ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ

From Ekatra Wiki
Revision as of 12:46, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search




સકલકીર્તિશિષ્ય [ઈ.૧૬૭૮ સુધીમાં] : જૈન સાધુ. ૨૧૧ કડીની ‘બાર આરાની ચોપાઈ’ (લે.ઈ.૧૬૭૮)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]

સકલચંદ્ર(ગણિ)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિ (જ.ઈ.૧૫૩૯-અવ.ઈ.૧૬૧૪)ના પ્રથમ શિષ્ય. ગોત્ર રીહડ. ઈ.૧૫૭૨માં તેઓ હયાત હતા એવો એક પત્રમાં ઉલ્લેખ મળે છે. ૭ કડીની ‘ગહૂંલીના’ કર્તા. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [ર.ર.દ.]

સકલચંદ્ર(ઉપાધ્યાય)-૨ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિ-વિજ્યદાનસૂરિના શિષ્ય. સંસ્કૃતનાં વિદ્વાન તથા સંગીતના જ્ઞાતા. દુહા, ચોપાઈ અને ભિન્નભિન્ન દેશઓના ઢાળની ૭૨૫ જેટલી કડીઓમાં રચાયેલ ‘મૃગાવતી-આખ્યાન/રાસ’ (ર.ઈ.૧૫૮૭) કવિની મોટામાં મોટી કૃતિ છે. આ ઉપરાંત ‘એકવીસ પ્રકારી-પૂજા’(મુ.), ‘સત્તરભેદી-પૂજા’(મુ.), ૧૨ કડીની ‘દેવાનંદાની સઝાય’(મુ.), ૨૦ કડીની ‘શાંતિ સુધારસની સઝાય/સાધુ મુનિરાજને શિખામણ’(મુ.), ૧૪ ઢાળની ‘બાર ભાવનાની સઝાય’(મુ.), ૬૪/૬૬ કડીની ‘વર્ધમાન જિનગુણસૂરવેલી’(મુ.), ૬ કડીની બે, ૧૦ અને ૯ કડીની એક-એક એમ કુલ ૪ ‘આત્મિક-સઝાય’(મુ.), ૧૪ કડીની ‘શ્રી કૃષ્ણને વિનતિ રૂપ સઝાય’, (મુ.), ૭ કડીની ‘ક્ષુધાનિવારણ-સઝાય’(મુ.), ૫ કડીની ‘ચેતનને શિખામણની સઝાય’(મુ.) અને અન્ય કેટલીક સઝાયો(મુ.) તેમની પાસેથી મળી છે. તેમ જ ૪૫/૪૮ કડીનું ‘ગણધરવાદ પ્રબોધ-સ્તવન’, ૭૫ કડીનું ‘મહાવીરજિન-સ્તવન’, ‘ગૌતમ દીપાલિકા-સ્તવન/રાસ’, ‘વાસુપૂજ્ય-જિનપુણ્યપ્રકાશ-રાસ’, ૧૧૫/૧૨૧ કડીની ‘હીરવિજ્ય-સૂરિ-દેશના-સૂરવેલી’, ૩૧ કડીનું ‘ઋષભસમતાસરલતા-સ્તવન’, ‘કુમતિદોષ-વિજ્ઞપ્તિકા’, ‘સીમંધર-સ્તવન’, ૩૬ કડીનું ‘જિનઆજ્ઞાવાણી-સ્તવન’, ‘સાધુકલ્પલતા’ અને અન્ય કેટલાંક સ્તવનો-સઝાયો તેમણે રચ્યાં છે. એ ઉપરાંત અપભ્રંશ ભાષામાં ૨૦ કડીનું ‘મહાપ્રભાવમયપાર્શ્વનાથ-સ્તવન’, પ્રાકૃત ભાષામાં ‘ધર્મશિક્ષા’ (ર.ઈ.૧૫૭૪) તથા સંસ્કૃતમાં ‘શ્રુતાસ્વાદશિક્ષાદ્વાર’, ‘ધ્યાનદીપિકા’ (ર.ઈ.૧૫૬૫), ‘પ્રતિષ્ઠા-કલ્પ’ (ર.ઈ.૧૬૦૪) જેવી કૃતિઓ તેમણે રચી છે. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. ચિત્રમય શ્રીપાલ રાસ, સં. સારાભાઈ મ. નવાબ, ઈ.૧૯૬૧; ૩. જિભપ્રકાશ; ૪. જૈસમાલા(શા) : ૨, ૩; ૫. જૈસસંગ્રહ(જૈ); ૬. જૈસસંગ્રહ(ન); ૭. મોસસંગ્રહ; ૮. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩; ૯. વિસ્નાપૂજાસંગ્રહ; ૧૦. સઝાયમાળા(પં); ૧૧. સસન્મિત્ર; ૧૨. સસન્મિત્ર(ઝ);  ૧૩. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૪૪-‘શ્રી વર્ધમાન જિનગુણસૂરવેલી’, સં. સારાભાઈ નવાબ. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો; ૬. પ્રાકારૂપરંપરા; ૭. મરાસસાહિત્ય;  ૮. આલિસ્ટઑઇ : ૨; ૯. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. ડિકૅટલૉગભાવિ; ૧૨. મુપુગૂહસૂચી; ૧૩. રાહસૂચી : ૧; ૧૪. લીંહસૂચી; ૧૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સકલચંદ્ર-૩ [ઈ.૧૬૬૧માં હયાત] : જૈન. ‘સૂરપાલ-રાસ’ (ર.ઈ.૧૬૬૧)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]

સકલેશ્વર/સાંકળેશ્વર [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ-ઈ.૧૯મી સદી મધ્યભાગ] : માતાજીના ભક્ત. કડીના ઔદીચ્ય બ્રાહ્મણ. અવટંકે જોશી. ત્રણથી ૯૯ કડી સુધી વિસ્તરતા માતાના ૧૩ જેટલા ગરબા (મુ.) તેમના મળે છે. ૨૯ કડીના ‘સલખનપુરીનો ગરબો’ (ર.ઈ.૧૮૬૦/સં.૧૯૧૬, આસો સુદ ૯, બુધવાર; મુ.)માં કથન ને વર્ણનનું તત્ત્વ છે, તો ૯૯ કડીના ‘આશાપુરીનો ગરબો’ (ર.ઈ.૧૮૫૩/સં.૧૯૦૯, ભાદરવા વદ ૯, બુધવાર; મુ.)માં માતાજીનું સ્વરૂપવર્ણન ધ્યાન ખેંચે છે. એમના કોઈક ગરબામાં હિંદીની અસર છે, અને કોઈક ગરબામાં ‘સાંકળો’ એવી નામછાપ મળે છે. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુખાલીદાસ, ઈ.૧૯૨૩; ૨. કાદોહન : ૨ (+સં.); ૩. ભગવતી કાવ્યસંગ્રહ ૧, પ્ર. શા. ઉત્તમરામ ઉમેદચંદ્ર, સં. ૧૯૩૩; ૪. શ્રીમદ્ ભગવતી કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯ (+સં.);  ૫. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

સખિયાજી [ ] : જૈન શ્રાવક. જ્ઞાતિએ ભણસાળી. લોંકાગચ્છના લવજીઋષિ પાસે દીક્ષા લેવા અગાઉ વીરજી વોરાએ પૂછેલા પ્રશ્નોના ઉત્તર રૂપે ગદ્યમાં મળતા ‘સખિયાજીના બોલ’ (લે.ઈ.૧૬૬૪ અનુ : મુ.)ના કર્તા. કૃતિ : સ્વાધ્યાય, ઑક્ટો. ૧૯૬૮-‘સખિયાજીના બોલ’, મુનિ હસ્તિમલ્લજી, કેશવલાલ હિં. કામદાર (+સં.). [ર.ર.દ.]

સખીદાસ [ ] : ‘રણછોડજીનાં પદ’ના કર્તા. સંદર્ભ : ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ.[શ્ર.ત્રિ.]

સચવીર(ઋષિ) [ઈ.૧૫૬૦માં હયાત] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. ૫૭ કડીની ‘હીરવિજ્યસૂરિ-સઝાય’ (ર.ઈ.૧૫૬૦)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]

સચ્ચિદાનંદ(સ્વામી) : જુઓ મનોહર (સ્વામી).

સજ્જન(પંડિત) [ ] : જૈન સાધુ. ૪ કડીના ‘નેમિગીત’, ૪ કડીના ‘સાર્થપતિકોશા-ગીત’ અને ૬ કડીના ‘સ્થૂલિભદ્રકોશા-કાગળ’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચિ. [પા.માં.]

સત્યકીર્તિ(ગણિ) [ ] : જૈન સાધુ. ૨૫ કડીના ‘ચતુર્વિંશતિજિન-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]

સત્યરત્ન-૧ [ઈ.૧૮૨૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ‘સમેતશિખર-રાસ’ (ર.ઈ.૧૮૨૪/સં.૧૮૮૦, ભાદરવા સુદ ૫)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [પા.માં.]

સત્યરત્ન-૨ [ ] : જૈન. જિનહર્ષના શિષ્ય. હિન્દી-ગુજરાતી મિશ્ર ભાષામાં અનુક્રમે ૫ અને ૭ કડીના ‘દાદાજી’ (-જિનકુશલસૂરિ) વિષયક ૨ સ્તવનો(મુ.)ના કર્તા. કૃતિ : સ્નાત્રપૂજા, દાદાસાહેબ પૂજા, ઘંટાકર્ણવીર પૂજા, પ્ર. ઝવેરચંદ કે. ઝવેરી, સં. ૨૦૦૮. [પા.માં.]

સત્યવિજ્ય(પંડિત) [ ] : જૈન સાધુ. ૫ કડીની ‘વૈરાગ્યની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. દેસ્તસંગ્રહ; ૨. સઝાયમાળા(પં). [પા.માં.]

સત્યસાગર [ઈ.૧૭૪૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વાચક રત્નસાગરના શિષ્ય. ૧૬ ઢાળના ‘વછરાજ-રાસ’ (ર.ઈ.૧૭૪૩; અંશત: મુ.)ના કર્તા. કૃતિ : સૂર્યપુર રાસમાલા, સં. કેશરીચંદ હી. ઝવેરી, ઈ.૧૯૪૦. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨). [પા.માં.]

‘સત્યાસિયાદુષ્કાળવર્ણન-છત્રીસી’ : ૬-૬ પંક્તિની ૧ એવી ૩૬ કડીની સકલચંદ્રશિષ્ય સમયસુંદરની આ કૃતિ(મુ.) સં. ૧૬૮૭માં ગુજરાતમાં પડેલા ભયંકર દુકાળનું વાસ્તવિક ચિત્ર આપતી હોવાને લીધે ઇતિહાસદૃષ્ટિએ મહત્ત્વની છે. પ્રારંભમાં ગુજરાતની સમૃદ્ધિનું વર્ણન કરી કવિ પછી દુષ્કાળમાં સપડાયેલા ગુજરાતના પ્રજાજીવનને વર્ણવે છે. પ્રજામાં પ્રવર્તતાં વહેમ, અંધશ્રદ્ધા, અંગત સ્વજનોની પરસ્પર માટેની લાગણીનો વિચ્છેદ, એક તરફ મોટા તપસ્વી જૈન સાધુઓનું મૃત્યુ અને બીજી તરફ સાધુઓ દ્વારા અનેકને દીક્ષા આપી મૂંડી નાખવાની પ્રવૃત્તિ, ધર્મના આદેશનું ઉલ્લંઘન કરી શિષ્યોએ વેચેલાં ગ્રંથો, વસ્ત્રો અને ભિક્ષાપાત્ર, સાધુસમાજમાં શિષ્યમંડળ વધારવા ઊભી થયેલી સ્પર્ધા ને તેથી વ્યાપક બનેલી વટાળપ્રવૃત્તિ વગેરે વીગતો નોંધી હૃદયદ્રાવક ચિત્તે કવિ દુષ્કાળની કરુણ સ્થિતિ આલેખે છે. દુષ્કાળની આ કરુણ સ્થિતિમાં પાટણ, અમદાવાદ, સુરત અને ખંભાતના અનેક શ્રેષ્ઠીઓ તથા જગડૂશા અને ભામાશાહે ધનધાન્યની જે મદદ કરી તેની પણ વીગતે કવિ નોંધ લે છે. [વ.દ.]

‘સદયવત્સવીર-પ્રબંધ’ : ભીમનો દુહા, સોરઠા, ચોપાઈ, વસ્તુ, છપ્પય વગેરે માત્રામેળ અને ક્યારેક અક્ષરમેળ છંદો ને ગીતના બંધવાળો ૬૭૨/૭૩૦ કડીનો સદયવત્સ/સૂદો અને સાવલિંગા/સામલિનાં પ્રેમ અને પરાક્રમની કથાને આલેખતો આ પ્રબંધ(મુ.) ભાષા, છંદ સ્વરૂપ, ઇતિહાસ, ઇત્યાદિની દૃષ્ટિએ ઘણું મૂલ્ય ધરાવે છે. ગુજરાતીમાં આ વિષય પર ઉપલબ્ધ કૃતિઓમાં સૌથી પહેલી આ કૃતિની જૂનામાં જૂની પ્રત ઈ.૧૪૩૨ની મળી આવી છે. એટલે આ પ્રબંધની રચના ઈ.૧૫મી સદીમાં થઈ હોવાનું અનુમાન છે. ઉજ્જયિનીનો રાજા પ્રભુવત્સનો પુત્ર સદયવત્સ કોઈ સગર્ભા સ્ત્રીને મદોન્મત્ત બનેલા જયમંગલ હાથીના પંજામાંથી બચાવવા માટે હાથીની હત્યા કરે છે. પ્રધાનની ભંભેરણીથી રાજા આ કૃત્ય બદલ સદયવત્સને દેશનિકાલ કરે છે. સાવલિંગાની સાથે ચાલી નીકળેલો સદયવત્સ વિવિધ પરાક્રમો કરી અંતે પોતાના રાજ્યને દુશ્મનના ઘેરામાંથી મુક્ત કરે છે એ આ પ્રબંધની મુખ્ય કથા કેટલીક અવાંતર કથાઓ વણી લઈને કહેવાઈ છે. લોકજીવનમાં પ્રચલિત વિક્રમકથાઓ સાથે સંબંધિત આ કથાની બે પરંપરામાં વીર, અદ્ભુત અને શૃંગારના નિરૂપણવાળી એક પરંપરા કવિની આ કૃતિમાં મળે છે. પાછળના ગુજરાતી કવિઓ સદેવંત-સાવલિંગાના પૂર્વેના આઠભવની કથાવાળી ને શૃંગારરસના પ્રાધાન્યવાળી બીજી પરંપરાને અનુસર્યા છે. તત્કાલીન સમાજનું ચિત્ર ઉપસાવતા આ પ્રબંધમાં વર્ણનો અને નિરૂપણમાં કવિની ભાષાશક્તિનું બળ અનેક જગ્યાએ અનુભવાય છે. પ્રભુવત્સના રાજકુલનું દુહામાં થયેલું વર્ણન, ગીત અને છંદના મિશ્રણથી થયેલું વરયાત્રાનું વર્ણન, ચિતામાં બળી મરવા તત્પર બનેલી સાવલિંગાની સોરઠામાં થયેલી અંતિમ પ્રાર્થના, રણમાં સદયવત્સ-સાવલિંગા વચ્ચે થતો સમસ્યામૂલક સંવાદ વગેરે એનાં દૃષ્ટાંત છે. જો કે કેટલુંક નિરૂપણ કવિએ પૂર્વપરંપરામાંથી લીધું હોવાની પૂરી સંભાવના છે. એમાં જોવા મળતું પ્રાકૃત અને અપભ્રંશના સંસ્કરવાળું ભાષા-સ્વરૂપ ભાષાના અભ્યાસીને અત્યંત ઉપયોગી નીવડે એવું છે.[જ.ગા.]

સદાનંદ : આ નામે ૧૨ કડીની ‘વાલાજીની વિનતિ’ એ જૈનેતર કૃતિ, સદાનંદ(પાઠક)ને નામે ૫ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’(મુ.) તથા સદાનંદને નામે ૫ કડીની ‘નેમિનાથ વિનતિ’ (લે.સં.૧૮મી સદી અનુ.)ને ૫ કડીની ‘વીતરાગની વિનતિ’ (લે.સં. ૧૮મી સદી અનુ.) એ જૈનકૃતિઓ મળે છે. જૈન કૃતિઓના કર્તા એક હોવાની સંભાવના છે. કૃતિ : અરત્નસાર. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. મુપુગૂહસૂચી. [પા.માં.]

સદારુચિ(ગણિ) [ઈ.૧૭૧૦માં હયાત] : જૈન સાધુ. પુણ્યરુચિની પરંપરામાં નિત્યરુચિના શિષ્ય. ‘સંગ્રહણીપ્રકરણ ઉપર સ્તબક’ (ર.ઈ.૧૭૧૦, સ્વહસ્તાક્ષરવાળી પ્રત)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [પા.માં.]

સદાશંકર : આ નામે ૫ કડીનો અંબામાતાનો ૧ ગરબો(મુ.) તથા વડોદરાનિવાસી સદાશંકરને નામે ૯ કડીનો ‘ચલ્લુરાજાનો ગરબો’(મુ.) મળે છે. આ કૃતિઓના કર્તા એક જ છે કે જુદા તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. નકાસંગ્રહ, ૨. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯ (+સં.).[શ્ર.ત્રિ.]

સદાશિવ-૧ [ઈ.૧૬૨૬માં હયાત] : ૧૫ કડવાંની ‘સગાલશાહ’ (ર.ઈ.૧૬૨૬) નામે કૃતિના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

સદાશિવ-૨ [ ] : ૧૯ કડીના ‘બહુચરમાતાનો ગરબો’(મુ.) તથા અન્ય ગરબા-ગરબીના કર્તા. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. શ્રીમદ્ ભગવતી કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

v [ઈ.૧૯મી સદીનો પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. ‘ત્રિલોકસુંદરી-ચોપાઈ’ (ર.ઈ.૧૮૨૧) અને રાજસ્થાની ભાષામાં ‘તિલોકસુંદરી-વર્ણન’ (ર.ઈ.૧૮૩૬)ના કર્તા. ૧૫ કડીની ‘હરિકેશીમુનિની સઝાય’(મુ.) મળે છે. તેના કર્તા પ્રસ્તુત સબળદાસ હોવાની શક્યતા છે. કૃતિ : જૈસમાલા(શા) : ૨. સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. જૈગૂકવિઓ : ૩(૧, ૨); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]

સબલસિંહ [ઈ.૧૮૦૫માં હયાત] : ખરતરગચ્છના શ્રાવક. ‘વીસી’ (ર.ઈ.૧૮૦૫/સં.૧૮૬૧, વૈશાખ સુદ ૩)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [પા.માં.]

સભાચંદ [ઈ.૧૭૧૧માં હયાત] : ખરતરગચ્છની વેગડ શાખાના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ધર્મચંદના શિષ્ય. ‘જ્ઞાનસુખડી’ (ર.ઈ.૧૭૧૧/સં.૧૭૬૭, ફાગણ સુદ૭, રવિવાર) એ ગદ્યકૃતિના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [પા.માં.]

‘સભાપર્વ’ : મહાભારતના સભાપર્વના પ્રસંગોને સંક્ષિપ્તમાં વર્ણવતું ખંભાતના કવિ વિષ્ણુદાસને નામે ૨૦ કડવાંનું આ નામનું આખ્યાન(મુ.) મળે છે. આ જ વિષ્ણુદાસકૃત ૩૬ કડવાંનું ‘સભાપર્વ’(મુ.) પણ મળે છે. આંતરબાહ્ય પ્રમાણોને લક્ષમાં લેતાં ૩૬ કડવાંનું ‘સભાપર્વ’ વિષ્ણુદાસની અધિકૃત રચના જણાય છે. બીજું ૨૦ કડવાંનું ‘સભાપર્વ’ નામછાપ વિષ્ણુદાસની બતાવે છે અને રચનાસમય પણ ઈ.૧૫૬૧/સં.૧૬૧૩, જેઠ-૧૨, મંગળવાર આપે છે, તેમ છતાં એ વિષ્ણુદાસની અધિકૃત રચના જણાતી નથી. કૃતિમાં આશરે ૧૧ વખત એટલે કે મોટાભાગનાં કડવામાં કવિની નામછાપ મળે છે. આ લઢણ ખંભાતના વિષ્ણુદાસનાં અન્ય આખ્યાનોમાં નજરે પડતી નથી. કૃતિનો રચનાસમય પણ વાર, તિથિ, માસ સાથે મેળમાં નથી. સંપાદકની નોંધ પરથી લાગે છે કે કૃતિની પ્રત ઘણી અર્વાચીન છે. આ બધાં કારણોને લક્ષમાં લેતાં પ્રસ્તુત કૃતિ ખંભાતના વિષ્ણુદાસની હોવાની સંભાવના ઓછી છે. કે. કા. શાસ્ત્રીએ પ્રસ્તુત કૃતિ ખંભાતના કવિ શિવદાસની હોવા સંભાવના વ્યક્ત કરી છે, પરંતુ એ માટે કોઈ ચોક્કસ આધાર નથી.[જ.ગા.]

સમધર : જુઓ સમુધર.

સમયધ્વજ(ઉપાધ્યાય) [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : જૈન શ્વેતાંબર સાધુ. ‘સીતાસતી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૫) તથા ૧૫ કડીની ‘પાર્શ્વનાથ-ફાગુ’ (ર.ઈ.૧૫૫૮ પહેલાં) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકારૂપરંપરા;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. મુપુગૂહસૂચી.[પા.માં.]

સમયનિધાન [ઈ.૧૬૭૫/૧૬૮૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. સમયસુંદરની પરંપરામાં રાજસોમના શિષ્ય. ૧૩ કડીની ‘સુસઢ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૫/૧૬૮૧)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [પા.માં.]

સમયપ્રભ [ઈ.૧૪૧૯ પછી] : ખરતરગચ્છના જૈન સાધુ. ઐતિહાસિક વસ્તુ ધરાવતા ૪૫ કડીના ‘જિનભદ્રસૂરિ-પટ્ટાભિષેક-રાસ’ (ર.ઈ.૧૪૧૯ પછી)ના કર્તા. સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૩૮-‘શ્રીજિનભદ્રસૂરિરાસ-સાર’, અગરચંદ ભં. નાહટા;  ૩. જૈગૂકવિઓ : ૩(૨). [પા.માં.]

ખરતરગચ્છના [ઈ.૧૬મી સદી અંતભાગ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિ (ઈ.૧૯૫૩)ની હયાતીમાં તથા રાયસિંહના રાજ્કાળ (ઈ.૧૭૫૩-૧૬૧૧)માં હયાત. જિનચંદ્રસૂરિની પરંપરામાં જ્ઞાનવિલાસના શિષ્ય. વિવિધ ગેય ઢાળમાં રચાયેલી અને વિસ્તૃત પ્રાસબંધો અને ધ્રુવાઓને કારણે નોંધપાત્ર બનેલી ‘આરામશોભા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૫), ૯૬ કડીનો ‘નેમિરાજિમતી-રાસ’ (ર.ઈ.૧૬૦૭), ૬૯ કડીની ‘જિનચંદ્રસૂરિ/યુગપ્રધાનનિર્વાણ-રાસ’ (ર.ઈ.૧૬૧૪ પછી; મુ.), ૫૨૯ કડીની ‘ચઉપર્વી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, આસો સુદ ૨, ગુરુવાર, સ્વલિખિતપ્રત) અને ૧૭ કડીના ‘વરકાણાપાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ;  ૨. જૈન યુગ, આસો ૧૯૮૪-‘સમયપ્રમોદકૃત જિનચંદ્રસૂરિ નિર્વાણકાવ્ય’, મોહનલાલ દ. દેશાઈ (+સં.). સંદર્ભ : ૧. કથામંજૂષાશ્રેણિ, ‘આરામશોભા-રાસ’, સં. જયંત કોઠારી અને કીર્તિદા જોશી, ઈ.૧૯૮૩; ૨. ગુસારસ્વતો; ૩. યુજિનચંદ્રસૂરિ;  ૪. જૈગૂકવિઓ : ૩(૨). [પા.માં.]

સમયમાણિક્ય [ઈ.૧૬૬૬માં હયાત] : ખરતરગચ્છની સાગરચંદ્ર શાખાના જૈન સાધુ. ‘મત્સ્યોદર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૬)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [પા.માં.]

સમયરંગ [ઈ.૧૫૬૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ગુણશેખરના શિષ્ય. નયરંગ (ઈ.૧૫૬૯માં હયાત)ના ગુરુભાઈ.૫ ઢાલ અને ૨૧૩ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : અરત્નસાર. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈહાપ્રોસ્ટા; ૪. રાહસૂચી : ૧; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.[પા.માં.]

સમયરાજ (ઉપાધ્યાય) [ઈ.૧૬૦૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં જિનસિંહસૂરિના શિષ્ય. સમયસુંદરના વિદ્યાગુરુ. ૭૪ કડીની ‘જિનધર્મમંજરી/ધર્મમંજરી-ચતુષ્પદિકા’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, મહા સુદ ૧૦), ૨૨ કડીની ‘ચતુર્વિંશતિ તીર્થંકરનામ સ્વ-સ્વોત્પત્તિ નગરી પ્રમુખ સપ્તપ્રકાર’, ૪૪ કડીની ‘શ્રાવક-ચોપાઈ’, ૧૪ કડીની ‘શત્રુંજ્ય-ઋષભ-સ્તવન’, ‘પર્યુષણ-વ્યાખ્યાન પદ્ધતિ’ તથા સંસ્કૃતમાં ‘અવચૂરી’ અને કેટલાંક સ્તવનો એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]

સમયસુંદર(કવિયણ)-૧ [ઈ.૧૫૬૬માં હયાત] : ‘સ્થૂલિભદ્ર-રાસ’, (ર.ઈ.૧૫૬૬/સં.૧૬૨૨, કારતક/માગશર-૫, બુધવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [જ.ગા.]

સમયસુંદર-૨ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.૧૬૪૬/સં.૧૭૦૨, ચૈત્ર સુદ ૧૩] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રશિષ્ય સકલચંદ્રના શિષ્ય. મારવાડમાં આવેલા સાચોરના પ્રાગ્વાટ વણિક. પિતા રૂપસિંહ. માતા લીલાદેવી. ઈ.૧૫૯૩માં વાચકપદ અને સંભવત: ઈ.૧૬૧૫-૧૬માં ઉપાધ્યાયપદ. મહિમરાજ (જિનસિંહસૂરિ) અને સમયરાજ એમના વિદ્યાગુરુઓ હતા. ઈ.૧૫૮૨માં જિનચંદ્રસૂરિ અકબર બાદશાહને મળવા લાહોર ગયા ત્યારે તેમની સાથે ગયેલા અન્ય સાધુઓમાં સમયસુંદર પણ હતા અને તે વખતે તેમણે પોતાની સંસ્કૃત કૃતિ ‘અષ્ટલક્ષી’થી અકબરને પ્રસન્ન કર્યા હતા. સંસ્કૃત, પ્રાકૃત તથા અપભ્રંશના તેઓ સારા અભ્યાસી હતા. તથા વિહાર નિમિત્તે ગુજરાત, મારવાડ અન સિંધના વ્યાપક પ્રવાસો દરમ્યાન ગુજરાતી, મારવાડી, સિંધી, હિંદી ને પંજાબી ભાષાઓ પર પણ પ્રભુત્વ મેળવ્યું હતું. તેઓ સંગીતજ્ઞ પણ હતા. ગુજરાતી, સંસ્કૃત અને પ્રાકૃતમાં સમયસુંદરે વિપુલ સર્જન કર્યું છે. તેના પરથી તેમના કવિત્વશક્તિ, પાંડિત્ય અને સંગીતજ્ઞાનનો પરિચય થાય છે. ગુજરાતીમાં તેમણે અનેક રાસકૃતિઓ રચી છે, જેમાં જૈનધર્મની પરંપરામાં પ્રચલિત કથાઓ પર આધારિત રાસાઓનું પ્રમાણ સૌથી મોટું છે. ૨ ખંડ, ૨૧ ઢાળ ને ૫૩૫ કડીનો એમનો પહેલો રચાયેલ ‘સાંબપ્રદ્યુમ્ન-રાસ/પ્રબંધ/ચોપાઈ’(ર.ઈ.૧૬૦૩/સં.૧૬૫૯, આસો સુદ ૧૦) જૈન આગમોમાંની સાંબપ્રદ્યુમ્નની કથાને વિકસાવીને લખાયો છે. કૃષ્ણના ૨ પુત્રો સાંબ અને પ્રદ્યુમ્નનાં સ્નેહ અને સાહસપરાક્રમની કથા આલેખી કવિએ એમાં કર્મપુનર્જન્મનો મહિમા ગયો છે. ‘ઉત્તરાધ્યયન-સૂત્ર’ને આધારે રચાયેલા ૪ ખંડ, ૪૪ ઢાળ ને ૮૪૦ કડીના અવાંતરકથાઓ અને લાંબાં વર્ણનોથી પ્રસ્તારી બનેલા ‘ચારપ્રત્યેક-બુદ્ધ-રાસ/ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૯/સં.૧૬૬૫, જેઠ સુદ ૧૫-; મુ.)માં નમિ, કરકંડુ, દ્વિમુખ અને નિગ્ગઈ એ ચારે ‘પ્રત્યેક બુદ્ધ’ કેવી રીતે બન્યા એની કથા છે. ૬ ખંડ, ૩૯ ઢાળ ને ૯૩૧ કડીનો ‘નલદવદંતી-રાસકથા/ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, વસંતમાસ-; મુ.) કવિનો વિશેષ ધ્યાનાર્હ રાસ છે. ‘પાંડવચરિત્ર’ અને ‘નેમિચરિત્ર’ને અનુસરતી આ કૃતિમાં નલ-દવદંતીના ૩ ભવની કથા છે. નળના ડાબાજમણા હાથ વચ્ચે થયેલા સંવાદ દ્વારા વ્યક્ત થયેલો નળનો દ્વિધાભાવ, નળ અને કુબરના દ્યુતપ્રસંગનું વર્ણન કે શૃંગાર, અદ્ભુત ને શાંતના નિરૂપણમાં કવિની શક્તિ દેખાય છે. વિવિધ પ્રાદેશિક ભાષાઓના શબ્દોના સંસ્કાર તથા પોતાના સમયમાં પ્રચલિત કહેવતો અને લોકોકિતઓને વણી લેવાની કવિની ટેવથી એમની ભાષા અહીં અને અન્ય રાસાઓમાં અસરકારક બને છે. ૩ ખંડ, ૩૮ ઢાળ અને ૭૪૪ કડીની ‘મૃગાવતીચરિત્રચોપાઈ/રાસ/આખ્યાન’ (ર.ઈ.૧૬૧૨; મુ.) કવિની બીજી મહત્ત્વની કૃતિ છે. જૈનોમાં પ્રચલિત મૃગાવતીના ચરિત્ર પર આધારિત આ રાસમાં મૃગાવતીજીવનના મુખ્ય કથાપ્રસંગો વચ્ચે કેટલીક અવાંતરકથાઓ ગૂંથી કવિએ એને કામ પર શીલના વિજ્યની કથા બનાવી છે. મૃગાવતી-સૌંદર્યવર્ણન કે મૃગાવતીના વિરહાલાપમાં કવિની શક્તિ ખીલી ઊઠી છે. પરંતુ કવિની સૌથી મોટી ને ઉત્તમ રચના તો ૯ ખંડ, ૬૩ ઢાળ ને ૩૭૦૦ કડીની ‘સીતારામ-ચોપાઈ’(મુ.) છે. ‘સિયાચરિઉ’ ને ‘પઉમચરિય’ને આધારે રચાયેલા આ રાસમાં કવિ જૈન પરંપરામાં પ્રચલિત રામકથાને અનુસર્યા છે. એટલે સીતાલગ્નનો પ્રસંગ, સીતાનો રામે ત્યાગ કર્યા પછી વજ્રજંઘ રાજાએ સીતાને આપેલો આશ્રય, લક્ષ્મણનું મૃત્યુ વગેરે ઠીકઠીક પ્રસંગોના નિરૂપણમાં તેઓ વાલ્મીકિ રામાયણથી જુદા પડે છે. જૈન ધર્મનો પ્રભાવ બતાવતી હોવા છતાં વિવિધ રસોનું નિરૂપણ, પ્રવાહી કથાકથન ને ભાષાસામર્થ્યથી કૃતિ અસરકારક બની છે. ‘ત્રિષષ્ટિશલાકા-પુરુષચરિત્ર’ના પરિશિષ્ટપર્વ પર આધારિત ૧૦ ઢાળ ને ૨૨૫ કડીનો ‘વલ્કલચીરી-રાસ/ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૫; મુ.)માં જંગલમાં મોટો થયેલો ને જીવનથી બિનઅનુભવી એવો વલ્કલચીરી કેવા અનુભવોમાંથી પસાર થઈ પોતાના ભાઈ પાસે પહોંચે છે એની કથા મુખ્ય છે. એમાં આલેખાયેલું વલ્કલચીરીનું મુગ્ધ વ્યક્તિત્વ ગમે એવું છે. ૨ ખંડ, ૨૦ ઢાળ ને ૪૪૮ કડીની ‘થાવચ્ચાસુતરિષિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૫/સં.૧૬૯૧, કારતક વદ ૩; મુ.) જૈન આગમોમાંના ‘જ્ઞાતાધર્મકથા’ પરથી લીધી છે. કૃતિના પહેલા ખંડમાં કૃષ્ણની દ્વારિકાનગરીમાં રહેતા થાવચ્ચાનું ચરિત્ર અને બીજા ખંડમાં સુક અને શેલકની કથા છે. થાવચ્ચાસુત અને સુક વચ્ચેનો જ્ઞાનસંવાદ કૃતિનો ધ્યાનાર્હ અંશ છે. ૪ ઢાળ ને ૫૪ કડીના ‘ક્ષુલ્લકઋષિ-રાસ’ (ર.ઈ.૧૬૩૮; મુ.)માં કામની પ્રબળતા, દીક્ષાની કઠોરતા અને ભૌતિક સુખોની ક્ષણિકતા કવિએ બતાવી છે. પ્રાકૃતગ્રંથ ‘ગૌતમપૃચ્છા’ને આધારે રચાયેલી ૭૪ કડીની ‘ગૌતમપૃચ્છા-ચોપાઈ’(ર.ઈ.૧૯૩૯; મુ.)માં પોતાના શિષ્યે ઉઠાવેલા ૪૮ પ્રશ્નોનું ભગવાન મહાવીરે જે રીતે નિરાકરણ કર્યું તેનું આલેખન છે. ૪ ઢાળ ને ૫૭ કડીનો ‘કેશીપ્રદેશી-પ્રબંધ’(મુ.) ‘રાયપસેણીય-સૂત્ર’ને આધારે રચાયો છે. પ્રદેશી રાજાએ ધર્મવિષયક ઉઠાવેલા વિવિધ પ્રશ્નોના જે ઉત્તર કેશીઋષિએ આપ્યા તેનું તેમાં આલેખન છે. દૃષ્ટાંતોથી વિચારને સ્ફુટ કરવાની કવિની રીતિ એમાં ધ્યાન ખેંચે છે. ૩ ખંડ, ૩૪ ઢાળ ને ૬૦૬ કડીનો ‘દ્રૌપદી-રાસ/ચોપાઈ’(ર.ઈ.૧૬૪૪/સં.૧૭૦૦, મહા-; મુ.)માં ‘જ્ઞાતાસૂત્ર’ને આધારે કહેવાયેલી જૈન પરંપરા અનુસારની, મહાભારતથી જુદી રીતે ચાલતી, કથા નિરૂપાઈ છે. અજિતપ્રભસૂરિની સંસ્કૃતકૃતિ ‘શાંતિનાથ-ચરિત્ર’ પર આધારિત ૧૪ ઢાળ ને ૨૭૦ કડીની ‘પુણ્યસાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૬/સં.૧૬૭૩, ભાદરવા-;મુ.)માં પુણ્યસારની કથા દ્વારા પુણ્યનો મહિમા કરવામાં આવ્યો છે. ધનેશ્વરસૂરિકૃત સંસ્કૃત કૃતિ ‘શ્રી શત્રુંજયમાહાત્મ્ય’ પર આધારિત ૬ ઢાળ અને ૧૦૮ કડીના ‘શત્રુંજયતીર્થ-રાસ’ (ર.ઈ.૧૬૨૬/સં.૧૬૮૨, શ્રાવણ સુદ/વદ-; મુ.)માં શત્રુંજ્યતીર્થના વિવિધ નામો ગણાવી શત્રુંજ્યતીર્થનો વખતોવખત જીર્ણોદ્ધાર થયો તેની માહિતી આપી છે. ૧૮ ઢાળ ને ૫૧૯ કડીના ‘સાધુવંદના-રાસ’ (ર.ઈ.૧૬૪૧/સં.૧૬૯૭, ચૈત્ર-)માં જૈન આગમોમાં ઉલ્લેખાયેલા વિવિધ તીર્થોનાં ને અન્ય પ્રદેશનાં વિવિધ ૮૩ સાધુસાધ્વીઓના જીવનની વીગતો આપી છે તે મહત્ત્વની છે. સમયસુંદરના ૩ રાસ લોકકથાઓ પર આધારિત છે. સિંહલકુમારનાં પરાક્રમો અને એના ધનવતી, રત્નવતી, રૂપવતી અને કુસુમવતી કથા ૧૧ ઢાળ ને ૨૩૦ કડીના ‘સિંહલસુતપ્રિયમેલક-રાસ’(ર.ઈ.૧૬૧૬;મુ.)માં આલેખાઈ છે. અનુકંપાદાનનો મહિમા સમજાવવા રચાયેલી ૨ ખંડ, ૨૧ ઢાળ ને ૫૦૬ કડીની ‘ચંપકશ્રેષ્ઠિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૯; મુ.)ના પહેલા ખંડમાં ચંપકશ્રેષ્ઠિના આ ભવની અને બીજા ખંડમાં પૂર્વભવની કથા છે. એમાં આવતું ચંપાનગરીમાં પડેલા દુષ્કાળનું ચિત્ર નોંધપાત્ર છે. ૯ ઢાળ અને ૧૬૧ કડીની ‘ધનદત્તશ્રેષ્ઠિની-કથા/ધનદત્તવ્યવહારશુદ્ધિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૦; મુ.)માં વ્યવહારશુદ્ધિનો મહિમા બતાવ્યો છે. સમયસુંદરે ઐતિહાસિક વિષયવાળા ૨ રાસ પણ રચ્યા છે. દાનનો મહિમા બતાવવા રચાયેલા ૩ ઢાળ ને ૪૦ કડીના ‘વસ્તુપાલતેજપાલ-રાસ’ (ર.ઈ.૧૬૨૬; મુ.)માં વસ્તુપાળ અને તેજપાળે કરેલાં ધર્મકાર્યોથી વાત છે. પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ પુંજરત્ન/પૂંજાઋષિએ લીધેલા કઠોર અભિગ્રહોની વાત કરતા ૪ ઢાળ ને ૩૭ કડીના ‘પુંજરત્નઋષિ-રાસ’ (ર.ઈ.૧૬૪૨/સં.૧૬૯૮, શ્રાવણ સુદ ૫; મુ.)માં તપનો મહિમા કર્યો છે. એ સિવાય મિશ્રભાષાવાળો ‘(રાણી)પદ્માવતીકો-રાસ/ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૯/સં.૧૬૬૪, ફાગણ સિદ્ધિયાગ, બુધવાર; મુ.) સમયદૃષ્ટિએ જોતાં સમયસુંદરનો ગણાય છે. કવિએ ૧ સંવાદકૃતિ ૧૦૧ કડીની ‘દાનશીલતપભાવના-સંવાદ’ (ર.ઈ.૧૬૦૬; મુ.) રચી છે. તેમાં દાન, શીલ, તપ અને ભાવના દરેક દૃષ્ટાંતોનો આશ્રય લઈ પોતનું ચડિયાતાપણું સિદ્ધ કરવા કેવી રીતે મથે છે તેની વાત છે. સમયસુંદરે કેટલીક ‘છત્રીસી’ પ્રકારની કૃતિઓ રચી છે. એમાં સં. ૧૬૮૭માં પડેલા કારમા દુષ્કાળનું કરુણ ચિત્ર દોરતી ને ઇતિહાસ દૃષ્ટિએ મહત્ત્વની ‘સત્યાસિયાદુષ્કાળવર્ણન-છત્રીસી’(મુ.) વિશેષ મહત્ત્વની છે. એ સિવાય કેટલીક પૌરાણિક વ્યક્તિઓનાં દૃષ્ટાંત દ્વારા ક્ષમાનો મહિમા સમજાવતી ‘ક્ષમા-છત્રીસી’(મુ.), કર્મના સ્વરૂપને વર્ણવતી ‘કર્મ-છત્રીસી’ (ર.ઈ.૧૬૧૨/સં.૧૬૬૮, મહા સુદ ૬; મુ.), સંતોષ-છત્રીસી’ (ર.ઈ.૧૬૨૮; મુ.), પુણ્યનો મહિમા બતાવતી ‘પુણ્ય-છત્રીસી’ (ર.ઈ.૧૬૧૩; મુ.), જુદાજુદા ધર્મો ને જૈનધર્મના વિવિધ ગચ્છો વચ્ચે પ્રવર્તતા મતમતાંતરમાં ન અટવાતાં સ્વધર્મનું આચરણ કરવાનો બોધ આપતી ‘પ્રસ્તાવસવૈયા-છત્રીસી’ (ર.ઈ.૧૬૩૯; મુ.), ક્ષમાપનાનું મહત્ત્વ સમજાવતી ‘આલોયણા-છત્રીસી’ (ર.ઈ.૧૬૪૨; મુ.) અને રાજુલની વિરહવ્યથાનું આલેખન કરતી ‘નેમિનાથસવૈયા-છત્રીસી’ (ર.ઈ.૧૬૪૨/સં.૧૬૯૮, ભાદરવા-; મુ.) આ પ્રકારની રચનાઓ છે. સમયસુંદરની વિવિધ રાગઢાળવાળી, વિપુલ સંખ્યામાં રચાયેલી આશરે સાડપાંચસો જેટલી ટૂંકી રચનાઓ એમાંના ગેયતત્ત્વથી જૈનસમાજમાં ખૂબ લોકપ્રિય બની છે. એમાંની ઠીકઠીક રચનાઓ રાજસ્થાનીમાં પણ છે. આ રચનાઓમાં જિનચંદ્રસૂરિ, જિનસિંહસૂરિ વગેરે ખરતરગચ્છના સૂરિઓને વિષય બનાવી રચયેલાં તથા ‘ખરતરગુરુપટ્ટાવલી’ ‘ગુર્વાવલી ગીતમ્’ મળી ૯૦ જેટલાં ‘ગુરુગીતો’(મુ.) કવિની ઉત્કટ ગુરુભક્તિથી સભર છે. આશરે ત્રીસેક જેટલાં નેમિનાથ અને રાજિમતી વિષયક પદો(મુ.) છે. જેમાં ૮ અને ૧૦ કડીના ‘નેમિનાથ-ફાગ’ અને ૧૪ કડીના ‘નેમિનાથ-બાર-માસ’નો પણ સમાવેશ થાય છે. આ પદોમાં મુખ્યત્વે રાજિમતીનો વિરહ કે નેમિનાથના વિરકિતભાવને કવિ આલેખે છે. એ સિવાય ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૧૨/સં.૧૭૬૮, આસો સુદ ૧૦; મુ.), ‘વીસી’ (મુ.), ‘વીસ-વિહરમાનજિન-સ્તવન’(મુ.), ૫ ‘સીમંધરજિન-સ્તવન’ (મુ.), ૨ ‘સીમંધર-ગીત’ (મુ.), ૨ ‘તીર્થમાલા-સ્તવન’(મુ.), ‘તીરથ-ભાસ’(મુ.), ‘અષ્ટાપદતીર્થ-ભાસ’(મુ.) તથા શત્રુંજય, આબુ, અષ્ટાપદ, ગિરનાર, જેસલમેર વગેરે તીર્થો પરનાં સ્તવનો અને ભાસ(મુ.), જૈન સાધુસાધ્વીઓ પરનાં સ્તવનો (મુ.), ઉપદેશનાં ગીતો(મુ.) વગેરેનો આ રચનાઓમાં સમાવેશ થાય છે. ‘ષડાવશ્યકસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૨૭) અને ‘યતિઆરાધનાભાષા’ (ર.ઈ.૧૬૨૯) એ કવિની ગદ્યકૃતિઓ છે. ‘ભાવશતક’, ‘રૂપકમાલાઅવચૂરિ’, ‘વિચારશતક’, ‘રઘુવંશટીકા’ વગેરે સમયસુંદરની સંસ્કૃત કૃતિઓ છે. કવિને નામે ‘બારવ્રત-રાસ’ (ર.ઈ.૧૬૨૯) તથા ‘જંબૂ-રાસ’ એ કૃતિઓ નોંધાઈ છે. પરંતુ એમની અધિકૃતના શંકાસ્પદ છે. ‘જંબૂરાસ’ને હાથપ્રતનો ટેકો નથી. કવિને નામે નોંધાયેલી ‘સુસઢ-રાસ’ કવિની શિષ્યપરંપરામાં થયેલા સમયનિધાનની છે. કૃતિ : ૧. કરકંડૂ, દુમુહ, નમિ, નિગ્ગઈ આદિ ચાર રાજાકા ચાર રાસ, પ્ર. નાના દાદાજી ગુંડ, ઈ.૧૮૯૬; ૨. ચારપ્રત્યેકબુદ્ધરાસ, પ્ર. ભીમસિંહ માણેક,-; ૩. થાવચ્ચાસુતરિષિચોપાઈ, સં. અગરચંદ નાહટા અને અન્ય, ઈ.૧૯૮૦; ૪. નલદવદંતીનો રાસ, પ્ર. છગનલાલ ઉમેદચંદ, ઈ.૧૮૭૮; ૫. નલદવદંતીરાસ (સમયસુંદર), સં. રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૫૭; ૬. મૃગાવતીચરિત્રચૌપઈ, સં. અગરચંદ નાહટા, સં. રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૭૮; ૭. સીતારામચૌપાઈ, સં. અગરચંદ નાહટા, ભંવરલાલ નાહટા, ઈ.૧૯૬૩;  ૮. સમયસુંદર-કૃતિ-કુસુમાંજલિ, સં. અગરચંદ નાહટા ને ભંવરલાલ નાહટા, ઈ.૧૯૫૭ (+સં.); ૯. સમયસુંદરરાસપંચક, ભંવરલાલ નાહટા, ઈ.૧૯૬૧ (+સં.);  ૧૦. અરત્નસાર; ૧૧. અસ્તમંજૂષા; ૨૧. આકમહોદધિ : ૭ (+સં.); ૧૩. આંજણા સતીકો રાસ તથા રાણી પદ્માવતીકો રાસ, નાના દાદાજી ગુંડ, ઈ.૧૮૮૮; ૧૪. ચૈસ્તસંગ્રહ : ૩; ૧૫. ચોવીસ્તસંગ્રહ; ૧૬. જિભપ્રકાશ; ૧૭. જિસ્તમાલા; ૧૮. જૈકાપ્રકાશ : ૧; ૧૯. જૈકાસંગ્રહ; ૨૦. જૈગસારત્નો; ૨૧. જૈરત્નસંગ્રહ; ૨૨. જૈસમાલા(શા) : ૧; ૨૩. જૈસસંગ્રહ(જૈ); ૨૪. જૈસસંગ્રહ(ન); ૨૫. દેસ્તસંગ્રહ; ૨૬. પ્રાસ્તસંગ્રહ; ૨૭. મોસસંગ્રહ; ૨૮. રત્નસાર : ૨; ૨૯. સઝાયમાલા(જા); ૩૦. સસન્મિત્ર. સંદર્ભ : ૧. સમયસુંદર, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૭૯;  ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. જૈસાઇતિહાસ; ૭. યુજિનચંદ્રસૂરિ;  ૮. આલિસ્ટઑઇ : ૨; ૯. કૅટલૉગગુરા; ૧૦. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૧૧. જૈહાપ્રોસ્ટા; ૧૨. ડિકૅટલૉગબીજે; ૧૩. ડિકૅટલૉગભાઈ : ૧૯; ૧૪. ડિકૅટલૉગભાવિ; ૧૫. મુપુગૂહસૂચી; ૧૬. લીંહસૂચી; ૧૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [જ.ગા.]

