦૩ કે સં. ૧૫૭૩, ભાદરવા વદ ૮, રવિવાર] : મુખ્યત્વે દોહરા-ચોપાઈની ૯૦૦ ઉપરાંત કડીઓની શિવદાસકૃત આ રચના (મુ.) હસ્તપ્રતોમાં ‘આખ્યાન’, ‘કથા’, ‘ચરિત્ર’ને ‘વાર્તા’ તરીકે ઓળખાવાઈ છે. મનુષ્યયોનિ અને પંખીયોનિના પહેલા ૨ પૂર્વાવતારોમાં વિધિવશાત્ એકઠાં નહીં રહી શકેલાં કરણકુંવર અને કામાવતીની ૩ ભવની કથા અહીં આલેખાઈ છે. પહેલા ૨ ભવની કથાનું મતિસુંદરના ‘હાંસાઉલીપૂર્વભવ-ચરિત’માં આલેખાયેલા હંસાઉલીના ૨ પૂર્વભવો સાથે મળતાપણું છે ને પુરુષદ્વેષિણી કામાવતીના રાજા ચિત્રસેન સાથેના લગ્નની કથા પણ અસાઈતની ‘હંસાઉલી’ સાથે ગાઢ મળતાપણું ધરાવે છે, પરંતુ પછી કથા જુદી રીતે ચાલે છે. ચિત્રસેન બીજી રાણીઓ સાથે વિલાસમાં કામાવતીને ભૂલી જતાં કામાવતીને મહેલે ૭ વર્ષે જાય છે. રિસાયેલી કામાવતીએ એનો સ્વીકાર ન કરવાથી રાજા એને વેચવા કાઢી છે, જેમાં એનો પૂર્વભવનો પ્રેમી વણિક કરણકુંવર એને ખરીદી લે છે. કામાવતીને ખરીદવાથી કરણકુંવર ગરીબ થઈ જાય છે. પરંતુ કામાવતીએ ભરત ભરીને બનાવેલાં ચિત્રપટો વેચીને તેઓ સમૃદ્ધ બને છે ને કરણકુંવર તથા કમાવતીને જુદાં પડવાનું થાય છે. ક્રમશ: પોતાના તરફ આકર્ષાયેલા રાજા, ચોર, હંસ અને વચ્છના સકંજામાંથી પોતાની ચતુરાઈથી છૂટી, અને કરણકુંવર ઉપરાંત અને ચારેને જોગીવેશે રખડતા કરી, પુરુષવેશે ૨ કુંવરીઓને પરણેલી કામાવતી અંતે ચિત્રપટની યુક્તિથી જ કરણકુંવરને પ્રાપ્ત કરે છે. જૈન શાસ્ત્રમાંથી આ કથા લીધી હોવાના ઉલ્લેખો કેટલીક પ્રતોમાં મળતા હોવા છતાં પૂર્વપરંપરામાં કરણકુંવર અને કામાવતીની કથાને સીધું મળતું આવતું કોઈ કથાનક પ્રાપ્ત થતું નથી, પરંતુ દક્ષિણના કર્ણાટક-તમિળનાડુના પ્રદેશોમાં પ્રચલિત સદારામાની કથા સાથે એનું ગાઢ મળતાપણું છે, જેને કર્ણાટક સાથે ગુજરાતને જૂના સમયથી સંબંધ હોવાની હકીકતનું એક વિશેષ દૃષ્ટાંત ગણી શકાય. કૌતુકમય પ્રસંગો, કરણકુંવર-કમાવતીનાં આકર્ષક પાત્રચિત્રો, સંભોગ ને વિપ્રલંભશૃંગારનું મનભર નિરૂપણ અને આલંકારિક વર્ણનની છટા આ રસિક પ્રેમકથાને આસ્વાદ્ય બનાવે છે. આ કૃતિની ૧ હસ્તપ્રતમાં મળતો “સંવત પંદર તોહોતરો” એ સમયનિર્દેશ ૧૫૦૩ અને ૧૫૭૩ એ બંને અર્થઘટનોને અવકાશ આપે એવો છે, પરંતુ નિર્દિષ્ટ તિથિ-વાર સં. ૧૫૦૩માં મળતાં આવે છે, સં. ૧૫૭૩માં નહીં. બીજી ૧ હસ્તપ્રતમાં ૨.સં. ૧૭૩૩ છે પણ એમાં તિથિ-વારના નિર્દેશમાં ગોટાળા હોઈ રચનાવર્ષ પણ કેટલું શ્રદ્ધેય માનવું તે પ્રશ્ન છે.[પ્ર.શા.]

કાયમુદ્દીન [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ-અવ. ઈ.૧૭૭૩] : મુસ્લિમ કવિ. હઝરત બદરુદ્દીનના પુત્ર. કડીના વતની. પોતાના ધાર્મિક દર્શનમાં અદ્વૈત વેદાંત, કૃષ્ણભક્તિ અને જીવદયાનો સમાવેશ કરતા એમના પંથને હિન્દુ-મુસ્લિમ બંને કોમના અનુયાયીઓ મળ્યા છે. એ ફારસી, અરબી, ગુજરાતી અને સંસ્કૃતનું સારું જ્ઞાન ધરાવતા હતા. મુરીદોની શોધમાં નીકળેલા તે એક્લબારા થઈ નંદરબાર તરફ જતા હતા ત્યાં ધોકડા ગામે તેમનું અવસાન થયું. એકલબારાના ઠાકોરને આપેલું વચન પાળવા તેમણે કરેલી સૂચના મુજબ તેમનો મૃતદેહ એકલબરા લઈ જવામાં આવ્યો. ત્યાં તેમની દરગાહ પર કાર્તિકી પૂર્ણિમાએ મેળો ભરાય છે. અદ્વૈતભાવ, પ્રેમલક્ષણા ભક્તિ, આત્મજ્ઞાન વગેરે એમના ધર્મ દર્શનનાં તત્ત્વોને વણી લેતાં એમનાં કલામો-ભજનો (મુ.) ગરબો, ગરબી, બારમાસી, રવેણી, મંગલ આદિ પ્રકારો તેમ જ ઝૂલણા, પ્રભાત, બિલાવલ વગેરે રાગનામો ધરાવે છે. એ બહુધા ઉર્દૂ-હિન્દીમાં છે પણ કેટલીક રચનાઓ-ખાસ કરીને ગરબી, ગરબો વગેરે - ગુજરાતીમાં પણ છે. તેમણે ઉર્દૂમાં ‘નૂરે રોશન’ (૨.ઈ.૧૭૫૫) તથા ‘દિલે રોશન’ નામના ગ્રંથો રચેલા છે. કૃતિ : ૧. નૂરે રોશન, સં. રતનશાહ કોયાજી, ઈ.૧૯૨૪ (ભજનો-કલામા સમેત) (+સં.);  ૨. નકાસંગ્રહ; ૩. ભક્તિસાગર, સં, હરગોવનદાસ હરકીસનદાસ, ઈ.૧૯૨૯ (+સં.).[ર.ર.દ.]

કાલિદાસ : જુઓ કાળિદાસ.

કાશીદાસ કાશીદાસ : આ નામે ‘ઓખાહરણ’ (લે. ઈ.૧૭૨૫) નોંધાયેલ મળે છે પરંતુ વસ્તુત: નાકરના ‘ઓખાહરણ’માં ૧૩ કડીની ‘અનિરુદ્ધની ઘોડલી’ વગેરે ઓખા-અનિરુદ્ધના લગ્નપ્રસંગને વર્ણવતાં કોઈક પદો આ કવિછાપથી ઉમેરાયેલાં દેખાય છે. આ કાશીદાસ, કાશીદાસ-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૧; ૨. ગૂહાયાદી. [ચ.શે.]

કાશીદાસ-૧ [ઈ.૧૭૬૪ સુધીમાં] : સુરચંદપુત્ર. ‘વૈતરણીનું આખ્યાન’ (લે.ઈ.૧૭૬૪)ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.]

કાશીદાસ-૨ [ઈ.૧૮૧૮માં હયાત] : પેટલાદ પરગણાના ચાચરવેદી મોઢ બ્રાહ્મણ. ભગવાનની ભક્તવત્સલતાનું સરળ શૈલીમાં નિરૂપણ કરતી ૧૨ પદની ‘નરસિંહની હૂંડી’ (૨. ઈ.૧૮૧૮/સં. ૧૮૭૪, ચૈત્ર સુદ ૩, સોમવાર; મુ.)ના કર્તા. કૃતિ : નકાદોહન(+સં.). [ચ.શે.]

કાશીદાસ-૩ [               ]  : મોરારજીપુત્ર. જ્ઞાતિએ લુહાર. દયાદરાના વતની. ધંધાર્થે કારેલા વસેલા. એમને નામે થાળનાં ૨ પદ (મુ.) તથા નીતિની છૂટક કવિતા નોંધાયેલી છે. કૃતિ : બૃકાદોહન : ૮ (+સં.). સંદર્ભ : ગુજૂકહકીકત. [ચ.શે.]

કાશીરામ કાશીરામ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સુરત પાસે કતારગામના કોળી. સારા જ્યોતિષી. ગરીબીઓ-પદોના કર્તા. તેમની ૧ કૃતિ ‘રાધાપાર્વતીનો સંવાદ’ નામે પણ નોંધાયેલી છે. જુઓ અમથારામ. સંદર્ભ : ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯ - ‘સુરતના કેટલાક સંતો અને ભક્તકવિઓ’, માણેકલાલ શં. રાણા. [ચ.શે.]

કાહાન- : જુઓ ક્હાન-. કાળિદાસ : આ નામે ભુજંગીની ૧૦/૧૨ કડીઓ સુધી વિસ્તરતું ‘અંબાષ્ટક’ (લે. ઈ.૧૮૦૨; મુ.), ૮ કડવાંનું ‘દ્રૌપદીવસ્ત્રાહરણ’ (મુ.) અને ગણપતિ, સરસ્વતી તથા અંબાની સ્તુતિના કેટલાક છંદ ગરબા (મુ.) મળે છે. આ કયા કાળિદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘દ્રૌપદીવસ્ત્રાહરણ’ દ્રૌપદીના સતીત્વની પ્રતીતિ થતાં દુર્યોધન એ સતીની પૂજા કરે છે એવા કથાવળાંકથી ધ્યાન ખેંચે છે. કૃતિ : ૧. કાદોહન : ૧; ૨. દેવી મહાત્મ્ય અથવા ગરબા સંગ્રહ ૨; પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭ (+સં.); ૩. પ્રાકાસુધા : ૩ (+સં.);  ૪. ફાત્રૈમાસિક, ઑક્ટો.-ડિસે. ૧૯૭૧ - ‘દેવી સ્તુતિ-ત્રણ સ્તોત્રો’, સં. વિનોદચંદ્ર ઓ. પંડ્યા. સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]

કાળિદાસ-૧ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : આખ્યાનકાર, વસાવડ(સૌરાષ્ટ્ર)ના વડનગરા નાગર. એમનું ૪૦ કડવાંનું ‘પ્રહ્લાદ-આખ્યાન’ (૨.ઈ.૧૭૬૧/સં. ૧૮૧૭, ચૈત્ર સુદ ૧૧; મુ.) કથાવસ્તુને વિસ્તારથી અને વાક્છટાપૂર્વક વર્ણવે છે, ભક્તિ અને વીરરસના આલેખનની તક લે છે અને કેટલાક ઊર્મિસભર અંશો પણ ધરાવે છે. ૨૧/૨૫ કડવાંનું ‘સીતાસ્વયંવર’ (૨.ઈ.૧૭૭૬/સં. ૧૮૩૨, આસો -; મુ.) પણ સામાજિક રીતરિવાજોના ચિત્રણથી તેમ જ સરસ્વતી તથા સીતાના અંગસૌંદર્ય જેવા વિષયોના વિસ્તૃત અલંકાર-મંડિત વર્ણનોથી પ્રસ્તારી બનેલી રચના છે. બંને કૃતિઓ ઢાલ ઉપરાંત વલણ, ઊથલો, પૂર્વછાયો નામક ખંડોનો ૧થી વધુ વાર વિનિયોગ કરતો લાક્ષણિક કડવાબંધ ધરાવે છે. અને વિવિધ રાગોના નિર્દેશવાળી સુગેય દેશીઓમાં રચાયેલી છે. આ કાળિદાસને નામે ૬૬ ચંદ્રાવળાનું, સંવાદપ્રચુર ને સરળ પ્રવાહી શૈલીનું ‘ધ્રુવાખ્યાન’ (મુ.), ‘ઈશ્વરવિવાહ’ તથા ‘ચંડિકાના ત્રિભંગી છંદ’ નોંધાયેલ છે. તેમાંથી ‘ધ્રુવાખ્યાન’ કોઈ પણ જાતની કવિનામછાપ ધરાવતું નથી, તેથી એનું કર્તૃત્વ સંદિગ્ધ ગણાય. અન્ય ૨ કૃતિઓનો માત્ર ઉલ્લેખ મળતો હોવાથી આ કાળિદાસની એ રચનાઓ હોવા વિશે ચોક્કસ પ્રમાણની અપેક્ષા રહે છે. કૃતિ : ૧. ધ્રુવાખ્યાન, પ્ર. મગનલાલ દેવચંદ, ઈ.૧૮૮૪; ૨. પ્રહ્લાદાખ્યાન, મુ. લલ્લુભાઈ અમીચંદ, ઈ.૧૮૬૦; ૩. સીતાસ્વયંવર, પ્ર. બાપુ સદાશિવ શેઠ હેગષ્ટે, ઈ.૧૮૫૯;  ૪. બૃકાદોહન: ૧;  ૫. પ્રાકાત્રૈમાસિક, અં. ૧ ઈ.૧૮૮૯ - ‘સીતાસ્વયંવર’, સં. હરગોવિંદદાસ કાંટાવાળા (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત્ર; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાઇતિહાસ:૨; ૪. પ્રાકકૃતિઓ;  ૫. ગૂહાયાદી.[ર.સો.]

કાળિદાસ-૨ [ઈ.૧૯મી સદી ઉત્તરાર્ધ સુધીમાં] : કાળિદાસ કુબેર એવી નામછાપ મળે છે તેથી ‘કુબેર’ પિતાનામ હોવાની શક્યતા છે. એમની ‘શિવલીલા’ (લે. ઈ.૧૮૬૦ આસપાસ) નામે પણ વસ્તુત: કેટલાંક રૂઢ દૃષ્ટાંતોથી વૈરાગ્યબોધ કરતી ૨૫ કડીની રચના મુદ્રિત મળે છે. એમની આ જ નામની ૧૦૨ કડીની રચના પણ નોંધાયેલી છે તે હકીકત દોષ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : બૃકાદોહન:૮. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ગૂહાયાદી. [ર.સો.]

કાંતિ/કાંતિવિજય : આ નામથી કેટલીક જૈન રચનાઓ મળે છે તેમાંથી ૨૪ કડીનો ‘અંબિકા-છંદ’ (લે. ઈ.૧૭૪૦), ૯ કડીનો ‘ગોડીજીરો છંદ’ (લે. સં. ૧૯મી સદી અનુ.) તથા ૧૫/૧૬ કડીનો ‘તાવનો છંદ’ (મુ.) એના ભાષા-પદ્યબંધની દૃષ્ટિએ તથા પુણ્ય-રાજગણિની મૂળ સંસ્કૃત કૃતિ ‘હોલિકારજ : પર્વકથા’ પરનો સ્તબક (ર.ઈ.૧૭૩૬) રચનાસમયની દૃષ્ટિએ કાંતિવિજય-૨ની રચનાઓ હોવાની શક્યતા છે. ૮ કડીનું ‘વીસ સ્થાનક સ્તવન’ (મુ.) ‘દેવગુરુ’ એવા શબ્દોને લીધે કોઈ દેવવિજયશિષ્ય કાંતિવિજયની રચના હોય કે કાંતિવિજય-૩ની રચના પણ હોય. આ ઉપરાંત ૩૧ ગ્રંથાગ્રનું ‘રાજુલ-સ્તવન’, ૩૧ કડીની ‘આદિત્યવારની વેલ’, ૪૫ ગ્રંથાગ્રની ‘છ વ્રતની સઝાયો’ (લે. ઈ.૧૭૪૧), ૨૫ કડીની ‘સતી સુભદ્રાની સઝાય’ વગેરે કેટલીક મુદ્રિત-અમુદ્રિત કૃતિઓ મળે છે તે કયા કાંતિવિજયની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. જોકે, આમાંની કેટલીક કૃતિઓ કાંતિવિજય-૧ અને કાંતિવિજય-૨ને નામે મૂકવામાં આવી છે. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. ચૈસ્તસંગ્રહ: ૧,૩; ૩. જૈકાપ્રકાશ:૧; ૪. જૈપ્રાસ્તસંગ્રહ; ૫. જૈરસંગ્રહ; ૬. પ્રાછંદસંગ્રહ; ૭. પ્રાસપસંગ્રહ:૧; ૮. પ્રાસ્તસંગ્રહ; ૯. સઝાયમાલા, પ્ર. લલ્લુભાઈ ઈશ્વરદાસ, ઈ.૧૯૦૦; ૧૦. સસન્મિત્ર (ઝ.). સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.ર.દ.]

કાંતિવિજય-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયની પરંપરામાં કીર્તિવિજયના શિષ્ય અને ઉપાધ્યાય વિનયવિજય (ઈ.૧૭મી સદી)ના ગુરુબંધુ. મહોપાધ્યાય યશોવિજયની ઈ.૧૬૮૭ સુધીની ચરિત્રરેખા આપી તેની ગુણપ્રશસ્તિ કરતી ને લગભગ આ જ ગાળામાં રચાયેલી ૪ ઢાળની ‘સુજસવેલીઅભાસ’ (મુ.), ‘ચોવીસી’, ૫૩ કડીની ‘સંવેગરસાયન-બાવની’, ૫ ઢાળની ‘પંચમહાવ્રત-સઝાય’ (મુ.), ૨૭ કડીની ‘શીલ-પચીસી’, ૭ કડીની ‘પાંચમની સઝાય’ (મુ.) તથા ‘પ્રસન્નચંદ્ર-ઋષિ-સઝાય’ના કર્તા. આ ઉપરાંત કેટલાંક મુદ્રિત-અમુદ્રિત સ્તવન, સઝાય આ કાંતિવિજયને નામે મૂકવામાં આવ્યાં છે પરંતુ એ બધામાં ગુરુનામનો નિર્દેશ મળતો નથી. કૃતિ : ૧. પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પ્ર. જૈન ગ્રંથ પ્રકાશક સભા, સં. ૧૯૯૬; ૨. સઝાયમાલા: ૧-૨ (જા.). સંદર્ભ : ૧. જૈગૂસારત્નો : ૨;  ૨. જૈગૂકવિઓ:૨,૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.ર.દ.]

કાંતિવિજય-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં પ્રેમવિજયના શિષ્ય. એમનો ૪ ખંડ અને ૯૧ ઢાળનો ‘મહાબલમલયસુંદરી-રાસ’ (ર.ઈ.૧૭૧૯/સં. ૧૭૭૫, વૈશાખ સુદ ૩; મુ.) મહાબલ અને મલયસુંદરીનાં જન્મ, પ્રણય, દાંપત્ય અને એમને સહેવાં પડેલાં કષ્ટોનું વૃત્તાંત, કેટલાંક આનુષંગિક વૃત્તાંતો સાથે વર્ણવે છે. અનેક ચમત્કારપૂર્ણ પ્રસંગોવાળી આ કૃતિમાં કવિ વર્ણન અને ભાવનિરૂપણની ક્ષમતા પ્રસંગોપાત્ત પ્રગટ કરે છે. વિવિધ દેશીઓમાં રચાયેલી અને ક્યાંક હિંદીનો આશ્રય લેતી ‘ચોવીશી’ (મુ.) અને ‘વીશી’ (મુ.) પ્રેમભક્તિની આર્દ્રતા તથા ક્વચિત્ શબ્દચમત્કૃતિના વિનિયોગથી જુદી તરી આવે છે. ‘ચોવીશી’માંનું ‘નેમિજિન-સ્તવન’ તો રાજુલની વિરહોક્તિઓથી વેધક બન્યું છે. આંતરયમકનો અંશત: ઉપયોગ કરતું ૯ ઢાળનું ‘સૌભાગ્યપંચમીમાહાત્મ્યગર્ભિત-નેમિજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૪૩/સં. ૧૭૯૯. શ્રાવણ સુદ ૫, રવિવાર; મુ.) ચારણી શૈલીના ૩૯ અને ૫૧ કડીનાં, એમ ૨ ’ગોડીપાર્શ્વજિન-છંદ’ (મુ.), ૩ ઢાળનું ‘મૌન-એકાદશીનું સ્તવન’ (ર.ઈ.૧૭૧૩/સં. ૧૭૬૯, માગશર સુદ ૧૧; મુ.), ૨ ઢાળનું ‘અષ્ટમી-સ્તવન’ (મુ.) ૧૫ કડીની ‘નેમિરાજિમતી-સઝાય’ (ર.ઈ.૧૭૧૫; મુ.), ‘જંબૂસ્વામિચરિત્ર’ પરનો સ્તબક (ર.ઈ.૧૭૦૮/સં. ૧૭૬૪, વૈશાખ સુદ ૩) તથા ૪ કડીની ‘સિદ્ધચક્ર-સ્તુતિ’ એ આ કવિની અન્ય કૃતિઓ છે. ગામો વગેરેની નામાયાદી દ્વારા મંદોદરીએ શ્લેષપૂર્વક રાવણને આપેલી શિખામણ રજૂ કરતી બાલાવબોધ સહિતની છપ્પાબંધની ‘હીરાવેધ-બત્રીસી’ (લે.ઈ.૧૭૪૩; મુ.) ગુરુનામના નિર્દેશ વિનાની છે પરંતુ ‘કહે કાંતિ’ એવી અન્ય રચનાઓમાં પણ મળતી નામછાપ તથા લેખનસમયને કારણે આ જ કવિની રચના હોવાનું સમજાય છે. કૃતિ : ૧. મહાબલમલયસુંદરીનો રાસ, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, સં. ૧૯૪૧;  ૨. ચોસંગ્રહ; ૩. જૈકાપ્રકાશ:૧; ૪. જૈકાસંગ્રહ; ૫. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. શેઠ મોતીચંદ ઝવેરી, ઈ.૧૯૧૯; ૬. પ્રાછંદસંગ્રહ; ૭. સઝાયમાળા(પં.);  ૮. બુદ્ધિપ્રકાશ, જુલાઈ-સપ્ટે. ૧૯૩૪-‘હીરાવેધ બત્રીસી’, સં. ભોગીલાલ જ. સાંડેસરા (+સં.). સંદર્ભ : ૧. જૈગૂસારત્નો: ૧;  ૨. જગૂકવિઓ: ૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.ર.દ.]

