ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ

From Ekatra Wiki
Revision as of 06:12, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search





પઉમ/પદમ(મુનિ) [ઈ.૧૩૦૨ સુધીમાં] : જૈન સાધુ. ૫૭ કડીની ‘દુહામાતૃકા/ધર્મમાતૃકા’ (લે.ઈ.૧૩૦૨; મુ.)માં ઉપદેશાત્મક સુભાષિતો છે અને ૭૧ કડીના ‘સાલિભદ્ર-કક્ક’ (લે.ઈ.૧૩૦૨; મુ.)માં શાલિભદ્ર અને તેમની માતા વચ્ચેના સંવાદ રૂપે ત્યાગ અને ધર્મનો મહિમા વર્ણવાયો છે. દોહરાની ૧૪ કડીના ‘નેમિનાથફાગુ’ (મુ.)ની પહેલી ૧૦ કડીઓમાં વસંતવર્ણન છે ને છેલ્લી ૪ કડીઓમાં નેમિનાથનું કથાનક છે. આ ફાગુ તેમાંના વસંતવર્ણન, વસંતઆગમનથી જનજીવનમાં ફેલાયેલા ઉલ્લાસ અને ગુર્જરનારીના રૂપપોશાકના આલેખન તથા મનોરમ આલંકારિક વાણીને લીધે ધ્યાનપાત્ર છે. કૃતિ : ૧. પ્રાગુકાસંગ્રહ : ૧; ૨. પ્રાફાગુસંગ્રહ. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. ગુસાપઅહેવાલ : ૨૧; ૪. ગુસારવસ્વતો; ૫. મરાસસાહિત્ય; ૬. રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ, ધીરુ પરીખ, ઈ.૧૯૭૮;  ૭. આલિસ્ટઑઇ : ૨; ૮. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૯. મુપુગૂહસૂચી.[ર.સો.]

પદ (અખાજી) : ગુજરાતી તેમ જ હિંદી ભાષામાં રચાયેલાં અખાજીનાં ૨૫૦ જેટલાં મુદ્રિત પદો મુખ્યત્વે બ્રહ્મતત્ત્વના સ્વરૂપને, એના અનુભવને તથા બ્રહ્મજ્ઞાની-સંત-ગુરુના સ્વભાવ અને મહિમાને ગાય છે તેમજ ગુરુશરણ ને સંતસંગતનો તથા જીવભાવ છોડી શિવપદ પામવાનો બોધ કરે છે. એમાં શૃંગારભાવનો આશ્રય લેતાં પદો વેદાંતી અખાના વિલક્ષણ ઉન્મેષ તરીકે ખાસ ધ્યાન ખેંચે છે. એમાં નટવર કૃષ્ણને કેન્દ્રમાં રાખીને કામક્રીડા સુધીનો શૃંગાર આલેખાયો છે, સખીભાવની પ્રબળ અભિવ્યક્તિ છે, અસૂયા ને રીસ જેવા મનોભાવોને પણ અવકાશ મળ્યો છે અને સંવાદના માધ્યમનો પણ અવારનવાર ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ છતાં અખાને એમાં પરબ્રહ્મ સાથેનો યોગ અભિપ્રેત છે એના સંકેતો પણ સાંપડ્યા જ કરે છે. બ્રહ્માનુભવની અલૌકિક સ્થિતિનાં ચિત્રાત્મક વર્ણનો પણ પ્રભાવક છે. ગુરુશરણ ને સંતસંગતનો વળીવળીને બોધ કરતા આ તત્ત્વદર્શી કવિ “ગુરુ મારો નવ અવતરે, નવ ધરે ગર્ભવાસ” જેવાં ગુરુલક્ષણવર્ણનો પણ આપે છે ને સગુરાનો નહીં પણ નગુરાનો મહિમા કરે છે એ એની ગુરુભાવનાની વિલક્ષણતા બતાવે છે. અખાની સહજ ને સમૃદ્ધ દૃષ્ટાંતકલા ઉપરાંત “જીવ ખોઈને જીવવું” જેવાં માર્મિક ઉપદેશવચનો, “તે હું જગત જગત મુજ માંહે. હું નિર્ગુણ ગુણનો ભંડાર” જેવી બ્રાહ્મી અવસ્થાની ખુમારીભરી ઉક્તિઓ, “હુંએ હુંને ખોળી કાઢ્યો ભાઈ, હુંએ હુંને ખોળી કાઢ્યો” જેવા નિર્મળ આનંદઉદ્ગારો એના કવિતત્ત્વનો સુખદ સ્પર્શ આપણને કરાવે છે. આત્મકથાત્મક, ઉદ્બોધનાત્મક (કેટલાં બધાં પદો સંતોને ઉદ્દેશીને છે!), રૂપકાત્મક એમ વિવિધ શૈલીભેદોનો વિનિયોગ કરતાં; હોરી, ધમાર, ભજન, કીર્તન, પ્રભાતિયાં, વિષ્ણુપદ આદિ પ્રકારભેદો બતાવતાં; પત્ર, વરસાદ, ખેતી, બજાણિયાના ખેલ જેવાં નવીન રૂપકોનો આશ્રય લેતાં અને પ્રસંગોપાત્ત યોગમાર્ગની પરિભાષા યોજતાં છતાં સામાન્ય રીતે દુર્બોધતાથી મુક્ત ને ક્યારેક તળપદી બાનીમાં ચાલતાં આ પદો અખાના સાહિત્યસર્જનનો લોકગમ્ય અને નોંધપાત્ર ગુણવત્તાવાળો વિભાગ છે. [જ.કો.]

પદ (અનુભવાનંદ) : કવિએ પોતે જ વિષ્ણુપદ નામે ઓળખાવેલાં અને હિંદી ભાષામાં પણ મળતાં પદો પૈકી કેટલાંકમાં એમના સંન્યસ્ત પછીના અનુભવાનંદ એ નામની એમ ઉભય છાપ મળે છે. ક્યાંક કવિએ બંને નામ એક સાથે પણ મૂક્યાં છે; ‘નાથ ભવાન તે અનુભવાનંદ છે.’ હસ્તપ્રતોમાં મળતાં આવાં ૧૯૬ પદોમાંથી ૧૧૯ મુદ્રિત થયેલાં છે. રાગ-ઢાળોનું ભરપૂર વૈવિધ્ય ધરાવતાં આ પદોમાં મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિતાધારાના સઘળા વિષયો આલેખાયા છે અને વેદાન્તી ફિલસૂફી જેવા અમૂર્ત વિષયનું તથા એનાં સંકુલ સ્થાનોનું પણ અલંકારાદિકની સહાયથી મૂર્ત રૂપે ને પ્રાસાદિક રીતે નિરૂપણ થયું છે. આ પદોમાં બ્રહ્મસ્વરૂપનું વર્ણન વધારે ધ્યાન ખેંચે એવું છે. કવિ બ્રહ્મનાં ‘સચ્ચિદાનંદ’ એ જાણીતા સંકેતમાંના ‘આનંદ’ પર વિશેષ ભાર મૂકે છે ને બ્રહ્મને ‘નિરાકાર’ને બદલે ‘સરવાકાર’ કહે છે. કવિએ કરેલું બ્રહ્મસ્વરૂપનું વર્ણન કેટલાંક નવાં અને સચોટ દૃષ્ટાંતો તથા રૂપકોથી મનોરમ બનેલું છે, જેમ કે બ્રહ્મસ્વરૂપની નિર્વિકારતા દર્શાવવા માટે યોજાયેલું અનેક રૂપો ધારણ કરતા પણ વસ્તુત: સ્વ-રૂપે રહેતા નટનું દૃષ્ટાંત તેમ જ સંસારનું મિથ્યાત્વ દર્શાવવા યોજાયેલી માયા નામની વંધ્યા સ્ત્રીના વણસરજ્યા સુતની રૂપકગ્રંથિ. બ્રહ્મ-આનંદના અનુભવનું આલેખન પણ આ પદોમાં વર્ષા એ વસંતના ઉપમાનોથી ને સ્ત્રીપુરુષ પ્રેમની પરિભાષામાં, અધિકૃતતાનો રણકો સંભળાય એટલી ઉત્કટતાથી થયું છે. ચિદાકાશથી વરસતા અનુભવજળથી કામાદિ અંગારા હોલવાઈ જાય છે ને જ્ઞાનની સરિતા વહેવા માંડે છે; એમાં અનુભવી તરવૈયાઓ તરે છે. રાધાકૃષ્ણના પ્રેમસંબંધને અધ્યાત્મના એક નવા જ અને સમૃદ્ધ સંકેતથી આલેખી આપવામાં પણ કવિની વિશેષતા જણાય છે. બ્રહ્મ-આનંદની મસ્તીમાં લીન સંતોની ચિત્તાવસ્થાનું અનુભવાનંદે કરેલું આલેખન ઘણું વિલક્ષણ છે. સદ્ગુરુના અનુભવીપણા પર ભાર મૂકી લાક્ષણિક રીતે એ કહે છે કે ગુરુની વાણી તે જ્ઞાનધારા નહીં પણ અનુભવધારા છે જે અમૃતની હેલીની જેમ શિષ્યની જડતાને હરી ચૈતન્યવંત બનાવે છે. દંભી અને આડંબરી ‘પરમહંસો’ વગેરે પ્રત્યેના કવિના ઉપાલંભોમાં કટાક્ષ કરતાં વિનોદ વિશેષ જણાય છે. આ વિનોદ માર્મિક ઉક્તિઓ અને સચોટ દૃષ્ટાંતોથી હૃદયંગમ બને છે. જેમ કે, શાસ્ત્રાર્થની વિતંડામાં પડનારાઓ માટે એ બે બહેરાની વાત સરવા કાને સાંભળતા અને ખૂબ રળિયાત થતા બહેરાનું દૃષ્ટાંત યોજે છે. [ર.સો.]

પદ(ગવરીબાઈ) : ડુંગરપુરનાં વતની ગવરીબાઈકૃત પદો(૬૦૯મુ.)માં જ્ઞાન-વૈરાગ્ય, યોગ અને ભક્તિની ધારાઓ મિશ્ર થયેલી જોવા મળે છે. એમનાં જ્ઞાનનાં પદો વેદાંત તરફનો સ્પષ્ટ ઝોક બતાવે છે અને એની લોકગમ્ય પ્રાસાદિક રજૂઆતથી ધ્યાન ખેંચે છે. એમાં ભક્તિવિષયક પદોમાંથી ૨૦૦ ઉપરાંત પદો કૃષ્ણભક્તિવિષયક; ચાલીસેક રામવિષયક અને ત્રણેક શંકરવિષયક છે. આમ ગવરીબાઈએ રામ અને કૃષ્ણ બંનેની ઉપાસના સ્વીકારી છે એ હકીકત નોંધપાત્ર બને છે. કૃષ્ણવિષયક પદોમાં શૃંગારલીલા, બાળલીલા આદિ વિષયો નિરૂપાયા છે તેમાંથી બાળલીલાનું નિરૂપણ વિશેષપણે ઉલ્લેખનીય છે. ગરબી, આરતી, કીર્તન, ધૂન, સાખી, તિથિ, વાર, બારમાસી વગેરે પ્રકારભેદોમાં વહેતી ગવરીબાઈની કવિતામાં હિંદી તથા રાજસ્થાની ભાષાનો આશ્રય લેવાયેલો પણ જોઈ શકાય છે. સાચી અને ઊંડી અધ્યાત્મનિષ્ઠા, સહજ અને સમુચિત અલંકરણ તથા તળપદી છટાથી શોભતી વાણી-જેમ કે “દલદરપણ માંજ્યા વિના દરસન દેખ્યા ન જાઈ.” (૧૭૫)“વનેશ્વર વિશ્વમાં વિલાસ્યા જેમ ફૂલનમેં બાસ’-તેમ જ રાગઢાળનું વૈવિધ્ય ગવરીબાઈને ગુજરાતી જ્ઞાનમાર્ગી કવયિત્રીઓમાં ગૌરવભર્યું સ્થાન અપાવે છે. [ચ.શે.]

પદ (જીવણસાહેબ/દાસી જીવણ) : રવિભાણ સંપ્રદાયના આ સંતકવિનાં પદો-ભજનો (ઘણાં મુ.) ગુજરાતી ભજન પરંપરામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ ભજનોમાં મુખ્યપણે નિરૂપાયેલા ૨ વિષયો-અધ્યાત્મઅનુભવની મસ્તી અને દર્દીલો પ્રેમભાવ-ગોપીભાવ. પહેલા પ્રકારનાં ભજનોમાં અતીન્દ્રિય અનુભવનું, એની નાદમયતા, અને પ્રકાશમયતાનું જે રીતે પ્રત્યક્ષીકરણ થયું છે તે ઘણું જ નોંધપાત્ર છે. એમાં યોગમાર્ગની પરંપરામાં જાણીતાં રૂપકોનો વિનિયોગ થયેલો છે તેમ મોરલો, નટવો, હાટડી વગેરે કેટલાંક નૂતન રૂપકચિત્રો પણ નિર્મિત થયેલાં છે. વર્ણધ્વનિનો પણ ચિત્રો ઉપસાવવામાં પ્રચુરપણે લેવાયેલો આશ્રય આ સંતકવિની આગવી લાક્ષણિકતા છે. ગોપીભાવનાં પદો કવચિત્ મિલનનો કેફ વર્ણવે છે ને વધારે તો આરત અને વિરહના ભાવોને તળપદી લઢણોથી ને નિર્વાજ સરલતાથી વર્ણવે છે, અને જીવણસાહેબના દાસીભાવની પ્રતીતિ કરાવે છે. આ ઉપરાંત ઈશ્વરલીલા, પ્રાર્થના, ભક્તિ-વૈરાગ્યબોધ વગેરે વિષયોનાં જીવનસાહેબનાં પદો પણ મળે છે, અને ગુરુમહિમા પણ વારંવાર ઉમળકાથી ગવાયો છે. એમાં દૃષ્ટાંતો, રૂપકોના વિનિયોગ ઉપરાંત પણ શાંત સમજાવટની વાણી છે. સંસારીઓની માયાલુબ્ધતા વગેરે પર પ્રહાર કવચિત જ છે. જીવણસાહેબ બાહ્ય કિયાકાંડોને મહત્ત્વ નથી આપતા અને કાપડીના, અતીતના, ફકીરના વેશે ફરવાની ઇચ્છા રાખે છે તે એમનો જડ સાંપ્રદાયિકતાથી ઉપર જતો ધર્મભાવ વ્યક્ત કરે છે. અધીનતાનો મહિમા કરતી ને મનની ચંચળતાને સચોટ રીતે વર્ણવતી એમની રચનાઓ નિજી રીતે વસ્તુને રજૂ કરવાની એમની ક્ષમતાનાં ઉદાહરણ રૂપ છે. એમની ભાષામાં હિંદીનો વણાટ છે ને ઘણાં પદો તો હિંદી ભાષામાં પણ રચાયેલાં મળે છે. અગમતત્ત્વને આલેખતાં જીવણસાહેબનાં પદો ઘણાં પ્રભાવક છે ને ભજનમંડળીઓમાં એ ખૂબ ગવાય છે. કટારીનું રૂપક પ્રયોજતા ‘કટારી’ને નામે ઓળખાતાં ભજનો તો જીવણસાહેબનાં જ એમ મનાય છે. તેમ છતાં “વાડી વેડીશ મા હો મારા રે વાડીના ભમરલા’ જેવાં પદો એમની તળપદી અભિવ્યક્તિને કારણે લોકજીભે વધુ ચડેલાં છે.[ચ.શે.]

પદ(દયારામ) : દયારામનાં પદો (મુ.)નો વધુ લોકપ્રિય બનેલો ભાગ તો ‘ગરબી’ને નામે ઓળખાયેલી રચનાઓનો છે. દયારામનું વ્યક્તિ-ચિત્ર ઘણી વાર એને આધારે ઊભું કરવામાં આવે છે. પરંતુ પરંપરાગત ભક્તિવૈરાગ્યબોધનાં પણ સેંકડો પદો દયારામ પાસેથી મળે છે, અને એ પદો આપણી સમક્ષ દયારામની એક જુદી છબી રજૂ કરે છે. એમાં મુક્તિને સ્થાને ભક્તિની જ આકાંક્ષા, જ્ઞાનનો તિરસ્કાર અને પ્રેમમાર્ગનો મહિમા, અનન્યનિષ્ઠા, ઈશ્વરના પ્રગટ સ્વરૂપનો આદર-એ પુષ્ટિમાર્ગસંમત ખ્યાલો વ્યક્ત થયા છે તે ઉપરાંત આત્મગ્લાનિ, દીનતા, વિરક્તતા, આતિ, ઇશ્વર-શરણ્યતા, નિશ્ચિતતા, નિર્મળતા આદિ મનોભાવો હૃદયસ્પર્શી રીતે વ્યક્ત થયા છે. સઘળાં પદો દૃષ્ટાંતોના વિનિયોગ, પ્રાસાદિક ભાવવાહી અભિવ્યક્તિ અને કવચિત પ્રાસાનુપ્રાસની લીલાથી ધ્યાન ખેંચે છે. જીવ-બ્રહ્મની એકતાને માનનાર વિશે કવિ કહે છે કે “છતે સ્વામીએ સૌભાગ્યનું સુખ સ્વપ્ને ન દેખ રે” ને પોતાના મનને એક વખત ઢણકતું ઢોર કહી આત્મશિક્ષાની વાત કરે છે. તો બીજી વખત વૈરાગ્યભાવથી મનજી મુસાફરને પોતાના દેશ ભણી જવા ઉદ્બોધે છે. “જે કોઈ પ્રેમ-અંશ અવતરે પ્રેમરસ તેના ઉરમાં ઠરે” ને “વ્રજ વહાલું રે વૈકુંઠ નહીં આવું” જેવાં કેટલાંક પદો તો લોકજીભે પણ ચડેલાં છે.[જ.કો.]

પદ(નરસિંહ) : મધ્યકાલીન ગુજરાતી કવિતામાં પદસાહિત્યનો પાયો નાખનાર નરસિંહનું સમગ્ર સર્જન આમ તો પદોમાં જ થયું છે, પરંતુ જેમાં કંઈક કથાતંતુ હોય એવી પદોની માળા રૂપે રચાયેલી આખ્યાનકલ્પ કૃતિઓને લક્ષમાં ન લઈએ તો પણ એ સિવાય એમને નામે ૧૨૦૦ જેટલાં પદો હસ્તપ્રતો અને મૌખિક પરંપરામાંથી મુદ્રિત રૂપે ઉપલબ્ધ થાય છે. મુદ્રિત સ્વરૂપે ઉપલબ્ધ આ પદોમાં ઠીક ઠીક મુશ્કેલી અનુભવાય છે. જેમ કે, આ પદોને જે શીર્ષકો નીચે સંપાદકોએ વર્ગીકૃત કર્યા છે, ‘તેને હસ્તપ્રતોનો હંમેશ આધાર નથી. એટલે એક પદને એક સંપાદકે એક શીર્ષક નીચે મૂક્યું હોય તો બીજા સંપાદકે બીજા શીર્ષક નીચે મૂક્યું હોય ઉપલબ્ધ પદોમાં ખરેખર કવિના કર્તૃત્વવાળાં કેટલાં અને કવિને નામે ચડી ગયેલાં કેટલાં એ પણ તપાસનો મુદ્દો છે. કૃષ્ણને ગોપીભાવે ભજતા આ પ્રેમલક્ષણા ભક્તિનાં કવિનાં પદોનો આમ તો એક જ વિષય છે, કૃષ્ણપ્રીતિ. પરંતુ એ પ્રીતિ વિવિધ સ્વરૂપે આ પદોમાં પ્રગટ થઈ છે. ગોપીહૃદયમાં રહેલી કૃષ્ણપ્રીતિનાં મુખ્ય ૨ રૂપ છે, શૃંગારપ્રતીતિ અને વાત્સલ્યપ્રીતિ. એમાં શૃંગારપ્રીતિનાં પદોની સંખ્યા ઘણી મોટી છે. એ સિવાય ભક્તિ-જ્ઞાનનાં પણ કેટલાંક પદ કવિ પાસેથી મળે છે. ‘રાસસહસ્ત્રપદી’, ‘શૃંગારમાળા’, ‘વસંતનાં પદ’ અને ‘હિંડોળાનાં પદ’ શીર્ષક હેઠળ મળતાં શૃંગારપ્રીતિનાં પદોમાં વિવિધ અવસ્થાઓમાં વિભિન્નરૂપે ગોપીનો કૃષ્ણપ્રત્યેનો પ્રણયભાવ વ્યક્ત થાય છે. શીર્ષકમાં સૂચવાય છે તેમ હજાર નહીં, પણ જેમાં ૧૮૯ પદ છે તે ‘રાસસહસ્રપદી’નાં પદોમાં શરદ ઋતુમાં વૃન્દાવનમાં કૃષ્ણગોપી વચ્ચે રમાતા રાસનું આલેખન મુખ્ય વિષય છે. ભાગવતના ‘રાસ-પંચાધ્યાયી’ની અસર આ પદો પર છે. એટલે ‘રાસપંચાધ્યાયી’ના કેટલાક પ્રસંગો જેવા કે, કૃષ્ણના વેણુવાદનથી ગોપીઓનું ઘર છોડી વનમાં દોડી આવવું, કૃષ્ણના અંતર્ધાન થવાથી વ્યાકુળ બનવું કોઈક પદોમાં આલેખાય છે. પરંતુ ‘રાસપંચાધ્યાયી’માં પ્રસંગઆલેખનમાંથી જે કથાતંતુ વણાય છે તે અહીં નથી વણાતો. અહીં તો વિશેષ આલેખાય છે-ચંપાવરણી ચોળી, નાકમાં નિર્મળ મોતી, નેણમાં કાજળ ને માથે ઘૂંઘટવાળી, ઝાંઝર ઝમકાવતી ને કટિમેખલા રણઝણાવતી અભિસારિકા ગોપી અને તેની કૃષ્ણ સાથેની શૃંગારકેલિ તથા નુપૂરના ઝંકાર, કટિની કીંકણી, તાલમૃદંગના સંગીત વચ્ચે પરસ્પરના કંઠમાં બાહુઓ ભેરવી કૃષ્ણગોપી વચ્ચે રમાતો રાસ. ‘રાસસહસ્રપદી’નાં પદો મુખ્યત્વે વર્ણનાત્મક છે તો ‘શૃંગારમાળા’નાં પદ મુખ્યત્વે ગોપીની ઉક્તિ રૂપે રચાયેલાં છે. રતિભાવ સાથે સંકળાયેલા ગોપીહૃદયના વિવિધ ભાવ અહીં આલેખાય છે. કૃષ્ણનો અન્ય ગોપી સાથેનો સંબંધ જોઈ જન્મતો ઈર્ષ્યાભાવ, કૃષ્ણની વિમુખતાથી જન્મતી વ્યાકુળતા, કૃષ્ણને રતિક્રીડા માટે ઇજન, કૃષ્ણઆગમનથી મનમાં પ્રગટતો આનંદ, કૃષ્ણની સમીપ જતાં જન્મતી લજ્જા, કૃષ્ણ સાથે આખી રાત રતિસુખ માણ્યા પછીની તૃપ્તિ, પ્રભાતે કૃષ્ણ શય્યામાંથી વહેલા ન જાગતાં મનમાં જન્મતો સંકોચ-એમ ક્વચિત્ સ્થૂળ ને પ્રગલ્ભ બનીને કૃષ્ણ-ગોપીની સંભોગક્રીડાને જયદેવની અસર ઝીલી કવિએ આલેખી છે. ‘વસંતનાં પદ’માં વસંતની માદકતા, કૃષ્ણ-ગોપીનું હોળીખેલન, વસંતવૈભવ જોઈ ગોપીચિત્તમાં ઊલટતો આનંદ ઇત્યાદિ લેખાય છે. ‘હિંડોળાનાં પદ’માં વર્ષાઋતુમાં હિંડોળે હીંચકતાં કૃષ્ણ-ગોપીની ક્રીડાનું આલેખન છે. ‘દ્વાદશમહિના/રાધાકૃષ્ણની બારમાસી’(મુ.) જેવી કોઈક કૃતિમાં વિરહભાવ છે, પરંતુ વિરહ અને તલસાટ કરતાં સંભોગનાં આનંદ અને તૃપ્તિ કવિનાં પદોમાં વિશેષ છે. પણ આ શૃંગારની કોઈ કુંઠા કવિના ચિત્તમાં નથી. ભક્ત માટે તો ગોપી એટલે વૃત્તિઓ, તેમનું આત્મામાં રમી રહેવું તે રાસ અને કૃષ્ણગોપીનો વિરહ તે ભક્તની બધી વૃત્તિઓનો પરમાત્મા સાથેનો યોગ છે. જસોદા અને ગોકુળવાસીઓના બાળકૃષ્ણ પ્રત્યેના વાત્સલ્યભાવને આલેખતાં પદોમાં કેટલાંક પદો કૃષ્ણજન્મવધામણીનાં છે. કૃષ્ણજન્મથી આનંદઉત્સવ માટે ગોપગોપીઓનું નંદને ઘેર ટોળે વળવું, ગોપીઓનાં મંગળગીત ગાવાં, પારણામાં ઝૂલતા કૃષ્ણને હીંચોળવા ઇત્યાદિ વીગતોથી કવિએ કૃષ્ણજન્મથી સૌના મનમાં જન્મેલી આનંદ અને ધન્યતાની લાગણીને વ્યક્ત કરી છે. બાળલીલાનાં ચાળીસેક પદોમાં કૃષ્ણે જશોદા ને ગોપીઓ પાસે કરેલાં તોફાન, બાળલીલાનું રૂપ જોતાં, એને જમાડતાં જસોદાના હૃદયમાં ઊલટતો આનંદ વિશેષ આલેખાય છે. ગોકુળમાં કૃષ્ણે કરેલા પરાક્રમને આલેખતું એક જ પણ ખૂબ લોકપ્રિય પદ ‘ઝળકમળ છાંડી જાને બાળા’ કવિ પાસેથી મળે છે. દાણલીલાનાં કેટલાંક પદ કવિને નામે મળે છે, પરંતુ એ અન્ય કોઈ કવિનાં હોવાની સંભાવના વ્યક્ત થઈ છે. કવિનાં પાછલાં વર્ષોમાં રચાયાં હોવાનું જેમને વિશે અનુમાન છે અને એમાંનાં કેટલાંકને કવિની પરિણતપ્રજ્ઞાનાં ફળ રૂપ ગણવામાં આવે છે તેવાં કેટલાંક ભક્તિજ્ઞાનનાં પદ કવિ પાસેથી મળે છે. ઝૂલણા બંધમાં રચાયેલાં અને પ્રભાતિયાં તરીકે જનસમાજમાં ખૂબ લોકપ્રિય આ પદોમાં કવિએ ભક્તિ અને ભક્તનો મહિમા ગાયો છે, એટલે એમાં બોધનું તત્ત્વ પ્રધાન છે. એમાં ક્યાંક કવિ ઈશ્વરને ભક્તની વહારે ચડવા વીનવે છે, ક્યાંક સંસારીજનને ઈશ્વર તરફ અભિમુખ થવાનું કહે છે, ક્યાંક કૃતક વૈષ્ણવને પુત્ર વગર ઘરમાં પારણું બાંધનાર મનુષ્ય કહીને તેની મજાક કરે છે ને સાચા વૈષ્ણવનાં લક્ષણ આપે છે, ક્યાંક ઈશ્વરસ્મરણ ન કરતા મનુષ્યને ‘સૂતકી નર’ કહે છે તો ક્યાંક ભક્તની હાંસી ઉડાવતા સંસારીજનને ભક્તિ જ સર્વસ્વ છે એવો ખુમારીભેર જવાબ આપે છે. પરંતુ આ પદોમાં પણ “નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો” “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ” ને “જાગીને જોઉં તો જગત દિસે નહીં” એ પદો ઇન્દ્રિયાતીત, અકળ, અવિનાશી, પરમ પ્રકાશરૂપ, દેહમાં દેવ, તેજમાં તત્ત્વ ને શૂન્યમાં શબ્દ એમ સમસ્ત સૃષ્ટિમાં ચૈતન્યમય તત્ત્વરૂપે વિલસી રહેલા ઉપનિષદકથિત બ્રહ્મતત્ત્વને ભવ્યતાનો સ્પર્શ કરાવતી જે પ્રાસાદિક વાણીમાં પ્રત્યક્ષ કરે છે તેને કારણે ગુજરાતી કવિતામાં ઊંચા સ્થાનનાં અધિકારી બન્યાં છે. જીવ, જગત એ ઈશ્વરના એકત્વને પ્રબોધતી કવિની દૃષ્ટિ પણ સગુણબ્રહ્મ પરથી ખસી નિર્ગુણબ્રહ્મ પર સ્થિર થયેલી દેખાય છે. પણ એ નિર્ગુણબ્રહ્મને પામવા માટે શ્રેષ્ઠ સાધન તો ભક્તિ જ છે એમ કવિ માને છે. ઝૂલણા, ચોપાઈ, દુહા, સવૈયા ઇત્યાદિની દેશીઓમાં રચાયેલાં અને કેદાર, વસંત, મલ્હાર ઇત્યાદિ રાગમાં ગાઈ શકાય એવાં આ પદોમાં રાગ-ઢાળ, ભાવ, પરિસ્થિતિ એમ ઘણું પરંપરામાંથી કવિને મળ્યું હોવાની પૂરી સંભાવના છે. એમાંનાં બધાં પદ એકસરખા કાવ્યગુણવાળાં નથી. ઉપાડની પંક્તિ આકર્ષક હોય અને પછી પદ લથડી જતું હોય, એકના એક ભાવનું સતત પુનરાવર્તન થતું હોય, ભાવ સ્થૂળ ને વાચ્ય બની જતો હોય એવું ઘણાં પદોમાં જોવા મળે છે. અને તો પણ કવિની પ્રતિભાનો સ્પર્શ પણ એમને એટલો જ મળ્યો છે. વિવિધ ભાવસ્થિતિઓને મૂર્ત કરતી કર્ણગોચર ને શ્રુતિગોચર લયવૈવિધ્યવાળી ધ્રુવપંક્તિઓ; “ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો”, “કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી”, કે “ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં હેમની કોર જ્યાં નીસરે તોલે” જેવી કલ્પનાસભર ચિત્રાત્મક અનેક પંક્તિઓ; ૨-૨ પંક્તિએ કે આખા પદમાં દરેક પંક્તિમાં એક જ પ્રાસ મેળવાયો હોય એવી પ્રાસયોજના, ઘણી જગ્યાએ ૨-૨ પંક્તિએ કે દરેક પંક્તિએ આવતાં તાનપૂરક ‘રે’, રવાનુકારી ને વર્ણપ્રાસયુક્ત શબ્દોનો બંધ ઇત્યાદિથી અનુભવાતું પદમાધુર્ય; આ સૌ તત્ત્વોને લીધે આ પદોમાંથી ઘણાં ગુજરાતના લોકજીવનની સાંસ્કૃતિક સંપત્તિ બની ચૂક્યાં છે, એમાંનાં આ કાવ્યબળથી ને એમાંના ભક્તિના ઉદ્રેકથી. [જ.ગા.]

પદ(નિરાંત) : નિરાંતકૃત ૨૦૦ ઉપરાંત પદો(મુ.)માંથી કેટલાંક હિંદીમાં છે તો કેટલાંક હિંદીમિશ્ર ગુજરાતી ભાષામાં પણ છે. આ પદો ધોળ, કાફી, ઝૂલણા વગેરે નામભેદો ધરાવે છે. ગણતર પદો ગોકુળ, વલ્લભકુળ, વિઠ્ઠલજીના નિર્દેશો ધરાવતાં મળે છે ને ગોપીભાવનાં-પ્રિયતમાભાવનાં, કૃષ્ણપ્રશસ્તિનાં, એના રૂપવર્ણનનાં, હરિકૃપાના વર્ણનનાં ને ‘થાળ’ જેવા પ્રકારનાં કેટલાંક પદો પણ મળે છે. જેમાં વૈષ્ણવી પ્રેમલક્ષણા ભક્તિનું અનુસરણ ને સાંપ્રદાયિક પ્રભાવ જોઈ શકાય. પરંતુ વલ્લભકુળને વિઠ્ઠલજીનો મહિમા કરતી વખતે કવિ એમને “વર્ણાશ્રમથી વિશેષ, વર્ણાશ્રમથી ન્યારા” કહીને ઓળખાવે છે, “વંકા વનમાળી”ને “નિર્ગુણ નામ તમારું” એમ કહે છે, વિઠ્ઠલ (શ્રીકૃષ્ણ)નું રૂપવર્ણન કરતી વખતે એમને સુમતિનારી અને નિવૃત્તિનારીના વર તરીકે ઉલ્લેખે છે અને મોરલીને “મરમની” કહી એના “જ્ઞાનઘન નૌતમનાદ”નો નિર્દેશ કરે છે - એ બધું કવિ સગુણ ભક્તિમાં નિર્ગુણ જ્ઞાનવિચારની ગૂંથણી કરી રહ્યા હોવાનું ને સાંપ્રદાયિક પ્રભાવને ઓગાળી નાખતા હોવાનું બતાવે છે. કવિનાં મોટા ભાગનાં પદો તો શુદ્ધ જ્ઞાનવિચારનાં જ છે, જેમાં એમની ભૂમિકા અદ્વૈત વેદાંતની હોવાનું પ્રતીત થાય છે. એ અદ્વૈત બ્રહ્મનું, માયાનું, સંસારના મિથ્યાત્વનું વર્ણન કરે છે અને શુભ-અશુભ બન્ને પ્રકારનાં કર્મોને જાળ તરીકે ઓળખાવે છે. કવિની દાર્શનિક ભૂમિકામાં યોગમાર્ગનો પણ થોડો વણાટ છે, પણ વિશેષે એમાં મધ્યકાલીન સંતપરંપરાનું અનુસંધાન વરતાય છે. સદ્ગુરુમહિમા, સંત-સંગતનો મહિમા, ગુરુ તે બ્રહ્મ ને બ્રહ્મ તે ગુરુ એવો મનોભાવ, નામ એટલે કે આત્મસ્વરૂપનો મહિમા, શાસ્ત્રજ્ઞાનપંડિતાઈને સ્થાને સમજણ કે અનુભવનું મહત્ત્વ, વેશ, પંથ વગેરેનો તિરસ્કાર-આ એનાં લાક્ષણિક તત્ત્વો છે. નિરાંત કવચિત્ રૂપકાદિનો આશ્રય લે છે-સંસારને મૂળ વગરના વૃક્ષ તરીકે, કાયાને રેંટિયા તરીકે ને મનને વાણિયા તરીકે વર્ણવે છે, પરંતુ સામાન્ય રીતે એમણે સીધા કથનનો આશ્રય લીધો છે. એમની વાણીમાં સરળતા, પ્રવાહિતા અને પ્રાસાદિકતા છે ને તળપદી અભિવ્યક્તિની એમને ફાવટ છે. દંભી ગુરુઓ વગેરે પરના પ્રહારમાં એમની વાણી બળકટ બને છે.[જ.કો.]

પદ(નિષ્કુળાનંદ) : નિષ્કુળાનંદકૃત પદો(મુ.) ૩૦૦૦ જેટલાં હોવાનું કહેવાય છે, પરંતુ તેમાં ‘વૃત્તિવિવાહ’ જેવી પદસમુચ્ચય રૂપ કૃતિઓનાં અને અન્ય દીર્ઘ કૃતિઓમાં મળતાં પદોનો પણ સમાવેશ થતો હશે એમ લાગે છે. નિષ્કુળાનંદની ઘણી કૃતિઓના પદ્યબંધમાં પદપ્રકારનો વિનિયોગ નોંધપાત્ર પ્રમાણમાં છે. સંપ્રદાયમાં કીર્તનોને નામે ઓળખાયેલાં, ગુજરાતી ઉપરાંત હિંદીમાં તે કવચિત્ કચ્છીમાં મળતાં પદો વિવિધ રાગોનો નિર્દેશ ધરાવે છે ને બારમાસી, તિથિ, થાળ, વસંત, ધોળ, રેખતા, પરજિયા, સાખી આદિ પ્રકારભેદો બતાવે છે. એમાં સહજાનંદસ્વામીના સ્વરૂપવર્ણનનાં ને એમનાં વિરહનાં પદો છે, કદાચ જૈન અસર નીચે રચાયેલ શિયળની વાડનાં પદો છે, પંચેન્દ્રિયોના ભોગનાં પદો છે, પ્રેમલક્ષણા ભક્તિનાં પદો છે ને જ્ઞાનનાં તથા ભક્તિવૈરાગ્યબોધનાં પદો છે. પ્રેમલક્ષણા ભક્તિનાં પદોમાં કૃષ્ણરૂપનાં વર્ણનો ને એમને માટેના મુગ્ધ પ્રીતિભાવ ને વિરહભાવની અભિવ્યક્તિ છે. સંયોગશૃંગારનાં ચિત્રો નથી. આ પદો મોટી સંખ્યામાં છે, છતાં નિષ્કુળાનંદ વધુ પ્રસિદ્ધ છે એમનાં વૈરાગ્યભાવનાં પદોને કારણે “જનની જીવોરે ગોપીચંદની” ને “ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના” જેવાં એમનાં પદો ખૂબ લોકપ્રિય બનેલાં છે. જ્ઞાન, વૈરાગ્ય, બ્રહ્મચર્ય, ત્યાગ, તિતિક્ષા, સહિષ્ણુતા અને શમદમાદિક ગુણોનો પ્રચાર કરતાં આ પદો સરળ, ઘરગથ્થુ પણ વેગવતી ભાષા તથા પૌરાણિક-લૌકિક દૃષ્ટાંતોના વિનિયોગથી અસરકારક બનેલાં છે. એ કેટલીક વાર ઉદ્બોધન રૂપે તો કોઈ વાર આત્મકથન રૂપે રચાયેલાં છે. એ શૈલીછટા પણ ઉપકારક બની છે. કૃષ્ણપ્રીતિનાં પદોમાં કવિનું ભાષાલાલિત્ય દેખાય છે. સાધુઓની આસક્તિ જોઈને સહજાનંદે એમની કામળીઓ બળાવી નાખેલી તે પ્રસંગનું તથા સહજાનંદના દેહવિલય પછી સાધુઓમાં કેવો શિથિલાચાર પ્રવેશશે એનું વર્ણન કરતાં ૨ પદો મળે છે તે એમાંના કરુણ-વિનોદી ચિત્રણને કારણે નોંધપાત્ર બને છે. [શ્ર.ત્રિ.]