સમયહર્ષ(ગણિ) [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. ૯ કડીના ‘વાચનાચાર્ય સુખસાગર-ગીતમ્’(મુ.)ના કર્તા. સુખસાગરનો હયાતીકાળ ઈ.૧૬૬૯ મળે છે તેથી આ સમય દરમ્યાન કવિ સમયહર્ષ હયાત હશે. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [પા.માં.]

સમર/સમરો [ ] : જૈન સાધુ. ‘અષ્ટાપદફાગબંધ મહાતીર્થ-સ્તવન’ની કેટલીક પ્રતોમાં કવિને તપગચ્છના સોમસુંદરશિષ્ય કહેવામાં આવ્યા છે, પરંતુ મોટા ભાગની પ્રતોને એનો ટેકો નથી. રાજલના વિલાપને વિષય કરતા દુહાની ૧૦ કડીના ‘નેમિનાથ-ફાગ’ (ર.ઈ.૧૫મી સદી અનુ.; મુ.), ૫૬/૬૬ કડીના ‘અષ્ટાપદ ફાગબંધ મહાતીર્થ-સ્તવન/ભરતેશ્વરઋષિવર્ણન’, ૮૩ કડીની ‘કાલિકાચતુષ્પદી’, ૭ કડીની ‘ચોવીસ તીર્થંકર પરિવાર-સઝાય’, ૨૮ કડીના ‘નેમિચરિત-રાસ’ અને શાંતિનાથ ભગવાનને મેઘરથરાજાના ભવમાં બાજથી બચાવેલા પારેવા પરની દયાનું વર્ણન કરતી ૧૪ કડીની ‘હોલાહિઉ-સ્તવન’ એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. ગુસાપઅહેવાલ : ૨૧-‘સંવત પંદરમા સૈકામાં રચાયેલા પદ્મકૃત અને સમરકૃત ‘નેમિનાથ-ફાગુ’, ધર્મેન્દ્ર મ. માસ્તર (મધુરમ્) (+સં.); ૨. પ્રાફાગુસંગ્રહ. સંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો સાહિત્ય વિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. કવિ ઋષભદાસ (એક અધ્યયન), વાડીલાલ જી. ચોક્સી, ઈ.૧૯૭૯; ૩. ગુસારસ્વતો;  ૪. જૈમગૂકરચનાએં : ૧; ૫. જૈગૂકવિઓ : ૩(૨); ૬. જૈહાપ્રોસ્ટા; ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]

સમરચંદ્ર(સૂરિ)/સમરસિંઘ/સમરસિંહ [જ.ઈ.૧૫૦૪/સં.૧૫૬૦, માગશર સુદ ૧૧-અવ. ઈ.૧૫૭૦/સં.૧૬૨૬, જેઠ વદ ૧] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સિદ્ધપુર પાટણ (અણહિલપુર)ના વતની. જ્ઞાતિએ શ્રીમાળી. પિતા ભીમા શાહ. માતા વાલાદે. પાર્શ્વચંદ્રસૂરિના શિષ્ય. મેઘરાજના ગુરુભાઈ.ઋષભદાસના સમકાલીન. એમને ‘નિર્ગ્રંથચૂડામણિ’નું બિરુદ મળેલું. દીક્ષા ઈ.૧૫૧૯માં. ઉપાધ્યાયપદ ઈ.૧૫૪૩માં અને સૂરિપદ ઈ.૧૫૪૮માં. અવસાન ખંભાતમાં. વિવિધ મુનિઓ વચ્ચેના ભેદ ને તેમના ગુણોને વર્ણવતો ૪૩૪ કડીનો ‘સાધુગુણરસ સમુચ્ચય-રાસ’ (ર.ઈ.૧૫૩૯/સં.૧૫૯૫, કારતક-; મુ.), ૨૫ કડીનું ‘આદીશ્વર-સ્તવન’ (ર.ઈ.૧૫૪૪/સં.૧૬૦૦, કારતક-; મુ.), ૨૨ કડીનું ‘મુનિસુવ્રતસ્વામી-સ્તવન’ (ર.ઈ.૧૫૪૩/સં.૧૬૦૯, પોષ વદ ૮; મુ.), ૭૦/૭૫ કડીનું સદવહણાગર્ભિત ‘મહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૫૧/સં.૧૬૦૭, જેઠ સુદ ૮ કે ર.ઈ.૧૫૫૦/સં. ૧૬૦૬, મહા સુદ ૮; મુ.), ૧૭ કડીનું ‘શંખેશ્વર-સ્તવન’ (ર.ઈ.૧૫૫૧/સં.૧૬૦૭, પોષ વદ ૧૦), ૧૩ કડીનું ‘(શત્રુંજયમંડન) આદિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૫૨ કે ૧૫૫૦/સં.૧૬૦૮ કે ૧૬૦૬, મહા સુદ ૮; મુ.), ૧૧ કડીનું ‘પાર્શ્વજિન-સ્તવન’, ૪૦ કડીનું ‘ધર્મનાથ-સ્તવન’, (ર.ઈ.૧૫૫૪), ૮ કડીની ‘પાર્શ્વચંદ્રની સ્તુતિ’ ‘ઋષભ-સ્તવન’, ૨૦ કડીનું ‘કલ્યાણક-સ્તવન’, ૩૮ કડીનું ‘ચોવીસ જિન-નામાદિગુણ-સ્તવન’ ૫૩ કડીનું ચૌદ ગુણ સ્થાનક ગર્ભિત ‘મહાવીર-સ્તવન’, ૫૨ કડીનું કર્મપ્રકૃતિવિચારગર્ભિત ‘મહાવીર-સ્તવન’, ૧૩ કડીનું ‘શાંતિજિન-સ્તવન’, ૬૧ કડીની ઉપદેશસારત્નકોશ ‘અગ્યારબોલની સઝાય’(મુ.), ૨૮ કડીની ‘પચીસ ભાવનાની સઝાય’(મુ.), ૧૩ કડીની ‘આવશ્યક અક્ષરપ્રમાણ-સઝાય’(મુ.), ૨૧ કડીની અને ૧૧ કડીની ‘પાર્શ્વચંદ્ર-સઝાય’, ૪૧ કડીની ‘કિરિયાસ્થાનક-સઝાય’(મુ.), ૧૦ કડીની ‘પાક્ષિક પ્રતિક્રમણની સઝાય’, ૫૩/૫૪ કડીની ‘બ્રહ્મચર્યવ્રત દ્વિપંચાશિકા/બ્રહ્મચરી/બ્રહ્મચર્ય-સઝાય’(મુ.), ૮ કડીની ‘જિનપાલિત-જિનરક્ષિત-સઝાય’(મુ.), ૪૧ કડીની ‘નાની આરાધના’(મુ.), ‘ઋષભદેવ-ગીત’, ૬૭ કડીની ‘જિન અંતરઢાલ’, ૭૪ કડીની ‘પ્રત્યાખ્યાન ચતુ:સપ્તતિકા’, ૭ કડીનું ‘વર્તમાન ચોવીશ જિન-ચૈત્યવંદન’, ૩૭ કડીનું અવગાહનાગર્ભિત ‘વીરસ્તવન-વિજ્ઞપ્તિ’, ‘સંસ્તારક-બાલાવબોધ’ (ર.ઈ.૧૫૪૭/સં.૧૬૦૩, કારતક), ‘ઉત્તરાધ્યયન-બાલાવબોધ’, ‘ષડાવશ્યક-બાલાવબોધ’ એ કૃતિઓના કર્તા. આ ઉપરાંત ‘પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૮૭), ‘અજિતનાથ-સ્તવન’, ૮ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વ-સ્તવન’, ‘સીમંધરસ્વામી-સ્તવન’ (મુ.), ‘પૂજાચોવીસી-સ્તોત્ર’, ૬ કડીની ‘વીશવિહરમાનજિન-સ્તુતિ’ (મુ.) આ બધી કૃતિઓના કર્તા આ જ સમરચંદ્ર હોવાની સંભાવના છે. કૃતિ : ૧. આઠ પ્રવચનમાતાની સઝાય વગેરે અનેક પદ્યોનો સંગ્રહ, પ્ર. શા. ચતુર્ભુજ તેજપાળ, સં. ૧૯૮૪; ૨. ઐરાસંગ્રહ (+સં.); ૩.જૈન રાસ સંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી મહારાજ, ઈ.૧૯૩૦; ૪. જૈરસંગ્રહ; ૫. પ્રાસ્મરણ; ૬. મોસસંગ્રહ; ૭. ષટદ્રવ્યનય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. શ્રવાક મંગળદાસ લ., સં. ૧૯૬૯. સંદર્ભ : ૧. કવિ ઋષભદાસ, વાડીલાલ જી. ચોક્સી, ઈ.૧૯૭૯; ૨. ગુસારસ્વતો;  ૩. જૈન સત્યપ્રકાશ, વૈશાખ, ૨૦૦૩-‘શંખેશ્વરતીર્થ સંબંધી સાહિત્ય કી વિશાલતા’, અગરચંદ નાહટા;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૨); ૫. જૈહાપ્રોસ્ટા; ૬. ડિકૅટલૉગભાઈ : ૧૩; ૭. મુપુગૂહસૂચી; ૮. રાહસૂચી; ૯. લીંહસૂચી; ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]

સમરચંદ્રશિષ્ય [ ] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપઋષિ-રત્નાગરની પરંપરામાં સમરચંદ્રના શિષ્ય. ૨ ખંડોમાં વહેંચાયેલી, ૫૮ ઢાલ અને દુહાની ૧૨૩૨ કડીમાં શ્રેણિક રાજાનું ચરિત્ર રજૂ કરતા ‘શ્રેણિક-રાસ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]

સમરથ [ઈ.૧૬૮૦માં હયાત] : જૈન. ‘મલ્લિનાથ ૫ કલ્યાણક-સ્તવન’ (ર.ઈ.૧૬૮૦/સં.૧૭૩૬, ભાદરવા સુદ ૬)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]

‘સમરા-રાસ/સંઘપતિસમરસિંહ-રાસ’ [ર.ઈ.૧૩૧૫] : પાર્શ્વસૂરિ-શિષ્ય અંબદેવસૂરિરચિત ૧૧૦ કડીનો આ રાસ (મુ.) મંગલાચરણના ખંડને ગણતાં ભાસ નામથી ઓળખાયેલા ૧૩ ખંડોમાં વહેંચાયેલો છે. સોરઠા, રોળા, દુહા, દ્વિપદી ઉપરાંત મદનાવતાર જેવા વિરલ છંદ અને ઝૂલણાના કદાચ પ્રથમ પ્રયોગથી આ કાવ્યની છંદોરચના નોંધપાત્ર બને છે. આ છંદોને કવચિત્ ‘એ’કાર ઉમેરીને અને કવચિત્ ધ્રુવાઓ જોડીને કવિએ ગીતસ્વરૂપ આપ્યું છે તે રાસ હજુ ગાન-નૃત્યનો વિષય હતો તેનો પુરાવો છે. કવિ પોતે કાવ્યમાં એક સ્થાને ‘લકુટા-રાસ (દાંડિયારાસ)’ ઉલ્લેખ કરે છે તે આ હકીકતનું સમર્થન કરે છે. શત્રુંજયતીર્થમાં મુસ્લિમોએ ખંડિત કરેલી મૂલનાયકની પ્રતિમાની પુન:પ્રતિષ્ઠાના પ્રયોજનથી પાટણના સંઘપતિ અમરસિંહે ઈ.૧૩૧૫માં કાઢેલી સંઘયાત્રા અને તે નિમિત્તે સમરસિંહનો ગુણાનુવાદ તે આ કાવ્યનો વિષય છે. પરંતુ કવિએ પ્રસંગને અનુલક્ષીને ટૂંકમાં પણ ઘણી ઐતિહાસિક-ભૌગોલિક માહિતી ગૂંથી લીધી છે. જેમ કે, પાલનપુર અને પાટણ નગરીઓ, પાલનપુરમાં થઈ ગયેલા ઉપકેશગચ્છના આચાર્યો, સરમસિંહના પૂર્વજો અને કુટુંબ, પાટણ, આરાસણ વગેરેના રાજ્યકર્તાઓ, સંઘમાં ગયેલા શ્રેષ્ઠીઓ, શત્રુંજય જતાં અને જુદે માર્ગે પાછા વળીને સંઘે આવરી લીધેલાં ગુજરાત-સૌરાષ્ટ્રનાં નગરો અને જૈન-જૈનેતર ધર્મસ્થાનો વગેરે અહીં પ્રમાણભૂત રીતે ઉલ્લેખ પામે છે. આ રીતે, આ કૃતિ નોંધપાત્ર દસ્તાવેજી મૂલ્ય ધરાવે છે. કોઈપણ પ્રસંગને વિસ્તારથી આલેખવાની તક આ નાના વીગતપ્રચુર કાવ્યમાં કવિને રહી નથી. પરંતુ પાછા ફરતા સંઘના સ્વાગત જેવા કોઈક પ્રસંગોના રોચક વર્ણનમાં, કવચિત્ ઉપમા વગેરે અલંકારોના સમુચિત વિનિયોગમાં, રૂઢિપ્રયોગો, ફારસી શબ્દોને વાક્છટાથી ધ્યાન ખેંચતી ભાષાભિવ્યક્તિમાં કવિની કાવ્યશક્તિ પ્રગટ થતી જણાય છે. સંઘયાત્રા સાથે કર્તા સામેલ હતા અને સંઘ સં. ૧૩૭૧ (ઈ.૧૩૧૫)ના ચૈત્ર વદ ૭ના રોજ પાટણ પાછો આવ્યાની માહિતી કાવ્યને અંતે આવે છે. રાસ તે પછી તરતના ગાળામાં રચાતો હોય એવી સંભાવના વિશેષ છે.[જ.કો.]

સમુદ્ર(સૂરિ)-૨ [ઈ.૧૭મી સદી] : જુઓ જિનચંદ્રસૂરિશિષ્ય જિનસમુદ્ર-૧.

સમુદ્ર(મુનિ)-૨ [ઈ.૧૬૭૪ સુધીમાં] : જૈન સાધુ. ‘આર્દ્રકુમાર-ચોઢાળિયા’ (લે.ઈ.૧૬૭૪)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [પા.માં.]

‘સમુદ્ર-વહાણ સંવાદ/સમુદ્ર-વહાણ વિવાદ રાસ’ [ઈ.૧૬૬૧] યશોવિજય(ઉપાધ્યાય)ની, દેશીઓ અને દુહાના બંધવાળી ૨૮૬ કડીઓની આ કૃતિ રૂપકાત્મક સંવાદ-કાવ્યોની મધ્યકાલીન કાવ્યપરંપરામાં એક વિલક્ષણ કાવ્યરચના છે. ન્યાય, મીમાંસા આદિના અભ્યાસી અને ‘ન્યાયવિશારદ’ ગણાયેલા આ કવિએ પોતાની વિદ્વત્તા અને તર્કશક્તિ યોજીને એક હળવું, વિનોદ-કટાક્ષભર્યા સંવાદોવાળું સર્વજનસુલભ, ઘણું રસપ્રદ કાવ્ય રચ્યું છે. કાવ્યનાં બે પ્રયોજનો-‘મત કરો કોઈ ગુમાન’ એવો ઉપદેશ તથા “સાંભળતાં મન ઉલ્લસે, જિમ વસંતે સહકાર” એવો વિસ્મય-આનંદ - સરસ રીતે ગુંથાયાં છે. સમુદ્ર અતિશય ગર્વ કરે છે ને એ અભિમાન કેવું દાંભિક છે એ હળવી પણ સચોટ દલીલોથી વહાણ બતાવે છે એમાં કવિની શાસ્ત્રોની ને વ્યવહારની જાણકારી અને રસપ્રદ અભિવ્યક્તિ નોંધપાત્ર છે. કવિની મર્મશક્તિ ઉપરાંત એમની વર્ણસૂઝ ને અલંકરણશક્તિ પણ રચનાને કાવ્યનું સૌંદર્ય બક્ષે છે. સમુદ્રની અકાટ્ય લાગતી દલીલોની સામે વહાણ સવાઈ દલીલો કરે છે એ ક્યારેક ઢાલ-લાકડીના દાવ જેવું પણ લાગે છે પરંતુ કવિની તર્ક પકડ અને કલ્પનાશીલતા એકસાથે પ્રયોજાયાં હોવાથી વાચકનું વિસ્મય સતત જળવાઈ રહે છે.વિદ્વત્તાને લોકગમ્ય સ્વરૂપે રજૂ કરવાની કથા-કથન-કુશળતાની પ્રતીતિ પણ આ રસાળ સંવાદકાવ્ય કરાવે છે. એ રીતે આ લાક્ષણિક કાવ્ય પોતાનું વિશિષ્ટ સ્થાન અંકિત કરે છે. [ર.સો.]

સમુદ્રવિજ્ય [ઈ.૧૬૯૨ સુધીમાં] : જૈન સાધુ. ૨૪ કડીના ‘ચોવીસજિન-સ્તવન’ (લે.ઈ.૧૬૯૨)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [પા.માં.]

સમુધર/સમધર [ઈ.૧૩૮૧ સુધીમાં] : જૈન. દુહામાં રચાયેલાં ૨૮ કડીના ‘નેમિનાથ-ફાગુ’ (લે.ઈ.૧૩૮૧; મુ.)ના કર્તા. રાજસ્થાની ભાષામાં રચાયેલી ‘દેસંતરી-છંદ’ એ કૃતિ પણ આ કવિની હોવાની શક્યતા છે. કૃતિ : પ્રાફાગુસંગ્રહ. સંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો સાહિત્ય વિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. પ્રાકારૂપરંપરા;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. રાપુહસૂચી : ૪૨; ૫. રાહસૂચી; ૧. [પા.માં.]

સરજુ [ ] : ૮ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા. કૃતિ : દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮. [શ્ર.ત્રિ.]

સરભંગી(બાવા) [ ] : ગુરુનો મહિમા ગાતા ૫ કડીના ૧ પદ(મુ.)ના કર્તા. કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬ (ત્રીજી આ.). [શ્ર.ત્રિ.]

‘સરસ-ગીતા’ [ર.ઈ.૧૮૧૫/સં.૧૮૭૧, અસાડ સુદ ૩, સોમવાર] : પ્રીતમની ચોપાઈ અને સાખીના પદબંધવાળા ૨૦ વિશ્રામની આ કૃતિ(મુ.)નો વિષય મધ્યકાલીન ગુજરાતી ભ્રમરગીતાઓમાં પ્રચલિત ઉદ્ધવ-ગોપી પ્રસંગ છે. વિશેષ ઉદ્ધવ-ગોપીના સંવાદ રૂપે ચાલતી આ કૃતિના ૧૦ વિશ્રામમાં ગોપીઓની સ્મૃતિ રૂપે કવિએ કૃષ્ણની ગોકુળલીલાને વિસ્તારથી આલેખી છે. ગોપીઓના ઉપાલંભ ને વર્ણનચમત્કૃતિથી કૃતિ આસ્વાદ્ય બની છે. [ચ.શે.]

સરૂપચંદ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. હર્ષના શિષ્ય. ૨૩ કડીના ‘સીમંધરસ્વામીનું સ્તવન’ (ર.ઈ.૧૭૬૫/સં.૧૮૨૧, પોષ વદ ૨, બુધવાર; મુ.) તથા હિન્દી-રાજસ્થાનીમાં રચાયેલ ‘ઉપાધ્યાય જયમાણિક્યજીરોછંદ’ (ર.ઈ.૧૭૬૯; મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. કર્મનિર્જરાશ્રેણિ અને સદ્બોધ વાક્યામૃત, સઝાય, પાંચમ તથા સ્તવન, પ્ર. લક્ષ્મીચંદ લે. ભાવસાર, ઈ.૧૯૨૭.[કી.જો.]


સર્વાનંદ(સૂરિ) [ઈ.૧૪૪૩માં હયાત] : જૈન સાધુ. ધનપ્રભસૂરિના શિષ્ય. ૧૩૫ કડીની આરંભમાં વસ્તુ છંદમાં અને પછી દુહા-ચોપાઈમાં રચાયેલી ‘મંગલકલશચરિત્ર-ચોપાઈ’/રાસ’ તથા ૩૦૪ કડીની ‘અભયકુમારચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૪૪૩)ના કર્તા. ‘મંગલકલશચરિત્ર-ચોપાઈ/રાસ’ના કર્તા આ જ સર્વાનંદસૂરિ છે કે કેમ તે શંકાસ્પદ છે. સંદર્ભ : ૧. આકવિઓ; ૨. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાપઅહેવાલ ૫-‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય’, ચિમનલાલ ડાહ્યાભાઈ; ૪. ગુસાઇતિહાસ : ૧; ૫. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

સર્વાંગસુંદર : જુઓ સંવેગસુંદર

સવચંદ [ ] : જૈન. ૧૫ કડીની ‘જંબૂકુમારની સઝાય(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. [કી.જો.]

સવજી(સેવક) [ઈ.૧૭૮૫માં હયાત] : માતાજીની સ્તુતિ કરતા ૧૮ કડીના છંદ (ર.ઈ.૧૭૮૫/સં.૧૮૪૧, ચૈત્ર સુદ ૧૪, ગુરુવાર; મુ.) તથા અન્ય પદોના કર્તા. કૃતિ : શ્રીદેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨; વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]

સવરાજ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના શ્રાવક કવિ. પિતાનામ હરખા. વતન સાયલા. દીક્ષા ઈ.૧૮૦૯/સં.૧૮૬૫ના વસંત માસની વદ ચોથે રતનબાઈને હસ્તે લીધેલી. ૫૨ કડીના ‘મૂલીબાઈના બારમાસ’ (ર.ઈ.૧૮૩૬/સં.૧૮૯૨, માગશર સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]

સવરીબાઈ [ ] : ઈશ્વરભક્તિ અને ઉપદેશાત્મક પદો (૧ પદ મુ.)ના કર્તા. કૃતિ : * વિવેચક,-. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬-‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ૬ઠ્ઠો’, છગનલાલ વિ. રાવળ.[શ્ર.ત્રિ.]

સવો [ ] : જાતે તૂરી. સિદ્ધપુર તાલુકાના બ્રાહ્મણવાડા ગામે આ કવિ ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધમાં થયા હોવાનું અનુમાન છે. લોકરંજન અને લોકભવાઈ અર્થે દૂરદૂર ફરતા હશે તેવી સંભાવના છે. કટાક્ષમય વાણીમાં સનાતન સત્ય અને સમાજના સાચા ચિત્રનું આલેખન કરતા છપ્પા પ્રકારનાં પદ (કેટલાંક મુ.)ના કર્તા. ‘ફૂલગરશિષ્ય’ના નિર્દેશવાળાં ૩ ભજન સવોને નામે મળે છે તે આ કવિનાં હોવાની સંભાવના છે. કૃતિ : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.). [શ્ર.ત્રિ.]

સહજકીર્તિ(ગણિ) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. રત્નસારની પરંપરામાં હેમનંદન-રત્નહર્ષના શિષ્ય. ‘સુદર્શન-શ્રેષ્ઠિ-રાસ’ (ર.ઈ.૧૬૦૫), ૧૨૨ કડીના ‘કમલાવતી/કલાવતી-રાસ’ (ર.ઈ.૧૬૧૨), ‘શત્રુંજ્યમાહાત્મ્ય-રાસ’ (ર.ઈ.૧૬૨૭/સં.૧૬૮૩, કારતક સુદ ૧૫), ‘શીલ-રાસ’ (ર.ઈ.૧૬૩૦/સં.૧૬૮૬, શ્રાવણ સુદ ૧૫), ‘શાંતિનાથ-વિવાહલો’ (ર.ઈ.૧૬૨૨/સં.૧૬૭૮, આસો સુદ ૧૦), ૧૧૩૪ ગ્રંથાગ્રના ‘દેવરાજવચ્છરાજ-ચોપાઈ/વત્સરાજર્ષિ-પ્રબંધ’ (ર.ઈ.૧૬૧૬), ‘હરિશ્ચંદ્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૧), ‘સાગર-શ્રેષ્ઠિ-કથા/સાગરશેઠ-ચોપાઈ (ર.ઈ.૧૬૧૯) વગેરે રાસકૃતિઓ; ‘ઉપધાનવિધિ-સ્તવન’, ૭ ગીતોનું ‘જેસલમેર ચૈત્ય પરિપાટી-સ્તવન’, ‘શતદલ પદ્મયંત્રમય-શ્રીપાર્શ્વનાથ-સ્તવન’, ૩૩ કડીની ‘થિરાવલી’ (ર.ઈ.૧૬૨૭/સં. ૧૬૮૩, માગશર વદ ૭), ૭૧ કડીની ‘વ્યસનસત્તરી’, ‘એકાદિશતપર્યન્ત-શબ્દસાધનિકા’, ૬ ખંડોમાં વિભાજિત ‘નામ-કોશ’ અને ગદ્યગ્રંથ ‘પ્રતિક્રમણ-બાલાવબોધ’ તથા ૯ કડીના બે ‘જિનરાજસૂરિગુરુ-ગીત’(મુ.) અને ‘વ્રત-છત્રીસી’ (ર.ઈ.૧૬૩૨/સં.૧૬૮૮, આસો સુદ ૧૦; મુ.) જેવી રચનાઓ તેમની પાસેથી મળી છે. સહજકીર્તિના નામે ૧૭ કડીનું ‘આદિજિન-સ્તવન’ મળે છે જે આ કવિની કૃતિ હોવાનું અનુમાન છે. રત્નસાગરગણિની સહાયથી રચેલ ‘કલ્પમંજરી/કલ્પસૂત્ર-વૃત્તિ’ (ર.ઈ.૧૬૨૯), ‘મહાવીર-સ્તુતિ-વૃત્તિ’ (ર.ઈ.૧૬૩૦), ‘ગૌતમકુલક-બૃહદ્-વૃત્તિ’ વગેરે કૃતિઓ તથા લક્ષ્મીકીર્તિગણિની સહાયથી રચેલ ‘સપ્તદ્વિપ/શબ્દાર્ણવવ્યાકરણઋજુપ્રાજ્ઞવ્યાકરણપ્રક્રિયા’(ર.ઈ.૧૬૨૫) આ કવિની સંસ્કૃત કૃતિઓ છે. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. ષટદ્રવ્યનવિચારાદિ-પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. પ્રાકારૂપરંપરા; ૫. મરાસસાહિત્ય; ૬. યુજિનચંદ્રસૂરિ;  ૭. જૈન સત્યપ્રકાશ, જન્યુ. ૧૯૪૬ - ‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા; ૮. એજન ડિસે. ૧૯૫૨-‘કતિપય આવશ્યકીય સંશોધન’, અગરચંદ નાહટા;  ૯. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૧૦. મુપુગૂહસૂચી; ૧૧. લીંહસૂચી.[ર.ર.દ.]