કાંતિવિજય-૩ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. “દેવદર્શનગુરુ” એ શબ્દોને કારણે દેવવિજય-દર્શનવિજયના શિષ્ય હોવાનું અર્થઘટન થયું છે. એમણે ૩૨/૪૦ કડીની ‘ક્રોધમાનમાયા-લોભનો છંદ/ચાર-કષાય-છંદ/શિક્ષા-સ્તોત્ર’ (૨.ઈ.૧૭૭૯; મુ.) તથા ૩૭ કડીની ‘સુભદ્રા-ચોપાઈ’ (૨.ઈ.૧૭૭૭/સં. ૧૮૩૩, પોષ વદ ૫) એ ૨ કૃતિઓ રચેલી છે. કૃતિ : માણિભદ્રાદિકોના છંદોનું પુસ્તક : ૧, પ્ર. નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

કાંતિવિમલ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. શાંતિવિમલની પરંપરામાં કેસરવિમલના શિષ્ય. ૪૧ ઢાળ અને ૮૩૦/૮૯૦ કડીઓના ‘વિક્રમચરિત્રકનકાવતી-રાસ’ (૨.ઈ.૧૭૦૮ કે ૧૭૧૧/સં. ૧૭૬૪ કે ૧૭૬૭, માગશર સુદ ૧૦, રવિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

કાંતિસાગર [               ]  : જૈન સાધુ. પંડિત ઉત્તમસાગરના શિષ્ય. સિદ્ધચક્રપૂજાનાં ૪ સ્તવનો(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈપ્રપુસ્તક : ૧; ૨. પૂજાસંગ્રહ, પ્ર. ભનીબહેન ધી. શ્રોફ, ઈ.૧૯૩૬. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

કિશોરદાસ [ઈ.૧૭મી સદી] : પુષ્ટિમાર્ગીય કવિ. ભરૂચના વતની ત્રિકમભાઈના પુત્ર અને મોહનભાઈ (જ.ઈ.૧૬૦૭)ના નાના ભાઈ.માતાનું નામ ફૂલાં. ગોકુળનાથવિષયક શયનનું ધોળ (*મુ.) આદિ કેટલાંક ધોળના કર્તા. કૃતિ : *ગોકુલેશ ધોળ પદ માધુરી, સં. ચિમનલાલ મ. વૈદ્ય, -. સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ;  ૨. અનુગ્રહ, ડિસે. ૧૯૫૭-‘મહદ્મણિ શ્રી મોહનભાઈ.’ [શ્ર.ત્રિ.]

કિસન(કવિ)-૧ [ઈ.૧૭૪૨ આસપાસ સુધીમાં] : ‘ભક્તમાલ’ તથા હરિભક્તિ કરવાનો બોધ આપતા ૧ પદ(લે. ઈ.૧૭૪૨ લગભગ)ના કર્તા. આ કવિને નામે નોંધાયેલ ‘કૃષ્ણની કૃપા’માં કવિનાછાપ નથી અને વ્રજભાષાની ‘હરિભજનલીલા’ નિર્દિષ્ટ હસ્તપ્રતમાં મળતી નથી. સંદર્ભ : ગૂહાયાદી.[કી.જો.]

કિસન(મુનિ)-૨ [               ] : જૈન સાધુ. ૧૫ કડીની ‘સ્થૂલિભદ્ર-કોશાની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : રત્નસાર : ૨, મુ. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. [પા.મા.]

કિંકરદાસ/કિંકરીદાસ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ભક્તકવિ. કવિ ઈ.૧૫૫૪માં થયા હોવાનો ઉલ્લેખ મળે છે તે તેમની જન્મસાલ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી. પહેલાં ગુસાંઈજી વિઠ્ઠલનાથ (અવ. ઈ.૧૬૮૬)ના અને પછી ગોકુલનાથના ભક્ત બન્યા. આ કવિએ રચેલાં કીર્તનોમાંથી ૨૫ કડીનું વલ્લભાચાર્યના જન્મનાં વધામણાં ગાતું પદ, હિંડોળાનાં ૨ પદ, ગોકુલવાસનાં મહિમાને વર્ણવતાં ૫ ધોળ તથા ૧ હિન્દી પદ મુદ્રિત મળે છે તેમાં કવિની ભાવાત્મક વર્ણનની શક્તિ દેખાય છે. કવિની પદરચના પર અષ્ટસખાની અસર હોવાનું પણ નોંધાયું છે. કૃતિ : ૧. શ્રી ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૨. પુષ્ટિપ્રસાદી, પ્ર. ગોવર્ધન સત્સંગ મંડળ, સં. ૨૦૨૨ (બીજી આ.);  ૩. અનુગ્રહ, જાન્યુ. ૧૯૬૦ - ‘કિંકરીદાસ વૈષ્ણવ’, ચિમનલાલ મ. વૈદ્ય. [શ્ર.ત્રિ.]

કીકુ : ‘સોઢી અને દેવડાનું ગીત’ (લે.ઈ.૧૫૬૫) નામના ઐતિહાસિક કાવ્યના કર્તા તે કીકુ-૧ હોવાનું નિશ્ચિત કહી શકાય તેમ નથી. સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.]

કીકુ-૧ [ઈ.૧૬મી સદી મધ્યભાગ સુધીમાં] : આખ્યાનકવિ. ગોદાસુત. અવટંકે વસહી. ગણદેવીનિવાસી. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. વ્યવસાયે ખેડૂત. તેમનું ‘બાલ-ચરિત્ર/કૃષ્ણ-ચરિત્ર’ (લે.ઈ.૧૫૪૪ના અરસામાં) ૬૩૦ કડીઓનું, દુહા-ચોપાઈબંધનું, કૃષ્ણલીલાનાં કેટલાંક રુચિકર ચિત્રણો ધરાવતું કાવ્ય છે. ૬૦ છપ્પાની ‘અંગદવિષ્ટિ’ (મુ.) થોડાક છપ્પાઓમાં રાવણ અને અંગદ વચ્ચેના સંવાદનું અસરકારક આલેખન કરી, રામરાવણયુદ્ધનું પણ જુસ્સાદાર વર્ણન કરે છે. શમળની ‘અંગદવિષ્ટિ’ પૂર્વેની આ કૃતિ વીરરસની નોંધપાત્ર કૃતિ બની છે. કૃતિ : બુદ્ધિપ્રકાશ, ડિસે. ૧૯૨૩- ‘અંગદવિષ્ટિ’, સં. હરિનારાયણ આચાર્ય. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. નયુકવિઓ;  ૪. ગૂહાયદી.[ચ.શે.]

કીરત(સૂરિ)/કીર્તિ : કીરતસૂરિને નામે ૨૪ કડીની ‘અરણિક-મુનિની સઝાય’ (મુ.) મળે છે. આ કયા કીર્તિ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : સઝાયમાલા, પ્ર. લલ્લુભાઈ ઈશ્વરદાસ, ઈ.૧૯૦૦. [ર.સો.]

કીર્તિ-૧ [ઈ.૧૪૭૯માં હયાત] : જુઓ વિજયચંદ્રસૂરિશિષ્ય રાજકીર્તિ.

કીર્તિ-૨ [               ]: જૈન. હીરરત્નસૂરિના શિષ્ય. ૪ કડીની ‘મૌન-એકાદશી-સ્તુતિ’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈકાપ્રકાશ : ૧. [ર.સો.]


કીર્તિમેરુ(વાચક) [ઈ.૧૪૪૧માં હયાત] : જૈન સાધુ. કવિનાં કેટલાંક કાવ્યોને સમાવતી કવિએ લખેલી ઈ.૧૪૪૧ની હસ્તપ્રત મળે છે. એમણે જિનવરો તથા જૈન તીર્થોની યાદી આપતી ૨૮ કડીની ‘ત્રિભુવન-ચૈત્યપ્રવાડી/શાશ્વતતીર્થમાલા’ (મુ.), હરિગીતની ચાલની ૪ કડીના ‘અંબિકા-છંદ’ તથા નેમિનાથવિષયક કેટલીક કૃતિઓની રચના કરેલી છે. કવિના કાવ્યોમાં અનુપ્રસાદિ શબ્દાલંકારોનું માધુર્ય છે. કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧ (+સં.). સંદર્ભ : નયુકવિઓ. [ર.સો.]


કીર્તિરત્ન (આચાર્ય/સૂરિ)-૧/કીર્તિરાજ [જ.ઈ.૧૩૯૩ - અવ.ઈ.૧૪૬૯/સં. ૧૫૨૫, વૈશાખ સુદ/વદ ૫] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિના શિષ્ય અને પટ્ટધર. સંસારી નામ દેલ્હા. ઓશવાલ વંશ. પિતા દેપા. માતા દેવલદે. દીક્ષાનામ કીર્તિરાજ. દીક્ષા ઈ.૧૪૦૭. આચાર્યપદ ઈ.૧૪૪૧. ૨૫ દિવસની અનશન-આરાધના બાદ વીરમપુરમાં સમાધિપૂર્વક અવસાન. ૩૨ કડીના ‘માહવીર-વિવાહલો’ના કર્તા. તેમણે સંસ્કૃતમાં ‘નેમિનાથકાવ્ય’ રચ્યું છે. સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ;  ૨. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૬ - ‘વિવાહલઉં સંજ્ઞક અન્ય જૈન રચનાયેં’, અગરચંદ નાહટા.[શ્ર.ત્રિ.]

કીર્તિરત્ન(સૂરિ)-૨ [ઈ.૧૫૨૫માં હયાત] : જૈન સાધુ. તેજરત્નસૂરિના શિષ્ય. ૬ ઢાળના ‘અતીતઅનાગતવર્તમાન-જિન-ગીત’ (૨.ઈ.૧૫૨૫)ના કર્તા. જુઓ તેજરત્નસૂરિશિષ્ય. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]

કીર્તિરાજ : જુઓ કીર્તિરત્ન-૧.

કીર્તિવર્ધન/કેશવ(મુનિ) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છની આદ્યપક્ષીય આચાર્યશાખાના જૈન સાધુ. જિનહર્ષના શિષ્ય દયારત્નના શિષ્ય. એમની ‘સદયવત્સ-સાવલિંગા-ચોપાઈ/રાસ’(મુ.)ની ઘણીખરી હસ્તપ્રતો કર્તાનામ મુનિ કેશવ આપે છે, ત્યારે મુદ્રિત પાઠ તેમ જ કોઈક હસ્તપ્રતમાં કીર્તિવર્ધન નામ પણ મળે છે. કૃતિનો રચનાસમય મુદ્રિત પાઠ તેમ જ મોટા ભાગની પ્રતોમાં ઈ.૧૬૨૩/સં. ૧૬૭૯, વિજ્યાદશમી/આસો સુદ ૧૦, સોમવાર મળે છે જ્યારે કોઈક પ્રત ઈ.૧૬૪૧/સં. ૧૬૯૭, વિજ્યાદશમી/આસો સુદ ૧૦, રવિવાર બતાવે છે. જોકે, જિનહર્ષના આચાર્યકાળ (ઈ.૧૬૩૭-ઈ.૧૬૬૯) - જે દરમ્યાન આ કૃતિ રચાયેલી છે - તથા દયારત્નના હયાતીકાળ (ઈ.૧૬૩૯) સાથે ૨.ઈ.૧૬૪૧નો જ મેળ બેસે. દુહાચોપાઈબદ્ધ પણ ક્વચિત્ ચંદ્રાયણા, કવિત્ત વગેરેનો વિનિયોગ કરતી ૪૦૦-૫૦૦ જેટલી કડી-સંખ્યામાં વિસ્તરતી ‘સદયવત્સસાવલિંગા-ચોપાઈ’ સદયવત્સ અને સાવલિંગાની લોકપ્રચલિત પ્રેમકથાને આલેખતી શૃંગારરસપ્રધાન કૃતિ છે. પરંપરાગત વર્ણનની છટા પ્રગટ કરતી આ કૃતિમાં અન્યોક્તિ, અર્થાંતરન્યાસ વગેરે પ્રકારના સંસ્કૃત, પ્રાકૃત તેમ જ લોકભાષાનાં સુભાષિતોની પ્રચુરતા ધ્યાન ખેંચે છે અને કંઠસ્થ પરંપરામાંથી કવિએ કરેલા સંકલનની છાપ પડે છે. આ કવિનું રાજસ્થાની ભાષાની અસર દેખાડતું ૫ કડીનું ‘જિનહર્ષસૂરિ-ગીત’(મુ.) પણ મળે છે. જુઓ કેશવવિજય. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ (+સં.); ૨. (ભીમવિરચિત) સદયવત્સવીર-પ્રબંધ, સં. મંજુલાલ ૨. મજમુદાર, ઈ.૧૯૬૧-(+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ર.સો.]

કીર્તિવિજય : આ નામે ૭ કડીનું ‘આદિનાથ-સ્તવન’, ૯ કડીનું ‘ઋષભદેવ-સ્તવન’, ૭ કડીનું ‘ચિંતામણિપાર્શ્વનાથ-સ્તવન’ અને ૧૧ કડીની ‘વિજયદેવસૂરિ-સઝાય’ એ ૪ કૃતિઓ (લે.ઈ.૧૬૪૬) મળે છે તે કીર્તિવિજય-૧ની હોવાની સંભાવના છે પણ એ વિશે કંઈ નિશ્ચિત કહેવું મુશ્કેલ છે. ઉપાધ્યાય કીર્તિવિજયને નામે મળતું ૫૩ કડીનું ‘સપ્તતિશત-જિન-સ્તવન’ (૨.ઈ.૧૬૬૭) પણ કીર્તિવિજય-૨નું હોવાનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]

કીર્તિવિજય-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. પંડિત કાનજીના શિષ્ય. વિજયસેનસૂરિના અવસાન (ઈ.૧૬૧૬) પછી એ વિજયદેવસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૧૬-ઈ.૧૬૫૭)માં રચાયેલી ૪૭ કડીની ‘વિજયસેનસૂરિનિર્વાણ-સઝાય’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [ર.સો.]

કીર્તિવિજય-૨ [ઈ.૧૬૬૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવ-વિજ્યપ્રભના શિષ્ય. ૧૩૫ કડીના ‘ધર્મનાથ-સ્તવન’(૨.ઈ.૧૬૬૦)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.સો.]

કીર્તિવિજય-૩ [ઈ.૧૭૧૦માં હયાત] : જૈન સાધુ. ૧૨ કડીની ‘ગોડીપ્રભુ-ગીત’ (૨.ઈ.૧૭૧૦/સં. ૧૭૬૬, વૈશાખ-)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [ર.સો.]

કીર્તિવિજય-૪ [               ]: તપગચ્છના જૈન સાધુ. ખીમાવિજ્યના શિષ્ય ઉપાધ્યાય કાંતિવિજયના શિષ્ય. ૪ કડીની ‘સુધર્મા દેવલોકની સ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, સં. તિલકવિજયજી ગણિવર, સં. ૧૯૯૩. [ર.સો.]

કીર્તિવિજય-૫ [               ]: જૈન સાધુ. રુચિપ્રમોદના શિષ્ય. ૨ ઢાળ ને ૪૧ કડીની દુહાદેશીબદ્ધ ‘સમકિત ઉપર શ્રેણિક રાજાની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસ્તસંગ્રહ.[ર.સો.]

કીર્તિવિમલ : આ નામે ૫ કડીની ‘નવકારમંત્રની સઝાય’ (મુ.), ૪ કડીની ‘ગોડીપાર્શ્વનાથની સ્તુતિ’ (મુ.) તથા ૮ કડીની ‘વિજયસિંહસૂરિ-સઝાય’ મળે છે તે કયા કીર્તિવિમલ છે તે નક્કી થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]

કીર્તિવિમલ-૧ [ઈ.૧૬૧૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયવિમલની પરંપરામાં લાલજીના શિષ્ય. ૬૨ કડીની ‘બારવ્રતજોડી’ (૨.ઈ.૧૬૧૭/સં. ૧૬૭૩, ફાગણ વદ ૬), ‘ગજસિંહકુમાર-રાસ’ તથા ૩૨ કડીની ‘ચતુર્વિશતિજિન-સ્તવન’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.સો.]

કીર્તિવિમલ-૨ [ઈ.૧૭૧૦ સુધીમાં] : જૈન સાધુ. વિદ્યાવિમલના શિષ્ય. ૧૧ કડીની ‘જિનપ્રતિમાવંદનફલ-સઝાય’ (લે.ઈ.૧૭૧૦)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.સો.]

કીર્તિવિમલ-૩ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ઋદ્ધિવિમલના શિષ્ય. ‘ચોવીસી’ (મુ.) તથા ઈ.૧૭૪૫થી ઈ.૧૭૪૯ સુધીનાં રચનાવર્ષો દર્શાવતાં છૂટાં જિનસ્તવનો-સઝાયો (મુ.) વગેરેના કર્તા. ‘ચોવીસી’નાં કેટલાંક સ્તવનોમાં તથા અન્ય બધાં સ્તવન-સઝાયમાં ‘ઋદ્ધિ’, ‘કીર્તિ’ સાથે ‘અમૃત’ શબ્દ પણ ગૂંથાતો હોઈ કીર્તિવિમલશિષ્ય કોઈ અમૃતવિમલ કર્તા હોય એવી પણ સંભાવના થઈ શકે છે. વસ્તુત: છૂટાં સ્તવનનાદિ પરત્વે ‘પ્રાચીન સ્તવનાદિ રત્ન સંગ્રહ’ નામ ‘અમૃત’ નોંધે જ છે. જોકે ‘અમૃત’ શબ્દને સામાન્ય અર્થના વાચક તરીકે લેવો વધારે યોગ્ય લાગે છે. કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ:૧. [ર.સો.]

કીર્તિવિમલ-૪ [               ]: તપગચ્છના જૈન સાધુ. કુંવરવિમલના શિષ્ય. ૧૧ કડીના ‘પાર્શ્વનાથજિન-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રસ્તારત્નસંગ્રહ:૨. [ર.સો.]

કીર્તિસાગર/કીર્તિસાગર(સૂરિ) : આ નામે તીર્થંકરાદિનાં કેટલાંક સ્તવનો (મુ.) મળે છે, જેમાં ક્યારેક હિંદી ભાષાનું મિશ્રણ પણ થયેલું છે. તે ઉપરાંત એ નામે ૮ કડીની ‘ચરણકરણસત્તરી-સઝાય’ (લે.ઈ.૧૮૧૩) નામની કૃતિ નોંધાયેલી મળે છે. પણ આ કૃતિઓ કીર્તિસાગર-૧ની છે કે કેમ એ નક્કી થતું નથી. કૃતિ : ૧. જૈકાપ્રકાશ:૧; ૨. શોભન સ્તવનાવલી, પ્ર. ડાહ્યાભાઈ ફૂ. શાહ, મોતીલાલ મ. શાહ, ઈ.૧૮૯૭. સંદર્ભ : લીંહસૂચી. [ર.સો.]

કીર્તિસાગર-૧ [               ]: જૈન સાધુ. સુમતિસાગરશિષ્ય. ‘બારવ્રત-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.સો.]

કીર્તિસાગર(સૂરિ)શિષ્ય [ઈ.૧૬૮૬માં હયાત] : જૈન સાધુ. એમની દુહા, ચોપાઈ અને ઢાળબદ્ધ ૧૭૮ કડીની ‘ભીમ-ચોપાઈ’ (૨.ઈ.૧૬૮૬/સં. ૧૭૪૨, ચૈત્ર સુદ ૧૫; મુ.) ભીમા શાહે ડુંગરપુરથી ધુલેવ(કેસરિયાજી)નો સંઘ કાઢ્યો હતો તેનું વર્ણન કરે છે અને દાનવીર ભીમા શાહની પ્રશસ્તિ કરે છે. પરંપરાગત પ્રકારનાં કેટલાંક આલંકારિક વર્ણનો અને સુભાષિતોનો વિનિયોગ ધ્યાન ખેંચે છે. કૃતિ : ઐરાસંગ્રહ:૧. સંદર્ભ : જૈગૂકવિઓ:૨. [કી.જો.]

કીર્તિસાર [    ] : તપગચ્છના જૈન સાધુ. ૯ કડીની ‘તપગચ્છસૂરિનામ-સઝાય/પટ્ટાવલી-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી: ૨. હેજૈજ્ઞસૂચિ:૧. [શ્ર.ત્રિ.]

કીર્તિસુંદર [               ]: જૈન સાધુ. ૧૨૭ કડીના ‘સમેતશિખરબૃહત્-સ્તવન’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૫૩-‘પૂર્વદેશ ચૈત્ય પારિપાટી’, ભંવરલાલ નાહટા. [ર.સો.]