પદ(પ્રીતમ)  : જ્ઞાનવૈરાગ્ય અને કૃષ્ણભક્તિનાં ગુજરાતી અને હિંદીમાં ઘણાં પદ પ્રીતમે રચ્યાં છે, જેમાંથી આશરે ૫૧૫ જેટલાં પદ મુદ્રિત સ્વરૂપે મળે છે. વિવિધ રાગઢાળવાળાં અને થાળ, આરતી, ગરબી, ગરબા ઇત્યાદિ સ્વરૂપે મળતાં આ પદોમાં જ્ઞાનવૈરાગ્યનાં પદોનું પ્રમાણ વધારે છે. સંસારી મનુષ્યને ઉદ્બોધન કરી રચાયેલાં જ્ઞાન-વૈરાગ્યનાં ઘણાં પદોમાં સંસારની માયાથી મુક્ત બનવાનો, સદ્ગુરુનાં ચરણ સેવવાનો, સંતસમાગમ કરવાનો અને ઇશ્વરાભિમુખ બનવાનો જે બોધ કવિ આપે છે તેમાં પરંપરાથી ચાલ્યા આવેલા વિચારોનું અનુસરણ વિશેષ છે, પરંતુ કેટલાંક લોકગમ્ય દૃષ્ટાંતો ને રૂપકોથી અને કવચિત્ પદોમાં વ્યક્ત થતાં દીનતા, આર્જવ, આક્રોશ જેવા ભાવોથી એ આકર્ષક બને છે. “ભક્તિ એવી રે ભાઈ એવી તરસ્યાંને પાણી રે જેવી”, “આનંદ મંગળ કરું આરતી હરિ-ગુરુ-સંતની સેવા”, “હરિનો મારગ છે શૂરાનો”, “જીભલડી તુને હરિગુણ ગાતાં આવડું આળસ ક્યાંથી રે” જેવાં આ પ્રકારનાં કવિનાં પદો ખૂબ લોકપ્રિય છે. બ્રહ્મના સ્વરૂપનું વર્ણન કરતાં “માયા બ્રહ્મ હોરી ખેલીઓ હો” જેવાં કે બ્રહ્મપ્રાપ્તિનો આનંદ વ્યક્ત કરતાં કોઈક પદ પણ કવિએ રચ્યાં છે. કવિનાં કૃષ્ણલીલાનું ગાન કરતાં પદોમાં પ્રેમલક્ષણા ભક્તિના કવિઓની કવિતામાં મળે છે તેમ કૃષ્ણજન્મ, કૃષ્ણજન્મની વધાઈ, બાળલીલા, દાણલીલા, રાધાકૃષ્ણવિવાહ એમ દરેક વિષય પર રચાયેલાં પદો મળે છે. તેમાં દાણલીલાનાં પદ પણ કવિએ રચ્યાં છે, રણછોડજીનાં ગરબા ને આરતીય લખ્યાં છે. એટલે કવિનાં કૃષ્ણભક્તિનાં પદ કૃષ્ણની ગોકુળલીલાપૂરતાં સીમિત નથી. ઈ.૧૯૭૧માં પડેલા દુષ્કાળને વિષય બનાવી રચાયેલાં ‘સુડતાળાકાળ’ વિશેનાં ૪ પદ છે તો આમ ભક્તિમૂલક, પરંતુ પોતાની આસપાસના સામાજિક જીવનની ઘટનાને વિષય તરીકે લઈ રચાયાં હોવાથી લાક્ષણિક બને છે. સંત રવિદાસને સંબોધીને રચાયેલું એક પદ પણ કવિનું મળી આવે છે.[ર.શુ.]

પદ(પ્રેમસખી પ્રેમાનંદ) : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ પ્રેમસખી પ્રેમાનંદે ૧૦ હજાર જેટલાં પદો ગુજરાતી અને હિંદીમાં લખ્યાં છે એવું મનાય છે, પરંતુ અત્યારે ઉપલબ્ધ ચારેક હજાર પદોમાંથી ત્રણેક હજાર પદ મુદ્રિત સ્વરૂપે મળે છે. કંઈક પ્રસંગકથનનો તંતુ ભળેલો હોય એવી ઠીકઠીક સંખ્યામાં રચાયેલી પદમાળાઓનાં પદ પણ એમાં સમાવિષ્ટ થઈ જાય છે. તિથિ, વાર, રાશિ, માસ, ગરબો, ગરબી સ્વરૂપે મળતાં આ પદોમાં એમાંના રવાનુકારી શબ્દો, વર્ણસામર્થ્યની જન્મતું નાદતત્ત્વ, સંગીતના વિવિધ રાગમાં સહેલાઈથી ગાઈ શકાય એવા એમનો શબ્દબંધ ઇત્યાદિથી જે સંગીતતત્ત્વનો અનુભવ થાય છે તે કવિના શાસ્ત્રીય સંગીતના જ્ઞાન અને ભાષાપ્રભુત્વને પ્રગટ કરે છે. કવિનાં કૃષ્ણભક્તિનાં પદોમાં ગુજરાતી-હિંદીમાં વિક્સેલી પ્રેમલક્ષણા ભક્તિની કવિતાનું અનુસંધાન છે. કૃષ્ણની ગોકુળલીલાની વિવિધ સ્થિતિઓને આલંબન તરીકે લઈ કવિએ વિવિધ ભાવવાળાં અનેક પદ રચ્યાં છે. એમાં કૃષ્ણને જગાડવા માટે રચાયેલાં પ્રભાતનાં પદો છે, જસોદા અને ગોપીઓ પાસે કૃષ્ણે કરેલાં તોફાનને આલેખતાં નટખટ કૃષ્ણની છબી ઉપસાવતાં વિનોદની છાંટવાળાં બાળલીલાનાં ને દાણલીલાનાં પદ છે, કૃષ્ણના રૂપનું વર્ણન કરતાં પદો છે, કૃષ્ણ અને ગોપીઓના રાસનાં પદ છે, તો ગોપીઓની કૃષ્ણ પ્રત્યેની શૃંગારપ્રીતિનાં પદો પણ છે. એમનાં શૃંગારનાં પદોમાં સંભોગ ઓછો, વિરહ વિશેષ છે. કાવ્યત્વની દૃષ્ટિએ પણ વિરહનાં પદો વધુ આસ્વાદ્ય છે. ગોપીના ચિત્તમાં કૃષ્ણ પ્રત્યે જન્મેલું અદમ્ય આકર્ષણ, એને અનહત સંભળાતા વાંસલડીના સૂર, એમાંથી જન્મતી બેચેની અને પોતાના સાંસારિક જીવન પ્રત્યેની ઉદાસીનતા આલેખી કૃષ્ણ માટેના ગોપીહૃદયમાં રહેલા તલસાટને કવિ વાચા આપે છે. કૃષ્ણના મથુરાગમન પછી ગોપીઓની વિરહવ્યાકુળતાને પણ કવિએ આલેખી છે. સહજાનંદને કવિ કૃષ્ણસ્વરૂપ ગણતા હોવાથી સહજાનંદભક્તિનાં પદો ‘પ્રેમાનંદકાવ્ય’ (ભાગ ૧-૨)નાં કૃષ્ણભક્તિનાં પદો સાથે ભળી ગયાં છે. એમાં ‘હરિસ્વરૂપ ધ્યાનસિદ્ધિ’નાં ૩૦ પદોમાં કવિએ સહજાનંદ સ્વામીનાં મુખ, નયન, નાસિકા, ભુજ, છાતી જેવાં અંગો, એમની ચાલ, સામુદ્રિક લક્ષણો, રૂપ, વસ્ત્રાલંકાર, ટેવો ઇત્યાદિનું વીગતે વર્ણન કર્યું છે. સહજાનંદ પ્રત્યેની પ્રીતિ એ પદોમાં અનુભવાય છે ખરી, પરંતુ કવિનાં ઉત્તમ પદો તો સહજાનંદવિરહનાં છે. સહજાનંદ સ્વામીને પ્રવાસગમન કરવું પડતું ત્યારે સહજાનંદના વિયોગમાંથી ઘણાં વિરહભાવનાં પદો રચાયાં છે. પરંતુ એમાંય સહજાનંદ સ્વામીના મૃત્યુ પછી રચાયેલાં, કવિના શોકસંતપ્ત હૃદયમાંથી નીકળેલાં વિરહનાં પદો, એમાંથી પ્રગટતી ઉત્કટ વેદનાથી વધુ ધ્યાનાર્હ છે. એ સિવાય દીક્ષાવિધિ, સત્સંગી વૈષ્ણવનાં લક્ષણો, વૈરાગ્યવાન શિષ્યનાં લક્ષણો, હરિભક્તે પાળવાના નિયમો વગેરે વિશે સાંપ્રદાયિક રંગવાળાં બોધાત્મક પદો કવિએ જેમ રચ્યાં છે તેમ અન્ય ભક્તકવિઓની જેમ સંસાર પ્રત્યે અનાસક્તિ કેળવવાનો બોધ આપતાં વૈરાગ્યનાં પદો પણ લખ્યાં છે. આ પ્રકારનાં પદોમાં પોતાને ઇશ્વરના ચરણમાં રાખવાની પ્રાર્થના કરતાં પદો એમાંના આર્જવથી, એમાં અનુભવાતી સૂફીઓના જેવી પ્રેમમસ્તીથી વધુ કાવ્યગુણવાળાં બન્યાં છે.[ચ.મ.]

પદ(બાપુસાહેબ ગાયકવાડ) : જ્ઞાની ને મરાઠી કવિ બાપુસાહેબ ગાયકવાડનાં, મહિના, પરજીઆ, રાજિયા, કાફી અને ગરબી રૂપે ઉપલબ્ધ થતાં ગુજરાતી ને ક્યારેક સાધુશાઈ હિંદીમાં રચાયેલાં દોઢસો જેટલાં પદ (મુ.)નો વિષય છે વૈરાગ્યબોધ. જ્ઞાનોપદેશ, ધર્મવેશ, બ્રાહ્મણશુદ્રભેદ અને બ્રહ્મજ્ઞાન એ ચાર શીર્ષકમાં વહેંચાયેલાં એમનાં ૭૦ જેટલાં પદોમાં જ્ઞાની કવિઓની માફક આમ તો તેઓ પણ આત્મજ્ઞાન, સાચી સમજણ ને સદ્ગુરુનો મહિમા કરે છે, પરંતુ તેમનું વિશેષ લક્ષ લોકજીવનમાંથી દૃષ્ટાંતો ઉપાડીને કટાક્ષનો આશ્રય લઈ ધર્મને નામે પાખંડ ચલાવતાં પંડિત, બ્રાહ્મણ, મુલ્લા, ગુરુ પર પ્રહારો કરવાનું છે અને એ બાબતમાં એમનાં પદ અખાના છપ્પાની વિશેષ નજીક જાય છે. જેમ કે, સંસારમાં પૂરેપૂરા આસક્ત છતાં વૈરાગ્યનો ઢોંગ કરનાર મનુષ્યોની ઉપદેશવાણીને કોરુંકટ માટલું ઝમવા જેવી વાત સાથે તેઓ સરખાવે છે. ૪-૪ ગરબીઓનાં ૧૦ અંગોમાં વહેંચાયેલી એમની ૪૦ ગરબીઓમાં મનુષ્યને માયામાં જકડી રાખનાર સ્ત્રી, ધન, પુત્ર, દેહ ઇત્યાદિની આસક્તિમાંથી મુક્ત થવાનો બોધ છે. પત્ની, માતા, દીકરી, બહેન, સાસુ વગેરેના મૃતપુરુષને સંબોધીને રચાયેલાં ‘ષડ્રિપુના રાજિયા’માં કામ, ક્રોધ, મોહ, લોભ વગેરે ષડ્રિપુઓથી ભરેલા, મયાના બંધનમાં અટવાયેલા ને સાચા જ્ઞાનને વીસરી ગયેલા સાંસારિક મનુષ્યની જીવનકથની, વખતોવખત કટાક્ષનો આશ્રય લઈ કવિએ આલેખી છે. ‘બ્રહ્મબોધ’ની ૨૪ અને ‘જ્ઞાનોપદેશ’માંની ૬ કાફીઓમાં સાચું બ્રહ્મજ્ઞાન કોને કહેવાય, એવું બ્રહ્મજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય એની વાત છે. તળપદી ભાષાનું જોમ અને દૃષ્ટાંતોમાંથી ઊપસતું તત્કાલીન લોકજીવન એમની પદરચનાઓની વિશિષ્ટતા છે. ‘મહિના/જ્ઞાનના દ્વાદશમાસ’ (ર.ઈ.૧૮૩૪)માં બ્રહ્મના અનુભવનો આનંદ વ્યક્ત કરતી કવિની વાણી કટાક્ષ ને બરછટતા છોડી ભક્તિભાવના ઉલ્લાસવાળી બની છે. “શાંતિ પમાડે તેને તો સંત કહીએ” જેવી આકર્ષક ઉપાડની પંક્તિઓવાળાં પદ પણ એમની પાસેથી મળે છે.[દે.દ.]

પદ(બ્રહ્માનંદ) : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ બ્રહ્માનંદે ૮૦૦૦ પદ રચ્યાં હોવાનું મનાય છે, પરંતુ એમાંથી અત્યારે ૨૬૦૦ જેટલાં પદ મુદ્રિત સ્વરૂપે મળે છે. ‘ભક્તિવિલાસ’, ‘પ્રભાતસંગ્રહ’, ‘થાળસંગ્રહ’, ‘આરતીસંગ્રહ’, ‘શયનપદસંગ્રહ’, ‘ઉત્સવપદસંગ્રહ’, ‘હિંડોળા’, ‘શૃંગારવિલાસ’, ‘લીલાવર્ણન’, ‘વિરહવર્ણન’ ને ‘જ્ઞાનવિલાસ’ એ શીર્ષકો નીચે વહેંચાયેલાં; ગુજરાતી, કચ્છી, હિંદી ચારણી જેવી વિવિધ ભાષાઓમાં ગરબી, થાળ, આરતી, ભજન સ્વરૂપે મળતાં; ઝૂલણા, ચોપાઈ, હરિગીત, કુંડળિયા, રેણકી વગેરે છંદોની દેશીઓમાં રચાયેલાં ને અનેક સંગીતના રાગના નિર્દેશવાળાં કવિનાં પદો પર ભૂજની કાવ્યશાળામાં લીધેલી તાલીમનો પૂરો પ્રભાવ વરતાય છે. કૃષ્ણલીલાનાં અનેક પદોમાં એમની પ્રસાદમધુર અભિવ્યક્તિ, પ્રાસની સહજશક્તિ, સફાઈદાર શબ્દરચનાનો જેમ અનુભવ થાય છે તેમ કેટલાંક ભક્તિનાં પદોમાં બલિષ્ઠતા ને જોમનો અનુભવ પણ થાય છે. સૌરાષ્ટ્રની તળપદી ભાષાના અનેક પ્રયોગોથી એમની વાણીમાં વિશિષ્ટ પ્રકારની બળકટતા આવે છે. લવવૈવિધ્યવાળી ધ્રુવપંક્તિઓ એમનાં પદોનું આકર્ષક અંગ છે. ધ્રુવપંક્તિ, શબ્દપસંદગી કે વિચારની અંદર ક્યારેક એમનાં પદો નરસિંહ-મીરાંનાં પદોની અસર ઝીલતાં જોઈ શકાય. સાંપ્રદાયિક અસરને વિશેષ રૂપે ઝીલી કવિએ મંગળા, રાજભોગ, શયન વગેરે જુદે જુદે સમયે મંદિરોમાં થતાં દર્શન કે દિવાળી, અન્નકૂટ, શરદપૂર્ણિમા, એકાદશી હોળી વગેરે ધાર્મિક ઉત્સવોને વિષય બનાવી ઘણાં ચોસર પદો રચ્યાં છે. રણછોડજી દ્વારિકાથી વડતાલ પધાર્યા એ પ્રસંગને આલેખતાં પણ કેટલાંક પદ એમણે રચ્યાં છે. એ સિવાય પ્રેમલક્ષણા ભક્તિની પરંપરાને અનુસરી કૃષ્ણલીલા સાથે સંકળાયેલાં કૃષ્ણજન્મઉત્સવ ને બાળલીલાવિષયક વાત્સલ્યપ્રીતિનાં અને દાણલીલા, રાસ, ઇજન, ગોપીવિરહ, ઉદ્ધવસંદેશ, કૃષ્ણરૂપવર્ણન વગેરેનાં શૃંગારપ્રીતિનાં પદો પણ એમણે રચ્યાં છે. તેમાં દાણલીલા અને ગોપીઉપાલંભનાં ઘણાં પદો એમાંના વિનોદને લીધે વિશેષ ધ્યાન ખેંચે છે. સહજાનંદસ્તુતિનાંય કેટલાંક પદ કવિ પાસેથી મળે છે, જેમાંના ઘણાં સહજાનંદ સ્વામીના જીવનમાં બનેલા પ્રસંગો સાથે સંબંધ ધરાવે છે એવું મનાય છે. કવિનાં બોધાત્મક પદોમાં ભક્તિ પરની અડગ નિષ્ઠા પ્રગટ કરતાં “શિર સાટે નટવરને વરીએ” જેવાં પદ એમાંની શૌર્યની દીપ્તિથી અસરકારક બન્યાં છે. અન્ય વૈરાગ્યબોધનાં પદોમાં સંતસમાગમ,સીતધર્મ, સદાચાર વગેરેનો દૃષ્ટાંતોથી મહિમા કર્યો છે તો વિષયલોલુપ ને વિકારી જીવને કટાક્ષના ચાબખા પણ માર્યા છે. “આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગે જી” જેવું સુંદર પદ એમાંથી મળે છે.[ચ.મ.]

પદ(ભોજો) : ચાબખા, પ્રભાતિયાં, કીર્તન, ધોળ, કાફી, આરતી, મહિના, વાર, તિથિ ઇત્યાદિ પ્રકારભેદમાં મુદ્રિત રૂપે ઉપલબ્ધ થતાં ભોજા ભગતનાં પદોમાં ૧૭૫ને હસ્તપ્રતનો આધાર છે. આ પદોમાં કેટલાંક સાધુશાઈ હિંદીમાં છે ને કેટલાંક પર વ્રજભાષાની અસર છે. આ પદોમાં જનસમાજમાં ખૂબ લોકપ્રિય કવિનાં ૪૦-૪૫ ચાબખા છે. તીખા પ્રહારોને લીધે ચાબખા નામથી જાણીતાં થયેલાં આ પદોમાં ઉદ્બોધનશૈલીનો આશ્રય લઈ કવિ સંસારી સુખનું મિથ્યાત્વ બતાવી એ સુખમાં રચ્યાપચ્યા રહેતા અજ્ઞાની મનુષ્યને તીખાં વચનોથી ઢંઢોળી વૈરાગ્ય તરફ વળવાનો બોધ કરે છે. કેટલાક ચાબખામાં ધર્મને નામે પાખંડ ચલાવતા ઢોંગી સાધુઓ પર પ્રહાર કરે છે. જેમ કે સંસારીસુખમાં ડૂબેલા મનુષ્યને ઇંદ્રિયસ્વાદથી લલચાઈ ખાટકીવાસમાં જતા ને પછી ઊંધે મસ્તકે ટીંગાતા ઘેટા સાથે સરખાવે છે. પાખંડી સાધુઓને “રાખો ચોળી પણ રાંડોના રસિયા” કહી એમના ઢોંગીપણાને ખુલ્લુ પાડે છે. સૌરાષ્ટ્રની તળપદી બોલીના સંસ્કાર, રૂઢોક્તિઓ, દૃષ્ટાંતો ને ઘણી જગ્યાએ યુદ્ધની પરિભાષાનો પ્રયોગ એ સહુને લીધે ચાબખાની વાણી જોરદાર ને સોંસરવી ઊતરી જાય એવી બની છે. “પ્રાણિયા ! ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર” કે “જીવને શ્વાસ તણી સગાઈ” એમના ઉત્તમ ચાબખા છે. અગમ્ય તત્ત્વના અનુભવને વ્યક્ત કરતાં ‘સંતો! અનહદજ્ઞાન અપારા’ જેવાં સુંદર પદો કવિએ રચ્યાં છે, તો ‘કાચબા-કાચબી’ જેવું ભક્તિનો મહિમા કરતું પદ પણ રચ્યું છે. અન્ય વૈરાગ્યબોધક પદોમાં સદ્ગુરુનો મહિમા, જીવનમુક્તનાં લક્ષણો વગેરે વ્યક્ત થયાં છે. કવિએ રચેલાં કેટલાંક કૃષ્ણભક્તિનાં પદોમાં કૃષ્ણજન્મનો આનંદ, કૃષ્ણગોપીની શૃંગારકેલિ ને મથુરા ગયેલા કૃષ્ણને સંદેશો મોકલતી ગોપીના વિરહ વર્ણવાયાં છે. [ર.શ.]

પદ(મીરાંબાઈ) : ગુજરાતી, રાજસ્થાની અને વ્રજમાં હસ્તપ્રતો અને મૌૈખિક રૂપે ઉપલબ્ધ થતાં મીરાંબાઈનાં પદોની સંખ્યા આમ તો ઘણી મોટી છે. પરંતુ એમનાં પદોની જૂનામાં જૂની ૨ હસ્તપ્રત - ૧ ડાકોરની (લે.ઈ.૧૫૮૬) ૬૯ અને બીજી કાશીની (લે.ઈ.૧૬૭૧) ૧૦૩ પદવાળી-ઉપલબ્ધ થાય છે, જેમાંની પહેલી તેમની કોઈ લલિતા નામની સખી દ્વારા લખાઈ છે. કાશીની પ્રતમાં ડાકોરની પ્રતનાં ૬૯ પદ એ જ ક્રમમાં પહેલાં મળે છે અને બીજાં ૩૪ પદ નવાં ઉમેરાયેલાં છે. એટલે આ પદોને મીરાનાં સૌથી વધુ અધિકૃત પદો માનવાનું વલણ વિદ્વાનોનું છે. આ પદો પાછળથી શબ્દો, પંક્તિઓના ઓછાવત્તા ફેરફાર સાથે અનેક રૂપે જનસમાજમાં ફેલાયાં તેમ જ બીજાં અનેક પદ એમાં ઉમેરાયાં. માત્ર ગુજરાતીમાં ૪૦૦ જેટલાં એમનાં પદ મુદ્રિત સ્વરૂપે મળે છે. આ સૌથી જૂની ૨ હસ્તપ્રતોનાં પદોની ભાષા પ્રાચીન રાજસ્થાની છે. કૃષ્ણપ્રીતિ એમની કવિતાનો સ્થાયી ભાવ છે, પરંતુ પ્રેમલક્ષણા ભક્તિની કવિતામાં કૃષ્ણપ્રીતિની આસપાસ રહીને પણ જે ભાવવૈવિધ્ય ગુજરાતી-હિન્દી કવિતામાં સધાયું છે તે મીરાંબાઈનાં પદોમાં એટલા પ્રમાણમાં નથી. કોઈપણ પ્રકારની સાંપ્રદાયિકતાથી મુક્ત એમનાં પદોમાં વાત્સલ્યપ્રીતિ નથી અને શૃંગારપ્રીતિમાંય વિરહપ્રીતિ જ મુખ્ય છે. સંભોગપ્રીતિ તો કવચિત્ કોઈ પદમાં અને તે પણ એના સંયત રૂપમાં વ્યક્ત થઈ છે. મનોમન જેને પોતાનો પતિ માની લીધો છે તે કૃષ્ણના મિલન માટેનો ઊંડો તલસાટ ને એમાંથી જન્મતાં વ્યાકુળતા-દર્દ એમનાં પદોમાં ઘૂંટાઈઘૂંટાઈને વ્યક્ત થાય છે. એમની કવિતાનો ઉત્તમાંશ આ પ્રેમવિહ્વળ દશાને વ્યક્ત કરતાં પદો છે. કોઈ રચનાચાતુરી વગર ક્યારેક કોઈ હૃદયસ્પર્શી કલ્પનથી, અત્યંત લાઘવ ને સાવ સરળ પણ સંગીતમય પદાવલિથી આ પદોમાં રહેલો વિરહભાવ એની તીવ્રતા, ગહનતા ને કોમળતા સમેત હૃદયને સ્પર્શે છે. ફાગણના હોળીખેલનના દિવસ હોય કે અસાડની વર્ષા હોય, પીંછીના આછા લસરકાથી પ્રેમવિહ્વળ સ્ત્રીનું ચિત્ર તેઓ આંકી દે છે. પતિના આગમનની રાહ જોતી વિરહિણીનું ચિત્ર “ઊંચો ચઢચઢ પંથ નિહારયાં કલપકલપ અખયાં રાંતી” કે પ્રિયતમની પ્રતીક્ષાની તીવ્રતા, વ્યાકુળતા, કંઈક થાક ને નિરાશા એ સૌ ભાવોને વ્યક્ત કરતાં “પાના જ્યું પીલી પડી રે લોગ કહ્યાં પિંડ બાય” ને “ગણતાંગણતાં ઘીશ ગયાં રેખાં આંગરિયાં રિ શારી” એ ચિત્રો મીરાંની કલ્પનનિર્માણની શક્તિનાં ઉત્તમ દૃષ્ટાંત છે. વિરહિણી સ્ત્રીના મનોભાવ રૂપે વ્યક્ત થયેલી કૃષ્ણમિલન માટેની આ વ્યાકુળતામાં શૃંગારની પ્રગલ્ભતા ને સાંસારિક વાસનાનો સ્પર્શ નથી, રિસાળપણું કે માનિનીપણું પણ નથી. એમાં દાસીપણું છે, સહજતા ને સાત્ત્વિકતા છે. કૃષ્ણરૂપવર્ણનનાં પણ કેટલાંક પદ મીરાંબાઈ પાસેથી મળે છે, જે કૃષ્ણ સતત એમના ચિત્તમાં રમ્યા કરતા હશે એની પ્રતીતિ કરાવે છે. મીરાંબાઈએ પોતાને કુટુંબ સાથે થયેલા સંઘર્ષની અંગત જીવનની વીગતોનો ઉલ્લેખ કરતાં કેટલાંક આત્મચરિત્રાત્મક પદો રચ્યાં છે. એમનો સાધુસંતો સાથેનો સમાગમ, રાણાનો રોષ, એમને મારી નાખવા માટે રાણાએ મોકલેલો ઝેરનો પ્યાલો કે કરંડિયામાં મોકલેલો નાગ, વગેરે વીગતોનો એમાં ઉલ્લેખ છે. આ પદોમાંથી મીરાંબાઈની અવિચલિત ગિરિધરનિષ્ઠા, ભક્તિની મસ્તી ને જગનિંદાની બેપરવાઈ ઊપસી આવે છે. પ્રભુભક્તિનો મહિમા કરતાં પણ થોડાંક પદ મીરાંએ રચ્યાં છે. ગુજરાતીમાં મુદ્રિત રૂપે ઠીકઠીક મોટી સંખ્યામાં ઉપલબ્ધ થતાં મીરાંબાઈનાં પદોમાં એમનાં અધિકૃત ગણાતાં ઘણાં પદ પ્રક્ષેપો સાથે ને પાઠભેદે મળી આવે છે, પરંતુ એમની કવિતાનો ઉત્તમાંશ જેમાં છે તે વિરહભાવનાં પદ ગુજરાતીમાં વિશેષ નથી. આત્મચરિત્રાત્મક પદોની સંખ્યા મોટી છે. એ સિવાય દાણલીલા, કૃષ્ણની મોરલીના સૂર કે કૃષ્ણના અબોલાથી જન્મતી વ્યાકુળતા, કૃષ્ણને ભોજન માટે અપાતાં ઇજન વગેરે ગોપીભાવનાં વિશેષ પ્રમાણમાં મળતાં પદો; “સત્સંગનો રસ ચાખ પ્રાણી” કે “મળ્યો જટાધારી જોગેશ્વર બાવો” જેવાં નાથસંપ્રદાયની અસર બતાવતાં પદ કે “જૂનું થયું રે દેવળ જૂનું થયું” જેવાં નિર્ગુણઉપાસનાવાળાં વૈરાગ્યબોધક પદ વગેરે મીરાંની સૌથી જૂની ગણાતી ઉપર નિર્દિષ્ટ પ્રતોમાં નથી. એમાંનાં કેટલાંક પદ અન્ય મધ્યકાલીન કવિઓનાં હોવાનું સ્વીકારાયું છે. બીજાં પદોનું મીરાંકર્તૃત્વ શંકાસ્પદ હોવાનો હિન્દી વિદ્વાનોનો મત ઉચિત લાગે છે.[જ.ગા.]

પદ(રવિદાસ) : ગરબી, ગરબો, ધોળ, સરવડાં, કાફી, રેખતા આદિ પ્રકારો અને વિવિધ રાગોનો નિર્દેશ ધરાવતાં અને અનેક પ્રસંગે વિવિધ પ્રકારની ધ્રુવાઓનો વિનિયોગ કરી રમણીય ગેયતા સિદ્ધ કરતાં ૩૫૦ ઉપરાંત પદો (મુ.) વિષય અને નિરૂપણરીતિના વૈવિધ્યથી પણ ધ્યાન ખેંચે છે. અહીં જ્ઞાન અને ભક્તિમાર્ગના પ્રવાહીનું વિલક્ષણ સંમિશ્રણ થયેલું છે. થાળ, બાળલીલા, ઉદ્ધવસંદેશ, શૃંગારલીલા વગેરે કૃષ્ણચરિત્રના પરંપરાગત વિષયો આલેખાયા છે અને એમાં પ્રણયાર્દ્ર ગોપીભાવનાં, મનોરમ કૃતકકલહનાં અને પ્રગલ્ભ સંયોગશૃંગારનાં ચિત્રણો પણ મળે છે. પ્રેમલક્ષણા ભક્તિનાં આ પદોની બહુલતા ધ્યાન ખેંચે આવી છે, તો બીજી બાજુથી સદ્ગુરુમહિમા, નામમહિમા, વૈરાગ્યબોધ અને અધ્યાત્મજ્ઞાનનાં પદો પણ ઠીક સંખ્યામાં મળે છે. ખીમ-રવિ પ્રશ્નોત્તરીનાં પદો તેમ જ પ્રીતમદાસ વગેરેને પત્રો રૂપે લખાયેલાં પદોમાં જ્ઞાનચર્ચા જ છે. સદ્ગુરુ પ્રત્યેનો કવિનો આર્દ્ર ભક્તિભાવ સ્પર્શી જાય એવો છે. જ્ઞાન-વૈરાગ્યનાં પદોમાં રૂપકાત્મક નિરૂપણરીતિનું પ્રાધાન્ય દેખાય છે. રેંટીડો/ચરખો, કટારી, હોક્કો વગેરે તો પરંપરામાં કાવ્યપ્રકાર તરીકે રૂઢ થઈ ગયેલી રૂપકગ્રંથિઓ છે. અવિનાશીનો વિવાહ, કાયાગરબો, ઝાલરી વગેરે પણ આવી રૂપકગ્રંથિવાળી રચનાઓ છે. આ ઉપરાંત માર્મિક દૃષ્ટાંતગ્રથન અને સીધી સોંસરી વાણીથી પણ આ પદોની અભિવ્યક્તિ અસરકારક બનેલી છે. ખીમદાસ તથા શામદાસના ‘ઉમાવા’ (=મૃત્યુગીત) જેવી પ્રાસંગિક રચનાઓ પણ રવિદાસે કરેલી છે. રવિદાસનાં પદો પર હિંદીનો પ્રભાવ છે, અને રેખતા વગેરે પ્રકારની કેટલીક રચનાઓ તો હિંદીમાં જ છે. કંઠસ્થ ભજનપરંપરામાં રવિદાસની કૃતિઓ ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે.[જ.કો.]

પદ(રાજે)  : મુસલમાન કવિ રાજેએ ઘણાં પદો રચ્યાં છે, જેમાંથી મોટા ભાગનાં ગુજરાતી અને થોડાંક હિંદી મળી ૧૫૦ જેટલાં પદ અત્યારે મુદ્રિત સ્વરૂપે મળે છે. થાળ, આરતી, ગરબી એમ વિવિધ સ્વરૂપ અને રાગઢાળમાં મળતાં આ પદોનો મુખ્ય વિષય છે કૃષ્ણપ્રીતિ. કૃષ્ણજન્મની વધાઈ, બાળલીલા, દાણલીલા, ગોપી અને રાધાનો કૃષ્ણ પ્રત્યેનો રતિભાવ અને તજજન્ય પરિસ્થિતિઓ પ્રેમલક્ષણા ભક્તિની અન્ય કવિતાની જેમ અહીં પણ કાવ્યનો વિષય બને છે, પરંતુ રચનાવૈવિધ્ય, કેટલીક વિશિષ્ટ કલ્પના અને ભાષાકર્મને લીધે આ પદો જુદાં તરી આવે છે. એક પદમાં એક પાત્ર બોલતું હોય અને બીજા પદમાં બીજું પાત્ર એનો પ્રત્યુત્તર આપતું હોય એ પ્રકારના કૃષ્ણ-રાધા, કૃષ્ણ-ગોપી, ગોપી અને તેની સાસુ, ગોપી અને તેની માતા, ગોપી અને ગોપી વચ્ચેના સંવાદવાળા ઘણા પદગુચ્છ કવિ પાસેથી મળે છે. આ પ્રકારનાં પદોમાં નાટ્યાત્મકતા અને ક્યારેક ચતુરાઈ ને વિનોદનો અનુભવ થાય છે. “મોહનજી તમે મોરલા હું વાડી રે” એ પદમાં મોરના ઉપમાનને કવિએ જે વિશિષ્ટ રીતે ખીલવ્યું છે તેમાં કલ્પનાની ચમત્કૃતિ છે. “મંદિર આવજો મારે, મારાં નેણ તપે પંથ તારે” જેવી પ્રાસાદિક અને ભાવની ઉત્કટતાવાળી પંક્તિઓ એમાં છે. “મૂકું ઝગડું ઝાંટુ રે” કે “લલોપત લુખ લખ કરાવે” જેવી પંક્તિઓમાં બોલચાલની તળપદી વાણીના સંસ્કાર છે. ‘હવે’ માટે ‘હાવા’ શબ્દ કવિ વખતોવખત વાપરે છે. ‘રે લોલ’ ને બદલે ‘રે લો’ જેવું ગરબીનું તાનપૂરક કે અન્ય ભાષાપ્રયોગોમાં જૂનાં તત્ત્વો સચવાયેલાં દેખાય છે. કવિનાં વૈરાગ્યબોધનાં પદ ઝાઝાં નથી, પરંતુ વણઝારા અને રેંટિયાના રૂપકથી આકર્ષક રીતે વૈરાગ્યની વાત કરતાં ૨ પદ ધ્યાનાર્હ છે. દયારામ પૂર્વે પ્રેમલક્ષણા ભક્તિનાં કેટલાંક સુંદર પદો રચવાં માટે રાજે નોંધપાત્ર કવિ છે.[શ્ર.ત્રિ.]

પદમ્ [ઈ.૧૬૧૩ સુધીમાં] : અપભ્રંશની અસર ધરાવતા ૬ કડીના સુભાષિતના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]

પદ્મ : આ નામે ૫ કડીની ‘શેત્રુંજાનું સ્તવન’ નામની કૃતિ મળે છે. તેના કર્તા કયા પદ્મ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ડિકેટલૉગબીજે.[શ્ર.ત્રિ.]

પદ્મ(મુનિ)-૧  : જુઓ પઉમ.

પદ્મમુનિ-૨ [ઈ.૧૭૪૩માં હયાત] : જૈન સાધુ. સુંદરવિજ્યના શિષ્ય. ૭ કડીનું ‘આદિજિન-સ્તવન’ (મુ.), ૧૬ કડીની ‘ઇરિયાવહી-સઝાય (મુ.) તથા ‘નવવાડ-સઝાય (ર.ઈ.૧૭૪૩/સં.૧૭૯૯, આસો સુદ ૧૫, રવિવાર)ના કર્તા. ૨૦થી વધુ ઢાળની પણ અપૂર્ણ કૃતિ ‘પુણ્યસાર-ચોપાઈ (ર.ઈ.૧૬૫૩?) પણ એમને નામે નોંધાયેલી મળે છે, જે સમયને કારણે કોઈ અન્ય પદ્મની પણ હોઈ શકે. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈરસંગ્રહ; ૩. રત્નાસાર : ૨. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨).[ર.સો.]

પદ્મકુમાર [ઈ.૧૬૦૫ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. પૂર્ણ ચંદ્રના શિષ્ય. ૭૫/૮૫ કડીની ‘મૃગધ્વજમુનિકેવલી-ચરિત્ર/ચોપાઈ’ (લે.ઈ.૧૬૦૫), ૮ કડીની ‘વૈરાગ્ય-ભાસ’, ૩ કડીની ‘વયરસ્વામી-ગીત’ તથા ૪ કડીની ‘વૈરાગ્ય-ગીત’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

પદ્મચંદ્ર : આ નામે ‘ગુરુ-ગીત’ (ર.ઈ.૧૭૧૯), ૧૫ કડીની ‘નેમરાજમતી-કથા/સઝાય’, ૨૩ કડીની ‘મોહવલ્લી-ભાસ’ (મુ.), ૯ કડીની ‘વિષયવિષમતાની સઝાય’ (મુ.) મળે છે. આ કયા પદ્મચંદ્ર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. ‘ગુરુ-ગીત’ના કર્તા પદ્મચંદ્ર-૩ હોઈ શકે. કૃતિ : ૧. જિનેંન્દ્રસ્તવનાદિ કાવ્યસંદોહ : ૧, પ્ર. વિજયદાન સૂરીશ્વરજી જૈન ગ્રંથમાલા, સં. ૨૦૦૪; ૨. ષટદ્રવ્યનય વિચારાદિ પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯. સંદર્ભ : ૧. કૅટલૉગગુરા; ૨. રાહસૂચી : ૨.[કી.જો.]

પદ્મચંદ્ર(સૂરિ)-૧ [જ.ઈ.૧૬૨૬-અવ. ઈ.૧૬૮૮] : નાગપુરીય તપગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં જયચંદ્રસૂરિના શિષ્ય. પિતા શિવજી. માતા સૂરમદે. દીક્ષા ઈ.૧૬૪૨. આચાર્યપદ ઈ.૧૬૪૩. ૯ કડીની ‘પાર્શ્વચંદ્રસૂરિ-સઝાય’ (ર.ઈ.૧૬૫૯; મુ.), ૫ કડીનું (તારંગાજી તીર્થ)અજિતનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૬૧; મુ.), ૬૮ કડીનું ‘શાલિભદ્ર-ચોઢાળિયું’ (ર.ઈ.૧૬૬૫) તથા ઢાળ અને દેશીમાં રચાયેલી ‘વીશવિહરમાન-સ્તવન/ચોવીસી’ (ર.ઈ.૧૬૭૦/સં.૧૭૨૬, કારતક સુદ ૧૫, રવિવાર; મુ.)એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. જીનેન્દ્ર ગુણરત્નમાલા : ૧, પ્ર. કેશવલાલ છ. કોઠારી, વીર સં. ૨૪૩૧;  ૨. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૨-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’. સં. કાંતિસાગરજી. સંદર્ભ : ૧. શ્રીમન્નાગપુરીય તપગચ્છની પટ્ટાવલી. પ્ર. શ્રાવક મયાભાઈ ઠાકરશી, ૧૯૧૬;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. લીંહસૂચી.[કી.જો.]

પદ્મચંદ્ર-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં પદ્મરંગના શિષ્ય. ૧૮૫૦ ગ્રંથાગ્રના ‘જંબુકુમાર-ચરિત્ર/જંબુસ્વામિ-રાસ’ (ર.ઈ.૧૬૫૮/સં.૧૭૧૪, કારતક સુદ ૧૩) અને ‘નવતત્ત્વ-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૬૧)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ : ૨ ૩(૨); ૪. જૈહાપ્રોસ્ટા; ૫. ડિકૅટલૉગભાઈ : ૧૯; ૬. દેસુરાસમાળા. [કી.જો.]

પદ્મચંદ્ર-૩ [ઈ.૧૮મી સદી] : જૈન. ‘ભરતસંધિ’ [ઈ.૧૮મી સદી)ના કર્તા. સંદર્ભ : પ્રાકારૂપરંપરા.[કી.જો.]

પદ્મતિલક : આ નામે ૯ કડીની ‘કાયા-સઝાય’ મળે છે તે કયા પદ્મતિલકની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : લીંહસૂચી. [કી.જો.]

પદ્મતિલક (પંડિત)-૧ [    ] : અંચલગચ્છના જૈન સાધુ. ૫૯ કડીની ‘બારભાવના-ઢાલ’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]

પદ્મધર્મકુમાર [ ] : જૈન. ‘શાલિભદ્ર-ચરિત્ર’ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા.[કી.જો.]