સહજકુશલ-૧ [ઈ.૧૫૨૬ સુધીમાં] : ‘સિદ્ધાંત-વિચાર-સંગ્રહ’ (લે.ઈ.૧૫૨૬)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૨૦-‘ઇતિહાસપુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજ્યજીનું ભાષણ’-પરિશિષ્ટ;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સહજકુશલ-૨ [ ] : જૈન સાધુ. કુશલમાણિક્યના શિષ્ય. ઢુંઢકમતના ખંડન માટે લખોલ, ૨૦૫૦ ગ્રંથાગ્ર ધરાવતી ‘સિદ્ધાંતહુંડી’ નામક ગદ્યકૃતિના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૨). [ર.ર.દ.]

સહજજ્ઞાન(મુનિ) [ઈ.૧૩૫૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. ૩૫ કડીના ‘જિનચંદ્રસૂરિ-વિવાહલઉ’ (ર.ઈ.૧૩૫૦; મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૫૨-‘યુગપ્રવરજિનચંદ્રસૂરિ વિવાહલઉ’, સં. અગરચંદ નાહટા. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન ભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા; ૩. એજન, ઑગસ્ટ ૧૯૫૨-‘મુનિ સહજજ્ઞાનરચિત જિનલબ્ધિસૂરિ-જિનચંદ્રસૂરિ વિવાહલઉ’, અગરચંદ નાહટા;  ૪. જૈમગૂકરચનાએં : ૧. [ર.ર.દ.]

સહજભૂષણ(ગણિ) [ ]: ચંદ્રગચ્છના જૈન સાધુ. ૭ કડીના ‘ભુવનસુંદરસૂરિ-રાસ’ (લે.સં. ૧૬મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ: મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

સહજરત્ન-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિના શિષ્ય. ‘વૈરાગ્યવિનતિ’ (જ.ઈ.૧૫૪૯/સં.૧૬૦૫, કરાતક સુદ ૧૩, રવિવાર), ‘વીસવિહરમાન-સ્તવન’ (ર.ઈ.૧૫૫૮/સં.૧૬૧૪, આસો સુદ ૧૦) તથા ૨૩ કડીની ‘૧૪ ગુણ સ્થાનક ગર્ભિત વીર-સ્તવન’ (મુ.) નામની રચનાઓના કર્તા. કૃતિ : મોસસંગ્રહ. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ર.ર.દ.]

સહજરત્ન-૨ [ઈ.૧૮૫૯ સુધીમાં] : જૈન. ૩૨ કડીના ‘લોકનાલ દ્વાત્રિંશિંકા’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૮૫૯; મુ.)ના કર્તા. કૃતિ : શ્રી પ્રકરણરત્નસાર : ૨, પ્ર. ભીમસિંહ માણક, સં. ૧૯૩૩. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

v [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : સંભવત: હીરવિજ્યસૂરિની પરંપરાના તપગચ્છાના જૈન સાધુ. ‘આગરમંડન-ચિંતામણિ-પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૯૨-સં. ૧૬૪૮, ફાગણ વદ ૯) હીરવિજયસૂરિ (જ.ઈ. ૧૫૨૭-અવ.ઈ.૧૫૯૬)ની હયાતીમાં લખાઈ હોવાની સંભાવના છે તે ૯ કડીની હીરવિજ્યસૂરિ-સઝાય (ર.ઈ.૧૫૯૬ સુધીમાં; મુ.), ૯ કડીનું ‘સ્થૂલિભદ્ર-ગીત’ તથા ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’ એ કૃતિઓના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સહજવિનય [ઈ.૧૬૮૧ સુધીમાં] : જૈન. ૫૦ કડીના ‘મહાવીરજિન-સ્તવન’ (લે.ઈ.૧૬૮૧)ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [ર.ર.દ.]

v [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : સંભવત: તપગચ્છના જૈન સાાધુ. વિજ્યદાનસૂરિ (જ.ઈ.૧૪૯૭-અવ.ઈ.૧૫૬૬)ની પરંપરાના ગજરાજના શિષ્ય. વિજ્યદાનસૂરિની હયાતીમાં લખાયેલી ૨૯ કડીની ‘ગુરુનામમિશ્રિત ચોવીશ જિન-સ્તવન’ (ર.ઈ.૧૫૬૬ સુધીમાં; મુ.), ૩૦/૩૩ કડીની ‘શાંતિનાથ રાગમાલા-સ્તવન’, ૩ કડીનું ‘ઋષભદેવ-ગીત’, ૩૦ કડીનું ‘વીસવિહરમાનજિન-સ્તવન’, ૩૨ કડીની ‘પિંડદોષનિવારણ-સઝાય/પિંડ-બત્રીસી’ એ કૃતિઓના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સહજસાગર [ ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. ૨૧ કડીની ‘હીરવિજ્યસૂરિ-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સહજસુંદર : આ નામે ‘સુન્દર-સઝાય’ (લે.સં. ૧૮મી સદી) મળે છે. તેના કર્તા કયા સહજસુંદર છે તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : રાહસૂચી : ૨. [ર.ર.દ.]

સહજસુંદર-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : ઉપકેશગચ્છના જૈન સાધુ. સિદ્ધસૂરિ-ધનસારની પરંપરામાં રત્નસમુદ્રના શિષ્ય. રાસ, સંવાદ, સ્તવન, સઝાય ઇત્યાદિ સ્વરૂપે આ કવિએ વિપુલ સર્જન કર્યું છે. મુખ્યત્વે જૈનધર્મને બોધ કરવાના હેતુથી રચાયેલી હોવા છતાં એમની રાસકૃતિઓ દૃષ્ટાંતાદિ અલંકારો ને વર્ણનતત્ત્વથી તથા નિરૂપણની ચુસ્તતાથી ધ્યાન ખેંચે છે. શ્વેતાંબિકા નગરીનો પરદેશી રાજા ચિત્રસાર પ્રધાનના પ્રયત્નથી કેશી ગણધર નામના જૈન મુનિના સંપર્કમાં આવી કેવી રીતે અધર્મમાંથી ધર્મ તરફ વળે છે એનું આલેખન કરતો, દુહા, ચોપાઈ ને ઢાળના બંધવાળો ૨૧૨/૨૪૩ કડીનો ‘પરદેશી રાજાનો રાસ’(મુ.), રાજપુત્ર શુકરાજ અને રાજકુંવરી સાહેલી વચ્ચે વિલક્ષણ રીતે થયેલાં પ્રેમ અને પરિણયની કથાને આલેખતો દુહા-ચોપાઈની ૧૬૦ કડીનો ‘સૂડા-સાહેલી/શુકરાજસાહેલી-રાસ’(મુ.), રાજકુમાર રત્નસાર પોતાના મિત્ર સૂડાની મદદથી વિદ્યા પ્રાપ્ત કરી કેવાં સાહસ ને શૌર્યનાં કાર્યો કરે છે તેને આલેખતો દુહા-ચોપાઈની ૩૦૮/૩૧૩ કડીનો ‘રત્નસારકુમાર-રાસ/રત્નસાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૦; મુ.), પ્રધાન તેતલિ પુત્રના ચરિત્રને આલેખતો ૨૬૦ કડીનો ‘તેતલિપુત્ર/તેતલિમંત્રીનો રાસ’ (ર.ઈ.૧૫૩૯; મુ.), જંબૂસ્વામીના મુક્તિકુમારી સાથેના લગ્નને આલેખતો રૂપકાત્મક શૈલીવાળો ૬૪ કડીનો ‘જંબૂસ્વામી-રાસ’ (ર.ઈ.૧૫૧૬; મુ.), ૩૦/૩૧ કડીનો ‘ઇલાતીપુત્ર-રાસ’ (ર.ઈ.૧૫૧૪/સં.૧૫૭૦, જેઠ વદ ૯; મુ.), ૭૫/૮૭ કડીનો ‘ઇરિયાવહી વિચારરાસ’(મુ.), ‘ઋષિદત્તા મહાસતી-રાસ’ (ર.ઈ.૧૫૧૬) ૧૫૫/૧૫૯ કડીનો ‘પ્રસન્નચંદ્રરાજર્ષિ-રાસ’ (ર.ઈ.૧૫૩૬) અને ૭૧/૧૦૧ કડીનો ‘આત્મરાજ-રાસ’ (ર.ઈ.૧૫૨૮) એમની આ પ્રકારની કૃતિઓ છે. એ સિવાય પ્રભુદર્શનમાં કોનું મહત્ત્વ વિશેષ એના આંખ અને કાન વચ્ચે પડેલા વિવાદને આલેખતો તોટક છંદમાં રચાયેલો ‘આંખકાન-સંવાદ’, ૨૫ છપ્પાનો ‘યૌવનજરા-સંવાદ’, સ્થૂલિભદ્રના ચરિત્રને વિવિધ છંદોમાં વર્ણવતો ૪૦૧ કડીનો ‘ગુણરત્નાકર/સ્થૂલિભદ્ર-છંદ’ (ર.ઈ.૧૫૧૬), ૧૪ કડીનો ‘સરસ્વતી માતાનો છંદ’(મુ.), ૩૪ કડીની ‘જઈતવેલિ’, ૧૮ કડીનું ‘સીમંધર-સ્તવન’(મુ.), ૧૭ કડીની ‘શાલિભદ્રની સઝાય’(મુ.) તથા બીજી અનેક નાની કૃતિઓ એમણે રચી છે. કૃતિ : ૧. કવિ સહજસુંદરની રાસકૃતિઓ, સં. નિરંજના એ. વોરા, ઈ.૧૯૮૯; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. જૈસમાલા(શા) : ૨; ૪. જૈસસંગ્રહ(ન); ૫. પ્રાસપસંગ્રહ : ૧; ૬. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧, ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો; ૬. પ્રાકારૂપરંપરા; ૭. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૨ તથા જાન્યુ.-જુલાઈ ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસંદોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૮. આલિસ્ટઑઇ : ૨; ૯. કૅટલૉગપુરા; ૧૦. જૈગૂકવિઓ : ૩(૧); ૧૧. જૈહાપ્રોસ્ટા; ૧૨. ડિકૅટલૉગબીજે; ૧૩. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૧૪. ડિકૅટલૉગભાવિ; ૧૫. મુપુગૂહસૂચી; ૧૬. લીંહસૂચી; ૧૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સહજાનંદ [જ.ઈ.૧૭૮૧/સં.૧૮૩૭, ચૈત્ર સુદ ૯-અવ. ઈ.૧૮૩૦/સં.૧૮૮૬, જેઠ સુદ ૧૦, મંગળવાર] : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક. અયોધ્યા પાસેના છપૈયા ગામે જન્મ. જ્ઞાતિએ સામવેદી બ્રાહ્મણ. દેવશર્મા/હરિપ્રસાદ પાંડે ને ભક્તિદેવી/પ્રેમવતીના વચેટ પુત્ર. મૂળ નામ હરિકૃષ્ણ, પરંતુ બધાં એમને ઘનશ્યામ નામથી બોલાવતાં. બાળપણમાં પિતા પાસે ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો. માતા-પિતાનું અવસાન થતાં ૧૨ વર્ષની ઉંમરે ગૃહત્યાગ અને ‘નીલકંઠવર્ણી’ નામ ધારણ કર્યું. ૭ વર્ષનાં ભારતભ્રમણ દરમ્યાન હિમાલયમાં આવેલા પુલહાશ્રમમાં તપશ્ચર્યા કરી, નેપાળના ગોપાળ યોગી પાસે અષ્ટાંગ યોગની સિદ્ધિ પ્રાપ્ત કરી અને અનેક તીર્થસ્થળોની યાત્રા કરી. ઈ.૧૮૦૦માં સૌરાષ્ટ્રના માંગરોળ પાસેના લોજ ગામે મુક્તાનંદ સ્વામી સાથે મેળાપ થયો અને પછી મુક્તાનંદના ગુરુ રામાનંદ સ્વામીને પીપલાણામાં મળ્યા અને તેમની પાસે દીક્ષા લઈ સહજાનંદ બન્યા. ઈ.૧૮૦૧માં અનેક વરિષ્ઠ શિષ્યોને છોડી રામાનંદ સ્વામીએ ૨૦ વર્ષના સહજાનંદને પોતાના અનુગામી તરીકે જેતપુરની ગાદીના આચાર્ય બનાવ્યા. ત્યારથી સમગ્ર ગુજરાત સહજાનંદની ધાર્મિક અને સામાજિક પવૃત્તિનું કેન્દ્ર બન્યું. એમણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત અને વલ્લભાચાર્યના શુદ્ધાદ્વૈતનો મુખ્ય આધાર લઈ અન્ય ધર્મોનાં અનુકરણીય તત્ત્વોનો સમન્વય કર્યો અને એ ધર્મોમાં રહેલાં અનિષ્ટ તત્ત્વોથી દૂર રહેવાનું પસંદ કર્યું. આ સમન્વયકારી ધર્મનો પ્રસાર ખાસ કરીને કોળી, કણબી, સઈ, સુથાર, કડિયા, કુંભાર જેવી જ્ઞાતિઓમાં વિશેષ થયો. ધર્મપ્રસારની સાથે એ જ્ઞાતિઓમાં પ્રવર્તતા સામાજિક કુરિવાજો દૂર કરવાનું કાર્ય પણ એમણે કર્યું એ દૃષ્ટિએ સમાજિક સુધારક તરીકે પણ એમની સેવા નોંધપાત્ર છે. ગઢડા, અમદાવાદ, વડતાલ વગેરે સ્થળોએ સંપ્રદાયના મંદિરો બંધાવી સમગ્ર ગુજરાતમાં એક સ્થાયી અનુયાયી વર્ગ ઊભો કર્યો અને સંપ્રદાયને સ્થિર રૂપ આપ્યું. ગઢડામાં અવસાન. ગઢડા અને અન્ય સ્થળોએ સહજાનંદ સ્વામીએ ઈ.૧૮૨૦-૨૪ દરમ્યાન આપેલાં ૨૬૨ ઉપદેશવચનોને ઉતારી એમના શિષ્યોએ જેમાં સંચિત કર્યા છે તે ‘વચનામૃત’(મુ.) ધર્મના ગૂઢ વિચારો લોકગમ્ય વાણીમાં મૂકવાના પ્રયાસ તરીકે અને ઈ.૧૯મી સદીના પૂર્વાર્ધ ધર્મોપદેશ માટે વપરાતા ગદ્યને સમજવા માટે મહત્ત્વનો ધર્મગ્રંથ છે. સંપ્રદાયના પરમહંસો-વિશિષ્ટ અધિકારીઓને ઉદ્દશીને પત્ર રૂપે ગદ્યમાં લખાયેલા ‘વેદરહસ્ય/વેદરસ’(મુ.)માં પરમતત્ત્વ સાથે એકાત્મભાવ અનુભવવા માટે પરમહંસોએ નિર્લોભી, નિષ્કામી નિસ્પૃહી, નિ:સ્વાદી ને નિર્માની એ પંચવર્તમાન કેવી રીતે જીવનમાં કેળવવા એની સવિસ્તર સમજૂતી આપી છે. એ સિવાય રામાનંદ, પરમહંસમંડળ તથા અન્ય સત્સંગીઓને સંબોધીને ધર્મના તત્ત્વને સમજાવતા અને આચારના નિયમો સમજાવતા, ગુજરાતી, હિન્દીમિશ્ર ગુજરાતી અને હિન્દીમાં લખાયેલા ૫૪ પત્રોનો ‘શ્રીજીની પ્રસાદીના પત્રો’(મુ.) તથા ‘દેશવિભાગનો લેખ’ (ઈ.૧૮૨૭/સં.૧૮૮૩, માગશર, સુદ ૧૫; મુ.) એમના અન્ય ગદ્યગ્રંથો છે. કૃતિ : ૧. દેશવિભાગનો લેખ, પ્ર. ધર્મસ્વરૂપદાસજી, ઈ.૧૯૩૭; ૨. (શ્રીજીની પ્રસાદીના) પત્રો, સં. માધવમલ દ. કોઠારી, ઈ.૧૯૨૨; ૩. વેદરસ, પ્ર. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થા, ઈ.૧૯૭૮(ત્રીજી આ.); ૪. શિક્ષાપત્રી, પ્ર. એજ્યુકેશન સોસાયટી, ઈ.૧૯૬૨; ૫. એજન, પંચરત્ન નિત્યવિધિ, સં. હરિજીવનદાસ, ઈ.૧૯૩૫; ૬. સુધાસિંધુ અથવા શ્રી સહજાનંદ સ્વામી પુરાણ પુરુષોત્તમનાં ૨૬૬ વચનામૃત, પ્ર. દામોદર ગો. ઠક્કર, ઈ.૧૯૦૧ (ચોથી આ.). સંદર્ભ : ૧. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી, હર્ષદરાય ટી. દવે,-; ૨. ભગવાન સ્વામિનારાયણ, હરીન્દ્ર દવે, ઈ.૧૯૭૮ (બીજી આ.); ૩. સદાચારના સર્જક સ્વામી સહજાનંદ, ગોરધનદાસ જી. સોરઠિયા-;  ૪. ગુસાઇતિહાસ : ૨; ૫. ગુસામધ્ય;  ૬. ગૂહાયાદી; ૭. ડિકૅટલૉગબીજે; ૮. ફાહનામાવમિ : ૨. [ચ.મ.; શ્ર.ત્રિ.]

સહજાબાઈ [સં. ૧૮મી સદી] : પષ્ટિમાર્ગીય વૈષ્ણવ સ્ત્રીકવિ. ગોકુલેશ (ગોકુલનાથ) પ્રભુનાં ભક્ત. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [શ્ર.ત્રિ.]

સહદેવ : આ નામે ૫૪ કડીની ‘કૃષ્ણવિષ્ટિ’ મળે છે.તેના કર્તા કયા સહદેવ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]

સહદેવ-૧ [ ] : ખોજાઓના પીરાણા કે મતિયાપંથના ગણાતા સહદેવ જોશી કે સતગોર સહદેવને નામે કેટલીક કૃતિઓ મળે છે. કવિનું નામ આજ હોય કે પછી એમણે આ નામે રચના કરી હોય એ બંને સંભવિતતા છે. ખોજાઓના સત્પંથમાં એક મોટા પીર સદ્દદ્દીન થઈ ગયા. એમના અપરનામ ‘સહદેવ’ અને ‘હરિશ્ચંદ્ર’ હતા. ‘ખટદર્શન’ નામે કૃતિ એમણે રચી હોવાનું નોધાયું છે. એટલે સંપ્રદાયની કોઈ વ્યક્તિએ આ નામથી રચનાઓ કરી હોય અથવા સદૃદ્દીનની કૃતિઓને ગુજરાતીમાં ઉતારી હોય. ‘મતિયાપંથ’ કૃતિ તથા મતિયાપંથ પરનાં કાવ્યો, ‘નકલંકી-ગીતા’, અરબીફારસી શબ્દોના પ્રભાવવાળી ૩૪૨ કડીની ‘ખટદર્શનની પડવી’, ૫૦૦ ગ્રંથાગ્રનું ‘આગમશાસ્ત્ર’, ‘સદ્ગુરુવાચા’, નિજિયા ધર્મનો મહિમા કરતું ૮ કડીનું ૧ ભજન(મુ.) તથા કળિયુગના આગમન અને તેના સ્વરૂપને વર્ણવતું ૭ કડીનું ‘આગમ’(મુ.) એ કૃતિઓ આ નામછાપવાળી મળે છે. કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭; ૨. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦; ૩. યોગવેદાંત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદભાઈ પુ; ઈ.૧૯૭૬. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પાંગુહસ્તલેખો; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છ. વિ. રાવળ;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. ગૂહયાદી; ૭. ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]

‘સંક્ષિપ્ત ગુજરાતી કાદંબરી કથાનક’ : અકબરના સમકાલીન ને ભાનુચંદ્રના શિષ્ય સિદ્ધિચંદ્રગણિની આ ગદ્યકૃતિ(મુ.) ગુજરાતીની વિશિષ્ટ રચના છે. બાણની સંસ્કૃત ‘કાદંબરી’ની મુખ્ય કથા શું છે એ સામાન્ય જન સમજી શકે એ હેતુથી એમણે આ સંક્ષેપ ગદ્યાનુવાદ કર્યો છે. એ રીતે એને ‘બાલકાદંબરી’ તરીકે ઓળખાવી શકાય. કૃતિ એની સરળ ને પ્રવાહી ભાષાથી તો ધ્યાન ખેંચે છે, પરંતુ તે સમયના ગુજરાતી ગદ્યને જાણવા માટે પણ મહત્ત્વની છે. [જ.ગા.]

સંગ્રામસિંહ-૧ [ઈ.૧૨૮૦માં હયાત] : શ્રીમાલવંશના ઠક્કુર કૂરસિંહના પુત્ર. એમની કૃતિ ‘બાલશિક્ષા’ (ર.ઈ.૧૨૮૦; મુ.)ને ગુજરાતીના અત્યારે ઉપલબ્ધ ઔકિતકોમાં સૌથી પ્રાચીન ગણવામાં આવે છે, પરંતુ વસ્તુત: તે સંસ્કૃત ભાષા દ્વારા ને ગુજરાતી દૃષ્ટાંતોની મદદથી વ્યારકરણની સમજૂતી આપતો ગ્રંથ છે. કૃતિ : *બાલશિક્ષા, સં. શ્રી જિનવિજ્યજી, ઈ.૧૯૬૨. સંદર્ભ : ૧. આકવિઓ; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ૧; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો;  ૬. *પુરાતત્ત્વ, પુ. ૩, અંક ૧-‘બાલશિક્ષા’, લાલચંદ ગાંધી;  ૭. મુપુગૂહસૂચી. [કી.જો.]

સંગ્રામસિંહ(મંત્રી)-૨ [ ] : જૈન શ્રાવક હોવાની સંભાવના. અંચલગચ્છના જયશેખરસૂરિના શિષ્ય. ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ ને ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ દરમ્યાન ૧ અંચલગચ્છીય જયશેખરસૂરિ થઈ ગયા. આ કવિ જો એમના શિષ્ય હોય તો તેઓ ઈ.૧૫મી સદી પૂર્વાર્ધમાં થઈ ગયા હોવાનું કહી શકાય. મુખ્યત્વે દુહા-ચોપાઈની ૧૮૨ કડીમાં રચાયેલો ‘શાલિભદ્રચરિત્ર-રાસ’ એમાં પ્રયોજાયેલા વિવિધ રાગોને લીધે વિશિષ્ટ છે. શાલિભદ્રના પૂર્વભવ અને આ ભવની કથા કહેતા આ રાસમાં શાલિભદ્રના સિદ્ધજીવન તરફના વિકાસની કથા આલેખાઈ છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧;  ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]

સંઘ-૧ [ઈ.૧૬૭૦માં હયાત] : જુઓ સંઘો.

સંઘ-૨ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : સંભવત: વિજ્યાણંદસૂરિની પરંપરાના તપગચ્છના જૈન સાધુ. ૭ કડીની ‘વિજ્યાણંદસૂરીશ્વર-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ વિજ્યાણંદસૂરિની હયાતી (જ.ઈ.૧૫૮૬-અવ.ઈ.૧૬૫૫)માં રચાઈ હોઈ કર્તા ઈ.૧૭મી સદીના મધ્યભાગમાં થઈ ગયા હોવાનું માની શકાય. કૃતિ : ઐસમાલા : ૧.[ર.ર.દ.]

સંઘકલશ(ગણિ) [ઈ.૧૪૪૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રત્નશેખરસૂરિની પરંપરામાં ઉદયનંદીના શિષ્ય. ગુજરાતી ને અન્ય સાત ભાષાઓમાં રચાયેલા ૧૧૩ કડીના ‘સમ્યકત્વ-રાસ’ (ર.ઈ.૧૪૪૯/સં.૧૫૦૫, માગશર-)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૧-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સંદોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સંઘકુલ : જુઓ સિંહકુલ.

સંઘજી(ઋષિ) [ઈ.૧૭૧૦માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. તેજસી-કાનજીની પરંપરામાં દામમુનિના શિષ્ય. ૧૬૭ કડીની ‘નવતત્ત્વની ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૦; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાળા : ૨, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૨. લોંપ્રપ્રકરણ.[ર.ર.દ.]

સંઘદાસ [ઈ.૧૬૯૦ સુધીમાં] : ‘વિક્રમચરિત્ર’ (લે.ઈ.૧૬૯૦)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [ર.ર.દ.]

સંઘમાણિક્યશિષ્ય [ ] : જૈન સાધુ. ૩૫ કડીની ‘કુલધ્વજ-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]

સંઘવિજ્ય : આ નામે ૧૨ કડીનું ‘શત્રુંજ્ય-સ્તવન’ અને ‘એકાદશી-સ્તુતિ’ મળે છે. તેમના કર્તા કયા સંઘવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સંઘવિજ્ય-૧ [ઈ.૧૫૪૯માં હયાત] : જૈન. ‘વિજ્યતિલક સૂરિ-રાસ’ (ર.ઈ.૧૫૪૯)ના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. દેસુરાસમાળા. [ર.ર.દ.]

સંઘવિજ્ય-૨/સિંઘવિજ્ય/સિંહવિજ્ય [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં ગુણવિજ્યના શિષ્ય. ૪૨ કડીનું ‘ઋષભદેવાધિદેવ-જિનરાજ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૩/સં.૧૬૬૯, આસો સુદ ૩), ‘વિક્રમસેનશનિશ્ચર-રાસ’ (ર.ઈ.૧૬૨૧), ‘સિંહાસન-બત્રીસી’ (ર.ઈ.૧૬૨૨/સં.૧૬૭૮, માગશર સુદ ૨; મુ.), ‘અમરસેન-વયરસેનરાજર્ષિ-આખ્યાન’ (ર.ઈ.૧૬૨૩/સં. ૧૬૭૯, માગશર સુદ ૫) તથા ૪૩ કડીનો ‘ભગવતી/ભારતી-છંદ’ (ર.ઈ.૧૬૩૧/સં.૧૬૮૭, આસો સુદ ૧૫, ગુરુવાર; મુ.)ના કર્તા. તેમણે સંસ્કૃત ગ્રંથ ‘કલ્પસૂત્ર’ પર દીપિકા પણ રચી છે. કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. ૧૯૩૬-‘સરસ્વતી પૂજા અને જૈનો’, સારાભાઈ મ. નવાબ; ૨. સાહિત્ય, એપ્રિલ ૧૯૩૩થી મે ૧૯૩૪-‘સિંહાસન બત્રીસી’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. ગુસારસ્વરૂપો; ૪. જૈસાઇતિહાસ; ૫. મરાસસાહિત્ય;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૮. ડિકૅટલૉગભાવિ; ૯. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

સંઘવિજ્યશિષ્ય [ ] : જૈન સાધુ. ૪ કડીની ‘નેમનાથજિન-સ્તુતિ’(મુ.)ના કર્તા.

કૃતિ : ચૈસ્તસ્તસંગ્રહ : ૨. [કી.જો.]

સંઘસાર [ ] : જૈન. ૧૫ કડીના ‘ગિરનારમુખમંડન-ખરતરવસહિ-ગીત’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સંઘસોમ [ઈ.૧૬૪૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિશાલસોમસૂરિના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૪૭/સં.૧૭૦૩, ભાદરવા સુદ ૪)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]

સંઘહર્ષ : આ નામે ૧૫ કડીનું ‘નેમિજિન-ગીત’ (લે.ઈ.૧૫૧૮) તથા ૧૨૫ કડીનું ‘વીરનિર્વાણગર્ભિત દિવાળી-સ્તવન’ (લે.ઈ.૧૮૮૯) મળે છે. તેમના કર્તા કયા સંઘહર્ષ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સંઘો/સંઘ [ઈ.૧૬૭૦માં હયાત] : જૈન. ૧૨ કડીની ‘જંબૂસ્વામી-સઝાય’ (ર.ઈ.૧૬૭૦; મુ.) તથા ૨૫ કડીની ‘સુભદ્રાસતીની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસસંગ્રહ(ન); ૨. લૉંપ્રપ્રકરણ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

સંજમ : જુઓ સંયમમૂર્તિ-૨.

‘સંજાણા-ભગરીઆના આંતરકલહનું કાવ્ય’ : પારસી કવિ એર્વદ રૂસ્તમનું ભગરીઆ અને સંજાણા મૉબેદો (ધર્મગુરુઓ) વચ્ચે સપ્ટેમ્બર, ૧૯૮૭ના દિવસે ધાર્મિક ક્રિયાકાંડો બાબત નવસારીની અંદર થયેલા ખૂનામરકીવાળા ઉગ્ર ઝઘડાની ઐતિહાસિક બિનાને આલેખતું કાવ્ય. સમગ્ર કલહ દરમ્યાન ૭ પારસી ધર્મગુરુઓના થયેલા ખૂન, ૧૨ ભગરીઆ મૉબેદોની કોર્ટ દ્વારા ધરપકડ અને તેમને થયેલી સજા એ સૌ વીગતોને ઝીણવટપૂર્વક કવિએ આલેખી છે. કાવ્યમાં પ્રસંગસંયોજન જેટલું સુગ્રથિત છે તેટલું કવિની અન્ય કૃતિઓની તુલનાએ ભાષાકર્મ બળવાન નથી. છંદોબંધ પણ ક્લિષ્ટ છે, તેમ છતાં તે સમયના પારસી કોમમાં બનેલા એક ઐતિહાસિક પ્રસંગને વિષય કરતું હોવાથી કાવ્ય એ દૃષ્ટિએ મૂલ્યવાન છે. કાવ્યને અંતે ધર્મજાગૃતિ વિશે અપાયેલો ઉપદેશ કાવ્યસર્જનનો પ્રેરક હોય એમ જણાય છે. [ર.ર.દ.]

સંત [ ] : પદબંધ ‘ભાગવત’ના ૧૨ સ્કંધ ઉપલબ્ધ થાય છે, જેમાં ૧થી ૪ તથા ૮, ૯ ને ૧૧ સંપૂર્ણ રૂપમાં અને બીજા સ્કંધ ખંડિત રૂપમાં મળે છે. સંપૂર્ણ રૂપે પ્રાપ્ત થતા સ્કંધમાં નામછાપ ‘સંત’ મળે છે. આ નામ કર્તાનું સૂચક છે કે બીજું કંઈ તે સ્પષ્ટપણે કહી શકાય એવું નથી. કોઈ કૃષ્ણપુત્ર વૃંદાવન ભટ્ટની કૃપાથી પોતે આ કાવ્ય રચ્યું છે એમ કવિએ નોંધ્યું છે, પરંતુ એ સિવાય પોતા વિશે બીજી કોઈ આ માહિતી આપી નથી. ‘ભાગવત’નું ભાષાસ્વરૂપ જોતાં આ કવિ સં. ૧૭મી સદી પૂર્વાર્ધ સુધીમાં થયા હોય એવું અનુમાન કરવામાં આવ્યું છે. કવિએ રચેલા ભાગવતના આ સ્કંધમાં ૧૦મો સ્કંધ કંઈક વિસ્તારવાળો છે. બાકીના સ્કંધ બહુ સંક્ષિપ્ત છે. મૂળનો સાર આપીને કવિ અટકી જાય છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયાદી.[ચ.શે.]

સંતરામ(મહારાજ)/સુખસાગર [અવ.ઈ.૧૮૩૧/સં.૧૮૮૭, મહા સુદ ૧૫] : જ્ઞાની કવિ. અખાની કહેવાતી શિષ્ય પરંપરામાં જિતા મુનિ નારાયણ શિષ્ય અને કલ્યાણદાસજી મહારાજના ગુરુબંધુ. તેમના પૂર્વજીવન વિશે બીજી કોઈ માહિતી મળતી નથી, પરંતુ તેઓ ગિરનાર પર્વત પરથી ઊતરી સુરત, વડોદરા, પાદરા, ઉમરેઠ તથા ખંભાત વગેરે સ્થળોમાં ફરી ઈ.૧૮૧૬માં નડિયાદ આવ્યા. ત્યાં સ્થિર થઈ સંતરામ મંદિરની સ્થાપના કરી એમ કહેવાય છે. ઈ.૧૭૭૨માં ડાકોરમાં રણછોડરાયની મૂર્તિની સ્થાપના થઈ ત્યારે તેઓ ત્યાં પણ આવેલા. નડિયાદમાં એમણે જીવત્સમાધિ લીધી. તેમના જીવન વિશે પણ ઘણી ચમત્કારિક કથાઓ પ્રચલિત છે. ‘બાવોવિદેહી’ અને ‘સુખસાગર’ એવાં એમનાં અપરનામ પણ મળે છે. ‘સંતરામ’ અને ‘સુખરામ’ નામછાપવાળાં પચીસેક પદ મુદ્રિત રૂપે મળે છે તે આ કવિનાં છે. થાળ, મહિના, તિથિ, ભજન વગેરે રૂપે મળતાં આ પદોમાં સદ્ગુરુ, વૈરાગ્ય અને ભક્તિનો મહિમા છે. ૧૭ કડીની ‘તિથિ’માં અવધૂતની મરણદશાનો આનંદ પણ વ્યક્ત થયો છે. ‘ગુરુબાવની’(મુ.) નામે હિંદી કૃતિ પણ એમણે રચી છે. કૃતિ : પદસંગ્રહ, સં. સંતરામ સમાધિસ્થાન, ઈ.૧૯૭૭. સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. આગુસંતો; ૩. ચરોતર સર્વસંગ્રહ : ૨; સં. પુરુષોત્તમ છ. શાહ અને ચંદ્રકાંત ફ. શાહ, ઈ.૧૯૫૪; ૫. પ્રાકકૃતિઓ;  ૬. ગૂહાયાદી. [ચ.શે.]

સંતહર્ષ(મુનિ) [ ] : જૈન સાધુ. સોમના શિષ્ય. ૧૪ કડીની ‘નેમરાજુલ-બારમાસ’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [પા.માં.]

સંતોખદાસ [ ] : ‘શિવજીનો ગરબો’ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]

સંતોષ [ ] : અવટંકે શાહ. ૪ કડીની ‘પજુષણની સ્તુતિ’ (લે.સં.૧૮મી સદી)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

v [ઈ.૧૭૪૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિના શિષ્ય. ૭ ઢાલ અને ૩૮/૪૧ કડીની ‘સીમંધરજિનસ્તવન’ (ર.ઈ.૧૬૪૫; મુ.) તથા અન્ય છૂટક સ્તવનોના કર્તા. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૩. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

સંયમમૂર્તિ-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : વિધિપક્ષના જૈન સાધુ. કમલમેરુના શિષ્ય. ૨૦૧ કડીની ‘કલાવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૮/સં.૧૫૯૪, જેઠ સુદ ૩, બુધવાર) અને ૭૦ કડીની ‘ગજસુકુમાલ-સંધિ’ (ર.ઈ.૧૫૪૧?)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’એ ‘ગજસુકામાલ-સંધિ’ને આ કર્તાની કૃતિ ગણી છે, પરંતુ એનો રચનાસમય ચોક્કસ નથી. એટલે કૃતિ આ કર્તાની જ હોવા માટે કોઈ નિશ્ચિત પ્રમાણ નથી. એ સંયમમૂર્તિ-૨ની કૃતિ પણ હોય. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી. [કી.જો.]

સંયમમૂર્તિ-૨/સંજમ [ઈ.૧૬૦૬ સુધીમાં] : વિધિપક્ષના જૈન સાધુ. વિનયમૂર્તિના શિષ્ય. ‘ઉદયીરાજર્ષિ-સંધિ’ (લે.ઈ.૧૬૦૬) અને ‘ચોવીસજિનબૃહત્-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકારૂપરંપરા;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. ડિકૅટલૉગભાવિ; ૫. મુપુગૂહસૂચી.[કી.જો.]