કીર્તિહર્ષ [ઈ.૧૪૯૫માં હયાત] : દ્વિવંદનીક ઉપકેશગચ્છના જૈન સાધુ. કક્કસૂરિના શિષ્ય. ૨૩૩ કડીની ‘સનતકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૪૯૫/સં. ૧૫૫૧, કારતક સુદ ૧૫, ગુરુવાર)ના કર્તા. જુઓ કક્કસૂરિશિષ્ય. સંદર્ભ : જૈગૂકવિઓ:૧,૩(૧). [શ્ર.ત્રિ.]

કુતુબુદ્દીન [               ]: દેલમી ઉપદેશક પરંપારના સૈયદ. પીર હસનકબીરુદ્દીનના વંશજ હોવાનું મનાય છે. એમની કૃતિઓમાંથી ૭ અને ૫ કડીનાં ૨ જ્ઞાનબોધક પદો (મુ.) મળે છે. કૃતિ : ખોજાવૃત્તાંત, સચેદીના નાનજીઆણી, *ઈ.૧૮૨૨, ઈ.૧૯૧૮ (બીજી આ.); ૨. સૈઇશાગીસંગ્રહ : ૪.[પ્યા.કે.]

કુબેર/કુબેરિયોદાસ : કુબેરને નામે ‘મહાકાલેશ્વરનો ગરબો’ (લે.ઈ.૧૭૯૪), ‘મહાકાળી વિશેનો ગરબો’ (મુ.) તથા પદો, દાસ કુબેરને નામે શંકરની સ્તુતિનાં ૨ પદો (મુ.) તેમ જ કુબેરિયોદાસ કે દાસ કુબેરિયોને નામે બહુચરમાના ગરબા-છંદ (મુ.) મળે છે તે કયા કુબેર (કે કુવેર) છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ કુવેર. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. દેવી મહાત્મ્ય અથવા ગરબા સંગ્રહ:૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૩. ભવાઈ (અં.), સુધા આર. દેસાઈ, ઈ.૧૯૭૨-મહાકાળી વિશેનો ગરબો; ૪. શિવપદસંગ્રહ:૧, પ્ર. અંબાલાલભાઈ શં. પાઠક, લલ્લુભાઈ કા. પંડ્યા, ઈ.૧૯૨૦; ૫. શ્રીમદ્ ભગવતી કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [ચ.શે.]

કુબેર-૧/કુબેરદાસ [ઈ.૧૬૫૪માં હયાત] : કેટલાક સંદર્ભોમાં ખંભાતના વતની તરીકે ઓળખાવાયેલા આ કવિની ‘લક્ષ્મણાહરણ/સાંબકુંવરનું આખ્યાન’ તથા ‘સુરખાહરણ’ એ ૨ કૃતિઓ નોંધાયેલી મળે છે. તેમાંથી ‘લક્ષ્મણાહરણ’ની ૨.ઈ.૧૬૫૪ પણ અમુક સ્થાને નોંધાયેલી મળે છે. કવિઓળખ અને તેનો સમય જોતાં ‘કુંવર’ને સ્થાને ‘કુબેર’ વંચાયું હોય અને આ કૃતિઓ ખંભાતના વતની કુંવરની હોય એવી સંભાવના રહે છે. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૭ - ‘ઉષાહરણ’, ભોગીલાલ જ. સાંડેસરા;  ૪. ગૂહાયાદી. [ચ.શે.]

કુબેર-૨ [ઈ.૧૮૪૪ આસપાસ સુધીમાં] : ભવાનદાસના ભાઈ.‘કુબેરો’ એવી નામછાપથી રચાયેલી ‘કૃષ્ણનો થાળ’ (મુ.) એ કૃતિના કર્તા. કૃતિ : બૃકાદોહન:૬. સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.]

કુબેરજી [               ]: કુબેરદાસને નામે મુદ્રિત થયેલા પણ ‘કુબેરજી’ એવી નામછાપ ધરાવતા ૧ પદના કર્તા. આ પદમાં આગળની કડીમાં ‘ગોવિંદજી’ એ નામછાપ પણ મળે છે, તે કઈ રીતે આવી છે તે કહી શકાય તેમ નથી. કૃતિ : પ્રાકાસુધા:૨. [ચ.શે.]

કુમરવિજ્ય : ધનવિજ્યશિષ્યના આ જૈન સાધુને નામે ૨૯ કડીનું ‘ચોવીસજિન-સ્તવન’ નોંધાયેલું મળે છે. આ કૃતિ તપગચ્છના નયવિજ્યશિષ્ય કુંવરવિજ્યને નામે નોંધાયેલી છે. કર્તા ખરેખર ધનવિજ્યશિષ્ય છે કે નયવિજ્યશિષ્ય છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [કી.જો.]

‘કુમારપાલ-રાસ’ [૨.ઈ.૧૬૧૪/સં.૧૬૭૦, ભાદરવા સુદ ૨, ગુરુવાર] : શ્રાવક કવિ ઋષભદાસનો ૨ ખંડ અને આશરે ૪૫૦૦ કડીઓમાં વિસ્તરતો આ રાસ (મુ.) મુખ્યત્વે દુહા, ચોપાઈ અને દેશીબંધનો તથા પ્રસંગોપાત્ત કવિત, ગીત વગેરેનો આશ્રય લઈને રચાયેલ છે. જિનમંડનગણિના સંસ્કૃત ‘કુમારપાલ-પ્રબંધ’નો આધાર લઈને રચાયેલા આ રાસમાં કવિએ કુમારપાલના જીવનવૃત્તાંત ઉપરાંત વનરાજ, સિદ્ધરાજ જયસિંહ, હેમચંદ્રાચાર્ય અને કુમારપાલના પુત્ર અજયપાલનાં જીવનવૃત્તાંતોને વણી લીધાં છે. આ રીતે આ કૃતિ ઐતિહાસિક દૃષ્ટિએ નોંધપાત્ર બને છે. અલબત્ત, કવિએ ઘણા પ્રસંગોને જૈન ધર્મનો મહિમા ગાવાના પોતાના ઇષ્ટ હેતુને અનુરૂપ રંગ આપ્યો છે અને કેટલાક ચમત્કારિક પ્રસંગો ઉમેર્યા છે. કુમારપાલ વગેરેના જીવનના અનેકવિધ અનુભવપ્રસંગો અને હેમચંદ્રાચાર્ય દ્વારા કે અન્ય રીતે કહેવાયેલી અનેક દૃષ્ટાંતકથાઓ આ રાસમાં ઘણો કથારસ પૂરો પાડે છે. પરંતુ આ કાવ્યમાં કવિનો મુખ્ય ઉદ્દેશ ધર્મબોધનો છે, તેથી તેમણે અનુભવપ્રસંગોમાંથી પણ સાર તારવવાની વૃત્તિ રાખી છે અને સંખ્યાબંધ સુભાષિતો દ્વારા પ્રગટ જીવનબોધ આપવાનું કામ પણ કર્યું છે. કવિની આ બોધવાણી ઉપમા, દૃષ્ટાંત, કહેવત વગેરેની મદદથી રસપ્રદ બનેલી છે. દા.ત. કવિ એક સ્થળે આંબાના વૃક્ષનું મહિમાવર્ણન કરી ઉત્તમ પુરુષને આંબા સાથે સરખાવે છે. ચરોતર વગેરે પ્રાદેશિક ભૂમિઓ અને પર્વતભૂમિ સાથે સરખાવીને મનુષ્યોના ૭ વર્ગો કવિએ બતાવ્યા છે તે કૌતુકપ્રેરક છે. ક્વચિત્ કવિ સંવાદના માધ્યમથી પણ કામ લે છે. જેમ કે, અહીં જીભ અને દાંત વચ્ચે સંવાદ તેમ જ કાળી-ગોરી નારીનો વિવાદ કવિએ યોજ્યા છે. પરંતુ કવિની આ બોધવાણીથી કથાપ્રવાહ અવારનવાર અવરોધાય છે. કવિએ પ્રચલિત સિક્કાઓ, ભોજનસામગ્રી વગેરે પ્રકારની માહિતીથી પણ આ રાસને સમૃદ્ધ કર્યો છે. ભૂપલદેવીનું રૂપવર્ણન જેવા કેટલાક અંશોમાં કવિનું કવિત્વ પ્રગટ થાય છે અને પાટણના બાવન ‘હહા’, ‘વવા’, ‘લલા’ નિર્દેશ્યા છે તેમાં તેમની શબ્દચાતુરી પ્રગટ થાય છે, પરંતુ એકંદરે કવિનો વિશેષ ઉપદેશક કથાકાર હોવામાં છે. જિનહર્ષગણિએ આ કૃતિનો આધાર લઈ સંક્ષેપમાં ‘કુમારપાલ-રાસ’ રચ્યો છે તે આ કૃતિની લોકપ્રિયતા દર્શાવે છે. [જ.કો.]

કુમુદચંદ્ર-૧ [ઈ.૧૬૧૧માં હયાત] : દિગમ્બર જૈન સાધુ. ૧૬૦ કડીના ‘ભરતબાહુબલિ-છંદ’ (૨.ઈ.૧૬૧૧/સં. ૧૬૬૭, જેઠ સુદ ૮)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [કી.જો.]

કુમુદચંદ્ર-૨/કુમુદચંદ [ઈ.૧૭૨૯ સુધીમાં] : જૈન સાધુ. ૧૦ કડીની ‘પરસ્ત્રીનિવારણ-સઝાય/શિયળ વિશે પુરુષને શિખામણ-સઝાય’ (લે.ઈ.૧૭૨૯, મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈકાસંગ્રહ; ૨. જૈસસંગ્રહ (ન); ૩. સસન્મિત્ર (ઝ.). સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [કી.જો.]

કુલમંડન(સૂરિ) [જ.ઈ.૧૩૫૩-અવ. ઈ.૧૩૯૯/સં ૧૪૫૫, ચૈત્ર-] : તપગચ્છના જૈન સાધુ. દેવસુંદરસૂરિના શિષ્ય. દીક્ષા ઈ.૧૩૬૧. સૂરિપદ ઈ.૧૩૮૬. એમનું ‘મુગ્ધાવબોધ-ઔક્તિક’ (૨.ઈ.૧૩૯૪; મુ.) ગુજરાતી ભાષાના માધ્યમ દ્વારા સંસ્કૃત વ્યાકરણને રજૂ કરતી ગદ્યકૃતિ છે. પરંતુ એમાં સર્વત્ર સમાંતર રીતે ગુજરાતી ભાષાપ્રયોગોની પણ નોંધ આપવામાં આવી છે. તેથી એ સમયની ગુજરાતી ભાષાનું વ્યાકરણ પણ આપણને મળી રહે છે. ઈ.૧૪મી સદીની ગુજરાતી ભાષાના અભ્યાસ માટે, આથી, આ કૃતિ મહત્ત્વની બને છે. કુલમંડનસૂરિએ સંસ્કૃતમાં ‘કુમારપાલ-પ્રબંધ’, ‘વિચારામૃતસંગ્રહ’, ‘સિદ્ધાન્તાલાપકોદ્ધાર’, ‘પ્રજ્ઞાપનસૂત્ર’, કેટલીક અવચૂરિઓ અને સ્તવનો પણ રચેલાં છે. જુઓ દેવસુંદરસૂરિશિષ્ય. કૃતિ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્ય રત્નમાળા:૧, સં. હરિ હ. ધ્રુવ, ઈ.૧૮૮૯;  ૨. પ્રાચીન ગુજરાતી ગદ્ય સંદર્ભ, સં. જિનવિજયજી, ઈ.૧૯૩૦. સંદર્ભ : ૧. આકવિઓ:૧; ૨. જૈન પરંપરાનો ઇતિહાસ:૩, મુનિશ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૪; ૩. જૈસાઇતિહાસ; ૪. નયુકવિઓ;  ૫. જૈગૂકવિઓ:૩ (૧); ૬. લીંહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ:૧.[શ્ર.ત્રિ.]

કુલરત્ન [ઈ.૧૫૧૩માં હયાત] : જૈન સાધુ. ૪૪ કડીની ‘વિનય-સઝાય’ (૨.ઈ.૧૫૧૩)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]

કુલહર્ષ [ ] : જૈન સાધુ. ‘મહાવીર-જિન-સ્તુતિ’ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]

કુવેર(દાસ)/કુબેરદાસ/‘કરુણાસાગર’ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી] : જ્ઞાનમાર્ગી સંતકવિ. કૃષ્ણ/કૃષ્ણાનંદ સ્વામીના શિષ્ય. સારસા(તા. આણંદ)માં ઈ.૧૮૦૦ આસપાસ કેવલજ્ઞાન-સંપ્રદાયની સ્થાપના કરી. આ સંપ્રદાય સંતકેવલસંપ્રદાય, કાયમપંથ કુબેરપંથને નામે પણ ઓળખાય છે. કરુણાસાગર એ સંપ્રદાયે પાછળથી આપેલું ગુણનામ છે. સંપ્રદાયમાં અયોનિજ લેખાતા કુવેરદાસ કાસોર ગામ (તા. આણંદ) પાસેના જંગલમાંથી મળી આવ્યા હોવાનું અને રઘુવીર તથા હેતબાઈ નામના કોળી રજપૂત કે સિસોદિયા ક્ષત્રિય દ્વારા ઉછેર પામ્યા હોવાનું નોંધાયું છે. કુવેરદાસનું આયુષ્ય ૧૦૫ વર્ષનું મનાયું છે ને સંપ્રદાયમાં મહા સુદ ૨ (સં.૧૮૨૯/ઈ.૧૭૭૩) તેમના પ્રાગટ્યદિન તરીકે ઊજવાય છે. એટલે એમનું સમાધિવર્ષ ઈ.૧૮૭૮ ગણાય. પરંતુ તેમના જીવનકાળ વિશે આથી જુદા પ્રકારની માહિતી પણ મળે છે. કુવેરદાસ અખાની પરંપરાના જિતામુનિનારાયણના શિષ્ય હોવાનું પણ નોંધાયું છે પણ એ હકીકતને વિશેષ સમર્થન સાંપડતું નથી. વિવિધ ધર્મોના અભ્યાસી કુવેરદાસે હિંદુ-મુસ્લિમ એકતાનો પ્રબોધ કર્યો છે. તેમનો તત્ત્વવિચાર બહુધા કેવલાદ્વૈત જ્ઞાનમાર્ગને જ અનુસરે છે; તે ઉપરાંત તેમાં આ જગત અલખની ઇચ્છાથી ઉત્પન્ન થયેલું છે એવા સકર્તા સિદ્ધાંતનું તથા નિજરૂપ કૈવલ્યની આરાધનાનું પ્રતિપાદન છે. આ કવિની કૃતિઓ તત્ત્વવિચારાત્મક છે ને બહુધા સાધુક્કડી હિંદી કે ગુજરાતીમિશ્ર હિંદીમાં છે. ચોપાઈબંધનો ૬૮ કડીનો ‘કક્કો’ (૨.ઈ.૧૮૨૨/સં.૧૮૭૮, આસો સુદ ૧૫; મુ.) મુખ્યત્વે ગુજરાતી ભાષાની ગણી શકાય એવી કૃતિ છે. તે ઉપરાંત વિવિધ રાગો-છંદોના નિર્દેશવાળા તેમ જ મંગલ, રવેણી, પ્રભાત, ચૂંદડી, ચરખો, ચેતવણી જેવાં વિષયસ્વરૂપલક્ષી નામોથી ઓળખાવાયેલાં પદો (મુ.) ગુજરાતી તથા હિંદી ભાષામાં મળે છે. મુખ્યત્વે હિંદી કહેવાય તેવી કૃતિઓમાં ‘અગાધબોધ’ (મુ.) એમના તત્ત્વવિચાર ઉપરાંત એમના પૂર્વાવતારો, પ્રાગટ્ય અને ભક્ત-શિષ્ય-સમુદાયની માહિતી આપતા ગ્રંથ તરીકે નોંધપાત્ર છે. આ ઉપરાંત એમની ‘વિશ્વભ્રમવિધ્વંસનિધિ’, ‘હંસતાલેવા’, ‘કૈવલવિલાસ’, ‘પરમસિદ્ધાંતપ્રણવકલ્પતરુ’, ‘સક્રતચિંતામણિ’, ‘અદ્વૈતા-દ્વૈતનરવેદ-ચિંતામણિ’, ‘વિજ્ઞાનસક્રતમણિદીપ’, ‘વિશ્વબોધચોસરા’, ‘જ્ઞાનભક્તિવૈરાગ્યનિરૂપણ’, ‘તિથિ(જ્ઞાનશિરોમણિ)’, ‘પંચમસૂક્ષ્મવેદ’ ‘મહામણિબોધ’, ‘તિલકચિંતામણિ’ (ર.ઈ.૧૮૭૧), ‘કર્મ-ગીતા’, ‘સરસ-ગીતા’ વગેરે મુદ્રિત પદ્યકૃતિઓ તેમ જ થોડાંક ગદ્યલખાણો પણ મળે છે. કૃતિ : ૧. અગાધબોધ, પ્ર. અવિચળદાસજી, ઈ.૧૯૭૪ (બીજી આ.); ૨. પરમસિદ્ધાંત પ્રણવ કલ્પતરુ, હંસતાલેવા ગ્રંથ, કૈવલવિલાસ, પ્ર. એજન, ઈ.૧૯૮૦ (બીજી આ.); ૩. પંચમસૂક્ષ્મવેદ, પ્ર. એજન, ઈ.૧૯૭૬ (બીજી આ.);  ૪. સક્રતચિંતામણિ, અદ્વૈતા-દ્વૈતનરવેદચિંતામણિ, ‘વિજ્ઞાનસક્રતમણિદીપ, વિશ્વબોધચોસરા, પ્ર. એજન, ઈ.૧૯૭૯ (બીજી આ.);  ૫. જ્ઞાનભક્તિ-વૈરાગ્ય-નિરૂપણ ગ્રંથ, તિથિગ્રંથજ્ઞાનશિરોમણિ, સિદ્ધાંત-બાવની ગ્રંથ, અચરતસાગર, પ્ર. એજન, ઈ.૧૯૭૮ (બીજી આ.); ૬. ભજનસાગર, પ્ર. એજન, ઈ.૧૯૮૧ (બીજી આ.);  ૭. કૈવલ-જ્ઞાનોદય, ઑક્ટો. ૧૯૬૮, ઑક્ટો. ૧૯૬૯, ઑક્ટો. ૧૯૭૦, ઑક્ટો. ૧૯૭૨ - ‘વિશ્વભ્રમવિધ્વંસનિધિ’ : ૧થી ૪. સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. આગુસંતો; ૩. આવિષ્કાર, બહેચરભાઈ ૨. પટેલ, ઈ.૧૯૭૮;  ૪. કૈવલજ્ઞાનોદય, ઑક્ટો. ૧૯૭૫ - ‘પરમગુરુપોમીપ્રાગટ્ય’ સં. અવિચળદાસજી;  ૫. ગૂહાયાદી. ૬. પાંગુહસ્તલેખો. [બ.પ.]

કુશલ(મુનિ) : આ નામે ‘ચોવીસી-સ્તવન’ (મુ.) મળે છે. તેના કર્તા કયા ‘કુશલ’ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : શ્રાવક સ્તવન સંગ્રહ:૩, સં. પાનમલ ભૈ. શેઠિયા, ઈ.૧૯૨૩.[શ્ર.ત્રિ.]

કુશલ-૧ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : નાગોરી તપગચ્છના જૈન સાધુ. મહિમાસાગર-રામસિંહના શિષ્ય. ‘દશાર્ણભદ્ર-ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૩૦), ‘સનતકુમાર-ચોઢાળિયું’ (૨.ઈ.૧૭૩૩/સં. ૧૭૮૯, ચૈત્ર સુદ ૨), ૩૬ કડીની ‘લઘુસાધુવંદણા’ અને હિંદી ભાષામાં ‘સીતા-આલોયણા’ - એ કૃતિઓના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૨,૩(૨). [ક.શે.]

કુશલ-૨ [ઈ.૧૭૮૭માં હયાત] : સાઠોદરા નાગર. ૪૪ કડીના - ‘બહુચરાજીનો છંદ’ (૨.ઈ.૧૭૮૭/સં.૧૮૪૩, ભાદરવા-૧૧, રવિવાર; મુ.)ના કર્તા. કૃતિ : (શ્રી)દેવી મહાત્મ્ય અથવા ગરબા સંગ્રહ:૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭. [કી.જો.]

કુશલક્ષેમ [ઈ.૧૬૭૪ સુધીમાં] : જૈન સાધુ. જિનરાજસૂરિના શિષ્ય. ૫૩ કડીના ‘અષ્ટાપદપ્રાસાદસ્વરૂપ-સ્તવન’ (લે.ઈ.૧૬૭૪)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

‘કુશલદીપ’ : જુઓ કુશલચંદ્રશિષ્ય દીપચંદ્ર.