પદ્મનાભ (પંડિત) [ઈ.૧૪૫૬માં હયાત] : જાલોરના ચૌહાણ રાજા અખેરાજના આશ્રિત, જ્ઞાતિએ વિસલનગરા (વિસનગરા?) નાગર. કવિ પોતાને યથાર્થ રીતે પંડિત અને સુકવિ તરીકે ઓળખાવે છે. એમની એકમાત્ર કૃતિ ‘કાન્હડદે-પ્રબંધ’માંથી પોતાની ભૂમિ તેમ જ ધર્મ માટેનો એમનો ઉત્કટ પ્રેમ વ્યક્ત થાય છે. અખેરાજની પ્રેરણાથી રચાયેલો અને એમની પાંચમી પેઢીના પૂર્વજ કાન્હડદેના અલાઉદ્દીન ખલજી સાથેના સંઘર્ષને વર્ણવતો, ૪ ખંડ અને મુખ્યત્વે દુહા, ચોપાઈ અને પવાડુની ૧૦૦૦ ઉપરાંત કડીઓમાં વિસ્તરતો ‘કાન્હડદે-પ્રબંધ’  (ર.ઈ.૧૪૫૬/સં.૧૫૧૨, માગશર સુદ ૧૫, સોમવાર; મુ.) એમાંની ઐતિહાસિક માહિતીને કારણે દસ્તાવેજી મૂલ્ય ધરાવતું મધ્યકાળનું અત્યંત નોંધપાત્ર પ્રબંધકાવ્ય છે. એમાં અલાઉદ્દીનની પુત્રી પિરોજાના કાન્હડદેના પુત્ર વીરમદે સાથેના એકપક્ષી પ્રેમની કરુણ-મધુર પ્રેમકથા પણ ગૂંથાયેલી છે. કાવ્ય એમાંના સમાજચિત્રણ, વ્યક્તિચિત્રણ, વસ્તુનિષ્ઠ વર્ણનકલા અને શિષ્ટ-પ્રૌઢ અભિવ્યક્તિથી એક વીરકાવ્યને અનુરૂપ પ્રભાવક્તા ધારણ કરે છે. કૃતિ : ૧. કાન્હડદે પ્રબંધ (અં), સં. કાન્તિલાલ બી. વ્યાસ, ઈ.૧૯૫૩ (+સં.); ૨. એજન, સં. કાંતિલાલ બ. વ્યાસ (ખંડ-૧-૨)ઈ.૧૯૫૯, ઈ.૧૯૭૫, (ખંડ ૩-૪) ઈ.૧૯૭૭(+સં.); ૩. એજન, સં. ડાહ્યાભાઈ પી. દેરાસરી. ઈ.૧૯૧૩, ઈ.૧૯૨૬ (બીજી આ. નરસિંહરાવ ભોળાનાથના પુરોવચન સાથે) (+સં.); ૪. કાન્હડદે પ્રબંધ (અનુવાદ), સં. ડાહ્યાભાઈ પી. દેરાસરી, ઈ.૧૯૨૪ (+સં.);  ૫. ગૂજરાત શાળાપત્ર, જાન્યુ. ૧૮૭૭થી મે ૧૮૭૮ સુધીમાં-‘કાન્હડદે પ્રબંધ’, સં. નવલરામ લ. પંડ્યા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારૂપરેખા : ૧; ૬. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ.૧૯૬૧; ૭. મસાપ્રવાહ;  ૮. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯-‘કાન્હડદે પ્રબંધ’નું પાઠશોધન’, કાન્તિલાલ બ. વ્યાસ; ૯. બુદ્ધિપ્રકાશ, સપ્ટે. ૧૯૭૧-‘કાન્હડદે પ્રબંધ-બે પ્રશ્નો’, નરોત્તમ પલાણ; ૧૦. વસંત, શ્રાવણ અને ભાદ્રપદ, સં. ૧૯૭૨-‘કાન્હડદે પ્રબંધ’, નરસિંહરાવ ભોળાનાથ; ૧૧. સંસ્કૃતિ, માર્ચ ૧૯૬૦-‘કાન્હડદે પ્રબંધ-એક વિશેષ અધ્યયન’, કાન્તિલાલ બ. વ્યાસ;  ૧૨. મુપુગૂહસૂચી.[કા.વ્યા.]


પદ્મનિધાન [ઈ.૧૬૭૮માં હયાત] : જૈન સાધુ. વિજયકીર્તિના શિષ્ય. ‘બારવ્રતવિચાર’ (ર.ઈ.૧૬૭૮/સં.૧૭૩૪, માગશર સુદ ૩)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.[કી.જો.]

પદ્મપ્રભ [                ]: જૈન સાધુ. ૯ કડીની ‘વિષય સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈરસંગ્રહ. [કી.જો.]

પદ્મમંદિર : આ નામે ‘પાર્શ્વનાથ ૧૦ ભવ-બાલાવબોધ’ મળે છે. તેના કર્તા કયા પદ્મમંદિર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા.[શ્ર.ત્રિ.]

પદ્મમંદિર-૧ [ઈ.૧૪૯૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ગુણરત્નસૂરિ (અવ.ઈ.૧૪૯૦)ના શિષ્ય. ૪૯ કડીની ગુણરત્નસૂરિના જીવન, દીક્ષા, તપ વગેરે વિશે વીગતે માહિતી આપતી ‘ગુણરત્નસૂરિ-વિવાહલઉ’ના કર્તા. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૧-‘દો વિવાહલોકા ઐતિહાસિક સાર’, અગરચંદ નાહટા.[ર.સો.]

પદ્મમંદિર-૨ [ઈ.૧૫૯૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. દેવતિલકની પરંપરામાં વિજયરાજના શિષ્ય. ‘પ્રવચન સારોધ્ધાર-બાલાવબોધ’ (ર.ઈ.૧૯૯૫; મુ.), ૧૫ કડીની ‘દેવતિલકોપાધ્યાય-ચોપાઈ’ (મુ.) અને ‘બૃહત્-સ્નાત્રવિધિ’ના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ (+સં.); ૨. પ્રકરણરત્નાકર : ૩, શાહ ભીમસિંહ માણક, ઈ.૧૮૭૮. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [ર.સો.]

પદ્મરત્ન [         ] : જૈન સાધુ. જૈનપ્રબોધસૂરિના શિષ્ય. ૧૦ કડીની ‘જિનપ્રબોધસૂરિ-રેલુઆ/વર્ણન’ (સં.૧૪મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડાર કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા;  ૩. જૈમગૂકરચનાએં : ૧.[ર.સો.] પદ્મરાજ : આ નામે ૬ કડીની ‘ભગવદ્વાણી-ગીતા’ (લે.ઈ.૧૬૫૨), ‘ગુણઠાણા-સ્તવન’ (લે.ઈ.૧૬૭૯) અને ‘અષ્ટાપદ-તીર્થરાજ-સ્તવન’ (લે.સં.૨૦મી સદી) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા પદ્મરાજ છે તે નિશ્ચિત થથું નથી. સંદર્ભ : ૧. જૈહાપ્રોસ્ટા; ૨. રાપુહસૂચી : ૧; ૩. રાહસૂચી : ૧ ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]

પદ્મરાજ(ગણિ)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : બૃહત્ ખરતરગચ્છના જૈન સાધુ. જિનહંસસૂરિશિષ્ય-પુણ્યસાગરના શિષ્ય. એમની કૃતિઓ ઈ.૧૫૮૮થી ઈ.૧૬૧૧ વચ્ચેનાં રચનાવર્ષો દેખાડે છે ને કવિ ઈ.૧૫૭૨માં પણ હયાત હતા એવો ઉલ્લેખ મળે છે. આથી કવિનો સમય ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ ને ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ દરમ્યાનનો ગણી શકાય. તેમની પાસેથી ૯ કડીનું ‘નવકાર-સ્તવન’ (મુ.), ૭ અધિકારની ‘અભયકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૪), ‘સનતકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૪),૧૪૧ કડીનો ‘ક્ષુલ્લકકુમાર રાજર્ષિ-ચરિત/પ્રબંધ’ (ર.ઈ.૧૬૧૧/સં.૧૬૬૭, ફાગણ સુદ ૫), ૭ કડીનું ‘કુંથુનાથસ્તવન’ વગેરે કૃતિઓ મળે છે. ભવનહિતાચાર્યકૃત ‘રુચિરદંડક’ પરની વૃત્તિ (ર.ઈ.૧૫૮૮) એમની સંસ્કૃત રચના છે. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. જિસ્તકાસંદોહ : ૧, ૨; ૩. નસ્વાધ્યાય : ૩(+સં.). સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪. યુજિનચંદ્રસૂરિ;  ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. ડિકૅટલૉગભાઈ : ૧૯; ૭. ડિકૅટલૉગભાવિ.[ર.સો.]

પદ્મવલ્લભ [ ] : ખરતરગચ્છના જૈન સાધુ. ૧૪ કડીની ‘પુણ્યવલ્લભોપાધ્યાય-ગીત’ (લે.ઈ.૧૭મી સદી)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

પદ્મવિજય : આ નામે ૯ કડીની ‘મહાવીર પ્રભુનો ચૂડો’ (મુ.), ૬ કડીની ‘મહાવીર-નમસ્કાર’ (મુ.), ૪ કડીની ‘શાંતિનાથજિન-સ્તુતિ’ (મુ.), ૬ કડીનું ‘ગોડીપાર્શ્વનાથનું સ્તવન’ (મુ.) ‘અતીત અનાગતજિનકલ્યાણ-સ્તવનસંગ્રહ’, ‘ઋષભદેવાદિ-સ્તવન’, ‘ખામણાં-સઝાય’ (લે. સં. ૧૯મી સદી), ‘ગહૂંલી-સંગ્રહ’, ‘સારમંગલ’, ‘નેમિવિજયસ્તવન-સ્તબક’ (લે. ઈ.૧૭૯૬), ‘મુનિ સુવ્રત સ્વામીસ્તવન-સ્તબક’ (લે.ઈ.૧૭૯૬), ૭ કડીની ‘મેરુશિખર-લાવણી’, ૫ કડીની ‘વસંત’ (લે. સં. ૧૯મી સદી અનુ.), ‘સમ્યકત્વ પંચશિંતિકા-સ્તવન’, ‘હરિયાલીઓ-એ કૃતિઓ મળે છે, તે કયા પદ્મવિજયની છે તે નિશ્ચિત નથી. ૬૪ કડીની ‘વ્રતચોપાઈ’ (ર.ઈ.૧૫૮૯) સમય દૃષ્ટિએ જોતાં પદ્મવિજય-૧ની હોવાની સંભાવના છે. જિનવિજયને નામે નોંધાયેલી ૧૩ કડીની ‘નેમિ બારમાસ’ (મુ.) તથા વિપ્રલંભને સંદર્ભે વર્ષાનું વર્ણન કરતી ૭ કડીની ઋતુકાવ્યપ્રકારની એક અન્ય કૃતિ (મુ.) ‘ઉત્તમ જિન’ એવી છાપની સમાનતાને કારણે પદ્મવિજય-૩ની હોવાની સંભાવના વધુ જણાય છે. કૃતિ : ૧. જૈન પ્રાચીન પૂર્વાચાર્યોવિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; ૨. જૈરસંગ્રહ; ૩. પ્રામબાસંગ્રહ (+સં.); ૪. પ્રાસ્તસંગ્રહ; ૫. શ્રી વર્ધમાન તપ પદ્યાવલી, પ્ર. શાંતિલાલ હ. શાહ, સં. ૧૯૮૨. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, સં. અગરચંદ નાહટા; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.સો.]

પદ્મવિજય-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિ (અવ. ઈ.૧૫૯૬)ના શિષ્ય. ૫૬ કડીના ‘તીર્થમાલા-સ્તવન’ના કર્તા. કૃતિમાં હીરવિજયસૂરિની હયાતીનો ઉલ્લેખ હોવાથી એ ઈ.૧૫૯૬ પૂર્વે રચાઈ હોવાનું અનુમાન થયેલું છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ: ૧; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧.[ર.સો.]

પદ્મવિજય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદશિષ્ય શુભવિજયના શિષ્ય. ‘શીલપ્રકાશ-રાસ’ (ખંડ-૧, ર.ઈ.૧૬૫૯), ‘શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૭૦/ક્ષં. ૧૭૨૬, ચૈત્ર સુદ ૧૫, મંગળવાર) તથા ‘૨૪ જિનનું સ્તવન’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  જૈગૂકવિઓ : ૧, ૩(૨); [ર.સો.]

પદ્મવિજય-૩ [જ.ઈ.૧૭૩૬/સં. ૧૭૯૨, ભાદરવા સુદ ૨. અવ. ઈ.૧૮૦૬/સં. ૧૮૬૨, ચૈત્ર સુદ ૪, બુધવાર] : તપગચ્છના જૈન સાધુ. સત્યવિજયની પરંપરામાં ઉત્તમવિજયના શિષ્ય. અમદાવાદના શ્રીમાળી વણિક. પિતા ગણેશ. માતા ઝમકુ. પૂર્વાશ્રમમાં નામ પાનાચંદ. ઈ.૧૭૪૯માં ઉત્તમવિજય પાસે દીક્ષા લીધી ત્યારથી પદ્મવિજય. એ પછી પંચકાવ્ય, વ્યાકરણ, છંદ અલંકાર ને ન્યાયશાસ્ત્ર તથા મહાભાષ્યનું અધ્યયન કર્યું. એમની વિદ્વત્તાને પ્રમાણી તપગચ્છના વિજયધર્મસૂરિએ ઈ.૧૭૫૪માં પંડિતપદ આપ્યું. પદ્મવિજયે ઘણાં તીર્થસ્થાનોની, સંઘસહિત ને સ્વતંત્રપણે, અનેક વખત યાત્રાઓ કરેલી. તે દરમ્યાન ઘણી જિનપ્રતિમાઓની અને સિદ્ધચક્રોની પ્રતિષ્ઠા કરેલી ને મંદિરોનો જિર્ણોદ્ધાર કરાવેલો. પાટણમાં એમનું અવસાન થયેલું. વિવિધ સ્વરૂપોમાં થયેલા કવિના વિપુલ લેખનનો ઘણો મોટો ભાગ મુદ્રિત છે. એ પૈકી ૪ ખંડ, ૧૬૯ ઢાળ ને ૫૪૨૪ કડીઓમાં વિસ્તરેલા ‘નેમનાથ-રાસ’ (ર.ઈ ૧૭૬૪/સં. ૧૮૨૦, આસો વદ ૩૦, -; મુ.)માં નેમનાથના નવ ભવની કથાને કવિએ યદુવંશોત્પત્તિવર્ણન તથા બળદેવ, કૃષ્ણ અને નેમનાથના ચરિત્રાલેખન સાથે કુશળતાથી ગૂંથી છે. ૧૩ ઢાળનો ‘ઉત્તમવિજય નિર્વાણ-રાસ’ (ર.ઈ.૧૭૭૨/સં. ૧૮૨૮, પોષ-૭, રવિવાર; મુ.) વિવિધ દેશીઓ અને દુહામાં કાવ્યનાયકનું ચરિત્ર આલેખે છે. ‘સમરાદિત્યકેવળી-રાસ’ (ર.ઈ.૧૭૮૫; મુ.)માં સમરાદિત્યના ૧૭ ભવની કથા ૯ ખંડ ને ૯૦૦૦ જેટલી કડીઓમાં આલેખાઈ છે. ‘સુમતિનાથચરિત્ર’ તથા મુનિસુંદરકૃત ‘જયાનંદ કેવલી-ચરિત્ર’ ને આધારે ૧૯ ઢાળ ને ૪૫૯ કડીનો ‘મદન-ધનદેવ-રાસ’ (ર.ઈ.૧૮૦૧/સં. ૧૮૫૭, શ્રાવણ સુદ ૫, રવિવાર) તથા ‘જયાનંદ કેવળી-ચરિત્ર’ને આધારે ૯ ખંડ, ૨૦૦ ઢાળ ને આશરે ૬૦ હજાર જેટલી કડીઓનો ‘જયાનંદકેવળી-રાસ’ (ર.ઈ.૧૮૦૨/સં. ૧૮૫૮, પોષ સુદ ૧૧) કવિએ રચ્યાં છે. આ ઉપરાંત ૫ ઢાળનું ‘એકસોસિત્તેર જિન-સ્તવન’ (ર.ઈ.૧૭૫૫/સં. ૧૮૧૧, આસો સુદ ૨,), ૧૬ ઢાળ, ૭૬ કડીની અષ્ટપ્રકારી-પૂજા’ (ર.ઈ.૧૭૫૭), ‘પંચકલ્યાણક-સ્તવન’ (ર.ઈ.૧૭૬૧), ૧૮ ઢાળની ‘નવપદ-પૂજા’ (ર.ઈ.૧૭૮૨/સં. ૧૮૩૮, મહા વદ ૨, ગુરુવાર), ૫ ઢાળની ‘સિદ્ધાચલ નવાણું જાતરા-પૂજા’ (ર. ઈ.૧૭૯૫/સં. ૧૮૫૧, મહા સુદ ૫), વિવિધ દેશીઓના ૧૦ ઢાળ ને ૬૮ કડીઓમાં રચાયેલું ‘સમક્તિપચીસીનું સ્તવન’ (ર. ઈ.૧૭૫૫/સં. ૧૮૧૧, આસો સુદ ૨), ૫ ઢાળનું ‘સિદ્ધદંડિકા-સ્તવન’ (ર. ઈ.૧૭૫૮), ૫ ઢાળ ને ૪૪ કડીનું ‘પંચકલ્યાણકમહોત્સવ-સ્તવન’ (ર. ઈ.૧૭૮૧), ૯ ઢાળ ને ૭૨ કડીનું ‘ષટ્પર્વી મહિમાધિકાર ગર્ભિત મહાવીર સ્તવન’ (ર.ઈ.૧૭૭૪/સં. ૧૮૩૦, ફાગણ સુદ ૧૩; મુ.) ૭ ઢાળનું ‘જિનનાં કલ્યાણ/કલ્યાણકનું સ્તવન’ (ર.ઈ.૧૭૮૦/૮૧/સં. ૧૮૩૬/૩૭, મહા વદ ૨; મુ.), ૬ ઢાળનું ‘વીરજિનસ્તુતિગર્ભિત ચોવીસ દંડકનું સ્તવન’ (મુ.), ૨ ‘સ્તવનચોવીસીઓ’ (મુ.), ચૈત્યવંદન-સ્તવન-સ્તુતિની ચોવીસીઓની અંતર્ગત તીર્થંકરો ને તીર્થોની વંદના નિરૂપતું ‘ચોમાસી-દેવવંદન’ (એમાંના એક ‘આબૂજી સ્તવન’ની ર.ઈ.૧૭૬૨/સં. ૧૮૧૮, ચૈત્ર વદ ૩ છે) - આ સર્વ કવિની અન્ય લાંબી કૃતિઓ છે. આ ઉપરાંત અષ્ટમી, વીશસ્થાનક આદિ વિષયક ચૈત્યવંદનો, આયંબિલ તપ, કર્મગતિ, મધુબિંદુ, રહનેમીરાજિમતી, વણઝારા આદિ પરની સઝાયો; નેમનાથ નવભવ, પુંડરિકગિરિ, સિમંધર, સિદ્ધચક્ર, સિદ્ધાચળ આદિ પરનાં સ્તવનો અને જંબુકુમાર આદિ વિષયક ગહૂંલીઓ જેવી અનેક ટૂંકી કૃતિઓની રચના એમણે કરી છે, જેમાંની મોટા ભાગની મુદ્રિત છે. યશોવિજયકૃત ‘સીમંધર-સ્તવન’ પરના ૩૦૦૦ શ્લોકનો સ્તબક (ર.ઈ.૧૭૭૪; મુ.), ‘ગૌતમકુલક-બાલાવબોધ’ (ર. ઈ.૧૭૯૦/સં. ૧૮૪૬, મહા સુદ ૫, બુધવાર; મુ.), યશોવિજયકૃત ‘(પ્રતિમાસ્થાપનહુલડીરૂપ)વીરજિન-સ્તવન/મહાવીર-સ્તવન’ પરનો ૩૩૬૪ ગ્રંથાગ્રનો બાલાવબોધ (ર. ઈ.૧૭૯૩/સં. ૧૮૪૯ મહા સુદ ૫, બુધવાર; મુ.), ‘ગૌતમપૃચ્છા બાલાવબોધ’ અને ‘સંયમશ્રેણી-સ્તવન’ પરનો સ્તબક એ કવિની ગદ્યકૃતિઓ છે. ભાષાની સરળતા, સુગેય દેશીઓમાંથી પ્રગટતી ભાવોત્કટતા અને સંગીતમયતાથી આ વિદ્વાન કવિની ટૂંકી રચનાઓ જૈનોના આમવર્ગમાં લોકપ્રિય છે. જુઓ ‘નેમિ-બારમાસ’. કૃતિ : ૧. જયાનંદકેવળી રાસ, પ્ર. રવીચંદ છગનલાલ, ઈ.૧૮૮૯; ૨. સમરાદિત્ય કેવળીનો રાસ, પ્ર. દોલતચંદ હુકમચંદ, સં. ૧૯૨૨; ૩. એજન, પ્ર. ભીમસિંહ માણેક, સં. ૧૯૩૮;  ૪. અસ્તમંજુષા; ૫. ગહુંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. ખીમજી ભી. માણેક, ઈ.૧૮૯૧; ૬. ચૈસ્તસંગ્રહ : ૧, ૨, ૩; ૭. જિનગુણ પદ્યાવળી, પ્ર. વેણીચંદ સુ. શાહ, ઈ.૧૯૨૫; ૮ જિભપ્રકાશ; ૯. જિસ્તકાસંદોહ : ૧, ૧૦. જિસ્તસંગ્રહ; ૧૧. જૈઐરાસમાળા:૧ (+-સં.); ૧૨. જૈકાપ્રકાશ : ૧; ૧૩. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ઈ.૧૯૧૯; ૧૪. જૈપ્રાસ્તસંગ્રહ; ૧૫. જૈરસંગ્રહ; ૧૬, જૈસમાલા : ૧ (શા.); ૧૭. જૈસસંગ્રહ (ન); ૧૮ દેસ્તસંગ્રહ; ૧૯. પૂજાસંગ્રહ, પ્ર. ધીરજલાલ પા. શ્રોફ, ઈ.૧૯૩૬; ૨૦. પૂજાસંગ્રહ, પ્ર. મોહનલાલ બાકરભાઈ, ઈ.૧૮૮૪; ૨૧. પ્રવિસ્તસંગ્રહ; ૨૨. પ્રાસ્મરણ; ૨૩. પ્રાસપસંગ્રહ : ૧; ૨૪. પ્રાસ્તસંગ્રહ; ૨૫. લઘુ ચોવીસી વીસી સંગ્રહ, પ્ર. શા. કુંવરજી આણંદજી, સં. ૧૯૯૫; ૨૬. વિસ્નાપૂજાસંગ્રહ; ૨૭. સઝાયમાલા : ૧, ૨(જા.); ૨૮. સસન્મિત્ર; ૨૯. સ્નાસ્તસંગ્રહ; ૩૦. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૩-‘પંચકલ્યાણક મહોત્સવ સ્તવન’, સં. જયંતવિજયજી; ૩૧. એજન, નવે. ૧૯૪૬-‘સાંજનું માંગલિક’, સં. માનતુંગવિજયજી. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈગુસારત્નો : ૨; ૪. દેસુરાસમાળા;  ૫. ડિકેટલૉગબીજે; ૬. જૈગૂકવિઓ : ૩(૧); ૭ મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧[ર.સો.]

પદ્મવિજય-૪ [ ] : જૈન સાધુ. જીતવિજયના શિષ્ય નયવિજયના શિષ્ય. પંડિત યશોવિજયકૃત ‘અધ્યાત્મમતપરીક્ષા’ના બાલાવબોધ (મુ.)ના કર્તા. કૃતિ : પ્રકરણ રત્નાકર : ૨, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૭૬.[શ્ર.ત્રિ.]

પદ્મશ્રી [ઈ.૧૪૮૪ આસપાસ-ઈ.૧૫૭૦ પહેલાં] : જૈન સાધ્વી. ૨૫૪ કડીની ‘ચારુદત્ત-ચરિત્ર’ (ર.ઈ.૧૪૮૪ આસપાસ-ઈ.૧૫૭૦ પહેલાં)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પાંગુહસ્તલેખો; ૩.  જૈગૂકવિઓ : ૩(૧).[કી.જો.]

પદ્મસાગર : આ નામે ૧૧ કડીની ‘સુખડીની સઝાય’ મળે છે તે કયા પદ્મસાગર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

પદ્મસાગર-૧  [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : મહાહડગચ્છના જૈન સાધુ. મતિસુંદરના શિષ્ય. ૨૮૭/૩૦૦ કડીની ‘કયવન્ના-ચોપાઈ’ (ર. ઈ.૧૫૦૭/સં. ૧૫૬૩, ભાદરવા વદ ૮, રવિવાર), ‘લીલાવતી સુમતિવિલાસ’ (ર. ઈ.૧૫૦૭), ૪ કડીની ‘(વરકાણા) પાર્શ્વનાથ-સ્તવન’, ૧૦ કડીની ‘મહાવીર-હાલરડું’, ૫ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’, ૨૫ કડીની ‘શ્રાવકગુણ-ચઉવીસુ’, ‘સ્થૂલિભદ્ર-અઠ્ઠાવીસો’ તથા ‘સોમસુંદરસૂરિ-હિંડોલડાં’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા;  ૫. જૈગૂકવિઓ : ૧; ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી. [કી.જો.]

પદ્મસાગર-૨ [ઈ.૧૬૬૫માં હયાત] : જૈન. ૭ કડીના ‘સ્થૂલિભદ્ર-ગીત’ (ર.ઈ.૧૬૬૫)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગબીજે.[શ્ર.ત્રિ.]

પદ્મસુંદર : આ નામે ૩૪ કડીનું ‘સમકિતસ્વરૂપ વિજ્ઞપ્તિ-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી) મળે છે. તેના કર્તા કયા પદ્મસુંદર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

પદ્મસુંદર(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૬ની સદી ઉત્તરાર્ધ] : ઉફકેશગચ્છની બિવંદણીક શાખાના જૈન સાધુ. માણિક્યસુંદરના શિષ્ય. ૩૫૦ કડીની ‘શ્રીસારચોપાઈ-રાસ’ (ર. ઈ.૧૫૮૪), ‘ઇશાનચંદ્રવિજયા-ચોપાઈ’ (ર. ઈ.૧૫૮૬/ સં. ૧૬૪૨, કારતક સુદ ૧૫, ગુરુવાર), ‘કથાચૂડ-ચોપાઈ/રાસ’ (ર. ઈ.૧૫૮૬/સં. ૧૬૪૨, માગશર વદ ૧, ગુરુવાર), ૧૩૮ કડીની ‘રત્નમાલા’ (ર. ઈ.૧૫૮૬/સં. ૧૬૪૨, કારતક સુદ ૧૦, સોમવાર), ૪૬ કડીની ‘શ્રીદત્ત-ચોપાઈ’ (ર. ઈ.૧૫૮૬/સં. ૧૬૪૨, આસો સુદ ૩, ગુરુવાર), ૨૪૫ કડીની ‘શ્રીપાલ ચોપાઈ-રાસ’ (ર. ઈ.૧૫૮૬/સં. ૧૬૪૨, કારતક વદ ૭, ગુરુવાર), ૨૧ કડીની ‘ઉપશમ-સઝાય’ (ર. ઈ.૧૫૯૧/સં. ૧૬૪૭, વૈશાખ વદ ૧૩), ૧૭૭ કડીની ‘ખીમઋષિ-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસમાળા; ૪. મરાસસાહિત્ય;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬, જૈગૂકવિઓ : ૩(૧); ૭. મુપુગૂહસૂચી; ૮. હૈજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

પદ્મસુંદર-૨ [ઈ.૧૫૯૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. દેવતિલક ઉપાધ્યાયની પરંપરામાં વિજયરાજના શિષ્ય. ‘પ્રવચન સારોદ્ધાર-બાલાવબોધ’ (ર. ઈ.૧૫૯૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]

પદ્મસુંદર (ગણિ)-૩ [ઈ ૧૭મી સદી ઉત્તરાર્ધ] : બૃહત્ તપગચ્છના જૈન સાધુ. ધનરત્નસૂરિની પરંપરામાં રાજસુંદરના શિષ્ય. ‘ભગવતી સૂત્ર’ પરના બાલાવબોધ (ર. ઈ.૧૬૫૧-૧૬૭૮ની મધ્યમાં)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

પદ્માનંદમૂર્તિ  : આ નામે ‘સીતારામ-ચરિત્ર’ નામક કૃતિ મળે છે. તેના કર્તા કયા પદ્માનંદ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.[શ્ર.ત્રિ.]

પદ્માનંદ(સૂરિ) [ ] : જૈન સાધુ. ૯ કડીના ‘ચઉવીસવટા શ્રીપાર્શ્વનાથ નાગપુરચૈત્યપરિપાટીસ્તોત્ર’, ૯ કડીના ‘વર્ધ્ધનપુરચૈત્યપરિપાટી-સ્તવન’ તથા ૪ કડીની ‘ચઉવીસવટા પાર્શ્વનાથ-સ્તુતિ’ના કર્તા. સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [ર.સો.]

‘પદ્માવતી’ [ર.ઈ.૧૭૧૮/૧૭૭૪-સુદ ૫, મંગળવાર] : થોડાક સોરઠા સિવાય દોહરા-ચોપાઈમાં રચાયેલી ૭૭૫ કડીની શામળનું પ્રથમ સર્જન મનાયેલી આ વાર્તા (મુ.) છે. ચંપાવતીનો સુંદર અને ચતુર રાજકુંવર પુષ્પસેન પ્રથમ વણિકપુત્રી સુલોચનાને અને પછી ધારાના કુંતીભોજની કુંવરી પદ્માવતીને કેમ પરણે છે તેની એમાં વાર્તા છે. નાયકના બંને પ્રણયલગ્નમાં સુલોચના અને પદ્મવતી જ પહેલ કરતાં દેખાડાયાં છે. પહેલાં લગ્ને નાયકને પિતા તરફથી દેશવટો અપાવ્યો અને બીજા લગ્ને પદ્માવતીના પિતાના કોપથી મરવાની ઘડીનો અનુભવ તેને કરાવ્યો, જેમાંથી તેને બચાવવામાં અને પદ્માવતી તથા સુલોચનાનો મેળાપ કરાવી પિતાને ઘેર માન સાથે પહોંચાડવામાં ગુણકા ચંદ્રાવલી મહત્ત્વની કામગીરી બજાવે છે. વાર્તામાં પુષ્પસેન અને પદ્માવતીને નજીક લાવવામાં તેમ જ બંનેની ચતુરાઈ સિદ્ધ કરવામાં સમસ્યાબાજીને શામળે સારી કામે લગાડી છે. પદ્માવતી અને સુલોચના વચ્ચે સમસ્યાની રમત ખેલાવાઈ છે ! આ વાર્તા શામળનું સ્વતંત્ર સર્જન મનાય છે એ ખરું, પણ જૂની વાર્તાપરંપરામાંથી કેટલાંક કથાઘટકો એમણે મેળવ્યાં અને પ્રયોજ્યાં હોવાનું અભ્યાસીઓથી અદીઠ રહેતું નથી.[અ.રા.]

‘પદ્મિનીચરિત્ર-ચોપાઈ’ [ર.ઈ.૧૬૫૧/સં. ૧૭૦૭, ચૈત્ર સુદ ૧૫, શનિવાર] : ખરતરગચ્છીય જૈન સાધુ લબ્ધોદયગણિકૃત ૩ ખંડમાં વિભાજિત ને દુહા, સોરઠા, ચોપાઈ અને વિવિધ દેશીઓના ઢાળની ૧૬ કડીનું આ કાવ્ય (મુ.) શીલધર્મનો મહિમા કરવાના ઉદ્દેશથી રચાયેલું છે. પદ્મિનીને ખાતર ચિતોડના રાણા રત્નસેન અને દિલ્હીના સુલતાન અલાઉદ્દીન વચ્ચે થયેલા યુદ્ધની રાજસ્થાની સાહિત્યમાં જાણીતી કથા અહીં નિરૂપાઈ છે. જો કે, કવિએ શીર્ષકને સાર્થક ઠરવે એ રીતે કથનિરૂપણ કર્યું છે. એટલે પહેલા ખંડમાં રત્નસેન પોતાની પટરાણી પ્રભાવતીના ગર્વનું ખંડન કરવા સિંહલનરેશની બહેન પદ્મિની સાથે કેવી રીતે લગ્ન કરે છે એ પ્રસંગ નિરૂપાયો છે. બીજા ખંડમાં રત્નસેનથી અપામાનિત થયેલો બ્રાહ્મણ ચેતનરાઘવ ચિતોડ છોડી દિલ્હીમાં વસવાટ કરી સુલતાનના હૃદયમાં પદ્મિની માટે કઈ રીતે આકર્ષણ જગાડે છે એ પ્રસંગ છે. ત્રીજા ખંડમાં અલાઉદ્દીન દ્વારા કપટથી કેદ પકડાયેલા રત્નસેનને ગોરા અને બાદલ એ બે વીર કાકો-ભત્રીજો કેવી યુક્તિપૂર્વક છોડાવે છે એ યુદ્ધપ્રસંગનું રોમાંચક આલેખન છે. સુલતાનના સૈન્યને હાથે ગોરાનું મૃત્યુ થાય છે, પરંતુ વિજય રત્નસેનનો થાય છે એવા સુખદ અંત સાથે કાવ્ય પૂરું થાય છે. રાજસ્થાની અને હિન્દીનું પ્રાચુર્ય; વીર અને શૃંગારનું આકર્ષક નિરૂપણ; નગર, રાજા, સમુદ્ર, પદ્મિની ને અન્ય પ્રકારની સ્ત્રીઓનાં વર્ણન; ઉત્પ્રેક્ષા, દૃષ્ટાંત, અતિશયોક્તિ જેવા અલંકારોથી સધાતી ચિત્રાત્મકતા; કહેવતો, રૂઢિપ્રયોગો, સંસ્કૃતપ્રાકૃત સુભાષિતો ને ગાથાઓની ગૂંથણીને લીધે અનુભવાતી કવિની બહુશ્રુતતા તથા સીધી ઉપદેશાત્મકતાનો અભાવ આ કૃતિની ધ્યાનપાત્ર લાક્ષણિકતાઓ [ર.ર.દ.]

પદ્મો [ઈ.૧૭૦૨ સુધીમાં] : જૈન સાધુ. વિનયચંદ્રના શિષ્ય. ‘ધ્યાનામૃત-રાસ’ (લે. ઈ.૧૭૦૨/સં. ૧૭૫૮, કારતક વદ ૮, બુધવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૨).[ર.સો.]

પબ્બો [ઈ.૧૬૧૩માં હયાત] : જૈન. ૪૫ કડીની ‘જીવશિખામણની સઝાય’ (ર.ઈ.૧૬૧૩/સં. ૧૬૬૯, શ્રાવણ સુદ ૨; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસમાલા (શા.) ૩; ૨. જૈસસંગ્રહ (જૈ). સંદર્ભ : દેસુરાસમાળા.[શ્ર.ત્રિ.]

પરભો [                ] : ભક્તકવિ. ૫ કડીના ૧ ભજન (મુ.)ના કર્તા. કૃતિ : બૃહત્ભજનસાગર, પ્ર. પંડિત કાર્તાંતિક અને દામોદર જ. ભટ્ટ; સં. ૧૯૬૫.[કી.જો.]

પરમસાગર [ઈ.૧૬૬૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. જયસાગર ઉપાધ્યાયની પરંપરામાં લાવણ્યસાગરના શિષ્ય. ૬૪ ઢાળના ‘વિક્રમાદિત્ય-રાસ’ / વિક્રમસેન-ચોપાઈ / વિક્રમસેન લીલાવતી-રાસ’ (ર. ઈ.૧૬૬૮/સં. ૧૭૨૪, પો, સુદ ૧૦, પાર્શ્વજન્મ કલ્યાણક દિવસ)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસામધ્ય; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય; ૪.  જૈગૂકવિઓ : ૨, ૩(૧); ૫ જૈહાપ્રોસ્ટા; ૬. ડિકૅટલૉગબીજે; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી.[કી.જો.]

પરમા [ઈ.૧૬૯૨માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. શ્રીપતનેજસિંહની પરંપરામાં રજસિંહના શિષ્ય. શીલવિષયક ૯૬ કડીની ‘પ્રભાવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૨/સં. ૧૭૪૯, મહા સુદ ૧૦, શનિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]

પરમાણંદ : જુઓ પરમાનંદ.

પરમાનંદ : આ નાામે કોઈ જૈનેતર કવિનાં ગુજરાતી તથા હિંદીમાં પદો (૬ મુ.) મળે છે. અને ૬ કડીની ‘ધર્મપ્રકાશની સઝય’(મુ.) અને ‘દેવકી ષટ્પુત્ર-રાસ’ એ જૈનકૃતિઓ મળે છે. તેમના કર્તા કયા પરમાનંદ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. જૈસસંગ્રહ (ન.); ૨. પરમાનંદપ્રકશપદમાલા, સં. રજનીકાંત જે. પટેલ, સં. ૨૦૩૦ (ત્રીજી આ.); ૩. પુષ્ટિપ્રસાદી, પ્ર. ચંદ્રવદન મો. શાહ. ૪. ભજનસાગર : ૧; ૫. ભસાસિંધુ. સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. ગૂહાયાદી.[ચ.શે.કી.જો.]

પરમાણંદ-૧ [ઈ.૧૪૯૬માં હયાત] : તપગચ્છન જૈન સાધુ. આણંદવિમલસૂરિની પરંપરામાં હર્ષાણંદના શિષ્ય. ૧૦૨ કડીની ‘હીરવિજયસૂરિનિર્વાણ-રસ’ (ર.ઈ.૧૪૯૬/સં. ૧૫૫૨, આસો વદ ૭)ના કર્તા. સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિશ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૫;  ૨. જૈગૂકવિઓ : ૧.[કી.જો.]

પરમાનંદ (પંડિત)-૨ [ઈ.૧૬૧૫ પહેલાં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિના શિષ્ય. ‘નાના દેશી ભષામય-સ્તવન’ (ર. ઈ.૧૬૧૫ પહેલાં) તથા ૬૨/૯૭ કડીના ‘પાર્શ્વચિંતામણિ સ્તવન/પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

પરમાનંદ-૩ [ઈ.૧૬૧૯માં હયાત] : જૈન સાધુ. જીવસુંદરના શિષ્ય. ‘હંસરાજ વચ્છરાજ-ચોપાઈ’ (ર. ઈ.૧૬૧૯)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧).[કી.જો.]

પરમાણંદ(દાસ)-૪ [ઈ.૧૬૩૩માં હયાત] : પિતાનું નામ પૂંજો. જ્ઞાતિએ બ્રહ્મક્ષત્રિય. વતન સૌરાષ્ટ્રનું દીવ. તેમણે ભાગવતના દશમ અને એકાદશસ્કંધને આધારે ૧૨ વર્ગમાં વિભાજિત, ૧૩૪૩ કડીનું ‘હરિરસ’ (ર.ઈ.૧૬૩૩/સં. ૧૬૮૯, માગશર-૮) નામનું પૌરાણિક વિષયનું વિસ્તૃત કાવ્ય રચ્યું છે. લોકભોગ્ય પ્રસંગો વધુ વિસ્તારથી આલેખવા તરફ લક્ષ હોવાને લીધે કવિએ કૃષ્ણની નિર્દોષ લીલાઓ અને યાદવોના સંબંધની વાત વિસ્તારથી રજૂ કરી છે અને રાસક્રીડા જેવા પ્રસંગો ટૂંકાવી દીધા છે. કવિએ મૂળકથાને અનુસરવાની સાવચેતી રાખી છે છતાં ક્યાંક તેમના પોતાના તરફથી પણ ઉમેરો થયેલો જણાય છે. વર્ગ પદ્ધતિએ લખાયેલા આ કાવ્યની ભાષામાં તેનું જૂનું રૂપ સચવાયું છે તેમ જ એમાં જૂની ફાગુ રચનાઓમાં ઉપયોગમાં લેવાતા ‘આંદોલ’ છંદનો પણ ઉપયોગ થયો છે એ એની વિશિષ્ટતા છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસારસ્વતો;  ૩. ગુહાયાદી.[ચ.શે.]

પરમાનંદ-૫ [ઈ.૧૮૨૬ સુધીમાં] : જ્ઞાતિએ બ્રાહ્મણ. રાસલીલા સુધીના કૃષ્ણના ચરિત્રને આલેખતી ‘દશમલીલા’ (લે. ઈ.૧૮૨૬)ના કર્તા. સંદર્ભ : ફાહનામાવલિ : ૨. [ચ.શે.]

પરમાનંદ-૬ [ઈ.૧૮૮૪માં હયાત] જૈન સાધુ. ‘પ્રજ્ઞાપનાસૂત્ર-બાલાવબોધ’ (ર. ઈ.૧૮૮૪; * મુ.)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાઈ : ૧૭(૧).(કી.જો.]