સંયમરત્ન(સૂરિ) [ઈ.૧૫૬૦માં હયાત] : જૈન સાધુ. ૨૯ કડીની ‘હરખાઈ શ્રાવિકાએ ગ્રહણ કરેલ ઇચ્છાપરિમાણ’ (ર.ઈ.૧૫૬૦) નામક કૃતિના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

સંવેગદેવ/સંવેગરંગ(ગણિ) [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. સોમદેવસૂરિશિષ્ય રત્નશેખરના શિષ્ય. ૧૦૪ કડીની ‘પિંડવિશુદ્ધિ પ્રકરણ-બાલાવબોધ’ (ર.ઈ.૧૪૪૭), ૧૦૧૪ શ્લોકના ‘આવશ્યક પીઠિકા-બાલાવબોધ’ (ર.ઈ.૧૪૪૮) ‘ષષ્ટિશતક-બાલાવબોધ’ તથા ‘ચઉશરણપયન્ના’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. ગુસાપઅહેવાલ : ૨૦-‘ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજ્યજીનું ભાષણ’-નું પરિશિષ્ટ;  ૪. જૈગૂકવિઓ : ૩(૨); ૫. ડિકૅટલૉગભાઈ : ૧૭(૩); ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

સંવેગસુંદર/સર્વાંગસુંદર [ઈ.૧૪૯૨માં હયાત] : બૃહત્ તપગચ્છના જૈન સાધુ. જયશેખરસૂરિની પરંપરામાં જયસુંદર ઉપાધ્યાયના શિષ્ય. ૨૫૦ કડીના ‘સારશિખામણ-રાસ’ (ર.ઈ.૧૪૯૨) અને ૩ કડીના ‘પાર્શ્વનાથ-ગીત’ના કર્તા. સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. નયુકવિઓ;  ૩. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૨-‘ગુજરાતી જૈનસાહિત્ય : રાસસંદોહ’, હીરાલાલ ૨. કાપડિયા;  ૪. કૅટલૉગપુરા; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. જૈહાપ્રોસ્ટા; ૭. ડિકૅટલૉગભાવિ; ૮. મુપુગૂહસૂચી; ૯. લીંહસૂચી; ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

‘સાખીઓ’(અખાજી) : હિંદી તેમ જ ગુજરાતી ભાષામાં રચાયેલી અખાની ૧૭૦૦ ઉપરાંત મુદ્રિત સાખીઓમાંથી ૨૦૦ ઉપરાંત સાખીઓ ગુજરાતી ભાષામાં છે. ૧૦૦૦ ઉપરાંત અંગોમાં વહેંચાયેલી મળતી આ સાખીઓનું અંગવિભાજન છપ્પાના જેવું જ શિથિલ છે તે ઉપરાંત એમાં છપ્પાના ઘણાં વિચારો ને દૃષ્ટાંતો નિરૂપાયેલાં મળે છે. બહુધા એક પંક્તિમાં વિચાર અને એક પંક્તિમાં દૃષ્ટાંત એ રીતે ચાલતી આ સાખીઓમાં કવચિત્ વિચાર બે કે વધુ સાખી સુધી સળંગ લંબાતો હોય એવું પણ બને છે. ક્યારેક થયેલો નવાં તાજગીપૂર્ણ દૃષ્ટાંતોનો વિનિયોગ ધ્યાન ખેંચે છે. જેમ કે, ભણેલોગણેલો પંડિત હોય તે કીડીને પાંખ આવવા જેવું છે-એ ખરું ચાલી ન શકે, ખરું ઊડી પણ ન શકે. એકંદરે સરળ અભિવ્યક્તિ ધરાવતી આ સાખીઓ હિંદી પરંપરાના કેટલાંક વિશિષ્ટ સંસ્કારો પણ ઝીલે છે.[જ.કો.]

‘સાખીઓ’(પ્રીતમ) : ૨૪ અંગોમાં વિભક્ત અને સાધુશાઈ હિન્દીમાં રચાયેલી પ્રીતમની ૬૩૭ સાખીઓમાં ‘ચેતવણી-૨ની ૯૫ ગુજરાતી સાખીઓ ઉમેરતાં ૭૩૨ સાખીઓ મુદ્રિત સ્વરૂપે મળે છે. એ સિવાય પણ કેટલીક સાખીઓ કવિએ રચી હોવાની સંભાવના છે. વિવિધ અંગોમાં વહેંચાયેલી સાખીઓમાં આગલા અંગની છેલ્લી સાખી સાથે બીજા અંગની પહેલી સાખીને જોડી કવિએ દરેક અંગ વચ્ચે અનુસંધાન કર્યુ છે. ઈશ્વર, માયા, જ્ઞાન, ભક્તિ, સંત, સદ્ગુરુ, વૈરાગ્ય ઇત્યાદિ વિશેના કવિના વિચારો સંકલિત રૂપે જાણવા માટે આ સાખીઓ મહત્ત્વની છે. વિવિધ દૃષ્ટાંતો અને ઉપમાઓથી ઘણી જગ્યાએ કવિના વક્તવ્યમાં ચમત્કૃતિ આવી છે. ‘ચેતવણી-૨’ની સાખીઓ અલંકારયુક્ત ઉદબોધનશૈલીથી વધારે પ્રભાવક બની છે.[ચ.શે.]

સાગરચંદ [ ] : સરવાલગચ્છના જૈન સાધુ. વર્ધમાનસૂરિના શિષ્ય. ૧૮૦ કડીના ‘સીયાહરણ-રાસ’(મુ.)ના કર્તા. કૃતિના ભાષાસ્વરૂપ પરથી તે ઈ.૧૨મી કે ૧૩મી સદીમાં રચાઈ હોવાનું અનુમાન છે. કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૨-‘સાગરચંદ રઈઉ સીયાહરણ-રાસુ’, હરિવલ્લભ ચુ. ભાયાણી. [ર.ર.દ.]

જૈન [ઈ.૧૫૮૬ સુધીમાં] : જૈન. ‘છત્તીસ અધ્યયન-ગાન’ (લે.ઈ.૧૫૮૬)ના કર્તા. સંદર્ભ : રાપુહસૂચી : ૪૨. [ર.ર.દ.]

સાગરદાસ [ ] : ૧૭ કડીની ‘દાણલીલા’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાકસુધા : ૩. [શ્ર.ત્રિ.]

સાજણ [ ] : જૈન. ૬ કડીની ‘નેમિ-ગીત’ (લે.સં.૧૭મી સદી)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

‘સાત અમશાસ્પંદનું કાવ્ય’ : પારસી કવિ એર્વદ રૂસ્તમનું દુહા-ચોપાઈમાં રચાયેલું કાવ્ય(મુ.). કાવ્યમાં કૃતિની રચનાસાલ કે કર્તાનામ મળતાં નથી, પરંતુ આંતરિક પુરાવાઓને આધારે કૃતિ કવિ રૂસ્તમની જ રચેલી હોય એમ લાગે છે. ‘જંદ અવસ્તા’ અને વિવિધ ‘રેવાયતો’માં અત્રતત્ર પડેલી વીગતોને સંકલિત કરી રચાયેલી આ કૃતિમાં અહુરમઝદ, બહમન, આર્દીબહેસ્ત, શેહેરેવર, અસ્પંદારમદ, ખોરદાદ અને અમરદાદ એ ૭ અમશાસ્પંદોમાં (પૃથ્વીનું સંચાલન કરતી દિવ્ય શક્તિઓ) પહેલા ૬ કઈ રીતે પૃથ્વીનાં વિવિધ સત્ત્વોનું રક્ષણ કરે છે અને એ શક્તિઓને પ્રસન્ન કરવા કયા આચારવિચારનું પાલન કરવું એનું વર્ણન છે. સાતમા અમશાસ્પંદ વિશે નામોલ્લેખ સિવાય કવિએ વિશેષ વાત કરી નથી. કવિની અન્ય કૃતિ ‘અર્દાવિરાફનામું’માં અર્દાવિરાફે કરેલા નર્કદર્શનનો પ્રસંગ અહીં પણ લગભગ યથાતથ મુકાયો છે, જે કાવ્યના વિષય સાથે સુસંકલિત નથી એ રીતે ધર્મસંબંધી ઉપદેશનું પુનરાવર્તન પણ કાવ્યના સંયોજનને શિથિલ બનાવે છે. કવિએ કાવ્યમાં પ્રાસ બરોબર જાળવ્યા છે, પરંતુ છંદોબંધ શિથિલ છે. [ર.ર.દ.]

સાધુકીર્તિ : આ નામે ‘સવ્વત્થવેલિ-પ્રબંધ’ (ઈ.૧૫૫૮ આસપાસ), અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં રચાયેલી ૩૧ કડીની ‘ગર્ભવિચાર-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી) તથા ૧૫ કડીની ‘નેમબારહ-માસા’ (લે.સં.૧૯મી સદી અનુ.) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા સાધુકીર્તિ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સાધુકીર્તિ(પાઠક)-૧ [ઈ.૧૩મી સદીઉત્તરાર્ધ-ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. હિંદી ભાષાની છાંટવાળી ૧૫ કડીની ‘દાદાજીનો છંદ’(મુ.)ના કર્તા. આ રચના ‘દાદાજી’ના નામથી પ્રખ્યાત થયેલા જિનકુશલસૂરિ (જ.ઈ.૧૨૭૪-અવ.ઈ.૧૩૩૩)ની હયાતીમાં રચાઈ હોવાનું પ્રમાણ કૃતિમાંથી મળે છે. આ અનુસાર સાધુકીર્તિ જિનકુશલસૂરિના સમયમાં હયાત હોય. કૃતિ : સ્નાત્રપૂજા, દાદાસાહેબપૂજા, ઘંટાકર્ણ-મહાવીરપૂજા ઇત્યાદિ, પ્રકા. ઝવેરચંદ કે. ઝવેરી, સં. ૨૦૦૮. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [ર.ર.દ.]

સાધુકીર્તિ-૨ [ઈ.૧૪૪૩માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. જિનદત્તસૂરિના શિષ્ય. ‘વિક્રમકુમારચરિત્ર-રાસ/હંસાવતી વિક્રમચરિત્ર-રાસ’(ર.ઈ.૧૪૪૩), ‘મત્સ્યોદરકુમાર-રાસ’, ‘ગુણાસ્થાનકવિચાર-ચોપાઈ’, ‘ઉત્તરાધ્યયન છત્રીસી અધ્યયન-સ્તવન’(ર.ઈ.૧૪૪૩), ૧૧ કડીનું ‘અનાથીમુનિ-ગીત’ (ર.ઈ.૧૪૪૩), ૪૬ કડીનું ‘અર્હંત્પરિવાર-સ્તોત્ર’(ર.ઈ.૧૪૪૩), ‘કંથુનાથ-સ્તોત્ર’ (ર.ઈ.૧૪૪૩), ‘ચંદ્રપ્રભજિન-સ્તવન’ (ર.ઈ.૧૪૪૩), ‘ચૈત્રીપૂનમવિધિ-સ્તવન’ (ર.ઈ.૧૪૪૩), ‘જિનકુશલસૂરિ-સ્તવન’ (ર.ઈ.૧૪૪૩) તથા ‘પુંડરિક-સ્તવન’ (ર.ઈ.૧૪૪૩) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ઇતિહાસની કેડી, ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૪૫; ૨. ગુસાઇતિહાસ : ૧, ૨; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ; ૫. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન(સૂચિ), બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧, ૨); ૭. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

સાધુકીર્તિ-૩ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : જુઓ જિનરત્નસૂરિશિષ્ય જિનસાધુસૂરિ.

સાધુકીર્તિ(ઉપાધ્યાય)-૪ [અવ.ઈ.૧૫૯૦/સં.૧૬૪૬, મહા વદ ૧૪] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પરંપરામાં અમરમાણિક્યના શિષ્ય. પિતા વસ્તુપાલ, માતા ખેમલદેવી. તેઓ ઓસવાલવંશના સુચિતી ગોત્રના હતા. ઈ.૧૫૭૬માં જિનચંદ્રસૂરિના હાથે ઉપાધ્યાય પદની પ્રાપ્તિ. ૧૦૮ કડીની ‘સત્તરભેદી-પૂજા’ (ર.ઈ.૧૫૬૨/સં.૧૬૧૮, આસો વદ ૩૦), ૧૮૩ કડીની ‘અષાઢભૂતિ-પ્રંબંધ/રાસ’ (ર.ઈ.૧૫૬૮/સં.૧૬૨૪, આસો સુદ ૧૦), ‘નેમિરાજર્ષિ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૦), ૧૫ કડીની ‘નેમિનાથ ધમાલ’ (ર.ઈ.૧૫૬૮), ‘મૌન એકાદશી-સ્તવન’ (ર.ઈ.૧૫૬૮/સં.૧૬૨૪, આસો સુદ ૧૦), ‘અમરસર’ (ર.ઈ.૧૫૮૨), ૧૩ કડીનું ‘ચૈત્રીપૂનમ/પુંડરિક/શત્રુંજય-સ્તવન’ (ર.ઈ.૧૫૬૭), ‘શીતલજિન-સ્તવન’ ‘શેષનામમાલા’, ‘કીર્તિરત્નસૂરિ, જિનરત્નસૂરિ અને ગુરુમહત્તા પરનાં ગીતો (૩મુ.), કેટલાંક સ્તવનો (૧ મુ.) આ પદ્યકૃતિઓ ઉપરાંત ‘સપ્તસ્મરણ-બાલાવબોધ’ (ર.ઈ.૧૫૫૫/સં. ૧૬૧૧, આસો વદ ૩૦), ‘અજિતશાંતિ સ્તવન-બાલાવબોધ’ અને ‘દોષાવહારબાલાવબોધ’ એ ગદ્યકૃતિઓ તથા ‘ભક્તામરસ્તોત્ર-અવચૂરિ’ (ર.ઈ.૧૫૭૯/સં.૧૬૩૫)ના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ(પ્રસ્તા.); ૨. જૈકાપ્રકાશ : ૧. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૧, ૩(૧); ૫. જૈહાપ્રોસ્ટા; ૬. મુપુગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સાધુમેરુ(ગણિ)(પંડિત) [ઈ.૧૪૪૫માં હયાત] : આગમગચ્છના જૈન સાધુ. હેમરત્નસૂરિના શિષ્ય. ૬૦૧/૬૦૯ કડીના જીવદયા અંગેનું નિરૂપણ કરતા ‘પુણ્યસારકુમાર-રાસ/પુણ્યસારચરિત્ર-પ્રબંધ/ચોપાઈબંધ’ (ર.ઈ.૧૪૪૫/સં.૧૫૦૧, પોષ વદ ૧૧, સોમવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન, ૧૯૭૧-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. ડિકૅટલૉગભાવિ; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સાધુરત્ન-૧ [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. દેવસુંદરસૂરિના શિષ્ય. ૪૦૦ ગ્રંથાગ્રની ‘નવતત્ત્વવિવરણ-બાલાવબોધ’ (ર.ઈ.૧૪૦૦ આસપાસ) તથા સંસ્કૃતમાં ‘યતિજિતકલ્પવૃત્તિ’ (ર.ઈ.૧૪૦૦) અને ‘નવતત્ત્વ-અવચૂરિ’ નામની કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. જૈગૂકવિઓ :  ૩(૨); ૪. જૈહાપ્રોસ્ટા. [ર.ર.દ.]

સાધુરત્ન(સૂરિ)-૨ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. તેઓ કદાચ પાર્શ્વચંદ્રસૂરિ કે જેમણે નવો ગચ્છ શરૂ કર્યો તેમના ગુરુ હોય. કૃતપુણ્યના ચરિત્રનિરૂપણ દ્વારા દાનનો મહિમા કરતા ૧૧૫ કડીમાં રચાયેલા ‘કયવન્ના/કૃતપુણ્ય-રાસ’ (ર.ઈ.૧૫૨૩ આસપાસ)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૪. જૈગૂકવિઓ : ૧. [ર.ર.દ.]

સાધુરત્નશિષ્ય [ ] : જૈન સાધુ. ૨૨ કડીની ‘વીરજિન-કલ્યાણક-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. [કી.જો.]

સાધુરંગ [ઈ.૧૬૨૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં સુમતિસાગરના શિષ્ય. ૩૬ કડીની ‘દયા-છત્રીસી’ (ર.ઈ.૧૬૨૯)ના કર્તા. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]

સાધુવિજ્ય [ ] : જૈન. ‘તીર્થંકર-સ્તવન’ (લે.સં.૧૮મી સદી)ના કર્તા. સંદર્ભ : રાપુહસૂચી : ૫૧. [ર.ર.દ.]

સાધુવિજ્યશિષ્ય [ ] : ૯ કડીની ‘અષ્ટભંગી-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.) તથા ‘સિદ્ધચક્ર-નમસ્કાર’ (લે.સં.૧૯મી સદીઅનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

સાધુવિમલ(પંડિત) [ ] : જૈન સાધુ. ૭ કડીના ‘અભિનંદનજિન-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ :પ્રાસ્તરત્નસંગ્રહ : ૨. [ર.ર.દ.]

સાધુસુંદર(ગણિ)(પંડિત) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પંરપરામાં સાધુકીર્તિના શિષ્ય. વ્યાકરણના વિદ્વાન. ૭ કડીના ‘નગરકોટમંડનશ્રી આદીશ્વર-ગીત’(મુ.) એ ગુજરાતી ઉપરાંત ‘ઉક્તિરત્નાકર’ (ર.ઈ.૧૬૧૪-૧૮ દરમ્યાન), ‘પાર્શ્વનાથ-સ્તુતિ’ (ર.ઈ.૧૬૨૭), ‘શબ્દરત્નાકર/શબ્દપ્રભેદ નામમાલા’ તથા ‘ધાતુરત્નાકર’ સ્વોપજ્ઞટીકા ‘ક્રિયાકલ્પલતા’ સાથે-એ સંસ્કૃત કૃતિઓના કર્તા. ‘ઉક્તિરત્નાકર’ તે સમયના ગુજરાતી શબ્દોના મૂળ અર્થને સમજવા માટે ઘણો ઉપયોગી ગ્રંથ છે. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૫-‘નગરકોટકે તીન સ્તવન ઔર વિશેષ જ્ઞાતવ્ય’, અગરચંદ નાહટા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧, ૨. ગુસારસ્વતો; ૩, જૈસાઇતિહાસ; ૪. યુજિનચંદ્રસૂરિ;  ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સાધુહર્ષ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. ૬ કડીની ‘મોટી હોંશ ન રાખવાની સઝાય’(મુ.)ના કર્તા. આ સાધુહર્ષના શિષ્ય રાજશીલની ઈ.૧૫૩૮માં રચેલી ‘અમરસેન વયરસેન-ચોપાઈ’ મળે છે. એ સમયને લક્ષમાં લેતાં સાધુહર્ષ ઈ.૧૬મી સદીના પૂર્વાર્ધમાં હયાત હશે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈસમાલા(શા) : ૨; ૩. જૈસસંગ્રહ(ન). સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. જૈસાઇતિહાસ. [ર.ર.દ.]

સાધુહંસ : આ નામે ૫/૨૮ કડીનું ‘શત્રુંજ્ય-ગીત/સ્તવન’ (લે.સં. ૧૬મી સદી અનુ.), ૧૭ કડીની ‘શાંતિનાથ-વિનતિ’ તથા ૧૦ ગ્રંથાગ્રની ૧ સઝાય (લે.ઈ.૧૫૬૧) મળે છે. આ સાધુહંસ કયા તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સાધુહંસ(મુનિ)-૧/હંસ [ઈ.૧૩૯૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. જિનશેખસૂરિની પરંપરામાં જિનરત્નસૂરિના શિષ્ય. ૨૧૬/૨૧૯ કડીની ‘ધન્નાશાલિભદ્ર-પ્રબંધ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૩૯૯/સં. ૧૪૫૫, આસો સુદ ૧૦) તથા ૬૩/૬૪ કડીની ‘ગૌતમપૃચ્છા-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. મરાસસાહિત્ય; ૫. મસાપ્રકારો;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. જૈહાપ્રોસ્ટા; ૮. ડિકૅટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ; ૧૦. મુપુગૂહસૂચી; ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સાધુહંસ-૨ [ઈ.૧૪૯૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સંઘરતનસૂરિની પરંપરામાં આણંદમુનિના શિષ્ય. ૬૦૬/૬૦૭ કડીની ‘મુનિપતિરાજર્ષિ-રાસ/મણિપતિ-રાસ’ (ર.ઈ.૧૪૯૪/સં.૧૫૫૦, વૈશાખ-૭, રવિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન (સૂરિ), બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સમાત/સામતો [ ] : બારોટ. ૯ કડીના ૧ ભજન (મુ.) તથા કેટલાક સુબોધક સોરઠા (૪ મુ.)ના કર્તા. કૃતિ : ૧. કાઠિયાવાડી સાહિત્ય : ૨, સં. કાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩; ૨. સતવાણી.[શ્ર.ત્રિ.]

સામદાસ [ ] : પદોના કર્તા.

સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

સામલ [ઈ.૧૭૦૪ સુધીમાં] : રાધાની વિહરવ્યથાને નિરૂપતા ‘બારમાસ’ (લે.ઈ.૧૭૦૨થી૧૭૦૪; મુ.)ના કર્તા. કૃતિમાં આલેખાયેલો વિપ્રલંભશૃંગાર એની ઉત્કટતાથી ધ્યાન ખેંચે છે. કૃતિના કર્તા જૈનેતર છે. કાવ્યને અંતે આવતી પંક્તિ “ભૃગુભમાનંદને નેહ ગાયો, સામલેં સ્નેહ કરી બાંહ સાહયો”ને આધારે કૃતિના કર્તા સામલ અને પિતા ભૃગુભમા(?) હોવાનું અનુમાન થયું છે. કૃતિ : બુદ્ધિપ્રકાશ, જૂન ૧૯૩૦-‘સામલકૃત બારમાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ (+સં.). [શ્ર.ત્રિ.]

સામલિયાસુત : જુઓ મામલિયા/સામલિયાસુત.

સામંત [ઈ.૧૬૧૬માં હયાત] : જૈન. રાજસ્થાની ગુજરાતી ભાષામાં રચાયેલી ‘પ્રતિમાધિકાર-વેલિ’ (લે.ઈ.૧૬૧૬)ના કર્તા. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. રાપુહસૂચી : ૪૨; ૩. રાહસૂચી : ૧. [કી.જો.]

સાર(કવિ) [ઈ.૧૬૩૩માં હયાત] : ‘સાર-બાવની’ (ર.ઈ.૧૬૩૩)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [શ્ર.ત્રિ.]

સારથિભારથી [ઈ.૧૭૧૮ સુધીમાં] : ‘ભ્રમર-ગીતા’ (લે.ઈ.૧૭૧૮)ના કર્તા. સંદર્ભ : ૧. (કવિ રત્નેશ્વરકૃત) શ્રીમદ્ ભાગવત, સં. કેશવરામ કા. શાસ્ત્રી, ઈ.૧૯૩૫; ૨. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

સારમૂર્તિ(મુનિ) [ઈ.૧૩૩૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. અપભ્રંશ ભાષાની અસરવાળી ગુજરાતીમાં રચાયેલી ૨૯ કડીના ‘જિનપદ્મસૂરિ પટ્ટાભિષેક-રાસ’ (ર.ઈ.૧૩૩૪/સં.૧૩૯૦, જેઠ સુદ ૬ પછી; મુ.)ના કર્તા. ખરતરગચ્છના સારમુનિને નામે ૨૧ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તોત્ર’ મળે છે જે પ્રસ્તુત કવિની જ કૃતિ હોવાની સંભાવના છે. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ (+સં.); ૨. રાસ ઔર રાસાન્વયી કાવ્ય, દશરથ ઓઝા, સં. ૨૦૧૬. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. મુપુગૂહસૂચી. [કી.જો.]

સારવિજ્ય [ઈ.૧૬મી સદી] : જૈન સાધુ. ૮ કડીના ‘નવપલ્લવ-પાર્શ્વનાથ-ગીત’ (ર.ઈ.૧૬મી સદી)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]

સારંગ : આ નામે ૨૮/૨૯ કડીનું ‘જગદંબા-વંદન/સ્તોત્ર/ભવાની-સ્તવન’ મળે છે. તેના કર્તા કયા સારંગ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’ એ પ્રસ્તુત કૃતિના કર્તા ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’માં નોંધાયેલા રણછોડદાસના શિષ્ય સારંગદાસ હોવાનું અનુમાન કર્યું છે. જો આ કર્તા એ હોય તો તેઓ અર્વાચીન ઠરે. પરંતુ પ્રસ્તુત કૃતિના કર્તા અને રણછોડદાસશિષ્ય સારંગદાસ એક હોવા માટે કોઈ ચોક્કસ પ્રમાણ નથી. સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

સારંગ(કવિ)(વાચક)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : મહાહડગચ્છના જૈન સાધુ. જ્ઞાનસાગરસૂરિની પરંપરામાં પદ્મસુંદરના ગુરુભાઈ ગોવિંદના શિષ્ય. ૪૧૨ કડીની ‘બિલ્હણપંચાશિકા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૩/સં.૧૬૩૯, અસાડ સુદ ૧, ગુરુવાર), ૪૬૬ કડીની ‘વીરંગદનૃપ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૯), ‘માતૃકાપાઠબાવની’ (ર.ઈ.૧૫૮૪), ૪૫૮/૪૭૫ કડીની ‘ભોજપ્રબંધ/મુંજભોજપ્રબંધ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૫/સં.૧૬૫૧, શ્રાવણ વદ ૯), ૧૮૦૦ ગ્રંથાગ્રની ‘શ્રીવલ્લીટીકા સુબોધમંજરી’ (ર.ઈ.૧૬૧૨), ૪૦ કડીની ‘ભવષ્ટ્ત્રિંશિકા-દોધક’ (ર.ઈ.૧૬૧૯) એ કૃતિઓના કર્તા. રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં ‘માતાજીરો છંદ’ નામની કૃતિ કવિ સારંગને નામે મળે છે તે પ્રસ્તુત કવિની સંભાવના છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મસાપ્રવાહ;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. ડિકૅટલૉગભાવિ; ૭. મુપુગૂહસૂચી; ૮. રાપુહસૂચી : ૪૨; ૯. રાહસૂચી : ૧; ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

સાલિગ/શાલિગ [ઈ.૧૫૨૭ સુધીમાં] : જૈન. ૨૫/૨૮ કડીની ‘દ્વારિકા-સઝાય/શાલિભદ્ર-વેલિ’ (લે.ઈ.૧૫૨૭), તથા ૨૪ કડીના ‘ગજસુકુમાલ-રાસ’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

સાલિગ(ઋષિ)શિષ્ય [ઈ.૧૫૪૧માં હયાત] : વિધિગચ્છના જૈન સાધુ. ૧૪૨ કડીની ‘પિંડૈષણા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૪૧/સં.૧૫૯૭, શ્રાવણ સુદ ૧, રવિવાર)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

સાલેશાહ(સૈયદ) [ ] : ખોજા કવિ. ઇમામશાહના વંશજ. ૫ અને ૧૦ કડીના ૨ ‘ગીનાન’(મુ.)ના કર્તા. કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪. [ર.ર.દ.]

સાહિબ [ઈ.૧૬૧૯ સુધીમાં] : વિજ્યગચ્છના જૈન સાધુ. ગણસાગરસૂરિના શિષ્ય દેવચંદના શિષ્ય. સાહિબ કર્તાનામ હોવાનું થોડુંક શંકાસ્પદ છે. એમની ‘સંગ્રહણીવિચાર-ચોપાઈ’ની ર.ઈ.૧૬૨૨ (સં.૧૬૭૮) આપવામાં આવી છે તે લે.ઈ.૧૬૧૯ (સં.૧૬૭૫) સાથે વિસંગતિ ઊભી કરે છે. તે ઉપરાંત રચનાસંવતદર્શક શબ્દો “કલા ઉદધિ વાન અને વિત્ત”નો અર્થ પણ સંદિગ્ધ છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]

સાંકળેશ્વર : જુઓ સક્લેશ્વર.

સાંગુ/સાંગો : સાંગુને નામે ‘કાગરસ-કોસલ’ (લે.ઈ.૧૫૩૯) અને સાંગોને નામે ૨૪ કડીની ‘સુભદ્રાસતીની સઝાય’ કૃતિ મળે છે. તેમના કર્તા કયા સાંગુ/સાંગો છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે.[શ્ર.ત્રિ.]

‘સાંબપ્રદ્યુમ્ન-ચોપાઈ/પ્રબંધ/રાસ’ [ર.ઈ.૧૬૦૩/સં.૧૬૫૯, આસો સુદ ૧૦] : ખરતરગચ્છના જૈન સાધુ. સકલચંદ્રશિષ્ય સમયસુંદરની ૨ ખંડ, ૨૧ ઢાળ ને દુહા સાથે મળી કુલ ૮૦૦ કડીની રાસકૃતિ. પોતાની આ પહેલી રાસકૃતિમાં કવિએ જૈન આગમોમાંની સાંબ્રપ્રદ્યુમ્નની સંક્ષિપ્ત કથાને આગવી રીતે વિકસાવી છે. કર્મપુનર્જન્મના સિદ્ધાંતનું મહત્ત્વ કરવા રચાયેલા આ રાસમાં કૃષ્ણના બે પુત્રો સાંબ અને પ્રદ્યુમ્નના સ્નેહ અને પરાક્રમની અદ્ભુત રસવાળી કથા આલેખાઈ છે. કથાના પૂર્વાર્ધમાં કૃષ્ણના રુક્મિણીથી જન્મેલા પુત્ર પ્રદ્યુમ્નનાં સાહસપરાક્રમની વાર્તા છે. કૃષ્ણના ધૂમકેતુ સાથેના વેરને લીધે પ્રદ્યુમ્નનું જન્મતાંની સાથે અપહરણ, વિદ્યાધર કાલસંવર અને તેની પત્ની કનકમાલાને હાથે પ્રદ્યુમ્નનો ઉછેર, પ્રદ્યુમ્નની તેજસ્વિતા જોઈ એના તરફ આકર્ષાયેલી કનકમાલા, કાલસંવર અને પ્રદ્યુમ્ન વચ્ચે યુદ્ધ, રુક્મિણીની માનહાનિ થતી અટકાવવા પ્રદ્યુમ્નના સાહસ ને પરાક્રમો વગેરે પૂર્વાર્ધના મુખ્ય કથાંશો છે. એમાં પ્રદ્યુમ્ને સત્યભામાને કેવી યુક્તિથી છેતરે છે એ હાસ્યરસિક પ્રસંગ કવિએ સારી રીતે ખીલવ્યો છે. કૃતિના ઉત્તરાર્ધમાં પ્રદ્યુમ્નની યુક્તિથી સત્યભામાને બદલે જાંબવતીને તેજસ્વી પુત્ર સાંબની પ્રાપ્તિ, સાંબને એની ઉદ્દંડતાને કારણે કૃષ્ણ દ્વારામતીની બહાર કાઢે છે ત્યારે પ્રદ્યુમ્ને સાંબને કરેલી મદદ તથા ઘણાં વરસો પછી નેમિનાથ ભગવાન પાસે બંને ભાઈઓએ લીધેલી દીક્ષા એ મુખ્ય ઘટનાઓ આલેખાય છે. દ્વારિકા નગરી, રુક્મિણીવિલાપ, પ્રદ્યુમ્નનો નગરપ્રવેશ વગેરે વર્ણનો કૃતિમાં ધ્યાન ખેંચે છે.[જ.ગા.]

સાવંત(ઋષિ) [ઈ.૧૮૨૯માં હયાત] : જૈન સાધુ. વિનયચંદ્રના શિષ્ય. ૬ ઢાળની ‘ગુણમાલાસતી ષટઢાલ’ (ર.ઈ.૧૮૨૯/સં.૧૮૮૫, મહા સુદ ૧૩)ના કર્તા. સમયને કારણે આ કવિ અને કવિ સાંવતરામ એક હોવાની સંભાવના છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

સાંવતરામ(ઋષિ)[ઈ.૧૯મી સદી] : જૈન સાધુ. ૧૦૦૦ ગ્રંથાગ્રની ‘મદનકુમાર/મદનસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૮૩૯/સં.૧૮૯૫, ફાગણ સુદ ૭) તથા ‘સતીવિવરણ-ચોઢાલિયું’ (ર.ઈ.૧૮૫૧/સં.૧૯૦૭, ચૈત્ર વદ ૭) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી. [કી.જો.]

સિદ્ધ [ ] : ખરતરગચ્છના જૈન સાધુ. હેમનંદનના શિષ્ય. ‘પ્રીતિ-છત્રીસી’ (લે.સં.૧૭મી સદી)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૫૨-‘કતિપય આવશ્યકીય સંશોધન’, અગરચંદ નાહટા. [કી.જો.]

સિદ્ધવિજ્ય : જુઓ સિદ્ધિવિજ્ય-૧.

સિદ્ધાંતરત્ન [ ] : જૈન સાધુ. ૨૧ કડીની ‘સ્યાદવાદમતિ-સઝાય’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

સિદ્ધાંતસાર [ઈ.૧૫૧૪માં હયાત] : જૈન સાધુ. સોમવિજ્યસૂરિની પરંપરામાં ઇન્દ્રનંદિસૂરિના શિષ્ય. ‘સપ્તચત્વારિંશત-બાલાવબોધ’ તથા સંસ્કૃત કૃતિ ‘દર્શનરત્નાકર’ (ર.ઈ.૧૫૧૪)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]

સિદ્ધિ(સૂરિ) : આ નામે વસ્તુ અને ભાસમાં રચાયેલી, સ્થાનિક ઇતિહાસ અને ભૂગોળની માહિતી આપતી હોવાને કારણે નોંધપાત્ર બનતી ૬૦ કડીની ‘પાટણચૈત્યપરિપાટી’(મુ.) મળે છે. કાવ્યાંતે ‘છિહુત્તરવરસઈ’ એવા સમયદર્શક શબ્દો મળે છે. એને આધારે કૃતિ સં. ૧૪૭૬ કે સં. ૧૫૭૬માં રચાઈ હોવાનું અનુમાન થયું છે. આ સિદ્ધિસૂરિ કયા તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : સંબોધિ, ૧૯૭૫-૭૬-‘સિદ્ધિસૂરિકૃત પાટણ-ચૈત્યપરિપાટી (સં.૧૫૭૬)’, ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. ઇતિહાસ અને સાહિત્ય, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૬૬-‘શ્રી પંચાસરા પર્શ્વનાથ મંદિર વિશેના કેટલાક ઐતિહાસિક ઉલ્લેખો;  ૨. જૈમગૂકરચનાએં : ૧. [કી.જો.]

સિદ્ધિ(સૂરિ)-૧ [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : બિવંદણિકગચ્છના જૈન સાધુ. દેવગુપ્તસૂરિની પરંપરામાં જયસાગરના શિષ્ય. ૨૧૪૫ કડીની ‘સિંહાસન-બત્રીસી/કથારસ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૦/સં.૧૬૧૬, વૈશાખ વદ ૩, રવિવાર; ‘સિંહાસન-બત્રીસી’માંનું એક ફાગુકાવ્ય મુ.), ‘સિંઘાસન-બત્રીસી’ (ર.ઈ.૧૪૬૩; મુ.), ૫૨૩ કડીની શાંતિનાથચરિતમાંથી લેવાયેલી કથાને આધારે રચાયેલી ‘અમરદત્ત મિત્રાણંદ-રાસ’ (ર.ઈ.૧૫૫૦/સં.૧૬૧૬, વૈશાખ વદ ૪, રવિવાર), ‘કુલધ્વજકુમાર-રાસ’ (ર.ઈ.૧૫૬૨/સં.૧૬૧૮, શ્રાવણ વદ ૮, રવિવાર) તથા ‘શિવદત્ત-રાસ/પ્રાપ્તવ્યક (પ્રાપ્તિઆ)નો રાસ’ (ર.ઈ.૧૫૬૭/સં.૧૬૨૩, ચૈત્ર સુદ ૬, રવિવાર) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. *ગુજરાતમિત્ર અને ગુજરાતદર્પણ, દીપોત્સવી અંક, ૨૦૧૨-‘સિદ્ધિસૂરિકૃત સિંહાસનબત્રીસીમાંનું એક ફાગુકાવ્ય’, સં. ભોગીલાલ સાંડેસરા. ૨. સિંઘાસન બત્રીસી, સંપા.સુધા ચૌહાણ, ૨૦૨૦. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. પાંગુહસ્તલેખો; ૫. મરાસસાહિત્ય;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. મુપુગૂહસૂચી; ૮. રાહસૂચી : ૧; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

‘સિદ્ધિખંડન’ : જ્ઞાની કવિ બાપુસાહેબ ગાયકવાડની ઉદ્બોધન શૈલીમાં રચાયેલી ૨૦ કાફીઓની આ કૃતિ(મુ.)ના પ્રારંભમાં કવિ અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ જવા માટે સાચા ગુરુની સેવા કરવાની શિખામણ આપે છે. અને બાકીની કાફીઓમાં યોગીઓએ સિદ્ધ કરેલી અણિમા, ગરિમા, મહિમા, દૂરદર્શન, દૂરશ્રવણ વગેરે ૧૮ સિદ્ધિઓ ગર્વને વધારતી હોઈ બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિમાં અંતરાય રૂપ જ બને છે એમ કહે છે. દૃષ્ટાંતોથી કવિએ પોતાની વાતને સમર્થિત તો કરી છે, પરંતુ એમનું વક્તવ્ય ઓછું ચોટદાર બની શક્યું છે.[દે.દ.]