કુશલધીરકુશલધીર (ઉપાધ્યાય/પાઠક/વાચક) [ઈ.૧૭મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિની પરંપરામાં વાચક કલ્યાણલાભના શિષ્ય. એમની પાસેથી ૪ રાસાત્મક કૃતિઓ મળે છે : ‘શીલવતી-ચોપાઈ’ (૨.ઈ.૧૬૬૬), ૯૧૭ ગ્રંથાગ્રની ‘રાજર્ષિ-કૃતકર્મ-ચોપાઈ’ (૨.ઈ.૧૬૭૨), ૨૫ ઢાળ અને ૬૦૩ કડીનો ‘લીલાવતી-રાસ’ (૨.ઈ.૧૬૭૨) અને ૫ ખંડ, ૬૫ ઢાળ અને ૨૦૫૯ કડીની ‘ભોજચરિત્ર-ચોપાઈ/ભોજપ્રબંધ-ચોપાઈ’ (૨.ઈ.૧૬૭૩/સં. ૧૭૨૯, મહા વદ ૧૩). પૃથ્વીરાજકૃત ‘કૃષ્ણવેલી’ પરનો બાલાવબોધ (૨.ઈ.૧૬૪૦/સં.૧૬૯૬, આસો સુદ ૧૦, ગુરુવાર) તથા ‘રસિકપ્રિયા’ પરનું રાજસ્થાની ભાષાનું વાર્તિક (૨.ઈ.૧૬૬૮/સં. ૧૭૨૪, માગશર સુદ ૧૫) આ કવિની ૨ ગદ્યરચનાઓ છે. એમણે ૩૮ કડીની ‘ઉદ્યમકર્મસંવાદ-પ્રસ્તાવન’ (૨.ઈ.૧૬૪૩), ૫૫ કડીની ‘(સોવનગરિમંડન) પાર્શ્વનાથવૃદ્ધસ્તવન’ (૨.ઈ.૧૬૫૧), ‘ચોવીશી’ (૨.ઈ.૧૬૭૩) પોતાની ગુરુપરંપરા વર્ણવતી ૨ કડીની ‘સુગુરુ-વંશાવલી’ (મુ.) અને સ્તવનાદિ પ્રકારની અન્ય કેટલીક કૃતિઓ પણ રચેલી છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, સં. અગરચંદજી નાહટા;  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. મુપુગૂહસૂચી. [ક.શે.]

કુશલભુવન(ગણિ) [ઈ.૧૫૪૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. મૂળ સાથે ૨૫૭૫ ગ્રંથાગ્રના ‘સપ્તતિકાપ્રકરણ-બાલાવબોધ’ (૨.ઈ.૧૫૪૧)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ:૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]

કુશલમાણિક્ય [ઈ.૧૬૦૮ સુધીમાં] : જૈન સાધુ. ૨૭ કડીની ‘સંવર-સઝાય’ (લે.ઈ.૧૬૦૮)ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]

કુશલાભ : ગુરુપરંપરાના નિર્દેશ વિનાની કેટલીક કૃતિઓ, રૂઢ મતને સ્વીકારીને, કુશલલાભ-૧ને નામે મૂકવામાં આવી છે તે ઉપરાંત કુશલલાભને નામે ઈ.૧૫૮૮માં આચાર્ય જિનચંદ્રસૂરિની નિશ્રામાં નીકળેલ સંઘનું વર્ણન કરતી અને ૭૫ કડીએ અપૂર્ણ પ્રાપ્ત થતી ‘સંઘપતિસોમજીસંઘ-ચૈત્યપરિપાટી’; ૨૧ કડીની ‘દેશાવરીપાર્શ્વનાથ-છંદ’ (લે.ઈ.૧૮૧૩) અને ‘માયા-સઝાય’ એ કૃતિઓ પણ કુશલલાભ-૧ની હોવાની શક્યતા છે. પણ એ વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૫૨ - ‘સંઘપતિ સોમજી સંઘ ચૈત્યપરિપાટિકા ઐતિહાસિક-સાર’, ભંવરલાલજી નાહટા;  ૨. લીંહસૂચી.[ક.શે.]

કુશલલાભ(વાચક)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ઉપાધ્યાય અભયધર્મના શિષ્ય. કવિની રાસાત્મક કૃતિઓમાં મુખ્યત્વે દુહા-ચોપાઈબદ્ધ, ૬૬૨ કડીની ‘માધવાનલકામકંદલા-ચોપાઈ’ (૨.ઈ.૧૫૬૦/સં. ૧૬૧૬, ફાગણ સુદ ૧૩, રવિવાર; મુ.)માં માધવાનલકામકંદલાની જાણીતી પ્રેમકથા આલેખાયેલી છે. ગણપતિની આ વિશેની કૃતિને મુકાબલે અહીં શૃંગારનિરૂપણ આછું છે અને કવિની સજ્જતા સમસ્યાઓ અને ગૂઢોક્તિઓ તેમ જ સંસ્કૃત-પ્રાકૃત તથા ગુજરાતી સુભાષિતોના પ્રચુરતાથી થયેલા વિનિયોગમાં દેખાય છે. આશરે ૪૦૦ કડીની ‘મારુઢોલાની ચોપાઈ’  (૨.ઈ.૧૫૬૧/સં.૧૬૧૭, વૈશાખ સુદ ૩, ગુરુવાર; મુ.) દુહા રૂપે મળતી રાજસ્થાનની અત્યંત લોકપ્રિય અને અદ્ભુતરસિક પ્રેમકથાનું ચોપાઈ અને ‘વાત’ નામક ગદ્ય વડે થયેલું, અનેક આનુષંગિક વીગતો અને પ્રસંગોની ગૂંથણી કરતું વિસ્તરણ છે. ૮૯ કડીની ‘જિનરક્ષિતજિનપાલિત-સંધિ’ (૨.ઈ.૧૫૬૫/સં.૧૬૨૧, શ્રાવણ સુદ ૫), તપપૂજાનું માહાત્મ્ય દર્શાવતી ૪૧૫ કડીની ‘તેજસાર-ચોપાઈ’ (૨.ઈ.૧૫૬૬/૧૫૬૮), ૨૧૮ કડીની ‘અગડદત્ત-ચોપાઈ/રાસ’ (૨.ઈ.૧૫૬૯/સં.૧૬૨૫, કારતક સુદ ૧૫, ગુરુવાર), ‘ભીમસેનરાજ-હંસરાજ-ચોપાઈ’, ૮૧૨ કડીની ‘શીલવતી-ચતુષ્પદિકા’ અને ‘દુર્ગા-સપ્તશતી’ એ આ કવિની અન્ય કથાત્મક કૃતિઓ છે. આ સિવાય આ કવિને નામે યુગપ્રધાન જિનચંદ્રસૂરિના ઈ.૧૫૬૨ના ખંભાતના ચાતુર્માસને કેન્દ્રમાં રાખી, એમને ભવસાગરમાંથી તારનાર ‘વાહણ’ (=નૌકા) ગણાવી એમની પ્રશસ્તિ કરતું ૬૭ કડીનું વિવિધ ઢાળબદ્ધ ‘પૂજ્યવાહણ-ગીત’ (મુ.) ૬૧ કડીનું ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૬૫), ૧૯ કડીનું ‘(સ્તંભન) પાર્શ્વનાથ-સ્તવન’ (મુ.), દુહાબદ્ધ ૧૬/૧૯ કડીનો ‘નવકારમંત્રનો છંદ/રાસ’ (મુ.), ૧૭/૨૫ કડીનો ‘ગોડીપાર્શ્વનાથ-છંદ’ અને ‘ભવાની-છંદ’-એ કૃતિઓ નોંધાયેલ છે, પરંતુ એમાં કવિની ગુરુપરંપરાનો નિર્દેશ મળતો નથી. કુંવરરાજને નામે મળતા રામકથાના વિષયને લઈને વિવિધ છંદો ને અલંકારોની સમજૂતી તથા પર્યાયકોશને સમાવતા, પ્રસંગોપાત્ત ગદ્યનો ઉપયોગ કરતા ‘પિંગલશિરોમણિ’ (*મુ.)નું કર્તૃત્વ એના ગુરુ કુશલલાભનું હોવાનો તર્ક થયો છે પણ આ હકીકત હજી સંશોધન માગે છે. કૃતિ : ૧. માધવાનલકામકંદલાપ્રબંધ, સં. એમ. આર. મજમુદાર, ઈ.૧૯૪૨;  ૨. આકામહોદધિ:૭(+સં.); ૩. ઐજૈકાસંગ્રહ; ૪. પ્રાછંદસંગ્રહ. સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. ગુસાઇતિહાસ:૨; ૩. યુજિનચંદ્રસૂરિ; ૪. હિસ્ટરી ઑવ રાજસ્થાની લિટરેચર, હીરાલાલ મહેશ્વરી, ઈ.૧૯૮૦;  ૫. આલિસ્ટઑઇ:૨; ૬. જૈગુકવિઓ:૧, ૩(૧,૨); ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ:૧.[ક.શે.]

કુશલલાભ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિની પરંપરામાં કુશલધીરના શિષ્ય. ૩૫ ઢાળની ‘ધર્મબુદ્ધિપાપબુદ્ધિ-ચોપાઈ/રાસ’ (૨.ઈ.૧૬૯૨/સં.૧૭૪૮, પોષ વદ ૧૦), ૩૯ ઢાળની ‘વનરાજર્ષિ-ચોપાઈ’ (૨.ઈ.૧૬૯૪/સં. ૧૭૫૯, અસાડ સુદ ૧૫) અને ૫ ઢાળના ‘મલ્લિનાથનું સ્તવન’ (૨.ઈ.૧૭૦૦/સં. ૧૭૫૬, આસો સુદ ૧; મુ.)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). [ક.શે.]

કુશલવર્ધનશિષ્ય : જુઓ કુશલવર્ધનશિષ્ય નગર્ષિગણિ.

કુશલવિજય [               ]: જૈન સાધુ. ૫ કડીના ‘ધર્મજિન-સ્તવન’ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ક.શે.]

કુશલવિનય-૧ [ઈ.૧૭૦૩માં હયાત] : જૈન સાધુ. ‘નેમિરાજુલ-સલોકો’ (૨.ઈ.૧૭૦૩/સં.૧૭૫૯, ફાગણ સુદ ૩)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). [ક.શે.]

કુશલવિનય-૨ [ઈ.૧૭૫૬માં હયાત] : જૈન સાધુ. ‘ત્રૈલોક્યદીપક-કાવ્ય’ (૨.ઈ.૧૭૫૬/સં.૧૮૧૨, વૈશાખ સુદ ૩)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [ક.શે.]

કુશલસંયમ(પંડિત) [ઈ.૧૪૯૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં કુલવીર-કુલધીરના શિષ્ય. ૪ ખંડ અને આશરે ૬૮૦ કડીની ‘હરિબળ-ચોપાઈ/પ્રબંધ/રાસ’ (૨.ઈ.૧૪૯૯/સં. ૧૫૫૫, મહા સુદ ૫) અને આશરે ૧૨૪ કડીની ‘સંવેગદ્રુમમંજરી-ચતુષ્પદિકા’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧,૩(૧); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.] કુશલસાગર(વાચક) : આ નામે ૭ કડીનું ‘વીરજિન-સ્તવન’(મુ.) મળે છે. તેના કર્તા કયા કુશલસાગર છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : જૈકાપ્રકાશ:૧. [ક.શે.]

કુશલસાગર-૧ [ઈ.૧૫૮૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં રાજસાગરના શિષ્ય. ૬૨૪ કડીના ‘કુલધ્વજ-રાસ’(૨.ઈ.૧૫૮૮/સં.૧૬૪૪, આસો સુદ ૩૦, શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [ક.શે.]

કુશલસાગર-૨/કેશવદાસ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રશાખાના લાવણ્યરત્નના શિષ્ય. અપરનામ કેશવદાસ. એમની ‘વીરભાણઉદયભાણ-રાસ’ કુશલસાગર અને કેશવ બંને નામછાપ ધરાવે છે. સાધુસેવા અને દાનનું માહાત્મ્ય દર્શાવતા, ૬૫ ઢાળ અને ૧૫૦૦ કડીના દુહા-દેશીબદ્ધ ‘વીરભાણઉદયભાણ-ચોપાઈ/રાસ’ (૨.ઈ.૧૬૮૯/સં.૧૭૪૫, આસો સુદ ૧૦, સોમવાર)માં હંસરાજવચ્છરાજની કથા સાથે મળતાપણું ધરાવતી, અપરમાતાની ખટપટથી દેશપાર થયેલા કુમારોની અદ્ભુતરસિક કથા છે. ૫ ઢાળની ‘નેમિનાથ-ફાગ’ (૨.ઈ.૧૬૯૫) અને હિંદીમાં ‘કેશવદાસ/માતૃકા-બાવની’ (૨.ઈ.૧૬૮૦/સં.૧૭૩૬, શ્રાવણ સુદ ૫, શુક્રવાર) તથા ‘શીતકારકે સવૈયા’ કર્તાની અન્ય કૃતિઓ છે. સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. જૈગૂકવિઓ:૨(૩); ૩. મુપુગૂહસૂચી. [ક.શે.]

કુશલસિંહ [ઈ.૧૫૦૪માં હયાત] : જૈન. ૧૭૦ કડીની ‘નંદરાજ-ચોપાઈ’ (૨.ઈ.૧૫૦૪)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧.[શ્ર.ત્રિ.]

કુશલહર્ષ/કુશલહર્ષ(કવિ)/કુશલહર્ષ(ગણિ) : કુશલહર્ષને નામે ૨૪ કડીની ‘(નાગપુરમંડન)આદિનાથ-સ્તવન’, ૪૪ કડીની ‘કર્મવિપાક-કર્મગ્રંથવિચારગર્ભિત-આદિજિન-સ્તવન’, ૧૬ કડીની ‘તપગચ્છ-પટ્ટાવલી-સઝાય’, ૧૦૧ કડીની ‘શત્રુંજયતીર્થ-સ્તવન’ વગેરે કેટલીક કૃતિઓ, કવિ કુશલહર્ષને નામે અપભ્રંશપ્રધાન ગુજરાતી ભાષામાં ૫૦ કડીનું ‘શત્રુંજય-સ્તવન’ તથા કુશલહર્ષગણિને નામે ૯૭ કડીની ‘ચરિત્રમનોરથમાલા’ (૨.ઈ.૧૫૩૪) તથા ૧૭ કડીની ‘બારભાવના-સઝાય’ એ કૃતિઓ નોંધાયેલી છે, તે કુશલહર્ષ-૧ની હોવાની શક્યતા છે પણ એ વિશે કંઈ નિશ્ચિત કહી શકાય તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]

કુશલહર્ષ-૧ [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિની પરંપરામાં હર્ષસંયમના શિષ્ય. વિજયદાનસૂરિના આચાર્યકાળ(ઈ.૧૫૩૧-ઈ.૧૫૬૬)માં રચાયેલી જણાતી ૬૮ કડીની ‘(શત્રુંજયમંડન) ઋષભજિન-સ્તવન’, ૬૬ કડીની ‘નેમિનાથ-સ્તવન’, ૬૮ કડીની ‘(ફલવર્ધિમંડન) પાર્શ્વનાથ-સ્તવન’, મહાવીર-સ્તવન’ તથા ૩૯ કડીની ‘ષટ્ભાવગર્ભિત-નાગપુરમંડન-શાંતિજિન-સ્તવન’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]

કુશલહર્ષ-૨ [ઈ.૧૭૩૨માં હયાત] : જૈન સાધુ. રાજસ્થાની-મિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલી ‘ધર્મદત્તધનવન્તરી-ચોપાઈ’-(૨.ઈ.૧૭૩૨)ના કર્તા. સંદર્ભ : રાપુહસૂચી:૧. [શ્ર.ત્રિ.]

કુશાળદાસ [               ]: ‘ગોપી-ગીત’ના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [કી.જો.]

‘કુસુમશ્રી-રાસ’ [૨.ઈ.૧૭૨૧/સં.૧૭૭૭, કારતક સુદ ૧૩, શનિવાર] : નિત્યવિજયશિષ્ય ગંગવિજયની દુહા-દેશીબદ્ધ, ૫૪ ઢાળ અને ૧૨૫૬ કડીની આ કૃતિ(મુ.)માં રાજપુત્ર વીરસેન અને રાજકુંવરી કુસુમશ્રીની કથા કહેવાયેલી છે. કુસુમશ્રીની સૂચના અનુસાર વીરસેન એની સાથેના લગ્નપ્રસંગે પોતાના સસરા પાસેથી દૈવી અશ્વ, મનવાંછિત વસ્તુ આપતો પલંગ અને વિબુદ્ધ ચૂડામણિ સૂડો (પોપટ) માગી લે છે. પરંતુ પોતાને ગામ પાછા જતાં પલંગ અને અશ્વ ચોરાઈ જાય છે ને એમના વહાણને સમુદ્રનું તોફાન નડતાં નાયક-નાયિકા પણ છૂટાં પડી જાય છે. સંયોગવશાત્ વેશ્યાને પનારે પડેલી કુસુમશ્રી પોતાના પોપટની મદદથી એની પાસે આવતા જાર પુરુષોને ચતુરાઈથી સમાલી લઈ પોતાની શીલરક્ષા કરે છે. છેલ્લે વીરસેન સાથે કુસુમશ્રીનો મેળાપ થાય છે ત્યારે કુસુમશ્રીની કુળદેવીએ યોજેલા ચમત્કારપ્રસંગ દ્વારા વીરસેનને એની ચારિત્રશુદ્ધિની ખાતરી થાય છે. આ અદ્ભુતરસિક કથામાં ચારિત્ર્યરક્ષા અંગે ભયભીત થયેલી કુસુમશ્રીને હિંમત આપવા સૂડાએ કહેલું ધનવતીનું વૃત્તાંત પણ ૧૫ ઢાળ અને ૩૦૦ ઉપરાંત કડીઓમાં વિસ્તરેલું છે. લોલુપ પુરોહિત, દુર્ગપાલ, પ્રધાન અને રાજાને પોતાને ત્યાં નિમંત્રી ચતુરાઈપૂર્વક પેટીમાં પૂરી દઈને એમનો ફજેતો કરનાર ધનવતીનું આ વૃત્તાંત પણ રસપ્રદ છે. પ્રસંગોના વીગતપૂર્ણ આલેખનને કારણે પ્રસ્તારી બનેલી આ કૃતિમાં વિવિધ સુગેય દેશીબંધોનો ઉપયોગ ધ્યાન ખેંચે છે. [ર.સો.] કુંભર્ષિ [               ]: જૈન સાધુ. ‘ચોવીસ તીર્થકર-ગણધરસાધુ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]

કુંવર (ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ) : આખ્યાનકાર. જ્ઞાતિએ ખંભાતના મકર કુલના વડનગરા નાગર બ્રાહ્મણ. અકબરપુરના રહેવાસી. ગુરુ બાલકૃષ્ણ ભટ્ટ. કવિ પોતાને ‘રામજન’ કે ‘જન’ તરીકે પણ ઓળખાવે છે. ‘મહીસંગમ-કથા’ (૨.ઈ.૧૬૫૫), ૩૯ કડવાંનું સ્કંદપુરાણ-આધારિત ‘તારકાસુરનું આખ્યાન’ (૨.ઈ.૧૬૫૭/સં. ૧૭૧૬, શ્રાવણ વદ ૧૪, બુધવાર) તથા ૫૭ કડવાંનું વાલ્મીકિ-રામાયણ પર આધારિત ‘રામાયણ-ઉત્તરકાંડ’ (૨.ઈ.૧૬૬૦/સં. ૧૭૧૬, આસો વદ ૩, સોમવાર) તેમની કૃતિઓ છે. ‘રામાયણ-ઉત્તરકાંડ’ ઉદ્ધવકૃત ‘રામાયણ’માં ભાલણસુત વિષ્ણુદાસની કૃતિ તરીકે પ્રકાશિત થયું છે. કૃતિ : (ભાલણસુત ઉદ્ધવકૃત) રામાયણ, સં. હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા, નાથાશંકર પૂ. શાસ્ત્રી, ઈ.૧૮૯૩(+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨;  ૨. * ગુજરાતી, દીપોત્સવી અંક, ઈ.૧૯૩૨ - ‘રામાયણના ઉત્તરકાંડનો કર્તા કોણ ?’ રામલાલ ચુ. મોદી;  ૩. ગૂહાયાદી; ૪. ફૉહનામાવલિ:૨.[ચ.શે.]

કુંવરજી : આ નામે ‘પંચાશતજિન-સ્તવન’ અને ૧૨ કડીનું ‘શીલ-ઉપદેશ-પદ’ એ કૃતિઓ નોંધાયેલ છે પણ તે ક્યા કુંવરજી છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : લીંહસૂચી. [ર.સો.]

કુંવરજી-૧ [ઈ.૧૫૬૮માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપજીની પરંપરામાં જીવરાજના શિષ્ય. ૨૪૬ કડીની ‘સાધુવંદના’ (૨.ઈ.૧૫૬૮/સં.૧૬૨૪, શ્રાવણ સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [ર.સો.]

કુંવરજી-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હર્ષસાગરની પરંપરામાં રાજસાગરના શિષ્ય. ‘સનત્કુમાર-રાજર્ષિ-રાસ’ (૨.ઈ.૧૬૦૧/સં.૧૬૫૭, અસાડ સુદ ૫; સ્વલિખિતપ્રત, ઈ.૧૬૦૭) તથા વિજયસેનસૂરિના ઈ.૧૬૧૬માં થયેલા અવસાન પછી રચાયેલા અને ભૂલથી સમરચંદ્રગણિને નામે પણ નોંધાયેલા ૧૪૯/૧૭૬ કડીના ‘વિજયસેનસૂરિ-રાસ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ ૩(૧); ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.સો.]

કુંવરબાઈ' [સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવયિત્રી. કુંવરબાઈને નામે કેટલાંક છૂટક કીર્તનો નોંધાયેલા છે તે આ કવયિત્રીનાં હોવા સંભવ છે. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પુગુસાહિત્યકારો; ૩. પ્રાકકૃતિઓ.[જ.કો.]

‘કુંવરબાઈનું મામેરું’ : જુઓ ‘મામેરું’.

કુંવરવિજય-૧ [ઈ.૧૬મી સદીનો અંત-ઈ.૧૭મી સદીનો આરંભ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં નયવિજયના શિષ્ય. ઈ.૧૫૯૬માં થયેલા હીરવિજયસૂરિના અવસાન સુધીની ચરિત્રરેખા આપતા અને પછીના તરતના સમયમાં રચાયેલા જણાતા ૮૧/૮૩ કડીના ‘હીરવિજયસૂરિ-સલોકો’ (મુ.), ૧૩ કડીની ‘ચંદનબાળા-સઝાય’(મુ.), ૨૯ કડીના ‘ચોવીસજિન-નમસ્કાર’, ૧૧ કડીની ‘મનસ્થિરીકરણ-સઝાય’ અને ‘સપ્તસ્મરણ-સ્તબક’ના કર્તા. કૃતિ : ૧. જૈઐકાસંચય; ૨. સજ્ઝાયમાળા(પં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧,૩(૧); ૨. મુપુગૂહસૂચી. [ર.સો.]