પરમાણંદ-૭ [                ] : ઈડરના રાવકલ્યાણ (ઈ.૧૬૧૬)ના માળણ પ્રત્યેના સ્નેહની કથા દ્વારા ઈડર શહેરની સ્થાપનાની વાત તથા રજવાડાના અંત:પુરના વ્યવહારોને આલેખતી દોહરાવૃત્તમાં રચાયેલી રાજસ્થાનીમિશ્ર ગુજરાતી શૈલીવાળી ૧૯૮ કડીની ‘માળણની વાર્તા’ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૧.[ચ.શે.]

પરમાનંદ-૮ [                ] : જૈન સાધુ. કર્તા કોઈ ‘સુવર્ધન’નું નામ પોતાના ગુરુ તરીકે આપે છે. ૮૮ કડીનો ‘ગજસુકુમાલ-રાસ’ તેમનો રચેલો મળે છે. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]

પરમાણા [                ] : ૨૯ કડીના ‘ઓખાહરણનો ગરબો’ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગબીજે.[શ્ર.ત્રિ.]

પરવતધર્માર્થી [ઈ.૧૬૩૩ સુધીમાં] : જૈન ‘દ્રવ્યસંગ્રહ-બાલાવબોધ’ (લે. ઈ.૧૬૩૩) તથા ‘સમાધિતંત્ર-બાલાવબોધ’ના કર્તા. સંદર્ભ : ૧. કૅટલૉગગુરા; ૨. રાપુહસૂચી : ૧, ૨; ૩. રાહસૂચી : ૧, ૨. [ચ.શે.]

પરસરામભાઈ (સં. ૧૮મી સદી] : પુષ્ટિ સંપ્રદાયના ભરૂચી ભક્તકવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો.[કી.જો.]

પર્વત/પરવત : શ્રાવક કવિ ‘પરવત’ના નામે ૮ કડીનું ‘પ્રાસૂકપાણી-ગીત’ (મુ.) તથા ‘પર્વત’ના નામે ૫૦ કડીની ‘વિધિપંચાશિકા’ (લે. ઈ.૧૫૭૭) મળે છે. આ કયા પર્વત/પરવત છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ. ૧૯૮૦-‘શ્રાવક કવિઓની કેટલીક અપ્રકટ ગુજરાતી રચનાઓ’; સં. ભોગીલાલ સાંડેસરા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[ચ.શે.]

પર્વત-૧ [                ] : અવટંકે ભાવસાર. ૪૦ કડીની ‘ચતુર્ગતિ-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ચ.શે.]

પર્વતસુત [ઈ.૧૫૪૩માં હયાત] : ‘લક્ષ્મીગૌરી-સંવાદ’ (ર.ઈ.૧૫૪૩)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ગૂહાયાદી. ૩. ફૉહનામાવલિ. [કી.જો.]

પવિત્રાનંદ [                ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. સંદર્ભ : સત્સંગના સંતો, પ્ર. રમણલાલ અ. ભટ્ટ, સં. ૨૦૦૯. [કી.જો.]

'પહરાજ/પહુરાજ/પૃથુરાજ [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જિનોદયસૂરિ (આચાર્યકાળ ઈ.૧૩૫૯-ઈ.૧૩૭૫)ના ભક્ત. શ્રાવક કવિ. ગુરુ જિનોદયસૂરિનાં દીક્ષા, અભ્યાસ, કીર્તિ, તપ, સિદ્ધિ, ઉપદેશ વગેરેને સુંદર રીતે ૬ છપ્પામાં અનુક્રમે વર્ણવતી મુખ્યત્વે અપભ્રંશપ્રધાન ‘જિનોદયસૂરિ-ગુણવર્ધન’ (મુ.) કૃતિના કર્તા. કૃતિમાં દરેક છપ્પાને અંતે કર્તાની નામછાપ છે એ આ કૃતિની વિશેષતા છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તર-અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬. ૩. ગુસાઇતિહાસ : ૧;  ૪. જૈમગૂકરચનાએં : ૧.[ચ.શે.]

પહાડનાથ [                ] : ૨. પદ (મુ.)ના કર્તા. કૃતિ : નકાસંગ્રહ. [કી.જો.]

‘પંચદંડ’  : પુરોગામી કવિઓને હાથે વિક્રમ-મહિમાની સ્વતંત્ર વાર્તા બનેલી, દુહા-ચોપાઈની ૫૮૦ કડીઓમાં રચાયેલી આ વાર્તા (મુ.)ના વસ્તુનો ઉપયોગ શામળે પોતાની ‘સિંહાસન-બત્રીશી’માં પાંચમી પૂતળીએ કહેલી વાતો તરીકે કરી લીધો છે. વિક્રમરાજએ દેવદમની ઘાંચણની પુત્રી દમનીને હરસિદ્ધિમાતા અને વેતાળની સહાયથી જીતી તેને પરણી દેવદમનીના બતાવ્યા મુજબ ઉમયાદે પાસેથી ઊડણદંડ, રાક્ષસ પાસેથી અજિતદંડ, રત્નમંજરી પાસેથી અભયદંડ, બ્રાહ્મણકન્યા પાસેથી વિષધરદંડ અને કોચી કંદોયણ પાસેથી પ્રતાપદંડ કે જ્ઞાનદંડ, એમ પાંચ દંડ અને સાથે પત્ની તરીકે કેટલીક સુંદરીઓ મેળવ્યાની કથા એમાં કહેવાઈ છે. આ પાંચ દંડમાં રાજા પાસેથી હોવી જોઈતી ચતુરંગી સેનાનું પ્રતીક સમજી શકાય. મધ્યકાલીન લોકકલ્પનાને મુગ્ધભાવે આકર્ષે એવી જાદુઈ વિદ્યાઓ અને ચમત્કારોની બહુલતા આ વાર્તાની વિશિષ્ટતા કહેવાય. બીજી વિશિષ્ટતા વીર વિક્રમનાં પરદુ:ખભંજક પરાક્રમોની કહેવાય, જેમાં વેતાળની એને ઘણી સહાય મળી રહેતી હોય છે. એક વાર્તામાં તો સ્ત્રીને હીણી ચીતરતા સ્ત્રીચરિત્રની વાત આવે છે, જેમાં વિક્રમનો પોતાની રાણી પતિવ્રતા હોવા વિશેનો ભ્રમ ભાંગે છે.[અ.રા.]

‘પંચદંડ-પ્રબંધ-ચોપાઈ’ [ર.ઈ.૧૪૫૮ કે ૧૪૮૪/સં. ૧૫૧૪ કે ૧૫૪૦, ભાદરવા વદ ૨, બુધવાર] : દુહા-ચોપાઈની આશરે ૮૫૦ કડી અને ‘વારતા’ નામક ગદ્ય-અંશો ધરાવતી ૫ આદેશમાં વહેંચાયેલી ને ‘વિક્રમાદિત્યચરિત્ર-રાસ’ જેવાં નામોથી પણ ઓળખાયેલી નરપતિકૃત આ પદ્યવાર્તા (મુ.) દેવદમની ગાંછણના ૫ આદેશ રાજા વિક્રમ પાળી બતાવે છે તેની કથા કહે છે. પહેલા આદેશમાં એની પુત્રી દમનીને દૈવી મદદથી ચોપાટમા ંહરાવી એને પરણે છે. બીજા આદેશમાં નગર સોપારાની ઉમાદે પાસેથી સિદ્ધિદંડ અને કનકનગરના રાક્ષસ પાસેથી વિજયદંડ મેળવે છે તથા બન્ને નગરની રાજપુત્રી પાસેથી સપ્તસાધુની હીરામાણેકભરી પેટી મેળવે છે ને એને પરણે છે. એ નોંધપાત્ર છે કે આ વાર્તાની પરંપરામાં અન્યત્ર અહીં પેટી સાથે અભયદંડ મેળવ્યાની વાત આવે છે તે નરપતિની કૃતિમાં નથી. ચોથા આદેશમાં ઘરડા ધનશ્રેષ્ઠીની જુવાન સ્ત્રીના જારકર્મનો અને એની સૂચનાથી કોચી કંદોયણ પાસે જતાં પોતાની રાણીના કુકર્મનો પણ સાક્ષી બને છે ને કોચી કંદોયણ પાસેથી કામિકદંડ મેળવે છે. પાંચમા આદેશમાં વિશ્વરૂપ પુરોહિતની પુત્રી ગોમતી પાસેથી તમહરદંડ અને વિષહરદંડ મેળવે છે તેમ જ એને ને એની સહિયરોને પરણે છે. નરપતિની કથારચનામાં ક્યાંક સુશ્લિષ્ટતા જણાતી નથી, પરંતુ સંવાદના આશ્રયથી વાર્તા રોચક બની છે. કવિનાં વર્ણનો નામસૂચિ જેવાં છે, પરંતુ રૌદ્ર-અદ્ભુતરસનાં ચિત્રો એમણે અસરકારક દોર્યાં છે ને હાસ્યવિનોદની તક પણ ક્વચિત લીધી છે. મુખ્યત્વે મલિન વિદ્યાઓના વાતાવરણની આ કૃતિમાં કેટલુંક વાસ્તવિક સમાજચિત્રણ પણ મળે છે. જેમ કે, નિશાળનું ચિત્ર. કવિની વાણી પ્રાસાદિક છે અને એમાં ઘણાં સુભાષિત ગૂંથાયાં છે તેમ જ સંસ્કૃત શ્લોકો પણ ઉદ્ધૃત થયાં છે. મથાળે નિર્દેશેલી તિથિ તે વાર્તારચનાના આરંભની તિથિ છે. “દશચિહું” એ શબ્દને ૧૦+૪=૧૪ અને ૧૦ x ૪ = ૪૦ એમ ૨ રીતે ઘટાવી શકાય છે તેથી ૨ રચનાસંવતનો વિકલ્પ ઊભો થાય છે.[પ્ર.શા.]

‘પંચપાંડવચરિત-રાસ’ [ર.ઈ.૧૩૫૪] : ૧૫ ઠવણી ને ૩૦૦થી વધારે કડીઓમાં રચાયેલો પૂર્ણિગચ્છના જૈન સાધુ શાલિભદ્ર સૂરિનો ગેયત્વપૂર્ણ આ રાસ(મુ.) મહાભારતની સંપૂર્ણ કથાને સંક્ષેપમાં આલેખતી પૌરાણિક વિષયની અત્યારે ઉપલબ્ધ પહેલી ગુજરાતી કૃતિ છે. મહાભારતની જૈન પરંપરાને અનુસરતા આ કાવ્યના કથાનકમાં શાંતનું-ગંગાનાં લગ્ન, પુત્રજન્મ પછી ગંગાએ કરેલો રાજાનો ત્યાગ, પાંડુ-કુંતિનાં ગુપ્ત રીતે થયેલા લગ્નમાંથી કર્ણનો જન્મ, દ્રૌપદીએ અર્જુનને પહેરાવેલી વરમાળા પાંચે ભાઈઓના ગળામાં દેખાયાની ઘટના અને ચારણમુનિ દ્વારા થયેલું આ ઘટનાનું અર્થઘટન, પાંડવોના પૂર્વજન્મની કથા ઇત્યાદિ પ્રસંગોનું નિરૂપણ મૂળ મહાભારતની કથાથી જુદું પડે છે. નવકાર મંત્રની શક્તિ દર્શાવતા પ્રસંગ કે કાવ્યને અંતે વિદુર ને પાંડવોએ ગ્રહણ કરેલી દીક્ષા, એને બાદ કરતાં કથામાં જૈન ધર્મના સિદ્ધાંતોનો સીધો બોધ નથી એ આ કૃતિની વિશિષ્ટતા છે. આખ્યાનની નિકટની પુરોગામી ગણી શકાય એવી આ કૃતિમાં કવિના સંક્ષેપમાં કથા કહેવાના કૌશલ, યુદ્ધનાં વર્ણનોમાં થયેલી વીરરસની જમાવટ, પ્રસંગ બદલાતાં છંદનું પણ બદલાવું, ચોપાઈ-દુહા-સોરઠા-વસ્તુ વગેરે છંદોમાં થયેલું સંયોજન તથા એમાં સિદ્ધ થયેલું મધ્યકાલીન ગુજરાતીનું ભાષારૂપ ધ્યાનપાત્ર છે.[ભા.વૈ.]

પંચાનન [ઈ.૧૫૭૦માં હયાત] : ૫૧ કડીનાં ‘શાન્તિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૭૦)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

‘પંચીકરણ’ : પારિભાષિક નિરૂપણવાળી અખાની આ કૃતિ પંચમહાભૂતાદિ તત્ત્વોથી થતી પિંડ અને બ્રહ્માંડની રચનાની પ્રક્રિયા-પંચીકરણપ્રક્રિયાને ઝીણવટથી વર્ણવે છે. પણ પંચીકરણની આ પ્રક્રિયાનું વર્ણન સૃષ્ટિની સત્યતા સાબિત કરવા માટે નથી કરવામાં આવ્યું, પણ દેખાતા જગતનું મૂલ કારણ બ્રહ્મ સાચું છે અને એનો અનેકાકાર ભાસતો નામરૂપવાળો વિલાસ ખોટો છે એ સમજાવવા માટે કરવામાં આવ્યું છે. એટલે જ પંચીકરણ પ્રક્રિયાનો પ્રણવવિદ્યા સાથેનો સંબંધ જે પાછળના સંસ્કૃત સાહિત્યમાં વીસરાઈ ગયેલો તે અહીં જોડી આપવામાં આવ્યો છે અને લયયોગ દ્વારા એટલે કે તાત્ત્વિક ચિંતન વડે પોતાનાં પિંડનાં તત્ત્વોને બ્રહ્માંડનાં તત્ત્વોમાં લય સાધી જીવાત્મા પરમાત્મા સાથે અભેદભાવ કેવી રીતે સિદ્ધ કરી શકે અને ક્રમશ: કૈવલ્યમોક્ષની સ્થિતિ સુધી પહોંચી શકે તેનો માર્ગ બતાવ્યો છે. એ નોંધપાત્ર છે કે ૧૦૨ ૪ ચરણી ચોપાઈના બંધમાં મળતી આ કૃતિનો કેટલોક ભાગ ૬ ચરણી ચોપાઈના બંધમાં ‘છપ્પા’ના એક અંગ તરીકે જોવા મળે છે અને બીજા કેટલાક ભાગોમાં પણ ૬ ચરણી ચોપાઈનો બંધ જોઈ શકાય છે.[જ.કો.]

પાતી/પાતો/પાંચુ [   ] : જૈન સાધુ. ૬૧/૬૯ કડીના ‘છોતીમિથ્યા-કલક/સઝાય’ (લે.સં. ૧૭મી સદી)ના કર્તા. સંદર્ભ : ૧ : જૈગૂકવિઓ : ૩(૧); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

પાનબાઈ [                ] : ગંગાસતીનાં પુત્રવધૂ અને શિષ્યા. તેમનાં ‘ઉલ્લાસ’ અને ‘બ્રહ્માનંદ’ શીર્ષક ધરાવતાં ૨ ભજન(મુ.) તથા ૪-૪ કડીનાં કેટલાંક પદ (મુ.) મળે છે. કૃતિ : ૧. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૨. સોસંવાણી. સંદર્ભ : ૧. ગૂજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ; ૩. સતવાણી;  ૪. સાહિત્ય ઑક્ટો. ૧૯૧૬-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’, છગનલાલ વિ. રાવળ.[કી.જો.]

પાનચંદ-૧ [ઈ.૧૮૩૭માં હયાત] : જૈન સાધુ. ખુશાલજીના શિષ્ય. ૧૩ કડીની ‘સુબાહુકુમારની સઝાય’ (ર.ઈ.૧૮૩૭; મુ.)ના કર્તા. કૃતિ : જૈસસંગ્રહ(ન.).[શ્ર.ત્રિ.]

પાનચંદ-૨ [ઈ.૧૮૫૦ સુધીમાં] : જૈન સાધુ. ‘રાત્રિભોજન-સઝાય’ (લે.ઈ.૧૮૫૦)ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [ચ.શે.]

‘પાર્શ્વચંદ્ર-૨/પાસચંદ [જ.ઈ.૧૪૮૧/સં. ૧૫૩૭, ચૈત્ર સુદ ૯, શુક્રવાર-અવ. ઈ.૧૫૫૫/સં. ૧૬૧૨, માગસર સુદ ૩, રવિવાર] : બૃહત્નાગોરીગચ્છના જૈન સાધુ. પાયચંદ/પાર્શ્વચંદ્રગચ્છના સ્થાપક. પદ્મપ્રભસૂરિની પરંપરામાં સાધુરત્નના શિષ્ય. જન્મ આબુની તળેટીમાં આવેલા હમીરપુરમાં. જ્ઞાતિએ વિસા પોરવાડ. પિતા વેલગ/વિલ્હગ/વેલા નરોત્તમ શાહ. માતા વિમલાદેવી. બાળપણનું નામ પાસચંદકુમાર. ઈ.૧૪૯૦/સં. ૧૫૪૬, વૈશાખ સુદ ૩ના રોજ સાધુરત્ન દ્વારા દીક્ષા પ્રાપ્ત કરી. દીક્ષા પછી પાર્શ્વચંદ્ર નામ. ષડાવશ્યક પ્રકરણાદિ, વ્યાકરણ, કાવ્ય, કોશ, નાટક, ચંપૂ, સંગીત, છંદ, અલંકાર, ન્યાય, યોગ, જ્યોતિષ, શ્રુતિ, સ્મૃતિ, ષડ્દર્શનો તથા જૈન ધર્મગ્રંથોના ઊંડા અભ્યાસી અને તપસ્વી. તેમને ઉપાધ્યાયપદ ઈ.૧૪૯૮/સં.૧૫૫૪, વૈશાખ સુદ ૩ના રોજ નાગોરમાં અને આચાર્યપદ ઈ.૧૫૦૯/સં. ૧૫૬૫, વૈશાખ સુદ ૩ના રોજ સલક્ષણ (શંખલ) પુરમાં શ્રીમન્નાગપુરીય તપગચ્છાધિરાજ સોમવિમલસૂરિ દ્વારા આપવામાં આવેલું. ઈ.૧૫૪૩માં તેઓ યુગપ્રધાનપદ પામ્યા હતા. તેમણે વ્યાપક રીતે વિહાર કરી જૈન ધર્મનો બહોળો પ્રચાર કર્યો હતો. તેમનો શિષ્યસમુદાય વિશાળ હતો. તેમનું અવસાન જોધપુરમાં થયું હતું. તેમની ઉલ્લેખનીય કૃતિઓ આ મુજબ છે : ૨૯/૩૦ કડીની ‘શીલગુહાસ્થાપનરૂપકમાલા/રૂપકમાલા’ (ર.ઈ.૧૫૨૬/૧૫૩૦), ૪૦૬ કડીની ‘આરાધના મોટી/આરાધના-રાસ’ (ર.ઈ.૧૫૩૬/સં.૧૫૯૩, મહા સુદ ૧૩, ગુરુવાર; મુ.), દુહા-ઢાળમાં ૪૧ કડીની ‘નાની આરાધના, ૩૧ કડીનું વિમલનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૩૮), લક્ષ્મીસાગરસૂરિકૃત ‘વસ્તુપાલ તેજપાલ-રાસ’ની ગાઢ અસર હેઠળ રચાયેલો ૮૬ કડીનો ‘વસ્તુપાળ-તેજપાળ-રાસ’ (ર.ઈ.૧૫૪૧; મુ.),ગદ્યમાં ‘ચઉશરણ પ્રકીર્ણક-બાલાવબોધ/ચઉસરણપયન્ના ઉપર વાર્તિક’ (ર.ઈ.૧૫૪૧/સં.૧૫૯૭, ફાગણ સુદ ૧૩, રવિવાર), ૧૦૨ કડીની ‘ખંધકમુનિચરિત્ર-સઝાય’ (ર.ઈ.૧૫૪૪/સં.૧૬૦૦, વૈશાખ સુદ ૮, શુક્રવાર), ૭૦ કડીનું ‘મહાવીરજિન-સ્તવન-સદૃહણા વિચારગર્ભિત’ (ર.ઈ.૧૫૫૧), ૧૭ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૫૧), ‘ગીતાર્થપદાવબોધકકુલક/ગીતાર્થાવબોધકુલક’ અને ૪૧/૪૨ કડીનું ‘બ્રહ્મચર્યદશમાધિસ્થાન-કુલક’ જેવાં કુલકો; ૩૩ કડીની ‘અગિયારબોલ-બત્રીસી/અગ્યારબોલની સઝાય/એકાદશવચનદ્વાત્રિંશિકા’ (મુ.) અને ૩૨ કડીની ‘સંવેગબત્રીસી’ (મુ.) જેવી બત્રીસીઓ; ૩૬ કડીની ‘આગમ-છત્રીસી’ (મુ.), ૩૭ કડીની ‘ગુરુ-છત્રીસી/ભાષા-છત્રીસી’, ૩૬/૩૭ કડીની ‘પાક્ષિક-છત્રીસી/પાખી-છત્રીસી’, ૩૬ કડીની ‘મુખપોતિકાષટ્ત્રિંશકા મુહપત્તિ-છત્રીસી’ જેવી છત્રીસીઓ; ૧૧ કડીનો ‘પાર્શ્વનાથ-છંદ’ તથા ૧૨ કડીનો ‘સમ્યકત્વદીપકદોહક-છંદ’ જેવા છંદો; ૭૪ કડીની ‘અમરદ્વાસપ્તતિકા/અમસરસત્તરીસુરદીપિકા-પ્રબંધ’, ૭૫ કડીનો ‘કેશી પ્રદેશી-પ્રબંધ/સઝાય’ (મુ.) તથા ૧૨૪/૧૨૮ કડીનો ‘સંગરંગ-પ્રબંધ’ જેવી પ્રબંધાત્મક કૃતિઓ; વસ્તુ અને ઢાળમાં, અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં ૫૫ કડીની ‘આદિજિન-વિનતિ/આદીશ્વર-વિનતિ’ (મુ.) અને ૨૯ કડીની ‘સત્તરભેદપૂજાવિચાર સહિત જિનપ્રતિમા સ્થાપન-વિજ્ઞત્પિકા’/‘સપ્તભેદપૂજવિચાર-સ્તવન’ જેવી વિજ્ઞપ્તિઓ-વિનતિઓ; ‘દીક્ષાવિધિ’, પૂજાવિધિ’ અને ‘યોગવિધિ’ જેવી વિધિવિષયક કૃતિઓ; ૩૬/૪૫ કડીની ‘ચરિત્ર/ચારિત્ર મનોરથમાલા’ (મુ.), ૪૧ કડીની ‘શ્રમણમનોરથ-માલા’ જેવી મનોરથમાલાઓ; ‘અષ્ટકર્મવિચાર’, વિધિવિચાર’ અને ગદ્યમાં ‘ષટ્દ્રવ્ય સ્વભાવનયવિચાર’ (મુ.) જેવી ‘વિચાર’સંજ્ઞક કૃતિઓ; ૧૭ કડીનો ‘ગૌતમસ્વામીલઘુ-રાસ’ (મુ.) અને ‘શત્રુંજય-રાસ’ જેવી રાસકૃતિઓ; ૧૦૧/૧૦૪ કડીનું ‘એષણા-શતક’, ‘વિવેકશતક’ જેવાં શતક; ૨૧ કડીની ‘આઠમદપરિહાર-સઝાય’, ૨૨ કડીની ‘કલ્યાણક-સઝાય/મહાવીરસ્વામીના નિર્વાણકલ્યાણકની સઝાય’(મુ.), ૨૦ કડીની ‘કાઉસગ્ગના ૧૯ દોષની સઝાય’, ૩૯ કડીની ‘જિનપ્રતિમા સ્થાપન-રાસ/સઝાય’ (મુ.), ૨૧ કડીની ‘શીલદીપક-સઝાય/શીલદીપિકા’ તથા ૭ ઢાળની ‘સાધુવંદના’, ૨૩ કડીનું ‘ચોવીસ-દંડકવિચાર-ગર્ભિત-પાર્શ્વનાથ-સ્તવન’, ૫૮ કડીનું ‘નિશ્ચયવ્યવહારવિચાર-ગર્ભિત-ચોવીસજિન-સ્તવન/નિશ્ચયવ્યવહાર ષટ્પંચાશિકા’, ૯૦/૯૧ કડીનું ‘દંડકવિચાર-સ્તવન’, ૯૫ કડીનું ‘ષડવિંશતિદ્વારગર્ભિત વીર-સ્તવન’ તથા આદિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ, મલ્લિનાથ, શાંતિનાથ, મહાવીર વગેરે વિશેનાં શત્રુંજયવિષયક સ્તવનો (કેટલાંક મુ.). આ ઉપરાંત નંદિષેણની મૂળ પ્રાકૃત રચના પર આધારિત ‘અજિતશાંતિસ્તવ-બાલાવબોધ’, સુધર્માસ્વામીની મૂળ પ્રાકૃત રચના પરથી ૪૫૦૦ ગ્રંથાગ્રનો ‘આચારાંગસૂત્ર-બાલાવબોધ/વાર્તિક/સ્તબક’ (*મુ.), ૯૦૦૦ ગ્રંથાગ્રનો ‘ઉત્તરાધ્યાન સૂત્ર-બાલાવબોધ’, ૬૭૦૦ ગ્રંથાગ્રનો ‘ઔપપાતિક સૂત્ર-બાલાવબોધ’, ભદ્રબાહુકૃત પ્રાકૃત ‘કલ્પસૂત્ર’ની વ્યાખ્યા કરતો ૧૨૦૦ ગ્રંથાગ્રનો સ્તબક, પ્રાકૃત ‘તન્દુલવૈચારિકપ્રકીર્ણ’ પર ૧૫૦૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ/વાર્તિક, ભવસૂરિના પ્રાકૃત ‘દશવૈકાલિક્સૂત્રો’ પરનો ૨૩૪૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ, મૂળ ૫૦ કડીના ‘નવતત્ત્વપ્રકરણ’ પરના બાલાવબોધ/સ્તબક, ‘નિયતાનિયતપ્રશ્નોત્તરપ્રદીપિકા /નિયતાનિયતપ્રશ્નોત્તરદીપિકા - સ્તબક’, ‘સાધુપ્રતિક્રમણાસૂત્ર-બાલાવબોધ’, ‘રાયપસેણીસૂત્ર-બાલાવબોધ’, ‘પ્રશ્નવ્યાકરણસૂત્ર-બાલાવબોધ’, ‘ભાષાના ૪૨ ભેદનો બાલાવબોધ’, રત્નશેખરસૂરિકૃત પ્રાકૃત ‘લઘુક્ષેત્રસમાસપ્રકરણ’ પરનો બાલાવબોધ, સુધર્માસ્વામીના પ્રાકૃત ‘સૂત્રકૃતાંગસૂત્ર’ પરનો બાલાવબોધ, ૬૫૫ ગ્રંથાગ્રના ‘લુંપક પ્રશ્નોના ઉત્તર’ વગેરે ગદ્યકૃતિઓ; ૧૫૫/૧૫૬ કડીની ‘અતિચાર/શ્રાવકપાક્ષિકાદિ અતિચાર’, ૨૩ કડીની ‘આત્મશિક્ષા’ (મુ.), ૫૦ કડીની ‘ગચ્છચાર પંચાશિકા’, ‘મતોત્પત્તિ-ચોપાઈ’ વગેરે જેવી નાની-મોટી અનેક ચોપાઈઓ, ગીતો, સ્તવનો તથા સઝાયો તેમનાં રચેલાં મળે છે. તેમણે ગુજરાતી ઉપરાંત પ્રાકૃતમાં સપ્તપદીશાસ્ત્ર અને સંસ્કૃતમાં ‘સંઘઘટ્ટક’ વગેરે ગ્રંથરચનાઓ કરી હોવાનું નોંધાયું છે. કૃતિ : ૧. * આચારાંગસૂત્ર બાલાવબોધ, પ્રકા. રાય ધનપતસિંહ, ઈ.૧૮૮૦; ૨. * આચારાંગસૂત્ર બાલાવબોધ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૮૧; ૩. આઠ પ્રવચન માતાની સઝાય વગેરે અનેક પદ્યોનો સંગ્રહ, પ્રકા. શા. ચતુર્ભુજ તેજપાળ, સં. ૧૯૮૪; ૪. ઐરાસંગ્રહ-૧; ૫. જૈરસંગ્રહ; ૬. પ્રાસ્તસંગ્રહ; ૭. ષટ્દ્રવ્યનયવિચારાદિપ્રકરણસંગ્રહ, પ્ર. મંગલદાસ લ. શ્રાવક, સં. ૧૯૬૯; ૮. સઝાયસંગ્રહ, પ્ર. ગોકળદાસ મં. શા. સં. ૧૯૭૮;  ૯. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૩-‘શ્રીપાસચંદ્રસૂરિકૃત શ્રીવસ્તુપાલ તેજપાલ રાસ’, સં. મુનિશ્રી જયંતવિજયજી (+સં.); ૧૦. જૈનસાહિત્ય સંશોધક, ફાગણ, સં. ૧૯૮૩-‘મહામાત્ય વસ્તુપાળ તેજપાળના બે રાસ’, સં. જિનવિજય. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. નયુકવિઓ; ૪. શ્રીપાર્શ્વચંદ્રગચ્છ ટૂંક રૂપરેખા, સં. શ્રી જૈન હઠીસિંહ સરસ્વતી સભા, સં. ૧૯૯૭; ૫. શ્રીમન્નાગપુરીય તપાગચ્છની પટ્ટાવલી, પ્ર. શ્રી જૈન યુવક મંડળ, ઈ.૧૯૧૬;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. કૅટલૉગપુરા; ૮. જૈગૂકવિઓ : ૧, ૨, ૩(૧,૨); ૯. જૈમગૂકરચનાએં : ૧; ૧૦. જૈહાપ્રોસ્ટા; ૧૧. ડિકૅટલૉગભાઈ : ૧૭(૧,૨), ૧૯; ૧૨. મુપુગૂહસૂચી; ૧૩. રાહસૂચી : ૨; ૧૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ચ.શે.]

પાર્શ્વચંદ્ર(સૂરિ) શિષ્ય [ઈ.૧૬મી સદી] : જૈન સાધુ. તપગચ્છના પાર્શ્વચંદ્રસૂરિ (જ.ઈ.૧૪૮૧-અવ. ઈ.૧૪૫૫)ના શિષ્ય. ૫૫ કડીની ‘શ્રાવકવ્રત શિક્ષાની સઝાય’ (મુ.), ૩૬ કડીની ‘ચિત્રકૂટ-ચૈત્ય પરિપાટી’ (મુ.), ૨૧ કડીનું ‘સિદ્ધગુણ-સ્તવન’ (મુ.), ૧૧ કડીનું ‘ચંદ્રપ્રભુ-સ્તવન’ (મુ.), ‘સત્તરીકર્મગ્રંથ-બાલાવબોધ’, ‘સુદૃઢ ચોપાઈ’, ‘સપ્તતિકાકર્મગ્રંથ-બાલાવબોધ’ (લે.સં. ૧૭મી સદી) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. પ્રાસ્તસંગ્રહ; ૨. ષટ્દ્રવ્યનય વિચારાદિ પ્રકરણસંગ્રહ, પ્રકા. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. દેસુરાસમાળા; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

પલણસિંહ [                ] : ૧ ભજન (મુ.)ના કર્તા. કૃતિ : ૧. બૃહત્ સંત સમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.) ૨. ભજનસાગર : ૧.[કી.જો.]

પાલ્હણ/પાલ્હણપુત/પાલ્હણુ' [ઈ.૧૨૩૩માં હયાત] : જૈન. ભાસા અને ઠવણિમાં વહેંચાયેલી, ચરણાકુલ-ચોપાઈ તથા દોહરાબંધની ૫૫ કડીમાં રચાયેલી, આબૂતીર્થની તથા તેના પર વસ્તુપાલ-તેજપાલે બંધાવેલા નેમિભુવનની કથા આપતી ઐતિહાસિક હકીકતોની દૃષ્ટિએ નોંધપાત્ર ‘આબૂ-રાસ/નેમિ-રાસ’ (ર.ઈ.૧૨૩૩; મુ.) અને ૧૫ કડીની ‘નેમિ-બારહમાસા’ (મુ.) એ કૃતિઓના કર્તા. ‘નેમિ-બારહમાસા’ ગુજરાતીમાં ઉપલબ્ધ બારમાસી કાવ્યોમાં સૌથી પ્રાચીન છે, જેમાં નેમિનાથના વિરહમાં ઝૂરતી રાજિમતીની વિરહવેદનાનું શ્રાવણથી અસાડ સુધીના સમયના સંદર્ભમાં જે તે માસનું તેના વસ્ત્રાભૂષણ, પ્રાકૃતિક વિલક્ષણતાઓ વગેરે સાથેનું નિરૂપણ છે. બંને કૃતિઓમાં અપભ્રંશને મળતી છતાં ૧૩મી સદીની ગુજરાતીની લાક્ષણિકતાઓ જોવા મળે છે. કેટલાક સંદર્ભમાં ‘આબૂ-રાસ/નેમિ-રાસ’ ‘રામ’ને નામે નોંધાયેલ છે પરંતુ વસ્તુત: તે કૃતિ પાલ્હણની જ છે. કૃતિ : ૧. પ્રાગુકાસંચય; ૨. પ્રામબાસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. ઉત્તર-અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. જૈમગૂકરચનાએં : ૧ [ચ.શે.]

પાસ(કવિ) [                ] : જૈન. ‘પાર્શ્વનાથ-છંદ’ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા.[કી.જો.]

પાસચંદ-૧  : જુઓ પાર્શ્વચંદ્ર-૨.

પાસચંદ-૨ [ઈ.૧૬૦૧માં હયાત] : જૈન. ‘શ્રાવકાતિચાર-ચતુષ્પદિ’ (ર.ઈ.૧૬૦૧)ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા.[કી.જો.]

પાસો [ઈ.૧૭૫૨માં હયાત] : અવટંકે પટેલ. લોંકાગચ્છના જૈન સાધુ. ધર્મદાસની પરંપરામાં જીવા શ્રાવકના શિષ્ય. ૨૦ ઢાળના ભરત ચક્રવર્તીનો રાસ’ (ર.ઈ.૧૭૫૨/સં.૧૮૧૮, ચૈત્ર વદ ૩૦)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[કી.જો.]

પાંચુ  : જુઓ પાતી/પાતો.

પાંચો/પોચો [ઈ.૧૬૫૧માં હયાત] : પૂંજાસુત. શિવભક્તિનું માહાત્મ્ય વર્ણવતી ‘કંડલાહરણ’ (ર.ઈ.૧૬૫૧) નામની આખ્યાન-કૃતિના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો;  ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગબીજે.[કી.જો.]

પીઠો [                ] : કવિએ પદો(મુ.)ની રચના કરી છે, જેનો મુખ્ય વિષય જ્ઞાનભક્તિનો છે. કૃતિ : ૧. અભમાલા; ૨. કાફીસંગ્રહ, પ્ર. ક. જા. સં. ૧૯૪૦; ૩. દુર્લભ ભજન સંગ્રહ, ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૪. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૫. ભજનસાગર : ૧, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૧૯૯૮; ૬. સતવાણી; ૭. સોસંવાણી. [કી.જો.]

પીતાંબર [                ]: વૈષ્ણવ કવિ. આ કવિએ ‘ચાતુરી’ અને ‘મુક્તિપંચક’ નામની કૃતિઓ તથા કેટલાંક પદ (૩ કડીનું ૧ મુ.)ની રચના કરી છે. કૃતિ: શ્રીરુક્મિણી વિવાહનાં પદ, પ્ર. પંડ્યા બ્રધર્સ,- સંદર્ભ: ફાહનામાવલિ: ૧, ૨.

પીપાજી/પીપો [                ] : મારવાડના રાજવીકુળના સંત. લોકસાહિત્યના કવિ. જન્મ ઈ.સ. ૧૩૩૦માં થયો હોવાની માન્યતા છે. પિતાનું નામ ભોજરાજ અને માતાનું નામ સફલાદે. તેઓ નિર્ગુણબ્રહ્મના ઉપાસક હતા. ગુજરાતી અને હિન્દીમિશ્ર ગુજરાતીમાં મળતા તેમની પદ-ભજન (૩ મુ.) પ્રકારની કૃતિઓમાં લોકબોલીના સ્પર્શી ભાવની ઉત્કટતા આવી છે. કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. પ્રાકાવિનોદ : ૨; ૩. પ્રીતના પાવા, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૮૩ (+સં.); ૪. બૃહત્ સંતસમાજ ભજનાવળી. પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.) સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.[કી.જો.]

પુણ્ય(મુનિ) [ઈ.૧૪૪૭ સુધીમાં] : જૈન સાધુ. ‘અંબા-સ્તોત્ર’ (લે. ઈ.૧૪૪૭)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

પુણ્યકમલ [ઈ.૧૬૦૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હંસરત્નસૂરિ/રત્નહંસસૂરિની પરંપરામાં સુમતિકમલના શિષ્ય. ભિન્નમાલમાં જમીન ખોદતાં નીકળેલી મૂર્તિઓના ચમત્કારો અને ગજની ખાનના અહંકારને દૂર કરતી કથાને નિરૂપતા ૫૩/૫૮ કડીના ‘પાર્શ્વનાથ-સ્તોત્ર’ (ભિન્નમાલ)’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, શ્રાવણ સુદ ૫, રવિવાર; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુઆરી-માર્ચ ૧૯૪૭-‘ભિન્નમાલસ્થ પાર્શ્વજિનનું ઐતિહાસિક સ્તવન’, સં. શ્રી જ્ઞાનવિજયજી (ત્રિપુટી) (+સં.); ૨. જૈન સત્યપ્રકાશ, ડિસેમ્બર ૧૯૪૭-‘ભિન્નમાલ-સ્તવન’, સં. જયંતવિજયજી. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ ૨; ૨. ડિકૅટલૉગભાવી; ૩. મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

પુણ્યકલશ [ઈ.૧૭મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રની પરંપરામાં ધર્મમંદિરના શિષ્ય અને જયતસી/જગરંગ (ઈ.૧૭મી સદી મધ્યભાગ)ના ગુરુ. તેમની પાસેથી કેટલાંક સ્તવનો મળેલાં છે. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ.[શ્ર.ત્રિ.]

પુણ્યકવિ [                ] : જૈન. પંડિત ચતુરના શિષ્ય. ‘ઇલાચીપુત્ર-સઝાય’ (લે.સં. ૧૮મું શતક અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

પુણ્યકીર્તિ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદની પરંપરામાં હર્ષપ્રમોદના શિષ્ય. ૨૦૩ કડીનો ‘પુણ્યસાર-ચોપાઈ/પુણ્યસાર-રાસ’ (ર.ઈ.૧૬૧૦/સં.૧૬૬૬, આસો સુદ ૧૦, ગુરુવાર), રાજસ્થાની-ગુજરાતીમિશ્ર ભાષામાં ‘અમરસેનવયરસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૦), ૨૦ ઢાળ અને ૨૯૯ કડીના ‘રૂપસેનરાજ-ચોપાઈ/કુમારમુનિ-રાસ’ (ર.ઈ.૧૬૨૬/સં.૧૬૮૨, ભાદરવા સુદ ૧૩, રવિવાર), ૩૭ કડીની ‘મોહછત્તીસી’ (ર.ઈ.૧૬૨૮/સં.૧૬૮૪, ભાદરવો-), ‘મદબત્તીસી’ (ર.ઈ.૧૬૨૯/સં.૧૬૮૮, ભાદરવા સુદ ૧૩, રવિવાર)-એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪. યુજિનચંદ્રસૂરિ;  ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. મુપુગૂહસૂચી; ૭. રાહસૂચિ : ૧; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]

પુણ્યચંદ [ઈ.૧૫૮૫ સુધીમાં] : જૈન. ‘જિનાજ્ઞાપ્રમાણપરીઆગમ-હુંડી’ (લે.ઈ.૧૫૮૫)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો.[શ્ર.ત્રિ.]