સિદ્ધિચંદ્ર(ગણિ) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. ભાનુચંદ્રના શિષ્ય. સિદ્ધિચંદ્ર(ગણિ) અકબર (ઈ.૧૫૦૬ રાજ્યારોહણ સમય)ના સમકાલીન હતા. ફારસી અને યાવની ભાષાના તેઓ અભ્યાસી હતા. તેમણે અકબરને બંને ભાષા શીખવી હતી. તેમની આ પ્રતિભાથી અકબરે તેમને ‘ખુસ્ફહમ’નો ઇલ્કાબ આપ્યો હતો. મંદબુદ્ધિના મનુષ્યો જાણી શકે એ હેતુથી બાણની કાદંબરીનો સરળ ને પ્રવાહી ભાષામાં સંક્ષિપ્ત કથાનુવાદ આપતી ‘સંક્ષિપ્ત ગુજરાતી કાદંબરી કથાનક’(લે.ઈ.૧૬૯૧; મુ.) કવિની વિશિષ્ટ રચના છે. ચાર કડીનું ટૂંકું પણ છટાદાર ચોમાસીકાવ્ય ‘નેમિનાથ ચતુર્માસકમ્’(મુ.) એ પણ કવિએ રચ્યું છે. ‘ધાતુમંજરી’, ‘ભક્તામરઅનેકાર્થ-નામમાલા’, ‘શોભન-સ્તુતિ’, ‘કાદંબરી-ઉત્તરાર્ધ’ વગેરે ગ્રંથો પર સંસ્કૃતમાં ટીકાઓ તેમણે લખી છે. સિદ્ધિચંદ્રના નામથી હિન્દીમિશ્ર ચારણી ભાષાની છાપવાળા ૧-૧ કડીના બે છપ્પા(મુ.) મળે છે તે આ જ સિદ્ધિચંદ્રના હોવાની સંભાવના છે. કૃતિ : ૧. ગુજરાતી સાહિત્યમાં સ્વરૂપો (પદ્યવિભાગ), મંજુલાલ ૨. મજમુદાર, ઈ.૧૯૫૪; ૨. શનીશ્ચરની ચોપાઈ આદિક લઘુ ગ્રંથોના સંગ્રહનું પુસ્તક, ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨ (ત્રીજી આ.);  ૩. પુરાતત્ત્વ, અશ્વિન ૧૯૮૩-‘સંક્ષિપ્ત ગુજરાતી ‘કાદંબરી-કથાનક’, જિનવિજ્ય; ૪. ફાત્રૈમાસિક, જાન્યુ. જૂન ૧૯૭૩-‘સંક્ષિપ્ત ગુજરાતી ‘કાદંબરી કથાનક’, સં. ભૂપેન્દ્ર ત્રિવેદી. સંદર્ભ: ૧. ઐરાસંગ્રહ: ૩ (પ્રસ્તા.); જૈસાઇતિહાસ. [કી.જો.]

સિદ્ધિવિજય-૧/સિદ્ધવિજય [ઈ.૧૬૫૭માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં ભાવવિજયના શિષ્ય. ૭ ઢાલ અને ૧૦૧/૧૧૨ કડીનું ‘નિગોદદુ:ખગર્ભિત સીમંધર જિનસ્તવન/વિનતિ’ (ર.ઈ.૧૬૫૭/સં. ૧૭૧૩-સુદ ૭; મુ.), ‘મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૬૫૭), ૮ કડીનું ‘ઋષભદેવસ્વામીનું ચૈત્યવંદન’ (મુ.), ૭૯ કડીનું ‘નેમિજિન-સ્તવન’, ૧૭ કડીની ‘સ્થૂલિભદ્રની સઝાય’ તથા ૧૦ કડીની ‘હીરવિજયસૂરિ-સઝાય’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ: ૧. ઐસમાલા: ૧; ૨. જિનગુણ પદ્યાવળી, પ્ર. વેણીચંદ સુ. શાહ, ઈ.૧૯૨૫ (બીજી આ.); ૩. પ્રાવિસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

સિદ્ધિવિજ્યશિષ્ય [ ] : જૈન. ૮ કડીના ‘સિદ્ધાચલ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

સિદ્ધિવિલાસ [ઈ.૧૭૪૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ‘શીલ-રાસ’ (ર.ઈ.૧૭૪૪/સં.૧૮૦૦, ચૈત્ર સુદ ૧૦)ના કર્તા. આ નામે ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૪૦/સં.૧૭૯૬, માઘ સુદ ૧૦) અને ‘નેમિરાજુલ-ગીત’(ર.ઈ.૧૭૦૭/સં.૧૭૬૩, ફાગણ સુદ ૧૩; મુ.- સ્વલિખિત પ્રત) મળે છે એ સમયદૃષ્ટિએ પ્રસ્તુત કર્તાની હોવા સંભવ છે. કૃતિ : જૈનયુગ, ફાગણ-ચૈત્ર ૧૯૮૩-‘પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન’, સં. મોહનલાલ દ. દેશાઈ. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, સં. અગરચંદ નાહટા;  ૩. જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]

સિંઘકુલ : જુઓ સિંઘકુશલ.

‘સિંઘલસી-ચરિત્ર’ [ર.ઈ.૧૪૬૩] : પૂર્ણિમાગચ્છના સાધુ રતનસૂરિના શિષ્ય મલયચંદ્રની દુહા-ચોપાઈબંધની ૨૨૦ કડીમાં રચાયેલી આ પદ્યવાર્તા(મુ.)માં સિંહલદ્વીપનો રાજપુત્ર સિંહલસિંહ પોતાનાં શક્તિને પરાક્રમથી ધનવતી, રત્નાવલી, રૂપવતી અને કુસુમવતી એ ચાર સ્ત્રીઓને કેવી રીતે પરણી લાવે છે એની કથા છે. વાર્તાનું માળખું ભ્રમણકથાનું છે. સિંહલસિંહના રૂપથી મોહવશ બનતી નગરસ્ત્રીઓને લીધે સિંહલસિંહને ભોગવવો પડેલો દેશવટો, સમુદ્રયાત્રામાં સિંહલસિંહ અને ધનવતીનું વિખૂટા પડવું, ઊડતી ખાટ, અક્ષયપાત્ર અને સર્પદંશે વિરૂપતા તથા પુન:સ્વરૂપપ્રાપ્તિ આ કૃતિના ધ્યાનાર્હ કથાંશો છે. સાહસ, શૌર્ય તથા ચમત્કારયુક્ત આ કથામાં કથાનિરૂપણ તરફ કવિનું જેટલું લક્ષ્ય છે તેટલું ભાવનિરૂપણ કે વર્ણન કે રત્નપુરમાં પ્રવેશ વખતનાં વર્ણનોમાં કવિની કવિત્વશક્તિનો કેટલોક પરિચય મળે છે. વહાણવટાને લગતા કેટલાક શબ્દોનો પ્રયોગ પણ ધ્યાન ખેંચે છે.[ભા.વે.]

સિંઘવિજ્ય : જુઓ સંઘવિજ્ય-૨.

સિંઘરાજ [ઈ.૧૫૫૭માં હયાત] : જૈન. ૧૯૩ કડીની ‘પાટણચૈત્ય-પરિપાટી’ (ર.ઈ.૧૫૫૭)ના કર્તા. સંદર્ભ : ૧. ઇતિહાસ અને સાહિત્ય, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૬૬-‘શ્રી પંચાસરા પાર્શ્વનાથના મંદિર વિશેના કેટલાક ઐતિહાસિક ઉલ્લેખો’;  ૨. સંબોધિ, ઈ.૧૯૭૫-૭૬ ‘સિદ્ધિસૂરિકૃત પાટણ-ચૈત્યપરિપાટી’, સં. ભોગીલાલ જ. સાંડેસરા.[ર.ર.દ.]

સિંહ [ઈ.૧૭૨૫માં હયાત] : જૈન સાધુ. કનકપ્રિયના શિષ્ય. ૧૪૭ કડીના ‘શાલિભદ્ર-શલોકો’ (ર.ઈ.૧૭૨૫; મુ.)ના કર્તા. કૃતિ : *રત્નસાગર-. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. પ્રાકરૂપરંપરા;  ૩. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]

સિંહકુલ-૧ [ઈ.૧૪૯૪માં હયાત] : બિવંદણિકગચ્છના જૈન સાધુ. દેવગુપ્તસૂરિના શિષ્ય. ‘મુનિપતિરાજર્ષિ-ચરિત્ર’ (ર.ઈ.૧૪૯૪/સં.૧૫૫૦, વૈશાખ વદ ૭, રવિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ર.ર.દ.]

સિંહકુલ-૨ : જુઓ સિંહકુશલ.

સિંહકુશલ/સંઘકુલ/સિંઘકુલ/સિંહકુલ [ઈ.૧૫૦૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં જ્ઞાનશીલના શિષ્ય. ૧૭૨ કડીની ‘નંદ-બત્રીશી’ (ર.ઈ.૧૫૦૪; મુ.), ૪૨ કડીની ‘સ્વપ્ન બહોતેરી/સ્વપ્નવિચાર-ચોપાઈ/સ્વપ્નાધ્યાય’ (ર.ઈ.૧૫૦૪; મુ.), ‘પંચદંડ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૪) તથા ગુરુ, અધ્યાત્મ, જીવદયા, નેમિનાથ અને શીલ પરનાં ૧૫ ગીતોનાં કર્તા. ‘નંદ-બત્રીશી’ ભૂલથી હેમવિમલસૂરિને નામે મુદ્રિત થઈ છે. કૃતિ : ૧. સમાધિશતકમ્, સં. વી. પી. સિંધી, ઈ.૧૯૧૬;  ૨. બુદ્ધિપ્રકાશ, મે ૧૯૧૬-‘હેમવિમલસૂરિરચિત નંદબત્રીસી’. સંદર્ભ : ૧. ઇતિહાસની કેડી, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૫; ૨. કવિચરિત : ૧-૨; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. , ફેબ્રુ., માર્ચ ૧૯૪૪-‘વિક્રમાદિત્ય સંબંધી જૈન સાહિત્ય’, અગરચંદ નાહટા;  ૭. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૮. ડિકૅટલૉગભાવિ; ૯. મુપુગૂહસૂચી; ૧૦. લીંહસૂચી; ૧૧. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સિંહદત્ત(સૂરિ) [ઈ.૧૫૨૬ સુધીમાં] : આગમનગચ્છના જૈન સાધુ. ‘સ્થૂલિભદ્ર-રાસ’ (લે.ઈ.૧૫૨૬)ના કર્તા. સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા; ૩. જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]

સિંહદાસ (લઘુ) [ ] : ‘હરિશ્ચંદ્રાખ્યાન’ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.[કી.જો.]

સિંહપ્રમોદ [ઈ.૧૬૧૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સોમવિમલસૂરિની પરંપરામાં વિવેકપ્રમોદના શિષ્ય. લક્ષ્મીપ્રમોદના ગુરુબંધુ. ‘વૈતાલ-પચીસી’ (ર.ઈ.૧૬૧૬/સં.૧૬૭૨, પોષ સુદ ૨, રવિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]

‘સિંહલ-સુતપ્રિયમેલક-રાસ’ [ર.ઈ.૧૬૧૬] : ખરતરગચ્છના જૈન સાધુ સકલચંદ્રશિષ્ય સમયસુંદરની ૧૧ ઢાળ ને ૨૩૦ કડીની રાસ કૃતિ(મુ.). ‘પ્રિયમેલક’ એટલે પ્રિયજનનું મિલન કરાવી આપવાનું સ્થળ. એટલે કવિએ એને ‘પ્રિયમેલકતીર્થ-ચોપાઈ’ તરીકે પણ ઓળખાવી છે. દાનનો મહિમા કરવાના હેતુથી રચાયેલા આ રાસની કથા લોકકથા પર આધારિત છે. સિંહલદ્વીપનો રાજકુમાર પોતાના પરાક્રમોથી ધનવતી, રત્નવતી, રૂપવતી અને કુસુમવતી સાથે કેવી રીતે પરણે છે, છૂટો પડી જાય છે અને આખરે ચારેને પ્રિયમેલક સ્થાનમાં પ્રાપ્ત કરે છે એની અદ્ભુત રસિક કથા એમાં આલેખાઈ છે. સિંહલસુત, કન્યાઓ ઇત્યાદિનાં પાત્ર-વર્ણનો કે વસંતઋતુના વર્ણનમાં કવિની શક્તિ ધ્યાન ખેંચે છે.[જ.ગા.]

સિંહવિજ્ય-૧ : જુઓ સંઘવિજ્ય.

સિંહવિજ્ય-૨ [ ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાણંદસૂરિની પરંપરામાં વિજ્યરત્નસૂરિના શિષ્ય. ૧૬ કડીના ‘કુંભલમેર-યાત્રાકરણ-સ્તવન’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

સિંહવિનય [ઈ.૧૬૧૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. શિવનિધાનના શિષ્ય. ‘ઉત્તરાધ્યયન-ગીત’ (ર.ઈ.૧૬૧૯/સં.૧૬૭૫, શ્રાવણ વદ ૮)ના કર્તા. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [ર.ર.દ.]

સિંહવિમલ [ઈ.૧૭૬૦ સુધીમાં] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. ૧૭/૨૦ કડીની ‘અનાથીઋષિ-સઝાય’ (લે.ઈ.૧૭૬૦) તથા ૨૩ કડીની ‘મૃગાપુત્ર-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. મોસસંગ્રહ; ૨. સસંપમાહાત્મ્ય. સંદર્ભ : ૧. જૈહાપ્રોસ્ટા; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સિંહસૌભાગ્ય [ ] : જૈન સાધુ. સૂરસૌભાગ્યના શિષ્ય. ૩૫/૩૬ કડીની ‘ગજસુકુમાલની સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસસંગ્રહ(ન); ૨. મોસસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

‘સિંહાસનબત્રીસી’-૧ [ર.ઈ.૧૪૬૩] : પૂર્ણિમાગચ્છના સાધુ રત્નસૂરિના શિષ્ય મલયચંદ્રની ચોપાઈબંધની ૩૭૪ કડીની, ગુજરાતીમાં આ વિષય પર ઉપલબ્ધ પહેલી, આ પદ્યવાર્તા(મુ.) ક્ષેમંકરની ‘સિંહાસનદ્વાત્રિંશિકા’ એ સંસ્કૃત કૃતિને આધારે રચાયેલી છે. પ્રારંભની ૬૦ કડીમાં કૃપણ બ્રાહ્મણની કથા, સિંહાસનની ઉત્પત્તિ, પ્રાપ્તિ અને તેની પ્રતિષ્ઠાવિધિ, ભર્તૃહરિના અમરફળ અને વિક્રમની રાજ્યપ્રાપ્તિ જેવા પ્રસંગોને આલેખી પછી સંક્ષેપમાં બત્રીસે પૂતળીની કથા કવિ કહી જાય છે. એટલે વાર્તાકથન સિવાય કવિની કવિત્વશક્તિનો બીજો ઉન્મેષ અહીં જોવા નથી મળતો. કૃતિની ભાષા કવિનું સંસ્કૃત પરનું પ્રભુત્વ પ્રગટ કરે છે.[ભા.વૈ.]

‘સિંહાસનબત્રીસી’-૨ [ઈ.૧૭૨૧-૧૭૪૫ દરમ્યાન] : શામળ ભટ્ટે પોતાની આ રચના(મુ.)ની ૧૫ વાર્તા ઈ.૧૭૨૧-૨૯નાં વર્ષોમાં અમદાવાદમાં રચી ને બાકીની ૧૭ વાર્તાઓ સિંહુજમાં રહી પૂરી કરી હતી. શામળની આ કૃતિ આ જ વિષયની પુરોગામી જૈન કૃતિઓ કરતાં વધુ વિસ્તૃત અને રસમય બની છે. ‘પંચદંડ’નું વાર્તાપંચક તથા ‘વેતાલ-પચીસી’ની ૨૫ વાર્તાઓ આ કૃતિની અનુક્રમે પાંચમી અને ૩૨ મી વાર્તા તરીકે શામળે ભેળવી દીધાનું એ પરિણામ છે. આ બેઉ વાર્તાગુચ્છોને અહીં ભેળવી દેવાનું કારણ એમાં પણ કેન્દ્રમાં રહેલું ‘વિક્રમચરિત્ર’ હોય. પૂતળીઓનાં નામ તથા તેમણે કહેલી વાર્તાઓનું વસ્તુ મૂળ સંસ્કૃત લોકકથા કરતાં ઠીકઠીક ભિન્નતા દેખાડે છે, જે શામળની સ્વકીય કલ્પનાનું ફળ કહેવાય. કૃષિકારનો મહિમા દર્શાવવા લખાયેલી મૌલિક ૧૯મી ભાભારામની વાર્તા કવિએ પોતાના આશ્રયદાતા રખીદાસનું ઋણ ફેડવા રચી હોય. એ રીતે કૃતિની પ્રાસ્તાવિક કથા રૂપે આવતી ચમત્કારી ટીંબાની વાર્તા પણ શામળે પરંપરાપ્રાપ્ત પુરોગામી રચનામાં પોતે કરેલો રસપ્રદ ઉમેરો છે. આમ છતાં આ કૃતિમાં તેમના સમયની તેમ પૂર્વકાલની દંતકથાઓ, વિક્રમ સંબંધી વાર્તાઓ, ભોજપ્રબંધ આદિ પ્રબંધો, જૈન અને બ્રાહ્મણ કથાઓ શામળને સારા પ્રમાણમાં કામ લાગી છે અને તેથી ‘સંસ્કૃતમાંથી શોધિયું, પ્રાકૃત કીધું પૂર’ એ કવિની પંક્તિને કૃતિ સાચી ઠેરવે છે. ચમત્કારી ટીંબામાંથી મળેલા સિંહાસન પર ભોજરાજા બેસવા જાય ત્યાં સિંહાસન પર જડેલી બત્રીસમાંની એક પૂતળી ભોજને તેના પ્રતાપી પૂર્વજ વીર વિક્રમના પરદુ:ખભંજક પરાક્રમનો એક પ્રસંગ કહી સંભળાવી તેના જેવા ગુણવાનનો જ એ સિંહાસન પર બેસવાનો અધિકાર છે એમ કહી આકાશમાં ઊડી જાય એ રીતે આખું વાર્તાચક્ર મુકાયું છે. એ રીતે કૃતિમાં કહેવાયેલી ૩૨ વાર્તાઓ આ પ્રમાણે છે : હરણ, વિપ્ર, કમળ, સિંહલદેશની પદ્મિની, પંચદંડ, અબોલા રાણી, નાપિક, ધનવંતરી શેઠ, હંસ, ગર્ધવસેન, કલશ, વિક્રમચરિત્ર, સમુદ્ર, નૌકા, મેના-પોપટ, કાષ્ઠનો ઘોડો, પંખી, વહાણ, ભાભારામ, વેતાળ ભાટ, કામધેનુ, પાન, ભદ્રાભામિની, ગોટકો, જોગણી, માધવાનલ-કામકંદલા, લક્ષબુદ્ધિ, શુક્ર-સારિકા, સ્ત્રીચરિત્ર, ભરથરી ભૂપ, રૂપાવતી અને વેતાલપચીસી. આ વાર્તાચક્રનો નાયક લોકકલ્પનામાં વસી ગયેલો વીર વિક્રમ છે. વાર્તાઓનું પ્રયોજન વિક્રમમહિમાનું છે તો એનો પ્રધાન રસ અદ્ભુત છે. આ વાર્તાઓની સૃષ્ટિ ભોળી મધ્યકાલીન લોકકલ્પનાને મુગ્ધ કરી ખેંચી રાખે એવી છે. એની બહુરંગી પાત્રસૃષ્ટિમાં રાજાઓ, પ્રધાનો, રાજકુંવરીઓ, બ્રાહ્મણો, ગણિકા, ઘાંચણ આદિ માનવપાત્રો સાથે દેવદેવીઓ, જોગણીઓ, વેતાળ આદિ માનવેતર અને નાગ, પોપટ, હંસ જેવાં તિર્યગયોનિનાં પાત્રો હોય છે. મંત્રતંત્ર, અઘોર સાધના, પાતાળગમન, આકાશવિહાર, અદર્શનવિદ્યા, મૃતસંજીવન, પૂર્વજન્મસ્મૃતિ, પરકાયાપ્રવેશ, જાદુઈ દંડ વગેરેનો યથેચ્છ ઉપયોગ થયો છે. રૂપવતી ને નાયિકાની વાર્તાઓમાં સમસ્યાનો ચાતુરી-વિનોદ પણ શામળે પીરસ્યો છે. કેટલાંક સ્ત્રીપાત્રો વિક્રમ સિવાયનાં પુરુષપાત્રોને ઝાંખાં પાડી દે તેવાં છે.અ.રા.

‘સિંહાસનબત્રીસી-ચોપાઈ’ : ૩ ખંડ અને ૧૦૩૪ કડીની વીરચંદ્રશિષ્ય જ્ઞાનચંદ્રની આ કૃતિ આ વિષયની જૈન કૃતિઓમાં સવિશેષ નોંધપાત્ર છે. એમાં ચીવટભર્યા ને ક્રમબદ્ધ વીગતકથનથી વાર્તા પ્રવાહને હાનિ કર્યા વગર ઇન્દ્રસભા, નગરકોટ, સ્ત્રીસૌંદર્ય આદિનાં વર્ણનો, સત્કર્મોનાં ફલ જેવા વિષયોની સૂક્તિઓ તથા તત્કાલીન સામાજિક આચારવિચારોની ગૂંથણી કવિએ કરી છે. આ તત્ત્વોથી કૃતિને પ્રસ્તાર મળ્યો છે પરંતુ એ એકંદરે રસાવહ નિવડ્યો છે, કેમ કે કવિ પાસે અલંકાર એ પદ્યબંધની ધ્યાન ખેંચે એવી ક્ષમતા છે. સુભાષિતો પણ ઉપમાદિ અલંકારોથી સચોટતા પામે છે ને પ્રાસ, વર્ણસગાઈ ઉપરાંત ચારણી શૈલીની ઝડઝમક પણ કવિ પ્રયોજે છે. કવિએ ઉપયોગમાં લીધેલા છંદોમાં વૈવિધ્ય છે. એમાં દુહા, ચોપાઈ, ગાથા, વસ્તુ ઉપરાંત ત્રિભંગી ને સારસી જેવા ચારણી છંદો પણ છે.[કા.શા.]

‘સીતારામ-ચોપાઈ’ : ખરતરગચ્છના સકલચંદ્રશિષ્ય સમયસુંદરની ૯ ખંડ, ૬૩ ઢાળ ને ૨૪૧૭ કડીમાં રચાયેલી આ રાસકૃતિ(મુ.) કવિની સર્વોત્તમ રચના છે. કૃતિને અંતે રચનાવર્ષનો નિર્દેશ નથી, પરંતુ અન્ય પ્રમાણો પરથી કવિએ કૃતિની રચના ઈ.૧૬૨૧થી ઈ.૧૬૨૪ દરમ્યાન કરી હોય એમ લાગે છે. મુખ્યત્વે પ્રાકૃત કવિ ‘સીયાચરિઉ’ અને કંઈક અંશે ‘પઉમચરિય’ને આધાર રૂપે લઈ રચાયેલી આ કૃતિમાં જૈનપરંપરામાં પ્રચલિત રામકથાને કવિએ અહીં આલેખી છે. આમ તો શીલનો મહિમા વર્ણવવાનું કવિનું પ્રયોજન છે, પરંતુ સાધુજનને માથે મિથ્યા કલંક ચડાવવાનું કેવું ફળ મનુષ્યે ભોગવવું પડે છે એ પ્રયોજન પણ એમાં ભળ્યું છે. એટલે કૃતિના આરંભમાં કવિએ સીતાના વેગવતી તરીકેના પૂર્વજન્મની કથા આલેખી છે. જૈનપરંપરાની રામકથાને અનુસરવાને લીધે વાલ્મીકિકૃત રામાયણની કથા કરતા ઘણી જગ્યાએ પ્રસંગનિરૂપણ બદલાયું છે. જેમ કે ભામંડલની સીતા સાથે લગ્ન કરવાની ઇચ્છા, પરંતુ સીતાની સગાઈ રામ સાથે થઈ ગઈ એની ખબર પડતાં વિદ્યાધરોમાં વ્યાપેલો રોષ, દેવોએ આપેલા ધનુષ્યને જો રામ ઊંચકે તો જ સીતા સાથે તે લગ્ન કરી શકશે એવી વિદ્યાધરોએ જનકરાજા પાસે મૂકેલી શરત, વનવાસગમન દરમ્યાન ભયાનક વર્ષાથી બચવા યક્ષે રામને માટે બનાવેલી નગરી, રામના અયોધ્યાગમન પછી ભરતે લીધેલી દીક્ષા, સીતાની શોકે સીતા પાસે રાવણના પગનું ચિત્ર દોરાવી સીતા રાવણને ચાહતી હતી એવી રામ પાસે અને પ્રજામાં વહેવડાવેલી વાત, વનમાં ગયેલી સીતાને વજ્રજંઘ રાજાએ આપેલ આશ્રય, અગ્નિપરીક્ષામાંથી પસાર થયેલી સીતાને પુન: પટરાણી બનવા રામે કરેલી વિનંતિ ને સીતાએ એ વિનંતિનો અસ્વીકાર કરી લીધેલી દીક્ષા, ઇન્દ્રે લક્ષ્મણની રામ પરની પ્રીતિની પરીક્ષા કરવા જતાં લક્ષ્મણનું થયેલું મૃત્યુ વગેરે. જૈનધર્મનો પ્રભાવ બતાવતી ને બોધાત્મક બનતી હોવા છતાં કવિએ વિવિધ રસોના નિરૂપણ તરફ લક્ષ આપ્યું હોવાને લીધે કૃતિ કાવ્યત્વની દૃષ્ટિએ પણ આસ્વાદ્ય બની છે. રામ-રાવણયુદ્ધ વખતે વીર ને ભયાનકનું નિરૂપણ, સીતાત્યાગ વખતે રામની વ્યથા કે લક્ષ્મણના મૃત્યુ વખતે એની રાણીઓનો કે રાવણવધ વખતે મન્દોદરીનો વિલાપ, સીતાના રૂપસૌંદર્યનું વર્ણન વગેરેમાં કવિની આ શક્તિ દેખાય છે. પોતાની અન્યકૃતિઓની જેમ અહીં પણ પોતાના સમયની લોકપ્રચલિત કહેવતોને નિરૂપણમાં વણી લઈને કવિએ પોતાની અભિવ્યક્તિ અસરકારક બનાવી છે. જેમકે “ઊંઘતઈ બિછાણઉ લાધઉ, આહીંણઇ વૂંઝાણઉ બે”, વિવિધ રાગની અનેક દેશીઓથી સધાતું ગેયત્વ કૃતિની બીજી ધ્યાન ખેંચતી લાક્ષણિકતા છે.[જ.ગા.]

‘સીતાહરણ’ [ર.ઈ.૧૪૭૦] : મુખ્યત્વે ‘પવાડા’ને નામે ઓળખાવાયેલી સવૈયાની દેશી તેમ જ દુહાના ને કવચિત્ ચોપાઈ, છપ્પાને ગીતના પદબંધનો વિનિયોગ કરતી કર્મણમંત્રીની ૪૯૫ કડીની આ આખ્યાનકૃતિ(મુ.)માં સીતાહરણના પ્રસંગને જ ઉપસાવવાનું લક્ષ્ય હોવાથી રામાયણના પહેલા અને છેલ્લા કાંડોની કથા એમણે જતી કરી છે અને બાકીનાનો ગૌણમુખ્યનો વિવેક કરી ને સંક્ષેપ કર્યો છે. કથાપ્રવાહ વેગીલો છે. એથી વૃત્તાંત ક્યાંક અછડતું રહી જાય છે, પરંતુ કવિએ ભાવદર્શનની તક જતી કરી નથી. ભરતનો ભ્રાતૃપ્રેમ, રામની માનવોચિત લાગણી-વિવશતા તથા હનુમાન, રાવણ વગેરેના યુદ્ધોત્સાહનું અસરકારક આલેખન તેના દૃષ્ટાંત રૂપે છે. લક્ષ્મણ-શૂર્પણખાના પ્રસંગમાં કવિએ વિનોદનું આલેખન કરવાની પણ તક લીધેલી છે. હરિને હાથે મૃત્યુ માગવા મેં સીતાનું હરણ કરવાનો અપરાધ કર્યો-એમ કહેતો રાવણ તથા વાલિના વધ માટે રામને ઉપાલંભો આપતી તારા જેવાં કેટલાંક વ્યક્તિત્વ-નિરૂપણો પણ આકર્ષક છે. કવિએ લૌકિક ભાવોના આલેખનની તક લીધી છે તેમ પ્રસંગવિધાનમાં પણ લાક્ષણિક ફેરફાર કરેલા દેખાય છે. જેમ કે, કથાના આરંભમાં જ એવું આલેખન આવે છે કે દશરથનો અંગૂઠો દુ:ખતાં કૈકેયી એને મોમાં લઈ દશરથને ઊંઘાડે છે અને એની પાસેથી વરદાન પામે છે. પ્રેમાનંદ પૂર્વે ગુજરાતી આખ્યાનપરંપરાના છેક આરંભકાળમાં કર્ણણમંત્રીએ પૌરાણિક કથાવસ્તુને આપેલી આ લોકભોગ્ય માવજત ધ્યાન ખેંચે એવી છે. ત્રિજટાને આવતા સ્વપ્નનું ગીત તથા સીતાહરણનાં ધોળ તરીકે ઓળખાવાયેલાં પણ વસ્તુત: લંકા પરના આક્રમણના ચાલુ પ્રસંગને જ વર્ણવતાં પાંચ ધોળ કૃતિના પદબંધમાં જુદી ભાત પાડે છે. કવિએ ઉદ્ધૃત કરેલા સંસ્કૃત સુભાષિતો કવિની સંસ્કૃતજ્ઞાનની પ્રતીતિ કરાવે છે.[ર.સો.]

સીહા/સીહુ [ઈ.૧૪૭૯ સુધીમાં] : જૈન. ૧૮ કડીની ‘જંબૂસ્વામી-વેલ’ (લે.ઈ.૧૪૭૯/સં.૧૫૩૫, વૈશાખ સુદ ૬; મુ.) તથા ૧૬ કડીની ‘રહનેમિ-વેલિ’ (લે.ઈ.૧૪૭૯/સં.૧૫૩૫, વૈશાખ સુદ ૬; મુ.) નામની કૃતિઓના કર્તા. કૃતિ : જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘સં. ૧૫૩૫માં લખાયેલાં કાવ્યો’,-. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]

સુખ(સૂરિ) [ ] : જૈન સાધુ. ૪ કડીની ‘આઠમની સ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. દેસ્તસંગ્રહ; ૨. સસન્મિત્ર : ૨.[પા.માં.]

સુખચંદ્ર [ ] : જૈન. ૭ કડીના ‘ચંદ્રપ્રભ-સ્તવન’ અને ૫ કડીના ‘નેમીશ્વર-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [પા.માં.]

સુખદેવ [ઈ.૧૬૯૫ સુધીમાં] : ૧૨ કડીના ‘નર્મદ-સ્તોત્ર’ (લે. ઈ.૧૬૯૫)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગબીજે.[કી.જો.]

સુખરત્ન [ ] : જૈન સાધુ. ૫ કડીના ‘યશકુશલ-ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ. [પા.માં.]

સુખલાલ [ ] : જૈન. ૭ કડીના ‘ચિંતામણી-પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]

સુખવિજ્ય-૧ [ઈ.૧૭૧૬માં હયાત] : જૈન સાધુ. દયાવિજ્યના શિષ્ય. ૨૨ કડીની ‘(અઠ્ઠાણું અલ્પબહુત્વવિચારગર્ભિત) મહાવીર સ્તવન/જિન-સ્તવન’ (ર.ઈ.૧૭૧૬)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]

સુખવિજ્ય(પંડિત)-૨ [ ] : જૈન. પંડિત ઋદ્ધિવિજ્યના શિષ્ય. ૭ કડીની ‘પરદેશી રાજાની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : અસસંગ્રહ. [પા.માં.]

સુખસાગર : આ નામે ‘દશવિધયતિધર્મ-સઝાય’ (લે.ઈ.૧૭૫૦), ‘કલ્પસૂત્રભાસ-ગહુંલી’ (લે.સં.૧૯મી સદી અનુ.) તથા ૫૨ કડીની ‘સાધુગુણમાલિકા’ મળે છે તેમના કર્તા કયા સુખસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા;  ૨. રાહસૂચી : ૨; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]

સુખસાગર-૧ [ઈ.૧૬૭૬માં હયાત] : જૈન સાધુ. કલ્યાણસાગરના શિષ્ય સુંદરસાગરના શિષ્ય. ‘ઇન્દ્રભાનુપ્રિયારત્નસુંદરીસતી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૬/સં.૧૭૩૨, ભાદરવા સુદ ૮, બુધવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૨. [પા.માં.]

સુખસાગર(કવિ)-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. દીપસાગરના શિષ્ય. ૪૨૯ કડીની ‘કલ્પપ્રકાશ/દીપાલિકાકલ્પ પર બાલાવબોધ/સ્તબક’ (ર.ઈ.૧૭૦૭), ‘કલ્પસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૦૬), ‘શ્રીપાલનરેન્દ્રચરિત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૦૮), ‘પાક્ષિકસૂત્ર-બાલાવબોધ/સ્તબક’ (ર.ઈ.૧૭૧૭) ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૯૪), ‘નવત્ત્વ-બાલાવબોધ’, ૩ ઢાલ અને ૪૫ કડીની ઈ.૧૭૨૧માં પ્રેમજી શાહે કરાવેલી શત્રુંજ્ય તીર્થયાત્રાનું વર્ણન કરતી ‘પ્રેમવિલાસ-રાસ’(મુ.), ૧૬ કડીના ‘જ્ઞાનવિમલગુરુવર્ણન’ અને ‘સત્તરભેદીપૂજા -સ્તબક’ના કર્તા. કૃતિ : સૂર્યપુર રાસમાળા, સં. કેશરીચંદ હી. ઝવેરી, ઈ.૧૯૪૦. સંદર્ભ : ૧. ગુસારસ્તો; ૨. જૈગૂસારત્નો : ૧, ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. મુપુગૂહસૂચી; ૫. રાપુહસૂચી : ૫૧; ૬. લીંહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]

સુખસાગર-૩ [ઈ.૧૭૧૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સત્યવિજ્યગણિ સંતાનીય. ૬ ઢાળના ‘પંડિત શ્રી વૃદ્ધિ વિજ્યગણિ-નિર્વાણ-ભાસ/રાસ’ (ર.ઈ.૧૭૧૩; મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐરાસંગ્રહ : ૩; ૨. જૈઐકાસંચય. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૨; ૫. મુપુગૂહસૂચી. [પા.માં.]

સુખસાગર-૪ : જૂઓ સંતરામ મહારાજ. સુખસુંદર [ઈ.૧૭૦૯માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. તેજરત્નની પરંપરામાં વિવેકસુંદરના શિષ્ય. ૯૫ કડીની ‘શાશ્વતાશાશ્વત-જિન-ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૭૦૯)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]

સુખા [ઈ.૧૭૨૮ સુધીમાં] : ‘અષાઢભૂતિ-રાસ’ (લે.ઈ.૧૭૨૮) અને ‘કલ્યાણમંદિર’ (લે.ઈ.૧૭૨૮)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ડિસેમ્બર ૧૯૪૦-‘બાલાપુર ત્યાં સુરક્ષિત જૈન સાહિત્ય’, લે. મુનિરાજ શ્રીકાંતિસાગરજી. [કી.જો.]

સુખાનંદ [ઈ.૧૬૯૦માં હયાત] : ‘વહાલવિનોદ/રાસક્રીડા’ (લે.ઈ.૧૬૯૦), પદો તથા સવૈયાના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે.[કી.જો.]

સુગાલચંદ્ર [ઈ.૧૭૩૬માં હયાત] : જૈન સાધુ. પ્રાકૃતમાં રચાયેલા શાંતિસૂરિકૃત ‘જીવવિચારપ્રકરણ’ ઉપરના સ્તબક (ર.ઈ.૧૭૩૬)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

સુજઉ : જુઓ સૂજી. સુજાંણ [ઈ.૧૭૭૬માં હયાત] લોંકાગચ્છના જૈન સાધુ. ભીમના શિષ્ય. ૩૨ કડીની ‘શિયલની સઝાય’ (ર.ઈ.૧૭૭૬)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]

સુજો [ ] : ભજનો (૨ ગુજરાતી મુ. અને ૧૩ હિંદી. મુ.)ના કર્તા. કૃતિ : બૃહત્ ભજનસાગર, સં. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિક અને દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૨. ભસાસિંધુ. [કી.જો.]

સુજ્ઞાનસાગર-૧ [ઈ.૧૭૬૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ચરિત્રસાગરની પરંપરામાં શ્યામસાગરના શિષ્ય. ‘અધ્યાત્મનયેન ચતુર્વિંશતિજિન-સ્તવન/ચોવીસી’ (૫ સ્તવન મુ.) અને ૬ ખંડ ને ૨૧૫૨ ગ્રંથાગ્રની ‘ઢાલમંજરી/ઢાલસાગર/રામ-રાસ’ (ર.ઈ.૧૭૬૬/સં.૧૮૨૨, માગશર સુદ ૧૨, રવિવાર) એ કૃતિઓના કર્તા. કવિની કૃતિઓમાં હિંદી-રાજસ્થાની ભાષાનું તત્ત્વ નોંધપાત્ર છે. સુજ્ઞાન-સાગરની નામછાપવાળું હિંદી-રાજસ્થાની ભાષાનું ૬ કડીનું ‘સમસ્યા બંધ-સ્તવન’ મળે છે. તે આ કવિની કૃતિ હોવાનો સંભવ છે. આ કૃતિ ભૂલથી જ્ઞાનસાગરશિષ્યને નામે નોંધાયેલી છે. કવિનો ઉલ્લેખ જ્ઞાનસાગર તરીકે પણ ક્યાંક થયેલો છે. કૃતિ : જૈગૂસારત્નો : ૨ (+સં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. લીંહસૂચી[કા.શા.]