કુંવરવિજય-૨ [ઈ.૧૬૫૮માં હયાત] : જૈન સાધુ. ‘રત્નાકરપંચ-વિંશતિ-બાલાવબોધ’ (૨.ઈ.૧૬૫૮)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.સો.]

કુંવરવિજય (ઉપાધ્યાય)-૩/‘અમીયકુંવર’ [ઈ.૧૮૨૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. જિનવિજયની પરંપરામાં અમીયવિજયના શિષ્ય. એમણે ‘અમીયકુંવર’ની કવિછાપથી રચનાઓ કરી છે. આ કવિએ દુહાબદ્ધ ‘અષ્ટપ્રકારી-પૂજા’, ૧૪ કડીની ‘ખામણાં-સઝાય’, ૮ કડીની ‘ગહૂંલી’, ૫ કડીનું ‘ચોવીસ તીર્થંકરનું ચૈત્યવંદન’, ૧૦ કડીનું ‘વીસ વિહરમાનનું ચૈત્યવંદન’ તથા ૬૬૬૧ ગ્રંથાગ્રની ‘અધ્યાત્મપ્રશ્નોત્તર’ (૨.ઈ.૧૮૨૬/સં.૧૮૮૨, મહા સુદ ૫, રવિવાર) નામની ગદ્યકૃતિ-એ મુદ્રિત તેમ જ ખરતરગચ્છીય દેવચંદ્રકૃત ‘અધ્યાત્મ-ગીતા’ પરનો ૮૩૭ કડીનો બાલાવબોધ (૨.ઈ.૧૮૨૬/સં.૧૮૮૨, અસાડ વદ ૨, ગુરુવાર) નામની કૃતિઓની રચના કરેલી છે. કૃતિ : ૧. અધ્યાત્મસાર પ્રશ્નોત્તર ગ્રંથ, પ્ર. ભીમસિંહ માણેક, -;  ૨. ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ:૧, પ્ર. ખીમજી ભી. માણેક, ઈ.૧૮૯૧; ૩. ચૈસ્તસંગ્રહ:૧થી ૩; ૪. જિભપ્રકાશ; ૫. વિવિધ પૂજાસંગ્રહ : ૧-૧૧, પ્ર. જસવંતલાલ ગિ. શાહ, સં. ૨૦૦૯. સંદર્ભ : ૧. જૈનયુગ, કારતક-માગશર ૧૯૮૩ - ‘મારી કેટલીક નોંધ’, મોહનલાલ દ. દેસાઈ;  ૨. જૈગૂકવિઓ:૩(૧,૨). [ર.સો.]

કુંવરવિજયશિષ્ય [               ]: જૈન સાધુ. ૧૧ કડીની ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ-છંદ’ (લે.સં. ૧૯મી સદી અનુ.; મુ.), ૧૯ કડીની ‘(શંખેશ્વર)પાર્શ્વનાથ-છંદ’ અને ૬૩ કડીની ‘બાવીસ-અભક્ષ્ય-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.) આ કૃતિઓ તેમની પાસેથી મળે છે. કૃતિ : ૧. જૈકાપ્રકાશ:૧; ૨. શંસ્તવનાવલી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

કૃપા : આ નામે ૧ બોધાત્મક છપ્પો (મુ.) મળે છે તેના કર્તા નિશ્ચિત કરી શકાય તેમ નથી. સંદર્ભ : શનિશ્ચરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, સં. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨ (ત્રીજી આ.). [શ્ર.ત્રિ.]

કૃપાવિજય [               ]: જૈન સાધુ. ધનવિજયના શિષ્ય. ‘ઉત્તરાધ્યયનસૂત્ર-સઝાય’ (૨૮ સઝાયે અપૂર્ણ; લે.સં.૧૮મી સદી અનુ.) અને ‘બાર વ્રત પર બાર સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૨); ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

કૃપાશંકર [               ]: પિતા નામ લાલજી. મહુધાના વતની. ‘રાસ’ એ કૃતિના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

કૃપાસાગર [ઈ.૧૭મી સદી પૂર્વાર્થ] : તપગચ્છના જૈન સાધુ. વિદ્યાસાગરના શિષ્ય. જહાંગીરના દરબારમાં જઈ જગજીપકની પદવી મેળવનાર નેમિસાગરનું ચરિત્ર વર્ણવતા, એમના દુહા-દેશીબદ્ધ ૧૦ ઢાળ અને ૧૩૫ કડીના ‘નેમિસાગર નિર્વાણ-રાસ’ (૨.ઈ.૧૬૧૬ કે ૨.ઈ.૧૬૧૮/સં.૧૬૭૨ તે સં. ૧૬૭૪, માગશર સુદ ૨; મુ.)માં ચરિત્રનાયકને મેઘનું ઉપનામ આપી રચવામાં આવેલું વિસ્તૃત સાંગ રૂપક ધ્યાન ખેંચે છે. કૃતિ : જૈઐરાસમાળા:૧ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧). [કી.જો.]

કૃષ્ણ/કૃષ્ણો  : આ નામે ૧૮ કીની ‘વિવેકવણઝારા-ગીત’ (લે.ઈ.૧૬૭૭), ‘એકાદશીમાહાત્મ્ય’ (લે.ઈ.૧૭૭૨), પદો અને ચાબખા એ કૃતિઓ નોંધાયેલી મળે છે જેમાં કેટલીક વાર ‘જનકૃષ્ણ’ એવી નામછાપ મળે છે. આ કૃતિઓના કર્તાની ઓળખ નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ પૂજાસુત. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [ચ.શે.]


કૃષ્ણ-૧ [ઈ.૧૬૫૮માં હયાત] : જાદવસુત. ‘રુકમાંગદનું આખ્યાન’ (૨.ઈ.૧૬૫૮)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨;  ૨. ગૂહાયાદી. [ચ.શે.]

‘કૃષ્ણક્રીડા’ [૨.ઈ.૧૫૩૬/સં. ૧૫૯૨, આસો સુદ ૧૨, ગુરુવાર] : રાદેસુત કેશવદાસ કાયસ્થનું ૪૦ સર્ગ ને આશરે ૭૦૦૦ પંક્તિઓ ધરાવતું આ કાવ્ય અંબાલાલ બુ. જાનીએ ‘શ્રીકૃષ્ણલીલાકાવ્ય’ના નામે પ્રસિદ્ધ કર્યું હતું. એમાં કર્તાનું નામ ‘કેશવરામ’ અપાયું છે, પરંતુ કાવ્યમાં તો સર્વત્ર ‘કેશવદાસ’ની જ છાપ છે, અને પ્રત્યેક સર્ગને અંતે આ કાવ્યનો ‘શ્રીકૃષ્ણક્રીડા’ના નામે જ નિર્દેશ છે. આ કાવ્યમાંની ‘તિથિ સંવત નિધિ દસકા દોય’ - એ પંક્તિને આધારે એનો રચનાસમય એક મતે સં.૧૫૨૯ (ઈ.૧૪૭૩) અને બીજા મતે સં.૧૫૯૨ (ઈ.૧૫૩૬) મનાયો છે. બીજા મતને પંચાંગની ગણતરી તથા કૃતિનાં આંતરપ્રમાણોનું સમર્થન છે. મુખ્યત્વે ભાગવતના દશમસ્કંધના આધારે રચાયેલા આ કાવ્યમાં ભગવતના અન્ય સ્કંધો ઉપરાંત હરિવંશ, કૃષ્ણકર્ણામૃત, શ્રીધરની ભાગવત-ટીકા આદિ સંસ્કૃત ગ્રંથોનો; સૂરદાસ, પરમાનંદદાસ આદિની કૃષ્ણવિષયક વ્રજકવિતાનો તથા ભાલણનો ‘દશમસ્કંધ’, ભીમની ‘હરિલીલાષોડશકળા’ (૨.ઈ.૧૪૫૮) આદિ ગુજરાતી કવિઓનો તેમ જ કૃષ્ણવિષયક લૌકિક પરંપરાના સાહિત્યનો લાભ લેવાયો છે. પુષ્ટિસંપ્રદાયની ભક્તિધારાનો પ્રભાવ આ કવિ પર હોવાનું અનુમાન થયું છે. આ કાવ્યમાં કવિએ ભાગવતમાહાત્મ્યથી આરંભી દશમસ્કંધ અનુસાર કૃષ્ણના લગભગ સમગ્ર ચરિત્રને આવરી લઈ, એનું સંક્ષેપે પણ રસાત્મકતાએ મહિમાગાન કર્યું છે. કૃષ્ણની વસંતલીલા, ઉદ્ધવગોપીસંવાદ, રુક્મિણીહરણ, ઉષા દ્વારા અનિરુદ્ધહરણ, સુદામાચરિત વગેરે સર્ગો સ્વતંત્ર એકમ તરીકેય રસાવહ જણાય છે. વસંતલીલાના સર્ગને તો પોતાનું અલગ મંગલાચરણ પણ છે. કવિએ કૃષ્ણકથાનું પૌરાણિક વાતાવરણ જાળવ્યું છે છતાં લગ્નાદિ પ્રસંગોના નિરૂપણમાં તત્કાલીન સામાજિક રિવાજોનો પ્રભાવ પડ્યો હોવાનું જણાય છે. કવિએ ઉત્કટ ઊર્મિના પ્રસંગો પદ-ઢાળમાં, તો વર્ણનાત્મક કથાપ્રસંગો ચોપાઈના પદબંધમાં ઢાળ્યા છે. ૧૪મા સર્ગમાં રાધાકૃષ્ણ વચ્ચેના સંવાદમાં નાટ્યાત્મક રીતિનું નિરૂપણ ધ્યાન ખેંચે એવું છે. કવિની પાત્રો-પ્રસંગોને સંક્ષેપે પણ ચિત્રાત્મક રીતે રજૂ કરવાની શક્તિ પ્રશસ્ય છે. આ કાવ્યમાં પ્રયોજાયેલા રાગઢાળો, પદબંધો ને વૃત્તોનું વૈવિધ્ય કવિની સંગીત તેમ જ પિંગળની જાણકારી બતાવે છે. મુખ્યત્વે તો પૂર્વછાયા ને ચોપાઈબંધ અહીં પ્રયોજાયો છે. તદુપરાંત ભુજંગપ્રયાત, હનુમંત, નારાચ, સોરઠા તથા હિંદી શૈલીના કવિત-છપાયા તેમ જ ત્રોટક, અડિયલ, મડયલ જેવા વૃત્તોબંધોયે પ્રયોજાયા છે. ખાસ કરીને ૧૩મા સર્ગમાં રાસલીલાવર્ણનમાં શાર્દૂલવિક્રીડિતના લયનો તેમ જ ૧૪મા ને ૧૬મા સર્ગમાં ‘કારિકા’ કે ‘કડવા’માં આવતી ૧ પંક્તિના ઉત્તરાર્ધને ૪ કે ૮ પંક્તિઓના ત્રોટકબંધમાં આરંભે દોહરાવીને એ રીતે સિદ્ધ કરેલી યમકસાંકળીવાળી પદ્યરચના ધ્યાનાર્હ છે. કવિની ચારણી છંદો પર પણ પ્રભુતા છે. આ કવિની સંસ્કૃતજ્ઞતાની, કાવ્યમાં ‘સંમતિ કારણે’ સોનામાં હીરા જડ્યા હોય એ રીતે ઉતારેલા ૯૬ સંસ્કૃત શ્લોકો, એમાંના કેટલાકના પોતે કરેલા રોચક પદ્યાનુવાદો, પંડે રચેલા ૧૬ સંસ્કૃત શ્લોકો તથા ‘સંસ્કૃતતા ગુર્જરી’ તરીકે ઓળખાવાયેલી પ્રાસાદિક કાવ્યશૈલી પરથી પ્રતીતિ થાય છે. એમનું વ્રજભાષાપ્રભુત્વ સૂરદાસને અનુસરી રજૂ કરેલા કૃષ્ણરાધાના શ્લેષાત્મક ચાતુરીયુક્ત સંવાદમાં તેમ જ કેટલાંક મધુર ભાવવાહી પદોમાં વરતાઈ આવે છે. એમની કાવ્યશૈલી યથાપ્રસંગ માધુર્ય, ઓજસાદિ ગુણો દાખવે છે. તેમનું ભાષાસામર્થ્ય ભાવોચિત પ્રાસાનુપ્રાસયોજનામાં જોઈ શકાય છે. આ કાવ્યમાંથી ઊપસતી કવિની ભક્ત તેમ જ કલાકાર તરીકેની મુદ્રા ઊંચી કોટિની છે. ગોપીજનવલ્લભ કે દશાવતારની સ્તુતિમાં જ નહીં, પ્રત્યેક સર્ગમાં વળીવળીને ભગવન્મહિમા દાખવી મનુષ્યાવતાર સાર્થક કરવાનો બોધ આપતી સુંદર ઉક્તિઓમાંયે એમનું ભક્તહૃદય દેખાય છે. ભાગવતના દશમસ્કંધનું આવું સારોદ્ધારરૂપ ને સાથે રસાત્મક એવું કેશવદાસનું આ કાવ્ય ગુજરાતી દશમસ્કંધની કાવ્યપરંપરામાં એક મહત્ત્વનું પ્રદાન બનવા સાથે તેમને એક સુકવિ તરીકે પ્રતિષ્ઠિત કરે છે. [ચ.શે.]

કૃષ્ણકુળ [ઈ.૧૮૩૦માં હયાત] : આનંદપુરના વાસી. ૩૫ કડીમાં કક્કા રૂપે દેવીસ્તુતિ રજૂ કરતી ‘બત્રીસ અક્ષરનો ગરબો’ (૨.ઈ.૧૮૩૦/સં. ૧૮૮૬, આસો સુદ ૮, શનિવાર; મુ.) એ કૃતિના કર્તા. સંદર્ભ : શ્રમદ્ ભગવતી કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. [ચ.શે.]

‘કૃષ્ણક્રીડિત’ : ૧૦૮ કડીનું કહાન(રાઉલ)નું આ કાવ્ય (૮ કડી મુ.) હસ્તપ્રતો તેમ જ ભાષાસ્વરૂપને આધારે ઈ.૧૫મી સદીનું હોવાનું અનુમાન થઈ શકે તેમ છે. કાવ્યમાં આઠેક કડીઓ સંસ્કૃતમાં છે અને ૯૬ કડી શાર્દૂલક્રીડિત છંદમાં છે. રાસક્રીડા તેમ જ અન્ય શૃંગારિક કાવ્યો માટે શાર્દૂલવિક્રીડિત યોજવાની પ્રણાલી મધ્યકાલીન ગુજરાતીમાં જોવા મળે છે, તેમ છતાં એમાં સામાન્ય રીતે દેશીબંધની વ્યાપકતા છે અને તેથી અક્ષરમેળ વૃત્તની આ રચના ખાસ ધ્યાન ખેંચે છે. કાવ્ય લગભગ સરખા ૩ વિભાગોમાં વહેંચાઈ જાય છે. પહેલા વિભાગમાં કૃષ્ણનો રાધા તેમ જ ચંદ્રાવલી સાથેનો શૃંગાર આલેખાયો છે, બીજા વિભાગમાં રાસલીલા અને વસ્ત્રહરણલીલાનું વર્ણન છે અને ત્રીજા વિભાગમાં કૃષ્ણની ભક્તિભાવસભર સ્તુતિ છે. આ પ્રસંગે યશોદાના પુત્રવાત્સલ્યનું પણ ટૂંકું નિરૂપણ કરવાની કવિએ તક લીધી છે એ હકીકત નોંધપાત્ર છે. કાવ્યનો શરૂઆતનો અધઝાઝેરો ભાગ શુદ્ધ પ્રેમકવિતા તરીકે લઈ શકાય તેમ છે, પણ સમગ્રપણે જોતાં આ પ્રેમભાવનું નિરૂપણ ભક્તિભાવના નિરૂપણનું જ અંગભૂત છે. કાવ્યની ૧૦૮ કડીસંખ્યા પણ જપમાળાનું સહેજે સ્મરણ કરાવે છે. કાવ્યમાંનું રાસક્રીડાનું વર્ણન રાસનૃત્યની ગતિશીલ, પ્રવાહી, સર્વાંગી છબી નિર્મિત કરતું હોવાથી વિશેષ આસ્વાદ્ય છે. કવિની ભાષા, છંદ અને ભાવ પરની પકડ તેને ગણનાપાત્ર મધ્યકાલીન કવિઓમાં, કૃષ્ણભક્તિના અગ્રણી ગાનારામાં સ્થાન અપાવે છે.[હ.ભા.]

‘કૃષ્ણચરિત્ર’ [૨.ઈ.૧૮૫૨/સં.૧૯૦૮, માધવ માસ સુદ ૧૩, રવિવાર] : ગરબડદાસના પુત્ર ગિરધરદાસકૃત ૨૧૨ અધ્યાય અને ૯૫૦૦ કડીની આ કૃતિ(મુ.)ને કવિએ ૯૫૦૦ ચોપાઈની કહી છે પરંતુ તેમાં ચોપાઈ ઉપરાંત દુહા, સોરઠા, ભુજંગી, હરિગીત અને અન્ય દેશીબંધોનો વિનિયોગ થયો છે. અધ્યાય તે, કેટલીક વાર મુખબંધ વિનાનાં, કડવાં જ છે. કૃતિ ગોકુળલીલા, મથુરાલીલા અને દ્વારિકાલીલા એમ ૩ ખંડમાં સમગ્ર કૃષ્ણચરિત્રનું નિરૂપણ કરે છે. એમાં ભાગવત, હરિવંશ, પદ્મપુરાણ, મહાભારત, ગર્ગસંહિતા તથા નારદપુરાણનો, ક્વચિત્ ફેરફાર સાથે, આધાર લેવામાં આવ્યો છે અને તેને કારણે ધ્યાન ખેંચે તેવું પ્રસંગોનું વૈવિધ્ય આવ્યું છે. કથાપ્રસંગોના આધ્યાત્મિક અર્થઘટનમાં વિશેષતા જણાય છે. કૃષ્ણ-જસોદા જેવાં કેટલાંક પાત્રોને આધ્યાત્મરૂપકમાં ઘટાવ્યાં છે ને કૃષ્ણ વલોણું તાણે છે તે પ્રસંગમાં સમુદ્રમંથનનો પ્રસંગ વણી લીધો છે. વર્ષા અને શરદવર્ણન જેવાં પ્રકૃતિવર્ણનોમાં પણ કવિએ આધ્યાત્મક્ષેત્રનાં ઉપમાનો યોજ્યાં છે. બીજી બાજુથી મધ્યકાલીન કાવ્યપરંપરામાં જોવા મળતું દૈવી પાત્રોનું માનવીકરણ તથા સામાજિક વહેમોનું નિરૂપણ પણ અહીં જોવા મળે છે. કૃતિમાં રાજસૂયયજ્ઞના પ્રસંગે પ્રગટ થતું કૃષ્ણનું વિનમ્ર વ્યક્તિત્વ હૃદયસ્પર્શી બને છે. તે ઉપરાંત કૃષ્ણનો સ્વાભાવિક બાલભાવ, વેરભાવે બ્રહ્મમય બનતા કંસનો અજંપો, કંસપ્રેર્યા કૃષ્ણને મળવા જતા ને મનોમંથન અનુભવતા અક્રૂરનો ભક્તિભાવ ને એવા બીજા ઘણા મનોભાવોનાં ચિત્રો પણ આસ્વાદ્ય છે. કમળ પર અક્રૂરને થતા કૃષ્ણદર્શનમાં અદ્ભુતરસ, કંસ પાછળ રાણીઓએ કરેલા વિલાપમાં કરુણરસ, દ્વારિકાલીલાના જુદાજુદા પ્રસંગમાં ભયાનક રસ એમન વિવિધ રસો નિરૂપવાની કવિએ તક લીધી છે તે નોંધપાત્ર છે. વ્યક્તિ, સ્થળ અને પ્રકૃતિનાં વર્ણનો કવિએ પ્રાસાદિકતાથી કર્યા છે. વર્ષાનું સૌમ્ય અને રૌદ્ર સ્વરૂપ એકસરખી નિષ્ઠાથી વર્ણવ્યું છે. જરાસંઘ-કૃષ્ણ-યુદ્ધવર્ણનમાં કવિએ શબ્દની નાદશક્તિ પાસેથી કામ લીધું છે. કૃતિ ઉપમાકોશ જેવી છે. ‘મથુરાલીલા’માં કૃષ્ણને અનાદિ વૃક્ષ તરીકે વર્ણવ્યા છે તે એક સુંદર પૂર્ણરૂપક છે તો દ્વારિકાલીલામાં કૃષ્ણ-સત્યભામા વચ્ચેના સંવાદમાં ‘વસંત’, ‘ચક્રધારી’, ‘ધરણીધર’ વગેરે શબ્દો ઉપરાના શ્લેષ ચમત્કૃતિભર્યા છે. [દે.જો.]