પુણ્યતિલક/પુણ્યરત્ન [ઈ.૧૫૮૩માં હયાત] : જૈન સાધુ. ૮૪ કડીની ‘નેમિનાથ-રાસ/નેમરાજુલ-રાસ’ (ર.ઈ.૧૫૮૩)ના કર્તા. સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. ડિકૅટલૉગભાવિ; ૩. મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

પુણ્યનંદી : આ નામે રાજસ્થાની-ગુજરાતીમિશ્રમાં ‘જાલોરપાર્શ્વવિવિધઢાલ-સ્તવન’ (લે.સં.૧૭મું. શતક અનુ.) મળે છે. તેના કર્તા કયા પુણ્યનંદી છે તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : રાપુહસૂચી : ૧.[શ્ર.ત્રિ.]

પુણ્યનંદી-૧ [ઈ.૧૫૫૯ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસમુદ્રસૂરિની પરંપરામાં સમયભક્તના શિષ્ય. ૩૨/૩૬ કડીના ‘રૂપકમાલા/શીલરૂપકમાલા’ (લે.ઈ.૧૫૫૯)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ : ૧’ મુજબ જિનસમુદ્રસૂરિને સૂરિપદ અપાયું (ઈ.૧૪૭૪) અને તેમનું અવસાન થયું (ઈ.૧૪૭૯) તે બે વચ્ચેના ગાળામાં આ કૃતિ રચાઈ છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]

પુણ્યનિધાન [ઈ.૧૬૪૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ભાવહર્ષની પરંપરામાં વિમલઉદયના શિષ્ય. ‘અગડદત્ત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૭/સં. ૧૭૦૩, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૨. જૈગૂકવિઓ : ૩(૧) [શ્ર.ત્રિ.]

પુણ્યપાલ [ઈ.૧૫૧૮ સુધીમાં] : જૈન. ‘મેઘકુમાર-ગીત’ (લે. ઈ.૧૫૧૮) અને ૧૭ કડીની ‘થાવચ્ચાઋષિરાજ-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : સજઝાયસંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી, સં. ૧૯૭૮. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

પુણ્યપ્રધાન [ઈ.૧૬૨૧ પહેલાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. મેડતાના ઈ.૧૬૨૧/સં.૧૬૭૭, જેઠ વદ ૫ ના શિલાલેખમાં એમનું નામ ઉલ્લેખાયેલું હોવાથી પ્રસ્તુત કર્તાને ત્યાં સુધીમાં થયેલા ગણી શકાય. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ.[શ્ર.ત્રિ.]

પુણ્યપ્રભ [ઈ.૧૭૬૫ સુધીમાં] : જૈન. ભાવપ્રભસૂરિના શિષ્ય. ૧૪ કડીના ‘નેમરાજુલ-બારમાસ’ (લે.ઈ.૧૭૬૫)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

પુણ્યભુવન [ઈ.૧૬૨૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજની પરંપરામાં જિનરંગસૂરિના શિષ્ય. ૨૦ ઢાલના ‘પવનંજય-અંજનાસુંદરીસુત હનુમંતચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૬૨૮/સં. ૧૬૮૪, મહા વદ ૩, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. જૈગૂકવિઓ : ૩(૨).[શ્ર.ત્રિ.]

પુણ્યરત્ન-૧ [ઈ.૧૫૪૦ સુધીમાં] : જૈન. ૬૪ કડીના ‘નેમિ-રાસ/યાદવ-રાસ’ (લે.ઈ.૧૫૪૦)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]

પુણ્યરત્ન-૨ : જુઓ પુણ્યતિલક.

પુણ્યરત્ન-૩ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : આંચલિક ગચ્છના જૈન સાધુ. સુમતિસાગરની પરંપરામાં ગજસાગરસૂરિના શિષ્ય. ૨૮૧ કડીના ‘સનતકુમાર-રાસા’ (ર.ઈ.૧૫૮૧/સં.૧૬૩૭, વૈશાખ વદ ૫), ૭૨ કડીના સુધર્માસ્વામી-રાસ’ (ર.ઈ.૧૫૮૪/સં. ૧૬૪૦, ફાગણ સુદ ૧૩, ગુરુવાર) અને ૮ કડીના ‘ગજસાગર-સૂરિ-ગીત’ (મુ.)ના કર્તા. પ્રસ્તુત કર્તાએ કેટલાંક ‘કવિત્ત’, ‘નેમિનાથ-રાસ’ અને અંચલગચ્છનો મહિમા બતાવતાં ત્રણ પદ્યો રચ્યાંનો ઉલ્લેખ પણ મળે છે. કૃતિ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ઈ.૧૯૪૧-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુઆરી ઈ.૧૯૪૧-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

પુણ્યરત્ન-૪ [ઈ.૧૭૪૧માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. પૂર્ણિમાગચ્છની ઢંઢેરવાડ શાખાના આચાર્ય ભાવપ્રભસૂરિના શિષ્ય. તપગચ્છના પંડિત ન્યાયસાગરના સમગ્ર જીવનને નિરૂપતા, એમના અવસાન પછીના ૨૭/૨૮ દિવસમાં પૂરા કરેલા, ૧૦ ઢાલના ‘પંડિત શ્રીન્યાયસાગરનિર્વાણ-રાસ’ (ર.ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, આસો વદ ૫, રવિવાર; મુ.), ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૪૧/સં.૧૭૯૭, વૈશાખ વદ ૪, ગુરુવાર), ૭ કડીના ૧ હિન્દી સ્તવન (મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈઐકાસંચય (+સં.); ૨. જૈકાપ્રકાશ : ૧. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]

પુણ્યરુચિ [ઈ.૧૬૨૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ઉદયરુચિના શિષ્ય. નાગોરના જિનમંદિરને નોંધતું ૧૪ કડીનું ‘નાગોરનવજિનમંદિર-સ્તવન’ (ર.ઈ.૧૬૨૨/સં.૧૬૭૮, માગશર વદ ૧૩, મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ઈ.૧૯૫૫-‘નાગોર-નવજિન મંદિર-સ્તવન’, સં. ભંવરલાલજી નાહટા.[શ્ર.ત્રિ.]

પુણ્યરુચિશિષ્ય [ઈ.૧૮૩૨ સુધીમાં] : જૈન. ‘જિનપ્રતિમાદિ સંખ્યાવિચારદોધક’ ઉપરનો સ્તબક (લે.ઈ.૧૮૩૨)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

પુણ્યલબ્ધિ [લગભગ ઈ.૧૫૪૪ સુધીમાં] : જૈન. પંડિત રાજહેમગણિના શિષ્ય. ૬૧ કડીની ‘અનાથી-ચોપાઈ’ (લે.ઈ.૧૫૪૪ લગભગ)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨).[શ્ર.ત્રિ.]

પુણ્યવિજ્ય : આ નામે ૧૬ કડીની ‘સર્વાર્થસિદ્ધિ-સઝાય’ મળે છે. તેના કર્તા કયા પુણ્યવિજય છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]

પુણ્યવિજય-૧ [ઈ.૧૭૫૫માં હયાત] : જૈન સાધુ. ‘શુકરાજનૃપ રાસ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૫૫)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાનસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

પુણ્યવિજય-૨ [                ] : તપગચ્છના જૈન સાધુ. નેમિવજયના શિષ્ય. ૯ કડીની ‘વિજયપ્રભસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧.[શ્ર.ત્રિ.]

પુણ્યવિજયશિષ્ય [ઈ.૧૭૫૩માં હયાત] : જૈન. ‘શાશ્વતાશાશ્વત જિનપ્રસાદ-સ્તવન’ (ર.ઈ.૧૭૫૩)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

પુણ્યવિમલ [                ] : તપગચ્છના જૈન સાધુ. તત્ત્વવિમલસૂરિના શિષ્ય. ‘અધ્યાત્મ-ચોવીશી’(મુ.) અને ગુજરાતી હિન્દીમિશ્રમાં ત્રણથી ૪ કડીનાં કેટલાંક પદો(મુ.)ના કર્તા. કૃતિ : અધ્યાત્મચોવીસી વગેરે. (પુણ્યવિમલસૂરિકૃત), પ્ર. જગદીશ્વર છાપખાનું, ઈ.૧૮૮૧.[શ્ર.ત્રિ.]

પુણ્યવિલાસ [ઈ.૧૭૨૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. સમયસુંદરની પરંપરામાં પુણ્યચંદ્રના શિષ્ય. ૧૦૦૦ ગ્રંથાગ્ર અને ૧૯ કડીના ‘માનતુંગમાનવતી-રાસ’ (ર.ઈ.૧૭૨૪/સં.૧૭૮૦, આસો સુદ ૩, રવિવાર) અને ૭ કડીના ‘શ્રીજિનધર્મસૂરિપટ્ટધરજિનચંદ્ર સૂરિ-ગીતમ’ (મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ. ૨; ૨. ગુસારસ્વતો;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૨).[શ્ર.ત્રિ.]

પુણ્યશીલ(ગણિ) [ઈ.૧૫૪૪ સુધીમાં] : જૈન સાધુ. ‘અનાથીમુનિ-ચોપાઈ’ (લે.ઈ.૧૫૪૪)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો.[શ્ર.ત્રિ.]

પુણ્યસાગર : જૈન. આ નામે ૯ કડીનું ‘શ્રીજિનચંદ્રસૂરિ-અષ્ટકમ્’ (મુ.), ૧૯ કડીની ‘શીલની નવવાડની સઝાય’ (મુ.), અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં ૧૯/૨૧ કડીનું ‘કલ્યાણ-સ્તોત્ર/પંચકલ્યાણક-સ્તોત્ર-બારમાસા’ (લે.સં. ૧૭મું શતક અનુ.); ૬ કડીનું ‘અધ્યાત્મિક-ગીત’ (લે.સં. ૧૮મું શતક અનુ.), ૬ કડીનું ‘શંખેશ્વરચંદ્રસૂરિ-અષ્ટકમ્’ના કર્તા પુણ્યસાગર-૧ હોવાની સંભાવના છે. અન્ય કૃતિઓના કર્તા કયા પુણ્યસાગર છે તે નિશ્ચિત થઈ શકતું નથી. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. જિસ્તકાસંદોહ : ૨. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહટા;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : [શ્ર.ત્રિ.]

પુણ્યસાગર-૧  [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહંસસૂરિના શિષ્ય. પિતા ઉદયસિંહ. માતા ઉત્તમદેવી. જિનહંસસૂરિના હસ્તે દીક્ષા. ઈ.૧૫૯૪ બાદ થોડા સમયમાં અવસાન થયાની સંભાવના. તેમની પાસેથી ૮૯/૯૧ કડીની ‘સુબાહુઋષિ-સંધિ’ (ર.ઈ.૧૫૪૮), જિનવલ્લભસૂરિકૃત મૂળ સંસ્કૃત કૃતિ ‘પ્રશ્નોત્તરકાવ્ય’ની વૃત્તિ (ર.ઈ.૧૫૮૪), ‘જંબૂદ્વીપ-પ્રજ્ઞપ્તિ’ પર વૃત્તિ (ર.ઈ.૧૫૮૯), ૨૬ કડીનું ‘આદિનાથ-સ્તવન’, ‘આજિતસ્તવન’, ૫૪ કડીનું ‘નમિરાજર્ષિ-ગીત’, ‘પંચકલ્યાણ-સ્તવન’, ૧૯ કડીનું ‘પાર્શ્વજન્માભિષેક’, ૨૭ કડીનું ‘પૈંતીસવાણીઅતિશયગર્ભિત-સ્તવન’, ૨૧ કડીનું ‘મહાવીર-સ્તવન’, ‘મુનિમાલકા’, ૮૭/૮૮ કડીની ‘સાધુવંદના’ અને અન્ય કૃતિઓ મળી છે. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. પ્રાકારૂપરંપરા; ૩. યુજિનચંદ્રસૂરિ;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]

પુણ્યસાગર-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પીંપલગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિની પરંપરામાં કર્મસાગરસૂરિના શિષ્ય. ‘નયપ્રકાશ-રાસ’ (ર.ઈ.૧૬૨૧), ૮ ઢાળ અને ૬૪૩ કડીના ‘અંજના સુંદરી-રાસ/અંજનાસુંદરી-પવનજયકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૩૩/સં.૧૬૮૯, શ્રાવણ સુદ ૫, મંગળવાર), ૯ કડીના ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’ તથા ૬ કડીના ‘શાંતિનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨, ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસમાળા;  ૪. આલિસ્ટઑઇ : ૨, ૫. કૅટલૉગપુરા; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. ડિકૅટલૉગબીજે; ૮. ડિકૅટલૉગભાવિ; ૯. મુપુગૂહસૂચી; ૧૦. લીંહસૂચી; ૧૧. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]

પુણ્યહર્ષ(ઉપાધ્યાય) [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૬૮૭/સં.૧૭૪૪, કારતક સુદ ૩] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજ અને કીર્તિરત્નની પરંપરામાં લલિતકીર્તિના શિષ્ય. તેમના શિષ્ય અભયકુશલે તેમના વિશે રચેલા એક ગીત અનુસાર સિંધુદેશના હાજીખાનપુરમાં અનશન દ્વારા અવસાન. ‘જિનપાલિત જિનરક્ષિત-રાસ’ (ર.ઈ.૧૬૫૩/સં.૧૭૦૯, આસો સુદ ૧૦) અને ૧૭ ઢાલની ‘હરિબલ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૯)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨).[શ્ર.ત્રિ.]

પુન્હ(કવિ) [ઈ.૧૮૧૫ સુધીમાં] : ‘મહાસતી સીતા-ચરિત્ર’ (લે.ઈ.૧૮૧૫)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી : ૧.[કી.જો.]

પુરુષોત્તમ : આ નામે ‘પંદર તિથિઓ’, ૯ પદનું ‘ભ્રમર-ગીત’(મુ.), ‘શ્રીકૃષ્ણની રાસલીલા’(મુ.) તથા થાળ, કૃષ્ણકીર્તન અને જ્ઞાનભક્તિવિષય પદો (કેટલાંક મુ.) મળે છે. સગુણ ભક્તિવાળાં પદોની ભાષા નિર્ગુણ ભક્તિવાળાં પદોની ભાષાની તુલનાએ જૂની જણાય છે. એમના કર્તા કયા પુરુષોત્તમ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. નકાદોહન; ૨. પ્રાકાસુધા : ૨; ૩. બૃકાદોહન : ૬; ૪. ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. શાહ વૃન્દાવનદાસ કા. ઈ.૧૮૮૭; ૫. ભસાસિંધુ; ૬. ભ્રમરગીતા (કવિ બ્રેહેદેવકૃત) : અન્ય કવિઓની વૈષ્ણવગીતાઓ અને ઉદ્ધવગોપી સંવાદોના પરિચય સમેત, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૬૪. સંદર્ભ : ૧. અમસંપરંપરા; ૨. કવિચરિત : ૩; ૩. ગુસારસ્વતો; ૪. પ્રાકકૃતિઓ;  ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગભાવિ.[ચ.શે.]

પુરુષોત્તમ-૧ [ઈ.૧૭૮૨ સુધીમાં] : ‘બહુચરાનો ગરબો’ (લે.ઈ.૧૭૮૨)ના કર્તા. સંદર્ભ : ૧. ફાહનામાવલિ : ૨; ૨, ફૉહનામાવલિ.[ચ.શે.]

પુરુષોત્તમ-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. સૂરજરામ મહારાજના પુત્ર અને નિરાંતસંપ્રદાયના અનુયાયી. સંપ્રદાયની હસ્તપ્રત પ્રમાણે કેટલાંક પદો (૧ મુ.) મળે છે. કૃતિ : બૃકાદોહન : ૫ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી.[દે.દ.]

પુવ્વ [                ] : જૈન. ૭ કડીના ‘શારદાજીનો છંદ’(મુ.) એ કૃતિના કર્તા. કૃતિ : મણિભદ્રાદિના છંદોનો પુસ્તક : ૧, પ્ર : નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦.[શ્ર.ત્રિ.]

‘પુષ્ટિપથરહસ્ય’ : દુહા, કવિત અને રસાવલા (રોળા) છંદની ૧૮૨/૧૮૩ કડીની દયારામની આ રચના(મુ.) પુષ્ટિસંપ્રદાયની વિચારણાનુસાર વલ્લભાચાર્ય તથા તેમના કુળસમગ્રની સેવાપૂજાનું મહિમાગાન કરે છે. શ્રીકૃષ્ણ અને વલ્લભ-વિઠ્ઠલ વસ્તુત: એક જ છે, છતાં ગુરુનો પ્રતાપ શ્રીકૃષ્ણ કરતાં અધિક છે. એનું કારણ આપતાં કવિ કહે છે કે ગોવિંદનું દર્શન તો પુનિત જનને જ થાય, જ્યારે ગુરુનાં દર્શન તો પાપીને પણ થાય છે. વળી, સ્વામિની રાધાના અંશ રૂપ પુરુષદેહધારી વલ્લભની સિફારસથી દીન ભક્તનું પ્રભુને પ્રસન્ન કરવાનું કાર્ય સિદ્ધ થાય છે. મહાપ્રભુ વલ્લભાચાર્યનો મહિમા કવિ ત્યાં સુધી કરે છે એ એક મુખમંડલ છે, જેમાં મુખને સ્થાને શ્રીજી(શ્રીકૃષ્ણ) છે, દૃગને સ્થાને સ્વામિની છે ને નાસિકાને સ્થાને ગોસાંઈ (વિઠ્ઠલનાથ) છે. કૃતિમાં પૌરાણિક ને ઔપમ્યમૂલક દૃષ્ટાંતોનો વિનિયોગ થયેલો છે ને કવચિત્ શબ્દચાતુર્યનો આશ્રય પણ લેવાયો છે. જેમ કે, કવિ કહે છે કે ‘વૈષ્ણવ’ શબ્દમાં ૨ ‘વ’ દ્વારા વલ્લભ અને વિઠ્ઠલનો તો ‘ષ્ણુ’ દ્વારા કૃષ્ણનો સમાવેશ થયો છે. કૃતિમાં વ્રજભાષાનાં ઉધ્ધરણો છે ને કવિએ રચેલાં ૫ સંસ્કૃત શ્લોકો પણ છે.[સુ.દ.]

પુષ્પવિજય [ઈ.૧૭૫૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ‘શુક્રરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૫૫)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા.[શ્ર.ત્રિ.]

પુંજરાજ [                ] : જૈન. ૩ કડીના ‘નેમીશ્વર-ગીત’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]

પૂજા : જુઓ પૂંજા. પૂંજા(ઋષિ)-૧ [ઈ.૧૫૯૬માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સમરચંદ્રની પરંપરામાં હંસચંદ્રના શિષ્ય. જ્ઞાતિએ કડવા પટેલ. પિતાનું નામ ગોરો અને માતા ધનબાઈ.વિમલચંદ્રસૂરિને હસ્તે ઈ.૧૬૧૪માં દીક્ષા. દુહા-ચોપાઈમાં નિબદ્ધ, કવચિત પ્રાકૃત ગાથાઓ, સંસ્કૃત શ્લોકો એ સુભાષિતોથી યુક્ત, ૪ ખંડ અને ૩૩૪ કડીના ‘આરામશોભા-ચરિત્ર’ (ર.ઈ.૧૫૯૬/સં.૧૬૫૨, આસો સુદ ૧૫, બુધવાર; મુ.) તથા ‘બ્રહ્મદત્તચક્રવર્તી-રાસ’ના કર્તા. કૃતિ : આરામશોભાચરિત્ર, પ્ર. જૈન હઠીસિંહ સરસ્વતી સભા, ઈ.૧૯૨૮. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી.[કી.જો.]

પૂંજા (બાવા)-૨ [                ] : મુસ્લિમ કવિ. કાયમુદ્દીનની પરંપરામાં અભરામબાવાના શિષ્ય. જ્ઞાતિએ ખંભાતના ખારવા-ખલાસી. તેમના અનુયાવર્ગમાં ખલાસી, ગોલા, કણબી, કછિયા, સોની ઉપરાંત પારસીઓ પણ હતા. વેદાંતકથિત જ્ઞાન અને ભક્તિમાર્ગનાં વિવિધ તત્ત્વોનું નિરૂપણ કરતાં બીલાવલ, પ્રભાત, કેદાર વગેરે વિવિધ રાગના નિર્દેશવાળાં તેમનાં ૩૯ ભજનો(મુ.) મળે છે. કૃતિ : ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯. સંદર્ભ : નુરેરોશન, સં. રતનશાહ કોયાજી, ઈ.૧૯૨૪.[ર.ર.દ.]

પૂજારામ [                ] : શ્રીકૃષ્ણભક્તિનાં પદોના કર્તા. સંદર્ભ : પ્રાકૃતિઓ. [કી.જો.]

પૂજાસુત : આ નામે ‘પાંડવી-ગીતા’ (ર.ઈ.૧૬૪૬) અને ૧૦૯ કડીના ‘નલનાં ચંદ્રાવળા’ મળે છે જે પરમાણંદ(દાસ)-૪ની કૃતિઓ હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧, ૨;  ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે ૪. ફૉહનામાવલિ.[કી.જો.]

પૂજો-૧ [ઈ.૧૬૪૯ સુધીમાં] : ૪૦ કડીની ‘રુક્માંગદપૂરીવર્ણન એકાદશી મહાત્મ્ય’ (લે.ઈ.૧૬૪૯)એ કૃતિના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]

પૂજો-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાતિએ બ્રાહ્મણ. આધોઈ ગામના રહીશ. તેમને માવજી નામે પુત્ર હતા જે સારા કવિ હતા. તેમનો કવનકાળ ઈ.૧૭૬૪થી ઈ.૧૮૨૪ નોંધાયેલો મળે છે તે પરથી કવિ પૂજાનો સમય ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ માની શકાય. ૪ પ્રકરણોમાં વિભક્ત મારવાડી ભાષાની ગાઢ અસરવાળી ‘કાળ ચિંતામણિ’ (મુ.) નામની કવિની કૃતિ મળે છે. કવિની આ રચના દ્વારા તેમના જ્યોતિષ, વૈદક, યોગ અને ભાષા સાહિત્યના ઊંડા અભ્યાસનો પરિચય થાય છે. કવિએ ‘વિદુરની ભાજી’, ‘કુંડળિયા’, ‘થાળ’ એ કૃતિઓ ઉપરાંત પદ (૧મું.), દુહા, છપ્પા, સવૈયા પણ રચ્યાં છે. કૃતિ : ૧. ફાત્રૈમાસિક જુલાઈ-સપ્ટે. ૧૯૯૨-‘અપ્રસિદ્ધ લોકસાહિત્ય’ સં. કચરાલાલ શ. સોની; ૨. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-જૂન ૧૯૩૯-‘કવિ પૂજો અને તેની કાળચિંતામણિ’, સં. જયશંકર ઉ. પાઠક. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.[કી.જો.]

પૂન/પૂનો : આ નામે ૫ કડીની ‘અંતરંગવણઝારા-ગીત’ મળે છે. તેના કર્તા કયા પૂન/પૂનો છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : હૈજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

પૂનો-૧ [ઈ.૧૫૧૮ સુધીમાં] : જૈન. ૬ કડીની ‘ઉપદેશાત્મક-ગીત’ (લે.ઈ.૧૫૧૮) એ કૃતિના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]

પૂન/પૂનો-૨ [ઈ.૧૫૩૯ સુધીમાં] : જૈન. ૨૧ કડીની ‘મેઘકુમાર સઝાય’ (લે.ઈ.૧૫૩૯; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસમાલા (શા) : ૧; ૨. જૈસસંગ્રહ (જૈ.); ૩. જૈસસંગ્રહ(ન.). સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. મુપુગૂહસૂચિ; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

પૂરીબાઈ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ભક્ત કવયિત્રી. પિતા ભાણજી. તેઓ મૂળ અમદાવાદના પણ પછી ઉમરેઠમાં વસવાટ કરેલો. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. પૂરીબાઈના હયાતીકાળ વિશે ચોક્કસ માહિતી મળતી નથી પણ ઈ.૧૬૮૧થી ઈ.૧૭૫૨ સુધી તેઓ હયાત હોવાનું અનુમાન થયું છે. માત્ર અગિયાર વર્ષની નાની વયે તેમનાં લગ્ન થયેલાં, પરંતુ પતિ કોલેરામાં મૃત્યુ પામતા તેઓ બાળવિધવા બનેલાં. તે પછીનો બધો સમય તેમણે તેમના પિતા સાથે, તેમના પિતાને ખડાયતા વણિકો તરફથી મળેલી રઘુનાથજીની સેવામાં પસાર કર્યો હતો. પિતાના મૃત્યુ પછી પણ તેમણે રઘુનાથજીની સેવા ચાલુ રાખી હતી. ૬ કડવાંનું, સાદી અને પ્રૌઢ શૈલીમાં રામ-સીતાના વિવાહ-પ્રસંગનું ચિત્રણ કરતું ‘સીતા-મંગળ’(મુ.) નામનું કથાકાવ્ય તેમનું મળે છે. તેમાં તત્કાલીન લગ્નનાં રીતરિવાજોનું વર્ણન છે. વળી ‘બારનપુરની બાજોઠી’ ‘વીસનગરની થાળી’, ‘ડુંગરપુરની ઝારી’, ‘વીજાપુરના વાટકડા’ વગેરેના નિર્દેશો પણ છે. કૃતિ : ૧. ગુકાદોહન; ૨. બૃકાદોહન-૧. સંદર્ભ : ૧. કવિચરિત-૩; ૨. પ્રાકકૃતિઓ;  ૩. સાહિત્ય, એપ્રિલ ૧૯૨૬-‘કવિ પૂરીબાઈ’, ભોગીલાલ ભી. ગાંધી;  ૪. ગૂહાયાદી.[ચ.શે.]

પૂર્ણકલશ (?) [                ] : જૈન સાધુ. ૧૦ કડીની ‘દેશવૈકાલિક-ગીત’ (અપૂર્ણ)ના કર્તા. સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. [કી.જો.]

પૂર્ણદાસ [                ] : ભજનો(૧મુ.)ના કર્તા. કૃતિ : ભજનિક કાવ્યસંગ્રહ. પ્ર. શા. વૃન્દાવનદાસ કાનજી, ઈ.૧૮૮૮.[કી.જો.]

પૂર્ણપ્રભ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં શાંતિકુશલના શિષ્ય. ૩ ખંડ અને ૬૧૬ કડીની ‘પુણ્યદત્તસભદ્રા-ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૦/સં. ૧૭૮૬, કારતક દિવાળી ૧૩-), ૨૫ ઢાળની ‘ગજસુકુમાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૦/સં.૧૭૮૬, પોષ સુદ ૨, ગુરુવાર), ૭ ઢાળ અને ૧૧૭ કડીની ‘શત્રુંજય-રાસ’ (ર.ઈ.૧૭૩૪/સં.૧૭૯૦, ફાગણ વદ ૮, મંગળવાર) તથા ૪ ખંડ ને ૭૬૨ કડીની રાત્રિભોજનને વિષય કરતી ‘જયસેનકુમાર-પ્રબંધ/રાસ’ (ર.ઈ.૧૭૩૬/સં.૧૭૯૨, કારતક દિવાળી૧૩,-) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૨).[કી.જો.]

પૂર્ણાનંદ [ઈ.૧૮૨૮માં હયાત] : ચંદ્રગચ્છના જૈન સાધુ. ક્ષમારત્નની પરંપરામાં તારારત્નના શિષ્ય. ‘મેઘકુમાર-રાસ’ (ર.ઈ.૧૮૨૮)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]

પૂર્ણાનંદશિષ્ય [                ] : જૈન. ૩૭ કડીની ‘બાલાત્રિપુરા-છંદ’ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાઈ : ૧૯(૨).[કી.જો.]

પેથડ/પેથો(મંત્રી) [ઈ.૧૫મી સદી] : અંચલગચ્છના શ્રાવકકવિ. જ્ઞાતિએ શ્રીમાળી. જાંબૂગામના વાસી. જયકેસરસૂરિ (આચાર્યપદ ઈ.૧૪૩૮)ના શિષ્ય. ૨૦૬ કડીની ‘(જીરાઉલા) પાર્શ્વનાથ દશભવ-વિવાહલો’ (ર.ઈ.૧૪૩૮ પછી - ઈ.૧૪૮૬ પહેલાં)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. પ્રાકારૂપરંપરા;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી. [કી.જો.] ‘પેથડરાસ’ : અજ્ઞાતકર્તૃક આ અપૂર્ણ રાસ(મુ.)નો રચયિતા ‘મંડલિક’ નામનો કોઈ કવિ છે એમ એના અંતભાગની પંક્તિઓમાં મળતા ઉલ્લેખ પરથી મનાયું છે. વાસ્તવમાં ‘મંડલિક’ નામ કર્તાનું નહીં પરંતુ જૂનાગઢના રાજા રા’મંડલિકનું કે અન્ય કોઈ વ્યક્તિનું સૂચક હોવાથી સંભાવના છે. પાટણની બાજુના સંડેર ગામનો પેથડશાહ પોતાના ભાઈઓ સાથે સંઘ કાઢી સૌરાષ્ટ્ર જાય છે એ પ્રસંગનું આલેખન કરતો આ રાસ કાવ્યત્વની દૃષ્ટિએ નહીં, પરંતુ સંઘ નીકળ્યો તે વખતે પાટણમાં કર્ણ વાઘેલાનું રાજ્ય હતું, સંઘ પાટણથી પાલીતાણા અને પાલીતાણાથી જૂનાગઢ આવ્યો ત્યારે જે ગામોમાંથી પસાર થયો તે ગામના નિર્દેશ, જૂનાગઢમાં મંડલિકે સંઘને ઊતરવા માટે કરી આપેલી સગવડ ઇત્યાદિ ઐતિહાસિક-ભૌગોલિક સંદર્ભો અને રોળા, દુહા, ચોપાઈ, સવૈયા અને ગેય દેશીઓવાળા વિશિષ્ટ કાવ્યબંધને લીધે ધ્યાનપાત્ર બને છે. કૃતિ : પ્રાગૂકાસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧;  ૩. જૈગૂકવિઓ : ૧.[જ.ગા.]

પેથા : આ નામે ૭ કડીની ‘મુનિસુવ્રતસ્વામી-વિનિત’ મળે છે તેના કર્તા કયા પેથા નામના કવિ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]

પોચો : જુઓ પાંચો.

પોઠો/પોડો [ઈ.૧૭૧૭ સુધીમાં] : જ્ઞાતિએ બારોટ કવિ. તેમની મહાભારતના ‘અશ્વમેધપર્વ’ પરથી રચાયેલી ૮ કડવાંની ‘સુધન્વાખ્યાન’(મુ.) તથા ૮ કડવાંની ‘મોરધ્વજાખ્યાન’ (લે.ઈ.૧૭૧૭; મુ.) એ ૨ ભક્તિપ્રધાન આખ્યાનકૃતિઓ મળે છે. તેમણે ‘મોરધ્વજ-આખ્યાન’માં કેટલાક સંસ્કૃત શ્લોક ઉદ્ધૃત કર્યા છે. વળી કાવ્યને અંતે પણ તેમણે સંસ્કૃત શ્લોક ગૂંથ્યો છે. આ ઉપરથી તેઓ સંસ્કૃતજ્ઞ હોવાનું અનુમાન થયું છે. કૃતિ : બૃકાદોહન : ૬, ૮. સંદર્ભ : ૧. કવિચરતિ : ૧-૨;  ૨. ગૂહાયાદી.[ચ.શે.]

પ્યારેરામ [                ] : ૭ કડીની સાતવારની ગરબી(મુ.)ના કર્તા. કૃતિ : ભસાસિંધુ. [કી.જો.]

પ્રકાશસિંહ [ઈ.૧૮૧૯માં હયાત] : લોંકાગચ્છના શ્રાવકકવિ. ૧૩ કડીના ‘બારવ્રતના છપ્પા/સઝાય’ (ર.ઈ.૧૮૧૯/સં.૧૮૭૫, અસાડ સુદ ૮; મુ.)ના કર્તા. કૃતિ : વિવિધ પુષ્પવાટિકા, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧).[કી.જો.]

પ્રગત [                ] : ‘જ્વાલામુખીનો ગરબો’ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]

પ્રજારામ [ ] : પદોના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]

પ્રજ્ઞાતિલક(સૂરિ) શિષ્ય [ઈ.૧૩૦૬માં હયાત] : જૈન સાધુ. ઉદયસિંહસૂરિના જીવનવૃત્તાંત અને પ્રજ્ઞાતિલકસૂરિની પ્રશંસાને વિષય કરતા તથા આબૂ પાસે આવેલા ‘કછૂ’ નામના ગામના નામ પરથી જેનું નામ ‘કચ્છુલી-રાસ’ (ર.ઈ.૧૩૦૬; મુ.) પડ્યું છે તે કૃતિના કર્તા. કૃતિ : ૧. પસમુચ્ચય; ૨. પ્રાગૂકાસંગ્રહ. સંદર્ભ : ૧. આકવિઓ;  ૨. જૈસાઇતિહાસ;  ૩. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૬૫-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસંદોહ’, હીરાલાલ ર. કાપડિયા.[કી.જો.]

પ્રતાપ-૧ [                ] : જૈન. મોહનવિજયના શિષ્ય. ૬ કડીના ‘સેરીસા પાર્શ્વનાથ જિન-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : જૈરસંગ્રહ. [શ્ર.ત્રિ.]

પ્રતાપ-૨ [                ] : જૈન. રામવિજયના શિષ્ય. ૧૨ કડીની ‘રહનેમી-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : સઝાયમાલા, પ્ર. લલ્લુભાઈ કરમચંદનું છાપખાનું, સં. ૧૯૨૧.[શ્ર.ત્રિ.]

પ્રતાપચંદ્ર [                ] : ૧૩ કડીના ‘ચંદ્રપ્રભજીના સ્તવન’ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગબીજે.[શ્ર.ત્રિ.]

પ્રતાપવિજય(ગણિ) [ઈ.૧૮૨૫ સુધીમાં] : જૈન સાધુ. ‘સૂક્તાવલી ઉપદેશરસાલ-બાલાવબોધ’ (લે.ઈ.૧૮૨૫)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]

પ્રતાપસિંહ [ ] : ‘ચંદકુંવરીની વાર્તા’ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો.[શ્ર.ત્રિ.]

પ્રતિકુશલ [ઈ.૧૬૨૫માં હયાત] : જૈન. ‘ચંદ્રલેખા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૫)ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા.[શ્ર.ત્રિ.]

પ્રથમદાસ [                ] : કૃષ્ણગોપીની રસિક ગરબીઓના કર્તા. સંદર્ભ : ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’ છગનલાલ વિ. રાવળ.[કી.જો.]

‘પ્રબોધબત્રીશી/માંડણ બંધારાનાં ઉખાણાં’ : ષટ્પદી ચોપાઈવાળી ૨૦-૨૦ કડીની ૩૨ વીશીઓમાં સંકલિત માંડણની આ કૃતિ (મુ.) ગુજરાતીની પહેલી ઉખાણાગ્રથિત રચના છે. પહેલા ૪ કે ૫ ચરણમાં કથયિતવ્ય અને પાંચમા-છઠ્ઠા ચરણમાં જનસમાજમાં પ્રચલિત કોઈ લોકોક્તિ કે ઉખાણાથી કથયિતવ્યને સમર્થન એ રીતે દરેક કડીની સંકલના થયેલી છે. ભક્તિ, માયા, કૃષ્ણ, હૃદય, રાજનીતિ, હાસ્ય વગેરે શીર્ષકો નીચે વર્ગીકૃત થયેલી આ વીશીઓમાં કવિનો આશય તો લોકોનાં દંભી ધર્માચાર તેમ જ તેમની બુદ્ધિજડતા પર કટાક્ષ કરી જ્ઞાનબોધ આપવાનો છે. જેમ કે, કવિ કહે છે કે ભૂત, પ્રેત, વૈતાલ કે પિશાચની ઉપાસના કરવાનો શું અર્થ ? જે પોતે જ ભવાટવિમાં હજી અતૃપ્ત બની ફર્યા કરતાં હોય તે આપણું દુ:ખ કેવી રીતે દૂર કરી શકે ? જે કુળદેવતાનું વજન અડધો તોલો હોય તે મણના વજનવાળા ત્રિલોકનો ભાર કેવી રીતે ઉપાડી શકે ? ‘ગુજરાત શેરી સાંકડી’ ‘પેટ ભરાયું તો પાટણ ભરાયું’ ‘નાગરીનાં ગોઠણપણાં’ ઇત્યાદિ પ્રજાજીવનમાં પ્રચલિત વિચારોનું પ્રતિબિંબ પડતાં ઉખાણાંનો આ કોશ તત્કાલીન ગુજરાતના તળપદા જીવનને જાણવા માટે પણ ઉપયોગી બની રહે છે. કટાક્ષમય વાણી, જ્ઞાનબોધ બની રહે છે. કટાક્ષમય વાણી, જ્ઞાનબોધ ને ષટ્પદી ચોપાઈનો બંધ એ બાબતમાં આ કૃતિની અસર અખાના છપ્પાઓ પર જોઈ શકાય છે. [ર.શુ.]

‘પ્રબોધ-બાવની’ [ર.ઈ.૧૮૧૪/સં.૧૮૭૦, ફાગણ વદ ૩] : ૫૨ કુંડળિયાની દયારામકૃત આ રચના (મુ.) ઉખાણાગ્રથિત કૃતિઓની મધ્યકાલીન પરંપરાની છે. કવિએ દરેક કુંડળિયામાં આરંભે ‘ઉખાણું’ એટલે લોકોકિત મૂકી એને આધારે કશોક બોધ આપ્યો છે. જેમ કે, “તરસ્યો ખોદે કૂપ જડ, પ્રકટ પિયે નહીં ગંગ” એ કહેવતની મદદથી કવિ સમજાવે છે કે જડ, મૂર્ખ માણસ પરબ્રહ્મના પ્રગટ રૂપ સમા શ્રીવલ્લભવંશને શરણે ન જતાં કુપંથમાં પોતાનું મન સ્થાપે છે. “પારસમણિને વાટકે ભટજી માગે ભીખ”, “મસાણ મોદકમાં કયાં ઇલાયચીનો સ્વાદ” “અજગર ભાસે અળશિયું, મરઘું ભાસે મોર” આદિ અનેક રસપ્રદ રૂઢોક્તિઓનો સચોટ વિનિયોગ કરી બતાવતી ને પ્રાસાદિક અભિવ્યક્તિથી મનોરમ બનતી આ કૃતિ રચાઈ તો છે “નિજ મન” તે કૃષ્ણકીર્તનરત રહેવાનો બોધ આપવા માટે, પરંતુ એમાં કૃષ્ણકીર્તનના ઉપદેશ નિમિત્તે કવિએ ઇશ્વરની શાશ્વતતા, સંસારની ક્ષણભંગુરતા, પ્રપંચી ભક્તો અને ઢોંગી ગુરુઓ, સત્સંગમહિમા આદિ વિષયોને પણ આવરી લીધા છે.[સુ.દ.]

પ્રભસેવક [ઈ.૧૬૨૧માં હયાત] : મુખશોધનગચ્છના જૈન સાધુ. ૫૯ કડીની ‘ભગવતી-સાધુવંદના’ (ર.ઈ.૧૬૨૧)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧.[કી.જો.]

પ્રભાકરજી (બ્રહ્મર્ષિ) [                ] : કવિ કચ્છ મોથાળાના રહીશ હતા. તેમને નામે ‘પતિવ્રતા સ્ત્રીઓ’, ‘બારાક્ષરી’, ‘બ્રહ્મર્ષિકચ્છી પદાવલી’, ‘બ્રહ્મર્ષિ ભજનામૃત’, ‘મોક્ષમંદિર’, ‘સ્વર્ગસોપાન’ વગેરે કૃતિઓ નોંધાયેલી છે. તેમનું ૧ પદ(મુ.) મળે છે. કૃતિ : કચ્છના સંતો, દુલેરાય કારાણી, ઈ.૧૯૧૬ (+સં.).[કી.જો.]