સુજ્ઞાનસાગર-૨ [ઈ.૧૭૮૪માં હયાત] : જૈન સાધુ. આગમસાગરના શિષ્ય. ૫ કડીનું ‘શત્રુંજય-સ્તવન’ (ર.ઈ.૧૭૮૪) અને ૫ કડીનું ‘વીર-સ્તવન’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]

‘સુડતાળોકાળ’ : જુઓ ‘પ્રેમપ્રકાશ’.

સુદર્શન [ ] : જૈન સાધુ. સત્યવિજ્યના શિષ્ય. ૫ કડીની ‘વીસ સ્થાનક તપની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. આનંદઘનકૃત ચોવીશી (અર્થયુક્ત તથા) વીશ સ્થાનક તપવિધિ, પ્ર. જૈન ધર્મ પ્રસારક સભા, સં. ૧૯૮૨; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. પૂજાસંગ્રહ (અર્થ અને વિવેચન સહિત), પ્ર. ધીરજલાલ પા. શ્રોફના પત્ની ભનીબહેન, ઈ.૧૯૩૬; ૪. જૈસમાલા(શા) : ૩. સંદર્ભ : દેસુરાસમાળા.[કી.જો.]

સુદામા [ ] : જ્ઞાતિએ બ્રાહ્મણ. ૨૪ કડીની ‘કૃષ્ણરાધાનો રાસ/રાધાજીનો શલોકો’ તથા હિંદીમાં રચાયેલી ૩૬ કડીની ‘બાવનઅક્ષર/કક્કો/બારાખડી’ (મુ.) એ કૃતિઓના કર્તા. તેઓ ઈ.૧૮૬૧ પૂર્વેે હયાત હોવાનું અનુમાન છે. કૃતિ : ૧. બૃહત્ ભજનસાગર, સં. પંડિત કાર્તાંતિક અને દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૨. ભાસાસિંધુ. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. ડિકૅટલૉગબીજે. [કી.જો.]

‘સુદામાચરિત્ર/સુદામાજીના કેદારા’ : ભાગવતની સુદામાકથાને ગુજરાતી કવિતામાં પહેલી વખત વિષય તરીકે લઈ પદમાળા રૂપે ઝૂલણાબંધમાં રચાયેલી નરસિંહ મહેતાની ૮ પદની આ કૃતિ(મુ.)માં મૂળ કથાના વિચારતત્ત્વને અનુસરવાનું વલણ વિશેષ છે. ભાગવતની જેમ ઈશ્વરની ભક્તવત્સલતાનો મહિમા કરવો એ જ અહીં કવિનું લક્ષ છે તો પણ આ કૃતિમાં સુદામાની સંકોચશીલતા અને કૃષ્ણસુદામાના મૈત્રીસંબંધને મૂળ કથા કરતાં વધારે ઉઠાવ મળ્યો છે. મુખ્યત્વે પાત્રોના ઉદ્ગાર રૂપે ચાલતી આ કૃતિમાં પાત્રના ભાવ અને વિચાર ઉપસાવવા તરફ કવિનું લક્ષ વિશેષ ને કથનવર્ણન તરફ ઓછું છે, તો પણ “અંગોઅંગ કમકમે, ધમણ મોંએ ધમે; ગ્રસિત ઝરવાળિયે નાક લોહતો” જેવી સુદામાના દેહને કે “કનકની ભૂમિ ને વિદ્રુમના થાંભલા” જેવી સુદામાના ઘરની સમૃદ્ધિને આલેખતી ચિત્રાત્મક પંક્તિઓમાં કવિની વર્ણનકૌશલની શક્તિ દેખાય છે. ૯ પદની વાચનાવાળી પણ આ કૃતિ મુદ્રિત સ્વરૂપ મળે છે, પરંતુ એમાં આઠમું પદ ક્ષેપક હોવાની માન્યતા સાચી જણાય છે.[જ.ગા.]

‘સુદામાચરિત્ર’ : ભાગવતના દશમસ્કંધના ૮૦-૮૧મા અધ્યાયોમાં નિરૂપાયેલી શ્રીકૃષ્ણના શાલેય મિત્ર શ્રીદામ (સુદામા)ની કથા પ્રેમાનંદે રસિક આખ્યાન રૂપે ખીલવી છે. ભારતની ઘણી ભાષાઓમાં અને ગુજરાતીમાં પણ અનેક કવિઓએ એ ગાઈ છે. સુદામાનો વેશ સારો ન હોઈ દક્ષિણની ભાષાઓમાં ‘કુચેલ’-ઉપાખ્યાન તરીકે તે ઉલ્લેખાઈ છે. ઋષિપત્ની પતિને શ્રીકૃષ્ણ પાસે દ્વારકા મોકલે છે, ભેટમાં તાંદૂલની પોટકી છોડવા વખતે ઋષિ સંકોચ અનુભવે છે, શ્રીકૃષ્ણ મુલાકાતને અંતે પ્રત્યક્ષ કશું આપતા નથી, પોતાને ત્યાં પાછા વળે છે ત્યારે ઋષિ ભાગ્યપલટો થયેલો જુએ છે-એ પ્રસંગો અને ઋષિના તે તે વખતના પ્રતિભાવો અંગે કેટલુંક પાયાનું મળતા-પણું બધાં નિરૂપણોમાં હોવા છતાં કથા આખા સંદર્ભની વૈયક્તિકતા ખિલવવા ઘણો અવકાશ આપનારી છે અને પ્રેમાનંદે એનો પૂરતો લાભ લઈને એક સુરેખ આખ્યાન નિપજાવ્યું છે. આરંભનાં પાંચ, અંતે નિર્વહણનાં ત્રણ જેટલાં અને વચ્ચેનાં દ્વારકામાં પ્રવેશ્યા અને ત્યાંથી નીકળ્યાં તેના છ કડવાં (અને થોડીક કડીઓ)માં થયેલું ચૌદ કડવાંનું વિભાજન સંઘેડાઉતાર ઘાટ આપે છે, જે એના આકર્ષણનું એક મુખ્ય કારણ રહ્યું છે. વચલો દ્વારકાનો ખંડ ‘મિત્ર’ માધવ સાથેના સખ્યના આનંદઊંડાણને તાગે છે અને એટલોક સમય સુદામાની એક વિશુદ્ધ-વરિષ્ઠ મૂર્તિને ઉઠાવ મળે છે. ગુજરાતીમાં નરસિંહ મહેતા, સોમ, ભાલણ, (‘દશમસ્કંધ’માં) દામોદરસુત જગન્નાથ, ધનદાસસુત સુંદર, મોતીરામ આદિએ સુમાદાચરિત આપ્યું છે. નરસિંહ, ભાલણ અને પ્રેમાનંદ કૃષ્ણનો સુદામાના મિત્ર તરીકે ઉલ્લેખ કરીને ભાગવતમાંના ‘સૌહૃદસખ્યમૈત્રી’ના ભાવને સવિશેષ ઘૂંટે છે. નરસિંહ અને સોમ સુદામા અને ઋષિપત્નીના સંવાદને સુપેરે ખીલવે છે. પ્રેમાનંદ જે રંગ ઉમેરે છે તે છે સ્ત્રીને યથાર્થ પરિસ્થિતિનો સામનો કર્યા વગર છૂટકો નથી તે કારમી વીગતના આલેખનનો. ‘એ તો જ્ઞાન મને ગમતું નથી રે’ - ત્યાં સ્ત્રીને ‘જ્ઞાન’નો તિરસ્કાર છે એવું નથી. ‘રુએ બાળક, લાવો અન્ન’ એ હકીકત એને કેવળ ‘જ્ઞાન’માં ડૂબી જતાં રોકે છે. ‘અન્ન વિના ધરમ સૂઝે નહીં... ઊભો અન્ને સઘળો સંસાર’ આ યથાર્થતાનો સ્ત્રીએ સ્વીકાર કરવાનો રહે છે એ સાંસારિક જીવનની કરુણતાની મીંડ પ્રેમાનંદના ગાનને વિશેષતા અર્પે છે. ઋષિપત્નીની છબી જેટલી સુરેખ ઊપસી છે તેવી ઋષિની ઊપસવા પામી નથી. દ્વારકા જતા સુદામાનું ચિત્ર ઋષિને ભોગે, હાસ્યપ્રેરક માત્ર નહીં, હાસ્યાસ્પદ બને છે, એમાં હજી બાહ્ય, શારીરિક, વેષભૂષા-વિષયક દારિદ્રમૂલક વીગતો કારણભૂત છે. પણ દ્વારકા છોડ્યા પછી ‘મૂળગા મારા તાંદૂલ ગયા!’ અને કૃષ્ણે પોતે સેવાસરભરા કરી તે ‘લટપટ કરી મારા તાંદૂલ લેવા’ એવી એમની આરોપાત્મક, ભલેને ક્ષણજીવી, ટીકા એમના મનની કૃપણતા ખુલ્લી કરનારી છે. વતન પાછા ફર્યા પછી ઝૂંપડીને બદલે ‘એક મુષ્ટિ તાંદુલે’ આણેલા મહેલાતના વૈભવ વચ્ચે ઋષિનું સુરેખ ચિત્ર આપવા જતાં વળી કવિની કલમે એમની ગરવાઈ અળપાઈ છે, નવા આવાસમાં જવા તેડતી-વધાવતી પત્ની અને સહેલીઓ પ્રત્યે ‘પાપણીઓ તમને પરમેશ્વર પૂછશે’ એવો ઋષિનો પ્રત્યાઘાત કવિની હાસ્યની હથોટીને અપરસ સુધી જાણે કે તાણી જાય છે. સુદમા અંગે કદાચ મૂળ ભાગવતની કથામાં જ મુશ્કેલી છે. સખ્યભક્તિનો નમૂનો આપતાં, ભાગવતકારે ઋષિકુટુંબને શ્રીકૃષ્ણના પ્રાસાદરૂપે જેને ‘જાડો’ રોટલો કહે છે એટલાનો સધિયારો મળ્યાનું નિરૂપણ કર્યું હોત તો પૂરતું હતું. ઝૂંપડીવાસીને વૈભવવિલાસભર્યા મહેલમાં મૂકવાની કોઈ અનિવાર્ય જરૂર ન હતી. કૃતિના આરંભમાં “મન જેનું સંન્યાસી” એવું સુદામાનું વર્ણન અથવા અંતે “વેશ રાખે ભોગનો પણ સદા પાળે સંન્યાસ” એવું વર્ણન પ્રેમાનંદ આપે છે તે વાચ્ય કોટિનું રહી જાય છે, ખરેખર ઋષિની એવી દશા વર્તે છે એવી પ્રતીતિ કરાવનારું નથી. આખ્યાન દ્વારકામાં બે મિત્રોના ભાવસઘન મિલનનો સખ્યભાવે સાયુજય-અનુભવ કરતા જીવાત્મા-પરમાત્માના મિલનનો નિર્દેશ કરતાં વચલાં કડવાંમાં મૈત્રીકાવ્ય તરીકે દીપી ઊઠે છે. આખી કૃતિમાં વર્ણનની, ચિત્રાંકનની કળાનો પદેપદે પરિચય થાય છે. “વેરાણા કણ ને પાત્ર ભરાણું”માં સોનાથાળીમાં પોટલીના પૌંઆ પડતાં થતો રણકાર પ્રત્યક્ષ થાય છે. વતનની ઝૂંપડીએ પગ તો લઈ આવ્યા પણ ઋષિ “ધામ દેખી ભૂલો પડ્યો”-એમાં પોતાના ઘરની શેરીએ પહોંચનારનું ભૂલા પડેલા તરીકે વર્ણન એ એક રમ્ય વકોકિત છે. ‘દશમસ્કંધ’ના પોતાના ગુજરાતી રૂપાન્તરમાં ૪૫મા અધ્યાયમાં મૂળ ભાગવતમાં નથી તે વડા નિશાળિયા સુદામા સાથેનો પ્રસંગ બહેલાવીને પ્રેમાનંદે ગાયો છે. ‘દશમસ્કંધ’ અધૂરો રહ્યો, નહીં તો એંશી-એક્યાશીમા અધ્યાયમાં એમના હાથે સુદામાના પાત્રની ખીલવણી કેવી થાત-પોતાના ‘સુદામાચરિત્ર’ને અનુસરતી એ હોત કે ભાગવત પ્રમાણેની કાંઈક વધુ ગૌરવયુક્ત ભક્તની હોત-તે જોવા મળત. નોંધવું જોઈએ કે ભાલણ જેવા સુકવિના ‘દશમસ્કંધ’નાં ‘સુદામા-ચરિત્ર’નાં કડવાંમાં લગભગ પ્રેમાનંદના સુદામાની યાદ આપે એવી મૂર્તિ રજૂ થઈ છે. સુરેખ વર્ણનો અને ચિત્રો, રસાળ બાની અને લય અને ‘તને સાંભરે રે’-‘મને કેમ વીસર રે’માં ધબકતી મિત્રગોઠડીની સહૃદયતા અને ચારુતાને કારણે ‘સુદામાચરિત્ર’ યોગ્ય રીતે જ એક અત્યંત લોકપ્રિય શિષ્ટ કૃતિનું સ્થાન મેળવી ચૂક્યું છે.[ઉ.જો.]

‘સુદામાપુરી’ [ર.ઈ.૧૫૬૫/સં.૧૬૨૧ માગશર સુદ ૧૫] : અગિયારશે આરંભાઈ પૂનમે પૂરી થયેલી ૧૦ કડવાંની આ કૃતિ કૂંઅરદાસ(?)ને નામે મુકાયેલી છે તેમ જ એના કર્તા નાકર હોવાની સંભાવના પણ થયેલી છે. પરંતુ કાવ્યની છેલ્લી પંક્તિ “રાએએ કવીસ વીપ્ર એમ બે(બો)લ્યા કીજે જન ક(કે)રું દાસો રે” એમ મળે છે તેથી પોતાને ‘કવીસ’ ગણાવતા કોઈ અજ્ઞાત વિપ્ર કવિની કૃતિ હોય એમ સમજાય છે.[જ.કો.]

સુધનહર્ષ : જુઓ ધનહર્ષ-૧.

સુધાનંદ(સૂરિ) શિષ્ય [ ] : જૈન સાધુ. ૩૮ કડીની ‘ઇડરગઢ-ચૈત્યપરિપાટી’(મુ.)ના કર્તા. કૃતિ : જૈનયુગ, મહા, ફાગણ, ચૈત્ર ૧૯૮૬-‘ઇડરગઢ ચૈત્યપરિપાટી’, મોહનલાલ દ. દેસાઈ. [કી.જો.]

સુધાભૂષણશિષ્ય [ઈ.૧૪૪૯ આસપાસ] : સોમસુંદરસૂરિ-મુનિસુંદરસૂરિની પંરપરામાં તપગચ્છના જૈન સાધુ. ૨૦ કડીના ‘ગૌતમપૃચ્છા પ્રકરણ-બલાવબોધ’ (ર.ઈ.૧૪૪૯ આસપાસ)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’માં આ કૃતિ જિનસૂર(?)ને નામે અને અન્ય સૂચિઓમાં સુધાભૂષણને નામે નોંધાઈ છે, પરંતુ ખરેખર એ સુખાભૂષણશિષ્યની છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

સુધાસમુદ્ર [ઈ.૧૭૯૬ સુધીમાં] : જૈન સાધુ. ‘અષ્ટપ્રકારીપૂજા’ (લે.ઈ.૧૭૯૬)ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [કી.જો.]

સુબુદ્ધિવિજ્ય [ ] : જૈન સાધુ. ગુલાબવિજ્યના શિષ્ય. ‘મગસીજી પાર્શ્વ દશભવ-સ્તવન’ (અપૂર્ણ)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]

સુભદ્ર(?) [ઈ.૧૬૨૭માં હયાત] : જૈન. ‘રાજસિંહ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૭/સં.૧૬૮૩, જેઠ સુદ ૧૧)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]

સુમતિ(વાચક) : આ નામે ૧૧ કડીનું ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ મળે છે તેના કર્તા કયા સુમતિ-છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : લીંહસૂચી. [ર.ર.દ.]

સુમતિ(મુનિ)-૧ [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. હર્ષદત્તના શિષ્ય. ‘અગડદત્ત-રાસ’ (ર.ઈ.૧૫૪૫/સં.૧૬૦૧, કારતક સુદ ૧૧, રવિવાર) તથા ૧૭૪ કડીની ‘નમયા/સુંદરી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૬)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. ડિકૅટલૉગભાવિ; ૫. રાપુહસૂચી : ૪૨; ૫. રાહસૂચી : ૧; ૬. લીંહસૂચી. [ર.ર.દ.]

સુમતિકમલ [ ] : તપગચ્છના જૈન સાધુ. હંસરત્નસૂરિના શિષ્ય. ૧૦ કડીની ‘સામયિક-પોસાફલ-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

સુમતિકલ્લોલ : આ નામે ૧૩ કડીનું ‘શંખેશ્વરપાર્શ્વનાથલઘુ-સ્તવન’ મળે છે. આ કયા સુમતિકલ્લોલ છે તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્ય કી વિશાલતા’, અગરચંદ નાહટા. [ર.ર.દ.]

સુમતિકલ્લોલ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. ‘શુકરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, ચૈત્ર-૧૦), ‘શ્રીપાલપ્રબંધ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, ભાદરવા વદ ૬), ૧૦૯ કડીની ‘મૃગાપુત્ર-સંધિ’ (ર.ઈ.૧૬૦૭/સં.૧૬૬૩, આસો વદ ૧૧(?)), ‘ગીત-સંગ્રહ’ (૧ ગીત મુ.) તથા સંસ્કૃતમાં ‘સ્થાનાંગસૂત્ર-વૃત્તિગાથા-વિવરણ’ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. યુજિનચંદ્રસૂરિ;  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સુમતિકીર્તિ(સૂરિ)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : દિગંબરપંથી સરસ્વતીગચ્છના જૈન સાધુ. લક્ષ્મીચંદ-વીરચંદની પરંપરામાં પ્રભાચંદના શિષ્ય. ૩૫ ગ્રંથાગ્રના ‘ધર્મપરીક્ષા-રાસ’ (ર.ઈ.૧૫૬૯/સં.૧૬૨૫, માગશર સુદ ૨), ‘ત્રૈલોક્યસાર-ચોપાઈ/ધર્મધ્યાન-રાસ’ (ર.ઈ.૧૫૭૧) તથા લોંકામત નિરાકરણ-ચોપાઈ (ર.ઈ.૧૫૭૧/સં.૧૬૨૭, ચૌત્ર સુદ ૫) નામની કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. રાહસૂચી : ૧. [ર.ર.દ.]

સુમતિકીર્તિ(સૂરિ)-૨ [ઈ.૧૭૦૬માં હયાત] : સંભવત: સુધર્મગચ્છના જૈન સાધુ. વિનયદેવસૂરિની પરંપરામાં જ્ઞાનકીર્તિસૂરિના શિષ્ય. પ્રાકૃત ‘દિવાળી કલ્પ’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૭૦૬/સં.૧૭૬૨, કારતક સુદ ૮, રવિવાર; સ્વલિખિત હસ્તપ્રત)ના કર્તા. સંદર્ભ : ઐરાસંગ્રહ : ૩. [ર.ર.દ.]

સુમતિપ્રભ(સૂરિ)/સુંદર-૧ [ઈ.૧૭૬૫માં હયાત] : વડગચ્છના જૈન સાધુ. સુખપ્રભસૂરિના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૬૫/સં.૧૮૨૧, કારતક સુદ ૫; અંશત: મુ.)ના કર્તા. કૃતિ : જૈગૂસારત્નો : ૨. સંદર્ભ : ૧. જૈગૂસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]

સુમતિપ્રભ-૨ [ઈ.૧૭૬૬માં હયાત] : પિંગલગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિની પરંપરામાં પુણ્યસાગર-સુખપ્રભના શિષ્ય. ૪૮ ઢાળની ‘અજાપુત્ર-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૭૬૬/સં.૧૮૨૨, વૈશાખ સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સુમતિમાણિક્ય [ઈ.૧૫૭૧ સુધીમાં] : જૈન. ૬૫ કડીની ‘ઋષિદત્તા-સઝાય/રાસ’ (ર.ઈ.૧૫૭૧)ના કર્તા. સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સુમતિરત્નશિષ્ય [ ] : જૈન. ‘શાંતિજિન-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

સુમતિરંગ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં ચંદ્રકીર્તિના શિષ્ય. ‘યોગશાસ્ત્ર ભાષાપદ્ય’ (ર.ઈ.૧૬૬૪/સં.૧૭૨૦, આસો સુદ ૮), ‘જ્ઞાનકલા/મોહવિવેક-ચોપાઈ/પ્રબોધચિંતામણિ-રાસ’ (ર.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, આસો સુદ ૧૦), ‘હરિકેસીસાધુ-સંધિ’ (ર.ઈ.૧૬૭૧/સં.૧૭૨૭, શ્રાવણ સુદ ૧), ‘જંબૂસ્વામી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૩/સં.૧૭૨૯, અસાડ વદ ૮), ૩૦૦ ગ્રંથાગ્રની ‘ગોડીપાર્શ્વનાથ-સંબંધ-ચોપાઈ’, ‘ચોવીસી-સવૈયા’, ૭ ઢાળની ‘જિનમાલિકા’, ૩૫ કડીની ‘કીર્તિરત્નસૂરિ(ઉત્પત્તિ)-છંદ’ (મુ.) તથા ૨ કડીની ‘ચંદ્રકીર્તિકવિત’(મુ.)-એ કૃતિઓના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. જૈસાઇતિહાસ;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. કૅટલૉગપુરા; ૬. જૈગૂકવિઓ : ૨, ૩(૨). [ર.ર.દ.]

સુમતિવર્ધન [ઈ.૧૮૨૩માં હયાત] : જૈન સાધુ. વિનીતસુંદરના શિષ્ય. ‘સપ્તતિકા ષષ્ઠકર્મ ગ્રંથયંત્ર’ (ર.ઈ.૧૮૨૩) તથા ‘પ્રથમ-કર્મગ્રંથયંત્ર’, ‘જીવવિચારયંત્ર’ તેમ જ ‘નવતત્ત્વયંત્ર’ના કર્તા. આ કૃતિઓમાં કોઈક નામભેદે એક જ હોવાની સંભાવના છે, પરંતુ એ વિશે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

----સુમતિવલ્લભ [ઈ.૧૬૬૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનધર્મસૂરિના શિષ્ય. ‘જિનસાગરસૂરિ-નિર્વાણ-રાસ/શ્રીનિર્વાણ-રાસ’ (ર.ઈ.૧૬૬૪/સં.૧૭૨૦, શ્રાવણ સુદ ૧૫; મુ.)ના કર્તા. ‘ગુજરાતના સારસ્વતો’માં ભૂલથી આ કૃતિ સુમતિવિલાસને નામે નોંધાઈ છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨). [ર.ર.દ.]

સુમતિવિજ્ય : આ નામે ૨૪ કડીની ‘ઉપાધિમત ગુરુલોપીનર-સઝાય’(લે.સં.૧૭મી સદી અનુ.), ‘જિન-ચોવીસી’ (લે.સં. ૧૮મી સદી અનુ.; અપૂર્ણ), ઉપરાંત કેટલાંક સઝાય-સ્તવનો(મુ.) મળે છે. આ સુમતિવિજ્ય કયા તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સુમતિવિજ્ય-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જિનરાજસૂરિની પરંપરાના ખરતરગચ્છીય સાધુ. ૬ કડીના ‘જિનરાજસૂરિ-ગીત’(મુ.)ના કર્તા. કૃતિ જિનરાજસૂરિના શાસનકાળ (ઈ.૧૬૧૮-૧૬૪૩) દરમ્યાન રચાઈ હોવાનું લાગે છે. તો કવિ ઈ.૧૭મી સદી પૂર્વાર્ધમાં થયા હોય એમ કહી શકાય. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨-‘જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ.’ [ર.ર.દ.]

સુમતિવિજ્ય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : વડતપગચ્છના જૈન સાધુ. રત્નકીર્તિસૂરિના શિષ્ય. ‘રાત્રિભોજન-રાસ’ (ર.ઈ.૧૬૬૭), ૯ ઢાળ ને દુહાની ૧૪૭ કડીની ‘રત્નકીર્તિસૂરિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૩/સં.૧૭૩૯, અસાડ સુદ ૭, બુધવાર; મુ.) તથા ૪ કડીના ગીતના કર્તા. કૃતિ : ઐજૈકાસંચય. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]

સુમતિવિજ્ય-૩[ ] : તપગચ્છના જૈન સાધુ. યશોવિજ્યશિષ્ય-ગુણવિજ્યના શિષ્ય. ૫ ઢાળના ‘દીક્ષાકલ્યાણકવર્ણનાત્મક શ્રી મહાવીરજિન-સ્તવન’(મુ.) તથા હિંદી કૃતિ ‘અધ્યાત્મવલોણું’ (મુ.)ના કર્તા. કૃતિ : જિસ્તકાસંદોહ : ૨ (+સં.). [ર.ર.દ.]

સુમતિવિમલ : આ નામે ૯ કડીનો ‘નેમિનાથ-ભાસ’ (લે.સં. ૧૭મી સદી અનુ.), ૧૧ કડીનું ‘ઋષભદેવ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.), તથા ૯ કડીનું ‘જિનસુખસૂરિ-ગીત’(મુ.) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા સુમતિવિમલ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

સુમતિસાગર : આ નામે ‘કુમતિસંઘટન-રાસ’ (ર.ઈ.૧૭૬૨), ‘ચૈત્યવંદન વિચારગર્ભિત મહાવીર સ્વામી સ્તવન આદિ’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ૬-૬ કડીના હિન્દીની છાંટવાળાં બે સ્તવનો(મુ.) મળે છે. તેમના કર્તા કયા સુમતિસાગર છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : જૈકાપ્રકાશ : ૧. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સુમતિસાગર(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૬૨૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં પુણ્યપ્રધાનના શિષ્ય. ૧૨ કડીની ‘સિદ્ધાચલ-સ્તવન’ (ર.ઈ.૧૬૨૯/સં.૧૬૮૫, ફાગણ વદ ૧૪)ના કર્તા. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [ર.ર.દ.]

સુમતિસાગર(સૂરિ)શિષ્ય [ ] : જૈન સાધુ. ૫૪ કડીની ‘ચરણકરણ-છત્રીસી’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]

સુમતિસિંધુર [ઈ.૧૬૪૦માં હયાત] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિની પરંપરામાં સોમજ્યસૂરિના શિષ્ય. ઓસવંશીય સોની. ઈશ્વર ધનરાજે ઇડરમાં બંધાવેલ ધવલ મંદિરની અજિતનાથની પ્રતિમાના પ્રતિષ્ઠામહોત્સવનું વર્ણન કરતી ૩૮ કડીની ‘ઇડરગઢ-ચૈત્યપરિપાટી’(મુ.)ના કર્તા. ઇડરગઢના દેવમંદિરમાં ઈ.૧૪૭૭માં મૂર્તિપ્રતિષ્ઠાનનો મહોત્સવ થયો ત્યાર પછી તરત આ કૃતિની રચના થઈ લાગે છે. એટલે કર્તા ઈ.૧૫મી સદીના ઉત્તરાર્ધમાં વિદ્યમાન હોવાનું કહી શકાય. આ કૃતિ સુમતિસુંદરશિષ્યે રચી હોવાની પણ સંભાવના છે. કૃતિ : જૈનયુગ, મહા-ફાગણ-ચૈત્ર, ૧૯૮૫-‘ઈડરગઢ ચૈત્યપરિપાટી’, મોહનલાલ દ. દેશાઈ. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સુમતિસુંદર-૨ [ઈ.૧૫૯૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ધર્મનિધાન ઉપાધ્યાયના શિષ્ય. ‘શાંતિ-સ્તવન’ (ર.ઈ.૧૫૯૪/સં.૧૬૫૦, કારતક સુદ ૧૩) તથા અન્ય કેટલીક નાની કૃતિઓના કર્તા. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [ર.ર.દ.]

સુમતિસુંદર(સૂરિ)શિષ્ય [ ] : તપગચ્છના જૈન સાધુ. ૩૭ કડીની, તેમાં ઉપયોગમાં લેવાયેલાં રાસ, અઢૈઉ, આંદોલા વગેરે દેશીઓ તથા માલિની, શાર્દૂલવિક્રીડિત, ગીતિકા એ સંસ્કૃત વૃત્તોને લીધે ચિત્તાકર્ષક બનતી ‘સુમતિસુંદરસૂરિ રાજાધિરાજ રસસાગર-ફાગુ’(મુ.)ની રચના તેમણે કરી છે. કૃતિ : પંદરમા શતકનાં ચાર ફાગુકાવ્યો, સં. કાંતિલાલ બ. વ્યાસ, ૧૯૫૫. સંદર્ભ : સંબોધિ, એપ્રિલ ૧૯૮૧, જાન્યુ ૧૯૮૨, ‘કયા સુમતિસુંદરસૂરિ ઔર સુમતિસાધુસૂરિ એક હૈં?’, અગરચંદ નાહટા.[કી.જો.]

સુમતિહંસ-૧ [ઈ.૧૬૩૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં હર્ષકુશલના શિષ્ય. ‘મેઘકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૦/સં.૧૬૮૬, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૧. [ર.ર.દ.]

સુમતિહંસ(ઉપાધ્યાય)-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષના શિષ્ય. ‘ચંદનમલયાગિરિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૫/સં.૧૭૧૧, ચૈત્ર સુદ ૧૫), ૩૫ કડીની ‘કરમ-પચીસી’ (ર.ઈ.૧૬૫૫; મુ.), ‘વૈદર્ભી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૭/સં.૧૭૧૩, કારતક સુદ ૧૪) તથા ‘રાત્રિભોજન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૭/સં.૧૭૨૭, માગશર વદ ૬, બુધવાર)ના કર્તા. કૃતિ : ૧. જૈસસંગ્રહ(જૈ); ૨. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]

સુર/સુરજી : ‘સુર’ને નામે ‘મહાવીર નિશાલ ગરણું પદ’, કોરંટગચ્છીય ‘સુરને’ નામે ૬૪ કડીની ‘વિચાર ચોસઠી’ એ જૈન કૃતિઓ, ૬ કડીની ‘કૃષ્ણવિષ્ટિ’ એ જૈનેતર કૃતિ તથા સુરજી શાહને નામે ‘આદિત્યવ્રતકથા’ (લે.ઈ.૧૮૧૫) મળે છે. તેમના કર્તા કયા સુર/સુરજી છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સુર(ભટ) [ઈ.૧૬૪૮માં હયાત] : આખ્યાનકાર. કલોલી ગામના રૈકવ બ્રાહ્મણ. પિતા નારાયણ ભટ. તેમણે રચેલા ૨૨ કડવાંના ‘સ્વર્ગારોહણી’ (ર.ઈ.૧૬૪૮/સં.૧૭૦૪ જેઠ ૧૨, ગુરુવાર; મુ.)ના પ્રારંભનાં ૯ કડવાંમાં કળિયુગનો મહિમા વર્ણવ્યો છે, જે સ્વતંત્ર રૂપે પણ મુદ્રિત થયો છે. બીજુ ‘વિરાટપર્વ’ (ર.ઈ.૧૬૬૮)નામનું કાવ્ય સુર ભટને નામે મળે છે તે સમય દૃષ્ટિએ કે વિષયની દૃષ્ટિએ આ કવિનું હોય. કદાચ આ કવિ ગાયક હોય અને કૃતિ બીજા કોઈ કવિની હોય એવું પણ સંભવિત છે. કૃતિ : ૧. સ્વર્ગારોહિણી, સં. જયશંકર મ. જોશી, ઈ.૧૯૨૨; ૨. નકાદોહન. સંદર્ભ : ૧. કવિરચિત : ૧-૨; ૨. ગુસામધ્ય; ૩. પાંગુહસ્તલેખો; ૪. પ્રાકકૃતિઓ;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૬. ગૂહાયાદી; ૭. ડિકૅટલૉગબીજે; ૮. ફાહનામાવલિ : ૨; ૯. ફૉહનામાવલિ. [ચ.શે.]

સુરકલીઆ [ ] : ૨ પદ (મુ.)ના કર્તા. કૃતિ : નકાસંગ્રહ. [કી.જો.]

સુરચંદ : આ નામે ૨૪/૨૭ કડીની ‘સુકોશલઋષિ/મુનિ-સઝાય’ મળે છે. ‘વજ્રસ્વામીભાસ આદિ સ્તવન-સઝાય સંગ્રહ’માં સંગૃહિત સુરચંદની કૃતિઓમાં આ ‘સુકોશલઋષિ/મુનિ-સઝાય’ પણ હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]

સુરચંદ-૧[ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં વીરકલશના શિષ્ય. ૪૧ કડીની શૃંગારરસમાલા’ (ર.ઈ.૧૬૦૩/સં.૧૬૫૯, વૈશાખ સુદ ૩, બુધવાર), ૬૫ કડીનો ‘જિનસિંહસૂરિરાસ’ (ર.ઈ.૧૬૧૧), ‘ચાતુર્માસિકિ વ્યાખ્યાન-બાલાવબોધ/ચોમાસી-વ્યાખ્યાન’ (ર.ઈ.૧૬૩૮), ‘જિનદત્તસૂરિ-સ્તવન’ તથા ‘વર્ષ ફલાફલ જ્યોતિષ-સઝાય’ના કર્તા. આ ઉપરાંત એમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં અનુદિત ‘જૈન તત્ત્વસાર’ (ર.ઈ.૧૫૧૩/સં.૧૬૬૯, આસો સુદ ૧૫, બુધવાર) તથા ‘પંચતીર્થ શ્લેષાલંકાર’ (અપૂર્ણ) નામની સંસ્કૃત કૃતિઓ પણ રચી છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. રાહસૂચી : ૧; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સુરજી(મુનિ)/સુરસાગર [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : સંભવત: અંચલગચ્છના જૈન સાધુ. અમદાવાદના સંઘવી લીલાધરે અને તેના પુત્રે શત્રુંજ્યના સંઘ કાઢ્યા હતા એ ઐતિહાસિક પ્રસંગને વર્ણવતા ‘લીલાધર-રાસ (સંઘયાત્રા વર્ણન)’ (ર.ઈ.૧૬૬૫ પછી)ના કર્તા. સંઘયાત્રા સં. ૧૭૨૧, માગશર સુદ ૫ના દિવસે થઈ હતી એટલે આ કૃતિની રચના એ પછી થઈ હોય એમ કહી શકાય. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨). [ર.ર.દ.]

સુરદા(રાણી) [ ] : એમનું જ્ઞાનબોધનું ૧ પદ (મુ.) મળે છે. કૃતિ : પ્રાકાસુધા : ૩. [શ્ર.ત્રિ.]

સુરદાસ : આ નામે ‘શ્રીકૃષ્ણચરિત્ર’ અને કૃષ્ણભક્તિનાં ને જ્ઞાનબોધનાં પદ(મુ.) મળે છે. આ રચનાઓ સુરદાસ-૩ની હોઈ શકે, પરંતુ નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. પ્રાકાવિનોદ : ૧; ૨. બૃકાદોહન : ૭. સંદર્ભ : ફૉહનામાવલિ. [ચ.શે.]

સુરદાસ-૧[ઈ.૧૫૫૫માં હયાત] : સંભવત: સૌરાષ્ટ્રના હળિયાદના આખ્યાનકાર. પિતા હરિ/હરિહર ભટ્ટ. ગુરુ ધનંજય ભટ્ટ. ૨૮ કડવાંનું ‘પ્રહ્લાદાખ્યાન’ (ર.ઈ.૧૫૫૫/સં.૧૬૧૧, ભાદરવા વદ ૧૧, રવિવાર), ૨૩ કડવાંનું ‘ધ્રુવાખ્યાન’ તથા ૧૨ કડવાંનું ‘સગાળપુરી/શૃગાલપુરી/કર્ણવખાણ’(મુ.) એ કૃતિઓ તેમણે રચી છે. ‘મોહિનારાણીની લાવણી’ તથા ‘હોરી’ સૂરદાસ હરિલાલને નામે નોંધાયેલી મળે છે. તે આ કવિની હોવાની સંભાવના છે. કૃતિ : સઆખ્યાન (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય;  ૪. ગૂહાયાદી; ૫. ડિકૅટલૉગબીજે; ૬. ડિકૅટલૉગભાવિ; ૭. ફાહનામાવલિ : ૨. [ચ.શે.]

સુરદાસ-૨ [ઈ.૧૫૬૦માં હયાત] : જયદેવસુત. જ્ઞાતિએ તિલધ્વજ. વાલ્મીકિ રામાયણની કથાને સંક્ષેપમાં મૂકી ૩૨ કડવાંનું ‘રામાયણ’ (ર.ઈ.૧૫૬૦/સં.૧૬૧૬, પોષ સુદ ૫) તેમણે રચ્યું છે. રાવણ-મંદોદરી વચ્ચેનો સંવાદ, રામ-રાવણ યુદ્ધનું કે લંકાનું વર્ણન તેના ધ્યાનપાત્ર અંશો છે. સંદર્ભ : ૧. કાશીસુત શેધજી એક અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૪;  ૨. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી; ૩. હિન્દુમિલનમંદિર, વ. ૨૯ અં.૨-‘સૂરદાસનું રામાયણ’, દેવદત્ત જોશી.