કૃષ્ણજી [ઈ.૧૮૫૦ સુધીમાં] : ભૂલથી અખાના સમકાલીન ગણાવાયેલા જ્ઞાનમાર્ગી કવિ. એમનાં પદે (લે.ઈ.૧૮૫૦) જે ૯૦ આસપાસ હોવાનું જણાયું છે તેમાંથી ચાલીસેક પદો મુદ્રિત મળે છે. આ પદોમાં ૨ સાત-વારની કૃતિઓ છે તે ઉપરાંત ગરબો, ધોળ, આરતી વગેરે પ્રકારો પણ જોવા મળે છે. બધાં પદો અધ્યાત્મજ્ઞાનનો વિષય કરીને ચાલે છે જેમાં કવિની દાર્શનિક ભૂમિકા નિર્ગુણવાદની જણાય છે. જો કે, કવિએ શૃંગારની પરિભાષાનો પણ ઉપયોગ કર્યો છે. કવિની વાણીમાં તાજગી છે અને કવચિત્ અલંકારોનો નોંધપાત્ર વિનિયોગ પણ છે. “હું ખરે, તું ખરો, હું વિના તું નહીં.”, “અનુભવીને એટલું આનંદમાં રહેવું રે” વગેરે કેટલાંક પદોની કાવ્યાત્મક અભિવ્યક્તિ વધારે ધ્યાન ખેંચે છે. ‘સંતોની વાણી’માં કૃષ્ણજીનાં પદો હરિકૃષ્ણને નામે મૂકવામાં આવ્યાં છે તે માટે કશો આધાર જણાતો નથી. જુઓ લાલદાસશિષ્ય હરિકૃષ્ણ. કૃતિ : ૧. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫ (સુધારેલી બીજી આ.); ૨. સંતોની વાણી, સં. ભગવાનજી મહારાજ, ઈ.૧૯૨૦; ૩. સાહિત્યકાર અખો, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૪૯ - ‘અખાના સમકાલીન અજ્ઞાત કૃષ્ણજીનાં પદો’, સં. મંજુલાલ મજમુદાર (+સં.). સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. ગુસાઇતિહાસ:૨;  ૩. ગૂહાયાદી.[ચ.શે.]

કૃષ્ણદાસ/કૃષ્ણોદાસ : કૃષ્ણદાસને નામે ઘણી કૃતિઓ નોંધાયેલી છે તે કયા કૃષ્ણદાસની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. તેમાંથી પૂર્વછાયા, ચોપાઈની ૧૨૦ કડીની ‘કર્મકથા/કર્મવિપાક’ (લે.ઈ.૧૭૮૧; મુ.)માં અર્જુન અને કૃષ્ણના સંવાદ રૂપે જુદીજુદી સ્થિતિઓના કારણરૂપ કર્મોનું વર્ણન થયેલું છે. દુહા, ચોપાઈ અને કવચિત્ છપ્પાનો વિનિયોગ કરતી ૨૦૫૬ કડીની ‘ગુલબંકાવલીની વાર્તા’ (લે.ઈ.૧૮૦૯; મુ.)માં બંકાવલીના બગીચાનું ફૂલ મેળવનાર રાજકુમારની મૂળ ફારસી પરાક્રમકથા કોઈક આડકથા સાથે રસાળ રીતે રજૂ થયેલી છે. ચોપાઈબંધની ૫૫ કડીની ‘હૂંડી’ (લે.ઈ.૧૬૫૭; મુ.), ૧૦૭ કડીનું ચોપાઈબંધનું ‘મામેરું/મોસાળું’ (લે.ઈ.૧૬૭૨;મુ.) અને સવૈયાની દેશીની ૫૩ કડીની ‘શ્રીકૃષ્ણની હમચી/રુક્મિણીવિવાહ’ (લે.ઈ.૧૬૭૨; મુ.) - આ ૩ કૃતિઓ આરંભની સ્તુતિમાં ‘દામોદર’ નામના ઉલ્લેખથી તેમ જ સમય, શૈલી વગેરેની દૃષ્ટિએ કોઈ એક જ કૃષ્ણદાસની હોય એમ લાગે છે. એમાંથી ‘હૂંડી’ અને ‘મામેરું’ પ્રેમાનંદ પૂર્વેની આ વિષયની રસપ્રદ કૃતિઓ તરીકે ધ્યાન ખેંચે છે. ‘હૂંડી’નું ‘પ્રબંધ’ નામક ૫ કડવાં અને ૨૦૦ પંક્તિઓમાં કોઈએ વિસ્તારેલું રૂપ (મુ.) પણ મળે છે. ‘અંબરીષ-આખ્યાન’ (લે.ઈ.૧૭૭૨ આસપાસ), ૩૭૮ કડીનું ‘સુધન્વા-આખ્યાન’ (લે.ઈ.૧૮૧૧), ૮૨ કડીનું ‘કાળીનાગનું આખ્યાન’ (મુ.), ૨૦૦ ગ્રંથાગ્રની ‘રાસક્રીડા’ (લે.ઈ.૧૭૫૮), ‘કૃષ્ણની રાવ/રાવલીલા’ (લે.ઈ.૧૮૨૩ લગભગ), ૨૭ કડીની ‘સીતાજીની કામળી’ (લે.ઈ.૧૮૩૬), ‘પાંડવી-ગીતા’ (૨.ઈ.૧૮૧૨), ચંદ્રાવળા રૂપે ‘રામાયણ’ એ પદો (કેટલાંક કૃષ્ણસ્તુતિનાં અને અન્ય મુ.) - એ કૃષ્ણદાસને નામે નોંધાયેલી અન્ય કૃતિઓ છે. આ સિવાય કૃષ્ણદાસને નામે ‘અર્જુન-ગીતા’ પણ નોંધાયેલ છે પરંતુ ત્યાં કર્તાનામ વિશે પ્રશ્નાર્થ મુકાયેલો છે. કૃષ્ણદાસને નામે નોંધાયેલી પણ ‘કૃષ્ણોદાસ’ એવી નામછાપ ધરાવતી ‘રુક્મિણીવિવાહ’ (લે.ઈ.૧૭૭૪)માં નામછાપવાળો ભાગ હિંદી ભાષામાં છે તેથી એના કર્તા ગુજરાતી કવિ હોવાની સંભાવના જણાતી નથી. કૃતિ : ૧. ગુલબંકાવલી, પ્ર. બાપુ હરશેઠ દેવલેકર તથા બાપુ સદાશિવ હેગષ્ટે, ઈ.૧૮૪૭;  ૨. નકાદોહન; ૩. નરસૈં મહેતાનું આખ્યાન, સં. હીરાલાલ ત્રિ. પારેખ, ઈ.૧૯૨૩ (+સં.); ૪. બૃકાદોહન : ૮;  ૫. બુદ્ધિપ્રકાશ, જાન્યુ. ફેબ્રુ. અને માર્ચ, ૧૯૨૨ - અનુક્રમે ‘હૂંડી’, ‘મામેરું’, ‘રુક્મિણીવિવાહ’. સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. કાશીસુત શેધજી એક અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૪; ૩. પાંગુહસ્તલેખો;  ૪. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭ - ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી,  ૫. ગૂહાયાદી; ૬. ફૉહનામાવલિ. [ચ.શે.]

કૃષ્ણદાસ-૧ [ઈ.૧૬મી સદી મધ્યભાગ સુધીમાં] : ‘આહ્નિક કર્મ’ (લે.ઈ.૧૫૪૯ના અરસામાં) નામની ગદ્યકૃતિના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.]

કૃષ્ણદાસ-૨ [સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. જ્ઞાતિએ ખડાયતા. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]

કૃષ્ણદાસ-૩ [સં.૧૯મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]

કૃષ્ણદાસ-૪ [               ]: જુઓ કૃષ્ણદાસી.

કૃષ્ણદાસી [               ]: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ‘કૃષ્ણદાસી’ એ નામછાપ પુષ્ટિમાર્ગીય પરંપરા અનુસાર વાપરનાર કવિ કૃષ્ણદાસ હોવા સંભવ છે. આ કવિના, પુષ્ટિમાર્ગીય આચાર્ય ગોકુલનાથ (જ.ઈ.૧૫૫૨-અવ.ઈ.૧૬૪૧)ના જન્મને લગતાં ૩૯ કડી અને ૧૩ કડીનાં ૨ ધોળ (મુ.) મળે છે તે પરથી કવિ ગોકુળનાથના સમકાલીન હોવાનું સમજાય છે. અને તો એમનો સમય ઈ.૧૬મી સદી મધ્યભાગ આસપાસનો ગણાય. કૃતિ : (શ્રી) ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬. [કી.જો.]

કૃષ્ણરામ-૧ [ઈ.૧૭૧૬માં હયાત] : નાના ભટ્ટના પુત્ર. જ્ઞાતિએ બ્રાહ્મણ. પુરાણી અને દીક્ષિત તરીકે પણ ઓળખાવાયા છે. વતન ઓરપાડ. ‘જૈમિની-અશ્વમેધ’ (૨.ઈ.૧૭૧૬/સં.૧૭૭૨, શ્રાવણ-, બુધવાર, *મુ.)ના કર્તા. કૃતિ : *જૈમિની અશ્વમેધ, પ્ર. જગજીવનદાસ દલપતરામ, સં.૧૯૪૦. સંદર્ભ : પ્રાકકૃતિઓ. [ચ.શે.]

કૃષ્ણરામ(મહારાજ)-૨ [જ.ઈ.૧૭૬૮-અવ.ઈ.૧૮૪૦/સં. ૧૮૯૬, ભાદરવા સુદ ૬] : પદકવિ. અમદાવાદના વતની. જ્ઞાતિએ ભટ્ટ મેવાડા બ્રાહ્મણ. પિતા ભક્તિરામ. બાળપણમાં પિતાનું અવસાન થતાં કટેલોક સમય મોસાળ ત્રાજમાં ગાળી, પછીથી અમદાવાદ આવી સંસ્કૃત વ્યકરણ, જ્યોતિષ વગેરેનો અભ્યાસ. યુવાનીમાં આજીવિકા માટે પૂના રહ્યા ત્યારે ત્યાંના ગુજરાતી બ્રાહ્મણ સમાજને બાજીરાવ પાસેથી મદદ અપાવી હતી. એ પછી દક્ષિણ ભારતની યાત્રામાં રામદાસશિષ્ય મુકુંદરાજ પાસે દીક્ષા લઈ, અમદાવાદ આવી કીર્તનભક્તિનો અને એ દ્વારા ધર્મમય જીવનનો પ્રચાર કર્યો. તેમને દયારામ સાથે કવિતાની આપલેનો વ્યવહાર પણ ચાલ્યો હતો. રામદાસી સંપ્રદાયના આ કવિભક્તની ધાર્મિક માન્યતામાં રામ-કૃષ્ણભક્તિ ઉપરાંત શક્તિપૂજા, શિવપૂજા અને નિર્ગુણ બ્રહ્મવાદનું મિશ્રણ થયું છે, તેમ જ અલ્લા વિશે કાવ્ય રચવાનો પણ એમને સંકોચ નથી, જે એમની ઉદાર ધર્મદૃષ્ટિ સૂચવે છે. કેટલાક સંદર્ભોમાં ભૂલથી ‘કૃષ્ણરામ’ નામથી નોંધાયેલા આ કવિ પાસેથી ગુજરાતી ઉપરાંત મુસલમાની એટલે કે હિંદી, મરાઠી અને સંસ્કૃતમાં પણ થોડીક રચનાઓ મળે છે. કીર્તનો તરીકે ઓળખાવાયેલાં ૬૦૦ ઉપરાંત પદોમાં વિસ્તરતા કવિના કાવ્યસંચય(મુ.)માં ગરબા, ગઝલ, કવિત, લાવણી, અભંગ વગેરે વિવિધ રચનાબંધો તથા આખ્યાન, સલોકો, તિથિ, કક્કો, સમસ્યા, આરતી, શણગાર, થાળી વગેરે અનેક કાવ્યપ્રકારો પણ જોવા મળે છે. એમાં લાંબી રચનાઓ-જેમાંની કેટલીક તો ૨૫૦ કડીઓ સુધી પણ પહોંચે છે - નોંધપાત્ર સંખ્યામાં છે. પત્ર, સંવાદ વગેરે પ્રકારની રચનારીતિઓનો પણ કવિએ ઉપયોગ કર્યો છે. કવિનાં કીર્તિનો માત્ર ભક્તિવિષયક જ નથી, એમાં ધાર્મિક આચારબોધ ઘણી વ્યાપક રીતે નિરૂપાયેલો છે. કવિની કૃતિઓ ઈ.૧૮૧૧થી ઈ.૧૮૧૮ સુધીનાં રચનાવર્ષો દર્શાવે છે પણ મોટા ભાગની કૃતિઓ ઈ.૧૮૧૭-૧૮૧૮ (સં.૧૮૭૩-૧૮૭૪)માં અને તેમાં પણ ખાસ કરીને ફાગણ માસમાં રચાયેલી છે તે ખાસ નોંધપાત્ર છે. દેશીબંધનાં ૧૬ કીર્તનો અને ૨૫૮ કડીનો ‘રુક્મિણીવિવાહ/રુક્મિણીસ્વયંવર-આખ્યાન’ (૨.ઈ.૧૮૧૨/સં. ૧૮૬૮, મહા વદ ૩૦, બુધવાર); ૯૩ કડીનો ‘રામાયણનો સાર’ (૨.ઈ.૧૮૧૮/સં.૧૮૭૪, ફાગણ સુદ ૯, સોમવાર); ‘દશાવતાર-ચરિત્ર’નાં ૧૦ કીર્તનો; કૃષ્ણચરિત્ર-વર્ણન સાથે આત્મનિંદાનિરૂપણ કરતો વાક્છટાયુક્ત ૧૦૫ કડીનો ‘સલોકો’ (૨.ઈ.૧૮૧૮/સં.૧૮૭૪, ફાગણ સુદ ૩, સોમવાર); પ્રશ્ન રૂપે ભગવાનના જુદાજુદા અવતારોનાં કાર્યોને વર્ણવતું ૧૫૯ કડીનું કીર્તન (૨.ઈ.૧૮૧૮/સં.૧૮૭૪, ફાગણ વદ ૭, શનિવાર); ૯૬ કડીનું ‘કાયાવર્ણન’ (૨.ઈ.૧૮૧૫/સં.૧૮૭૩, ફાગણ વદ ૧૧); “તૃતીયા અવસ્થા તનુને થઈ” એ રીતે તિથિક્રમાંકને સંદર્ભમાં વણી લેતી ‘તિથિઓ’નાં ૧૬ કીર્તનો (બન્નેની ૨.ઈ.૧૮૧૩/સં.૧૮૬૯, મહા વદ ૩, મંગળવાર); ૮૫ કડીનું ‘શિક્ષાવચન’ (૨.ઈ.૧૮૧૧/સં.૧૮૬૭, માગશર સુદ ૧૫); નર અને નારીના ધર્મો વર્ણવતાં અનુક્રમે ૧૧૦ અને ૭૨ કડીનાં કીર્તનો (બન્નેની ર. ઈ.૧૮૧૮/સં. ૧૮૭૪, ફાગણ સુદ ૭, શનિવાર); ૧૦૨ કડીનું ‘ષટ્સર્ગસ્વરૂપાલોચન’ (૨.ઈ.૧૮૧૭/સં.૧૮૭૩, ફાગણ સુદ ૧, સોમવાર) તથા કીર્તનોનો ‘દેવહુતીકપિલ-સંવાદ’ (૨.ઈ.૧૮૧૬) - એ કવિની કેટલીક નોંધપાત્ર કૃતિઓ છે. કવિએ ૩ કક્કા અને કળિકાળના ૪ ગરબા રચ્યા છે તે કવિએ કાવ્યસર્જન કેટલી વિપુલતાથી કર્યું છે તેનો નિર્દેશ કરે છે. કવિની રચનાઓમાં સંસ્કૃત ભાષાની પ્રૌઢિ અવારનવાર નજરે પડે છે, તે ઉપરાંત ચિત્રબંધના પ્રકારની અને પ્રાસવૈચિત્ર્ય ધરાવતી કોઈક કૃતિ પણ મળી આવે છે, પણ કવિની કલ્પનાશીલતાનો પરિચય ખાસ થતો નથી. કૃતિ : ૧. મહાકાવ્ય:૧ અને ૨, પ્ર. રામદાસી હરિવલ્લભનારાયણ મહારાજ, અનુક્રમે ઈ.૧૯૧૫ અને ઈ.૧૯૧૬(+સં.);  ૨. બૃકાદોહન:૧,૫. [ચ.શે.]

કૃષ્ણવિજય : આ નામે મળતી ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ’ (લે.ઈ.૧૯મી સદી અનુ.) અને ‘રાજુલ-બારમાસ’ એ જૈન કૃતિઓ કયા કૃષ્ણવિજયની છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [કી.જો.]

કૃષ્ણવિજય-૧ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૦૦થી ઈ.૧૬૫૭)ના શિષ્ય. ચોથા-પાંચમા ચરણની સાંકળી રચના ૧૯ કુંડળિયામાં કુલ્પાક તીર્થનું ચારણી છટામાં વર્ણન કરતા ‘(કુલ્પાકમંડન) શ્રીઋષભજિન-સ્તવન’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ - ‘કુલ્પાકમંડન શ્રી ઋષભજિન-સ્તવન’, સં. સારાભાઈ નવાબ. [કી.જો.]

કૃષ્ણવિજય-૨ [               ]: જૈન સાધુ. મોહનવિજયના શિષ્ય. ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ’ તથા ૪ કડીની ‘મહાવીર-સ્તુતિ’ (બંનેની લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

કૃષ્ણવિજયશિષ્ય [ઈ.૧૮૨૯માં હયાત] : જૈન સાધુ. જશવિજય-કાંતિવિજય-રૂપવિજયશિષ્ય કૃષ્ણવિજયના શિષ્ય. ૫૬ કડીના ‘મૃગસુંદરીમાહાત્મ્યગર્ભિત-છંદ’ (૨.ઈ.૧૮૨૯/સં.૧૮૮૫, ફાગણ સુદ ૩)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [કી.જો.]

કૃષ્ણાનંદ [ઈ.૧૯મી સદી] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. પૂર્વાશ્રમનું નામ આદિત/આદિતરામ. પિતા પરમાનંદ. અવટંકે વ્યાસ. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. જન્મ રાણપુર(સૌરાષ્ટ્ર)માં. એમના ‘હરિચરિત્રામૃત’ (૨.ઈ.૧૮૫૧/સં. ૧૯૦૭, ચૈત્ર સુદ ૯; મુ.)માંના ઉલ્લેખ ઉપરથી કવિ ઈ.૧૮૨૮ પહેલાં દીક્ષિત થયા હોવાનું નિશ્ચિત થાય છે. મુખ્યત્વે પૂર્વછાયા અને ચોપાઈમાં રચાયેલી ૮૮ અધ્યાયની આ કૃતિમાં બ્રહ્માનંદ સ્વામી અને ધમડકાના દરબાર રામસિંહજી વચ્ચેના સંવાદો રૂપે સહજાનંદસ્વામીની જીવનલીલા આલેખાયેલી છે. સહજાનંદવર્ણન અને સહજાનંદભક્તિને વિષય બનાવીને રચાયેલાં, અચિંત્યાનંદને નામે મુદ્રિત પણ ‘કૃષ્ણાનંદ’ની નામછાપવાળાં ૩૧૭ જેટલાં પદો મળે છે. સંપ્રદાયમાં કૃષ્ણાનંદ નામધારી ત્રણ સાધુઓ નોંધાયેલા છે. પરંતુ ઉપર્યુક્ત કૃષ્ણાનંદે સહજાનંદસ્વામી સમક્ષ પદો ગાયાના ઉલ્લેખો ‘હરિચરિત્રામૃત’માં મળે છે. એથી આ પદો એમની રચનાઓ હોવાનો સંભવ વિશેષ જણાય છે. અચિંત્યાનંદ કૃષ્ણાનંદનું અપરનામ હોવાનો એક મત છે, તો વડતાલમાં કૃષ્ણાનંદની સાથે રહેતા અચિંત્યાનંદને જૂનાગઢમાં રહેવા જવાનું થયું ત્યારે મિત્રવિયોગની સ્થિતિમાં, મિત્રઋણ ચૂકવવા માટે તેમ જ પદબંધમાં પોતાનું લાંબું નામ બંધ નહીં બેસતાં અચિંત્યાનંદે કૃષ્ણાનંદને નામે કીર્તનો રચ્યાં હોવાનો બીજો મત છે. આ બંને મતો માટે કશો આધાર જણાતો નથી. કૃષ્ણાનંદનાં પદોમાં સામાન્ય રીતે હિંદીની છાંટ છે અને ઘણાં પદો હિંદી-રાજસ્થાનીમાં છે. કૃતિ : ૧. કીરતનાવળી, પ્ર. દામોદર ગો. ઠક્કર, ઈ.૧૮૮૨; ૨. (શ્રી) હરિચરિત્રામૃત, પ્ર. પુરાણી હરિસ્વરૂપદાસજી, ઈ.૧૯૭૯ (+સં.).[હ.ત્રિ.]

કૃષ્ણાબાઈ [               ]: વડનગરનાં વતની. જ્ઞાતિએ નાગર. આ કવયિત્રીનું ૯૩ કડીનું દેશીબંધમાં રચાયેલું ‘સીતાજીની કાંચળી’(મુ.) કાવ્ય સુવર્ણમૃગને મારી લાવવા વિશેના સીતાના રામ તથા લક્ષ્મણ સાથેના વિવાદ-સંવાદને અને તદનુષંગે સીતાના સ્ત્રીહઠપ્રેરિત માનસને રસાત્મક રીતે રજૂ કરે છે. વળી એ કૃતિમાં આ પૂર્વે ‘સીતાવિવાહ’ અને ‘રુક્મિણીહરણ’ રચાયાનો નિર્દેશ પણ તેમણે કર્યો છે. રુક્મિણીને પરણવા જતાં શ્રીકૃષ્ણનું વર્ણન કરતું પદ ‘શ્રીકૃષ્ણની ઘોડી’ મુદ્રિત મળે છે તે જ ‘રુક્મિણીહરણ’ તરીકે ઓળખાવાયેલ હોય અથવા તો ‘રુક્મિણીહરણ’નો ભાગ હોય એમ બને. એમણે કૃષ્ણવિષયક હાલરડાં(મુ.) તથા અન્ય પદો પણ રચ્યાં છે. કૃતિ : ૧. નકાદોહન; ૨. બૃકાદોહન:૧,૫. સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.]