પ્રભાચંદ્ર  [     ] : દિગંબર જૈન સાધુ. ૬૦ કડીના ‘બાહુબલિભરત-છંદ’ (લે.ઈ.૧૮મી સદી)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

પ્રભાશંકર : આ નામે ૪ પદની ‘રાવણ મંદોદરી-સંવાદ’(મુ.), ૧૯ કડીની માતાજીવિષયક ગરબી(મુ.), પરસ્ત્રીવિષયક ૧૪ છપ્પા (મુ.) તથા ૩ પદ(મુ.) મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક જ પ્રભાશંકર છે કે જુદા જુદા તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. પ્રાકાવિનોદ : ૧; ૨. ભજનસાગર : ૧; ૩. ભસાસિંધુ; ૪. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯;  ૫. વસંત, માઘ ૧૯૬૬-‘ગુજરાતના અપ્રસિદ્ધ કવિઓ’, છગનલાલ વિ. રાવળ. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ.[કી.જો.]

પ્રભાશંકર-૧ [ઈ.૧૮૬૩ સુધીમાં] : જ્ઞાતિએ ખડાયતા બ્રાહ્મણ. વતન અમદાવાદ. ‘જ્ઞાનવિષયક-ધોળ’ (લે.ઈ.૧૮૬૩), ‘તુલસીવિવાહ’, ‘પંદરતિથિ’, ‘બાર માસ’, ‘બ્રહ્મતત્ત્વ’ તથા પદોના કર્તા. સંદર્ભ : રાહસૂચી : ૧.[કી.જો.]

પ્રભુદાસ [ ] : ગણપતિની સ્તુતિના પદના કર્તા. સંદર્ભ : ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગૂજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ.[કી.જો.]

પ્રભુરામ-૧ [ઈ.૧૭૭૮માં હયાત] : બ્રાહ્મણકવિ. સહેરાગામના વતની. તેમની ૨૫ કડીની ‘રામવિવાહના શલોકા’ (મુ.) અને ૭૦ કડીની ‘કળિયુગનો છંદ’ (ર.ઈ.૧૭૭૮; મુ.) કૃતિઓ મળે છે. કૃતિ : ૧. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી; ૨. પ્રાકાવિનોદ : ૧. સંદર્ભ : ૧. શોધ અને સ્વાધ્યાય, હરિવલ્લભ ભાયાણી, ૧૯૬૫;  ૨. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી;  ૩. ગૂહાયાદી. [કી.જો.]

પ્રભુરામ-૨ [સં. ૧૮મી સદી] : પુષ્ટિસંપ્રદાયના ભક્તકવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો.[કી.જો.]

‘પ્રભુશશી’ : જુઓ શ્રાવક દેવચંદ્ર (ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ).

પ્રમોદચંદ્ર : આ નામે ‘અષ્ટબોલગર્ભિત જિનસ્તવન-ચોવીસી’ (લે.સં. ૧૮મી સદી) મળે છે. તેના કર્તા કયા પ્રમોદચંદ્ર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

પ્રમોદચંદ્ર-૧ [                ] : જૈન સાધુ. સુખચંદગણિના શિષ્ય. ૩૨૦ ગ્રંથાગ્રની ‘કલાવતી-રાસ’ના કર્તા. સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨.[કી.જો.]

પ્રમોદમાણિક્યશિષ્ય [                ] : જૈન. વેતાલપચીસી-ચોપાઈ’ (લે.ઈ.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]

પ્રમોદશીલશિષ્ય [ઈ.૧૬મી સદી ઉત્તરર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ૩૭ કડીનું ‘શ્રી સીમંધરજિન-સ્તોત્રવિચારસંયુક્ત’ (ર. ઈ.૧૫૫૭/સં. ૧૬૧૩, ફાગણ સુદ ૧૦,) ૨૬ કડીનું ‘શ્રી વીસવિહરમાન બોલ ૫ સંયુક્ત ૧૭૦ જિનનામ-સ્તવન’ (ર.ઈ.૧૫૫૭/સં. ૧૬૧૩, ફાગણ સુદ ૧૦), ૮ કડીની ‘ખંધકસૂરિ-સઝાય’ (ર.ઈ.૧૫૭૩) અને ૨૫ કડીની ઉપશમને વિષય કરતી ‘વીરસેન-સઝાય’ (ર. ઈ.૧૫૭૩)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો;  ૨. જૈગૂકવિઓ : ૧. [કી.જો.] પ્રમોદસાગર : આ નામે ૧ ચોવીસી(મુ.) મળે છે. આ પ્રમોદસાગર-૧ છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. અસ્તમંજૂષા; ૨. ચોસંગ્રહ; ૩. જિસ્તકાસંદોહ : ૧; ૪. જૈસાઇતિહાસ : ૧.[ચ.શે.]

પ્રમોદસાગર-૧ [                ] : જૈન સાધુ. લક્ષ્મીસાગરના શિષ્ય. ૧૩ કડીના ‘પર્યુષણનું ચૈત્યવંદન’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૨; ૨. દંડકાદિ જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ ઈ.૧૯૨૦. [ચ.શે.]

પ્રયાગદાસ [                ] : પિતાનું નામ ગંગદાસ. ઉદેપુરના વતની. ૩૨ કડીની ‘કપડાકુતૂહલ’(મુ.)ના કર્તા. કૃતિ : વર્ણકસમુચ્ચય : ૧, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૫૬ (+સં.).[કી.જો.]

‘પ્રશ્નોત્તરમાલિકા’ : ધીરાકૃત કાફી પ્રકારનાં ૨૧૭ પદની માળા(મુ.). શિષ્યગુરુ વચ્ચેના પ્રશ્નોત્તર રૂપે રચાયેલી આ કૃતિમાં જપમાળાના ૧૦૮ મણકાની જેમ ૧૦૮ પ્રશ્ન-પદો છે ને ૧૦૮ ઉત્તર-પદો છે. દરેક પ્રશ્નને આખું પદ આપવામાં આવ્યું છે તેથી પ્રશ્ન સ્ફુટ રૂપે મુકાય છે, વ્યવહારના અનુભવના સંદર્ભમાં શંકા ઉઠાવાય છે ને એમાં શિષ્યના સંશયગ્રસ્ત મન ને જિજ્ઞાસુવૃત્તિને વ્યક્ત થવાનો અવકાશ મળે છે. ઉત્તર પણ ૧ નાનકડા પદમાં સમાવવાનો હોઈ સ્વાભાવિક રીતે જ નાના નાના પ્રશ્નોનો આશ્રય લેવાય છે - બ્રહ્મને કોણ પામી શકે? શાસ્ત્ર અને ગુરુની શી આવશ્યક્તા છે? વાસના વિના વ્યવહાર કેમ સંભવે? સ્વર્ગસુખ તે શું ? નરક શું ? સ્વતંત્રતા શું ? પરતંત્રતા શું ?દાન કોને કહેવાય ? - વગેરે. ઉત્તરો કશી તર્કજાળ વિના સીધા પ્રતિપાદન રૂપે અપાયેલા છે ને દૃષ્ટાંતના વિનિયોગથી એમાં લોકભોગ્યતા આવી છે. તે ઉપરાંત ગુરુએ શિષ્યને આત્મીયભાવે કરેલા ઉદ્ગારોને પણ એમાં સ્થાન મળ્યું છે. આ રીતે આ પ્રશ્નોત્તરીની શૈલીમાં પ્રવાહિતા, વિશદતા અને જીવંતતાના ગુણો છે. ‘પ્રશ્નોત્તરમાલિકા’માં ધીરાભગતની વૈચારિક ભૂમિકા અદ્વૈતવેદાંતની છે, જો કે, એનું ક્રમબદ્ધ શાસ્ત્રી નિરૂપણ કરવાનો એમાં આશય નથી. આરંભમાં મોક્ષોપાસના માટે જ્ઞાન અને કર્મ બન્નેની આવશ્યકતા એ દર્શાવે છે - એમાં ગીતાનો પ્રભાવ હોઈ શકે - પણ પછીથી જ્ઞાન એટલે કે આત્મજ્ઞાનનું પ્રતિપાદન સાતત્યથી થયેલું દેખાય છે. યોગ, સાંખ્ય, મીમાંસાના માર્ગો ને દાનસ્નાનાદિ કર્મોને એ મોક્ષોપાસનામાં અનાવશ્યક લેખે છે તેમ જ ધન કોને કહેવું, તો જ્ઞાન-એવા ઉત્તરો આપે છે. સ્વર્ગસુખ, દુ:ખ, વગેરેની અહીં થયેલી લાક્ષણિક વ્યાખ્યાઓમા ંપણ કવિનો જ્ઞાનલક્ષી દૃષ્ટિકોણ દેખાઈ આવે છે. કવિએ કરેલી કેટલીક વ્યાખ્યાઓ વિલક્ષણ છે. જેમ કે, પ્રાણીમાત્રનો દ્રોહ ન કરવો, તેનું નામ દાન. વર્ણાશ્રમધર્મ વિશેનું ધીરાભગતનું દૃષ્ટિબિંદુ નોંધપાત્ર છે. વર્ણાશ્રમધર્મનું પાલન કરવું તે કર્તવ્ય કે આત્મામાં વિશ્વાસ કરવો તે કર્તવ્ય, એવા પ્રશ્નના ઉત્તરમાં એ વર્ણાશ્રમધર્મની નિરર્થકતા બતાવે છે, ને આત્મામાં વિશ્રાન્તિને જ કર્તવ્ય ગણાવે છે. શાસ્ત્રીય વાદાવાદના રૂપમાં નહીં તો પણ સારદોહનની રીતે અહીં વેદાન્તવિચારના ઘણા મુદ્દાઓ-બ્રહ્મનું એકત્વ, એની નિરૂપાધિકતા, જગતનું મિથ્યાત્વ, દ્વૈત, માયાનું સ્વરૂપ, લિંગદેહકારણદેહ વગેરે સ્પર્શાયા છે ને જ્ઞાનમય જીવનની સાધના વ્યવહારમાં કેમ ચરિતાર્થ થાય તેનો માર્ગ બતાવાયો છે.[ર.દ.]

પ્રસમચંદ્ર(સૂરિ) [ ઈ.૧૩૬૬ આસપાસ] : કૃષ્ણર્ષિગચ્છના જયસિંહસૂરિના શિષ્ય. રાજસ્થાનમાં અલ્વર પાસે આવેલા રાવણિ ગામના પાર્શ્વનાથના મંદિરની પ્રશસ્તિ રૂપે રચાયેલ, ૩ ભાસની ૧૬ કડીના ‘રાવણિયાપાર્શ્વનાથ-ફાગુ’ (ર.ઈ.૧૩૬૬ આસપાસ; મુ.)ના કર્તા. કવિએ કૃતિમાં વસંતવર્ણનની સાથે પૂજાવિધિ પણ વણી લીધી છે. કૃતિ : પ્રાફાગુસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. ઉત્તર-અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. ગુસાઇતિહાસ : ૧;  ૩. બુદ્ધિપ્રકાશ, માર્ચ ૧૯૮૦-‘પ્રસન્નચંદ્રસૂરિકૃત રાવણિપાર્શ્વનાથ-ફાગુ’, રમણલાલ ચી. શાહ[શ્ર.ત્રિ.]

‘પ્રહલાદ-આખ્યાન’ [ર.ઈ.૧૭૬૧/સં. ૧૮૧૭, ચૈત્ર સુદ ૧૧] : વસાવડના કવિ કાળિદાસકૃત ૪૦ કડવાંનું આ આખ્યાન(મુ.) ઢાળ સાથે એકથી વધુ વાર વલણ, ઊથલો (આરંભમાં પણ), પૂર્વછાયો નામક અંશોને પ્રયોજતો વિલક્ષણ કડવાબંધ ધરાવે છે. કવિએ અહીં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનું વૃત્તાંત વીગતે આલેખવા ઉપરાંત એમના જન્માંતરો રૂપે જય-વિજયની અને શિશુપાલની તથા નૃસિંહાવતારની સાથે વરાહ અવતારની કથા વણી લીધી છે. કથાવસ્તુના આ વિસ્તાર ઉપરાંત કવિની નિરૂપણશૈલી પણ વાક્છટાયુક્ત અને પ્રસ્તારી છે. પ્રારંભે મુકાયેલી ગણેશ અને સરસ્વતીની બે કડવાં ભરીને થયેલી સ્તુતિ આનું એક લાક્ષણિક દૃષ્ટાંત છે. હિરણ્યાક્ષની દર્પોક્તિ ગર્વિષ્ઠ હિરણ્યકશિપ અને શ્રદ્ધાન્વિત પ્રહ્લાદ વચ્ચેનો સંવાદ, દેવો અને ભક્તોની ઈશ્વરપ્રાર્થનાઓ અને યુદ્ધના તાદ્દશ આલેખન જેવા રસપ્રદ અંશો ધરાવતી આ કૃતિનાં કેટલાંક પદ્યો અને સુગેયતાને કારણે લોકપ્રચલિત બનેલાં છે. ઢાળોમાં પ્રયોજાયેલી વિવિધ ધ્રુવાઓ અને નિર્દેશાયેલા વિવિધ રાગો આખ્યાનની સુગેયતાના પ્રમાણરૂપ છે. [ર.સો.]

પ્રાગ/પ્રાગજી/પ્રાગદત્ત/પ્રાગદાસ/પ્રાણરાજ/પ્રાગો : આ નામે જ્ઞાનવૈરાગ્યની, કૃષ્ણભક્તિની અને માતાના ગરબા રૂપે કૃતિઓ મળે છે. જ્ઞાનના ૧ કક્કામાં કવિ પોતાને આત્માનંદના શિષ્ય તરીકે ઓળખાવે છે. આ આત્માનંદ કોઈ રામાનંદ સાધુ હોવાનું અને કવિ રામાનંદ સાધુઓથી પ્રભાવિત હોવાનું અનુમાન ‘કવિચરિત’માં થયું છે. ‘દિનમણિ’ નામની હિંદી કૃતિની ર. ઈ.૧૭૮૨ છે એને આધારે કવિ ઈ.૧૮મી સદીમાં થઈ ગયાનું કહી શકાય. ‘જ્ઞાનના દ્વાદશ-માસ/મહિના’, ૩૩ અને ૩૪ કડીના ૨ કક્કા, ‘ચિંતામણિ/ચેતવણી’, કેટલાંક પદો(ર. મુ.) તથા હિન્દીમિશ્ર ગુજરાતીમાં મળતી ‘રામરસાયણ’ એ કૃતિઓના કર્તા પ્રીતમના પુરોગામી તરીકે ઓળખાવાયેલા જ્ઞાનમાર્ગી કવિ પ્રાગ/પ્રાગદાસ છે. પ્રાગ/પ્રાગજીને નામે ‘તિથિ/પંદરતિથિ’ (મુ.) તથા કૃષ્ણભક્તિનાં પદો મળે છે, તેમ જ ૨૯/૩૪ કડીનો ‘ચોસઠ જોગણીનો ગરબો’ (મુ.) પ્રાગદત્ત/પ્રાગરાજ/પ્રાગદાસને નામે મળે છે. ‘ગૂહાયાદી’ અને ‘કવિચરિત’ આ બધી કૃતિઓના કર્તા એક જ હોવાનું માને છે, પરંતુ એ શંકાસ્પદ જણાય છે. ‘તિથિ/પંદર-તિથિ’ તથા કૃષ્ણ ભક્તિનાં પદો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ પ્રાગજીનાં હોવાની સંભાવના છે, અને ‘ચોસઠ જોગણીનો ગરબો’ તથા બીજો માતાનો ૫ કડીનો ૧ ગરબો(મુ.)ના કર્તા કોઈ ત્રીજા પ્રાગદાસ હોવાની સંભાવના છે. કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૨. નકાસંગ્રહ; ૩. નવરાત્રિમાં ગાવાના ગરબાસંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવાન, ઈ.૧૮૭૬; ૪. પ્રાકાસુધા : ૧, ૫. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. પાંગુહસ્તલેખો;  ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગબીજે; ૭. ફૉહનામાવલિ.[કી.જો.]

પ્રાગજી-૧ [ઈ.૧૬૮૫માં હયાત] : જૈન સાધુ. ભીમના શિષ્ય. ૧૫ કડીની ‘બાહુબલ-સઝાય’ (ર.ઈ.૧૬૮૫/સં. ૧૭૪૧, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.[કી.જો.]

પ્રાગજી-૨ [ઈ.૧૬૪૪ પછી] : પુષ્ટિમાર્ગી વૈષ્ણવકવિ. આ કવિ ગોકુલેશપ્રભુના તિરોધાન (ઈ.૧૬૪૪) પછી થયેલા છે. સંદર્ભ : પુગુસાહિત્યાકરો.[કી.જો.]

પ્રાગજી-૩ : જુઓ પ્રાગ.

પ્રાણજીવન [ઈ.૧૭૭૯ સુધીમાં] : આ કવિએ ‘ચર્ચરી’ (લે. ઈ.૧૭૭૯), ‘મહારાજની તિથિઓ’, ‘શ્રીજીની શોભા’ (લે. ઈ.૧૭૭૯) તથા પદો (ર મુ.)ની રચના કરી છે. કૃતિ : ભસાસિંધુ. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]

પ્રાણનાથ(સ્વામી) : જુઓ ‘ઇન્દ્રાવતી’.

પ્રીત [                ] : ચંચલતાવિષયક ૬ કડીના ૧. ‘કવિત્ત’(મ.)ના કર્તા. કૃતિ : શનીશ્ચરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨.[શ્ર.ત્રિ.]

પ્રીતમ-૧/પ્રીતમદાસ [જ. ઈ.૧૭૧૮-અવ. ઈ.૧૭૯૮/સં. ૧૮૫૪, વૈશાખ વદ ૧૨, મંગળવાર] : જ્ઞાની ને ભક્તકવિ. જન્મ સૌરાષ્ટ્રના ચૂડા (રાણપુર)માં. જ્ઞાતિએ બારોટ. પિતા પ્રતાપસિંહ. માતા જેકુંવરબાઈ.નાની ઉંમરે ગૃહત્યાગ કરી ચૂડના રઘુનાથજીના મંદિરમાં ગુરુ ભાઈદાસજી પાસે રામાનન્દી સાધુ તરીકે એમણે દીક્ષા લીધી. ઈ.૧૭૬૧માં ચરોતરના સંદેસર ગામે આવી નિવાસ કર્યો અને મૃત્યુપર્યંત ત્યાં જ રહ્યા. ભાઈદાસજી સિવાય એમના બીજા ગુરુઓ પણ હતા, જેમાં તેમને શાંકરભાષ્ય, ભાગવત જેવા ગ્રંથોનું જ્ઞાન આપનાર નડિયાદના ‘જનગોવિંદ’ કે ગોવિંદરામનું સ્થાન મહત્ત્વનું છે. પ્રીતમે ગુજરત અને સૌરાષ્ટ્રનાં વિવિધ સ્થળોે અનેક મંદિરોની સ્થાપના કરી ત્યાં પોતના શિષ્યોને મહંત બનાવ્યા હતા. તેઓ અંધ હતા એવી માન્યતા એમણે સ્થાપેલાં મંદિરોનાં શિષ્યસમુદાયમાં પ્રચલિત છે. કવિને સંસ્કૃતનું જ્ઞાન હશે અને એમણે કેટલાક ધર્મગ્રંથોનો અભ્યાસ પણ કર્યો હશે એમ એમણે કરેલા અનુવાદો પરથી લાગે છે. જો કે, એમની કવિતા સંતપરંપરામાંથી મળેલા જ્ઞાનથી વધારે પ્રભાવિત છે. તેઓ માયાના બંધનમાંથી મુક્ત થવાનો, સદ્ગુરુનાં ચરણ સેવવાનો, સંતજનનો સત્સંગ કરવાનો અને એ દ્વારા સ્વને ઓળખી નિર્ગુણ બ્રહ્મને પામવાનો બોધ કરે છે, તો બીજી તરફ ભાગવત અને પ્રેમલક્ષણા ભક્તિની કવિતાનો પ્રભાવ ઝીલી વિપુલ પ્રમાણમાં કૃષ્ણભક્તિની કવિતા લખી ભક્તિનો મહિમા પણ કરે છે. એટલે એમની કવિતામાં જ્ઞાન અને ભક્તિ બન્નેનો મહિમા સમાંતરે થતો દેખાય છે. ગુજરાતી અને સાધુશાઈ હિન્દીમાં રચાયેલી કવિની કવિતા અનેક સ્વરૂપોમાં વિસ્તરેલી છે. તેમાં સૌથી લાંબી ૨૦ વિશ્રામમાં રચાયેલી ‘સરસ-ગીતા’  (ર.ઈ.૧૭૭૫/સં. ૧૮૩૧, અસાડ સુદ ૩, સોમવાર; મુ.) જાણીતા ઉદ્ધવ-ગોપી પ્રસંગને વિષય તરીકે લઈ રચયેલી ભકતિનો માહિમા કરતી ધ્યાનપાત્ર ભ્રમરગીતા છે. ૭ વિશ્રામની ગુરુશિષ્યસંવાદ રૂપે રચાયેલી કાયાકમળના રૂપકથી યોગમાર્ગની પરિભાષામાં ઈશ્વરના સ્વરૂપને વર્ણવતી ‘જ્ઞાન-ગીતા’ (ર.ઈ.૧૭૮૫/સં. ૧૮૪૧ અસાડ વદ ૨, રવિવાર; મુ.)માં દરેક મનુષયને સ્વ-રૂપને ઓળખવાનો બોધ છે. ‘કક્કો-૧’(મુ.), ‘કક્કો-૨’ (ર.ઈ.૧૭૭૬/સં. ૧૮૩૨, ચૈત્ર સુદ ૭, સોમવાર; મુ.), ૫ મહિનામાંથી લોકપ્રિય બનેલા સોરઠ રાગના ‘મહિના-૧’ (ર.ઈ.૧૭૮૨/સં. ૧૮૩૮, ચૈત્ર વદ ૭, ગુરુવાર; મુ.), ગરબી ઢાળની ચોસરમાં રચાયેલા ‘મહિના-૩/જ્ઞાનમાસ’ (ર.ઈ.૧૭૭૩/સં. ૧૮૨૯, શ્રાવણ સુદ ૭, રવિવાર; મુ.) તથા ‘મહિના-૨(મુ.) વૈરાગ્યબોધક છે, તો ૨ મહિના(મુ.) રાધા-વિરહનાં છે. ૬ તિથિઓમાંથી ૫ તિથિઓ વૈરાગ્યબોધની અને ૧ કૃષ્ણભક્તિની છે. પરંતુ કવિની વિશેષ ધ્યાનાર્હ રચનાઓ એમનાં હિન્દી અને ગુજરાતીમાં રચાયેલાં સાખીઓ અને પદો છે કવિની ૭૩૨ સાખીઓ  માંથી (મુ.) ‘ચેતવણી-૨’ની ૯૫ સાખીઓ ગુજરાતીમાં છે અને બાકીની સાધુશાઈ હિન્દીમાં છે. તેમાં કવિના જ્ઞાન, ભક્તિ વૈરાગ્ય ઇત્યાદિ વિશેના વિચારો સંકલિત રૂપે રજૂ થયા છે. અત્યારે મુદ્રિત રૂપે ઉપલબ્ધ ૫૧૫ જેટલાં પદ  (મુ.) થાળ, આરતી, ગરબી, ગરબો એમ વિવિધ સ્વરૂપે મળે છે. વૈરાગ્યબોધ અને કૃષ્ણભક્તિવિષયક આ પદો એમાંનાં લોકગમ્ય દૃષ્ટાંતો-રૂપો, વિવિધ રાગઢાળ, ચોટદાર ધ્રુવપંક્તિઓથી લોકપ્રિય બન્યાં છે. કવિની ૫૯ કડીની ‘પ્રેમપ્રકાશ સુડતાળો કાળ’ (ર.ઈ.૧૭૯૧)/સં. ૧૮૪૭, ભાદરવા-૧૪, બુધવાર; મુ.) તત્કાલીન દુષ્કાળની ઘટનાને વિષય તરીકે લઈ રચાયેલી હોવાને લીધે ઉલ્લેખપાત્ર બનતી ભક્તિમૂલક રચના છે. ૧૧ ‘ચેતવણીઓ/‘ચિંતામણિ’(મુ.), ૬૩ કડીની ‘બ્રહ્મલીલા’ (ર.ઈ.૧૭૯૧/સં. ૧૮૪૭, ચૈત્ર સુદ ૯, સોમવાર; મુ.), ૪૫ કડીની ‘જ્ઞાન-પ્રકાશ’ (ર.ઈ.૧૭૯૦/સં. ૧૮૪૬, શ્રાવણ સુદ ૯, સોમવાર; મુ.), ૯ કડીની ‘સપ્તશ્લોકી-ગીતા’ (મુ.), ૫૫ કડીની કળિયુગની લીલાને વર્ણવતી ‘વિનય-સ્તુતિ’(મુ.), ૬૮ કડીની ‘વિનયદીનતા’ (ર.ઈ.૧૭૯૨/સં. ૧૮૪૮, અસાડ સુદ ૧; મુ.), ૧૬ કડીનું ‘શ્રીકૃષ્ણાષ્ટક’ (મુ.), ‘બોડાણો/રણછોડરાયજીના શલોકા’ના ૪ ગરબા(મુ.), ૨ ‘ગુરુમહિમા’(મુ.), ૨ ‘વાર’(મુ.), ‘રસવિલાસ’ ઇત્યાદિ કવિની ગુજરાતી અને હિન્દીમાં રચાયેલી, જ્ઞાનવૈરાગ્ય અને ભક્તિની અન્ય રચનાઓ છે. ભગવદ્ગીતાના ૧૮ અધ્યાયનો દુહામાં કવિએ કરેલો પ્રાસાદિક અનુવાદ ‘ભગવદ્ગીતા/પ્રીતમ-ગીતા (ર.ઈ.૧૭૯૬/સં. ૧૮૫૨, ભાદરવા વદ ૩, સોમવાર; મુ.) તથા ભાગવતના એકાદશસ્કંધનો દુહા-ચોપાઈમાં કરેલો ભાવાનુવાદ (ર.ઈ.૧૭૮૯/સં. ૧૮૪૫, પોષ સુદ ૧૫; મુ.) - એ એમના અનુવાદગ્રંથો છે. એમને નામે ચડેલો ‘અધ્યાત્મ રામાયણ’(મુ.) ગ્રંથ વાસ્તવમાં કવિ રાઘવદાસ-૧નો છે. કૃતિ : ૧. અધ્યાત્મ રામાયણ, સં. હરગોવિંદદાસ કાંટાવાળા, સં. ૧૯૮૯; ૨. પ્રીતમકાવ્ય-૧, સં. નારણભાઈ શંકરભાઈ, ઈ.૧૯૦૭; ૩. પ્રીતમદસની વાણી, સં. ભિક્ષુ અખંડાનંદ, ઈ.૧૯૨૫ (+સં.); ૪. પ્રીતમદાસની વાણી તથા કાવ્ય, મનસુખલાલ ર. ભટ્ટ, ઈ.૧૯૨૪;  ૫. બૃકાદોહન : ૧, ૨, ૩, ૪;  ૬. વિદ્યાપીઠ, નવે-ડિસે. ૧૯૬૯થી જાન્યુ.-ફેબ્રુ. ૧૯૭૨ - ‘પ્રીતમકૃત શ્રીમદ્ ભગવતનો એકાદશસ્કંધ’ અશ્વિનભાઈ ડી. પટેલ. સંદર્ભ : ૧. પ્રીતમ એક અધ્યયન, અશ્વિનભાઈ ડી. પટેલ, ઈ.૧૯૭૯;  ૨. કવિચરિત:૩; ૩. ગુસાઇતિહસ: ૨; ૪. ગુસામધ્ય; ૫. સસામળા;  ૬. ગૂહાયાદી; ૭. ડિકૅટલૉગબીજે.[ર.શુ.]

પ્રીતમ-૨ [                ] : જૈન સાધુ. ૧૫ કડીની ‘ઉપદેશીઅભિમાનીની સઝાય’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

પ્રીતિવર્ધન : (ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ૩૪ કડીના ‘મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૭૧૨) અને ૨૬ કડીના ‘પાર્શ્વ-સ્તવન’ (ર.ઈ.૧૭૧૪)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]

પ્રીતિવિજય : નામે ૫ કડીની ‘પોસહ-સામાયિક બત્રીશદોષ-સઝાય’ (લે.સં. ૧૭મી સદી અનુ.), ૧૩ કડીની ‘મુખવસ્ત્રિકાપડિલેહણવિચાર’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૭ કડીની ‘વિજય દેવસૂરિ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૫ કડીનું ‘શ્રેયાંસજિન-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.), ‘પજુસણ-નમસ્કાર’ (લે. સં. ૨૦મી સદી અનુ.), ૪ કડીની ‘નેમનાથજીની સ્તુતિ(મુ.) મળે છે. આ પૈકી ‘વિજયદેવસૂરિ-સઝાય’ પ્રીતિવિજય-૧ની રચના હોવાનો સંભવ છે. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૩. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

પ્રીતિવિજય-૧  [ઈ.૧૬૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં કલ્યાણવિજયના શિષ્ય. ૩૪ કડીની ‘(ભટેવા) પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૧) કૃતિના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી [ર.ર.દ.]

પ્રીતિવિજય-૨ [ઈ.૧૬૧૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિની પરંપરામાં આનંદવિજયના શિષ્ય. ૪૬૧ કડીનો ‘બારવ્રત-રાસ’ (ર.ઈ.૧૬૧૬/સં. ૧૬૭૨, માગશર સુદ ૧૩, ગુરુવાર), ૬/૭ કડીની ‘આત્મશિક્ષા-સઝાય/આત્મ શિખામણ-સઝાય’, ૭ કડીની ‘ક્રોધની સઝાય’, ૫ કડીની ‘સંવેગ-સઝાય’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી, ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]

પ્રીતિવિજય(ગણિ)-૩ [ઈ.૧૬૨૫ સુધીમાં] : પંડિત દર્શનવિજયના શિષ્ય. ‘એકસોચોવીસ અતિચાર વાર્તિક’ (લે. ઈ.૧૬૨૫)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]

પ્રીતિવિજય-૪ [ઈ.૧૬૭૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હર્ષવિજયના શિષ્ય. વસ્તુછંદમાં લખાયેલી ૨૫ કડીની ‘ચોવીસજિન-નમસ્કાર’ (ર.ઈ.૧૬૭૧), ‘જ્ઞાતાસૂત્ર ૧૯ અધ્યયન’, ૧૨ કડીની ‘યશોદાવિલાપ-સઝાય’ (મુ.) તથા ૧૫ કડીનું ‘મહાવીર-સ્તવન’ (મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૨;  ૨. જૈનયુગ, ચૈત્ર ૧૯૮૨-‘મહાવીર-સ્તવન’, મુનિજ્ઞાનવિજય. સંદર્ભ : જૈગૂકવિઓ ૩(૨). [ર.ર.દ.]

પ્રીતિવિમલ [ઈ.૧૫૯૩-ઈ.૧૬૧૦ દરમ્યાન હયાત] : તપગચ્છના જૈન સધુ. આનંદવિમલસૂરિની પરંપરમાં જયવિમલના શિષ્ય. તેમણે નીચે મુજબની કૃતિઓ રચેલ છે : ‘મૃગાંકકુમાર પદ્માવતી ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૫૯૩), ‘ચંપકશ્રેષ્ઠિની કથા’ (ર.ઈ.૧૫૯૫), ૯૧૪ કડીનો ‘અષ્ટપ્રકારી પૂજાબંધ/રાસ’ (ર.ઈ.૧૬૦૦; મુ.), ‘દાન શીલતપભાવના-રાસ’ (ર.ઈ.૧૬૦૨), ૩૩૩ કડીનો ‘વીરસેન-રાસ’, ૭૨ કડીનું ‘કર્મવિપાક કર્મગ્રંથવિચાર ગર્ભિત-સ્તવન’ (ર.ઈ.૧૬૧૦), ૧૮ કડીની ‘ઈરિયાવહી-સઝાય/ઈર્યાપથિકા-આલોયણ-સઝાય’ (મુ.), ૫૬ કડીનું ‘એકસોવીસ કલ્યાણક-ગર્ભિતજિન-સ્તવન’ (મુ.), કળિયુગનાં લક્ષણોનું નિરૂપણ કરતી ૧૨ કડીની ‘કલિયુગની સઝાય’ (મુ.) ૫ ઢાળ ને ૫૪/૫૭ કડીનું ‘ગોડીપર્શ્વનાથબૃહદ-સ્તવન/પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન/વૃદ્ધ-સ્તવન’ (મુ.), ૬ કડીનો ‘નવકારમંત્રનો છંદ’ (મુ.), ૭ કડીની ‘પચખ્ખાણની સઝાય’ (મુ.), ૧૩ કડીનું ‘પૂજાવિધિઆશ્રયી શ્રીસુવિધિનાથજિન-સ્તવન’(મુ.) તથા ૧૬ કડીની ‘સાત વ્યસન-સઝાય’ અને અન્ય સઝાયો. આ પૈકી ‘ગોડીપાર્શ્વનાથબૃહદ્-સ્તવન’ ‘જૈહાપ્રોસ્ટા’માં ભૂલથી વિમલપ્રભને નામે નોંધાયેલ મળે છે. કૃતિ : ૧. કસસ્તવન; ૨. જિભપ્રકાશ; ૩. જૈસમાલા(શા) : ૧; ૪. જૈસસંગ્રહ(ન.); ૫. પ્રાછંદસંગ્રહ; ૬. પ્રાસપસંગ્રહ : ૧; ૭. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨; ૮. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. જૈહાપ્રોસ્ટા; ૫. ડિકૅટલૉગબીજે; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]

પ્રીતિસાગર [ઈ.૧૬૯૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. નયસુંદરની પરંપરામાં પ્રીતિલાભના શિષ્ય. ‘ઋષિદત્તા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૬/સં. ૧૭૫૨, જેઠ સુદ ૨, રવિવાર), અને ૫ કડીના ’.નેમગીત’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી [કી.જો.]

પૃથ્વીચંદ્ર [ઈ.૧૩૭૦માં હયાત] : રૂદ્ર પલ્લિયગચ્છના જૈન સાધુ. અભયસૂરિના શિષ્ય. અપભ્રંશની અસરવાળા ૫૮ કડીના ‘માતૃકાપ્રથમાક્ષર-દોહક’ (ર.ઈ.૧૩૭૦ આસપાસ)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]

‘પૃથ્વીચંદ્રચરિત્ર/વાગ્વિલાસ’ [ર.ઈ.૧૪૨૨/સં. ૧૪૭૮, શ્રાવણ સુદ ૫, રવિવાર] : ગુજરાતી તથા સંસ્કૃતના વિદ્વાન કવિ અંચલ ગચ્છીય જૈન સાધુ માણિક્યસુંદરની ૫ ઉલ્લાસમાં વિભાજિત પ્રાસબદ્ધ ગદ્યમાં રચાયેલી આ કૃતિ(મુ.)માં પુણ્યનો મહિમા બતાવવો એ કવિનું મુખ્ય પ્રયોજન છે. એટલે મૂળ કથાસરિત્સાગર અને તેના પરથી ઊતરી આવેલી પૃથ્વીરાજની સંસ્કૃત-પ્રાકૃત કથાઓ પર આધારિત આ કથામાં દક્ષિણના મરહઠપ્રદેશના પઈઠાણપુરના રાજા પૃથ્વીચંદ્રના અયોધ્યાની રાજકુંવરી રત્નમંજરી સાથેના લગ્નની કથા મુખ્ય વસ્તુ હોવા છતાં એમાં શૃંગરરસ નહીં જેવો છે. લગ્નપૂર્વે આવતાં વિઘ્નો, ચમત્કારિક રીતે થતું એ વિઘ્નોનું નિવારણ અને એ ચમત્કારોની પાછળ રહેલા રહસ્યનું કૃતિને અંતે થતું ઉદ્ઘાટન એ તત્ત્વોને લીધે નિષ્પન્ન થતો અદ્ભુતરસ કથાના કુતૂહલને ઠેઠ સુધી જાળવી રાખવામાં ઉપકારક બને છે તેમ જ કથાના ધાર્મિક ઉદ્દેશને પણ પોષક બને છે. નાયકનાયિકાના પૂર્વભવની, વણિક શ્રીપતિની અને ધર્મનાથ તીર્થંકરની અવાંતર કથાઓ પણ ધર્મોદ્દેશથી મુકાઈ છે. કંઈક શિથિલ સંકલનાવાળી આ કૃતિ કથન કરતાં વર્ણન અને ભાષાની દૃષ્ટિએ વિશિષ્ટ છે. ટૂંકાં વાક્યોવાળા, પ્રાસબદ્ધ, અલંકારપ્રચુર, તત્સમ શબ્દોના ઉપયોગવાળા ને શબ્દક્રમ ઉલટાવી નિષ્પન્ન થયેલા મુક્ત લયવાળા પદ્યગંધી ગદ્યમાં પૃથ્વીચંદ્રની રાજસભા, અયોધ્યાનગરી, અટવી, યુદ્ધ ઇત્યાદિનાં જે ચિત્રાત્મક, વેગીલાં ને કાવ્યમય વર્ણનો મળે છે તે કવિની ગુજરાતીમાં ‘કાદમ્બરી’ રચવાની મહેચ્છા કેટલેક અંશે સફળ થતી બતાવે છે, અને કૃતિની ‘વાગ્વિલાસ’ સંજ્ઞાને સાર્થ ઠેરવે છે. વર્ણકોની અસરમાંથી આવેલાં કસરતી ચાતુર્યપ્રદર્શનનાં દ્યોતક માહિતીવર્ણનો અને શબ્દાળુતા કૃતિના કૃત્રિમ ગદ્યઅંશો છે.[ર.ર.દ.]

પ્રેમ(મુનિ) : આ નામે ૧૧ કડીની ‘દેવકીના છ પુત્રની સઝાય’ (મુ.) અને ૫ કડીની ‘મેઘકુમારની સઝાય’ (મુ.) તથા ‘અધિકમાસ મહાત્મ્ય’ (લે. ઈ.૧૮૨૪) મળે છે. તેમના કર્તા કયા પ્રેમ કે પ્રેમ(મુનિ) છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. જૈસસંગ્રહ(ન); ૨. લોંપપ્રકરણ. સંદર્ભ : ૧. આલિસ્ટાઑઈ : ૨; ૨. ગૂહાયાદી.[ર.ર.દ.]

પ્રેમ(મુનિ)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. ૬૫ કડીનો ‘દ્રૌપદી-રાસ’ (ર.ઈ.૧૬૩૫/સં. ૧૬૯૧, શ્રાવણ સુદ ૨, ગુરુવાર) તથા ૩૦૧ કડીનો ‘મંગલક્લશ-રાસ’ (ર.ઈ.૧૬૩૬) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. લીંહસૂચી.[ર.ર.દ.]

પ્રેમ-૨/પ્રેમરાજ [ઈ.૧૬૬૮ સુધીમાં] : જૈન સાધુ. ૧૮૨/૨૫૦ કડીની ‘વૈદર્ભી-ચોપાઈ’ (લે.ઈ.૧૬૬૮)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી.[ર.ર.દ.]

પ્રેમ(સાહેબ)-૩ [જ.ઈ.૧૭૯૨/સં. ૧૮૪૮, પોષ વદ ૨-અવ. ઈ.૧૮૬૩] : સૌરાષ્ટ્રમાં આવેલા કોટડા-સાંગાણી ગામના વતની. પિતા પદમાજી મિસ્ત્રી, માતા સુંદરબાઈ.જ્ઞાતિએ કડિયા. તેઓ જીવણસાહેબના શિષ્ય હતા અને જ્ઞાતિભેદમાં માનતા ન હતા. તેઓ બહોળો શિષ્યવર્ગ ધરાવતા હતા. પ્રેમસાહેબે ભજન-પદ (૧૫ મુ.)ની રચના કરી છે. તેમનાં પદોમાં ક્યાંક હિંદીની છાંટ વર્તાય છે. કૃતિ : ૧. અભમાલા; ૨. ભાણલીલામૃત; સં. પ્રેમવંશ પુરુષોત્તમદાસ માધવસાહેબ, ઈ.૧૯૬૫; ૩. યોગવેદાન્ત ભજન ભંડાર, સં. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.)[કી.જો.]