સુરદાસ(મુનિ)-૩ [ઈ.૧૫૬૦માં હયાત] : દિગંબર જૈન સાધુ. ‘હણુ(માન) કથા’ (ર.ઈ.૧૫૬૦)ના રચયિતા. સંદર્ભ : પાંગુહસ્તલેખો.[ર.ર.દ.]

સુરદાસ-૪ [સં. ૧૭મી સદી ઉત્તરાર્ધ-સં.૧૮મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગુંસાઈજીના બીજા પુત્રોના ભક્તકવિઓમાંના એક. તેમણે પદોની (૧૫ કડીનું ૧ મુ.) રચના કરી છે કૃતિ : પુષ્ટિપ્રસાદી પ્ર. ગોવર્ધન સત્સંગ મંડળના વહીવટકર્તા ચંદ્રવદન મોહનલાલ શાહ, ઈ.૧૯૬૬ (બીજી આ.). સંદર્ભ : પુગુસાહિત્યકારો.[ચ.શે.]

સુરવિજ્ય [ઈ.૧૬૭૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સિદ્ધિવિજ્યના શિષ્ય. ૭૬૪ કડીના ‘રત્નપાલ-રાસ’ (ર.ઈ.૧૬૭૬)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

‘સુરશશી’ : જુઓ દેવચંદ્ર (ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ)-૫.

સુરસાગર-૧ : જુઓ સુરજી(મુનિ).

સુરસાગર-૨ [ઈ.૧૮૧૬ સુધીમાં] : જૈન. ‘જાંબવતી-ચોપાઈ’(લે.ઈ.૧૮૧૬)ના કર્તા. ‘જૈન ગુર્જર કવિએ’ આ કૃતિ ‘સૂરજી(મુનિ)ની ગણી છે, પરંતુ કૃતિના અંતે કવિનામછાપ સુરસાગર મળે છે. એટલે આ કર્તા સુરહજી(મુનિ)થી જુદા છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨); ૨. ડિકૅટલૉગભાઈ : ૧૯. [ર.ર.દ.]

સુરસૌભાગ્ય [ ] : જૈન સાધુ. ઉદયસૌભાગ્યસૂરિના શિષ્ય. ૨૧ કડીના ‘ચિંતામણિપાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. ઈ.૧૬૪૭માં વિદ્યમાન તપગચ્છના કોઈ સુરસૌભાગ્ય નોંધાયા છે તે અને આ સુરસૌભાગ્ય એક હોય તો આ કવિ ઈ.૧૭મી સદીમાં થયા હોવાનું કહી શકાય. પરંતુ નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

સુરેન્દ્રકીર્તિ(ભટ્ટારક) [ઈ.૧૬૮૧માં હયાત] : જૈન. ‘આદીશ્વર-સમોસરણ-રાસ’ (ર.ઈ.૧૬૮૧)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [ર.ર.દ.]

સુલતાન [ ] : ભગવદ્વિરહની વેદાનાને વ્યક્ત કરતા ૧ ભજન(મુ.)ના કર્તા. કૃતિ : સતવાણી. [કી.જો.]

સુલેમાન(ભગત)મહંમદ [ઈ.૧૬૯૯ પછી] : મુસ્લિમકવિ, કાયમુદ્દીન પીરના શિષ્ય. વતન સારોદ (તા. જંબુસર), પણ પછીથી વડોદરા પાસે અકોટા ગામે આવીને વસ્યા હતા. પ્રેમલક્ષણાભક્તિનું નિરૂપણ કરતા ચારથી ૮ કડીનાં ભજનો(મુ.)ના કર્તા. તેમણે ઉર્દૂભાષામાં લખાયેલા ‘નુરેરોશન’ (ર.ઈ.૧૬૯૯) ગ્રંથનો ગુજરાતીમાં ઉતારો કર્યો હતો. કૃતિ : ભક્તિસાગર, સંગ્રા. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯ (+સં.). [ર.ર.દ.]

સુવ્રત(ઋષિ) [ ] : તપગચ્છના જૈન સાધુ. વિશાલસોમસૂરિના શિષ્ય. ૨૦ ગ્રંથાગ્રની ‘મૌનએકદશીની સઝાય’ના કર્તા. સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. [કી.જો.]

સુંદર/સુંદરજી/સુંદરદાસ : સુંદરને નો ૫૬ કડીન ‘ઉદ્ધવ-ગીતા’(મુ.), ‘અષ્ટક’, ‘હમચી’, ‘હરિહરની આરતી’, ૧૫૫ કડીએ અધૂરી રહેલી ‘સુંદરવિલાસ’ તથા કૃષ્ણભક્તિને વૈરાગ્યબોધનાં પદો (૧૩ મુ.), સુંદરજીને નામે ‘૪૦ ડાહ્યા’(મુ.) ને ૧ પદ(મુ.) તથા સુંદરદાસને નામે પદો (કૃષ્ણભક્તિનાં ૪ મુ.)-એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા સુંદર/સુંદરજી/સુંદરદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. છંદરત્નાવલિ, સં. વિહારીલાલજી મહારાજ, ઈ.૧૮૮૫; ૨. નકાદોહન; ૩. પ્રાકાસુધા : ૩; ૪. ભજનિકકાવ્યસંગ્રહ, સં. શા. વૃન્દાવનદાસ કાનજી, ઈ.૧૮૮૮; ૫. ભજનસાગર : ૨. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે; ૩. ફૉહનામાવલિ. [ચ.શે.]

સુંદર(સેવક)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. યુગપ્રધાનજિનચંદ્રસૂરિશિષ્ય તિલકકમલજી (ઈ.૧૬૦૫)ના શિષ્ય. પદ્મહેમના જીવનચરિત્રને વિષય કરીને રચેલા ૧૩ કડીના ‘વા. પદ્મહેમ-ગીત’(મુ.)ના કર્તા. કૃતિમાં કર્તાનામછાપ ‘સેવકસુંદર’ મળે છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [કી.જો.]

સુંદર-૨ [ઈ.૧૬૭૮માં હયાત] : જૈન સાધુ. ધર્મરત્નના શિષ્ય. ‘સંગ્રહણીપ્રકરણ પરના સ્તબક’ (ર.ઈ.૧૬૭૮)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

સુંદર-૩ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : રામપુર પરગણાના ધાએતાપુર ગામના મેવાડા બ્રાહ્મણ. પિતાનામ ધનદાસ. તેઓ પ્રેમાનંદના શિષ્ય હતા એમ કહેવામાં આવ્યું છે, પરંતુ એ વાતને કોઈ આધાર નથી. પ્રેમાનંદના ૫૨મા અધ્યાયે ને ૧૬૫ કડવે અધૂરા રહેલા ‘દશમસ્કંધ’ને તેમણે પૂરો કર્યો એ એમનું મહત્ત્વનું કાર્ય છે. આ ૧૬૬થી ૨૦૦ કડવાં સુધીના ‘દશમસ્કંધ’ (ર.ઈ.૧૭૧૭ કે ૧૭૪૦; મુ.)માં કવિએ દરેક અધ્યાય એકએક કડવાનો રચ્યો છે અને આ રીતે દરેક અધ્યાયમાં એકથી વધુ કડવાં રચતા પ્રેમાનંદના ‘દશમસ્કંધ’થી એમની કૃતિ જુદી પડી જાય છે. પ્રેમાનંદના જેવી કવિત્વશક્તિ એમની કૃતિમાં જો કે નથી, તો પણ વેદસ્તુતિના કઠિનમાં કઠિન અધ્યાયને સરળ પદોમાં ઉતારવામાં તેમને મળેલી પ્રશસ્ય સફળતા તેમની સંસ્કૃતજ્ઞતાને સૂચવે છે. કૃતિ : ૧. પદબંધ શ્રીમદ્ ભાગવત : ૧-૨, સં. ઇચ્છારામ સૂ. દેસાઈ અને નટવરલાલ ઈ.દેસાઈ, ઈ.૧૯૬૦ (પાંચમી આ.) (+સં.); ૨. મહાકવિ પ્રેમાનંદ તથા બીજા આઠ કવિઓનાં સુદામાચરિત્ર, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૨૨ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પ્રાકકૃતિઓ;  ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગબીજે.[ચ.શે.]

સુંદર-૪ [ઈ.૧૭૩૫માં હયાત] : જૈન સાધુ. ૧૫ કડીની ‘નેમરાજુલની નવભવ-સઝાય’ (ર.ઈ.૧૭૩૫; મુ.)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’ કવિને લોંકાગચ્છના હોવાનું જણાવે છે પરંતુ મુદ્રિત કૃતિમાં ગચ્છનામ મળતું નથી. કૃતિ : જૈસસંગ્રહ(ન). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. લીંહસૂચી. [કી.જો.]

સુંદર-૫ [ઈ.૧૭૬૫માં હયાત] : જુઓ સુમતિપ્રભસૂરિ-૧ (સુખપ્રભસૂરિશિષ્ય)

સુંદરચંદ(પંડિત) [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ૭ કડીની ઐતિહાસિક તત્ત્વવાળી, વિજ્યક્ષમાસૂરિ વિશે સઝાય (મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૧-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, મુનિરાજ શ્રી કાંતિસાગરજી. [કી.જો.]

સુંદરજી(ગણિ)-૧ [ઈ.૧૭૩૯ સુધીમાં] : જૈન. પ્રાકૃત કૃતિ ‘જંબૂચરિત્ર’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૩૯)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨); [કી.જો.]

સુંદરજી-૨ [ઈ.૧૭૪૦માં હયાત] : મૂળ અમદાવાદી વડનગરા અભ્યંતર જ્ઞાતિના નાગર અને વડોદરાના વતની. પિતાનું નામ વિષ્ણુદેવ. કુળપરંપરામાંથી મળેલો વિદ્યાવ્યાસંગનો વારસો, એટલે સંસ્કૃતના સારા જ્ઞાતા. ૩૮ મીઠાં (કડવાં)માં રચાયેલી ‘સિંહાસન-બત્રીસી’ (ર.ઈ.૧૭૪૦/સં.૧૭૯૬, આસો વદ ૮, ગુરુવાર) એ એમની એકમાત્ર કૃતિ ઉપલબ્ધ થાય છે. પ્રાસઅનુપ્રાસ, અર્થના અલંકારોવાળી પ્રૌઢ શૈલીથી કાવ્ય ધ્યાન ખેંચે છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે.[ચ.શે.]

સુંદરબાઈ [સં. ૧૯મી સદી ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સ્ત્રીકવિ. ગોસ્વામી બાળક તરીકે તેઓ સંપ્રદાયમાં જાણીતાં હતાં. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [ચ.શે.]

સુંદરરત્ન [ ] : જૈન. ૩૧ કડીની ‘ઇલાચીપુત્ર-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

સુંદરરાજ [ઈ.૧૪૯૭માં હયાત] : જૈન. ‘ગજસિંહકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૪૯૭)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૧. [કી.જો.]

સુંદરવિજ્ય : આ નામે ૧૫ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન(ગોડી)’ (લે.સં.૧૮મી સદી અનુ.) અને ૨૩ કડીની ‘ગુણઠાણ-સઝાય’ (લે.સં.૧૮મી સદી) મળે છે તે સુંદરવિજ્ય-૧ છે કે અન્ય તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

સુંદરવિજ્ય-૧ [ઈ.૧૭૨૨માં હયાત] : જૈન સાધુ. અમરવિજ્યના શિષ્ય. ૭ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૨૨; મુ.)ના કર્તા. કૃતિ : શંસ્તવનાવલી (+સં.). [કી.જો.]

સુંદર(સૂરિ)શિષ્ય [ઈ.૧૪૫૭ સુધીમાં] : જૈન સાધુ. ૪૪ કડીના ‘વિમલમંત્રી-રાસ’ (લે.ઈ.૧૪૫૭), ૨૪ કડીની ‘દશ દૃષ્ટાંતની સઝાય’(મુ.) અને ૧૪ કડીની ‘પંચ પરમેષ્ટી ગુણવર્ણન-સઝાય/નવકાર-છંદ’ (મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. રત્નસાર : ૨, સં. હીરજી હંસરાજ, ઈ.૧૯૨૩; ૨. લોંપ્રપ્રકરણ. સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [કી.જો.]

v [ઈ.૧૭૨૫માં હયાત] : જૈન. રાજસ્થાની-ગુજરાતીમાં રચાયેલી ‘માનતુંગમાનવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૨૫)ના કર્તા. સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૪૨; ૨. રાહસૂચી : ૧. [કી.જો.]

સુંદરહંસ(ગણિ)(પંડિત)-૧ [ ] : લઘુ તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરની પરંપરામાં જિનસોમના શિષ્ય. ૨૩૫ કડીના ‘સિદ્ધાન્તવિચાર’ (લે.સં. ૧૭મી સદી)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

સુંદરહંસ-૨ [ ] : તપગચ્છના જૈન સાધુ. સુમતિસાધુસૂરીની પરંપરામાં હેમવિમલસૂરીના શિષ્ય. ૭ કડીની વિમલસૂરિની સઝાય’(મુ.) અને ‘પસત્થાવિચાર’ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૪-‘શ્રી સુંદરહંસકૃત હેમવિમલસૂરિ-સ્વાધ્યાય’, ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧, ૨).[કી.જો.]

સૂજી/સુજઉ [ઈ.૧૫૯૨માં હયાત] : સંભવત: લોંકાગચ્છના જૈન સાધુ. શ્રીમલ્લજીશિષ્ય રતનસિંહના શિષ્ય. ૬૮ કડીના ‘રત્નસિંહરાસ’ (ર.ઈ.૧૫૯૨/સં.૧૬૪૮, વૈશાખ વદ ૧૩)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

સૂરજ [ ] : અવટંકે ભટ્ટ. ૧૪ કડવાંના ‘વજ્રનાભના આખ્યાન’ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]

સૂરજરામ(મહારાજ) [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : નિરાંતસંપ્રદાયના જ્ઞાનમાર્ગી કવિ. વડોદરાના કરજણ તાલુકાના મેસરાડ ગામના રાયકવાડી બ્રાહ્મણ. નિરાંતશિષ્ય શામદાસના શિષ્ય. તેઓ નિરાંતસંપ્રદાયની મેસરાની ગાદી પર આચાર્ય બન્યા હતા. તેમણે સદ્ગુરુ ને ઇશ્વરમહિમાનાં પદો (૮ મુ.) રચ્યાં છે. કૃતિ : ગુમુવાણી. સંદર્ભ : ૧. નિરાંતકાવ્ય, સં. ગોપાળરામ ગુરુ દેવશંકર શર્મા, ઈ.૧૯૫૯;  ૨. ગૂહાયાદી.[દે.દ.]

સૂરજી ભાર્ગવ [ઈ.૧૬૬૪માં હયાત] : પુષ્ટિસંપ્રદાયના ભક્તકવિ. ગુજરાત અને બીજા પ્રદેશોમાં રહેતા ૬ હજાર જેટલા ભક્તોના નામોની યાદી આપતી ‘વલ્લભ રત્નરસાલ ભક્તરાજ-નામાવલી’ (ર.ઈ.૧૬૬૪) નામક કૃતિના કર્તા. સંદર્ભ : પુગુસાહિત્યકારો.[કી.જો.]

સૂરા(સાહ) [ઈ.૧૫૦૩ સુધીમાં] : જૈન શ્રાવક. ૨૮ કડીની ‘અંતરંગ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ વિનતિ’ (લે.સં. ૧૫૦૩; મુ.)ના કર્તા. કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ. ૧૯૮૦-‘શ્રાવક કવિઓની કેટલીક અપ્રગટ ગુજરાતી રચનાઓ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા.[ર.ર.દ.]

સૂર્યવિજ્ય-૧ [ ] : જૈન. મૃત્યુવિજ્યના શિષ્ય. હરિભદ્રસૂરિની પ્રાકૃત કૃતિ ‘મુણિવઇચરિત્ર’ પરના ટબાના કર્તા. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [કી.જો.]

સૂર્યવિજ્ય(પાઠક)-૨ [ ] : જૈન સાધુ. ૧૧ કડીની ‘જિનકુશલસૂરિ-ભાસ’ના કર્તા. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. ડિકૅટલૉગભાવિ. [કી.જો.]

સેવક(બાપો) [ ] : માતાના ભક્ત. ૧૩ અને ૨૮ કડીના માતાના ૨ ગરબા(મુ.) તથા ૨૪ કડીના માતાના ગરબા(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૨. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨; પ્ર. વિશ્વનાથ ગો. ત્રિવેદી, ઈ.૧૮૯૭.[ચ.શે.]

સેવકરામ [ ] : અમદાવાદના ભટ્ટ મેવાડા બ્રાહ્મણ. પિતા રૂપરામ. ઈ.૧૮૩૪થી ૧૮૬૮ દરમ્યાન તેઓ હયાત હતા એમ મનાય છે. તેઓ વૈષ્ણવ હોવાની સંભાવના પણ થઈ છે. ભાગવતના રાસપંચાધ્યાયીના પ્રસંગ પર આધારિત ૪૪ કડીના ગેય ઢાળમાં રચાયેલા ‘બંસી’ કાવ્ય પર નરસિંહનાં ‘રાસસહસ્ત્રપદી’નાં પદોની અસર વરતાય છે. એ સિવાય ‘વ્યાધનું આખ્યાન (ર.ઈ.૧૮૬૮?) તથા ‘દાસ’ ઉપનામ નીચે એમણે કટેલાંક પદોની રચના પણ કરી છે. કૃતિ : બૃકાદોહન : ૭ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી. [ચ.શે.]

સેવારામ [ ] : મોતીરામના શિષ્ય. પદ-ભજન (૨ મુ.)ના કર્તા. તેમણે હિંદીમાં પણ ભજનની રચના કરી છે. કૃતિ : ભજનસાગર : ૨.[કી.જો.]

સૈયદખાન [ઈ.૧૬મી સદી] : દેલમી ઉપદેશક પરંપરાના સૈયદ. સત્પંથ માર્ગના અનુયાયી. આખું નામ સઈદુદીન નૂરી નહાન અને પિતાનું નામ નુર મહમદ હતું. તેઓ ઇમામશાહના પૌત્ર થાય. સૂરત, બુરહાનપુર તથા મહારાષ્ટ્ર અને કર્ણાટકનાં ગામોમાં ફરી તેમણે ઘણાં હિંદુઓને સત્પંથ માર્ગના અનુયાયી બનાવ્યા હતા. અમદાવાદ પાસે આવેલા પીરાણામાં અવસાન. અવસાન ઈ.૧૫૭૨ની આસપાસ કે ઈ.૧૪૯૫માં થયું એવી માહિતી મળે છે, પરંતુ પહેલી માહિતી વધારે શ્રદ્ધેય જણાય છે. કવિને નામે મુદ્રિત રૂપે મળતાં ૩ ‘ગિનાન’નું કર્તૃત્વ એમનું જ છે કે કેમ તે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે. ઉર્દૂની અસર બતાવતાં ‘ગિનાન’નાં આ પદોમાં ભક્તિ ને સતબોધની પ્રબળતા છે. કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪ (+સં.). સંદર્ભ : ૧. ક્લેકટેનિયા : ૧, સં. ડબલ્યૂ ઇવાનોવ, ઈ.૧૯૪૮; ૨. (ધ) સેક્ટ ઑવ ઇમામશાહ ઇન ગુજરાત, ડબલ્યૂ. ઇવાનોવ, ઈ.૧૯૩૬ (અ.) [ર.ર.દ.]

‘સોન કાઠિયાણી ને હલામણ જેઠવોની ગીતકથા’ : સૌરાષ્ટ્રના બરડા-પ્રદેશના મોરાણું ગામધણીની પુત્રી સોન અને ધૂમલી નગરના હલામણ જેઠવાની પ્રેમકથાને નિરૂપતા આશરે ૯૫ જેટલા દુહા(મુ.) મળે છે. પોતે કરેલી સમસ્યાઓના ઉત્તર આપે એ પુરુષ સાથે લગ્ન કરવાં એવું સોને લીધેલું વચન, ધૂમલીના રાજા શિયાજીએ પોતાના ભત્રીજા હલામણની મદદથી સોનને આપેલા સાચા ઉત્તર, ધૂમલી આવેલી સોનને સાચી વાતની પડેલી ખબર, શિયાજીએ હલામણને આપેલો દેશવટો, સિંધ તરફ ગયેલા હલામણની સોને આદરેલી શોધ, બંનેનો મેળાપ થાય તે પહેલાં હલામણનું મૃત્યુ અને સોનની પણ એની પાછળ આત્મહત્યા એવો કથાતંતુ આ ગીતકથામાં વણાયો છે. સમસ્યાપૂર્તિમાંથી પ્રેમ એ આ કથાનો વિશિષ્ટ અંશ છે, જે મધ્યકાલીન પદ્યવાર્તાઓમાં જોવા મળે છે. કૉળેલા ઢળતા આંબાની નીચે નમતી ડાળ જેવું કે પાકેલી કેરી જેવા રંગવાળું સોનાના સૌંદર્યનું વર્ણન તાજગીસભર છે. કૃતિમાં મુકાયેલી પંદરેક જેટલી સમસ્યાપૂર્તિઓ મધ્યકાલીન પદ્યવાર્તાઓની યાદ અપાવે છે. ક્યાંક કથન રૂપે, ક્યાંક સોન, હલામણ કે અન્ય પાત્રોની ઉક્તિ રૂપે ચાલતા આ દુહા ભાષાના તળપદા સંસ્કારથી તાજગીવાળા બન્યા છે. કૃતિ : ૧. કાઠિયાવાડી સાહિત્ય : ૧-૨; કાહાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩; ૨. સોરઠી ગીતકથાઓ, સં. ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૯ (બીજી આ.). સંદર્ભ : મધ્યકાલીન પ્રેમકથાઓ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪. [જ.ગા.]

સોનીરામ : જુઓ રામ-૧.

સોમ : આ નામે પદ અને ૬ કડીની ‘રંભાશુક-સંવાદ’(મુ.) નામે જૈનેતર કૃતિ મળે છે. ભાષાસ્વરૂપના સામ્યને કારણે ‘રંભાશુક-સંવાદ’ સોમ-૧ની કૃતિ હોવાની સંભાવના વ્યક્ત થઈ છે. પદોના કર્તા કયા સોમ તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. સોમ(મુનિ)ને નામે ૬ કડીની ‘કરમસી સંથારા-ગીત’(મુ.) અને રાજસ્થાની-ગુજરાતીમિશ્ર ભાષામાં ‘જોગબત્રીસી’ (લે.સં.૧૮મી સદી) એ જૈનકૃતિઓ મળે છે. તેમના કર્તા પણ કયા સોમ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ. ૧૯૮૦-‘જૈનેતર પ્રાચીન ગુજરાતી કવિઓની કેટલીક અપ્રગટ રચનાઓ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. ફૉહનામાવલિ; ૨. રાપુહસૂચી : ૪૨; ૩. રાહસૂચી : ૧.[ર.ર.દ.]]

સોમ-૧ [ ] : ૭૧ કડીના ‘સુદામાસાર’ (મુ.)ના કર્તા. ભાષા પરથી કૃતિ ઈ.પંદરમી સદીમાં રચાઈ હોવાનું મનાયું છે. કૃતિ : મહાકવિ પ્રેમાનંદ તથા બીજા આઠ કવિઓનાં સુદામાચરિત્ર, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૨૨. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ; ૨. ફાત્રૈસમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૭-‘વીરસિંહકૃત ઉષાહરણ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા-પરિશિષ્ટ;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. ગૂહાયાદી.

સોમકીર્તિ [ ] : ‘પ્રદ્યુમ્નચરિત્ર’ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા. [ર.ર.દ.]

સોમકુશલ : આ નામે ૫૫ કડીનું ‘શાંતિનાથ જિન-સ્તવન’ (લે.ઈ.૧૭૮૮) મળે છે. તેના કર્તા કયા સોમકુશલ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સોમકુશલ-૧ [ઈ.૧૬૭૮ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં મેઘ/મહામુનિના શિષ્ય. ૨૧ કડીની ‘અવંતિ સુકુમાલમુનિ-સઝાય’ (લે.ઈ.૧૬૭૮)ના કર્તા. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સોમકુંજ/સોમકુંજર [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જયસાગર ઉપાધ્યાયના શિષ્ય. ૩૦ કડીની ‘ખરતરગચ્છ-પટ્ટાવલિ’ (ર.ઈ.૧૪૫૮થી ૧૪૭૫ની વચ્ચે; મુ.) તથા કેટલાંક આલંકારિક પદો (મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ;  ૨. *વિજ્ઞપ્તિત્રિવેણી. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ; ૩(૨). [ર.ર.દ.]

સોમચંદ્ર : આ નામે ૧૭ કડીના ‘નેમિજિન બારમાસા’ મળે છે. તેના કર્તા કયા સોમચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : લીંહસૂચી. [ર.ર.દ.]

સોમચંદ્ર-૨ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : નગેન્દ્રગચ્છના જૈન સાધુ. ગુણદેવસૂરિની પરંપરામાં ગુણરત્નસૂરિના શિષ્ય. પ્રાકૃત ભાષામાં પ્રથમ ૭ પદ્યો ધરાવતા ‘કામદેવકુંવર-રાસ’ (ર.ઈ.૧૪૬૪ની આસપાસ)ના કર્તા. ‘જૈન ગુર્જર કવિઓ’ હસ્તપ્રતના અક્ષરની સમાનતાના આધારે ‘સુદર્શન-રાસ’ (ર.ઈ.૧૪૬૪ આસપાસ) નામની કૃતિ પણ આ કર્તાને નામે નોંધે છે. પણ એ માટે હજી વધુ નક્કર આધારની જરૂર છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો;  ૩. દેસુરાસમાળા; ૪. મરાસસાહિત્ય;  ૫. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૧ અને જુલાઈ-સપ્ટે. ૧૯૭૨-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૬. જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]

સોમજય [ ] : તપગચ્છના જૈન સાધુ. સોમદેવના શિષ્ય. ૪૫ કડીના ‘જીરાવલા પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. કૃતિમાંથી મળતી માહિતી અનુસાર આ રચના સોમજયના શિષ્યની હોવા પણ સંભવ છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સોમધ્વજ [ ] : જૈન. સુક્ષેમકીર્તિના શિષ્ય. ૧૫/૧૬ કડીની ‘શીલ-સઝાય/શીલ માહાત્મ્ય-સઝાય’ના કર્તા. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સોમપ્રભ : આ નામે ૨૯ કડીની ‘શત્રુંજય-ચૈત્યપરિપાટી’ અને સોમપ્રભાચાર્યને નામે ‘આદિનાથ-ફાગ’ (ર.ઈ.૧૬૩૪) તથા સોમપ્રભસૂરિને નામે ‘ઔકિતક’ (લે.સં.૨૦મી સદી ચાલુ) મળે છે. આ કૃતિઓના કર્તા કયા સોમપ્રભ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. ગુસાપઅહેવાલ : ૫-‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય’, ચિમનલાલ ડાહ્યાભાઈ; ૪. પાંગુહસ્તલેખો;  ૫. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન ભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા;  હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સોમમંડન(મુનિ) : આ નામે ૧૫ કડીની ‘જીવનદયાકુલક’ (લે.સં. ૧૮મી સદી અનુ.) તથા ૧૦ કડીની ‘નેમિનાથભાસ’ (લે.સં.૧૮મી સી અનુ.)-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા સોમમંડન છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સોમમૂર્તિ [ઈ.૧૩મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનેશ્વરસૂરિના શિષ્ય. અપભ્રંશપ્રધાન ૩૩ કડીની ‘જિનેશ્વરસૂરિસંયમશ્રીવિવાહવર્ણન-રાસ/જિનેશ્વરસૂરિ-દીક્ષાવિવાહવર્ણન-રાસ/વિવાહલઉ’ (ર.ઈ.૧૨૭૫ આસપાસ; મુ.), ૧૩ કડીની ‘ગુર્વાવલીરેલુયા’, ૧૬ કડીની ‘જિનપ્રબોધ સૂરિણા-ચર્ચરી’ તથા ૧૨ કડીની ‘જિનપ્રબોધ સૂરિણા બોલિકા’-એ કૃતિઓના કર્તા. કૃતિ : જૈઐકાસંચય. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧; ૪. પ્રાકરૂપરંપરા;  ૫. જૈન સત્યપ્રકાશ, જુલાઈ-ઑગસ્ટ ૧૯૪૬-‘વિવાહલઉ’ સાહિત્યનું રેખાદર્શન’, હીરાલાલ ર. કાપડિયા;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૨); ૭. જૈમગૂકરચનાએં : ૧. [ર.ર.દ.]

સોમરત્ન [ ] : જૈન. ૧૭ કડીના ‘સુખડી-ભાસ’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

સોમવિજ્ય [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-૧૭મી સદી પૂર્વાર્ધ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિના શિષ્ય. ઈ.૧૫૭૫માં હીરવિજ્યસૂરિને હસ્તે દીક્ષા હીરવિજ્ય આદિ વિષયક ૨૪ સવૈયાના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સોમવિમલ(સૂરિ) : આ નામે કોશા અને સ્થૂલિભદ્રનો સંવાદ નિરૂપતી ૧૫ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય’(મુ.), ૮ કડીની ‘આત્મહિત-સઝાય’, ૨૬ કડીની ‘ગજસુકુમાલ-સઝાય’ (લે.ઈ.૧૬૩૫) તથા ‘સ્વપ્નાધ્યાય’ મળે છે. તેમના કર્તા કયા સોમવિમલ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : જિસ્તકાસંદોહ : ૧. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. ડિકૅટલૉગભાવિ; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સોમવિમલ(સૂરિ)-૧ [જ. ઈ.૧૫૧૪-અવ.ઈ.૧૫૮૧/સં.૧૬૩૭, માગશર-] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં સૌભાગ્યહર્ષના શિષ્ય. ખંભાત પાસેના કંસારી ગામે જન્મ. પિતાનું નામ રૂપવંત, માતા અમરાદે. મૂળનામ જસવંત. ઈ.૧૫૧૮માં માત્ર ચાર વર્ષની વયે હેમવિમલસૂરિ પાસે દીક્ષા. દીક્ષાનામ સોમવિમલ. તેમની પાસેથી ઘણી રાસકૃતિઓ મળી છે : ૨૯૦૫ કડીનો ‘અભયકુમાર શ્રેણિક-રાસ/સમ્યકત્વ-રાસ/(ર.ઈ.૧૫૭૪/સં.૧૬૩૦ ભાદરવા સુદ ૧; મુ.), ૨૯૨ કડીનો ‘ધમ્મિલ-રાસ’ (ર.ઈ.૧૫૩૫/સં.૧૫૯૧, પોષ સુદ ૧, રવિવાર), ૫૧૭ કડીનો ‘ચંપકશ્રેષ્ઠી-રાસ’ (ર.ઈ.૧૫૬૬/સં.૧૬૨૨, શ્રાવણ સુદ ૭, શુક્રવાર), ૪૨૫ કડીનો ‘ક્ષુલ્લકકુમાર-રાસ’ (ર.ઈ.૧૫૭૭/સં.૧૬૩૩, ભાદરવા વદ ૮). આ ઉપરાંત તેમની પાસેથી ૫૧ કડીની ‘તપગચ્છ-પટ્ટાવલી-સઝાય/ગચ્છનાયકપટ્ટાવલી-સઝાય’ (ર.ઈ.૧૫૪૬/સં.૧૬૦૨, જેઠ સુદ ૧૩; મુ.), યમક અલંકારનો ઉપયોગ કરી ‘ચસિમા, શબ્દના સો અર્થો કરી વ્યાવહારિક તેમ જ ધર્મ સંબંધી બોધનું નિરૂપણ કરતી, ગુજરાતી ભાષામાં વિરલ, ૪૭ કડીની ‘ચસિમા શબ્દ શતાર્થી-સઝાય’ (ર.ઈ.૧૫૭૬/સં.૧૬૩૨ શ્રાવણ સુદ ૭; મુ.), ૭/૯ કડીની ‘નેમિનાથ-ગીત/રાજિમતી-સઝાય’(મુ.), ૨૨ કડીની આનંદવિમલ-ભાસ’, ‘કુમરગિરિમંડન (શાંતિનાથ)-સ્તવન, ‘દસ દૃષ્ટાંતનાં ગીતો/મનુજભવદુર્લભતા’, ૨૫ કડીની ‘લગ્નમાન (જ્યોતિષ)’(મુ.), ભદ્રબાહુકૃત મૂળ પ્રાકૃતગ્રંથ ‘કલ્પસૂત્ર’ પરનો ‘કલ્પસૂત્ર અન્તર્વાચ્ય-બાલવબોધ’ (ર.ઈ.૧૫૬૯) તથા ‘દશવૈકાલિક-વિપાકસૂત્ર-ગૌતમપૃચ્છા-ત્રણ ભાસ્ય તંદુલ વેયાલીયના બાલાવબોધ’ વગેરે કૃતિઓ મળી છે. કૃતિ : ૧. ઐરાસંગ્રહ : ૧; ૨. ઐસમાલા : ૧; ૩. જૈઐકાસંચય (+સં.); ૪. પસમ્મુચય : ૨; ૫. પ્રાસપસંગ્રહ : ૧; ૬. શ્રેણિક મહારાજનો રાસ તથા અષ્ટ પ્રકારી પૂજાવિધિ સહિત, પ્ર. છોટાલાલ મ. શાહ, ઈ.-;  ૭. જૈનસત્યપ્રકાશ. ડિસે-જાન્યુ. ૧૯૪૯-‘મુનિરાજ સોમવિમલકૃત લગ્નમાન (જ્યોતિષ), સં. શ્રી રમણિકવિજ્ય; ૮. બુદ્ધિપ્રકાશ, જુલાઈ-સપ્ટે. ૧૯૪૧-‘ચસિમા’ શબ્દ શતાર્થી સ્વાધ્યાય’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો; ૬. મરાસસાહિત્ય;  ૭. આલિસ્ટઑઇ : ૨; ૮. જૈગૂકવિઓ : ૧, ૨, ૩(૧, ૨); ૯. જૈમગૂકરચનાએં : ૧; ૧૦. જૈહાપ્રોસ્ટા; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. લીંહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સોમવિમલ(સૂરિ)શિષ્ય [ ] : જૈન સાધુ. ૪૦૨ કડીના વસ્તુ, દુહા તથા ચોપાઈ છંદમાં રચાયેલા ‘અમરદત્ત મિત્રાનંદ-રાસ’ (ર.ઈ.૧૫૬૨/સં. ૧૬૧૮, માગશર સુદ ૫) અને વંકચૂલ-રાસ’ (ર.ઈ.૧૫૬૮)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

સોમસુંદર(સૂરિ) [જ.ઈ.૧૩૭૪/સં.૧૪૩૦, મહા વદ ૧૪, શુક્રવાર-અવ. ઈ.૧૪૪૩] : તપગચ્છના જૈન સાધુ અને તેના ૫૦મા પટ્ટધર. જન્મ પાલનપુરમાં. જ્ઞાતિએ પ્રાગ્વાટ. પિતા સજ્જન શ્રેષ્ઠિ, માતા માલ્હણ દેવી. મૂળનામ સોમ. ઈ.૧૩૮૧માં જયાનંદસૂરિ પાસે દીક્ષા ઈ.૧૩૯૪માં દેવસુંદરસૂરિ દ્વારા પાટણમાં વાચકપદ. સૂરિપદ ઈ.૧૪૦૧માં. તેઓ વ્યાકરણ, કોશ, છંદ આદિ અનેક શાસ્ત્રોના વિદ્વાન અને સંસ્કૃત, પ્રાકૃત તથા ગુજરાતીના સારા જ્ઞાતા હતા. તેમણે અનેક મંદિરોનો જીર્ણોદ્ધાર, સ્થાપના ઇત્યાદિમાં, જૈન ધર્મના મહોત્સવની ઉજવણીમાં, સંઘયાત્રાઓ યોજવામાં રસ લઈને તેમ જ જૈન ગ્રંથભંડારોને વ્યવસ્થિત કરી સેંકડો તાડપત્રી ગ્રંથોને કાગળ ઉપર ઉતારવી તેમની જાળવણી કરવાની મૂલ્યવાન સેવા બજાવી હતી. તેમના વિશાળ શિષ્યસમુદાયમાં મુનિસુંદર, જયચંદ્ર જેવા વિદ્વાન સાધુઓનો સમાવેશ થતો હતો. સોમસુંદરસૂરિની મુખ્ય સાહિત્યસેવા એમણે રચેલા બાલાવબોધ છે. આ બાલાવબોધ એમનાં પાંડિત્ય અને એમની ગદ્યકાર તરીકેની શક્તિનો સુપેરે પરિચય કરાવે છે. ‘ઉપદેશમાલા’ પરનો ૩૫૦૦/૫૦૦૦ ગ્રંથાગ્રનો (ર.ઈ.૧૪૨૯), નેમિનાથ ભંડારીના ‘ષષ્ટિશતક’ પરનો ૧૨૦૦ ગ્રંથાગ્રનો (ર.ઈ.૧૪૪૦; મુ.), ‘યોગશાસ્ત્ર’ પરનો ૪૫૦૦ ગ્રંથાગ્રનો (અંશત: મુ.), ‘ભક્તામરસ્તોત્ર’ પરનો, ‘ષડાવશ્યક’ પરનો ૪૬૫૮ ગ્રંથાગ્રનો, ‘પર્યંતારાધના/આરાધનાપતાકા’ પરનો ‘વિચારગ્રંથ/વિચાર સંગ્રહ/અનેક વિચાર સંગ્રહ/વિવિધ વિચાર’ પરનો ૮૦૦ ગ્રંથાગ્રનો, ‘નવતત્ત્વ’ પરનો (ર.ઈ.૧૪૪૬?) તથા ‘ગૌતમપૃચ્છા’ પરના બાલાવબોધનો સમાવેશ થાય છે. ‘નવતત્ત્વ’ પરનો બાલાવબોધ સમયદૃષ્ટિએ વિચારતાં સોમસુંદરનો હોવાની સંભાવના ઓછી છે. એ સોમસુંદરશિષ્યકૃત હોય એમ લાગે છે. એ સિવાય ૩૩ કડીનું ‘અર્બુદાચલ-સ્તવન’, ૨૫ કડીનું ‘ગિરનાર સ્તવન’, ૯ કડીનં ‘નવખંડ-સ્તવન’, ૨૫ કડીનું ‘સ્તંભન પાર્શ્વનાથ-સ્તવન’-એ કૃતિઓ પણ એમણે રચી છે. ‘ભાષ્યતયચૂર્ણિ’, ‘કલ્યાણ સ્તવન’ ‘રત્નકોશ’, ‘નવસ્તવન’ વગેરે એમની સંસ્કૃત કૃતિઓ છે. ‘આરાધના-રાસ’ પ્રાકૃતમાં રચાઈ હોવાની સંભાવના છે. ‘નેમિનાથનવરસ-ફાગ/રંગસાગરનેમિનાથ-ફાગુ’ આ કવિને નામે નોંધાાયેલી છે, પરંતુ વસ્તુત: તે રત્નમંડનગણિની કૃતિ છે. એ રીતે ‘સ્થૂલિભદ્રચરિત/કવિત’ પણ ‘સુપસાઈ સિરિ સોમસુંદર-સૂરિ’ એવી પંક્તિને કારણે સોમસુંદરસૂરિશિષ્યની હોવાની સંભાવના છે. કૃતિ : ૧. નેમિચંદ્રભંડારી વિરચિત ષષ્ટિશતકપ્રકરણ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૫૩ (+સં.); ૨. પ્રાચીન ગુજરાતીગદ્ય-સંદર્ભ, સં. મુનિ જિનવિજ્ય, સં. ૧૯૮૬;  ૩. જૈનયુગ, કારતક-માગશર ૧૯૮૩, ‘વિક્રમના પંદરમા સૈકાના કેટલાક જૈન કવિઓની કાવ્યપ્રસાદી’, સં. મોહનલાલ દ. દેશાઈ, ૪. સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૭૫-‘સોમસુંદરસૂરિકૃત સ્થૂલભદ્રચરિત’, વસંતરાય બી. દવે (+સં.). સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. ગુલિટરેચર; ૪. ગુસાપઅહેવાલ : ૨૦-‘ઇતિહાસ પુરાતત્ત્વ વિભાગના પ્રમુખનું ભાષણ-પરિશિષ્ટ’, મુનિશ્રી પુણ્યવિજ્યજી; ૫. ગુસામધ્ય; ૬. ગુસારસ્વતો; ૭. જૈસાઇતિહાસ; ૮. દેસુરાસમાળા; ૯. નયુકવિઓ; ૧૦. પાંગુહસ્તલેખો; ૧૧. પ્રાકારૂપરંપરા;  ૧૨. ફાત્રૈમાસિક, ઑક્ટો-ડિસે. ૧૯૪૧-‘પાલપુરનો સંક્ષિપ્ત જૈન ઇતિહાસ, મુનિશ્રી કાંતિસાગરજી;  ૧૩. આલિસ્ટઑઇ : ૨; ૧૪. કેટલોગગુરા; ૧૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૧૬. ડિકૅટલૉગભાવિ; ૧૭. મુપુગૂહસૂચી; ૧૮. લીંહસૂચી; ૧૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [જો.પ.]