કૃષ્ણોદાસ : જુઓ કૃષ્ણદાસ.

કૃષ્ણોદાસ-૧ [ઈ.૧૬૧૭માં હયાત] : આખ્યાનકાર, શિવદાસના પુત્ર. લૂણુના ખડાયતા. ૧૩ કડવાંના ‘સુદામા-ચરિત’ (૨.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, ભાદરવા સુદ ૯, શનિવાર)ના કર્તા. બધા સંદર્ભો કર્તાનામ ‘કૃષ્ણદાસ’ જણાવે છે પણ કાવ્યમાં કવિનામછાપ ‘કૃષ્ણોદાસ’ છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨;  ૨. કદહસૂચિ; ૩. ગૂહાયાદી. [ચ.શે.]

કેલૈયો [               ]: કેટલાંક પદોના કર્તા, જેમાંનું ૭ કડીનું ૧ પદ મુદ્રિત મળે છે. કૃતિ : પ્રાકાસુધા:૨. સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

કેવળપુરી [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. જન્મ ઉદેપુરમાં, કોઈ રાજવંશી ભાયાતને ત્યાં. એમનાં જન્મ ને અવસાનનાં વર્ષો ચોક્કસપણે નક્કી થતાં નથી પણ તેમનો જીવનકાળ આશરે ઈ.૧૭૫૯-ઈ.૧૮૪૯નો ગણવામાં આવે છે. આ કવિ ૨૫ની વયે ઇડરના ખોખાનાથના અખાડામાં કોઈ સેજપુરી/સેજાપુરીને ગુરુ કરી ગોસાંઈ થયેલા. ૪૦ની વયે ઉમરેઠમાં નિવાસ કરેલો ને આશરે ૯૦ વર્ષની વયે, ત્યાંના મૂળેશ્વર મહાદેવની જગામાં સમાધિ લીધી. આ કવિ અખાની શિષ્યપરંપરામાં ગણાવાયેલા હરિકૃષ્ણજીના શિષ્ય હોવાનું પણ નોંધાયું છે. એમણે અનેક સાધુ-સંન્યાસીઓના સંપર્કે વેદાન્ત અને યોગશાસ્ત્રની સારી જાણકારી મેળવેલી. સંગીતની ઉપાસના પણ કરેલી. વિશેષપણે વેદાન્તના તત્ત્વજ્ઞાનને તથા યોગમાર્ગને તેમ જ શક્તિપૂજાને વિષય કરતી આ કવિની મુદ્રિત સમગ્ર કવિતામાં આ મુજબની કૃતિઓ નોંધપાત્ર છે : ગુરુશિષ્યસંવાદના રૂપમાં યોજાયેલી તથા આત્મજ્ઞાનને લગતા સિદ્ધાંતોને દૃષ્ટાન્તોની મદદથી વિશદતાથી નિરૂપતી ૪ ખંડ ને ૩૯૧ કડીની ‘તત્ત્વસાર’; આત્માનુભવની મસ્તી દર્શાવતાં, કટાક્ષ અને અવળવાણીયુક્ત જ્ઞાનનાં પદો; વિષયવરાગ્યને સચોટતાપૂર્વક નિર્દેશતું ને આત્મનુભવનો મહિમા કરતું, ભાષાની ઝમક ને જુસ્સાવાળું, ૩૪ કુંડળિયામાં રચાયેલું ‘બત્રીસ અક્ષરનું અંગ’ તથા બ્રહ્મના સ્વરૂપનું વર્ણન કરતી નાની કૃતિઓ ‘બ્રહ્મધાતુ’ અને ‘બ્રહ્મવિચાર’. આ ઉપરાંત ૮૯ કડીની ‘ગુરુમહિમા’, ૧૯૪ કડીની ‘ધ્યાનતત્ત્વમુદ્રાસાર’ આદિ દીર્ઘ કૃતિઓ, ૬ કડીથી ૬૦ કડી સુધીના વ્યાપવાળાં, ‘નિંદકકો અંગ’, ‘કૃષ્ણલીલાકો અંગ’, ‘વિપ્રકો અંગ’, ‘જોગીનું અંગ’ જેવાં, વિવિધ વિષયો પરનાં કેટલાંક ‘અંગ’, ૮૦ કડીની ‘કક્કા-બત્રીસીની બારાક્ષરી’ આદિ ૩૦૪ પ્રકારના ‘કક્કા’, ‘વાર’, ‘તિથિ’, ‘બારમાસી’ અને ‘બારરાશિ’ તથા આરતી, કીર્તિન, ગરબા, ગરબી, થાળ, રવેણી વગેરે પ્રકારની રચનાઓ એમની મળે છે. કેવળપુરીની કવિતા, આમ, સામાન્ય વ્યવહારથી માંડીને બ્રહ્મજ્ઞાન સુધીના વિષયોનું તથા ઘણાં કાવ્યસ્વરૂપોનું વૈવિધ્ય દેખાડે છે. કુંડળિયા, ઝૂલણા, દોબોરા, પ્લવંગમ, સવૈયા, સોરઠા આદિ પ્રચલિત તેમ જ ચંદ્રાયણા, ચોબોલા, દુમિલા, મોતીદામ આદિ અલ્પપરિચિત કાવ્યબંધો-છંદો તથા દેશી ઢાળોને કવિએ પ્રયોજ્યા છે એ પણ નોંધપાત્ર છે. કિશોરવયમાં ચારણોના સંપર્કને લીધે અને કવિએ વિવિધ પ્રદેશોમાં યાત્રા કરી હોવાને લીધે એમની કવિતામાં ચારણી શૈલીનાં ઘણાં લક્ષણો અને ચારણી, મારવાડી, હિંદી વગેરેના શબ્દોની બહુલતા જોવા મળે છે. કેટલીક વાર એક જ પંક્તિમાં ૩-૪ આંતરપ્રાસ ગૂંથાયા હોય એવી રચનારીતિ પણ કવિએ અજમાવી છે. વિષયનિરૂપણ ને રચનાબંધનું આવું વૈવિધ્ય કેવળપુરીની કવિતાને વિલક્ષણ તેમ જ વિશિષ્ટ ઠેરવે છે. કૃતિ : કેવળપુરીકૃત કવિતા, પ્ર. હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા, ઈ.૧૯૨૧(+સં.). સંદર્ભ : ૧. અસંપરંપરા;  ૨. સ્વાધ્યાય, મે ૧૯૭૬ - ‘કેવળપુરીનું કેવળજ્ઞાન’, કેશુભાઈ જી. પટેલ;  ૩. ગૂહાયાદી. [ર.સો.]

કેવળરામ [સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. એમણે રચેલાં પદોમાંથી કૃષ્ણભક્તિનાં ૩ ગુજરાતી અને ૧ હિંદી પદ(મુ.) મળે છે. કૃતિ : ૧. પુગુસાહિત્યકારો - ૨ પદ; ૨. પ્રાકાસુધા:૨; ૩. બૃકાદોહન : ૮. સંદર્ભ : ગૂહાયાદી. [નિ.વો.]

કેવલવિજય [               ]: જૈન સાધુ. ૫ કડીની ‘શય્યા-સઝાય’ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]

કેશરાજ [ઈ.૧૬૨૭માં હયાત] : વિજયગચ્છના જૈન સાધુ. વિજયઋષિની પરંપરામાં ગુણસાગરના શિષ્ય. એમનો ૪ અધિકાર અને ૬૨ ઢાળનો દુહા-દેશીબદ્ધ ‘રામયશોરસાયણ-રાસ’ (૨.ઈ.૧૬૨૭/સં.૧૬૮૩, આસો સુદ૧૩; મુ.) જૈન પરંપરા મુજબની રામકથા વર્ણવે છે, જેમાં અનેક સ્થાને પૂર્વજ-કથા પણ ગૂંથવામાં આવી છે. વીગતપ્રચુર કથાકથન કરતી આ કૃતિ હિંદી-રાજસ્થાની ભાષાનું નોંધપાત્ર મિશ્રણ ધરાવે છે ને ગેયતાને પોષતા દેશીઓ તથા ધ્રુવાઓના વૈવિધ્યથી, સાંકળીરચના જેવા ચાતુર્યથી, ઝડઝમકભર્યા છંદોના વિનિયોગથી તથા ઉદ્ધૃત તેમ સ્વતંત્ર સુભાષિત-વાણીથી ધ્યાનાર્હ બને છે. કૃતિ : ૧. રામરસનામાગ્રંથ, પ્ર. જગદીશ્વર છાપખાના, ઈ.૧૮૭૨; ૨. રામ-રાસ, સં. મોતીલાલ મ. શાહ, ઈ.૧૯૧૦ (+સં.);  ૩. આકામહોદધિ:૨ (+સં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧,૩(૧); ૨. જૈહાપ્રોસ્ટા. [ક.શે.]

કેશવ : આ નામે ‘આત્મિક-સઝાય’ (મુ.), ‘ગજસુકુમાલ-છઢાળિયું’ (લે.સં.૧૮મી સદી અનુ.), ૪૯ કડીની ‘રાત્રિભોજન-સઝાય’ તથા ગણિ કેશવને નામે ‘ચોવીસજિન-સ્વવન’ એ જૈન કૃતિઓ મળે છે પણ તે કયા કેશવની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ઉપરાંત આ નામે કેટલીક જૈનેતર કૃતિઓ પણ મળે છે, જેમાં દ્રૌપદીના સતથી મહોરેલા આંબાને કારણે પાંડવો દુર્વાસાના શાપથી બચે છે તે પ્રસંગનું નિરૂપણ કરતી, ૧૫ કડીની લોકગીતની શૈલીની ‘પાંડવોનો આંબો’ (મુ.), ૧૯ કડીનો ‘રેવાપુરી માતાનો ગરબો’, કૃષ્ણભક્તિનાં ૨ પદો તથા હિંડોળાના પદનો સમાવેશ થાય છે. આ બધી કૃતિઓના કર્તા કયા કેશવ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃષ્ણભક્તિનાં તથા હિંડોળાનાં પદોના કર્તા કદાચ કેશવ-૩ હોય. કૃતિ : ૧. કાદોહન:૧; ૨. જૈસસંગ્રહ(ન.); ૩. સંતસમાજ ભજનાવળી:૨, પ્ર. નાનાલાલ ધ. શાહ,-. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી; ૪. ફાહનામાવલિ:૧; ૫. ફૉહનામાવલિ; ૬. રાહગ્રંસૂચી:૧; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.;ચ.શે.]

કેશવ(મુનિ)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૪૪-ઈ.૧૫૯૬)ના શિષ્ય. સુરતમાં ધર્મસાગરે કરેલા અંચલમતખંડનને અનુલક્ષતી ૪૩ કડીની ‘તિથિચર્ચાની હમચી’ના કર્તા. જુઓ કેશવદાસ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.સો.]

કેશવ(મુનિ)-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જુઓ દયારત્નશિષ્ય કીર્તિવર્ધન.

કેશવ-૩ [સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. એમનો ઉલ્લેખ ‘જનકેશવ’ એવા નામથી થયો છે. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [શ્ર.ત્રિ.]

કેશવજી-૧ [અવ.ઈ.૧૬૩૦] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપજીની પરંપરામાં શ્રીમલ્લજી-ઋષિના શિષ્ય રત્નસિંહ/રતનાગરજીના શિષ્ય. વતન મારવાડનું ધુનાડા/દુણાડા. ગોત્ર ઓસવાલ. પિતા વિજા અને માતા જયવંતી. આચાર્યપદ ઈ.૧૬૩૦ એ પછી થોડા માસમાં અવસાન. શ્રીમલ્લજીના રાજ્યકાળ (ઈ.૧૫૭૩-ઈ.૧૬૧૦)માં રચાયેલા ૨૪ કડીના ‘લોંકાશાહનો સલોકો’ (*મુ.)ના કર્તા. કૃતિ : *મુંબઈ સમાચાર, તા. ૧૮-૭-૧૯૩૬ - ‘શ્રીમાન લોંકાશાહ’. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.સો.]

કેશવજી(ઋષિ)-૨‘શ્રીધર’/‘શ્રીપતિ’ [જ.ઈ.૧૬૧૯ - અવ.ઈ.૧૬૬૪/સં.૧૭૨૦, જેઠ/અસાડ વદ ૯] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપજીની પરંપરામાં રૂપસિંહજીના શિષ્ય. વતન છપઈ/છાપિયા. ગોત્ર ઓસવાલ ઊસભ. પિતા નેતસી. માતા નવરંગદે. ઈ.૧૬૩૩માં દીક્ષા. ઈ.૧૬૪૧/૧૬૪૨માં આચાર્યપદ. અવસાન કોલદેમાં. ‘આનંદશ્રાવક-ચરિત્ર’ (૨.ઈ.૧૬૪૦) અને ૧૩ ઢાલની ‘સાધુવંદના’ના કર્તા. કવિ પોતાને માટે ‘શ્રીધર’, ‘શ્રીપતિ’ એવાં નામો યોજે છે તે નોંધપાત્ર છે. લોંકાગચ્છના કોઈ જૈન સાધુ કેશવજીઋષિનો ‘દશાશ્રુત-સ્કંધ’ પરનો ૨૫૦૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ (૨.ઈ.૧૬૫૩) મળે છે એ કૃતિ પણ સમયદૃષ્ટિએ આ જ કવિની હોવા સંભવ છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ :૩(૨)- ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૨. જૈગૂકવિઓ:૩(૨). [ર.સો.]

કેશવજી-૩ [ઈ.૧૭૭૬માં હયાત] : નાનાસુત. અવટંકે પંડ્યા. સુરતના બ્રાહ્મણ, ‘પુરુષોત્તમમાસમાહાત્મ્ય’ (૨.ઈ.૧૭૭૬)ના કર્તા. આ કવિ ભૂલથી કેશવરામના નામથી પણ ઉલ્લેખાયા છે. સંદર્ભ : ૧. કદહસૂચિ; ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. [ચ.શે.]

કેશવદાસ/કેસોદાસ : આ નામોથી કેટલીક જૈન કૃતિઓ મળે છે, જેમ કે, કેસોદાસને નામે ‘સાધુવંદના’ નોંધાયેલી છે. આ કવિ કેશવદાસ-૩ હોવાનું નિશ્ચિતપણે કહેવા માટે કોઈ આધાર નથી. કેશવદાસને નામે ૩૮ કડીની ‘આંચલિકખંડન-ભાસ/હમચી-ભાસ’ (લે.સં.૧૮મી સદી અનુ.) નોંધાયેલ છે તે કેશવમુનિ-૧ને નામે નોંધાયેલ ‘તિથિચર્ચાની હમચી’ હોવા સંભવ છે. આ ઉપરાંત, કેશવદાસ નામે ‘બારમાસી’ (અપૂર્ણ) તથા પદ (કેટલાંક મુ.) એ જૈનેતર કૃતિઓ મળે છે તે કયા કેશવદાસ છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : બૃકાદોહન:૭,૮. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જેસલમેરકે જૈન જ્ઞાનિભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧.[ર.સો.; ચ.શે.]

કેશવદાસ-૧ [ઈ.૧૫૩૬માં હયાત] : રાદે (હૃદયરામ ? રાજદેવ ?)ના પુત્ર. અવટંકે મહેતા. પ્રભાસપાટણના વતની. જ્ઞાતિએ વાલમ (વાલ્મિક) કાયસ્થ. અંબાલાલ જાનીએ ‘શ્રીકૃષ્ણલીલાકાવ્ય’ એ શીર્ષકથી ‘કેશવરામ’ને નામે પ્રસિદ્ધ કરેલા એમના કાવ્યની અંદર સર્વત્ર કૃતિનામ ‘શ્રીકૃષ્ણક્રીડા’ અને કર્તાનામ ‘કેશવદાસ’ મળે છે. આ કૃતિની રચનાસંવતદર્શક પંક્તિનાં ૨ અર્થઘટન થઈ શકે છે. તેમાંથી સં.૧૫૨૯ કરતાં સં.૧૫૯૨ (આસો સુદ ૧૨ ગુરુવાર/ઈ.૧૫૩૬)નું અર્થઘટન વધુ આધારભૂત ગણાયું છે. ૪૦ સર્ગ અને આશરે ૭૦૦૦ પંક્તિની મુખ્યત્વે દશમસ્કંધ પર આધારિત ‘કૃષ્ણક્રીડા’ કૃષ્ણચરિત્રવિષયક સમગ્ર સાહિત્યિક પૂર્વપરંપરાનો લાભ લે છે ને રસાત્મકતાથી કૃષ્ણનું લીલાગાન કરે છે. વસંતલીલા જેવા સ્વતંત્ર રીતે આસ્વાદ્ય બનતા ખંડો ધરાવતી આ કૃતિમાં ભાવનિરૂપણ તથા પાત્ર-પ્રસંગચિત્રણની પ્રશસ્ય શક્તિ કવિ બતાવે છે. મુખ્યત્વે પૂર્વછાયા અને ચોપાઈબંધ અહીં પ્રયોજાયો છે પણ તે ઉપરાંત અપભ્રંશ, વ્રજ અને ચારણી પરંપરાના પણ ઘણા છંદોનો વિનિયોગ તથા પદ્યરચનાની ચાતુરી પણ ધયાન ખેંચે છે. ઉદ્ધૃત તેમ જ સ્વરચિત સંસ્કૃત શ્લોકોનો આશ્રય અને વ્રજભાષાની પદરચના કવિની તે ભાષાઓની અભિજ્ઞતા પ્રગટ કરે છે. આ રીતે દશમસ્કંધ પર આધારિત ગુજરાતી કાવ્યોમાં આ કૃતિ મહત્ત્વની ઠરે છે. કવિએ આ ઉપરાંત કેટલાંક પદો રચ્યાંની સંભાવના થઈ છે પણ એને માટે કોઈ પ્રમાણ નથી. કૃતિ : શ્રીકૃષ્ણલીલાકાવ્ય, સં. અંબાલાલ બુ. જાની, ઈ.૧૯૩૩ (+સં.). સંદર્ભ : ૧. કવિચરતિ : ૧-૨; ૨. ગુસાઇતિહાસ:૨; ૩. ગુસામધ્ય; ૪. ભીમ અને કેશવદાસ કાયસ્થ, કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૮૧; પ.સ્વ. રામલાલ ચૂનીલાલ મોદી લેખસંગ્રહ:૨, રામલાલ ચૂ. મોદી, ઈ.૧૯૬૫ - ‘કવિ કેશવદાસનો સમય.’ [ચ.શે.]

કેશવદાસ-૨ [ઈ.૧૬૨૭માં હયાત] : જૈમિનીના અશ્વમેધપર્વની કથા પર આધારિત, ૧૫ કડવાંનું ‘બકદાલ્ભ્યાખ્યાન’ (ર.ઈ.૧૬૨૭/સં. ૧૬૮૩, આસો વદ ૩, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ: ૧. કવિચરિત: ૧-૨; ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ: ૨. [ચ.શે.]

કેશવદાસ-૩/કેસોદાસ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : વિજયગચ્છના પદ્મસાગરના શિષ્ય. પદ્મસાગરના અવસાન (ઈ.૧૬૦૬) પછીના અરસામાં રચાયેલા, કેસોદાસની નામછાપ ધરાવતા, હિંદીની અસરવાળા ૧૯ કડીના ‘પદ્મસાગર-ફાગ’ના કર્તા. સંદર્ભ: બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૯૮૦ - ‘કેશવદાસરચિત ‘પદ્મસાગર-ફાગ’ ’, રમણલાલ ચી. શાહ.[ર.સો.]

કેશવદાસ-૪ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુળનાથના ઈ.૧૬૨૧માં ગોકુળમાં થયેલા આગમન સુધીની સાંપ્રદાયિક દૃષ્ટિએ ઉપયોગી એવી ઐતિહાસિક વીગતો આપતી, ગોપાલદાસના ‘વલ્લભાખ્યાન’ની અસર ધરાવતી, ‘મીઠાં’ નામક ૯ કડવાંની ‘વલ્લભવેલ/જન્મવેલ’ (*મુ.) એ કૃતિના કર્તા. કૃતિ : *વૈષ્ણવધર્મપતાકા, પોષ ૧૯૮૦થી પોષ ૧૯૮૧. સંદર્ભ : કવિચરિત:૧-૨. [ચ.શે.]

કેશવદાસ-૫ [સં.૧૭મી સદી ઉત્તરાર્ધ-સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગુંસાઈજી વિઠ્ઠલનાથજીના પુત્રોના ભક્તકવિઓમાંના એક. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [શ્ર.ત્રિ.]

કેશવદાસ-૬ [ઈ.૧૬૭૭માં હયાત] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુળરાય(ગોકુળનાથ)ના શિષ્ય. દેવજીસુત. શ્રીડાલ્યમપુરીમાં એમણે કૃતિની રચના કરી છે માટે ત્યાંના વતની હોઈ શકે. લાડ જ્ઞાતિ. તેમણે ‘ભ્રમરગીતા’ના પ્રસંગને સમાવી લેતું, શ્રીકૃષ્ણ મથુરા ગયા તે પછીના સમગ્ર વૃત્તાંતને વર્ણવતું, ૩૧ કડવાંનું ‘મથુરાલીલા’ (૨.ઈ.૧૬૭૭/સં.૧૭૩૩, અસાડ સુદ ૨, શનિવાર; મુ.) પ્રસાદમધુર શૈલીમાં રચ્યું છે. કૃતિ : પ્રાકાસુધા:૩(+સં.), ૪. સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.]

કેશવદાસ-૭ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જુઓ લાવણ્યરત્નશિષ્ય કુશલસાગર.