પ્રેમ-૪/પ્રેમશંભુ [ઈ.૧૮૦૨માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. કેસવની પરંપરામાં નરસિંહના શિષ્ય. ‘હરિચંદરાજા-ચોપાઈ’ (ર.ઈ.૧૮૦૨/સં. ૧૮૫૮, માગશર વદ ૯, રવિવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧, ૨).[ર.ર.દ.]

પ્રેમ(મુનિ)-૫ [                ] જૈન સાધુ. ચરણપ્રમોદના શિષ્ય. ૧૦ કડીની ‘મધુબિંદુની-સઝાય’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]

પ્રેમચંદ(વાચક)-૧ [ઈ.૧૭૨૩માં હયાત] : જૈન સાધુ. કનકચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય. ૩૪ કડીની ‘આદિકુમાર-સ્તવન/આબુરાજ-સ્તવન’/આદિનાથશત્રુંજ્ય-સ્તવન’ (ર.ઈ.૧૭૨૩/સં. ૧૭૭૯, જેઠ સુદ ૨, બધવાર)ના કર્તા. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. જૈગૂકવિઓ : ૨ [ર.ર.દ.]

પ્રેમચંદ-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ‘નેમિનાથવિવાહ’ (ર.ઈ.૧૮૦૪) અને ૬ કડીના ‘પાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, ચૈત્ર સુદ ૧૫; મુ.)ના કર્તા. કૃતિ : જૈપ્રપુસ્તક : ૧. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો.[ર.ર.દ.]

પ્રેમચંદ-૩ [                ] : જૈન સાધુ. ગચ્છાધિપતિ વિજયદયાસૂરિના શિષ્ય. ૧૩ કડીના ‘ધર્મનાથ-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. આ કવિના ગુરુ વિજયદયાસૂરિ જો તપગચ્છના વિજયદયાસૂરિ (ઈ.૧૭૨૮-ઈ.૧૭૫૩) હોય તો આ પ્રેમચંદ તપગચ્છના ઠરે. સંદર્ભ : ૧. પસમુચ્ચય : ૨;  ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

પ્રેમજી [                ] : જૈન. ‘લીલાવતી-રાસ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. દેસુરાસમાળા.[ર.ર.દ.]

પ્રેમદાસ : આ નામે રામાયણના કથાવસ્તુ પર આધારિત ૫ પદ (મુ.); ‘યજ્ઞ’, ‘માળા’, ‘ઉપવિત’, ‘ગયત્રી’ જેવાં શીર્ષકો હેઠળ રચાયેલાં જ્ઞાનવિષયક ૪ પદ(મુ.), અન્ય કેટલાંક પદો તથા હિન્દીમિશ્ર ગુજરાતીમાં કેટલાંક પદો નોંધાયેલાં મળે છે. આ બધાં પદોના કર્તા એક જ પ્રેમદાસ છે કે જુદા જુદા તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. આજ્ઞાભજન : ૧, ૨; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. ત્રિભુવનદસ ક. ઠક્કર, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. ભજન રત્નાવલી, પ્ર. આત્મારામ જ. છતીઆવાલા, સં. ૧૯૮૧; ૪. ભસાસિંધુ. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ; કી.જો.]

પ્રેમદાસ-૧  [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ મહારાજના શિષ્ય. નડિયાદના વતની. સંતરામ મહારાજનો મહિમા કરતાં કેટલાંક પદ (૧ મુ.)ના કર્તા. ક્યાંક કર્તાનામછાપ ‘પ્રેમદા’ પણ મળે છે. કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, સં. ૨૦૩૩ (ચોથી આ.). સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. સાહિત્ય, નવેમ્બર ૧૯૨૫-‘નડિયાદના સંતરામજી મહારાજનું શિષ્યમંડળ’, છગનલાલ વિ. રાવળ.[શ્ર.ત્રિ.]

‘પ્રેમપચીસી’ : દરેક પદના પ્રારંભમાં ૨ દુહા મૂકી તે દ્વારા પૂર્વાપર પદોને વિચારથી સંકલિત કરતી, વિશ્વનાથ જાનીની વિવિધ રાગના નિર્દેશવાળાં ૨૫ પદની આ પદમાળા(મુ.) જાણીતા ભાગવત-દશમસ્કન્ધના ઉદ્ધવસંદેશ પ્રસંગ પર આધારિત છે. જ્ઞાન કરતાં ભક્તિનો મહિમા બતાવતાં અન્ય ઉદ્ધવસંદેશનાં કાવ્યોમાં સામાન્ય રીતે ગોપીવિરહ મુખ્ય હોય છે. આ કાવ્યમાં કૃષ્ણ ને નંદ-જસોદાનો પરસ્પર માટેનો પ્રેમ કેન્દ્રસ્થાને છે. વ્રજભાષામાં રચાયેલું ઉદ્ધવનું જ્ઞાનબોધનું પદ અને એના પ્રત્યુત્તર રૂપે ગોપીઓએ કૃષ્ણને આપેલા ઉપાલંભ કૃતિનો કેટલોક ભાગ રોકે છે, પરંતુ કવિનું લક્ષ તો છે વત્સલભાવના નિરૂપણ તરફ. એટલે પ્રારંભમાં વસુદેવ, દેવકી અને કૃષ્ણના સંવાદ રૂપે મૂકાયેલાં ૮ પદમાં આલેખાયેલી મથુરામાં રહેતા કૃષ્ણની ઉદાસીનતા, ગોકુળ આવેલા ઉદ્ધવ પાસે નંદજસોદાની કૃષ્ણદર્શનની આતુરતાની મર્મવેધક અભિવ્યક્તિ અને નંદના વિલાપ-સંબોધનથી આવતો કાવ્યનો અંત એને વત્સલભાવમાંથી જન્મતા કરુણનું હૃદયંગમ કાવ્ય બનાવે છે.[જ.ગા.]

‘પ્રેમપરીક્ષા’ : દયારામકૃત ૨૯ કડીનો આ ગરબો(મુ.) ગોપીની ઉદ્ધવ પ્રત્યેની ઉક્તિ રૂપે રચાયેલો છે. જ્ઞાનયોગનો બોધ કરવા ગયેલા ઉદ્ધવની પાસે જ્ઞાનયોગને સ્થાને કૃષ્ણ પ્રત્યેની પ્રીતિની જ ગોપી ઝંખના કરે છે અને તે પણ કૃષ્ણના પ્રત્યક્ષ રૂપની. પ્રગટ ઈશ્વરની પુષ્ટિમાર્ગીય માન્યતા વ્યક્ત કરતાં ગોપી કહે છે - “તમારા તો હરિ સઘળે રે, અમારા તો એક સ્થળે; તમો રીઝો ચાંદરણે રે, અમો રીઝું ચંદ્ર મળે.” કૃતિમાં ગોપી આ ભક્તિપ્રેમનું વિલક્ષણ સ્વરૂપ અનેક દ્યોતક દૃષ્ટાંતોની મદદથી માર્મિક રીતે સ્ફુટ કરે છે. આ પ્રેમની વાત એ જેણે અનુભવ્યો હોય એ જ જાણે-પ્રસૂતાની પીડા વંધ્યા કેવી રીતે જાણે ? એ બીજાને કહી પણ ન શકાય. પ્રેમીને જે દેખાય તે અન્યને ન દેખાય. પ્રીત કરવી પડતી નથી, એની મેળે જ બની આવે છે અને પછી છોડી છૂટતી નથી. સાચી પ્રીત અંતે પ્રાણ લે છે. પ્રેમીજનમાં લજ્જા, સુધબુધ, સામર્થ્ય ટકી શકતાં નથી-ભ્રમર વાંસને કોરી શકે છે,પણ કમળને ભેદી શકતો નથી. જેની સાથે મન મળ્યું છે તે સિવાય કશું પ્રેમીજનની નજરમાં ન આવે. આ નાનકડો ગરબો પ્રેમના ગૂઢ, ગહન સ્વરૂપની આ ઊંડી સમજ અને મનોરમ દૃષ્ટાંતકળાથી ધ્યાનપાત્ર બને છે.[જ.કો.]

‘પ્રેમપ્રકાશ/સુડતાળોકાળ’ [ર.ઈ.૧૭૯૧/સં. ૧૮૪૭, ભાદરવા સુદ ૧૪, બુધવાર] : સમકાલીન સમાજજીવનની ઘટનાને વિષય બનાવી રચાયેલી કૃતિઓ મધ્યકાલીન સાહિત્યમાંથી ગણતર નીકળે. એ દૃષ્ટિએ ઈ.સ. ૧૭૯૧માં પડેલા દુષ્કાળને વિષય બનાવી રચાઈ હોવાને લીધે ધ્યાનપાત્ર બનતી પ્રીતમની ૫૯ કડીની આ રચના (મુ.)માં પહેલી ૨ કડી દુહામાં અને બાકીની શિથિલ રીતે પ્રયોજાયેલા મોતીદામ છંદમાં છે. દુષ્કાળમાં વ્યાપેલા અનાચારથી તથા નિર્બળ ને સંતપુરુષને સહેવી પડતી વિપત્તિઓ જોઈ કવિનું વ્યાકુળ ભક્તહૃદય પ્રભુ પાસે ધા નાખે છે એ રીતે થયેલી રચના એને આખરે ભક્તિમૂલક જ બનાવે છે. અમાં થયેલું વિશ્વના વિરાટ સ્વરૂપનું વર્ણન ધ્યાન ખેંચે એવું છે.[ર.શુ.]

‘પ્રેમરસ-ગીતા’ : રાગ રામગ્રીના નિર્દેશવાળી ૪ કડી અને ઢાળની ૫ કડી (છેલ્લે પ્રશસ્તિની ૫ કડીઓ વધારે) એવો ચોક્કસ પદબંધ ધરાવતાં ૨૧ પદની દયારામની આ કૃતિ(મુ.)માં ભાગવત દશમસ્કંધ આધારિત ઉદ્ધવસંદેશનો પ્રસંગ નિરૂપાયો છે. પ્રિયજનોના વિરહથી ઉદ્વિગ્ન બનેલા શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને વ્રજભૂમિમાં ખબરઅંતર પૂછવા ને જ્ઞાનયોગનો ઉપદેશ આપવા મોકલે છે ત્યારે ત્યાં ઉદ્ધવજીને નંદયશોદાની પુત્રમિલનોત્સુકતા ને પુત્રવિયોગનું દર્દ તથા ગોપાંગનાઓની વિરહસ્થિતની પ્રતીતિ થાય છે તેના આલેખનથી આ કૃતિ વત્સલ, વિપ્રલંભ અને કરુણની આબોહવા જન્માવે છે. માતાપિતાને મુખે થયેલા કૃષ્ણના બાળચરિત્રના આલેખનમાં, માતાના ઉરની આરસીમાં પોતાનું પ્રતિબિંબ જોઈ, એને અન્ય બાળક ધારી ઇર્ષ્યાભાવથી રિસાતા કૃષ્ણનું વિલક્ષણ ચિત્ર સાંપડે છે, તેમ ઉદ્ધવજીનો જ્ઞાનયોગનો ઉપદેશ સાંભળતાં કૃષ્ણને ઉપાલંભો આપતી ગોપાંગનાઓની ઉક્તિઓમાં તળપદી વાગ્ભંગીઓ ને દૃષ્ટાંતોની મર્મવેધકતા જોવા મળે છે.[સુ.દ.]

પ્રેમરાજ-૧ : જુઓ પ્રેમ-૨.

પ્રેમરાજ-૨ [                ] : જૈન સાધુ. ૧૩ કડીના ‘નવકાર-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : નસ્વાધ્યાય : ૩.[ર.ર.દ.]

પ્રેમવિજય : આ નામે ૧૯ કડીનું ‘શત્રુંજય સ્થાનસંખ્યા-સ્તવન’ (લે.ઈ.૧૫૯૨), ૫ કડીની ‘એકાદશ-ગણધર-સઝાય, ૨૪ કડીની ‘ચોવીસજિન-નમસ્કાર’, ‘નરકસ્વરૂપવર્ણન-ગર્ભિતવીરજિન-સ્તવન’, ‘મહાવીરજિન-સ્તવન’, ‘રાજલસંદેશ-બાવની’, ૪૪ કડીનું ‘શત્રુંજ્ય-સ્તવન’ (લે.ઈ.૧૮૮૫), ૩૮/૩૯ કડીની ‘સંસારસ્વરૂપ-સઝાય’ તથા ૩૩ કડીની ‘સીમંધર-બત્રીસી’ નામની રચનાઓ મળે છે. તેના કર્તા કયા પ્રેમવિજય છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨ ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]

પ્રેમવિજય-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં વિમલહર્ષના શિષ્ય. તેમની કૃતિઓ આ પ્રમાણે છે : ૫૭ કડીની ‘હીરપુણ્ય ખજાનો-સઝાય’ (ર.ઈ.૧૫૯૬), ૮૪ કડીની ‘નેમિનાથ હમચી’ (ર.ઈ.૧૫૯૭), ઝડઝમકયુક્ત ભાષામાં પાર્શ્વનાથનાં નામ તથા સ્થાન વર્ણવતી, ૪ ઢાળમાં વિભાજિત, ૩૧ કડીની ‘ત્રણસોપાંસઠ પાર્શ્વજિનનામમાળા’ (ર.ઈ.૧૫૯૯/સં. ૧૬૫૫, આસો સુદ ૧૦, ગુરુવાર; મુ.), ૪૧ કડીની ‘ઐતિહાસિક તીર્થમાલા’ (ર.ઈ.૧૬૦૩/સં. ૧૬૫૯, વૈશાખ સુદ ૧૫, ગુરુવાર), આત્મહિત સાધના માટેનાં વિવિધ ધર્માચરણો વર્ણવતી, દુહાબદ્ધ ૧૮૫ કડીની ‘આત્મહિત શિક્ષા ભાવના’ (ર.ઈ.૧૬૦૬/સં. ૧૬૬૨, પોષ વદ ૧, ગુરુવાર; મુ.), ૯૩ કડીનો ‘વસ્તુપાલ-તેજપાલ-રાસ’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬ આસો સુદ ૧૦), ‘પંચજિન/પંચતીર્થી-સ્તવન’, ૧૭ કડીની ‘હીરવિજયસૂરિ-સઝાય’, ૫ કડીની ‘દાનતપશીલભાવના-સઝાય’, ૨ કડીનું ‘આદિનાથ વિનતિરૂપ શ્રીશત્રુંજય-સ્તવન’ (મુ.), ૧૦ કડીની ‘ઉપાધ્યાય વિમલહર્ષભાસ’ (મુ.), ૨૨ કડીનું ‘દ્યુતપરિહાર-ગીત’, ઐતિહાસિક ‘ધનવિજય પંન્યાસ-રાસ ખંડ : ૧’, ૨૩ કડીનું ‘શત્રુંજયવૃદ્ધિ-સ્તવન’ તથા સીતાસતીના શીલનું જૈનધર્મરંગી માહાત્મ્ય કરતી ૩૩ કડીની ‘સીતાસતીની સઝાય’ (મુ.). કૃતિ : ૧. આત્મહિત શિક્ષાભાવના, પ્ર. બાબુ સુ. સુરાણા, સં. ૧૯૭૪; ૨. જૈસસંગ્રહ; ૩. ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ, શાર્લોટ ક્રાઉઝે, ઈ.૧૯૫૧; ૪. શત્રુંજય તીર્થમાલારાસ અને ઉદ્ધારાદિકનો સંગ્રહ, પ્રકા. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૩; ૫. જૈન ધર્મપ્રકાશ, ડિસે. ૧૯૬૪-‘ઉપાધ્યાય વિમલહર્ષભાસ’, અગરચંદ નાહટા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય,  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧). ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

પ્રેમવિજય-૨ [ઈ.૧૬૫૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. દર્શનવિજયના શિષ્ય. ૮૩ કડીની ‘વિજયદેવસૂરિનિર્વાણ-સઝાય’ (ર.ઈ.૧૬૫૭)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]

પ્રેમવિજય-૩ [ઈ.૧૭૦૬માં હયાત] : જૈન સાધુ. ધર્મવિજયની પરંપરામાં શાંતિવિજયના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૦૬/સ. ૧૭૬૨, મહા સુદ ૨; કેટલાંક સ્તવનો મુ.)ના કર્તા. કૃતિ : જૈગૂસારત્નો : ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]

પ્રેમવિજય-૪ [ઈ.૧૭૭૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસૌભાગ્યસૂરિના શિષ્ય. સુરતના સગરામપુરા વિસ્તારના વાસુપૂજ્યસ્વામીના દેરાસરના પ્રતિષ્ઠામહોત્સવનું વર્ણન કરતી ૧૨ ઢાળ અને ૧૨૧ કડીની ’છ’વાસુપૂજ્યજિન-સ્તવન/વાસુપૂજ્ય સ્વામીના દેરાસરનું વર્ણન’ (ર.ઈ.૧૭૭૭; મુ.) નામની કૃતિના કર્તા. કૃતિ : સૂર્યપુરરાસમાળા, પ્ર. મોતીચંદ મ. ચોકસી, ઈ.૧૯૪૦. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]

પ્રેમવિજય-૫ [ઈ.૧૮૮૯ સુધીમાં] : જૈન સાધુ. લબ્ધિવિજયના શિષ્ય. વિવિધ રાગબદ્ધ ૬ ઢાળમાં વિભાજિત ઋષભદેવના મુખ્યત્વે છેલ્લા ભવની કથા નિરૂપતા, ભક્તિભાવવાળા, ૫૬ કડીના ‘ઋષભદેવ-તેરભવવર્ણન-સ્તવન/ઋષભદેવ સ્વામીનું સ્તવન’ (લે. ઈ.૧૮૮૯; મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૨; ૨. જિસ્તકાસંદોહ : ૧. સંદર્ભ : ૧. મુપૂગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]

પ્રેમવિજયશિષ્ય [                ] : કર્તા તપગચ્છના ધર્મવિજયની પરંપરાના જૈન સાધુ હોવાનો સંભવ છે. ૯ કડીના ‘ઋષભજિન-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.) અને ૪ કડીના ‘ધર્મનાથ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ની રચના તેમણે કરી છે. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]

પ્રેમશંભુ : જુઓ પ્રેમ-૪.

પ્રેમસખી [સં. ૧૭મી સદી] : પુષ્ટિસંપ્રદાયના કવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો.[કી.જો.]

પ્રેમસખી પ્રેમાનંદ [જ. ૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૮૫૫/સં. ૧૯૧૧, માગશર સુદ ૧] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. તેમના જીવન અને ખાસ સ્વામિનારાયણી સાધુ બન્યા તે પૂર્વેના જીવન વિશે બહુ શ્રદ્ધેય માહિતી મળતી નથી. કેટલીક પ્રચલિત માહિતી મુજબ પૂર્વાશ્રમમાં તેઓ ગાંધર્વ એટલે ગવૈયા જ્ઞાતિના હતા. બાળપણમાં માતાપિતાનું મૃત્યુ થવાથી તેઓ વૈરાગી બાવાઓના હાથમાં સપડાયેલા. તેઓ શરીરે દેખાવડા હતા અને તેમનો કંઠ મધુર હતો. દોરા (જિ. ભરૂચ) ગામે સ્વામિનારાયણી સાધુ જ્ઞાનદાસજીનો તેમને સંપર્ક થયો ત્યારથી સહજાનંદ સ્વામીને મળવાની તેમનામાં ઝંખના જાગી. જ્ઞાનદાસજી સાથે દ્વારકાની યાત્રા કરી પાછા વળતાં ગઢડા કે જૂનાગઢમાં એમનો સહજાનંદ સ્વામી સાથે મેળાપ થયો અને ત્યારથી તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બન્યા. સહજાનંદ સ્વામીએ એમને સંગીતવિદ્યા શીખવા માટે બુરહાનપુર મોકલ્યા. ત્યાં તેમણે સંગીતનો શાસ્ત્રીય અભ્યાસ કર્યો. સહજાનંદ સ્વામીના સૂચનથી સંસ્કૃતનું જ્ઞાન પણ તેમણે મેળવ્યું લાગે છે. સાધુ તરીકે પહેલાં એમનું નામ નિજબોધાનંદ હતું. પરંતુ પાછળથી એમની ભક્તિની આર્દ્રતા જોઈ સહજાનંદ સ્વામીએ એમનું નામ પ્રેમાનંદ રાખ્યું. ઘણી વખત તેઓ એમને વહાલમાં ‘પ્રેમસખી’ તરીકે પણ સંબોધતા. એમનાં પદોમાં ‘પ્રેમાનંદ’ કે ‘પ્રેમસખી’ એમ બે નામ મળે છે તેથી દેખાય છે કે તેઓ સંપ્રદાયમાં આ બન્ને નામથી જાણીતા હતા. તેમના જીવનનો ઘણો ભાગ સહજાનંદ સ્વામી સાથે ગઢડામાં પસાર થયેલો. પ્રેમસખીની ભક્તિકવિતાની વિશેષતા એ છે કે એમના પ્રિયતમ બે છે, એક ગોકુળવાસી કૃષ્ણ અને બીજા પ્રગટ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી. બંને પ્રત્યે એકસરખી પ્રણયોર્મિ એમના હૃદયમાં વહે છે. એટલે કવિની ઘણી રચનાઓ કૃષ્ણવિષયક છે અને ઘણી રચનાઓ સહજાનંદવિષયક છે. તેમનું બધું સર્જન પદોમાં થયેલું છે, જેમાંનાં ઘણાં હિંદીમાં છે. આશરે દસેક હજાર પદ એમણે રચ્યાં છે એવું મનાય છે, પરંતુ અત્યારે ચારેક હજારથી વધુ પદો ઉપલબ્ધ થતાં નથી. મોટાભાગનાં મુદ્રિત રૂપે મળતાં કવિના વિવિધ ભાષાઓ અને સંગીતજ્ઞાનનાં દ્યોતક આ પદોમાં કંઈક કથાતંતુ વણાયો હોય એવી કેટલીક પદમાળાઓ મળે છે. તેમાં ૬૫ પદની વિવિધ ઢાળોમાં રચાયેલી ‘તુલસીવિવાહ’(મુ.)ને કવિએ ‘વરણવું વૃંદાતણું આખ્યાન રે’ એમ કહી ઓળખાવી ભલે હોય, વાસ્તવમાં એ કવિની સૌથી લાંબી પદમાળા છે. પહેલા ૧૨ પદમાં વૃંદા અને જાલંધરની જાણીતી કથા આલેખાઈ છે. પછીના ભાગમાં ‘સગપણનું સુખડું’ લેવાની ઇચ્છાથી વસુદેવ અને ભીમક તુલસીશાલિગ્રામના પ્રતીકલગ્ન દ્વારા કૃષ્ણ અને રુક્મિણીના લગ્નનો આનંદ ફરીથી વિધિપૂર્વક કેવી રીતે માણે છે એની કથા છે. અહીં કવિએ લગ્નની મંડપરચના, ગણેશપૂજન, ગ્રહશાંતિ, યાદવ પક્ષની જાન, વરઘોડો, સામૈયું, ઉતારો, જમણ, પોંખણું, માયરું, પાણિગ્રહણ, ચોરી, મંગળફેરા, પહેરામણી, કન્યાવિદાય ઇત્યાદિનું વીગતે આલેખન કરી ગુજરાતમાં થતાં લગ્નોનું ચિત્ર ઉપસાવ્યું છે. રાધાકૃષ્ણના સંભોગશૃંગારને આલેખતી ૧૦ પદની ‘રાધાકૃષ્ણ વિવાહ’(મુ.), પ્રારંભનાં ૯ પદમાં અમદાવાદમાં નરનારાયણ મંદિરની સ્થાપના માટે આવેલા સહજાનંદ સવામીના અમદાવાદ આગમનને વર્ણવતી અને બાકીનાં ૧૦ પદોમાં કૃષ્ણ-અર્જુનની લીલાને આલેખતી ૧૯ પદની ‘નારાયણ-ચરિત્ર/નારાયણ-લીલા’(મુ.), કૃષ્ણની મિજાજી રાણી સત્યભામાની રીસ અને તેના મનામણાને આલેખતી ૧૬ પદની ‘સત્યભામાનું રૂસણું’ (મુ.), એકાદશીની ઉત્પત્તિની કથા કહેતી આંશિક રૂપે કથાત્મક ૮૮ પદની ‘એકાદશી આખ્યાન’ (મુ.) કવિની પૌરાણિક વિષયવાળી અન્ય પદમાળાઓ છે. સહજાનંદ સ્વામીએ નાની ઉંમરે ઘરમાંથી નીકળી સાત વર્ષ વનવિચરણ દરમ્યાન કરેલી લીલાને આલેખતી ૮ પદની ‘વન-વિચરણ-લીલા’(મુ.), વડોદરામાં સયાજીરાવે સહજાનંદનું જે દબદબાપૂર્ણ સ્વાગત કર્યું તે પ્રસંગને આલેખતી, હિંદીમાં રચાયેલી, ૧૫ પદની ‘વટપતન-લીલા’ (મુ.), લોયા ગામમાં ૨ મહિના માટે આવીને સહજાનંદ રહેલા તે પ્રસંગને આલેખતી ૬ પદની ‘લેયાની લીલાનાં પદ’ (મુ.), ‘માણકીએ ચડ્યા રે મોહન વનમાળી’ એ પદથી આરંભાતી ને સહજાનંદની વડતાલયાત્રાને વર્ણવતી ૪ પદની પદમાળા(મુ.), સહજાનંદના નિવાસને લીધે પવિત્ર બનેલા ગઢડાના માહાત્મ્યને વર્ણવતી ૮ પદની ‘દર્ગપુર-મહાત્મ્ય’(મુ.), ગઢડામાં આવેલી ઘેલો નદીને ઉન્મત્તગંગા તરીકે ઓળખાવી એમાં સ્નાન કરતાં સહજાનંદના સ્પર્શથી તે યમુના કરતાં પણ વિશેષ પવિત્ર બને છે એ વાતને વિશેષત: સંવાદાત્મક રૂપમાં કહેતી, ૧૮ પદમાં રચાયેલી ‘ઉન્મત્તગંગા-મહાત્મ્ય’ (મુ.) સહજાનંદનું માહાત્મ્ય કરતી પદમાળાઓ છે. અલબત્ત કવિની ખરી શક્તિ તો પ્રગટ થઈ છે વિવિધ ભાવનાં સંગીતમય મધુર પદોમાં (મોટાભાગનાં મુ.). એમાં કૃષ્ણની ગોકુળલીલાની વિવિધ અવસ્થાઓ સાથે સંબંધિત કૃષ્ણભક્તિનાં પદો મધ્યકાલીન પ્રેમલક્ષણા ભક્તિની કવિતા સાથે અનુસંધાન જાળવે છે. એમાં કૃષ્ણની બાળલીલાનાં અને ગોપીની કૃષ્ણ પ્રત્યેની શૃંગારભક્તિનાં પદો સંખ્યા અને કાવ્યગુણ બન્ને દૃષ્ટિએ વિશેષ નોંધપાત્ર છે. અલબત્ત સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કારોને કારણે કવિનાં શૃંગારભક્તિનાં પદોમાં નરસિંહ કે દયારામનાં પદો જેવો ઉત્કટ સંભોગ નથી. એમાં મીરાબાઈનાં પદોની જેમ કૃષ્ણમિલનનો તલસાટ વિશેષ છે. કવિનાં સહજાનંદભક્તિનાં પદોમાં જેમને ‘હરિસ્વરૂપ-ધ્યાન સિદ્ધિનાં પદ/ધ્યાનમંજરી’ તરીકે ઓળખવામાં આવે છે તેમાં સહજાનંદ સ્વામીના અંગપ્રત્યંગનું ભાવપૂર્ણ આલેખન કરતાં પદો છે. પરંતુ સહજાનંદ સ્વામીના પ્રવાસ નિમિત્તે થતા વિયોગમાંથી રચાયેલાં અને સહજાનંદના મૃત્યુ પછી રચાયેલાં વિરહનાં પદો કવિની સહજાનંદપ્રીતિને લીધે જન્મેલી શોકવિહ્વળ દશાને ઉત્કટ રીતે પ્રગટ કરતાં હોવાથી વધારે આસ્વાદ્ય બન્યાં છે. એ સિવાય કવિએ કેટલાંક સાંપ્રદાયિક રંગવાળાં બોધાત્મક પદો અને અન્ય ભક્તકવિઓની કવિતામાં જોવા મળતાં સામાન્ય વૈરાગ્યબોધનાં પદો પણ રચ્યાં છે. એમાં ઈશ્વરપ્રાર્થનાનાં પદો એમાંના આર્જવથી, એમાં અનુભવાતી સૂફીઓના જેવી પ્રેમમસ્તીથી ને ગઝલની ફારસીશૈલીથી ધ્યાનપાત્ર બન્યાં છે. ૪૩ દોહામાં રચાયેલી સદ્ગુરુને શોધી કાઢવાની યુક્તિ બતાવતી વૈરાગ્યબોધક ‘વિવેકસાર’, આખ્યાનકાર પ્રેમાનંદની ‘સ્વર્ગનિસરણી’ને અનુસરી રચાયેલી, યમપુરીમાં જીવનની યાતનાને આલેખતી, ૨ પદ ને ૧૧૮ કડીની ‘નિસરણી’, કૃષ્ણના રાસોત્સવને આલેખતી ૩૦ પદની ‘રાસમણલીલા’, ૨૧૨ શ્લોકવાળી ‘શિક્ષાપત્રી’નો દુહામાં કરેલો અનુવાદ ઇત્યાદિ એમની અન્ય રચનાઓ છે. કૃતિ : ૧. પ્રેમસખી પદાવલિ, સં. અનંતરાય રાવળ, ઈ.૧૯૭૮ (+સં.); ૨. પ્રેમાનંદકાવ્ય : ૧-૨, સં. ઈશ્વરદાસ ઈ.મશરૂવાળા, ઈ.૧૯૧૯;  ૩. કચ્છની લીલાનાં પદો, પ્ર. વ્રજલાલ જી. કોઠારી, ઈ.૧૯૪૨; ૪. કીર્તન મુક્તાવલિ, પ્ર. બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમની સંસ્થા, ઈ.૧૯૭૮; ૫. છંદરત્નાવલિ, પ્ર. વિહારીલાલજી મહારાજ, સં. ૧૯૪૧; ૬. પ્રાકાસુધા : ૨; ૭. બૃકાદોહન : ૧, ૩, ૫, ૬. સંદર્ભ : ૧. પ્રેમસખી પ્રેમાનંદ, હરિપ્રસાદ ત્રિ. ઠક્કર;  ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પ્રાકકૃતિઓ; ૫. મસાપ્રકારો;  ૬. ગૂહાયાદી.[ચ.મ.]

પ્રેમસાગર [ઈ.૧૭૩૩માં હયાત] : જૈન સાધુ. શાંતિવમલના શિષ્ય. ૧૫ કડીના ‘શાંતિનાથનો કળશ’ (ર.ઈ.૧૭૩૩)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગબીજે[શ્ર.ત્રિ.]

પ્રેમસુંદર [ઈ.૧૬૬૨માં હયાત] : જૈન સાધુ. ૬૨૩ કડીની ‘ચંદ્રલેખા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૨)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

પ્રેમળદાસ : જુઓ ગેમલદાસ.

પ્રેમાનંદ-૧ [ઈ.૧૬૦૬માં હયાત] : સાંકળચંદના શિષ્ય. ‘વાડીનો રાસ’ (ર.ઈ.૧૬૦૬)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગબીજે[શ્ર.ત્રિ.]