સોમસુંદર(સૂરિ) શિષ્ય : આ નામે ૩૬ કડીની ‘વસ્તુ’ અને ‘ઠવણિ’ કે ‘ભાષા’ નામક ખંડોમાં ગ્રથિત ‘સમવસરણવિચાર-સ્તવન’(મુ.), ૨૨ કડીની ‘અતીત અનાગત-વર્તમાન ચોવીસ જિન-સ્તવન’, ૧૫ કડીનું ‘નવકાર મહામંત્ર-ગીત’(મુ.), ‘સ્થૂલિભદ્ર-ચરિત્ર’, ૪૫ કડીની ‘દેવદ્રવ્યપરિહાર-ચોપાઈ’(મુ.), ૧૦ કડીની ‘સોમસુંદરસૂરિ-સઝાય’ ‘અંગફુરકે ઉસકી-ચોપાઈ’(મુ.), ૧૪ કડીની ‘ધરણવિહાર-સ્તોત્ર’, ૧૦ કડીનું ‘ચતુર્મુખ-ગીત’, ૧૫ કડીનું ‘જીવદયાકુલં-સઝાય’, ૭૫૧ ગ્રંથાગ્રનો ‘નવતત્ત્વપ્રકરણ-બાલાબોધ’, ૧૦૧૦ ગ્રંથાગ્રનો ‘પિંડવિશુદ્ધિ’ ૫૨ બાલાવબોધ-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા સોમસુંદરસૂરિશિષ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. જૈન પ્રાચીન પૂર્વાચાર્યોવિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; ૨. સમાધિશતકમ્, સં. વી. પી. સિંધિ, ઈ.૧૯૧૬;  ૩. જૈનયુગ, અષાઢ-શ્રવાણ ૧૯૮૬-‘સં. ૧૫૩૫માં લખાયેલાં પ્રાચીન કાવ્યો’, મોહનલાલ દ. દેશાઈ; ૪. જૈન સત્યપ્રકાશ, ઑગસ્ટ ૧૯૪૫-‘દેવદ્રવ્ય પરિહાર-ચોપાઈ’, સં. કાંતિસાગરજી. સંદર્ભ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ. ઈ.૧૯૭૮; ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. કેટલૉગગુરા; ૪. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૫. જૈહાપ્રોસ્ટા; ૬. ડિકૅટલૉગભાવિ; ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

સોમસુંદર(સૂરિ)શિષ્ય-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. મહાવીર નિશાળે જાય છે તે વિશેની ‘નિશાલ-ગરણું’ (ર.ઈ.૧૪૩૫), ૫૪/૫૫ કડીનું ‘શત્રુંજય-સ્તવન’ (ર.ઈ.૧૪૪૪/સં.૧૫૫૦, મહાસુદ ૧૩) તથા ૮૧ કડીનો રાસ, અઢૈઉ, આંદોલા વગેરે દેશીમાં રચાયેલ, રાણપુરના મંદિરની પ્રશસ્તિ કરતી ‘રાણપુર-મંડનચતુર્મુખઆદિનાથ-ફાગ’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : પ્રાફાગુસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

સોરઠા(અખાના) : પરિજ્યા કે હાલારી દુહા તરીકે ઓળખાવાયેલા ૩૫૦ જેટલા મુદ્રિત સોરઠા બ્રહ્મનું સ્વરૂપ, માયાનું કાર્ય, જીવદશાની ભ્રમણા, અન્ય સાધનોથી જ્ઞાનની શ્રેષ્ઠતા વગેરે વિષયોને મુક્તકશૈલીએ આલેખે છે. કોઈક હસ્તપ્રતો સોરઠામાં છપ્પા જેવું અંગવિભાજન બતાવતી હોવાનું નોંધાયું છે, પણ એ એવું જ શિથિલ અંગવિભાજન હોવાની શક્યતા છે. જો કે અપરોક્ષ રહેલા પરમેશ્વરને ન ઓળખતા જીવની મનોદશા સમજાવવા પ્રીતમનો હાથ પોતાને કંઠે હોય છતાં એનો આનંદ ન સમજતી, બાળકબુદ્ધિથી બહાર ફર્યા કરતી અબુધ અજ્ઞાન સ્ત્રીનું ચિત્ર પાંચસાત સોરઠાઓ સુધી આલેખાયેલું હોય એવા સળંગ વિચાર કે વર્ણનના ખંડો મળે છે ખરા. સોરઠાના વર્ણસગાઈયુક્ત પદવિન્યાસને પ્રત્યેક ચરણમાં નિરપવાદ રીતે યોજતા આ કૃતિ-સમૂહમાં અખાની લાક્ષણિક લાઘવયુક્ત કથનશૈલીને સહેજે જ અવકાશ મળ્યો છે.[જ.કો.]

સોલણ/સોલણું [ ] : જૈન. ગિરનારની તીર્થયાત્રાના પ્રસંગની સ્તુતિ કરતી ૩૮ કડીની દુહાબદ્ધ ‘ચચ્ચરી/ચર્ચરિકા’(મુ.)ના કર્તા. ભાષાની પ્રાચીનતા જોતાં કૃતિ સં. ૧૪મી સદીમાં રચાઈ હોવાનું અનુમાન છે. કૃતિ : ૧. પ્રાગૂકાસંગ્રહ : ૧; ૨. રાસ ઔર રાસાન્વયી કાવ્ય, સં. દશરથ ઓઝા, દશરથ શર્મા, સં. ૨૦૧૬. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તર-અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧;  ૪. જૈગૂકવિઓ : ૧. [ર.ર.દ.]

સૌજન્યસુંદર [ઈ.૧૭૬૨માં હયાત] : ઉપકેશગચ્છના જૈન સાધુ. રતિસુંદરની પરંપરામાં માન્યસુંદરના શિષ્ય. ‘દ્રુપદિ-ચરિત્ર’ (ર.ઈ.૧૭૬૨/સં.૧૮૧૮, ભાદરવા સુદ ૮, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગુસાઇતિહાસ; ૩. જૈસાઇતિહાસ;  ૪. જૈગૂકવિઓ ૩(૧).[ર.ર.દ.]

'સૌભાગ્ય : આ નમે ૭ કૃીની ‘પંચજ્ઞાન-આરતી’(મુ.), ‘પુંડરિકસ્વામીની સ્તુતિ’(મુ.), ૧૧ કડીની ‘તરકારી-સઝાય’(મુ.) તથા ૯ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય’(મુ.) મળે છે. તેમના કર્તા કયા સૌભાગ્ય છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. કસસ્તવન; ૨. જૈરસંગ્રહ; ૩. જ્ઞાનાવલી. [ર.ર.દ.]

સૌભાગ્ય(સૂરિ)-૧ [ઈ.૧૮૪૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ૩ ઢાળ ને ૪૨ કડીના ‘ચતુર્દશપૂર્વતપ-સ્તવન’ (ર.ઈ.૧૮૪૦; મુ.)ના કર્તા. કૃતિ : અરત્નસાર. [ર.ર.દ.]

સૌભાગ્યચંદ્ર [ ] : ‘મૌન એકાદશી કથા-સ્તબક’ (ર.ઈ.ગોનિધિ કાશ્યપી સુસ્તસભૃત સંખ્યાયુતે વશ રે, શ્રીમન્માર્ગ સિતેતરે શુભતિથૌ ષષ્ટિ ગુરૌવાસ રે)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

સૌભાગ્યમંડન [ઈ.૧૫૫૬માં હયત] : તપગચ્છના જૈન સાધુ. વિનયમંડનનાા શિષ્ય. ‘પ્રભાકર-રાસ’ (ર.ઈ.૧૫૫૬)ના કર્તા. કાવ્યને અંતે “તેહ તણઈ સાનિધિ કરી કહઈ પંડિત મહિરાજ” એવી પંક્તિ છે એટલે કર્તા મહિરાજ હોવાની પણ સંભાવના કરી શકાય. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]

સૌભાગ્યરત્ન(સૂરિ) [ ] : અંચલગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિના શિષ્ય. ૭ ઢાળ અને ૯૫ કડીના ‘શાંતિનાથ-સ્તુતિ ગર્ભિત ચતુર્દશ ગુણસ્થાન-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી અનુ. મુ.)ના કર્તા. કૃતિ : પ્રવિસ્તસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

સૌભાગ્યલક્ષ્મી : જુઓ વિજ્યસૌભાગ્યશિષ્ય વિજ્યલક્ષ્મીસૂરિ.

સૌભાગ્યલક્ષ્મીશિષ્ય [ ] : જૈન સાધુ. ૬ કડીની ‘ગહૂંલી’(મુ.)ના કર્તા. કૃતિ : ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧.[કી.જો.]

સૌભાગ્યવિજ્ય : આ નામે ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૪૪ની આસપાસ; ૫ સ્તવન મુ.), ૬૦ કડીનું ‘પાખંડતાપ-પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૮૨૦), ૬૯ કડીની ‘બારવ્રતજોડી-સઝાય’ (લે.સં.૧૭મી સદી અનુ.), ૨૨ કડીનું ‘શાશ્વતજિન બિંબસંખ્યા-સ્તવન’ (લે.સં.૧૯મી સદી અનુ.) તથા ૧૫ કડીની ‘સુબાહુકુમારની સઝાય’(મુ.) મળે છે. આ કયા સૌભાગ્યવિજ્ય છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. જૈગૂસારત્નો : ૧; સજઝાયમાલા(પં). સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]

સૌભાગ્યવિજ્ય-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. સાધુવિજ્યના શિષ્ય. ૬ ઢાળ અને ૫૬ કડીની ‘વિજ્યદેવસૂરિનિર્વાણ-સઝાય’ (ર.ઈ.૧૬૫૭; મુ.)ના કર્તા. પ્રસ્તુત કૃતિ વિજ્યદેવસૂરિના અવસાન (ઈ.૧૬૫૭) પછી અને વિજ્યપ્રભસૂરિના સમયમાં રચાઈ છે એટલે કવિ ઈ.૧૭મી સદીના ઉત્તરાર્ધમાં હયાત હોવાનું માની શકાય. કૃતિ : જૈઐકાસંચય. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ; ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

સૌભાગ્યવિજ્ય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં ગુણવિજ્યના શિષ્ય. ૧૦ કડીની ‘વિજ્યપ્રભસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. પ્રસ્તુત કૃતિ વિજ્યપ્રભસૂરિ(ઈ.૧૬૨૧-ઈ.૧૬૯૩)ની હયાતીમાં લખાયેલી જણાય છે, તેથી તેના કર્તા ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધમાં હયાત હોવાનું કહી શકાય. કૃતિ : ઐસમાલા : ૧. [ર.ર.દ.]

સૌભાગ્યવિજ્ય-૩ [અવ. ઈ.૧૭૦૬/સં.૧૭૬૨, કારતક વદ ૭] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં લાલવિજ્યના શિષ્ય. પિતા નરપાલ. માતા ઇન્દ્રાણી. ઈ.૧૬૬૩માં લાલવિજ્ય પાસે દીક્ષા. અવસાન ઔરંગાબાદમાં. ૧૪ ઢાળ અને ૩૦૭ કડીનું ‘તીર્થમાળા-સ્તવન’ (ર.ઈ.૧૬૯૪; મુ.), ‘દશવૈકાલિસૂત્રની સઝાય’, ‘વિજ્યસેનસૂરિ-સઝાય’ તથા ‘સમ્યકત્વ ૬૭ બોલ-સ્તવન’ એ કૃતિઓના કર્તા. કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૩૭-‘દો ઐતિહાસિક રાસોંકા સાર’, અગરચંદ નાહટા;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

સૌભાગ્યવિજ્ય-૪ [ ] : જૈન સાધુ. ગુમાનવિજ્યના શિષ્ય. ૯ કડીના ‘પારસનાથનો થાલ/પાર્શ્વનાથ-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૨. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

સૌભાગ્યશેખર [ઈ.૧૫૮૫માં હયાત] : ‘પુણ્યપાલ-રાજરિષિ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૫)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી : ૧. [ર.ર.દ.]

સૌભાગ્યસાગર [ઈ.૧૮૧૭માં હયાત] : સંભવત: ખરતરગચ્છના જૈન સાધુ. મહિમાસાગરના શિષ્ય. ૩૨ કડીના ‘જંબૂકુમાર-ચોઢાળિયું’ (ર.ઈ.૧૮૧૭; મુ.)ના કર્તા. કૃતિ : જૈસસંગ્રહ(જૈ). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧).[કી.જો.]

સૌભાગ્યસાગરશિષ્ય [ઈ.૧૪૫૨માં હયાત] : લબ્ધિસાગરસૂરિની પરંપરાના વડતપગચ્છના જૈન સાધુ. વસ્તુ, દુહા, ચોપાઈ વગેરે છંદોની ૪ ઢાળમાં વિભક્ત ૫૧ કડીના ‘ચંપકમાલા-રસ’ (ર.ઈ.૧૪૫૨/સં. ૧૫૦૮, આસો સુદ ૭)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. મુપુગૂહસૂચી. [કી.જો.]

સૌભાગ્યસુંદર : આ નામે ૧૫ કડીની ‘જિન-નમસ્કાર’ (લે.સં.૧૮મી સદી અનુ.) નામની રચના મળે છે. તે કયા સૌભાગ્યસુંદરની છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]

સૌભાગ્યસુંદર(ગણિ)-૧ [ઈ.૧૫૭૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનદેવસૂરિની પરંપરામાં દેવસમુદ્રના શિષ્ય. ૩૩૭ કડીની ‘દેવકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૧/સં.૧૬૨૭, અસાડ સુદ ૬, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

સૌભાગ્યહર્ષ(સૂરિ)શિષ્ય [ઈ.૧૫૪૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ૫૧ કડીની ‘ગચ્છનાયક પટ્ટાવલી-સઝાય/સોમવિમલસૂરિ-ગીત’ (ર.ઈ.૧૫૪૬/સં.૧૬૦૨, જેઠ સુ ૧૩; મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]

સ્થાનસાગર [ઈ.૧૬૨૯માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. પુણ્યચંદ્રની પરંપરામાં વીરચંદ્રના શિષ્ય. ૧૦૦૦ ગ્રંથાગ્રના ‘અગડદત્ત-રાસ’ (ર.ઈ.૧૬૨૯/સં.૧૬૮૫, આસ વદ ૫; સ્વલિખિત પ્રત)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. મરાસસાહિત્ય;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૧.[પા.માં.]

સ્થિરહર્ષ [ઈ.૧૬૫૨માં હયાત] : ખરતરગચ્છની સાગરચંદ્ર શાખાના જૈન સાધુ. મુનિમેરુના શિષ્ય. ‘પદ્મરથ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૨/સં.૧૭૦૮, ફાગણ સુદ ૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [પા.માં.]

‘સ્થૂલિભદ્ર-એકવીસો’ [ઈ.૧૪૯૭/સં.૧૫૫૩, આસો વદ ૩૦] : તપગચ્છના જૈન સાધુ અને સમયરત્નશિષ્ય લાવણ્યસમયની ૮ પંક્તિની (જેમાં પહેલી ૪ પંક્તિ દેશીની અને બીજી ચાર પંક્તિ હરિગીતિકા છંદની) ૧ એવી ૨૧ કડીની આ કૃતિ(મુ.)માં સ્થૂલિભદ્ર દીક્ષા લીધા પછી ગુરુની આજ્ઞાથી ચાતુર્માસ ગાળવા માટે કોશા ગણિકાને ત્યાં આવે છે એ જૈન સાહિત્યમાં જાણીતો પ્રસંગ નિરૂપાયો છે. વર્ણન અને સંવાદ રૂપે ચાલતી આ કૃતિમાં અંતરયમકથી ૪-૪ પંક્તિના બન્ને શ્લોકનો બનતો સ્વતંત્ર ઘટક તથા કોશાના અનુપ્રાસયુક્ત સૌંદર્ય-પ્રસાધનનાં વર્ણનો કવિનાં ભાષાસામર્થ્ય અને સંકલનાશક્તિનાં પરિચાયક છે. એ રીતે કાવ્યમાં પ્રોયજાયેલાં દૃષ્ટાંતો વક્તવ્યને ધારદાર બનાવે છે. જેમ કે ઉત્તમ ભોજન છોડી ઘેરઘેર ભિક્ષા માગતા સ્થૂલિભદ્રને કોશા કહે છે કે તમે સ્વચ્છ જળ પીવાનું છોડી મેલું ને ઊનું જળ શા માટે પીઓ છો? અથવા દેહકષ્ટ ભોગવી મોક્ષ મેળવવાની વાત કેટલી બેહૂદી છે તે સમજાવવા કહે છે કે નખ વડે ક્યારેય મોટું વટવૃક્ષ પાડી શકાય ખરું?[જ.ગા.]

‘સ્થૂલિભદ્ર-ફાગુ’ : ખરતરગચ્છના જિનપદ્મસૂરિકૃત આ ફાગુ(મુ.) ગુજરાતી ફાગુકાવ્યોમાં ‘જિનચંદ્રસૂરિ-ફાગુ’ પછીની બીજી જ રચના હોઈ ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વ ધરાવે છે. ચૈત્ર માસમાં નૃત્ય સાથે ગાવા માટેનો નિર્દેશ ધરાવતા દુહા-રોળાબદ્ધ ૨૭ કડી અને ૭ ભાસના આ ફાગુમાં પાટલીપુત્રના મંત્રી શકટાલના પુત્ર સ્થૂલિભદ્ર, દીક્ષા લીધા બાદ, જેની સાથે પૂર્વાશ્રમમાં પોતાને સતત ૧૨ વર્ષનો સહવાસ હતો તે પ્રેયસી ગણિકા કોશાને ત્યાં ગુરુની આજ્ઞા મેળવી ચાતુર્માસ ગાળવા પધારે છે તે પ્રસંગનું નિરૂપણ છે. સ્થૂલિભદ્રના દુષ્કર કામવિજ્યનો મહિમા ગાવો એ આ કાવ્યનો ઉદ્દેશ છે, પરંતુ કવિએ શૃંગારના ઉદ્દીપન-વિભાવ રૂપે કરેલું વર્ષાવર્ણન, શૃંગારના આલંબનવિભાવ રૂપે કરેલું કોશાનું સૌંદર્યવર્ણન, સ્થૂલિભદ્ર અને કોશા વચ્ચે મૂકેલો માર્મિક સંવાદ, તથા કોશાના મદનપ્રભાવ સામે વિજ્યી થતો બતાવેલો સ્થૂલિભદ્ર અને કોશા વચ્ચે મૂકેલો માર્મિક સંવાદ, તથા કોશાના મદનપ્રભાવ સામે વિજ્યી થતો બતાવેલો સ્થૂલભદ્રનો જ્ઞાનધ્યાનજનિન શાંત સંયમપ્રભાવ-આ સર્વ કાવ્યને આસ્વાદ્ય બનાવે છે. એક નાટ્યાત્મક પરિસ્થિતિનું અવલંબન, રૂઢ છતાં દ્યોતક અલંકારોનું આયોજન, વર્ણધ્વનિનો કવિએ ઉઠાવેલો લાભ તથા લય અને ભાષા પરત્વેની પ્રભુતા કવિના રસિક કવિત્વને પ્રગટ કરે છે. [ચ.શે.]

‘સ્યાવશનામું’ [ર.ઈ.૧૬૭૯/સં.૧૭૩૫, ભાદરવા વદ ૭] : ફિરદોસીના ‘શાહનામા’ની અંદર આવેલા ‘સ્યાવશનામા’ કથાનક પર આધારિત ઈરાની બાદશાહ કએકાઉસના પુત્ર સ્યાવશ અને પૌત્ર કએખુશરુનાં પરાક્રમો, ઔદાર્ય અને સ્વાભિમાન તથા સ્યાવશપત્ની ફરંગેજના સદ્શીલને આલેખતું પારસી કવિ રૂસ્તમકૃત આખ્યાનકાવ્ય (મુ.). કૃતિનું કથાવસ્તુ ૨ ખંડમાં વહેંચાય છે. ઈરાનના બાદશાહ કએકાઉસનો રાજ્યઅમલ, ગેબી સુંદરી સાથેનું તેનું લગ્ન, તેનાથી પુત્ર સ્યાવશનો જન્મ, બાળવયે જ ગેબીસુંદરીનું અલોપ થઈ જવું, કએકાઉસનું હમાવરાનની શાહજાદી સોદાબેહ પર મોહિત થઈ તેની સાથે લગ્ન કરવું, યુવાન સ્યાવશ તરફ આકર્ષાઈ અપરમાતાની તેની પાસે અઘટિત માગણી કરવી, સ્યાવશના વિનયપૂર્ણ ઇન્કારથી છંછેડાઈ માતાનો સ્યાવશ પર બળાત્કાર કરવાનો આરોપ મૂકવો, સ્યાવશનું જાતે સ્વીકારેલી અગ્નિકસોટીમાંથી પાર ઊતરવું, યુદ્ધ દરમ્યાન પિતાએ દાખવેલા અવિશ્વાસથી નારાજ થઈ વતનનો ત્યાગ કરવો, અનેકવિધ પરાક્રમો કરી તુર્કસ્તાનની શાહજાદી ફરંગેજ સાથે લગ્ન ને તુર્કસ્તાનની બાદશાહતનો અસ્વીકાર કરી રાક્ષસો અને જંગલી જનાવરોથી ભરેલા જંગલને સાફ કરી ત્યાં ‘સ્યાવશગેરદ’ નામનું નગર વસાવવું અને યુવાવસ્થામાં જ સસરા અફરાસિયાબને હાથે ખૂનના ભોગ બનવું-એ ઘટનાઓ પહેલા ખંડમાં નિરૂપાઈ છે. બીજા ખંડમાં સ્યાવશની વિધવા પત્ની ફરંગેજની કૂખે કએખુશરુનો જન્મ, વિધવા માતાએ જંગલમાં વસી અનેક આપત્તિઓ સહી પુત્રનો કરેલો ઉછેર, ઈરાની પહેલવાન ગેવની મદદથી ઈરાન પહોંચી કએખુશરુએ સ્વપરાક્રમથી ઈરાનની બાદશાહત મેળવી અને વધુ વખત રાજ્ય ન કરતાં ગુફાવાસી તરીકેનું જીવન સ્વીકારવું-એ ઘટનાઓ નિરૂપાઈ છે. કૃતિનું શીર્ષક નાયકના નામ પરથી રખાયું છે, પરંતુ કૃતિનું તેજસ્વી પાત્ર તો સ્યાવશની પત્ની ફરંગેજનું છે. વૈધવ્ય પછી એ પાત્રનો વિકાસ અત્યંત આકર્ષક રીતે થયો છે. કવિ રૂસ્તમે આ આખ્યાનમાં મૂળ કથાનું શુષ્ક-નીરસ અનુકથન માત્ર ન કરતાં, પ્રમુખ પાત્રો અને પ્રસંગોને પોષક નીવડતાં મૌલિક ઉમેરણો કરી કાવ્યને વિશેષ રોચક તેમજ પ્રતીતિકર બનાવી પોતાની સ્વતંત્ર સર્જકપ્રતિભાનો પરિચય આપ્યો છે. ‘શાહનામા’માં મૂળ લાંબા વર્ણનોને લાધવપૂર્વક નિરૂપી વસ્તુગુંફનની કુશળતા પણ દાખવી છે, તેમ છતાં કથાનો ઉતાવળે અંત લાવી દેવાની કવિની અન્ય રચનાઓમાં જોવા મળતી નબળાઈ અહીં પણ દેખાય છે. કવિની પ્રૌઢ કલમે લખાયેલ આ રચનામાં પ્રાસયોજના અને અલંકારોનો રુચિર પ્રયોગ જોવા મળે છે, પંરતુ છંદ અને ઢાળના લયસૂઝની મર્યાદા તરત જણાઈ આવે છે. [ર.ર.દ.]

સ્વરૂપચંદ : આ નામે ૬ કડીની ‘ગિરનારજીનો વધાવો’(મુ.), ‘ત્રેસઠ સલાકા-છત્રીસી/છંદ/પ્રભાતિયું/સઝાય’(મુ.), ૩ કડીની ‘યુગપત્સ્તુતિ’ (મુ.) તથા ૪ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’(મુ.) એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા સ્વરૂપચંદ-૧ હોવાની સંભાવના છે. કૃતિ : ૧. જૈપ્રપુસ્તક : ૧; ૨. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩; ૩. સસન્મિત્ર : ૧, ૨. [કી.જો.]

સ્વરૂપચંદ-૧ [ ] : જૈન સાધુ. સૌભાગ્યચંદ્રના શિષ્ય. ‘જિનસ્તવન-ચોવીસી’(મુ.) તથા ૮ કડીનું ‘માલણનું ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈપ્રપુસ્તક : ૧; ૨. રત્નસાર : ૨, હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

‘સ્વરૂપની કાફીઓ’ : ધીરકૃત કાફીપ્રકારનાં ૨૧૦ પદોનો આ સમુચ્ચય (મુ.) ગુરુ, માયા, મન, તૃષ્ણા, લક્ષ્મી, યૌવન અને કાયા એ ૭ પદોનાં લક્ષણો ૩૦-૩૦ કાફીઓમાં વર્ણવે છે. ગુરુસ્વરૂપની કાફીઓમાં માન-અપમાન, રાગદ્વેષ, કામક્રોધ ઇત્યાદિથી પર એવા સમદૃષ્ટિ ગુરુનું અત્યંત ભાવપૂર્વક ચિત્ર દોર્યું છે અને દત્તાત્રેય આદિ સાથે પણ એમને સરખાવી ન શકાય એમ કહી એમનો અપાર મહિમા કર્યો છે. કોઈએ નથી કર્યું એવું ગુરુએ કર્યું છે-ભાટ જેવી જેની વૃત્તિ હતી તેને બ્રહ્મા સમાન કર્યો છે અને પથ્થર હતો તેને શબ્દ વડે સમર્યો છે-એ બતાવી ગુરુગુણ ગાવાની આવશ્યકતા બતાવી છે. માયાસ્વરૂપની કાફીઓમાં ધન, પુત્ર, પત્ની, ઘરબાર વગેરેની આસક્તિ રૂપે વળગતી સૌને રમાડતી, અખિલેશ્વરી માયાના પ્રતાપનું વર્ણન કર્યું છે; તો મનસ્વરૂપની કાફીઓમાં માણીગર, બાજીગર, ભૂત જેવા, સારાસારનો વિવેક નહીં કરી શકતા, ચંચળ, તરંગી, મતલબી, મોજીલા મનનાં ચિત્રો દોર્યાં છે ને વશ થયેલું મન શું સિદ્ધ કરે છે તે કહી એની શક્તિનો મહિમા કર્યો છે. તૃષ્ણાસ્વરૂપની કાફીઓમાં ઘરડી નટવી, સાગરતરંગ, વંટોળ, રેંટ, પાણી વિનાનું તળાવ, ચંદન ઘો, વાનરી, ઘોડી વગેરેનાં દૃષ્ટાંતો લઈ તૃષ્ણાનું સ્વરૂપ સ્ફુટ કર્યું છે અને તૃષ્ણાને ગુરુપ્રાપ્તિ તરફ ને અધ્યાત્મજ્ઞાન તરફ વાળી ફલપ્રદ બનાવવાનો બોધ કર્યો છે. લક્ષ્મીસ્વરૂપની કાફીઓમાં પણ વીંછીનો દંશ પામેલી ઘેલી અળવીતરી સ્ત્રી, સોમલ, ગંધર્વનગર, તરવાર, વીજળી, સર્પ વગેરેનાં દૃષ્ટાંતથી લક્ષ્મીનાં ઉદ્દંડતા, વિનાશકતા, મિથ્યાત્વ, રંગબેરંગીપણું આદિ લક્ષણો પ્રકાશિત કર્યાં છે. લક્ષ્મીના સંગથી વિષ્ણુ પણ કાળા થયા એમ કહી એની અનિષ્ટતા માર્મિક રીતે પ્રગટ કરી છે. યૌવનસ્વરૂપની કાફીઓમાં મદિરા, મસ્તાનો માતંગ, મૃગજળ, સ્વપ્નાની નારી, નદીમાં આવતું પૂર, માનસસરોવરને ડહોળી વિક્ષુબ્ધતા પ્રગટ કરી છે અને ધનલાલસા, કામવાસના, કેફી વ્યસન, જુગાર વગેરે યૌવનના દોષો વર્ણવી એની લપસણી ભૂમિનું આલેખન કર્યું છે. કાયાસ્વરૂપની કાફીઓમાં જીવ, ઇન્દ્રિયો આદિનું કાર્ય વર્ણવી નાશવંત કાયા માટે માનવ જે પ્રયાસો કરે છે તેની વ્યર્થતાનું નિરૂપણ કર્યું છે. કાફીઓ તત્ત્વજ્ઞાનાત્મક કરતાં ઉપદેશાત્મક વધુ છે, પરંતુ કવિએ દૃષ્ટાંતોનો નહીં પણ દૃષ્ટાંતચિત્રોનો આશ્રય લીધો છે. દૃષ્ટાંત આખા પદમાં વાર્તારૂપ બનીને વિસ્તરેલું હોય છે. તે ઉપરાંત આત્મકથનની ને ઉદ્બોધનની શૈલી પણ તેમાં પ્રયોજાયેલી છે તથા ચોટદાર ઉક્તિઓ પણ તેમાં અવારનવાર મળે છે. આ રીતે આ કાફીઓનો કાવ્યગુણ ઘણો નોંધપાત્ર છે.[જ.કો.]

સ્વરૂપાનંદ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. વ્યવસાયે દરજી. મૂળ નામ ભગવાનદાસ. દીક્ષાનામ સ્વરૂપાનંદ. ભજનો(*મુ.)ના કર્તા. કૃતિ : *સ્વરૂપાનંદ ભજનમાળા,- સંદર્ભ : ૧. સત્સંગના સંતો, પ્ર. રમણલાલ અં. ભટ્ટ, ઈ.૧૯૫૩;  ૨. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯-‘સુરતના કેટલાક સંતો અને ભક્તકવિઓ’, માણેકલાલ શં. રાણા. [શ્ર.ત્રિ.]

‘સ્વરૂપાનુભવોજીવ-રસલીલા-ગ્રંથ’ [ર.ઈ.૧૬૫૨] : નારાયણદાસના પુત્ર ગોકુલભાઈરચિત ‘માંગલ્યને’ નામે ઓળખાયેલા ૧૧૩ ધોળ અને ૯૫૦૦ કડીનો આ ગ્રંથ (અંશાત: મુ.) ગોકુલનાથજીના અવસાન (ઈ.૧૬૪૧) પછી ઈ.૧૬૫૨માં રચાયાનું નોંધાયું છે, પરંતુ એ રચનાવર્ષ માટેનો આધાર સ્પષ્ટ નથી. સં. ૧૬૯૬ (ઈ.૧૬૩૦) માગશર સુદ ૭ના રોજ ઉજવાયેલા ગોકુલેશપ્રભુના પ્રાગટ્યદિનના મહોત્સવને વર્ણવવા રચાયેલો આ ગ્રંથ આગલા પ્રાગટ્યદિનથી આરંભાય છે અને વર્ષ દરમ્યાન સંપ્રદાયની પ્રણાલિકા અનુસાર જે અન્ય સર્વસામાન્ય ઉત્સવો શ્રીગુસાંઈજીનો જન્મોત્સવ, દોલોત્સવ, પવિત્રાબારશ, શ્રાવણી, જન્માષ્ટમી વગેરે ઉજવાયા તેના વર્ણનને પણ સમાવી લે છે. બધાં જ વર્ણનોના કેન્દ્રમાં ગોકુલનાથજીની લીલા રહી છે અને વસ્ત્ર, આભૂષણાદિ સર્વ આનુષંગિક વીગતો સાથે એ આલેખાઈ છે. કાવ્યની વીગતપ્રચુરતાનો ખ્યાલ એ પરથી આવે છે કે મહોત્સવના વર્ણનમાં જ ૫૦ ઉપરાંત માંગલ્ય રોકાયાં છે. એમાં ૩૬ માંગલ્યો તો ગોકુલેશપ્રભુના છઠ અને સાતમના નિત્યચરિત્રને વર્ણવે છે. એમાં વસ્ત્ર, આભૂષણ, સુગંધી દ્રવ્ય, પાત્રાદિની વિસ્તૃત યાદીઓ, એમનાં ચોક્કસ પ્રકારના વર્ણન સાથે રજૂ થયેલી છે. એ જ રીતે, વાજિંત્રોની, એના વગાડનારાઓનાં નામોની તેમ જ મહોત્સવ પ્રસંગે આવેલા ૧૮૭૪ ભગવદીઓનાં નામ-ગામની યાદી પણ અહીં આપવામાં આવી છે. કાવ્યના આરંભે પણ કવિએ ગોકુલેશપ્રભુના અગ્રણી ભક્તોના પરિચયો આપેલા છે. આ રીતે આ કાવ્ય ઘણીબધી ઐતિહાસિક-સામાજિક માહિતીથી સભર છે. કવિની ગોકુલનાથજી પ્રત્યેની પરમભક્તિ પણ આ ગ્રંથમાંથી તરી આવે છે. [જ.કો.]