કેશવદાસ-૮ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ઈ.૧૬૭૦ પછી ઔરંગઝેબનું વ્રજ પર આક્રમણ થવાથી શ્રીનાથજી મેવાડ પધાર્યા એ પ્રસંગને અનુરૂપ ઐતિહાસિક કાવ્ય રચનાઓમાંના એક. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [શ્ર.ત્રિ.]

કેશવવિજય [ઈ.૧૬૨૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિના શિષ્ય. ૩૮૪ કડીની ‘સદયવત્સસાવલિંગા-ચોપાઈ’ (૨.ઈ.૧૬૨૩/સં.૧૬૭૯, મહા વદ ૧૦, સોમવાર)ના કર્તા. કીર્તિવર્ધનની ‘સદયવત્સસાવલિંગા-ચોપાઈ’ની જ પાઠાંતરવાળી પ્રત તરીકે નોંધાયેલી આ કૃતિ અને એના કર્તા વસ્તુત: જુદાં છે. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [ર.સો.]

કેસર [ઈ.૧૭૨૦માં હયાત] : જૈન સાધુ. ૧૧ ઢાલમાં દુહા-ચોપાઈમાં રચાયેલ ‘ચંદનમલયાગીરી-ચોપાઈ’ (૨.ઈ.૧૭૨૦)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૨. [ક.શે.]

કેસરકુશલ : આ નામે ૨૩ કડીનું ‘શાંતિજિન-સ્તવન’ (લે.સં.૧૯મી સદી અનુ.) મળે છે તે કયા કેસરકુશલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]

કેસરકુશલ-૧ [ઈ.૧૬૭૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં હર્ષકુશલના શિષ્ય. ૧૯ ઢાળની દુહા-ચોપાઈમાં રચાયેલી ‘અઢારપાપસ્થાનક-સઝાય’ (૨.ઈ.૧૬૭૪/સં.૧૭૩૦, શુચિ માસ સુદ ૧૫, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). [ક.શે.]

કેસરકુશલ-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. લાલકુશલની પરંપરામાં સૌભાગ્યકુશલના શિષ્ય. મેવાડના દાનવીર જગડુશાની ગુણપ્રશસ્તિ કરતી ૨૬ કડીની ‘જગડુપ્રબંધ-ચોપાઈ/રાસ’ (૨.ઈ.૧૭૦૪/સં.૧૭૬૦, શ્રાવણ-; મુ.), વરદત્તગુણમંજરીના કથાનકને રજૂ કરતી ૭૫ કડીની ‘પંચમી/જ્ઞાનપંચમી/સૌભાગ્યપંચમી-સ્તવન’ (૨.ઈ.૧૭૦૨/સં.૧૭૫૮, કારતક સુદ ૫) તથા ‘વીશી’ એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. લીલાવતી મહિયારીનો રાસ તથા જગડુશાની ચોપાઈ, પ્ર. ભીમસી માણેક. ઈ.૧૯૧૫. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]

કેસરવિજય : આ નામે ૭ કડીનું ‘ઋષભ-સ્તવન’ નોંધાયેલ મળે છે તે કયા કેસરવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]

કેસરવિજય-૧ [ઈ.૧૭૬૩ સુધીમાં] : જૈન સાધુ. જયવિજયના શિષ્ય. ૧૫ કડીના ‘શાંતિજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૬૩)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ક.શે.]

કેસરવિજય-૨ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીવિજયના શિષ્ય અને લબ્ધિવિજય (ઈ.૧૭૫૪માં હયાત)ના ગુરુ. ૮ કડીના ‘સિદ્ધચક્ર-સ્તવન’(મુ.), ૧૫ કડીની ‘ગુરુ-સ્તુતિ’ તથા તીર્થંકરો પરનાં તેમ જ અન્ય વિષયો પરનાં સ્તવનોના કર્તા. કૃતિ : ૧. જિગુસ્તમાલા; ૨. જૈકાપ્રકાશ:૧. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [ક.શે.]

કેસરવિજય-૩ [ઈ.૧૮૪૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસિંહસૂરિની પરંપરામાં જીવવિજયના શિષ્ય. દુહા-દેશી-ગીતબદ્ધ ૨૬ ઢાળની ‘ચોસઠ ઠાણાની પૂજા’ (૨.ઈ.૧૮૪૭/સં.૧૯૦૩, આસો સુદ ૨; મુ.)ના કર્તા. કૃતિ : ચોસઠ ઠાણાની પૂજા તથા ચોવીસ તીર્થકરના અઠાણું બોલ, પ્ર. શિહોરસંઘ, સં. ૧૯૭૨. [ક.શે.]

કેસરવિમલ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયરત્નસૂરિની પરંપરામાં શાંતિવિમલ-કનકવિમલ એ બે ભાઈઓના શિષ્ય. એમની ૧૭૦ કડીની ‘સૂક્તમાલા/સૂક્તાવલિ’ (૨.ઈ.૧૬૯૮; મુ.) વિવિધ વિષયો પરનાં સુભાષિતોને ધર્માદિ ૪ વર્ગોમાં વહેંચીને સદૃષ્ટાંત રજૂ કરે છે. જૈન સાધુવર્ગમાં પ્રચલિત આ સુભાષિતસંગ્રહ સમગ્રપણે અક્ષરમેળ વૃત્તોની રચના હોવાથી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિશેષપણે નોંધપાત્ર બને છે. વ્રતનિયમ વિષયક, લોકકથા પર આધારિત, દુહા-દેશીબદ્ધ ‘વંકચૂલ-રાસ’ (૨.ઈ.૧૭૦૦; *મુ.), પરંપરાગત અલંકારોની રમણીયતા ધરાવતી તથા પ્રેમભક્તિનો ભાવ વણી લેતી ‘ચોવીસી’ (૨.ઈ.૧૬૯૪; મુ.), ૯ કડીની ‘ગોડીપાર્શ્વનાથ-છંદ’ તથા કેટલાંક સ્તવનો (કેટલાંક મુ.) એ આ કવિની અન્ય કૃતિઓ છે. કૃતિ : ૧. ગોડી પાર્શ્વનાથ સ્મારક સાર્ધ શતાબ્દી ગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨; ૨. જિસ્તકાસંદોહ:૧; ૩. જૈપ્રપુસ્તક:૧; ૪. સગુકાવ્ય. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. જૈગૂકવિઓ:૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]

કેસરસાગર(ગણિ) : આ નામે મૂળ ગજસારકૃત પ્રાકૃત ‘વિચારષટ્ત્રિંશિકાપ્રકરણ-દંડકપ્રકરણ’ પરનો ૫૬૫ ગ્રંથાગ્રનો સ્તબક (૨.ઈ.૧૭૦૧) અને માનદેવસૂરિના મૂળ સંસ્કૃત ‘લઘુશાંતિ-સ્તવન/સ્તોત્ર’ પરનો ૨૦૦ ગ્રંથાગ્રનો સ્તબક (૨.ઈ.૧૭૦૬/સં.૧૭૬૨, કારતક વદ ૧૩, બુધવાર) મળે છે તે કદાચ કેસરસાગર-૨ હોઈ શકે. ‘મુનિરાજશ્રી પુણ્યવિજયજી સંગ્રહગત ગૂજરાતી હસ્તપ્રત સૂચી’માં ‘લઘુશાંતિ-સ્તવન’ પરના સ્તબકની ર.સં.૧૭૬૨ને ભૂલથી લે. સં. ગણાવાઈ છે તેમ જ સ્તબકકર્તાની ખોટી ગુરુપરંપરા પણ નોંધાઈ ગઈ છે. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]

કેસરસાગર-૧ [ઈ.સ.૧૬૬૫ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. ઉત્તમસાગરના શિષ્ય. ધર્મદાસગણિતકૃત મૂળ પ્રાકૃતગ્રંથ ‘ઉપદેશમાલા’ પરના સ્તબક (લે.ઈ.૧૬૬૫)ના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]

કેસરસાગર-૨ [ઈ.૧૭૪૪ સુધીમાં] : જૈન સાધુ. પદ્મસાગરની પરંપરામાં ચરિત્રસાગરના શિષ્ય. મૂળ પ્રાકૃત ગ્રંથ ‘નવતત્ત્વપ્રકરણ’ પરના સ્તબક (લે.ઈ.૧૭૪૪)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ક.શે.]

કેસરીચંદ [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. હિન્દી-રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં ૨૧ કડીના ‘વીસસ્થાનકતપ-સ્તવન’ (૨.ઈ.૧૮૪૨/સં.૧૮૯૮, ચૈત્ર-; મુ.) અને ૭ ઢાળના ‘જ્ઞાનપંચમીમહિમા-સ્તવન’ (૨.ઈ.૧૮૫૦/સં.૧૯૦૬, કારતક સુદ ૫, રવિવાર)ના કર્તા. કૃતિ : અરત્નસાર. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧).[શ્ર.ત્રિ.]

કેસોદાસ : જુઓ કેશવદાસ.

કોલ્હિ [ઈ.૧૪૮૫માં હયાત] : જૈન. હિંદી તથા રાજસ્થાની ભાષાની અસર દર્શાવતી ૩૩૨ કડીની ‘કંકસેનરાજા-ચોપાઈ’ (૨.ઈ.૧૪૮૫/સં.૧૫૪૧, શ્રાવણ સુદ ૫, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : જૈમગૂકરચનાએં૧. [કી.જો.]

ક્હાન-: જુઓ કાન -.

ક્હાન/ક્હાન (કવિ) : ક્હાનને નામે ૨૨ કડીની ‘નેમિનાથ-ફાગ-બારમાસ’ (લે.ઈ.૧૪૭૯) એ કૃતિ નોંધાયેલી મળે છે તે સમય જોતાં ક્હાન-૧ની હોવાની શક્યતા રહે છે પરંતુ એ વિશે કશું નિશ્ચિત કહી શકાય તેમ નથી. આ કૃતિ અન્યત્ર ડુંગરને નામે પણ મળે છે. ક્હાન કવિને નામે હિંદી ભાષામાં જણાતી ‘અંબા-છંદ’, ‘પાર્શ્વગીત’ વગેરે કેટલીક કૃતિઓ (લે.ઈ.૧૭૧૨)તથા ચારણી શૈલીમાં જણાતી ‘(ફલોધી) પાર્શ્વનાથનો છંદ’ નોંધાયેલ મળે છે, તે કોઈ જૈન કવિ છે પરંતુ તે કયા ક્હાન છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કોઈ જૈનેતર ક્હાનને નામે ૨ પદ (મુ.) તથા ગરબા-ગરબીઓ મળે છે તે કયા ક્હાન છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. અભમાલા; ૨. ભસાસિંધુ. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. ગૂહાયાદી; ૩. જૈગૂકવિઓ:૩(૨); ૪. મુપુગૂહસૂચી.[ર.સો.]

ક્હાન-૧ [ઈ.૧૩૬૪માં હયાત] : જૈન શ્રાવક. શ્રીમાલી છાંડા કુળ. ૪૦ કડીની ‘અંચલગચ્છનાયકગુરુ-રાસ’ ૨.ઈ.૧૩૬૪/સં.૧૪૨૦, આસો વદ ૩૦, રવિવાર)ના કર્તા. સંદર્ભ : જૈમગૂકરચનાએં:૧. [ર.સો.]

ક્હાન-૨ [ઈ.૧૫૧૫ સુધીમાં] : અવટંકે રાઉલ(રાવળ). એમના, મુખ્યત્વે શાર્દૂલવિક્રીડિત છંદની ૧૦૮ કડીના ‘કૃષ્ણક્રીડિત’ (લે.ઈ.૧૫૧૫; ૮ કડી મુ.)માં કૃષ્ણની રાસ, વસ્ત્રહરણ વગેરે લીલાઓનું વર્ણન છે. ભક્તિભાવની આ કૃતિનો શરૂઆતનો અર્ધઝાઝેરો ભાગ શુદ્ધ પ્રેમકવિતા તરીકે પણ આસ્વાદી શકાય તેવો છે. ભાષા, છંદ અને ભાવ પર કવિની નોંધપાત્ર પકડ દર્શાવતી આ કૃતિ અક્ષરમેળ વૃત્તોના વિનિયોગને કારણે પણ ધ્યાન ખેંચે છે. કાવ્યની ઈ.૧૫૧૫થી પણ થોડીક જૂની જણાતી હસ્તપ્રત મળી હોવાથી તેમ જ કાવ્યનું ભાષાસ્વરૂપ જોતાં એ ઈ.૧૫મી સદી - નરસિંહના સમય લગભગનું હોવાની અટકળ થઈ શકે છે. કૃતિ : કાવ્યવ્યાપાર, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૮૨ - ‘ત્રણ કૃતિવિવેચન’માં અંતર્ગત ‘રાસલીલા-‘કૃષ્ણ્ક્રીડિત’ કાવ્યનો એક ખંડ’ (+સં.). સંદર્ભ : કવિચરિત:૧-૨. [હ.ભા.]

ક્હાન-૩/ક્હાનજી [ઈ.૧૫૭૧માં હયાત] : આખ્યાનકાર. વીસા મોઢ. પિતા મંત્રી કમલશી. કોઈ શ્રીકંઠસુત પપુ વ્યાસ પાસેથી રામકથા સાંભળીને આ કવિએ રચેલા દુહાચોપાઈબદ્ધ ૬ કાંડ અને ૭૧૨૦ ગ્રંથાગ્રના ‘રામચરિત્ર/રામાયણ’ (અપૂર્ણ)ના સુંદરકાંડને અંતે ૨.ઈ.૧૫૭૧ (સં.૧૬૨૭, શ્રાવણ સુદ ૧૫, સોમવાર) મળે છે. વાલ્મિકીય રામાયણના ક્યાંક-ક્યાંક ફેરફારવાળા સંક્ષેપ રૂપે રચાયેલી આ કૃતિમાં પ્રાસાનુપ્રાસાદિની શબ્દચમત્કૃતિ તથા કેટલાંક વર્ણનોનું અકૃત્રિમ કાવ્યસૌંદર્ય જોવા મળે છે. સંદર્ભ : ૧. કાશીસુત શેધજી એક અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૪;  ૨. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૪ - ‘કાહાનનું રામાયણ’, દેવદત્ત શિ. જોશી. [ર.સો.]

ક્હાન-૪/ક્હાનજી/ક્હાનડ/ક્હાનદાસ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર. પિતા હરજી. ૭૦૦૦ કડીઓ અને ૧૭ આખ્યાનોમાં વિસ્તરતા ઈ.૧૬૩૬માં આરંભાઈ ઈ.૧૬૩૯ (સં.૧૬૯૫, મકરસંક્રાંતિ)માં પૂરા થયેલા આ કવિના ‘અશ્વમેધ-પર્વ’ (મુ.)માં મહાભારતને અનુસરી સળંગ પ્રવાહી કથાનિરૂપણ થયું છે. કડવા માટે યોજાયેલી ‘અલંકાર’, ‘ઝમક’ જેવી સંજ્ઞાઓ, પાત્રોક્તિઓનો થયેલો બહોળો ઉપયોગ અને રાગનિર્દેશથી સૂચવાતી સુગેયતા આ કથાનાં નોંધપાત્ર તત્ત્વો છે. ‘નંદજીની ગાય’ નામે ૧ કૃતિ પણ આ કવિને નામે નોંધાયેલી છે. કૃતિ : મહાભારત:૬, સં. કેશવરામ કા. શાસ્ત્રી, ઈ.૧૯૫૧ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨;  ૨. ગૂહાયાદી. [ર.સો.]

ક્હાન-૫ [ઈ.૧૬૭૫ સુધીમાં] : જીવા ભટ્ટના પુત્ર. થામણાના નિવાસી. ભુજંગપ્રયાતમાં રચાયેલ ‘કૃષ્ણસ્તુતિ-અષ્ટક’ (લે.ઈ.૧૬૭૫; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૧ (+સં.). [ર.સો.]

ક્હાન-૬ [ઈ.૧૬૯૨ સુધીમાં] : આખ્યાનકાર. હીરાસુત. ઔદીચ્ય બ્રાહ્મણ. પૂર્વજોનું વતન અમરાવતી. પોતે અમદાવાદ પાસેના રાણીપનો રહેવાસી. નાકર (ઈ.૧૬મી સદી)ની કૃતિ સાથે સેળભેળ થતાં ૭૮ કડવાં સુધી વિસ્તરેલા પણ મૂળ ૩૩ કડવાંના જણાતા અને કેટલાક સારા જૂના ઢાળને સાચવી રાખતા ‘ઓખાહરણ’ તથા વિષ્ણુધર્મોત્તરપુરાણને આધારે એકાદશીની કથાઓ વર્ણવતા ‘એકાદશીમાહાત્મ્ય’ (લે.ઈ.૧૬૯૨)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુસામધ્ય;  ૩. ગૂહાયાદી. [ર.સો.]

ક્હાનજી : આ નામે ‘ચોવીસી’ તથા ‘હીરવિજયસૂરિ-સઝાય’ એ જૈન કૃતિ તેમ જ જૈનેતર પદો નોંધાયેલાં મળે છે તે કયા ક્હાનજી છે તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.સો.]

ક્હાનજી-૧ [ઈ.૧૫૭૧માં હયાત] : જુઓ ક્હાન-૩.

ક્હાનજી-૨ [ઈ.૧૫૯૧માં હયાત] : જૈન સાધુ. ભૂલથી ધનપતિને નામે નોંધાયેલા ‘સ્થાનાંગસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૫૯૧/સં. ૧૬૪૭, માગશર સુદ ૫, શનિવાર)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાઈ:૧૭(૧). [ર.સો.]

ક્હાનજી-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જુઓ ક્હાન-૪.

ક્હાનજી (ગણિ)-૪ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૭૨૩/સં. ૧૭૭૯, ભાદરવા સુદ ૮] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપઋષિની પરંપરામાં તેજસિંહના શિષ્ય. નડુલાઈના ઓસવાલ વહોરા ગોત્રના કચરાના પુત્ર. માતા જગીસા(?). ઈ.૧૬૮૭માં ગાદીપતિ બન્યા. આ કવિની ૪ કડીની ‘સુમતિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૯૨; મુ.), ૧૬ કડીની ‘અર્જુનમાલી-સઝાય’ (ર.ઈ.૧૬૯૨), ૯ કડીની ‘ગજસુકુમારમુનિની સઝાય’ (ર.ઈ.૧૬૯૭/સં. ૧૭૫૩, પોષ સુદ ૫; મુ.), ૭ કડીની ‘શાંતિ-સ્તવન’ (ર.ઈ.૧૭૦૦), ૨૦ કડીની ‘શ્રાવકની કરણીની સઝાય’ (મુ.), ૧૮ કડીની ‘સુદર્શનશેઠ-સઝાય’ (ર.ઈ.૧૭૦૦), ૧૬ કડીની ‘સામાયિકબત્રીસદોષ-સઝાય’ (ર.ઈ.૧૭૦૨; મુ.), ૬ કડીની ‘નેમનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૧૧) તથા ૭ કડીની ‘મેઘમુનિ-સઝાય’ (ર.ઈ.૧૭૧૪) - એ કૃતિઓ મળે છે. કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા:૧ અને ૨, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૨. લોંપ્રપ્રકરણ; ૩. વિવિધ પુષ્પવાટિકા:૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨ (સાતમી આ.). સંદર્ભ : જૈગૂકવિઓ.૨,૩(૨). [ર.સો.]

ક્હાનજી-૫ [               ]: માધવસુત. એમનું કૃષ્ણકીર્તનનું ૧ પદ મુદ્રિત મળે છે. કૃતિ : નકાદોહન. [ર.સો.]

ક્હાનડ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જુઓ ક્હાન-૪. ક્હાનડદાસ [               ]: કેટલાંક પદોના કર્તા. સંદર્ભ : ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]

ક્હાનદાસ : આ નામે ‘આણું’(પદ), કુંડલિયા, ગણપતિસ્તુતિનાં ૪ પદ, ‘રાસનું ધોળ’, ‘હિંગુલામંત્રચરિત્ર છંદ’ અને ‘હોલાહોલીનું આખ્યાન’ નોંધાયેલાં છે તે કયા ક્હાનદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. આ ઉપરાંત સં. ૧૮મી સદીમાં થયેલા ક્હાનદાસ નામે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ નોંધાયેલા છે તે અન્ય ક્હાનદાસથી જુદા છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પુગુસાહિત્યકારો;  ૩. ગૂહાયાદી. [ર.સો.]

ક્હાનદાસ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જુઓ ક્હાન-૪.

ક્હાનદાસ-૨/ક્હાનિયોદાસ/કનૈયો [               ]: આ કવિની, કૃષ્ણજન્મોત્સવને વર્ણવતી ૯ પદની ‘કૃષ્ણજન્મ-વધાઈ’, ક્યારેક ‘કડવું’ નામ પણ ધરાવતા સાખી, ચોપાઈ અને ચાલના બંધવાળાં ૧૮ નાનાં પદની ‘ગોવર્ધન-રાસ’ તથા એ જ વિષયને અનુલક્ષતાં જસોદા-કૃષ્ણ વચ્ચેના મધુર સંવાદનાં ૪ પદો - એ મુદ્રિત કૃતિઓ મળે છે. જુઓ ક્હાનૈયો. કૃતિ : બૃકાદોહન : ૭ (+સં.) સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ:૨. [ર.સો.]

ક્હાનપુરી [ ] : રૂખડિયા સંતકવિ. અધ્યાત્મ તથા ભક્તિવિષયક મુદ્રિત-અમુદ્રિત પદોના કર્તા. ૧ પદમાં હિંદીમિશ્ર ભાષા પણ જોવા મળે છે. કૃતિ : ૧. અભમાળા; ૨. નકાસંગ્રહ; ૩. સતવાણી. સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]