પ્રેમાનંદ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : આખ્યાનકાર શિરોમણિ. વાર, તિથિ, માસ, વરસના મેળની દૃષ્ટિએ નિશ્ચિતપણે પ્રેમાનંદની વહેલામાં વહેલી કૃતિ ‘મદાલસા-આખ્યાન’ ઈ.૧૬૭૨ની છે અને છેલ્લામાં છેલ્લી ‘રણયજ્ઞ’ ઈ.૧૬૯૦ની છે. ‘સ્વર્ગનિસરણી’ની રચનાસાલ નથી મળતી, પરંતુ કૃતિને અંતે કવિએ કરેલા ઉલ્લેખ પરથી એ કવિની સૌથી પહેલી રચના છે. એટલે ‘મદાલસા-આખ્યાન’ પૂર્વે કવિએ કેટલુંક સર્જન કર્યું હોય એ સંભવિત છે. સંભવત: કવિના અવસાનને કારણે અધૂરો રહેલો ‘દશમસ્કંધ’ રચનાની પ્રૌઢિ જોતાં ‘રણયજ્ઞ’ પછી રચાયો લાગે છે. આ પ્રમાણોને આધારે કવિનો જીનકાળ ઈ.૧૭મી સદીનો ઉત્તરાર્ધ હોવાનું કહી શકાય. કવિની કૃતિઓને અંતે મળતી વીગતોને આધારે કવિના જીવન વિશે આટલી માહિતી તારવી શકાય છે : પિતાનું નામ કૃષ્ણરામ. અવટંક ભટ્ટ. જ્ઞાતિએ મેવાડા ચોવીસા (ચતુર્વિંશી) બ્રાહ્મણ. વતન વડોદરા. ઉદરનિમિત્તે આખ્યાનોની રચના અને આખ્યાનો રજૂ કરવા માટે સુરત, નંદરબાર કે નંદાવતી અને બુરહનપુર સુધી પ્રવાસ. નંદરબારના દેસાઈ શંકરદાસ કવિની રચનાના ખાસ કદરદાન હોવાની સંભાવના છે. કવિ કૃષ્ણ અને રામ બંનેના ભક્ત હોવાની શક્યતા છે, અને જીવનનાં પાછળનાં વર્ષોમાં ઉદરનિમિત્તે કાવ્યરચના કરવાને બદલે સ્વેચ્છાસર્જન, ઇષ્ટદેવોવિષયક ગાન તરફ વળ્યા હોય. ‘પ્રાચીન કાવ્યત્રૈમાસિક’ અને ‘પ્રાચીન કાવ્યમાળા’માં હરગોવિંદદાસ કાંટાવાળાએ કવિના જીવન વિશે વહેતી કરેલી અવનવી વાતો-૧. ગુજરાતી ભાષાની પ્રતિષ્ઠા ઉચ્ચ કક્ષાએ પહોંચે ત્યાં સુધી પાઘડી ન પહેરવાનો કવિએ કરેલો સંકલ્પ; ૨. સંસ્કૃત-ફારસી આદિ ભાષાઓની કવિતાથી સરસાઈ કરે તેવી રચના કરવા પર કે ૧૦૦ શિષ્ય-શિષ્યાઓના મંડળની કવિએ કરેલી સ્થાપના; ૩. કવિએ આખ્યાનો ઉપરાંત નાટકોની કરેલી રચના તથા ૪. કવિને અને તેમના પુત્ર વલ્લભને કવિ શામળ સાથે થયેલો ઝઘડો-બધી જ આજે નિરધાર સાબિત થઈ ચૂકી છે. નર્મદે જાતતપાસ પરથી કવિના જીવન વિશે મેળવેલી હકીકતો પણ શ્રદ્ધેય લાગતી નથી. અસંદિગ્ધ રીતે કવિની જ ગણાતી હોય એવી કૃતિઓમાં ‘પાંડવોની ભાંજગડ’ સિવાયની કવિની બધી કૃતિઓ મુદ્રિત રૂપે ઉપલબ્ધ છે. નરસિંહમાં પદમાળા રૂપે શરૂ થયેલો આખ્યાનકાવ્યપ્રકાર ભાલણ, નાકર આદિના હાથે વિકસી સ્થિર થતો ગયો અને પ્રેમાનંદમાં પરાકાષ્ટાએ પહોંચ્યો. પ્રેમાનંદને પ્રજામાં લોકપ્રિય થયેલી સમૃદ્ધ આખ્યાનપરંપરાનો પૂરેપૂરો લાભ મળ્યો. અગાઉની રચનાઓમાંથી ઉક્તિઓ, અલંકારો, ધ્રુવપંક્તિઓ, દૃષ્ટાંત, પ્રસંગ, આખું કડવું થોડા ફેરફારથી તેઓ અપનાવે છે. માણભટ્ટો દ્વારા રજૂ થતી કથાઓ અંગે આવા અપહરણનો છોછ હોય એમ લાગતું નથી. નવા રચનાકારને હાથે એવા ઉછીના અંશોનું શું થાય છે એ કલાદૃષ્ટિએ તો મહત્ત્વનું છે. પ્રેમાનંદ આખ્યાનપરંપરાના વારસામાંથી જે કથાબીજો કે નાની વીગતો પણ સ્વીકારે છે તે એમના પ્રતિભા સંસ્પર્શે જીવંત થઈ જાય છે. એમનાં આખ્યાનોનું વસ્તુ રામાયણ, મહાભારત, ભાગવત કે બે સૈકા પૂર્વે થઈ ગયેલા નરસિંહ મહેતાના જીવનમાંથી લીધેલું છે, ઉત્પાદિત નથી. મૂળ સંસ્કૃત કથાનકોનો પણ એમને પરિચય છે. વર્ણનોની સમૃદ્ધિ અને એમની સરળ ભાષામાં પણ ઝળક્યા કરતી સંસ્કૃતની શ્રી એ પંડિત છે - મોટા કવિને હોવાની જોઈએ એટલી જાણકારી ધરાવનારા છે - તેની ચાડી ખાય છે. પણ પ્રેમાનંદની રચનાઓ સૌથી જુદી તરી આવે છે તે તો એ રસૈકલક્ષી છે તેને કારણે. એમનું રસૈકલક્ષી કવિકર્મ પ્રતીત થાય છે કથાકથનકૌશલ, મનુષ્યસ્વભાવનિરૂપણ અને બાની દ્વારા. કવિનાં પ્રારંભકાળનાં આખ્યાનોનો બંધ કંઈક શિથિલ ને પ્રસ્તારી છે, તો પણ કવિની કથાગૂંથણી ને નિરૂપણની શક્તિ એમાં અછતી રહેતી નથી. ૫૧ કડવાંના ‘અભિમન્યુ-આખ્યાન’(ર.ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, શ્રાવણ સુદ ૨)માં પ્રારંભનાં ૧૩ કડવામાં અભિમન્યુના અહિલોચન અસુર તરીકેની પૂર્વભવની કથા આલેખી કૃષ્ણના અભિમન્યુ પ્રત્યેના વેરનો તંતુ અનેક પ્રસંગોથી બહેલાવીને રજૂ થયો છે. પછી ૨૪ કડવાંમાં અભિમન્યુના ગર્ભપ્રવેશથી લગ્ન સુધીનો ભાગ ગુજરાતી વ્યવહારોને આલેખતો, પાત્રોને ગુજરાતી માનસથી રંગતો કંઈક પ્રસ્તારવાળો છે. અંતિમ ૧૪ કડવામાં વીર, રૌદ્ર ને બીભત્સના મિશ્રણવાળું યુદ્ધવર્ણન છે. વેશધારી વૃદ્ધ શુક્રાચાર્યનું સ્વભાવોક્તિયુક્ત વર્ણન અને શુક્રાચાર્યવેશી કૃષ્ણ અને અહિલોચન વચ્ચેના સંવાદની નાટ્યાત્મકતા કૃતિના આસ્વાદ્ય અંશો છે. ૨૮ કડવાંના ભગવાનની ભક્તવત્સલતાનો મહિમા કરતા અદ્ભુત રસવાળા ‘ચંદ્રહાસાખ્યાન’(ર.ઈ.૧૬૭૧/સં.૧૭૨૭, જેઠ સુદ ૭, સોમવાર)માં ૧૧, ૭, ૧૦ એ રીતે થયેલું કડવાંનું વિભાજન નાયકના ત્રણ વાર થયેલા રક્ષણની ચમત્કૃતિઓવાળું હોઈ રસમય નીવડે છે. વિષયા સૂતેલા ચંદ્રહાસને જોઈ આગળ વધે છે એ પ્રસંગનિરૂપણમાં આજની સિનેમાની પદ્ધતિની યાદ અપાવે એ રીતે જાણે કે કેમેરાથી એક પછી એક ક્ષણનું દૃશ્ય કવિ ઝડપે છે. ત્યાં ગતિશીલ ચિત્રો શબ્દબદ્ધ કરવાની કવિની ફાવટ નજરે તરી આવે છે. વીર અને અદ્ભુત રસવાળા ૩૫ કડવાંના ‘મદાલસા-આખ્યાન’ (ર.ઈ.૧૬૭૨/સં.૧૭૨૮, ચૈત્ર વદ ૫, રવિવાર)ના પ્રારંભનાં ૨૧ કડવામાં ઋતુધ્વજ તાલકેતુ દાનવની હત્યા કરી મદાલસા સાથે લગ્ન કરે છે તેની કથા અને બાકીનાં કડવાંમાં તાલકેતુનો ભાઈ પાતાલકેતુ કેવી યુક્તિથી મદાલસાને આત્મહત્યા કરવા માટે પ્રેરે છે અને પછી ઋતુધ્વજ મૃત્યુ પામેલી મદાલસાને ચંદ્ર અને ચૂડામણિ નાગની સહાયથી કેવી રીતે સજીવન કરે છે એની કથા છે. આ કૃતિ તથા ભગવાને વામનરૂપ લઈ બલિરાજાના બળને હર્યું એ પ્રસંગને આલેખતું ‘વામન-ચરિત્ર/કથા’ ઝાઝી રસાવહ ન બનતી કવિની મધ્યમકોટિની રચનાઓ છે. ઓખા-અનિરુદ્ધના પ્રેમ અને પરિણયની કથા આલેખતું પ્રેમશૌર્ય અંકિત ૨૯ કડવાંનું ‘ઓખાહરણ’(સંભવત: ર.ઈ.૧૬૬૭) કવિનું પ્રારંભકાળનું આખ્યાન એમાં મળતાં રચનાસમય પરથી કહી શકાય, પરંતુ એમાં થયેલું શૃંગાર અને વીરનું નિરૂપણ ઉત્કૃષ્ટ છે. કવિનાં આખ્યાનોમાં વખતોવખત આવતાં યુદ્ધવર્ણનોમાં આ આખ્યાનમાં થયેલું યુદ્ધવર્ણન ઉત્તમ છે. એમાં જોવા મળતી શૈલીની પ્રૌઢિ, એકાદ પંક્તિમાં સુરેખ ચિત્ર આંકી દેવાની કવિની શક્તિ આ કૃતિને છેક આરંભકાળની ન લેખવાના વલણને ટેકો આપે. પરંતુ આખી કાવ્યકૃતિ દૃઢબંધથી દીપતી હોય એ તો જોવા મળે છે કવિનાં ‘હૂંડી’, ‘મામેરું’, ‘સુદામા-ચરિત્ર’ અને ‘નળાખ્યાન’ એ ૪ આખ્યાનોમાં. સીધા લક્ષ્ય પ્રતિ આગળ વધવાનો કવિના કથાનિરૂપણનો ગુણ આ આખ્યાનોમાં પૂરેપૂરો ખીલી ઊઠ્યો છે. આ કૃતિઓમાં થોડી લીટીઓ પણ વધારાની નથી. એમાં નરસિંહના જીવનમાં બનેલા હૂંડીના પ્રસંગને વર્ણવતું ૭ કડવાંનું ‘હૂંડી’(ર.ઈ.૧૬૭૭) રત્નસમાણી કૃતિ છે. આરંભમાં નિરૂપાયેલી નરસિંહ મહેતાની નિ:સ્વતા અને એમની ન-કાળજા વણજની ખુમારી અંતભાગમાં આલેખાયેલી દામોદર દોશીની જાજ્વલ્યમાન ઉપસ્થિતિ અને એમની ભક્ત પ્રત્યેની કહો કે તાબેદારી એકમેકનાં પૂરક બનીને કાવ્યને ઓપાવે છે. બીજું અને ચોથું કડવું પદ તરીકે મૂકીને સહજસૂઝથી કવિએ કૃતિમાં તે તે ક્ષણે અવકાશ સર્જ્યો છે, જેમાં નરસિંહ અને શ્રીકૃષ્ણ વચ્ચેના સંબંધની વિભુતા વિસ્તરી રહે છે. નરસિંહજીવનવિષયક બીજી કૃતિ ૧૬ કડવાંનું ‘મામેરું’(ર.ઈ.૧૬૮૩/સં.૧૭૩૯, આસો સુદ ૯, રવિવાર) કવિની અનવદ્ય હૃદ્ય રચના છે. કૃતિનું મંડાણ છે કુંવરબાઈના માધ્યમ દ્વારા ઉપસતા લૌકિક મૂલ્ય ‘ઇજ્જત’ વિરુદ્ધ નરસિંહની હસ્તીમાંથી ફોરતા અધ્યાત્મમૂલ્ય ‘વિશ્વાસ’ એ બંનેના સંઘર્ષના પાયા ઉપર. શ્રદ્ધા, આસ્થા, માન્યતા, પ્રતીતિ એવા ભારેખમ શબ્દને બદલે ‘વિશ્વાસ’ (ઇશ્વરમાં યકીન) શબ્દ કવિએ આ કૃતિમાં નવેક વાર વાપર્યો છે. પ્રભુનિષ્ઠ વ્યક્તિની ઇજ્જતના લીરેલીરા, નાગરાણીઓ દ્વારા થતી ઠેકડીઓમાં, ઊડતા આલેખાયા છે. દુનિયાદારીમાં ડૂબેલાં રહેતાં લોકોની ઉપહસનીયતા, એમની આંતર કંગાલિયત પણ સચોટ સુરેખ વ્યક્ત થઈ છે. ૧૪ કડવાંનું ‘સુદામા-ચરિત્ર’(૨.ઈ.૧૬૮૨/સં.૧૭૩૮, શ્રાવણ સુદ ૩, મંગળવાર/શુક્રવાર) પણ કવિની કથનકલાની સુચારુ રચના છે. નરસિંહવિષયક બંને કૃતિઓમાં ભક્ત ભારે ગૌરવવંતો છે, જ્યારે સુદામો એકંદરે વામણો ઊતરે છે. આરંભનાં ૫, અંતે નિર્વહણનાં ૩ અને મધ્યનાં દ્વારકામાં સુદામો પ્રવેશ્યા ને ત્યાંથી નીકળ્યા તેનાં ૬ કડવાં કૃતિને સંઘેડાઉતાર ઘાટ આપે છે. વચલો દ્વારકાનો ખંડ ‘મિત્ર’ મોહન સાથેના સખ્યના આનંદઊંડાણને તાગે છે અને એટલોક સમય સુદામાની વિશુદ્ધ વરિષ્ઠ મૂર્તિને ઉઠાવ આપે છે. સુદામા અંગેની મુશ્કેલી કદાચ ભાગવતમાં જ છે. એ ક્રિયાશીલ પાત્ર નથી. એટલે એને પ્રતિક્રિયા જ પ્રકટ કરવાની રહે છે. કવિની નજર પ્રસંગઆલેખન પર વિશષ રહેતી હોવાને લીધે, ક્ષણેક્ષણે બદલાતા ચિત્રને ઝડપવા ઉપર કવિનું બધું ધ્યાન કેન્દ્રિત થયું હોવાને લીધે ક્યારેક તેઓ પાત્રને અન્યાય કરી બેસે છે. ‘મૂળગાના મારા તાંદૂલ ગયા’ એવું સુદામા પાસે કવિ બોલાવે છે ત્યાં એ જોવા મળે છે. સુદામાની કફોડી સ્થિતિને ઉઠાવ આપવા જતાં કૃષ્ણ-સુદામાના સંબંધની સારીય મીઠાશ એમાંથી ઊડી જાય છે. ૬૪ કડવાંનું કરુણ, હાસ્ય ને શૃંગારનું કવિનું મહત્ત્વાકાંક્ષી ‘નળાખ્યાન’(ર.ઈ.૧૬૮૬/સં. ૧૭૪૨ પોષ સુદ ૨, ગુરુવાર) સપ્રમાણ કૃતિ છે. પહેલો ખંડ ૩૦ કડવાંનો, ‘મોસાળ પધારો રે’ ગીતથી શરૂ થતો ૨૦ કડવાંનો બીજો ખંડ અને ૧૪ કડવાંનો નિર્વહણનો ખંડ અનવદ્ય આકૃતિ રચે છે. પ્રારંભિક ખંડમાં નળ-દમયંતીના લગ્નની કથા આલેખી શૃંગારની જમાવટ કરી કવિ કામ કાઢી લે છે. શૃંગારની વિડંબનાના પ્રસંગો ઊભા થાય છે ત્યાં હાસ્ય નિષ્પન્ન કર્યું છે - સ્વયંવરમાં દેવોની અને બીજા ‘સ્વયંવર’ વખતે ઋતુપુર્ણની દમયંતીને વરવાની લોલુપતાના પ્રસંગોએ. દમયંતીના રૂપથી લુબ્ધ વિવાહલોલુપ દેવો અને કલિને કારણે, કલિની દુષ્ટતાને લીધે તો દેવદીધા ‘અમ્રત સ્રાવિયા કર’ના વરદાન દ્વારા પણ, દમયંતીના જીવનની ગાઢ કરુણતા નીપજે છે. તો બીજા રૂપલુબ્ધ ઋતુપર્ણ (જે પણ દેવોની જેમ પૂર્ણ હાસ્યાસ્પદ નીવડે છે) દ્વારા એ કરુણતામાંથી બહાર નીકળવાની સંધિ રચાય છે. અને પરસ્પરની આસ્થા પર અવલંબતા દમયંતીભાવમાં રૂપનું કેટલું સ્થાન છે એ ‘નથી રૂપનું કામ રે ભૂપ મારા’ એ બાહુક આગળ દમયંતીએ ઉચ્ચારેલા પ્રતીતિવચનથી વ્યક્ત થાય છે. પરિણામે કૃતિમાં એકંદરે હાસ્ય કે શૃંગારની ઉપરવટ કરુણરસની પ્રધાનતા જામે છે. સામાન્ય રીતે જાતિચિત્રો બનતાં કવિનાં પાત્રોમાં અહીં દમયંતીનું પાત્ર વૈયક્તિક રેખાઓવાળું બન્યું છે. દમયંતીના ગૌરવયુક્ત વર્તન સામે નળને ક્યારેક હીણું વર્તન કરી બેસતો કવિએ બતાવ્યો છે ત્યાં પણ કથાપ્રસંગને રસિક રીતે ઉપસાવવા જતાં કવિ આમ કરી બેઠાં છે. અન્યથા પ્રસંગનિરૂપણ, રસપલટા, વર્ણન, શૈલીલહેકા કે લય એમ દરેક રીતે ઊંચા કવિકર્મની પ્રતીતિ આ કૃતિમાં થાય છે. વીરરસનું આલેખન કવિએ એમનાં ઘણાં આખ્યાનોમાં કર્યું છે, પરંતુ કવિએ પોતાની શક્તિ રેડી છે તે તો શૃંગાર, કરુણ અને હાસ્યમાં. એમની આ ઉત્તમ રચનાઓમાં એ પૂરેપૂરી પ્રગટ થઈ છે. હાસ્યસૂઝ પ્રેમાનંદ જેટલી બહુ ઓછા ગુજરાતી કવિઓએ બતાવી છે. કવિની જનસ્વભાવની જાણકારી એવી ઊંડી છે, એમનું સંસારદર્શન એવું વસ્તુલક્ષી અને વ્યાપક છે કે પ્રસંગ અને પાત્રો અંગેની વિવિધ વીગતોના પરસ્પર સંબંધમાં રહેલી ઉપહસનીયતા એ પકડ્યા વગર રહેતા નથી. એટલે પરિસ્થિતિમાં હાસ્યની, વિનોદની, નર્મમર્મની શક્યતા હોય અને પ્રેમાનંદ એ ચૂકે એ કદી બને નહીં. ‘મામેરું’, ‘સુદામાચરિત્ર’ અને ‘નળાખ્યાન’માં કવિની હાસ્યશક્તિનો ઉત્તમ પરિચય થાય છે. કવિનાં ઉત્તરકાળનાં બે આખ્યાનો ‘રણયજ્ઞ’  અને ‘દશમસ્કંધ’ ધ્યાનપાત્ર છે. રામ-રાવણ વચ્ચેના યુદ્ધની કથાને આલેખતું ૨૬ કડવાંનું ‘રણયજ્ઞ’ (ર.ઈ.૧૬૯૦/સં.૧૭૪૬, ચૈત્ર સુદ ૨, રવિવાર) રામ અને રાવણનાં સેનાપતિઓ અને સૈન્યની વીગતે માહિતી આપવાને લીધે કંઈક મંદ કથાવેગવાળું છે, તો પણ રામનાં બાણ રાવણનો પીછો પકડે છે એનું આલેખન કરતું ઊર્જિતના સ્પર્શવાળું ચિત્ર તથા મંદોદરી-રાવણ અને રાવણ-કુંભકર્ણ વચ્ચેના સંવાદોમાં યુદ્ધની પડછે આલેખાતું માનવસંવેદન એના આકર્ષક અંશો છે. કવિનો ૫૩મા અધ્યાયે અને ૧૬૫ કડવે અધૂરો રહેલો ‘દશમસ્કંધ’ભાગવતના દશમસ્કંધની મૂળ કથાને અનુસરવાના સંકલ્પ સાથે રચાયેલો હોવા છતાં કવિએ પોતાની અન્ય રચનાઓની જેમ અહીં પણ પ્રસંગનિરૂપણ, પાત્રાલેખન ને વર્ણનમાં ફેરફાર કર્યા છે. તેથી એ માનવભાવથી રસેલું, વચ્ચે વચ્ચે ઊર્મિકોથી ઓપતી ઓછેવત્તે અંશે રસપ્રદ એવાં કથાનકોની માલારૂપ બની રહે છે. ભાગવતનાં પાત્રો દિવ્યતાની છાલકથી ભીંજાયેલાં છે, પરંતુ અહીં એ વખતો-વખત પ્રાકૃત વર્તન કરતાં દેખાય છે. નારદ અને બ્રહ્માનું વર્તન એના નમૂના છે. ભાગવતની કથામાં રહેલા અદ્ભુતના તત્ત્વને અહીં કવિએ વધારે બહેલાવ્યું છે, એટલે કૃષ્ણનાં પરાક્રમો પાછળ વીરત્વને બદલે ચમત્કાર આગળ તરી આવે છે. તેમ છતાં ‘દશમસ્કંધ’નો મુખ્ય રસ તો વાત્સલ્ય અને વાત્સલ્યજનિત કરુણ જ છે. પ્રારંભનો દેવકીવિલાપ,કૃષ્ણ ધરામાં ઝંપલાવે છે ત્યારનો જસોદાવિલાપ અને વ્રજવાસીઓના પ્રેમભક્તિ પર આધારિત કરુણ એનાં ઉત્તમ નિદર્શનો છે. ઉત્તર વયે રચાયેલી આ કૃતિમાં કવિની પ્રૌઢ શૈલીથી સમગ્ર કથાપટને આગવો ઉઠાવ મળ્યો છે. સુધન્વા અને અર્જુન વચ્ચેના યુદ્ધની કથાને આલેખતું સાચા ભક્તની ભક્તિનો મહિમા કરતું વીર અને અદ્ભુત રસવાળું ૨૫ કડવાંનું ‘સુધન્વા-આખ્યાન’ (ર.ઈ.૧૬૮૪/સં.૧૭૪૦, કારતક સુદ ૯, મંગળવાર/શુક્રવાર) તથા પહેલાં ૨૨ કડવાંમાં પ્રહ્લાદચરિત્ર, બીજાં ૨ કડવાંમાં ધર્મ-નારદ સંવાદ દ્વારા વર્ણાશ્રમધર્મ, વિપ્રધર્મ, સંન્યાસીના ધર્મ અને ગૃહસ્થાશ્રમધર્મ વર્ણવતું શિથિલ સંઘટનવાળું ૧૫ અધ્યાય ને ૨૮ કડવાનું ‘સપ્તમસ્કંધ/પ્રહ્લાદ-ચરિત્ર’ કવિનાં અન્ય આખ્યાન છે. મનુષ્યસ્વભાવનિરૂપણ કવિનાં આખ્યાનોને સજીવતા અર્પે છે. બાહ્ય જગતના ચિત્રણ કરતાં પણ માનવીના આંતરમનને વ્યક્ત કરવામાં પ્રેમાનંદ વધુ પાવરધા છે. સમાજનું વાસ્તવિક આલેખન એ કરે છે પણ એ બધામાં ગૂંથાયેલી માનવલાગણીને ઉઠાવ આપવાનું એમનું લક્ષ્ય હોય છે. ક્યારેક તો સમાજ કાવ્યરચનાના આયનામાં પોતાનું પ્રતિબિંબ નિહાળી શકે એવી પ્રેમાનંદની સૃષ્ટિ જાણે કે બની જતી ન હોય ! ‘મામેરું’માં સમાજવ્યવહારની - નણદી, સાસુ, વડસાસુ તો ઠીક સારાયે નાગરાણીસમૂહની નિર્મમ ઠેકડીની છોળો ઊડે છે અને અંતભાગમાં તે બધાની પામર લોલુપતાના-ગૃધિષ્ણુતાના પણ વાવટા ફરકતા નિરૂપાયા છે, પણ એ બધાની વચ્ચે હૃદયને શારી નાખે એવાં દાઢમાંથી બોલાયેલાં કટાક્ષવચન તો વેદ ભણનાર પુરોહિતના મુખમાં મુકાયાં છે : “જુઓ છાબમાં, મૂકી શોર, ઓ નીસરી કમખાની કોર.” આવાં અનેક દૃષ્ટાંત એમનાં આખ્યાનોમાં મળી આવશે. પ્રેમાનંદના આખ્યાનોમાં માનવલાગણી રસરૂપે અનુભવાય છે. એ એમનું સંબલ છે. માત્ર પ્રસંગને બહેલાવવા જતાં પાત્રો જ્યારે માનવીયતા ચૂકી જાય છે ત્યારે પાત્રને અન્યાય થઈ જાય છે. પ્રેમાનંદનું ગુજરાતીપણું ઊણપ કે મર્યાદારૂપે જોવાય છે તે બરોબર નથી. ગુજરાતીપણું પ્રેમાનંદમાં સોળે કળાએ ખીલેલું જોવા મળે છે તે બે બાબતમાં. ગુજરાતી સમાજને એ તારતાર ઓળખે છે. જવલ્લે જ કોઈ કવિની કૃતિઓ પ્રેમાનંદમાં પ્રતીત થાય છે એટલી આત્મીયતાપૂર્વક સમાજથી ઓતપ્રોત જોવા મળે છે. ‘મામેરું’ એમની એ શક્તિનું શિખર છે. પણ એમની કોઈ એવી કૃતિ નથી જેમાં એનો ગાઢ સંસ્પર્શ ન હોય. ગુજરાતીપણાનો એવો જ સઘન અનુભવ થાય છે એમની ભાષામાં. કોઈ કવિની કાવ્યબાની ભાષાના પર્યાયરૂપ બને અને લાંબા સમય સુધી રહે એવું ક્યાંક ક્યાંક જ જોવા મળે છે. પ્રેમાનંદ અંગે એવું બન્યાનું કહેવામાં ભાગ્યે જ અતિશયોક્તિ થશે. પ્રેમાનંદની ભાષા સરળ છે, પણ પ્રૌઢ છે. સુગમ છે, પણ માર્મિક છે. તળપદી છે ત્યાં સુચારુ છે. ક્યાંક દુરૂહ છે ત્યાં રસઓધમાં તાણી જનારી છે. માણસના મુખમાં રમતી ગુજરાતીને લાગણીનાં ઊંડાણો સાથે તેઓ સહજ રીતે ને ઔચિત્યપૂર્વક યોજે છે. સંસ્કૃત શબ્દો દ્વારા રોજિંદી વસ્તુ પર અપરિચિતતાના અવગુંઠનનું આકર્ષણ ઉમેરે છે, જરૂર પડ્યે ફારસી શબ્દો છૂટથી પ્રયોજે છે, વખતોવખત “ત્રુટી સરખી ઝૂંપડી ને લૂંટી સરખી સુંદરી, સડ્યાં સરખાં છોકરાં તે ન મળ્યાં મુજને ફરી.” જેવા લયતત્ત્વથી અર્થપ્રભાવ ઊભો કરે છે, લાગણી સઘન બને ત્યારે કવિ કડવાને પદની ઊર્મિગીતની કોટિએ પહોંચાડે છે કે ટૂંકા સંવાદોથી કથામાં નાટ્યાત્મક અસર ઊભી કરે છે. એમ વિવિધ રીતે કવિએ ભાષાની શક્તિનો કસ કાઢ્યો છે. નરસિંહજીવનવિષયક હાસ્ય અને અદ્ભુત રસવાળું ૩૬ કડવાંનું ‘(શામળશાનો) વિવાહ’ તથા ૨૫ કડવાનું ‘શ્રાદ્ધ’ (ર.ઈ.૧૬૮૧/સં.૧૭૩૭, ભાદરવા વદ ૩, મંગળવાર/શુક્રવાર) અને ૨૫ કડવાંનું ‘રુક્મિણીહરણ’ - એ આખ્યાનો આંતરપ્રમાણોને લક્ષમાં લઈએ તો પ્રેમાનંદનાં માનવાં મુશ્કેલ પડે. ‘શ્રાદ્ધ’ એક કાવ્યરચના તરીકે બધી રીતે નરસિંહ મહેતાવિષયક ઉત્તમોત્તમ કૃતિ ‘મામેરું’ કે ‘હૂંડી’થી ઘણીઘણી દૂર છે. ‘વિવાહ’નું અણઘડપણું એક જ વીગતથી પ્રગટ થાય છે. ‘ય’ જોડીને કરેલા પ્રાસની સંખ્યા ૩૬ કડવાંમાં ૫૦ કરતાં વધારે વાર મળશે, જેમાંથી કોઈક જ અર્થદૃષ્ટિએ જરૂરી છે. ‘જૈ ય’ - ‘થૈ ય’ અને ‘હા ય ’ - ‘ના’ ય જેવા પ્રાસ રચનાકારને કાન જ નથી તેની ગવાહી પૂરે છે. કવિના ‘દશમસ્કંધ’નાં રુક્મિણી-વિવાહનાં ૨૦ કડવાં અને ‘રુક્મિણીહરણ’ની ઇબારત વચ્ચે ઘણો ફરક છે. આખ્યાનો સિવાય પ્રેમાનંદે કેટલીક લઘુ કાવ્યકૃતિઓ રચી છે. સંસારી સુખમાં મસ્ત મનુષ્યને ભોગવવી પડતી નરકની યાતનાઓ અને પુણ્યશાળી મનુષ્યનાં પુણ્યકર્મોને વર્ણવતી ૭૩ કડીની ‘સ્વર્ગની નિસરણી’, ૮૭ કડીનું રૂપકકાવ્ય ‘વિવેકવણઝારો’, ‘કૃષ્ણજન્મના પ્રસંગને વિસ્તારથી અને કૃષ્ણની ગોકળલીલાના પ્રસંગોને સંક્ષેપમાં વર્ણવતી ૧૬૩ કડીની ‘બાળલીલા’, ભાગવતના દાણલીલાના પ્રસંગને કૃષ્ણ-ગોપીના સંવાદ રૂપે આલેખતી ૧૬ પદની ‘દાણલીલા’, ઉદ્ધવ અને ગોપી-નંદ-જસોદા વચ્ચે થતા સંવાદ રૂપે રચેયાલી ૨૫ પદની ‘ભ્રમર-પચીશી’ તથા ચૈત્રથી ફાગણ સુધીના બારમાસમાં રાધાના વિરહને આલેખતી રચના ‘મહિના-રાધાવિરહના’ તથા ‘વિષ્ણુસહસ્રનામ’, ‘ફુવડ સ્ત્રીનો ફજેતો’ અને ‘પાંડવોની ભાંજગડ’ આ પ્રકારની છે. ‘રુક્મિણીનો શલોકો’ (ર.ઈ.૧૬૮૪/સં.૧૭૪૦, વૈશાખ વદ ૧૨, ગુરુવાર) ગામડાંમાં ગવાતા સામાન્ય શલોકા જેટલો પણ પ્રવાહી કે રસાળ કે એના કોઈ પણ અંશમાં વાગ્વૈચિત્ર્ય ધરાવનારો નથી. એટલે એ પ્રેમાનંદની કૃતિ હોય એવી સંભાવના નહિવત્ છે. પ્રેમાનંદની ઉપર્યુક્ત રચનાઓ સિવાય બીજી ઘણી કૃતિઓ એમને નામે મળે છે, જેમાં કેટલીક મુદ્રિત સ્વરૂપે છે. આ રચનાઓમાં પ્રેમાનંદને નામે છપાયેલી ને એકંદરે મધ્યકાલીન રચનાઓ જેવી પણ જેમની હસ્તપ્રતો ઉપલબ્ધ નથી થઈ તેવી રચનાઓ ‘લક્ષ્મણાહરણ’, ‘દ્રૌપદીસ્વયંવર’, ‘વિરાટપર્વ’ અને ‘નાસિકેતાખ્યાન’ છે. આ કૃતિઓની હસ્તપ્રત ઉપલબ્ધ થશે ત્યારે આંતરબાહ્ય પ્રમાણોથી એમને વિશે છેવટનો નિર્ણય થઈ શકશે. આવી મધ્યકાલીન જણાતી કેટલીક રચનાઓની હસ્તપ્રતો હવે ઉપલબ્ધ થઈ છે ત્યારે એ કૃતિઓ પ્રેમાનંદને બદલે બીજા મધ્યકાલીન કવિઓની ઠરી ચૂકી છે. વલ્લભભટ્ટકૃત ‘સુભદ્રાહરણ’, તુલસીકૃત ‘પાંડવાશ્વમેઘ’, વૈકુંઠકૃત ‘ભીષ્મપર્વ’, વિષ્ણુદાસકૃત ‘સભાપર્વ’ અને ભવાનીશંકર (અથવા ભાઈશંકર)કૃત ‘બભ્રુવાહન-આખ્યાન’ આ પ્રકારની કૃતિઓ છે. મૂળ નરસિંહની લેખાતી ‘હારમાળા’માં પ્રેમાનંદઅંકિત થોડાંક પદ મળે છે, પણ તે એકાધિક હસ્તપ્રતોના ટેકા વગરનાં હોઈ આ સંજોગોમાં પ્રેમાનંદના જ છે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. પ્રેમાનંદને નામે મુદ્રિત પણ જેમની હસ્તપ્રતો સંપાદકો બતાવી શક્યા નથી તેવી, અર્વાચીન સમયમાં લખાયેલી ને પ્રેમાનંદને નામે ચડાવાયેલી, શંકાસ્પદ કૃતિઓ ‘પ્રાચીન કાવ્યત્રૈમાસિક’, પ્રાચીનકાવ્યમાળા’, ‘બૃહત્કાવ્યદોહન’ તથા અન્યત્ર પ્રકાશિત થઈ છે. માર્કંડેય પુરાણનો ‘મદાલસા-આખ્યાન’ સિવાયનો ભાગ, ઉપરાંત તેમાંનાં ‘હરિશ્ચંદ્રાખ્યાન’ અને ‘દેવીચરિત્ર’, ‘ઋષ્યશૃંગાખ્યાન’, ‘દ્રૌપદીહરણ’, ‘અષ્ટાવક્રાખ્યાન’, ‘માંધાતાખ્યાન’, ‘શામળશાનો મોટો વિવાહ’ અને ત્રણ નાટકો - ‘સત્યભામા-રોષદર્શિકાખ્યાન’, ‘પાંચાલીપ્રસન્નાખ્યાન’, ‘તપત્યાખ્યાન’ આ જાતની કૃતિઓ છે. પ્રહેલિકા, ઝડઝમક, ચિત્રપ્રબંધ, આદિ પ્રેમાનંદમાં ન મળતી નીરસ કથારમતોવાળી ક્યાંક ખુલ્લા શૃંગાર અને અપરસવાળી આ કૃતિઓ છે. ઉપરાંત અર્વાચીન શબ્દપ્રયોગો, કહેવતો, સંદર્ભો, વિચાર આદિને કારણે કોઈ અર્વાચીન લેખક (સંભવ છે કે મુખ્યત્વે છોટાલાલ નં. ભટ્ટ જેવા)ની આ રચનાઓ છે અને ૧૯મી સદીના અંતભાગના એક સાહિત્યિક તરકટ રૂપ છે એ હવે સર્વસ્વીકૃત છે. પ્રેમાનંદને નામે ગણાવાતી પણ જે ન તો પ્રકાશિત થઈ છે કે ન જેમની હસ્તપ્રત પણ લભ્ય છે તેવી, માત્ર નામથી ઉલ્લેખાતી, કૃતિઓ આટલી છે : ‘ડાંગવાખ્યાન’, ‘સંપૂર્ણભાગવત’, ‘મહાભારત’, ‘રેવાખ્યાન’, ‘અશ્વમેઘ’, ‘વલ્લભઝઘડો’, ‘નરકાસુર-આખ્યાન’, ‘કર્ણચરિત્ર’, ‘ભીષ્મચરિત્ર’, ‘લોપામુદ્રાખ્યાન’, ‘સુદર્શનાખ્યાન’, ‘રઘુવંશનું ભાષાંતર’, ‘ભીષ્મચંપુ’, ‘દુષ્ટભાર્યાનાટક’, ‘શુકજનકસંવાદ’, ‘ત્રિપુરવધાખ્યાન’, ‘નાનું પ્રહ્લાદાખ્યાન, ‘નાગરનિંદા’, ‘કપિલ-ગીતા’, ‘મિથ્યાઆરોપદર્શક નાટક’, ‘યમદેવાખ્યાન’, ‘હરિવંશ(અપૂર્ણ)’ વગેરે. એમાંથી કોઈની હસ્તપ્રત ઉપલબ્ધ થાય ત્યારે એના પ્રેમાનંદકર્તૃત્વને પ્રમાણોથી ચકાસવાનું રહે. પ્રેમાનંદનું ‘પદબંધ પ્રીતિવિહોણું’ નથી. એમનું કાવ્યલેખન એ ભરપૂર ઉલ્લાસથી ઉમળકાથી થયેલું સૃજનકાર્ય છે. તેઓ રસૈકલક્ષિતાને લીધે પ્રજાજીવનના મૂળમાં સંજીવની સીંચનાર કવિ છે. ગુજરાતનું હૃદય આર્દ્ર રાખવામાં પ્રેમાનંદનો ફાળો સારો એવો છે એમ કહી શકાય. કૃતિ : ૧. પ્રેમાનંદની કાવ્યકૃતિઓ : ૧, ૨, સં. કે. કા. શાસ્ત્રી અને શિવલાલ જેસલપુરા, ઈ.૧૯૭૮, ઈ.૧૯૭૯ (+સં.); ૨. પ્રેમાનંદનાં ત્રણ આખ્યાન (ચંદ્રહાસ, સુધન્વા અને અભિમન્યુ), સં. કે. કા. શાસ્ત્રી અને ચૈતન્યબાળા દિવેટિયા, ઈ.૧૯૬૦  ૩. ઓખાહરણ, ગજેન્દ્ર લા. પંડ્યા (ત્રીજી આ.), ઈ.૧૯૬૪; ૪. એજન (સચિત્ર), સં. મણિલાલ પ્ર. વ્યાસ, ઈ.૧૯૪૭; ૫. કુંવરબાઈનું મામેરું (અધિકૃતવાચના), સં. ચૈતન્યબાળા દિવેટિયા, ઈ.૧૯૬૨; ૬. એજન, સં. કાંતિલાલ બા. વ્યાસ અને ચિમનલાલ ત્રિવેદી, ઈ.૧૯૭૩ (બીજી આ.); ૭. ચંદ્રહાસાખ્યાન, સં. અનંતરાય રાવળ અને ધીરુભાઈ ઠાકર, ઈ.૧૯૮૦ (+સં.); ૮. દશમસ્કંધ : ૧-૨, સં. ઉમાશંકર જોશી અને હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૬૬, ઈ.૧૯૭૧ (+સં.); ૯. નળાખ્યાન, સં. અનંતરાય રાવળ, ઈ.૧૯૭૮(છઠ્ઠું પુ.મુ.) (+સં.); ૧૦ એજન, સં. મગનભાઈ દેસાઈ, ઈ.૧૯૫૧; ૧૧. રણયજ્ઞ, સં. ભાનુસુખરામ નિ. મહેતા, ઈ.૧૯૨૮; ૧૨. એજન, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૪૯ (બીજી આ.); ૧૩. સુદામાચરિત્ર, સં. મધુસૂદન પારેખ અને જયંત કોઠારી, ઈ.૧૯૬૭ (+સં.);  ૧૪. કુંવરબાઈનું મામેરું (પ્રેમાનંદ અને નરસિંહ મહેતાકૃત), સં. મગનભાઈ દેસાઈ, ઈ.૧૯૫૧ (પુ.મુ.); ૧૫. સુદામાચરિત (કવિ પ્રેમાનંદ અને નરસિંહ મહેતાકૃત), સં. મગનભાઈ દેસાઈ, ઈ.૧૯૫૧ (પુ.મુ.); ૧૬. સુદામાચરિત (પ્રેમાનંદ તથા બીજા આઠ કવિઓનાં), સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૨૨;  ૧૭. પ્રાકાત્રૈમાસિક : ૧, ૪; ૧૮. પ્રાકામાળા : ૧, ૧૨, ૧૪, ૧૬થી ૨૦, ૨૬, ૩૦, ૩૩, ૩૪; ૧૯. પ્રાકાવિનોદ : ૧; ૨૦. પ્રાકાસુધા : ૧, ૨, ૪; ૨૧. બૃકાદોહન : ૧થી ૮;  ૨૨. સાહિત્ય, જાન્યુ. ૧૯૧૩થી નવે. ૧૯૧૪-‘મહાકવિ પ્રેમાનંદકૃત શામળશાનો મોટો વિવાહ’, સં. હ. દ્વા. કાંટાવાળા; ૨૩. એજન, મે ૧૯૧૫થી ડિસે. ૧૯૧૭-‘પ્રેમાનંદકૃત પાંડવાશ્વમેઘ’, સં. ભાનુસુખરામ નિ. મહેતા; ૨૪. એજન, જાન્યુ ૧૯૨૧થી ડિસે. ૧૯૨૨-‘વૈરાટપર્વ’, સં. ભાનુસુખરામ નિ. મહેતા; ૨૫. એજન, જાન્યુ. ૧૯૨૩થી મે ૧૯૨૩ - ‘પ્રેમાનંદકૃત ભીષ્મપર્વ’. સં. ભાનુસુખરામ નિ. મહેતા. સંદર્ભ : ૧. અભિનવ પ્રેમાનંદ, વિષ્ણુપ્રસાદ જાની અને છોટાલાલ ન. ભટ્ટ, ઈ.૧૯૭૮; ૨. કવિ પ્રેમાનંદની સંદિગ્ધ કૃતિઓ, પ્રસન્ન ન. વકીલ, ઈ.૧૯૫૦; ૩. પ્રેમાનંદ : એક અધ્યયન (પૂર્વાર્ધ - ઉત્તરાર્ધ), કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૬૪ (બીજી આ.); ૪. મહાકવિ પ્રેમાનંદ ત્રિ-શતાબ્દી સ્મૃતિગ્રંથ, સં. મંજુલાલ ર. મજમુદાર અને અન્ય ઈ.૧૯૬૮; ૫. સાહિત્યકાર પ્રેમાનંદ (પૂર્વાર્ધ), સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૬૭;  ૬. આપણાં સાક્ષરરત્નો : ૨, ન્હાનાલાલ દ. કવિ, ઈ.૧૯૩૫ - ‘મહાકવિ પ્રેમાનંદ; ૭. ઉપક્રમ, જયંત કોઠારી, ઈ.૧૯૬૯ - ‘પ્રેમનંદ તત્કાલે અને આજે’; ૮. કવિચરિત : ૩; ૯. કાવ્યની શક્તિ, રામનારાયણ વિ. પાઠક, ઈ.૧૯૫૯ (બીજી આ.) - ‘પ્રેમાનંદનો હાસ્યરસ’, ‘મહાભારતનું નલોપાખ્યાન અને પ્રેમાનંદનું નળાખ્યાન’; ૧૦. કુંવરબાઈનું મામેરું, સં. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ઈ.૧૯૮૨; ૧૧. ગુસાઇતિહાસ; ૧૨; ગુસાપઅહેવાલ : ૩ - પ્રેમાનંદનાં નાટકો, ન. ભો. દિવેટિયા; ૧૩. એજન : ૭ - ‘પ્રેમાનંદનાં નાટકોનું સૂક્ષ્મ પરીક્ષણ’, ગજેન્દ્ર લા. પંડ્યા; ૧૪. એજન : ૧૫ - ‘પ્રેમાનંદ : એકબે નવાં દૃષ્ટિબિંદુ’, પ્રસન્ન ન. વકીલ; ૧૬. ગુસામધ્ય; ૧૭. ગુસારૂપરેખા; ૧૮. ચિદ્ઘોષ, અમૃતલાલ યાજ્ઞિક, ઈ.૧૯૭૧ - ‘કવિ પ્રેમાનંદનાં નાટકો’; ૧૯. થોડાંક રસદર્શનો, ક. મા. મુનશી, ઈ.૧૯૩૩ - ‘પ્રેમાનંદ’, ૨૦. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ.૧૯૬૧ - ‘પ્રેમાનંદની રસસમૃદ્ધિ’; ૨૧. નર્મગદ્ય, નર્મદાશંકર લા. દવે, ઈ.૧૯૭૫ની આવૃત્તિ ‘કવિચરિત્ર’; ૨૨. નવલગ્રંથાવલિ, નવલરામ પંડ્યા, ઈ.૧૯૬૬ (પુ. મુ.); ૨૩. પર્યેષણા, મનસુખલાલ ઝવેરી, ઈ.૧૯૫૩ - ‘પ્રેમાનંદ’, ‘ત્રણ ઓખાહરણો’; ૨૪. મનોમુકુર : ૩, ન. ભો. દિવેટિયા, ઈ.૧૯૩૭ - ‘પ્રેમાનંદની જયંતી પ્રસંગે વ્યાખ્યાન’; ૨૫. રૂપ અને રસ, ઉશનસ, ઈ.૧૯૬૫ - ‘પ્રેમાનંદની ઉપમાશક્તિ’; ૨૬. વિવિધ વ્યાખ્યાનો : ૨, બ. ક. ઠાકોર, ઈ.૧૯૪૭ - ‘પ્રેમાનંદની ઓસરતી લોકપ્રિયતા’; ૨૭. સાહિત્ય અને વિવેચન, કે. હ. ધ્રુવ, ઈ.૧૯૪૧ - ‘પ્રેમાનંદના જીવનના પાંચ પ્રસ્તાવ’, ‘માર્કંડેય પુરાણનું કર્તૃત્વ’; ૨૮. સાહિત્યવિચાર, આનંદશંકર ધ્રુવ, ઈ.૧૯૪૧ - ‘પ્રેમાનંદ જયંતી’; ૨૯. સુદામાચરિત્ર, સં. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ઈ.૧૯૭૫;  ૩૦. બુદ્ધિપ્રકાશ, જૂન-ડિસે. ૧૯૨૫ અને જાન્યુ.-ઑક્ટો. ૧૯૨૬ - ‘પ્રેમાનંદનાં નાટકોની સમાલોચના’, જયંતીલાલ મહેતા; ૩૧. સાહિત્ય, નવે. ૧૯૨૯ - ‘પ્રેમાનંદની રસસંક્રાંતિ’, ગજેન્દ્ર લા. પંડ્યા;  ૩૨. ગૂહાયાદી; ૩૩. ડિકૅટલૉગબીજે. સંદર્ભસૂચિ : પ્રેમાનંદની કાવ્યકૃતિઓ, સં. કે. કા. શાસ્ત્રી અને શિવલાલ જેસલપુરા, ઈ.૧૯૭૯ - ‘પ્રેમાનંદ સંદર્ભસૂચિ’, પ્રકાશ વેગડ. [ઉ.જો.]

પ્રેમાનંદદાસ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગના ભક્ત કવિ. ‘દશમ લીલા’ (સં. ૧૮મી સદી)ના કર્તા. સંદર્ભ : પુગુસાહિત્યકારો.[કી.જો.]